Opinion Magazine
Number of visits: 9512804
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુડ્ડી : પૂણે ઇન્સ્ટિટ્યૂટનો ગોવર્ધન કેવી રીતે સિનેમાનો અસરાની બની ગયો

રાજ ગોસ્વામી|Opinion - Opinion|7 November 2025

રાજ ગોસ્વામી

ગઈ 20મી ઑક્ટોબરે લોકો દિવાળીના દીવડા પ્રગટાવી રહ્યા હતા ત્યારે, હિન્દી સિનેમાના એક બહેતરીન હાસ્યકલાકાર (ગોવર્ધન કુમાર) અસરાનીનો, 84 વર્ષે, જીવનદીપ બુઝાઈ ગયો. ચાર દાયકાઓથી લોકોને હસાવનારા આ કલાકારે ચુપચાપ અલવિદા લીધી હતી. તેમની વિદાયના સમાચાર તેમના અંતિમસંસ્કાર પછી સાર્વજનિક કરવામાં આવ્યા હતા. અસરાની ચાર દિવસ પહેલાં બીમાર પડ્યા હતા. તેમની ઇચ્છા હતી કે તેમના મૃત્યુને મીડિયાથી છેટું રાખવામાં આવે અને તેના પર બહુ શોરબકોર ન થાય. એટલા માટે પત્ની મંજુ, તેમની બહેન, ભત્રીજા અને નજીકના અન્ય લોકોની ઉપસ્થિતિમાં તેમને વિદાઈ આપવામાં આવી હતી.

અસરાનીએ હમણાં બે મહિના પહેલાં જ, જાણીતા ટી.વી. હોસ્ટ ઈરફાન સાથે બી.બી.સી. પર તેમના જીવન અને કામ અંગે વિગતે વાતો કરી હતી. એ તેમનો અંતિમ ઇન્ટરવ્યૂ સાબિત થયો હતો. તેમાં તેમણે તેઓ કેવી રીતે હિન્દી સિનેમામાં આવ્યા અને કેવી રીતે પહેલી ફિલ્મ મળી તેની રોચક વાતો કરી હતી. 

એ ફિલ્મ હતી ઋષિકેશ મુખર્જીની ‘ગુડ્ડી.’ 1971માં તે રિલીઝ થઇ હતી. અસરાનીના કહેવા પ્રમાણે, તેમણે સામે ચાલીને ઋષિ’દા પાસે આ ફિલ્મમાં રોલ માંગ્યો હતો. જયપુરમાં જન્મેલા અસરાની દસમું ધોરણ પાસ કરીને ફિલ્મોમાં નસીબ અજમવા માટે મુંબઈ આવી ગયા હતા, પરંતુ કોઈ ગજ ન વાગતાં પાછા જતા રહ્યા અને એક્ટર તરીકે તાલીમ હાંસલ કરવા માટે પૂણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં ભરતી થઇ ગયા.

ઋષિકેશ મુખર્જી ત્યારે મુંબઈમાં એક મોટા ફિલ્મકાર હતા અને ઇન્સ્ટિટ્યૂટમાં એડિટિંગ ભણાવવા માટે પણ આવતા હતા. તે વખતે તેઓ ધર્મેન્દ્ર સાથે અનુપમા, મજલી દીદી અને સત્યકામ અને સંજીવ કુમાર સાથે આશિર્વાદ જેવી જાણીતી ફિલ્મો બનાવી ચુક્યા હતા. 1971માં, તેઓ રાજેશ ખન્ના સાથે આનંદ અને બાવર્ચી પર કામ કરી રહ્યા હતા. એ વચ્ચે, તેમણે ‘ગુડ્ડી’ નામની એક નાનકડી ફિલ્મ બનાવવા માટે વિચાર કર્યો હતો (ફિલ્મ વિશે આપણે પછી વાત કરીએ). 

‘ગુડ્ડી’ હિરોઈન પ્રધાન ફિલ્મ હતી અને તેના રોલ માટે તેમને એક નવી છોકરીની જરૂર હતી. તેની તલાશમાં એકવાર તેઓ ઇન્સ્ટિટ્યૂટમાં આવ્યા હતા. સાથે તેમની આખી ટીમ હતી. જેમાં લેખક ગુલઝાર પણ હતા. અસરાનીને ખબર પડી કે ઋષિ’દા ફિલ્મ બનાવી રહ્યા છે, એટલે તેઓ તેમની પાસે ગયા અને કહ્યું કે હું અહીં એક્ટિંગનો કોર્સ કરી રહ્યો છું અને મારા માટે કોઈ નાનો-મોટો રોલ હોય તો કહેજો. 

“હાં, હોગા તો બતાયેંગે” કહીને ઋષિ’દા જતા રહ્યા. થોડા દિવસ પછી તેઓ પાછા આવ્યા અને અસરાની અંગે પૂછપરછ કરી. અસરાનીને એમ કે તેમને રોલ આપશે, પણ ઋષિ’દાએ કહ્યું, “ગુડ્ડી કે લિયે હમકો એક લડકી ચાહીએ.” તેમને ખબર હતી કે જયા ભાદુરી નામની એક છોકરી ઇન્સ્ટિટ્યૂટમાં એક્ટિંગનો કોર્સ કરી રહી છે. 

ઋષિકેશ મુખર્જી અસરાનીને જયા વિશે પૂછ્યું અને કહ્યું કે તેને બોલાવી લાવીશ? અસરાની ગયા ચાની કેન્ટીનમાં. જયા ત્યાં તેની સખીઓ સાથે બેઠી હતી. અસરાનીએ જઈને સંદેશો આપ્યો કે ઋષિકેશ મુખર્જી તને યાદ કરે છે. જયા તેમને મળવા ગઈ. પ્રણામ કર્યા, ચરણસ્પર્શ કર્યાં અને ઋષિ’દા જયા સાથે વાત કરતાં કરતાં દૂર જતા રહ્યા. 

અસરાની મૂંઝવણમાં. રોલ કેવી રીતે માંગવો? ત્યાં થોડે દૂર જીપમાં ઋષિકેશ મુખર્જીની ટીમના લોકો બેઠેલા હતા. એમાં ગુલઝાર પણ હતા. અસરાની તેમની પાસે ગયા અને પોતાની ઓળખાણ આપીને કહ્યું કે ઋષિ’દાની ફિલ્મમાં રોલ કેવી રીતે મળે? ગુલઝારે કહ્યું કે હું તો લેખક છું અને ફિલ્મની વાર્તા વિશે કે પાત્રો વિશે કશું જાહેર કરી ના શકું, આ ડિરેકટર બહુ કડક છે, અમને નોકરીમાંથી કાઢી મૂકે.

એટલામાં ઋષિકેશ મુખર્જી અને જયા પાછાં આવ્યાં. અસરાનીએ ફરી હાથ જોડીને કહ્યું કે દાદા, કોઈ રોલ હોય તો કહેજો અને ઋષિ’દાએ કહ્યું, ભાઈ, હશે તો કહીશ, અત્યારે તો છોકરી શોધવા માટે આવ્યો છું. એમાં કહીને તેઓ ક્લાસ લેવા જતા રહ્યા. અસરાનીને ચટપટી હતી કે ફિલ્મમાં કોઈ રોલ છે કે નહીં, પણ કોઈ વાર્તા કહેતું નહોતું. 

એટલે તેમણે ફરીથી ગુલઝારને પકડ્યા અને કહ્યું કે સર થોડુંક તો બતાવો. ગુલઝારે કહ્યું, મારું નામ ના આપતો પણ એક નાનકડો રોલ છે. ફિલ્મમાં એક છોકરો હીરો બનવા માટે મુંબઈ આવે છે અને ઝીરો બનીને પાછો જતો રહે છે. અસરાનીએ ઋષિ’દાને ફરી પકડ્યા અને કહ્યું કે દાદા એક છોકરો ગામડેથી મુંબઈ આવે છે એવો રોલ છે ને! ઋષિ’દાએ ફરી ગાજર લટકાવ્યું કે હું મુંબઈ જઈને છોકરીને બોલાવીશ ત્યારે તેને કહીશ.

થોડા દિવસ પછી, જયા ભાદુરીને નામે ઇન્સ્ટિટ્યૂટમાં ઋષિકેશ મુખર્જીનું પોસ્ટકાર્ડ આવ્યું. ‘ગુડ્ડી’ ફિલ્મ માટે તે સત્તાવાર આમંત્રણ હતું. જો કે એ પહેલાં અસરાની મુંબઈ પહોંચી ગયા અને ઋષિ’દાને ફરી વિનંતી કરી કે મને ‘ગુડ્ડી’માં કામ આપો. અસરાનીનો ખંત જોઇને દાદા નમ્યા અને કુંદન નામના એક છોકરાનો રોલ આપ્યો. 

કુંદન ફિલ્મ જગતના ગ્લેમરથી ખેંચાઈને મુંબઈ આવે છે અને કાદર ભાઈ (કેશ્ટો મુખર્જી) નામનો એક ઠગ ફિલ્મોમાં કામ આપવાના બહાને તેની પાસેથી પૈસા પડાવી લે છે. કુંદન ઘરમાં પૈસાની ચોરી કરીને મુંબઈમાં નસીબ અજમાવવા આવ્યો હતો, પણ ફિલ્મ જગતની વાસ્તવિકતા તેને તોડી નાખે છે અને અંતે એક જુનિયર આર્ટિસ્ટ બનીને રહી જાય છે. 

અસરાનીનો કિરદાર ફિલ્મના કેન્દ્રીય વિષયને ટેકો આપતો હતો; બોલીવુડમાં રીલ-લાઈફ અને રિયલ-લાઈફ ઘણી અલગ હોય છે. સિનેમાના ગ્લેમરથી ખેંચાઈને મુંબઈ દોડી આવતા યુવાનો પર ઋષિકેશ મુખર્જી એક ફિલ્મ બનાવવા માંગતા હતા. ફિલ્મની નાયિકા ગુડ્ડી (જયા ભાદુરી) સ્કૂલગર્લ છે અને ધર્મેન્દ્ર પર ફિદા છે. તે એવું માને છે કે તેનો હીરો પડદા પર જેવો સાહસિક અને ઉદાર છે તેવો જ અસલી જીવનમાં પણ છે. ઋષિ’દા ગુડ્ડીની માસુમિયત મારફતે સિનેમાના ગ્લેમરના ભ્રમને તોડવા માંગતા હતા. 

ઋષિ’દા અને ગુલઝાર વચ્ચે એકવાર સહજ રીતે જ વાત થઇ હતી કે ફિલ્મ સ્ટારો પ્રત્યેનો ભક્તિભાવ કેવી રીતે કુમળાં મગજ પર અસર કરે છે. એમાંથી ‘ગુડ્ડી’ ફિલ્મનો વિચાર જન્મ્યો હતો. “ગુડ્ડી” જયા ભાદુરીની કારકિર્દી માટે પણ પાયાનો પથ્થર સાબિત થઇ હતી. પહેલી જ ફિલ્મમાં તેમને બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. 

ઋષિ’દાએ ‘ગુડ્ડી’માં અમિતાભ બચ્ચનને નવીનની ભૂમિકામાં લીધા હતા (જે કુસુમ ઉર્ફે ગુડ્ડીનો હાથ માંગે છે) પરતું તેમની જ ફિલ્મ ‘આનંદ’માં અમિતાભનું કદ વધી જતાં બંગાળી એક્ટર સુમિત ભાંજાને લીધા હતા. કુસુમની ભૂમિકા પહેલાં મૌસમી ચેટરજીએ ઓફર થઇ હતી પણ તેમણે સ્કૂલનો સ્કર્ટ ડ્રેસ પહેરવાની ના પાડી દીધી હતી, તો ઋષિ’દા પાસે ડિમ્પલ કાપડિયાનો ફોટો પણ હતો, પરંતુ તેમને એવી છોકરી જોઈતી હતી જે દેખાવમાં, મૂરખની હદે, માસૂમ હોય. જયાજીએ તેમની પહેલી જ ફિલ્મમાં રંગ રાખી દીધો હતો. 

તેમનો કુંદનનો કિરદાર એટલો વખણાયો કે અસરાની માટે પણ ‘ગુડ્ડી’ લોટરી સાબિત થઇ. “ફિલ્મનું પરિણામ એ આવ્યું કે, “અસરાનીએ પેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, “મને આઠ ફિલ્મો મળી અને પછી મેં પાછું વાળીને જોયું નહીં.”

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 06 નવેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

સોનલ પરીખ|Gandhiana|7 November 2025

11 સપ્ટેમ્બરે આચાર્ય વિનોબા ભાવેનો જન્મદિન આવશે. 5 સપ્ટેમ્બરે મધર ટેરેસાની પુણ્યતિથિ હતી. વિનોબાજીએ ઋષિપરંપરાને તાજી કરી. મધર ટેરેસાને લગભગ એક દાયકા પહેલા ‘સંત’ ઘોષિત કરાયાં એટલે કે સેન્ટહૂડ મળ્યું. આ બે મેગ્સેસે વિજેતા, ભારતરત્ન વિભૂષિત આધુનિકકાળના ભારતીય સંતોને આપણે ઓળખીએ છીએ? સમજીએ છીએ?  

આચાર્ય વિનોબાજી

‘પથ્થર ભલે એક પ્રહારથી તૂટ્યો હોય, પણ તેને તોડવામાં અંતિમ પ્રહાર પહેલાના તમામ પ્રહારોનો એટલો જ ફાળો હોય છે.’ વિનોબાજીના આ સાદા લાગતાં વિધાનમાં અર્થોની અનેક શક્યતાઓ ભરેલી છે. મધર ટેરેસા કહેતાં, ‘ભગવાન એ અપેક્ષા રાખતા નથી કે આપણે સફળ થઈએ, પણ ભગવાન એ અપેક્ષા જરૂર રાખે છે કે આપણે પ્રયાસ કરીએ.’ આ વિધાન પણ સાદું, સુંદર અને અર્થગર્ભ છે.  

મધર ટેરેસા અને આચાર્ય વિનોબા ભાવે આ બંનેનાં વ્યક્તિત્વ, ધર્મ અને કાર્યપદ્ધતિમાં બહુ ઓછી સમાનતા છે, છતાં બંનેની માટી જાણે એક છે. બંને આજીવન બ્રહ્મચારી, સ્વેચ્છાએ ગરીબ રહેનાર, માનવીય કરુણાથી પ્રેરિત અને દીનદુખિયાનાં સતત સક્રિય સેવકો. 11 સપ્ટેમ્બરે વિનોબાજીનો જન્મદિન છે. પ સપ્ટેમ્બરે મધર ટેરેસાની પુણ્યતિથિ હતી. વિનોબાજી ઋષિ ગણાતા હતા, મધર ટેરેસાને સેન્ટહૂડ એટલે કે સંતપદ આજથી એકાદ દાયકા પહેલા 4 સપ્ટેમ્બરે મળ્યું હતું. બંને મેગ્સેસે ઍવોર્ડ વિજેતા અને ભારતરત્ન. આધુનિક કાળના આ સંતોની સરખામણી કરવાની ધૃષ્ટતા કરવાનો બિલકુલ ઇરાદો નથી. તારીખોના જરા તાલમેલને લીધે બંને વિષે એકસાથે થોડા વિચાર આવ્યા, એ જ વ્યક્ત કરી રહી છું. 

ગાંધીમાર્ગી સેવક, ચિંતક અને સંત વિનોબાજીનો જન્મ મહારાષ્ટ્રના ગાગોદે ગામના ચિત્તપાવન બ્રાહ્મણ કુટુંબમાં. મૂળ નામ વિનાયક નરહરિ ભાવે. પિતા સ્વમાની, વ્યવસ્થાપ્રિય, વૈજ્ઞાનિક અને બુદ્ધિનિષ્ઠ. માતા રુક્મિણીબાઈ ભક્ત અને ભોળાં. એમના મુખેથી સંતોનાં ભજનો અને દાદા, દાદી, મા પાસેથી સાંભળેલી રામાયણ-મહાભારતની વાતોએ  વિનાયકમાં બાળપણમાં બ્રહ્મજિજ્ઞાસા પેદા કરી. આઠમે વર્ષે એમણે ‘જ્ઞાનેશ્વરી’ વાંચી. સંત તુકારામ અને મોરોપંત પંડિતનું સાહિત્ય વાંચ્યું. રામદાસના અભંગો અને ‘દાસબોધ’ની ઊંડી અસર પડી. 

21મા વર્ષે એમણે ઘર છોડ્યું. અધ્યાત્મ અને વિપ્લવનું આકર્ષણ તેમને હિમાલય લઇ ગયું. 1916ની સાલ હતી. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી તાજા જ ભારત આવ્યા હતા. બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપન પ્રસંગે આપેલ ભાષણમાં ગાંધીજીએ જે નિર્ભીક સ્પષ્ટતાથી બ્રિટિશ અધિકારીઓ, રાજામહારાજાઓ અને ક્રાંતિકારીઓને ખંખેર્યા તે સાંભળી વિનોબાને થયું કે આ માણસમાં હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિનો સંગમ છે, પણ ઉતાવળ કર્યા વિના એમણે ગાંધીજી પાસે પોતાને બરાબર વ્યક્ત કર્યા, વિચારપૂર્વક એમના સાથી બન્યા અને પછી ગાંધીજીએ શરૂ કરેલ સેવાગ્રામ આશ્રમમાં રહ્યા. તે પછી વર્ધામાં પાવનાર અને આસામમાં મૈત્રી આશ્રમ સહિત દેશભરમાં આશ્રમો સ્થાપ્યા. 

ગાંધીજીનાં બધાં રચનાત્મક કામો તેમણે હાથ ધર્યા. તપોમય જીવન જીવ્યા. ‘ઉપનિષદોનો અભ્યાસ’, ‘ગીતાપ્રવચનો’, ‘ગીતા-પદાર્થ-કોશ’, ‘સ્થિતપ્રજ્ઞદર્શન’, ‘સ્વરાજ્ય-શાસ્ત્ર’ જેવાં પુસ્તકો લખ્યાં. કર્મયોગ પણ સાથે સાથે ચાલ્યો. ‘ગીતાઈ’ અને ‘ગીતાપ્રવચનો’ વિનોબાની અત્યંત લોકપ્રિય કૃતિઓ છે. ‘ગીતાઈ’નો શબ્દશ: અર્થ સમજવા માટે એમણે ‘ગીતાઈ શબ્દકોશ’ તૈયાર કર્યો અને ગીતાના શ્લોકોના ગહન અર્થ સમજવા માટે એમણે ‘ગીતાઈ-ચિંતનિકા’ તૈયાર કરી. વિશિષ્ટ જનો માટે વિનોબાએ ‘ગીતાધ્યાયસંગતિ’, ‘સ્થિતપ્રજ્ઞદર્શન’ અને ‘સામ્યસૂત્ર’ની રચના કરી. આ રીતે વિનોબા ગીતાના સૂત્રકાર, ભાષ્યકાર, કોશકાર અને સમાલોચનાકાર બન્યા. 

બીજા મહાયુદ્ધ (1939–45) વખતે બ્રિટિશ સરકારે હિંદને વગર પૂછ્યે યુદ્ધમાં સંડોવ્યું એટલે યુદ્ધવિરોધી વ્યક્તિગત સત્યાગ્રહની યોજના ગાંધીજીએ વિચારી. એના પહેલા સત્યાગ્રહી તરીકે વિનોબાને જાહેર કર્યા. વિનોબાએ સત્યાગ્રહ કરી ત્રણ વાર જેલ ભોગવી. 1942માં ‘ભારત છોડો’ આંદોલન વખતે પણ વિનોબાની ધરપકડ થઈ. એમને તમિલનાડુની વેલોર જેલમાં રાખ્યા. ત્યાં એમણે તમિળ, તેલુગુ, કન્નડ અને મલયાળમ એ દક્ષિણની ચાર ભાષાઓ શીખવાનું શરૂ કર્યું. લાંબા જેલવાસ પછી 1945માં તેમને મુક્તિ મળી અને તેઓ પવનાર પાછા આવ્યા.

ગાંધીજીની હત્યા પછી વિનોબાએ સર્વોદય સમાજ રચવાનો વિચાર રજૂ કર્યો. કાંચનમુક્તિ અને ઋષિખેતીના પ્રયોગો કર્યા. વિનોબાનું સૌથી મહત્ત્વનું કાર્ય 1951માં એમણે શરૂ કરેલું ભૂદાનયજ્ઞ આંદોલન હતું. જમીનદારો અને ભૂમિહીનો વચ્ચેની ખાઈ પૂરવાનો આ પ્રયત્ન હતો. વિચાર એટલો મૌલિક હતો કે આજે તો તેની કલ્પના પણ ન આવે. તેઓ ગામલોકોને કહેતા, ‘તમારે પાંચ દીકરા હોય તો મને છઠ્ઠો દીકરો ગણો ને મારા ભાગે આવતી જમીન મને આપો.’ મળેલી જમીન ત્યાં ને ત્યાં કોઈ ભૂમિહીનને અપાઈ જતી. સતત 14 વર્ષ ચાલેલી પદયાત્રા દરમ્યાન 50 લાખ એકર જમીન ભૂદાનમાં મળી. તેમાંથી 32 લાખ એકર જમીનનું વિતરણ થઈ ચૂક્યું છે. ભૂદાનમાંથી ગ્રામદાન, જીવનદાન, સંપત્તિદાન, સર્વોદય-પાત્ર, શાંતિસેના, ડાકુઓનું હૃદયપરિવર્તન, કાંચનમુક્તિ, ઋષિખેતી વગેરે કાર્યક્રમો અસ્તિત્વમાં આવ્યા. 

વિનોબાજી 11 ભાષાઓ જાણતા. મહાત્મા ગાંધીના આધ્યાત્મિક વારસ ગણાતા. તેમનું અધ્યાત્મ બુદ્ધિનિષ્ઠ હતું અને સમર્પણ પ્રજ્ઞાવાન. નવેમ્બર 1982માં તેમણે દવા, પાણી, આહાર છોડી સહજ પ્રાણત્યાગ કર્યો. પવનારની બહેનોએ તેમણે મુખાગ્નિ આપ્યો. 

મધર ટેરેસા વિનોબાજી કરતાં 15 વર્ષ નાનાં. અત્યારના મેસિડોનિયાના સ્કોપ્જેમાં જન્મેલાં આલ્બેનિયન સાધ્વી. ભારત તેમની કર્મભૂમિ. 1928માં તેઓ કૉલકાતા આવ્યાં અને થોડાં વર્ષમાં પોતાના ધર્મસંઘની ભારત શાખાનાં વડા બન્યાં. 1948માં કૉલકાતામાં મરણપથારી પર પડેલા નિરાશ્રિતો માટે આશ્રયસ્થાન શરૂ કર્યું. બીમારોને સારી સારવાર મળે તે માટે તાલીમ લીધી. 1950માં તેમણે ભારતનું નાગરિકત્વ લીધું. એ જ વર્ષે ‘મિશનરીઝ ઑફ ચેરિટી’ની સ્થાપના કરી. તેની શાખાઓ અત્યારે 133 દેશોમાં છે. ભારતમાં જ 30 જેટલી શાખાઓ છે. બ્રહ્મચર્ય, ગરીબી, આજ્ઞાંકિતતા અને આજીવન સેવાવ્રત ધારણ કરનારી 4,500 સાધ્વીઓ અનાથાલય, સૂપ કિચન્સ, શાળાઓ, હોસ્પિટલો ચલાવે છે અને ટી.બી.-એઈડઝ-રક્તપિત્તના રોગીઓની સારવાર કરે છે. 

મધર ટેરેસા

1862માં મધર ટેરેસાને મેગ્સેસે પુરસ્કાર મળ્યો, 1979માં નોબેલ શાંતિ ઈનામ અને 1980માં ભારતરત્ન. ભારતરત્ન મેળવનાર તેઓ પહેલા ભારતીય-વિદેશી નાગરિક છે. તેમના પછી 1987માં ખાન અબ્દુલ ગફારખાનને અને 1990માં નેલ્સન મંડેલાને આ માન મળ્યું.  

ખ્રિસ્તી ધર્મપરંપરામાં સંતત્વ એટલે કે સેન્ટહૂડ મેળવવાની પ્રક્રિયા ખૂબ અટપટી અને લાંબી હોય છે. 2016માં તેના દરેક તબક્કા પસાર કરી મધર ટેરેસા ‘સંત’ ઘોષિત થયાં. ‘સિસ્ટર’ અને ‘મધર’થી ‘સેન્ટ’ સુધીની આ પ્રક્રિયા ઘણી પ્રેરક અને રસપ્રદ છે, પણ આપણને પૂછવાનું મન થાય કે સેન્ટહૂડ વધારે મહત્ત્વનું કે મધરહૂડ? સંતત્વ મોટું કે માતૃત્વ? પણ એમાં ન પડીએ તે જ સારું, આપણને બાંધ્યા વિના ચાલતું હોતું નથી અને મહાન આત્માઓ કદી બંધાતા હોતા નથી.

વિનોબાજી કટોકટી અંગેના તેમનાં વિધાનોને કારણે અને મધર ટેરેસા ગર્ભપાત અંગેના વિચારોને કારણે વિવાદોમાં ઘેરાયાં હતાં, પણ તેમની મહાનતા તેનાથી ખરડાતી નથી. અનુશાસિત જીવન અને મુક્ત આત્મા આ બંનેનો આદર્શ હતો. સેવાના ભેખધારીઓ આ જ રીતે વિચારે અને જીવે. 

વિનોબાજીએ કહ્યું હતું કે ‘વિશ્વમાં આજે જેટલી સમસ્યાઓ છે તેની પાછળ ઓછી મહેનતે વધારે લાભ ઉઠાવવાની સ્વાર્થી લાલસા છે. આ ચોરી છે.’ મધર કહેતાં, ‘કેટલું આપ્યું તે કરતાં કેટલા પ્રેમથી આપ્યું તે વધારે મહત્ત્વનું છે. સંખ્યા પાછળ ન પાડો. એક સમયે એક વ્યક્તિને મદદ કરો અને જે તમારી આસપાસ જ છે તેમનાથી શરૂઆત કરો.’ આ બંને વિચારનો અમલ અઘરો નથી, આપણે જ્યાં હોઈએ ત્યાંથી એક નાની શરૂઆત કરી શકાય તેમ છે. 

હૃદયના ગહન મૌનમાં આ વિચારોનો પ્રકાશ ફેલાવા દઈએ.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 07 સપ્ટેમ્બર  2025

Loading

મહિલા વિશ્વ કપ અને ભારતીય સંવેદનો …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|7 November 2025

રવીન્દ્ર પારેખ

મહિલા વન ડે વર્લ્ડ કપની ફાઈનલ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે હતી. હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ, સાઉથ આફ્રિકાની ટીમ સાથે ટકરાઈ અને દક્ષિણ આફ્રિકાને 52 રને હરાવીને 52 વર્ષે વિશ્વકપ કબજે કર્યો. દક્ષિણ આફ્રિકાની ટીમે મુંબઈના ડી.વાય. પાટિલ સ્ટેડિયમમાં ટોસ જીતીને ભારતીય ટીમને બેટિંગમાં ઉતારી, તો ભારતીય મહિલા ટીમે 7 વિકેટ ગુમાવીને 298 રન કરીને 299 રનનો ટાર્ગેટ દક્ષિણ આફ્રિકા સામે મૂક્યો. ભારત માટે શેફાલી વર્માએ 87, દીપ્તિ શર્માએ 58, સ્મૃતિ મંધાનાએ 45 અને રિચા ઘોષે 34 રન નોંધાવ્યા. (રિચાના નામે સૌથી વધુ 12 સિક્સર વર્લ્ડ કપમાં બોલે છે) દીપ્તિ શર્માએ સૌથી વધુ 5 વિકેટ લીધી, તો દક્ષિણ આફ્રિકા તરફથી આઇબોન્ગા ખાકાએ ૩ વિકેટ લીધી, પણ સાઉથ આફ્રિકા 246 રનમાં ઓલ આઉટ થઈ જતાં વિશ્વકપ ભારતને ભાગે આવ્યો.

ભારતની કોઈ પણ ફોર્મેટમાં આ પહેલી આઈ.સી.સી. ટ્રોફી છે.

ઓસ્ટ્રેલિયા આ ક્પ સાત વાર જીતી ચૂક્યું હતું અને તે ભારત સામે સેમી ફાઈનલમાં આવ્યું હતું. ખરેખર તો એ મેચ વધારે કટોકટી ભરી હતી, કારણ સેમી ફાઈનલમાં ભારત, ઓસ્ટ્રેલિયા સામે એકથી વધુ વખત હારી ચૂક્યું હતું. એ જ સ્થિતિ ફરી એક વાર 2025માં ભારત સામે આવી હતી, પણ જેમિમાહ રોડ્રિગ્સે સેમી ફાઈનલમાં 127 રન ખડકીને ફાઈનલ પ્રવેશની, ભારતની સ્થિતિ મજબૂત કરી દીધી હતી. જેમિમાહે જ સેમી ફાઈનલની જીત પછી કહેલું, આટલે સુધી આવ્યાં, હવે એક જ મેચ બાકી છે. આ વાતથી આખી ભારતીય ટીમમાં નવી ઊર્જાનો સંચાર થયો. વધારામાં શેફાલી વર્માએ ફાઈનલમાં 87 રન કર્યા ને બે મહત્ત્વની વિકેટ લઈને ભારતની જીત પાકી કરી, એટલું જ નહીં, પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મેળવ્યો.

ભારતીય ટીમને વડા પ્રધાને શુભેચ્છાઓ પાઠવી. X પર તેમણે લખ્યું પણ ખરું કે આ ઐતિહાસિક જીત ભવિષ્યની ખેલાડીઓને રમતમાં ભાગ લેવા પ્રેરિત કરશે. પી.એમ. ભારતીય ટીમને મળ્યા પણ ખરા ને ટીમની વાતો પણ સાંભળી. તેમણે બહુ મહત્ત્વની વાત એ કરી કે તમામ ખેલાડીઓ એક દિવસ તેમની સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે વીતાવે. આટલું થશે તો ઘણાં વિદ્યાર્થીઓને પ્રેરણા મળશે. તમામ ખેલાડીઓએ એ વાત માની પણ ખરી. વિશ્વકપની જીત પર સચિન તેંડુલકરે પણ X પર લખ્યું કે મહિલા ક્રિકેટ ટીમે ખરેખર કંઇ ખાસ કર્યું છે. ટીમે દેશભરની અગણિત યુવા મહિલાઓને બેટ અને બોલ ઉપાડીને મેદાનમાં ઉતરવા અને એ વિશ્વાસ કરવા પ્રેરિત કરી છે કે તે પણ એક દિવસ ટ્રોફી ઉપાડી શકે છે.

આ જીત રેડીમેઈડ નથી. વિશ્વ કપ જીત માટે સંજોગોએ પણ ઘણો ભાગ ભજવ્યો છે. દક્ષિણ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ટે તો કહ્યું પણ ખરું કે દક્ષિણ આફ્રિકા 21 વર્ષની શેફાલી વર્માને કારણે હાર્યું. શેફાલીએ મિડલ ઓવર્સમાં જે રીતે 2 વિકેટ લીધી, તેથી દક્ષિણ આફ્રિકા પાછળ પડ્યું ને ગમ્મત જુઓ કે શેફાલી વર્મા વર્લ્ડ કપ માટેની ટીમમાં જ ન હતી. તેને તો ખરાબ ફોર્મને કારણે વન ડે ટીમમાંથી વર્ષ પહેલાં જ ઘર ભેગી કરી દેવાયેલી, પણ બાંગ્લાદેશ સામેની મેચમાં પ્રતિકા રાવલ ઇન્જર્ડ થતાં ફાઈનલમાં તેની જગ્યાએ ઓપનર તરીકે રમવાનું તેડું આવ્યું. આ અણધારી તક મળતાં તે બોલી હતી કે ભગવાને મને કંઇ સારું કરવા મોકલી છે ને એ દર્શકોને જોવા મળ્યું પણ ખરું.

ક્રિકેટમાં જીત એક વ્યક્તિના પ્રયત્નથી મળતી નથી. વ્યક્તિ મહેનત કરે, પણ બાકી ખેલાડીઓનો સાથ ન હોય તો એકલ વ્યક્તિનો પ્રયત્ન જીતમાં ફેરવાતો નથી. સેમી ફાઈનલમાં જેમિમાહે 127 રન કર્યા એ ખરું, પણ તે રન કરવામાં તેને કેપ્ટન સહિત અન્ય ખેલાડીઓનો સાથ મળ્યો ને ભારતનો ફાઈનલમાં પ્રવેશ શક્ય બન્યો, જયારે ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાની કેપ્ટન વોલ્વાર્ટે 101 રન ફટકારીને જેમિમાહ જેવો જ શાનદાર દેખાવ કર્યો, પણ તેને અન્ય ખેલાડીઓનો સાથ ન મળ્યો ને દક્ષિણ આફ્રિકાએ ફાઈનલમાં હારનો સામનો કરવાનો આવ્યો. એવી જ સ્થિતિ જેમિમાહની પણ હતી. 2025 વર્લ્ડ કપમાં બે વાર ઝીરોમાં આઉટ થતાં ઇંગ્લેન્ડ સામેની મેચમાં જેમિમાહને પડતી મૂકવામાં આવી હતી, પણ વાપસી થઈ, તો બંને મસ્ટ વિન મેચમાં ન્યુઝીલેન્ડ સામે 76 રન અને ઓસ્ટ્રેલિયા સામે અણનમ સદી ફટકારી પોતાનું અને ભારતનું જીત માટેનું સ્થાન પાકું કરી દીધું.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની મહિલાઓમાંની ઘણી, સામાન્ય કુટુંબોમાંથી આવે છે. ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 36 વર્ષની છે ને પંજાબના મોગાની છે. તેણે 9 મેચમાં 260 રન બનાવ્યા છે. માતા સતવિંદર કૌર ગૃહિણી છે ને પિતા હરમિંદર સિંહ ભુલ્લર બાસ્કેટ બોલ ખેલાડી છે. 29 વર્ષની સ્મૃતિ મંધાના મુંબઈની બેટર છે ને તેણે 9 મેચમાં 434 રન કર્યા છે. માતા સ્મિતા ગૃહિણી છે, જ્યારે પિતા શ્રીનિવાસ ઉદ્યોગપતિ છે. 25 વર્ષની પ્રતિકા રાવલ દિલ્હીની બેટર છે. તેણે સાત મેચમાં એક ફિફ્ટી અને એક સદી સાથે 308 રન કર્યા છે. તેની માતા રજની ગૃહિણી છે ને પિતા પ્રદીપ રાવલ એમ્પાયર છે. રોહતક, હરિયાણાની શેફાલી વર્માના પિતા સંજીવ વર્મા ઘરેણાંની દુકાન ચલાવે છે અને માતા પરવીન ગૃહિણી છે. 8 મેચમાં 292 રન બનાવનાર જેમિમાહ રોડ્રિગ્સ મુંબઈની છે. માતા લવિતા એક સ્કૂલમાં શિક્ષિકા છે ને પિતા ઇવાન કોચ છે. ઉમા છેત્રીના માતા પિતા ગ્રામીણ મજૂર છે. 27 વર્ષની હરલીન દેઓલ ચંદીગઢની છે. તેણે 7 મેચમાં 169 રન કર્યા છે. તેની માતા ચરણજીત કૌર સરકારી કર્મચારી છે ને પિતા બી.એસ. દેઓલ બિઝનેસમેન છે. સિલિગુડી, પશ્ચિમ બંગાળની રિચા ઘોષે એક ફિફ્ટી સાથે 8 મેચમાં 235 રન કર્યા છે ને તેની માતા સ્વપ્ના એક ગૃહિણી છે, તો પિતા માનવેન્દ્ર પૂર્વ ક્રિકેટર અને એમ્પાયર છે. કોરોના કાળમાં બધું ઠરી ગયું હતું ત્યારે રિચાએ છત પર નેટ લગાવી પ્રેક્ટીસ શરૂ કરી હતી. તેણે મહિલા વન ડેમાં સૌથી ઝડપી 1,000 રન કરવાનો રેકોર્ડ પણ કર્યો. આગ્રાની ઓલ રાઉન્ડર દીપ્તિ શર્મા(28)એ 9 મેચમાં 215 રન કર્યા અને 22 વિકેટ લીધી. એ સાથે તે સૌથી વધુ વિકેટ લેનાર ટોપ ત્રણ બોલરોમાં સ્થાન પામી છે. તેની માતા સુશીલા પૂર્વ પ્રિન્સિપાલ, હાલ ગૃહિણી છે ને પિતા ભગવાને રેલવેમાં કામ કર્યું છે. 25 વર્ષની ઓલ રાઉન્ડર અમનજોત કૌરે 7 મેચમાં 146 રન કર્યા અને 5 વિકેટ લીધી. તેની માતા રણજિત ગૃહિણી છે અને પિતા ભૂપિન્દર સિંહ લાકડાના ઠેકેદાર છે. ઉત્તરાખંડની સ્નેહ રાણાએ 6 મેચમાં 99 રન કર્યા અને 7 વિકેટ લીધી. તેની માતા વિમલા ગૃહિણી છે ને પિતા નટવર સિંહનું અવસાન થયું છે. ધુવારા, છતરપુર(મધ્ય પ્રદેશ)ની કાંતિ ગૌર (22) બોલર છે. તેણે 6 મેચમાં 9 વિકેટ લીધી છે ને તેની માતા નીલમ ગૃહિણી છે, તો પિતા મુન્ના ગૌર પોલીસ કોન્સ્ટેબલ છે. સીમલાની બોલર રેણુકા સિંહે (29) 6 મેચમાં 3 વિકેટ લીધી. તેની માતા સુનિતા ઠાકુર વર્ગ-4ની કર્મચારી છે અને પિતા કેહર સિંહનું મૃત્યુ થયું છે. 25 વર્ષની રાધા યાદવ મુંબઈની છે. તેણે 3 મેચમાં 4 વિકેટ લીધી. તેની માતા ગૃહિણી છે ને પિતા ઓમપ્રકાશ શાકભાજી વેચે છે. 21 વર્ષની શ્રી ચરણી એરામાલે, આંધ્રની છે. તેણે 9 મેચમાં 14 વિકેટ લીધી. પિતા ચન્દ્રશેખર થર્મલ પાવર પ્રોજેક્ટમાં કર્મચારી છે. જોઈ શકાશે કે મોટે ભાગની ખેલાડીઓની માતા ગૃહિણી છે ને પિતા કોચ, એમ્પાયર કે સાધારણ કામગીરી કરે છે.

ટૂંકમાં, સ્ટ્રગલ ઘરમાં છે ને મેદાનમાં તો છે જ !

જીતનું મહત્ત્વ તો છે જ, પણ એને નિમિત્તે ખેલાડીઓનાં અને ભારતીય જનતાનાં સંવેદનો આકાર લે છે એ પણ એટલાં જ મહત્ત્વનાં છે, કારણ મેદાન પર આવતાં પરિણામો એનો જ પડઘો હોય છે. અમનજોત કૌરની વાત કરીએ તો ફાઈનલ મેચમાં તેની દાદીને હાર્ટએટેક આવ્યો હતો, પણ અમનજોતનું ધ્યાન ન ભટકે એટલે પરિવારે તેનાથી વાત છુપાવી. જીત પછી તેના પિતાએ કહ્યું કે આ જીત ટેન્શનમાં અમારે માટે મલમ જેવી છે. રાધા યાદવ કોલિવરી ઝૂપડપટ્ટીમાં ઊછરી છે. શાકભાજી વેચતા તેના પિતા ઓમપ્રકાશ પાસે ક્રિકેટ અકાદમીની ફી ભરવાના પૈસા પણ ન હતા, પણ કોચ પ્રફુલ્લ નાઈકના માર્ગદર્શન અને પોતાની મહેનતથી રાધાએ ટીમ ઇન્ડિયામાં એવું સ્થાન બનાવ્યું કે વિપક્ષી ટીમને માટે એ પડકાર બની ગઈ છે.

મહિલા વિશ્વ કપ ભારત જીતે ને આખો દેશ ઊજવે તે તો સમજાય, પણ એક વીડિયો એવો વાઈરલ થયો છે, જેમાં એક બાળકી સહિત 3 પાકિસ્તાનીઓ ભારતને વિશ્વ કપ મેળવવા બદલ અભિનંદનો આપે છે, એટલું જ નહીં, ટી.વી. પર ગવાઈ રહેલું ‘જન ગણ મન’ દોહરાવે પણ છે. બીજું સંવેદનસભર દૃશ્ય હતું, ખેલાડીઓની ખેલદિલીનું. ફાઈનલ જીત્યા પછી સ્મૃતિ મંધાના, રાધા યાદવ, જેમિમા રોડ્રિગ્સ સહિત ઘણી ભારતીય ખેલાડીઓ દક્ષિણ આફ્રિકી ખેલાડીઓને આશ્વસ્ત કરતી દેખાઈ. એ જોઇને આઈ.સી.સી.એ લખ્યું પણ ખરું કે આ એક બીજા માટેનું માન-સન્માન દર્શાવે છે.

અંતે, ભારતીય વિશ્વ કપ વિજેતા મહિલા ટીમને હૃદયપૂર્વકનાં અભિનંદનો અને શુભેચ્છાઓ પાઠવીએ અને પ્રાર્થના કરીએ કે તેમને હાથે આ દેશની સર્વોત્કૃષ્ટ સેવા થતી રહે … 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 નવેમ્બર 2025

Loading

1234...102030...

Search by

Opinion

  • મહિલા વિશ્વ કપ અને ભારતીય સંવેદનો …
  • વિશ્વવિજયી મહિલા ક્રિકેટર ખેલાડીઓ : સિદ્ધિ પહેલાંના સંઘર્ષો 
  • ઓગણીસમી સદીની એક બહુરૂપી પ્રતિભા 
  • નાગરિકોનો મતાધિકાર ઝૂંટવી લેવાનું કાવતરું એટલે SIR? 
  • લોકોએ જે કરવું હતું એ જ કર્યું !

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved