Opinion Magazine
Number of visits: 10080366
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાષ્ટ્રપતિ પદની ઓફર એમણે કલાને ખાતર નકારી હતી ….

ચંદુ મહેરિયા|Opinion - Opinion|18 June 2026

ચંદુ મહેરિયા

સાહિત્ય, સંગીત, નૃત્ય અને કલા બાબતમાં અરસિક ગણાય એવા મોરારજી દેસાઈએ એમના પ્રધાનમંત્રીત્વકાળ(૧૯૭૭-૧૯૭૯)માં એક નૃત્યાંગનાને રાષ્ટ્રપતિ પદની ઓફર કરી હતી! જોકે  તેમણે તે કલાને ખાતર સાદર નકારી હતી! આ કોઈ સામાન્ય નૃત્યાંગના નહોતાં. ભરતનાટ્યમ્‌નાં પ્રતિષ્ઠાપક કલાધરિત્રી અને દક્ષિણ ભારતના શાંતિનિકેતન તરીકે ખ્યાત ટોચની કલા સંસ્થા ‘કલાક્ષેત્ર’નાં અધિષ્ઠાત્રી રુક્મિણી દેવી અરુન્ડેલ હતાં. ૧૯૭૭માં તત્કાલીન વડા પ્રધાન મોરારજીભાઈએ તેમને રાષ્ટ્રપતિ પદની ઓફર કરી હતી, પરંતુ રાજકારણીઓ સાથે કલાનો મેળ શક્ય ન હોવાની ભાવનાને કારણે અને રાજકારણી માહોલને વશ વર્તવાની અનિચ્છાને લીધે તેમણે ઓફર નકારી હતી. જો એ શક્ય બન્યું હોત, તો તેઓ કદાચ દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બની શક્યાં હોત. 

રુક્મિણી દેવી અરુન્ડેલનો જન્મ ૨૯મી ફેબ્રુઆરી ૧૯૦૪ના રોજ તમિલનાડુના મદુરાઈમાં થયો હતો. પિતા નીલકંઠ શાસ્ત્રી વ્યવસાયે ઈજનેર હતા અને સંગીતના શોખીન હતા. પુત્રીને પણ પિતાનો સંગીત શોખ બચપણથી જ સ્પર્શી ગયો. રુક્મિણી દેવીનું શાળા શિક્ષણ અલ્પ સમયનું હતું. પરંતુ આંતરિક શક્તિઓ એટલી તેજ હતી કે કલાક્ષેત્રે મહત્ત્વનું યોગદાન કરી શક્યાં. સંસ્કૃતના વિદ્વાન પિતા, થિયોસોફિકલ સોસાયટીની પ્રવૃતિઓમાં સક્રિય હતા. તેમનું કુટુંબ અડ્યારમાં રહેતું હતું તે દરમિયાન થિયોસોફિકલ સોસાયટીના પ્રમુખ એની બેસન્ટ પાસે આવેલા ઓસ્ટ્રેલિયાના કેળવણીકાર ડો.જ્યોર્જ અરુન્ડેલ સાથે, સોળ વરસના રુક્મિણીનો પરિચય થયો. પરિચય પાંગરી, પ્રેમમાં અને લગ્નમાં પરિણમ્યો. રુઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારની દીકરી મોટી ઉંમરના વિધર્મી, વિદેશી યુવક સાથે લગ્ન કરે તે સમાજને સ્વીકાર્ય નહોતું. વિરોધને કારણે તેઓને ઘર છોડી મુંબઈ જતાં રહેવું પડ્યું હતું.

રુક્મિણી દેવી અરુન્ડેલ

લગ્ન પછી રુક્મિણી દેવીએ થિયોસોફિકલ ફિલસૂફી સમજવા અને પચાવવા માંડી. આ હેતુસર પતિ જ્યોર્જ સાથે યુરોપનો પ્રવાસ કર્યો. આ પ્રવાસ દરમિયાન સોવિયેત નર્તકી આના પાવલોવ સાથે ભેટો થયો હતો. એમની સહાયથી કુલિયો નૉર્ડી પાસેથી એમણે પશ્ચિમી નૃત્યો શીખવાનો આરંભ કર્યો. વિદેશી નહીં ભારતીય નૃત્યોમાં પારંગત થવાની આના પાવલોવાની સલાહ પછી રુક્મિણી દેવીએ ભારતીય નૃત્યો તરફ લક્ષ આપ્યું. જ્યારે તેઓ ભારતીય નૃત્યની તાલીમ લેતાં હતા ત્યારે તે દાસી આટ્ટમ કે સદીરનાચ તરીકે ઓળખાતું હતું. આ નૃત્ય મોટે ભાગે મંદિરોમાં દલિત દેવદાસીઓ કરતી હતી. 

લોકસભામાં મુથુલક્ષ્મી રેડ્ડીએ દેવદાસી પ્રથા અને તેમના મંદિરોમાં નૃત્યો પર પ્રતિબંધ મૂકતો ખરડો રજૂ કર્યો ત્યારે તેને ધીકતી વકીલાત છોડી ઈ. કૃષ્ણાઆયરે ટેકો આપ્યો. કલાનિધિ નારાયણ નામના બ્રાહ્મણ મહિલાએ ભરતનાટ્યમ્‌નો જાહેર પ્રયોગ કર્યો. બરાબર આ જ સમયે રુક્મિણી દેવી  નૃત્યની તાલીમ લેતાં હતાં. ચિદમ્બરમ મંદિરમાં એમનું આરંગેત્રમ યોજાયું હતુ. પતિના સાથ અને પ્રોત્સાહન થકી ૨૮ વરસની મોટી વયે નૃત્ય સાધના આરંભ્યા છતાં તેઓ તેને આત્મસાત કરી શક્યાં હતાં. ૧૯૩૫માં થિયોસોફિકલ સોસાયટીના હીરક મહોત્સવમાં દેવદાસીઓના નાચ તરીકે ઓળખાતું ભરતનાટ્યમ્‌ તેમણે રજૂ કર્યું હતું. એ રીતે તેનું પ્રતિષ્ઠાપન કર્યું. ૧૯૩૬માં રુક્મિણી દેવી અરુન્ડેલે અડ્યાર એકેડેમી ઓફ આર્ટ્સની સ્થાપન કરી હતી. જે કલાક્ષેત્ર તરીકે નામના પામી હતી. 

માત્ર ભરતનાટ્યમ્‌ના ઉધ્ધારક તરીકે જ એમણે કામ કર્યું નથી. પરંતુ જીવનનાં ઘણાં ક્ષેત્રોમાં એમનું પ્રદાન છે. ૧૯૩૮માં અરુન્ડેલ દંપતિએ મેડમ મોન્ટેસરીની મુલાકાત લીધી હતી અને તેમને ભારતમાં નોતરી બાળશિક્ષણના ક્ષેત્રે નવી ભોં ભાંગવાનું તાક્યું હતું. ૧૯૩૯માં તેમણે મદ્રાસ( આજના ચેન્નઈ)માં બાળકોની મોન્ટેસરી શાળા સ્થાપી હતી. ૧૯૪૫માં એમના પતિના અવસાન પછી એમણે ‘કલાક્ષેત્ર’ના વિકાસને પ્રાધાન્ય આપ્યું હતું. નિ:સંતાન રુક્મિણી દેવી માટે ‘કલાક્ષેત્ર’ જ એમનું સાચું સંતાન બની રહ્યું.

૧૯૫૨થી સતત બે ટર્મ તેઓ રાજ્યસભાના રાષ્ટ્રપતિ નિયુક્ત કદાચ પ્રથમ મહિલા સભ્ય હતાં. એ સમય દરમિયાન તેમણે પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતાનો નિષેધ કરતો કાયદો પસાર કરાવ્યો હતો. પ્રાણીઓ પ્રત્યેની કરુણા અને શાકાહારવાદની ઝુંબેશના એ અગ્રણી હતાં. પ્રાણીઓ પરના પ્રયોગો થકી બનાવાતી એલોપથિક દવાઓ અને એમની કતલથી બનાવાતાં સૌંદર્ય પ્રસાધનો – સાધનો, ફેશનેબલ વસ્ત્રો અને સાપ જેવાં પ્રાણીઓની ચામડીથી બનાવાતી ચીજવસ્તુઓનો તે કદી ઉપયોગ કરતાં નહીં. તેઓ બ્યુટી વિધાઉટી ક્રુઅલ્ટી સંસ્થાના પણ હોદ્દેદાર હતાં. એ નાતે તેમણે વિચારો અને આચરણમાં સમાનતા રાખી હતી. ૧૯૬૨માં સ્થપાયેલા એનિમલ વેલ્ફેર બોર્ડના તેઓ સ્થાપક અધ્યક્ષ હતાં. રાજ્યસભાના નોમિનેટેડ  સભ્ય તરીકેની તેમની મહત્ત્વની કામગીરીમાં તમામ ભારતીયોને મળેલા સમાન મતાધિકારનો વિરોધ અને શિક્ષણના સવાલોને રાજકીય પક્ષોના નીચા અગ્રતાક્રમનો વિરોધ પણ હતાં. 

૧૯૫૬માં રુક્મિણી દેવી અરુન્ડેલને પદ્મ ભૂષણનું નાગરિક સન્માન મળ્યું હતું. ૧૯૫૭માં તેમને સંગીતનાટ્ય અકાદમી એવોર્ડથી નવાજવામાં આવ્યાં હતાં. મૂંગા પ્રાણીઓની કતલને રોકવાના પ્રયાસો માટે બ્રિટનની સંસ્થાનો ક્વીન વિકટોરિયા એવોર્ડ તેમને ૧૯૫૮માં મળ્યો હતો. વિશ્વભારતી યુનિવર્સિટીએ એમને દેશકોત્તમની અને અમેરિકાની રવીન્દ્ર ભારતી યુનિવર્સિટીએ એમને ડોકટરેટની માનદ્દ પદવી એનાયત કરી હતી. બનારસ હિન્દુ યુનિવર્સિટીએ ૧૯૮૨માં તેમને ડોકટરેટથી સન્માન્યાં હતાં. ૧૯૮૪માં મધ્ય પ્રદેશ સરકારે તેમને કાલિદાસ પુરસ્કાર એનાયત કર્યો હતો. દેશની ટોચની નૃત્ય પ્રતિભાઓ મૃણાલિની સારાભાઈ, શુભ લક્ષ્મીખાન, યામિની કૃષ્ણમૂર્તિ અને ઉમારાવના તેઓ ગુરુ હતાં. 

૨૪મી ફેબ્રુઆરી ૧૯૮૬ના રોજ ચેન્નઈમાં તેમનું નિધન થયું હતું. ભરત નાટ્યમ્‌ને પુન: પ્રતિષ્ઠ કરનાર રુક્મિણી દેવી અરુન્ડેલનાં કાર્યની ભરતનાટ્યમ્‌ની વર્તમાન સ્થિતિ સાથે તુલના કરતાં ચિંતા ઉપજે છે. એક કાળે દેવદાસીઓના નૃત્ય તરીકે ઉપેક્ષિત અને અપ્રતિષ્ઠિત લેખાતું ભારતીય નૃત્ય આજે ઊંચા ઘરાણાની સ્ત્રીઓના શોખની ચીજ બની ગયું છે. જાહેરમંચનું નૃત્ય દીવાનખાનામાં કેદ થઈ ગયું છે. લગ્ન પસંદગીનું અનિવાર્ય અંગ બની ગયું છે. ખોટા દેખાવ અને ગ્લેમરનો ભોગ બની ગયું છે. રુક્મિણી દેવીના જીવતા જીવ જ નૃત્યની આ દશા હતી. 

દેવદાસીઓનું ગણાતું નૃત્ય આજે શ્રીમંત પરિવારોનું મનોરંજનનું સાધન બની રહ્યું છે. ત્યારે પુન:પ્રતિષ્ઠ થયેલ ભરતનાટ્યમ્‌ની, રુક્મિણી દેવીએ ચાહેલી પેલી પ્રતિષ્ઠા સાથેની એની શુદ્ધિ જરૂરી છે. અમીરો અને કથિત ઉચ્ચવર્ણના કેદખાનામાંથી એ બહાર નીકળી જાહેર મંચ પર આવે અને આમ મહિલાઓનું નૃત્ય બની રહે એ જ રુક્મિણી દેવી અરુન્ડેલના જીવનકાર્યોનું સાચું તર્પણ હશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

દરિયો

પરેશ દવે 'નિર્મન'|Poetry|18 June 2026

કાંઠે, કાંઠો ચકાસ્યો ને દરિયો ઓસરી ગયો,
રેતી જેવું ઉદાસ્યો ને દરિયો ઓસરી ગયો.

જળની ઝાંપલી ખોલી જે રમણે ચઢ્યો હતો,
અંગાંગે એય દાઝ્યો ને દરિયો ઓસરી ગયો.

વ્હાણ સાથે વહી ગયો લહેરાતી ધ્વજા લઈ,
કાંઠો કાંઠે ડૂબાડ્યો ને દરિયો ઓસરી ગયો.

ખળખળ થઈ વાગ્યો જળની ઝાંઝરી થઈ,
તોય પાછો પિપાસ્યો ને દરિયો ઓસરી ગયો.

તા.17.6.26.
વૃન્દાવન બંગલોઝ, 15) શિવ બંગલો, બળિયાદેવ મંદિર નજીક, ગાના-કરમસદ રોડ, મુ. કરમસદ. તા.જિ. આણંદ.
ઈ-મેલ: 1959pareshdave@gmail.com

Loading

પક્ષપલટાના આટાપાટા વચ્ચે હવા કદાચ બદલાઈ રહી છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|18 June 2026

વિશ્લેષણ – 

શું સત્તામાનસ પાસે પ્રતિસાદની આશા રાખી શકાય?

કટોકટી રાજની પચાસીનાં સત્તાવાર ઉજવણાં વચ્ચે ફરી એક–વાર સત્તા  વિ. જનતાની લોકશાહી મથામણ અંગડાઈ લઈ રહી છે … પક્ષવિપક્ષ જો કે બદલાઈ ગયા છે!

પ્રકાશ ન. શાહ

મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ પક્ષપલટાના રસમી રાજકારણ ને સત્તાકારણના કથિત ચાણક્યપર્વમાંથી પસાર થઈ રહ્યા છે અને વોટચોરી હવે મધ્ય પ્રદેશમાં જોવા મળ્યું તેમ બેઠકચોરી રૂપે મત્ત મહાલી રહી છે ત્યારે ઓલવાતી વરતાતી આશા કરતાં એક જુદું જ ચિત્ર નેતા પ્રતિપક્ષની કોટા મુલાકાત સાથે ઊભરી રહ્યું છે. તુફાન અને દિયાની કલાસિક લડાઈ વચ્ચે કોક્રોચ ઉન્મેષે જગવેલ અપેક્ષા હવે ‘છાત્રોં કી ગુંજ’ની ઝંઝાવાતી પહેલ સાથે ન્યારું ચિત્ર ઉપસાવી રહી છે. 

મુદ્દો એ છે કે મોદી ભા.જ.પ.ના દશક બાદ મે-જૂન 2024ના ચૂંટણી પરિણામ સાથે વૈકલ્પિક રાજકારણના પ્રતીતિકર ઉદયની એક શક્યતા ખસૂસ સામે આવી હતી. લોકસભાની એ ચૂંટણીનું પરિણામ, ભારત જોડો યાત્રા થકી કથિત પપ્પુની એક નોંધપાત્ર નેતૃપ્રતિમાના ઉદય રૂપે દેશજનતા સમક્ષ આવ્યું હતું. 

તે પછી રાજ્ય વિધાનસભાઓની ચૂંટીણીમાં ક્યાંક એ નવચૈતન્ય ઝિલાયું, ક્યાંક ન ઝિલાયું – પણ એ આતશ અણબૂઝ્યો છે તે કોક્રોચ ઘટના વાટે (એની સંમિશ્ર છાપ તેમ જ અંદેશા અને આશંકા છતાં) ચક્ષુપ્રત્યક્ષ વરતાઈ રહ્યું છે. નેતા પ્રતિપક્ષના કોટા કાર્યક્રમ સાથે, દેશનાં છાત્રયુવા વર્તુળો નવેસર ઉદ્યુક્ત ને ગઠિત થવાની – જરઠ સત્તા સામે લોકઅવાજની એક નવી હવાની આશાઅપેક્ષા જ માત્ર નહીં પરંતુ આકાંક્ષા પણ જગવે છે. 

ઉચ્ચાકાંક્ષા અને મહત્ત્વાકાંક્ષા વચ્ચે મેળ બેસવો બેસાડવો અલબત્ત અઘરી વાત છે. મધ્ય પ્રદેશની વિધાનસભામાંથી કાઁગ્રેસનાં મીનાક્ષી નટરાજન્‌ જેવા સોટચના પ્રતિનિધિ રાજ્યસભાએ પહોંચતાં પહોંચતાં રહી ગયાં એમાં કેન્દ્રીય સત્તાના છેડેથી ખેંચાતી દોરનો હિસ્સો ચોખ્ખો હતો તે હતો. આ મુદ્દો એકે પક્ષે સહેલાઈથી છોડ્યો છોડાય એમ નથી. કારણ, મીનાક્ષી નટરાજન્‌ જેવી શખ્સિયત પર પસંદગી ઢોળી શકતા પક્ષે પોતાના ધારાસભ્યોને અન્ય રાજ્યમાં પનાહ અપાવી સાચવવા પડે તે કોઈ સ્વાસ્થ્યની નિશાની નથી. કેન્દ્રના સત્તાપક્ષની ચાંચિયાગીરી જો સત્ય છે તો વિપક્ષે વેચાઉ માલની વાસ્તવિકતા પણ એક સત્ય છે. આ વાત કદાચ વધુ સચોટપણે અને વરવીને પણ વટી જતી વરવી રીતભાતે પશ્ચિમ બંગાળના તૃણમૂલ જમાવડાની ઘોર આઘાપાછી અને ઢોરબજારીથીયે જણાઈ રહે છે. 

રાજ્યે રાજ્યે આવાં સામસામાં ઉદાહરણો ઓછેવત્તે અંશે જરૂર આપી શકીએ. પણ આ બધાની વચ્ચે આશાની અંગડાઈ જગવતું કાલુંઘેલું કાચુંપાકું પણ જે વાનું છે તે છાત્રયુવા પ્રજાવર્ગમાં ઠેકઠેકાણે વરતાતા આંદોલનના ઉભારનું છે. શાહીન બાગ ઉદ્યુક્તિ, કિસાન જમાવટ, મહિલા પહેલવાનોની લડાયક રૂખ, આ બધું ઘોળીને પી જનારા સત્તામાનસ પાસે આંદોલનના લોકશાહી પ્રતિસાદની આશા મિથ્યા છે એમ અલબત્ત કોઈ પણ કહી શકે. ગુજરાતે છેલ્લા દસકા પૂર્વે કનુભાઈ કલસરિયાના નેતૃત્વ તળે અભૂતપૂર્વ મહુવા આંદોલન જોયું છે તો પોતાના જ પક્ષના ધારાસભ્યની આ પ્રજાસૂય પહેલ સામે નામકર જતું સત્તામાનસ પણ જોયું છે, એ દાખલો કોઈ પણ આપી શકે. ઊના ઘટનામાં અસાધારણ ઉદ્યુક્તિ પછી અને છતાં ધાર્યું પરિણામ ન મળ્યાની લાગણી પણ પોતાને ઠેકાણે ઠીક જ છે. પણ કેન્દ્રમાં સત્તાપકડના એક દસકા પછી વિપક્ષની વિધિવત ગણના શક્ય બની તેમાં આ બધાં આંદોલનોનો પ્રત્યક્ષપરોક્ષ ફાળો નહોતો ને નથી એવું તો આપણે કહી શકતા નથી. 

2026ના જૂનમાં, જૂન 1975 – માર્ચ 1977ના કટોકટીરાજની પચાસીના ગાળામાં આ લખી રહ્યો છું, એ જોગાનુજોગ પણ મજાનો છે. અલબત્ત, એ ગાળો કરતાં કાઁગ્રેસ અને જનસંઘ / ભા.જ.પ., બેઉની ભૂમિકા આભાદ બદલાઈ ગયેલી છે. પણ કટોકટી સાથે જે આંદોલન મૃત:પ્રાય લખાતું હતું તે માર્ચ 1977ની ચૂંટણી વખતે ઉત્સ્ફૂર્તપણે આળસ મરડી મતદાન વાટે પ્રગટ થયું હતું. કાઁગ્રેસને નિશાન બનાવી ભા.જ.પ. જે પચાસી ઉજવવા ચાહે છે, તેમાં નિશાન બદલાઈ પણ જાય, એની ખબર બે બાજુના અદકપાંસળા મહેરબાનોને જો કે નયે હોય !

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 17 ઍપ્રિલ 2026

Loading

...102030...34353637...405060...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved