Opinion Magazine
Opinion Magazine
Number of visits: 8397346
  • Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
  • About us
    • Launch
    • Digitisation
    • Opinion Online Team
    • Contact Us

ડાયસ્પોરાને નામે ભળતું જ લખાય છે 

પ્રીતમ લખલાણી|Diaspora - Features|16 August 2022

આજે મોટા ભાગના સર્જકો અને પ્રાઘ્યાપક મિત્રોને ખબર નથી કે ડાયસ્પોરા એટલે શું? ડાયસ્પોરાનો અર્થ સમજ્યા વગર આપણે ડાયસ્પોરાના નામે ઢોલ નગારા જોર જોરથી પીટ્યે રાખીએ છીએ તે ખરેખર કેટલું યોગ્ય છે?

અમેરિકામાં વસતાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીને આપણે ડાયસ્પોરા પ્રજા ક‌ઈ રીતે કહી શકીએ? તે પણ એક મોટો સમજવા જેવો સવાલ છે. અમેરિકામાં મોટાભાગના ભારતીયો /ગુજરાતીઓએ સ્વેચ્છાએ પોતાનું વતન છોડી દેશવટો લીઘો છે. અમેરિકામાં સ્થાયી થયેલાં આપણા ઘણાં ખરાં ભારતીયો અંગત સ્વાર્થ અને ઉત્કર્ષ માટે પોતાનું વતન – દેશ છોડીને અમેરિકામાં આવીને વસ્યાં છે.

ડાયસ્પોરા મૂળ આપણને તેમ જ વિશ્વને યહૂદી શબ્દકોશમાંથી પ્રાપ્ત થયેલો શબ્દ છે. કોઈ કાળે “યહૂદી પ્રજાને પોતાના વતનમાંથી હકાલપટ્ટી કરવામાં આવેલ. પોતાનું પ્યારું વતન છૂટી જવાને કારણ સ્થળાંતર કરીને હજારો માઈલ દૂર અજાણ્યા બીજા પ્રદેશમા જઈને વસેલ યહૂદી પ્રજાનાં હ્રદયમાં પેદા થયેલો વતન ઝૂરાપો, પ્રત્યેક ક્ષણે હ્રદય મનને સતાવતો અતિત રાગને કારણે તેમની કલમથી સરજાયેલું સાહિત્ય એટલે ડાયસ્પોરા સાહિત્ય. આ વાત ફકત યહૂદી પ્રજા માટે લાગુ નથી પડતી, પણ કોઈ પણ વ્યક્તિને કે પ્રજાને ઘર્મ, ભાષા, સંસ્કૃતિ કે રાજકીય એવા કોઈ પણ કારણ કે બહાના હેઠળ પોતાનું વતન/દેશ છોડી સ્થળાંતર કરવું પડે, ત્યારે તે પ્રજાના કે વ્યક્તિના હ્રદય મનમાં જે વતન ઝૂરાપો હોય અને તે પીડા દર્દ કાગળ પર ઉતરે તેને ડાયસ્પોરા સાહિત્ય કહેવાય.

અમેરિકા, વિલાયતમાં વસેલ ભારતીયોનો ગુજરાતીના નવ વસાહતમાં ડોલર રળવા સિવાયનો બીજી કોઈ પારાવાર વેદના અને ગૌરવ-ગાથાનો સંઘર્ષ કેટલો? વતનથી દૂર થઈ જવું અને પરાયા દેશમાં પોતાના વતન અને સંસ્કૃતિનાં મૂળ રોપી રાખવાં, કોઈ એક દિવસ વતન પાછા ફરવાની ઝંખના, બીજા દેશમાં મનની વેદના સાથે પ્રત્યેક ક્ષણે જીવવું, આ બઘો ઝૂરાપો એટએ ડાયસ્પોરા! વર્તમાનમાં પોતાનું વતન છોડી બીજા દેશમાં સ્થાયી થવા સંઘર્ષ કરતી અફઘાની પ્રજા જે કોઈ દેશમાં સ્થાયી થશે અને બે પાંચ વરસે તેમનાં હ્રદય મનમાંથી વતન/પરિવારના ઝૂરાપામાંથી જે સાહિત્ય રચાશે તેને ડાયસ્પોરા સાહિત્ય કહેવાશે.

ભારતમાં વરસો પહેલાં, સંજાણ બંદરે ઘર્મ અને પોતાની સંસ્કૃતિને બચાવવા આવેલ ઈરાની પ્રજા તેમ જ દેશના વિભાજન વખતે એટલે ૧૯૪૭માં સીંઘ/પંજાબ છોડી ભારત આવેલ સીંઘી/પંજાબી પ્રજા ડાયસ્પોરા પ્રજા કહેવાય. .. ૧૯૪૭માં દેશના ભાગલા પડ્યાં ત્યારે ઘણાં હિંદુ પરિવારો સ્થળાતર કરી ભારત આવ્યાં અને ઘણાં મુસ્લિમ પરિવારો ભારતથી પાકિસ્તાન ચાલ્યાં ગયાં. આ ગાળામાં આદિલ મન્સૂરીનો પરિવાર પણ ભારત છોડીને પાકિસ્તાનમાં કાયમ માટે કરાંચીમાં સ્થાયી થવા ચાલ્યો ગયો હતો, પરંતુ બે પાંચ વરસ આદિલભાઈનો પરિવાર પાકિસ્તાન રહ્યો, પણ તેમને પાકિસ્તાનની આબોહવા કે વાતાવરણ માફક ન આવતાં, તેમનો પરિવાર પાછો હિંદુસ્તાનમાં અમદાવાદ આવી ગયો અને ભારતમાં બીજા ભારતીય મુસ્લિમ પરિવારની જેમ ખુશી સાથે રહેવાં લાગ્યો. તે ગાળામાં નાગરિકતાની કે પાસપોર્ટ જેવી કોઈ માથાઝીક હતી નહીં. ૧૯૬૫માં ભારત પાકિસ્તાનનું ફરી એકવાર યુદ્ધ થયું, અને બને દેશની પ્રજા વચ્ચે તણાવ વઘવા માંડયો. ભારતમાં બિન કાયદેસર વસતા પાકિસ્તાની પરિવારોને તાત્કાલિક ભારત છોડવાનું ફરમાન થયું. તેમાં આદિલ મન્સૂરી તેમ જ તેના પરિવારને ભારત છોડવો પડે તેવી હાલતનું નિર્માણ થયું. આદિલ અને તેના પરિવારને ભારત છોડી બીજા પરાયા દેશમાં જવું પડશે તેનું દુઃખ દર્દ આદિલ તેમ જ તેના પરિવારને રાત દિવસ સતાવતું હતું. આદિલને ભારત દેશ રાખવા તૈયાર નહોતો, કારણ કે તેઓ ભારતના કાયદેસરના નાગરિક નહોતા, અને સરહદ પારનો દેશ આદિલને તેમ જ તેનાં પરિવારને સંઘરવા તૈયાર નહોતો કારણ કે આદિલ અને તેનો પરિવાર ભારત પાછા આવ્યા ત્યારે પાકિસ્તાનનું નાગરિકત્વ મેળવ્યા વિના પાકિસ્તાન છોડીને ભારત આવી ગયા હતા. હવે કરવુ શું? આંતરરાષ્ટ્રિય કાયદા પ્રમાણે જે દેશ તેમને રાખવા તૈયાર થાય તે દેશમાં તેમને જવું પડે તેવી હાલત તેમના માટે કારણ વિના સર્જાણી, અને તેઓ બીજું કશું કરી શકે તેમ પણ નહોતા.

રોજની જેમ એક સાંજે આદિલ ભઠ્ઠિયારી ગલીમાંથી ચીનુ મોદી, લાભશંકર ઠાકર અને મનહર મોદીને મળીને દુઃખી મને ઘરે પાછા ફરતા હતા, ત્યારે આદિલને ઘર તરફ જતા જોઈ રોજનો પરિચિત શેરીનો એક કૂતરો આદિલની આગળ પાછળ ફરવા માંડયો. આ કૂતરા સાથે આદિલને ઘણાં વરસોથી લગાવ હતો. રોજ શેરીમાંથી આવતા જતા આદિલ આ કૂતરાને બે ચાર ગ્લુકોસઝ બિસ્કીટ નાંખે. આજે મોડી સાંજે શેરીમાં આદિલને આવતા જોઈને આ કૂતરાને થયું કે આદિલમિયાં, દોસ્તીનાતે મને કૈક આપશે, પણ કમભાગ્યે તે સાંજે આદિલ પાસે તેને નાંખવા જેવું કશું નહોતું, એટલે દુઃખી મને શેરીના એક બત્તીના થાંભલા નીચેના મોટા પથ્થર નીચે આદિલે તેને પોતાની પાસે બોલાવી તેની સાથે રમતા આદિલનું મન ભરાય આવ્યું, અને મુખમાંથી શબ્દો સરી પડયા,” અરે દોસ્ત, અહીંયા તો તું છે, આખું નગર મારું પોતાનું છે, ખબર નથી કાલે સવારે ક્યા દેશમાં જવું પડશે? જયાં મારું કોઈ નથી, દોસ્ત, ખેર ! જેવી અલ્લાહની મરજી હશે, ત્યાં અંજળપાણી મને અને પરિવારને લઈ જશે, દોસ્ત … આંખે આવેલાં આંસું લૂછતાં, કૂતરાને માથે ગાલે પ્રેમથી હાથ ફેરવી આદિલ ઘર તરફ ચાલી નીકળ્યા. તે સાંજે આદિલનું મન હ્રદય બહુ જ દુઃખી હતું. પથ્થારીમાં જઈશ તો પણ નીંદર કયાં આવે તેમ હતી? આદિલ ઘરની ખુલ્લી બારીમાંથી અમદાવાદને નીરખતા અમદાવાદને છોડીને ચાલ્યા જવું પડશે, તેવા અંજપામાં બેઠા હતા અને આ અંજંપામાંથી તે મોડી રાતે આંખના છલકતા આંસુ સાથે બે પાંચ દિવસમાં વતન છોડી ચાલ્યા જવાના ઝૂરાપામાંથી તેમને એક ગઝલ સ્ફૂરી …. તે ગઝલ આ હતી, “મળે ન મળે” :

 નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, 

ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

 ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો, 

પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

 પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો, 

આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

 ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,

 પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,

 પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

 વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં, 

ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

 વતનની ધૂળથી માથું ભરી લઉં ‘આદિલ’,

 અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

— ‘આદિલ’ મન્સૂરી 

આજે વર્તમાનમાં ડાયસ્પોરાને નામે અમેરિકા, વિલાયત તેમ જ બીજા દેશોમાં આડેઘડ બિલાડીના ટોપની જેમ ઊગી નીકળેલાં સાહિત્યકારો, ડાયસ્પોરા સાહિત્ય લખવાં માંડયાં છે; ડાયસ્પોરાને નામે લખાતું મોટા ભાગનું તો નહીં પણ ઘણું ખરું સાહિત્ય કચરા જેવું હોય છે. આ કચરો ભારતથી પરદેશ/વિલાયત આવતા લેભાગુ સાહિત્યકારો, ડોલર રળવા / ભેગા કરવા ખાલી પછેડી લઈને આવી ચડતાં પ્રાઘ્યાપકો દ્વારા ગુજરાતથી સાહિત્યમાં ઠલવાય છે.

આ સાહિત્યકારોએ તેમ જ પ્રાઘ્યાપકોએ ગુજરાતી સાહિત્યને અંગત સ્વાર્થ માટે ઊકરડો બનાવી દીધું છે, એમ કહું તો મારી દૃષ્ટિએ કંઈ ખોટું નથી! ભવિષ્યમાં તેનું કોઈ સાચું વિવેચન/અવલોકન કરશે, ત્યારે ખબર પડશે કે કચરો કેટલો ગુજરાતી ભાષામાં ઠલવાયો છે. આ લખનાર જિંદગીના લગભગ સાત દાયકા વિતાવવાની નજદિકમાં છે. અમેરિકામાં છેલ્લા સાડાચાર દાયકાથી રહે છે. ડાયસ્પોરાને નામે રચાતું અઢળક સાહિત્ય ગુજરાતી સામયિકો તેમ જ અખબારોમાં વાંચ્યું છે / વાચું છું, કવિતા, અને વાર્તા તો ડાયસ્પોરાને નામે પ્રગટ થતાં હતાં પણ હવે આ ફાલતું સાહિત્યકારો અને પ્રાઘ્યાપકો, વિદેશમાં વસતા ઘનવાનો અને વગવાળા વ્યક્તિનાં વ્યક્તિ ચિત્રોને ડોલર રળવાને ખાતર લખવા માંડયા છે. તે ખરેખર સાહિત્ય માટે ભયરૂપ છે! 

અમેરિકામાં કવિ મિત્ર ચંદ્રકાન્ત શાહનાં કાવ્યો ‘બ્લૂ જીન્સ”, પન્ના નાયકનાં મૂઠી એક ડાયસ્પોરા કાવ્યોમાં “ઘર ઝુરાપો” તેમ જ બીજા કવિઓની બે પાંચ કવિતા સાથે ડૉ. રજનીકાન્ત શાહની વાર્તા તેમ જ નાટકોને બાદ કરી નાંખો, તો ડાયસ્પોરાને નામે કચરાથી વિશેષ ગુજરાતી સાહિત્યને કંઈ પ્રાપ્ત થયું નથી, કંઈ મળ્યું નથી. મારે દુઃખી મને લખવું પડે છે કે ભાગ્યે જ કોઈ કૃતિમાં મને ડાયસ્પોરા સાહિત્યનાં દર્શન થયાં હોય, તેવું મને યાદ પણ નથી. ડાયસ્પોરાને નામે લખાયેલ અઢળક સાહિત્યને (કચરાને) તમે ત્રાજવાના એક પલ્લાંમાં મૂકો અને ‘આદિલ’ મનસૂરીની એક ગઝલને ત્રાજવાના બીજા પલ્લામાં મૂકો તો ‘આદિલ’નું પલ્લું જ નીચું જશે. કારણ કે ‘આદિલ’ની ગઝલમાં વતન છૂટી જવાની ભારોભાર વેદના છે. સાથો સાથ ઘર, શેરી, અને નગરનો પ્રત્યેક શેરમાં ઝૂરાપો દેખાય છે. ‘આદિલ’ મનસૂરીની ગઝલ તો વતન છૂટી જશે તેના અંજપામાં લખાયેલ છે નહિ કે અમેરિકામાં જઈને ડોલરના પોટલા બાંઘવાના પ્રેમમાં! આ જ ‘આદિલે’ અમેરિકામાં વરસો વિતાવ્યાં બાદ એક ગઝલ લખી કે, “ગુજરાતીમાં ગઝલો લખતાં જર્સીમાં વરસો કાઢ્યાં” છતાં ‘આદિલ’ને “મળે ન મળે” ગઝલ જેટલી સફળતા પ્રાપ્ત થઈ છે તે જર્સીમાં વરસો કાઢ્યામાં નથી મળી. તેનું કારણ છે ‘આદિલ’ મન્સૂરી અમેરિકા સુખચેન માટે સ્થાયી થયા હતા.

સૌજન્ય : પ્રીતમભાઈ લખલાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

નીતિશ કુમાર : મૈં સત્તા મેં આતા હું, સમજ મેં નહીં

રાજ ગોસ્વામી|Opinion - Opinion|16 August 2022

મહારાષ્ટ્ર કથિત રૂપે “શાંત” પડ્યું, ત્યાં બિહારમાં ગાજવીજ થવા લાગી. મુખ્ય મંત્રી નીતિશ કુમારને મહારાષ્ટ્રમાં રમાયેલા “મહાભારત” પછી તરત જ ફડક પેસી ગઈ હતી કે તેમના ઘરે પણ રામાયણ થવાની શક્યતા છે, અને તેઓ કાઁગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને આર.જે.ડી.ના તેજસ્વી યાદવ સાથે સંપર્કમાં હતા. આમ તો એ યોગાનુયોગ હોઈ શકે, પરંતુ લાંબી ખેંચતાણ અને વિલંબ બાદ આખરે મંગળવારે મહારાષ્ટ્રમાં શિંદે-ફડણવીસ સરકારનું 9+9 એમ 18 મંત્રીઓનું મંત્રીમંડળ બન્યું, એ જ દિવસે બિહારથી સમાચાર આવ્યા કે નીતિશ કુમાર પાર્ટી જનતા દળે (યુનાઇટેડ) ભા.જ.પ.થી છેડો ફાડ્યો છે.

રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત અને કાયમી દુશ્મન નથી હોતું. બધા સગવડિયા સંબંધો શોધતા હોય છે. નીતિશ કુમાર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેઓ બે વાર ભા.જ.પ. સાથે અને બે વાર લાલુ પ્રસાદના આર.જે.ડી. સાથે “ગોઠવણ” કરી ચુક્યા છે. બિનસંપ્રદાયિકતા અને પછાત વર્ગોના ઉત્થાનની રાજનીતિ કરતા નીતિશ કુમારે 2013માં ભા.જ.પે. નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા, ત્યારે “સૈદ્ધાંતિક” મુદ્દે ભા.જ.પ.થી છેડો ફાડ્યો હતો. 2015માં તેમણે વિધાનસભાની ચૂંટણીમાં લાલુ યાદવના રાષ્ટ્રીય જનતા દળ સાથે હાથ મિલાવીને સરકાર રચી હતી. 2017માં તેમણે ગઠબંધન તોડીને છોડીને ફરી ભા.જ.પ.નો સહારો લીધો હતો. ભા.જ.પ.ને પણ જે.ડી.યુ.ની જરૂર હતી એટલે 2019માં લોકસભાની ચૂંટણીમાં તેને મોટો ભા બનાવ્યો હતો, પરંતુ 2013નું ‘અપમાન’ યાદ રાખીને કેન્દ્રીય મંત્રીમંડળમાં જે.ડી.યુ.ને એક જ મંત્રાલય (આર.પી. સિંહ) આપવામાં આવ્યું હતું. ત્યારથી નીતિશ સમસમીને બેસી રહ્યા હતા.

2020માં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં 43 બેઠકો પર સમેટાઈને રહી ગયેલા જે.ડી.યુ.ને મુખ્ય મંત્રી પદ તો મળ્યું, પરંતુ ભા.જ.પ.ના “મોટાભાઈ”ના વ્યવહારથી નીતિશ કુમાર સતત પરેશાની અનુભવતા હતા. એમાં, તેમને તેમના એક સમયના વિશ્વાસુ આર.સી.પી. સિંહમાં “એકનાથ શિંદે” નજર આવવા લાગ્યા, એટલે તેઓ ઔર સાવધ થઇ ગયા. કહેવાય છે કે નીતિશને રાજકીય રીતે ખતમ કરવા માટે ભાજપ આર.સી.પી. સિંહને મજબૂત કરી રહ્યું હતું. છેલ્લા છ મહિનાથી આ દિશામાં સક્રિય પ્રયાસો થઇ રહ્યા હતા.

જે.ડી.યુ.ના ભૂતપૂર્વ અધ્યક્ષ રહી ચુકેલા અને કેન્દ્રમાં ભા.જ.પ.ના નેતૃત્વવાળી એન.ડી.એ. સરકારમાં મંત્રી રામ પ્રતાપ સિંહને પહેલાં તો નીતિશ કુમારે રાજ્યસભામાં પુન: નોમિનેશન ન આપ્યું, જેના પગલે તેમણે મંત્રીપદેથી રાજીનામું આપવું પડ્યું. કેમ? કારણ કે આર.પી. ભા.જ.પ. સાથે ‘ઇલુ ઇલુ’ કરતા હતા. ચાર દિવસ પહેલાં જ જે.ડી.યુ.એ તેમને ભ્રષ્ટાચાર બદલ નોટિસ પકડાવી હતી. એ પછી આર.પી..એ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. કહે છે કે તેઓ “શિંદે” બનવા માગતા હતા અને ભા.જ.પ. તેમને આગળ ધરીને જે.ડી.યુ.માં ઊભાં ફાડિયાં કરવાની ફિરાકમાં હતી.

એક જમાનામાં આર.પી. અને નીતિશ એકબીજાના એટલા ખાસ હતા કે 2017માં લાલુ યાદવના રાષ્ટ્રીય જનતા દળે (આર.જે.ડી.) કાઁગ્રેસ તેમ જ અન્ય પક્ષો સાથે મળીને મહાગઠબંધન બનાવ્યું, ત્યારે આર.પી.ના કહેવાથી જ નીતિશ તેનાથી દૂર રહ્યા હતા. એવું પણ કહેવાય છે કે રાજનીતિક વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર અને નીતિશ કુમાર વચ્ચે અંતર વધ્યું તેમાં પણ આર.પી.ની વધતી રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ કારણભૂત હતી.

આર.પી. બિહારમાં હતા, ત્યાં સુધીમાં જે.ડી.યુ.ની અંદર તેમના સમર્થકોનો એક વર્ગ તૈયાર થઇ ગયો હતો. તાજેતરમાં પાર્ટીએ જે ચાર નેતાઓને પાર્ટી વિરોધી ગતિવિધિ માટે સસ્પેન્ડ કર્યા હતા, તે આર.પી.ની નિકટના સમર્થક હતા. ગયા મહિને તો પાર્ટીની બેઠકમાં આ.પી.ને મુખ્ય મંત્રી બનાવો તેવા નારા પણ લાગ્યા હતા. આર.પી.ના સમર્થકો હમણાંથી કહેવા લાગ્યા હતા કે 24 ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. આ બધા જ સંકેતો મહારાષ્ટ્રમાં જે થયું તે તરફ ઈશારો કરતા હતા.

એટલે નીતિશ કુમારે એવો માસ્ટરસ્ટ્રોક માર્યો કે બિહાર વિધાનસભામાં જેટલા વિરોધ પક્ષો હતા, તે સૌ સરકારમાં આવી ગયા અને જે ‘સરકાર’ હતી તે વિપક્ષમાં આવી ગઈ. આ મહાગઠબંધનની વાપસી છે. આમાં નીતિશ કુમારની સત્તા તો બરકરાર રહી જ છે, પરંતુ 2024ની લોકસભાની ચૂંટણી માટે પણ તેમાં ઘણા સૂચિતાર્થ છે.

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભા.જ.પ.નું સ્ટીમરોલર જેવી રીતે એક પછી એક ચૂંટણીઓમાં વિરોધીઓને કચડતું આવ્યું છે, તેને લઈને વિરોધ પક્ષોમાં એક પ્રકારની માયુસી અને વેક્યુમ ઊભું થયું છે. મોદી સામે પંગો લેવા માટે વિપક્ષી એકતા બહુ જરૂરી છે, પરંતુ તેમની પાસે કોઈ એક ચહેરો નથી જેને તેઓ લોકો સામે વિકલ્પ તરીકે મૂકી શકે.

સોનિયા ગાંધી લગભગ નિવૃત્ત જેવાં છે. રાહુલ ગાંધીનો દેખાવ બહુ ઉત્સાહજનક નથી. ગાંધી પરિવારને લઈને આમ પણ મતદારોમાં ખાસ ભરોસો નથી. શરદ પાવર મહારાષ્ટ્રની બહાર નીકળી શક્યા નથી. મમતા બેનરજી વિવિધ પક્ષોના સાંધા સીવવાની કોશિશ કરે છે, પરંતુ તાજેતરમાં તેમના મંત્રી પાર્થ ચેટરજીના તોતિંગ ભ્રષ્ટાચારમાં તેમની મમતાની છબીને ધક્કો લાગ્યો છે.

નીતિશ આમાં અવસર જોઈ રહ્યા છે; 2024ની લોકસભામાં ભા.જ.પ. સામે મહાગઠબંધન ઊભું કરવાની અને વડા પ્રધાનપદનો ચહેરો બનવાની. બિહારમાં ભા જ પ ને ખાડામાં ફેંકીને તેમણે એક રીતે 2024 માટે સળવળાટ ઊભો કર્યો છે. વિરોધ પક્ષો આ તકનો લાભ લઈને કેટલા એક થઇ શકે છે અને ભા.જ.પ. તેમાં હજુ શું પત્તાં રમે છે એ જોવાનું છે (તેની પાસે આર.સી.પી. સિંહનું પત્તું હજુ છે), પરંતુ એક વાત નિશ્ચત છે કે નીતિશ કુમારે આર.જે.ડી.ના તેજસ્વી યાદવને સહયોગી (અને નાયબ મુખ્યમંત્રી) બનાવીને બિહારમાં તેમની હાલકડોલક થતી સરકારને 2025 સુધી જીવતદાન આપી દીધું છે.

એવું મનાય છે કે નીતિશ બાબુ હવે બિહારમાં નહીં રહે અને રાષ્ટ્રીય રાજનીતિમાં સક્રિય થશે. જાણકાર લોકો કહે છે કે બિહારમાં તેનો તેજસ્વીને ઉત્તરાધિકારી બનાવશે. લાલુ યાદવ અને નીતિશ કુમારે હાથ મિલાવ્યા છે એ ભા.જ.પ. માટે ચિંતાનું કારણ તો છે. લાલુ અને નીતિશ બિહારમાં ઘાતક મિશ્રણ છે. બંનેનો સામાજિક આધાર બહુ મોટો અને મજબૂત છે. બિહારના 31 ટકા યાદવો અને મુસ્લિમો લાલુની પડખે છે અને બિન-યાદવ તેમ જ અન્ય પછાત અને અત્યંત પછાત સમુદાયો નીતિશને નેતા માને છે. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશથી વિપરીત, ભા.જ.પ. બિહારમાં ઓ.બી.સી. અને દલિત મતદારોમાં સેંધ મારી શકી નથી. બિહારમાં 13 ટકા સવર્ણ મત સિવાય તેનો કોઈ આધાર નથી.

ભા.જ.પ. માટે એક માત્ર વિકલ્પ એ છે કે 2025માં પોતાના દમ પર બહુમતી મેળવવી. બીજો વિકલ્પ છ-બાર મહિના સુધી રાહ જોઇને જે.ડી.યુ.-આર.જે.ડી. ગઠબંધનમાં ફાચર મારવી. જે દિવસે નીતિશ કુમારે ભા.જ.પ. સાથે છેડો ફાડ્યો, ત્યારે સોશ્યલ મીડિયા પર એવાં કાર્ટૂન અને જોક્સ વહેતા થયા હતા કે કેન્દ્રીય એજન્સીઓ ઈ.ડી., સી.બી.આઈ., ઇન્કમ ટેક્સ હવે બિહારમાં ધામા નાખવામાં વ્યસ્ત છે.

બિહારના ઘટનાક્રમ પર ભૂતપૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવે ગોવડાએ કહ્યું હતું, “હું બિહારની ઘટનાઓ જોઈ રહ્યો છું. એ જોઈને મને એ દિવસો યાદ આવે છે જ્યારે જનતા દળ પરિવાર એક છત નીચે હતો. તેણે ત્રણ વડા પ્રધાન આપ્યા હતા. મારી તો ઉંમર થઇ ગઈ છે, પરંતુ યુવા પેઢી જો નક્કી કરે તો આ મહાન દેશને ઉત્તમ વિકલ્પ પૂરો પાડી શકે.”

બુધવારે, બિહારના 8માં મુખ્ય મંત્રીપદના શપથ લીધા પછી નીતિશ કુમારે સૂચક રીતે કહ્યું હતું, “હું પી.એમ.ના હોદ્દા માટે દાવેદાર નથી. પ્રશ્ન એ છે કે જે 2014માં આવ્યા હતા, તે 2024 પછી રહી શકશે કે કેમ?”

લાસ્ટ લાઈન :

“રાજનીતિ એટલે તમારી સ્વાર્થી ઈચ્છાઓને રાષ્ટ્રીય હિતોમાં ખપાવી દેવાની કળા”

— થોમસ સોવેલ, અમેરિકન રાજકીય વિશ્લેષક

પ્રગટ : ‘ક્રૉસલાઇન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સન્નડેલાઉન્જ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 14 ઑગસ્ટ 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

૧૫, ઓગસ્ટ, ૧૯૪૭

સુરેશ જાની|Opinion - Opinion|16 August 2022

એ સપરમો દિવસ મને બરાબર યાદ છે.

અમારાં બહેન, બાપુજી અને અમે ત્રણ ભાઈઓ રણછોડજીની પોળ, સારંગપુર, અમદાવાદમાં આવેલા અમારા મકાનમાં રહેતાં હતાં. અમારી બાને અમે બહેન કહેતાં હતાં. હું ત્યારે માંડ સાડા ચાર વરસનો હતો. એ દિવસે, અમને ત્રણ ભાઈઓને સાથે લઈને, અમારા બાપુજી અમદાવાદના ભદ્રના કિલ્લા પાસે લઈ ગયા હતા.

મારા બાપુજી મને તેડે એ મને બહુ ગમતું. પણ એ મને હવે ચાલવાનો જ આગ્રહ કરતા હતા. હું ચાલીને બહુ જ થાકી ગયો હતો. આટલા બધા રાક્ષસ જેવા ઊંચા માણસોની વચ્ચે ચાલતાં મને બીક પણ લાગતી હતી. સાંજનું અંધારું થઈ ગયું હતું. પણ રસ્તા પર માણસોની ભીડ પાર વિનાની હતી. કદાચ મારાથી નાની બહેનનો જન્મ હજુ બે ત્રણ અઠવાડિયા બાદ થવાનો હતો. એટલે અમારાં બહેન અમારી સાથે નહોતા આવ્યાં – એમ મારું માનવું છે.

મને એટલું જ યાદ છે કે, હું સખત થાકેલો હોવા છતાં, આજુબાજુ ટોળામાંના બધા માણસો અત્યંત ખુશ હતા – તે મને બહુ જ ગમતું હતું. મોટેથી બરાડી બરાડીને કાંઈક બોલતા હતા. ( કદાચ ‘જયહિંદ’ અથવા ‘ભારતમાતા કી જય’ હશે.) મને એનાથી કોઈક અજાયબ લાગણી થતી હતી. કાંઈક હરખ થાય એવું બની ગયું હતું; કે બનવાનું હતું. ‘ગુલામી શું? આઝાદી શું?’ એવા બધા અઘરા વિચારો મારા નાના (કે મોટા !) મગજમાં હજુ પ્રવેશી શકે તેમ ન હતું. પણ એ થાક અને હર્ષની મિશ્રિત લાગણી પંચોતેર વરસ પછી આજે પણ તરોતાજા છે.

હવે ભીડને કારણે બાપુજીએ મને તેડી લીધો હતો. એ આનંદના અતિરેકમાં બે ય મોટા ભાઈઓનું અનુકરણ કરીને હું પણ તાળીઓ પાડવા માંડ્યો હતો. ચારે બાજુ અપ્રતિમ ઉલ્લાસ છવાયેલો હતો. હરખના સરોવરમાંથી, આનંદના ઓઘ અને ધોધના ઢગલે ઢગલા, ઢળી ઢળીને છલકાઈ રહ્યા હતા.

પાછા ઘેર જતાં અમારા બાપુજી કદી અમને લઈ જતા ન હતા; તે ‘ચન્દ્રવિલાસ’નાં ફાફડા-જલેબી ખવડાવ્યાં હતાં. મારા મોટાભાઈને ડરતાં ડરતાં મેં કાનમાં પૂછ્યું હતું, “સિનેમા કહે છે – તે આ છે?!”. અને બાપુજી આ સાંભળી; ‘હોટલ કોને કહેવાય અને સિનેમા કોને?’ તે વિશે અમારાં અજ્ઞાન અને ભોળપણ જોઈ, પોતાના પુત્રોના સંસ્કાર માટે આનંદિત થયા હતા; એવું આછું આછું યાદ પણ છે.

ઘેર આવ્યા ત્યારે ફાનસના  આછા ઉજાસમાં હું ક્યારે પોઢી ગયો તે ખબર ન પડી. પણ અમારી બહેનના મોં ઉપર બધી વાતો સાંભળી; જે આનંદ અને ઉલ્લાસ પ્રગટ્યાં હતાં તે હજુ ય યાદ છે.

ત્યાર બાદ તો સ્વતંત્રતા દિનની અનેક ઉજવણીઓ જોઈ છે. ધ્વજવંદનો કર્યાં છે. શાળામાં ક્વાયત કરીને ધ્વજને છટાભરી સલામી આપી છે. બેન્ડના સૂર સાથે ‘જન ગણ મન’ ગાયું છે. ટી.વી. ઉપર લાલ કિલ્લા પરથી થતું ધ્વજવંદન અને પ્રધાન મંત્રીઓનાં પ્રવચનો પણ સાંભળ્યાં, જોયાં છે.

પણ સ્વતંત્રતાના જન્મ વખતની એ સાદગી, એ ઉત્સાહ અને માતૃભૂમિ માટેનું એ વખતના લોકોનું ગૌરવ – એ બધાં ભુલ્યાં ભુલાતાં નથી.

પ્રગટ : ‘વેબગુર્જરી’, 15 ઑગસ્ટ 2022
e.mail : surpad2017@gmail.com
1234...102030...

Search by

Popular Content

  • પિંડને પાંખ દઈ દીધી અને –
  • માતૃભાષા તમારો પાયો છે અને તે જ કાચો રહેશે તો શું ઇમારત બુલંદ થવાની?
  • વતનને પત્ર
  • ‘બ્રિટનમાં ગુજરાતીઓ’ : એક મૂલ્યાંકન
  • ઇબ્રાહિમ ઉમ્મરભાઈ રાઠોડ ‘ખય્યામ

Diaspora

  • સામ્રાજ્યની સફર અને વિભિન્ન દેશોમાં વસતા  મૂળ વતનીઓ
  • અનુરાધા ભગવતી : Unbecoming : A Memoir of Disobedience : આજ્ઞાભંગની અસહ્ય સ્મૃતિયાત્રા 
  • Breaking Out : મુક્તિયાત્રા :  લેખિકા : પદ્મા દેસાઈ 
  • 1900થી 1921 સુધી હિંદી આયાઓના રહેઠાણ પર બ્લૂ તક્તિનું અનાવરણ – 16 જૂન 2022
  • પ્રકાશકીય

Gandhiana

  • અમૃતમહોત્સવ : ભારતનાં મૂળિયાં ઉખેડવામાં આવી રહ્યાં છે એ દેશનું દુર્ભાગ્ય છે
  • નાટ્ય અદાકારીમાં છુપાયેલું એક વિચારશીલ અને વિનમ્ર વ્યક્તિત્વ એટલે પોલ બેઝલી
  • કસ્તૂરી મહેક
  • “હું યુનિયનમાં માનું, પહેલેથી જ – અને યુનિયન એટલે ઍક્શન” : ઇલા ર. ભટ્ટ
  • મારા હાવર્ડ મેનેજમેન્ટના અભ્યાસક્રમમાં ગાંધીના નેતૃત્વના ગુણધર્મોની આપેલી વ્યાખ્યા

Poetry

  • રેશમ ગાંઠ
  • ફરી પાછા
  • બે ગઝલ
  • દિવંગત મહેન્દ્ર મેઘાણીને મારી કાવ્યાંજલિ
  • પથ્થર પર કવિતા

Samantar Gujarat

  • લઠ્ઠાકાંડમાં રાંડ્યા પછીનું ડહાપણ …
  • ગુજરાત, ૧ મે ૨૦૨૨
  • અકાદમીની સ્વાયત્તતા પરિષદની જવાબદારી કઈ રીતે છે?
  • ઝીણાં ઝીણાં સંવેદનોનો આંસુ ભીનો આસ્વાદ : ‘21મું ટિફિન’
  • ગુજરાતના નવા મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને ખુલ્લો પત્ર …

English Bazaar Patrika

  • The Father and the Assassin
  • In praise of Nayantara Sahgal
  • On his birthday a Tribute to a Musical genius and a Bridge builder Pt. Ravi Shankar
  • Poetry Brought Us Together–
  • Metta Centre for Nonviolence

Profile

  • વાચન સંસ્કૃતિના દીપસ્તંભ મહેન્દ્રભાઈ મેઘાણી
  • પપ્પા એટલે ….
  • પપ્પાનું પ્રગતિપત્રક
  • ગાંધીનું દૂધ પીધેલા
  • મા, તારે જ કારણે જગતનાં સર્વ સુખ મળ્યાં

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved