મરાઠી રંગભૂમિ પર ગાજેલા નાટક પરથી પડ્યું એક મકાનનું નામ
ગયે શનિવારે વાતની શરૂઆતમાં તેમ જ અંતે મુંબઈની ગુજરાતી રંગભૂમિના એક અજરામર નાટક સંતુ રંગીલીને યાદ કરેલું. નાટક મુંબઈનું, પણ આઈ.એન.ટી.ના આ નાટકનો પહેલો પ્રયોગ થયેલો અમદાવાદમાં, ૧૯૭૩ના સપ્ટેમ્બરની ૧૬મી તારીખે. આ નાટક સરિતા જોશી અને પ્રવીણ જોશીએ પોતાના ખભા પર ઉપાડી લીધેલું. રૂપાંતર કરેલું આપણા જાણીતા લેખક મધુ રાયે. નાટકનાં મૂળ બર્નાડ શોના નાટકમાં. ‘પિગમેલિયન’ નામે ૧૯૧૩માં સ્ટેજ પર ધૂમ મચાવેલી. તેના પરથી બનેલું મ્યુઝિકલ પ્લે ૧૯૫૬માં ભજવાયું. તેના પરથી બનેલી ફિલ્મ ‘માય ફેર લેડી’ ૧૯૬૪ના ઓક્ટોબરની ૨૧મી તારીખે ન્યૂ યોર્કના ક્રાઈટેરિયન થિયેટરમાં રીલીઝ થઈ અને લાગલાગટ ૮૭ અઠવાડિયાં ચાલી. આ નાટક અને ફિલ્મ પરથી રૂપાંતર કરીને ગુજરાતી અને મરાઠીમાં નાટક ભજવવાનું આઈ.એન.ટી.એ નક્કી કર્યું. ગુજરાતી રૂપાંતર મધુ રાયે કર્યું તો મરાઠી રૂપાંતર કર્યું મરાઠીભાષીઓના અત્યંત લાડકા એવા ‘પુ.લ.’એ. અટક દેશપાંડે. પણ એ ન બોલો તો ય લોકો ‘પુ.લ.’થી જ ઓળખે. આપણે વિશેષણપ્રિય પ્રજા છીએ. મરાઠીઓ ક્રિયાપદપ્રધાન. એટલે વિશેષણોના હારડા નહિ. પુ.લ. માટે સૌથી વધુ મોટું વિશેષણ વાપરે તે ‘એકમેવ.’ આવા પુ.લ.એ કરેલા મરાઠી અવતારનું નામ ‘તી ફુલરાણી.’ (એક આડવાત: મરાઠી જોડણી, જેને ‘શુદ્ધલેખન’ કહેવાય છે, તેના નિયમો ગુજરાતી કરતાં ઘણા જુદા છે. એટલે ગુજરાતીમાં ‘ફૂલ’ લખાય તે મરાઠીમાં લખાય ‘ફુલ.’) તેનો પહેલો પ્રયોગ ૧૯૭૫ના જાન્યુઆરીની ૨૯મી તારીખે મુંબઈના રવીન્દ્ર નાટ્યમંદિરમાં થયો. જે ગુજરાતીમાં સંતુનું પાત્ર, તે મરાઠીમાં ‘મંજુળા.’ (આ પણ મરાઠીની એક વધુ ખાસિયત – ‘મંજુલા’ નહિ, ‘મંજુળા.’ અને એ પાત્ર રંગભૂમિ પર ભજવ્યું રેડિયો, ટી.વી., ફિલ્મ, અને રંગભૂમિનાં અભિનેત્રી ભક્તિ બર્વે-ઇનામદારે, ૧.૧૦૦ કરતાં વધુ પ્રયોગોમાં! અને જેમ ગુજરાતીમાં સંતુ એટલે સરિતા, એમ મરાઠીમાં મંજુળા એટલે ભક્તિ એવું નાટ્યપ્રેમીઓના મનમાં વસી ગયું.
પુલના માનમાં બહાર પડેલી ટપાલ ટિકિટ અને તેમનું નાટક ‘તી ફુલરાણી’
મરાઠીભાષીઓ નાટકને માત્ર જુએ નહિ, એને દિલ ફાડીને ચાહે. લોકો કેટલી હદે નાટક ઘેલા એની બે વાત પણ પુ.લ. અને તેમની આ ‘તી ફુલરાણી’ સાથે જોડાયેલી છે. ૧૯૧૯ના નવેમ્બરની આઠમીએ જન્મેલા પુ.લ.નું ઈ.સ. ૨૦૦૦ના જૂનની ૧૨મી તારીખે પુણેમાં અવસાન થયું. આખા મહારાષ્ટ્રમાં શોકનું વાતાવરણ. પુણેમાં જાહેરાત કરવામાં આવી કે પુ.લ.ના અંતિમ સંસ્કાર વખતે થોડા ગણ્યાગાંઠ્યા આપ્તજનો સિવાય કોઈને હાજર રહેવા નહિ દેવાય. તેમના પાર્થિવ દેહને બંધ (કાચ વગરની) એમ્બ્યુલન્સમાં ઇલેક્ટ્રિક ક્રેમેટોરિયમમાં લઈ જવાશે. અને છતાં અંતિમ સંસ્કાર વખતે એ ક્રેમેટોરિયમની બહાર ૨૫,૦૦૦ લોકો શાંતિથી, શિસ્તબદ્ધ રીતે ઊભા હતા. બંધ એમ્બ્યુલન્સને પણ પાછલે બારણેથી લઈ ગયા. જ્યારે લોકોને આ કહેવાયું ત્યારે પણ ત્યાંથી ખસ્યા નહિ. ચીમનીમાંથી સફેદ ધૂમાડો નીકળતો દેખાયો પછી તેને હાથ જોડીને લોકો વિખરાયા.
૨૦૦૧ના ફેબ્રુઆરીની ૧૧મીનો દિવસ. સાતારા જિલ્લાના વાઈ ગામે ‘પુ.લ., ફુલરાણી આણી મી’ નામનું એકપાત્રી નાટક ભજવવા ભક્તિ બર્વે ગયેલાં. શો પછી પુણે થઈને મોટરમાં મુંબઈ આવવા નીકળ્યાં. વાઈના આયોજકોએ કહેલું કે આટલી મોડી રાતે ન જાવ. સવારે જજો. પણ નીકળી ગયાં. સવારે પોણા ત્રણ વાગે મુંબઈ પુણે એક્સપ્રેસ વે પરની ‘ભાટણ’ ટનલના પ્રવેશદ્વાર સાથે મોટર અથડાઈ અને એ જ ઘડીએ ભક્તિનું મૃત્યુ થયું. થોડી વારે હાઈવે પેટ્રોલની વેન ત્યાં પહોચી. અકસ્માત જોઈને પોલીસ અફસર ગાડી રોકીને નીચે ઉતર્યો. અકસ્માતમાં કોનું મૃત્યુ થયું છે એ જોઈને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. અભિનેત્રીના મૃતદેહને જોઈને પોલીસ અફસર આ રીતે રડે એ કદાચ મહારાષ્ટ્રમાં જ બને.
મંજુળા અને સંતુ બનેલાં ભક્તિ બર્વે અને સરિતા જોશી
અને વિધિની વિચિત્રતા તો જુઓ! છેલ્લાં કેટલાંક વરસોમાં આ લખનારનો ‘ફુલરાણી’ સાથે નિકટનો સંબંધ બંધાયો છે. એ વળી કઈ રીતે? છેલ્લાં કેટલાંક વરસોથી જ્યાં રહેવાનું થયું છે એ મકાનનું નામ છે ‘ફુલરાણી.’ અને આ નામ પડ્યું છે પુ.લ.ના નાટક ‘તી ફુલરાણી’ પરથી. વાંદરા ઈસ્ટમાં આવેલી સાહિત્ય સહવાસ કોલોનીનાં નવેનવ મકાનનાં નામ કોઈ ને કોઈ મરાઠી પ્રશિષ્ટ કૃતિ કે સાહિત્ય સ્વરૂપ પરથી પાડેલાં છે : ઝપુર્ઝા, આનંદવન, અભંગ, વાગ્વૈજયંતી, ઉષ:કાલ, રાગિણી, જ્ઞાનદેવી, અને શાકુન્તલ. આ કોલોની (અહીંના રહેવાસીઓ ‘સોસાયટી’ને બદલે ‘કોલોની’ તરીકે ઓળખવાનું પસંદ કરે છે.) બંધાઈ ત્યારથી આજ સુધી એક શરત બહુ આગ્રહપૂર્વક પાળી રહી છે. માત્ર લેખકો કે સાહિત્યકારો જ અહીં ફ્લેટ ખરીદી શકે, બીજા નહિ. અલબત્ત, લેખકના ઉત્તરાધિકારીઓ પણ લેખક હોય એવું બહુ ઓછું બને. એટલે વારસદાર તરીકે બિન-લેખક કોલોનીનું સભ્યપદ મેળવી શકે. પણ કોઈએ પણ ફ્લેટ વેચવો હોય તો કોઈ લેખકને જ વેચવો પડે. અને એક જમાનામાં કેવા કેવા મહારથી લેખકો અહીં વસતા હતા! જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કવિ-વિવેચક વિંદા કરંદિકર, મરાઠી ટૂંકી વાર્તાની દિશા અને દશા બદલી નાખનારા ગંગાધર ગાડગીળ, અનંત કાણેકર, હાસ્યકાર વ.પુ. કાળે, મુંબઈ યુનિવર્સિટીના મરાઠી વિભાગના અધ્યક્ષો માધવરાવ અને ઉષા દેશમુખ, હિન્દી સાહિત્ય, પત્રકારત્વ, રંગભૂમિને અજવાળનાર ધર્મવીર અને પુષ્પા ભારતી અને સત્યદેવ દુબે, પ્રખ્યાત મ્યુઝિકોલોજિસ્ટ અશોક રાનડે, વિવેચક અભ્યાસીઓ કે.જે. પુરોહિત, ધનંજય અને ગિરીજા કીર, શાંતા શેળકે, ય.દી. ફડકે, પ્રા. રમેશ તેંડુલકર. તેમના દીકરાએ જિંદગીની પહેલી બાઉન્ડ્રી મારેલી સાહિત્ય સહવાસની વચ્ચોવચ આવેલી ક્રિકેટ પીચ પર. એ દીકરો તે સચિન તેંડુલકર.
પણ હવે આજના લખાણના શબ્દોની બાઉન્ડ્રી આવી ગઈ છે. એટલે આ ‘કોલોની’ વિશેની વધુ વાતો હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
[પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 20 જુલાઈ 2024]