Opinion Magazine
Number of visits: 9842257
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એ પુસ્તક જે વાંચીને ડો.આંબેડકર ચોધાર આંસુએ રડ્યા હતા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|5 March 2026

ફ્રાંસના વિખ્યાત નવલકથાકાર, કવિ અને રાજનીતિજ્ઞ વિકટર હ્યૂગો(જન્મ – ૨૬ ફેબ્રુઆરી ૧૮૦૨, અવસાન – ૨૨ મે ૧૮૮૫)ની અજોડ નવલકથા ‘લે મિઝેરાબ્લ’ [Les Miserables] દોઢસો કરતાં વધુ વરસો પહેલાં (૧૮૬૨) પ્રકાશિત થઈ હતી. હ્યૂગોના શબ્દોમાં, “અજ્ઞાન અને દારિદ્રય આ પૃથ્વી ઉપર જ્યાં લગી કાયમ હશે, ત્યાં લગી આ જાતનાં પુસ્તકો હરગિઝ નિરુપયોગી નહીં બને”. બાબાસાહેબ ડો. આંબેડકર જે ત્રણ પુસ્તકો વાંચીને ચોધાર આંસુએ રડેલા તેમાંનું એક ‘લે મિઝેરાબ્લ’ હતું. ફ્રેન્ચ શબ્દ ‘લે મિઝેરાબ્લ’નો અર્થ દુ:ખ, દરિદ્ર, ગરીબ, કંગાળ, ચીંથરેહાલ, પીડિત એવો થાય છે. ૧૯૪૭માં આ નવલકથાનો પ્રથમ ગુજરાતી અનુવાદ પ્રગટ થયો હતો. જે સિલસિલો આજે પણ ચાલુ છે. હ્યૂગોની આ કાલજયી નવલના વિવિધ ગુજરાતી અનુવાદોનાં નામો પણ રસપ્રદ છે: દુખિયારા, ગુનો અને ગરીબાઈ,  ગુનેગાર..! તથા દરિદ્રનારાયણ. 

આ પ્રશિષ્ઠ કૃતિ જીન વાલજીનના પ્રમુખપાત્રના ખભે ઊભી છે. એ ઉપરાંતના ૬૩ જેટલાં પાત્રો, અનેક સ્થળો અને ઉપકથાઓમાં ગૂંથાયેલી આ નવલકથામાં કથારસ બરાબર જળવાય છે. ‘ડી. પરગણાના બિશપ’ના પ્રથમ પ્રકરણથી આરંભાતી અને ‘આટલું બધું અજવાળું શાનું?’ ના એકસો દસમા પ્રકરણે સમાપ્ત થતી નવલમાં બધું મંગળ જ મંગળ નથી. નવલકથાનો આરંભ આશાયેશ જગાડનારો અને અંત સુખમાં પરિણમનારો જરૂર છે, પરંતુ તેની વચ્ચેનાં પ્રકરણોમાં જે અન્યાય, અભાવ, દરિદ્રતા, શોષણ અને દુ:ખનાં વર્ણનો છે તે નવાસવા ઔદ્યોગિકીકરણ તરફ જઈ રહેલા ફ્રાન્સના સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક જીવનનું બિહામણું ચિત્ર રજૂ કરે છે. 

“વૈદના ઘરનું બારણું કદી બંધ ન કરવું જોઈએ; અને પાદરીના ઘરનું બારણું હંમેશ ઉઘાડું રહેવું જોઈએ”, એમ માનતા ડી. પરગણાના બિશપ અને તેમનું ઘર, તેમની સાદાઈ, ધાર્મિકતા, નૈતિકતા અને ઉચ્ચ વિચારોથી કૃતિનો ઉઘાડ થાય છે. ચારેકોરથી હાડેહાડે થતો, હડધૂત મુસાફર જીન વાલજીન ધર્માચાર્યના ઘરના મુખ્ય બારણે જોરથી લાકડી વડે ટકોરો મારે છે. ‘અંદર આવો’ના આત્મીય આવકાર અને ‘ટેબલ ઉપર બીજી તાસક મૂકો’ ના આદેશ સાથે ‘પરોણો’ ઘરમાં પ્રવેશે છે. આ પરોણો પોતાનો પરિચય આપતાં પાદરીસાહેબને સ્પષ્ટ જણાવે છે : ‘મારું નામ જીન વાલજીન છે. લશ્કરી વહાણ ઉપર કેદી, ગુલામ તરીકે ઓગણીસ વર્ષ સજા ભોગવીને હું ચાર દિવસ ઉપર જ છૂટ્યો છું’. 

સાત બાળકોની મા એવાં વિધવા મોટી બહેન અને તેમના કુટુંબનું ગુજરાન ચલાવવાનો ભાર જીન વાલજીન પર ભરયુવાનીમાં આવી પડેલો. કઠિયારાનું કામ કરતા યુવાન વાલજીનના એક પછી એક આકરાં વરસો ‘કામ વિનાના તથા કુટુંબ રોટી વિનાનું’ થઈ જતાં એક દિવસ પાઉરોટી ચોરવાનો પ્રયત્ન કર્યો, નિષ્ફળ નિવડ્યો અને પકડાયો. ભારે કષ્ટદાયી અને લાંબી સજા પામ્યો. અંતે ‘ગુનેગાર’ના પીળા પરવાના સાથે મુક્ત તો થયો પણ સમાજે તેને સ્વીકાર્યો નહીં. 

શારીરિક રીતે મજબૂત અને માનસિક રીતે ચપળ જીન વાલજીન મજૂરીમાં શોષાઈ રહ્યાનું જાણી ચૂક્યો હતો. પણ કંઈ કરી શકતો નથી. બિશપના ઘરેથી કે રસ્તામાં ગારુડી પાસેથી એ ચોરી કરે છે. ફરતો ફરતો નામરૂપ બદલતો બદલતો માલદાર બને છે. ગુનેગારમાંથી કારખાનાનો માલિક જ નહીં નગરનો નગરપતિ પણ બને છે. પ્રેમ મેળવી તો શકતો નથી પણ પોતે માનેલી દીકરીને પ્રેમ આપવામાં, ગરીબ-ગુરબાંને અભાવોમાંથી મુક્ત કરવામાં કોઈ કસર બાકી રાખતો નથી. એક નિર્ધન, અપરાધી જીન વાલજીન એક રાતના થોડા કલાકોના બિશપના સહવાસમાં જીવનમાં મોટું પરિવર્તન આણે છે. પોતાનું શોષણ અને ગરીબી સાવ ભૂલી જાય છે. અને એટલો તો ધર્માચાર્યના પ્રભાવમાં આવી જાય છે કે બિશપના અવસાનના ખબરે શોકનાં કપડાં પહેરેલો જોવા મળે છે. 

આ નવલકથા ભૂખ, અભાવ, દારિદ્રયની કથા છે તેમ તે કર્તવ્ય અને પ્રેમની પણ કથા છે. નવલકથામાં પ્રેમનું પ્રતીક ફેન્ટાઈન અને તેની દીકરી કૉસેટ છે તો કર્તવ્યનું પ્રતીક પોલીસ ઈન્સ્પેકટર જાવર્ટ છે. ફેન્ટાઈન કાચી ઉંમરે પ્રેમ કરી બેસે છે અને એનો બેવફા પ્રેમી એને સગર્ભા બનાવી ભાગી જાય છે. ફેન્ટાઈનના જીવનના એ અંતિમો લેખકની કલમે આમ અવતર્યા છે. જુવાન ફેન્ટાઈનના રૂપ વિશે લેખક અદ્દભુત ઉપમા પ્રયોજે છે : તે સુંદર હતી, તેને માથે સુંદર વાળ હતા અને તેના દાંત ફૂટડા હતા. આમ સોનું અને મોતી એ બે વસ્તુઓ સ્ત્રીધન તરીકે તેની પાસે હતા : સોનું માથા પર હતું અને મોતી મોંમાં .. અને પછી? ફેન્ટાઈન દીકરીને જન્મ તો આપે છે પણ તેને સાથે રાખી શકતી નથી. પૈસાના લોભી, લુચ્ચા અને સ્વાર્થી એવા થેનારડિયરની વીશીમાં એ દીકરીને રાખે છે. થેનારડિયર ફેન્ટાઈનની મજબૂરી જાણીને વધુને વધુ છેતરે છે. પૈસે ટકે સાવ નિર્ધન બની ગયેલી ફેન્ટાઈન પાસે જ્યારે દીકરીને ઠંડીથી બચાવવા ફ્રોક માટે દસ ફ્રાંકની માંગણી આવે છે ત્યારે? ફેન્ટાઈન રાત પડે હજામની દુકાને ગઈ. ત્યાં જઈ તેણે માથાનો ચીપિયો ખેંચી લીધો. એટલે તેના ગૂછળાબંધ વાળ કેડ સુધી છૂટા પથરાઈ ગયા. ‘કેવા સુંદર વાળ!’ હજામ આભો થઈ બોલી ઊઠ્યો! ‘તું  મને આ વાળનું શું આપીશ? ‘ દસ ફ્રાંક’, ‘ચાલ, કાપી લે..” ફેન્ટાઈન વિચારતી હતી કે મારી બચ્ચી હવે જરા ય થથરશે નહીં. કારણ મેં મારા માથાના વાળથી તેને ઢાંકી છે. 

જીન વાલજીન નામપલટો, રૂપપલટો કરીને  લખપતિ અને મેયર બને છે અને શાંતિથી છુપાઈને જીવે છે. પણ પોલીસ ઈન્સ્પેકટર જાવર્ટ એનું નામ-મૂળ-કૂળ શોધી કાઢે છે. જાવર્ટ એક રીતે તો રાજ્ય પ્રત્યેની પોતાની ફરજ અને કર્તવ્ય બજાવે છે તો એ રાજ્યનું વિકૃત રૂપ પણ છે. કેમ કે જીન વાલજીન નામના ગુનેગારને ઝબ્બે કરવાની લાયમાં એ એના ગુનાના સાચા કારણની અને એના ભૂતકાળની પરવા કરતો નથી. અંતે જાવર્ટને જીન વાલજીન બચાવે છે અને તે મંથન કરતો કરતો આત્મહત્યા કરે છે. 

આ નવલકથામાં અપાર દુ:ખ અને દારિદ્રયનું વર્ણન છે પણ એનાં મૂળ કે ઉકેલ વિશેનો લેખકનો દૃષ્ટિકોણ અલગ છે. હ્યૂગોના સમકાલીન કાર્લ માર્ક્સે (૧૮૧૮-૧૮૮૩) શોષિતોના દુ:ખનું મૂળ શોધ્યું છે, પણ હ્યૂગો આ બાબતે સાવ સામા છેડાનું વિચારે છે. હા, નવલકથામાં ફ્રાન્સના ક્રાંતિકારીઓના એ.બી.સી. મિત્ર મંડળ અંગેનું પ્રકરણ-૪૪ જરૂર છે. જેમાં વિવિધ ક્રાંતિકારી લોકોનો સરસ પરિચય લેખક કરાવે છે.

પરંતુ આ નવલકથાનો પ્રધાનસૂર તો “માનવ હ્રદયની મંગલશક્તિ સત્ય ધર્મપાલન” જ છે. એ આજે આટલાં વરસે જરૂર ખટકે છે. આ નવલકથા પ્રગટ થઈ ત્યારે પણ લેખકના આવા અભિગમનો વિરોધ અને વિવાદ થયાં હતાં. આજે જ્યારે રાજ્ય, ધર્મ અને મૂડી વિશે નવેસરથી વિચારવાની જરૂર છે, ત્યારે વિકટર હ્યૂગોની નવલકથાનો આ સૂર વિચારણા માંગી લે છે. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

‘પંચ’ના પાંચ અવતાર 

દીપક મહેતા|Opinion - Literature|4 March 2026

ગ્રંથયાત્રા – 26

નોંધ: આજે ‘ગ્રંથ’ને બદલે ૧૯મી સદીનાં કેટલાંક ‘ચોપાનિયાં’ વિષે થોડી વાત

આ વાત છે, ૧૯મી સદીની એક મુસાફરીની. ના, જી. કોઈ માણસની મુસાફરીની નહિ, પણ એક મેગેઝીન કહેતાં સામયિકની મુસાફરીની. અથવા ૧૯મી સદીમાં મેગેઝીન માટે ગુજરાતીમાં વપરાતો શબ્દ વાપરીને કહીએ તો એક ચોપાનિયાની મુસાફરીની આ વાત છે. માત્ર પચીસ પાઉન્ડની મૂડીથી એ મેગેઝીનની શરૂઆત થઈ હતી. પણ પૂરાં ૧૬૧ વર્ષ સુધી એ પ્રગટ થતું રહ્યું. એટલું જ નહિ, એનું નામ બ્રિટન બહાર, યુરોપ બહાર, આખી દુનિયામાં જાણીતું થયું. દુનિયાના કેટલાયે દેશોમાં, કેટલીયે ભાષાઓમાં એના અનુકરણ રૂપે, અથવા તો આજની રીતે કહીએ તો એમાંથી ‘પ્રેરણા લઈને’ મેગેઝીન શરૂ થયાં. વિક્ટોરિયન યુગના બ્રિટનમાં કઠપૂતળીના ખેલો લોકપ્રિય હતા. એ ખેલોમાંના એક જાણીતા પાત્રના નામ ઉપરથી એ મેગેઝીનનું નામ રખાયું ‘પંચ.’ તો પંચ નામના પીણામાં જેમ જુદાં જુદાં પીણાંનું મિશ્રણ હોય છે તેમ અહીં પણ રાજકારણ, હાસ્ય-કટાક્ષ, અને કાર્ટૂનનું અફલાતૂન મિશ્રણ થતું. થેકરે અને પી.જી. વૂડહાઉસ જેવા વિખ્યાત હાસ્યકારોનાં લખાણો પણ તેમાં પ્રગટ થતાં. પણ બહોળો ફેલાવો મળ્યો તે તો તેમાં છપાતાં કાર્ટૂનને પ્રતાપે. વર્ષો સુધી ‘પંચ’ અને ‘કાર્ટૂન’ એ બે શબ્દો એકબીજાના પર્યાય બનીને રહ્યા. પહેલો અંક ૧૮૪૧ના જુલાઈની ૧૭મી તારીખે પ્રગટ થયો. વખત જતાં ‘પંચ’ બ્રિટનની એક રાષ્ટ્રીય સંસ્થા જેવું બની રહ્યું. 

ઓગણીસમી સદીના હિન્દુસ્તાનમાં ઘણી વસ્તુઓ બ્રિટનની વસ્તુઓના અનુકરણ રૂપે શરૂ થઈ. પહેલું દેશી ‘પંચ’ ૧૮૫૯ના જૂનની ૧૩મી તારીખે શરૂ થયું. દિલ્હીથી પ્રગટ થતા આ મેગેઝીનનું નામ હતું ‘ધ ઇન્ડિયન પંચ.’ એ પ્રગટ થયું અંગ્રેજીમાં. એનું છાપકામ પણ જરા આગવી રીતે થતું. તેમાંનું લખાણ મૂવેબલ ટાઈપ વાપરીને છપાતું, જ્યારે ચિત્રો, કાર્ટૂન શિલાછાપથી છપાતાં. 

સજ્જાદ હુસેન કાકોરવી

ઇન્ડિયન પંચ પછી લખનૌથી ઊર્દૂમાં ‘અવધ પંચ’ શરૂ થયું. ૧૮૫૬માં જન્મેલા મુનશી મહમ્મદ સજ્જાદ હુસેને એ શરૂ કરેલું. તેનો પહેલો અંક ૧૮૭૭ના જાન્યુઆરીની ૧૬મીએ પ્રગટ થયો. ‘શૌક’ અને ‘વઝીરઅલી’ નામના બે ચિત્રકારો તેને માટે કાર્ટૂન તૈયાર કરતા. ‘શૌક’ના ઉપનામથી કાર્ટૂન તૈયાર કરનાર હકીકતમાં ગંગાસહાય નામનો એક હિંદુ ચિત્રકાર હતો. છેક ૧૯૩૬ સુધી તે ચાલુ રહ્યું હતું. ‘અવધપંચ’ના અનુકરણમાં લાહોરથી ‘દિલ્હી પંચ’ અને ‘પંજાબ પંચ’ નામનાં બે મેગેઝીન શરૂ થયાં. 

પારસી પંચ

પછી ‘પંચ’ આવ્યું ઉત્તર હિન્દુસ્તાનથી પશ્ચિમ હિન્દુસ્તાન. અંગ્રેજોનાં ભાષા, શિક્ષણ, રીતરિવાજ, રહેણીકરણી, વગેરે અપનાવવામાં પારસીઓ અગ્રેસર હતા. દાદાભાઈ અરદેશર શોહરી નામના એક પારસી સજ્જને ૧૮૫૪ના જાન્યુઆરીની પહેલી તારીખથી ‘પારસી પંચ’ નામનું અઠવાડિક શરૂ કર્યું. બરજોરજી નવરોજી તેના તંત્રી હતા. પહેલા અંકમાં ‘આ ચોપાનિયું કાઢવાની મતલબ’ નામના તંત્રીલેખમાં જણાવ્યું હતું : “જેઓ પોતાની જાહેર ફરજો બરાબર અદા નાહી કરશે તેઓના શોંગ કાઢી ચીતારેઆમાં આવશે કે તેઓની હશી થાએઆથી બીજાઓ કશુર ભરેલાં તથા નાલાએક કામો કરવાને આચકો ખાએ.” (અવતરણ ચિહ્નો વચ્ચે બધે ભાષા-જોડણી મૂળ પ્રમાણે.) શરૂઆતમાં ડેમી ક્વોર્ટો સાઈઝનાં આઠ પાનાંનો અંક આવતો. વાર્ષિક લવાજમ ૬ રૂપિયા. દરેક કાર્ટૂનની નીચે (અને ઘણાં કાર્ટૂનની અંદર પણ) અંગ્રેજી અને ગુજરાતી, એમ બે ભાષામાં લખાણ મૂકાતું. પણ તેની એક ખાસિયત એ હતી કે એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ કરીને તે લખાણ મૂકાતું નહિ, પણ બંને ભાષાનું લખાણ સ્વતંત્ર રીતે તૈયાર થતું. એકંદરે ગુજરાતી લખાણ વધુ સચોટ લાગે તેવું રહેતું. માત્ર દસ મહિના ચાલ્યા પછી આ અઠવાડિક બંધ પડ્યું. પણ પછી ૧૮૫૭ની શરૂઆતથી નાનાભાઈ પેશતનજી રાણાએ અસલ નામ કાયમ રાખી તે ફરી શરૂ કર્યું. તે વખતે દાદાભાઈ એદલજી પોચખાનાવાલા અને નાનાભાઈ તેના જોડિયા અધિપતિ (તંત્રી) બન્યા. પણ તેમણે પણ માંડ એક વર્ષ સુધી તે ચલાવ્યું. ૧૮૫૮થી યુનિયન પ્રેસના સ્થાપક-માલિક નાનાભાઈ રૂસ્તમજી રાણીના અને તેમના ખાસ મિત્ર અરદેશર ફરામજી મૂસે તે ખરીદી લીધું. પણ એ જ વર્ષના જુલાઈની છઠ્ઠી તારીખે તે બંનેએ એ ચોપાનિયું મનચેરશા બેજનજી મેહરહોમજીના અને ખરશેદજી શોરાબજી ચાનદારૂને વેચી નાખ્યું. અને તેમણે એ જ વર્ષના નવેમ્બરની પહેલી તારીખે પચીસ વર્ષના એક યુવાન, નામે નશરવાનજી દોરાબજી આપઅખત્યારને વેચી દીધું. 

પાંચેક વર્ષના ગાળામાં આટલી ઝડપથી માલિકો બદલાયા તે ઉપરથી એવું અનુમાન થઈ શકે કે ખરીદનારાઓમાંથી કોઈ ‘પારસી પંચ’ને સફળતાપૂર્વક ચલાવી શક્યું નહિ હોય. કારણ કમાઉ ચોપાનિયાને કોઈ વેચે નહિ. પણ આ બધા જે ન કરી શક્યા તે નશરવાનજી દોરાબજી આપઅખત્યાર કરી શક્યા. ૧૮૭૮ના જૂનની ૨૦મી તારીખે ૪૫ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું ત્યાં સુધી તેમણે ‘પારસી પંચ’ સફળતાથી ચલાવ્યું, એટલું જ નહિ તેને એક ગણનાપાત્ર સામયિક બનાવ્યું. આ નશરવાનજીની મૂળ અટક તો હતી ‘દાવર.’ પણ માત્ર ૨૧ વર્ષની ઉંમરે ૧૮૫૪ના સપ્ટેમ્બરની છઠ્ઠી તારીખથી તેમણે ‘આપઅખત્યાર’ નામનું દર બુધવારે પ્રગટ થતું ચોપાનિયું શરૂ કર્યું, અને થોડા વખત પછી તેમણે ‘આપઅખત્યાર’ને પોતાની અટક બનાવી દીધી. તેમણે ૧૮૬૫ સુધી ‘આપઅખત્યાર’ ચલાવ્યું, અને પછી ૧૮૬૬ના પહેલા દિવસથી તેને ‘પારસી પંચ’ સાથે જોડી દીધું. નશરવાનજીના અવસાન પછી ૧૮૮૮માં નામ બદલાઈને ‘હિંદી પંચ’ થયું. નશરવાનજીના અવસાન પછી તેમના દીકરા બરજોરજી આપઅખત્યારે તે હાથમાં લીધુ ત્યારે તેમની ઉંમર પણ ૨૧ વર્ષની હતી. ૧૯૩૧ના ઓગસ્ટની છઠ્ઠી તારીખે ૭૪ વર્ષની ઉંમરે બરજોરજીનું અવસાન થયું ત્યાં સુધી તેઓ ‘હિન્દી પંચ’ના માલિક અને અધિપતિ રહ્યા. બરજોરજી વિષે ‘પારસી પ્રકાશ’ લખે છે: “જાહેર સવાલો ઉપરની એમની રમૂજ, એમનામાં સમાયેલી ઊંચી કુદરતી બક્ષેસ અને ઓરીજીનાલીટીનો ખ્યાલ આપતી હતે.”  શરૂઆતમાં ઘણાં વરસ રૂખ અંગ્રેજ-તરફી વધુ રહી હતી. પણ વખત જતાં તે ‘દેશી’ઓ પ્રત્યે કૂણું વલણ ધરાવતું થયું. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ચલાવેલી રંગભેદ વિરોધી ચળવળને વ્યંગ ચિત્રો દ્વારા તેણે સબળ ટેકો આપેલો. તેમાં દર અઠવાડિયે કોઈને કોઈ રાજકીય નેતાનું કાર્ટૂન પ્રગટ થતું. દાદાભાઈ નવરોજી, મહાદેવ ગોવિન્દ રાનડે, બદરુદ્દીન તૈયબજી, ફિરોજશાહ મહેતા, નારાયણ ગણેશ ચંદાવરકર વગેરે નેતાઓનાં કાર્ટૂન તેમાં પ્રગટ થયેલાં. તેમાંનાં કાર્ટૂનો તરફ બ્રિટન અને યુરોપના લોકોનું પણ ધ્યાન ગયેલું. વિલ્યમ ટી. સ્ટીડે તેમના ‘રિવ્યુ ઓફ રિવ્યૂઝ’ માસિકના અંકોમાં ‘હિંદી પંચ’માંનાં ઘણાં કાર્ટૂન પુનર્મુદ્રિત કરેલાં. બીજી એક નોંધપાત્ર વાત એ છે કે ‘હિંદી પંચ’નો મુખ્ય ચિત્રકાર ગુજરાતીભાષી પારસી કે હિંદુ નહોતો, પણ મરાઠીભાષી હતો. બાજીરાવ રાઘોબા ઝાઝું ભણ્યો નહોતો કે નહોતી તેણે ચિત્રકલાની તાલીમ લીધી. પહેલાં તે હસ્તપ્રતોમાં ચિત્રો દોરતો. પછી કાર્ટૂન દોરતો થયો. અસલ લંડનના પંચના કાર્ટુનિસ્ટ ટેનિયલે તેનાં કાર્ટૂન જોયા પછી કહ્યું હતું કે ‘આ માણસ તો મુંબઈનો ટેનિયલ છે.’ બાજીરાવ પછી તેના જ એક કુટુંબીજન કૃષ્ણાજી બળવંત યાદવ ‘હિન્દી પંચ’માં કાર્ટૂનિસ્ટ તરીકે જોડાયા, અને ૧૯૩૧માં તે બંધ પડ્યું ત્યાં સુધી તેમાં કામ કરતા રહ્યા.

પારસી પંચ(પાછળથી હિન્દી પંચ)માંથી પ્રેરણા લઈને મરાઠીમાં ‘હિંદુ પંચ’ મુંબઈ નજીકના ઠાણેથી શરૂ થયું. ઠાણેથી નીકળતા ‘અરુણોદય’ની હરીફાઈમાં ગોપાલ ગોવિન્દ દાબક નામના પત્રકારે પહેલાં ‘સૂર્યોદય’ નામનું ચોપાનિયું કાઢ્યું. ત્યાર બાદ ૧૮૭૨ના માર્ચની ૨૧મી તારીખે તેમણે ‘હિંદુ પંચ’ શરૂ કર્યું. એ પણ તેમના સૂર્યોદય છાપખાનામાં છપાતું. તેનું વાર્ષિક લવાજમ ત્રણ રૂપિયા દસ આના હતું. લોકહિતવાદી ગોપાળ હરિ દેશમુખ તેમાં નિયમિતપણે લખતા. વામન બાળકૃષ્ણ રાનડે દાબકેના સહાયક હતા. ઘડપણને કારણે દાબકેએ ૧૮૯૨માં ‘હિંદુ પંચ’ ગણેશ કૃષ્ણ શહાણે અને આપાજી ગોપાળ ગુપ્તેને વેચી દીધું અને પોતાના વતન પેણમાં રહેવા ચાલ્યા ગયા. ૧૯૦૪ સુધી શહાણે અને ગુપ્તેએ એ ચલાવ્યા પછી પોતાના હરીફ ‘અરુણોદય’ના માલિક ફડકેને વેચી દીધું. પણ ૧૯૦૯માં ‘હિંદુ પંચ’ અને ફડકે બેવડી મુશ્કેલીમાં સપડાયા. ૧૯૦૮માં લોકમાન્ય ટીળકને છ વર્ષની જેલની સજા થઈ ત્યારે ફડકેએ એ ચુકાદાની અને સરકારની આકરી ટીકા કરી. સાથોસાથ આ સજા માટે ગોપાલ કૃષ્ણ ગોખલે જવાબદાર છે એવો આક્ષેપ પણ છાપ્યો. ગોખલેએ તે અંગે બદનક્ષીનો દાવો માંડ્યો. કોર્ટે ફડકેને પાંચ રૂપિયાનો દંડ કર્યો અને ગોખલેને દાવા અંગે થયેલો ખર્ચ પણ ભરપાઈ કરવા જણાવ્યું. બીજી બાજુ સરકારે હિંદુ પંચનું છાપખાનું જપ્ત કર્યું. ‘અરુણોદય’ સામયિક સામેના બીજા એક ખટલામાં પણ ફડકેને સજા થઈ, અને અરુણોદય તથા હિંદુ પંચ બંધ થયાં. ફડકેની આવી માઠી દશા જોઈ ગોખલેને પારાવાર દુઃખ થયું અને ફડકેને બોલાવી તેમને આર્થિક મદદ કરી! એટલું જ નહિ, ૧૯૧૫માં ગોખલેનું મૃત્યુ થયું ત્યાં સુધી તેઓ ફડકેને અવારનવાર મદદ કરતા રહ્યા. 

લંડનનું ‘પંચ’ ૧૫૦ વર્ષ સુધી પ્રગટ થયા પછી સતત ઘટતા જતા વેચાણને કારણે ૧૯૯૨માં છપાતું બંધ થયું. ૧૯૯૬માં તેને ફરી બેઠું કરવાનો પ્રયત્ન થયો પણ તેને ઝાઝી સફળતા મળી નહિ. પછી તેનો ડિજિટલ અવતાર શરૂ થયો, પણ અગાઉ જેવી જાહોજલાલી તેને જોવા મળી નથી. પણ હજી આજે ય અંગ્રેજીભાષીઓ અસલ ‘પંચ’ને ભૂલ્યા નથી. આપણે ‘પારસી પંચ’ અને ‘હિન્દી પંચ’ જેવા તેના અવતારોને સદંતર ભૂલી ગયા છીએ.

XXX XXX XXX

04 માર્ચ 2026
e.mail : deepakbmehta@gmail.com

Loading

ગોધરાકાંડના 25મે વર્ષે પણ પ્રજાકીય પુખ્તતાની ખોજ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|4 March 2026

ગોધરાકાંડના ૨૫ વર્ષ પછી પણ સવાલ એ જ છે કે, શું એક પ્રજા તરીકે આપણે હિંસાના પસ્તાવામાંથી કંઈ શીખ્યા છીએ કે પછી હજી પુખ્ત થવાનું બાકી છે?

પ્રકાશ ન. શાહ

મતાધિકારમાં તો આપણે એકવીસમેથી અઢારમે આવી ગયા, પણ પ્રજાકીય પુખ્તતા પચીસમે વરસે પહોંચતાયે લાભીશું કે કેમઃ ગોધરા-અનુગોધરા વિષાદે ભર્યા અધ્યાયને ફેબ્રુઆરી ઊતરતે ચોવીસ વરસ થયાં, અને હવે તો પચીસમું બેઠું.

પુખ્તતતાની આ જે ખોજમથામણ, એમાં હું જે છેડેથી પ્રવેશવા ઇચ્છું છું તે કંવરપાલ સિંઘ ગિલ કહેતા કે.પી.એસ. ગિલનો છે. વડા પ્રધાન વાજપેયી ગુજરાતનો આંટો મારી ગયા અને રાજધર્મના પાલનનું પ્રબોધન તો કરી ગયા પણ એમને વાસ્તવમાં કરાર વળ્યો નહોતો. તે અરસામાં, લઘુમતી પંચ સાથે સંકળાયેલા તરલોચન સિંઘે એમને સૂચવ્યું કે પંજાબમાં સફળતા મેળવનાર કે.પી.એસ.ને ગુજરાત મોકલો. 2002ના મે માસના પહેલા અઠવાડિયામાં એ આવ્યા અને, તરલોચન સિંઘના શબ્દોમાં, એમની ખ્યાતિથી પરિચિત પોલીસને થયું કે હવે પોલીસપણામાં આવવું પડશે તેમ જ લઘુમતીને પણ ભરોસો બેઠો.

ગિલે ગુજરાતમાં વિશેષ અખત્યાર સંભાળ્યો ને શરૂ શરૂના દિવસોમાં જ એ બોલ્યા વિના રહી શક્યા નહીં કે હું અહીં ક્યાંયે કલિંગબોધ જોતો નથી. કલિંગની ફતેહ પછી આ આખી પ્રક્રિયામાં વહેલાં લોહી અને વેરાયેલ વિનાશે સમ્રાટ અશોકને પુનર્વિચારની પ્રેરણા આપી હતી. એમનો પંથ આખો પલટાઈ ગયો હતો. ગુજરાત પહેલાં મેં પંજાબ સહિત જ્યાં જ્યાં હિંસાનિવારક ફાયરફાઈટરનું કામ કર્યું છે ત્યાં ત્યાં પ્રજાકીય ને શાસકીય સ્તરે દસવીસ દિવસમાં તો થતાં શું થઈ ગયું કે કરતાં શું કરી નાખ્યું એ વિશે પુનર્વિચારનો ધક્કો અનુભવ્યો છે. પણ અહીં એક મહિના પર બીજો મહિનો એમ સમયગાળો વહી રહ્યો છે … અને હજુ પેલો કલિંગ સ્પર્શ, એ તો વેગળો ને વેગળો છે.

ગિલ સાથે એમની ગુજરાતની કામગીરી દરમ્યાન મળવાનુંયે થયું હતું, પણ એની વાત ઘડીક રહીને. અહીં માત્ર ગુજરાતે તે પહેલાં જે મોટું કોમી રમખાણ જોયું, 1969ના ગાંધી શતાબ્દી વર્ષમાં, એને સંભારું તો એમાંયે સરકાર ઊણી ઊતરી હશે પણ હિંસા સાથે શાસક વર્ગમાં મેળાપીપણું નહોતું. હા, હિતેન્દ્ર દેસાઈનો ગ્રાફ ઊંચે જઈ રહ્યો હતો એને જફા જરૂર પહોંચી. બાકી, જે.પી. આંદોલન દરમ્યાન રામનાથ ગોયન્કા સાથે અનૌપચારિક વાતોનો નાતો બંધાયો ત્યારે એમની પાસે સાંભળ્યું છે કે હિતેન્દ્રભાઈ રાષ્ટ્રીય રાજનીતિમાં કદાચ મોરારજીભાઈ કરતાંયે આગળ નીકળી જશે એવું મને લાગ્યું ને મેં એક્સપ્રેસની અમદાવાદ આવૃત્તિનો વિચાર પાકો કર્યો હતો.

ખેર, વાત વધુ અવાન્તરે ચાલે તે પહેલાં અટકું પણ જેમ ગિલનું તેમ રિબેરોનુંયે સ્મરણ કરી લઉં. 1985માં માધવસિંહ સોલંકીની સરકાર હતી અને અનામત વિરોધી ઉત્પાતે કોમી વળાંક લીધો હતો. તોફાનો શમવાનું નામ લેતાં નહોતાં અને પંજાબમાં શાંતિ સ્થાપનની યશસ્વી ભૂમિકા ભજવી જાણનાર, મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર રિબેરોની સેવાઓ લેવામાં આવી હતી. માધવસિંહ સોલંકી પછી મુખ્ય મંત્રી પદ સંભાળનાર અમરસિંહ ચૌધરીના શબ્દોમાં ‘રિબેરો સફળ થયા, કેમ કે તે કોઈને બદ્યા બદે નહીં એવી આઝાદ સમજના માલિક હતા. કોઈની શેહમાં આવે તે રિબેરો નહીં.’ 

જો કે, રિબેરો સાથે નાગરિક સંગઠનના સાથીઓ જોડે વાત કરવાનું થયું ત્યારે એમનો ઉત્તર સરળ હતોઃ ‘મને વાસુદેવ મહેતાએ ઈન્ટરવ્યૂમાં પૂછ્યું કે તમે એવું શું કર્યું કે તોફાનો જાણે ચાંપ દાબી ને બંધ થઈ ગયાં. મેં કહ્યું કે પોલીસ ખાતામાં આને સારુ સીધીસાદી એસ.ઓ.પી. (સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર) છે.’ દરેક થાણા પાસે વાંધાજનક તત્ત્વોની યાદી હોય જ. એમને તત્કાળ રાઉન્ડ અપ કરી લો કે મામલો ખતમ.

જ્યારે ગોધરા ટ્રેનની નિર્ઘૃણ ઘટના બની ત્યારે જિલ્લા કલેક્ટર જયંતી રવિ હતાં. સાંભળ્યું છે કે એમણે તરત મુંબઈબેઠા રિબેરોનો સંપર્ક સાધી માર્ગદર્શન માગ્યું હતું. આ વાત જો ખરી હોય તો રિબેરોએ એમને બીજું શું કહ્યું હશે, સિવાય કે એસ.ઓ.પી. બને કે ગોધરા શહેર વિશેષ વકર્યું વણસ્યું નહીં એમાં આ જ બીજમંત્ર કામ કરી ગયો હશે. ગમે તેમ પણ, સ્થાનિક શાંતિ જાળવી રાખવા સબબ કલેક્ટરે જે ‘રાઉન્ડ અપ’થી જે સફળતા મેળવી હશે તે પછી ભા.જ.પ. સાંસદના દબાણ હેઠળ એમની બદલી કરવામાં આવી હતી એ ચોપડે ચઢેલી બીના છે.

1969-1981-1985-2002ના ફલક પર જોઉં છું ત્યારે 1985માં તત્કાલીન રાજ્યપાલ બી.કે. નેહરુને ઉમાશંકર જોશીના નેતૃત્વમાં બિનપક્ષીય નાગરિક મંડળ તરીકે મળવાનું થયું હતું તે સાંભરે છે. તોફાનો શમતાં નહોતાં અને શહેર લશ્કરને સોંપવાની અમારી વાત, સામાન્યપણે લોકશાહી ધોરણે અણગમતી પણ અનિવાર્ય વાત હતી. કવિએ તત્કાલીન રાજકીય-શાળાકીય નેતૃત્વ વિશે વાત કરતાં રમણભાઈ નીલકંઠને ટાંક્યા હતાઃ 

‘દુર્વૃત્તિઓ જે જગવે જનોની

એ ખેલ માંડે ભયથી ભરેલો

ભર્યાં તળાવો તણી પાળ તોડી

રોકી શક્યાં છે જળધોધ કોણ?’

વળી ગિલને સંભારું. ગુજરાતની કામગીરી પાર પાડી એ પાછા ફરી રહ્યા હતા ત્યારે પણ એમણે અમારી વિદાયમુલાકાતમાં કહ્યું હતું, હું હજી કલિંગબોધ જોતો નથી.

અગિયાર વરસ પછી 2013માં દિલ્હીમાં એમનું જીવનચરિત્ર બહાર પડ્યું – ‘કે.પી.એસ. ગિલ ધ પેરેમાઉન્ટ કોપ’, ત્યારે જો કે 2002ને એમણે બહુધા ‘પોલીસ ફેઈલ્યોર’માં ખતવી કાઢ્યું હતું. પોલીસ ફેઈલ્યોર એ અલબત્ત હતી જ. પણ 1969 અને 2002માં રાજકીય-શાસકીય નેતૃત્વનો જે ભૂમિકાફેર હતો, એનું શું. આ લખું છું ત્યારે ઉમાશંકરને સાંભળું છું : ‘દુર્વૃત્તિઓ જે જગવે જનોની …’

આટલું પચીસમા ઉંબરપ્રવેશે, પુખ્તતાની ખોજમથામણાં. 

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”;  04 માર્ચ 2026

Loading

...102030...34353637...405060...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved