Opinion Magazine
Number of visits: 10080097
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અદ્દભુત-અવર્ણનીય દિલિપકુમાર અને ‘અંદાઝ’

સોનલ પરીખ|Opinion - Opinion|29 July 2026

ભારતના બહુધર્મી, બહુસાંસ્કૃતિક, બહુભાષી, ખૂબ ભણેલા બૌદ્ધિકોથી માંડી અભણ શ્રમિક એવા વિરાટ પ્રેક્ષકસમુદાયના હૃદયને જે સ્પર્શી શકે તે સુપરસ્ટાર થઈ શકે અને છેક સુધી સુપરસ્ટાર રહી શકે. દિલિપકુમાર એવા સુપરસ્ટાર હતા … 

વન એન્ડ ઓન્લી દિલિપકુમારની ચિરવિદાયને 6 જુલાઈએ પાંચ વર્ષ પૂરાં થશે. વન એન્ડ ઓન્લી શબ્દો એમના સમકાલીનો રાજ કપૂર અને દેવ આનંદ માટે વાપરવાનું પણ મન થાય. 2011માં દેવ આનંદનું મૃત્યુ થયું ત્યારે દિલીપકુમારે કહ્યું હતું, ‘હું દેવ આનંદથી એક વર્ષ અને રાજ કપૂરથી બે વર્ષ મોટો. 1940ના દાયકાની મધ્યમાં અમે અમારી કારકિર્દીની શરૂઆત કરી. રાજ સાથે તો જૂની દોસ્તી. હું અને દેવ લોકલ ટ્રેનમાં સાથે જતા, સ્ટુડિયોમાં ફરતા ને કામ શોધતા. એ દાયકાના અંત સુધીમાં ‘શહીદ’, ‘અંદાઝ’, ‘બરસાત’, ‘શબનમ’ ‘ઝિદ્દી’ ‘બાઝી’ આવી. અમે ત્રણે ઊંચકાયા, સફળ થયા, જામી ગયા. અમારી વચ્ચે સુંદર પ્રૉફેશનલ રૅપો હતો. અમે સ્પર્ધકો ખરા, પણ દોસ્ત પણ ખરા. વણબોલ્યા એથિક્સ પાળતા, એકબીજાની પ્રતિભાને આદરથી જોતા, હળતામળતા, મઝા કરતા, એકબીજાના પારિવારિક પ્રસંગે હાજરી આપતા. રાજ મારી અને દેવની નકલ કરી હસાવતો …’ રાજ કપૂરના મૃત્યુ પ્રસંગે પણ તેમણે આ પ્રકારની સ્મૃતિઓ તાજી કરી હતી. આ ત્રણેની ગેરહાજરીથી, એ ત્રણે વડે એક વાર સમૃદ્ધ હતું તે ફિલ્મવિશ્વ અને પ્રેક્ષકવિશ્વ એક પ્રકારનો ખાલીપો અનુભવે છે. 

બ્રિટિશ ઈન્ડિયાની વાયવ્ય સરહેદે આવેલા પેશાવરમાં પૃથ્વીરાજ કપૂર અને લાલા ગુલામ સરવર ખાન પાડોશીઓ હતા. પેશાવર અત્યારે પાકિસ્તાનમાં છે અને ખૈબર પખ્તુનવા પ્રદેશનું પાટનગર છે. એ પેશાવરની કપૂર હવેલીમાં સૃષ્ટિનાથ – જેને રણબીર પણ કહેતા – તેનો અને લાલા સરવર ખાનને ત્યાં યુસૂફ ખાનનો જન્મ થયો. પછી બન્ને જુદા પડ્યા ને યુવાનીમાં મુંબઈમાં ફરી મળ્યા. બન્નેને ફિલ્મોમાં કામ કરવું હતું. એક ધર્મદેવ નામનો યુવાન એ સમયની પ્રખ્યાત લાહોર કૉલેજ(લાહોર પણ અત્યારે પાકિસ્તાનમાં છે)માં અંગ્રેજી સાહિત્ય ભણ્યો હતો તે પણ સાથે થયો. 

આ રણબીર, યુસૂફ અને ધર્મદેવને આપણે રાજ કપૂર, દિલિપકુમાર અને દેવ આનંદ તરીકે ઓળખીએ છીએ. ત્રણેની જુદી જુદી પ્રતિભા, જુદી જુદી અપીલ. ગૌરવભર્યાં વ્યક્તિત્વો. આ ત્રણેએ એકસાથે કામ કદી નહોતું કર્યું. દિલિપકુમાર અને રાજ કપૂરની એક જ ફિલ્મ હતી, ‘અંદાઝ’(1949) અને દિલિપ કુમાર અને દેવ આનંદની પણ એક જ ફિલ્મ હતી, ‘ઈન્સાનિયત’(1955).  

દિલિપ કુમારના જીવન, રોમેન્ટિક સંબંધો અને સિદ્ધિઓ વિશે આજ સુધીમાં ઘણું ઘણું કહેવાઈ ગયું છે – વાત કરીએ ‘અંદાઝ’ ફિલ્મની અને ‘અંદાઝ’ ફિલ્મના દિલિપ કુમારની. એ વખતે મેલોડ્રામા અભિનયનું અંગ ગણાતો. ‘અંદાઝ’નો રાજ ક્પૂર ‘આગ’ બનાવી ચૂકેલો અને ‘બરસાત’ બનાવી રહેલો મૅચ્યૉર અભિનેતા હતો, છતાં તેના અભિનયમાં ભારોભાર કૃત્રિમતા અને મેનરિઝમ્સ દેખાય છે. તેની સામે દિલિપકુમારનો સહજ પણ ઊર્જસ્વી અભિનય ખૂબ સુંદર વિરોધાભાસ ઊભો કરે છે. દિલિપકુમારે પાંચ વર્ષ પહેલા આવેલી પોતાની પહેલી ફિલ્મ ‘જ્વાર ભાટા’માં પણ આ જ અભિનયશૈલી અપનાવી હતી. ફિલ્મ ફ્લૉપ થઈ, આત્મવિશ્વાસ ફ્લૉપ ન થયો. રોમેન્ટિક ‘અંદાઝ’ હોય, હીરોઈઝમવાળી ‘આન’ હોય, સોશ્યલ ડ્રામા ‘દાગ’ હોય, ટ્રેજેડી ‘દેવદાસ’ હોય, ક્લાસિક ‘આઝાદ’ હોય, કોમેડીની છાંટવાળી ‘ગોપી’ હોય કે ઍપિક ‘મુગલ-એ-આઝમ’ – દિલિપકુમાર અને એની સહજ-સંયમિત અભિનયશૈલી, સંવાદશૈલી છવાઈ જાય. ‘જ્વાર ભાટા’ બૉમ્બે ટૉકિઝની ફિલ્મ હતી. દિલિપકુમારને શોધવાનું, પહેલી ફિલ્મ આપવાનું અને દિલિપ નામ આપવાનું શ્રેય બૉમ્બે ટૉકિઝનાં દેવિકારાણીને જાય છે. ‘જ્વાર ભાટા’ પછી ‘જૂગનુ’ આવી. પૃથ્વીરાજ કપૂરે દિલિપકુમારના પિતાને ‘જૂગનુ’નું હૉર્ડિંગ બતાવ્યું ત્યારે એમને ખબર પડી કે દીકરો ફિલ્મોમાં કામ કરે છે! ફિલ્મ ઈન્ડસ્ટ્રીને એનો ‘ફર્સ્ટ ખાન’ મળી ગયો હતો. 

મહેબૂબ ખાન નિર્મિત-દિગ્દર્શિત ‘અંદાઝ’ અત્યંત સફળ સાબિત થઈ હતી. ‘અંદાઝ’માં શોભેલી રાજ-નરગિસની જોડી એ જ વર્ષે આવેલી ‘બરસાત’થી પૂરબહારમાં ખીલી ઊઠી. ‘અંદાઝ’ના બે ગીત ‘ઊઠાયે જા ઉનકે સીતમ’ અને ‘તોડ દિયા દિલ મેરા’માં લતાજીના કંઠ પર પુરોગામી ગાયિકાઓની અસર દેખાય છે. આ ફિલ્મે તેમને ‘બરસાત’ અપાવી. નૌશાદની કારકિર્દીમાં પણ ‘અંદાઝ’નો એક રોલ છે. આ ફિલ્મમાં દિલિપકુમાર માટે મુકેશે અને રાજ કપૂર માટે મહમ્મદ રફીએ ગાયું હતું. પછીથી બન્ને અભિનેતાઓના ‘વૉઈસ’ બદલાઈ ગયા હતા.

હિંદી ફિલ્મોનો માનીતો પ્રણયત્રિકોણનો પ્લૉટ સ્થાપિત કરવામાં ‘અંદાઝ’ મુખ્ય છે. તેની શ્રીમંત, આધુનિક નીના (નરગિસ) એ વખતના અંગ્રેજનુમા ભારતીય શ્રીમંતવર્ગનું પ્રતીક છે. અંગ્રેજી બોલતી, ઘોડેસવારી કરતી, કાપેલા વાળ અને આધુનિક વસ્ત્રોમાં ફરતી, કલબમાં પુરુષો સાથે નૃત્ય કરતી ને આયાઓ-બટલરોવાળા વિશાળ ઘરમાં ‘મૅમ’ બનીને રહેતી નીનાને દિલિપ (દિલિપકુમાર) તોફાની ઘોડાથી બચાવે છે અને પહેલી નજરે એના પ્રેમમાં પડી જાય છે. નીનાના પિતાને દિલિપ પસંદ નથી. નીનાની આધુનિક જીવનશૈલી પણ પસંદ નથી, પણ નીના એમને ગણકારતી નથી. એ પાર્ટીઓ કરતી રહે છે, દિલિપને એમાં આમંત્રણ આપતી રહે છે, અને એક દિવસ વિદેશથી આવેલા રાજન(રાજ ક્પૂર)ને પોતાના પ્રેમી અને મંગેતર તરીકે ઈન્ટ્રોડ્યુસ કરે છે. રાજન-નીનાના લગ્નની આગલી રાતે દિલિપ નીનાને કહે છે, ‘હું તને ચાહું છું.’ નીના કહે છે, ‘તું મારો સરસ મિત્ર છે’ અને પતિ રાજનને શંકા આવવી શરૂ થાય છે… 

મહેબૂબ ખાનનું ટાર્ગેટ 1940ના દાયકાનું યંગ ઑડિયન્સ હતું. એમને બતાવવું હતું કે આધુનિકતા ભૂલો કરાવે છે, પરંપરાને વળગી રહો – પણ થયું ઊંધું. એમાં દેખાડાતી, આજે પણ આધુનિક લાગે એવી આધુનિકતાએ જ પ્રેક્ષકોને ખૂબ આકર્ષ્યા. ફિલ્મમાં બતાવેલી વિજાતીય મૈત્રી ભારતના મૂલ્યોમાં બંધબેસતી નહોતી, પણ નીનાનું પાત્ર ઊંડાણ પામ્યું છે. નીના સ્પષ્ટ છે કે રાજન પ્રેમી છે અને દિલિપ મિત્ર. પણ તેનું મન પોતાની જ સાથે ક્યારેક સંઘર્ષમાં ઊતરે છે. નીનાનો સંઘર્ષ ફિલ્મને એક નવી ઊંચાઈ પર લઈ જાય છે ને ત્રિકોણ ગ્રીક ટ્રેજેડીને આંબી જાય છે. 

ફિલ્મનો અંત દિલિપની હત્યા, નીનાને મળતી જનમટીપ અને તેની રાજનને ભલામણ ‘આપણી દીકરીને તું આ આધુનિકતાથી દૂર રાખજે, એને શીખવજે કે સમાજે દોરી આપેલી રેખાને ઓળંગવી યોગ્ય નથી’ – થી આવે છે. ફિલ્મના આધુનિકપણાને અહીં ધક્કો લાગે છે, પણ મહેબૂબ ખાનને જે કહેવું છે તે કહેવાઈ જાય છે. 

‘અંદાઝ’માં દિલિપકુમાર રોમેન્ટિક-ટ્રેજિક નાયક છે. ડ્રામેટિક થવાની પૂરી તક, પણ તેઓ સંયમ ગુમાવતા નથી. ફિલ્મનું કોઈપણ એક જ ગીત જુઓ, તો પણ અભિનયના એ ઊંડાણની ને ઊંચાઈની ઝાંખી થઈ જાય. જેમ કે ‘તૂ કહે અગર જીવનભર મૈં ગીત સુનાતા જાઉં’ – કેમેરા અડધાથી વધારે સમય તો કુકુના ડાન્સ પર ફરે છે. બાકીના અડધાથી પણ અડધા સમયમાં દિલિપકુમારના ક્લૉઝ-અપ્સ આવે છે. પણ આટલા આ ક્લૉઝ-અપ્સમાં એમનો આખો ચહેરો બોલે છે. અપલક આંખોમાં ચમકતો એ ઊમળકો, આછું પણ આનંદભર્યું એ સ્મિત, વ્યક્ત થવાની અણી પર આવી ગયેલો એ અવ્યક્ત પ્રેમ – અદ્દભુત અને અવર્ણનીય હતા દિલિપકુમાર. 

અભિનેતા કાં તો ‘સ્ટાર’ હોય, અથવા ‘ઍકટર’. દિલિપકુમાર બન્ને હતા. પદ્મવિભૂષણ, દાદાસાહેબ ફાળકે, રાજ્યસભાના સભ્ય, મુંબઈના મેયર, હુલ્લડો વખતના શાંતિદૂત પણ હતા. સાતેક ભાષા જાણતા, ખૂબ વાંચતા. તેઓ પરફેક્શનમાં જેટલું માનતા એટલું જ ઓવરએક્સપૉઝરમાં ન માનતા – ચોપન વર્ષની કારકિર્દીમાં પાંસઠ ફિલ્મો જ કરી. 

ભારતના બહુધર્મી, બહુસાંસ્કૃતિક, બહુભાષી, ખૂબ ભણેલા બૌદ્ધિકોથી માંડી અભણ શ્રમિક એવા વિરાટ પ્રેક્ષકસમુદાયના હૃદયને જે સ્પર્શી શકે તે સુપરસ્ટાર થઈ શકે અને છેક સુધી સુપરસ્ટાર રહી શકે. દિલિપકુમાર એવા સુપરસ્ટાર હતા. ‘કૌન કમબખ્ત બરદાશ્ત કરને કે લિયે પીતા હૈ?’ કહેતા દેવદાસને, ‘મેરા દિલ કોઈ આપકા હિંદુસ્તાન નહીં કિ જિસપે આપ હુકૂમત કર સકે’ ગર્જતા સલીમને અને ‘ક્રાન્તિ કભી મરતે નહીં’ની ઘોષણા કરતા ક્રાન્તિવીરને ભારતનો પ્રેક્ષક કદી મરવા ન દે. 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 05 જુલાઈ 2026

Loading

ભીંત અને છતનું સત 

દેવિકા ધ્રુવ|Opinion - Opinion|29 July 2026

દેવીકા ધ્રુવ

ભીંત શબ્દ દેખીતી રીતે ‘જડ’ હોવાનો અર્થ ઊભો કરે છે. કારણ કે, ભીંત બને છે ઈંટ કે પથ્થરના એક સીધાસટ ચણતરથી. તેથી સ્વાભાવિક રીતે તેના વિશે આગળ કંઈ બીજો વિચાર આવે જ નહિ. વાત તો સાવ સાચી જ છે. પણ તે છતાં આ ભીંતની આસપાસ કેટકેટલું બનતું રહેતું હોય છે?

સૌથી પહેલાં તો એ જાણવું જરૂરી છે કે, ભીંતોની જરૂરિયાત ક્યારથી ઊભી થઈ હશે અને કેવા સંજોગોમાં થઈ હશે. એ વિશે વિચારતાં એમ લાગે છે કે, ધરતી પર માનવની હસ્તી ઊભી થઈ હશે ત્યારે જાતના રક્ષણ માટે, સલામતી માટે એને ભીંતોથી બાંધેલ કોઈ મુકામ અનિવાર્ય થઈ પડ્યો હશે. પછી જેમ necessity is a mother of invention તેમ ભીંતો પછી છત પણ બનાવવાનું સૂઝ્યું હશે.

મને લાગે છે કે, મનુષ્ય માત્રના જીવનમાં આ બંને એક અનિવાર્ય આવશ્યકતા ગણી શકાય. અલબત્ત, આદિમાનવ જંગલમાં અને પહાડો કે ગુફાઓમાં પણ જીવતો જ હતો. પણ પછી તો ધીરે ધીરે જેમ જેમ સમાજ બનતો ગયો તેમ તેમ સામાજિક, આર્થિક અને અન્ય જરૂરિયાતો મુજબ એની રચના અને ઉપયોગિતામાં પણ બદલાવો આવતા ગયા હશે એમ માની શકાય.

આ વિશેના ઇતિહાસમાં ઊંડા ન ઉતરીએ તો પણ એમ લાગે છે કે, એના પાયાની વિગતો પણ રસપ્રદ તો ખરી જ. માટી, લાકડાંથી માંડીને પથ્થર, આરસપહાણ સુધીની વિવિધતા એમાં જોવા મળે છે. એટલું જ નહિ એના ઉપરની કોતરણી કે ડીઝાઈન વગેરે પણ સૌંદર્યલક્ષી બનતી ચાલી છે. તે ઉપરાંત રાજમહેલ કે કિલ્લાઓમાં બનાવેલ ભીંતો અને છત પણ જે તે સમાજના સાંસ્કૃતિક વારસાનું પ્રતિબિંબ પાડતી દેખાય છે. બારી અને બારણાંની વાત તો આ બે પાયાની જરૂરિયાત પછી આવે. આના અનુસંધાનમાં વિચાર તો એ આવે  કે, પ્રકૃતિના કોપથી અથવા કહો કે, ઠંડી, ગરમી,વરસાદ કે વાવાઝોડાથી બચવા માટે જે માનવજાતે ભીંત અને છત દ્વારા રક્ષણ મેળવવા મકાન બનાવ્યું; તે જ માનવજાતે આજના યુગમાં ટેક્નોલોજીના વિકાસ સાથે નવા માપદંડો નક્કી કર્યા.

ભીંતથી ભાગલા વધાર્યા, ગોપનીયતાની જરૂર ઊભી કરી અને વૈભવમાં ઉમેરો કર્યો! હવે છત અને ભીંતોમાં ‘થર્મલ ઇન્સ્યુલેશન’ જોઈએ જ, ‘સાઉન્ડ પ્રૂફ’ વિના તો કેમ ચાલે? અને સુંદરતા માટે મજબૂત કાચની દીવાલોએ સ્થાન લીધું.

હકીકતે મુખ્ય વિસરાઈ જતી વાત તો એ છે કે, ભીંત એ માત્ર ઈમારતના પ્રાણરૂપ નથી પણ મનુષ્યના જીવનનો પણ પ્રાણ છે. તે માત્ર સ્થાપત્યનો જ ભાગ નથી પણ માનવીની સ્થિરતા અને સુરક્ષાનાં પણ પ્રતીક છે. કહેવાય છે કે, “ભીંતોને કાન છે અને છતને આંખો.”

આ લખતાં લખતાં એક જૂનો, લગભગ ૨૦૦૮નો સંવાદ અનાયાસે જ યાદ આવી ગયો. એક દિવસ દસ-પંદર મિનિટ માટે સાહિત્યકાર ચંદ્રકાંત શેઠને મળવાનું બન્યું હતું. તેમણે કહ્યું હતું કે “ચીલાચાલુ વિષય પર તો બહું લખાયું. કોઈ એવો વિષય પકડો કે જેના પર કશો વિચાર જ ન આવે. લખો, થૂંક પર લખો, ભીંત વિશે લખો, પથરા પર લખો.” પછી તો એ વાત સાવ વિસરાઈ ગઈ. આજે લાગે છે કે, એ વાતમાં તથ્ય હતું. કેટલાક વિષયો એવા હોય છે કે જેના પર વધુમાં વધુ વિગતો જ આપી શકાય કે ઇતિહાસમાંથી કંઈક મળી આવે તો તે આલેખી શકાય. પણ આવા જડ ગણાતા શબ્દો કે વિષયો પર  કશુંક રસપૂર્ણ શું હોઈ શકે? અને આ પ્રશ્ન સાથે એક વિચારે તણખો સળવળ્યો.

આગળ લખ્યું તેમ “ભીંતને કાન હોય છે અને છતને આંખો.” ધીરે બોલ, કહેતાં દાદીમાના શબ્દો સાંભર્યા. અર્થાત, જડ કે નિર્જીવ વસ્તુઓમાં પણ, સૂક્ષ્મ અર્થમાં પ્રાણ હોય છે! વર્ષો પછી જૂના ઘરની મુલાકાતે જતાં, ભીંત પર હાથ ફેરવવાનું મન થાય છે અને તે સાથે તો એ ભીંતો કેટલું બધું કહેવા માંડે છે જાણે! સાંભળતાં સાંભળતાં કંઈ કેટલાં ય પોપડાઓ ખરવા માંડે છે ને તરત નજર જાય છે ઉપર છત તરફ. એનાં નેવાંમાંથી કંઈ કેટલુંયે ટપકવા માંડે છે.  કવિ જયંત પાઠકની એક કવિતાની બે પંક્તિઓમાં આ ભાવ વ્યક્ત થાય છે. એ લખે છે કે,

“દીવાલોમાં દટાઈ ગયેલી દાદાની વાતો પોપડે પોપડે ઉખડે છે.” 

કવિ શૈલેશ ટેવાણીનો એક શેર ટાંકવાનું મન થાય :

દૄશ્યો તમામ હોય છે ઘરની દીવાલ પર,
સ્મરણની લીલ હોય છે ભીની દીવાલ પર.

કોઈ હિંદી શાયરે છત પર પણ લખ્યું છે કે,

छत पर गुज़रे लम्हों की यादें,
मुद्दतों बाद आज छत पर आई..

અને હા, સાહિર લુધિયાનીની પણ મર્મભરી પંક્તિઓ છે : 

बहुत गुरुर था छतको छत होने पर
एक मंझिल ऑर बनी, छत फर्श हो गई—  

પહેલાંના સમયમાં એના ઉપરથી રૂઢિપ્રયોગો પણ રચાયાં છે અને બધાં જ ખૂબ અર્થપૂર્ણ. દા.ત. કોઈના ઘરમાં મુખ્ય વ્યક્તિ મરણ પામે ત્યારે કહેવાતું કે, આ ઘરનું તો છત્ર ગયું કે ઘરની છત તૂટી પડી એમ કહેવાતું. તે સિવાય પણ કેટલીક કહેવતો :

  • છત ટપકે તો ઘરમાં પાણી ભરાય.
  • છત ન હોય તો મકાન અધૂરું લાગે.
  •  છત છાની ન રહે.

કોઈ વ્યક્તિ અવળે રસ્તે વળી જાય કે મોટી ભૂલો કરે તેને માટે આ માણસ તો ‘ભીંત ભૂલ્યો’ એમ કહેતાં. કોઈ ખોટા કામ માટે વગોવાય તો એમ કહેવાય કે આ માણસ ‘ભીંતે ચડ્યો છે.’ કેટલાક લોકો એવા પણ હોય છે કે, પોતાની પાસે હોય કશું નહિ પણ બણગા ખૂબ ફૂંકે. એવા ખોટો દંભ કે ડોળ કરનાર વ્યક્તિઓ માટે “ભીંતમાં ભડાકા ને તાવડીમાં તડાકા’ એવો શબ્દપ્રયોગ / કહેવત / રૂઢિપ્રયોગ વાપરવામાં આવે છે. તેનાથી ઊંધું એ કે કોઈ પોતાની શક્તિનો વિચાર કર્યા વગર ગજા બહારનું પગલું ભરે અને પરિણામ બરાબર ન આવે તો ‘ભીંતમાં લાત મારીએ તો પગમાં લાગે ‘ એવી પણ કહેવત છે. 

સમાપનમાં કંઈક લખું ત્યાં તો ભીંત પર જડાયેલ માની તસ્વીર દેખાઈ. એ સાથે જ નજર અનાયાસે જ છત પર ગઈ. ન જાણે એ પણ ભીંત સાથે કેટકેટલી વાતો કરતી હશે ને ભીંત અને છત સાથે એના કેટલાં સંવાદ રચાતા હશે? ખેર!

આમ, સાવ સામાન્ય લાગતાં અને જડ ગણાતાં આ બંને ઘટકો માનવજીવનમાં પ્રાણ પૂરતાં અને દરેકના જીવનમાં વણાઈ ગયેલાં જોવા મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો, ભીંત ધબકતી છે અને છત છલકતી છે. બંને વચ્ચે અવિનાભાવ છે. એટલે કે, ભીંત છે ત્યાં જ છત પણ છે જ; અને એમાં જ બંનેનું જીવન સાથે જોડાયેલ સત છે.

અસ્તુ

e.mail : ddhruva1948@yahoo.com

Loading

કરકસર કરવાથી વર્તમાન આર્થિક સંકટ દૂર થઈ શકે ખરું?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|29 July 2026

ચંદુ મહેરિયા

રશિયા-યુક્રેન અને અમેરિકા-ઈરાન-ઈઝરાયેલ યુદ્ધો અટકવાનું નામ લેતાં નથી. તેને કારણે વિશ્વ આખામાં આર્થિક સંકટ ઊભું થયું છે. પશ્ચિમ એશિયામાં જારી ધમાસાણની સીધી અસર આપણી અર્થવ્યવસ્થા પર પડી છે. ભારત તેની જરૂરિયાતનું ૮૫ ટકા ઓઈલ આયાત કરે છે. હાલમાં તે પ્રતિ બેરલ ૧૦૦ ડોલરના ભાવે મળે છે. જો પેટ્રોલ/ડીઝલ મોંઘા થાય તો પરિવહન ખર્ચ વધે છે તેને કારણે રોજ બ રોજની ચીજો, કરિયાણું, શાકભાજી, દૂધ વગેરે મોંઘા થાય છે. મોંઘવારી વધતાં લોકોને માટે જીવવું મુશ્કેલ બને છે.

હાલની આર્થિક સ્થિતિના મુકાબલા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓના સહકારની અપેક્ષા વ્યક્ત કરી છે. કોરોના, યુદ્ધો અને ઊર્જા સંકટને કારણે આપણે આફતોના દાયકામાં જીવીએ છીએ તેમ જણાવી વડા પ્રધાને લોકોને આર્થિક કરકસર કરવા અને ખોટા ખર્ચા ટાળવા અપીલ કરી છે. પ્રધા નમંત્રીએ ખાનગી વાહનોને બદલે જાહેર પરિવહનનો ઉપયોગ કરવા વિનંતી કરી છે. જેથી મોંઘા ઓઈલની આયાતમાં રાહત મળે. તેમણે કંપનીઓને શક્ય હોય તો વર્ક ફ્રોમ હોમનો વિકલ્પ વિચારવા જણાવ્યું છે. લોકોને વિદેશયાત્રાઓ ટાળવા અને કમ સે કમ એક વરસ સોનાની ખરીદી ન કરવા કે ઓછી કરવા પણ અપીલ કરી છે. ખેડૂતોને રાસાયણિલ્ક ખાતરોનો ઉપયોગ ઘટાડવા અને જૈવિક ખેતી અપનાવવા આગ્રહ કર્યો છે.

કરકસર એક સારો ગુણ છે. દરેક વ્યક્તિએ તેને અપનાવવો જોઈએ. પરંતુ આર્થિક સંકટનો ઉકેલ ખર્ચાઓ પર કાપ અને કરકસર હોઈ શકે કે કેમ અને તે કેટલી રાહત આપે તે વિશે મતમતાંતરો પ્રવર્તે છે. જ્યારે લોકો કરકસર કરે અને ખર્ચા ઘટાડે ત્યારે તેની સીધી અસર બજારની માંગ ઉપર પડે છે. જો લોકો ખરીદી જ ન કરે કે ઘટાડે તો માંગ ઘટી જાય છે અને બજારમાં પુરવઠો વધી જાય છે. એટલે ખર્ચામાં કાપની ઊંધી અસર પણ થાય છે. જો સરકારો તેના સરકારી ખર્ચાઓમાં કાપ મૂકે તો સરકારી દેવું ઓછું કરવામાં મદદ મળી શકે છે. તેના કારણે કુલ વપરાશ પણ ઘટે છે. ખર્ચાઓમાં ઘટાડાના ઉપાયથી આર્થિક ગતિવિધિઓમાં થોડીક રાહત જરૂર મળે છે, પરંતુ ઘણીવાર બજારમાં તે મંદી પણ નોતરે છે. ઓછા રોકાણ કે ઓછી નિકાસ ધરાવતી અર્થવ્યવસ્થાઓના દેશો જો  આ પ્રકારનું વલણ અપનાવે તો તે જોખમી બને છે અને તેનાં ગંભીર પરિણામો આવી શકે છે. 

ખર્ચમાં કાપની અસર રોજગારી પર પડે છે. જો લોકો સોનુ ખરીદવાનું બંધ કરે કે ઓછું કરે તો સોની બજારમાં હજારો કારીગરો બેરોજગાર થાય છે. સોનાના દાગીના બનાવનાર અને વેચનાર લાખો કારીગરોના માથે બેકારીનું સંકટ તોળાય છે. તેમના માલિકો પણ તેમને ધંધા વિના કામે ચાલુ રાખી શકતા નથી. મોંઘુ વિદેશી હુંડિયામણ બચાવવા ખાવા-પીવાની ચીજો, રાસાયણિક ખાતરો અને તેલની આયાત પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કેટલાક દેશોએ કર્યો છે. શ્રીલંકાએ ૨૦૨૧માં રાસાયણિક ખાતરોની આયાતો બંધ કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા ફરજ પાડી હતી. તેનું પરિણામ અનાજના ઓછા ઉત્પાદનરૂપે આવ્યું. દેશમાં અનાજનું ઉત્પાદન ૩૦ થી ૫૦ ટકા ઓછું થતાં લોકોને મોંઘવારી, ગરીબી અને ભૂખમરામાં સબડવાનું થયું હતું. આ સ્થિતિમાં લોકોનો સરકાર સામેનો રોષ સત્તા પરિવર્તન સુધી પહોંચ્યો હતો. 

ભારતમાં માર્ચ-૨૦૨૬માં ખાદ્યચીજો પરની મોંઘવારીનો દર ૩.૯ ટકા હતો. તે પછીના મહિને એપ્રિલ ૨૦૨૬માં તે ૪.૨ ટકા થયો હતો. જૂન ૨૦૨૬માં તે ૪.૩૮ ટકા છે. જે છેલ્લા દોઢ વરસમાં સૌથી વધુ મોંઘવારી છે. વળી આ વરસે ચોમાસુ નબળું રહેવાની શક્યતાઓ જણાવાઈ રહી છે. એટલે સરકારે અનાજનું ઉત્પાદન ઘટે અને ખાદ્યસુરક્ષા સામે જોખમ ઊભું થાય તેવાં પગલાંઓથી દૂર રહેવાની જરૂર છે. મોંઘવારીની સાથે જ બેકારી અને ગરીબી વધે છે. કાચા માલની કિંમતો વધતાં કંપનીઓનો નફો ઘટે છે. કંપનીઓ કર્મચારીઓની છટણી કરે છે તેથી બેરોજગારી વધે છે. લોકોની જરૂરિયાતો ઘટતાં ખરીદી ઘટે છે. માંગ ઘટે છે અને અંતે મંદી આવે છે. 

૧૯૯૧માં દેશમાં ગંભીર આર્થિક સંકટ ઊભું થયું હતું. ત્રણ અઠવાડિયા ચાલે તેટલો જ વિદેશી મુદ્રા ભંડાર બચ્યો હતો. એ વખતના કાઁગ્રેસી વડા પ્રધાન પી.વી. નરસિંહ રાવ અને તેમના નાણાં પ્રધાન મનમોહન સિંહે આર્થિક ઉદારીકરણનો માર્ગ અપનાવ્યો હતો. પંડિત નહેરુના જમાનાથી જે મિશ્ર અર્થંતંત્ર ભારતે અપનાવ્યું હતું. તેના બદલે બજાર અધારિત અર્થતંત્ર અપનાવવામાં આવ્યું હતું. વૈશ્વિકીકરણના આ નવા યુગથી ભારત આર્થિક સંકટમાંથી ઉગરી ગયું હતું. આર્થિક સુધારા અને લાઈસન્સ રાજને ખતમ કરવાથી વિદેશી મૂડીરોકાણને મોકળું મેદાન મળ્યું હતું. આયાત કર ઘટાડીને, સરકારી ખર્ચ પર કાપ મૂકીને અને લાઈસન્સ રાજને ખતમ કરીને મુક્ત બજાર અર્થવ્યવસ્થાથી આર્થિક સંકટમાંથી બચી શક્યા હતા. એ પછીની બીજી સરકારો અને હાલની સરકારે પણ બજાર અધારિત મુક્ત અર્થવ્યવસ્થા ચાલુ રાખી છે. તેના ફળસ્વરૂપે વિદેશી રોકાણો વધ્યાના અને ગરીબી ઘટ્યાના દાવાઓ  પણ થતા રહે છે. 

૧૯૯૧ના ભારતના અનુભવો કરતાં વિશ્વના બીજા દેશોના આર્થિક સંકટના અનુભવો જુદા જુદા છે. ૨૦૦૮ના આર્થિક સંકટ પછી લેટિન અમેરિકી દેશો લાંબા ગાળા સુધી તેમાંથી બહાર આવી શક્યા નહોતા. યુરોપિય દેશોએ ખર્ચમાં કાપનો માર્ગ અપનાવ્યો હતો અને દીર્ઘકાળની મંદી બદલામાં મેળવી હતી. શ્રીલંકા અને પાકિસ્તાને વર્તમાનમાં આયાતો પર પ્રતિબંધ મૂકીને લોકોને ભૂખમરામાં ધકેલ્યા છે અને દેશની આર્થિક હાલત બહુ જ નાજુક છે. આર્થિક સ્થિતિ નબળી હોય તેવા વિકાસશીલ દેશો પર આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ જેવી સંસ્થાઓ પણ અઘરી શરતો લાદે છે. આ બધા અનુભવો દર્શાવે છે કે યુદ્ધજનિત સ્થિતિ પછી લાંબા વિચાર કર્યા સિવાયના કોઈ પગલાં આર્થિક સ્થિતિને વધુ નબળી બનાવી શકે છે. 

બિનજરૂરી ખર્ચ પર લગામ લગાવીને, સાચી દિશાની બચતો કરીને મંદીની અસરથી બચી શકાય છે અને હાલની સ્થિતિમાંથી બહાર નીકળી શકાય છે. પરંતુ માત્ર કરકસર જ કોઈ રામબાણ ઈલાજ નથી. એક તરફ લોકોની આજીવિકા બચાવવાની છે અને ખર્ચાઓ ઘટાડવાના છે. આ બંને હાંસલ કરવા માટે આવક અને ખર્ચ વચ્ચે સખત સંતુલન સાધવું પડશે. દેવું ઓછું કરવા પર ધ્યાન આપવું પડશે. પશ્ચિમ એશિયાનું યુદ્ધ સંકટ આપણા બારણે આર્થિક સંકટના દસ્તક દઈ ચૂક્યું છે. સધ્ધર આર્થિક સ્થિતિ અને ગરીબી સામે હાંસલ કરેલી સિદ્ધિઓ ધોવાઈ ન જાય તે માટે પણ વધુ જાગ્રત રહેવાનું છે. 

 e.mail : maheriyachandu@gmail.com

Loading

...9101112...203040...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved