Opinion Magazine
Number of visits: 9657491
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|8 February 2026

ગાઝિયાબાદની ત્રણ બહેનોની સામૂહિક આત્મહત્યા એ માત્ર એક હૃદયદ્રાવક સમાચાર નથી, પણ એક ચેતવણી છે. આ ઘટના ગેમિંગ એડિક્શન કિશોરોના મગજને કેવી રીતે ‘રિવાયર‘ કરે છે તેનો જીવતો જાગતો પુરાવો છે. ભારત જ નહીં, પણ આખું વિશ્વ અત્યારે એક એવી ડિજિટલ કટોકટી તરફ વધી રહ્યું છે, જ્યાં આભાસી દુનિયા વાસ્તવિકતા પર હાવી થઈ રહી છે.

ચિરંતના ભટ્ટ

04 ફેબ્રુઆરી, 2026ના રોજ ગાઝિયાબાદના ભારત સિટીના નવમા માળના એક એપાર્ટમેન્ટમાં જે મૌન હતું, તે શાંતિનું નહીં પણ એક ગૂંગળામણનું મૌન હતું. ત્રણ ટીનએજર બહેનોએ બાલ્કનીમાંથી કૂદીને પોતાનો જીવ આપી દીધો. 

તેમની સુસાઇડ નોટમાં કોરિયન સંસ્કૃતિ માટેનો પ્રેમ, ગેમ્સ માટેનું વળગણ અને પોતાની એકલતાની વાતો હતી. પડોશીઓની નજરે તેઓ એકદમ શાંત છોકરીઓ હતી, જે બધું જ સાથે કરતી. પરિવાર માટે તેઓ એવી વ્હાલી દીકરીઓ હતી જે ક્યારેક ભણવામાં આળસ કરતી, પણ તેમનો અંદરોઅંદરનો સંપ જોઈને પિતાને આશા હતી કે તે સમય જતાં બધું થાળે પડશે.

પરંતુ આ છોકરીઓ તેમના અંગત ડિજિટલ જીવનમાં કંઈક અલગ જ હતી. તેઓ પોતાની જાતને ભારતીય વિદ્યાર્થિનીઓ કે કોઈ સામાન્ય પરિવારની દીકરીઓ નહીં, પણ “કોરિયન પ્રિન્સેસ” માનતી હતી. આ કોઈ સામાન્ય ટીનએજ ડ્રામા નહોતો, પણ એક ધીમો માનસિક બદલાવ હતો જે કોવિડ-19 લૉકડાઉન દરમિયાન શરૂ થયો હતો. જ્યારે પિતાએ તેમના ફોન જપ્ત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે આ આભાસી ઓળખ તૂટવાનો ડર તેમને મોત સુધી દોરી ગયો. તેમની છેલ્લી ચિઠ્ઠીમાં લખ્યું હતું, ‘પપ્પા, અમે કોરિયન છોડી શકતા નથી. એ જ અમારું જીવન છે … તમે અમને અલગ નહીં કરી શકો.’ આ ગેમિંગ ડિસોર્ડરનું એવું લક્ષણ છે જેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (WHO) સત્તાવાર માન્યતા આપી છે.

મગજની ડિજિટલ કેદ : ન્યુરોસાયન્સ શું કહે છે?

જ્યારે કોઈ બાળક વાસ્તવિક જીવન કરતાં ગેમની દુનિયાને વધુ મહત્ત્વ આપે, ત્યારે સમજવું કે તેના મગજની રચનામાં ફેરફાર થઈ રહ્યો છે. મગજમાં ‘મેસોલિમ્બિક પાથવે’ નામનો એક હિસ્સો હોય છે જે આનંદ અનુભવતી વખતે ‘ડોપામાઈન’ રિલીઝ કરે છે. ગેમિંગ કલાકો સુધી આ ડોપામાઈનનું સ્તર બમણું કરી શકે છે. તેની સરખામણીમાં ભાવતું ભોજન જમવું કે મિત્રોને મળવા જેવી સામાજિક સંવેદનાઓ મગજમાં ખૂબ ઓછો આનંદ પેદા કરે છે.

સતત ગેમ રમવાથી મગજની આ રિવોર્ડ સિસ્ટમ નીરસ બની જાય છે. હેવી ગેમર્સના મગજના ‘પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ’માં એક્ટિવિટી ઓછી થઈ જાય છે—આ એ હિસ્સો છે જે ઈમોશનલ કંટ્રોલ અને લાંબા ગાળાના નિર્ણયો લેવા માટે જવાબદાર છે. પરિણામે, કુટુંબ, શાળા અને મિત્રતાનું આકર્ષણ ધીમે ધીમે ઘટતું જાય છે. જે વ્યક્તિને આપણે ‘ઝનૂની’ કહીએ છીએ, તે ખરેખર ન્યુરોલોજિકલ કન્ડિશનિંગનો શિકાર હોય છે. કિશોરોમાં મગજ 25 વર્ષની ઉંમર સુધી સંપૂર્ણ વિકસિત હોતું નથી, તેથી તેઓ આ જાળમાં વધુ સરળતાથી ફસાઈ જાય છે.

ગેમ્સના એન્જિનિયરિંગની માયાજાળ

આધુનિક ગેમ્સ માત્ર મનોરંજન માટે નથી હોતી; તેમને ‘રિટેન્શન’ માટે એટલે કે યુઝર લાંબો સમય ચોંટી રહે તે રીતે ડિઝાઇન કરવામાં આવે છે. આ માટે બિહેવિયરલ સાયકોલોજી અને કેસિનો(જુગારધામ)ની ટેકનિક્સ વાપરવામાં આવે છે :

1.     અનિશ્ચિત રિવોર્ડ્સ : આગલા લેવલે શું મળશે તેની લાલચ મગજને ગેમ છોડવા દેતી નથી.

2.     સ્ટ્રીક્સ અને ડેઈલી બોનસ : જો તમે એક દિવસ ગેમ ચૂકી જાઓ, તો તમારો જૂનો પ્રોગ્રેસ જતો રહેશે તેવો ડર પેદા કરાય છે.

3.     સોશિયલ પ્રેશર : મલ્ટિપ્લેયર ગેમ્સમાં તમને એવું લાગે છે કે જો તમે નહીં રમો, તો ઓનલાઈન ટીમમાં જોડાયેલા બીજા પ્લેયર્સનો વિશ્વાસ તોડશો, વર્ચ્યુઅલ મિત્રો ખોઈ બેસશો.

આ પ્રક્રિયામાં ગેમ એ માત્ર રમત મટીને એક સામાજિક જવાબદારી અને છેવટે એક મજબૂરી બની જાય છે.

આંકડાઓનો અરીસો

ભારત અત્યારે 568 મિલિયન એક્ટિવ ગેમર્સ સાથે વિશ્વમાં ખૂબ આગળ છે. જોખમ માત્ર આંકડામાં નથી, પણ તે કઈ વયના લોકોને અસર કરે છે તેમાં છે.

·       વૈશ્વિક સ્થિતિ : WHO મુજબ ગેમિંગ ડિસોર્ડર વસ્તીના 1%થી 3% લોકોને અસર કરે છે.

·       ભારતીય ટીનએજર્સ : ભારતમાં કરાયેલા સંશોધનો મુજબ લગભગ 20% કિશોરો ગેમિંગ એડિક્શનનાં લક્ષણો ધરાવે છે. એટલે કે દર પાંચમાંથી એક ટીનએજર જોખમમાં છે.

·       પેરેન્ટલ રિપોર્ટ : અડધાથી વધુ શહેરી ભારતીય માતા-પિતા નોંધે છે કે તેમના બાળકોમાં ઊંઘનો અભાવ, ચીડિયાપણું અને સામાજિક વિમુખતા વધી રહી છે.

ભારતનો ઈકોનોમિક સર્વે 2025–26 પણ ગેમિંગ એડિક્શનને ઉભરતા ‘પબ્લિક હેલ્થ ઈશ્યુ’ તરીકે સ્વીકારે છે.

