એક સમયે અપરાધભાવ વહેંચાયેલો હતો. હવે તેનું ખાનગીકરણ થઈ ગયું છે. અને છતાં પણ, અહીંથી આ આખી વાત ખરેખર અગત્યની બને છે કારણ કે નોલનના ઓડિસ્યૂસને પણ હોમરના ઓડિસ્યૂસને જે મળ્યું હતું એ બધું જ મળે છે.

ક્રિસ્ટોફર નોલન
ક્રિસ્ટોફર નોલનની ફિલ્મ ‘ધી ઑડિસી’ હજી સુધી સતત ચર્ચામાં છે. તેના પાત્રો, તેના અભિનેતાઓ, તેમાં કહેવાયેલી વાર્તામાં હોમરનાં મૂળ મહાકાવ્યથી શું ફેર છે તેની ચર્ચાઓ અટકી નથી રહી. એમાં ય પાછા આ ફિલ્મના મેકર્સ અને અભિનેતાઓ ભારતના મહેમાન બન્યાં એમાં આપણો ઉત્સાહ ચાર ગણો વધી ગયો છે. આપણા રાજકારણમાં પણ ઘણું બધું ચાલી રહ્યું છે પણ થયું કે જરા ડાયવર્ટ થઇને મોડાં તો મોડાં આ ફિલ્મની વાત કરવી તો જોઇએ જ.
હોમરનું મહાકાવ્ય આઠમી સદી ઈસ્વીસન પૂર્વ એટલે કે લગભગ 725થી 675 દરમિયાન રચાયું હતું. ત્યારે તે પણ કોઈ પુસ્તક તરીકે નહીં પણ મૌખિક પરંપરા તરીકે પ્રસારિત થયું હતું અને બાદમાં તેને લિપિબદ્ધ કરાયું હતું. ઇથાકાના રાજા ઑડિસિયસની આ વાત છે જેમાં તે ટ્રોજન વૉર પછી ઘરે પહોંચવા માગે છે અને તેમાં તે દસ વર્ષ ભટકતો રહે છે. હોમરિક મહાકાવ્યો શાસ્ત્રીય યુગ દરમિયાન ગ્રીક વિશ્વના શૈક્ષણિક પાયાનો ભાગ હતા અને પેનહેલેનિક સાંસ્કૃતિક ઓળખને આકાર આપવામાં મદદરૂપ થયા હતા. મોટા ભાગના લોકોએ ફિલ્મ જોઈ હશે અને જેમણે નહીં જોઈ હોય તે મોડા મોડા તો પણ જોશે ખરાં.
હોમરના મહાકાવ્યમાં ઓડિસ્યૂસ ઘરે પાછો ફરીને પોતાના મહેલમાં 108 પુરુષોનો વધ કરે છે, આ એવા પુરુષો હતા જે ઓડિસ્યૂસની પત્ની સાથે પરણવા માગતા હતા જેથી તેઓ ઇથાકા પર રાજ કરી શકે. મહાકાવ્યમાં ઓડિસ્યૂસનું આ પુરુષોને મારવું ન્યાયી ગણાયું છે. ક્રિસ્ટોફર નોલનનો ઓડિસ્યૂસ ઘરે પાછો ફરીને એક પાર્ટિશનની પેલે પાર બેઠેલી પોતાની પત્ની સમક્ષ પોતે કરેલી હિંસા, ક્રૂરતા વગેરેની કબૂલાત કરે છે. તે તેને પોતાનો ચહેરો તરત નથી બતાડતો. અમુક સમીક્ષકોએ આ દૃષ્યને ચર્ચના કન્ફેશન બૉક્સના માહોલ સાથે સરખાવ્યું છે.
26 સદીનું અંતર છે, મૂળ મહાકાવ્ય અને આ ફિલ્મ બની તેમાં અને આ અંતરે જે ઈશ્વરને રિઝવવાનો છે તેનો ચહેરો બદલી નાખ્યો છે. નોલનની ધ ઓડિસીમાં ઇથાકાના રાજા તરીકે મેટ ડેમન, પેનેલોપીના પાત્રમાં એન હેથવે અને ટેલેમૅકસ તરીકે ટૉમ હોલૅન્ડ છે. સંપૂર્ણપણે 70mm IMAX પર શૂટ થયેલી આ ફિલ્મ 17 જુલાઈએ લંડન, મુંબઈ અને ન્યૂ યૉર્કમાં યોજાયેલા પ્રીમિયર બાદ રિલીઝ થઈ. તેના મોટા ભાગના વિવેચકો ફિલ્મને હોમરથી સભાનપણે જુદો પડતો એક પ્રયાસ માની રહ્યા છેઃ આ ઓડિસ્યૂસ ચતુર નથી, વિજયી નથી અને ખાસ વીર પણ નથી. તે અપરાધભાવથી પીડાય છે. બરાબર એવી જ લાગણી જે આપણા ચક્રવર્તી રાજા અશોકને કલિંગના યુદ્ધ પછી અનુભવાઇ હતી.
એક સમીક્ષકે લખ્યું કે આ ઓડિસ્યૂસ હોમરે મૂળ મહાકાવ્યમાં જેવો આલેખ્યો હતો હતો એવો ‘અનેક લેયર્સ ધરાવતો માણસ’ નથી; તેનામાં એક જ લાગણી છે અને તે છે, ગિલ્ટ, અપરાધભાવ. બીજા વિવેચકે નોંધ્યું કે તેને ઇથાકા કે પેનેલોપીની ઝંખના કરતાં પણ વધુ ગહેરો છે તેનો પશ્ચાત્તાપ અને તે જ તેને પોતાના ઘરે પાછો ધકેલે છે. ત્રીજા સમીક્ષકે એથીયે વધુ ધારદાર વાત કહી: આ વાર્તામાંથી દેવતાઓ લગભગ અદૃશ્ય થઈ ગયા છે. એથેના દેખાય છે, પણ પોતાની સ્વતંત્ર ઇચ્છા ધરાવતી દેવી કરતાં ઓડિસ્યૂસના અંતરાત્માના ભ્રમ જેવી વધુ લાગે છે. પોસાઇડનના ક્રોધનો માંડ સંકેત મળે છે. ઝિયૂસ માત્ર ગર્જના બનીને રહી જાય છે પણ એથી વધુ કશું નહીં.
અપેક્ષા પ્રમાણે આ બાબતને પણ કલ્ચર વૉરનો મુદ્દો બનાવી દેવામાં આવ્યો છે. પશ્ચિમી સાહિત્યના સૌથી પ્રાચીન મહાકાવ્યને હૉલીવુડે ‘વોક’ બનાવી દીધું છે? તેના દેવતાઓ અને ગૌરવને હટાવીને થેરાપીની ભાષા સમજતા આધુનિક પ્રેક્ષકોને અનુકૂળ, વધુ લાગણીશીલ એવો કોમળ હીરો સર્જી નાખ્યો છે? પણ તો શું થઇ ગયું કારણ કે સર્જનાત્મક સ્વતંત્રતા ક્રિસ્ટોફર નોલન નહીં લે તો કોણ લેશે?
આમ પણ મને લાગે છે કે, આ દલીલ મુદ્દાની બહાર છે અને કંટાળાજનક પણ. નોલેને જે મજાનું કામ કર્યું છે તે એ છે કે એણે કહેલી કથામાં ઓડિસ્યૂસને ન્યાય આપનાર અદાલત જ બદલાઈ ગઈ છે. હોમરની કથામાં ઓડિસ્યૂસને દૈવી શક્તિ દ્વારા સજા મળે છે. પોસાઇડન તેનો પીછો એટલા માટે કરે છે કે તેણે તેના પુત્ર પૉલિફીમસને અંધ કર્યો હતો, અને ખાસ તો એટલા માટે કે ત્યાંથી બચી ગયા બાદ ઓડિસ્યૂસે અભિમાનમાં પોતાનું નામ પણ જાહેર કરી દીધું હતું. ટ્રૉયથી પાછા ફરતાં દરિયામાં ભટકવામાં ગયેલાં તેનાં દસ વર્ષ આ દૈવી ક્રોધની સજા બને છે.
આ પ્રવાસ દરમિયાન તે જે હિંસા કરે છે અને ઘરે પહોંચીને જે સંહારનું નેતૃત્વ કરે છે, એને પણ એ જ બ્રહ્માંડીય વ્યવસ્થામાં માન્યતા મળે છે. જ્યારે દેવતાઓ ક્રોધિત હોય ત્યારે તેમના ક્રોધનાં પરિણામ માટે કોઈ મનુષ્યને સંપૂર્ણપણે જવાબદાર કેવી રીતે ગણવો? પ્રાચીન કથામાં અપરાધભાવનું વજન આખી દેવસૃષ્ટિ વચ્ચે વહેંચાઈ શકે છે, એવી દેવસૃષ્ટિ, જે મનુષ્યે કરેલાં કર્મોનો કેટલોક ભાર પોતાના ખભા પર લઈ શકે.
નોલન એ આખી દેવસૃષ્ટિને હટાવી દે છે અને દેવતાઓ અત્યાર સુધી જે બધું ઉપાડતા આવ્યા હતા એ બધાની વચ્ચે એક માણસને એકલો ઊભો રાખે છે. આ પરિવર્તનથી વાર્તાનું કદ નથી ઘટતું, તેની આભા નથી ઘટતી પણ તે વધુ ક્રૂર અને કઠોર બને છે. એક માણસને વીસ વર્ષનાં યુદ્ધ, ભટકાટ અને મૃત્યુનું વજન ઉપાડવું પડે છે. પોતાના ઘરમાં માર્યા ગયેલા પુરુષોનો ભાર પણ તેણે જ સહન કરવાનો છે. હવે તે કોઈ દેવતાને આ માટે જવાબદાર ઠેરવી શકે તેમ નથી.
એક સમયે અપરાધભાવ વહેંચાયેલો હતો. હવે તેનું ખાનગીકરણ થઈ ગયું છે. અને છતાં પણ, અહીંથી આ આખી વાત ખરેખર અગત્યની બને છે કારણ કે નોલનના ઓડિસ્યૂસને પણ હોમરના ઓડિસ્યૂસને જે મળ્યું હતું એ બધું જ મળે છે. રાજગાદી, તેની પત્ની, તેનો દીકરો અને ફરી સ્થાપિત થયેલું સામ્રાજ્ય.
ફરક માત્ર એટલો છે કે આ બધું મેળવતાં પહેલાં તેને ખૂબ પસ્તાવો થાય છે, GenZની ભાષામાં એને બૅડ ટ્રિપ મળી રહી છે. જાણે તેને દોષમુક્તિ મળી રહી હોય એવી રીતે લખાયેલા દૃશ્યમાં તે પશ્ચાત્તાપ વ્યક્ત કરે છે અને ત્યાર પછી અંત તેને એ જ પુરસ્કાર આપી દે છે જે તેને યુદ્ધનો ગર્વ કર્યા પછી પણ મળવાનો જ હતો.
આથી કોઈ પણ પ્રાચીન કે આધુનિક રિડેમ્પશન આર્ક વિશે પૂછવા જેવો એકમાત્ર પ્રશ્ન ઊભો થાય છેઃ જો પશ્ચાત્તાપની કિંમત ચૂકવવા માટે કોઈ શક્તિશાળી પુરુષને પોતાનું સિંહાસન કે પોતાની હિંસાથી મળેલું કશું જ ન ગુમાવવું પડે, તો શું એને ખરેખર જવાબદારી સ્વીકારવી કહેવાય? કે પછી એ શક્તિશાળી પુરુષોને મળેલો સૌથી જૂનો વિશેષાધિકાર છે જેમાં તેને પોતાનાં કર્મોનાં ફળ પોતાની પાસે જ રાખવા મળે છે, માત્ર એ શરતે કે એ ફળ મેળવતાં પહેલાં તેમણે પોતાની પીડા અને અફસોસ વ્યક્ત કરવાં પડે?
બન્ને અર્થઘટનોને સામસામે મૂકીએ તો બન્ને માટે કોઈક કિંમત ચૂકવવી પડે છે જે પ્રેક્ષકોને નોલનનો ઓડિસ્યૂસ હોમરના ઓડિસ્યૂસ કરતાં વધુ પ્રામાણિક લાગે છે તેમણે એ સમજાવવું પડશે કે સજાનું સ્થાન માત્ર અપરાધભાવે લઈ લીધું, ત્યારે જ આ પાત્ર વધુ પ્રામાણિક કેમ લાગ્યું.
અને જે પરંપરાવાદીઓને આ ઓડિસ્યૂસ નબળો કે વામણો લાગે છે તેમણે તો પહેલાંથી જ લખી રાખ્યું છે કે નોલને આ વાર્તામાંથી દેવતાઓ અને ભવ્યતા છીનવી લીધાં છે. હવે તેમણે એ સમજાવવું પડશે કે ક્રોધિત સમુદ્રદેવ પર દોષ મૂકીને મનુષ્યને જવાબદારીમાંથી મુક્ત કરી દેતી બ્રહ્માંડીય વ્યવસ્થા વધુ સત્યનિષ્ઠ કઈ રીતે હતી? હોમરના મહાકાવ્યના અંતમાં તલવાર છે. નોલનના અંતમાં એક એવો પડદો છે, જેની આરપાર સ્પષ્ટ જોઈ શકાતું નથી. પરંતુ સાચો હિસાબ આ બન્નેમાંથી એકેય જગ્યાએ થતો નથી.
ભારતીય પ્રેક્ષકોએ આ ફિલ્મ જોતાં એક બીજી સમાનતા પણ નોંધી છે જેને ઓડિસ્યૂસના અપરાધભાવ સાથે કોઈ સંબંધ નથી. કથાના અંત તરફ ઓડિસ્યૂસ પોતાની ઓળખ સાબિત કરવા માટે એવાં ધનુષ્યની પણછ ચડાવે છે, જેને મહેલમાં હાજર બીજો કોઈ પુરુષ વાળી પણ શકતો નથી. બીજા એક મહાકાવ્ય સાથે મોટા થયેલા દરેક ભારતીય પ્રેક્ષકે આ દૃશ્ય તરત ઓળખી લીધું છેઃ એક એવો હીરો, જેની ઓળખ અને પત્ની પરનો તેનો અધિકાર એવા શસ્ત્ર દ્વારા સાબિત થાય છે, જેને માત્ર તે જ હેન્ડલ કરી શકે તેમ છે.
રામ પણ એવા ધનુષ્યને ઉઠાવીને, અને તોડીને, સીતાનો હાથ જીતે છે, જેને બીજો કોઈ મુરતિયો ઊંચકી પણ શકતો નથી. શિવજીનું પિનાક ધનુષ હતું જે રામે સીતાના સ્વયંવરનાં તોડ્યું હતું. આ ચોક્કસ દૃશ્ય એક મહાકાવ્યની પરંપરામાંથી બીજી પરંપરામાં પહોંચ્યું હોય એવા કોઈ સ્થાપિત પુરાવા નથી. એથી આ સમાનતા ઓછી નહીં, વધુ રસપ્રદ બને છે.
એકબીજાથી હજારો માઇલ દૂર રહેલી બે સંસ્કૃતિઓએ સ્વતંત્રપણે નક્કી કર્યું કે કોઈ રાજા હજી પણ પોતાના સિંહાસનને લાયક છે કે નહીં એનો પુરાવો તેના મ્હોંથી કરાયેલી કબૂલાત નહીં, પરંતુ તેના હાથમાં રહેલું શસ્ત્ર આપશે. નોલને પોતાના હીરોને કબૂલાત આપી પણ ધનુષ્ય તેણે યથાવત્ રાખ્યું.
બાય ધ વે:
આ અઠવાડિયે કોઈ IMAX થિયેટરમાં બેઠેલા પ્રેક્ષકોએ એક યુદ્ધવીરને ફરીથી હત્યા કરતાં પહેલાં રડતો જોયો અને બહાર નીકળીને અનુભવ્યું કે આખરે તેમણે આ પાત્રનું પ્રામાણિક સ્વરૂપ જોયું. હોમરના પ્રેક્ષકોએ એ જ માણસને પહેલાં હત્યા કરતો અને પછી ક્યારે ય ન રડતો જોયો હતો. તેમને પણ એ જ સ્વરૂપ પ્રામાણિક લાગ્યું હતું. બન્ને યુગના પ્રેક્ષકોને તેઓ જે અંત જોવા આવ્યા હતા એ જ મળ્યો. ત્રણ હજાર વર્ષમાં ‘સારો પુરુષ’ કોને કહેવો એની વ્યાખ્યાને ખરેખર કેટલું ઓછું બદલાવું પડ્યું છે એનો અર્થ તમારી રીતે કાઢી શકો છો. ફરક માત્ર એટલો છે કે હવે ખરાબ અનુભવવાની તેની અભિનયક્ષમતાને વધુ સારી પ્રોડક્શન વેલ્યુ મળી ગઈ છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 ઑગસ્ટ 2026
![]()




