Opinion Magazine
Number of visits: 9842017
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અનોખી જોડી

સુરેશ જાની|Opinion - Opinion|24 April 2026

લયલા – મજનૂ , શિરીન – ફરહાદ કે સોહિની મહિવાલ અથવા એમના જેવા કોઈ અમર પ્રેમીઓની આ વાત નથી. અરે! કોઈ માનવ યુગલ કે બે જિગરજાન દોસ્તની પણ આ વાત નથી. 

સાવ અનોખી જોડી! આ જોઈ લો, એમનો અનોખો નજારો.

‘ઓવન‘ નામે હિપોપોટેમસનું એક વર્ષની ઉમરનું બચ્ચું અને ‘મઝી‘ નામે, ૧૩૦ વર્ષની ઉમરનો મહાકાય કાચબો! 

હવે માંડીને એમના અદ્દભુત લગાવની વાત કરીએ.

ઓવન એના જન્મ વખતે કેન્યાની સબાકી નદીમાં બીજા વીસેક જેટલા હિપ્પોના ટોળામાં એની માની સાથે રહેતો હતો. એ એક વર્ષનો હતો, ત્યારે સખત વરસાદના કારણે સબાકી નદીમાં ઘોડાપૂર આવ્યું અને બધા જળઘોડા એમાં તણાઈને દરિયાકિનારે પહોંચી ગયા. ત્યાં ઘણી બધી વનરાજી અને ઘાસનાં મેદાન હતાં અને એમના મૂળ વતન કરતાં ચારો બહ સહેલાઈથી મળી જતો હતો. વળી નદીના પ્રવાહની સામે તરીને મૂળ વતન જવાનું કામ બહુ મુશ્કેલ હતું. આથી આ ટોળું દરિયા કિનારે આવેલા મલિન્ડી ગામમાં જ રોકાઈ ગયું. ગામની વસ્તી માટે એ બધા શિર-દર્દ જેવા બની ગયા. એમને પાછા હાંકવાના બધા પ્રયત્નો નાકામિયાબ રહ્યા. આથી ગ્રામવાસીઓએ આ મહાકાય રંજાડને મને કમને સ્વીકારી લીધી.

૨૬ ડિસેમ્બર – ૨૦૦૪ ના દિવસે એક પ્રચંડ ત્સુનામી આ દરિયાકિનારે ખાબકી. બધા હિપ્પો એમાં તણાઈને મરણ શરણ થયા. પણ આ બચ્ચું નજીકના એક ટાપુ પર તણાઈને બચી ગયું. ગામ લોકોને ખબર પડતાં ‘ઓવન’ નામના સાહસિક નાવિકની સરદારી નીચે ગ્રામજનો એને કિનારે લાવવામાં સફળ થયા. આના કારણે જ એનું નામ પણ ‘ઓવન’ પડી ગયું! 

‘કોઈ પ્રાણી સંગ્રહાલય એને સ્વીકારી લે.’ એવા એલાન બાદ મોમ્બાસા શહેરની નજીક આવેલા ‘હોલર પાર્ક’ નામના જંગલી પ્રાણીઓનું સંવર્ધન કરતી સંસ્થાની ડિરેક્ટર ડો. પોલા કહુમ્બુએ આ બીડું ઝડપ્યું. બહુ મુશ્કેલીથી ઓવનને ટ્રકમાં ચઢાવી પાર્કમાં તબદીલ કરવામાં પોલાને સફળતા મળી.

પોતાના ટોળાથી અને ખાસ તો પોતાની માથી વિખૂટા પડવાના કારણે અને આ સ્થળાંતરમાં પડેલી હાલાકીઓના સબબે ત્રસ્ત બનેલો ઓવન ટ્ર્કમાંથી ઊતરતાં જ ભાગી જવાના પ્રયત્નોમાં દૂર ચરી રહેલા એક મહાકાય કાચબા પાસે પહોંચી ગયો. એને રંજાડનાર માણસો કરતાં કદાચ એને આ કાચબો એની મા જેવો વ્હાલો લાગ્યો હશે!

‘મઝી’ નામનો એ કાચબો આમ તો એકાકી જીવન જીવતો હતો. એને આ નવી બલા ન જ ગમે. પણ ઓવન જેનું નામ! એ તો મઝીને છોડી બીજે ક્યાં ય જવા માંગતો ન હતો. એક રાત અને મઝીએ ધીમે ધીમે ઓવનની સોબત સ્વીકારી લીધી. બસ, એ ઘડી અને આ બન્નેની અનોખી જોડી દિવસ રાત સાથે રહેવા લાગી.

ધીમે ધીમે આ અનોખી જોડીની વાત હોલર પાર્કની બહાર પહોંચી ગઈ. મોમ્બાસાના સ્થાનિક અખબારમાં એમની છબી સાથેના સમાચાર છપાતાં, બહુ થોડા વખતમાં આ ખબર વિશ્વ વ્યાપી બની ગઈ. હવે, હોલર પાર્કમાં મૂલાકાતીઓની સંખ્યા દિન પ્રતિદિન વધવા માંડી.

આ મિત્રતા આશરે બે એક વર્ષ કાયમ રહી. પછી તો પાર્કમાં રહેતા બીજા હિપ્પોના ટોળામાં ઓવન ભળી ગયો અને મઝી ફરી પાછો એની એકલવાયી જિંદગીમાં ગરકી ગયો.

પણ … ‘પ્રેમની લાગણી કેવી બળૂકી, વૈશ્વિક અને મહાન હોય છે?’ – એનું એક અનોખું આખ્યાન આ જોડીએ સુવર્ણાક્ષરે લખી દીધું.

સંદર્ભ – 

https://en.wikipedia.org/wiki/Owen_and_Mzee

https://www.youtube.com/watch?v=WrCUUsbLM7I

e.mail : surpad2017@gmail.com

Loading

લવારા, લવારા અને લવારાઓ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|24 April 2026

રવીન્દ્ર પારેખ

ભારતીય રાજકારણમાં શાસક પક્ષ અને વિપક્ષ કે વિપક્ષો સામસામે શિંગડાં ભરાવતાં જ રહે છે. શાસક પક્ષને પોતાનામાં કંઇ ફેરવિચાર કરવા જેવું લાગતું નથી ને વિપક્ષોને એમાં કશું જ સારું દેખાતું નથી ને સત્ય એ બે છેડાની વચમાં ક્યાંક હોય તો હોય. સામસામે આરોપો મૂકવાનું જ ચાલે છે ને એમાં બોલવાનું ભાન નથી રહેતું ને સામસામી ટીકાઓથી જ પેટ ભરાતું રહે છે. ભલભલા રાજકારણીઓ સામા પક્ષની ટીકાઓ કરીને નિર્વાહ કરતા હોય છે. જરા વિચારો કે પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ ન હોત, તો આજના વડા પ્રધાન પાસે કહેવાનું જ શું બચ્યું હોત ! કેટલા બધાનો વ્યવહાર આવાં તર્પણ ઉપર જ ચાલતો હોય છે. અહીં નહેરુ માટે બહુ વહી જાય છે, એવું નથી, પણ આમ મૃતકને જીવતો રાખવાથી હાંસલ શું થાય છે તે વિચારવા જેવું છે. હાલના વડા પ્રધાન નહેરુની ખોદણી કરે તો પોતાના પક્ષમાં માન પ્રતિષ્ઠા વધે છે, પણ કાઁગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, મોદીની ટીકા કરે તો તેને ચૂંટણીપંચ સો કોઝ નોટિસ આપે છે ને એક જ દિવસમાં જવાબ માંગે છે. આમ કરવાથી ખડગેનો બચાવ કરવાનો ઈરાદો નથી, પણ એકને ગોળ ને એકને ખોળ – એ નીતિ પુનર્વિચાર માંગે છે.