શારીરિક પતન અને ન સમજાય તેવું મોત

જોખમ માત્ર માનસિક નથી. સતત સ્ક્રીન સામે બેસી રહેવાથી થતાં શારીરિક નુકસાન અંગે ભારતમાં હજુ પૂરતું ડોક્યુમેન્ટેશન નથી થયું. પરંતુ વૈશ્વિક સ્તરે એવા અનેક કિસ્સા નોંધાયા છે જ્યાં લાંબા ગેમિંગ સેશનને લીધે પલ્મોનરી એમ્બોલિઝમ (નસોમાં લોહી ગંઠાઈ જવું), ડિહાઈડ્રેશન અને હાઈપરટેન્શનને કારણે બ્રેઈન હેમરેજ કે કાર્ડિયાક અરેસ્ટ થયો હોય. ઘણા કિસ્સામાં લોકો બેઠાં બેઠાં જ મોતને ભેટ્યા પણ તેમનું ધ્યાન તે સમયે પણ  સ્ક્રીન પર હતું. સસ્તો ડેટા અને વાલીઓનું ઓછું સુપરવિઝન આ સ્થિતિને વધુ ગંભીર બનાવે છે.

બ્લુ વ્હેલથી ‘લવ ગેમ્સ‘ સુધીની સફર

એક દાયકા પહેલાં ‘બ્લુ વ્હેલ ચેલેન્જ’ જેવી ગેમ્સ સીધી રીતે જીવ લેતી હતી. અત્યારે જે ચાલે છે તે તેનું નવું અને વધુ ખતરનાક સ્વરૂપ છે. આજકાલની “લવ ગેમ્સ,” K-કલ્ચર રોલપ્લે અને ઈન્ટરેક્ટિવ સ્ટોરી પ્લેટફોર્મ્સ ખૂબ જ સુંદર અને રૂપાળા પેકેજિંગમાં આવે છે. તેઓ સીધું નુકસાન કરવાનું નથી કહેતા, પણ વાસ્તવિક દુનિયાથી અલગ રહેવાને ‘રિવોર્ડ’ આપે છે. તેઓ કિશોરોને સમજાવે છે કે જો તમારી આસપાસની દુનિયા ખરાબ છે, તો આ ડિજિટલ દુનિયા જ તમારી સાચી સાર્થકતા છે. જ્યારે કોઈ બાળક આવી કમ્યુનિટીમાં જોડાય છે, ત્યારે આત્મઘાતી વિચારો કરનારા કે જાતને હાનિ પહોંચાડવાનું વિચારતા અજાણ્યા લોકોનો સંપર્ક વધવાની શક્યતા અનેકગણી વધી જાય છે.

ઉકેલ : પ્રતિબંધ કે પરિવર્તન?

સામાન્ય રીતે વાલીઓ ફોન જપ્ત કરી લે છે કે ઇન્ટરનેટ બંધ કરી દે છે, પણ ક્લિનિકલ અનુભવ કહે છે કે આનાથી ગેમર બીજા ગુપ્ત રસ્તા શોધશે. સૌથી અસરકારક ઉકેલ ‘કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી’ (CBT) છે. CBT વર્તનને ખોટું પાડવાને બદલે મગજના રિવોર્ડ પાથવેઝને ફરીથી તાલીમ આપે છે. તે મગજને શીખવે છે કે સ્ક્રીનની બહાર પણ સંતોષ અને આનંદ મેળવી શકાય છે. કૌટુંબિક વાતાવરણની ભૂમિકા અહીં સૌથી મોટી છે. ગાઝિયાબાદની ઘટનામાં પિતા મહેનતુ હતા, તેમણે દીકરીઓના શોખ પૂરા કર્યા હતા, પણ તેમની હાજરી માત્ર ભૌતિક હતી. બાળકો સાથેનો લાગણીનો તંતુ ક્યાંક તૂટી ગયો હતો અને એ ખાલી જગ્યા સ્ક્રીને ભરી દીધી હતી. બાળકોના ડોક્ટર્સ દ્વારા નિયમિત સ્ક્રીનિંગ અને શાળાઓમાં માનસિક સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ અનિવાર્ય છે.

બાય ધી વેઃ 

ગેમિંગ કોઈ અનિષ્ટ નથી; લાખો લોકો માટે તે કલા અને મનોરંજન છે. પરંતુ સંવેદનશીલ કિશોરો માટે, જેઓ સામાજિક રીતે એકલા છે, તે એક એવો ફાંસો બને છે જે ધીમેથી પકડ જમાવે છે અને પછી ગૂંગળાવી નાખે છે. ગાઝિયાબાદની એ છોકરીઓએ પોતાની ઓળખ ગેમમાં શોધી હતી, અને જ્યારે એ ઓળખ છીનવાઈ ગઈ, ત્યારે તેમને જીવન અર્થહીન લાગ્યું. ગાઝિયાબાદની ત્રણ બહેનોની સામૂહિક આત્મહત્યા એ માત્ર એક હૃદયદ્રાવક સમાચાર નથી, પણ એક ચેતવણી છે. આ ઘટના ગેમિંગ એડિક્શન કિશોરોના મગજને કેવી રીતે ‘રિવાયર’ કરે છે તેનો જીવતો જાગતો પુરાવો છે. ભારત જ નહીં, પણ આખું વિશ્વ અત્યારે એક એવી ડિજિટલ કટોકટી તરફ વધી રહ્યું છે, જ્યાં આભાસી દુનિયા વાસ્તવિકતા પર હાવી થઈ રહી છે. “ડિજિટલ-ફર્સ્ટ” રાષ્ટ્ર બનવાની દોડમાં આપણે આપણાં બાળકોનાં માસૂમ જીવનનું બલિદાન ન આપી શકીએ. 

આ લક્ષણો દેખાય તો ચેતજો

જો તમારા બાળકમાં નીચેના ફેરફારો દેખાય, તો તે સજાને પાત્ર નથી, પણ સારવારને પાત્ર છે:

·       ગેમ રમવાના સમય વિશે સતત જૂઠું બોલવું.

·       ફોન કે ડિવાઈસ લઈ લેવામાં આવે ત્યારે અતિશય ચીડિયાપણું કે આક્રમકતા.

·       પહેલાં જે પ્રવૃત્તિઓ (ક્રિકેટ, સંગીત, મિત્રો) ગમતી હોય તેમાં રસ ન પડવો.

·       મોડી રાત સુધી જાગવું અને ઊંઘનું ચક્ર ખોરવાવું.

·       ભણતરમાં અચાનક મોટો ઘટાડો આવવો.

·       આંખોમાં તાણ, માથાનો દુખાવો અને વ્યક્તિગત ચોખ્ખાઈ પ્રત્યે બેદરકારી.

મદદ માટે સંપર્ક સૂત્રો :

·       NIMHANS ગેમિંગ એડિક્શન ક્લિનિક : 080-26995000

·       iCALL સાયકોસોશ્યલ હેલ્પલાઈન : 022-25521111

·       વંદ્રેવાલા ફાઉન્ડેશન : 1860-2662-345

·       ચાઈલ્ડલાઈન ઇન્ડિયા : 1098

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 ફેબ્રુઆરી 2026

Loading

ચલ મન મુંબઈ નગરી—327 

દીપક મહેતા|Opinion - Opinion|7 February 2026

મુંબઈ પોલીસના કમિશનર ફોર્જેટે ક્વીન્સ રોડ પર વહેલી સવારે વાઘ માર્યો!    

બ્રિટનની નેશનલ પોર્ટ્રેટ ગેલેરીમાં નસરવાનજી શેઠનું ચિત્ર 

આપણી ભાષામાં એક કહેતી છે : ‘જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ. જ્યાં ન પહોંચે કવિ, ત્યાં પહોંચે અનુભવી.’ પણ આજે આ કહેતી સંભારવાનું કંઈ કારણ? યાદ છે, પ્રિય વાચક, ગયા શનિવારે આપણે છૂટા પડ્યા ત્યારે ક્યાં ઊભેલા હૂતા? નસરવાનજી માણેકજી પિતીતના બાવલા પાસે. એ બાવલા નીચે તો નાલ્લી તકતી ચોડેલી છે, જેમાં એવનનાં જનમ-મરણની તારીખ આપી છે અને બે-ચાર સોજ્જા બોલ લખિયા છે. ચાલો, જઈએ ગુગલદેવ કને. ગિયા. ૧૯૬૧માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગંગા જમના’માં લતા મંગેશકરે ગાયેલું, વૈજયંતીમાલા પર ફિલ્માવાયેલું પેલું ગીત યાદ આવી જાય: ‘ઢુંઢો, ઢુંઢો રે સાજના ઢુંઢો, મોરે કાન કા બાલા.’ ગુગલ દેવ પાસેથી માંડ પાંચ-દસ લીટી મલે. ગ્રેટ બ્રિટનની નેશનલ પોરટ્રેટ ગેલેરીમાં P. Vuccinoએ ૧૮૮૯માં તૈયાર કીધેલું પોરટ્રેટ છે, પણ નસરવાનજી શેઠ અંગેની કોઈ બી બાબત સાથે લખેલી નથી. રવિ અને કવિ કનેથી ખાલી હાથ આયા. હવે પૂછીએ અનુભવીને, ‘પારસી પ્રકાશ’ને. તેના ત્રણ ભાગ. દરેકનાં પાનાં આશરે હજાર-હજાર. એ બી મેગેઝીન સાઈઝનાં, ડબલ કોલમમાં ઝીના ટાઈપથી છાપેલાં. કમ્પ્યુટરની મદદ વગરના જમાનામાં દરેક ભાગમાં છેવટે આપેલી સૂચી કહેતાં ઇનડેક્સ માણેકજી પટેલે કઈ રીતે બનાવી હોસે તે તો ખોદાયજી જાને! પન એ ઇન્ડેક્સની મદદથી જઈએ ત્રીજા ભાગના પાના ૩૮૭-૩૮૮ ઉપર. અને વાંચીએ : ૧૮૯૧ના નવેમ્બર મહિનાની ૨૧મી તારીખે પુણેમાં નસરવાનજી શેઠ બેહસ્ત નશીન થીયા. તે વારે તેઓની ઉંમર ૬૫ વરસની હતી. તેઓ હુતા મુંબઈના એક નામચીન મિલ માલિક, વેપારી, મોટ્ટા સખાવતી. મુંબઈની પારસી પંચાયતને એ જમાનામાં ૭૫ હજાર રૂપિયાની દેણગી. ૧૮૮૮માં એવનના એક માત્ર બેટા જમશેદજી નાલ્લી વયમાં બેહસ્તનશીન થીયા તે વારે જબરો ઘા લાગીઓ. બેટાની યાદમાં, તેના ઉઠામણાના દિવસે રૂપિયા ૯,૭૫,૦૦૦ની સખાવત જાહેર કીધી. (આય, જમશેદજી એટલે ‘માહારી મજેહ’ નામની કવિતાની મોટ્ટી ચોપરી અને બે ભાગમાં દળદાર ‘કહેવત માળા’ના બનાવનાર. એવનની બાબતે આપરે અગાઉ લંબાણથી વાત કીધેલી છે એટલે ફરી નહિ કરીએ.) એ રકમમાંથી મુંબઈમાં ‘જમશેદજી નસરવાનજી પિતીત પારસી ઓર્ફનેજ’ ઊભું થિયું. આપરા આય મુંબઈમાં ફ્લોરા ફાઉન્ટન નજીક ઊભેલી જે.એન. પિતીત લાઈબ્રેરી બી નસરવાનજી શેઠની સખાવતનું ફરજંદ. બેહસ્ત નશીન થયેલો બેટો જમશેદજી હૂતો ચોપરીનો કીડો. એટલે અગાઉની એક ખખડધજ લાઈબ્રેરીને ટેકો આપીને બેઠી કીધી, નામ બી બદલાયું, જે.એન પિતીત લાઈબ્રેરી થિયું. 

૧૯મી સદીમાં ક્વીન્સ રોડ (રંગપૂરણી પાછળથી કરેલી છે)

પણ હવે નસરવાનજીને આરામથી ઊભા રહેવા દઈએ, અને પાછા જઈએ પોલીસ કમિશનર ફોર્જેટ પાસે. આજે તો દરિયો ખાસ્સો દૂર ગયો છે. પણ એક જમાનામાં ક્વીન્સ રોડ પછી BBCI રેલવેના પાટા, પછી લીલા ઘાંસવાળી જમીનનો પટ્ટો, અને પછી ઘૂઘવે દરિયો. આજના મરીન લાઈન્સ સ્ટેશનની લગભગ સામે, ક્વીન્સ રોડ પર બીજી બાજુએ, સોનાપુર – હિંદુ સ્મશાનભૂમિ. એ આજે પણ ત્યાં જ છે. એ વખતે આખો વિસ્તાર જંગલ જેવો. એક દિવસ સવારે બોમ્બે પોલીસનો એક સિપાઈ સ્મશાનની બહાર, રસ્તા પર ‘નિગરાણી’ રાખી રહ્યો હતો. એકાએક તેની નજર ગઈ, તો સામે, થોડે દૂર ઊભેલો એક વાઘ. જી, હા. ક્વીન્સ રોડ પર વાઘ. સિપાઈ પાસે હથિયારમાં ફક્ત એક લાકડી. વાઘ સિપાઈ પર હુમલો કરશે, હમણાં. એ જ વખતે બોમ્બે પોલીસના વડા ફોર્જેટનું ત્યાંથી પસાર થવું. સવારે ચાલવા નીકળ્યા હતા, એટલે બંદૂક તો તેમની પાસે પણ નહોતી. પણ કેડે ધારદાર કટારી ખોસેલી હતી. ઝાઝો વિચાર કર્યા વગર કૂદી પડ્યા વાઘ પર. પણ વાઘને થોડી જ ખબર હતી કે સામે ઊભેલો માણસ તો છે મુંબઈ શહેરનો પોલીસ કમિશનર! એ હવામાં કૂદ્યો. નીચે આવ્યો તેવો ફોર્જેટની કટારી તેની છાતીમાં. વાઘ વીફર્યો. પણ તરત કટારીનો બીજો ઘા. હા, વાઘના નખના ઉઝરડા તો ફોર્જેટના શરીર પર થયા. પણ ત્રીજે ઘાએ વાઘ થયો રામશરણ. બીજે દિવસે મુંબઈનાં લગભગ બધાં છાપામાં સમાચાર છપાયા કે પોલીસ કમિશનર ફોર્જેટે વાઘ માર્યો! કેમ ન છપાય? આજના મિનિસ્ટર કરતાં ય વધારે, એ વખતે પોલીસ કમિશનરનો રૂઆબ હતો – આગળ-પાછળ લાલ લાઈટવાળી જીપ વગર પણ!

મુંબઈના અંગ્રેજી અખબારમાં સમાચાર: ફોર્જેટે વાઘ માર્યો 

૧૮૫૭નું વરસ. પૂર્વમાં કલકત્તા, ઉત્તરમાં મેરઠ અને દેશના બીજા ભાગોમાંથી રોજેરોજ ‘બળવો આજે થશે કે કાલે’ એવા સમાચાર સતત આવ્યા કરતા હતા. એમાં વળી ગોરા લશ્કરના કેટલાક અમલદારોને વહેમ આવ્યો કે મુંબઈના અત્યંત પ્રતિષ્ઠિત રહેવાસી, નામદાર જગન્નાથ શંકરશેઠ (૧૮૦૪-૧૮૬૫) બળવા સાથે સંકળાયેલા લોકોને આશરો આપી રહ્યા છે. કેટલાક બ્રિટિશ લશ્કરી અફસરોનું કહેવું હતું કે સરકારે તાબડતોબ તેમની ધરપકડ કરવી જોઇએ. પણ તે વખતના ગવર્નર લોર્ડ એલ્ફિન્સ્ટન આ વાત માનવા તૈયાર નહિ. પણ ગોરા લશ્કરી અફસરોનું દબાણ વધતું ચાલ્યું. ગવર્નરે ફોર્જેટને બોલાવીને કહ્યું કે તમે જાતે તપાસ કરીને મને જણાવો કે આ વાત સાચી છે કે નહિ. ગીરગામ રોડ પર જગન્નાથ શંકરશેઠનો મોટ્ટો વાડો, કહેતાં બંગલો. તેની પાછળના ભાગમાં હતી તેમણે જ બંધાવેલી મોટી ધરમશાળા. મુંબઈ ઈલાકાના જ નહિ, પણ પર પ્રાંતના સાધુ-બાવા, નાના-મોટા વેપારીઓ, નોકરિયાતો, ભીખારીઓ, અને ક્યારેક હિંદુ સૈનિકો પણ મુંબઈ આવે ત્યારે આ ધરમશાળામાં ઊતરે. રાતે નવરા પડે ત્યારે ઓટલે બેસી અલકમલકની વાતો કરે. તેમાં ક્યારેક બળવા અંગે પણ વાતો થાય. એમાં વળી શહેરમાં અફવા ફેલાઈ કે જગન્નાથ શંકરશેઠ અને નાના સાહેબ પેશ્વા વચ્ચે કૈંક રંધાઈ રહ્યું છે. હવે તપાસ કર્યા વગર છૂટકો નહોતો. ફોર્જેટે પોતાના એક ખાસ વિશ્વાસુ બ્રાહ્મણને ભિખારીના વેશે એ ધરમશાળામાં ગોઠવી દીધો. રાતે બધા વાતો કરે ત્યારે એક ખૂણામાં બેસીને એ બધી વાતો સાંભળે. ત્રણ-ચાર દિવસ આ રીતે માહિતી મેળવ્યા પછી ગવર્નરને મળીને ફોર્જેટે કહ્યું કે જગન્નાથ શંકરશેઠને બળવાખોરો સાથે તસુભાર જેટલો ય સંબંધ નથી. અને ગવર્નરે તેમની વાત સ્વીકારી લીધી અને લશ્કરના ગોરા અધિકારીઓને બોલાવીને કહ્યું કે જગન્નાથ શંકરશેઠ પર શંકા રાખવાનું કોઈ જ કારણ નથી. 

નામદાર જગન્નાથ શંકરશેઠ

લશ્કરના ગોરા અધિકારીઓ અને ફોર્જેટ વચ્ચે બીજી એક બાબતમાં પણ મતભેદ હતો. લશ્કરના અધિકારીઓ માનતા કે મોહરમ કે દિવાળીના દિવસો દરમ્યાન મુંબઈના કોટમાં રહેતા ‘દેશીઓ’ બળવો કરશે. અને એટલે કોટ વિસ્તારમાં તેમણે લશ્કરનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવ્યો હતો. પણ ફોર્જેટ માનતા કે જો મુંબઈમાં બળવો થશે, તો ય એમાં લોકો પહેલ નહિ લે. પણ અંગ્રેજ લશ્કરના ‘દેશી’ સૈનિકો પહેલ કરશે. એ વખતે મુંબઈમાં ‘દેશી’ સૈનિકોની ત્રણ રેજિમેન્ટ, અને ગોરા સૈનિકોની એક. તેમાં ચાર સો સૈનિકો. ‘દેશી’ સૈનિકોની સંખ્યા ઘણી વધારે. મુંબઈમાંના સૈનિકોનો વડો બ્રિગેડિયર શોર્ટ ગવર્નરને કહેતો કે મુંબઈમાં ધાક બેસાડવા થોડા ‘દેશીઓ’ની ધરપકડ કરાવો. પણ ફોર્જેટના મનમાં પાકી ખાતરી કે જો મુંબઈમાં બળવો થશે તો તેની શરૂઆત દેશી સૈનિકો કરશે, મુંબઈના પ્રજાજનો નહિ. એટલે તેણે ગવર્નરને ખાનગી પત્ર લખીને પોતાનો અભિપ્રાય જણાવ્યો અને થોડા ‘દેશી’ આગેવાનોને પકડવાની લશ્કરની વાત માનવાની ના પાડી. તેણે કહ્યું કે હા, એક વાર દેશી સૈનિકો શરૂઆત કરે તો પછી થોડા દેશી લોકો તેમાં જોડાય એવું બની શકે. એ વખતે મુંબઈ પોલીસમાં ફક્ત ૬૦ અંગેજ અધિકારીઓ હતા. બાકીના બધા ‘દેશી.’ કાનપુરમાં બળવા દરમ્યાન જે બન્યું તે જાણ્યા પછી ફોર્જેટે ગવર્નરની સંમતિથી મુંબઈ પોલીસમાં પચાસ ગોરા ઘોડેસવાર અફસરોની નિમણૂક કરી. ત્યારે લશ્કરના વડાએ કહ્યું કે તહેવારો દરમ્યાન બોમ્બે પોલીસે પોતાના ગોરા અમલદારોને શહેરમાં ઠેર ઠેર ગોઠવી દેવા જોઈએ. ફોર્જેટે કહ્યું કે હું મારા બધા ગોરા અફસરોને ગોઠવી દઈશ ખરો. પણ શહેરમાં નહિ, દેશી સૈનિકોની બેરેકસની આસપાસ. ગવર્નર કહે કે આવા વખતમાં લશ્કરના હુકમનો અનાદર કરવો એ બહુ જ જોખમી પગલું ગણાય. પણ મને તમારા પર પૂરો ભરોસો છે એટલે તમને યોગ્ય લાગે તેમ કરો. ગોરા લશ્કરના વડાએ શહેરમાં ઠેર ઠેર પોતાના સૈનિકોને ગોઠવી દીધા, પણ ફોર્જેટે નહિ. તેણે પોતાના ગોરા અફસરોને ‘દેશી’ સૈનિકોની બરાકની આસપાસ ગોઠવ્યા. 

બીજી બાજુ હિંદુ અને મુસલમાન નાગરિકોની સભાઓ ગોઠવીને તેમને જણાવ્યું કે જો કોઈ ‘દેશી’ પર સરકારને વહેમ પણ જશે, તો તેનું આવી બનશે. બીજી બાજુ તહેવારો દરમ્યાન ફોર્જેટ પોતે છૂપા વેશે શહેરમાં ફરતો રહ્યો. ક્યાંક પણ લાગે કે કોઈ માણસ પૂર્વ અને ઉત્તરના બળવાખોરોની તરફેણમાં બોલે છે તો તરત જ બોમ્બે પોલીસ તેમની ધરપકડ કરી લેતી. એ માટે બોમ્બે પોલીસના ત્રણ-ચાર દેશી અધિકારીઓ પણ સતત છૂપા વેશે ફોર્જેટની સાથે રહેતા. ફોર્જેટ થોડીક અમથી વ્હીસલ વગાડે એ ભેગા પ્રગટ થઈ ધરપકડ કરતા. 

અને થોડા જ દિવસમાં ફોર્જેટ ધારતા હતા તેવું જ થયું. એસપ્લનેડ પરની દેશી સૈનિકોની છાવણીમાંના તંબુઓમાંથી બહાર નીકળીને ઢગલાબંધ ‘દેશી’ સૈનિકો રસ્તા પર ઊતરી આવ્યા. આ ખબર મળતાં જ ફોર્જેટે પોતાનો ઘોડો દોડાવ્યો. પોતાના તાબા હેઠળના મિસ્ટર એડગિન્ટન અને બીજા ગોરા પોલીસોને કહ્યું કે બનતી ઝડપથી તમે પણ ત્યાં પહોંચજો. ફોર્જેટે જઈને જોયું તો દેશી સૈનિકોનાં ટોળાં બેકાબૂ બન્યાં હતાં અને છાવણીની આસપાસનો ગોરા સૈનિકોનો પહેરો તોડીને બહાર રસ્તા પર ઊતરી આવવા મથતા હતા. જે થોડા ગોરા સૈનિકો હતા તે પોતાની તલવારો ઉગામીને તેમને રોકવાનો પ્રયત્ન કરતા હતા. ફોર્જેટને આવેલા જોઈ દેશી સૈનિકોએ બૂમો પાડી કહ્યું : મિસ્ટર ફોર્જેટ! તમે તાબડતોબ અહીંથી ચાલ્યા જાવ. ફોર્જેટે જવાબ આપ્યો. જો તમે બધા બળવો કરવા માગતા હો તો હું અહીંથી તસુભાર પણ ખસીશ નહિ. મારો જીવ જાય તો ભલે જાય. અને પછી તેમને ધમકી આપનાર ‘દેશી’ સૈનિકોની વધુ નજીક પોતાના ઘોડાને લઈ ગયા. ગોરા સૈનિકોને કહ્યું : ‘દરવાજા ખોલી નાખો. તેમને બહાર આવવા દો. હું તેમને પહોંચી વળીશ.’ આ સાંભળી ‘દેશી’ સૈનિકો ડઘાઈ ગયા. અને ધીમે ધીમે પોતાની છાવણીમાં પાછા જવા લાગ્યા. અને હા, આ કિસ્સો કલ્પિત નથી જ. Gazetteer of Bombay City and Islandના બીજા ભાગનાં પાનાં ૧૫૮-૧૫૯ પર તે નોંધાયેલો છે. હા, પછી ફોર્જેટે જે કર્યું – કે તેને કરવું પડ્યું – તે આજે આપણને ન ગમે. પણ આપણા ગમા-અણગમા પણ બદલાતા વખત સાથે બદલાતા રહે છે. પણ એ અંગેની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com 

XXX XXX XXX 

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 07 ફેબ્રુઆરી 2026

Loading

માતૃભક્ત મન્જિરો

સુરેશ જાની|Opinion - Opinion|7 February 2026

ત્રીજા દિવસે માછલીઓનું એક મોટું ટોળું હાથવગું થયું હતું. ઘણી બધી માછલીઓ પકડી શકાશે અને દુઃખના દા’ડા ફરી નહીં જોવા પડે; એવી આશા બંધાઈ હતી. પણ કરમ બે ડગલાં આગળ હતું.  એકાએક દરિયાઈ વાવાઝોડું ધસી આવ્યું. અને મન્જિરોની બધી આશાઓ પર પાણી ફરી વળ્યું. વાવાઝોડાની સાથે એ લોકો સાત સાત દહાડા સુધી દિશાના કોઈ ભાન વિના ખેંચાતા રહ્યા. સાતમે દિવસે એક અજાણ્યા ટાપુની નજીક તો આવ્યા પણ એમની હોડી ખડકની સામે ખાબકી અને એને તોડી ફોડીને, એ દુ:શ્મન વાવાઝોડાએ એમના ગામથી એમને એ સાવ નિર્જન ટાપુ પર ફંગોળી દીધા. ઉપર આકાશ અને નીચે ધરતી.

૧૮૨૭ની સાલમાં જાપાનના દરિયાકિનારે આવેલા સાવ નાનકડા ગામ ‘નાકાહામા’માં જન્મેલો મન્જિરો સાવ ગરીબ વિધવા માનો, સૌથી મોટો દીકરો હતો. બાપનું મરણ થતાં, એના માથે ઘર ચલાવવાની જવાબદારી માત્ર નવ વર્ષની ઉમરે આવી પડી હતી. પાંચ પાંચ વર્ષ કાળી મજૂરી કરી માંડ ખાવા ભેગાં એ લોકો થતા. એની દશા પર દયા આવતાં, ડેન્ઝો નામના માછીમારે ભાડે લીધેલી હોડીમાં સહિયારી ભાગીદારીમાં માછલીઓ પકડી સ્વતંત્ર ધંધામાં બીજા ત્રણ એના જેવા જ વખાના માર્યા કિશોરો સાથે એને લીધો હતો. એની સાથે એણે પોતાના બે ભાઈઓ ગોમોન અને જુસુકેને અને એક દોસ્ત તોરેમોનને પણ લીધા હતા. કુલ પાંચ જણનો કાફલો. બધા સ્વતંત્ર ધંધાની કમાણીમાંથી ગરીબાઈની રેખાની ઉપર આવી જવાની આશામાં નાચતા અને કૂદતા હતા.

 અને પહેલી જ સફરમાં આ દુર્ભાગ્ય …

અને એ સાવ નિર્જન ટાપુ પર એમણે પાંચ મહિના માંડ માંડ કાઢ્યા. ચાર મહિના તો ત્યાં આવીને રહેલા યાયાવર આલ્બ્બેટ્રોસ પક્ષીઓનો શિકાર કરીને એમની ભૂખ ભાંગતી; પણ પીવાના પાણીનાં ત્યાં સાંસાં હતાં. થીજેલા બરફમાંથી ટપકી ટપકીને માંડ પાણી ભેગું કરી શકાતું. મંજિરો સિવાયના બધા માંદા પડી ગયા હતા. કદાચ એમનો ઉગાર કરવા કોઈ વહાણ આવી જાય; તો પણ પાછા જાપાન પહોંચવાના વિચારે પણ એ સૌ કંપી જતા. સાવ સાદા કારણે કે, ૧૬૦૩ની સાલથી ૧૮૫૫ સુધી જાપાને બહારની દુનિયા સાથેનો સમ્પર્ક સમ્પૂર્ણ રીતે કાપી નાંખ્યો હતો. માત્ર ડચ જહાજોને જ નાગાસાકી નજીકના એક ટાપુ પર લાંગરવા દેવામાં આવતા; અને ડચ ખલાસીઓ ત્યાં લગભગ કેદીઓની જેમ જીવન ગુજારી શકતા. બીજા કોઈ પણ દેશનું વહાણ, તોપમારના ભયથી જાપાનના કિનારાની નજીક જવાની હિમ્મત કરી ન

મન્જિરો

શકતું. જાપાનની કોઈ પણ વ્યક્તિ જાપાનની બહાર જઈને પાછી આવે; તો તેની સામે દેશ છોડવાના ગુના માટે કાયદેસર ખટલો માંડવામાં આવતો; અને મોટે ભાગે તો ફાંસીની સજા થતી.

આમ દુર્ભાગી જાપાનીઓ માટે જીવનમાં કોઈ જ આશા ન હતી.

અને ૧૮૪૧ના જૂન મહિનામાં એમનું ભાગ્ય જરીક ખુલ્યું. વ્હેલનો શિકાર કરતા, ‘જ્હોન હાઉલેન્ડ નામના અમેરિકન વહાણે એ ટાપુની નજીક લંગર નાંખ્યું અને બે હોડીઓમાં એના બાર ખલાસીઓ ટાપુ પરથી કાચબા પકડવા ઉતર્યા. આ કમનસીબોની કરમકહાણી હાથ અને મોંના હાવભાવ વડે એમણે જાણી અને વહાણ પર એમને આશરો આપ્યો. મંજીરો અને એના સાથીઓએ આવા ફિક્કા રંગના માણસો કદી જોયા ન હતા. પરદેશીઓને તો જાપાનમાં ભયાનક દેખાવવાળા રાક્ષસો જ માનવામાં આવતા હતા. પણ આ વહાણના દયાળુ સ્વભાવવાળા કેપ્ટન વિલિયમ વ્હિટફિલ્ડની કૃપાથી વહાણ પર એમને આશરો મળ્યો અને એ સૌ પણ વ્હેલના શિકારના કામમાં જોતરાઈ ગયા.

મંજીરોના સાથીઓ તો હજી હતાશામાં જ ગરકાવ હતા; પણ માંડ ૧૪ વર્ષની ઉમરનો મંજિરો તરવરાટવાળો હતો. એને એ સમજાઈ ગયું કે, જાપાનના માછીમારો કરતાં આ અમેરિકનો ઘણા વધારે કાબેલ હતા. મધદરિયે વ્હેલનો પીછો કરીને એનો શિકાર કરી શકતા; અને ઘણા મોટા વહાણને હંકારી શકતા હતા. એના મિલનસાર સ્વભાવ અને નવું તરત શીખી લેવાની ધગશ અને આવડતના કારણે એ તો કેપ્ટનનો માનીતો બની ગયો; અને ફટાફટ શિકારની અને વહાણ ચલાવવાની કળા શીખવા લાગ્યો.

૧૮૪૧ના નવેમ્બર મહિનામાં ઓગણીસ વ્હેલોનો શિકાર કર્યા પછી હવાઈ ટાપુઓના સૌથી મોટા બંદર હોનોલુલુમાં વહાણ પહોંચી ગયું. મંજિરો સિવાયના ચારેય જણા તો ત્યાં રહી જ પડ્યા. એમને નોકરી અને રહેવાની વ્યવસ્થા થઈ ગઈ. પણ મંજિરોને કેપ્ટને પોતાની સાથે અમેરિકા આવવા કહ્યું. ચબરાક મંજિરોએ આ તક ઝડપી લીધી; અને એની જિંદગીનું એક નવું પ્રકરણ શરૂ થયું.

જાન્યુઆરી-૧૮૪૨માં વહાણે હોનોલુલુ છોડીને વહેલના શિકારની બીજી યાત્રા શરૂ કરી; ત્યારે મન્જિરો એના કામદારોમાંનો એક બની ગયો હતો. અને હવે તે વખાનો માર્યો નિરાશ્રિત ન હતો. હેલ્પર તરીકે એને ચોખ્ખા નફાનો ૧૪૦મો ભાગ પણ મળવાનો હતો. હવે તે અમેરિકન વહાણ પર કમાતો ધમાતો બન્યો હતો. પણ … એના અંતરમાં તો કાળી લ્હાય સતત બળ્યા કરતી. એની ગરીબડી માતા એની મદદ વિના બીજાં ભાંડવોને શી રીતે ખવડાવતી હશે; એની ચિંતા એના હૈયાને કોરી ખાતી.

      સોળ સોળ મહિના લગણ એ લોકો વ્હેલ માછલીઓને ગોતતા, પેસિફિક મહાસાગરના પટને ફંફોળતા રહ્યા. તાહિટી, ગુનામ અને કેપ હોર્ન (દક્ષિણ અમેરિકાનો દક્ષિણ છેડો) થઈને ‘જ્હોન હાઉલેન્ડ’ વહાણ ૧૮૪૩ના મેની સાતમી તારીખે મેસેચ્યુસેટ્સના ન્યુ બેડફર્ડ બન્દરે, સાડા ત્રણ વર્ષની લાંબી સફરના અંતે પાછું ફર્યું. મન્જિરોને માદરે વતન છોડ્યાને અઢી વર્ષ પૂરા થયાં હતા.

અને…

   પહેલા જાપાનીઝે અમેરિકન ધરતી પર પગ મૂક્યો. આ નવી દુનિયાની અજીબો ગરીબ જીવન શૈલી જોઈને મન્જિરો તો હેરત પામી ગયો. થોડાક દિવસ પછી કેપ્ટન વ્હીટ્ફિલ્ડ મન્જિરોને પોતાની સાથે, ધંધાદારી કામ માટે ન્યુયોર્ક પણ લઈ ગયો. એને વ્હેલના તેલ અને હાડકાંનો સારો ફાયદો મળે એવો ઘરાક ગોતવાનો હતો. અને પોતાના જૂના મિત્ર એબન અકીનને મન્જિરોને રાખવાની અને ભણાવવાની જવાબદારી સોંપી. સોળ વર્ષની ઉમરનો મન્જિરો એના જીવનની પહેલી શાળમાં એકડો ઘૂંટવા લાગ્યો!

    બે મહિના પછી, કેપ્ટન વ્હિટ્ફિલ્ડે કમાણી તો રોકડી કરી જ લીધી; પણ આલ્બરટાઈન કીથ સાથે લગ્ન પણ કરી લીધાં. એની નવોઢાને પણ મન્જિરો બહુ ગમી ગયો; અને ત્રણે જણાં ન્યુ બેડફર્ડના સામા કિનારે ફેરહેવન પાછા વળ્યા. કેપ્ટને નવું ઘર ખરીદી લીધું; અને મન્જિરો એમના પાલક પુત્રની જેમ એમની સાથે રહેવા લાગ્યો. ત્યાંની બાર્ટલેટ એકેડેમીમાં વહાણવટા અને સર્વે ઈંગની તાલીમ પણ મન્જિરો લેવા લાગ્યો.

   કેપ્ટન સાથે અઢી વર્ષ આમ ગાળ્યા બાદ; મન્જિરોને થયું કે, તેણે હવે જાતે કમાવું જોઈએ. આથી કેપ્ટનની પરવાનગી લઈને તે કેપ્ટન ઈરા ડેવિસના ‘ફ્રેન્કલિન’ નામના જહાજ પર રસોઈયાના મદદનીશ તરીકે જોડાઈ ગયો. ૧૮૪૬ના મેની ૧૫મી તારીખે ૨૪ સાથીઓ સાથે ફ્રેનક્લિન જહાજે સફર આદરી. એક વરસ પછી, વ્હેલની શોધમાં એટલાન્ટિક મહાસાગર ખુંદતાં ખુંદતાં; આફ્રિકાની દક્ષિણ ટોચ ‘કેપ ઓફ ગુડ હોપ’ થઈને જાપાનના દરિયાની નજીકથી પસાર થયું. જાપાનના માછીમારોની હોડીની નજીકથી એ લોકો પસાર થયા.

    આખી દુનિયાનો ચકરાવો ફરી ચૂકેલા મન્જિરોને આશા બંધાઈ કે, કેપ્ટન તેને જાપાનના કિનારે ઉતારી દેશે; અને પોતાની વ્હાલસોયી માતાની સાથે એનું પુનર્મિલન થશે. પણ એ આશા ઠગારી નીવડી. જાપાનની વિદેશીઓ માટેની નફરતની ડેવિસને પૂરી ખબર હતી. ખાલી ખાધસામગ્રીની આપલે કરીને જહાજ હોનોલુલુના અમેરિકન કિનારા તરફ ધસી ગયું.

અને ૧૮૪૮ના સપ્ટેમ્બર મહિનામાં મન્જિરો હોનોલુલુ પરના એના જાપાની સાથીઓને ફરી મળી શક્યો. એમાંનો એક જુસુકે તો ગુજરી પણ ગયો હતો.

એક મહિનો ત્યાં ગાળ્યા બાદ, જહાજ તો વધુ વ્હેલના શિકાર માટે આગળ ધપ્યું. પણ કશીક માંદગીના કારણે કેપ્ટન ડેવિસની હાલત ખરાબ થઈ ગઈ; અને તે લગભગ ગાંડા જેવો બની ગયો; અને ખલાસીઓ તરફ હિંસક બનવા લાગ્યો. બધાએ ભેગા મળીને એને કેદી બનાવી દીધો; અને એના મદદનીશને કેપ્ટન બનાવ્યો. મન્જિરોના વહાણ ચલાવવાના અને બીજા કામોની અદ્દભુત આવડત જાણીને બધાએ આ નવા કેપ્ટનના મદદનીશ તરીકે તેની નિમણૂંક એકમતે કરી દીધી.

ફિલિપાઈન્સના મનીલા બન્દર પર વહાણ લાંગર્યું ત્યારે ત્યાંના અમેરિકન કોન્સલે ડેવિસને જેલમાં પૂરી દીધો; અને વહાણ ફરીથી આવ્યું હતું; તે રસ્તે પા્છું વળ્યું. અને છેવટે ૧૮૪૯ના સપ્ટેમ્બર મહિનામાં વહાણ લગભગ સાડા ત્રણ વર્ષની સફરના અંતે ન્યુ બેડફર્ડ પાછું ફર્યું. તેમણે ૫૦૦થી વધારે વ્હેલોનો શિકાર કર્યો હતો. સફરના અંતે, ૩૫૦ ડોલર જેટલી માતબર રકમ મન્જિરોને મળી.

અને મન્જિરોએ ગાંઠ વાળી કે, અમેરિકાની ધરતી પર ખૂબ કમાણી કરી; પોતાનું વહાણ ખરીદવું અને પોતાની તાકાત પર વ્હાલી માને મળવા જાપાન પાછું ફરવું.

**************************

મન્જિરો અમેરિકા પાછો ફર્યો, ત્યારે અમેરિકા એક ચેપી રોગમાં ઘેરાયેલું હતું; અને મન્જિરોને પણ એ રોગે ઘેરી લીધો. કયો હતો એ રોગ? એનું નામ હતું ‘ગોલ્ડ ફીવર’ – સોનેરી તાવ! ‘કેલિફોર્નિયામાં સોનું મળ્યું છે.’ – એ સમાચારે ઘણા અમેરિકનો પાગલ બની ગયા હતા; અને રાતોરાત લખપતિ બની જવાની લ્હ્યાયમાં પોતાની બધી મૂડી વેચી સાટીને કેલિફોર્નિયાના સેક્રેમેન્ટો ( હાલની રાજ્યધાની) નજીક સોનું ખોદી કાઢવાના કામમાં જોતરાઈ ગયા. હતા.

મન્જિરો પાંત્રીસ ડોલરની ટિકિટ ખર્ચીને અને વહાણમાં મદદનીશ તરીકે કામ કરીને તે આખા અમેરિકા ખંડની પરિક્રમા કરીને સાન ફ્રાન્સિસ્કો પહોંચી ગયો. ત્યાંથી સોનું મળતું હતું, એ વિસ્તારમાં જવા, એણે નવા શરૂ થયેલા સ્ટીમથી ચાલતા વહાણમાં મુસાફરી કરી. એક મહિનો તો તેણે મજૂર તરીકે કામ કર્યું; પણ સોનું મેળવવાની કળા હસ્તગત કરીને જાતે એ કામમાં પરોવાઈ ગયો. બે જ મહિના આમ કામ કરીને તે ૬૦૦ ડોલર કમાયો. ભેગી થયેલી મૂડી લઈને તે તો હોનોલુલુ લઈ જતા સ્ટીમ વહાણમાં બેસી ગયો. ત્યાં પહોંચીને એના જૂના સાથીઓને જાપાન પાછા ફરવાનો પોતાનો પ્લાન સમજાવ્યો. પણ ‘ત્યાં પાછા ફરીને ફાંસી જ મળવાની.’ –એ ભયથી ડેન્ઝો અને ગોમન સિવાય કોઈ તૈયાર ન થયું.

પણ પોતાનું નાનકડું વહાણ ખરીદવા મન્જિરો પાસે એકઠી થયેલી મૂડી પૂરતી ન હતી. તેણે છાપામાં મદદ માટે જાહેરાત આપી; અને ત્યાં રહેતા હમદર્દ રહેવાસીઓની ઉદાર મદદનો ધોધ વહેવા લાગ્યો. ૧૬૦ ડોલર રોકડા, કપડાં, કમ્પાસ, વગેરે, સફરને માટે જરૂરી સામગ્રી તેને આમ મળી ગઈ. એણે ‘એડવેન્ચરર’ નામની નાની હોડી ખરીદી.

     આ સમય દરમિયાન ૧૭, ડિસેમ્બર -૧૮૫૦ના રોજ ‘સેરા બોઈડ’ નામનું વેપારી જહાજ હોનોલુલુના બંદરમાં લાંગર્યું. તે સાન ફ્રાન્સિસ્કોથી શાન્ઘાઈ જતાં રસ્તામાં વેપારી સામગ્રી લે વેચ કરવા હોનોલુલુ આવ્યું હતું. મન્જિરોએ એના કેપ્ટનને વિનંતી કરી કે, ત્રણે જણાને એની હોડી સાથે એની પર સફર કરવા દે; અને જાપાનના કિનારાથી થોડે દૂર એમને ઉતારી દે. મન્જિરો તો હોનોલુલુમાં ખાસો પ્રખ્યાત બની ચૂક્યો હતો. આથી એ જહાજના કેપ્ટનને પણ એને માટે સહાનુભૂતિ થઈ. જો કે, કેપ્ટનને પણ મહેનત કરી શકે તેવા ખલાસીઓની જરૂર પણ હતી જ. એના મોટા ભાગના સાથીઓ ઓલ્યા ‘સોનેરી તાવ’ લાગવાના કારણે ભાગી ગયા હતા! હોનોલુલુના ગવર્નરે તેને સરસ પ્રમાણ પત્ર પણ આપ્યું. હોનોલુલુના રહેવાસીઓએ પણ કેપ્ટન ‘જ્હોન મન્ગ’ને મુબારકબાદી આપી.

   અને છેવટે … મન્જિરો અને તેના સાથીઓની માદરે વતન તરફની સફર શરૂ થઈ. ૭૦ દિવસની સફર બાદ ‘સેરા બોઈડ’ જાપાનના ‘લૂ ચૂ’ ટાપુના ‘ઓકીનાવા’ બંદરથી ચાર જ માઈલ નજીક આવી પહોંચ્યું. આ કથાની શરૂઆતમાં જણાવ્યું છે ; તેવી જ તોફાની હવા એ વખતે ચાલી રહી હતી. સખત પવન અને સ્નોનું અવિરત આક્રમણ જારી હતાં. કેપ્ટને મન્જિરોને ઉતરાણ કરવાના જોખમો અંગે ચેતવ્યો. પણ દસ દસ વરસની તપશ્ચર્યા અને વહાણવટાની તાલીમ અને સાધનાના પ્રતાપે, મન્જિરો હવે ઘણો વધારે કાબેલ અને આત્મવિશ્વાસથી ભરપૂર હતો. ગરીબડી અને વ્હાલી માને મળવાની અને એને માટે ખરીદી રાખેલી ભેટોથી એને ઢાંકી દેવાની આતુરતા એના શરીરમાં નવા પ્રાણનો ધસમસતો સંચાર કરી રહી હતી.

  અને છેવટે એ બધાં તોફાની પવનોને અતિક્રમીને મન્જિરો અને તેના બે સાથીઓએ માદરે વતનની જમીન પર પગ મુક્યા.

કિનારા પરના ગ્રામવાસીઓ આ વિચિત્ર કપડાં પહેરેલા, પરદેશી જેવા લાગતા માણસોને જોઈને ગભરાઈ ગયા; અને એમને આવકારવાને બદલે ભાગીને દૂર જતા રહ્યા. માત્ર અડધા કલાકમાં જ સ્થાનિક પોલિસે એમને પકડી લીધા. એમની હોડી અને એમાંની બધી મતા સરકાર હસ્તક કરવામાં આવી. પણ એમને ફાંસીની સજા; એ વિસ્તારના ડેઈમ્યો (સ્થાનિક સૂબો) નારિયાકિરાની સંમતિ વિના ન આપી શકાય; એથી એમને ઓકિનાવાની જેલમાં પૂરી દેવામાં આવ્યા; અને ઘનિષ્ઠ પૂછતાછ શરૂ થઈ. સાત મહિના સુધી પાંચ પોલિસ ઓફિસરોએ એમની સાથે માથાકૂટ કરીને એક લાંબો લચક હેવાલ બનાવ્યો અને ડેઈમ્યોની જાણ માટે મોકલી આપ્યો.

મન્જિરો, એના સાથીઓ અને જાપાનના સદ્દભાગ્યે નારિયાકિરા ઉદારમતવાદી હતો; અને જાપાનની એ સદીઓની ‘બંધ બારણાં’ની નીતિનો વિરોધી હતો. એને આ હેવાલમાં બહુ જ રસ પડ્યો અને તેણે મન્જિરો અને તેના સાથીઓ સાથે રૂબરૂ જાતમાહિતી મેળવવાનું નક્કી કર્યુ. અને તેને પોતાની માન્યતા સાચી લાગી. એને પ્રતીતિ થઈ ગઈ કે, જાપાન વિશ્વમાં થઈ રહેલી પ્રગતિની સાથે તાલ નહીં મીલાવે તો, અત્યંત શક્તિશાળી અમેરિકાનું આક્રમણ હાથવેંતમાં જ છે.

નારિયાકિરાના હેવાલના આધારે જાપાનના સમ્રાટના જમણા હાથ જેવા શોગુને ૧૮૫૧ના ઓક્ટોબર મહિનામાં મન્જિરો અને એના સાથીઓને જાત તપાસ માટે નાગાસાકી બોલાવી લીધા. ફરી છ મહિના એ જ જેલની વ્યથા; અને ઘણી બધી સતામણીઓ, સવાલ, જવાબ. બીજું કોઈ હોય તો પાગલ જ બની જાય. પણ મન્જિરો જુદી માટીનો હતો. તેણે પોતાનું અને પોતાના સાથીઓનું ધૈર્ય ટકાવી રાખ્યું. તેણે શોગુન અને તેના અધિકારીઓને પોતાની વાતની સચ્ચાઈની પ્રતીતિ કરાવી દીધી. અમેરિકાનાં વહાણોને જાપાનમાં પુરવઠા માટે આવવા દેવામાં કશું જોખમ નથી; અને જાપાનને એનાથી બહુ જ મોટો ફાયદો થઈ શકે એમ છે; એ વાત પણ મન્જિરો તેમને સમજાવી શક્યો.

છેવટે, ૧૮૫૨ના જૂનમાં એમનો છૂટકારો થયો; અને મન્જિરો એની માને મળવા નાગાસાકીથી નીકળ્યો. અનેક મુસીબતો વાળી એમની સફર બાદ, ૧૮૫૨ની પાંચમી ઓક્ટોબરે, સોળ વરસ બાદ મન્જિરો એની મા, અને ભાંડવોને મળી શક્યો. એની મા, ભાઈ બહેનો અને ગ્રામવાસીઓને આમ બનશે, એની સ્વપ્નમાં પણ આશા ન હતી. બધાં આનંદમાં ઘેલા ઘેલા બની ગયાં.

પણ આ આનંદ ત્રણ દિવસ જ ટકવાનો હતો ને? મન્જિરોને પાછા એમના વિસ્તાર ટોસાના ડેઈમ્યો યામાનુચી સાથે ચર્ચા માટે જવું પડ્યું. પણ હવેની એની જીવનયાત્રા એને જાપાનના ઉચ્ચ વર્તુળોમાં ટોચે પહોંચાવવાની હતી. યામાનુચી મન્જિરોની વાતોથી અને શોગુન તરફથી મળેલી સૂચનાના કારણે એટલો તો પ્રભાવિત બની ગયો કે, તેણે મન્જિરોને અત્યંત માનભર્યો ‘સમુરાઈ’નો ખિતાબ આપ્યો. સાવ હલકી જાતના માછીમાર – માત્ર ‘મન્જિરો’ નામધારી – આ જવાંમર્દની ઓળખ હવે ‘મન્જિરો નાકાહામા’ બની. હવે એની કમરે બે તલવારો ચમકતી હતી. એક સમુરાઈની ૧૭ વર્ષની કન્યા ‘તેત્સુ’ સાથે એનાં લગ્ન પણ થયા.

મન્જિરોની આગલી જિંદગી એને ઉપર અને ઉપર ચઢાવવાની હતી; એટલું જ નહીં; પણ જાપાન પણ સમૃદ્ધિ અને તાકાતના પંથે, એક મહાન વિશ્વ સત્તા બનવાનું હતું.

અને ૧૮મી જૂન-૧૮૫૩માં એક અભૂતપૂર્વ ઘટના બની. કોમોડોર મેથ્યુ પેરીના નેતૃત્વવાળી, અમેરિકાના નૌકાદળની ચાર અત્યંત શતિશાળી સ્ટીમરો જાપાનના ઈડો અખાતમાં લાંગરી. શોગુને જાપાનની બધી તાકાત એકઠી કરીને કોમોડોર પેરીને જાપાનનો દરિયામાંથી ભાગી જવા તાકીદ કરી. પણ પેરી પાસે શોગુનની તાકાત કરતાં ઘણી વધારે લડાયક સામગ્રી હતી. પેરીએ જાપાનના સમ્રાટ સાથે વાટાઘાટો કર્યા વિના પાછા વળવાની કોઈ તૈયારી ન બતાવી; અને જો એની આ માંગણી સ્વીકારવામાં ન આવે તો ઈડો બંદર પર તોપમારો શરૂ કરવાની ધમકી પણ આપી દીધી.

અસહાય બની ચુકેલા શોગુન માટે આ વાત સ્વીકાર્યા વિના કોઈ છૂટકો જ ન હતો. તેણે  અમેરિકા વિશે જાણકારી ધરાવતા એકમાત્ર જાપાનીઝ તરીકે મન્જિરોને સલાહ માટે બોલાવી લીધો. અનેક દિવસોની વાટાઘાટો પછી, જાપાન અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો થયા; અને જાપાનના માટે નવા યુગનું બારણું ખુલ્લું થઈ ગયું.

જાપાનના અમેરિકા જનાર યુવાનોને અંગ્રેજીનું શિક્ષણ આપવા માટે મન્જિરોની નિમણૂંક થઈ.

૧૮૫૯માં હોકોડાટે ખાતે, નવી ઢબના વહાણો બાંધવા માટેની સંસ્થા પણ તેણે સ્થાપી અને જાપાનના વ્હાણવટાનો નવો યુગ શરૂ થયો.

૧૮૬૦માં અમેરિકામાં જાપાનની પહેલી એલચીના દુભાષિયા તરીકે તેણે ફરી એકવાર અમેરિકાની ધરતી પર પગ મુક્યો. પણ રસ્તામાં નડેલ તોફાની ઝંઝાવાતમાં એની વહાણવટાની કુશળતાના પ્રતાપે વહાણ ડુબતું બચ્યું હતું. આ વાતની જાણ થતાં જાપાનના સમ્રાટે મન્જિરોનું ખાસ બહુમાન કર્યું હતું.

૧૮૭૦માં મન્જિરોને ફરી વખત અમેરિકા જવાની તક મળી. ત્યારે તે પોતાના પાલક પિતા જેવા કેપ્ટન વ્હીટ્ફિલ્ડને ફેરહેવનમાં મળ્યો અને ભેટી પડ્યો. પાછા વળતાં તેણે લન્ડન ખાતે ભરાયેલ આંતરરાષ્ટ્રીય પરિષદમાં જાપાનના પ્રતિનિધિ તરીકે હાજરી પણ આપી. જાપાન પાછા વળ્યા બાદ ટોકિયો ખાતે અંગ્રેજી ભાષાના પ્રોફેસર તરીકે મન્જિરોએ એની શેષ જિંદગી પૂરી કરી. આજે એ સંસ્થા યુનિવર્સિટી ઓફ ટોકિયો તરીકે ઓળખાય છે.

૧૮૯૮માં મન્જિરોનો દેહવિલય થયો ત્યારે તે જાપાનની એક અત્યંત સન્માનનીય વિભૂતિ બની ચુક્યો હતો.

શિકોકૂ ટાપુની અશિઝુરી ભૂશિર પર મંજિરોનું બાવલું

મન્જિરોએ ધાર્યું હોત તો, બાકીની જિંદગી અમેરિકન તરીકે ગાળી શક્યો હોત; અને ઘણું ધન અને કીર્તિ કમાઈ શક્યો હોત. પણ એના દિલમાં જલતી આગે એને એક જ દિશામાં હંકારે રાખ્યો – એની વ્હાલી માની સેવામાં. અને એ જ પ્રબળ પ્રેમ અને સંઘર્ષે એની એ આકાંક્ષા પૂરી કરી એટલું જ નહીં; એના માદરે વતનની પણ એ અમૂલ્ય સેવા કરી શક્યો. જાપાન આજે જે છે; એમાં મન્જિરોનું પ્રદાન અજોડ છે; અને રહેશે.

સંદર્ભ

https://en.wikipedia.org/wiki/Nakahama_Manjir%C5%8D

e.mail : surpad2017@gmail.com

Loading

1234...102030...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?
  • સેનાપ્રમુખની નિર્ણય -કટોકટી : રાષ્ટ્રીય નેતૃત્વની આઘાપાછી?
  • આજ સુધી અજાણ્યા રહેલા બે અંગ્રેજી અનુવાદ

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved