તા. 4-4-1947
દિલ્હી
4 થી 7 વચ્ચેનો ગાળો અહીં ખૂબ જ રળિયામણો લાગે છે. અનેક લોકો પ્રાર્થના માટે આવે અને જાય. અનેક નવા નવા માણસોને મળવાનું થાય છે. અને જેમ કોઈક તહેવારના પ્રસંગોએ આપણા ગામમાં અમુક જગ્યાએ મેળા ભરાય, તેવું વાતાવરણ અહીં થઈ જાય છે. બાપુજી તો વાઈસરોય સાહેબ પાસે ગયા હોય એટલે ભાવુક લોકો બિચારા એમના બેઠકના ઓરડાને જોઈને પાવન થાય છે. એટલુ જ નહીં પણ મારા જેવું કોઈક ત્યાં દરવાજે ઊભું હોય તો એમ પણ ઇચ્છે કે, ગાદીતકિયાને અડી પ્રણામ કરી ચાલ્યા જાય. પણ એવી રજા આપવામાં જોખમ રહે છે. કારણ કે બાપુજીની બેઠકની આસપાસ અનેક ઉપયોગી કાગળો અને અનેક જાતનું બીજું સાહિત્ય પડેલું હોય છે. લોકોને ના પાડતાં મન પણ દુભાય છે. ઘડીભર એમ પણ થાય છે કે, જેઓને ચોવીસ કલાકનો સતત સમાગમ બાપુજીનો મળે છે તેઓને હસવું આવે કે ગાદીતકિયાને અડીને શું ચાળા કરતા હશે? પણ “ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે?” એના જેવી હાલત મારા જેવીની છે.
બાપુ સાથે મનુબહેન
હમણાં જ થોડી વાર પહેલાં પંજાબની બે ઘરડી બહેનો અને બાળકો આવ્યાં. આ બાળકોમાં એકનો એક પૌત્ર અને પૌત્રી હતાં. દીકરા વહુનો પત્તો નથી. હુલ્લડ થયું અને આ બે ડોસીઓ ભાગી. બે ડોસીઓમાં પણ એક હિંદુ પંજાબણ છે, અને એક મુસલમાન છે. વર્ષોનાં પડોશીઓ હતાં માઉન્ટગોમરીમાં (ગુજરાનવાલા જિલ્લાના). એ કહેતા હતાં કે, “જ્યારથી અમે પરણ્યાં છીએ ત્યારથી અમે સાથે જ છીએ.”
એ બંને ડોસીઓના સસરાઓને સગા ભાઈઓ જેવો વ્યવહાર હતો એટલે ડોશીઓએ દેરાણી જેઠાણીનું સગપણું બાંધેલું, ૫ણ વ્યવહારમાં સગી બહેનો જેવી છે. આ બંને ડોશીઓના પતિ ઘણા ઘણા વખતથી ગુજરી ગયા. પેલી મુસલમાન ડોશીને તો કંઈ જ બાળક ન હતું. આ હિંદુ ડોશીને એક જ દીકરો, અને તેની એક દીકરીને દીકરો; એમ બે બાળકો. આ લોકો નિરાશ્રિત કેમ્પમાંથી બાપુજીના દર્શને આવ્યાં. કોઈકે એમને કહ્યું કે, હું મહાત્માજીની પૌત્રી છું અને એમની સેવામાં છું. ‘દેવ કરતા પૂજારીનું માતમ વધે’ એ કહેવત મુજબ બિચારી બંને ડોશીમાએ મને પ્રેમથી ચાંપી અને બધી વાત કરી. પેલી મુસલમાન ડોશી હિંદુના કેમ્પમાં જ રહે છે. પોતાનાં ઘરબાર છોડ્યાં, દીકરા-વહુનો પત્તો નહીં. આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યો હતો. હીબકાં ભરતાં પોતાની દુઃખી કહાણી સંભળાવી અને કહ્યું કે, કોઈક પાપ આડું આવ્યું કે જેથી અમારી ઉપર આ આપત્તિ પડી. હવે બસ બાપુજીના દર્શન કરી પાવન થવું છે, બીજી કોઈ ઇચ્છા નથી.
હું તો આ વાત સાંભળી ચકિત થઈ ગઈ. વાહ બાપુના ભક્તો!! મેં કહ્યું, ‘માજી ! બાપુજી પ્રાર્થનામાં આવશે ત્યારે તમે જોઈ શકશો.’
માજી – ‘એમ નહીં, બેટા!! અમારે તેમના ચરણસ્પર્શ કરવા છે અને મારી આ દીકરી તથા દીકરા પર હાથ ફેરવે એટલે એમનો બેડો પાર. પણ ગાંધીજી ક્યાં બિરાજે છે?’
મેં પડદો ઉઘાડીને કહ્યું, ‘સામો ગાદી તકિયો છે ને, ત્યાં બેસે છે. ‘
‘એમ નહીં; અમને ત્યાં જવા દે અને ત્યાં પગે લાગી આવીશું. ‘
મેં કહ્યું “માજી, તમને જવા દઉં તો મારાથી બીજા કોને ના પડાય ??’
એટલું કહ્યું અને બંને ડોશીમાની આંખો વળી ભરાઈ ગઈ. મારાથી આ દશ્ય ન જોવાયું એટલે અંદર જવા દીધાં. એટલી બધી ભક્તિ કે ખોળો પાથરીને પ્રણામ કરી પાવનતા અનુભવી તુરત જ તે લોકો બહાર નીકળ્યાં; અને મને અનેક આશીર્વાદ આપ્યા અને પ્રેમથી નવડાવી. મેં કહ્યું, “માજી, મેં તો કશું જ કર્યું નથી.” પણ જટાયુને જ્યારે રાવણે માર્યો ત્યારે પ્રભુનાં દર્શન માટે જ એ રામનામને જપતો જપતો પડ્યો. ભગવાન સીતાજીની શોધ માટે ત્યાં આગળથી નીકળ્યા અને જેમ જટાયુના મનની વેદના ટળી ગઈ, તેમ આ બંને ભક્ત ડોશીઓ ગાદીને પ્રણામ કરીને આનંદિત થઈ ગઈ.
બાપુજી વાઈસરોય હાઉસથી પાછા ફર્યા. અડધી ડાયરી તો બપોરના લખી હતી. બાકીનો આ ભાગ રાતે બાપુજી સૂઈ ગયા પછી ૧૧ વાગ્યે લખું છું.
જે બે ડોશીમા આવ્યાં હતાં તેની વાત બાપુજીને સંભળાવી; અને પ્રાર્થનામાં જવા હાથ મોં ધોઈને બાપુજી બહાર નીકળ્યા ત્યારે તે બંને જણીને મળ્યા. માથે હાથ મૂક્યો અને ડોશીમાએ બાપુજીનો હાથ પકડી પોતાનાં બાળકો ઉપર વારંવાર ફેરવાવ્યો. છોકરો સાત વર્ષનો હતો, છોકરી પાંચ વર્ષની. શી ભક્તિ હતી !
રામાયણનો દોહરો બરાબર આજે નજરે નિહાળ્યો કે: –
कर सरोज शिरू परसे, कृपासिंधु रघुवीर;
निरखी राम छवि धाम मुख, विगत भयी सब पीर ।
અને ડોશીમાનાં આશીર્વાદ મને તો એવા ફળ્યા કે, આજે ચાર દહાડે પ્રાર્થના થઈ શકી.
[મનુબહેન ગાંધીકૃત ‘બિહારની કોમી આગમાં’]
23 જાન્યુઆરી 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક 220