Opinion Magazine
Number of visits: 9949663
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અપેક્ષા                                                 

સરયૂ પરીખ|Opinion - Short Stories|25 June 2026

“આજે સરગમ કેમ હજી આવ્યા નહીં?” અવન્તિકાબહેન ક્યારના સવારની પૂજામાંથી પરવારી સરગમની રાહ જોઈ રહ્યા હતાં. ચાર મહિના પહેલાં અવન્તિકાબહેન નિવૃત્તિ નિવાસમાં આવ્યાં ત્યારે એમનો ચહેરો જોઈને કોઈને ખ્યાલ પણ ના આવે કે આ બહેન કેટલા હસમુખા સ્વભાવના હશે! ભક્તિના નામે રઝળપાટ કરે અને ધાર્મિક ક્રિયાકાંડમાં તન મન અને ધન ખર્ચી નાખે. સાહેબનાં પત્ની તરીકે સુખમય જીવન જીવેલાં.

જ્યારે દીકરો-વહુ ઘરડાઘરમાં મૂકવા આવ્યાં ત્યારે અવન્તિકાબહેન એટલાં ગભરાયેલા હતાં કે આંખના આંસુ પણ સંતાઈ ગયાં હતાં. ઓફિસમાં મિસ. મેનનની રાહ જોતાં બેઠાં હતાં. ત્રણેમાંથી કોણે શું બોલવું એ ખબર નહોતી પડતી. વહુના મનમાં ગુસ્સો અને ધૂંધવાટ ભરેલા હતા, ત્યારે દીકરો મહેશ ક્ષુબ્ધ બની બેઠો હતો. મોટાભાઈ-ભાભીએ તો કહી દીધું હતું, ‘તમને યોગ્ય લાગે એમ કરો. બાને ક્યાં અમારે ત્યાં ફાવે છે?’ મહેશ વિચારે કે હવે બીજો કોઈ ઉપાય નથી. જ્યારે બીજી તરફ અવન્તિકાબહેન મનમાં ગણગણતાં હતાં, ’એમાં મેં શું ખોટું કરેલું? મારી સિત્તેર વર્ષની ઉંમરની પણ કાંઈ માન મર્યાદા નથી રાખતા. ભલે, અજાણી જગ્યામાં નાખી જાવ. મારે કોઈની જરૂર નથી.’ 

મહેશની નજર તેની મા તરફ વળી. ‘કેટલી પાતળી થઈ ગઈ છે પણ માનસિક શક્તિ હજી ઓછી નથી થઈ. જીદ કરવાની આદત ઓછી કરી હોત તો આ દિવસ ના આવત. જ્યારે સુનીલ-સુમનની સલામતીની વાત આવે ત્યારે બાનો બચાવ ક્યાં સુધી થાય!’ દીકરાએ મનથી સહજ પ્રાર્થના કરી કે જરા ગોઠવાઈ જતા બાનો આનંદી સ્વભાવ પાછો આવી જાય.

ડિરેક્ટર મિસ. મેનન આવ્યાં અને જરૂરી કાગળો તૈયાર કરી આપ્યાં. અવન્તિકાબહેનને અહીં શાકાહારી ખોરાક જ આપવામાં આવે છે એ જાણીને શાંતિ થયેલી. સવિતાબહેન આવીને ત્રણેને અંદર લઈ ગયાં. 

રૂમ પાસે પહોંચતા જ હસતો અવાજ સંભળાયો, “હલ્લો, કેમ છો? મારું નામ સરગમ. તમારું નામ?”

“અવન્તિકા,” એમણે ધીમેથી જવાબ આપ્યો.

”મજાનું લાંબુ નામ છે. હું તમને મિસિસ. એન કહું તો વાંધો નથી ને?” 

“ભલે.” અવન્તિકાબહેને રસ વગર જવાબ આપ્યો.

સરગમ તેમને વર્ષોથી જાણતી હોય તેવા ભાવથી એમના દીકરા-વહુને પણ મળી. એમને રૂમ બતાવવા સરગમ પ્રસન્નતાથી વાતચીત કરતી હતી પણ અવન્તિકાબહેનને તો ત્યાંથી ક્યાંય દૂર ભાગી જવાનું મન થતું હતું. મન-મગજનો વાર્તાલાપ તો ચાલુ જ હતો.

‘અરેરે! અહીં તો ભગવાનનું મંદિર પણ નથી. આ જગ્યામાં કોઈ સંતનાં પગલાં પણ નહીં પડ્યાં હોય એવી અપવિત્ર જગ્યામાં મારાથી કેમ રહેવાશે! મારા ઠાકોરજીને અહીં જરા ય નહીં ગમે. આ ઓરડામાં બીજા કોઈ ધર્મિષ્ઠ બહેન હોય તો સારું, જેને છૂતાછૂતનું ભાન હોય.’

“જુઓ બા, આ રૂમ તમને ગમશે.” મીનળ બોલી, “આ ખાટલો ઠીક છે ને? તમારી શાલ બેગમાં મૂકી છે.”
”હા, ઠીક છે.” અવન્તિકાબહેન બોલ્યાં પણ મનમાં વિચારે કે, ‘હવે મીઠાશ બતાવે છે. જે કકળાટ કર્યો હતો તે હું એમ કાંઈ ભૂલી જવાની છું!’

”ધ્યાન રાખજો,” કહીને દીકરો-વહુ જતાં રહ્યાં. અવન્તિકાબહેન એકલા પથારી પર ખબર નહીં કેટલી વાર બેસી રહ્યાં! બે આંખોમાંથી આંસુની ધારા એમના પાલવને ભીંજાવી રહી હતી. નાનાં હતાં ત્યારે એમના બાપુ કહેતા, ”બેનાને તો પાંપણે પાણી.” એ ઉંમરે એમને કલ્પના પણ નહોતી કે પોતે ક્યારેક સિત્તેર વર્ષનાં થશે અને રડતાં રડતાં બાપુને યાદ કરશે! … યાદોની હવા ક્યાંથી ક્યાં લઈ જાય છે!

સવિતાબહેન બોલાવવા આવ્યાં. “મને સરગમબહેને વાત કરી કે તમારું નામ અવન્તિકાબહેન છે. ચાલો ચા પીવા જવાનો સમય થયો છે, આવો છો ને?”

”ચાલો.” એમને સારું લાગ્યું કે રોજની જેમ આજે એકલા એકલા ચા નહીં પીવી પડે. જમવાના રૂમમાં જુદા જુદા ટેબલો ગોઠવેલાં હતાં. એક ખાલી ખુરશીમાં એ બેસી ગયાં. થોડીવાર કોઈએ ધ્યાન આપ્યું નહીં. ચાના કપ આવ્યા એટલે બધાં શાંતિથી ચા પીવા લાગ્યા. અવન્તિકાબહેનને થયું, ’આ ચા તો બહુ ગળી છે. મને પસંદ એવું અહીં મને કંઈ નહી મળે.’ ત્યાં બાજુવાળા બહેન બોલ્યાં, “એ સરગમ! અહીં આવો તો.” સરગમ આવીને અવન્તિકાબહેન પાસે બેઠાં અને પૂછ્યું, “ચા પીધી ને?” અવન્તિકાબહેને માથું નમાવ્યું. 

“હું તમને આ બધાની ઓળખાણ કરાવું.” સરગમ હસીને બોલ્યાં, ”પેસ્તનજી દારૂવાલા, વલ્લભભાઈ ચોરડિયા, વિનયવભાઈ પંડ્યા અને લીલાબહેન. તમે અને લીલાબહેન એક જ રૂમમાં છો.” હવે લીલાબેનના મુખ પર હાસ્ય આવ્યું.

પેસ્તનજી કહે, “સોજ્જો તમો અહીં આયા. તમોને ગમશે.” વલ્લભભાઈએ સંમતિમાં માથું હલાવ્યું.
વિનયભાઈએ પૂછ્યું, “ક્યાંના છો?”

અવન્તિકાબહેન બોલ્યા, ”ભાવનગરની છું. હવે છોકરાઓ મુંબઈમાં ગોઠવાયા તેથી એમની સાથે…” આટલું બોલતા તો એમનું મન વ્યાકુળ થઈ ગયું અને આંખમાંના આંસુને પી જવા હોંઠ મજબૂતાઈથી બંધ કર્યા.

સરગમે ભાવથી એમનાં ખભા પર હાથ મૂક્યો અને બધા સામે જોઈ બોલ્યાં, ”ચાલો રમત ગમતનો સમય થયો છે, તો જઈએ.” મોટા હોલમાં ઘરડાં સભ્યો આમતેમ પોતાની જ દુનિયામાં ખોવાયેલા ફરતાં હતાં. પત્તા રમવાનાં ટેબલ પરથી વિનયભાઈએ પૂછ્યું, “અવન્તિકાબહેન, બ્રીજ રમતાં આવડે છે?”

”હા, થોડું થોડું. થોડા દિવસ પછી પ્રયત્ન કરીશ.” એમણે ઉત્સાહ વગર જવાબ આપ્યો અને એક ખૂણામાં બેસી ગયાં. ક્યારે પૌત્રોની દુનિયામાં પહોંચી ગયાં એનો ખ્યાલ ના રહ્યો. ‘બેઉને નાનપણથી કેટલાં જતનપૂર્વક ઉછેર્યાં! નાનો તો દાદી વગર પાણી પણ ના પીવે. ગર્વ સાથ યાદ આવ્યું, ’અઠવાડિયામાં ચાર વખત છોકરાઓને મંદિર લઈ જાઉં. મીનળ અને મહેશ કીધાં કરે, આ બધી અંધશ્રદ્ધા છે. એમને શું ખબર પડે!’

“અવન્તિકાબહેન, કયાં ખોવાઈ ગયાં છો?” સરગમે વિચાર તંદ્રામાંથી જગાડ્યાં. “તમને પહેલે દિવસે કાંઈ પસંદ નહિ પડે પણ હિંમત નહિ હારતાં, ધીરે ધીરે ગમી જશે. અને આમ તો, જ્યાં રહીએ ત્યાં પ્રેમથી રહીએ તો બધે ગમે.” વિરોધ વંટોળમાં ઘેરાયેલાં મનોભાવ કંઈક બીજું જ સાંભળતા હતાં. ‘મારું કામ હતું ત્યાં સુધી રાખી અને હવે ઘરમાંથી કાઢી મૂકી. માંડ ઘરમાં ધરમ કરમ, પાઠ-પૂજા ચાલુ કર્યા હતા. ઘર કેવું પવિત્ર થાય! બસ હવે તો બધી માંડવાળ. મહેશ કહી ગયો હતો કે એક વરસ નિવૃત્તિનિવાસમાં રહો પછી વિચારશું. આટલા કલાક લાંબા લાગે છે તો વરસ કેમ જશે?’

રૂમમાં આવી અવન્તિકાબહેને બેગ ખોલી વસ્તુઓ ઠેકાણે મૂકવા માંડી. સાડલા ઉપાડ્યા ત્યાં નીચેથી બે ય દીકરાના કુટુંબના અને સુનીલ-સુમનના ફોટા સામે નજર પડી. ‘ફોટા પડાવવા જવાનું હતું ત્યારે વાળ ઓળતા બાળકોએ કેટલી લમણાં ફોડ કરાવેલી! પાંચ વરસનો સુમન અને આઠ વરસનો સુનીલ, પણ હોંશીયારી તો વીસ વરસનાં હોય ને એવી!’ આટલાં વર્ષો એમણે કુટુંબની માયાને સર્વસ્વ માની, એ જ માયાજાળમાં ગુંચવાયેલા રહેલાં. ફરિયાદી મનનો ઊભરો વાણી અને વર્તન દ્વારા બતાવી દેવાનો અને સાથે રડવાનું પણ ખરું. ‘મારું તો કોઈ સાંભળતું જ નથી. હું તો કેટલી સારી છું! કોઈ આશા નથી રાખતી, પણ જુઓ, છે કોઈને મારી દરકાર!’

અકળામણમાં પહેલી રાત તો જેમતેમ પૂરી કરી. બીજે દિવસે લીલાબહેન સાથે બેસીને વાતચીત શરૂ કરી. “તમે અહીં ક્યારથી છો?”

“પાંચ મહિનાથી છું. મને જમણા કાને સંભળાતું નથી. મને વાંચવાનો બહુ શોખ. કેટલીયે ચોપડીઓ વાંચ્યા કરું છુ.” લીલાબહેન પાતળી કાયાને ટટ્ટાર રાખીને બેઠાં હતાં. એમની ધૂનમાં બોલતા હતાં. અવન્તિકાબહેનને ખ્યાલ આવી ગયો કે એમને લાંબા સમયની યાદદાસ્ત નથી રહી. વર્તમાનમાં જે બની રહ્યું છે સમજી શકે છે. ત્યારબાદ એમને સવાલો પૂછી ભૂતકાળમાં લઈ જવાની કોશિશ ન કરી.

લીલાબહેનની દીકરી અનુ મળવા આવી હતી. “મારા બાને સ્ટ્રોક આવ્યો પછી નિવૃત્તિ નિવાસમાં આવવાનો એમનો જ આગ્રહ અને સહકાર હતા જેથી હું નોકરી પર હોઉં કે બહાર ગામ, મારે ચિંતા ન કરવી પડે.” અવન્તિકાબહેન તો આ મા-દીકરીનો સરળ સંબંધ જોઈને છક્ક જ થઈ ગયા. ન કોઈ ફરિયાદ, ન કોઈ હક્ક-માંગણી.

સરગમનો અવાજ આવ્યો, “અંદર આવું?”

“હા, આવોને.” અવન્તિકાબહેને હસીને આવકાર આપ્યો. ”આ જુઓ, મારા દીકરાઓનો પરિવાર અને નાના સુનીલ અને સુમન.” સરગમ રસપૂર્વક ફોટાઓની સામે જોઈ રહી હતી.

અવન્તિકાબહેને આગળ ચલાવ્યું. ”મેં જ આ બેયને મોટા કર્યા, સાચું કહું છું. મીનળ અને મહેશ નોકરી પર ગયાં હોય ત્યારે બે બાળકોની સાચવણી મેં કરી છે. મંદિર લઈ જઈને બાબા ગુરુના આશીર્વાદ લેવડાવ્યા. પણ હોળી ટાણે સુમન માંદો પડ્યો ત્યારે ઠીક ન થયું.”

“શું ઠીક ન થયું?” સરગમે પૂછ્યું.

”મારા હૈયા પર બહુ ભાર થઈ ગયો છે તેથી મારે કો’કને તો કહેવું જ પડશે. તમને કહું પછી તમે જ ન્યાય કરજો.” અવન્તિકાબહેનને એ વાત એટલી મનમાં ઘૂંટાઈ રહી હતી કે હવે બહાર કાઢ્યે જ છૂટકો. ”સુમનને ડોક્ટરે કહ્યું હતું ન્યુમોનિયા થયો છે. મને બાબા ગુરુમાં બહુ શ્રદ્ધા. દવાની ગોળીમાં શું ભલીવાર હોય છે? મેં તો મંત્રેલી રક્ષાથી એને માથે ટીલાં કર્યા. સુમન તો ઊંઘ્યા કરતો હતો તેથી મને થયું કે સારું થઈ જશે … મારા બાબા ગુરુની રક્ષા. પણ, ત્રીજે દાડે સવારથી તબિયત વધુ બગડી અને ડોક્ટરને ઘેર બોલાવવા પડ્યા.

ડોક્ટરે પૂછ્યુ, ”દવાની ગોળીઓ બરાબર આપો છો ને?”

મીનળ કહે, ”સમય વગેરે બધું લખીને બાને ગોળીઓ આપી હતી તે સુમનને ખવડાવતા જ હશે. હમણાં એમને બોલાવીને પૂછું.”

મેં તો હા ના કરતા, બીતાં બીતાં રક્ષાની વાત કરી. ડોક્ટર, મહેશ અને મીનળના ગુસ્સા ભર્યા ચહેરા હજુ મારી નજર સામે ચોંટી ગયા છે. ઈંજેક્શન આપીને ડોક્ટર તો જતા રહ્યા. હું મારા રુમમાં ભરાઈ ગઈ પણ એ દિવસે, હંમેશા શાંત રહેતી મીનળ, અને સાથે મહેશનો અવાજ સાંભળીને હું ધ્રુજી રહી હતી. મહેશનો છેલ્લે બારણાં પાસેથી અવાજ સંભળાયો, ”જે કહેવાનુ હશે તે મારી બાને હું કહીશ, ઓકે! તારે બરાડા પાડવાની જરૂર નથી,” કહીને બહાર જતો રહ્યો.

મહેશ કલાકેક પછી પાછો આવ્યો અને ઉદાસ ચહેરે મારી પાસે બેઠો અને કહે, ”બા! અમે કહીએ છીએ કે અંધશ્રદ્ધા છોડી દો પણ પથ્થર પર પાણી. હવે તમને સંભળાય છે ઓછું, દેખાય છે ઓછું પણ જીદ વધતી જાય છે. દિવસે દિવસે તમારું અહીં રહેવું અશક્ય બનતું જાય છે. મેં ભાઈ સાથે વાત કરી લીધી છે અને તમને નિવૃત્તિ નિવાસમાં મૂકવાનો નિર્ણય લઈ લીધો છે.”

મેં કહ્યુ, “તમને કશી સમજ નથી પડતી. બાબા ગુરુની રક્ષામાં કેટલી શક્તિ છે! ગયા અઠવાડીએ મંત્રેલા પાણીથી જ સુનીલની ઉધરસ મટી ગઈ હતી.”

“હેં! તમે મંત્રેલ પાણી સુનીલને આપેલું?”

“હા! એમાં ખોટું શું છે? તમારી સારી નોકરીઓ મારા મંત્ર જાપથી જ ચાલુ છે.” મને લાગ્યું કે જાણે મહેશને ચક્કર આવી ગયા …. હવે તમે જ કહો સરગમ, મારી વાત સાચી છે ને?”

સરગમ ધીરે ધીરે વિચાર કરતાં બોલી, “તમારી માન્યતાઓને સત્યનું નામ આપો એ બરાબર છે? તમારા ધાર્મિક ક્રિયાકાંડને ભગવાનનું સ્વરૂપ માની લો અને અંધશ્રદ્ધાને સમર્પણ સમજો ત્યારે તમને તો નુકસાન થાય, પણ બીજાને એમાં ઘસડી જવાનો પ્રયત્ન કરો ત્યારે એમને પારાવાર નુકસાન થાય.”

અવન્તિકાબહેન અકળાઈને બોલ્યાં, “મારો ધર્મ મને નાનપણથી એ જ શીખવાડે છે અને હું એ જ રીતે જીવવાની છું. થોડું ભણ્યાં એટલે છોકરાઓ એમ માનવા માંડે કે હું ખોટી છું, એ મારાથી સહન નહીં થાય. મારી વાત એટલે સો ટકા સાચી.”

સરગમ ઠંડકથી બોલ્યાં, ”કશો વાંધો નહિ. આજનો દિવસ સૌથી વધારે અગત્યનો છે. અનુભવોમાંથી કંઈક શીખીને આપણી આજ સુધારવાની છે.”

આ પછી સરગમના સત્સંગમાં અવન્તિકાબહેનના દિવસો પસાર થઈ રહ્યા હતા. સહજ રીતે કહેલી વાત જેમ કે …પૌત્રોને ઉછેરવામાં મદદ કરો તે તો યોગ્ય છે પણ જરૂર કરતાં વધારે મોહ અને વિટંબણામાં પડ્યા કે ખલાસ! ત્યાંથી જાકારો અને ક્લેશ સિવાય કાંઈ હાથમાં ના આવે. 

સુનીલનો કાગળ બતાવી કહે, “જો સરગમ! મેં બે અઠવાડિયા પહેલાં સુનીલના જન્મદિવસે કાગળ લખેલો, એનો કેવો સરસ જવાબ આવ્યો! છોકરાઓ તો સ્કૂલ પછી બાલવાડીમાં જાય છે. મીનળ સાંજે પાંચ વાગે ઘેર લઈ જાય છે. ‘મારા વગર નહીં ચાલે’ એ ભ્રમણા ભાંગી ગઈ.” દિવાળી સમયે બધાં મળવા આવેલાં. મીનળ સાથે સામાન્ય વાતચીત કરેલી પણ બે જણા વચ્ચે દીવાલ ઊભી થઈ ગયેલી એ હજી ખસી નહોતી. 

મીનળે પૂછેલું, “બા, તમને અહીં ગમે તો છે ને?”  …‘ખાલી વિવેક કરવા પૂછ્યું હશે.’ પોતાનો અહમ મીનળની કિંમત કરતાં રોકતો હતો.

લીલાબહેન કહે, “ભૂલકાઓ એની મમ્મી જેવાં મીઠાં છે.” એ સાંભળી અવન્તિકાબહેન મીનળને જુદી દૃષ્ટિથી જોવા લાગ્યાં. એમને થયું કે ઘરમાં આવી સારી વ્યક્તિ છે અને પોતે બહારનાનાં વખાણ કરતા થાકતા નહોતાં.

”લીલાબહેન, એ ઘરમાં આવી ત્યારથી મેં જ એને બધું મારી રીતે શીખવાડ્યું. એમાં કાંઈ ફેર પડે તો મારો પિત્તો જાય.” અવન્તિકાબહેન પોતે જ પોતાની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગયાં. નાની વહુ તરીકે સાસુના આવા શબ્દોને પોતે જુલમ માનતા એ કેમ ભૂલી ગયા? 

આ સાથે સરગમ સાથે થયેલ વાતચીત યાદ આવી. “ઘર સજાવટ તો મારી પસંદગી પ્રમાણે જ થાય. એક વખત મહેશ-મીનળ મને પૂછ્યા વગર ખુરશીઓ લઈ આવ્યાં. મને જરા ય ન ગમી. એની ખોડ ખાંપણ રોજ કહેતી.” 

સરગમ કહે, ”મિસિસ. એન, તમે એ વિચાર કર્યો છે કે એ ઘર મીનળનું હતું કે તમારું! મીનળને એના શોખ મુજબ સજાવટ કરવાની ઇચ્છા નહીં હોય? મન મારીને તમારું માન જાળવ્યું હોય એનો અર્થ એવો કેમ કરી શકાય કે એને કોઈ ઉમંગ નહીં હોય?”

પોતાનો બચાવ જરૂર કરેલો, “પણ મારી પસંદગી એટલી સરસ કે બધા વખાણ કરે.”

ઘણીવાર કચવાટ પછી મીનળ જ કહેતી કે, “બા કહે એમ કરો.” હવે એમને ખ્યાલ આવે છે કે, “… જેથી શાંતિ થાય.” જુદા રહેતા દીકરાની વહુએ તો પહેલેથી જ એટલો ઠંડો સંબંધ રાખ્યો હતો કે એની પાસેથી કોઈ અપેક્ષા રાખી નહોતી. પ્રસંગે આવીને મળી જાય એટલે બસ પત્યું. યાદ પણ નહોતું આવતું કે મોટાને ઘેર જમવા ક્યારે ગયા હતા!

મીનળ જે ખરીદી કરીને લાવે એ વિષે પોતાને દર વખતે ‘આ તો સારુ નથી, પૈસા વેડફાઈ ગયા,’ વગેરે બોલવાનું હોય જ. મનમાં થાય કે એ કમાય છે તેથી છૂટથી પૈસા વાપરે છે જ્યારે પોતાને દર વખત પતિની ‘હા’ થાય પછી જ કંઈક ખરીદી થતી. આખી જિંદગી પૈસા બાબત બીજાના અંકુશનો અનુભવ મીનળ તરફ દ્વેષભાવ લાવતો, એ આજે સમજાય છે.

હવે નિવૃત્તિ નિવાસમાં આવ્યે વરસ થવા આવ્યું હતું. અવન્તિકાબહેને હળવા મનથી મીનળને કગળ લખ્યો. “પોતાના વિચારોને બીજા પર ઠોકી બેસાડવાના મારા સ્વભાવની મને હવે જાણ થઈ. સરગમના મીઠા, ટૂંકા વચનો હજી મને સારે રસ્તે દોરે છે. ધર્મમાં પૂજાપાઠ વગેરે જરૂરી છે પણ એ જ ધર્મ છે એમ માનીને આખી જિંદગી જીવવી એ કેટલી મોટી ભૂલ છે! હું બહારના પાછળ દોડતી અને મારા ઘરની વ્યક્તિને ઓળખવાની દરકાર નહોતી કરતી. દીકરી! તું તો મારા ઘરની  લક્ષ્મી  છે એ વાતની આજે કબૂલાત કરું છું. ક્યારેક તારી માફી માંગવા જેટલી નમ્રતા પણ આવશે. જય શ્રીક્રૃષ્ણ.”

ઉમંગભર્યો જવાબ આવ્યો. “બા, હવે વરસ થવા આવ્યું. અમે તમને આવતા અઠવાડિયે લેવા આવશું.” 

સુનીલ-સુમન દોડતાં આવી દાદીને વળગી પડ્યાં. મીનળ બોલી, ”બા! અમે તમને લેવા આવ્યા છીએ. મારી આટલાં વર્ષોમાં જે ભૂલચૂક થઈ હોય તે માફ કરજો.” અવન્તિકાબહેન મીનળની નમ્રતાથી દ્રવિત થઈ ગયા. 

મહેશ કહે, “ચાલો બેગ લઈ આવું.”

અવન્તિકાબહેન કહે, ”બેટા, અહીં બેસ. મારી વાત સાંભળ. મને હવે અહીં ગોઠી ગયું છે. મને એ વાતનો આનંદ છે કે મારે જરૂર પડશે ત્યારે દીકરા-વહુનું ઘર સદાય આવકાર આપશે.” વિદાય આપી સ્મિત સાથે નિવૃત્તિ નિવાસની પ્રવૃત્તિમાં જોડાવા અંદર જતાં ગાતાં હતાં.

           પ્રભુ મારી  આશા નહિવત કરજે,
            પ્રભુ મારી અપેક્ષા નિર્મૂળ કરજે.

સાથે સૂર પુરાવતી સરગમ સંભળાઈ …

”સુખી કરીને સુખી થવાની એક અજબ એ ચાવી,
        જરી તરી નહીં કોઈ અપેક્ષા ‘સરયૂ’ સંસારીની.”

——-

e.mail : saryuparikh@yahoo.com  
www.saryu.wordpress.com

Loading

જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|25 June 2026

વિશ્લેષણ −

કટોકટીનો મામલો તત્ત્વતઃ સત્તા વિ. જનતાનો હતો

ચૂંટણીના સઘળા તામઝામ અને શોર વચાળે આપણે ‘ઇલેક્ટોરલ ડેમોક્રસી’ ભણી જઈ રહ્યા છીએ … નકો નકો વિપક્ષ ને હકો હકો સત્તાપક્ષ ! 

પ્રકાશ ન. શાહ

એક ઓર સંવિધાન હત્યા દિવસ … અને તે પણ દોમ દોમ ગેઝેટેડ! વાત તો દેખીતી રીતે ઠીક જ છે કે પ્રજાસત્તાક ભારતે ટાળવી જોઈતી એક ઇતિહાસચૂક એ હતી. જયપ્રકાશ આદિના પુણ્યપ્રતાપે અને સંજય ગાંધીને લાંઘી જઈ ઇન્દિરા ગાંધીએ જાહેર કરેલી ચૂંટણીની તકે લોકશાહીની ગાડીને પાટે ચડાવી, એનો ઇતિહાસબોધ ભલે દૂઝતા જખમ પેઠે યાદ પણ રહેવો જોઈએ. 1975ના જૂનની 12મીએ અલાહાબાદ – અમદાવાદના ચુકાદાઓ પછી (વ્યક્તિગત સત્તાબચાવની રીતે) ઇંદિરા ગાંધીએ કટોકટીનો રાહ લીધો એમ કહેવામાં ખોટું નથી. પણ કટોકટીરાજનો વિકલ્પ તો છ મહિના પહેલાં વિચારાઈ ચૂક્યો હતો. એ વિગત લક્ષમાં લઈએ ત્યારે સામે આવતું ચિત્ર સત્તામાનસનું છે. જ્યારે જયપ્રકાશે રાષ્ટ્રકવિ દિનકરને ટાંક્યા કે સિંહાસન ખાલી કરો, જનતા આતી હૈ ત્યારે એ મામલો ઇંદિરા વિ. જયપ્રકાશનો નહીં પણ તત્ત્વતઃ સત્તા વિ. જનતાનો હતો. 

મુદ્દે, સત્તા વિ. જનતાનો ચિરમહત્ત્વનો બુનિયાદી મુદ્દો લક્ષમાં લઈએ છીએ ત્યારે 25મી જૂનને, હાલની કાઁગ્રેસ સામે હાલના ભા.જ.પ.ના સંઘર્ષમાં સીમિત કરવો તે એક ગંભીર ઇતિહાસચૂક બની રહેશે. માર્ચ 1977ના ચૂંટણીચુકાદા સાથે જનતા પક્ષે (જેમાં જનસંઘ પણ અંગભૂત હતો) બંધારણીય સુધારા વાટે ઇંદિરાઇ દરમિયાનની બંધારણીય તોડમરોડને દુરસ્ત કરી હતી, એ યાદ રાખવું રહે છે તો સાથે સાથે જે જોડી (વાજપેયી-અડવાણી) ત્યારે જનસંઘમાં શીર્ષસ્થાને હતી તે પૈકી અડવાણીનાં એ રેકોર્ડડ ઉદ્દગારો પણ યાદ રાખવાપણું છે કે આ દુરસ્તી છતાં નવેસર કટોકટી ન જ આવી શકે એમ હું માનતો નથી. (આ એમના 2015ના ઉદ્દગારો હતા.) 

અડવાણીની આ યાદગાર કેફિયત અને નુક્તેચીનીના ઉજાસમાં મોદી ભા.જ.પ.નાં બાર વરસ સરકારી જાહેરખબરોની આરપાર, વિકાસની આવકને લાંઘી જતી જાxખ જાવકની આરપાર, તપાસીએ તો શું સમજાય છે? ઇંદિરા ગાંધીએ કર્યા હતાં એવા વ્યક્તિગત સત્તાટકાઉ બંધારણીય સુધારાઓ વગર ચાલી શક્તિ સેન્સરશાહી એ એનો એક નાદર નમૂનો છે. પણ તે તો આખા ઘટનાક્રમનું એકદશાંશમું ટોચકું માત્ર છે. ચૂંટણી કમિશનરની નિમણૂકમાં દેશના વડા ન્યાયમૂર્તિને બાકાત રખાયા એવા અનેક દાખલા, સરકારી મનમુરાદશાહીના તમને મળશે. જો કે, પુણ્યાત્માના ઊંડાણ તો આભ જેવાં અગાધ રહ્યાં, અહીં એની શું તપસીલ આપી શકું!

સીમાંકન અને મતાંકનનો સત્તાવ્યૂહ પણ બારીકીથી તપાસવો રહે છે. ‘સર’ બાબતે રાહુલ ગાંધીએ કરેલ અભ્યાસમંડિત પર્દાફાશ લક્ષમાં નહીં લેવાતાં વિપક્ષોમાં શું ખોટું તે નજર સામે છે. તૃણમૂલ – આપ – શિવ સેના, સૌને ફડચામાં લઈ શકતી સત્તાપેરવી નજર સામે છે. વન નેશન, વન ઇલેક્શન પ્રકારનાં નારાઓ કેન્દ્રીય સત્તા તરફે બુલડોઝરી કુમક પૂરી પાડી શકે તેમ છે. જે બધા અધિકારો માટે વિપક્ષ 1975-77માં લડ્યો, એ દરેકનું સંકોચન કરવામાં મોદી ભા.જ.પે. ખંગ મનમોહનસિંહના વારામાં સોનિયા ગાંધીની સલાહકાર સમિતિના સૂચનથી જે લોકલક્ષી સુધારજોગવાઈઓ થઈ તે છેલ્લાં બાર વરસમાં સરેઆમ ટુંપાતી રહી છે. માહિતી અધિકારનું સંકોચન એ રીતે તપાસવા જેવું છે. 

1977-78માં આપણે જ્યારે લોકશાહીને ફેરચાલતી કરવામાં પ્રજાસૂય પડકારમાંથી પસાર થઈ રહ્યા હતા એ જ અરસામાં સમાજવિદ્યાઓના શીર્ષ અભ્યાસી જુઆમાં લિન્ઝનો ‘ધ બ્રેકડાઉન ઑફ ડેમોક્રેટિક રેજિમ્સ’ જેવો નોંધપાત્ર અભ્યાસગ્રંથ પ્રગટ થયો હતો જેમાં એમણે ‘નિર્વાચિત મુખત્યારશાહી’(‘ઇલેક્ટેડ ઑટોક્રસી’)ની નવી પરિસ્થિતિ તરફ ધ્યાન ખેંચ્યું હતું. ચૂંટણી જેવા ઉપચારો ચાલ્યા કરે, પણ સરવાળે કેન્દ્રીય સત્તાપક્ષ તરફે નકો નકો વિપક્ષની સ્થિતિ સરજાયેલી હોય. સહેલો દાખલો આપવો  હોય તો વર્ગમાં એક જ વિદ્યાર્થી હોય અને એ પહેલે નંબરે આવે, એવું કાંક.

‘ઇન્ડિયા’ની બેઠકનું રાહુલ ગાંધીનું જે વક્તવ્ય પછીથી બહાર આવ્યું એમાં એમણે લોકશાહી પ્રતિકાર પર ‘રેઝિસ્ટન્સ મોડ’ પર, રહેવાની જરૂરત ઘૂંટી હતી તેમાં પ્રાયોજિત ચૂંટણી ચકરાવાથી ઉફરાટે ચાલવાની જિકર હતી એ આ પચાસીએ કાળજે ધરવા જોગ એક બુનિયાદી બોધપાઠ ખસૂસ છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 24 જૂન 2026

Loading

આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!

ચંદુ મહેરિયા|Opinion - Opinion|24 June 2026

ચંદુ મહેરિયા

ગયા મહિને જ પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી થઈ હતી. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરલમ્‌, અસમ અને પુડુચેરીમાં નવી વિધાનસભાઓની રચના થઈ ગઈ છે અને મુખ્ય મંત્રી સહિતના પ્રધાનમંડળોએ કાર્યભાર સંભાળી લીધો છે. પરંતુ આ પાંચમાંથી એક પણ રાજ્યના મુખ્ય મંત્રી તરીકે કોઈ દલિતની પસંદગી થઈ નથી. આ રાજ્યોમાં દલિતોના વોટ નિર્ણાયક હતા અને પશ્ચિમ બંગાળમાં તો દલિતોની વસ્તીનું પ્રમાણ ખૂબ મોટું છે. તેમ છતાં કોઈ દલિતને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા નથી. આઝાદીના પંચોતેર વરસો પછી દેશમાં માંડ આઠ જ દલિત રાજનેતાઓએ મુખ્ય મંત્રીની જવાબદારી સંભાળી છે. તે પૈકી એકને છોડીને કોઈએ પાંચ વરસના કાર્યકાળ માટે તો મુખ્ય મંત્રીનું પદ શોભાવ્યું નથી. 

છેલ્લે પંજાબમાં ચરણજીતસિંહ ચન્ની(જન્મ ૧૯૬૩)ને સપ્ટેમ્બર ૨૦૨૧થી માર્ચ-૨૦૨૨ના સમયગાળા માટે મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા.એટલે છેલ્લાં પાંચ વરસોથી દેશના એક પણ રાજ્યમાં દલિત મુખ્ય મંત્રી નથી. ૨૦૧૧ની છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે દેશમાં દલિતોની વસ્તી ૨૦.૧૪ કરોડ હતી. જે કુલ વસ્તીના ૧૬.૬ ટકા હતી. તે પછી વસ્તી ગણતરી થઈ નથી. પરંતુ ૨૦૧૧ પ્રમાણેના ૨૧ કરોડ દલિતોના આટલા મોટા સમૂહને પોણી સદીની સ્વતંત્રતા બાદ માત્ર આઠ જ દલિતો મુખ્ય મંત્રી તરીકે મળ્યા હોય તે ચિંતાજનક અને શોચનીય છે. 

રાજ્યના મુખ્ય મંત્રીનું સર્વોચ્ચ પદ હાંસલ કરનાર પહેલા દલિત રાજનેતા દામોદરમ્‌ સંજીવૈયા (૧૯૨૧-૧૯૭૨) હતા. તેઓ ૧૯૬૦ થી ૧૯૬૨ના ગાળામાં અવિભાજિત આંધ્ર પ્રદેશના  મુખ્ય મંત્રી હતા. તેઓ સ્વતંત્રતા સેનાની અને વરિષ્ઠ કાઁગ્રેસી હતા. આંધ્ર કાઁગ્રેસના  પ્રદેશ પ્રમુખ તો તેઓ હતા જ બે વાર કાઁગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બન્યા હતા. ૧૯૫૭માં તેઓ આંધ્ર કાઁગ્રેસના પ્રદેશ પ્રમુખ હતા ત્યારે થયેલી વિધાનસભા ચૂંટણીમાં કાઁગ્રેસે ૩૦૧માંથી ૧૮૭ બેઠકો પર વિજ્ય મેળવ્યો હતો. પરંતુ મુખ્ય મત્રી નીલમ સંજીવ રેડ્ડીને બનાવવામાં આવ્યા હતા. જૂથવાદ અને કાઁગ્રેસના ભાગલા પછી એ જ ટર્મમાં તેઓ મુખ્ય મંત્રી બન્યા હતા. તેઓ જાન્યુઆરી ૧૯૬૦ થી માર્ચ ૧૯૬૨ સુધી મુખ્ય મંત્રી હતા. તેમણે વૃદ્ધાવસ્થા પેન્શન યોજના શરૂ કરી હતી. ૩૯ વરસની નાની વયે પહેલા દલિત મુખ્ય મંત્રી બનેલા સંજીવૈયા ૫૧ વરસની ઉમરે અવસાન પામ્યા હતા. 

દેશના પહેલા દલિત મહિલા મુખ્ય મંત્રી બનવાનું માન માયાવતી(જન્મ ૧૯૫૬)ને જાય છે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટીના નેત્રી માયાવતી ચાર વખત મુખ્ય પ્રધાન બન્યા હતા. ૧૯૯૫, ૧૯૯૭ અને ૨૦૦૨માં તેઓ સમાજવાદી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના સમર્થનથી મુખ્ય મંત્રી બન્યા હતા. પરંતુ ૨૦૦૭માં તેમણે એકલા હાથે વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મેળવી હતી અને પૂરા પાંચ વરસ (૨૦૦૭ થી ૨૦૧૨)  યુ.પી.ના સી.એમ. પદે વિરાજ્યા હતા. લગભગ ૨૧ ટકા દલિત વસ્તીના આ રાજ્યમાં પોતાની રાજવટ દરમિયાન માયાવતીએ કાયદો અને વ્યવસ્થા સ્થાપ્યાં હતાં. દલિત ઉત્થાન અને દલિત સ્મારકો માટે તેમના કાર્યકાળને યાદ કરાય છે. જો કે તે પછીનાં વરસોમાં તેઓ ચૂંટણીમાં સારો દેખાવ કરી શક્યાં નથી. 

દલિત મુખ્ય મંત્રીની બાબતમાં  બિહારનો ઇતિહાસ સમૃદ્ધ પણ છે અને કલંકિત પણ છે. દેશના આઠ દલિત મુખ્ય મંત્રીઓમાંથી ત્રણ તો બિહારના છે. ભોલા પાસવાન શાસ્ત્રી ( ૧૯૧૪-૧૯૮૪), રામસુંદર દાસ ( ૧૯૨૧- ૨૦૧૫) અને જીતનરામ માંઝી( જન્મ ૧૯૪૪) – એ ત્રણ દલિત રાજનેતાઓ બિહારના મુખ્ય મંત્રી બન્યા હતા. પણ એકેયને પૂરી પાંચ વરસની મુદ્દત આપી નહોતી. સંજોગોએ તેમને મુખ્ય મંત્રીની ગાદીએ બેસાડ્યા હતા. ભોલા પાસવાન શાસ્ત્રી ૧૯૬૮ થી ૭૨ દરમિયાન ત્રણ વખત મુખ્ય મંત્રીની ખુરશી પર બેઠા હતા. પહેલીવાર ૯૧ દિવસ, બીજીવાર ૧૩ દિવસ અને ત્રીજીવાર ૨૨૨ દિવસ તેઓ મુખ્ય પ્રધાન રહ્યા હતા. બહુમતીનો અભાવ અને ગઠબંધન સરકારોએ તેમને લાંબો સમય ગાદીએ ટકવા દીધા નહોતા.

‘ક્વીટ ઇન્ડિયા મુવમેન્ટ’માં ભાગ લેવા કોલેજ છોડી જાહેરજીવનમાં આવેલા રામસુંદર દાસને કર્પુરી ઠાકુરે ઓ.બી.સી. અનામત લાગુ પાડતા પક્ષમાં સર્જાયેલ જૂથવાદ પછી ૧૯૭૯-૮૦માં  સી.એમ.ની ગાદી મળી હતી. બિહારના છેલ્લા દલિત મુખ્ય પ્રધાન જીતનરામ માંઝી છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં જનતા દળ (યુ)ના ધબડકાની જવાબદારી સ્વીકારીને નીતિશ કુમારે મહાદલિત મુસહર જ્ઞાતિના માંઝીને મુખ્ય મંત્રી બનાવ્યા હતા.દસ મહિના પછી તેમને નીતિશ કુમાર માટે મુખ્ય મંત્રીની ખુરશી ખાલી કરવા કહેવામાં આવ્યું. તો માંઝી કહ્યાગરા મુખ્ય મંત્રી બનવાને બદલે હોદ્દો છોડવા નામકર ગયા એટલે પક્ષે તેમને તગેડી મૂક્યા હતા. મીરા કુમાર અને રામવિલાસ પાસવાન ક્ષમતા છતાં સી.એમ. બની ન શક્યાં. ભલે આજે ચિરાગ પાસવાન બિહારનું ભવિષ્ય કહેવાતા હોય પણ માંઝી પછી બિહારમાં દલિત મુખ્ય મંત્રી વગરનો.એક દાયકો વીત્યો છે. 

રાજસ્થાનના જગન્નાથ પહાડિયા (૧૯૩૨-૨૦૨૧) છેક નહેરુના વારાથી કાઁગ્રેસમાં હતા. અને નહેરુ-ગાંધી પરિવારના નજદિકી હતા. સંજય ગાંધીના ચહેતા તરીકે તેઓ જૂન-૧૯૮૦ થી જુલાઈ ૧૯૮૧ના ૧૩ મહિના માટે મુખ્ય મંત્રી બન્યા હતા. પંત પ્રધાન કાળમાં દારુબંધી લાદવાની સિદ્ધિ તેમના નામે છે. મહારાષ્ટ્રમાં સુશીલ કુમાર શિંદે (જન્મ-૧૯૪૧) પણ કાઁગ્રેસના જૂથવાદના ઉગાર તરીકે જાન્યુઆરી ૨૦૦૩ થી નવેમ્બર ૨૦૦૪ના બે એક વરસ માટે મુખ્ય મંત્રી બન્યા હતા. તેમના મુખ્ય મંત્રી કાળ દરમિયાન જ વિધાનસભા ચૂંટણીઓ થઈ હતી. કાઁગ્રેસનો વિજય થયો પણ તેમને ફરી મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા નહોતા. પંજાબમાં ચન્નીને પણ રાજકીય વ્યૂહનીતિના ભાગરૂપે થોડા મહિના મુખ્ય મંત્રી બનાવવાનું નાટક કાઁગ્રેસે કર્યું હતું. 

જે છ રાજ્યોમાં દલિતોને મુખ્ય મંત્રી બનાવ્યા હતા તેમાં માયાવતીના અપવાદ સિવાય બધા ટૂંકા ગાળા માટે અને રાજનીતિના ભાગ તરીકે બનાવ્યા હતા. આ મુખ્ય મંત્રીઓમાં ૧૯૧૪માં જન્મેલા ભોલા પાસવાન શાસ્ત્રી અને ૧૯૬૩માં જન્મેલા ચરણજીત ચન્ની છે. ૧૯૪૭ પૂર્વે જન્મેલા દલિત મુખ્ય મંત્રીઓએ આઝાદી આંદોલનમાં સક્રિય યોગદાન આપ્યું હતું. તમામ આઠેય દલિત મુખ્ય મંત્રીઓએ ડો.આંબેડકરનો શિક્ષિત બનોનો મંત્ર આત્મસાત કર્યો હતો. તમામ કોલેજ-યુનિવર્સિટી શિક્ષણ પામેલા હતા. ભોલા પાસવાન શાસ્ત્રી તેમની વિદ્વતાને લીધે શાસ્ત્રી કહેવાતા હતા. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીની સંસ્કૃતમાં શાસ્ત્રીની ડિગ્રી મેળવી હતી. એમ બી.એ. થયેલા ચન્ની મુખ્ય મંત્રી બન્યા ત્યારે પી.એચડી. કરતા હતા. કેટલાક સીધા જ રાજકારણમાં પ્રવેશ્યા નહોતા. પરંતુ સરકારી નોકરી કરતા હતા. એક પણ મુખ્ય મંત્રી પાસે રાજકીય વારસો નહોતો. હવે  કેટલાકે પોતાના સંતાનોને રાજકારણમાં ઉતાર્યા છે ખરા. દલિત મુખ્ય મંત્રી થવાથી દલિતોને સામાજિક ન્યાય મળે છે અને રાજકીય સશક્તિકરણ  થાય છે તેનો દાખલો માયાવતીનો કાર્યકાળ છે. જો કે તે રીપિટ થઈ શક્યો નથી.

દલિત રાજનીતિની ગૂંજ અને દલિત વોટબેન્કની કાગારોળ વચ્ચે ૭૫ વરસોમાં અલ્પ દલિત મુખ્ય મંત્રીઓ થવા તે દલિતો અને રાજકીય પક્ષો માટે પડકાર છે. દલિતોને મુખ્ય મંત્રીના પદથી અળગા રાખવા તે લોકશાહીની સૌથી અનુત્તરિત ચેલેન્જ છે. ડી. સંજીવૈયા કાઁગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ અને મુખ્ય મંત્રી થયા હતા.આજે મલ્લિકાર્જુન ખરગે માટે તે શક્ય નથી. કાઁગ્રેસ પ્રમુખ ખરગે કર્ણાટકના મુખ્ય મંત્રી બની શકતા નથી તે આજના ભારતીય રાજકારણની વાસ્તવિકતા છે. 

રાજકીય પક્ષો પ્રતીક રૂપે થોડા સમય માટે દલિત મુખ્ય મંત્રીનો ખેલ પાડે તો કેવું પરિણામ આવી શકે તે કાઁગ્રેસે પંજાબમાં જોયું છે. ૨૦૦૭ થી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાતા ચન્ની સી.એમ. બનીને બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા અને બંને પરથી હાર્યા હતા. તે દર્શાવે છે કે પંજાબનો કથિત ઉજળિયાત જ નહીં દલિત મતદાર પણ આ નિર્ણયથી ખુશ નહોતો. દલિતોને સી.એમ. બનાવવામાં કાં તો ઉપેક્ષા થાય છે કાં તો ટોકન તરીકે બનાવાય છે તે સત્ય લોકો સમજી ગયા છે. 

ભારતમાં પંચાયત-પાલિકામાં ટોચના પદે અનામત વર્ગના પ્રતિનિધિત્વના અભાવનો ઉકેલ તેમાં અનામત દાખલ કરીને કાઢવામાં આવ્યો છે પરંતુ મુખ્ય મંત્રી કે વડા પ્રધાન માટે આવી અનામત નથી. એટલે દલિતો મોભાદાર પણ સત્તા વગરના રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના પદ પામે છે પણ વડા પ્રધાન કે મુખ્ય મંત્રી થઈ શકતા નથી. 

જો કોઈ મહાનગરનો મેયર દલિત બને અને દલિતના નળમાં પાણી ના આવે કે તેમના ઝૂંપડા પર બુલડોઝર ફરે તો તેના મેયર બનવાનો શો અર્થ? એમ શું દલિતના સી.એમ. બનવાથી કશો ફેર પડે? રાજકીય સત્તા બધી સત્તાઓની જનની કહેવાતી હોય તો માયાવતીની જેમ પોતાના દમ પર પાંચ વરસના પૂર્ણ કાર્યકાળ માટે કામ કરી શકે તેવી બહુમતી મળે તો કદાચ દલિત મુખ્ય મંત્રી દલિતોના દળદર ફેડી શકે.

e.mail : maheriyachandu@gmail.com 

 

Loading

1234...102030...

Search by

Opinion

  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …
  • મોહેં-જો-દડોની ‘ડાન્સિંગ ગર્લ’: 4500 વર્ષથી યથાવત્ હતી, 21મી સદીએ તેને ‘સુધારી’?
  • ચલ મન મુંબઈ નગરી—346

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved