Opinion Magazine
Number of visits: 9949957
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જૂઠાણાંથી ઘેરાયેલાં સત્યને કેવી રીતે ઓળખવું?

સોનલ પરીખ|Opinion - Opinion|11 June 2026

1986ની 26મી એપ્રિલે રશિયાના ચેર્નોબિલમાં અણુઇતિહાસની સૌથી મોટી દુર્ઘટના બની. શક્તિશાળી વિસ્ફોટ, માઈલો સુધી ફેલાયેલું રેડિયેશન, લાખો લોકોનું વિસ્થાપન, હજારો મૃત્યુ, જંગલોનું બળી જવું અને સત્યને છાવરવાનું રાજકીય દબાણ. તપાસ–કમિશનના ચીફે દુર્ઘટનાના બે વર્ષ બાદ આત્મહત્યા કરી. મરતા પહેલા તેણે લોકો સામે સત્ય મૂક્યું. એમાંથી આપણે કંઈ શીખ્યા?  

બરાબર ચાલીસ વર્ષ પહેલાંની વાત – રશિયા, 26 એપ્રિલ, 1986ની વહેલી સવારે વેસિલી ઈગ્નાટેન્કો અને તેની સગર્ભા પત્ની લ્યુડમિલા બેલારુસ જવાના હતાં. રાત્રે દોઢ વાગ્યો ત્યાં પાવર પ્લાન્ટની વિરાટ ચીમનીમાંથી આગની જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટા નીકળવા માંડ્યા. વેસિલી ફાયરફાઈટર હતો – આગ બુઝાવવાનું કામ કરતો. તરત તેને ભાગવું પડ્યું. પત્નીને ચુંબન આપી, ‘તું સૂઈ જજે, હું આવીને તને જગાડીશ.’ કહી વેસિલી ગયો. પત્ની સૂઈ ન શકી. આગ સામાન્ય નહોતી, ચેર્નોબિલના એટમિક રિએક્ટરમાં થયેલા અકસ્માતનું પરિણામ હતી. વેસિલી અને તેના જેવા બત્રીસ યુવાનો એટમિક રેડિયેશનનો તાત્કાલિક અને પહેલો ભોગ બન્યા. તેમને સીધા હૉસ્પિટલે લઈ જવાયા.

લ્યુડમિલા દોડી. પ્રશ્નોત્તરી અને વિધિઓમાંથી માંડ પસાર થઈ પતિ પાસે પહોંચી. એક પ્રશ્ન એ પણ હતો, ‘પ્રેગ્નન્ટ છો?’ એ ખોટું બોલી કેમ કે તેને વેસિલી પાસે જવું હતું. તેને જોવો હતો. સાંત્વન આપવું હતું. છેવટે ‘તેને અડશો નહીં’ એવી ચેતવણી સાથે તેને વેસિલીના રૂમમાં જવા દેવાઈ. પારદર્શક પ્લાસ્ટિક શિટને પેલે પાર વેસિલીનું રેડિયેશને ક્ષતવિક્ષત કરી નાખેલું, ઓળખાય પણ નહીં તેવું અર્ધબેહોશ શરીર પડ્યું હતું. 

14 દિવસ પછી એ મૃત્યુ પામ્યો. તેના સાથીઓ પણ ન બચ્યા. એક મોટો ખાડો કરી જસતના કૉફિનમાં એમનાં શરીર મુકાયાં અને માટીને બદલે સિમેન્ટ-ડામરના રગડાથી ખાડો બુરી દેવાયો. લ્યુડમિલા તેને માટે લાવેલી તે કપડાં અને શુઝ એમ ને એમ જ પાછા લઈ ગઈ. શરીર એટલું સૂજી ગયું હતું કે તેને તે પહેરાવી શકાયા નહીં. 

થોડા મહિના પછી લ્યુડમિલાએ દીકરીને જન્મ આપ્યો. છોકરી માંડ ચાર કલાક જીવી શકી. 

આ હતી ચેર્નોબિલ એટમિક રિએક્ટરમાં બનેલી અણુઇતિહાસની સૌથી મોટી દુર્ઘટનાનો ભોગ બનેલા એક જ કેસની વાત. ક્યાં છે ચેર્નોબિલ? શું થયું હતું ત્યાં? 

ચેર્નોબિલ પાવર સ્ટેશન યુક્રેનની રાજધાની કીવથી 130 કિલોમીટર ઉત્તરે પ્રિપયેટ શહેરમાં બન્યું હતું. બેલારુસથી 20 કિલોમીટર દક્ષિણમાં. એ વખતે યુક્રેન રશિયાનો ભાગ હતું. ચેર્નોબિલ પાવર સ્ટેશનમાં ચાર ન્યૂક્લિયર રિએક્ટર હતાં. રિએક્ટરમાં થતી પ્રક્રિયા ખૂબ ગરમી ઉત્પન્ન કરે છે. ઠંડા પાણીનો પુરવઠો સતત મળ્યા કરે તે માટે પ્રિપયેટ નદી પર એક કૃત્રિમ તળાવ બનાવ્યું હતું. યુક્રેનના આ વિસ્તારમાં વસતી બહુ ઓછી હતી. રિએક્ટરથી 3 કિલોમીટર દૂર નવું વસાવેલું શહેર હતું જેમાં 50,000 લોકો રહેતા. ચેર્નોબિલના જૂના શહેરમાં 12,500. પાવર પ્લાંટના 30 કિલોમીટરના ઘેરાવામાં લગભગ દોઢ લાખ લોકો રહેતા હતા. 

અકસ્માત સમયે બે રિએક્ટર ચાલુ હતાં. એક પરીક્ષણ દરમ્યાન ભૂલ થવાથી અચાનક રિએક્ટરમાં અનિયંત્રિત અણુવિભાજન પ્રક્રિયા ચાલુ થઈ ગઈ ને જોતજોતામાં કાબૂ બહાર ચાલી ગઈ. પુષ્કળ પ્રમાણમાં વરાળ ઉત્પન્ન થવાથી દબાણ ખૂબ વધી ગયું. બે શક્તિશાળી વિસ્ફોટ અને રિએક્ટરની હજારો ટન વજનની છત ઊડી ગઈ. રેડિયેશન ઝડપથી ફેલાવા લાગ્યું ને ત્યાં કામ કરતા, આગ બુઝાવવા આવેલા અને દૂર પુલ પરથી આગ જોઈ રહેલા લોકોમાંનું કોઈ ન બચ્યું.

યુક્રેન અને બેલારુસ સૌથી વધારે અસરગ્રસ્ત હતાં. જોતજોતામાં માઈલો સુધીનું આકાશ ધૂંધળું બન્યું. દૂર દૂર સુધી કિરણોત્સર્ગી વરસાદ થયો. બે દિવસ પછી, પચાસ મિનિટની નોટિસ આપી પ્રિપયેટ શહેર ખાલી કરાયું. લોકોને લેવા બસો આવી હતી. પાળેલાં પ્રાણીઓને લઈ જવાની મનાઈ થઈ. બેત્રણ દિવસમાં પાછા આવીશું એમ માનીને સૌ ગયા – કદી પાછા ફરી શક્યા નહીં. એક ટીમને ખાલી શહેરમાં ફરતાં પ્રાણીઓને મારી નાખવાનું સોંપાયું. બીજી ટીમે પ્રાણીઓનાં મૃત શરીરોના ઢગલાને મોટા ખાડામાં નાખી તે પર સિમેન્ટ-ડામરનો રગડો રેડ્યો. થોડાં પ્રાણીઓ તો પણ બચી ગયાં, તે થોડા વખતમાં ખૂબ હેરાન થઈ મરી ગયાં. 

રિએક્ટર ફાટ્યું હતું ત્યાં સેંકડો ટન રેડિયોઍક્ટિવ કાદવ થયો હતો. તેને ખસેડવા મુકાયેલાં યંત્રો ભયાનક ગરમી અને રેડિયેશનથી બગડવા માંડ્યાં એટલે ખાણોમાં કામ કરતા 400 જેટલા મજૂરોને બોલાવ્યા. આમાંના મોટા ભાગના વર્ષ-બે વર્ષમાં મરી ગયા. બીજા હજારોને પણ ‘ફરજિયાત સેવા’ આપવા રોકી લીધા હતા. 2,000 ચોરસ માઈલ સુધી રેડિયેશનની અસર થઈ, આ વિસ્તારને એક્સક્લુઝન ઝોન કહે છે. ઊભાં ઝાડ બળી જવાથી જંગલ ઘેરા લાલ રંગનું દેખાય છે, તેને રેડ ફોરેસ્ટ કહે છે. 

આવી મોટી દુર્ઘટનાની વૈશ્વિક સ્તરે તપાસ થયા વિના રહે નહીં. રશિયાએ પહેલા તો ઢાંક્પિછોડો કરવાની કોશિશ કરી. વિજ્ઞાનીઓની ટીમને ચૂપ કરી દીધી. દુર્ઘટનાની તપાસ માટે એક કમિશન રચાયું જેનો ચીફ હતો ડૉ. વેલેરી લેગોસોવ. તપાસ ચાલુ થઈ અને ભયાનક હકીકતો ખૂલતી આવી – બેદરકારી, અહમ, રિએક્ટરની ડિઝાઈનમાં મોટી ખામી – આ બધું દુનિયા સામે છતું થાય તો આબરૂ જાય. લેગોસોવ પર પુષ્કળ રાજકીય દબાણ આવ્યું. એ વખતે ઢાંકપિછોડો કરી લેવાયો, પણ દુર્ઘટનાના બરાબર બે વર્ષ બાદ 1988ની 27મી એપ્રિલે પોતાનું બયાન રેકોર્ડ કરીને 51 વર્ષના લેગોસોવે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી. 

બધું બહાર આવતાં સોવિયેટ ન્યૂક્લિયર ઈન્ડસ્ટ્રી ચમકી પડી. ડિઝાઈનમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા, થોડા વખતમાં ત્રણ રિએક્ટરો ફરી કામ કરતાં થયાં. 1996માં ત્યારના પ્રમુખ બોરિસ યેલ્તસીને લેગોસોવને રશિયાનો ‘કરેજ અને હીરોઈઝમ’ માટે અપાતો સર્વોચ્ચ ખિતાબ એનાયત કર્યો. પણ જે બન્યું તે ભુલાય તેવું ન હતું. તે વખતે ગોર્બાચોવ રશિયાના પ્રમુખ હતા. એમણે 2006માં લખ્યું છે, ‘ચેર્નોબિલ પરહેપ્સ ધ ટ્રુ કૉઝ ઑફ ધ કૉલેપ્સ ઑફ ધ સોવેયેટ યુનિયન.’ 

અમેરિકાએ ચેર્નોબિલ ઘટનાને ‘માનવઇતિહાસની સૌથી મોટી પર્યાવરણીય દુર્ઘટના’ કહી છે. આ ઘટના પછી યુક્રેન-બેલારુસમાં કેન્સરનું પ્રમાણ અતિશય વધી ગયું. અસરગ્રસ્ત વિસ્તારમાંથી કુલ ત્રણ લાખ માણસો વિસ્થાપિત થયા. ત્યાંના હવાપાણીમાં હજી અણુપ્રદૂષણ છે. જંગલ હજી લાલ છે. છૂટાછવાયા માણસો તો પણ ત્યાં વસે છે. મોટો વિસ્તાર પ્રતિબંધિત છે. ચેર્નોબિલ દુર્ઘટનાએ હિરોશીમા-નાગાસાકી બોમ્બવિસ્ફોટ કરતાં અનેક ગણું રેડિયેશન ફેલાવ્યું હતું એમ એક સ્રોત કહે છે. ઉત્તર અને પૂર્વ યુરોપ સુધી એની અસર ફેલાઈ હોવાના અહેવાલ મળ્યા છે.  

2000માં ચેર્નોબિલ પાવર સ્ટેશન બંધ થયું. 2017માં બે રિએક્ટરો પર અબજોના ખર્ચે સિમેન્ટ ગુંબજ બંધાયા છે. તેમાં ટનબંધ કિરણોત્સર્ગી કચરો આજે પણ છે. પ્રિપયેટ શહેર હજી ખાલી છે. ત્યાં જંગલી ઘોડા, સૂવર વગેરે ફરે છે. હવે એ ટૂરિસ્ટ સાઈટ છે. ત્યાંની હૉસ્પિટલના બેઝમેન્ટમાં દર્દીઓનાં કપડાં છે, તેના પર હજી રેડિયેશનની અસર છે. ચેર્નોબિલ દુર્ઘટનામાં કેટલા લોકોના જીવ ગયા એ હજી અટકળનો વિષય છે. મૃત્યુઆંક 4,000થી 94,000 સુધીનો હોવાની સંભાવના છે, પણ ઔપચારિક આંકડો તો 1986માં જે હતો, હજી પણ એ જ છે – 31. 

એચ.બી.ઓ.એ બનાવેલી ‘ચેર્નોબિલ’ સિરિઝ, ‘વોઈસિસ ઑફ ચેર્નોબિલ’ પુસ્તક, ‘ચેર્નોબિલ ડાયરીઝ’ ફિલ્મ અને દસ્તાવેજો આ ભયાનક દુર્ઘટના પર પ્રકાશ પાડે છે. પણ માણસને ઇતિહાસમાંથી કઈં જ શીખવું નથી હોતું. 2011માં જાપાનમાં થયેલો ફુકુશિમા ન્યૂક્લિયર એક્સિડન્ટ આની સાબિતી છે. તેના કારણમાં કુદરતી આફત જેટલી જ જવાબદાર ખામીભરી સંરચના હતી. એ પછી વિશ્વસ્તરે અણુખતરાઓ માટેની સતર્કતા વધી છે ખરી, પણ ડૉ. લેગાસોવ કહે છે તે યાદ રાખવા જેવું છે, ‘જે દેખાતું નથી તે, જે દેખાય છે તેના કરતાં ઘણું વધારે ભયાનક હોય છે. જોખમ એ નથી કે આપણે અસત્યને સત્ય માનવાની ભૂલ કરીએ છીએ. ખરું જોખમ એ છે કે આપણે એટલાં બધાં જૂઠાણાંથી ઘેરાયેલાં છીએ કે તેની વચ્ચેથી સત્યને ઓળખી શકતા નથી.’ અને ‘વિજ્ઞાની સરળ હોય છે. એ સત્ય શોધવામાં એટલો એકાગ્ર હોય છે કે એને એ નથી દેખાતું કે સત્ય શોધવામાં ભાગ્યે જ કોઈને રસ હોય છે.’ 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 26 ઍપ્રિલ  2026

Loading

‘માઈ’ – આહટોં કે પીછે કબ તક દૌડેગી કિતના .. 

સોનલ પરીખ|Opinion - Opinion|10 June 2026

લોગ યહાં સપનોં કી ધૂપ મેં ચલતે હૈ 

એક હમ હૈં જો અપનોં કી છાંવ મેં ભી જલતે હૈ

રિશ્તોં કા બોજ હૈ કહીં, કહીં રિશ્તા હી બોજ હૈ

અપનોં કી ખોજ હૈ કહીં, કહીં અપની હી ખોજ હૈ … 

                                                              — મનોજ તાપડિયા

‘જિંદગીનો એ જ સાચેસાચ પડઘો છે “ગની”, હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે’ આશા ભોસલેના સ્થૂળ દેહે ચિરવિદાય લીધી છે, પણ એમનાં ગીતો, એમની વાતો, એમની સ્મૃતિઓ ચારે બાજુ પડઘાઈ રહ્યાં છે. યુદ્ધ પણ જાણે પડદા પાછળ ચાલ્યું ગયું છે. કલાકારોની ને કદરદાનોની વાત ન્યારી છે. આશાજીના એક પ્રશંસકે એમની અંતિમ ક્રિયામાં સામેલ થતાં કહ્યું હતું કે ‘મારી આંખો ભીની છે, પણ હું શોક કરવા નથી આવ્યો. આઈ એમ હિયર ટુ સેલિબ્રેટ હર લાઈફ.’ 

આશા ભોસલે ‘માઈ’ ફિલ્મમાં

વાત કરવી છે અભિનેત્રી આશા ભોસલે અને એમની એકમાત્ર ફિલ્મ ‘માઈ’ની. આ ફિલ્મ ૨૦૧૩માં બની ત્યારે આશાજી ૭૯ વર્ષનાં હતાં. દિગ્દર્શક મહેશ કોડયાલે એમને ‘ચંદા કી બિંદિયા’ હાલરડું ગાવા બોલાવ્યાં હતાં. રેકોર્ડીંગ દરમ્યાન સાદી સાડી પહેરેલાં ને મેકઅપ વગરનાં આશાજીને જોઈ એમને થયું કે મારે જે મા જોઈએ છે તે આવી જ છે. એમણે આશાજીને પૂછી જોયું. આશાજી કહે, ‘ગાના ગાને બુલાયા થા ના? હો ગયા?’ અને ડ્રાઇવરને બોલાવી જતાં રહ્યાં. બે દિવસ પછી વાર્તા સાંભળવા તૈયાર થયાં. વાર્તા સાંભળી કે તરત હા પાડી દીધી. આમ ‘માઈ’ બની એમની પહેલી ને એકમાત્ર ફિલ્મ.

ફિલ્મમાં માઈનું કોઈ નામ નથી. એ મા છે, બાળકોને સર્વસ્વ માની જીવી ગયેલી ને પછી ઉપેક્ષિત થતી મા. માઈ ચાર બાળકોની વિધવા મા છે. એક માત્ર દીકરો પ્રશાંત એનો પ્રાણ છે. જો કે દીકરીઓને પણ એ ખૂબ ચાહે છે. સમય જતાં બધાં પરણી કરીને ગોઠવાઈ જાય છે. માઈ, પ્રશાંત સાથે રહે છે. પ્રશાંતને યુ.એસ. જવાની તક મળે છે ત્યારે એ માઈને વૃદ્ધાશ્રમમાં મૂકવાનું નક્કી કરે છે. બીજી બે દીકરીઓમાંની એક પોતે મુશ્કેલીમાં છે. બીજી મુશ્કેલીમાં મુકાવા માગતી નથી. છેવટે મોટી દીકરી મધુ (પદ્મિની કોલ્હાપુરે) માઈને પોતાને ત્યાં લઇ આવે છે. મધુના પતિ સુભાષ(રામ કપૂર)ને માઈનું આગમન પસંદ નથી, પણ ‘ઘર મારું પણ છે, અડધી ઈ.એમ.આઈ. હું પણ ભરું છું’ કહી મધુ તેને નિરુત્તર કરે છે. કિશોર વયની દીકરી ચારુને નાની સાથે રૂમ ‘શેર’ કરવાનું મન નથી. મધુ તેને પણ મનાવે છે અને માઈને લઇ આવે છે. 

હસમુખી ને પ્રેમાળ માઈને અલ્ઝાઇમરની અસર છે. દીકરીને ત્યાં આવવું પડ્યું છે એ એને ગમ્યું નથી. એનું મન દીકરાને ઝંખ્યા કરે છે. સુભાષ અને ચારુનું વર્તન ઠંડું છે. મધુ ઘર, નોકરી, પતિ-પુત્રી વચ્ચે આમ પણ વહેંચાયેલી હતી, હવે એના માથે માઈને સાચવવાનું પણ આવ્યું છે. ધમાલભર્યા દિવસોની વચ્ચે મા-દીકરી થોડી પ્રેમભીની પળોને જીવી લે છે. પણ માઈ ક્યારેક અજબ રીતે વર્તે છે. દોહિત્રીના મિત્રોને માટે પકોડા બનાવવા ઊઠે છે ત્યારે ઘરની ખોવાતી ચીજો ‘તેં લીધી છે ને?’ એવું કામવાળી બાઈને વિચિત્ર અવાજે કહે છે. બાઈ ઝઘડો કરે છે ને મધુ માઈને ઠપકો આપે છે ત્યારે માઈ કહે છે, ‘આ બાઈને હું ઓળખતી નથી. મેં ક્યારે કઈં કહ્યું?’ ક્યારેક દોહિત્રીનું નામ ભૂલી જાય છે, ક્યારેક મધરાતે ઘંટડી વગાડી શ્લોકો બોલે છે, દોહિત્રીને કહે છે કે દીવાલો પર આટલા બધા ફોટા રાખ્યા છે, પણ એકે ભગવાનનો કેમ નથી? જમાઈને તબિયતની તકલીફોની ફરિયાદ કરે છે, દીકરો અમેરિકા જવાનો છે એ સાંભળીને કહે છે, ‘આ ઉંમરે મારે નવા દેશમાં જવાનું?’ મધુ કહે છે, ‘તારે નથી જવાનું. એ એના ફેમિલી સાથે જવાનો છે.’ ત્યારે ફેમિલીમાં હું નથી એનું દર્દ માઈના આખા શરીરમાં દેખાય છે. દીકરી એ સમજે છે : ‘શાખ સે જો ટૂટા વો ફિર નહીં લૌટતા હૈ માઈ, પોંછ ભીગે નૈના મૈં ભી તો હૂં તેરી જાઈ … જિસકા તુઝકો ઇતના ગમ હૈ, વો સચ નહીં એક ભરમ હૈ, જિસકે પીછે ભાગે પગલી વો બસ હૈ પરછાઈ’  

આ પછી માઈનું ભૂલવાનું વધી જાય છે. એકલી એકલી બોલે, ભૂતકાળમાં સરી જાય, વસ્તુઓ ‘ઠેકાણે’ મૂકી પછી ભૂલી જાય. ગુમ થયેલી વસ્તુઓ એક દિવસ માઈની પેટીમાંથી નીકળે છે ત્યારે મધુ માઈને સકાયાટ્રિસ્ટ પાસે લઇ જાય છે. ડૉક્ટર કહે છે, ‘એમને અલ્ઝાઇમર છે – ચોથું સ્ટેજ. ઝડપથી પાંચમું, છઠ્ઠું સ્ટેજ આવે છે. પહેલા વરસાદમાં ભૂતકાળને યાદ કરી અગાશીમાં ભીંજાવા ચાલી ગયેલી માઈ ઘણી શોધાશોધ પછી અગાશીમાં બેહોશ મળે છે. ન્યૂમોનિયા થાય છે, બેહોશીમાં ઘણી છુપાવવા જેવી વાતો છતી થઈ જાય છે. ભાનમાં આવ્યા પછી જમાઈને દીકરો સમજી વિનવે છે, ‘દીકરીને ત્યાં રહેવું કઈં સારું લાગે? મને લઇ જા.’ જમાઈના પ્રમોશનની પાર્ટી છે એ દિવસે હાથમાં સાડી પકડી ઊભી રહી જાય છે, ‘કેવી રીતે પહેરું? યાદ નથી આવતું.’ ડૉક્ટરે કહ્યું છે, ‘આ ગાંડપણ નથી, એક રોગ છે. એનો ઈલાજ નથી, એને સમજો – પ્રેમ, સ્વીકાર આપો.’ સહેલું નથી. મધુએ પ્રમોશન તો છોડ્યું છે, હવે નોકરી પણ છોડવી પડે છે. તેના અને સુભાષના સંબંધો તંગ થાય છે: લોગ યહાં સપનોં કી ધૂપ મેં ચલતે હૈ, એક હમ હૈં જો અપનોં કી છાંવ મેં ભી જલતે હૈ, રિશ્તોં કા બોજ હૈ કહીં, કહીં રિશ્તા હી બોજ હૈ, અપનોં કી ખોજ હૈ કહીં, કહીં અપની હી ખોજ હૈ .. 

શું કરે મા? દીકરી પણ શું કરે? પતિ ખરાબ નથી, પણ તેને આ ઉપાધિ જોઈતી નથી. ચારુને પણ. માઈના મનના ખેલ દયા, કરુણા, ગુસ્સો, કરુણ હાસ્ય ઉપજાવે એવાં છે. શ્રેણીબદ્ધ ઘટનાઓ પછી સુભાષ અને ચારુ માઈને પ્રેમથી સ્વીકારે છે પરંતુ તે મૃત્યુ પામે છે. અંતિમ દૃશ્યમાં સુભાષ લખે છે, ‘મૈંને માઈકો બેટી ઔર બેટી કો માઈ બનતે દેખા હૈ.’ 

ફિલ્મમાં ડ્રામાને પુષ્કળ અવકાશ છે, પણ દિગ્દર્શકે સંયમથી કામ લીધું છે. મધુ એની બહેનને કહેતી હોય છે કે માઈને અલ્ઝાઇમર થયું છે ત્યાં બહેનનો પતિ આવે છે. બહેન પતિને સમાચાર આપે છે. એને આઘાત લાગે છે, ‘હેં? ક્યારે? ગયા અઠવાડિયે તો હું એને મળ્યો હતો!’ બહેન કહે છે, ‘તારી માઈને નહીં, મારી માઈને.’ એ રાહત પામીને હો હો કરતો હસી પડે છે ને પછી સંકોચાઈ જાય છે. એક પ્રસંગે સુભાષ પ્રશાંતને કહે છે, તારે દીકરો છે ને, બીજું બાળક પ્લાન કરી લે. બેટી હોગી તો બુઢાપે મેં કામ આયેગી.’ વાસ્તવનો સ્પર્શ આપતા આવા ઘણા પ્રસંગો છે. 

આશાજીનો અભિનય પણ એવો જ વાસ્તવિક છે. એમણે કહ્યું હતું, ‘માનો અભિનય કરવાનું મને અઘરું નથી પડ્યું. જાણે મારી, દરેક માની વાત ન હોય?’ આશાજીના જીવનની વાત કરતાં ‘સાઝ’ ફિલ્મ પણ યાદ આવે. બે બહેનોની સ્પર્ધા, એમના સ્વભાવ અને એમના જીવનના અમુક પ્રસંગો કલ્પનાના થોડા સંયોજન સાથે એમાં ખૂબ સરસ રીતે મુકાયા છે. બંને ફિલ્મ યુટ્યૂબ પર અવેલેબલ છે. ન જોઈ હોય તો જોઈ લેવા જેવી, અને જોઈ હોય તો ફરી જોઈ લેવા જેવી. 

‘માઈ’ જેવી માઓ આપણી આસપાસ ઓછી નથી. આપણાં ઘરોમાં પણ હોઈ શકે. ફિલ્મ જોઈને એકવાર આપણને આપણા સ્વાર્થો અને ગણતરીઓની બહાર નીકળી એમના સંવેદનવિશ્વમાં દાખલ થવાનું મન થાય છે, એ એની સૌથી મોટી સફળતા છે. 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 19 ઍપ્રિલ  2026

Loading

નાગરિકને મળેલા અધિકારોનો વ્યાપ ઘણો વિશાળ છે

ચંદુ મહેરિયા|Opinion - Opinion|10 June 2026

ચંદુ મહેરિયા

શેરીઓ, રસ્તાઓ અને જાહેર સ્થળોએ રખડતા કૂતરાઓના ત્રાસ અંગેના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે નાગરિકના જીવન જીવવાના અધિકારમાં તે કોઈ પણ પ્રકારના ડર વિના જીવે તેનો સમાવેશ થાય છે તેમ જણાવી, જોખમી અને હડકાયા કૂતરાઓને આશ્રયસ્થાનોમાં મૂકવા કે મારી નાંખવા આદેશ કર્યો છે. હાઈ કોર્ટસ અને સુપ્રીમ કોર્ટે નાગરિકોના અધિકારોના દાયરાને હંમેશાં વ્યાપકપણે પરિભાષિત કર્યો છે. હવે જીવન જીવવાના અધિકારમાં નિર્ભયતાથી કે ડર વિના જીવવાનો સમાવેશ કર્યો છે. નાગરિકો હડકાયા કૂતરાઓ કરડવાના ડરથી જીવે તેને જીવન જીવવાના અધિકારનો ભંગ ગણ્યો છે. 

થોડા મહિના પહેલા રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ સમક્ષ એવી ફરિયાદ દાખલ થઈ હતી કે ફરસાણ અને અન્ય ખાદ્ય ચીજો બનાવતા વેપારીઓ રાંધણ તેલનો એકાધિકવાર ઉપયોગ કરે છે. તેનાથી લોકોને કેન્સર, લિવર કે હાર્ટ સંબંધી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. જે તેમના માનવ અધિકારનો ભંગ છે. તેથી પંચે રાંધણ તેલનો વારંવાર ઉપયોગ કરતા ફૂડ વેન્ડર્સ સામે માનવ અધિકાર ભંગના પગલાં લેવા જોઈએ. નાગરિક અધિકારોનો વ્યાપ કેટલો વિશાળ હોઈ શકે છે તેના આ ઉદાહરણો છે.

હક કે અધિકાર તે નાગરિકને મળેલો વિશેષાધિકાર છે કે ન્યાયોચિત દાવો છે. અધિકાર વ્યક્તિને બંધારણ, ન્યાયિક વ્યાખ્યા અને વૈધાનિક કાનૂનો થકી પ્રાપ્ત થાય છે. અધિકારોથી નાગરિકોને આઝાદી અને સલામતી મળે છે. તેનો ભંગ અદાલતો સમક્ષ પડકરી શકાય છે.  ભારતીય નાગરિકોને ભિન્નભિન્ન અધિકારો મળેલા છે. તેમાં જન્મદત્ત કુદરતી કે નેચરલ રાઈટસ અને નૈતિક અધિકારો તો છે જ ઉપરાંત મૂળભૂત અધિકારો, બંધારણીય અધિકારો, વૈધાનિક અધિકારો અને કાનૂની અધિકારોનો સમાવેશ થાય છે. 

કુદરતી અધિકારો રાજ્યના અસ્તિત્વ પહેલા અસ્તિત્વમાં આવેલા છે. જીવન અને સ્વતંત્રતાનો અધિકાર વ્યક્તિનો જન્મદત્ત હક છે. આ હક કોઈ છીનવી શકતું નથી કે અદાલતોએ તેને લાગુ પાડેલા નથી. નાગરિકના પ્રાકૃતિક અધિકાર તેના જન્મ સાથે અવિભાજ્ય કે અભિન્ન રીતે જોડાયેલા છે. નૈતિક અધિકારો વિધિક જોગવાઈઓને બદલે નૈતિક સિદ્ધાંતો પર આધારિત હક છે. નૈતિક રીતે યોગ્ય-અયોગ્ય તે નક્કી કરે છે. 

ભારતીય બંધારણના ભાગ-૩, અનુચ્છેદ ૧૨થી ૩૫માં મૂળભૂત અધિકારોનો સમાવેશ કર્યો છે. બંધારણે નાગરિકોને છ મૂળભૂત અધિકારો આપ્યા છે : સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરુદ્ધ અધિકાર, ધર્મ સ્વાતંત્ર્યનો અધિકાર, સંસ્કૃતિ અને શિક્ષણ સંબંધી અધિકાર અને બંધારણીય ઉપચારોના રક્ષણનો અધિકાર. એ છ મૂળભૂત અધિકારો છે. અગાઉ આ અધિકારોમાં મિલકત ધારણ કરવાનો હક મૂળભૂત અધિકાર હતો. ૧૯૭૮માં ૪૪મા બંધારણ સુધારાથી તેને મૂળભૂત અધિકારોની યાદીમાંથી રદ્દ કરવામાં આવ્યો છે. 

મૂળભૂત અધિકારો નાગરિકને મળેલું એક શક્તિશાળી હથિયાર છે. મૂળભૂત હકો વિરુદ્ધ સરકાર કાયદો ઘડી શકતી નથી કે તેનું ઉલ્લંઘન થાય તેવાં પગલાં લઈ શકતી નથી. અદાલતો તેના રક્ષણ માટે હંમેશાં તત્પર હોય છે. 

સમાનતાના મૂળભૂત અધિકારમાં રાજ્ય કોઈ પણ નાગરિક પર ધર્મ, વંશ, જ્ઞાતિ, લિંગ અને જન્મસ્થાનના આધારે ભેદ કરી શકતી નથી .. જો કે સરકારી નોકરીઓ, શિક્ષણ અને અન્યમાં અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગોનું પ્રતિનિધિત્વ ઓછું હોય તો તે માટે કરવામાં આવેલી અનામત સહિતની સવલતોની જોગવાઈઓ સમાનતાના અધિકારનો ભંગ ગણાતી નથી. સંવિધાનના મૂળભૂત અધિકારોના વિભાગમાં અનુચ્છેદ ૧૭થી આભડછેટનો અંત આણવામાં આવ્યો છે. અર્થાત કોઈની પણ સાથે અસ્પૃશ્યતાનું આચરણ મૂળભૂત અધિકારનો ભંગ છે અને તે દંડનીય અપરાધ ગણાય છે.

૨૦૦૨ના ૮૬મા બંધારણ સુધારાથી ૬થી ૧૪ વરસના બાળકોને શિક્ષણનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે. (અનુછેદ-૨૧-ક) જ્યારે નાગરિકની પોલીસ કોઈ કારણસર ધરપકડ કરે તો તેને ૨૪ કલાકમાં નજીકના ન્યાયાલયના જજ સમક્ષ રજૂ કરવાની જોગવાઈ પણ મૂળભૂત અધિકારોના પ્રકરણમાં કરી છે. આંતરિક કટોકટીમાં ઘણા નાગરિકોની ધરપકડો પછી તે ગુમ થયાના સમાચારો મળ્યા ત્યારે અદાલતોએ હેબિયસ કોર્પસ હેઠળ નાગરિકને જીવતો કે મૂઓ અદાલત સમક્ષ રજૂ કરવાના આદેશો કર્યા હતા. હવે તો તે નાગરિક અધિકારના ભંગ હેઠળની કાયદાકીય  જોગવાઈ બની છે. 

બંધારણના પાર્ટ-૩ની બહારના અધિકારો કે જે કેન્દ્ર અને રાજ્ય સરકારોના કાયદાઓ દ્વારા લાગુ પડે છે તે બંધારણીય અધિકારો છે. સંપત્તિ ધારણ કરવાનો અધિકાર, મુક્ત વ્યાપાર અને કાયદાના હક વિના કર ન લગાવવાનો અધિકાર બંધારણીય અધિકારો છે. આ અધિકારોને અદાલતોમાં પડકારી શકાય છે. 

સંસદ અને રાજ્યોના વિધાનગૃહોના સામાન્ય કાયદાઓ વડે અસ્તિત્વમાં આવતા અધિકારો વૈધાનિક અધિકારો છે. મનરેગા (હવે જી રામજી) દ્વારા કામનો અધિકાર, વન અધિકાર અધિનિયમ મારફ્ત આદિવાસીઓના અધિકાર, રાષ્ટ્રીય ખાધ્ય સુરક્ષા અધિનિયમ દ્વારા અન્નનો અધિકાર વગેરે વૈધાનિક અધિકારો છે. 

ભારતમાં નાગરિકોને મળેલા વિવિધ અધિકારોનો વ્યાપ બંધારણ અને કાયદા પોથીઓ કરતાં અદાલતોની વ્યાખ્યાઓથી ઘણો વિશાળ બન્યો છે. માર્ચ-૨૦૨૬માં સુપ્રીમ કોર્ટે મહિલાઓના પીરિયડસથી જોડાયેલા આરોગ્ય અને સાફ-સફાઈના મુદ્દાને મૂળભૂત અધિકારના અનુચ્છેદ ૨૧ હેઠળ જોડીને મૂળભૂત અધિકાર માન્યો છે. શિક્ષણ સંસ્થાઓમાં કિશોરીઓ પીરિયડસ સંબંધી વ્યવસ્થાઓના અભાવે ભણવાનું છોડે તેને મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન ગણી શાળાઓમાં બાળકીઓ માટે અલગ શૌચાલયો, સ્વચ્છ પાણી, પીરિયડસ સાથે જોડાયેલી અન્ય બાબતોની ઉપલબ્ધતા અને ફેંકવા માટે સાફ-સલામત સાધનોની કમી દૂર કરવા જણાવ્યું છે. આ ખરેખર મહિલા અધિકારો માટે મહત્ત્વની બાબત છે. 

૨૦૨૫ના જૂનમાં સર્વોચ્ચ અદાલતે ડિજિટલ સેવાઓ સુધી પહોંચને પણ મૂળભૂત અધિકાર ગણાવ્યો હતો. જ્યારે દેશમાં આવશ્યક સેવાઓ, વહીવટ, શિક્ષણ અને આરોગ્ય સેવાઓ તથા આર્થિક તકો સુધીની પહોંચ ડિજિટલ સેવાઓના માધ્યમથી ઝડપથી વધી રહી છે ત્યારે પ્રત્યેક નાગરિક સુધી તેની પહોંચ હોવી અનિવાર્ય છે. ડિજિટલ વિભાજન કે ડિજિટલ કમી દૂર કરવી તે સન્માન સાથે જીવન જીવવા જરૂરી હોવાનું અદાલતે જણાવ્યું હતું. 

માનવ અસ્તિત્વ માટે જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો સંબંધ અભિન્ન છે પ્રો. સાંઈબાબાના કેસમાં સુપ્રીમ કોર્ટે પ્રાઈવસી કે ગુપ્તતાના અધિકારને જીવનનો હક ગણ્યો હતો. પ્રાઈવસીનો હક માનવ ગરિમાનું અંગ હોવાનું અદાલતના આદેશમાં કહેવાયું હતું. સ્વચ્છ પર્યાવરણનો હક, દિલ્હી અને બીજા શહેરોમાં પ્રદૂષિત હવા સામે સ્વચ્છ હવાનો હક, પીવાના ચોખ્ખાં પાણીનો હક પણ જીવન જીવવાના હકમાં સામેલ છે. એ રીતે ઘણી બાબતો જે નાગરિકના જીવન સાથે જોડાયેલી છે તેને અધિકાર ગણવામાં આવી છે. 

અધિકારોનો વ્યાપ વિશાળ છે પરંતુ તે અસીમિત નથી. ગંભીર સ્થિતિમાં અને દેશહિતમાં સરકારો નાગરિક અધિકારોને સીમિત કરી શકે છે.  

e.mail : maheriyachandu@gmail.com

 

Loading

...9101112...203040...

Search by

Opinion

  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …
  • મોહેં-જો-દડોની ‘ડાન્સિંગ ગર્લ’: 4500 વર્ષથી યથાવત્ હતી, 21મી સદીએ તેને ‘સુધારી’?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved