
રવીન્દ્ર પારેખ
આમ તો છેતરપિંડી ભારતની ઓળખ બની ગઈ છે. એ સાધારણ માણસોની છેતરપિંડી તો છે જ, પણ ગુજરાતમાં સરકારી અધિકારીઓ સરકારનું ખાઈને કેવી રીતે સરકારનું ખોદે છે અને સામાન્ય પ્રજાને આડેધડ વેતરી નાખે છે, તેની શરમજનક વાતો જાહેર થઈ છે. ગયા એપ્રિલમાં સેન્ટ્રલ GSTના એક ઉચ્ચ અધિકારી, 20 લાખની લાંચ લેતાં પકડાયેલા. GST એવો કૂવો છે કે કોઈ અધિકારી એમાંથી ઉલેચવા જાય તો હાથ ખાલી ન રહે. તે વેપારીઓ માટે ત્રાસદાયક છે, પણ અધિકારીઓને તો તે દૂધ દેતી ગાય જ છે.
એક અખબારમાં ગુજરાતના અધિકારીઓની બદમાશીની જે વિગતો બહાર આવી છે તે સ્ફોટક અને આઘાતજનક છે. આ કામ સરકારના જ માણસો સરકારને નામે વેપારીઓને છેતરીને સિફતથી કરી લે છે. અમદાવાદના ટેક્સટાઇલ, સ્ક્રેપ અને કેમિકલ સેક્ટરના વેપારીઓ કુદરતી આફતથી નથી ડરતા, એટલું સરકારના GST અધિકારીઓથી ડરે છે. આ ડર કોઈ માથાભારે તત્ત્વોએ ઊભો કર્યો છે એવું નથી. આ ડર સરકારી અધિકારીઓ દ્વારા વેપારીઓ પર ઊભો કરાયો છે. જેમણે સરકારની તિજોરીઓ ભરવાની છે, તે વેપારીઓની તિજોરી ખાલી કરીને, સરકારને નામે, પોતાનું તળિયું ટાઢું કરી લે છે. GST વિભાગના જ કેટલાક ભ્રષ્ટ અને તોડબાજ અધિકારીઓ કોઈ ફિલ્મની જેમ નકલી રેડ પાડે છે અને પછી લાખો રૂપિયાનો તોડ કરે છે. ગુજરાતની ઓળખ વેપાર ઉદ્યોગ છે. GSTના રાજ્યકક્ષાના કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓની પરસ્પર સમજૂતીથી તોડપાડ નેટવર્ક ચાલી રહ્યું હોવાના સમાચાર છે. આ કૌભાંડ એકાદ હજાર કે લાખેકની આસપાસનું જ નથી, તે લાખો-કરોડોમાં ખેલાય છે.
વેપારીને પહેલાં તો સમન્સ મળે છે ને સાથે જ વેપારીને ડરાવવા, ધમકાવવા, ખંખેરવાની રમતો શરૂ થાય છે. એની કેટલી ય ફરિયાદો PM અને CM સુધી પહોંચી છે. આ ખાલી એક કાનેથી સાંભળીને બીજે કાનેથી કાઢી નાખવા જેવી વાત નથી, પણ એક નક્કર હકીકત છે. CM, PM સુધી પહોંચેલી ફરિયાદમાં લાલ બત્તીઓવાળી ગાડીમાં ફરતા અધિકારીઓનાં નામ પણ જોડવામાં આવ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આ તોડપાડુ અધિકારીઓની મોડસ ઓપરેન્ડી ડેવેલોપ થઈ છે. તે મુજબ સૌથી પહેલાં તો કોણ ફસાઈ શકે એમ છે, એવા ધનાઢ્ય વેપારીઓની યાદી તૈયાર કરવામાં આવે છે, તે પછી કોઈને કોઈ ટેકનિકલ બહાનું આગળ કરીને, જી.એસ.ટી.ની કલમ 70-1 નો દુરુપયોગ કરીને કેટલાક વેપારીઓને સમન્સ બજાવવામાં આવે છે. વેપારી જવાબ આપવા ઓફિસે પહોંચે તો તેના પર માનસિક દબાણ એવી રીતે ઊભું કરવામાં આવે છે કે વેપારી પડી ભાંગે. તમે સરકાર સાથે ખોટું કર્યું છે. (આવું કહીને જે તે અધિકારી પણ ખોટું જ કરે છે) તમારી કુંડળી ખૂલી ચૂકી છે. તમે મોટી પેનલ્ટીને લાયક છો જેવું કહીને અધિકારીઓ GST નમ્બર રદ્દ કરવાની વાત કરે છે ને જેલમાં મોકલવા સુધીની ધમકી, પૂરી નિર્ભયતાથી આપી દે છે. એને લીધે વેપારીઓ ગભરાઈ જાય છે ને તેની પાસે અધિકારીઓનું માનવા સિવાય બીજો વિકલ્પ જ નથી રહેતો ને અધિકારીઓ એ ગભરાટનો લાભ ઉઠાવે છે. તેમને માટે કરોડો રૂપિયાના દરવાજા ખૂલી જાય છે. આમાં સસ્પેન્ડેડ લાઈસન્સ અને કેટલીક પેઢીઓનાં રજિસ્ટ્રેશનના ડેટાનો ઉપયોગ કરીને અધિકારીઓ દાવ ખેલી લે છે.
સરખેજના એક કાપડના વેપારીને ત્યાં સત્તાનો છડેચોક દુરુપયોગ કરીને રેડ પાડવામાં આવી. વિભાગ-1 અમદાવાદના સહાયક રાજ્ય કમિશનરો સહિત 15 લોકોની એક ટીમે દરોડો પાડ્યો હતો. કાયદેસર રીતે CCTV કેમેરા બંધ કરાવવાની સત્તા અધિકારીઓ પાસે હોતી નથી, પણ વેપારીઓ એ જાણતા ન હોવાથી અધિકારીઓ દ્વારા CCTV કેમેરા બંધ કરાવવામાં આવ્યા. બારણાં બંધ કરાવવામાં આવ્યા અને બંધ બારણે વેપારી પાસેથી 28 લાખ રૂપિયાનો તોડ પાડવામાં આવ્યો. આવો જ એક કિસ્સો જામનગરમાં પણ બન્યો. 2026નું નવું નાણાંકીય વર્ષ શરૂ થાય તે ગાળામાં જામનગરમાં GST અધિકારીઓએ મોટો હાથ માર્યો હતો. એપ્રિલમાં ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડેડ GSTના સહાયક રાજ્ય વેરા કમિશનર અને તેમની સાથે સંકળાયેલ લોકોએ કલ્પ એન્ટરપ્રાઈઝ નામની પેઢીને REG-17ની નોટિસ ફટકારી હતી. નોટિસ આપતા પહેલાં કોઈ પ્રકારની ચકાસણી કરી હોવાનો રાજ્ય વેરા કમિશનર પર આરોપ છે. નોટિસમાં એવો ખોટો ઉલ્લેખ પણ છે કે વેપારીઓ સુઓમોટો કેન્સલ્ડ થયેલ છે, જેમાં 11 વેપારીઓએ ફ્રોડ કરવા માટે રજિસ્ટ્રેશન મેળવ્યું હતું. વેપાર બંધ કરવાની ધમકી આપીને કલ્પ એન્ટરપ્રાઈઝના કેસમાં રોકડી 60 લાખની લાંચ માંગવામાં આવી હતી. ગમ્મત તો એ છે કે આ રકમ બેંક દ્વારા વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર થઈ હોવાના પુરાવા પણ મળ્યા હતા. આ કાર્યવાહી તોડબાજી તરફ આંગળી ચીંધે છે. જો કે, GST અને પોલીસ તપાસ હાથ ધરાઈ હોવા છતાં શું થયું તે બહાર આવ્યું નથી.
CM અને PMને અપાયેલી ફરિયાદમાં તોડબાજી કરતી ટીમમાં એડિશનલ સ્ટેટ કમિશનર, જોઈન્ટ સ્ટેટ કમિશનરો તેમ જ અન્ય અધિકારીઓનો સમાવેશ થાય છે. ફરિયાદમાં જણાવાયું છે કે ઉપરોક્ત અધિકારીઓ દ્વારા 10 માસમાં 40થી વધુ કેસોમાં સમન્સની મંજૂરી આપવામાં આવી છે. જો આ કમિશનરો દ્વારા અપાયેલા સમન્સની રૂબરૂમાં ચકાસણી કરવામાં આવે, તો ભ્રષ્ટાચારનું નવું પ્રકરણ ખૂલે એમ બને. આ લૂંટ માત્ર ઓફિસોમાં જ નહીં, ગુજરાતના હાઈવે પર પણ ચાલે છે. હાઈવે પર ટેકસચોરી પકડવા GSTની મોબાઈલ સ્કવોડ દ્વારા સતત મોનિટરિંગ થતું હોય છે, પણ E-વે બિલના ચેકિંગમાં અને ઓવર લોડેડ ટ્રકના કિસ્સામાં ટ્રકો રોકીને, પેપર્સ સાચા હોવા છતાં ટેકનિકલ ખામીઓ બતાવીને સ્પોટ પર જ તોડ પાડવામાં આવે છે.
આ બને છે એટલે કે વેપારીઓને સાચી હકીકતનો ખ્યાલ નથી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સની ગાઈડ લાઈન્સ અને કાયદાઓ વેપારીઓની સુરક્ષા માટે જ છે, પણ તોડબાજ અધિકારીઓ તેને બાજુ પર મૂકીને વર્તતા હોય છે. એક બે નહીં, પણ ઘણાં નિયમો તોડીને વેપારીઓને હેરાન કરવામાં આવે છે. સરકારનો કડક નિયમ છે કે અધિકારી દ્વારા ઇસ્યૂ કરાતી નોટિસ, સમન્સ કે પત્ર પર ઓનલાઈન જનરેટ થયેલો DIN હોવો જ જોઈએ. DIN વગરની નોટિસ ગેરકાનૂની ને કાયદાની નજરમાં અમાન્ય ગણાય છે. કોઈ પણ મહત્ત્વની તપાસ, રીસર્ચ સીઝર … માટે GST સર્વોચ્ચ અધિકારીની લેખિત મંજૂરી અનિવાર્ય છે. નવી SOP મુજબ આખરી ઓર્ડર પાસ કરતા પહેલાં વેપારી કે તેના CA – વકીલને સાંભળવાની તક આપવી અનિવાર્ય છે. ત્રણ વાર તક આપ્યા પછી પણ વેપારી હાજર ન થાય તો અને તો જ અધિકારી એકતરફી નિર્ણય લઈ શકે છે. આવા તો ઘણા નિયમો છે, પણ વેપારીઓ જાણતાં નથી ને GST ભ્રષ્ટ અધિકારીઓનો શિકાર થાય છે.
જોવાનું એ છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી પહોંચેલી ફરિયાદનું નિરાકરણ ક્યારે થાય છે? આશ્ચર્ય તો એ છે કે કાયદો શીખવનાર જ કાયદાનો દુરુપયોગ કરે છે ને એમની સાથે કાયદાએ વધુ કડકાઈથી વર્તવાની જરૂર છે. ફરિયાદો તો ઘણી થઈ છે, ઘણા જવાબો લેખિતમાં માંગવામાં આવ્યા છે, પણ અત્યાર સુધી કોઈએ મગનું નામ મરી પાડ્યું નથી.
એ કેવું છે કે સરકારના અધિકારીઓ, સરકારી કાયદા જાણનારાઓ, કાયદો ખબર નથી એવા વેપારીઓને પૂરી બેશરમીથી લૂંટે છે. આ લૂંટનો હિસ્સો તેઓ સરકારમાં જમા કરાવતા નથી, પણ પોતાની તિજોરી ભરવા કરે છે. આ અધિકારીઓ ગરીબ નથી. સરકાર આમ પણ અધિકારીઓને પગારમાં લાખો રૂપિયા ચૂકવે છે, છતાં એમનું પેટ ભરાતું જ નથી. એ કેવું છે કે સરકારી કાયદાઓ પ્રજાના હિતમાં ઘડાય છે, પણ પ્રજા એને વિષે બહુ જાણતી નથી ને તેનો લાભ લઈને આવા અધિકારીઓ હોજરી ઠાંસતા રહે છે. આવા અધિકારીઓને સસ્પેન્ડ કરાય છે, પણ એ સજા તો બહુ નાની છે. થોડા વખતમાં અધિકારીઓ મૂળ જગ્યાએ કે બીજે પાછા ફરતા હોય છે ને નવેસરથી નવી લૂંટ ચલાવતા હોય છે. આ બે પ્રકારનું પાપ છે. એક તો નિર્દોષ વેપારીઓને લૂંટવામાં આવે છે ને એ પૈસા સરકારમાં જમા કરાવવાને બદલે, પોતાની હોજરીમાં ઠાલવવામાં આવે છે. આવું કોઈ ગરીબ કરે તો સમજ્યા, આ બધા કરોડો ઉસેટી શકે એટલા કાબેલ હોય છે ને એ જ ગરીબ ભિખારીની જેમ અકરાંતિયાની જેમ ઉસેટે છે ત્યારે આઘાત લાગે છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 ઑગસ્ટ 2026
![]()

