Opinion Magazine
Number of visits: 10103681
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મોંઘવારીને મામલે સામાન્ય માણસ અસામાન્ય રીતે ચૂપ છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|14 August 2026

રવીન્દ્ર પારેખ

એમ લાગે છે, મોંઘવારી મીડિયાને જ લાગે છે ને તે જ ચેનલો, વર્તમાનપત્રોમાં રડારોળ કર્યા કરે છે, બાકી, સામાન્ય માણસને તે કંઇ લાગુ પડતી હોય એવું લાગતું નથી. ખૂણેખાંચરે મોંઘવારીની પંચાત થતી હશે, પણ તેનો અવાજ સપાટી પર આવતો નથી. ક્યાં તો લોકોને મોંઘવારી લાગતી નથી અથવા તો કોઈ ડરને કારણે તેઓ ચૂપ છે. એટલું તો છે ને કે મોંઘવારી આખા દેશને સ્પર્શતો મુદ્દો છે ને તેમાં જન સામાન્યનો અવાજ ન ભળે એ તો ચાલે જ કેમ? એક વાત બહુ સ્પષ્ટ છે કે મોંઘવારી રાષ્ટ્રીય સમસ્યા છે ને તે ઉકેલવા બાબતે સરકાર બહુ બેધ્યાન છે. મોંઘવારી હોય જ નહીં તેમ પ્રજા અને સરકાર શાંત છે. એ પણ દુ:ખદ છે કે આ સામાન્ય લોકોને સ્પર્શતો પ્રશ્ન છે, પણ સામાન્ય અવાજ પણ ઊઠતો નથી. પ્રજાનું આ ખંધું મૌન દુ:ખદ અને ઘાતક છે.

રિઝર્વ બેંક પણ મોંઘવારી વધે છે તો વધામણાં ખાય છે ને આંકડાઓ જાહેર કરે છે. આ વખતે ખાદ્ય સામગ્રીઓમાં થયેલા ભાવ વધારાને કારણે જુલાઈ મહિનામાં રિટેલ ફુગાવો વધીને 4.45 ટકા પર પહોંચ્યો છે. જુલાઈનો આંકડો અત્યાર સુધીમાં સૌથી ઊંચો છે. ખાસ કરીને ડુંગળી અને આદુના ભાવમાં થયેલો વધારો એને માટે જવાબદાર છે. ડુંગળીની મોંઘવારી 4.73 ટકાથી વધીને 22.54 ટકા થઈ છે. જ્યારે આદુમાં 83.62 ટકાનો ઉછાળો જોવાયો છે. લસણના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

સરકારી આંકડાઓ અનુસાર જૂનનો રિટેલ ફુગાવો, કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ (CPI) આધારિત 4.38 ટકા હતો. રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO) દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલ મુજબ જુલાઈ મહિનામાં ખાદ્ય ફુગાવો વધીને 5.52 ટકા પર પહોંચ્યો છે. આ આંકડો જૂન મહિનામાં 5.32 ટકા હતો. આમ મોંઘવારીમાં થયેલા વધારામાં ખાદ્ય સામગ્રીમાં થયેલ ભાવ વધારો જવાબદાર છે. એ નોંધનીય છે કે સરકાર દ્વારા ભારતીય રિઝર્વ બેન્કને કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ (CPI) આધારિત મોંઘવારી દરને 4 ટકા પર રાખવાની જવાબદારી સોંપાઈ છે. જેમાં બંને તરફ 2 ટકાની છૂટછાટ રાખવામાં આવી છે. જો કે, તહેવારોની સીઝનમાં મોંઘવારી દર ઊંચો રહે એમ બને.

આ તો રાષ્ટ્રીય મોંઘવારીની વાત થઈ, તેમાં ગ્રામીણ મોંઘવારી દર 4.84 ટકા અને શહેરી મોંઘવારી દર ૩.96 ટકા હતો. તેલંગાણામાં સૌથી વધુ મોંઘવારી દર 6.32 ટકા નોંધાયો છે ને મિઝોરમમાં સૌથી ઓછો  1.84 ટકા નોંધાયો છે. રિઝર્વ બેન્કને હિસાબે ઇંધણના ભાવમાં થયેલ વધારાને કારણે મોંઘવારી વધી છે. RBIએ 2026-’27માં CPI આધારિત મોંઘવારીનું અનુમાન 5 ટકાનું રાખ્યું છે. આગામી મહિનાઓમાં ખાદ્ય તેલ મોંઘુ થવાનું છે. આ ઉપરાંત પરિવહન ખર્ચ અને ભૌગોલિક રાજકીય તનાવ મોંઘવારી વધારે એમ બને. ક્રૂડ ઓઈલ આવતા વીકમાં 80-85 ડોલરની આસપાસ રહેવાની શક્યતા છે, એટલે એ પણ મોંઘવારીમાં વધારો કરે એ શક્ય છે.

આ તો થઈ સરકારી આંકડાઓની રમત. એ સામાન્ય માણસને સીધી અસર ઓછી જ કરે છે. એ તો બજારમાં કિલો-બે કિલો ખરીદે છે ને તેમાં ભાવ વધે છે તો ખિસ્સું કપાતું હોય તેવું અનુભવે છે. એ મોંઘવારી કેવીક છે? રિઝર્વ બેન્કના આંકડાઓ કરતાં જીવન જરૂરી ચીજવસ્તુઓનો ભાવ વધે છે તો સામાન્ય અને મધ્યમ વર્ગને બહુ ત્રાસદાયક વીતે છે. છેલ્લા એક વર્ષમાં ખાદ્યપદાર્થોમાં 10 ટકા સુધીનો ભાવવધારો નોંધાયો છે. આ વખતે ચોમાસું વધારે અને અનિયમિત રહ્યું છે, તે ઉપરાંત ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે તહેવારોમાં આર્થિક તનાવ વધવાની શક્યતાઓ છે. રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશોત્સવ, નવરાત્રિ, દિવાળી જેવા તહેવારોમાં બધું જ મોંઘું ખરીદવાનું બધાંને ન પરવડે એમ બને ને એમનો તહેવાર ફિક્કો થઈ જાય એમ પણ બને.

સાચું તો એ છે કે મોંઘવારીએ માઝા મૂકીને તમામ હદો પાર કરી દીધી છે. તેને લીધે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને રોજિંદું જીવન જીવવાનું જીવ પર આવ્યું છે. બજારમાં જરૂરી ચીજવસ્તુઓ પર હાથ ન મુકાય એ હદે ભાવ આસમાને પહોંચ્યા છે. એક તરફ સામાન્ય પરિવારોની આવક નક્કી અને મર્યાદિત છે, તો બીજી તરફ દૈનિક ખર્ચ અમર્યાદિત રીતે વધી રહ્યો છે. આ પરિસ્થિતિમાં લોકોની ખરીદ શક્તિ નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે, એમાં સામાન્ય ને મધ્યમવર્ગની હાલત તો બદથી બદતર થઈ રહી છે. સામાન્ય માણસ સાધારણ ખર્ચમાં સાદું ભોજન ન મેળવી શકે તો એ ક્યે મોઢે ભારત માતાકી જય બોલશે? આઝાદીને લગભગ 80 વર્ષ થવાનાં. આટલાં વર્ષમાં આ દેશનો નાગરિક દાળ-રોટલા પણ ન પામી શકે તો તે કઈ રીતે સ્વતંત્ર નાગરિક હોવાનો દાવો કરી શકશે?

40 રૂપિયે મણ ચોખા હતા, ત્યારે પણ કેટલાક તો ખાઈ શકતા ન હતા ને હવે અનેક ગણા મોંઘા છે ત્યારે પણ એ જ સ્થિતિ છે. મધ્યમ વર્ગને આવક, મોંઘવારી વધે એમ વધતી નથી એટલે એણે પણ પેટ કાપીને જ ચલાવવું પડે છે.