એ ખરું કે કાઁગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કદાચ સૌથી સિનિયર નેતા છે. તેમની પાસેથી ઠરેલપણાંની સહજ અપેક્ષા રહે. ચેન્નાઈની એક સભામાં AIADMK અને ભા.જ.પ.ના ગઠબંધનની ટીકા કરતાં ખડગેએ એવા મતલબનું કહ્યું કે વડા પ્રધાન મોદી આતંકવાદી છે. અન્નાદુરાઈનો ફોટો લગાવનાર AIADMK મોદીને ટેકો આપી જ કઈ રીતે શકે? એ તો આતંકવાદી છે. તેમની પાર્ટી ન્યાયમાં ને સમાનતામાં માનતી નથી. દેખીતું છે કે આ ટિપ્પણીથી ભા.જ.પ. છાવણીમાં ખળભળાટ મચી જાય. આ મામલે ભા.જ.પે. ચૂંટણી પંચમાં ફરિયાદ પણ નોંધાવી છે. ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથથી લઈને ભા.જ.પ.ના રાષ્ટ્રીય પ્રવક્તાઓ સુધીના નેતાઓએ આને 1.4 અબજ લોકોનું અપમાન ગણાવ્યું છે. આ પહેલાં પણ ખડગેએ મોદીની તુલના ઝેર સાથે કરી હતી. કાઁગ્રેસે આની જાહેરમાં માફી માંગવી જોઈએ. ખડગેએ ખાતર પર લીંપણ તો ઘણું કર્યું, પણ એમણે સ્વીકારવું જોઈએ કે મોદીને અજાણતાં કે જાણીને આતંકવાદી કહ્યા છે તે હકીકત છે અને એની જાહેરમાં માફી માંગવી જ જોઈએ.

આ અગાઉ થોડા દિવસ પર કાઁગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 6.4 કરોડ ગુજરાતીઓને અભણ કહીને અપમાનિત કર્યા હતા. કાઁગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે વયોવૃદ્ધ નેતા વાણી વિવેક ન દાખવે તે ઠીક નથી. તેઓ જ જો સંયમ ન રાખે તો તેમના પછીના અન્ય પક્ષોના નેતાઓ ઉદ્ધતાઈથી વર્તે તો તેને કેમ કરીને રોકીશું? આમ પણ નેતાઓની જીભને હાડકું હોતું નથી ને ખડગે પહેલાં કે પછી પણ અવિવેક. નેતાઓની લાક્ષણિકતા રહી છે. એ સ્થિતિમાં રાજકારણીઓની ઓળખ કઈ રીતે ટપોરીઓથી અલગ હશે તે વિચારવાનું રહે. અહીં કોઈ પક્ષની ટીકા થાય તેની તો ના જ નથી, પણ ખડગે કે કેજરીવાલ કે મમતા બેનર્જી કે ભા.જ.પ.ના કે અન્ય પક્ષના નેતાઓ અંગત આક્ષેપોમાં સરી પડે કે અણછાજતી ટીકા કરે, તો એવી કાદવ ઉછાળ પ્રવૃત્તિઓથી સૌએ દૂર રહેવું જોઈએ. જો કે, તેવું બહુ જોવા મળતું નથી. લવારા કરવાનું જ રાજકારણીઓને સહજ લાગે છે. તેમને બિનસંસદીય શબ્દો વિષે ખાસ ખબર નથી, અથવા તો જાણીને બોલે છે ને પછી માફી માંગી લે કે પ્રકરણ પૂરું થઇ જાય છે. ચૂંટણી વખતે આવા લવારાઓ સહજ થઇ પડે છે. મલ્લિકાર્જુન ખડગેએ ખુલાસો કર્યો કે ચૂંટણીપંચે નોટિસ ફટકારી એટલાથી વાત પૂરી થઈ જાય છે. મોટે ભાગે આ દુષિતો નિર્દોષની જેમ વળી ક્યાંક લવારા કરી લે તો પણ બહુ વાંધો આવતો નથી.

નજીકના જ ભૂતકાળમાં કેટલાક નેતાઓએ કેવા કેવા લવારાઓ કર્યા છે તે જોઈશું તો તેઓ કોઈ પણ હદે જઈ શકે છે એનો ખ્યાલ આવશે. મતદાનના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીઆ એક પ્રચાર સભામાં માઈક પર જ ગાળ બોલી ગયા ને એના વાયરલ થયેલા વીડિયોમાં ગોપાલ ઈટાલીઆ ગાળ બોલતા જણાય છે ને તે અંગે તેમને કોઈ સંકોચ પણ નથી. આમાં માફી માંગવાનો વિવેક તો નથી જ જળવાતો, બલકે, એવો બેશરમ બચાવ પણ ગોપાલ ઈટાલીઆ કરે છે કે ભાવનગરમાં આવું બોલાવું બહુ સામાન્ય છે. ત્યાં ભાઈઓ-બહેનોમાં આમ બોલાવું સહજ છે. બચાવમાં ઈટાલીઆએ ભાવનગરમાં ભાઈઓ આવું બોલે છે એટલું જ નહીં, બહેનો પણ બોલે છે એવું પણ થયેલાં વિધાનને લઈને મહિલા આયોગે ઉમેર્યું. ભાવનગરમાં એવું કઈ બહેનો બોલે છે તે તપાસનો વિષય છે. બાકી, હતું તે સુરતમાં પણ આવું બોલાય છે, એમ કહીને બધાના જેવું જ પોતે બોલ્યા છે એમ ઠસાવવાનો પ્રયત્ન પણ કર્યો. ઈટાલીઆ આપના ધારાસભ્ય છે. વિધાનસભામાં કેવી સંસદીય ભાષા બોલવી તેનો તેમને ખ્યાલ છે, છતાં માઈક પરથી ગાળ બોલ્યા, એટલું જ નહીં, આવું બધું તો ચાલે એ ટાઈપનો બચાવ પણ કર્યો જે ઘૃણાસ્પદ છે.

બિહારની પૂર્ણિયા લોકસભા બેઠકના અપક્ષ સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવે મહિલાઓ વિષે અભદ્ર ટિપ્પણી કરતાં એવો લવારો કર્યો કે આજના સમયમાં મોટા ભાગની મહિલાઓ કોઈ પુરુષ રાજનેતાના બેડમાં સમય વિતાવ્યા વિના રાજકારણમાં પ્રવેશી શકતી નથી. તેમણે એમ પણ કહ્યું કે 90 ટકા મહિલાઓ આવું જ કરે છે. આવાં ગંદા નિવેદન પછી, બિહારના મહિલા આયોગે પપ્પુ યાદવને નોટિસ ફટકારી છે. મહિલા બિલ લોકસભામાં પસાર ન થયું તે મુદ્દે વાત કરતાં યાદવે ઉમેર્યું કે મોટેભાગના પુરુષ નેતાઓ ગીધ જેવા હોય છે. મહિલાઓ અંગેની બીભત્સ ટીકાથી ભારે હોબાળો મચ્યો છે. વધારામાં ઘરેલું હિંસા કોણ કરે છે? મહિલાઓ પર નજર કોણ બગાડે છે? અમેરિકાથી લઈને ભારત સુધીનાં રાજનેતાઓ આવા જ છે, મહિલાઓનું શોષણ હવે સંસ્કૃતિ છે જેવી યાદવની ટીકાથી મહિલા આયોગે આ મામલે થયેલાં વિધાનને ધ્યાને લઈને નોટિસ ફટકારી છે અને ૩ દિવસમાં જવાબ માંગ્યો છે.

આવો જ એક કિસ્સો મોરબી ભા.જ.પ.ના પૂર્વ નેતા અવાડીઆનો અમૃતિયા અંગેનો છે. અવાડીઆને એવું છે કે તેમની ટિકિટ અમૃતિયાને લીધે કપાઈ છે. દેવા અવાડીઆએ કહ્યું કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે જેણે મારી ટિકિટ કાપી તેના આત્માને ત્રણ મહિના અને 21 દિવસમાં ભગવાન શાંતિ આપે. મેં આ માટે ઘરે અખંડ દીવો રાખ્યો છે. હું તેના ફોટાને 111 દિવસે પગે લાગવા જઈશ. રાજ્ય સરકારના મંત્રી અને મોરબી ધારાસભ્યે પણ વળતો જવાબ આપતા કહ્યું કે તાકાત હોય તો સામી છાતીએ લડો. જે દીવો સળગાવ્યો છે, તેનું ઘી હરામના પૈસામાંથી આવ્યું છે. એવું કહેવાય છે કે અમૃતિયાએ ટિકિટ કપાઈ તે મામલે માફી પણ માંગી હતી. આ પછી પણ અવાડીઆ અમૃતિયાને મૃત્યુ મળે એટલે અખંડ દીવો રાખે ને ત્રણ મહિનામાં અમૃતિયાનું મોત થાય એવી બધા રાખે એ અસહ્ય છે. ચૂંટણીમા ટિકિટ મળે તે માટે ને ન મળે તે માટે પણ જે હવાતિયાં મરાય છે તેણે ખેલદિલી જેવા શબ્દનો છેદ ઉરાડી દીધો છે. એ પણ વિચારવાનું રહે કે જીતવાથી કેટલું કંઇ મળતું હશે કે ટિકિટ ન મળવાથી હતાશ ઉમેદવાર કોઈના મોત માટે પ્રાર્થના કરવા લાચાર થાય. એ પણ છે કે લવારા કરવામાંથી કોઈ ગાંજ્યો જાય એમ નથી. લવારા પણ કેવા-કોઈનું મોત ઇચ્છે એવા. આ લવારો એટલો ખતરનાક છે કે મળેલી ટિકિટ પણ છીનવી લેવાય તો કશું ખોટું નથી. લવારાની આ અવધિ છે.

એ અત્યંત દુ:ખદ છે કે આવા લવારિયા ફાલતું નેતાઓ જીતે છે ને નવા લવારા કરવા વિધાનસભા કે સંસદમાં દાખલ પડી જાય છે. આમ થવાનું કારણ તંત્રોની ઢીલાશ જ છે. કોઈ પણ કાયદો આવા લવારિયાઓનું કંઇ બગાડી શકતો નથી, એટલે તેમની હિંમત વધે છે. આવા નેતાઓને ઉઘાડા પણ પાડી શકાતાં નથી, કારણ એ બધાં ઉઘાડાં જ છે. ખુરશી એટલી મહત્ત્વની થઇ ગઈ છે કે તેને માટે નેતાઓ કોઈ પણ પાપ કરવા તૈયાર થઈ જાય છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 ઍપ્રિલ 2026

Loading

સંબંધો

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|22 April 2026

સોનલ અને હીરાબાને આજે એક સમારંભમાં જવાનું હતું. સમારંભનું આયોજન તો માતા અને દીકરીનું સંયુક્ત હતું.

એટલે હીરાબાએ સોનલને કહ્યું,

“બેટા, સમારંભમાં તારે અને તારી માતાએ જવાનું છે. તેને બોલાવી લે.”

“ના બા, આપણે બંનેએ જવું છે. તમે જ મારી માતા અને સાસુ છો.”

હીરાબા સોનલના આગ્રહને અવગણી ના શક્યાં. ક્યાંક સોનલ નારાજ થઈ જાય તો. હીરાબાને પણ સોનલ ઉપર અપાર પ્રેમ હતો. કોઈને ખબર પણ ન પડે કે આ સાસુ-વહુ છે, કે માતા-દીકરી.

સમારંભમાં વાનગી બનાવવાની, ગીત સંગીત અને “માતા” “દીકરી”માં કોને શું ગમે છે એ માતાએ દીકરી માટે અને દીકરીએ માતા માટેની પ્રશ્નોતરીના જવાબ આપવાના હતા.

આ સ્પર્ધા  પચાસ જોડીઓ વચ્ચેની હતી. સ્પર્ધાને અંતે એકથી ત્રણ અને બાકીના પ્રોત્સાહન ઇનામો હતા.

સ્પર્ધા પૂરી થયા પછી આયોજકોએ પરિણામની જાહેરાત કરી કે પ્રથમ ઇનામ સોનલ અને હીરાબાની ટીમને મળે છે. બાકી બીજા, ત્રીજા અને બાકીના પ્રોત્સાહન ઇનામો હતા તેને જે તે સ્પર્ધકને આપવામાં આવ્યા. જે ટીમને બીજું ઇનામ મળ્યું હતું એ પણ ખુશ હતા કે સોનલ અને હીરાબા પ્રથમ ઇનામ માટે યોગ્ય હતાં.

પણ પછી શું થયું કે જેને બીજું ઇનામ મળ્યું હતું. તેઓને ખબર પડી કે સોનલ અને હીરાબા માતા-દીકરી નહીં પણ સાસુ-વહુ છે. તેમણે આયોજકોને રજૂઆત કરી કે સ્પર્ધામાં નિયમનો ભંગ થયો છે.

આયોજકોએ સોનલ અને હીરાબાને પૂછ્યું, 

સોનલે કહ્યું કે “વાત સાચી છે. હીરાબા મારાં સાસુ છે પણ મારા માટે માતાથી વિશેષ છે.”

સોનલે આયોજકોએ કહ્યું, કે “સ્પર્ધા માતા-દીકરી માટેની આયોજિત કરી હતી. પણ નિયમમાં  ક્યાં ય સગી માતા કે જનેતા એવો ઉલ્લેખ નથી. છતાં સ્પર્ધાના નિયમનો ભંગ થતો હોય તો હું મને મળેલ ઈનામ જતું કરું છું. પણ મારી એક વિનંતી છે કે મારે સ્પર્ધકોને કંઈક કહેવું છે.”

આયોજકોએ સોનલની વિનંતી માન્ય રાખી. સોનલે ઊભા થઇ અને કહ્યું ……..

“માતાઓ અને મારી બહેનો, મારે તમને કંઈ કહેવું નથી પણ મારા મનના ભાવો તમારી સાથે વહેંચવા છે. આપણને જન્મદાત્રી માતા સાથે અતૂટ સંબંધ હોવા છતાં એ સમય મર્યાદાથી બંધાયેલ છે જે આપણા લગ્ન સુધીનો હોય છે, અને પછી આપણી સાસુ, પતિની માતા સાથે સંબંધ બંધાય છે, જે એક બીજાના અંત સમય સુધીનો હોય છે. ટૂંકમાં માતા સાથેનો જે સમય છે તે કરતાં સાસુ સાથેનો સમય વધુ હોય છે. આ બાબતે તો તમે પણ મારી સાથે સહમત થશો.”

“મારી જેમ તમને પણ અનુભવ થયો હશે કે સાસુ તમને કંઈપણ કહેશે પણ બીજાને કંઈ કહેવા નહીં દે, ઢાલ બની ઊભાં રહેશે. ઘરની રસોઈની પદ્ધતિ, રહેણીકહેણી શીખવાડશે. સામાજિક સંબંધોની આટીઘૂંટી સમજાવશે અને કોઈ પણ સમયે પહેલો હોંકારો તે આપશે. માતા તો આપણાથી ક્યાં ય દૂર બેઠી હશે. તો પછી આપણે માતાનું પ્રતિબિંબ સાસુમા જોઈને તેમને માતાનો દરજ્જો કેમના આપી શકીએ?”

“મેં હીરાબાને સાસુ નહીં માતા જ માન્યાં છે અને આજે જે જીત થઈ એ તેનું જ પ્રતિબિંબ છે અને પરિણામ છે. અને મને જો હીરાબા મારા સાસુ છે, માતા નથી એટલે ઇનામ આપવામાં નિયમનો ભંગ થતો હોય તો એ ઇનામ મારે નથી જોઈતું.”

“મને એ નથી સમજાતું કે જો અમે માતા-દીકરી હોત તો ઇનામના હક્કદાર, અને જ્યારે ખબર પડી કે અમારા સંબંધો સાસુ-વહુના છે, તો તે ઇનામના હક્કદાર નહીં. સ્પર્ધામાં ભાગ તો સોનલ અને હીરાબાએ લીધો હતો છતાં હું નિર્ણય તમારી ઉપર છોડું છું.”

સોનલની વાત સાંભળી આયોજકો સાથે બધા જ  સ્તબ્ધ હતા. વાત સાચી હતી. વિચારવા લાયક હતી. આ એક સોનલની નહીં પણ હાજર રહેલી દરેક વ્યક્તિને સ્પર્શતી વાત હતી. આયોજકોએ બધાનો નિર્ણય પૂછ્યો. અને નિર્ણય સોનલ અને હીરાબાની તરફેણમાં આવ્યો.

આયોજનના મુખ્ય વ્યવસ્થાપકે કહ્યું, “આજે સોનલ અને હીરાબાની સાસુ-વહુની જોડીએ  આપસી સંબંધોને જુદી રીતે પરિભાષીત કર્યા છે. વિચાર માટે નવી દિશા આપી છે અને તેમના પ્રત્યક્ષ દાખલાથી એ પુરવાર કરી દીધું કે સંબંધોને કોઈ સીમાડા નથી કે એ અશક્ય નથી.

સૌએ તાળીઓના ગગડાટથી વાતાવરણને હળવું ફૂલ બનાવી દીધું, અને આયોજકોએ જાહેર કર્યું કે હવે પછીની સ્પર્ધા સાસુ-વહુની જોડીની યોજવામાં આવશે.

(ભાવનગર)
e.mail : Nkt7848@gmail.com

Loading

...891011...203040...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved