ગ્રંથયાત્રા : 7
અઢાર-ઓગણીસ વરસનો એક ટીનએજર છોકરો. નાશિકની જેલમાં પુરાયો છે. ના, હોં! કાળાધોળા કરીને જેલમાં નહોતો ગયો એ. ગાંધીજીની રાહબરી નીચેની દાંડી કૂચમાં ભાગ લીધેલો એટલે ત્રણ મહિનાની જેલની સજા થયેલી. જેલની દીવાલ ખાસ્સી ઊંચી. બહારની દુનિયા તો દેખાય જ નહિ. પણ જેલની બહાર એક વડનું ઝાડ. એ પણ કાંઈ આખું દેખાય નહિ. પણ એ હતું ખાસ્સું ઊંચું, એટલે તેની ડાળીઓનો જાણે કે એક ટુકડો પેલા યુવાન કેદીને જોવા મળતો. એ જોતાં એનું મન થોડાં વર્ષો પાછળ ચાલ્યું જાય. એનું વતન તો ભાવનગર, પણ એક-બે વરસ જૂનાગઢની સ્કૂલમાં ભણેલો. ત્યારે મજેવડી દરવાજે એક ખાસ્સો મોટો વડ. એની ડાળીઓ પર દોસ્તારો સાથે ઝૂલેલો, ધીંગામસ્તી કરેલા. એ બધું યાદ આવે. રાજકીય કેદી હતો એટલે લખવા-વાંચવાની છૂટ હતી. જેલર પાસે કલમ ને કાગળ માંગ્યા, અને જાણે ઝોડ વળગ્યું હોય તેમ માંડ્યો લખવા. લખ્યા પછી જેલમાંના સાથીઓ આગળ વાંચી ગયો. બધાને ગમ્યું. જેલમાંથી બહાર આવ્યો તે પછી ૧૯૩૧માં ચોપડી રૂપે છપાવ્યું એ લખાણ.
એ ચોપડી હતી એક નાટકની. એનું નામ ‘વડલો.’ અને તેનો યુવાન લેખક તે કૃષ્ણલાલ શ્રીધરાણી. ૧૯૧૧ના સપ્ટેમ્બરની ૧૬મી તારીખે તેમનો જન્મ. આવતી કાલે એ વાતને ૧૦૨ વર્ષ પૂરાં થશે. જૂનાગઢના અભ્યાસનાં વર્ષ બાદ કરતાં ભાવનગરની દક્ષિણામૂર્તિમાં અને પછી ગુજરાત વિદ્યાપીઠમાં ભણેલા. આવો છોકરડો પહેલી વાર નાટક લખતો હોય ત્યારે ઘણુંખરું બીજા કોઈ મોટેરા નાટકકારનું અનુકરણ નહિ, તો ય અનુસરણ કરે. પણ ‘વડલો’ને થોડુંઘણું પણ મળતું આવે તેવું બીજું કોઈ નાટક આપણી ભાષામાં તો ત્યાં સુધીમાં લખાયું નહોતું, આજે પણ લખાયું નથી. ભારતની મરાઠી-બંગાળી જેવી બીજી ભાષાઓના સાહિત્યનો, અંગ્રેજી કે યુરોપીય સાહિત્યનો, એ વખતે શ્રીધરાણીને પરિચય હતો કે નહિ, હતો તો કેટલો, તે આપણે જાણતા નથી. પણ બીજી ભાષાઓમાં પણ એ વખતે આવું નાટક મળવું મુશ્કેલ. જેલમાં બેઠેલા કેદી માટે તો લગભગ અસંભવ. એટલે, લેખકે બીજા કોઈને નહિ, પણ પોતાની જાતને પૂછી પૂછીને આ નાટક લખ્યું છે. નાટકમાં પાત્રો તો ઘણાં છે, પણ માણસો તો ગણ્યાગાંઠ્યા જ છે. ભથવારી, એનો પતિ ગોવાળિયો, નિશાળના તોફાની છોકરાઓ અને એમને મારવા દોડતા આવતા માસ્તરને બાદ કરતાં આ નાટકની સૃષ્ટિમાં માણસો જોવા નથી મળતા. તો પછી નાટકમાં પાત્રો તરીકે આવે છે કોણ? પહેલવહેલો, નાટકનો નાયક વડલો. હા, વડનું ઝાડ. અને ખલનાયક કહી શકાય એવો ઝંઝાવાત. સૂત્રધાર છે કૂકડો. ધીરોદાત્ત નાયકનું ખલનાયકને હાથે મોત થાય છે. એટલે જ કદાચ લેખકે આ નાટકને ‘શોક પર્યવસાયી’ નાટક તરીકે ઓળખાવ્યું છે. ચંદ્રવદન મહેતાએ એમની લાક્ષણિક શૈલીમાં કહ્યું છે : “કહે. કવિ છે. એને ફાવે તેમ કહે. શેનો શોક – શેની ગ્લાનિ – વડલો વાયુએ વિંઝાઈ ગયો એનો? દરેક માણસ મરે છે. એથી આજના અર્થમાં દરેકની ટ્રેજેડી નથી થતી. વડલો લાંબુ જીવે છે, પણ આખરે તો ભલભલાનાં મૂળિયાં ઊખડી જવાનાં છે. પણ વડલો ધીરગંભીર સમભાવશાળી સંવેદનશીલ કૃતિનાયક છે.” નાટકનો અંત પણ નિરાશાપ્રેરક નથી. જુઓ ઝરણીના આ શબ્દો : “વડદાદાનો દેહ પડ્યો છે, પણ પ્રાણ તો હજી અણનમ છે. અને જે ઝંઝાવાતે વડદાદાના મહાન જીવનનો અંત આણ્યો છે તે જ ઝંઝાવાતે વડદાદાના અસંખ્ય ટેટાઓ ગાઉઓના ગાઉ સુધી પ્રસારી દીધા છે. એ ટેટાઓમાંથી વડદાદા જેવા બીજા અસંખ્ય વડલાઓ ફૂટી નીકળશે.” ‘પુનરપિ જનનમ્, પુનરપિ મરણમ્…’ એ શંકરાચાર્યના શબ્દો યાદ આવી જાય એમ છે.
અમાનવીય પાત્રોને આગવું વ્યક્તિત્ત્વ આપવું મુશ્કેલ. પણ અહીં લેખકે એ મુશ્કેલ કામ કરી બતાવ્યું છે. અહીં જે પાત્રો જોવા મળે છે તે છે કોયલ, પોપટ, કાગડો, કાબર, મેના, મોરલો, રાજહંસ, બપૈયો, સૂડો જેવાં પંખીઓ, કમલિની, સૂર્યમુખી, ચંપો, જેવાં ફૂલો, ભાદરવાનો ભીંડો, આકાશી શુક્ર, ચંદ્ર, દેવયાની, મંગળ, ગુરુ, શ્રવણ; અને કિરણ, ઝરણી, ઝાકળ, સમીર, વાદળાંઓ, વીજળી, જેવાં પ્રાકૃતિક તત્ત્વો. ભલે લાંબુ, પણ વડલો છે પાછું એકાંકી. અને કોઈ પણ એકાંકીમાં આટલાં બધાં પાત્રો હોય તો દરેકને આગવું વ્યક્તિત્ત્વ આપવું મુશ્કેલ. અહીં પણ નથી અપાયું. પણ વડ, ઝંઝાવાત, કમલિની, ભીંડો, ઝરણી, જેવાં કેટલાંક પાત્રોને પોતીકું કહી શકાય તેવું વ્યક્તિત્ત્વ લેખકે સફળતાપૂર્વક આપ્યું છે. અને બધાં પાત્રોમાં શિરમોર જેવું તો છે ભથવારીનું પાત્ર. ચંદ્રવદનભાઈએ સાચું જ કહ્યું છે : “આ કલ્પના નીતરની કૃતિમાં નાટ્યતત્ત્વથી ભર્યું ભર્યું પાત્ર તો એક જ છે, અને તે પણ હૃદયંગમ છે. કોણ એ વારુ, પારખી શકો છો? રસપ્રવાહમાં વણાયા-તણાયા હશો તો તરત અંતરથી હોઠે આવશે: ગોધણ ધણીની ભથવારી.” આ ભથવારી જે ગીત ગાય છે તેના પર ચંદ્રવદનભાઈ એટલા તો આફરીન થઇ ગયેલા કે પોતાનું નાટક ‘રમકડાંની દુકાન’ પોતે ભજવતા ત્યારે આ ગીત ઉછીનું લઈને બીજા અંકને છેડે તેનો રાસ જમાવતા. લખે છે: “રમકડાંની દુકાન કદીક ક્યાંક ભજવાય છે, પણ ભથવારીના એ ગીત વિના દુકાનની બરકત દીપી નીકળતી નથી.”
માત્ર એક આ ગીત જ નહિ, નાટકમાં આવતાં ઘણાં બધાં ગીતો તેનું આગવું આકર્ષણ અને આભૂષણ બની રહે છે. શ્રીધરાણીને કવિ તરીકે ભાવકોના મનમાં વસાવવા-ઠસાવવામાં પણ આ ગીતોનો ફાળો નાનોસૂનો નથી. આરંભે અને અંતે આવતું કૂકડાનું ‘અમે તો સુરજના છડીદાર,’ હંસગાન ‘દરિયાના બેટથી ઊડ્યા અમે તો, હિમાળા ડુંગર જાવાં જી!,’ તારાઓનું ગીત ‘સંધ્યા આવી પૂરે કોડિયાં, આભ અટારી શણગારે’, કેટલાં ગણાવવાં. અને પાછાં બધાં ગીતો એવાં છે કે નાટયગીત તરીકે એકદમ બંધ બેસતાં, અને સ્વતંત્ર ગીત તરીકે, કવિતા તરીકે પણ ઊભાં રહી શકે એવાં. ટોટલ થિયેટરની વિભાવનાથી એ વખતે લેખક પરિચિત હશે કે નહિ એની તો ખબર નથી, પણ ભજવાય ત્યારે આ નાટક ટોટલ થિયેટરનો અનુભવ કરાવે એવું છે. મરાઠીનાં કે બીજી ભાષાઓનાં સફળ નાટકોની પાંચમી કાર્બન કોપી જેવાં નાટકો પર નભતી આજની આપણી ધંધાદારી રંગભૂમિ પર આજે કોઈ ન ભજવે, પણ ‘પ્રયોગાત્મક’નો ફાંકો રાખનારાઓએ ભજવી જોવા જેવું છે.
નાટક લખાયું ૧૯૩૦માં, પહેલી વાર છપાયું ૧૯૩૧માં. પણ આજે ય તાજું અને સોજ્જું લાગે છે. ૧૯૫૨માં ‘સંસ્કૃતિ’ માસિકમાં પ્રગટ થયેલ ‘હું અને કવિતા’ નામના લેખમાં ડૉ. શ્રીધરાણીએ કહ્યું છે: “આમ તો વડલો એક નાટક છે, પણ મારે મન એ એક સોનેટ સિક્વન્સ છે. ઉંમર વધતી જાય તેમ તેમ આપણે પહેલાં લખેલું સુધારવાનું મન થાય, પણ વડલો મારી એક એવી કૃતિ છે જેમાં એક કાનો ઉમેરવાનું મન નથી થતું. હું એને મારું એક ધન્ય ક્ષણનું દર્શન માનું છું. વડલોથી હું કૃતાર્થતા અનુભવું છું.”
XXX XXX XXX
03 જુલાઈ 2025
e.mail : deepakbmehta@gmail.com