બધું જ પહોંચ બહાર જઈ રહ્યું છે. કઠોળ, ચોખા, લોટ, દૂધ જેવી જરૂરી ચીજ વસ્તુઓ ઘરની બહાર રહી જાય એટલી બધી મોંઘી છે. ડુંગળી પણ ઘરમાં ન આવી શકે એટલી મોંઘી થઈ છે. શાકભાજી પણ લક્ઝરી થઇ ગઈ છે. શ્રાવણમાં તહેવારો આવી રહ્યા છે ને ચીજ વસ્તુઓ ઘરમાં આવે જ નહીં, એટલી મોંઘી થઇ ગઈ છે. તહેવારોમાં વહેવારો ના સચવાય એટલી મોંઘવારી ક્યાં જઈને અટકશે તે નથી ખબર. એ પણ નથી સમજાતું કે યુદ્ધને કારણે મોંઘવારી છે કે મોંઘવારીને કારણે યુદ્ધ છે? યુદ્ધ ન હતું ત્યારે પણ સોંઘવારી હતી એવું તો ન હતું. યુદ્ધને કારણે વૈશ્વિક બજાર અને સપ્લાય ચેઈન પ્રભાવિત થાય એ ખરું, પણ આમાં કેટલું સાચું ને કેટલું ઉપજાવેલું એ નક્કી કરવાનું મુશ્કેલ છે. એટલું નક્કી છે કે ચોમાસું નબળું ન હોય કે યુદ્ધ ન હોય, ત્યારે પણ ભાવો, ખાસ કરીને તહેવારોમાં વધ્યા જ છે. મોંઘવારી માટે આપણે કારણની રાહ જોતાં નથી. આ વખતે પાક ઓછો છે, સંગ્રહખોરી વધી છે … વગેરે મોંઘવારી ચાલુ રાખવાની યુક્તિઓ છે. સાચી વાત એ છે કે ભાવ વધારામાં પારદર્શિતા પહેલેથી જ ઓછી છે ને એનો ભોગ સામાન્ય તથા મધ્યમ વર્ગ બને છે.

છેલ્લા એક વર્ષમાં તુવર દાળ 119.50 પરથી ૩.24 ટકા મોંઘવારી સાથે 123.37 પર પહોંચી છે. અડદ દાળ 5.52 ટકા મોંઘી થઈ છે. સનફલાવર ઓઈલ 160.51 પરથી 189.37 પર પહોંચ્યું છે. આ ટકાવારી 17.98 ટકા છે. સિંગતેલ 9.25 ટકા મોંઘું થયું છે, જ્યારે ડુંગળી 28.24 પરથી 24.18 ટકા મોંઘવારી સાથે 35.07 પર પહોંચી છે. આમ જ દૂધ, તેલ, કઠોળ, ચોખા જેવી આઇટેમો મોંઘી થઈ છે. ટૂંકમાં, આમાંની કોઈ એવી લક્ઝરી આઇટેમ નથી, જે મોંઘી થાય તો પરવડે. અહીં લીધી તે તમામ ચીજવસ્તુઓ જીવન જરૂરી છે. જીવવા માટે જે જરૂરી જ છે, તે પણ સસ્તી ન મળે તો સામાન્ય ને મધ્યમવર્ગીય લોકોએ કેમ ટકવું તે પ્રશ્ન જ છે. હવે તો કહેવાતો ઉચ્ચ મધ્યમવર્ગ પણ મોંઘવારીનું રડતો થઈ ગયો છે.

સાચી વાત એટલી છે કે જે જીવન જીવવા જરૂરી જ છે, એવી ઓછામાં ઓછી ચીજવસ્તુઓ પણ સામાન્ય વર્ગ ખરીદી ન શકે, તો જીવન વ્યવહાર ચલાવવા તેણે શું કરવું એના ઉપાયો શોધવા જોઈએ. તેમને જીવવાનો હક નથી શું? આ દેશ જીવવા માટે ઓછામાં ઓછી ચીજ વસ્તુઓ સામાન્ય વર્ગને ન આપી શકે, તો શેનો વિકાસ કરી રહ્યા છીએ આપણે? ગરીબીનો કે ભૂખમરાનો તે પ્રશ્ન દરેકે દરેકને પૂછવા જેવો છે.

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 ઑગસ્ટ 2026

Loading

કૃત્રિમ બુદ્ધિમતાથી સર્જાઈ શકે છે અસલી જળસંકટ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|13 August 2026

ચંદુ મહેરિયા

પુસ્તકનો ઉપયોગ કરનારને સાચી રીતે જ ટકોરવામાં આવે છે કે એક વૃક્ષની કતલથી બનેલા કાગળ પર છપાયેલું આ પુસ્તક છે. આજકાલ એ.આઈ.નો ઉપયોગ વધ્યો છે ત્યારે ચેટબોટને સવાલ પૂછનારને કહેવાય છે કે તેના આ કૃત્યથી ઝરણું સૂકાઈ જાય, એટલું પાણી વપરાય છે! કૃત્રિમ બુદ્ધિમતા કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માનવ સભ્યતાની સૌથી મોટી અને સૌથી વધુ શક્તિશાળી તકનિકી ક્રાંતિઓમાંની એક છે. એ.આઈ.નો વપરાશ ઘણાં માનવીના રોજ બ રોજના જીવનનો એક હિસ્સો બની ગયો છે. વિશ્વની સૌથી ઝડપથી વિકસતી આ ટેકનિકનો ઉપયોગ શિક્ષણ, સંચાર, સંરક્ષણ, આરોગ્ય, ખેતી અને વ્યાપાર-ઉદ્યોગમાં થાય છે. ફોટા, વીડિયો, એ.આઈ.સર્ચ, ચેટબોટ જેવી બાબતોથી માણસ હેવાયો થઈ રહ્યો છે. એ.આઈ. જનરેટેડ ફોટો કે સવાલ પૂછવાથી એક ઝરણું સૂકાઈ જાય તેટલું પાણી વપરાય જાય છે એમ કહેવામાં કદાચ અતિશયોક્તિ હોઈ શકે છે, પરંતુ એ.આઈ.ના ઉપયોગથી જળ, જમીન અને પર્યાવરણ પર માઠી અસરો પડી રહી છે, તે બાબત બેબુનિયાદ નથી જ .  

એઝ સચ એ,આઈ,ને ખુદને કોઈ પાણીની જરૂરિયાત નથી. પરંતુ એ.આઈ.ના ડેટા સેન્ટરોને છે. ડેટા સેન્ટર એ.આઈ.ને શક્તિ પ્રદાન કરતું એક પાયાનું વૈશ્વિક માળખું છે. એ.આઈ. મોડેલને ટ્રેનિંગ આપવા અને ઉપયોગકર્તાઓના સવાલોના જવાબ આપવા કમ્પ્યૂટિંગની તાકાત જરૂરી છે. ડેટા સેન્ટરોના સર્વર તેનાં કારણે ગરમ થાય છે. તેને ઠંડા રાખવા વિવિધ કૂલિંગ પ્રણાલી અપનાવવામાં આવે છે. તે માટે પુષ્કળ પાણીની જરૂર પડે છે.

જેમ જેમ એ.આઈ.નો ઉપયોગ વધશે, તે વધુ વિકસિત થશે તેમ તેમ ડેટા સેન્ટરોનું પ્રમાણ પણ વધારવું પડશે અને તે માટે વધુ પાણી અને વીજળીની જરૂર પડશે. જ્યારે માનવજાત અનિયમિત વરસાદ, જળવાયુ પરિવર્તન, ઝડપી એટલું જ અંધાધૂંધ શહેરીકરણ અને વસ્તી વૃદ્ધિની સમસ્યાઓથી પીડિત છે અને પાણી તથા વીજળી જરૂરિયાત કરતાં ઓછાં ઉપલબ્ધ છે ત્યારે એ.આઈ.ને કારણે પાણી અને વીજળીનો વપરાશ વધતાં તેની અછત અને સરવાળે સંકટ વધવાનું છે. એટલે એ.આઈ.ના વિકાસ સાથે જ પર્યાવરણ પર પડનારી તેની અસરોથી સચિંત થવાની અને તેના ઉપાયો શોધવાની જરૂર છે. 

જપાનના ટોકિયો સ્થિત યુનાઈટેડ નેશન્સ યુનિવર્સિટીના અભ્યાસ પ્રમાણે કૃત્રિમ બુદ્ધિમતાથી  સંબંધિત પાણીનો જે વપરાશ થવાનો છે તે આ દાયકાના (ઈ.સ.૨૦૩૦) અંત સુધીમાં ૧.૩ અબજ લોકોની ઘરેલુ જરૂરિયાત જેટલો હશે. એ.આઈ. ૨૦૩૦ સુધીમાં ૯.૩ લાખ કરોડ લીટર પાણી પી જશે તેવો અંદાજ છે. ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીના જણાવ્યા પ્રમાણે ૨૦૩૦ સુધીમાં ડેટા સેન્ટરો લગભગ વાર્ષિક ૯૪૫ ટેરાવોટ અવર વીજળીનો વપરાશ કરી શકે છે. જે જાપાનની વાર્ષિક વીજળી વપરાશ બરાબર હશે. ભારતના ડેટા સેન્ટરોમાં ૨૦૨૫માં ૧૫૦ બિલિયન લીટર પાણી વપરાયું હતું. એકલા અમેરિકાના ડેટા સેન્ટરોમાં ૨૦૨૩માં ૬૬ અબજ લીટર પાણી વપરાયું હતું. દુનિયાના ડેટા સેન્ટરોમાં ૨૦૨૫ સુધીમાં ૪૪,૮૦૦ કરોડ યુનિટ વીજળી વપરાઈ હતી. આ વીજળી વપરાશ વિશ્વના દેશોમાં અગિયારમા ક્રમે આવે તેટલી મોટી છે. એક એ.આઈ. જનરેટેડ ફોટો બનાવવામાં સાધારણ ફોટા કરતાં એક હજાર ગણી વધુ વીજળી વપરાય છે. એક વીડિયો બનાવવામાં એ.આઈ. ૪.૧ લીટર પાણી વાપરે છે અને ઘરનો એલ.ઈ.ડી. બલ્બ ૪૨ કલાક ચાલે તેટલી વીજળી વાપરે છે. એ.આઈ.ના મોટા ભાષા મોડેલોની તાલીમમાં કોઈ મોટી કાર તેના સમગ્ર જીવન કાળ દરમિયાન ઉત્સર્જિત કરે છે તેટલો કાર્બન ડાયોકસાઈડ ઉત્સર્જિત કરે છે. દરરોજ ચેટજી.પી.એસ. ૨૫૦ કરોડ સવાલોના જવાબો આપે છે એટલે તે કેટલું પાણી અને વીજળી વાપરતું હશે તેની કલ્પના કરી શકાય છે. 

જો કે કેટલાક નિષ્ણાતો એ.આઈ.ને કારણે પર્યાવરણને હાનિને બદલે લાભ થશે તેવા મતના પણ છે. દુનિયાના એક અબજ લોકો જ જેનો ઉપયોગ કરે છે તે એક આઈ.ફોન બનાવવા માટે એ.આઈ. કરતાં વધુ વીજળી વપરાય છે. જ્યારે એ.આઈ. તેના કરતાં વધુ લોકોના વપરાશમાં છે. એટલે એ.આઈ. વધુ લોકો સુધી પહોંચે છે અને વધુ પ્રાસંગિક પણ છે. ઓપનઆઈના સી.ઈ.ઓ. સૈમ ઓલ્ટમૈન કહે છે કે ચેટજી.પી.ટી.ની પાસેથી પ્રશ્નનો ઉત્તર મેળવવામાં એક ચમચી પાણીના પંદરમા ભાગ જેટલું જ પાણી વપરાય છે. જો કે ‘ મેકિંગ એ.આઈ. લેસ થસ્ટી’  અભ્યાસમાં કહેવાયું છે કે જી.પી.ટી.-૩ મોડેલમાં એક જવાબ મેળવવા ૨ થી ૧૦ ચમચી પાણી વપરાય છે.વળી સવાલ અને જવાબ કેટલા લાંબાટૂંકા છે તેના પર પાણીના વપરાશનો આધાર છે. અન્ય ઉગો જેટલું જ પાણી કૃત્રિમ બુદ્ધિમતા પણ વાપરે છે તેવી પણ દલીલ છે. 

એ.આઈ.ને કારણે સર્જાતી અસમાનતા પણ વિચારણીય મુદ્દો છે. એ.આઈ.નો વિસ્તાર, તેની અસર અને પહોંચે નવી અસમાનતા સર્જી છે. એક અંદાજ પ્રમાણે એ.આઈ. નિષ્ણાત કમ્પ્યૂટિંગ ક્ષમતાનો ૯૦ ટકાથી વધુ હિસ્સો અમેરિકા અને ચીન એ બે દેશોમાં જ કેન્દ્રિત છે. વિશ્વના દોઢસો કરતાં વધુ દેશોમાં પર્યાપ્ત ઘરેલુ એ.આઈ.નો અભાવ છે. જે દેશોને એ.આઈ.નો સીધો કશો લાભ નથી તેના પર પર્યાવરણીય અસરો થાય છે. ડેટા સેન્ટરો ઘણા દુર્લભ જળ સંસાધનોનો ઉપભોગ કરે છે. ઠંડા પ્રદેશો કરતાં ગરમ પ્રદેશોના ડેટા સેન્ટરોમાં પાણીનો ઉપયોગ વધુ થાય છે. વિશ્વના ૪૫ ટકા ડેટા સેન્ટરો જ્યાં પાણીની ઉપલબ્ધતાનું જોખમ વધુ છે તેવા નદીના ખીણ પ્રદેશોમાં આવેલા છે, જ્યારે દુકાળની શક્યતા ધરાવતા વિસ્તારોમાં ૪૭ ટકા ડેટા સેન્ટરો આવેલા છે. એ.આઈ.નો લાભ વૈશ્વિક છે પરંતુ તેની પર્યાવરણી અસરો વિશિષ્ટ ક્ષેત્રોમાં જ થતી જોવા મળે છે. એ.આઈ. ઈન્ફ્રાસ્ટ્રકચરનો કચરો પણ અસમાનતા જન્માવે છે. ૨૦૩૦ સુધીમાં એ.આઈ. ઈન્ફ્રાફ્રાસ્ટ્રકચર ૨૫ લાખ ટન કચરો ઉત્પન્ન કરશે તેનો મોટો બોજ આર્થિક રીતે નબળા દેશો પર પડશે. 

જળ, જમીન અને પર્યાવરણ પર થનારી એ.આઈ.ની પ્રતિકૂળ અસરો માટે અત્યારથી જ સાવચેત થવાની જરૂર છે. એ.આઈ.ના વિકાસ સાથે પર્યાવરણ સંરક્ષણનું સંતુલન જરૂરી છે. ઓછી વીજળી અને ઓછાં પાણીની જરૂર પડે તેવા ડેટા સેન્ટરો વિકસાવવવા જોઈએ. વરસાદી પાણીનો સંઘરો, એક વાર વપરાયેલા પાણીનું શુદ્ધિકરણ કરી તેને ફરી ઉપયોગમાં લેવું અને અધિક કુશળ કુલિંગ ટેકનિક બાબતે વિચાર કરવો રહ્યો. ડેટા સેન્ટરોમાં વપરાતાં પાણી અને ઉર્જા અંગે પારદર્શી સરકારી નીતિ ઘડાવી જોઈએ અને કંપનીઓને તેની વિગતો આપવાની ફરજ પાડવી જોઈએ. એ.આ.ઈનો વિવેકપૂર્વક અને સમજદારીભર્યો ઉપયોગ થાય અને બિનજરૂરી ઉપયોગ ન કરવા માટે લોકોએ પણ જાગ્રત થવાની જરૂર છે. કામની ગુણવત્તા અને દક્ષતામાં વૃદ્ધિની ખાતરી હોય તો જ એ.આઈ.નો ઉપયોગ કરવો જોઈએ. પૃથ્વી પરના મર્યાદિત સંસાધનોનો વિવેકસભર ઉપયોગ અને તેનું સંરક્ષણ થાય તથા માનવજીવન પણ વધુ ઉન્નત બને તો જ ડિજિટલ વિકાસ સાર્થક બન્યો કહેવાય. 

e.mail : maheriyachandu@gmail.com 

Loading

જંતરમંતર અને ઝારખંડથી હઠીને બે શબ્દ રચનાત્મક કૉંગ્રેસને મિષે    

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|13 August 2026

પ્રકાશ ન. શાહ

1975-77ના સત્તા-પ્રતિષ્ઠાનનું સ્થાન આજે મોદી ભા.જ.પે. લીધું છે.વિકલ્પની રાજનીતિનાં બળોના નેતૃત્વની જવાબદારી કાઁગ્રેસની છે : માન્ય પ્રતિપક્ષ તરીકે પોતાની વૈકલ્પિક ભૂમિકા માટે સન્નદ્ધ થવાની દૃષ્ટિએ કાઁગ્રસની સજ્જતા જરૂરી છે તેમ નાગરિક જરૂરત આ પાત્રોની હેરફેરને પિછાણવાની છે

સંસદીય ગતિરોધ, જંતરમંતર પછીનો ઝારખંડ ઉઠાવ – આ બધાં અલબત્ત અનિવાર્ય કોલાહલથી હઠીને આજ દેખીતી અવાંતર પણ એકદમ એકદમ જરૂરી વાત કરવી છે. બને કે શોર વચાળે એ સાવ ધીમી, કહો કે કાનમાં કહેવાતી લાગે.

આ દિવસોમાં નવી દિલ્હીમાં રચનાત્મક કૉંગ્રેસ મળી રહી છે. એનું નામ સૂચવે છે તેમ એ છે તો કૉંગ્રેસ પક્ષની જ પહેલ, પણ તે કોઈ ઈલેક્શન એન્જીન નથી; કે પછી ભા.જ.પ.ના રામ માધવ આદિ અગર તો કૉંગ્રેસના જયરામ રમેશ આદિની હોય એવી કોઈ કથિત થિંક ટૅન્ક પણ એ નથી. તો, એ છે શું. કૉંગ્રેસ પક્ષે વિધિવત આ ઉપક્રમનું સંયોજન જેને સોંપ્યું છે તે સંદીપ દીક્ષિતના શબ્દોમાં આ જમીની કાર્યકર્તાઓ સાથેના સંવાદ, સહયોગ, સખ્ય પ્રકારની આરંભિક કોશિશ છે. એમાં સામેલ થનારાઓનું પક્ષીય જોડાણ હોવું મુદ્દલ જરૂરી નથી. તળ કામગીરી દરમ્યાન એમને પ્રશ્નનું જે સ્વરૂપ સમજાયું હોય તે પક્ષને નીતિઘડતરમાં  ઉપયોગી થઇ પડે તેમ જ વાસ્તવિક અમલમાં એમના પ્રત્યક્ષ કાર્યાનુભવના ઉજાસમાં ઘટતો સુધારો પણ થઇ શકે. વાત જમીની કાર્યકરોની છે એટલે એમની સામેના સંઘર્ષમુદ્દા પણ આવવાના. એમાં સંકળાતા, સત્તા પર હોઈએ ત્યારની ચરબી પણ ગળે અને રચના ને સંઘર્ષની જુગલબંદી પણ જામે.

આપણો રાષ્ટ્રીય-રાજકીય ઇતિહાસ અહીં સાંભરે છે. બે દાખલા આપું. સ્વરાજ આવ્યું અને સમાજવાદીઓ સત્તાનો મોહ છાંડીને મૂળે રાષ્ટ્રીય ચળવળ રૂપ પણ હવે સત્તાપક્ષ એટલે કે  કૉંગ્રેસથી છૂટા પડયા એ પછીના ગાળામાં એમણે જે ત્રિસૂત્રી  અપનાવી તેમાં મતપેટી, જેલ ભરો અને પાવડો એ ત્રણ  વાટે લોકશાહી જાગૃતિ, અન્યાય પ્રતિકાર અને રચનાત્મક કાર્યનો ખયાલ હતો. આપણાં રાજકીય, સામાજિક ચયાપચય અને રુધિરાભિસરણને સમાંનમાં રાખતી અને પક્ષના પ્રજાસંધાનને સંમાર્જતી એ ગુરુકિલ્લી હતી. કૉગ્રેસ તો ગાંધીપ્રતાપે તે શિક્ષાદીક્ષા  પામેલી હતી.

ઇતિહાસમા લાંબે નહીં જતાં નવનિર્માણ વખતનું ઢેબરભાઈનું એક માર્મિક અવલોકન બલકે નિદાન ટાંકી વાતનો બંધ વાળું, એમણે કહ્યું હતું કે સ્વરાજની લડતમાં તેમ જ પછીના બે’ક દાયકા લગી કોંગ્રેસ કાર્યકર હોવું અને કોઈને કોઈ રચનાત્મક પ્રવૃત્તિમાં જોડાયેલા હોવું સ્વાભાવિક હતું. પણ પક્ષના ભાગલા સાથે રચનાવારસો ભુલાતો ગયો અને ચૂંટણીફતેહ હાવી થઇ ગઈ, પક્ષને બદલે ઈલેક્શન એન્જીન જાણે! 1972ની યશસ્વી ફતેહ છતાં પક્ષના ધારાસભ્યો અને નેતાઓ આવી રહેલા રાજકીય ભૂકંપ વખતે ઊંઘતા ઝડપાયા એનું એક રહસ્ય આ હતું.

ભા.જ.પ.ની ચૂંટણીફતેહ ક્યારેક પક્ષના પ્રામાણિક કાર્યકર અગર સંઘના સ્વયંસેવકની સક્રિય સંડોવણીને આભારી હશે તો હશે. એનું  રચનાસંધાન બહુધા બજરંગ-વિ.હિં.પ. તરેહનું રહ્યું અને આ પ્રક્રિયામાં એને, જેમ સંજય ગાંધીને, લુમ્પને લુમ્પન મળ્યાં ને વળી ફળ્યા પણ ખરાં. સમર્પિત હોઈ શકતા સ્વયંસેવકોનું સ્પોઇલ્સ અને પેટ્રોનેજના હેવાયા લોકોએ લીધું. જે એસ્પિરેશનલ મિડલકલાસને નરેન્દ્ર મોદી ગુજરાતની ત્રીજી ફતેહ પછી દિલ્હી પર નિશાન લેતાં ખાસ આગળ કર્યો હતો એ મૂળે મનમોહસિંહના લાભાર્થી પણ જાનૈયા મોદીના, એ એક વિલક્ષણ જોણું હતું.

જય પ્રકાશજીનું  આંદોલન અને  એન.જી.ઓ. પરિબળ લગભગ સાથે વિકસ્યા, અલબત્ત જે.પી. પરિબળનું વિશેષ સંધાન નાગરિક સમાજની સંસ્થાઓ સાથે રહ્યું. 1975-77ના જરઠ સત્તા-પ્રતિષ્ઠાનનું સ્થાન આજે મોદી ભા/જ/પે/ લીધું છે. પ્રજાકીય છેડે જનતા બળોની જવાબદારી કૉંગ્રેસને હિસ્સે આવી છે. વિધિવત પ્રતિપક્ષ તરીકેની એની ભૂમિકામાં ઓર નિખાર આવે તે વાસ્તે રચનાત્મક કાઁગ્રેસ એક અચ્છી પહેલ બનશે? થોભો અને રાહ જુઓ.

12 ઑગસ્ટ 2026 
e.mail : prakash.nireekshak@gmail.com

Loading

1234...102030...

Search by

Opinion

  • કૃત્રિમ બુદ્ધિમતાથી સર્જાઈ શકે છે અસલી જળસંકટ
  • જંતરમંતર અને ઝારખંડથી હઠીને બે શબ્દ રચનાત્મક કૉંગ્રેસને મિષે    
  • ભેરવાયા
  • દાવાનળ થયો અને તેની ગરમીમાં ફુગ્ગો ફૂટી ગયો. 
  • लूट की यह योजना किस ‘अमित शाह’ ने बनाई 

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved