Opinion Magazine
Number of visits: 10080175
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બરસાત મેં ….

સોનલ પરીખ|Opinion - Opinion|30 July 2026

બરસાત મેં હમ સે મિલે મિલે તુમ સજન 

તુમ સે મિલે હમ બરસાત મેં 

 

નૈનોં સે ઝાંકી મેરી મસ્ત જવાની 

કહતી ફિરે દુનિયા સે દિલ કી કહાની 

ઉનકી જો મૈં ઉનસે કૈસી શરમ 

 

પ્રીત ને સિંગાર કિયા મૈં બની દુલ્હન 

સપનોં કી રિમઝિમ મેં નાચ ઉઠા મન 

આજ મૈં તુમ્હારી હુઈ તુમ મેરે સજન 

 

યે સમા હૈ જા રહે હો કૈસે મનાઉં 

મૈં તુમ્હારી રાહ મેં યે નૈન બિછાઉં 

જો ન આઓ તુમ તો મેરી જાન કી કસમ 

 

દેર ન કરના કહીં યે આસ ટૂટ જાયે સાંસ છૂટ જાયે 

તુમ ન આઓ દિલ કી લગીં 

મુઝકો હી જલાયે ખાક મેં મિલાયે 

આગ કી લપટો મેં પુકારે યે મેરા મન 

મિલ ન સકે હમ મિલ ન સકે હમ 

એક ગીત જે પોતાનામાં એક કહાણી છે, જે વર્ષાઋતુમાં દરેક કુદરતપ્રેમી, માનવપ્રેમી અને સંગીતપ્રેમીના દિલમાં એકાદ વાર તો ગુંજી જ જાય છે, જેને પોણી સદીનો કાટ ચડ્યો નથી એ ગીત એટલે રાજ કપૂરની ફિલ્મ ‘બરસાત’નું શીર્ષકગીત. વરસાદની વાત, રોમાન્સની વાત, રાજ-નરગિસના પ્રેમની વાત અને હા, નિમ્મીની વાત જેના વગર અધૂરી રહે એવાં આ ગીતને આજે યાદ કરીએ – આ લેખ વાચકમિત્રોના હાથમાં આવશે ત્યારે તેઓ પણ વરસાદ વિના અધૂરા નહીં રહ્યા હોય તેવી શુભેચ્છા સાથે. 

‘બરસાત મેં હમસે મિલે તુમ સજન તુમસે મિલે હમ બરસાત મેં’ આ જ નહીં, અનેક કર્ણમધુર ગીતોથી ભરપૂર ‘બરસાત’ 1949માં રિલિઝ થઈ. ત્યાર પછી ફિલ્મસર્જકોની અને પ્રેક્ષકોની બેત્રણ પેઢી બદલાઈ. ‘બરસાત’ શન્ડ જેમાં હોય તેવાં નામવાળી ઘણીબધી ફિલ્મો બની ગઈ, છતાં જેમ પહેલો પ્રેમ, જેમ પહેલો વરસાદ તેમ આ પહેલી ‘બરસાત’ કદી ભુલાઈ નથી, ઊલટું એને યાદ કરતાં અસ્તિત્વમાં એક તાજગી ફેલાઈ જાય એવી નીવડી છે. પોતાની યુવાવસ્થામાં જેમણે ‘બરસાત’ જોઈ હશે તેમણે આંગણે આજે પૌત્રોદોહિત્રો ખેલતા હશે, પણ ‘બરસાત’ની વાત નીકળતાં એમના ચહેરા કોમળ જરૂર થઈ જશે. આ અસર એમ ને એમ નથી. ‘બરસાત’ની વાર્તા, તેની માવજત, તેનું સંગીત અને તેનો રોમાન્સ એ સમયની ફિલ્મો કરતાં ઘણાં અલગ, ઘણાં આગળ હતાં. પચીસ વર્ષના રાજ કપૂરનું આ બીજું દિગ્દર્શન સાહસ હતું, કાશ્મીર ખીણમાં શુટ થયેલી આ પહેલી ફિલ્મ હતી. પોસ્ટરમાં એક હાથમાં વાયોલિન અને બીજા હાથમાં ઢળેલી નરગિસને લઈ ઊભેલો રાજ કપૂર દેખાડાયો હતો. આ દૃશ્ય પછીથી આર.કે. ફિલ્મ્સનો પ્રખ્યાત લોગો બન્યું. ‘બરસાત’ તેની રિલીઝ સમયે સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ હતી. એની કમાણીમાંથી રાજ કપૂરે ચેમ્બુરમાં આર.કે. સ્ટુડિયો બનાવ્યો. સંગીતકાર તરીકે શંકર જયકિશન માટે આ ડેબ્યૂ ફિલ્મ હતી. 10 ગીતોમાંથી ‘બરસાત મેં’ અને પતલી કમર હૈ’ શૈલેન્દ્રનાં, ‘મુઝે કિસીસે પ્યાર હો ગયા’ જલાલ મલિહાબાદીનું, ‘હવા મેં ઉડતા જાયે’ રમેશ શાસ્ત્રીનું અને ‘જીયા બેકરાર હૈ’ ‘બિછડે હુએ પરદેસી’, ‘મેરી આંખોં મેં બસ ગયા કોઈ રે’, ‘અબ મેરા કૌન સહારા’, ‘છોડ ગયે બાલમ’ અને ‘મૈં ઝિંદગી મેં હરદમ’ હસરત જયપુરીનાં હતાં. 

બે મિત્રો પ્રાણ (રાજ કપૂર) અને ગોપાલ (પ્રેમ નાથ) રજાઓ ગાળવા પહાડ પર જાય છે ત્યાં બંનેને પહાડની સુંદરીઓ રેશમ (નરગિસ) અને નીલા (નિમ્મી) મળે છે. સંવેદનશીલ પ્રાણ રેશમાને દિલથી ચાહે છે જ્યારે નફકરો ગોપાલ નીલાને થોડી વાર દિલ બહેલાવવાનું સાધન માને છે. અનેક વિઘ્નો પાર કર્યા પછી પ્રાણ અને રેશમા એક થાય છે એ જોઈને ગોપાલને સાચા પ્રેમની કિંમત સમજાય છે અને એ નીલા પાસે પાછો ફરે છે પણ તેને મળે છે નીલાની ચિતાની ધૂમ્રસેરો. ગોપાલને રેશમા સાથે જોઈ ગેરસમજ કરી બેઠેલી નીલાએ આત્મહત્યા કરી લીધી છે. 

‘બરસાત મેં’ ગીતની શરૂઆત જ એટલી શાંત અને મધુર છે કે મન આપોઆપ આસપાસના અને અંદરના કોલાહલને સંકેલી એમ મીઠા લયમાં લીન બની જાય છે. ‘નૈનો સે ઝાંકી’ અને ‘પ્રીત ને સિંગાર કિયા’થી ‘મિલ ન સકે હમ’ – નીલાની જિંદગીની આખી કહાણી એમાં છે. ગીત અને નૃત્યથી નીલા પોતાનું ઉત્કટ સમર્પણ વ્યક્ત કરે છે, પણ જેને માટે એ ગાય છે એ ગોપાલ તો પોતાના ચરણોમાં અમસ્તી અમસ્તી ન્યોચ્છાવર થઈ જતી આ પહાડી કન્યાને રમૂજથી જોયા કરે છે. પછી એક દિવસ આ જ ગોપાલ પ્રાણને રેશમા માટે તરફડતો જોઈને કહે છે, ‘મૈં સમઝતા થા મુજહે કિસીકી જરૂરત નહીં હૈ, પર અબ મેરા ભી તુમ્હારી તરહ તડપને કો જી કરતા હૈ’ પ્રેમનાથનો અભિનય ‘બરસાત’નું મોટું જમાપાસું હતો. 

એનાથી પણ મોટું જમાપાસું તે નિમ્મી. નિમ્મી મા વહીદન મહેબૂબ ખાનની પત્ની સરદાર અખ્તરની બહેન હતી. ‘અંદાઝ’નું શૂટિંગ જોવા આવતી સત્તર વર્ષની, ભલાભોળા ચહેરા અને વિસ્મયવિસ્ફારિત આંખોવાળી નવાબબાનુ, ‘બરસાત’ માટે નવો ચહેરો શોધી રહેલા રાજ કપૂરના મનમાં વસી ગઈ. પોતાની પહેલી ફિલ્મ ‘આગ’ની નાયિકાના નામ પરથી રાજ કપૂરે તેને નિમ્મી નામ આપ્યું અને ‘બરસાત’માં નાયિકાની સમકક્ષ કહેવાય એવી ભૂમિકા અને ગીતો આપ્યાં. નિમ્મીએ એ ભૂમિકાને જીવી બતાવી. સફળતાનો રાજમાર્ગ ખૂલી ગયો. દેવ આનંદ સાથે ‘સઝા’, દિલિપકુમાર સાથે ‘દીદાર’, ‘આન’, ‘અમર’ ‘ઉડનખટોલા’, અશોકકુમાર-રાજેન્દ્રકુમાર સાથે ‘મેરે મહેબૂબ’ – ફિલ્મો આવતી રહી, નરગિસ ઉપરાંત મીનાકુમારી, મધુબાલા, સાધના જેવી અભિનેત્રીઓ સાથે નિમ્મીએ આત્મવિશ્વાસથી અને સારું કામ કર્યું. કે. આસિફ તેને અને ગુરુ દત્તને લઈને ‘મુગલ-એ-આઝમ’ને ટક્કર મારે એવી ‘લવ એન્ડ ગોડ’ બનાવવા માંગતા હતા – આ બધું છતાં નિમ્મી જોઈએ એવી ઝળકી નહીં.

વર્ષો પછી આપેલ એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું, ‘મને ઘણું મળ્યું છે, પણ … હું હજી ઘણું કરી શકી હોત – ન થયું. થોડા ખોટા નિર્ણય, થોડું અનપ્રોફેશનાલિઝમ, થોડું કમનસીબ અને સરતો જતો સમય – બધું ઝડપથી પૂરું થઈ ગયું. પહેલા ગુરુ દત્ત અને પછી કે. આસિફના અવસાનથી ‘લવ એન્ડ ગોડ’ ગોટાળે ચડી ગઈ. એક ગાનારી-અભિનેત્રીની પુત્રી તરીકે નિમ્મી માટે સ્થિર સંસારનું મહત્ત્વ ઘણું હતું. આર.કે.ની ફિલ્મોના લેખક અલી રઝા સાથેનાં લગ્નથી નિમ્મીનું એ સ્વપ્ન પૂરું થયું. ત્યાર પછી તેને ફિલ્મોમાં બહુ રસ ન રહ્યો હોય એમ પણ બને. 

‘બરસાત’માં નિર્માણ, નિર્દેશન અને અભિનય કરતી વખતે રાજ કપૂરની ઉંમર હતી પચીસ વર્ષ. નરગિસ વીસ વર્ષની હતી. ‘બરસાત’થી તેમની ઓનસ્ક્રીન-ઑફસ્ક્રીન જોડી જબરજસ્ત જામી. ‘બરસાત’થી શંકર-જયકિશનની કારકિર્દીની શરૂઆત થઈ. ‘બરસાત’થી ફિલ્મજગતને નિમ્મી નામનો નવો ચહેરો મળ્યો. ‘બરસાત’માં લતા મંગેશકરે નરગિસ અને નિમ્મી બંને માટે ગાયું અને આર.કે.-લતા મંગેશકરનો નવો અનુબંધ શરૂ થયો. ‘બરસાત’ની સફળતા પછી એ આર.કે. સ્ટુડિયો શરૂ થયો જ્યાં નરગિસ-રાજકપૂરનો મેઘધનુષી રોમાન્સ ખીલ્યો અને સંકેલાયો, જ્યાં લોકહૃદય પર રાજ કરનારી અવિસ્મરણીય ફિલ્મો સર્જાઇ. ‘બરસાત’થી ફિલ્મસંગીતને નવો આયામ મળ્યો. ત્યારના પ્રચલિત ડોલ્ડ્રમ્ડ અને બ્રેકડ્રોપ્ડ ઓરકેસ્ટ્રા, જેમાં સંગીત ટુકડે ટુકડે વાગતું હોય એમ લાગે, તેનાથી જુદા પડતાં ‘બરસાત’નાં ગીતોમાં સ્વરોની સળંગસૂત્રતા – કન્ટીન્યુટી હતી, જે ખૂબ વખણાઈ અને તેનાથી એક નવા ટ્રેન્ડની શરૂઆત થઈ.

રાજ કપૂરના પિતા પૃથ્વીરાજ કપૂરે થિયેટર માટે ઘર છોડ્યું હતું, પણ પુત્ર રાજ કપૂર બેરિસ્ટર થાય તેવું ઇચ્છતા હતા. શાળા, કેડેટ કોર્પ્સ, નેવી બધે ડેલે હાથ દઈ આવ્યા બાદ રાજ કપૂરે ફિલ્મો બનાવવાની વાત કરી ત્યારે પાપાજી બોલ્યા, ‘એ તારું કામ નહીં.’ ત્યાર પછી પણ રાજ મક્કમ રહ્યા ત્યારે તેમણે પુત્રને કેદાર શર્મા પાસે કઠોર તાલીમ અપાવડાવી અને પોતાના જ જોરે આગળ વધવા પ્રેર્યો. ‘બરસાત’ની સફળતા બાદ રાજ કપૂરે પાપાજીના ચરણસ્પર્શ કરી તેમના હાથમાં કોરો ચેક મૂક્યો. પાપાજીએ રકમની જગ્યાએ ઘણાંબધાં હૃદય દોરી સજલ આંખે ચેક ખિસ્સામાં મૂક્યો. ‘બરસાત’ પછી પાપાજી દીકરામાં એક પ્રતિસ્પરધીને ગૌરવપૂર્વક જોતા થયા.

પણ ‘બરસાત’ દર્શકોના હૃદય પર રાજ કરી ગઈ તેનું સૌથી મોટું કારણ એ હતું કે તેમાં રોમાન્સનો પ્રચલિત નહીં, નવો ચહેરો હતો. આ નવા ચહેરાની અને રાજ કપૂર-નરગિસના રીલલાઈફ અને રિયલલાઈફ રોમાન્સની મસ્ત વાતો તો ગમે તેટલી કરીએ, ખૂટે તેમ નથી. 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 10 જુલાઈ 2026

Loading

વહુઘેલો

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|30 July 2026

“જો, વિશાલ, તારે અને નિશાને મારી સાથે રહેવું હશે તો હું કહું તેમ થશે. તારી વહુ એની મનમાની નહીં કરી શકે, હું કહું છું એ તો એ સાંભળતી જ નથી. તારે કાંઈ કહેવું નથી. બધી બળતરા શું! મારે એકલા જ કરવાની? તું સાંભળે છો ને, વિશાલ?” 

“શું થયું, મમ્મી? વળી આજે નિશા શું વાંકમાં આવી?”

 “અરે! આ તો રોજનું થયું તારે ક્યાં ઘરમાં કંઈ ધ્યાન દેવું છે.”

 વિશાલે, નિશા સામે જોયું, નિશાએ ગભરાયેલા મુખથી વિશાલ સામે જોયું. તેને પણ ખબર નહોતી કે મમ્મીને સવાર, સવારમાં શું વાંધો પડ્યો. વિશાલે ફરી પૂછ્યું, 

“શું થયું, મમ્મી?” 

“શું થાય, સાસુ હું છું, ને વખાણ નિશાના થાય છે.” 

“મમ્મી એ તો સારું કહેવાય ને.” 

“શું સારું કહેવાય, તું તો વહુઘેલો છો. તને તારી મમ્મીનાં વખાણ થાય એ ક્યાંથી ગમે.” 

વિશાલે, નિશાને આંખથી ઈશારો કરી કહ્યું તું ચિંતા કર મા વાતમાં કંઈ દમ નથી, હું સંભાળી લઈશ. નિશા, મધ્યમ વર્ગીય પરિવારની દીકરી હતી પણ સદ્ગુણી અને સંસ્કારી હતી, તેમ જ વિશાલના મિત્રનું જાણીતું કુટુંબ હતું. નિશા, વિશાલને ગમી ગઈ એટલે ઉમાબહેનની ઇચ્છા ન હોવા છતા ના ન પાડી શક્યા, પણ ઉમાબહેનને બહુ ગમ્યું નહોતું.

 નિશાનો કંઈ વાંક, ગુનો ન હોય તો પણ ઉમાબહેન ઘર માથે લેતાં. વિશાલ આ બધું જાણતો હતો એટલે એ નિશાને કંઈ કહેતો નહોતો. ઉમાબહેન એટલે વિશાલને વહુઘેલો કહેતાં. વિશાલ તેનો પણ કાઈ વિરોધ ન કરતો. નિશા બોલાવે, ચલાવે સારી અને વડીલોને માન સન્માન આપતી. 

સમવયસ્ક સાથે પણ તે પ્રમાણે વર્તન કરતી એટલે બધા ઉમાબહેન પાસે નિશાનાં વખાણ કરતા એ ઉમાબહેનને ગમતું નહીં, અને વિરોધ પણ નહોતા કરી શકતાં, આથી તેમનો ગુસ્સો નિશા ઉપર ઉતારતાં.

એક વખત ઉમાબહેન ખૂબ બીમાર થઈ ગયાં. પાંચ દિવસ આઈ.સી.યુ.માં રાખવા પડ્યાં. પાંચે દિવસ નિશા આઈ.સી.યુ.ની બહાર ખડે પગે હતી. વિશાલે કહ્યું પણ હતું, હું રહું છું, તું ઘરે જઈ આરામ કર. નિશાએ એમ કહીને ના કહી હતી, તમે મમ્મીને કંઈ મદદ ન કરી શકો! મમ્મી પાસે તો મારે જ રહેવું પડે.

સારું થતાં ઉમાબહેનને સ્પેશ્યલ રૂમમાં ફેરવ્યાં.

 “વિશાલ, તું તારી માસી કે તારી બહેનને બોલાવી લે, નિશાનું આ કામ નથી એ નહીં કરી શકે.”

 વિશાલે કંઈ જવાબ ન આપ્યો. વિશાલ અને નિશા પોતાનું કામ કરતાં રહ્યાં. વચ્ચે, વચ્ચે ઉમાબહેન પોતાના સ્વભાવ પ્રમાણે નિશાની અવગણના કરતાં રહ્યાં. ઘણી વખત નિશાની સેવા જોઈને ઉમાબહેનને નિશાનાં વખાણ કરવાનું મન થતું, પણ પોતાની મોટાઈ અને ઈગો એમ કરતા રોકતું, છતાં એક વખત ભૂલથી વિશાલ પાસે નિશાના વખાણ થઈ ગયા, પણ પછી ખબર પડતાં ફેરવી નાખ્યું હતું.

નિશાને સારું લાગે એવી એકપણ વાત ઉમાબહેન ન કરતાં. વિશાલ આ બધું સમજતો હતો પણ ‘મા’ છે. એનો સ્વભાવ જ એવો છે એમ કરી વાતને વિસરી જતો.

હોસ્પિટલથી ઉમાબહેનને રજા આપી. ઘરે આવ્યા તો દીકરી અને બહેન બંને હાજર હતાં. ઉમાબહેન બંને ઉપર ખૂબ ગુસ્સે થયાં, ન કહેવાના વચનો કહ્યાં. બંનેએ શાંતિથી વાતને સાંભળી એટલું જ કહ્યું, 

“તે બધું કહી લીધું. તો હવે અમારી વાતને સાંભળ, તારી પાસે નિશા જેવી સદ્દગુણી વહુ હોવા છતાં તેને નીચી દેખાડવા અને તારી મોટાઈ, ઈગો સંતોષવા તે અમને બોલાવ્યાં હતાં. અમારી પાસે સમય હોવા છતાં અમે ન આવ્યાં. તું જેને વહુઘેલો કહે છે, ને એ જ વહુઘેલાની વહુએ ખડે પગે તારી સેવા ચાકરી કરી છે.”

“તને ખબર છે એક વખત ડૉક્ટરે પણ તારી જીવવાની આશા છોડી દીધી હતી, પણ જ્યાં સુધી ડૉક્ટરે તું હવે જોખમમાંથી બહાર આવી ગઈ છો, એમ ન કહ્યું ત્યાં સુધી આ ઘેલો અને ઘેલી ત્યાંથી ખસ્યા નહોતાં. હવે કંઈ સમજાય છે, મારી બહેન, કે નિશાનાં વખાણ શુ કામ થાય છે.”

“તેં તારી મોટાઈ દેખાડવામાં તારી કિંમત ગુમાવી છે, નિશાને લીધે નહીં. તને તારી વહુને સમજતા ન આવડી. એ તો સારું હતું કે વિશાલ નિશાને સમજતો હતો નહીંતર નિશાનું શું થાત. હવે કંઈ સમજાયું હોય તો હજી સમય છે, ભૂલને સુધારી લે, મારી બહેન. અમે કાયમ તારી પાસે દોડીને નહીં આવી શકીએ.”

“વિશાલ, દીકરા મારી ભૂલ હવે મને સમજાય છે. નિશા મને માફ કરી દે.” 

“મમ્મી … તમારે..માફી” 

“ના નિશા, મમ્મી માફી માગે કે ન માગે કાઈ ફેર પડતો નથી, તે જે ઘૂંટણ, સંતાપ, નિરાશા ભોગવી છે, તેનું વળતર મમ્મીના આ બે માફીના શબ્દોથી નહીં વળી જાય, એટલું સારું હતું કે હું તને સમજી શકયો હતો અને તારી સાથે હતો.”

“મમ્મી વહુઘેલો કહેતી તો પણ માન કે હું તારી સાથે ન હોત તો તારી શું દશા થાત. આપણા સમાજમાં આવા બનાવો ઘણા ઘરોમાં બને છે, પણ ત્યાં મારી બહેન અને માસી જેવી વ્યક્તિ હશે કે કેમ એ મને ખબર નથી.”

“માસી, બહેન, તમે નિશાને સમજ્યાં અને મને સાથ આપ્યો. એટલે હું મમ્મીને નિશાનું સાચું સ્વરૂપ બતાવી શક્યો, નહીંતર મમ્મી એના ભ્રમ અને ભ્રામક સ્વરૂપમાં જ જીવતી હોત.”

“વિશાલ, દીકરા તારી વાત બરોબર છે. દરેક સંબંધની યોગ્ય મુલવણી થવી જ જોઈએ. તેને ન્યાય, માન સન્માન માટે જે જરૂરી હક્ક છે એ મળવા જોઈએ. સમય હાથમાંથી સરી ગયા પછી સમજણ આવવાથી માફી માગી ઝળેલું થિંગડું મારવું યોગ્ય નથી. એવી પરિસ્થિતિ જ ન સર્જાય એ માટે દરેકે સભાન પ્રયત્ન કરવા જોઈએ. હું તને પહેલા દાઢમાં વહુઘેલો કહેતી હતી, આજે પ્રેમથી મારી સગુણી વહુ માટે વહુઘેલો કહું છું.”

e.mail :Nkt7848@gmail.Com 

Loading

જંતરમંતરથી ડંકેકી ચોટ : “રૈયત’ નથી, ‘મરદ’ છીએ 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|30 July 2026

ગાંધીનેહરુપટેલ પછી જે.પી.-લોહિયાએ કેળવેલી ભોંય પર આજની છાત્રયુવા પેઢી હવે ગાંધી, આંબેડકર અને ભગતસિંહની હોઈ શકતી એકંદરમતીએ હુલસે છે 

પ્રકાશ ન. શાહ

આપણે ત્યાં સામાન્યપણે બાર વરસના ગાળાને તપ કહેવાનો ચાલ છે. વિદુષી કંગના રણૌતના જ્ઞાનગંભીર અવગાહન અને અવલોકન અનુસાર મોદી ભા.જ.પ.ની દિલ્હી પ્રતિષ્ઠા સાથે 2014માં આપણે સ્વતંત્ર થયા છીએ. હવે એનાં બારે વર્ષે શું અનુભવાય છે વારુ.કથિત સ્વતંત્રતાનાં ઝાંવાં અને ઝાંઝવાંને વીંધતી છાત્રયુવા શક્તિએ જંતરમંતરના જગન અને જશન સાથે નવી આશા જગવી છે. કદાચ, એ આ તપગાળાને આભારી છે. સ્વાભાવિક જ એનો મરમ ને માયનો પામવા સારુ આપણે રામ માધવથી માંડીને બી.જે.પી. આઇ.ટી. સેલના અમિત માલવીય (મધુ કિશ્વરના શબ્દોમાં પોર્ન પૅડલર), નિશિકાંત દુબે અને કંગના રણૌત સરખી પ્રતિભાઓને લાંઘીને બીજે કશેક જવું પડશે.

આ બીજે કશેક તે ક્યાં અને શું .બીજે ક્યાં વળી, ગાંધી પાસે સ્તો. એમણે થોરોને ગુજરાતીમાં ઉતાર્યો, આફ્રિકા બેઠે બેઠે, શતાધિક વર્ષ થઇ ગયાં એ વાતને. એમણે આપેલ સાર પ્રમાણે થોરો કહે છે કે પહેલાં આપણે “મરદ” છીએ, અને પછી “રૈયત”. જૂનું ગુજરાતી જરી સમુંનમું કરીને વાંચીએ તો પહેલપ્રથમ તો આપણે નાગરિક છીએ, અને પછી રૈયત એટલે કે ચૂંટાયેલ અગર બિનચુંટાયેલ સરકાર તળે સબ્જેક્ટ લોક. કમાલ તો કરી’તી મહાપંડિત રાહુલ સાંકૃત્યાયને જ્યારે એમણે  કહ્યું કે હું પ્રજાતંત્ર જેવા પ્રયોગને બદલે જનતંત્ર જેવો પ્રયોગ પસંદ કરું છું; કેમ કે આ લોકશાહી એ લોકે જનમવાની નહિ  પણ લોકે ખુદ સરકારને જણવાની શાહી છે. જંતરમંતરની સ્વાતિક્ષણે જે મોતી પાક્યું જુલાઈ ઊતરતે તે આ હતું અને છે: સોફિસ્ટ્રી, ડેમેગોગીથી માંડીને – અને હમણેના ગાળામાં તો મતાંકન અને સીમાંકનની તદબીરથી ને અન્યથા નાગરિકને ધરાર રૈયત બનાવવાનો ઉદ્યમ ચાલે છે અને એમાં કોઈ ફૅક્ટરી એકટને અવકાશ નથી. હર સુબહશામ તેરા નામ ઓર કામ તમામ એ પેલું જાથુકી હિંદુમુસ્લિમવાળું ક્યાં મૂવું, દઈ જાણે !

આ જેન ઝી બાટલી માંહેલા જીન પેઠે ક્યાંથી પ્રગટ થયો, સત્તા વિમાસે છે. ભલા ભાઈ, ઔરસ કહો કે અનૌરસ – તમારું જ સંતાન છે એ. પૌગણ્ડ ને પુખ્ત વરસો તમે તો જેમાં અફીણની કટકી હોય એવું ખાસ તરેહનું અવલેહ અગર બાલામૃત લઈને ઉછર્યા અને 1992 પછીનાં  વર્ષોમાં ને 2014થી શરૂ થયેલ ખાસંખાસ સંવત સાથે તમારાં સંતાનો સમાજમાં વયપ્રાપ્ત મુકામશોધમાં  પડ્યાં ત્યારે પેલી સોફિસ્ટ્રી અને ડેમેગોગી પાસે ન કોઈ અવેજ, ન કોઈ ઉગાર. એમની  મૂંઝવણ અને મથામણ બધી બચાડી માથાપછાડ. અને રાજ ? હવે નિરુત્તર ,પણ જોરજુલમનો પરવાનો છે, એ કંઈ ઓછું છે? એક રીતે જુઓ તો ખુલ્લા આકાશ તળે અને મા ધરતીને ખોળે જે વિસ્ફોટ ખુલ્લાણમાં આવ્યો તે.

આપણા ઘરપરિવારની ડ્રોઈંગરૂમ બેઠકોમાં અગાઉની બાલામૃત પેઢી અને નવ્ય કૉલેજિયન પેઢી વચ્ચેની મનોવૈજ્ઞાનિક તાણમાંથી – અને એમાંથી સંઘસ્થાનો પર ઉછરેલ આગલી પેઢીનાં સંતાનો પણ સર્વથા બાકાત નથી અગર આજે ઉપર ટપકે  તેમ ન જણાતું હોય  તો પણ આગળ ચાલતાં એ બાકાત રહી શકવાનાં નથી.

લાલબાલપાલ, ગાંધીનેહરુપટેલ એ ત્રિપુટીઓનું સ્થાન હવે કદાચ ગાંધી આંબેડકર ભગતસિંહે  લીધું છે. નવાઈ લાગે પણ આ સંક્રાંતિ જે.પી.-લોહિયાએ કેળવેલી ભોંયને આભારી છે. અલબત્ત આ એક વચગાળાનું અવલોકન છે, પણ થોડાં વરસ પર ગુજરાતના પાટીદાર આંદોલનમાં જે રીતે સરદારથી માંડી ખાસ તો ભગતસિંહ જેવાં નામો ઉછળ્યાં હતાં એવું ને એટલું વણવિચાર્યું  એ અલબત્ત નથી તે નથી.

સત્તા-પ્રતિષ્ઠાન રાષ્ટ્રજીવનની આ જંતરમંતર ક્ષણે કેવળ કિંકર્તવ્યમૂઢ વરતાયું છે. દમન એ કોઈ પણ હાકેમને તરત સૂઝતો રસ્તો છે. એમાં નાકામ રહી મંત્રીને પડતા મૂક્યા ત્યારે બહાદુરીપૂર્વક મકર દ્વારે ફૂલેકું ચઢાવ્યું. રાજીનામાનો પત્ર તો લગારે પશ્ચાત્તાપ વગરનું જાહેરનામું જાણે. બદલીબહાદુર પડમાં પધાર્યા એ વળી બળાત્કારીના પોંખણે પાવન. થોડાં વરસ પર જે.એન.યુ. ફતેહ કર્યા પછી માંહ્યરામાં કન્યા પેઠે મસમોટી તોપ પધરાવી હતી તે સાંભરે છે ને?

બુધવારે ઢળતી બપોરે આ લખી રહ્યો છું ત્યારે જંતરમંતરનો પરચો જોઉં છું કે બે તૃતીયાંશ બહુમતીનો દાવ પાછો પડ્યો છે … આગે આગે ગોરખ જાગે!

29 જુલાઈ 2026 
prakash.nireekshak@gmail.com

Loading

...891011...203040...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved