06 એપ્રિલ – આજે ચંદ્રવદન ચીમનલાલ મહેતાનો જન્મ દિવસ
એ નિમિત્તે થોડીક વાત એમની આપકથા શ્રેણી ‘બાંધ ગઠરિયાં’ વિષે

ચંદ્રવદન ચી. મહેતા
નાટ્યમહર્ષિ ચંદ્રવદન મહેતા એટલે ઉમાશંકર જોશીએ કહેલું તેમ ‘ચંદ્રવદન એક ચીજ, ગુજરાતે ના જડવી સહેલ.’ અને તેમની બીજી એક અનોખી ચીજ તે તેમની અફલાતૂન આત્મકથા. નિર્જન ટાપુ પર થોડો વખત સાવ એકલા રહેવાનું હોય અને સાથે માત્ર એક જ ગુજરાતી પુસ્તક લઇ જવાની છૂટ હોય તો કયું પુસ્તક સાથે લઈ જવું તે નક્કી કરતાં આ લખનારને જરા ય વાર ન લાગે. હા, થોડી અંચઈ કરવી પડે, કારણ કે સાથે લઈ જવાનું એ પુસ્તક તે ૧૪ પુસ્તક રૂપે પ્રગટ થયેલી આપકથાની ગઠરિયાં શ્રેણી.
પણ આ જ પુસ્તક કેમ? આ શ્રેણી સાથે હોય તો સુરત, મુંબઈ, ગુજરાત, દિલ્હી, ભારત તો સાથે હોય જ, પણ પોણી દુનિયા પણ સાથે હોય. સી.સી.ની આપકથા તો સાથે હોય જ, પણ ધ્રુવ પ્રદેશ સુધીની ભ્રમણ કથા સાથે હોય, દેશ વિદેશનાં નાટક, રંગભૂમિ, રંગકર્મીઓ, ફિલ્મો, સભા-સમારંભોની ઢગલાબંધ વાતો સાથે હોય, બાળપણમાં જે રેડિયો પરથી ચન્દ્રવદનનો અવાજ પહેલી વાર સાંભળેલો તે ઓલ ઇન્ડિયા રેડિયોની અવનવી વાતો સાથે હોય, અનેક જાણી-અજાણી વ્યક્તિઓની અંતરંગ વાતો સાથે હોય, ગણિતનો કોઈ ખેરખાં પણ ન કરી શકે એવો શૂન્યનો સરવાળો સાથે હોય.
ગુજરાતી સાહિત્યમાં ચન્દ્રવદને પ્રવેશ કર્યો કવિતાથી. અને તેમને સૌથી વહાલું તે તો નાટક. પણ ચન્દ્રવદનનું હૃદય અને કલમ સોળે કળાએ ખીલે અને ખૂલે છે તે તો ૧૯૫૪થી પુસ્તકરૂપે પ્રગટ થયેલી તેમની આ ૧૪ ગઠરિયાંઓમાં. હા, જાગ્રત અને કર્તવ્યનિષ્ઠ લાયબ્રેરિયન માટે આ શ્રેણી મોટી વિમાસણ ઊભી કરે તેવી છે. આ પુસ્તકોને આત્મકથાના ખાનામાં ગોઠવવાં? કે પ્રવાસવર્ણનોની છાજલી પર? નાટક અને રંગભૂમિ વિશેનાં પુસ્તકોની બાજુમાં રાખવાં? સાહિત્યના રૂઢ પ્રકારોમાંથી કોઈ એક પ્રકારમાં ફીટ થાય તેવું તેનું રૂપ નથી. ચંદ્રવદન પોતે જ ક્યારે ય કોઈ ચોકઠામાં ફીટ થાય એવા ક્યાં હતા? અનેક રૂઢ સાહિત્યપ્રકારોના અજબગજબના કોકટેલમાંથી અહીં ચન્દ્રવદને પોતાના વ્યક્તિત્વને અને વક્તવ્યને હાથ-મોજાંની જેમ બરાબર ફીટ થઈ જાય એવો આગવો ઘાટ નીપજાવ્યો છે. પરિણામે ચન્દ્રવદનના ઘટમાં જે કાંઈ હતું તે બધું જ આ ઘાટમાં ઠલવાયું છે. અહીં આપકથા (લેખક ‘આત્મકથા’ને બદલે ‘આપકથા’તરીકે ઓળખાવવાનું પસંદ કરે છે) રેખાચિત્ર, પ્રવાસકથા, સ્મરણગાથા, નિબંધ, સમીક્ષા, વિવેચન, ટૂચકા, કિસ્સા, કવિતા, કથા, ઇતિહાસ, ભૂગોળ, જેવા અનેક જુદા જુદા પ્રકારોના ઘટકોનું અત્યંત મદીલું, મારકણું કોકટેલ તૈયાર થયું છે.
‘બાંધ ગઠરિયાં’ના બે ભાગ ૧૯૫૪માં પુસ્તક રૂપે પ્રગટ થયા તે પહેલાં એમાંનું લખાણ ‘કુમાર’ માસિકમાં હપ્તાવાર પ્રગટ થતું હતું. જન્મ ૧૯૦૧ના એપ્રિલની છઠ્ઠી તારીખે. ૧૯૫૪માં ચન્દ્રવદનની ઉંમર બાવન વર્ષની. નેવું વર્ષની ઉંમરે ૧૯૯૧માં અવસાન થયું. તેને આગલે વર્ષે, ૧૯૯૦માં, છેલ્લી કડી ‘શૂન્યનો સરવાળો’ લખીને પૂરી કરી. અવસાન થયું ત્યારે તે ‘જન્મભૂમિ-પ્રવાસી’માં હપ્તાવાર પ્રગટ થઈ રહી હતી. ૧૯૯૧ના જૂનની ૧૬મી તારીખે તેનો છેલ્લો હપ્તો પ્રગટ થયો. પુસ્તકરૂપે તો છેક ૧૯૯૫માં આ છેલ્લો મણકો પ્રગટ થયો. એટલે કે ચન્દ્રવદનની લગભગ અડધી જિંદગી સુધી આ શ્રેણીનું લેખન-પ્રકાશન ચાલ્યું. ગુજરાતી આત્મકથાના લેખન-પ્રકાશનમાં આ એક રેકર્ડ ગણાય.
આટલા લાંબા ગાળામાં દુનિયા તો બદલાઈ જ, પણ ચંદ્રવદન જેવા ચંદ્રવદન પણ બદલાયા. એમની બદલાતી જતી તાસીર આ ચૌદ પુસ્તકોમાં બરાબરની ઝીલાઈ છે. પહેલાં, ચીડ, અફસોસ, દોષદર્શન વધુ જોવા મળે. પછીના ભાગોમાં શમ, ઉપશમ, અને છેવટે નિર્વેદ અને ‘શાન્તોપિ નવમો રસઃ’ સુધી પહોંચે છે તેમની લેખન જાતરા. ‘બાંધ ગઠરિયાં’ની પ્રસ્તાવનાનું છેલ્લું વાક્ય છે : “હે ભગવાન! જેવી રહી તેવી સહી, આ કાયાની ગઠરિયા હાથ-વાંસે બંધાવી ચિતામાં ખડકાવી દેજે.” સારે નસીબે તેમની આ અરજી ભગવાન સુધી પહોંચતાં ખાસ્સી વાર લાગી. કારણ ગુજરાતની જેમ સ્વર્ગમાં પણ કોઈ પુસ્તકો ખરીદતું કે વાંચતું નહિ હોય. અને ‘લખવાનું તદ્દન બંધ કરવું’ એવી પ્રસ્તાવનામાંની જોહુકમી ચન્દ્રવદનના હૈયા અને હાથે જ માની નહિ.
આપણા દેશની આખેઆખી રેલવે-સૃષ્ટિને તો તેઓ ગળથૂથી સાથે જ મેળવીને પી ગયેલા. ચૌદ પુસ્તકોની આ આગગાડી પણ સતત બે પાટે ચાલતી રહે છે. એક પાટો છે પોતે જિંદગીમાં જે ભરપૂર જોયું, જાણ્યું અને માણ્યું તેનો, તેમના જીવનની આગગાડીના ડબ્બામાં જુદે જુદે વખતે જે છડિયાં ચડ્યાં-ઉતર્યાં તેમને વિશેનો. તો બીજો પાટો છે જીવનમાં સતત અને સખત રીતે જે નરી અને નકરી એકલતા અનુભવી તેનો. ‘શૂન્યનો સરવાળો’ના છેલ્લા પ્રકરણમાં લખે છે : ‘પચાસ વર્ષથી એ એકલતા સદી ગઈ છે.’ અલબત્ત, આ એકલતા જેટલી શબ્દોમાં પ્રગટ થઈ છે તેના કરતાં વધારે તો શબ્દો વચ્ચેના ખાલીપામાં પ્રગટ થઈ છે.
પણ ગઠરિયાં શ્રેણીનું સૌથી વધુ આગવું અને મોહક તત્ત્વ તો છે તેની બહુરંગી ભાતીગળ ગદ્યશૈલી. જેવું શીલ તેવી શૈલી એ કથન આ ગદ્યશૈલીને પૂરેપૂરું લાગુ પડે. લેખકના વ્યક્તિત્વની એકેકેક રંગઝાંયનું આબેહૂબ અને પૂરેપૂરું પ્રતિબિંબ ઝીલતું આવું ગદ્ય આપણી ભાષામાં ક્યારેક જ જોવા મળે છે – નર્મદના લેખોમાં, ગાંધીજીની આત્મકથામાં, સરદાર પટેલનાં ભાષણોમાં, સ્વામી આનંદના નિબંધોમાં, — અને આ ગઠરિયાં-શ્રેણીમાં. એ વાંચતા હો ત્યારે જાણે ધસમસતી નદીના પ્રવાહમાં ખેંચાતી નાનકડી હોડીમાં તમે બેઠા હો તેવું લાગે. નદીના પ્રવાહ સાથે આગળ ને આગળ ખેંચાતા જાવ. ક્યારેક ડાબે-જમણે નજર જાય, ક્યારેક ઉપર, ક્યારેક તમારી અંદર પણ જાય. ક્ષણે ક્ષણે દૃશ્યો બદલાતાં જાય, હવાની રૂખ પણ બદલાતી રહે. ક્યારેક ગુલાબી ટાઢ, ક્યારેક કુમળો તડકો, ક્યારેક તાપ-સંતાપ પણ ખરો. તો ક્યારેક વરસાદ ભીંજવે. આવો અનુભવ થાય ગઠરિયાં વાંચતાં. પણ ગઠરિયાંના લેખકનો, અને તેથી તેમના ગદ્યનો મૂળ સ્વભાવ જાતે ભીંજાવાનો, અને બીજાને ભીંજવવાનો. ચન્દ્રવદનના પ્રિય કવિ આખાબોલા અખાની પંક્તિ જરા જુદા અર્થમાં વાપરીને આ ગઠરિયાં માટે કહી શકાય : ‘અક્ષયરસની ચાલે છે નદી.’ ગઠરિયાંનાં ૧૪ પુસ્તકો તો સી.સી., અને માત્ર સી.સી. જ, લખી શકે. અને જે પુણ્યશાળી હોય તે જ તેમની આ આપકથાની ગંગામાં નહાય.
ચંદ્રવદનભાઈ નાના હતા ત્યારે વડોદરામાં સયાજીરાવ ગાયકવાડની બે દીકરીઓ મેનાબાઈ અને ઇન્દિરા રાજે સાથે રમતા. એક વાર બંને બહેનોએ લાકડાના ખોખા પર બેસાડી સી.સી.નો રાજ્યાભિષેક કરેલો. ઇન્દિરાબાઈએ પોતાની ફૂમતાંવાળી ટોપી પહેરાવેલી અને મેનાબાઈએ રાજતિલક કરેલું. તલવાર મળી નહિ એટલે જાંબુડાની ડાળખીથી કામ ચલાવેલું. જ્યાં તલવાર ન મળી ત્યાં તાજ તો ક્યાંથી લાવવો? પણ ના. આજે હવે ચંદ્રવદનભાઈને માથે મૂકવા તાજ ક્યાંથી લાવવો એવી વિમાસણ થાય તેમ નથી. કારણ ચૌદ રત્નોવાળો ગઠરિયાં શ્રેણીનો તાજ હવે ચંદ્રવદનભાઈને માથે શોભે છે.
XXX XXX XXX
e.mail : deepakbmehta@gmail.com