![](https://opinionmagazine.co.uk/wp-content/uploads/2022/06/Dr.-Suman-Shah-234x300.jpg)
સુમન શાહ
સાહિત્ય અને સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર તેમ જ સંગીત – એ પાંચેય લલિત કલાઓ સર્જનનો વિષય છે.
જ્યારે, માનવઅનુભવો, વિચારસરણીઓ, ઇતિહાસો વગેરેની સાગમટે વાત કરનારાં વૃત્તાન્તો તર્ક અને તદનુસારી વિચારશક્તિનો વિષય છે.
વૃત્તાન્તો લિખિત હોય; વ્યવહારુ ધોરણે જિવાતાં હોય ત્યારે લિખિત ન પણ હોય, પ્રજાજીવનમાં રસબસ થઈ ગયાં હોય.
વૃતાન્તોને હવે ‘નૅરેટિવ’ કહેવાય છે કેમ કે એક વાર્તાની જેમ એમાં બધું નૅરેટ થયા કરતું હોય છે, વળી, એમાં ઉમેરા થયા કરતા હોય છે. પણ આ નૅરેટિવ્ઝને નૅરેટિવ લિટરેચર સમજવાની ભૂલ ન કરાય, કેમ કે એ વૃતાન્તો કોઈ એક મનુષ્ય વડે સરજાતાં નથી હોતાં, અનેક મનુષ્યો વડે, બસ, જિવાતાં હોય છે.
તેમ છતાં, વૃતાન્ત અને સર્જન એકબીજાને ક્યાં અડે-નડે છે, તેનો આધુનિક અને અનુ-આધુનિક સાહિત્યકલાઓ સાથે શો સમ્બન્ધ છે, એની વાત ક્યારેક કરીશ.
પણ એ પહેલાં સમજી લેવાની જરૂર છે કે ગ્રાન્ડ નૅરેટિવ શું છે અને લિટલ નૅરેટિવ શું છે.
ગ્રાન્ડ અને લિટલ નૅરેટિવ્ઝમાં ‘નૅરેટિવ’ -નો અર્થ છે, વૃત્તાન્ત. ગ્રાન્ડ, મહા વૃત્તાન્ત અને લિટલ, લઘુ વૃત્તાન્ત.
ગ્રાન્ડ નૅરેટિવના અર્થસંકેતની સીમા વિસ્તૃત હોય છે, એ ઘણી બધી, લગભગ સર્વવ્યાપી, સંજ્ઞા છે.
દાખલા તરીકે, વિજ્ઞાન અને ટૅક્નોલૉજિથી થયેલી માનવીય પ્રગતિનું મહા વૃતાન્ત.
દાખલા તરીકે, ઇતિહાસને વર્ગવિગ્રહ રૂપે ઓળખાવતું માર્ક્સવાદી દૃષ્ટિબિન્દુ.
ગ્રાન્ડ નૅરેટિવ્ઝ પાછળનો હેતુ છે, માનવ-અનુભવ, ઇતિહાસ કે જ્ઞાનનું શક્યતમ સ્પષ્ટીકરણ.
લિટલ નૅરેટિવના અર્થસંકેતની સીમા કેન્દ્રીકૃત – ફોકસ્ડ – અને વિશિષ્ટ હોય છે.
દાખલા તરીકે, કોઈ એક ઘટનાનું – જેમ કે, દેશના ભાગલાનું વૃતાન્ત.
દાખલા તરીકે, કોઈક ઐતિહાસિક વિશિષ્ટ યુદ્ધ કે સંગ્રામનો સિલસિલાબંધ ઇતિહાસ – જેમ કે, બીજા વિશ્વયુદ્ધનો સવીગત ઇતિહાસ; જેમ કે, ભારતીય સ્વાતન્ત્ર્ય સંગ્રામનો ઇતિહાસ.
લિટલ નૅરેટિવ્ઝ પાછળનો હેતુ છે, વિશિષ્ટ ઘટના કે અનુભવનું સ્પષ્ટીકરણ.
બન્ને વૃત્તાન્ત વચ્ચે ચાવીરૂપ જે ફર્ક છે, તે સ્કેલનો છે. ગ્રાન્ડ નૅરેટિવ્ઝ સાર્વત્રિક અને સર્વવ્યાપી બનવાની દિશામાં વિકસતાં હોય છે, જ્યારે લિટલ નૅરેટિવ્ઝ સ્થાનીય અને વિશિષ્ટ સંદર્ભોમાં વિકસતાં હોય છે.
ક્રમશ:
(20 Jul 24 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર