Opinion Magazine
Number of visits: 10080269
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બારીમાંથી ડોકિયું – એક અવલોકન

સુરેશ જાની|Opinion - Opinion|19 June 2026

બારીમાંથી ડોકિયું – એક અવલોકન

સુરેશ જાની

બારીમાંથી ડોકિયું. પણ ઘરની બહાર નહીં; ઘરની અંદર! 

લો! કેવા માણસ છો – તમે? કોઈના ઘરમાં ડોકિયું કરાય? ઘરમાંનું કોઈ તમને જોઈ જાય તો પણ તમે અટકો નહીં; અને બસ, જોયા જ કરો?

આ વાત સાંભળી તમને ઉત્કંઠા થઈ ગઈ ને કે, આ સંવાદ કોની સાથે છે? લ્યો ત્યારે સાંભળો વાત ..

તે દિવસે હું મારા દીકરાના ઘેર સોફા ઉપર, લિવિન્ગ રૂમના છેક છેડે, બેક યાર્ડમાં ખૂલે છે તે બારી તરફ પીઠ કરીને બેઠો હતો. સોફા પર બેઠાં બેઠાં, આખા ઘરના મુખ્ય ભાગનું સરસ દૃશ્ય ખડું થઈ જાય છે. લિવિન્ગ રૂમના છેડે, ઉપર જવાની સીડી છે. એની બીજી બાજુ ઘરના બન્ને માળ જેટલો ઊંચો, દીવાનખંડ અને એની ય પાછળ ઘરનું પ્રવેશદ્વાર છે. એની ઉપર લગભગ બારેક ફૂટની ઊંચાઈએ એક બારી છે.

એ બારીમાંથી એ જનાબ ડોકિયું કરી રહ્યા હતા!

લો ગધેડાને તાવ આવે એવી વાત લાગી ને? ના, પણ એમ જ હતું. ઘરના આંગણામાં, એક સરસ, ઊંચું ઝાડ છે. ખાસું વધી ગયેલું છે. એની ટોચની નાજૂક ડાળી છેક તેરેક ફૂટની ઊંચાઈને આંબી ગઈ છે. ત્રણ ચાર પાંચ કુણી પાંદડીઓ પવનના ઝપાટે નાચતી, એકદમ તરોતાજા અને પ્રફુલ્લિત, ઘરના માહોલથી સાવ અલિપ્ત, મહાલી રહી હતી. અને હવામાં ઝૂલતાં ઝૂલતાં એ બારીમાંથી, ઘરમાં ડોકિયું કરી રહી હતી!

તમે કહેશો, વાતમાં આટલું બધું મોણ શીદ નાખતાં હશો? એમાં તે શી નવાઈ? એ તો એમ જ હોય ને?  પણ માત્ર ચાર વરસ પહેલાં એ મકાન બન્યું હશે ત્યારે, અત્યારે જાડી અને રુક્ષ બની ગયેલી, એની સૌથી નીચેની ડાળી પણ આવી જ કૂણી હશે. એની ઉપર પણ આવી જ કોઈક પાંદડીઓ, આમ જ પવનમાં મહાલતી હશે અને ઘરના બંધ બારણામાંથી આમ જ ડોકિયું કરવા વ્યર્થ પ્રયત્ન કરી રહી હશે. પણ એ તો પોતાના ભારથી ઝૂકી ગઈ. એમાંથી ફૂટેલી બીજી ડાળીએ આકાશ તરફની ગતિ ચાલુ રાખી હશે અને એ પણ ઝૂકી ગઈ હશે. આ પ્રક્રિયા સતત ચાલતાં ચાલતાં, મૂળ ડાળીના કંઈક કેટલામા ય વંશજ એવા આ જનાબ અત્યારે આ ઊંચાઈએ પહોંચી ગયા છે. કદાચ એના હજુ બીજા ત્રણ ચાર વારસ બનશે અને એ ઘરના છાપરાને ય આંબી ઘરની પાછલી પારની દુનિયામાં ડોકિયું કરવા અભિયાન આદરશે!

સતત વિકાસ – સતત ઊંચે ને ઊંચે જતા જવાની આકાંક્ષા – સૂર્યના પ્રકાશનું પહેલું કિરણ પ્રાપ્ત કરવા માટેની આશા.

ઝાડની ડાળી અને પાંદડાંના કણ કણમાં આ જીજીવિષા, આ અભિપ્સા સળવળતી રહી હશે.

આપણે સૂક્ષ્મ બનીને, એ સળવળતી અભિપ્સામાં ડોકિયું કરી શકતા હોઈએ તો? પણ જીવનમાં આગળ અને ઊંચે જવા માટેની દોડમાં આપણને આમ બિન્ધાસ્ત, નિર્દોષ ડોકિયાં કરવાની  નવરાશ જ ક્યાં છે?

આગળ અને ઊંચે એટલે? વધારે સમ્પત્તિ, વધારે મોટું પદ, વધારે માન અને સ્થાન, મિત્રો, સગાંઓ અને પ્રશંસકોનો વધારે મોટો સમૂહ. વધારે મોટો અને વકરેલો અહમ્. એ જ આપણો ઊંચે ગયાનો માપદંડ. આપણે છ ફૂટથી વધારે ઊંચે ક્યાં જઈ શકવાના? ઝળહળતા સૂર્યની વધારે નજીક જવાની કોઈ ઉત્કંઠા જ નહીં. નવા જીવનને ધબકાવતા પ્રકાશના કિરણને પામવાની કોઈ તાલાવેલી જ નહીં. સાવ અભાન બનીને, કેવળ વર્તમાનમાં ઝૂલતા રહેવાની કોઈ આરજૂ જ નહીં – કોઈ ઓરતા જ નહીં. 

આપણે જ બનાવેલી, આપણી પોતાની કેદમાં આપણે સતત પૂરાયેલા. સતત સડેલા, વીતેલા, સોગિયા કે ભવ્ય ભૂતકાળમાં ગરક્યા કરવાનું. અથવા ભવિષ્યના શેખચલ્લીના ખાલી મહેલમાં મહાલવા માટે હવાતિયાં માર્યા કરવાનાં.

આ જ તો આપણું જીવતર. એમાં એ નાનકડી પાંદડીઓમાં ધબકતું પ્રગલ્ભ જીવન ક્યાં, એ નાદાન બચપણ ક્યાં?

કદીક તો અંતરની બારીમાંથી આમ ડોકિયું કરી લઈએ તો? કરતાં જ રહીએ તો?

e.mail : surpad2017@gmail.com

Loading

હથિયાર હત્યા સુધી પહોંચ્યું છે સ્કૂલમાં …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|19 June 2026

રવીન્દ્ર પારેખ

બધે જ મારવા-મરવાનું સામાન્ય થતું આવે છે. પતિ, પત્નીને કે પત્ની, પતિને મોતને ઘાટ ઉતારી દે છે ને તેનાં કારણોમાં લગ્નેતર સંબંધો કેન્દ્રમાં રહ્યા છે. એ ઉપરાંત પણ અનેક પ્રકારે હિંસાનું સામ્રાજ્ય વિસ્તરતું જ આવે છે. માણસ ઘણી જગ્યાએ નવજીવનનું કામ કરે જ છે ને તેનો મહિમા જરા ય ઓછો નથી, પણ એવું પણ લાગે છે કે તે હિંસક પણ એટલો જ થયો છે. તેને હવે લોહી જોયા વગર કે રેડ્યા વગર ચેન પડતું ન હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે. યુદ્ધોમાં તો સર્વનાશ કરનારા અનેક હથિયારો, તેની ઉત્તમથી વધુ ઉત્તમ રીતે વપરાય છે. સૌથી વધુ લાશો જે પાડે છે તે જ હવે સત્તા પ્રાપ્ત કરવાને લાયક છે. અનેક વખત પૃથ્વીનો નાશ કરી શકાય એટલાં શસ્ત્રો દુનિયા પાસે છે. અનેક પ્રકારના બોમ્બ, મિસાઈલ્સ વગેરેની સ્પર્ધામાં ઘણાં દેશો પડેલા છે ને બધા એ જ વિચારે છે કે સૌથી વધુ સંહાર કઈ રીતે કરી શકાય? એમાં નાનીમોટી ઉંમરની વ્યક્તિઓ પણ વત્તે ઓછે અંશે પડેલી છે. અમેરિકા જેવામાં તો વિદ્યાર્થીઓ હથિયારો લઈને સ્કૂલમાં ધસી આવે છે ને બાળકો પર આડેધડ ગોળીઓ વરસાવીને ચાલી જાય છે. એ દૂષણ ભારતમાં પ્રવેશ્યું ન હતું, પણ હવે એવું કહી શકાય એમ નથી. સ્કૂલોમાં હિંસા, હત્યા સુધી વિસ્તરી છે ને સ્કૂલ સંચાલકો, શિક્ષણ સમિતિઓ, વાલીઓ, સરકાર … શાંતિ સ્થાપવામાં ધરાર નિષ્ફળ ગયાં છે.

એમાં ઉપરાઉપરી બનતી હિંસાની ઘટનાઓએ સ્કૂલોમાં શાંતિ કઈ રીતે સ્થાપવી એના પ્રશ્નો ઊભા કર્યા છે. સ્કૂલોમાં હિંસા હત્યા સુધી વિસ્તરી છે ત્યારે તે રોકવા શું કરી શકાય એની ચિંતા કરવા જેવી છે. જે હિંસક પરિબળો છે, તેને તો આમાં હિંસા ફેલાવવાનું બહાનું મળી જશે, એમાં વધુ જોખમી વાત શિક્ષકોની ગેરહાજરીની છે. શિક્ષકો વસ્તી ગણતરી અને અન્ય સરકારનાં કામો કરવામાં રોકાયેલા હોવાથી તે સ્કૂલમાં ઓછું જ દેખાય છે. ચાલુ વર્ગમાં શિક્ષક જ દેખાય નહીં, તો વર્ગખંડોમાં શાંતિ કેવી રીતે સ્થપાવાની હતી? પણ આ મામલે જવાબદાર સરકાર જ છે. તેણે જ શિક્ષકોને વર્ગશિક્ષણને ભોગે સરકારી કામોમાં જોતર્યા છે. આ સ્થિતિમાં બાળકો ધમાલમસ્તી કરે કે મારામારી કરે તો તેમને કાબૂ કરનારું કોઈ હોતું નથી. ઘરમાં નોકરી-વ્યવસાયને કારણે વાલીઓ ધ્યાન આપી શકતા નથી. એટલે બાળકો ફૂટબોલની જેમ આમથી તેમ ફંગોળાતા રહે છે.

આમાં એક છેડો ગુનાખોરી તરફ ખૂલે છે, કારણ બાળક સ્કૂલમાં હોય કે ઘરમાં, તે ઉપેક્ષિત હોય તો વિવેક રહેતો નથી ને જે માર્ગે આશ્વાસન મળતું હોય તે તરફ તે વળી જાય છે. ઘરમાંથી હૂંફ મળે કે શિક્ષક તેના પર ધ્યાન આપતા હોય તો બાળક આપોઆપ જ કાબૂમાં રહે. હાલત એવી છે કે શિક્ષક ભણાવવા ઇચ્છે તો પણ તેની પાસેથી સરકાર એટલાં કામ લે છે કે તે વર્ગમાં જઈ જ ના શકે. એવી જ સ્થિતિ ઘરમાં છે. માબાપ નોકરી ધંધામાં વ્યસ્ત છે ને સવારની સાંજ પડે છે ને બાળક ન ભણીને સ્કૂલેથી બપોરે ઘરે આવે છે, તો તેણે એકલાએ જ સાંજ પાડવાની છે. કોઈ ભાઈ કે બહેન હોત તો તેની સાથે વાતો કરી હોત, પણ કુટુંબને બીજું બાળક પરવડે એમ નથી, એટલે એક જ સંતાને એકલા આ સમય કાઢવાનો છે ને રોજ જ કાઢવાનો છે. એમાં જો સોબત ખરાબે ચડી તો તેનાં પરિણામ બાળકે અને કુટુંબે વેઠવાની તૈયારી રાખવાની રહે.

*

મરાઠી માધ્યમની ઉધનાની એક સ્કૂલમાં ધોરણ છમાં એક વિદ્યાર્થી ભણે. 11 વર્ષનાં આ બાળકની ધોરણ સાતના એક વિદ્યાર્થી જોડે બોલાચાલી થઈ. બોલાચાલી એટલી ઉગ્ર થઈ કે ધોરણ સાતના બાળકે બીજાને સાથળના ભાગે ચપ્પુથી ઘા મારી દીધા. હાલત એવી થઈ કે તે વિદ્યાર્થીની સર્જરી કરવી પડી. એમાં શાળા ને કુટુંબના જે ખેલ થાય છે તે જોવા-વિચારવા જેવા છે. સ્કૂલ બચાવમાં લાગે છે ને માબાપ ન્યાય માંગતાં હોય છે. ત્રણેક દિવસ પરની આ ઘટનામાં સ્કૂલે કહી દીધું કે ઘટના સ્કૂલની બહાર સાંજે બની છે. (ટૂંકમાં, સ્કૂલ જવાબદારીમાંથી છટકે છે) ઘાયલ બાળકની માતા કહે છે કે ઘટના સ્કૂલમાં બપોરે એકની આસપાસ બની. સાચું ખોટું તો સમય નક્કી કરશે અથવા ક્યારે ય નક્કી ન થાય એમ બને. સવાલ એ છે કે ઘા મારી શકે એવો ચપ્પુ સ્કૂલમાં આવ્યો કઈ રીતે?

19 ઓગસ્ટ, 2025ની ઘટના અહીં યાદ આવે છે. ઉધના જેવી ઘટનામાં સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થી નયન સંતાનીનું મોત થયું હતું. ધક્કામુક્કીમાંથી વાત વણસી હતી. અમદાવાદના ખોખરા વિસ્તારની સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીને પેટમાં બોક્સ કટર મારવામાં આવ્યું હતું ને ઘાયલ વિદ્યાર્થી સ્કૂલમાં આવીને પડ્યો, પણ સ્કૂલ પ્રશાસને એમ્બ્યુલન્સ બોલાવવામાં વાર લગાડી. અહીં પણ એ બચાવ ચાલુ જ રહ્યો કે ઘટના સ્કૂલની બહાર બની હતી. મંગળવારે હુમલાનો ભોગ બનનાર વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જેને પગલે બુધવારે વાલીઓએ શાળામાં સેંકડોની સંખ્યામાં ઉગ્ર વિરોધ કર્યો હતો ને એ દરમિયાન શાળામાં તોડફોડ પણ થઈ હતી. વાલીઓએ આ સ્કૂલને કોઈ પણ સંજોગોમાં છોડવી ન જોઈએ એવો આક્રોશ પણ ઠાલવ્યો હતો. અગાઉ પણ આ શાળા સામે અનેક ફરિયાદો નોંધાયેલી છે.

સ્કૂલનું કહેવું હતું કે એમ્બ્યુલન્સ સમય પર ન આવી, તો સવાલ એ થાય કે સ્કૂલ પાસે પોતાનું કોઈ વાહન હતું કે કેમ? વાહન હોત તો તેમાં વિદ્યાર્થીને લઈ જઈ શકાયો હોત. એ પછી શું થયું તે નથી ખબર. એટલું તે વખતે જિલ્લા શિક્ષણાધિકારીએ કહેલું કે સી.સી.ટી.વી. ફૂટેજને આધારે એ તપાસ કરાશે કે શાળાની શેમાં બેદરકારી રહી ગઈ છે? વિદ્યાર્થીને અડધા કલાક સુધી સારવાર માટે ન લઇ જવાયો એ વાત સાચી હશે, તો સરકાર તેનું એન.ઓ.સી. રદ્દ કરે એમ બને. આ 19 ઓગસ્ટ, 2025ની ઘટના છે. એમાં ખરેખર શું કાર્યવાહી કરવામાં આવી તેની કોઈ વિગતો અત્યારે નથી. છેલ્લે સી.સી.ટી.વી.ના ફૂટેજમાં નયન મદદ માંગતો કણસી રહ્યો હતો એવું જણાયું હતું, પણ કોઈ મદદ માટે ગયું ન હતું તે હકીકત છે. બને કે પછી બધું ભુલાઈ ગયું હોય !

અમદાવાદમાં સેવન્થ ડે જેવી બીજી ઘટના 19 જાન્યુઆરી, 2026માં બનવા જઈ રહી હતી. ઘટના ઘાટલોડિયા, અમદાવાદમાં નેશનલ સ્કૂલ બહાર બની હતી. ધોરણ 10ના એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો હતો, પણ તેને સારવાર મળી જતાં તે બચી ગયો હતો. સી.સી.ટી.વી. કેમેરામાં વિદ્યાર્થીઓનું ટોળું એક વિદ્યાર્થીને લાકડી અને પટ્ટા વડે મારી રહ્યાનું દેખાતું હતું. આ હુમલો ગુંડાઓને પણ બાજુ પર મૂકી દે એવો હતો. આમાં પણ મસ્તી મસ્તીમાં બોલાચાલીમાંથી વાત વણસી હતી.

આવી ઘટનાઓ વધતી આવે છે ને કોઈક ને કોઈક પ્રકારની બેદરકારી સામે આવે છે ને વિદ્યાર્થી પર જીવનું જોખમ ઊભું થાય છે. સૌથી ગંભીર બાબત છે, વિદ્યાર્થી પાસે ચપ્પુનું હોવું. એ જે પણ રસ્તે બાળકના હાથમાં આવે છે તે તમામ રસ્તા જડબેસલાક બંધ થવા જોઈએ. હથિયાર ઘરમાંથી હાથમાં આવે છે કે બહારથી, તે તક ઊભી ન થાય તે તમામ સ્તરે ચકાસવાની જરૂર છે. બાપ કસાઈ હોય તો પણ તે દીકરાને સ્કૂલે જતાં છરી નથી આપતો. આપણે અહીં અમેરિકી હિંસા ન થવા દેવી હોય તો બાળકના હાથમાં હથિયાર ન આવે એ જોવું પડશે ને રીત ગમે તે હોય, પણ સ્કૂલમાં ચપ્પુ આવે એ સ્કૂલની ઘોર બેદરકારી સિવાય બીજું કઈ નથી. દરેક સ્કૂલે તાબડતોબ દફતર ચેક થાય એવી વ્યવસ્થા કરવાની રહે. સ્કૂલમાં વિદ્યાર્થી પાસે હથિયાર હોય એમાં તેનો ઈરાદો ભોળપણનો તો નથી જ ! તે ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકે એમ છે, તો તેને ઉપયોગની એક પણ તક ન રહે એવું આયોજન સ્કૂલોએ કરવાનું રહે, તો ઘરોમાં માતાપિતાએ પણ એ જોવું જોઈએ કે બાળક દફતરમાં શું લઇ જાય છે?

વાલીઓની પણ જવાબદારીઓ નક્કી થવી જોઈએ. બાળકને કેદમાં રાખવાનું નથી, પણ તેના પર નજર રહે એટલું તો થવું જોઈએ. કારણ સ્કૂલમાં ન લઈ જાય, તો પણ હથિયાર તે સિવાય તો સાથે રાખી શકાય છે. અહીં સ્કૂલ જવાબદાર નથી, પણ વાલીઓ એમાંથી છટકે તો ન ચાલે. બાળકને વાલિયો લૂંટારો બનાવવો છે કે વાલ્મીકિ તે આપણે નક્કી કરવાનું છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 જૂન 2026

Loading

ઝૂમને લગેગા આસમાં …

સોનલ પરીખ|Opinion - Opinion|18 June 2026

આ જા સનમ મધુર ચાંદની મેં હમતુમ મિલે 

તો વીરાને મેં ભી આ જાયેગી બહાર 

ઝૂમને લગેગા આસમાં

કહેતા હૈ દિલ ઔર મચલતા હૈ દિલ 

મોરે સાજન લે ચલ મુઝે તારોં કે પાર

લગતા નહીં હૈ દિલ યહાં .. 

ભીગી ભીગી રાત મેં દિલ કા દામન થામ લે 

ખોઈ ખોઈ ઝિંદગી હરદમ તેરા નામ લે 

ચાંદ કી બહેકી નજર કહ રહી હૈ પ્યાર કર 

ઝિંદગી હૈ એક સફર કૌન જાને કલ કિધર .. 

દિલ યે ચાહે આજ તો બાદલ બન ઊડ જાઉં મૈં 

દુલ્હન જૈસા આસમાં ધરતી પર લે આઉં મૈં 

ચાંદ કા ડોલા સજે ધૂમ તારો મેં મચે

ઝૂમ કે દુનિયા કહે પ્યાર મેં દો દિલ મિલે .. 

રાજ કપૂર – નરગિસ

વરસાદની મોસમ આ વખતે વહેલી શરૂ થવાની છે એવી આગાહી છે. તો પણ આ લેખ પ્રિય વાચકોના હાથમાં આવશે ત્યારે મોટે ભાગે વરસાદ થયો નહીં હોય. મેઘરાજાની મહેરને ઝંખતી પૃથ્વી અને પૃથ્વીને ભીંજવવા આતુર મેઘની સ્થિતિ ગોરંભાયેલી-ગોરંભાયેલી, એકબીજા વિના વ્યાકુળ થયેલા પ્રેમીઓ જેવી હશે. પ્રેમીઓનું નામ આવે ત્યારે મનમાં જે રોમેન્ટિક જોડીઓ આકાર લેવા લાગે એમાં રાજ કપૂર-નરગિસની જોડી મોખરે હોય. બીજી જૂને રાજ કપૂરની પુણ્યતિથિ છે અને નરગિસનો જન્મદિન. એટલે આજનું ગીત રાજ કપૂર-નરગિસનું જ હોઈ શકે. માણીએ આ ગીતને, અને યાદ કરીએ જેની તાજગી અર્ધી સદીથી વધારે સમય થયાં છતાં વિલાઈ નથી એવી રાજ-નરગિસની ફિલ્મોના એ સદાબહાર યુગને. 

‘આ જા સનમ મધુર ચાંદની મેં હમતુમ મિલે તો વીરાને મેં ભી આ જાયેગી બહાર’ એકીશ્વાસે ગવાયેલી આ પંક્તિ આપણે પણ એકીશ્વાસે સાંભળી છે ને પછી શ્વાસ લઈએ-ન લઈએ ત્યાં તો ‘ઝૂમને લગેગા આસમાં’ શબ્દો વહી આવીને આપણને લઇ ચાલ્યા છે ચાંદનીમાં ઝબકોળાયેલા ખુલ્લા આકાશમાં. પણ હજી પૂરું નથી થતું. આપણે ઝૂમવા-પીગળવા-ઓગળવા લાગ્યા હોઈએ ત્યાં તો બીજી પંક્તિ આવે છે, ‘કહેતા હૈ દિલ ઔર મચલતા હૈ દિલ મોરે સાજન લે ચલ મુઝે તારોં કે પાર, લગતા નહીં હૈ દિલ યહાં ..’ પછી રાજ-નરગિસ તો ચાલ્યા જાય છે તારાઓને પારની દુનિયામાં અને આપણું દિલ  – પછી ક્યાં ય નથી લાગતું. 

જૂનાં ફિલ્મી ગીતોની આ કેવી અસર છે? એ ગીતો હૃદયને માત્ર સ્પર્શતાં નહીં, ઊતરી જતાં એની ગહનતામાં. જ્યારે યાદ આવે ત્યારે ઉંમર, ઠાવકાઈ, શાણપણ વગેરેનાં મહોરાં ઊતરી જાય અને જડી જાય પોતાનો પોતે જ ભુલાવી દીધેલો, ક્યાંક ચડાવી દીધેલો કોમળ, ભીનો ચહેરો. યુટ્યૂબ પર રાજ કપૂર-નરગિસનાં દસ ગીતોનો ચાલીસ મિનિટનો વીડિયો જોયો છે? ‘આ જા સનમ’, ‘પ્યાર હુઆ, ઇકરાર હુઆ’, ‘જાને ન નજર, પહચાને જિગર’, ‘આ જા રે’, ‘ઘર આયા મેરા પરદેસી’, ‘ઇચકદાના, બિચકદાના’, ‘દમભર જો ઉદ્ધાર મુંહ ફેરે’, ‘જાગો મોહન પ્યારે’ વીડિયો પૂરો થાય ત્યારે જાણે ચાલીસ મિનિટમાં એક જિંદગી જીવી લીધી હોય એવો અનુભવ થાય છે.

‘આ જા સનમ’ 1956માં બનેલી ફિલ્મ ‘ચોરી ચોરી’નું ગીત. આ ફિલ્મ બન્યાને સાત દાયકા થયા. ‘ચોરી ચોરી’ જેના પરથી બની હતી એ હોલિવૂડ ફિલ્મ ‘ઈટ હેપન્સ વન નાઈટ’ બન્યાને નવ દાયકા થયા. એના પરથી મહેશ ભટ્ટે બનાવેલી ‘દિલ હૈ કિ માનતા નહીં’ને પણ સાડાત્રણ દાયકા વીત્યા. ‘ચોરી ચોરી’ આર.કે. ફિલ્મ્સનું નહીં પણ એ.વી.એમ.નું પ્રોડક્શન હતું. ગીત શૈલેન્દ્ર-હસરત, સંગીત શંકર-જયકિશન. મુકેશ વૉઇસ ઑફ રાજકપૂર કહેવાય છે પણ રાજ કપૂરનાં સૌથી રોમેન્ટિક ગીતો માટે મન્ના ડેએ પ્લેબેક કર્યું છે, જેમનાં ત્રણ આ ફિલ્મમાં છે – ‘આ જા સનમ’, ‘યે રાત ભીગી ભીગી’ અને ‘જહાં મૈં જાતી હૂં વહીં ચાલે આતે હો’. પહેલું ગીત હસરત જયપુરીએ લખ્યું છે, બાકીનાં બંને શૈલેન્દ્રનાં છે. ‘આ જા સનમ’ની શરૂઆત ઇટાલિયન લોકગીત ટારેન્ટેલા નેપોલેટાના પરથી લેવાઈ હતી. 

રાજ કપૂર-નરગિસ એટલે ફિલ્મજગતનું સૌથી ચાર્મિંગ, સૌથી રોમેન્ટિક યુગલ. ‘ચોરી ચોરી’ એ બંનેની છેલ્લી ફિલ્મ હતી. ત્યાર પછીની ‘જાગતે રહો’માં બંને સાથે હતાં, પણ નાયક-નાયિકા તરીકે નહીં. એમાં નરગિસ ફિલ્મના અંતે આવતા ‘જાગો મોહન પ્યારે’ ગીત પૂરતી જ દેખાઈ હતી. એ ગીતના અંતે આખો દિવસ પાણી માટે રખડતા-રઝળતા રાજ કપૂરને પૂજારણ નરગિસ પાણી પીવડાવે છે. સ્નેહ અને કરુણાથી તરસ્યા મુસાફરના ખોબામાં જળ રેડતી એ પૂજારણનું દૃશ્ય ખૂબ સૂચક અને અર્થપૂર્ણ છે – ‘એણે જ મને તૃપ્ત કર્યો’ એનું અને ‘આ અંત છે’ એનું પણ જાણે એ એલાન હતું. 

એક જ દસકામાં સત્તર ફિલ્મોમાં કામ કરનાર રાજ કપૂર-નરગિસનો પડદા પરનો અને પડદા બહારનો રોમાન્સ પણ એક જ દાસકામાં શરૂ થઈને સમેટાઇ ગયો હતો. નરગિસની મા જદ્દનબાઈનું ત્યારે ફિલ્મમેકર તરીકે મોટું નામ. તેને કઇંક પૂછવા ગયેલા 23 વર્ષના રાજ કપૂર માટે 17 વર્ષની નરગિસે બારણું ખોલ્યું ત્યારે જે બન્યું તેને પાછળથી રાજ કપૂરે ‘બૉબી’ ફિલ્મના ઋષિ કપૂર-ડિમ્પલના પ્રથમ મિલન માટે ફિલ્માંકિત કર્યું એ આપણને ખબર છે. રાજ કપૂરની ઓળખ ત્યારે પૃથ્વીરાજ કપૂરના દીકરા તરીકેની જ હતી, જ્યારે નરગિસ તેની માએ અને ત્યાર પછી મહેબૂબખાને બનાવેલી ઘણી ફિલ્મોમાં કામ કરી જાણીતી થઈ ચૂકી હતી. 

ઝડપથી બંનેનો રોમાન્સ શરૂ થઈ ગયો. વર્ષની છ ફિલ્મો કરતી નરગિસે આર.કે. સ્ટુડિયોની વર્ષે-બે વર્ષે બનતી ફિલ્મોમાં એક્સક્લુઝિવલી કામ કરવા માંડ્યું. રાજ કપૂરે તેને સ્ટુડિયોમાં રહેવા આપ્યું હતું અને મહિનાની અમુક રકમ પણ બાંધી આપી હતી; જે નરગિસને મંજૂર હતી, પણ તેના પરિવારને નહીં. નરગિસને તેની પરવા ન હતી. 1951ની ‘આવારા’એ રશિયા અને મિડલ ઇસ્ટના દેશોમાં જબરજસ્ત ચાહના મેળવી હતી. ત્યાંના પ્રવાસ દરમિયાન લોકોએ આ જોડીનું દિલ ખોલીને સ્વાગત કર્યું હતું. ત્યાંના પપેટ શોથી પ્રેરિત થઈને ‘ચોરી ચોરી’નું ‘જહાં ભી જાતી હૂં’ બન્યું હતું. રાજ કપૂરે નરગિસને આર.કે. સ્ટુડિયોનો હિસ્સો બનાવી, પોતાનું હૃદય આપ્યું, પણ જીવનમાં સ્થાન ન આપી શક્યો. ઘાયલ, ભાંગી પડેલી નરગિસને એ સ્થાન, એ સન્માન સુનીલ દત્તે આપ્યું. પણ એ સફર પણ સહેલી ન હતી. ‘મધર ઈન્ડિયા’થી નરગિસે નવી ભવ્ય શરૂઆત કરી, પદ્મશ્રી મેળવ્યું ત્યારે એ સુનીલ દત્ત સાથેના સંબંધો સ્થિર કરવા પર કેન્દ્રિત હતી. પોતાની ડાયરીમાં નરગિસે લખ્યું છે, ‘દત્તસાબ નહીં હોતે તો મૈં મર જાતી.’ દત્તસાબની જિંદગીમાં બની રહેવા માટે નરગિસે ઘણા ભોગ આપ્યા છે, જેનો તેને કદી કોઈ અફસોસ થયો ન હતો. રોમાન્સના, જિંદગીના કેવા અલગ અલગ રંગ હોય છે!

‘ચોરી ચોરી’ ઘર છોડી ભાગેલી શ્રીમંત બદમિજાજ કમ્મો (નરગિસ) અને તેજદિમાગ પત્રકાર(રાજ કપૂર)ની મસ્તીભરી પ્રેમકહાણી છે. કમ્મો ભાગી તો છે મનપસંદ યુવાન (પ્રાણ) સાથે લગ્ન કરવા, જે અય્યાશ હોવાથી તેના પિતાને પસંદ નથી. પિતા એને માટે મોટું ઈનામ જાહેર કરે છે. પત્રકારને ‘સ્ટોરી’ની તલાશ છે. સાથે કરેલી મુસાફરી દરમ્યાન નાનાંમોટાં વિઘ્નોમાંથી પસાર થતાં બંને એકબીજાને ચાહવા લાગે છે. વાર્તા ત્યાર પછી પણ છે, પણ આપણે ગીત તરફ જઈએ. 

‘આ જા સનમ’ ચાંદની રાતે, તારાઓની છાયામાં, ખીલેલાં ફૂલો વચ્ચે ઊઠતી હૃદયની સુગંધના નશાનું મસ્તમીઠું ગીત છે. રાજ કપૂર-નરગિસની કેમેસ્ટ્રીમાં ગમે તેવો ખરાબ મૂડ સરખો કરી દેવાની તાકાત હતી. એક વાર તો એમ થઈ જાય કે વાસ્તવિકતા ગમે તે કહેતી હોય, રોમાન્સ ઈઝ રોમાન્સ. મન બધાની એસીતેસી કરીને પૂછવા લાગે, ‘ઐસેમેં કહીં કયા કોઈ નહીં ભૂલે સે જો હમકો યાદ કરે, એક હલકી સી મુસ્કાન સે જો સપનોં કા જહાં આબાદ કરે …’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 29 મે 2026

Loading

...102030...33343536...405060...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved