ભાઈ મોહન મઢીકરની પાયાની મહેનત વગર આ પુસ્તક – ‘હૃદય સદાય જેનું સ્નેહભીનું’ તૈયાર કરવું શક્ય જ ન હતું. બધી રસોઈ કરવાની સામગ્રી તેમ જ જરૂરી મસાલા, અને ઠીક એવું કાચું પાકું રાંધ્યા પછી વઘાર છેવટે કરવાનો હોય તેવું મારે ભાગે ગણવું જોઈએ. ભાઈ રાજુભાઈ, મારી પાછળ પડીને ઉઘરાણી કરતા રહ્યા. ‘કેટલે આવ્યા ? ક્યારે આવીએ ?’ એમનો ફોન દસ પંદર દિવસે આવ્યો જ હોય. વળી, જે કાંઈ તૈયાર કરીને હું આપું તે બધું સારી રીતે ટાઈપ કરાવીને પાછું તેનું પ્રુફ રીડીંગ મારી પાસે કરાવીને છેવટનું સ્વરૂપ નક્કી કરાવી લેવાની કાળજી પણ તેમણે લીધા કરી. એટલે જ આ પુસ્તકના સંપાદનનું કામ એ બેઉ, મીનુભાઈના ચાહકો – ભક્તોને જ આભારી છે.

મીનુભાઈ
મીનુભાઈને ન્યાય થયો છે કે કેમ એ તો પુસ્તકના વાચક નક્કી કરશે. મારું અંતરમન એમ જ કહે છે કે મીનુભાઈની જે ચોક્સાઈ અને પ્રયત્નશીલતા, તે કક્ષાએ પહોંચવાનું મારું ગજું જ નહીં. એમની પ્રાપ્ત અંગત ડાયરીઓ જ પૂરી વાંચી નથી શક્યો. વળી, એમણે તો કેટકેટલાં લખાણો, પુસ્તકો, પોસ્ટરો, ચોપાનિયાં તૈયાર કર્યાં એ બધાં જોયાં છે પણ તે સૌનો પૂરતો અભ્યાસ કરીને તેનો નિચોડ આપી શકાયો છે એમ પણ કહેવાની હિંમત કરતો નથી. યદાકદા, એમને વિશે વધુ પ્રયત્ન કરીને રજૂ કરનાર ભવિષ્યમાં કોઈ નીકળે તો જ મીનુભાઈને ખરો ન્યાય થાય.
મીનુભાઈને જુગતરામકાકાના હનુમાન તરીકે જોવાય તે યોગ્ય જ છે. છતાં પુસ્તકના કેન્દ્રમાં તો મીનુભાઈને રાખવાનો પ્રયત્ન કર્યો તેથી જુગતરામકાકા આમાં નહીં જડે. જો કે જુગતરામકાકાના પ્રોત્સાહનથી જ મીનુભાઈ પોતાની જાતને આગળ ધપાવતા રહ્યા. વળી, મીનુભાઈએ તો જાતે તેમને પોતાના આદર્શ તરીકે સ્વીકારેલા. તેથી જ મીનુભાઈ “વેડછીકરણ” ઉત્તમ સૈનિક તરીકે સામે આવે છે.
આ પુસ્તકનો આકાર અંજલિસ્વરૂપનો જ રાખવો તેવું પહેલેથી મનમાં વિચારેલું. સંભવ છે, મીનુભાઈ પણ તેવું જ ઇચ્છે. ‘મારું નામ નહીં કામ સમજે’ એવી એમની અપેક્ષા હોય ને ! એમ કહેવું યોગ્ય થશે કે આ પુસ્તકનું સ્વરૂપ ક્રમશ: ઘડાતું ગયું. એ પૂર્વનિયોજિત નહોતું. જેમ જેમ મીનુભાઈની નજીક જવાનું થયું તેમ તેમ એમને રજૂ કરવાની સૂઝ મળતી ગઈ. આ શાળા નથી, પ્રયોગશાળા છે. નઈ તાલીમની ખોજ અને વસ્ત્ર સ્વાવલંબનનાં ત્રણ પ્રકરણો મીનુભાઈના પ્રારંભિક પ્રયત્નોના ગણાવું છું. એમણે જે આત્મચિંતન કર્યું અને માર્ગદર્શન મેળવ્યું તે ‘મનોગત’ અને પત્રમંજૂષામાં સમાવ્યું. અલબત્ત, તેમાં જુગતરામકાકાની વાત ‘આશ્રમમાં જોડાવું એ સામાન્ય નોકરી નથી. તમે તમારા જીવનના વિકાસ અર્થે કામ કરો છો. અને તે અર્થે કાંઈક આર્થિક ભોગ પણ આપો છો. તેમ જ તમારા બીજા હક્કો હોય તે પણ ગુમાવવા તૈયાર છો’ – એ વાત મીનુભાઈના જીવનના ધ્યેયમંત્રરૂપ બની એમ સમજીએ તો મીનુભાઈને વધુ ઓળખી શકાશે. આ અપેક્ષાની ધૂન લઈને મીનુભાઈ કેવા થઈ શક્યા તે ‘વૃક્ષમિત્ર’, ‘ભાવિપેઢીના હિતચિંતક’ અને ‘સુરુચિનાં પ્રાણ’ પ્રકરણો દ્વારા પ્રગટ કરાયા છે.
ગણતરીમાં ન હતાં છતાં શ્રદ્ધાંજલિઓ તેમનો દાવો કરીને સ્થાન મેળવી જ ગઈ. કાવ્યાંજલિઓ અને ‘સાથીઓની નજરે’ એ બે પ્રકરણો તેથી ઊપસી આવ્યાં.
આ કામ લીધે લગભગ એક વરસ થવા આવ્યું તે બદલ મુ. ઝીણાભાઈની માફી માંગવી રહી. એમણે કદી ઉઘરાણી તો નથી કરી પણ સોંપ્યું ત્યારથી વહેલું છપાય તેમ તેઓ ઇચ્છતા એમ મને સમજાતું રહ્યું હતું. વાસ્તવમાં ઝીણાભાઈ ઘણા સરળ માણસ છે. એમને ઝટ ઓળખી શકાય છે. રાજકારણનો ઓછાયો એમના જીવન પર પડ્યો છતાં છળકપટ તેમને ભાવતાં નથી. મૂળે ઝીણાભાઈ એક લાગણીપ્રધાન જીવ છે. જુગતરાભાઈના સ્પર્શથી સામાન્યજન પ્રત્યેની હમદર્દી વધુ મેળવી અને જાતે રાષ્ટ્રીયત્વ ખીલવ્યું. તેથી જ ઉદારતા સહજ મેળવી લીધી છે. અને તેથી જ મારા જેવા વખત – કવખતે તેમની ટીકા કરનાર, એમની સાથે સજાગ રહી વર્તનારને કામ સોંપવામાં તેમને થડકાર થતો નથી. “મીનુભાઈવાળું પુસ્તક તમારે કરવાનું છે” એમ એમણે કહ્યું ત્યાર પહેલાં મારા મનમાં હતું ખરું કે એ મારે જ કરવું જોઈએને ! એટલે ભાવતું તો મળ્યું. પણ તે સાથે ઝીણાભાઈ સાથેનો સંબંધ આ પુસ્તક તૈયાર કરવા મળવાથી વધુ સરળ અને સુદૃઢ થયાનું અનુભવું છું. આવી તેમને ય ઓળખવાની તક આપવા બદલ તેમનો આભાર માનું છું.
રાષ્ટ્રને “લોકસેવકોની” જરૂર છે એવું કહીને ગાંધીજી વિદાય થયા. તેવા લોકસેવક થવાનો મીનુભાઈએ પ્રયત્ન કર્યો છે. ભાઈ વરિયાવનાં પત્ની પરસીસબહેનના શબ્દોમાં “અમારે મન તો મીનુભાઈ જ ગાંધીજી હતા. કારણ અમે ગાંધીજીને તો જોયેલ ન હતા. આ સાદો સીધો નિસ્પૃહ, નિસ્વાર્થી માનસ જ જોયેલો.”
૨૧મી સદીમાં ‘લોકસેવક’ થવા ઇચ્છનાર નવી પેઢીને મીનુભાઈના ઉદાહરણનો લાભ મળે તેવી પ્રાર્થના કરું છું. અને ‘વેડછીકરણ’ના આદર્શ સૈનિક મીનુભાઈને હજારો સલામ કરું છું.
વેડછી, ૦૨-૧૦-૦૨
(‘હૃદય સદાય જેનું સ્નેહભીનું…’ પુસ્તકનું સંપાદકીય)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 એપ્રિલ 2024 : ‘શિક્ષણવિદ્દ જ્યોતિભાઈ દેસાઈ વિશેષાંક’ – પૃ. 37