ભાઈ નટેશન ગાંધીજીના મિત્ર હતા. ૧૯૧૫માં દક્ષિણ આફ્રિકાથી હિંદ આવી ગાંધીજી મદ્રાસ એમને મળવા ગયા હતા. થંબુ ચેટ્ટી સ્ટ્રીટમાં નટેશન રહેતા હતા. બાપુજી સાથે એક હરિજન છોકરો હતો. એનું નામ નાઈકર. નટેશનનાં માતુશ્રી રૂઢિચુસ્ત હતાં. હરિજનો સાથે આભડછેટ રાખતાં. નાઈકરને બાપુ ઘરમાં લાવ્યા કે ખળભળાટ થયો.
નટેશન અસ્પૃશ્યતાની વિરુદ્ધ હતા. બે વર્ષ પહેલા સંમેલનના પ્રમુખ તરીકે એનો સખત વિરોધ કરેલો. બાપુ આ જાણતા હતા. એટલે જ કદાચ આ હરિજન છોકરાને એમના ઘરમાં લાવતા અચકાયા ન હતા.
પરંતુ ભાઈ નટેશન તો મૂંઝાયા. એમના પૂજ્ય માતુશ્રીની લાગણીનું શું? ગાંધીજી સમજી ગયા પરંતુ તેઓ પણ શું કરે? વિચારમાં પડ્યા. હરિજન છોકરાને તો કેમ દૂર કરાય? અને નટેશનના માતુશ્રીને ક્યાં સુધી દુભવવાં?
ત્યાં નાઈકર માંદો પડ્યો. ગાંધીજી તો એ છોકરાની સારવારમાં જ રોકાઈ ગયા. વારંવાર એની પથારી પાસે જાય, ત્યાં બેસે. પ્રેમથી સેવા કરે. બધી જ કાળજી રાખે.
જનાબ હસન અને જી.એ. નટેશનની સાથે બા અને બાપુ
ગાંધીજી જેવા મહાન નેતા એક હરિજન છોકરાની આટલી કાળજીભરી સેવા કરી રહ્યા છે એ દૃશ્ય જ નટેશનનાં માતુશ્રી માટે પાવનકારી નીવડયું. નટેશનનાં માતુશ્રીને હરિજન છોકરાને અપનાવે એ માટે ગાંધીજીએ કશી દલીલ કરવી જ ન પડી. આ શાંત પ્રેમાળ સેવાકાર્યનો ઊંડો પ્રભાવ પડ્યો. નટેશનનાં માતુશ્રીના અંતરમાં અજવાળું પડવા માંડ્યું. એમની અકળામણ શમવા લાગી. મૂંઝવણ ઘટવા માંડી . સ્વીકારવૃત્તિ કેળવાતી ગઈ.
બાપુ આ બધું ધ્યાનપૂર્વક જોઈ રહ્યા હતા.
બાપુજીનું કામ પૂરું થતાં મદ્રાસ છોડી ચાલ્યા ગયા. નટેશન સાથે પત્રવ્યવહાર તો થતો જ રહ્યો. એક પત્રમાં બાપુએ લખ્યું :
“તમે તો સમજી શક્યા હશો કે તમારાં ધર્મનિષ્ઠ માતુશ્રી હરિજન નાઈકર સાથે કેવો ઉમદા વ્યવહાર રાખતાં થઈ ગયાં હતાં. માતુશ્રીને સમજાવી શકવાની તમારી શક્તિમાં તમારી શ્રદ્ધા વિષે તમે તો સાશંક હતા. આપણે બધા જ સુધારકો આવા જ ભ્રમમાં રહીએ છીએ. આપણા ઘરથી શરૂઆત કરતા જ નથી; અને પછી બાજી હાથમાંથી ચાલી જાય છે.”
બાપુ આવા હતા. એમના વિચારોનો એમને પૂરો આગ્રહ હતો છતાં બીજાને જીતી લેવાની એમની કેવી અનોખી રીત! પ્રેમ અને સેવા એમના જીવનમાં ઓતપ્રોત થયા હતા. અને એ જ એમને બધે જીતાડતા.
19 ઍપ્રિલ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 289