
રમેશ ઓઝા
તમને ખબર છે આજથી સો વરસ પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના શા માટે કરવામાં આવી હતી? હિન્દુઓને બહાદુર બનાવવા. હિંદુઓની અંદર શૌર્યનું સિંચન કરવા. હિંદુઓની આવનારી નસલ જરૂર પડ્યે બહાદુરી બતાવવામાં અન્ય પ્રજાથી જરા ય પાછળ ન રહે એ માટે. સંઘના વૈચારિક ગુરુ (આઈડિયોલોગ) વિનાયક દામોદર સાવરકરે તો આ વિષે વિગતે વિવેચન કર્યું છે. સંઘના પ્રકાશિત સાહિત્યમાં (સંઘ બે પ્રકારે વિચાર-વ્યાપાર કરે છે. એક પ્રકાશન દ્વારા અને દશેરા જેવા જાહેર વ્યાખ્યાન દ્વારા જે આપણા માટે હોય છે અને બીજું કર્ણોપકર્ણ જે સ્વયંસેવક માટે જ હોય છે. એને છાપવામાં નથી આવતું કે જાહેરમાં કહેવામાં નથી આવતું, કાનમાં કહેવામાં આવે છે અને એ પણ નિર્ધારિત સીનિયોરિટી પ્રાપ્ત કરનારાને જ ફક્ત) પણ આ વાત કહેવાઈ છે.
તેઓ એમ માને છે અને હમણાં કહ્યું એમ સાવરકરે તો તેમની આક્રમક શૈલીમાં વિવેકની પરવા કર્યા વિના કહ્યું છે કે હિંદુ દાર્શનિક પરંપરાએ અને એમાં ઓછુ હતું તે શ્રમણ પરંપરા (મહાવીર અને બુદ્ધ) એ હિંદુઓને કાયર બનાવ્યા છે. મહાવીર અને બુદ્ધ માટે તો એ આકરી ભાષામાં લખે છે. તેમણે મધ્યકાલીન હિંદુ સંતોને પણ છોડ્યા નથી. એમાં વળી હિંદુઓના દુર્ભાગ્ય કે જ્યારે જગતમાં પોતાની જગ્યા બનાવવાની હોડ શરૂ થઈ છે અને જે તે પ્રજા એકબીજાનાં ગળાં કાપે છે ત્યારે હિંદુઓના દુર્ભાગ્યે ગાંધીજી આવ્યા. આ માણસ અહિંસાની ગાંડીઘેલી વાતો કરે છે અને હિંદુઓને હજુ વધુ કાયર બનાવે છે. આ મોહનદાસ ગાંધી નામના પેરેસાઈટ, પ્લેગ (આ ગાંધીજી માટે સાવરકરે વાપરેલા તેમના જ શબ્દો છે.)
સંઘના સ્થાપક કે.બી. હેડગેવારના એક બીજા ગુરુ પણ હતા જેનું નામ ડૉ બાલકૃષ્ણ સીતારામ મુંજે હતું. તેઓ નાગપુરના હતા અને દાકતરી પ્રેક્ટીસ કરતા હતા. મુંજેએ કહ્યું કે હિંદુઓના દુર્ભાગ્ય તો જુઓ; આ ગાંધી નામના માણસથી હિંદુઓને છોડાવી શકે એવો કોઈ હિંદુ નેતા બચ્યો નથી. લોકમાન્ય તિલક ગુજરી ગયા છે, બિપિન ચન્દ્ર પાલ લંડન જતા રહ્યા છે, લાલા લાજપત રાય છે, પણ એ ગાંધીને મદદ કરતા થઈ ગયા છે. મદનમોહન માલવિય મવાળ છે. ચાલો, આપણે પોંડીચેરી જઈએ અને અરવિંદ ઘોષને સમજાવીએ કે તેઓ રાજકારણમાં પાછા આવે અને સદીઓથી રાંકડા હિંદુઓને આ ગાંધી હજુ વધુ રાંકડા બનાવી રહ્યો છે તેને રોકે. કાયર હિંદુ કેવી રીતે નિર્મમ વિધર્મીઓનો સામનો કરશે. એમ કહેવાય છે કે અરવિંદ ઘોષે ત્યાંને ત્યાં જ રાજકારણમાં પાછા ફરવાની ના પાડી હતી. કેટલાક લોકો એમ પણ કહે છે કે અરવિંદે સાધના છોડીને રાજકારણમાં પાછા ફરવાનો કેટલોક સમય વિચાર કર્યો હતો અને એ પછી ના પાડી હતી. જ્યારે અરવિંદની ના આવી એટલે ડૉ મુંજે ૧૯૩૧ની સાલમાં ઇટલી ગયા અને બેનેટીન મુસોલિનીને મળ્યા. મુસોલિની ઈટાલિયનોને મર્દ બનાવવા અને જરૂર પડ્યે મર્દાનગી બતાવવા કેવી રીતે તાલીમ આપી રહ્યો છે અને કેવી રીતે સંગઠિત કરી રહ્યો છે તે જોવા સમજવા. મુસોલિનીની પ્રેરણાથી સ્વયંસેવકોને અર્ધ-લશ્કરી તાલીમ આપવાનું શરૂ કરવામાં આવ્યું અને તેમણે નાસિકમાં ભોંસલા મિલીટરી સ્કૂલ સ્થાપી. સંઘનિર્મિત બહાદુર હિન્દુત્વવાદી હિંદુઓ જ દેશને સંકટથી બચાવી શકશે. આ ગાંધી હિંદુઓને નપુંસક બનાવી રહ્યો છે.
આ લાંબી પૃષ્ઠભૂમિ આપવાનું કારણ એ છે કે તમને ખ્યાલ આવે કે બહાદુરી માટે તેમને કેટલું આકર્ષણ છે. તેમની વાણીમાંથી બહાદુરી ટપકતી જોવા મળશે. નરેન્દ્ર મોદી જેવા વાચાળ લોકોના મોઢામાંથી તો બહાદુરી ટપકતી નથી, વહે છે. ચોવીસે કલાક તેઓ બહાદુર હિંદુઓનાં સપનાં જુએ છે. બહાદુર હિંદુઓનાં દૃષ્ટાંતો આપે છે. ઐતિહાસિક પુરુષોની બહાદુરીનાં અતિરંજક વર્ણનો કરે છે અને ઉદાહરણ આપે છે. કોઈ બહાદુરનો પરાજય થયો હોય તો તેને વિજયમાં ફેરવે છે, જેમ કે હવે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે કે હલ્દીઘાટીના યુદ્ધમાં રાણા પ્રતાપનો પરાજય નહોતો થયો, વિજય થયો હતો. ભારતની આઝાદી માટે લડનારા ક્રાંતિકારીઓના ઓવારણા લે છે. તેમને એ ખબર નથી કે બહાદુરી લડવામાં છે, જય-પરાજય ગૌણ છે. જે લડવા માટે મેદાનમાં ઉતરે એ બહાદુર. આ વાક્ય યાદ રાખજો, સંઘની બહાદુરી સમજવા માટે આ લેખમાં આગળ કામમાં આવશે.
અહિંસાના અતિરેકે હિંદુઓને કાયર બનાવ્યા છે એમ માત્ર સાવરકરે એકલાએ નથી કહ્યું, સાવરકરના એક નંબરના દુ:શ્મન ગાંધીજીએ પણ કહ્યું છે. પણ દૃષ્ટિકોણમાં ફરક છે. તેમણે કહ્યું હતું કે અહિંસાનો કેવળ શબ્દિક અર્થ અપનાવવાના કારણે હિંદુઓ કાયર બન્યા છે. અન્યાય સામે લડવું તો હિંસા કરવી પડે અને શાસ્ત્રોમાં હિંસા વર્જ્ય છે તો પછી અન્યાય સહન કરવા સિવાય બીજો શું વિકલ્પ? આ અહિંસાની ખોટી સમજ છે. ગાંધીજીએ એક વખત નહીં, અનેક પ્રસંગે કહ્યું છે કે અન્યાય અને અત્યાચારનો સામનો કરવા જરૂર પડ્યે હિંસા કરવી પડે તો એ ધર્મ છે, પણ અન્યાય અને અત્યાચાર સહન કરવા, કે તેને જોતા રહેવું કે મૂંગા રહેવું એ કાયરતા છે.
હવે લાખ રૂપિયાનો સવાલ અથવા મુદ્દાની વાત:
હિંદુઓની બહાદુરી જોવા તમે તલસો છો, સો વરસથી બહાદુર હિંદુ પેદા કરવા માટે પરસેવો પાડો છો, તમે હિંદુ શૌર્યનું નેરેટિવ વિકસાવ્યું છે, હિંદુ શૌર્યનો ખાસ ઇતિહાસ લખ્યો છે, ત્યારે આય રિપીટ ત્યારે, જન્તર મન્તર અને દેશભરમાં અન્યત્ર લબરમૂછિયા હિંદુ તરુણોની બહાદુરી જોઇને તમારી છાતી તો ગજ ગજ ફૂલવી જોઈતી હતી. તમારી આંખ ભીની થવી જોઈતી હતી જેમ આ લખનારની થઈ હતી. રાણા પ્રતાપ, શિવાજી મહારાજ અને બીજા જે કોઈ બહાદુર હિંદુઓ થઈ ગયા છે એ સ્વર્ગમાંથી તરુણોની બહાદુરી જોઇને ફૂલ વરસાવતા હશે. તો તમને કઈ વાતનું ઓછું પડ્યું? એક યુવતી (હિંદુ સ્ત્રી) એકલે હાથે પોલીસની વેનને રોકે, એક માં (હિંદુ માં) પોતાનાં બે બાળકોને પોલીસને આપે અને કહે કે મારી નાખો આને, એક યુવક ભાગ્યા વિના ખામોશ ઊભો રહીને પોલીસની લાઠી ખાય, એક યુવક પોલીસને પૂછે કે, “આજ અશ્રુ ગેસ કી વ્યવસ્થા નહીં હૈ ક્યા?” એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.” અને આવા તો હિંદુ યુવાઓની બહાદુરીનાં સેંકડો દૃશ્યો જોવા મળ્યાં હતા જે તમે પણ જોયા હશે.
જે લોકો હિંદુઓની બહાદુરી જોવા તલસે છે એને કઈ વાતનું ઓછું પડ્યું? કઈ કસર રહી ગઈ હિંદુ યુવાઓની બહાદુરીમાં? આ જ તો તમારું ધ્યેય છે ને? તમે તમારું આયખું અને સો વરસની તપશ્ચર્યા આવો રૂડો દિવસ જોવા માટે ખર્ચ્યું છે ને? એ રૂડો દિવસ આવ્યો તો પછી તમને કઈ વાતે ઓછું પડ્યું? શું જોઈએ છે આના કરતાં વધુ? પાછો કેવો થનગનાટ! કેવી ઉર્જા! કેવી મૌલિકતા! કેવી બુદ્ધિપ્રતિભા! કેવો વિનોદ! કેવો આત્મવિશ્વાસ! અહિંસક માર્ગ અપનાવીને હિંદુ તરુણોએ કેવી બહાદુરી બતાવી! તમે તો આવી બહાદુરી ક્યારે ય બતાવી નથી. આઝાદીની લડતમાં ભાગ લીધો નહોતો. શહીદી કે ખુવારી વહોરી નથી. અન્યાય સામે સંઘર્ષ કર્યો નથી. સો વરસમાં એક પણ સ્વયંસેવક શહીદ થયો નથી. થનગનાટ, મૌલિકતા, તાર્કિકતા, વિનોદ અને આત્મવિશ્વાસ તો દૂરની વાત છે. માત્ર ગાળો દેતા આવડે છે, ચર્ચા પણ કરી શકતા નથી. અને ભય? ટીકાકારોનો ભય, સ્વતંત્ર પત્રકારોનો ભય, પ્રશ્નનો ભય, વિદ્વાનોનો ભય, વિરોધ પક્ષોનો ભય, સંસદનો ભય, મુક્ત ચર્ચાનો ભય, સ્વતંત્ર નાયતંત્રનો ભય, કલાકારોની કૃતિનો ભય એમ સર્વત્ર તમને ભય દેખાય છે અને ભય તમારા ચહેરા પર પણ દેખાય છે. ભારત માતાને તમારા જેવા હિંદુઓનો ખપ છે કે જન્તર મન્તર અને અન્યત્ર નજરે પડેલા તરોતાજા થનગનાટથી છલકતા બહાદુર હિંદુઓનો? કોના થકી ભારત માતાનું ભવિષ્ય સુરક્ષિત છે?
તો વાત એમ છે કે સંઘની સ્થાપના વખતે કહેવામાં આવે છે એમ બહાદુર હિંદુઓ પેદા કરવા માટે સંઘની રચના થઈ હતી તો પછી તમને કઈ વાતનું ઓછું પડ્યું? અને તાર્કિક રીતે જોઈએ તો આ યુવાઓ તમારી શાખામાંથી પેદા થયેલા હોવા જોઈતા હતા, કારણ કે બહાદુરી તો તમે શીખવાડો છો. એવો તમારો દાવો છે. જેણે બહાદુરીનો જાપ જપવામાં આયખું ખર્ચ્યું એ સો વરસમાં ક્યારે ય બહાદુરી બતાવી શક્યા નથી અને જેનો કહેવાતા બહાદુરો સાથે દૂરદૂરનો સંબંધો નથી એ બહાદુરી બતાવવામાં આગળ નીકળી ગયા.
કારણ શું? કારણ એ છે કે સંઘની સ્થાપના બહાદુર હિંદુઓ પેદા કરવા માટે નહોતી કરવામાં આવી, ધૂર્ત હિંદુઓ પેદા કરવા માટે કરવામાં આવી છે. ગાંધીજી સાથે તેમનો વાંધો અહિંસાને લઈને નથી, નૈતિકતાને લઈને છે, સાધનશુદ્ધિને લઈને છે. આ વાત સંઘનું પ્રકાશિત સાહિત્ય વાંચવાથી નહીં સમજાય, પણ તેમનું આચરણ જોઇને સમજાશે. આ સિવાય સાવરકરને વાંચવાથી સમજાશે. સાવરકર અભિવ્યક્તિમાં કંઈક અંશે પ્રામાણિક હતા. ગાંધીજી સદ્દગુણની ઉપાસના કરતા હતા અને સાવરકરે સદ્દગુણને વિકૃતિ કહી છે. છેતરપીંડી, વિશ્વાસઘાત અને કોઈ પણ રીતે બચી નીકળવાનો તેમણે મહિમા કર્યો છે. ખાતરી કરવી હોય તો સાવરકરને વાંચી જાઓ.
સંઘની સો વરસની જહેમત પછી પણ બહુમતી હિંદુઓ મુઠ્ઠીમાં આવ્યા નથી અને સંઘનાં શતાબ્દી વર્ષમાં ૨૦-૨૫ વરસના તરુણ તરુણીઓએ તો કેપ્ચરીંગ હિંદુઝના પ્રોજેક્ટના ફુરચા બોલાવી દીધા.
કારણ? વિચારી જુઓ. જવાબ મળી રહેશે. જવાબ શોધવો જરા ય અઘરો નથી.
![]()




ક્રિસ હેજ્જિસ : ઍજ્જે ટમૅલકુરાન લિખિત બે પુસ્તકો વાંચવાની હું સખત ભલામણ કરું છું —How to Lose a Country: The Seven Steps from Democracy to Fascism અને Nation of Strangers: Rebuilding Home in the 21st Century. આપણે બન્ને પુસ્તકોની ચર્ચા અહીં કરીશું. ભારતથી લઈને યુનાઈટેડ સ્ટેટ્સ સુધીના દેશોના વિવિધ કિસ્સાઓમાં તે સાત વૈશ્વિક ભાતનું વિવરણ કરે છે જેનું પુનરાવર્તન થયા કરે છે અને જેને ઓળખી શકાય છે. સમાજને બે ભાગમાં વિભાજીત કરવાની ચળવળથી આ ભાતના મંડાણ થાય છે. સાચા લોકો વિરુદ્ધ ભ્રષ્ટ ભદ્ર વર્ગ અને એવો નેતા જે ભારપૂર્વક એમને સાચા લોકો કહે છે. સત્યનું વિસર્જન કરવું અને શિષ્ટાચારને બદલે વફાદારીને અગ્રતા આપવી, એ બીજુ પગલું છે. ત્યારબાદ શરમને ઉખેળવામાં આવે છે. લાંબા ગાળાના રાજકીય અને નૈતિક સર્વસંમતિને અભૂતપૂર્વ નિર્દયતાથી તોડી નંખાય છે. જેટલા વધારે એ સત્તામાં રહે છે તેટલું શું સ્વીકાર્ય છે એની સીમાઓ વિસ્તરતી જાય છે. જે પહેલા વિચારવું શક્ય નહોતું અથવા ઘૃણાસ્પદ ગણાતું એ હવે ક્રમશ: સામાન્ય બનતું જાય છે. જેમ લોકશાહીને જાળવી રાખતી સંસ્થાઓને ગુપચુપ રીતે ખોખલી કરી દેવામાં આવે છે અને લોકશાહીની વ્યાખ્યાનું બહુમતિના રાજ તરીકે પુન:લેખન કરવામાં આવે છે.
વૈશ્વિક મૂલ્યો, માનવ ગૌરવ અને કાયદાના રાજને બદલે ઉગ્ર રાષ્ટ્રવાદ, પીડિત હોવાનું ગૌરવ અને ઇતિહાસના પુન:લેખનને સ્થાન આપવામાં આવે છે. ક્રૂરતા અને નિર્દયતાને રાજકારણના ઊંચા સ્તરે જ નહીં પરંતુ રોજીંદા જીવનના સ્તરે પણ ન્યાયી માનવામાં આવે છે. ‘આપણે’માં ગણાતા લોકોનું વર્તુળ નાનું થતું જાય છે અને લાખો સહનાગરિકોને કાયમી શંકાસ્પદો તરીકે બીબાંમાં પુન: ઢાળવામાં આવે છે. ઍજ્જે નોંધે છે કે આ પથ પર ચાલેલા અન્ય રાષ્ટ્રોના લોકોની માફક સંસ્થાઓ દ્વારા ચીંધેલા આભાસી માર્ગ પર ચાલીને અમૅરિકનો પોતાના ડરને શાંત પાડે છે. એમના ભાવિ દેશને ઓળખવાની એમનામાં હિમ્મત હોતી નથી. ટ્રમ્પના અમૅરિકાના નવા નિયમોનું જો એ લોકો પાલન નહીં કરે તો ટૂંક સમયમાં એમને નાગરિક તરીકે સ્વીકારવામાં આવશે નહીં. એ તો ઠીક છે પણ ઍજ્જે લખે છે કે જો ડોનલ્ડ ટ્રમ્પ, રૅજૅપ ટાઇપ ઍડોવાન, નરેન્દ્ર મોદી, વ્લાદિમીર પુતિન અથવા નાઈજલ ફૅરાજ અદૃશ્ય થઈ જાય તો એમના દ્વારા જોશ ભરેલા કરોડો લોકો હાજર જ હશે અને એવા જ બીજા વ્યક્તિના આદેશોનું પાલન કરવા એટલા જ તત્પર હશે. કમનસીબે અમે જે તુર્કિયેમાં ખૂબ વિનાશક રીતે અનુભવ્યું, તમે રાજકારણની દુનિયાથી દૂર રહેવા મક્કમ હોવ તો પણ બગલિયા તમને શોધી કાઢશે, તમારા અંગત સ્થળમાં, એમનાં મૂલ્યોથી સજ્જ અને એમના જેવા નહીં હોય એમને પાડી દેવા તત્પર રહેશે.
ઍજ્જે : બિલકુલ સાચું. આ બહુ ડરામણું છે. મને ખ્યાલ નથી કેટલા લોકોને ખબર છે, લોકો એટલે સક્રિય રાજકારણમાં પડેલા લોકો, કે આપણે અંત સમયને પહોંચવા આવી ગયા છીએ અને આના ઘણાં કારણો છે. એટલે આ સમય બહાદુર બનવાનો છે, બીજો કોઈ વિકલ્પ નથી. આપણે અમુક નિષેધોને દૂર કરવા પડશે કારણ કે ડૅમોક્રૅટ્સ, ખાસ કરીને યુનાઈટેડ સ્ટેટ્સમાં, અને યુરોપમાં પણ, હજુ શીત યુદ્ધના પ્રચારના પીંજરામાં પુરાયેલા છે. જો આપણે સામાજિક ન્યાયની વાત કરીશું તો એ આપણને સામ્યવાદી કહેશે, સામાજિક અસમાનતાની વાત કરીશું તો સામ્યવાદી જેવા લાગીશું. આ પ્રચાર આપણા રાજકારણમાં, વૈશ્વિક રાજકારણમાં એટલો અગ્ર છે, એટલો પ્રભાવશાળી છે કે ડૅમોક્રૅટ્સ એ લકવામાંથી ઉગરી શક્યા નથી. એટલું હું કહું છું કે શીત યુદ્ધના ભયને ઝાટકી નાખવાની, બહાદુર બનવાની અને ખરા પ્રશ્નોની વાત કરવાની જરૂર છે. ખરો પ્રશ્ન ટ્રમ્પ કે ઍડૉવાન નથી, ખરો પ્રશ્ન છે આપણે સાચા લોકતંત્ર માટે, સાચા સામાજિક ન્યાય માટે વૈશ્વિક હિતસંબંધ કઈ રીતે સ્થાપી શકીએ. આ સૌથી વધુ અંધકારનો સમય છે; પરંતુ ભવિષ્ય માટે એક દર્શન રચવાનો પણ આ સમય છે. આપણે ત્યાં ઘણાં લાંબા સમયથી સુખાવતીઓનો અભાવ રહ્યો છે, આ પ્રકારની વાતચીતનો અભાવ રહ્યો છે. How to lose a Country લખવા પાછળનું આ એક કારણ છે અને Nation of Strangers લખવા પાછળનું પણ આ જ કારણ છે. આપણે કંઈક ગુમાવી રહ્યાં છીએ, ફક્ત રાજકીય, તાત્ત્વિક કે અસ્તિત્ત્વવાદી સ્તરે જ નહીં. હું માનું છું કે ભયથી પોતાને મુક્ત કરવાનો સમય પાકી ગયો છે. અંત સમય, લોકોને આ શબ્દો અંધકારમય લાગે છે પરંતુ એ મુક્તિદાયક પણ છે કારણ કે જે તમામ સંકટો તમે અને મેં જોયા એમાંથી આપણે જાણ્યું છે કે બાબતોને તદ્દન સ્પષ્ટ કરી આપવાની સંકટની આદત છે. તે નરસાને સ્પષ્ટ દેખાડે છે અને સારાને પણ સ્પષ્ટ દેખાડે છે. યુદ્ધો, સંકટો, આ બધાં સ્થળોએ લોકો પોતાને વીર તરીકે દેખાવાની અનુમતિ આપતા હોય છે. આપણે એ સમયમાં હજુ પ્રવેશ્યા જ છે અને હું આશા કરું છું કે લોકોને એ મુકિતનો અનુભવ થાય જેથી એ વીર તરીકે વર્તી શકે. સમજાય એવું છે ને?
હૅજ્જિસ : આવી અભિવ્યક્તિને નિર્દયતાથી કચડી નાખવામાં આવી છે અને હું સવિશેષ એ બહાદુર વિદ્યાર્થીઓને યાદ કરી રહ્યો છું જે માનવસંહારના વિરોધમાં ખડા થઈ ગયા. પડાવો બંધ કરી દેવાયા, અને અમૅરિકાની યુનિવર્સિટીઓમાં માનવસંહાર વિરુદ્ધ અભિવ્યક્તિની સ્વતંત્રતાને જાકારો આપી દેવાયો છે, ઘણાં બધાં વિદ્યાર્થીઓને નિલંબિત કરવામાં આવ્યા, કાઢી મૂકવામાં આવ્યા, કોલંબિયા જેવા કેમ્પસોમાં પોલિસ બોલાવવામાં આવી, બર્બરતાથી એમને કાર્ય કરવા દેવામાં આવ્યા. તમે જર્મનીમાં રહો છો, જર્મનો અભિવ્યક્તિની સ્વતંત્રતાને હણી લેવા કેટલી અતિ કઠોર હદે ગયા છે એની તમને જાણ છે. ત્યારબાદ ટ્રમ્પ છે જે આમૂલ ડાબેરીનું જીવવાનું હરામ કરવાની પેરવીમાં છે. એમણે ઈમીગ્રેશન ઍન્ડ કસ્ટમ્સ ઍનફોર્સમૅન્ટ (ICE) જેવો પોતાનો પૅરા-મિલિટરી ફોર્સ તૈયાર કર્યો છે જેણે હ્યુસ્ટનમાં એક નિ:શસ્ત્ર અમૅરિકન નાગરિકને ગોળીએ ઠાર માર્યો. એટલે જેમ સભાનતા વધી છે તેમ તમે તુર્કિયેમાં જોયું છે એમ દમનના વધુ ને વધુ કઠોર સ્વરૂપો ઊભા થયા છે.