Opinion Magazine
Number of visits: 9657281
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—325

દીપક મહેતા|Opinion - Opinion|24 January 2026

મુંબઈ પોલીસના બદલાતા રંગ : લાલ, પીળો ને વાદળી, અને છેવટે ખાખી   

અદાલતની બહાર, મુંબઈ પોલીસ નાના-મોટા ગુનેગારો સાથે જે રીતે કામ પાર પાડતી હતી તેનાથી નારાજ રહેતા સર મેકિનટોશે ૧૮૧૧માં જે દરખાસ્ત સરકારને મોકલી આપી તેને આધાર તરીકે સ્વીકારીને મુંબઈ સરકારે ૧૮૧૨માં Rule, Ordinance and Regulation no.1 of 1812ની જાહેરાત કરી. ત્યાર બાદ છેક ૧૮૫૬ સુધી મુંબઈ પોલીસ મુખ્યત્વે એ નીતિ-નિયમોને આધારે કામ કરતી રહી. આ નિયમોને અનુસરીને ત્રણ ‘મેજિસ્ટ્રેટ ઓફ પોલીસની નિમણૂક કરવામાં આવી. ૧. કોટ વિસ્તાર માટે, જે સિનિયર મેજિસ્ટ્રેટ તરીકે ઓળખાતો. ૨. કોટની બહારના મઝગાંવ અને બ્રીચ કેન્ડી સુધીના વિસ્તારો માટે ૩. માહિમમાં ઓફીસ ધરાવતો ત્રીજો મેજિસ્ટ્રેટ બાકીના બધા વિસ્તારો માટે. એ વખતે મુંબઈ શહેરની હદ માહિમ સુધી જ હતી. આ ત્રણેનો પગાર હતો મહીને રૂપિયા ૫૦૦. દરે મેજિસ્ટ્રેટ ઓફ પોલીસની ઓફિસમાં નીચે પ્રમાણેનો સ્ટાફ :

પ્રભુ (ક્લાર્ક) પગાર મહીને રૂપિયા ૫૦, કાજી રૂ. ૮, ભટ (બ્રાહ્મણ) રૂ. ૮, રબી (યહૂદી) રૂ. ૧૨, પારસી મોબેદ રૂ. ૬, બે કોન્સ્ટેબલ દરેકને રૂ. ૯, બે હવાલદાર, દરેકને રૂ. ૮, ચાર પટાવાળા, દરેકને રૂ. ૬. કોણ જાણે કેમ પણ ૧૮૧૨માં પહેલા બે મેજિસ્ટ્રેટ ઓફ પોલીસની નિમણૂક થઈ. ત્રીજા (જેની ઓફિસ માહિમમાં હતી તેની નિમણૂક છેક ૧૮૩૦માં થઈ! આ ઉપરાંત મુંબઈગરાઓની દરેક મુખ્ય જ્ઞાતિનો એક-એક મુકાદમ નીમવામાં આવતો. તેનું કામ અંગ્રેજ અફસરોને જે-તે જ્ઞાતિનાં ધારાધોરણ, બંધનો, પરંપરા વગેરે સમજાવવાનું રહેતું. આખા મુંબઈની પોલીસ પાછળ સરકાર દર વરસે ૨૭,૨૦૪ રૂપિયા ખરચતી. આ ઉપરાંત દર વરસે હવાલદાર અને પટાવાળાના યુનિફોર્મ પાછળ ૧૪૨૫ રૂપિયાનો અને સ્ટેશનરી પાછળ બે હજાર ખર્ચાતા. અણધાર્યા ખરચને પહોંચી વળવા માટે દર વરસે ૮૮૮ રૂપિયાની જોગવાઈ કરવામાં આવતી. 

પોલીસ સ્ટેશનમાં કાજી, ભટ, રબી, મોબેદ, વગેરેની નિમણૂક શા માટે, એવો સવાલ સુજ્ઞ વાચકના મનમાં જરૂર ઊઠ્યો હશે. આ નિમણૂકો જેરાલ્ડ ઓન્ગીયારે શરૂ કરેલી પ્રથાને આભારી. તેમણે ‘દેશી’ લોકોના અંદર અંદરના ઝગડા અંગેના ચૂકાદા આપતી વખતે સ્થાનિક પરંપરાને ધ્યાનમાં રાખવાનું ઠરાવ્યું અને એ માટે દરેક જાતિ-જ્ઞાતિના પુરુષોના જ્ઞાતિવાર પંચ બનાવેલાં. વખત જતાં તે કામ માટે મુખ્ય ધર્મના એક-એક પ્રતિનિધિની નિમણૂક કરવામાં આવી. આ પ્રથા ૧૮૬૨ સુધી ચાલુ રહી હતી. અલબત્ત, તેમની સલાહ માત્ર સિવિલ કેસમાં જ લેવાતી. બધા જ ક્રિમિનલ કેસમાં બ્રિટિશ કાનૂન લાગુ પડતો.

આ ત્રણ પોલીસ સ્ટેશન ઉપરાંત ‘મરીન પોલીસ’ની અલગ શાખા હતી. દરિયા કિનારે અને બંદરમાં થતા ગુનાઓ મરીન પોલીસના તાબામાં હતા. નાંગરેલાં વહાણમાંથી કે બંદરના ધક્કા પરથી થતી નાની-મોટી ચોરી, ઝગડા ઉપરાંત એક ખાસ પ્રકારનો ગુનો એ વખતે પ્રચલિત હતો. ઘણી વાર વેપારીઓ મોડી રાતે વહાણમાંનો બધો સામાન ઉતારી લીધા પછી વહાણને આગ ચાંપી દેતા! પણ કેમ? વીમા કંપની પાસેથી ‘આગમાં બળી ગયેલા’ માલનું વળતર મેળવવા! 

એ વખતે આખા શહેરમાં ગમે ત્યાં રાતને વખતે હથિયારબંધ ધાડપાડુઓ ત્રાટકતા અને જાન-માલની ખુવારી કરતા. આ ઉપરાંત નાની-મોટી ચોરીઓ તો લગભગ રોજ થતી. એટલે જેમની પાસે ગુમાવવા જેવું થોડું ઘણું પણ હોય તેઓ પોલીસ પર આધાર રાખવાને બદલે પોતાનો અલગ ‘ભૈયો’ રાખતા. જો કે તેની પાસે હથિયારમાં માત્ર એક લાઠી રહેતી. આ ‘ભૈયા’ તે આજની સોસાયટીઓમાં જોવા મળતી જડબેસલાખ ‘સિક્યોરીટી ગાર્ડઝ’ના વડવાઓ. 

૧૮૨૪માં રેકોર્ડર્સ કોર્ટ નાબૂદ કરીને તેને સ્થાને ‘સુપ્રીમ કોર્ટ’ની સ્થાપના મુંબઈ, કલકત્તા, અને મદ્રાસમાં કરવામાં આવી. ફરી ૧૮૬૨માં આ ‘સુપ્રીમ કોર્ટ’ની જગ્યા ત્રણ હાઈ કોર્ટે લીધી. આ ત્રણે હાઈ કોર્ટની સ્થાપના બ્રિટિશ પાર્લામેન્ટના કાયદા દ્વારા નહિ, પણ ગ્રેટ બ્રિટનનાં મહારાણીએ બહાર પાડેલા ઢંઢેરાથી થઈ હતી. અને એટલે જ આજ સુધી બોમ્બે, કલકત્તા અને મદ્રાસ હાઈ કોર્ટનાં નામ બદલી શકાયાં નથી. 

જેને માટે એક જમાનામાં આપણાં છાપાં ‘હુલ્લડ’ શબ્દ વાપરતાં તે પહેલી વાર ૧૮૩૨માં થયું હતું, અને કહેવાય છે કે તેની શરૂઆત પારસીઓએ કરી હતી! હજી આજે પણ રસ્તે રખડતા કૂતરા અંગેના કેસ છેક દિલ્હીની સુપ્રીમ કોર્ટ સુધી જાય છે. આજના મુંબઈમાં છે તેના કરતાં એ વખતે રસ્તે રખડતા કૂતરાનો ત્રાસ ઘણો વધારે હતો. એટલે એવા કૂતરાને પકડી લાવે તેને કૂતરા દીઠ આઠ આના(આજના પચાસ પૈસા)નું ઇનામ આપવાની જાહેરાત સરકારે કરી. તેનાથી લલચાઈને કેટલાક લોકો ઘરના આંગણામાંથી પણ કૂતરા ઉપાડી જવા લાગ્યા. તેમાં એક દિવસ બે અંગ્રેજ કોન્સ્ટેબલ એક કૂતરાને એક પારસીના ઘરમાંથી ઉપાડી ગયા અને ઘરથી થોડે દૂર લઈ જઈને તેને મારી નાખ્યો. કોટ વિસ્તારમાં ખબર ફેલાઈ જતાં પારસી, જૈન, હિંદુ લોકોનાં ટોળાં ભેગાં થયાં અને પેલા બે ગોરા કોન્સ્ટેબલને ઘેરીને તેમના પર હુમલો કર્યો. બીજે દિવસે આખા શહેરમાં હડતાલ પડી અને લોકોનાં નાનાં મોટાં ટોળાં રસ્તા પર ઊતરી આવ્યાં. બ્રિટિશ સૈનિકો માટેની ખાધાખોરાકીની વસ્તુઓ અને બીજો સામાન કોટમાં એક ‘સ્ટોર’(કોઠાર)માં રાખવામાં આવતો. લોકોનાં ટોળાંએ આ કોઠારને આગ ચાંપીને બધો માલસામાન બાળી નાખ્યો. પરિસ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે એમ લાગ્યું, ત્યારે બ્રિટિશ સૈનિકોની ટુકડીઓને મામલો સોંપી દેવાયો. ત્યાર બાદ થોડા વખતમાં પરિસ્થિતિ થાળે પડી. 

ગેસનો દીવો 

એ અરસાના ‘બોમ્બે કુરિયર’ નામના અંગ્રેજી અખબારે નોંધ્યું હતું કે મુંબઈમાં નાના-મોટા ગુનાઓનું પ્રમાણ વધતું જાય છે. ખાસ કરીને ગીરગાંવ, મઝગાંવ, ભાયખળા, વગેરે વિસ્તારમાં રાતને વખતે હાથમાં તલવાર અને બંદૂક જેવાં હથિયારો અને મશાલો લઈને લૂંટારું ટોળીઓ ત્રાટકે છે. એટલું જ નહિ, ચોરી કર્યા પછી એ ઘરને મશાલ વડે આગ ચાંપી દે છે. આવા ચોર-લૂંટારાને પોલીસની સહેજ પણ બીક હોતી નથી. ઘણી વાર તો પોલીસ પોતે જ આવી ટોળીઓ સાથે ભળેલી હોય છે! આ રીતે ચોરો કે ધાડપાડુઓ સાથે મળી ગયેલા બે પોલીસને પકડવાનો હુકમ મેજિસ્ટ્રેટે આપ્યો ત્યારે બીજા પોલીસોએ એ મેજિસ્ટ્રેટ પર જ લાઠીઓ વડે હુમલો કર્યો! સમાચારને અંતે એ છાપાએ લખ્યું કે જો બધા પોલીસોને તડીપાર કરવામાં આવે તો મુંબઈના લોકો કદાચ વધુ સલામત રહેશે! આ રીતે મેજિસ્ટ્રેટ પર પોલીસોએ જ હુમલો કર્યો તે પછી સરકારે પૂનાથી અર્ધ-લશ્કરી જવાનોને બોલાવીને શહેરમાં રાત્રે પેટ્રોલિંગ કરવાનું કામ તેમને સોંપી દીધું હતું! થોડા વખત પછી મુંબઈ પોલીસ અંગેના ખર્ચમાં સરકારે વરસે દસ હજાર રૂપિયાનો વધારો જાહેર કર્યો હતો. પણ મુંબઈમાં ગૂનાખોરીનું પ્રમાણ ઘટવા લાગ્યું તે ૧૮૪૩થી. ના. પોલીસને કારણે નહિ. એ સાલમાં મુખ્ય રસ્તાઓ પર તેલના દીવા મૂકવામાં આવ્યા. રોજ સાંજને વખતે આ દીવામાં તેલ પૂરીને તેને સળગાવવામાં આવતા. જેટલું તેલ પૂરાતું તે લગભગ મધરાત સુધી ચાલતું પછી ૧૮૬૫ના ઓક્ટોબરમાં મુખ્ય રસ્તાઓ પર ગેસના દીવા મૂકવામાં આવ્યા. ગેસના પહેલવહેલા દીવા એસ્પ્લનેડ રોડ (આજનો મહાત્મા ગાંધી રોડ) અને ભીંડી બજારમાં મૂકાયા. આ દીવા આખી રાત ચાલુ રહેતા. આ સગવડ વધતી ગઈ તેમ મુંબઈમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટતું ગયું.

મુંબઈ પોલીસના બદલાતા રંગ

હવે થોડી વાત બોમ્બે પોલીસના યુનિફોર્મ વિષે. ગવર્નર આંગીઆરના શાસનકાળ દરમ્યાન પહેલી વાર વ્યવસ્થિત પોલીસદળ બનાવવામાં આવ્યું ત્યારે પોલીસના સિપાઈઓનો યુનિફોર્મ લાલ ભડક રંગનો હતો. લાંબી બાંયનો કોટ, તેના પર કાળો પટ્ટો, ઘૂંટણની નીચે સુધી પહોંચતું એ જ રંગનું હાફ પેન્ટ, પગ પર કાળા રંગનો પટ્ટો વીંટાળેલો, પગમાં સફેદ સેન્ડલ, અને માથે કાળા રંગની લાંબી ટોપી. પછીથી તેમાં થોડો ફેરફાર થયો. લાંબી ટોપી અગવડભરી જણાતાં તેને બદલે કાળો ફેંટો, કાળા પટ્ટાને બદલે સફેદ કમરબંધ, સેન્ડલને બદલે બૂટ. પછી ૧૮૧૨માં જે યુનિફોર્મ અપનાવાયો તે દેશને આઝાદી મળી તે પછી પણ થોડાં વરસ ચાલુ રહ્યો. માથા પરની ચપટી પીળી ગોળ ટોપી. કોટ અને હાફ પેન્ટ, બંને ડાર્ક બ્લૂ કલરનાં. પગમાં કાળાં સેન્ડલ. કમરે બાંધેલા પટ્ટામાં ખોસેલો લાકડાનો દંડૂકો. 

આઝાદી માટેની લડત દરમ્યાન પોલીસની પીળી ટોપી એ અંગ્રેજ રાજસત્તાનું અને તેના દમનનું પ્રતિક બની ગઈ હતી. એટલે સૌથી પહેલાં એ દૂર કરવામાં આવી. ૧૯૪૮ના જુલાઈની વીસમી તારીખથી એ પીળી ટોપી દૂર થઈ અને તેની જગ્યા લીધી ડાર્ક બ્લૂ કલરની સર્વિસ કેપે. યુનિફોર્મનો ડાર્ક બ્લૂ કલર છેક ૧૯૭૮ સુધી ચાલુ રહ્યો. એ વરસે ખાખી રંગનો નવો યુનિફોર્મ દાખલ થયો. પણ જેમને એ ન પહેરવો હોય તેમને જૂનો ડાર્ક બ્લૂ યુનિફોર્મ પહેરવાની છૂટ આપવામાં આવી. ૧૯૮૧ના ઓક્ટોબરમાં એ છૂટ પાછી ખેંચી લેવામાં આવી અને ખાખી યુનિફોર્મ ફરજિયાત કરવામાં આવ્યો. સ્ત્રી પોલીસને ખાખી સાડી-બ્લાઉઝ પહેરવાનો વિકલ્પ આપવામાં આવ્યો. 

મુંબઈ રાજ્યના પહેલા ચીફ મિનિસ્ટર બી. જી. ખેર 

મુંબઈ પોલીસમાં સ્ત્રીઓની ભરતી કરવાની શરૂઆત ક્યારે થઈ? ૧૯૩૯માં. કેમ? ૧૯૩૭માં લોકલ સેલ્ફ ગવર્નમેન્ટની યોજના દ્વારા પહેલી વાર સામાન્ય ચૂંટણી થઈ. તેમાં કાઁગ્રેસને બહુમતી મળતાં તેણે બી.જી. ખેરને મુંબઈ રાજ્યના વડા પ્રધાન તરીકે પસંદ કર્યા. (એ વખતે બોમ્બે, કલકત્તા, અને મદ્રાસની સરકારોના વડા પ્રાઈમ મિનિસ્ટર તરીકે ઓળખાતા.) તેમની સરકારે મુંબઈ શહેરમાં દારૂબંધી દાખલ કરી. પણ દારૂનો ધંધો કરનારા કાંઈ ગાંજ્યા જાય એવા નહોતા. તેમણે દારૂની હેરાફેરી માટે સ્ત્રીઓનો ઉપયોગ શરૂ કર્યો. કારણ કોઈ પુરુષ પોલીસ સ્ત્રીની જડતી લઈ ન શકે. એ માટે નજીકની સરકારી હોસ્પિટલમાંથી નર્સને બોલાવવી પડતી. એટલે મુંબઈ બહારના થાણા જેવા વિસ્તારોમાંથી રોજે રોજ કેટલીયે ‘સગર્ભા’ સ્ત્રીઓ મુંબઈ આવવા લાગી. તેમની સંખ્યા વધતી ચાલી. પોલીસે નોંધ્યું કે આ જ સ્ત્રીઓ જ્યારે પાછી ફરતી ત્યારે ‘સગર્ભા’ રહેતી નહિ. પોલીસને ખાતરી થઈ કે આ સ્ત્રીઓનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે થાય છે. મુંબઈ પોલીસે ખાસ ‘પ્રોહીબિશન બ્રાંચ (જે X બ્રાંચ તરીકે ઓળખાતી) શરૂ કરી અને તેમાં ૨૧ સ્ત્રી કોન્સ્ટેબલની ભરતી કરી. તેમનું એકમાત્ર કામ શંકાસ્પદ લાગતી ‘સગર્ભા’ સ્ત્રીઓની જડતી લેવાનું હતું. તેમનો યુનિફોર્મ હતો કાળી સાડી અને કાળું બ્લાઉઝ. પણ પછી ૧૯૪૨ની ‘હિન્દ છોડો’ લડતમાં સ્ત્રીઓએ ઘણી મોટી સંખ્યામાં ભાગ લીધો ત્યારે પોલીસ દળમાં ઘણી વધુ સ્ત્રીઓની ભરતી થઈ અને તેમનું કામ માત્ર ‘સગર્ભા’ સ્ત્રીઓની જડતી લેવાનું ન રહ્યું. 

બોમ્બે પોલીસ પુરાણનો વધુ એક અધ્યાય હવે પછી. 

e.mail : deepakbmehta@gmail.com 

XXX XXX XXX   

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 24 જાન્યુઆરી 2026

Loading

ભારતીય સંવિધાનના અમલના લેખા-જોખા 

આશા બૂચ|Opinion - Opinion|24 January 2026

ભારતનું સંવિધાન 

આમુખ 

અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ,

સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો

 તથા તેના સર્વ નાગરિકોને :

સામાજિક, આર્થિક તથા રાજનૈતિક ન્યાય,

વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ, તથા ઉપાસનાની સ્વતંત્રતા,

દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં

વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદ્રઢ કરે

એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતા પૂર્વક સંકલ્પ કરીને

 અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949ના

રોજ આ સંવિધાન અપનાવી, તેને અધિનિયમિત કરી 

અમને પોતાને સમર્પિત કરીએ છીએ.

ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું તેની આજ 76મી વર્ષગાંઠ.

બે વર્ષ જેટલા ટૂંકા ગાળામાં ભારતનું સંવિધાન ઘડાઈ ગયું એ એક અનોખી સિદ્ધિ ગણી શકાય. સ્વતંત્ર ભારતના નાગરિકો પોતે તેની સંરચના કરીને પોતાને સમર્પિત કરે છે એ શબ્દો અત્યંત સૂચક છે. પ્રજા પોતાને કયા અધિકારો મળશે તેની જાહેરાત કરે છે અને તેમાં સર્વની ફરજો પણ નિહિત છે. આવો, આજે એ સંવિધાનમાં ભારતીય નાગરિકોને આપેલા કોલનો અમલ કેટલે અંશે પાળવામાં આવ્યો છે તેની છણાવટ કરીએ. (મહત્ત્વના શબ્દો હાઈલાઈટ કરેલ છે.)

ભારત વિદેશી શાસનમાંથી મુક્તિ મેળવીને સાર્વભૌમ દેશ બને એ ધ્યેય હતું. એટલે કે દેશને પોતાની નિશ્ચિત સીમારેખા હોય, પ્રજાએ ચૂંટેલી પોતાની સરકાર હોય અને અન્ય દેશો સાથે સુમેળભર્યા સંબંધો જાળવવા મુખત્યાર હોય તે સાર્વભૌમ લોકતંત્ર કહી શકાય. દેશની સીમાની અંદર વસતા બધા નાગરિકો પર સરકારનું આધિપત્ય હોય એ સ્વીકાર્ય હતું, પરંતુ લોકતાંત્રિક રાજ્ય વ્યવસ્થા હોવાને કારણે શાસકો સરમુખત્યારી ન અપનાવી શકે એવું તેમાં અભિપ્રેત જરૂર હતું. ભારતની સીમા ખરેખર સુરક્ષિત છે? અન્ય દેશ ભારત પર ચડાઈ કરીને વહીવટ હાથમાં લઈ લે તેને જ ગુલામી ગણાવી શકાય એ ખરું, પરંતુ પડોશી દેશો સાથે સતત સશસ્ત્ર સંઘર્ષ ચાલુ રહે, પોતાના કબજાના પ્રદેશો ધીમે ધીમે બીજા દેશના હાથમાં સરતા જાય અને એ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની અસમર્થતાને કારણે છેવટ એ પ્રદેશની પ્રજાને દાયકાઓ સુધી અસલામતી અને અવગણનાનો ભોગ બનવું પડે તો ભારતની સરકાર સ્વતંત્ર કહી શકાય, પણ તેની સરહદ પર વસતી પ્રજા સાર્વભૌમ હોવાનો દાવો માંડી શકે ખરી?

આઝાદી મળ્યા બાદ દેશનું સામાજિક બંધારણ સમાજવાદી સમાજ રચના ધરાવતું હોય એ દેશના ઘડવૈયાઓની નેમ હતી. ભારત લશ્કરી શાસન, સરમુખત્યારી કે સામ્યવાદી રાજ્યવ્યવસ્થાને નથી અનુસર્યું એ માટે જરૂર ગૌરવ લઇ શકે. આપણે આઝાદી મેળવતાં જ સમાજવાદી સમાજ રચના રચવાના શપથ લીધેલા. એનો અર્થ એ કે દેશના તમામ ઉત્પાદન અને વેચાણ પર પ્રજાની માલિકી રહે જેથી મિલકતની સમાન વહેંચણી થાય અને તો જ સમાજવાદી સમાજ રચનાનું સ્વપ્ન સાકાર થાય. આપણે સંવિધાનમાં એ કલમ લખી ખરી, પણ ‘90ના દાયકા પછી મુક્ત બજારની નીતિ અપનાવી એની સાથે જ મોટા ભાગના ઉદ્યોગો અને વ્યાપાર મુઠ્ઠીભર ધનપતિઓના હાથમાં કેન્દ્રિત થઇ ગયા, પ્રજા તેમની હમાલી કરનાર બની ગઈ અને ગરીબ-તવંગરની ખાઈ કદી નહોતી એટલી પહોળી અને ઊંડી થઈ ગઈ. એટલું જ નહીં, ‘ગ્લોબલ ટ્રેડ’ના ઓઠા હેઠળ આજે તો વિદેશી કંપનીઓ ભારતના ખૂણે ખૂણે અડ્ડો જમાવી બેઠી છે. આજનું ભારત મૂડીવાદી અર્થવ્યવસ્થા અને સરમુખત્યારી શાસનવ્યવસ્થા ધરાવનારો દેશ છે એમ કહેવું વધુ ઉચિત થશે.

વિદેશી શાસન આવ્યું તે પહેલાં ભારતવર્ષ બિનસાંપ્રદાયિક હતું તેમાં જરા પણ શક નથી. સ્વતંત્રતા મળી ત્યારે વિભાજન થયું. પાકિસ્તાને ધર્મને પ્રાધાન્ય આપીને પોતાની ઓળખ ઊભી કરી. જ્યારે ભારત પહેલેથી જ પોતાને બિનસાંપ્રદાયિક વિચારધારા અપનાવનાર રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું. સંવિધાનના આમુખમાં બિનસાંપ્રદાયિક શબ્દ તેની રચના સમયે હતો તેનાથી વધુ આજે અનેકગણો ચર્ચાસ્પદ થઈ ગયો જણાય છે. બિનસાંપ્રદાયિક દેશની સરકાર તો પોતાના દેશમાં અસ્તિત્વ ધરાવતા કોઈ પણ ધર્મની ન તો તરફદારી કરે કે ન તો તેનો વિરોધ કરે. સરકારને કોઈ ધર્મ ન હોય, દરેક ધર્મના અનુયાયીઓ પ્રત્યે સમાન વલણ દાખવે અને સરકારી સંગઠનો ધાર્મિક ગઠબંધનોથી અલગ રહીને વહીવટ કરે તેને જ બિનસાંપ્રદાયિક તંત્ર વાળો દેશ કહી શકાય. છેલ્લા ત્રણેક દાયકાથી સંવિધાનની આ કલમનું પદ્ધતિસર અવમૂલ્યન થતું રહ્યું અને આજે દુનિયા ભારતને હિંદુત્વવાદી, જમણેરી વિચારધારા ધરાવતા દેશ તરીકે ઓળખવા લાગી છે. રાજ્ય અને કેન્દ્રના ઉચ્ચ પદાધિકારીઓ ધાર્મિક અનુષ્ઠાનોમાં એટલા વ્યસ્ત રહે છે કે અનુશાસન અને વહીવટ પાતાળમાં દટાઈ ગયા જણાય છે. કાયદો અને ન્યાય વ્યવસ્થા જ જો સંપ્રદાયિકતાથી ગ્રસ્ત હોય તો નાગરિકોને તટસ્થ ન્યાય મળે એવી સંભાવના જ ક્યાં રહી? આપણે સંવિધાનમાંથી બિનસાંપ્રદાયિક શબ્દ હઠાવી લઈએ તો કમ સે કમ સાચું બોલવાનું શ્રેય તો મળે.

બ્રિટિશ સામ્રાજ્ય આમ તો લોકશાહી શાસન પદ્ધતિને અનુસરતું હતું. પરંતુ ભારતના નાગરિકોને બ્રિટિશ પ્રજા જેવા અધિકારો નહોતા. આથી જ આઝાદી મળતાની સાથે કઈ રાજ્ય પદ્ધતિ સ્વીકારવી છે એ નિર્ણય લેવો અત્યંત આવશ્યક હતો. પ્રથમ મંત્રીમંડળની પસંદગી સહેજે ભારતને લોકતંત્રાત્મક/પ્રજાસત્તાક રાજનીતિ અપનાવવા તરફ દોરી ગઈ. લોકતંત્રને તથા પ્રજાસત્તાક શાસકીય પદ્ધતિને વરેલ દેશની સરકાર તેના નાગરિકો દ્વારા નિષ્પક્ષ અને ન્યાયી રીતે ચૂંટાઈને રાજ્ય કરે છે. પ્રજાને કેવી શાસન નીતિ હિતકારક લાગે છે એ વ્યક્ત કરવાનો સંપૂર્ણ અધિકાર હોય. શરૂઆતના પાંચેક દાયકા આપણે એ દિશામાં ધીમા, પણ મક્કમ પગલે ડગ ભર્યા. છેલ્લા દોઢેક દાયકાથી ચૂંટણી એક ફારસ બની ગઈ છે. રસ્તો વાળનાર કર્મચારી અને રીક્ષા ચાલક પણ કહે છે કે અમે હવે મત નથી આપતા, કેમ કે કાઁગ્રેસને કે આમ આદમી પાર્ટીને મત આપો તો પણ એ મત તો ભા.જ.પ.ના થેલામાં જ જાય છે. હાલમાં એવી સ્થિતિ થઇ ગઈ છે કે દરેક જાગૃત નાગરિક પ્રવર્તમાન સરકારી તંત્રથી વાજ આવી ગઈ છે, પણ તેમની પાસે બીજા પક્ષને પસંદ કરવાનો વિકલ્પ નથી રહ્યો. લોકતંત્રને નામે સરમુખત્યારી શાસનમાં જીવનાર પ્રજા ક્યાં સુધી પોતાનું હીર જાળવી શકશે?

સામાજિક, આર્થિક તથા રાજનૈતિક ન્યાય કોઈ પણ દેશના નાગરિકોની સુખાકારી અને પ્રગતિનો માપદંડ છે. દરેક નાગરિકના માનવ અધિકારની સુરક્ષાની જાળવણીનો કોલ આપણા સંવિધાનમાં અપાયો છે. એનો અર્થ એ કે આઝાદ ભારતમાં દરેક નાગરિકને જીવન જીવવા માટે જરૂરી તમામ તકો અને અધિકારોની સમાન વહેંચણી થાય, જે સામાજિક ન્યાય સુરક્ષિત કરે. આર્થિક ન્યાય અંતર્ગત આજીવિકા માટેના હરેક સ્રોત કોઈ પણ પ્રકારના ભેદ વિના સહુને પ્રાપ્ત હોય અને દરેક સાથે વ્યાજબી વ્યવહાર કરવામાં આવે. એ જ રીતે દરેક નાગરિકને તેની ગુણવત્તા અને વિશેષજ્ઞતાને આધારે રાજકારણમાં ભાગીદાર થવાની તક મળે તેવી જોગવાઈ કરવામાં આવી હતી. થયું એવું કે રાજાશાહીની માફક વંશ પરંપરાગત સત્તા ભોગવવાનું ચાલુ રહ્યું અને એ યુગ ખતમ થતાં જેનો દલ્લો ભારે હોય અથવા જેને કરોડાધિપતિઓ સાથે દિલી ભાઈબંધી હોય એ રાજકારણમાં પ્રવેશી શકે એવો ખેલ શરૂ થયો. ગ્રામ પંચાયતથી માંડીને કેન્દ્ર સરકારના મંત્રી મંડળના પદાધિકારી થવા માટે કુશળ વહીવટકર્તા હોવાની કે અર્થકારણ, કાયદાશાસ્ત્ર, ઇતિહાસ કે અન્ય કોઈ ક્ષેત્રમાં પારંગત હોવાની આવશ્યકતા નથી. બસ, ચૂંટણી પ્રચાર માટે કોઈ ઉદ્યોગપતિની ઉદાર સખાવત હોય અને જીત્યા પછી હા એ હા કરનારની ફોજ હોય, તો પાંચ વર્ષમાં લૂંટાય તેટલી મિલકત લૂંટીને માલામાલ થઈ જઈએ એટલે દેશ સેવા કરી કહેવાય! સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પરસ્પર સાથે સંકળાયેલા છે. એ ત્રણેય પ્રકારના ન્યાય જો પ્રજાને ઉપલબ્ધ ન હોય તો સમાજમાં સપ્રમાણ ન્યાય વિતરણ થાય છે એવો દાવો કેમ કરી શકાય? અને તે વિના સામાજિક સમાનતા ક્યાંથી સ્થાપી શકાય? જો કે રાજકારણીઓ દાવો કરે છે કે તેઓ ન્યાયી અને સમાન સમાજ સ્થાપવા સતત પ્રયત્નશીલ છે અને આજે ભારતને દુનિયામાં આર્થિક મહાસત્તાનું પદ મળ્યું છે તેથી પ્રજા સુખી જ હોવી જોઈએ. જો આ નેતાઓ જેને પાંચ કિલો અનાજ કે ગેસનું સિલિન્ડર આપવામાં આવે છે તેની પાસે પગપાળા ચાલીને જાય અને તેના ઘરમાં મહિનો માસ રહે તો વાસ્તવિકતાનો ખ્યાલ આવે.

વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ, તથા ઉપાસનાની સ્વતંત્રતા ભોગવવાનો હક દરેક નાગરિકને રહેશે તે પણ આપણા સંવિધાનમાં નિવેદિત હતું. બિનસાંપ્રદાયિક હોવાનો દાવો કરવાની માફક ભારતીય નાગરિકને પોતાના વિચારો અને માન્યતાઓ વ્યક્ત કરવાનો, પોતાના ધર્મને અનુસરવાનો, ઉપાસના અને તહેવારોની ઉજવણી કરવાની સ્વતંત્રતા છે એમ કહેવું તે વિધાન પણ પોકળ જ ગણાશે. જે રાજસત્તા પ્રજાહિત વિરુદ્ધ શાસન કરે તેને પ્રજા તરફથી વિરોધ થવાનો ભય બહુ સતાવે, અને તેથી જ એવી સરકાર આ તમામ પ્રકારની સ્વતંત્રતા ઉપર સજ્જડ પાબંદી મૂકતી હોય છે. ભારતની પ્રજાને તો આવો અનુભવ ઓગણીસમી અને વીસમી સદીમાં થઇ જ ગયેલો. ફરક એ છે કે પેલી વિદેશી સત્તા હતી, હવે ‘પોતાના નેતાઓની સરકાર’ તરફથી લાદવામાં આવતા પ્રતિબંધો પણ લોકશાહીનું ગળું ટૂંપવા બેઠા છે. જો લોકો મૌન રહીને સહન કરશે તો ગુલામી વેઠવા જ વારો આવશે. આ તમામ પ્રકારની સ્વતંત્રતા ભારતના સંવિધાન તેમ જ ‘યુનિવર્સલ ડેક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ’ દ્વારા સુરક્ષિત કરવામાં આવી છે. સવાલ એ છે કે સાંપ્રત સરકાર આ કલમને કેટલે અંશે અનુસરે છે.

એ જ રીતે દરેક નાગરિકને દરજ્જા અને વિકાસની તકની સમાનતા જાતિ, લિંગ, જ્ઞાતિ કે ધર્મના ભેદ વગર મળે તેવી જોગવાઈ બંધારણમાં કરવામાં આવી છે. આજે ભારતનો સમાજ આ તમામ પાસાઓમાં વિભાજીત થયેલો છે જે હિંસાત્મક વાતાવરણને પોષે છે.

  • દેશમાં એકતા અને અખંડિતતા સંગઠિત કરે તેવી બંધુતા સ્થાપવી અને જાળવવી એ આપણું અંતિમ ધ્યેય હતું. હવે ભાતૃભાવ અને એકત્વની ભાવનાની પહેલી શરત જ એ છે કે માનવ માનવ વચ્ચે માત્ર સહાનુભૂતિ નહીં પરંતુ તાદાત્મ્ય સધાયું હોય, સમાન ધ્યેયને સાધવા સહકાર અને એકબીજાને મદદરૂપ થવાનું ચલણ હોય. આજે સામાન્ય પ્રજાજન હજુ એટલો જ સહકારથી હળીમળીને રહે છે. મુશ્કેલી ઊભી થાય છે, રાજકારણીઓ દ્વારા ઉશ્કેરાઈને તોફાની તત્ત્વો દ્વારા ઊભી કરાતી દીવાલોથી. દેશના સમગ્ર પ્રજા સમૂહો વચ્ચે આવી ભાવના પ્રવર્તતી હોય તો જ એકતા જળવાઈ રહે. આજે પોણી સદી વટાવ્યા પછી આપણે કહી શકીશું કે ભારત એક, અખંડિત રાષ્ટ્ર છે અને તેના દરેક નાગરિકો વચ્ચે સમાનતા, બંધુતા અને અને બિનશરતી પ્રેમની લાગણી પ્રવર્તે છે?
  • ભારતના સંવિધાનનું આમુખ વાંચીને આજની સ્થિતિનું પરીક્ષણ કરવાથી પ્રતીત થાય છે કે જાણે એ બંધારણના આગલા પાછલા પૃષ્ઠોને જાળવીને તેની અંદરના પાનાઓમાં લખેલી મહત્ત્વની કલમોને મારી મચડીને પાંગળી બનાવી દેવામાં આવી છે. એટલે જ હવે ભારત નામનું લોકશાહી રાષ્ટ્ર બની રહ્યું છે. કેટલાક લોકો આ દશા માટે માત્ર એક વ્યક્તિની સત્તા લાલસા કે શાસક પક્ષની વહીવટી બેજવાબદારીને જ કારણભૂત માને છે. જ્યારે મારુ માનવું એ છે કે એ જ સંવિધાનના છેલ્લા શબ્દોને ધ્યાનમાં લઈએ તો ભારતની પ્રજાએ જ સંવિધાનને અપનાવી, તેને અધિનિયમિત કરીને પોતાને સમર્પિત કરી છે. આથી હવે આમ પ્રજાએ જ સંવિધાનની દરેક કલમને અમલમાં મૂકે તેવા નાગરિકો ઘડવાનું અને તેમાંથી નિષ્ઠાવાન પ્રામાણિક વહીવટકર્તાઓ પેદા કરવાનું ભગીરથ કામ કરવાનું રહે છે. સમય ઓછો છે. ટૂંક સમયમાં આ લક્ષ્ય સિદ્ધ નહીં થાય તો શતમુખ વિનિપાત નિશ્ચિત સમજવો.
e.mail : 71abuch@gmail.com

Loading

મતદાર યાદી સુધારણા : માંગે છે ફેરવિચારણા !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|23 January 2026

રવીન્દ્ર પારેખ

સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR)ની કામગીરીમાં BLOને BLOW પડતો હોય તેવી સ્થિતિ છે. બૂથ લેવલ ઓફિસર(BLO)ની કામગીરીમાં શિક્ષકોનો ઉપયોગ થયો છે, ત્યાં મહિનાઓથી તેઓ શાળાઓમાં જઈ શક્યા નથી, એટલું જ નહીં, શિક્ષકો શાળામાં ન જાય એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. શિક્ષકને ઈરાદાપૂર્વક શાળાથી દૂર રાખવાનું દબાણ કદાચ પહેલીવાર આટલાં પ્રમાણમાં તંત્રો દ્વારા થયું હશે. વારુ, ચૂંટણી પંચ દ્વારા જે કામગીરી મતદાર યાદીની સુધારણા માટે થઈ છે, તેમાં મોટે ભાગે તો બગાડો જ બહાર આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં SIRની ડ્રાફ્ટ યાદી જાહેર થઈ, તેમાં જૂની મતદાર યાદીમાંથી 2.89 કરોડ નામો કાપી નાખવામાં આવ્યાં છે. આ નામ પહેલાં 15.44 કરોડ હતાં જે હવે 12.55 કરોડ રહ્યાં છે. એમાં જે ગુજરી ગયાં કે બહાર ગયાં તેમનાં નામ કપાય, તે સમજી શકાય એમ છે. એવાં નામો 46.23 લાખની આસપાસ છે. પણ, બીજા નકલી કે ડુપ્લિકેટ 25.47 લાખ હતા. એ સિવાય બીજા 2.17 કરોડ મતદારોનો કોઈ ટાળો જ નથી મળતો. સવાલ તો એ છે કે આટલી મોટી સંખ્યામાં બોગસ મતદારો ઘૂસી ગયા ત્યાં સુધી ચૂંટણી પંચ ક્યાં હતું? કોની સેવામાં હતું? એ ખરું કે બીજા કેટલાંક નામો નીકળ્યાં તેમાં વિધર્મીઓ મુખ્ય છે.

ગુજરાતની વાત કરીએ તો 5.08 કરોડ ફોર્મ વહેંચાયાં છે, જેમાંથી 4.32 કરોડની ચકાસણી થઇ ગઈ છે. એમાં પણ 67.98 લાખનું મેપિંગ થઈ શક્યું નથી. 2025ની યાદીમાં નામ છે, પણ 2002ની યાદીમાં નામ મેચ થતું નથી. મતદારો બંનેમાં હોય એવાં નામો 1,61,55,411 છે. બાકીનાઓએ ચૂંટણી પંચ સમક્ષ પુરાવાઓ રજૂ કરવા પડશે. 11 રાજ્યોની SIRની કામગીરી પૂરી થઈ ગઈ છે. ફાઈનલ ડ્રાફ્ટ રોલમાંથી ૩.69 કરોડ મતદારોનાં નામ દૂર થયાં છે.  મધ્ય પ્રદેશમાં 42.74 લાખ, છત્તીસગઢમાં 27.34 લાખ, કેરળમાં 24.08 લાખ, અંદામાન અને નિકોબાર દ્વીપમાં ૩.10 લાખ, પશ્ચિમ બગાળમાં 58.20 લાખ, રાજસ્થાનમાં 41.85 લાખ, ગોવામાં 11.85 લાખ, પુડુચેરીમાં 1.૦૩ લાખ, લક્ષદ્વીપમાં 1616, તમિલનાડુમાં 97 લાખ, અને ગુજરાતમાં 73 લાખ મતદારોનાં નામ કપાયાં છે.

આમાં BLOની કામગીરી ટેન્શનથી મુક્ત નથી. દેશમાં કેટલા ય BLOએ કામગીરીનાં દબાણમાં આત્મહત્યા કરી છે. દેશમાં અત્યાર સુધીમાં ૩૩ BLOએ આત્મહત્યા કરી છે. એમાં સૌથી વધુ 9 મધ્ય પ્રદેશમાં છે. યુ.પી.-ગુજરાતમાં એ સંખ્યા 4-4 છે. આ આત્મહત્યાઓ પાછળ જવાબદારીને નક્કી સમય મર્યાદામાં પૂરું કરવાનું દબાણ તો હતું જ, પણ BLO પર રાજકીય દબાણ પણ ઊભું કરવામાં આવ્યું ને એ પણ આત્મહત્યામાં પરિણમ્યું. ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં BLO અને શિક્ષક વિપિન યાદવે ઝેર ખાઈને આપઘાત કરેલો, ત્યારે તેના પિતા સુરેશ યાદવે જણાવેલું કે દીકરાએ મરતા પહેલાં ફોન પર કહ્યું હતું કે SDM અને BDM મતદાર યાદીમાંથી OBC મતદારોનાં નામ હટાવવા અને સામાન્ય વર્ગના નામ વધારવા માટે દબાણ કરી રહ્યા છે. BLOએ તેમ કરવાની ના પાડી તો તેને સસ્પેન્શનની ને ધરપકડની ધમકીઓ આપવામાં આવી. વિપિનની પત્નીએ પણ જણાવેલું કે અધિકારીઓ ‘આધાર’ ન આપનારાઓનાં નામ પણ જોડવાનું દબાણ કરતા હતા. એ બધાંને લીધે વિપિન ખૂબ દબાણમાં આવતાં તેણે આત્મહત્યા કરી હતી.

આવું દબાણ જયપુરના એક BLOએ પણ અનુભવ્યું છે. BLO કીર્તિકુમાર શર્માનું કહેવું છે કે જયપુરના પૂર્વ કાઉન્સેલર સુરેશ સૈનીનો ફોન આવ્યો, જેમાં તેમણે કહ્યું કે જયસિંહપુરા વિસ્તારના વોર્ડ નમ્બર 13નાં 467 નામ સામે જે વાંધો લેવામાં આવ્યો છે, તેના પર વિચારણા કરો. આ નામોને ભા.જ.પ. રદfd કરવા માંગે છે, એવું પણ સૈનીએ કહ્યું. BLOનું માનવું છે કે મુસ્લિમ મતદારોને હટાવવા આવું કરાવાઈ રહ્યું છે. આનો વીડિયો વાઈરલ થયો છે, જેમાં સૈની કહે છે કે જો BLO આ ‘વસ્તી’નાં તમામ નામો હટાવી દે તો ભા.જ.પ.ના ધારાસભ્ય, બાલમુકુન્દ આચાર્ય થઈ શકે એમ છે. કીર્તિકુમાર શર્મા પાસે મતદાર યાદી વેરિફિકેશનનું કામ હતું એટલે સૈનીએ આ વાત શર્માને કહી ને ધમકી પણ આપી કે આ ન થાય તો સસ્પેન્શન માટે તૈયાર રહેવું. જવાબમાં કીર્તિકુમાર શર્માએ રોકડું પરખાવ્યું કે ફાંસીએ લટકાવી દો તો પણ નામ રદ્દ નહીં કરું.

આ મામલે વિપક્ષોનું માનવું છે કે ચૂંટણી પંચ ભા.જ.પ.ના વફાદાર તરીકે વર્તી રહ્યું છે. કાઁગ્રેસ સહિતના વિપક્ષો તો SIRને શંકાથી જ જોઈ રહ્યા છે. SIRની કામગીરીમાં લાખો નામ નીકળી ગયાં છે. વિપક્ષી નેતા રાહુલ ગાંધી તો સ્પષ્ટ કહે છે કે ભા.જ.પ. SIRને નામે પછાત, દલિત, ગરીબ મતદારોને હટાવીને પોતાને અનુકૂળ આવે એવી મતદાર યાદી તૈયાર કરાવવા માંગે છે. જો કે ભા.જ.પ.ના સાંસદ સુધાંશુ ત્રિવેદી રદિયો આપતા જણાવે છે કે વિપક્ષે પહેલાં EVM પર આરોપો લગાવ્યા ને હવે મતદાર યાદી પર આરોપો લગાવે છે.

ગુજરાતમાં પણ ખોટી રીતે મતદાર યાદીમાં મતદારોના નામ રદ્દ કરવાને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે મતદાર યાદીની ચકાસણી બાદ, છેલ્લા બેત્રણ દિવસમાં ભા.જ.પે. 9,58,000થી વધુ અરજીઓ મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે દાખલ કરી છે. (બાપુનગર, ખંભાળિયા, રાજકોટ, કચ્છ વગેરે વિસ્તારોમાંથી હજારો અરજીઓ એક સાથે દાખલ કરવાનું પણ શંકાસ્પદ છે) 73.73 લાખ મતદારો હટાવ્યા પછી પણ 9.58 લાખ મતદારો રદ્દ કરવાનું ભા.જ.પ.ના ઈશારે થઈ રહ્યું હોવાનું ઇસુદાન ગઢવીનું માનવું છે. તેમણે અધિકારીઓને ચેતવ્યા છે કે રાજકીય દબાણ હેઠળ ગેરકાયદેસર રીતે મતદાર યાદીમાં ફેરફાર થશે તો આમ આદમી પાર્ટી કાનૂની કાર્યવાહી કરશે. કચ્છમાં પણ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા SIRની કામગીરીમાં 13,000 મુસ્લિમ મતદારોનાં નામ કમી કરવાનો ખેલ શરુ થતાં કાઁગ્રેસ અને મતદારો ચોંકી ગયાં છે. આ અંગે ફરિયાદ થતાં કચ્છ જિલ્લા ભા.જ.પ. અને ચૂંટણી અધિકારી એવા કચ્છ કલેકટરે કોઈ જાહેર ખુલાસો ન કરતાં કામગીરીની તટસ્થતા સંદર્ભે પ્રશ્નો ઊઠ્યા છે.

હાલ 11 રાજ્યોમાં ચૂંટણી પંચ મતદારોનું વેરિફિકેશન કરે છે, ત્યારે પશ્ચિમ બંગાળ દ્વારા આ વેરિફિકેશનને સુપ્રીમમાં પડકારવામાં આવ્યું છે, જેની સુનાવણી દરમિયાન સુપ્રીમે ચૂંટણી પંચને ફટકાર લગાવતા કહ્યું કે તમે વેરિફિકેશન દરમિયાન એક કરોડથી વધુ મતદારોને બહાર કર્યા છે અને ખરાઈ માટે નોટિસો મોકલી છે. એને લીધે લોકો કેવા તનાવ અને મુશ્કેલીમાં છે તે સમજાવું જોઈએ. સુપ્રીમે આદેશ આપ્યો છે કે સવા કરોડ લોકોની યાદી તાલુકા ઓફિસ, ગ્રામપંચાયત અને વોર્ડ ઓફિસમાં નોટિસ બોર્ડ પર મૂકવામાં આવે, તે સાથે જ જેમને નોટિસો મોકલવામાં આવી છે, તેમને જવાબ રજૂ કરવા પૂરતો સમય આપવામાં આવે. સુપ્રીમમાં તૃણમૂલ તરફથી હાજર રહેલ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે સરનેમની સ્પેલિંગ મિસ્ટેક જેવાં કારણે પણ, લોકોને નોટિસ આપવામાં આવી છે. ચૂંટણી પંચના વકીલે એક કિસ્સો ટાંકતાં કહ્યું કે એક દીકરા અને તેની માતા વચ્ચે 15 વર્ષનું જ અંતર છે. આ મુદ્દે સુપ્રીમના ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીએ ઝાટકણી કાઢતાં કહ્યું કે માતા-પુત્ર વચ્ચે 15 વર્ષનું અંતર હોય તેમાં વાંધો શો છે? ભારતમાં બાળલગ્નો થતાં હોય એ સંજોગોમાં 15 વર્ષનો તફાવત અશક્ય નથી. બાલવિવાહ પણ કડવી વાસ્તવિકતા છે ને તેને તે રીતે જ મૂલવવી જોઈએ. એક કરોડથી વધુ લોકોને નોટિસ મોકલવી, નાની વાત નથી. સુપ્રીમના આદેશમાં તૃણમૂલને પોતાની જીત દેખાઈ ને તેમના સાંસદ અભિષેક બેનર્જીએ કહ્યું કે ભા.જ.પ.નો SIRનો પશ્ચિમ બંગાળનો ખેલ ખતમ થઇ ગયો છે.

મતદાર યાદી સુધારણાનું લક્ષ્ય તો યાદી સ્વચ્છ અને અધિકૃત કરવાનું છે. તેને બદલે જે ચાલી રહ્યું છે તે તો ગંદકી વધારનારું જ છે. આ બધા તાયફા પરથી એવું લાગે છે કે SIRની કામગીરી વેરિફિકેશન કરતાં પણ, વધારે તો સત્તાધારી પક્ષને જે જે નડતર રૂપ છે તેવાં જાતિ-કોમને મતદાર યાદીમાંથી રદ્દ કરાવીને પક્ષની જીત પાકી કરી લેવાની છે. આમ તો અત્ર તત્ર સર્વત્ર ભા.જ.પ.ની જ બોલબાલા છે, તો  આવાં કાવતરાં કરીને તે પોતાની છાપ બગાડવા કેમ મથે છે, તે સમજાતું નથી. ભા.જ.પ. પાસે શક્તિશાળી ને સંપીલા નેતાઓ છે જ ને વિપક્ષમાં એવા વફાદારોનો દુકાળ છે, પછી મતદાર યાદી જોડે ચેડાં કરાવવાનો મતલબ પ્રતિષ્ઠાને દાવ પર લગાવવાથી વિશેષ શું છે?  આનાથી બચવું જોઈએ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 જાન્યુઆરી 2026

Loading

...9101112...203040...

Search by

Opinion

  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?
  • સેનાપ્રમુખની નિર્ણય -કટોકટી : રાષ્ટ્રીય નેતૃત્વની આઘાપાછી?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved