Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9335291
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધૂલ કા ફૂલ : હિંદુ-મુસ્લિમ એકતામાં યશ ચોપરાનો નહેરુવાદી રોમાન્સ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|12 June 2025

રાજ ગોસ્વામી

કોઈકે એકવાર લખ્યું હતું કે જવાહરલાલ નહેરુએ ભારતની કલ્પના 70 એમ.એમ.માં કરી હતી, જેમાં સર્વધર્મ સદ્દભાવ, લોકતાંત્રિક વ્યવસ્થા અને ઔધોગિક વિકાસ કેન્દ્રમાં હતા. હિન્દી સિનેમાએ પણ નહેરુના 70 એમ.એમ. મોડેલને ભક્તિભાવથી અપનાવ્યું હતું અને તે વખતે એવા ઘણા ફિલ્મ નિર્માતાઓ હતા, જે સમાવેશી અને પ્રગતિશીલ ભારતનું સપનું તેમની ફિલ્મો દ્વારા લોકોએ બતાવતા હતા.

એમાંથી એક નિર્માતા હતા બલદેવ રાજ ચોપરા. તેમણે વિભાજનની ટ્રેજેડી જોઈ હતી. તે લાહોરમાં ફિલ્મ પત્રકાર હતા અને કોમી દંગલોમાં જીવ બચવવા માટે પરિવાર સમેત પહેલાં દિલ્હી અને પછી મુંબઈ આવ્યા હતા. તેમને ખબર હતી કે એકતા અને પ્રગતિ વગર દેશનું અને સમાજનું કોઈ ભવિષ્ય નથી.

મુંબઈમાં તેમણે આઝાદીના પ્રથમ દાયકામાં એક સીમાચિહ્નરૂપ ફિલ્મ ‘નયા દૌર’ (1957) બનાવી હતી, જેમાં નહેરુના ઔધોગિક દર્શન અને ગાંધીના ગ્રામકલ્યાણ ચિંતનનો અનોખો સંગમ હતો. તેમના લઘુ બંધુ યશ ચોપરાએ એકવાર કહ્યું હતું કે, “નહેરુ અને તેમની નીતિઓ અમારી ચેતનાનો હિસ્સો હતી. તે કહેતા હતા કે મોટા ડેમ અને ઉદ્યોગો આધુનિક ભારતનાં મંદિરો છે. અમે તેમના શબ્દોને આત્મસાત કર્યા હતા.”

આ યશ ચોપરાએ તેમના જ્યેષ્ઠ બંધુની ફિલ્મ કંપની માટે જે પહેલી ફિલ્મનું નિર્દેશન કર્યું, તેમાં તેમણે સર્વધર્મ સદ્ભાવના નહેરુવાદી દર્શનનું અક્ષરશ: પાલન કર્યું હતું. સિનિયર ચોપરાની ‘નયા દૌર’માં આધુનિક ભારતમાં મશીન અને માણસ વચ્ચેના સંઘર્ષની શાનદાર વાર્તા હતી, તો જુનિયર ચોપરાની ‘ધૂલ કા ફૂલ’(1959)માં હિંદુ-મુસ્લિમ એકતાની વાત હતી.

બંને ફિલ્મો વ્યવસાયિક દૃષ્ટિએ સફળ સાબિત થઇ હતી અને ચોપરા બંધુઓને સામાજિક રીતે જાગૃત ફિલ્મસર્જક તરીકે સ્થાપિત કરી ગઈ હતી. ‘ધૂલ કા ફૂલ’ તેની સંવેદનશીલ વાર્તા અને વિવાહેતર સંબંધમાંથી જન્મેલાં હિન્દુ બાળકને ઉછેરતા એક મુસ્લિમ વ્યક્તિની વાર્તા માત્ર સાંપ્રદાયિક શાંતિ માટેની અપીલ જ નથી, પરંતુ તે સમયની લૈંગિક ભેદભાવપૂર્ણ પ્રથાઓ પર પણ પ્રશ્નો ઊભા કરે છે.

ફિલ્મની મુખ્ય અભિનેત્રી માલા સિન્હાની મીના ખોસલાની ભૂમિકા ખૂબ જ પડકારજનક હતી. તે મહેશ(રાજેન્દ્રકુમાર)ને પ્રેમ કરે છે. બંને  વચ્ચે એક ક્ષણે શરીર સંબંધ બંધાય છે અને મીના ગર્ભવતી થાય છે. બીજી બાજુ, મહેશ તેના પરિવારના દબાણ હેઠળ માલતી રાય (નંદા) સાથે લગ્ન કરે છે. મીના બાળકને જન્મ આપે છે, પણ મહેશ તેને ભૂલ ગણીને અસ્વીકાર કરે છે.

મીના બાળકને એક જંગલમાં ત્યજી દે છે. ત્યાં અબ્દુલ રશીદ (મનમોહન કૃષ્ણ) નામના એક પરગજુ મુસ્લિમના હાથમાં આ બાળક આવે છે. તે તેને ઘરે લાવે છે અને સમાજનાં મહેણાં-ટોણા વચ્ચે તેને પોતાનું ગણીને મોટું કરે છે. તે તેનું નામ રોશન (માસ્ટર સુશીલ કુમાર) રાખે છે.

મીના શહેરના પ્રતિષ્ઠિત વકીલ જગદીશ ચંદ્ર(અશોક કુમાર)ની સહાયક તરીકે કામ શરૂ કરે છે. જગદીશને તેના માટે પ્રેમની લાગણી પ્રગટે છે. મીના તેના ભૂતકાળનો ખુલાસો કર્યા બાદ તેની સાથે લગ્ન કરે છે. બીજી બાજુ, મહેશ હવે ન્યાયાધીશ છે અને તેને એક પુત્ર રમેશ (ડેઝી ઈરાની) છે. 

એક દિવસ રોશન અને રમેશ પેરેન્ટ્સ સાથે સ્કૂલમાં એકબીજાને મળે છે. અબ્દુલ મહેશની હાજરીમાં જ પ્રિન્સિપાલને જણાવે છે કે રોશન તેને આઠ વર્ષ પહેલાં લાવારિસ મળ્યો હતો. બંને બાળકો વચ્ચે ઘનિષ્ઠ દોસ્તી થાય છે.

એક દિવસ, રમેશ રોશનને તેના ઘરે લઇ જાય છે. ત્યાં તેની માતા માલતી રોશનને પ્રેમથી આવકારે છે, પરંતુ મહેશ તેને લાવારિસ ગણીને કાઢી મૂકે છે. એટલે રોશન હતાશ થઇ જાય છે અને ખોટા છોકરાઓની વાદે ચઢી જાય છે. એકવાર રમેશ તેને વાળવા જાય છે અને કાર અકસ્માતમાં મૃત્યુ પામે છે.

હતાશ રોશન એકવાર ચોરીના ખોટા ઇલ્જામમાં પકડાય છે અને તેને મહેશની કોર્ટમાં હાજર કરવામાં આવે છે. અબ્દુલ તેના છોકરાને બચાવવા માટે જગદીશ ચંદ્ર પાસે જાય છે. તે જગદીશની પત્ની મીનાની હાજરીમાં કહે છે કે તેને રોશન કેવી રીતે મળ્યો હતો. મીના તરત જ તેને ઓળખી જાય છે. તે કોર્ટમાં રોશન તરફે સાક્ષી આપે છે. મહેશ પણ માતા-પુત્રને ઓળખે છે અને પોતાની ભૂલનો એકરાર કરે છે.

આજની સરખામણીમાં આ વાર્તા અવિશ્વસનીય અને મેલોડ્રામેટિક લાગે, પરંતુ યશ ચોપરાએ બહુ કુશળતાથી તેનું નિર્દેશન કર્યું હતું. આજે કોઈને વિશ્વાસ ના આવે કે રોમેન્ટિક ફિલ્મોના રાજા કહેવાતા યશજીએ તેમની પહેલી જ ફિલ્મમાં હિંદુ-મુસ્લિમ અને લગ્નબાહ્ય સંતાનનો નિષેધાત્મક વિષય છેડ્યો હતો. વર્ષો પછી, 1978માં ‘ત્રિશૂલ’ ફિલ્મમાં તેઓ લગ્નબાહ્ય સંતાનના વિષયને સ્ફોટક રીતે પેશ કરવાના હતા.

‘ધૂલ કા ફૂલ’ તેના એક અવિસ્મરણીય ગીત માટે પણ યાદગાર છે. મોહમ્મદ રફીએ તેમના સૂફી અવાજ’માં અનેક સામાજિક ગીતો ગાયાં છે, પરંતુ તે સૌમાં ‘તું હિંદુ બનેગા ના મુસલમાન બનેગા, ઇન્સાન કી ઔલાદ હૈ તું ઇન્સાન બનેગા’ સૌથી ટોચ પર આવે છે. 

સાહિર લુધિયાનવીએ આ ગીતમાં જે ભાવના વ્યકત કરી હતી, તે આજે પણ એટલી જ પ્રાસંગિક છે. આપણે આપણી પૂરી તાકાત હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી બનવામાં ખર્ચી નાખી છે, પણ કોઈને માણસ બનવાનો પ્રયાસ નથી કર્યો. અને આપણે સંપૂર્ણપણે ધાર્મિક પણ નથી બન્યા, નહીં તો આ ઝઘડો જ ન હોત. દરેક ધર્મના પુસ્તકમાં લખ્યું છે કે ધાર્મિક બનતાં પહેલાં માણસ બનો. સાહિરે તેમાં વૈશ્વિક પીડા વ્યક્ત કરી હતી :

માલિક ને હર ઇન્સાન કો ઇન્સાન બનાયા

હમને ઇસે હિંદુ યા મુસલમાન બનાયા

કુદરત ને તો બખ્શી થી હમેં એક હી ધરતી

હમ ને કહીં ભારત કહીં ઈરાન બનાયા

બે વર્ષ પછી, 1961માં, યશ ચોપરા આ જ વિષય સાથે ‘ધરમપુત્ર’ ફિલ્મ સાથે પાછા આવ્યા. આ વખતે તેમાં એક મુસ્લિમ લાવારિસ બાળકને એક હિંદુ પરિવાર મોટો કરે છે તેવી વાર્તા હતી. તેની વાત ફરી ક્યારેક.

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 11 જૂન 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગાંધીનો હિટલરને પત્ર 

આશા બૂચ|Gandhiana|12 June 2025

‘મારુ જીવન મારી વાણી’નો બીજો ગ્રંથ તેમ જ અમર્ત્ય સેનનું ‘The Idea of Justic’ વાંચું છું, તેમાં વળી, આ લેખ વાંચવામાં આવી ગયો, એટલે આ લખાણ : 

− આશા બૂચ 

આજે ચારેકોર લડાઈ, ભૂખમરો અને નરસંહારનું તાંડવ ખેલાઈ રહ્યું છે અને ચોપાસ અંધકાર ઘેરી વાળ્યો છે. ‘પ્રેમલ જ્યોતિ તારો દાખવી’ ભજનમાં ગવાયું છે તેમ માર્ગ સૂઝે નહીં ઘોર રજનીમાં જેવી હાલત અનુભવીએ છીએ, તેવે ટાણે મે 2025ના mkgandhi.orgના અંકમાં ત્રિદીપ સુહૃદનો લખેલો લેખ અને તેમાં આપેલા ગાંધીજીના હિટલરને લખેલા બે પત્રો વાંચ્યા.

ઈ.સ. 1931માં લંડન ખાતે યોજાયેલી ગોળમેજી પરિષદમાં હાજરી આપ્યા બાદ ગાંધીજી સ્વીત્ઝર્લેન્ડ રોમાં રોલાંની મુલાકાતે ગયેલા અને સાથે સાથે ઇટલીના સરમુખત્યાર બેનિટો મુસોલિનીને પણ મળવા ગયા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જગત આખું એમ માનતું થઇ ગયું હતું કે હિંસાનો સામનો માત્ર વધુ બળવત્તર વિનાશક શક્તિથી જ કરી શકાય એ હકીકત ગાંધીજી સમજી ગયા હતા. પરંતુ તેઓની માન્યતા હતી કે સરમુખત્યાર શાસકોને પણ અહિંસક માર્ગ એ નબળા માણસોનું નહીં પણ આધ્યાત્મિક રીતે સબળા માણસોનું હથિયાર છે, એમ કહીને તેમને સતર્ક કરવાની જરૂર છે એટલું જ નહીં, પણ એ તેમની ફરજ છે, અને તેથી તેઓએ મુસોલિનીની મુલાકાત લીધી હતી.

યુરોપના કેટલાક દેશોની સંસ્થાનવાદની નીતિ પ્રત્યે અણગમો હોવા છતાં પોતાના લંડનમાં વિતાવેલ વિદ્યાર્થીકાળથી જ ગાંધીજી યુરોપની પ્રજા માટે પ્રીતિ ધરાવતા હતા; કેમ કે તેઓ માનતા હતા કે દુનિયાના અન્ય દેશો પર શાસન કરનાર એ દેશોની આધુનિક સભ્યતાની વિચારધારાની એડી નીચે એ પ્રજા પણ અન્ય ગુલામી ભોગવનાર પ્રજાની માફક કચડાય છે. આથી જ ગાંધીના ઘણા મિત્રો અને સાથી કાર્યકરો યુરોપિયન હતા. ગાંધીજીને લંડન શહેર અને તેમાં ય સેન્ટ પોલ કેથેડ્રલ પ્રત્યે ખાસ અનુરાગ હતો એ જ્યારે લંડન પર બૉમ્બ વર્ષા થઇ ત્યારે એ સ્થળોની સુરક્ષા માટે તેમણે દર્શાવેલી નિસબત પરથી જણાઈ આવે છે. આથી જ જ્યારે યુરોપના મોટા ભાગના દેશો માનવ જાતને વિનાશના મુખમાં ધકેલવા આગળ ધપી રહ્યા હતા ત્યારે લંડનના હાઉસીસ ઓફ પાર્લામેન્ટ, વેસ્ટમિન્સ્ટર એબે અને ફ્રાન્સ તથા જર્મનીના સ્મારકોના વિનાશની શક્યતાઓથી ગાંધીજી ખિન્નતા અનુભવી રહ્યા હતા. તેમની દૃઢ માન્યતા હતી કે દુનિયામાં શાંતિની સ્થાપના માત્ર અહિંસાથી મુક્તિ મેળવવાથી જ કરી શકાય. ખુદ હિંસા આચરનારા શાસકો પણ હિંસાનો ત્યાગ કરશે ત્યારે જ શાંતિ સ્થપાશે.

બીજું વિશ્વયુદ્ધ શરૂ થવાના થોડા મહિના અગાઉ, 1939માં, ગાંધીજીએ હિટલરને એક પત્ર લખ્યો અને બીજો 1940માં લખ્યો, પરંતુ તે સમયની બ્રિટિશ સરકારના હસ્તક્ષેપના પરિણામે એ બંને પત્ર હિટલરને પહોંચ્યા નહીં.

‘You Are Today the One Person in the World Who Can Prevent a War.’ Read Gandhi’s Letters to Hitler

પ્રથમ પત્રનું ભાષાંતર :

વર્ધા, મધ્ય પ્રદેશ, ભારત

જુલાઈ 23, 1939

પ્રિય મિત્ર,

મારા મિત્રો માનવતાના હિત ખાતર આપને પત્ર લખવા માટે વિનવી રહ્યા છે. મારા તરફથી લખેલ પત્ર આપના પ્રત્યે અવિનય ગણાશે એમ માનતો હોવાથી અત્યાર સુધી મેં તેઓની વિનંતીનો પ્રતિકાર કર્યો. મને એવી પ્રતીતિ થાય છે કે મારે આવી ગણતરી ન કરવી જોઈએ અને ભલે એનું ગમે તેટલું મૂલ્ય હોય, પરંતુ મારે આ અરજ કરવી જોઈએ.

એક હકીકત તદ્દન સ્પષ્ટ છે કે આપ જ એક એવી વ્યક્તિ છો, જે માનવ જાતને છેક ઘાતકી કે નિર્દયતાના સ્તર સુધી ઉતારી મૂકે તેવા આ યુદ્ધને અટકાવી શકો. આપને મન જે વસ્તુ બહુ મૂલ્યવાન હોય તેને માટે આ કિંમત ચૂકવવી શું વ્યાજબી છે? જેણે ખાસ સફળતા ન મેળવી હોવા છતાં હિંસાની પદ્ધતિને ઈરાદાપૂર્વક ટાળી છે તેની અરજ સાંભળશો?

આ પત્ર લખીને મેં જો કોઈ ભૂલ કરી હોય તેમ લાગે તો માફ કરશો તેવી અપેક્ષા રાખું છું.

આપનો સદા સંનિષ્ઠ મિત્ર 

એમ.કે. ગાંધી

હેર હિટલર

બર્લિન જર્મની

બીજા પત્રનું ભાષાંતર :

વર્ધા

ડિસેમ્બર 24, 1940

પ્રિય મિત્ર,

હું આપને મિત્ર તરીકે સંબોધન કરું છું એ માત્ર ઔપચારિકતા નથી. મારે કોઈ શત્રુ નથી. મારા જીવનનાં છેલ્લા 33 વર્ષથી મારું કાર્ય દરેક જાતિ, વર્ણ કે પંથની સમગ્ર માનવ જાત સાથે મૈત્રી કેળવવાનું રહ્યું છે.

માનવજાતનો બહુ મોટો ભાગ વૈશ્વિક મૈત્રીના સિદ્ધાંત મુજબ જીવન જીવવાનું પસંદ કરે છે તેઓ આપના કૃત્ય વિશે શું વિચારે છે, એ જાણવાનો આપને સમય મળશે અને આપ એવી ઈચ્છા પણ ધરાવશો એવી આશા હું રાખું છું. આપની પિતૃભૂમિ પ્રત્યેની નિષ્ઠા અને બહાદુરી વિશે મને લવલેશ શંકા નથી, કે આપના પ્રતિપક્ષીઓ દર્શાવે છે તેવા રાક્ષસી સ્વભાવના છો એમ પણ અમે નથી માનતા. પરંતુ આપના અને આપના મિત્રો તથા ચાહકોનાં લખાણો અને ઘોષણાઓ અને ઘણાં કૃત્યો રાક્ષસી છે અને માનવની ગરિમાને શોભે તેવાં નથી એ વિષે શંકાની જરા પણ ગુંજાઈશ નથી છોડી જતા; ખાસ કરીને મારા જેવા વૈશ્વિક મૈત્રીમાં માનનારા માટે. જેમ કે ઝેકોસ્લોવેકિયાની કરેલી માનહાનિ, પોલેન્ડ પર કરેલા અત્યાચારો અને ડેનમાર્કનો કોળિયો કરી જવો. મારા ખ્યાલમાં છે કે આપના મતે આ પ્રકારની લૂંટફાટ એ નૈતિક કૃત્ય છે. પરંતુ આપણને નાનપણથી શીખવવામાં આવ્યું છે કે આવાં કૃત્યોને માનવતાની ગરિમાને હાનિ કરનારા માનવામાં આવે છે. આથી અમે આપના સશસ્ત્ર સંગ્રામને સફળતા મળે તેમ ઇચ્છીએ તે હરગીઝ સંભવ નથી.

પણ અમે એક અનોખી પરિસ્થિતિમાં છીએ. અમે બ્રિટિશ સામ્રાજ્યવાદનો નાઝી વિચારધારા જેટલો જ પ્રતિકાર કરીએ છીએ. જો કઇં તફાવત છે, તો તેની માત્રમાં છે. દુનિયાની એક પંચમાંશ વસ્તીને જે રીતે બ્રિટનની એડી નીચે કચડવામાં આવી છે એની  કોઈ ગણના થઈ શકે તેમ નથી. અમારા વિદેશી રાજના પ્રતિકારનો અર્થ બ્રિટનની પ્રજાને હાનિ કરવાનો નથી. અમે તેમના હૃદયને બદલવા માગીએ છીએ, રણસંગ્રામમાં તેમને હરાવવા નથી માગતા. બ્રિટિશ શાસન સામે અમારો નિઃશસ્ત્ર બળવો છે. અમે તેમના હૃદયને પરિવર્તિત કરી શકીએ કે નહીં, પણ અહિંસક અસહકાર દ્વારા અમે તેમના શાસનને અસંભવ બનાવી દેવા માટે કૃતનિશ્ચયી છીએ. એ પદ્ધતિનો મૂળથી જ કોઈ બચાવ થઇ શકે નહીં. કોઈ લૂંટારો જુલ્મના ભોગ બનેલા લોકોના સ્વૈચ્છિક કે ફરજિયાત સહકાર વિના સફળ થઇ શકે જ નહીં એ માન્યતા ઉપર આ પદ્ધતિ (અહિંસક અસહકાર) આધારિત છે. અમારા શાસકો અમારી જમીન ઝુંટવી શકે, અમારાં શરીરનો ભોગ લઇ શકે પણ અમારા આત્માને ન હણી શકે. અમારી સંપત્તિ અને અમારાં તનનો નાશ કરવા એ લોકોએ ભારતનાં તમામ સ્ત્રી, પુરુષ અને બાળકોનો સંપૂર્ણ નાશ કરવો પડશે. સમગ્ર પ્રજા આવું શૌર્ય ન દાખવે અને ઘણા લોકોના ભયને કારણે અમારી લડતની કેડ ભાંગે એ શક્ય છે, પણ અમારી દલીલ જુદા જ મુદ્દા વિશે છે. જો થોડી સંખ્યાના લોકો શાસકો પ્રત્યે દુર્ભાવ સેવ્યા વિના અને એ લૂંટારુઓને ઘૂંટણે પડ્યા વિના પોતાના જાન ન્યોછાવર કરશે તો એ લોકોએ હિંસા અને જુલ્મથી મુક્તિ મેળવવાનો માર્ગ બતાવ્યો ગણાશે. હું જો એમ કહું કે ભારતમાં આપને અપેક્ષા કરતાં વધુ સંખ્યામાં આવાં સ્ત્રી-પુરુષો મળી આવશે તો આપે મારા પર વિશ્વાસ મૂકવો જોઈએ. એ લોકો છેલ્લાં 20 વર્ષથી આ માટે તાલીમ મેળવી રહ્યાં છે.

અમે છેલ્લી અર્ધી સદીથી બ્રિટિશ રાજ્યની ધૂંસરી ફગાવી દેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અત્યારે છે તેવી સ્વતંત્રતાની ચળવળ ક્યારે ય બળવાન નહોતી. સહુથી શક્તિશાળી સંગઠન – ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસ આ હેતુ સિદ્ધ કરવા પ્રયત્નશીલ છે. અમે અહિંસક માર્ગે સારા એવા પ્રમાણમાં સિદ્ધિ હાંસલ કરી છે. બ્રિટિશ સત્તા, કે જે સહુથી વધુ સંયોજીત હિંસાનું પ્રતિનિધિત્વ કરે છે તેની સામે ટક્કર ઝીલવા સાચા સાધનની શોધમાં અમે ઘણાં ફાંફાં માર્યાં. આપે પણ તેને પડકાર્યા છે. હવે બ્રિટન કે જર્મનીમાંથી કોણ વધુ સંગઠિત છે એ જોવાનું રહ્યું. બ્રિટનની એડી નીચે કચડાવું એનો શો અર્થ છે એ અમે અને દુનિયાની બિન યુરોપિયન પ્રજા બરાબર સમજે છે. પરંતુ અમે બ્રિટિશ શાસનનો અંત જર્મનીની મદદથી લાવવા કદી ઈચ્છા નહીં ધરાવીએ. અમે અહિંસામાં એક એવી તાકાત ભાળી છે કે દુનિયાની તમામ હિંસક તાકાતનો એ સામનો કરી શકે એ વિશે અમને જરા પણ શક નથી. મેં અગાઉ કહ્યું તેમ અહિંસક પદ્ધતિમાં હાર જેવી કોઈ સ્થિતિ જ નથી. એ બીજાની કતલ કર્યા વિના કે હાનિ પહોંચાડ્યા વિના ‘કરો યા મરો’ એ મંત્રને અનુસરવાની વાત છે. એના અમલ માટે ધનની બિલકુલ જરૂર નથી પડતી અને આપે વિજ્ઞાનની સંહારક શક્તિને જે પરાકાષ્ઠાએ વિકસાવી છે તેનો પણ ખપ નથી પડતો. મને આશ્ચર્ય થાય છે કે આ વિનાશક શક્તિ પર કોઈનો એકાધિકાર નથી એ આપ કેમ જોઈ નથી શકતા. બ્રિટિશ નહીં તો કોઈ બીજી સત્તા આપની આ પદ્ધતિમાં સુધારો કરીને આપના જ હથિયારો વડે આપને હરાવશે. આપને માટે ગૌરવ અનુભવી શકે તેવી કોઈ દેણગી આપની પ્રજા માટે આપ છોડી જઈ શકશો નહીં. ગમે તેવી કુશળતાથી આયોજન કર્યું હોય છતાં એ લોકો ક્રૂરતાની આવી ધૂન માટે અભિમાન નહીં લઇ શકે. આથી માનવતા ખાતર આપને આ યુદ્ધ અટકાવવા માટે અરજ કરું છું. જર્મની અને ગ્રેટ બ્રિટનની સંયુક્ત પસંદગી હોય તેવા આંતરરાષ્ટ્રીય ન્યાય પંચ પાસે બંને દેશો વચ્ચેના વિવાદને લઇ જવામાં આપ કશું ગુમાવશો નહીં. આપ જો લડાઈ જીતશો તો એથી એમ સાબિત નહીં થાય કે આપ સાચા હતા. એથી માત્ર એટલું જ સાબિત થશે કે આપની સંહારક શક્તિ વધુ બળવત્તર હતી. જ્યારે તટસ્થ ન્યાય પંચના ચુકાદાથી કયો પક્ષ સાચો હતો એ જણાઈ આવશે.

આપ જાણો છો કે થોડા સમય પહેલાં જ મેં દરેક બ્રિટનવાસીને અહિંસક પ્રતિકારની રીત અપનાવવા માટે અરજ કરી હતી. મેં એ પગલું એટલા માટે લીધું કે બળવાખોર હોવા છતાં બ્રિટનની પ્રજા મને એમના મિત્ર તરીકે ઓળખે છે. હું આપને માટે અને આપની પ્રજા માટે એક અજાણી વ્યક્તિ છું. બ્રિટનને કરેલી તેવી અરજ આપને કરવાની મારામાં હામ નથી. મેં બ્રિટિશ પ્રજાને જેટલી મક્ક્મતાથી કહ્યું તેટલી મક્ક્મતાથી આપને ન કહી શકું એ કારણ નથી. પરંતુ મારી આ દરખાસ્ત વધુ વ્યવહારુ અને જાણીતી છે તેથી વધુ સરળ છે એ કારણસર રજૂ કરું છું.

આ સંયોગોમાં, જ્યારે યુરોપની પ્રજાના દિલ શાંતિ માટે ઝંખી રહ્યાં છે ત્યારે અમે અમારી શાંતિપૂર્ણ ચળવળ પણ મુલતવી રાખી છે. હું ધારું છું કે શાંતિ સ્થાપવાનું આપને અંગત રીતે જરા પણ મહત્ત્વ નહીં હોય, પરંતુ યુરોપના લાખો લોકો, કે જેમનું મૂક રુદન સાંભળવા મારા કાન સતર્ક છે તેમની શાંતિ માટે આપ પ્રયાસ કરો, એવી અરજ કરું તે શું વધુ પડતું કહેવાશે? રાઉન્ડ ટેબલ કોન્ફરન્સના પ્રતિનિધિ તરીકે ઇંગ્લેન્ડ ગયો ત્યારે જેમને મળવાનો મને લાભ મળ્યો એ શ્રીમાન મુસોલિની તથા આપને એક સંયુક્ત અરજી કરવા ધારેલું, થોડા સુધારા સાથે આ અરજ તેમને પણ સંબોધીને કરવામાં આવી છે એમ તેઓ સ્વીકારશે તેવી મારી આશા છે.

આપનો 

નિષ્ઠાવાન મિત્ર 

એમ.કે. ગાંધી

ઉપરના બંને પત્રો વાંચ્યા બાદ મનમાં અનેક મુદ્દાઓ ઉઠ્યા અને સવાલો થયા. હિટલરને ‘પ્રિય મિત્ર’ કહેનાર કદાચ માત્ર ગાંધીજી જ હોઈ શકે. ભલે હિટલરના વિરોધીઓની માફક ગાંધીજી એને તદ્દન રાક્ષસી સ્વભાવના નથી માનતા, પરંતુ એના કૃત્યો સારી ય માનવજાત માટે સદંતર નિર્દયી છે એમ દૃઢપણે માનતા હોવા છતાં એની સાથે આવી વિવેકી ભાષા કઈ રીતે વાપરી શક્યા હશે? પહેલો પત્ર ઘણો ટૂંકો, છતાં સચોટ છે. બીજો પત્ર તો વિશ્વયુદ્ધ શરૂ થઇ ગયા બાદ લખાયો હતો. એમાં એક માનવ તરીકે હિટલરની ભલાઈ માટે વિશ્વાસ, પણ તેનાં કૃત્યોમાં રહેલી અમાનવીય ક્રૂરતાનો અહેસાસ પ્રગટ થયો છે. પોતાની અહિંસક ચળવળો વિષે વિગતે વર્ણન કર્યું અને એ માર્ગ જર્મની પણ લઇ શકે તેમ આગ્રહપૂર્વક કહેવા પાછળ ગાંધીજીની સત્ય અને અહિંસા પ્રત્યેની અટલ શ્રદ્ધા અને હિટલર જેવા આમૂલ હિંસક વૃત્તિ ધરાવનારને પણ ધીરજથી, વિવેકથી આ વાત ગળે ઉતારવાની પોતાની ફરજનું ભાન અદ્વિતીય છે. એટલું જ નહીં, તેઓ હિટલરને ખુદ તેની પ્રજા પણ સાદર યાદ નહીં કરે માટે છેવટ બ્રિટન સાથેના કલહનો શાંતિમય ઉપાય કેવી રીતે કરવો એનું સૂચન પણ કર્યું! અહીં એમનું સંતત્વ છલકે છે.

આ બંને પત્રો તત્કાલીન બ્રિટિશ સરકારે હિટલર સુધી પહોંચાડવા પર પ્રતિબંધ મુકેલો, જેનું કારણ મારી જાણમાં નથી. જો એ પત્રો મળ્યા હોત તો હિટલરે કયાં પગલાં લીધાં હોત એ માત્ર કલ્પનાનો વિષય છે. આજે જાણે જગત ફરી 1930-40ના દાયકા જેવી વિષમ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે પ્રેસિડેન્ટ પ્યુટીન અને બેન્જામિન નેતાન્યાહુને કોઈ માઈનો લાલ ઊભો થઈને કહી શકશે કે હવે માનવતાને ખાતર રાજ્ય વિસ્તારની લાલસા અને ઇતિહાસ આધારિત કહાનીના બહાને પારકી ભૂમિ પર કબજો જમાવવાના પાગલપનને છોડીને માનવ સંહાર અટકાવો?

e.mail : 71abuch@gmail.com

Loading

મોંઘા ગુલાબના ઉપવનો

અશોક નાયક|Opinion - Short Stories|12 June 2025

છ વર્ષની સોમલી ગુલાબકાકાના ઘરનું કામ પતાવી પોતાની ઝુપડીએ પહોંચી. ધોવાનાં કપડાંનું તગારું માથે લેતીકને ગુલાબકાકાની વાડી બાજુ દોડી. ગુલાબકાકાની વાડી ગામથી થોડીક દૂર. વાડીની ડંકીએ કપડાં ધોઈને એણે અંધારું થતાં પહેલાં પાછા ઘેર આવી જવું પડે. એને અંધારાની બહુ બીક. બનતી ઝડપે કપડાં ધોઈ એણે ઝટપટ તગારું હજુ માથે ચડાવ્યું જ હતું કે દૂરથી કૂતરાના ભસવાનો અવાજ આવ્યો. જુએ તો એક ડાઘિયો એના તરફ જ ભસતો દોડતો આવતો હતો. તગારું ફેંકતા જ ને એ રાડો પાડતી ભાગી. કૂતરો એને આંબી જવામાં જ હતો. ત્યાં તો લીમડાના ઝાડ ઉપરથી લગભગ એના જેવડો જ એક છોકરો હઠ હઠ કરતોક ને એની અને કૂતરાની વચ્ચે કૂદી પડ્યો. હવે રાડો પાડતાં ભાગવાનો વારો કૂતરાનો આવ્યો. 

સોમલી દેવદૂતસમા છોકરાને ભાળીને ઊભી રહી ગઈ. શ્વાસ હેઠો બેઠો એટલે બોલી;

“હારુ થિયુ તને ભગવાને મોકઈલો તે. ની’ તો આજે આ ડાઘિયો મને ફાડી જ ખાતે. તારું નામ હું?” 

“મંગો. પણ તું અમથી બીધી. આ મેં હઠ હઠ કઈરું તેમ, તેં હો કલ્લુ ઓ’તે ને હામ્મી થતે તો ડાઘિયો તાથ્થી હો બી’ જતે.”

“ને એ ની’ બીતે તો? ચાલ મને કહબાના પાદર લગણ મૂકી જા.”

“થોભ. મને ઝાડ પથ્થી લીંબોડી પાડી લેવા દે. તને નાહતી જોઈને લીંબોડીનું પોટલું ઉં ઝાડ ઉપ્પર જ રે’વા દેઈને કૂદી પડલો.”

કસબા ગામનું પાદર આવતાં આવતાં તો બન્નેએ દોસ્તી પાકી કરી લીધી. સોમલીના બાપા, એમના ધણિયામા ગુલાબકાકા, ને ત્યાં ખેતમજૂરના ખેતમજૂર અને ઘરઘાટી ના ઘરઘાટી. ગુલાબકાકાના ઘરની પાછળ જ મોટા વાડામાં એ લોકોની ઝૂંપડી. સોમલી પણ બાપાને ગુલાબકાકાના ઘરનાં કામમાં મદદ કરતી. 

મંગો દસ-પંદર ગાઉ દૂર મહુવા ગામમાં રહેતો હતો. જેમ સોમલીએ પોતાની માને નહોતી જોઈ, તેમ મંગાએ પણ પોતાના બાપાને નહોતા જોયા. મંગાની મા બે દિવસ પહેલાં જ ગુજરી ગઈ. એટલે મામા એને ગઇકાલે જ મહુવાથી લઈ આવ્યા. મામા કસબા નજીકના જ આમરી ગામે મોંઘાકાકાને ત્યાં ખેતમજૂરના ખેતમજૂર અને ઘરઘાટીના ઘરઘાટી. એમનું ઘર પણ મામાના ધણિયામા, મોંઘાકાકા, ને ત્યાં. પાછળના મોટા વાડામાં. 

કસબાનું પાદર આવતાં સોમલી કસબા તરફ વળી અને મંગો આમરી તરફ. 

મોંઘાકાકા ગામના સરપંચ. ઝાઝી ખેતી ને ઝાઝાં ઢોરાં. જાહેર કામોમાં એમનો બોલ આખરી. આખાબોલા ને ધાર્યું જ કરવા કરવવામાં માને. ધાક ભારી. દિલના સાફ. બીજે દિવસે સવારે એ મંગાને અને એના મામાને લઇને ઉપડ્યા કસબે. એ જમાનામાં આજુબાજુના છ ગામો વચ્ચે એક જ નિશાળ. તે કસબામાં.  હેડ-માસ્તર સાહેબને મંગાને શાળામાં દાખલ કરવા કહ્યું. નામ લખાવ્યું મનહર કાંતિભાઈ પટેલ. હેડ-માસ્તર સાહેબ ચમક્યા. કચવાયા. આવું નામ? એક દુબળાના છોકરાનું આવું નામ હોય? નામ લખતા તેઓ સહેજ અચકાયા. 

એમને અચકાતા જોઈને મોંઘાકાકા તપ્યા. “કેમ માસ્તર? આ’વુ નામ કેમ ની’ ઑ’ય? તમે માસ્તર થેઈને હમજતા ની’ મલે? દુબરાઓ અને બીજા દબાએલા કચડાએલા બદ્ધા જો આપણી જેમ જ આ’વા નામો પાડતા થેઇ જહે તો હું ખાટું-મોરું થેઈ જવાનું છે જે? જરાક તમારું ભેજું વાપરો. આવું ચાલુ કરહું તો પચ્ચા હો વરહ પછી કોણ કઈ નાત-જાતનું છે તે નામ પથ્થી પરખાહે જ ની’. તમુને બો’ વાંધો આવી જતો ઑ’ય તો અટકવારું ખાનું ખાલી રાખો. ની’ તો પછી તાં મહુવાકર લખો. હેડ-માસ્તર થિયા પણ તે હો તમારે આ ઊંચાને આ નીચા છોડવું નથી? તમારો તો આ જ ધરમ છે, ભાઈ.’

હેડ-માસ્તર સાહેબે કચવાતા મને મનહર મહુવાકરને શાળામાં દાખલ કરવાનો વિધિ પતાવ્યો. ત્રણેય જણા નિશાળની બહાર નીકળતા જ હતા કે સોમલી એના બાપા અને ગુલાબકાકા દાખલ થયા. ગુલાબકાકા અને મોંઘાકાકા મા-જણ્યા ભાઈઓ જ જોઈ લ્યો. ગુલાબકાકાએ સીમા મહેન્દ્ર આમરીકરને શાળામાં દાખલ કરાવી.

ને આમ શરૂ થયા મનહર-સીમાનાં ભણતર-ઘડતર. બન્ને જણા કામમાં શરીર થકવી નાખતા અને ભણવામાં મગજ. બન્નેની સમજ વિકસતી ગઈ તેમ તેમ બન્નેને એટલો ખ્યાલ આવવા માંડ્યો કે તેઓ બન્ને વધારે પડતા જોરાવર નસીબ લઈને જન્મ્યા હતા. મોંઘાકાકા અને ગુલાબકાકા જેવા માણસો દુનિયામાં બહુ ઓછા હતા. કચવાતા મનના હેડ-માસ્તર જેવા ઘણા વધારે. સમય જતાં એમને એવા એવા માણસોનો ભેટો થવા માંડ્યો કે હેડમાસ્તર સાહેબ તો સરળ, ડરપોક, સજ્જન અને દયાપાત્ર લાગવા માંડ્યા. એમને એ પણ સમજાવા માંડ્યુ કે પોતાને મળી છે એવી તક પોતાના જેવડા જ બીજા અનેકોને નથી મળી. એ તો બિચ્ચારાં ભૂખમરામાં અને અજ્ઞાનમાં જ સબડે છે.

દાયકો વિત્યો. મનહર મહુવાકર આઈ.ટી.આઈ. પાસ કરી જી.આઈ.ડી.સી.માં એક એંજિનિયરીંગ કારખાનામાં હેલ્પરની નોકરીએ લાગ્યા. સીમા મનહર મહુવાકર અગ્યારમું ધોરણ પાસ કરી એક સહકારી બેંક્માં સાફ-સફાઈ કરવાના અને ચા-પાણી કરાવવાના કામે લાગ્યાં. સીમાએ ભણવાનું ચાલુ જ રાખ્યું. એમની આવક વધતી ગઈ. એમણે જરૂરિયાતો સીમિત જ રાખી. બન્નેએ એક જ સહિયારો શોખ કેળવ્યો. પેલા બિચ્ચારા ભૂખમરા અને અજ્ઞાનમાં સબડતા મિત્રોને યથા શક્તિ મદદ કરવાનો. 

મનહરે કામ શરૂ કર્યાના ત્રીજા મહિને એમના કારખાનાના બી.ટૅક. થયેલા માલિક, જૉહન મેથ્યુસ સાહેબે જર્મનીથી મંગાવેલું એક મસ-મોટું અને અતિ-મોંઘું મશીન આવી પહોંચ્યું. એને ટ્રક્માંથી ઉતારતી વખતે ક્રેઈનનું લોખંડી દોરડું તુટી ગયું. મશીન બાપડું ઘાયલ થઇ ગયું. એના મુખ્ય ભાગનો જ અસ્થિભંગ થઇ ગયો. તેને નવો મંગાવવા ટેલીફોનો ધણધણ્યા. જર્મનીએ સમય માંગ્યો : છ મહિના. કિંમત માંગી : મેથ્યુસ સાહેબની છાતીના પાટિયા બેસી જાય તેટલી. મુનિમને મશીનના વીમા બાબતે પૂછ્યું ત્યારે ખબર પડી કે પ્રિમિયમ પેટે આપેલો ચૅક તારીખ લખવામાં ભૂલ થયેલી અને બૅંકે પાછો મોકલેલો. ટૂંકમાં વીમો ન હતો. મશીન વ્યવસ્થિત ગોઠવી ચાલુ કરી આપવા જર્મનીથી આવેલા એંજિનિયરો પાછા ગયા. મેથ્યુસ સાહેબ માથે હાથ દઈ બેઠા. એમને તો લીધેલી લોન ન ભરાતાં બેંક્ના અધિકારીઓ કારખાનાને તાળા મારવા આવતા દેખાવા લાગ્યા. જે ગ્રાહકો એ બનનારા માલ પેટે આગોતરા નાણાં આપેલા એમને પોતાની ઑફીસ બહાર લાઈન લગાવી બેઠેલા દેખાવા માંડ્યા. પોતાના હોંશિયાર અને ભરોસાપાત્ર કારીગરો નોકરી છોડીને જતા દેખાવા માંડ્યા. ચાર દિવસમાં તો એમની ઉંમરમાં ચાલીસ વર્ષનો વધારો થઈ ગયો. 

એ ચારેય દિવસ મનહર મશીનના એ તૂટેલા ભાગને જેમ ગોળ ઉપર મંકોડો ચોંટે તેમ ચોંટેલો રહ્યો. અને પછી હિંમત ભેગી કરી મેથ્યુસ સાહેબ સામે જઇ ઊભો. ગુંચવાતાં ગભરાતા કહ્યું: “સાહેબ, મને કંઈક રસ્તો સૂઝે છે. થોડીક મુશ્કેલીનો ઉપાય નથી સુઝતો. તમે જો ઉપાય શોધી કાઢી શકો તો આ ભાગ આપણે અંહી જ બનાવી શકીયે. દસેક દિવસમાં જ બની જાય.” ત્રણેક મહિનાના ટૂંકા ગાળામાં પણ મનહરની હોંશિયારી અને નિષ્ઠાનો અંદાજ પામી ચુકેલા મેથ્યુસ સાહેબ કૂદીને ખુરશીમાંથી ઊભા થઇ ગયા. પછીના ચાર દિવસ અને ચાર રાત્રિ મનહરે અને મેથ્યુસ સાહેબે કારખાનામાં જ વીતાવી. બધા જ કારીગરો સુઝ્યું તે કામે લાગ્યા. જેમને કંઈ ના સુઝ્યું એમણે હવન-પૂજા-ઉપવાસ ચાલુ કર્યા. દર્શન કરવાની / ચૂંદડી /નારિયેળ / ચાદર ચડાવવાની માનતાઓ માની. અખૂટ આશા અને ભયંકર હતાશાના ઝુલે આખું કારખાનું ઝુલતું રહ્યું. બીજા આઠ દિવસો વીત્યા. મશીન બાપડું ગુમાવેલા દિવસોનો બદલો આપવો હોય તેમ ધમધમાટ કરતું બમણી ઝડપે માલ ફેંકવા માંડ્યું.

મેથ્યુસ સાહેબે મનહરને મસમોટું ઇનામ આપ્યું. પગાર બમણો કરી નાંખ્યો. નોકરી અડધા સમયની કરી નાંખી. બાકીના અડધા સમયમાં એને એંજિનિયરીંગનો અભ્યાસ પૂરો કરાવ્યો. એ સાથે સીમાએ પણ બી.એ. પૂરું કર્યું. અને એ જ બેંક્માં ક્લાર્ક બની. બન્ને બે બેડ રૂમના સરસ મજાના ફ્લૅટમાં રહેતા થયાં. અત્યાર સુધી બાંધી રાખેલી સંતાન-પ્રાપ્તિની ઈચ્છા એમણે મુક્ત કરી દીધી. સારા દિવસોના એંધાણ વરતાયા. તપાસ કરતા ડૉક્ટરે જોડકા બાળકોની વધામણી આપી. નજીકના કોઈ સગાં તો હતાં નહીં. આવનારાઓને સાચવશે કોણ એ વિચારે સીમા-મનહરે નક્કી કર્યું કે સુવાવડ પછી સીમા નોકરી છોડી દેશે. 

સીમાની બૅંકમાં સીમાના સારા સમાચારની અને એના નોકરી છોડવાના નિર્ણયની વાત મેનેજર પઠાણ સાહેબના કાને પહોંચી. એમણે સીમાને બોલાવી. વાત એમ હતી કે પઠાણ સાહેબના વતનના ગામમાં એક મા-બાપ વગરની ઘરબાર વગરની બારેક વર્ષની ઉંમરની છોકરી, મુમતાઝ, રહેતી  હતી. એને પગે સહેજ ખોડ હતી. નર્યા સ્વાર્થની પ્રતિકૃતિ જેવા કાકા-કાકીને ત્યાં જાનવર કરતાં પણ બદતર હાલતમાં તે દિવસો ગુજારતી હતી. સીમાના ઘર-કુટુંબની આખી પરિસ્થિતિથી વાકેફ પઠાણ સાહેબે સીમાને સહેજ અચકાતાં અચકાતાં એની વાત કરી. અને કહ્યું કે જુઓ સીમાબહેન, આ તો મને જે વિચાર આવે છે તે તમને જણાવું છું. જો તમે મુમતાઝને તમારા ઘરમાં આશરો આપશો તો તમારા સંતાનો અને તમારી નોકરી બન્ને સચવાઈ જશે. બોનસમાં તમને એક ગરીબડી દીકરીના હૈયાના આષિશ મળશે. હા. મુમતાઝને તમારે તમારા ઘરમાં રાખવી પડે. એ એકલી બહાર ન રહી શકે. મનહરભાઈ સાથે નિરાંતે વિચારી, ચર્ચા કરી ને મને જણાવજો. 

ખૂબ લાંબી અંધારી ગુફામાં મુસાફરી શરૂ કરવાની તૈયારી કરતી સીમાને તો જાણે સીધો ગુફાનો અંત જ દેખાઈ ગયો. પોતાના મનહરને પૂરેપૂરો ઓળખી ચુકેલી સીમાએ પઠાણ સાહેબને બને એટલી જલદી મુમતાઝને બોલાવી લેવા જણાવી દીધું. સાંજે મનહરને વાત કરી તો બન્નેને મોંઘા-ગુલાબનું ઋણ ઉતારવાની તક સામે આવી ઊભેલી દેખાઈ. ભલા પઠાણ સાહેબે બીજે જ દિવસે વતનની વાટ પકડી. મુમતાઝ આવી પહોંચી. બારેક્ની ઉંમરની. માંડ છની લાગે. 

દાયકો વિત્યો. ફરી એક વખત પઠાણ સાહેબે સીમાને પોતાના મનની વાત કરી. પઠાણ સાહેબના દૂરનાં સગાંમાં એક મુમતાઝની જ ઉંમરનો છોકરો હતો. નામ મોઈન. અભણ. એકલો. વ્યવહારમાં કાચો. એને પગે સહેજ ખોડ હતી. નજીકના જ એના બાપ-દાદાના ગામે કોઇકના ખેતરમાં ખેત-મજૂર. મહેનત કરવામાં પાકો. નેક દિલ. સઘળા ઓળખીતા પાળખીતાઓએ મુમતાઝ-મોઈનના નિકાહ રંગે-ચંગે ઉજવ્યા. 

બીજા અડધાએક દાયકા પછીની એક સાંજે મુમતાઝ, મનહર-સીમાના ઘરની રસોઈ પતાવી, બસમાં પોતાના ગામના પાદરે ઉતરી. તેણે ખેતર તરફ જવા માંડ્યું. ત્યાં તો મોઈન સામેથી આવતો દેખાયો. ઉડતો ઉડતો. એના ચહેરા પર તો જાણે તારામંડળ ફૂટતા હતા. થયું હતું એવું કે એ દિવસે સાંજે ગામના સરપંચ સાહેબે મોઈનને સામેથી બોલાવીને બે દિવસ પછી પોતાની સાથે શહેરમાં આવવા તૈયાર રહેવા જણાવેલું. સરકારની કોઈ યોજનામાં મોઈનને ચાળીસ હજાર રૂપિયા મળવાના હતા. મોઈને સરપંચ સાહેબ સાથે અંગૂઠો પાડવા શહેરમાં જવાનું હતું. બેંકમાં ખાતું પણ ખોલાવવાનું હતું. હવે મોઈનની સાથે હવામાં મુમતાઝ પણ ઉડવા માંડી. ઘર પહોંચતા સુધીમાં તો બન્નેએ કંઈ કેટલાયે સપનાંઓ જોઈ નાંખ્યાં. 

મુમતાઝ થોડી વહેલી ધરતી પર આવી. બીજે દિવસે એ એની સીમાદીદીને ત્યાં પહોંચી ત્યાં સુધીમાં તો એને થોડીક શંકા પણ જનમવા માંડેલી. આવી તે કેવી સરકારી યોજના કે આખ્ખા ગામમાં એકલા મોઈનને જ આટલા બધા રૂપિયા મળે? એણે સીમાદીદીને વાત કરી. સીમાદીદીએ મનહરને. બીજે દિવસે મોઈન સાથે મનહર અને સીમાદીદી સરપંચ સાહેબને મળવા ઉપડ્યા. અજાણ્યા રૂઆબદાર માણસો સાથે આવેલા મોઈનને જોઈ સરપંચ સાહેબએ ફેરવી તોળ્યું. યોજના તો બંધ થઈ ગઈ છે. ફરીથી ચાલુ થાય ત્યારે બોલાવશું કહી પૂર્ણવિરામ મુક્યું.

મનહરે પોતાના એક વકીલ મિત્રને મામલો સોંપ્યો. અઠવાડિયા પછી મોઈને પાડેલા અંગૂઠાના બદલામાં મોઈન-મુમતાઝના સંયુક્ત બેંક ખાતામાં રૂપિયા ચાર કરોડ જમા થયા. દાદાના વખતના ઉપજાઉ, મોકાની જગ્યા ઉપર આવેલા, વિશાળ ખેતરમાં મોઈનનો ભાગ પોષાતો હતો. તેની કિંમત તેને મળી હતી.

બીજો એક દાયકો વીત્યો. 

મનહર-મોઈન-સીમા-મુમતાઝની ભલી ચોકડીએ ઉછેરેલા મોંઘા-ગુલાબના ઉપવનો મઘમઘી રહ્યા હતા. 

e.mail : naik_ashok2001@yahoo.com

Loading

...9101112...203040...

Search by

Opinion

  • ‘શેતરંજ’ પર પ્રતિબંધનું પ્રતિગામી પગલું
  • જેઇન ઑસ્ટિન અમર રહો !
  • જેઇન ઑસ્ટિન : ‘એમા’
  • ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’: એક વિહંગાવલોકન
  • ગ્રામસમાજની જરૂરત અને હોંશમાંથી જન્મેલી નિશાળનો નવતર પ્રયોગ

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • નિર્મમ પ્રેમી
  • મારી અહિંસા-યાત્રા
  • ગાંધીનો હિટલરને પત્ર 
  • ઈશુનું ગિરિ-પ્રવચન અને ગાંધીજી
  • ગાંધી : ભારતની પ્રતિમા અને પ્રતીક

Poetry

  • વિમાન લઇને બેઠા …
  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !
  • હાલો…

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved