છે કેવળ કવિતા
એણે ઝીંક્યા પ્રકાશી ચાબખા
ને, ગરવી ભાષા પહોંચી આભમાં.
• • •
ઝીણી-ઝીણી સાવ ઝીણી
કીડીઓમાં એ ઝીણી
ટકે ત્યારે યાદ કરાવે
જીવનની કહાણી
પારુલ એવી જીવતી નારી
જુઓ થઈ સમર્પિત ઝાંસીની રાણી
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2022; પૃ. 14
છે કેવળ કવિતા
એણે ઝીંક્યા પ્રકાશી ચાબખા
ને, ગરવી ભાષા પહોંચી આભમાં.
• • •
ઝીણી-ઝીણી સાવ ઝીણી
કીડીઓમાં એ ઝીણી
ટકે ત્યારે યાદ કરાવે
જીવનની કહાણી
પારુલ એવી જીવતી નારી
જુઓ થઈ સમર્પિત ઝાંસીની રાણી
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2022; પૃ. 14
અમેરિકાના My Book Reviewના ૨૮ જૂન, ૨૦૧૮ના અંકમાં હિટલરના સમયનાં ત્રણ જર્મન પુસ્તકોના અંગ્રેજી અનુવાદની સમાલોચના આપવામાં આવી છે. તેમાનાં મિલટન મેયરના They Thought they were free : The Germans, 1933-45 પુસ્તક વિશેની નોંધનો અનુવાદ રજૂ કર્યો છે. એ વર્ષોમાં અમે મુક્ત જ હતા ને!
મેયર જર્મન વંશના અમેરિકન પત્રકાર છે. તેમણે તો ૧૯૫૩માં હિટલરને મળવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે મુલાકાત થઈ શકી નહોતી. મેયરને હિટલર વિશે વધુ જાણવામાં રસ એટલો નહોતો, જેટલો સામાન્ય નાગરિકો જે કાંઈ પરિસ્થિતિ હતી, તે વિશે શું વિચારતા કે સમજતા હતા તે જાણવું હતું. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા પછી છ વર્ષે ૧૯૫૧માં તેઓ ફરી જર્મની ગયા અને તેમણે ધારેલી માહિતી મેળવવા પ્રયત્ન કર્યો હતો.
સામાન્ય નાગરિક, રોજ-બ-રોજ જીવી જનારાઓની દૃષ્ટિએ ત્યારે, એટલે કે ૧૯૩૩ની સાલથી ૧૯૩૯ની સાલ દરમિયાન જે બધું જર્મનીમાં થઈ રહ્યું તે વિશે શો અભિપ્રાય કે સમજણ ધરાવતા હતા તે તેમને જાણવું હતું. પહેલો તો એક જ જબરો આંચકો જે મેયરે અનુભવ્યો – ‘જર્મનીમાં દેખીતો કોઈ ‘વિરોધ’ ક્યાં ય હતો જ નહીં. ત્યારની સરકાર વિશે વિરોધ તો બહુ કાંઈ હતો જ નહીં. અમે, કોઈ એવા વિરોધ કરનારા હતા, એવું ક્યાંથી જાણીએ? કોઈ કરતા હોય તે કાંઈ જણાવે, પોતે વિચારે ને ભોગવે! જેના જેવા સંજોગ! એવા કોઈ હોય તો તે શા માટે તેમ કરે છે, તે જાહેર જ હતું ને! આપણે તો સમજી જ જઈએ ને!’ આવું તેમને કહેવાયું હતું. એક શિક્ષક ભાઈ સિવાય નવ મિત્રોએ ૧૯૩૩-૧૯૩૯ની સાલનો ગાળો એક સુવર્ણકાળ જેવો જ ભાસ્યો હતો!
૧૯૫૧માં તેમણે નાઝી પાર્ટીના દસ સભ્યો સાથે એક વર્ષ વિતાવીને, આત્મીયતા કેળવીને સૌને શું સમજાતું હતું, કેવા કેવા વિચારો ધરાવતા રહ્યા છે વગેરે જાણવાનો જે પ્રયત્ન કર્યો, તેની વાતો પુસ્તકમાં કરી છે.
કોઈ મોટી ઇમારતના રખેવાળ ભાઈ; એક સૈનિક; એક સુથાર દફતરમાં કામ કરતો મૅનેજર; બૅકરી ચલાવનારો; ઉઘરાણી કરનાર, બિલની રકમ મેળવનાર; એક ઇન્સ્પેક્ટર; એક હાઈસ્કૂલનો શિક્ષક, એક વિદ્યાર્થી બધી જ વ્યક્તિઓ સાથેના સંપર્કથી જે વાત સ્પષ્ટ થઈ, તેની રજૂઆત મેયરે કરી છે. તેઓ તમામ અલબત્ત, પોતાને એક સામાન્ય જન જણાવતા હતા, ફ્રેન્કફર્ટ શહેરથી થોડાક અંતરે આવેલા ‘મારબર્ગ’ નામના એક યુનિવર્સિટી ધરાવતા ગામના એઓ નાગરિકો હતા.
મેયર, આ મિત્રો સાથે હળીમળી ગયા. ક્યારેક કૉફી પીવા કે શહેરના કોઈ કાર્યક્રમમાં એવા મુક્ત ને સહજા કે આયોજન કરેલી બેઠકો, મિલનો, ભોજનો, ગપ્પાં મારવાં જેવા કાર્યક્રમો દ્વારા એ મિત્રોનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો હતો. એ વાત એણે જરૂર સમજાવી હતી કે એનો ઉદ્દેશ દુનિયાના લોકોને સામાન્ય જર્મન નાગરિક ત્યારની જે ઘટનાઓ હતી તે વિશેનો તમારો સાચો મત જાણે તો ગેરઅર્થભરી વાતો થતી અટકાવી શકાય. એક જ વાત મેયરે નહીં જણાવેલી કે મૂળે યહૂદી હતા, અને પોતાના દાદા બહુ વહેલા અમેરિકા જઈને વસેલા હતા.
‘મારી સાથે સહજભાવે – મૈત્રીભાવે એટલી સારી રીતે તેઓ બધાએ વાતો કરી કે મને એમ જ લાગે છે કે તે વર્ષોમાં જો હું જર્મનીમાં હોત, તો હું તેમના જેવા જ વિચારો ધરાવતો હોત! સાચું કહું, માણસને બધી વાતોની શી જરૂર? જીવતા રહીએ અને રોટલો રળી ખાઈએ’ – આ ભાવ મેયર અમેરિકા પાછો ફર્યો ત્યારેય અનુભવતો રહ્યો. ‘હું કેવળ જર્મનોને નહોતો મળ્યો, જગતભરના માણસોને જે રીતે જીવે જાય છે, તે જોઈને આવ્યો હતો.’
જ્યારે જ્યારે આપખુદ સરકારો જોહુકમી એવાં કૃત્યો કરે ત્યારે તે દેશની બહારના, ત્યાંની વાતોને ચગાવીને જ જોવાનું કરતા હોય છે. ત્યાં જાતે રહેનારા તો રોજિંદા જીવનને નભાવતા રહેવામાં વ્યસ્ત રહી શકે છે. નાઝી સત્તાએ અલબત્ત, એ ૧૯૩૩થી ૧૯૩૯ સુધીનાં વર્ષોમાં સામાન્યજનનું જીવન સરળતાથી ચાલતું રહે તે પ્રયોજતા રહેવાનો પ્રયત્ન કર્યો હતો. ક્યાંક ગર્વ કરી શકાય એવી વાતો પણ ફેલાવાઈ રહી હતી. નોકરી કે કામ સહજ મળી રહેતાં, રહેણાકની પણ તકલીફ રહી નહીં. ‘નૉર્વે કે સ્પેન જેવા દેશની સહેલાણી તરીકે ફરવા જવાની પણ સગવડ અમને મળી હતી.’ આ જર્મનીનો ‘નવો યુગ’ નાગરિક માત્રને પ્રોત્સાહિત કરવા માટે જ ચાલી રહ્યો છે એ વિચાર પૂરો, પકડાયેલો હતો.
દસેદસ જણાંને હિટલર વિશે ઘણી સદ્ભાવભરી લાગણી હતી. કારણ? ‘એ તો! જનસામાન્ય માટે જ જીવનારો અમારો આગેવાન હતો. પહેલા વિશ્વયુદ્ધના શાંતિ-સમાધાનમાં જે આકરાં બંધનો જર્મની ઉપર બંધાયાં હતાં. તે તો એણે ક્યારનાયે નકારી કાઢ્યાં! અને રાષ્ટ્રને નવજીવન આપ્યું હતું. અહીંની પાર્લામેન્ટના નઠારા અને સ્વાર્થી સભ્યોને ક્યાં ય ભગાડી દીધા હતા. આખી સરકાર સ્વચ્છતાથી અને જનહિત માટે ચાલી રહી હતી. હિટલરે જે જાહેરજીવનની સફાઈ કરી એ તો ગર્વ કરવા જેવી જ સિદ્ધિ હતી!’
એક બૅંકના ક્લાર્કે કહ્યું હતું, “એમનાં વ્યાખ્યાનો અમને પૂરેપૂરાં જચી જતાં હતાં. તેઓને કુદરતની જે દેણ હતી તે સહજ વ્યક્ત થતી રહેતી હતી. એવું ક્યારેક બને કે તે સત્યથી વેગળી વાત કરી દેવાય. અરે સત્ય ‘ના’ પણ હોય! પરંતુ એક વાત પાકી, તેઓ જે કાંઈ કહેતા, તે બધી વાતો જાતે માનતા હતા તે જ કહેતા હતા!”
એક વાર આ મિત્રોને ૧૯૩૮ના છાપાંની એક કતરણ બતાવીને મેયરે પૂછ્યું હતું. નવેમ્બર, ૧૯૩૮ એક યહૂદીઓનું દેવળ નષ્ટ કર્યાના સમાચાર તેમાં છપાયેલા હતા. ‘ના ભાઈ ના ! અમે કોઈએ આવી વાત ત્યારે જાણી જ નથી. કેટલા ય યહૂદીઓને તેમની સલામતી માટે ક્યાં ય દૂર મોકલી દેવાયા હતા એ વાત હતી ખરી. અરે જેમને દૂર મોકલ્યાને તેમની મિલકતની વ્યાજબી કિંમત આપીને તેમનું ભવિષ્ય જળવાય એવી રીતે વિદાય કરવામાં આવ્યા હતા!’
જ્યારે મેયરે ૬૦ લાખ યહૂદીઓની હત્યાની વાત મૂકી, ત્યારે તે વાત તો એકેયને માન્યમાં આવતી જ ન હતી.
‘જુઓ ! દેશના કોઈ દુશ્મન હોય, તો તેને સહન કરવાનું આવે એ બન્યું હશે. બાકી ખોપરીઓનાં હાડપિંજરોના ફોટાઓ વગર જે આવે છે તેવું કાંઈ જ સાચું નથી’. બિલઉઘરાણી કરનારા મિત્રે ‘હિટલરને, પોતાને, તો તેની સાથે કશી લેવાદેવા હોઈ જ ના શકે. જેણે કહ્યું હોય કે ન હોય! થયું હોય તો ખોટું છે જ. પણ થયું નથી.’ દરજીએ કહ્યું, ‘એવું થયું હોય તો તે ખોટું છે પણ એ વાત હું તો માનતો જ નથી.’ બૅકરીવાળા ભાઈએ કહ્યું, ‘ત્યારે તો રોજ એટલી બધી વાતો આવતી રહેતી કે તેવી બધી વાતો વિશે વિચારવાનો અમારી પાસે સમય જ રહેતો નહોતો.’
જર્મનીમાં કોઈ ષડ્યંત્ર કરીને ‘નાઝીવાદ’ થોડો સર્જ્યો હતો. લોકોએ હોંશે હોંશે અપનાવ્યો હતો અને આનંદ-ઉત્સાહથી આવકાર્યો હતો. આપણે એવું વિચારીએ છીએ કે નાઝીવાદ ક્રૂરતાભર્યાં કદમોથી આગળ વધીને સ્થપાયો હતો, પરંતુ મેયરે જે સામાન્ય જનની ધરતી સમજવાનો પ્રયત્ન કર્યો. તેમને નાઝીવાદ કુદૃષ્ટિવાળો માન્યો જ નહોતો. આજે પણ તેઓ તે દુષ્કૃત્યો કરનારો વિચાર ગણવા તેઓ તૈયાર નથી.
મેયરને ત્યાંના એક ભાષાશાસ્ત્રીએ સમજાવ્યું હતું કે ‘જેમ જેમ દેશ આતંક તરફ ઢળતો ગયો અને તે બધું સાથે ચાલતું પણ જતું હોય છતાં તેને વિશે વિચાર કરવાને સવિનય કરવાનો સમય મળે જ નહીં તો એટલી ઝડપથી નવું નવતર કાંઈ આવીને ઊભું જ કરી દેવાનું રહેતું નથી. સત્તાધારીઓ કાંઈક નવાં નવાં નાટકો ને તમાશાઓ યોજતા રહેતા હતા. અને સાચા કે ખોટા દુશ્મનો વિશેની વાતો ફેલાવવાનું ચાલ્યા જ કરતું હતું. આવું આવું કરીને સમગ્ર પ્રજાને ધીમી ગતિએ પરંતુ ચોક્કસ દિશાની સમજણો પીરસાતી રહેતી હતી. દરેકે દરેક પગલું, નાનું કે મોટું સુનિશ્ચિત દિશાનું જ ભરાતું ગયું હતું. ખેડૂત મકાઈ વાવે, છોડ ક્યારે મોટો થયો, ક્યારે ડૂંડાં બેઠાં અને ક્યારે એને રોગ લાગ્યો એ જુએ ક્યારે ? એ તો ક્યારનો ય એને માથેથી ઉપર નીકળી જ ગયો હોયને !’
વેડછી / વડોદરા
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2019; પૃ. 10 તેમ જ 14
તિસ્તા સેતલવાડના પુસ્તક સંદર્ભે
Beyond Doubt : A Dossier on Gandhi’s Assassination : Compiled by Teesta Setalvad : Tulika Books, 35 A/1, Ground Floor, Shahpur Jat., New Delhi – 110 049 : Rs. 450
જેમને એ માન્ય નથી કે ભારતમાં લોકશાહીયુક્ત તેમ જ બિનસાંપ્રદાયિક સમાજ રચાય એવા વિચાર ધરાવનારાઓ માટે સૌથી વધુ નડતરરૂપ ગાંધીજી હતા. તેથી જ તે જૂથે તેમનું જીવન સમાપ્ત કરવાનું પગલું ભર્યું હતું. પરંતુ ગાંધીજીને આવી નિર્દયતાથી વિદાય કરવામાં આવ્યા, તેથી રાષ્ટ્રે તો એક આંચકો – કહો કે કુઠારાઘાત અનુભવ્યો. વાસ્તવમાં આવી રીતે એક માનવશ્રેષ્ઠની વિદાયથી જગતભરમાં ગ્લાનિ ફેલાઈ ગઈ. પરિણામે અવળા વિચારો ધરાવનારાં જૂથનાં ધારેલાં સ્વપ્નાંનો અંત આવ્યો. ઉપરાંત તેમનાં ઉપર તો એ અપકૃત્યની જવાબદારીમાંથી મુક્ત થવાની આવશ્યકતા આવી ઊભી. એ ઐતિહાસિક તથ્યને અધિકૃત દસ્તાવેજો તેમ જ યોગ્ય વિગતોથી સ્પષ્ટ કરવા માટે પ્રસ્તુત પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. જે કોઈને રાષ્ટ્રની સર્વસમાવેશકતા અને લોકશાહીત્વની શક્તિ જાળવવાની તેમ જ ખીલવવાની ચિંતા છે, તે તમામ નાગરિકોને તિસ્તા સેતલવાડે સજાગ થઈ જવા માટે ‘દાંડિયો’ પીટવા માટે આ મહેનત કરી છે.
પુસ્તકના ત્રણ અંગો ગણાવી શકાય તેમ છે : (૧) ઐતિહાસિક તથ્યો (૨) સંઘે કરેલા ગાંધીજી વિશેના આક્ષેપોની રદિયો (૩) સંઘને પ્રાપ્ત સમજણ.
ઐતિહાસિક તથ્યો
બીજી ફેબ્રુઆરી, ૧૯૪૮ને દિવસે ભારતસરકારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પ્રતિબંધિત સંસ્થા જાહેર કરી હતી. તે માટે જે જાહેરનામું બહાર પડાયું : તેમાંથી મહત્ત્વની વિગત નોંધીએ : ઊભા દેશમાં ધિક્કાર અને હિંસાનું વાતાવરણ જે ફેલાવવામાં આવ્યું છે, તેને જડમૂળથી નાબૂદ કરવા માટે અને રાષ્ટ્રના સ્વાતંત્ર્ય તેમ જ આબરૂને જોખમ ઊભું કરવામાં આવ્યું છે, તે ધ્યાન ઉપર લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ગેરકાનૂની સંસ્થા તરીકે અને તેની બધી પ્રવૃત્તિઓ ઉપર મનાઈ હૂકમ, કેન્દ્રશાસિત વિસ્તારોમાં અને તમામ ગવર્નર શાસિત રાજ્યોમાં ફરમાવવામાં આવે છે.
સંઘે જે લોકોને, આતંકી રસમો અપનાવવા, શસ્ત્રો એકત્ર કરવા, તેમ જ સ્થાપિત સરકારની વિરુદ્ધ અભાવ પેદા કરવા પોલીસ અને સૈન્યને વિદ્રોહ કરવા પ્રેરણા આપવાના પ્રયત્નો ચાલુ રાખ્યા છે, તેને લીધે અસંખ્ય લોકોનો ભોગ લેવામાં આવ્યો છે … જેમાં સૌથી મહામૂલો ભોગ ગાંધીનો લેવાયો છે, તે કારણસર સંઘને પ્રતિબંધ સંસ્થા જાહેર કરવામાં આવે છે.”
ત્યાર પછી ૧૧મી સપ્ટેમ્બર, ૧૯૪૮ના દિવસે લખેલા પત્રમાં સંઘના સરસંચાલક ગોળવળકરને સરદાર પટેલે જણાવ્યું હતું કે …
‘સૌથી વાંધાજનક વાત એ નિર્માણ થઈ હતી કે વેર વાળવાની દૃષ્ટિએ જ સળગાવવું, મુસલમાનો ઉપર હુમલા કરવા, હિંદુઓને સંગઠિત કરવા કે તેઓને જરૂર હોય ત્યાં સહાયભૂત થવા બનવાનું સમજાવાય એ તો સમજી શકાય તેવી પ્રવૃત્તિઓ છે, પરંતુ વેર વાળવા માટે નીકળવું, નિર્દોષ અને અસહાય લોકોને, સ્ત્રીઓ તેમ જ બાળકો સહિત બધાંયને તેમાં હોમી દેવાં એ તો તદ્દન અવળી વાત ગણાય … તેઓનાં બધાં વ્યાખ્યાનો સંપૂર્ણ ઝેર ઓકનારાં જ થતાં હતાં. હિંદુઓને સંગઠિત થવા અને પોતાનું સંરક્ષણ કરવાના હેતુથી વેરઝેરનાં વ્યાખ્યાનો કરવાની કોઈ જરૂર નહોતી. આવું ઝેર ફેલાવવું તેના આખરી પરિણામે રાષ્ટ્રને જે ઘોર નુકસાન સહન કરવું પડ્યું તે મહામૂલું ગાંધીજીનું જીવન ખોવાનું હતું. ભારત સરકારને કે સમગ્ર સમાજને એક ટીપા જેટલી પણ આંશિક સહાનુભૂતિ રહી શકી નહીં. હકીકતે સંઘનો વધુ વિરોધ સંઘના લોકોએ ગાંધીજીની હત્યા પછી તે પર આનંદ વ્યક્ત કરીને મીઠાઈ પણ વહેંચી, આવા આવા બધા સંજોગો પ્રાપ્ત થયાં તેથી ભારત સરકારે સંઘને પ્રતિબંધિત કરવાની ફરજ પડી.’ (ગાંધીજીની હત્યા કરવાના ૧૯૪૮ પહેલાં ચાર પ્રયત્નો થયા હતા તે ચારે ય પ્રયત્નોની વિગત આ મુજબ છે.)
પહેલો પ્રયત્ન ૧૯૩૪માં થયો હતો. પૂના ચહાલના પૂણેની મ્યુિનસિપાલિટી દ્વારા ગાંધીજીને સન્માન આપવાના ગોઠવાયેલા સમારંભમાં તેઓ જતા હતા, ત્યારે તેમના વાહન ઉપર બૉંબ ફેંકવામાં આવ્યો હતો. એ બૉંબ આગળની ગાડી ઉપર ફેંકાયો હતો. જ્યારે ગાંધીજી તો પાછળની ગાડીમાં જઈ રહ્યા હતા. એ હુમલામાં મ્યુિનસિપાલિટીના ચીફ ઑફિસર, બે પોલીસ અને અન્ય સાત જનોને ગંભીર ઈજાઓ થઈ હતી.
બીજો પ્રયત્ન ગાંધીજી જુલાઈ, ૧૯૪૪માં પંચગની હતા ત્યારે એક માણસ છરો લઈને ગાંધીજી ઉપર ધસી આવ્યો હતો. એ માણસ તે આ નથુરામ ગોડસે જ હતો. મહાબળેશ્વરના માજી સંસદસભ્ય ભિસારે ગુરુજીએ નથુરામના હાથમાંથી છરો લઈ લીધો હતો. ગાંધીજીએ ત્યાર બાદ ગોડસેને મળવા માટે બોલાવ્યો હતો, પરંતુ એ આવ્યો નહીં.
ત્રીજો પ્રયત્ન ૧૯૪૪ના સપ્ટેમ્બર માસમાં થયો હતો. ગાંધીજી મહંમદઅલી ઝીણા સાથે વાટાઘાટો કરવા સેવાગ્રામથી મુંબઈ જવાના હતા. પૂનાથી એક જૂથ ગાંધીજીને તે વાટાઘાટ કરવામાંથી રોકવાને માટે વર્ધા ગયું હતું. ગાંધીજીને મળવા આવનારામાં થત્તે નામના માણસ પાસેથી પોલીસને છરો મળી આવ્યો હતો. થત્તેની સાથે ગોડસે પણ હતો. ગોડસેનો બચાવ એ હતો કે ગાંધીજી આશ્રમથી જે કારમાં જવાના હતા, તેના ટાયર કાપવા માટે છરો લાવ્યો હતો.
ચોથો પ્રયત્ન ૧૯૪૬માં ૨૯મી જૂને થયો હતો. ગાંધીજી ટ્રેન વાટે પૂના જવાના હતા, ત્યારે જે ટ્રેન પસાર થવાની હતી, ત્યારે નેરળ અમે કરજત વચ્ચે પાટા ઉપર મોટા પથ્થરો મૂકીને તે ટ્રેનને ઊથલાવી દેવાનું કાવતરું કરવામાં આવ્યું હતું.
પાંચમો અને છઠ્ઠો પ્રયત્ન ૨૦મી જાન્યુઆરી, ૧૯૪૮ને દિવસ મદનલાલ પાહવાએ પ્રાર્થનાસ્થળ પર બૉંબવિસ્ફોટ કરીને કર્યો હતો અને ૩૦મી જાન્યુઆરીએ નથ્થુરામ ગોડસેએ ગાંધીજીનું ખૂન કર્યું હતું.
(ઉપરની વિગત પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે હિંદુવાદીઓ ગાંધીજીનું ખૂન કરવાનાં કાવતરાં તો કેટલાંયે વર્ષોથી ઘડતાં રહ્યાં હતા. જે વખતે જે બહાનું મળે તે હેઠળ તેમને તો ગાંધીજીને દૂર કરવા હતા.)
કટ્ટરપંથી હિંદુઓ અને કોમી હિંસા
ભારત સ્વતંત્ર થયું, ત્યાર પછી દેશ ભરમાં જ્યાં ક્યાંક કોમી હિંસા પ્રગટ થઈ હતી, તે અંગે સરકારે નીમેલાં તપાસ-કમિશનો દ્વારા જે અધિકૃત તારણો બહાર પાડવામાં આવ્યાં છે, તેમાં હકીકત તો એવી જ સામે આવે છે કે સંઘ અને એવાં કોમી સંગઠનો ઉશ્કેરણી કરનારાં કે હિંસક કૃત્યો માટે જવાબદાર જણાયાં છે. આઠ કમિશનોના અહેવાલો આવું કહે છે. તે કમિશનો આ મુજબ છે :
(૧) અમદાવાદમાં થયેલાં કોમી તોફાનોની તપાસ કરનાર જસ્ટિસ જગનમોહન કમિશન ૧૯૬૯. (૨) ૧૯૭૦માં થયેલા ભીવંડી, જલગાઁવ અને મહાડની તપાસ કરનાર જસ્ટિસ ડી.પી. માદન કમિશન (૩) ૧૯૭૧માં તેલિચરીમાં થયેલાં કોમી તોફાનોની તપાસ (૪) જમશેદપુરમાં એપ્રિલ, ૧૯૭૯માં થયેલાં તોફાનોની કરેલી તપાસ ન્યાયમૂર્તિ જૉસેફ વિદ્યાતલી કમિશન (૫) ૧૯૮૨માં કન્યાકુમારીનાં તોફાનોની કરેલી તપાસ ન્યાયમૂર્તિ વેણુગોપાલ કમિશન (૬) ૧૯૮૯માં ભાગલપુરમાં થયેલાં કોમી તોફાનોની કરેલી તપાસ ન્યાયમૂર્તિ સિંહા અને રામશુક્લ હસન કમિશન (૭) ૧૯૯૨-૯૩ મુંબઈમાં થયેલાં તોફાનોની કરેલી તપાસ ન્યાયમૂર્તિ શ્રી કૃષ્ણા કમિશન (૮) બાબરી-ધ્વંસ અંગેનું ન્યાયમૂર્તિ લિબરન કમિશન.
આ તમામ તપાસ-કમિશનો એક જ તારણ પ્રકટ કરતાં રહ્યાં છે કે બધી વાતો સ્મૃિત પર રહે નહીં અને ઇતિહાસમાં નોંધાય નહીં, તેવી પરિસ્થિતિ સર્જાતી જાય, તેના ફળસ્વરૂપ આ ગુનાહિત પ્રવૃત્તિઓ ઉપર કાયમી કાબૂ લેવાનું થઈ ના શકે.
ઇતિહાસવિદ આચાર્ય જાવડેકરે ‘લોકમાન્ય અને મહાત્મા ગાંધી’ એવું પુસ્તક લખ્યું છે. તેમાં તેમણે જણાવ્યું છેઃ
ગાંધીજી જે જાતનું રાજકારણ કરતા હતા, તે વિશે અસંતોષ ધરાનવારા લોકો પોતાને તિલકના અનુયાયીઓ તરીકે ઓળખાવે છે. જેમને ખાદી વાપરવી નથી, જેમને અસ્પૃશ્યતા નાબૂદ કરવી નથી અને હિંદુ-મુસલમાનની એકતા પસંદ નથી અને જેમને બ્રિટિશ સરકારના કાયદાઓનો સવિનયભંગ કરવાની ચળવળમાં જોડાવું નથી એવા લોકો ગાંધીજીની પ્રવૃત્તિઓનો વિરોધ તિલકિઝમના ઓઠા હેઠળ કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં આવા અસંતોષી તિલકાઈઓ ઘણી મોટી સંખ્યામાં પ્રાપ્ત છે.
‘ગાંધીજીની વિચારધારા અને રાજનીતિયુક્ત વ્યૂહરચના આ તિલકના અનુયાયીઓ સમજતા જ નથી. સ્વાતંત્ર્યના સંઘર્ષને તિલક એક પડાવ સુધી લઈ આવ્યા હતા. ગાંધીજીએ તેને આગળના તબક્કામાં, માનવતા, સ્વદેશી, અસહકાર અને હિંદુમુસ્લિમ એકતામાં વિકસાવી. આ બધી જ વાતો તિલકની રાજનીતિની વૈચારિક ભૂમિકામાં નિહિત હતી જ. તિલકે સ્વરાજની મશાલ પ્રગટાવી અને લોકોમાં અસંતોષ તેમ જ જાગૃતિ ફેલાવી અને ગાંધીજીએ ‘સત્યાગ્રહ’ દ્વારા જન સામાન્યની નૈતિક હિંમત મેળવી આપી અને સામ્રાજ્ય સામે લડવાની શક્તિ પ્રગટાવીને સ્વાતંત્ર્યની ચળવળમાં પૂર્તિ જ કરી આપી હતી. ગાંધીજીની અનન્ય દૃષ્ટિ અને સુચારુ મૂલ્યનિષ્ઠાએ જ બ્રિટિશ સામ્રાજ્યના પાયા ડગમગાવી દીધા હતા. બ્રિટિશરોએ ૭૦૦ રજવાડાં અને તેના રાજાઓને જીતીને નમાવ્યા હતા. તે પછી ભારત એક રાષ્ટ્રની કલ્પના પાંગરી હતી. અને ત્યાર પછી ગાંધીજીની ચળવળોએ રાષ્ટ્રના આત્માને ઢંઢોળ્યો હતો અને સ્વાતંત્ર્યસંગ્રામ એક લોકઆંદોલન તરીકે ઊભું થયું હતું. તેને ઊભા દેશમાં સમર્થન મળ્યું હતું. એણે સ્વાતંત્ર્ય મેળવવાની કલ્પનાને સર્વત્ર ફેલાવી દીધી હતી. મહાત્મા ગાંધીની મહાનતા અને સમર્થ રાજનીતિની સમજણ જેવા તેવા લોકો નહીં પણ સુભાષચંદ્ર બોઝને પણ જચી હતી. અને તેથી જ તેમણે છઠ્ઠી જુલાઈ, ૧૯૪૪માં ગાંધીજીને ‘રાષ્ટ્રપિતા’ તરીકે સંબોધ્યા હતા. ગાંધીજીએ સંપૂર્ણ ભારતને અંગ્રેજોના કબજામાંથી મુક્ત કરવાનો સંકલ્પ કર્યો હતો. આ કારણે જ તેમને રાષ્ટ્રપિતા તરીકે નવાજ્યા હતા. ફક્ત સંઘપરિવાર અને તેમના જેવાં સંગઠનો, જેઓ સ્વાતંત્ર્યના સંગ્રામથી નાસતા તેમ જ સંતાતાં ફરતાં હતાં અને આઘાં જ રહેતાં હતા. તેઓ તેમને રાષ્ટ્રપિતા તરીકે સંબોધવા તૈયાર ન હતાં.”
– ૨ –
જ્યારે-જ્યારે સત્તા પ્રાપ્ત થાય ત્યારે ત્યારે સંઘના મિત્રોને નવેસરથી ઇતિહાસ લખવાની જરૂરિયાતનો ઉભરો આવ્યા વગર રહેતો નથી. તેમાં પણ ગાંધીજીની હત્યા અંગે તો સંઘ એમાં ક્યાં ય સંડોવાયેલો નહોતો જ એવું સ્થાપિત કરવામાં વધુ ધ્યાન આપતાં રહે છે. ‘ડરા સો મરા’ એ ન્યાયે તો, જો તેમને એ કાલિમામાંથી મુક્ત થવાના નુસખા શોધ્યા જ કરવાની જરૂર દેખાયા કરે છે, તો તે વાતે જ એમ પુરાવો મળી રહે છે કે તમારા હાથ તે દુષ્કર્મમાં ખરડાયેલા છે.
૨૬મી મે, ૨૦૧૪ને દિવસે જ્યારે સંપૂર્ણ બહુમતીથી સંયુક્ત ગઠબંધને (NDA) લોકસભા ઉપર કબજો મેળવ્યો, ત્યારે ઐતિહાસિક પુરાવાઓ દૂર કરવાનું કામ પહેલી પ્રાથમિકતા આપીને હાથમાં લેવાયું હતું. હજી નવ જ દિવસ સત્તા પ્રાપ્ત થયાને વીત્યા ત્યાં એટલે કે ૫મી જૂન, ૨૦૧૪થી જ અગિયાર હજાર દસ્તાવેજી ફાઇલો બાળવાનું કામ પ્રારંભ કરવામાં આવ્યું અને તે કામ ૭મી જુલાઈએ પૂરું કરવામાં આવ્યું. આમ, ૩૯ દિવસ તે કામમાં વાપરવાના થયા. આટલી ઝડપથી અને આટલી મોટી સંખ્યામાં ફાઇલોને બાળવાનું કામ કરવા પાછળ ક્યાં કારણો હોઈ શકે, એવા પ્રશ્નો પુછાયેલા હતા.
આ દસ્તાવેજો નાબૂદ કરવા અંગે સંયુક્ત રાષ્ટ્રસંઘ(commonwealth)ના માહિતી અધિકારીશ્રી વ્યંકટેશ નાયકે ભારત-સરકારના કેન્દ્રિય ગૃહસચિવશ્રીને પત્ર લખીને નીચેના પ્રશ્નો પૂછ્યા હતાઃ
(૧) જે ફાઇલો બાળવામાં આવી, તેની પસંદગી કોણે કરી હતી ?
(૨) બાળવામાં આવેલી ફાઇલોને કયા ધોરણે પસંદ કરવામાં આવી હતી ?
(૩) આ ફાઇલો નષ્ટ કરવા માટે Archiveal Dept. - દસ્તાવેજો જાળવવાને જવાબદાર ખાતાની પરવાનગી લેવામાં આવી હતી ?
(૪) ફાઇલો નાબૂદ કરવાની પ્રક્રિયામાં કોણ કોણ અધિકારીઓ હાજર હતા ? કઈ કક્ષાના (જવાબદારી નભાવનારા) તે અધિકારીઓ હતા ?
આવા જ પ્રકારના પ્રશ્નો પૂછવા માટે ભારતભરના ૭૫ પ્રબુદ્ધ નાગરિકોએ માહિતી-અધિકાર અધિનિયમ મુજબ ભારત સરકારને પત્ર લખ્યો હતો, જેમાં એવું પણ કહેવાયું હતું કે અફઘાનિસ્તાનમાં તાલીબાનોએ બામિયાન સ્થિત બુદ્ધનાં શિલ્પો ઉદ્ધ્વસ્ત કર્યાં તેના સમાન જ આ ફાઇલો બાબતનો ઉપક્રમ અમને ભાસે છે.
૯મી જુલાઈ, ૨૦૧૪ને દિવસે કાયદામંત્રીશ્રીએ પાર્લમેન્ટમાં જણાવ્યું હતું કે ઐતિહાસિક મહત્ત્વની કોઈ ફાઇલ નષ્ટ કરવામાં આવી નથી. એ ખુલાસો અધૂરો હતો, તેથી બે દિવસ પછી ૧૧મી જુલાઈએ ગૃહમંત્રીશ્રીએ ખુલાસો કર્યો હતો, જે ઉપરથી એ વાત સ્પષ્ટ થઈ હતી કે (૧) બાળવામાં આવેલી ૧૧ હજાર ફાઇલોની યાદી પ્રાપ્ત નથી. (૨) Archiveal Dept. – રાષ્ટ્રીય દસ્તાવેજ વિભાગ સાથે તે કૃત્ય માટે કોઈ મસલત કરવામાં આવી ન હતી. (૩) ચોક્કસ કઈ-કઈ ફાઇલ બાળવામાં આવી. તેની સ્પષ્ટતા કે કોઈ નક્કર જવાબ અપાયો નથી. (૪) જે કાંઈ જવાબો અપાયા તે કોઈ નાના બાળકને સમજાવી દેવા જેવા જવાબો આપવાની ઘટના હતી – ગાંભીર્યવિહીન ત્રણ કે ચાર લીટીના જવાબો પાર્લમેન્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ‘મહાત્મા ગાંધી, લાલબહાદુર શાસ્ત્રી, લૂઈ માઉન્ટબેટન અને બીજાઓ અંગેના દસ્તાવેજો સલામત છે.’ આવો વીંટો વાળેલો જવાબ અપાયો અને વધુ વિગતવાર રજૂઆત કરવાની બાંયધરી આપી હતી, જેનો અમલ હજી સુધી કરી નથી શકાયો.
આમ, પાર્લમેન્ટમાં પૂછાયેલા પ્રશ્નો વિશે ઉપેક્ષા તેમ જ બેદરકારી જે અત્યારની સરકારે રજૂ કરી છે, તેમાં કાંઈક ખાનગીમાં રાંધ્યાની ગંધ આવે અને આ અગિયાર હજાર ફાઇલો બાળવાનો કાર્યક્રમ હકીકતો તેમ જ તથ્યોને નષ્ટ કરવાનો અદમ્ય પ્રયત્ન ગણવાની જરૂર પ્રાપ્ત થાય છે.
* * *
આ અગાઉ પણ ભાજપની આગેવાની હેઠળની સરકાર કેન્દ્રમાં રચી શકાઈ, ત્યારે પણ દસ્તાવેજોમાં છેડછાડ કરવાનો પ્રયત્ન થયો જ હતો.
૧૯૫૬માં ગાંધીજીનાં તમામ લખાણો સંગૃહીત કરવા એક બોર્ડ સ્થાપવામાં આવ્યું હતું. શ્રી ભારતન કુમારપ્પા અને શ્રી જયરામદાસ દોલતરામ તેના સંપાદકો હતા. એ આખું કામ ૧૯૯૪માં પૂરું કરવામાં આવ્યું, ત્યારે ૧૦૦ ગ્રંથો છપાઈ ચૂક્યા હતા. હવે ૧૯૯૮માં જ્યારે ભાજપની સરકાર રચાઈ, ત્યારે તે ગ્રંથોનું પુનઃસંપાદન કરવાનો સરકારે ઇરાદો જાહેર કર્યો.
આ પુનઃસંપાદનનું કાર્ય એટલે હકીકતોને મચડવાનું કે છાંડી દેવાનું કામ જ કરવામાં આવ્યું હતું. બહાનું એ બતાવાયું હતું કે મૂળમાંથી પાનાં ઘટાડવાની જરૂર છે તેમ જ જે રજૂઆતો થઈ છે, તેમાંની વિગતો શંકાશીલ જણાય, તો તે રજૂઆતો રદ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
આ મૂળ સંગ્રહ Collected Works of Mahatma Gandhi અંગ્રેજીમાં છપાયો હતો અને ગાંધીજીનો ‘અક્ષરદેહ’ તરીકે નવજીવન દ્વારા પ્રકાશિત થયો હતો. શ્રી ત્રિદીપભાઈએ આ નવા સંપાદિત સંગ્રહ વિષે ભારત સરકારને ફરિયાદ કરતો પત્ર લખ્યો હતો કે ‘દસ્તાવેજી કક્ષાનાં આ લખાણોની આવી ઉપેક્ષા થાય તે સ્વીકાર્ય કહી ના શકાય. કારણ બૌદ્ધિક સચ્ચાઈનું ખંડન કરવામાં આવે, તો તથ્યોને વરેલા કોઈ જ્ઞાનીને સ્વીકાર્ય ના થાય. આ દૃષ્ટિએ નવસંપાદિત સંગ્રહ તેમજ તેની CD.Rom પણ જે તૈયાર કરવામાં આવ્યાં છે, તે રદ જ કરવાની જરૂર છે. મૂળ તૈયાર કરેલા ગ્રંથોનો સંગ્રહ જ અધિકૃત ગણીને તેને પુનઃસ્થાપિત કરવાનું ગોઠવો. તેમ જ ભવિષ્યમાં પણ આવો કોઈ પુનઃસંપાદન કરવાનો ક્યારે ય પણ વિચાર કરવો જ ના જોઈએ, એમ જાહેર કરો.’
(આમ મહત્ત્વના અને ઇતિહાસના સાક્ષી સમાન દસ્તાવેજો નાબૂદ કરવા કે અનુકૂળરૂપે પુનઃસંપાદિત કરીને મૂકવાની સમજણ તે અંગેના ઇરાદાઓ વિષે શંકાઓ પ્રાપ્ત કરે છે.)
* * *
‘मी नथुराम गोडसे बोलतोय ’નામના નાટક દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે તે હકીકતોનો આધાર લઈને લખવામાં આવ્યું છે. પ્રા. ફડકેજી (ઇતિહાસવિદ) એમ સ્પષ્ટ જણાવે છે કે તે નાટક સંપૂર્ણપણે બનાવટી રજૂઆત છે. ‘લેખક દળવીએ નાટક દ્વારા એમ પુરવાર કરવાનો પ્રયત્ન કર્યો છે કે ગોડસે ખૂની તો નહોતો જ, પરંતુ રાષ્ટ્રપ્રેમ ધરાવતો શહીદ હતો.’
‘ગત પંદર-વીસ વરસથી રાજકારણના ક્ષેત્રમાં ગુનાખોરો, ધારાસભ્યો સંસદસભ્યો, મંત્રીઓ અને મુખ્યમંત્રીપદે પણ પહોંચતા થયા છે. આવાં પ્રાપ્ત સ્થિતિમાં કોઈ ખલનાયકને હીરો બનાવવો કે ખૂનીને શહીદ ગણાવવો એવું તો સહજ સ્વીકાર્ય ચાલ જ ગણાયને ! આવા હીન વાતાવરણમાં તો ‘શસ્ત્રવિહીન સંઘર્ષ કરીને સ્વતંત્રતા અપાવનાર એક વૃદ્ધ શહીદને રાષ્ટ્રદ્રોહી તરીકે કલંકિત કરવાનું યોજી શકાય તે બની જ શકેને !’’ નાટક દ્વારા આવા ઊંધા પ્રયત્નને ઉઘાડું પાડવા ફડકેજીએ મૂળ સ્રોતોની કાળજીપૂર્વકની તપાસ કર્યા પછી તથ્ય પ્રગટ કર્યું છે.
શ્રી દળવીનું એ નાટક ૧૭મી જુલાઈ, ૧૯૯૮માં ભજવી ના શકાયું, કારણ ગૃહમંત્રી (કેન્દ્રના) અડવાણીજીએ વ્યાપક વિરોધને કારણે તેને પ્રતિબંધિત કરવાની ભલામણ મહારાષ્ટ્ર સરકારને કરી હતી. પરંતુ મજાની વાત તો એ છે કે ગુજરાતમાં સરકાર અનુકૂળ હોવાથી તેનું ગુજરાતી રૂપાંતર ‘ગાંધી કે ગોડસે’ ૬૦થી ૭૦ વાર ભજવવામાં આવ્યું હતું, ત્યાં કોઈએ વિરોધ કર્યો નહીં, એવું વાતાવરણ ત્યાં પ્રાપ્ત હતું.
નાટકમાં એવું રજૂ કરવામાં આવ્યું છે કે ગાંધીજીની હત્યામાં સંડોવાયેલા બધા આરોપીઓને એક જ જેલમાં સાથે રાખવામાં આવ્યા હતા અને તે બધા ઘણા હળીમળીને રહેતા હતા. સાવરકર પણ તેમને પ્રોત્સાહિત કરતા રહેતા હતા. વાસ્તવમાં તો જેલમાં તેમ જ કોર્ટમાં પણ સાવરકરે એવું વર્તન દાખવ્યું હતું કે તેઓ ગોડસેને ક્યારે ય ઓળખતા જ ન હતા. આથી તો ગોડસેને એ વસવસો હતો કે સાવરકરજીએ તેની ક્યારે ય પીઠ થાબડી નહીં. અંતે ગોડસે અત્યંત દુઃખી થઈને વિદાય થયો હતો.
નાટકના, છેવટના ભાગમાં શેખ નામના એક કલ્પિત પોલીસ- ઇન્સ્પેક્ટરનું પાત્ર મૂકવામાં આવ્યું છે. શેખ આ કેદીઓને કોર્ટમાં હાજર કરવાનું હંમેશાં કામ કરનારો હતો. શેખ ગોડસેથી અભિભૂત થયો હતો અને તેની દીકરી ઝુબેદા તો ગોડસે માટે રોજ ‘અલ્લા પાસે દુઆ માંગતી હતી,’ એવું દર્શાવવામાં આવ્યું છે. શેખે એમ ગોડસેને જણાવ્યું કે દીકરી બહાર નીકળતી નથી, કારણ તેણે ગર્ભ ધારણ કરેલો છે.’ ગોડસે જ્યારે આવું બધું જાણે છે, ત્યારે કહે છે કે ‘હું તારા એક ભાઈ તરીકે એવું ચાહું છું કે તારા ગર્ભમાં રહેલા બાળકની ઘણી સંભાળ લેજે. તને છોકરો જ જન્મશે. તેને મારા સમાન શિક્ષણ આપજે. જો આ ધરતી ઉપર બીજો ગાંધી જન્મે, તો બીજા નથ્થુરામની જરૂર ઊભી થશે … નથ્થુરામ-નથ્થુરામ’ આ નાટકનું અંતિમ વિધાનવાક્ય છે.
(સંઘની દૃષ્ટિએ ગાંધીજીની હત્યા કરવાનાં ત્રણ મુખ્ય કારણો હતાં, જેનાથી રાષ્ટ્રને સંપૂર્ણ નુકસાન થયું હતું. એ આક્ષેપોનો રદિયો શ્રી ચુનીભાઈ વૈદ્યે તેમ જ શ્રી જગત ફડનીસે જે આપ્યો છે, તે ધ્યાન પર લઈએ.)
સંઘના આક્ષેપો
(૧) પાકિસ્તાનના સર્જન માટે ગાંધીજી જ જવાબદાર હતા.
(૨) પાકિસ્તાને કાશ્મીરમાં આક્રમણ કર્યું હોવા છતાં ગાંધીજીએ ૫૫ કરોડ રૂપિયા પાકિસ્તાનને આપવા માટે જ ઉપવાસ કર્યા હતા.
(૩) ગાંધીજી કાયમ મુસલમાનોનું તુષ્ટિકરણ કરતા હતા.
૧. પાકિસ્તાનના સર્જનમાં ઝીણાસાહેબ તો હતા જ. બે કોમો અલગ જ છે અને સાથે રહેવા, રાખવાનો સવાલ હોઈ જ ના શકે, એવા અલગતાવાદને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમ જ હિન્દુ મહાસભાએ પોષણ આપ્યું હતું.
માઉન્ટબેટનના દબાણ હેઠળ કૉંગ્રેસે ભાગલા માટેની સંમતિ આપી હતી. તે સંમતિ અપાઈ છે, તેની જાણ ગાંધીજીને કરવામાં આવી નહોતી. જ્યારે એ વાત તેમણે જાણી ત્યારે ગાંધીજીને સ્પષ્ટ થયું હતું કે નેહરુ અને સરદારે તેમને છેહ દીધો છે.
૨. ગાંધીજીએ ઉપવાસ ૧૩મી જાન્યુઆરીએ શરૂ કર્યા હતા. ભારત સરકારે પાકિસ્તાનને ૫૫ કરોડ રૂપિયા આપી દેવાનો નિર્ણય ૧૫મી જાન્યુઆરીએ કર્યો હતો. જો પાકિસ્તાનને ૫૫ કરોડ રૂપિયા અપાવવા માટે ઉપવાસ કર્યો હોત, તો ગાંધીજીએ ૧૫મીએ જ ઉપવાસનો અંત કરવો જોઈતો હતો, પરંતુ જ્યારે બધા પક્ષોની રચાયેલી શાંતિસમિતિ જેમાં હિંદુ મહાસભા તેમ જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ જોડાયેલાં હતાં, તે બધાં પક્ષોએ એક સંમતિથી ગાંધીજીની બધી શરતોને માન્ય કરવાને સહી કરી ત્યારે ૧૮મી જાન્યુઆરીએ ઉપવાસનો અંત લાવવામાં આવ્યો હતો.
૩. મુસલમાનોનું તુષ્ટિકરણ : જ્યારે પાકિસ્તાનની રચના અંગે વિચાર થઈ રહ્યો હતો, ત્યારે ગાંધીજીએ કહ્યું હતુંઃ ‘મહેસૂલ, પોલીસ, ન્યાય કે સ્વચ્છતા જેવી જાહેર સેવાઓમાં સરકારની જવાબદારીઓમાં હિંદુ અને મુસલમાન વચ્ચે કોઈ પણ પ્રકારનો તફાવત હોઈ જ કેમ શકે ? ભેદ હોય તે ધર્મ અને તેના પાલન વિશે હોય પણ તે બાબતો ને બિનસાંપ્રદાયિક શાસનને કોઈ પણ લેવાદેવા શા માટે હોય?’
૧૯૪૨માં ગાંધીજીએ કૉંગ્રેસને આગ્રહ કર્યો હતો કે તેના ધ્યેયમાં સત્ય અને અહિંસાને માર્ગે જ આગળ વધશું, ત્યારથી ભેદ ઊભો થયો હતો. અહિંસાનો સ્વાતંત્ર્યની લડત માટે તો સ્વીકાર કર્યો હતો, પરંતુ તેને ધ્યેય બનાવવાની સંમતિ ના આપી. કારણ એ શ્રદ્ધા કે નીતિમય સમજણ જે આવશ્યક ગણાય તે કૉંગ્રેસને પ્રાપ્ત નહોતી. આગળ વધતાં પાકિસ્તાનના સર્જન અંગે તો ગાંધીજી સાથેનો મતભેદ વધી જ ગયો અને કૉંગ્રેસના આગેવાનોએ ગાંધીજીના મતને માન્ય ના રાખ્યો. એ આગેવાનોએ ગાંધીજીને અંધારામાં રાખીને વિભાજનની સંમતિ આપી હતી, પરિણામે ગાંધીજીને ઘણો વધુ આંચકો લાગ્યો હતો. પોતાના નિકટતમ ગણેલા લોકોએ છેહ દીધો તેમ તેમણે કહ્યું હતું.
રાષ્ટ્રીય એકતાને સુદૃઢ કરવા વિશે ગાંધીજીએ વ્યક્ત કર્યું હતું કે : ‘હિન્દુસ્તાનમાં અનેક ધર્મો પાળનારા લોકો વસે છે, તેથી કાંઈ રાષ્ટ્રની એકતાને અસર થતી નથી. આવા આપણા દેશના સમાજમાં નવા-નવા લોકો પ્રવેશે તેનાથી રાષ્ટ્રને કશું નુકસાન પણ થતું નથી. જે આવે તે પ્રાપ્ત સમાજમાં ગોઠવાઈ જવાનો પ્રયત્ન કરે જ. તેથીસ્તો જે તે રાષ્ટ્ર એક રાષ્ટ્ર તરીકે ઓળખાય છે. આથી જ કોઈ પણ દેશે બહારથી આવનારા લોકોને પોતાનામાં સમાવી લેવાની અને તેમને ગોઠવાઈ જવા માટે સરળતા કરી આપવાની ક્ષમતા કેળવવી જોઈએ, એવી આવડત આપણે ત્યાં હતી અને આજે પણ છે જ. કોઈ પણ રાષ્ટ્ર વ્યક્તિના ધર્મપાલનના સ્વાતંત્ર્યને રોકટોક કરતું નથી. દુનિયાનો કોઈ પણ દેશ એક જ ધર્મ પાળનાર લોકોનો દેશ હોતો જ નથી કે તેમ ઓળખાવતો પણ નથી.’
હવે, ગાંધીજીની ચળવળને પરિણામે સ્વાતંત્ર્ય પ્રાપ્ત થાય તો જેઓએ દેશના સમાજ ઉપર પોતાનું વર્ચસ્વ મેળવવાનું ધાર્યું હતું, તેમને એવો ડર ઊભો થયો કે તેમણે ઇચ્છેલા વિચારોને કોઈ તક રહેવાની નથી. તેમની એવી પણ સમજણ હતી કે પ્રત્યક્ષ યુદ્ધ કર્યા વગર સ્વાતંત્ર્ય મેળવ્યાનો ઇતિહાસમાં કોઈ દાખલો મળતો નથી. આવાં કારણોસર સત્તા સાથે સહકાર કરીને પોતાને જરૂરી લાગી તેવી સહાય મેળવી લીધી હતી. હિંદુ મહાસભાના પ્રમુખ તરીકે સાવરકરે એ વિશે એમ કહ્યું હતું કે ‘સરકારના કાયદા તોડવા અને સત્યાગ્રહ કરવા એ કાર્યક્રમોમાં ના કોઈ તથ્ય છે કે નથી કોઈ લાભ. પરંતુ જો સૈન્યમાં જોડાઈએ તો શસ્ત્ર વાપરવાની આવડતો મેળવી શકાય.’ આવાં કારણોસર તેમણે બ્રિટિશ શાસનનું સમર્થન કરવાનું જરૂરી ગણ્યું હતું.
ગાંધીજીએ પોતાનું જીવન ખુમારીભર્યા સ્વાતંત્ર્યનો સુદૃઢ પાયો નાંખવાના પ્રયત્નમાં વાપર્યું હતું. તેમની એ સમજણ જીરવવા અને તેમના સમર્પિત જીવનને ઝીલવાની શક્તિ કે પ્રામાણિકતા જેમને પ્રાપ્ત નહોતી, તેમણે “૫૫ કરોડ પાકિસ્તાનને અપાવ્યા અને દેશનું વિભાજન કરાવ્યું” એવાં બહાનાંઓનું ઓઠું લઈને હત્યા કરાવી હતી.
દુર્ભાગ્યે કેન્દ્રિય ગૃહમંત્રી તેમ જ મુંબઈ રાજ્યના ગૃહમંત્રીને બાર (૧૨) દિવસ પહેલાં એ ષડ્યંત્રની પાકી જાણ હોવા છતાં એ દુષ્કૃત્યને અટકાવી શક્યા ન હતા.
સમાજપરિવર્તનનું ચક્ર કોઈનું ખૂન કરીને રોકી દઈ શકાય એ શક્ય થવાનું નથી. કેટલાક સમય માટે થંભાવી શકાય, પરંતુ પરિવર્તન એ ઘણું વધારે પ્રબળ જોમવાળું બળ હિંદુવાદીઓનો થયેલો તકલાદી વિજય વધુ લાંબો શકશે નહીં.
* * *
સંઘના એક સમયના સભ્યશ્રી ગોયેલે ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ વિષે અંગ્રેજીમાં પુસ્તક લખ્યું છે. તેમાંનો એક ઉતારો નીચે મુજબ છેઃ
સ્વાતંત્ર્યના ‘ચલે જાવ’‘Quit India’નો આખરી, આંદોલનનો સંઘે વિરોધ કર્યો હતો. શ્રી શ્યામાપ્રસાદ મુખરજી તે સમયે બંગાલાની સરકારના નાણામંત્રી હતા. તેમણે ગવર્નરને સલાહ આપી હતીઃ
‘ચલે જાવ’ની ચળવળને બંગાળમાં, કાબૂમાં લેવાનો પડકાર આવ્યો છે. તેનો સામનો કેવી રીતે કરવો જોઈએ? આપણે શાસન એવું (કડક) રીતે ગોઠવવું જોઈએ કે જેથી કૉંગ્રેસ ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ અહીંયાં તેમનું આંદોલન મૂળિયાં નાંખી જ ના શકે. કૉંગ્રેસ સ્વાતંત્ર્ય મેળવવાની જે રજૂઆત કરે છે, તેવું સ્વાતંત્ર્ય તો આપણે ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિઓને તો પ્રાપ્ત જ થયેલું છે. ક્યારેક કોઈ કટોકટી હોય, તો તેના ઉપર અંકુશ મુકાય તેવું થાય, ત્યારે ભારતના નાગરિકે બ્રિટિશ શાસન ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. આવી વાત કેવળ બ્રિટનને ફાયદો કરાવી આપવા માટે નહીં, પરંતુ દેશના સંરક્ષણ અને પ્રાંતના સ્વાતંત્ર્યને માટે કરવાની જરૂર છે અને ગવર્નર સાહેબ, તમારે બંધારણીય અધિકારીની હેસિયતથી વર્તવું જોઈએ અને બધા મંત્રીઓ સલાહ આપે તે પ્રમાણે જ શાસન ચલાવવાનો આગ્રહ રાખવો જોઈએ.’
* * *
આખરી દિવસે
(ઑસ્ટ્રેલિયાના ગાંધીજન સમા શ્રી સ્ટીફન મર્ફીએ તે દિવસની સંપૂર્ણ વિગત નોંધી છે, એમાંથી એક જ મુદ્દો)
આગલે દિવસે ગાંધીજીએ પ્યારેલાલને હિંદુ મહાસભાના મોભી શ્યામાપ્રસાદ મુખરજીને એ વાત સમજાવવા મોકલ્યા હતા કે ‘હિન્દુ મહાસભાના એક આગેવાન જે જાતની ખુન્નસભરી વાતો કરે છે તથા કૉંગ્રેસના આગેવાનોની હત્યા કરવાને પ્રેરે છે, તેને તેમ કરવામાંથી રોકવાનું કામ શ્યામાપ્રસાદે કરવું જોઈએ. (બપોરના ભોજન પછી લગભગ બે વાગે આ મુદ્દો ગાંધીજીએ હાથમાં લીધો અને) ગાંધીજીએ પ્યારેલાલ પાસે તેમણે લીધેલી મુલાકાતનો અહેવાલ માંગ્યો હતો. ‘મુખરજીએ ખુલાસાવાર વાત કરી ન હતી અને સંતોષજનક પ્રતિસાદ આપવા તેઓ તૈયાર ન હતા.’
પાકિસ્તાનમાં ગાંધીજીની હત્યા પછી પ્રગટેલો વિષાદ
૩૧મી જાન્યુઆરી, ૧૯૪૮ના દિવસે લાહોર ટાઇમ્સમાં શ્રી ફેઝ અહમદ ફેઝ દ્વારા રજૂ થયેલા સંપાદકીય નોંધના અંશઃ
उस पवित्र मिट्टी से धूलमिल जाय
ઇતિહાસમાં તો ગાંધીજીનું નામ ક્યારનું ય નોંધાઈ જ ચૂક્યું હતું. તેમણે જ તો સ્વાતંત્ર્યના પંથ ઉપર પ્રકાશ પ્રગટાવ્યો હતો. તે પંથ ઉપર મુસ્લિમો અને હિંદુઓ હાથમાં હાથ મિલાવી રાષ્ટ્રની સ્વાતંત્ર્યની મંઝિલે પહોંચવા માટે મળ્યા હતા.
સમાજમાં કોઈ ને કોઈ લેબલ લગાડવાનું થતું રહે છે. જ્યારે કોઈ જૂથને સંપૂર્ણ પવિત્ર ગણે અને બાકીનાને કલુષિત માને અથવા કોઈને સંપૂર્ણ નૈતિક અને બાકીનાં બધાંને અનૈતિક ઠરાવે. આવાં નામો પાડીને જોવાનું ગોઠવાતું રહે છે. પૂર્વગ્રહભરી આવી સમજણો ધરાવનારાઓને આટલો નિશ્ચયાત્મક-પ્રાણાર્પણે ગાંધીજીએ રદિયો આપ્યો છે. આથી બીજો કોઈ અર્થ કરી જ ના શકાય. કારણ આ જે બલિદાન અપાયું છે, તે તમામ પૂર્વગ્રહોને નાબૂદ કરવા માટેનું જ ગણવાની જરૂર છે. એનાથી બીજો કોઈ અર્થ કોઈએ કરવો ના જોઈએ.
આપણે જરૂર એમ ઇચ્છીએ કે આ પવિત્રતમ્ આત્માનો ભોગ લીધા પછી, આસુરી વિચારો ધરાવનારાઓને મનાવી લઈ શકાશે. તેમના મહામૂલા બલિદાનની આહુતિ આ અવળા વિચારીઓને મંજૂર થશે અને બધી હિંસા અટકી જશે.
રાષ્ટ્રના સ્વાતંત્ર્ય માટે ગાંધીજીની આગેવાની હેઠળ એકતાપૂર્વક હિંદુઓ અને મુસલમાનોએ ખિલાફતની ચળવળ વખતે ખભેખભા મેળવી લોહી રેડ્યાં હતાં, તેવી જ રીતે પાકિસ્તાન અને ભારતના લોકોનાં આંસુઓ તેઓની પવિત્ર અસ્થિધૂળમાં એક થઈ મળી જશે, જેથી ભારત અને પાકિસ્તાનના ધ્વજો પોતપોતાના શાંતિમય સ્વાતંત્ર્યને જાળવવામાં સમર્થ થશે.
– ૩ –
ચિંતાજનક પડકાર
(રજી ફેબ્રુઆરી, ૧૯૪૮ના દિવસનું લાહોર ટાઇમ્સનું સંપાદકીય)
દિલ્હીમાં થયેલી શોકાંતિકા એકાદ રાજદ્વારી દિવાનાનું એકલાનું કાર્ય નથી. ભારતને ઉદારતાયુક્ત અને લોકશાહી તત્ત્વવાળો દેશ રાખવા ઇચ્છનારાઓને ગાંધીજીને ગુમાવ્યાનું નુકસાન ભરપાઈ કરવા કરતાં પણ મોટો ચિંતાજનક પડકાર આપવામાં આવ્યો છે … હવે જ્યારે એક હત્યારાની ગોળીથી ગાંધીજી વિલીન થયા છે, ત્યારે વિચારવાન અને સમજુ લોકોને ભારત સમક્ષ મૂળભૂત જોખમ શેમાં પડ્યું છે, તે સ્પષ્ટ થયું છે. ગાંધીજીએ જે વ્રતપૂર્વક સિદ્ધ કરવાનું સ્વીકાર્યું હતું, તે જો ભારત ભૂલી જશે, તો ભારત પોતાની આબરૂ ગુમાવી બેસશે. અત્યારે ઘણે ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા છે અને પકડાપકડી થઈ રહી છે, તેવું બધું તો કરી શકાશે, પરંતુ આ મુદ્દો કેવળ પોલીસની કામગીરી માત્રથી નિરાકરણ થઈ જવાનું નથી. જે સંગઠનો આત્યંતિક રૂઢિચુસ્તતાભરી ક્રાંતિ કરવાની યોજનાઓમાં મશગુલ છે, તેને નાબૂદ કરવાની આવશ્યકતા સામે આવી છે. અમારા ખરા દિલની આશા અને પ્રાર્થના છે કે ગેરમાર્ગે દોરાયેલા ગાંડાતૂર માણસ દ્વારા સર્જેલી ભયાનક બદલો લેવાની વૃત્તિ, જેના વડે સમગ્ર પ્રજા ઘેરાયેલી છે, તેમાંથી ભારતને બચાવી શકાશે.
સંઘની સમજણ
(ક) ગોપાળ ગોડસે સાથેની રૂબરૂ મુલાકાત (ખ) ગોલવળકરજીના વિચારો (ગ) રાજાભૈયાનો ખુલાસો, આ ત્રણ રજૂઆતમાં સંઘ સ્પષ્ટ સમજાય છે.
શ્રી અરવિંદ રાજગોપાલે લીધેલી ગોપાલ ગોડસેની રૂબરૂ મુલાકાત ‘Frontline’માં ૨૮મી જાન્યુઆરી, ૧૯૯૪માં પ્રસિદ્ધ થઈ હતી તેમાંથી :
પ્રશ્ન : નથુરામ સંઘ સાથે જોડાયેલો જ રહ્યો હતો ને ?
ઉત્તર : નથુરામ સંઘના બૌદ્ધિક કાર્યવાહ બન્યા હતા. એણે કોર્ટના નિવેદનમાં એમ કહ્યું હતું કે તેણે સંઘ સાથે સંબંધ તોડ્યો હતો. ગાંધીજીની હત્યા પછી ગોવળકર અને સંઘને માથે ઘણી તકલીફ ઊભી થઈ હતી, તેથી તેણે એવું કહ્યું હતું. પણ તેણે ક્યારે ય સંઘ છોડ્યો નથી.
પ્ર. : અડવાણીજીએ તાજેતરમાં કહ્યું છે કે નથુરામને સંઘ સાથે કોઈ પણ લેવાદેવા હતી જ નહીં.
ઉ. ઃ મેં તેમનો વિરોધ કર્યો છે. એમનું આવું કહેવું એ તો કાયરતા જ છે એમ કહી શકાય. અલબત્ત સંઘે એવો ઠરાવ નહોતો જ કર્યો કે ‘જા, જઈને ગાંધીની હત્યા કર’, પરંતુ નથુરામને તમે ક્યારે ય નાકબૂલ કરી જ ના શકો. હિંદુ મહાસભાએ ક્યારે ય એમ જણાવ્યું નથી કે તેમની સંસ્થાને તે વફાદાર નથી. ૧૯૯૪થી નથુરામ હિંદુ મહાસભાનું કામ કરતો હતો, જ્યારે એ સંઘનો બૌદ્ધિક કાર્યવાહ હતો.
પ્ર. ઃ સાવરકર સાથેના તમારા બધાના સંબંધો કેટલા પ્રમાણમાં હતા ?
ઉ. ઃ તેમાં કોઈ અવઢવ નહોતી જ. અમે તેમને અમારા ગુરુ તરીકે સ્વીકાર્યા હતા. તેમનાં બધાં લખાણો અમે હંમેશ વાંચી જ લેતાં હતાં. જો અમે એમ દાવો કરતા હોઈએ કે અમે સાવરકરને સંપૂર્ણપણે સમજી ચૂક્યા છીએ, તો પછી ‘આવું કૃત્ય કરીએ કે કેમ ?’ એમ પૂછવા રહીએ, તો તો મૂર્ખામી જ ગણાય. જે ડરપોક હોય તેને ગુરુની મંજૂરી લેવા જવાનું હોય. માનો એવા આશીર્વાદ લેવા જઈએ અને ગુરુ કહે, “મૂર્ખાઓ, આવું કશું કરશો નહીં?” એમ અમને બાંધી દે અને પછી કોઈ બીજી વ્યક્તિ પોતાના સ્વનિર્ણયથી એ કામ કરી દે, ત્યારે અમે એમ વાત કરીએ કે ‘અમારે પણ આ જ કામ કરવું હતું પણ શું કરીએ ગુરુજીએ અમને રોક્યા હતા,’ ત્યારે તો અમારામાં પડેલી બીક જ છતી થાય. આવો બચાવ કરીએ, તો ગુરુની બદનામી થાય.
પ્ર. : હિન્દુ મહાસભા અને ભાજપ બેયનો મેળ હવે કેવી ભૂમિકા સાથે આગળ વધશે?
ઉ. ઃ એ બધાં ‘હિન્દુરાષ્ટ્ર’ની વાત કરતાં થયાં છે. બધાં એટલે બધાં જ. કારણ એ સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. હિન્દુ-મુસ્લિમ એકબીજામાં ભળે તેથી તો ધ્રુવીકરણ જ ઊભું થઈ જશે અને બોઝનિયામાં જે પરિસ્થિતિ થઈ તેવું જ સર્જાશે.
પ્ર. : શું આંતરયુદ્ધ થશે ?
ઉ. : બેશકપણે થશે જ. આના આ લોકો ઊભું કરશે. વોટ મેળવવાની લાયમાં મુસ્લિમોનું તુષ્ટિકરણ કરવાના છે. ભાજપમાં ‘હિન્દુત્વ’ને વધારવાની નિષ્કપટ હિંમત નથી. અને ગમે તેટલું કરો, મુસલમાનો તમને વોટ આપશે જ એવો વિશ્વાસ રાખી જ ના શકે. એક તરફ તમે અયોધ્યામાં મંદિર બાંધવાની વાત કરો છો અને પછી મુસ્લિમોના મત માંગવાની ભીખ માંગતા ફરો? આવું ચાલે નહીં.
ગોડસેને જીવંત રાખવો રહ્યો
(નથુરામ ગોડસેને ૧૭મી નવેમ્બરે ફાંસી દેવામાં આવી હતી. તે દિવસને ‘શહીદદિન’ ઊજવવાની પરંપરા ઊભી કરવાના પ્રયત્નો થતા રહે છે. આનું ૧૯૯૩માં જાહેરમાં ખંડન કરવામાં આવ્યું ખરું, પરંતુ ગોળવલકરે Bunch of Thoughts પોતાનું પુસ્તક છપાવ્યું, તેમાં એ પરંપરા ઊભી કરવા અંગેની ભીતરની જે સ્પષ્ટતા છે, તે તેઓના નીચેનાં વિધાનોમાં પ્રાપ્ત થાય છે.)
“જ્યારે અમે એમ કહીએ છીએ કે આ ‘હિન્દુરાષ્ટ્ર’ છે, ત્યારે કેટલાક લોકો તરત એ પ્રશ્ન પૂછે છે કે તો પછી મુસલમાનો અને ક્રિશ્ચયનોનું શું ?”
એ લોકોનો જન્મ અહીંયા થયો છે તે વાત સ્વીકારીએ છીએ, પરંતુ તેમને દેશનું લૂણ સ્વીકાર્ય નથી. તેઓ આ દેશને સમર્પણભાવથી સેવા આપવાની વૃત્તિ ધરાવતા નથી. તેમને તેમના પૂર્વજોને જે આ ધરતી સાથે આત્મીયતાનો ભાવ હતો, તે સંબંધ છોડીને બહારના આક્રમકોની માન્યતાઓ સાથે એકાત્મકતા કેળવી છે. તેઓ હજી એમ માને છે કે તેઓ આ દેશ ઉપર આધિપત્ય સ્થાપવા માટે આવેલા છે. આવું તેમનું માનસ હોવાથી અમે માનીએ છીએ કે તેઓ વટલાયેલા માત્ર નથી પરંતુ તેમની રાષ્ટ્રીય ભાવના પણ બદલી ચૂક્યા છે તે સિવાય એવું તો બીજું શું કારણ હોય કે તેઓ દુશ્મનોની ટોળીમાં ભળી જાય છે અને માતૃભૂમિને છોડી જાય છે?”
(ગોલવલકરજીની દૃષ્ટિએ અને તેમને અનુસરનાર ગોડસે જેવાને મન તો એકેએક મુસલમાન વિદેશના ગુપ્ત મળતિયાઓ જ છે અને તેથી જ રાષ્ટ્ર વિરુદ્ધની પ્રવૃત્તિમાં જોડાય છે. મુખ્યત્વે હિંસક પ્રવૃત્તિમાં)
‘મુસ્લિમો ભયાનક ષડ્યંત્રો રચવાના કામોમાં રોકાયેલા રહેતા હોય છે. શસ્ત્રો એકત્ર કરવાં, પોતાના જેવા વિચારો કરનારા માણસોની જમાવટ કરતા રહેવામાં રહે છે. કદાચ, તેઓ એ વાટ જોઈને બેઠા છે કે જ્યારે પાકિસ્તાન આપણા ઉપર હુમલો કરે ત્યારે તેઓ અહીં રહીને ટેકો આપી શકે. આ તેમની વાત આપણા આગેવાનો જાણતા નથી, એમ તો નથી જ, પરંતુ તેમની નજર તો ચૂંટણી ઉપર જ હોય છે. ચૂંટણી એટલે વધુ મત મેળવવા, તેથી કેટલાંક જૂથોનું તુષ્ટિકરણ કરવું વળી, આ મુસ્લિમો તો આખો ને આખો એકતરફી મત આપનારો વર્ગ છે. આમ, ખરું સત્ય તો તૃષ્ટિકરણમાં જ સંતાડવામાં આવ્યું છે, જેની વિનાશક અસરો પ્રાપ્ત થઈ રહી છે.’
ગોડસે ઉપર્યુક્ત વિચારોથી પોંખાયેલો હતો, તેથી તેને મન બે પ્રકારના લોકો ખરા દુશ્મનો છે. એક મુસ્લિમ અને બીજા બિનસાંપ્રદાયિકતાને વરેલા. મુસ્લિમો વિષેનું જોખમ ઘણું જાણીતું છે અને સુસ્પષ્ટ છે. પરંતુ આ બિનસાંપ્રદાયિકતાની ભૂમિકા ધરાવનારાઓ વિષે એટલી સભાનતા વ્યાપક સમાજને પ્રાપ્ત થઈ નથી. સરકાર જ્યારે પોતાને સહિષ્ણુ અને બિનસાંપ્રદાયિક હોવાનું જણાવે છે, ત્યારે તે કેવળ ગણતરીબાજ હોવાની જ વાત સામે આવે છે અને તેથી જ સરકાર રાષ્ટ્રને વિનાશ તરફ ધકેલી રહી છે. કેવળ હિંદુત્વ જ એવું છે કે જે વ્યક્તિના સંકૂચિત સ્વાર્થને મટાડે છે અને વ્યક્તિ પોતાની અપેક્ષાઓને રાષ્ટ્રને સમર્પે છે.
ભાજપ તો સત્તાભૂખી સંસ્થા છે. આથી જ જો ભાજપમાંથી સંઘની બાદબાકી કરી દો, તો એ કૉંગ્રેસની જ ભૂમિકામાં રજૂ થાય છે. તેથી જ સંઘ જ હિંદુત્વનું સાચું પરિબળ છે અને સંઘના સંબંધને કારણે જ ભાજપ અન્ય બધા પક્ષોના કરતાં અલાયદા વિચારોવાળો પ્રશ્ન બને છે.
રાજુ ભૈયાની રૂબરૂ મુલાકાતનો અંશ
પ્ર. : નથુરામ ગોડસેએ ગાંધીજીની હત્યા કરી તે વિષે તમારો શો અભિપ્રાય છે?
જ. : ગોડસે અખંડભારતના હેતુથી પ્રેરિત હતો. તેનું એ મંતવ્ય યોગ્ય જ હતું. પરંતુ એ ઉદ્દેશ માટે જે રસમ અપનાવી તે ખોટી હતી. પ્રારંભમાં એ કૉંગ્રેસનો સભ્ય હતો, પછી તે સંઘમાં જોડાયો હતો. અને તેને પણ એણે છોડ્યું. કારણ સંઘની ચાલ એને ધીમી લાગતી હતી. તેથી તેણે પોતાનું જૂથ રચ્યું હતું. પાકિસ્તાનથી કરોડો લોકોને શરણાર્થી થઈને અહીં આવવાની પરિસ્થિતિ સર્જાઈ તેનો એને ઘેરો આંચકો લાગ્યો હતો. પરિણામે તેને બધા નેતાઓને મારી નાંખવાની ઇચ્છા પ્રાપ્ત થઈ હતી.
આ પુસ્તક જે મુખ્ય મુદ્દો વાચક સમક્ષ મૂકવા માંગે છે, તે નેહરુજીએ ગાંધીજી હત્યા પછીના થોડા જ સમય પછી દિલ્હીના રામલીલામેદાનમાં ઉચ્ચારેલ વાક્યોમાંથી મળે છે. તેમણે કહ્યું હતું.
“એવું તો એ લોકો કેવી રીતે તેમ જ શા માટે કરી શક્યા કે ૪૦ કરોડ માનવોમાંથી કેવળ એક જ વ્યક્તિ આટલો મોટો જખમ ભારત દેશને કરી શકી ? વળી, આવું કૃત્ય કરી શકાય તેવું વાતાવરણ તૈયાર કરનારા લોકો બેરોકટોક પોતાને ભારતીય નાગરિક કહેવડાવવાની હિંમત કરી શકે તે પણ ધ્યાન પર લેવાની અને સમજવાની જરૂર છે.”
આજે પણ બહુમતી મેળવીને શાસન, જે કાંઈ લક્ષ્ય વીંધવા નીકળ્યું છે, તેને વિષે ઉપર્યુક્ત નેહરુનું વિધાન પ્રસ્તુત જ છે.
પ્રાપ્ત પુસ્તકમાં જે કાંઈ રજૂ થયું છે તેથી સંઘની સમજણો તેના પ્રયત્નો અને આખરી બરહમાઈની બધી વાતો ખુલ્લી થાય છે. છતાં એ ઉપરાંત એવું પણ ધ્યાન પર મૂકવાની જરૂર છે, જે મૂળ રજૂઆતના સમર્થનમાં હોવા છતાં ચોંકાવનારું છે અને તેથી તે વિગતોને ઝીલવાને મનને તૈયાર કરવું પડે તેમ છે.
ગાંધીજીના સંરક્ષણમાં બેદરકારી તેમ જ દિરંગાઈ
સરકારના તંત્રમાં સર્વત્ર સંઘતરફી અથવા સંઘના જ માણસો કામ કરી રહ્યા હતા. પરિણામે હત્યાનું ષડ્યંત્ર પાર પાડવામાં સરળતા થઈ હતી. જે સ્વીકારી જ ના શકાય તેટલી દિરંગાઈ તેમ જ ઉપેક્ષા તેમાંથી સ્પષ્ટ સામે આવે છે.
(૧) જાન્યુઆરીની ૨૦મીની રાત્રે મદનલાલે ષડ્યંત્રમાં જોડાયેલાં બધાનાં નામો આપ્યાં હતાં અને વિગતે પોલીસને નિવેદન આપ્યું હતું. ત્યારે તો તે છયે છ જણાં દિલ્હીમાં જ હાજર હતા, છતાં તેમાંનાં એક પણ વ્યક્તિને પકડવાનો પ્રયત્ન કર્યો ન હતો. (૨) આ અંગે કપૂર, કમિશને દિલ્હીના ત્યારના મુખ્ય પોલીસ-અધિકારી (DGI) શ્રી સંજીવને પૂછ્યું ત્યારે એનો જવાબ હતો Sorry ! (૩) મદનલાલનું નિવેદન મળ્યા પછીથી રાણાસાહેબ ઇન્સ્પેક્ટર ને બધા ષડ્યંત્રમાં સંડોવાયેલા આરોપીને પકડવાનું સોંપાયું હતું. તે માટે મુંબઈ થઈને પૂના જવાનું હતું. શ્રી રાણાસાહેબ અલાહાબાદ વિમાનમાં જવાનું ફાવતું નહતું. તેથી ટ્રેનમાં અલ્હાબાદ થઈને મુંબઈ ગયા હતા ! (૪) મુંબઈરાજ્યના ગૃહમંત્રી મોરારજીભાઈને ૧૨મી જાન્યુઆરીએ ષડ્યંત્રની જાણ થયેલી. તેમણે સહેતુક તે કામ નગરવાલા નામના પારસી પોલીસ-અધિકારીને સોંપ્યું હતું. નગરવાલા એ કામે લાગ્યા. પરંતુ તેમની તપાસમાં ગાંધીજીનું અપહરણ કરવાનું કાવતરુ આવ્યું, તેથી તે રોકવા રાજસ્થાન ગયા હતા. ત્યારે મદનલાલનું નામ મળ્યું હતું અને તેને પકડવાનો આદેશ પણ મોરારજીભાઈએ આપ્યો હતો. છતાં તે કાંઈ થયું નહીં. (૫) ઉત્તરપ્રદેશના પશ્ચિમ વિભાગમાં મુખ્ય પોલીસ-અધિકારી શ્રી જેટલીએ ગોલવકરની સંડોવણીના પૂરાવા તરીકે એકત્ર થયેલાં શસ્ત્રો અને ષડયંત્રની વિગતો જે પ્રાપ્ત થઈ હતી તે બધું ત્યારના મુખ્યમંત્રીશ્રી સમક્ષ છાનામાના પૂરાવાની બે ટ્રંકો સાથે રજૂ કર્યું હતું. પંતજીએ વાત માની ખરી, પણ પગલાં લેવા માટે મંત્રી મંડળની સલાહ લેવા રોકાયા. આમ વિલંબ થતો ગયો અને ગોલવલકર ભૂગર્ભમાં જતા રહ્યા હતા. (૬) ૩૧મીની રાત્રે મોડેથી સંઘને પ્રતિબંધિત કરવાનો નિર્ણય સરકારે કર્યો હતો. બધા પ્રાંતોને સ્પષ્ટ આદેશ અપાયો હતો કે આદેશ સંપૂર્ણ ખાનગી જ રાખવો, જેથી સંઘના કર્તાહર્તાઓને જ્યાં-જ્યાં હોય ત્યાંથી પકડીને લઈ શકાય. એ આદેશ જે તે સરકાર પાસે પહોંચે તે પહેલાં ત્રણ જ કલાકમાં દેશભરના સંઘના મિત્રોને વાત પહોંચી ગઈ અને તેમને સૂચના પણ અપાઈ કે “હમણાં જ છૂટાછવાયાં થઈ જાય. થોડા દિવસ પછી આપણે ફરી કામ ઉપાડશું.” પરિણામે સંઘના કોઈ મુખ્ય કાર્યકર્તાને પોલીસ પકડી ના શકી.
* * *
જ્યારે વિભાજનને મંજૂર કરવા અંગેની કૉંગ્રેસની બેઠક બોલાવવામાં આવી ત્યારે જયપ્રકાશ નારાયણ, રામમોહન લોહિયાને તે બેઠકમાં વિશેષરૂપે હાજર રાખવામાં આવ્યા હતા. લોહિયાએ તેમના પુસ્તક Guilty Men of Partitionમાં લખ્યું છે કે ‘ગાંધી, સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફારખાન અને જયપ્રકાશ અને મેં વિભાજનનો વિરોધ કર્યો હતો. વિભાજનની વિરુદ્ધ બીજા કોઈ એક પણ શબ્દ બોલ્યા ન હતા. આખરે ચર્ચામાં ગાંધીજીને વચ્ચે પડવાનું કદમ ભરવું પડ્યું હતું. ફરિયાદભર્યા ભાવથી તેમણે કહ્યું ‘નહેરુ અને સરદારે ભાગલાની મંજૂરી આપતાં પહેલાં મને જાણ કરી નહોતી. ત્યારે જ નેહરુએ ગાંધીજીને આગળ વાત કરતા રોક્યા હતા અને લગભગ ઊંચે અવાજે કહ્યું હતું કે હું તો વખતોવખત ગાંધીજીને બધું જણાવતો રહેતો હતો. પછી ગાંધીજીએ ફરીથી દોહરાવ્યું કે તેમને આ વિભાજનની યોજના વિષે કોઈ જાણકારી આપી ન હતી ત્યારે નેહરુએ પોતાનો અવાજ અને વલણ બદલ્યાં અને કહ્યું ગાંધીજી ત્યારે નોઆખલીમાં હતા તેથી આખી યોજનાની વિગત તેમને પહોંચાડી નહોતી શકાઈ … ત્યારબાદ ગાંધીજીએ કહ્યું આપણા આગેવાનોએ મંજૂરી આપી છે. માટે કૉંગ્રેસે આપેલા વચનને માન્ય કરી વિભાજનના કરારને માન્ય કરવો જોઈએ. કૉંગ્રેસ અને મુસ્લિમલીગ વિભાજનના સિદ્ધાંતને માન્ય કરે પછી વાઈસરૉય અને બ્રિટિશ સરકારે ખસી જવું જોઈએ. કૉંગ્રેસ અને લીગે કેવી રીતે વિભાજન કરવું જોઈએ તેની યોજના ઘડવી જોઈએ. ત્રીજા પક્ષની દખલગીરી વગર કે મદદ લીધા વગર તેમણે વિભાજનની વિગતો તૈયાર કરવી જોઈએ.’
* * *
૧૩મી જાન્યુઆરીએ ગાંધીજીએ ઉપરવાસનો પ્રારંભ કર્યો ત્યારે સરદાર નેહરુ અને આઝાદ હાજર હતા. સરદારે નામરજી જાહેર કરી અને કહ્યું લોકો તમારા ઉપવાસનો વિરોધ કરશે.’ અને તમને બદનામ પણ કરવા આ ઉપવાસનો ઉપયોગ કરશે.’ ત્યારે બાપુએ જવાબ આપ્યો ‘સરદાર, હું અત્યારે ચીનમાં નથી. દિલ્હીમાં છું. જો તમે એમ કહેવા માંગતા હો કે મેં જે નજરે જોયું છે અને જાતે સાંભળ્યું છે, તે બધું અસત્ય છે જેમાં મુસ્લિમોની ફરિયાદ કરી છે તે તમને એવી વાત ગળે નહીં ઉતરાવી શકું તે તમે મને તમારી વાત માન્ય નહીં કરાવી શકશો. મારી આંખો અને કાન પૂરતા સક્ષમ છે. હિંદુ અને શીખ મારા ભાઈઓ છે. આપણું એક જ લોહી છે. પરંતુ જે પાપ કર્યું છે. તેમાંથી તેમને બચાવવા માટે જ ઉપવાસ કરવા નીકળ્યો છું. હું આશા રાખું છું કે મારા ઉપવાસથી તેમની આંખો ઉઘડશે અને તેમને વાસ્તવિકતાની સમજણ મેળવી આપશે.’
સરદાર નારાજીપૂર્વક ઊભા થઈ ગયા. મૌલાનાજીએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો પણ તેમણે જાહેર કર્યું કે મેં નિર્ણય કર્યો છે તે મુજબ હું મુંબઈ જાઉં છું. મારે મહત્ત્વનું કામ છે.
યરવાડા જેલમાં જે મસ્ત મૈત્રી વલ્લભભાઈએ વ્યક્ત કરી હતી તે અને દિલ્હીના ઉપવાસ વખતે દાખવેલી સંપૂર્ણ નારાજગી એટલું અવળું અંતર સત્તા મેળવવા માટે કપાયું?
અંગ્રેજોને હટાવવા મધદરિયે ઝંપલાવનાર સાવરકર મુસલમાનનું નિકંદન કાઢવાના માર્ગે ચઢે ?
માનવી મન કેવાં કેવાં રંગ અને ચરિત્ર પ્રગટાવે છે તે જોતાં ડઘાઈ તો જવાય જ અને હતબુદ્ધ થઈને ચીસ જ નીકળી પડે.
ભાઈ, તમારા વિચારો અને સિદ્ધાંતો જે હોય તે પરંતુ આખરે પૂછતો પ્રશ્ન, આચરણને રસ્તે ક્યાં ઊભા છીએ તેનો છે.
ગાંધીજી માનવધર્મયુક્ત શાસન ગોઠવવા નીકળ્યા હતા તે કયા ધર્મની વિરુદ્ધનું ગણાય ? આવા પ્રશ્નો આ પુસ્તકે મને મેળવી આપ્યા છે.
એમની હત્યા એ માનવીય વિકાસને ઠેસ મારવાનો જ નહીં પરંતુ વિનાશની ખીણમાં ધકેલવાનો પ્રયત્ન થયો છે.
જો, સંકૂચિત મન, અહમાધિન વર્તનોને ધર્મના સાધન બનાવનારાઓ ફાવે તો સમાજનું વિઘટન તો અનિવાર્યપણે થાય. સવાલ અસહિષ્ણુતાનો જ નથી, રાષ્ટ્રપ્રમુખે કહ્યું તેમ સફાઈ મનની કરવાની જરૂર છે. હા! સાબરમતી આશ્રમજનો!
દોરી સત્ય અહિંસાની મજબૂત વાગી છતાં અતિશય સૂક્ષ્મ છે, અલ્પતમ એવી ભૂલ કે પ્રમાદે, સમતોલના ગુમાવાય અને પડે ઊંધા પંથની ખીણમાં.
હરિનો માર્ગ, મસ્તક મૂકી, મરણ આગમે મૂઠ્ઠી ભરનારા ગાંધીસમા વીરો જ માનવતાની કૂચને ભયંકર આપત્તિમાંથી બચાવી લઈ શકશે.
વેડછી
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2016; પૃ. 07-08; 16 ફેબ્રુઆરી 2016; પૃ. 12-14 તેમ જ 01 માર્ચ 2016; પૃ.