આયરિશ ટાપુમાં ૨૦મી સદી દરમિયાન જે રાજકીય પરિસ્થિતિ હતી અને તેને પરિણામે જે આતંકયુક્ત માહોલ સર્જાયો હતો. તે અંગેનો ટૂંકો ઇતિહાસ રજૂ કરવો જરૂરી લાગવાથી આ રજૂઆતમાં પ્રારંભે ત્યાંના પ્રાપ્ત સંઘર્ષની વિગત મૂકવી પડી છે. આશા છે, તેથી વાચકને યોગ્ય સંદર્ભ મળી જશે …
બ્રિટનની સરકારે ૧૯૨૨ની સાલમાં એક સંધિ કરીને ‘સ્વતંત્ર આયરિશ રાજ્ય’ માન્ય કર્યું, ત્યારે જ આયર્લૅન્ડના ટાપુનો ૧/૬ ભાગ ‘ઉત્તર આયર્લૅન્ડ’ના પ્રાંતને નામે, બ્રિટનની પાર્લામેન્ટને આધીન રાખ્યો હતો. તેથી જ પ્રથમ વિશ્વયુદ્ધમાંથી પાછા ફરેલાં સૈનિકોએ અને સ્થાનિક સદ્ભાવ ધરાવનાર લોકોએ તે સંધિનો વિરોધ કર્યો હતો. આમ, ઉત્તર આયર્લૅન્ડમાં ‘વફાદાર’ [loyal] અને વિરોધીઓ એવા બે તડા પ્રજામાં ઊભા થયા. અને સંપૂર્ણ ટાપુ આયર્લૅન્ડના પ્રજાસત્તાકનો જ ગણવો જોઈએ. તેવું માનનારા વિરોધીઓએ હિંસક યુદ્ધ જ છેડ્યું હતું. તે યુદ્ધ ત્રણ દાયકાઓથી વધુ સમય સુધી ચાલતું રહ્યું હતું. તેમાં ૩,૦૦૦થી વધુ માનવોની હત્યા થઈ હતી અને પચાસ હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આગળ ચાલતાં ઠેઠ ૧૯૯૮ની સાલમાં શાંતિસ્થાપનના કરાર ઉભયપક્ષે સ્વીકાર્યા. જેમાં આયર્લૅન્ડની પ્રજાસત્તાક રાષ્ટ્રે એ સ્વીકાર્યું કે જ્યારે ‘ઉત્તર આયર્લૅન્ડ’ પ્રાંતની બહુમતી પ્રજા પ્રજાસત્તાક રાજ્યમાં ભળી જવાનો નિર્ણય કરે, ત્યાં સુધી ભલે તે બ્રિટિશ પ્રાંત તરીકે યથાવત્ રહે.
ઈસુખ્રિસ્તના વધનો દિવસ ‘ઈસ્ટર’ – ગુડફ્રાઇડે અત્યંત મહત્ત્વનું દુનિયાભરમાં ઊજવાતું ખ્રિસ્તી લોકોનું પર્વ. તેમાં પણ કૅથોલિક ચુસ્તપંથી આયરિશો અને ઉત્તર આયર્લૅન્ડના પ્રોટેસ્ટન્ટ પંથીઓ પોતપોતાની સમજણોને પ્રગટ કરવાને અગ્રણી થતાં રહે. તેથી જ એ દિવસો દરમિયાન વધુ હિંસા થશે જ એવી સંભાવનાઓની શક્યતાને કારણે જ ૧૯૭૫માં બ્રિટિશ સરકારે બહુ જ કડક સુરક્ષાના પ્રબંધ કરેલા હતા. એવા એ દિવસોમાં હું ચાર અઠવાડિયાં ક્વેકરપંથી શાંતિકાર્ય કરનારા મિત્રો(Friends)ના પ્રયત્નોમા જોડાવાં અને તેમની રસમો સમજવા ‘બેલફાસ્ટ’ નામના ઉત્તર આયર્લૅન્ડના પ્રમુખ શહેરે પહોંચ્યા હતા.
‘બેલફાસ્ટ’ શહેર તો બંને પક્ષના સામસામા હલ્લાઓ કરવાના કેન્દ્રમાં જ ગણાતું. લિવરપુલ બંદરેથી રાત્રે બેસીને સવારે સાતેક વાગે બંદરે ઊતર્યો હતો. બેલફાસ્ટમાં શ્રીમતી વ્હીટલે અને મિસ્ટર વિરલે (૬૦ અને ૬૫ વર્ષની ઉંમરનાં) મારાં યજમાન હતાં. તેઓ મને લેવાં તો આવેલાં, પરંતુ અમે એકબીજાંને ઓળખી જ ના શક્યાં અને મારે ‘બેલફાસ્ટ’ શહેરનું સ્વતંત્ર રીતે દર્શન કરીને તેમને ત્યાં પહોંચવાનું થયું.
સંપૂર્ણ શાંત! સુમસામ! કહો મૃત્યુ પામેલું જ શહેર ભાગ્યે જ લગીરેક કોઈ હલનચલન. ટૅન્કો, બખ્તરગાડીઓ અને ખૂણે-ખૂણે મિલિટરીનો દોરદમામ. વાસ્તવમાં કર્ફ્યુ જ હેઠળ હોય તેવો માહોલ! કોઈ કરતાં કોઈ દુકાન ઊઘાડી નહીં. અર્ધું ખૂલેલું કાંઈક ક્યાં ય હોય બધે જ બધે પતરાં જ જડેલાં. કાર્ડબોર્ડ પર આક્રમક સૂત્રોથી ઊભરાતું. મોટા જંગી સ્ટોર ખરા, પરંતુ તે બધા પણ વાસ્તવિક સ્થિતિસમા જ. ક્યાં ય કાચના શો કેસ તો હોય જ શેના ? એક જ વ્યક્તિ પરાણે પ્રવેશ કરી શકે તેટલું જ બારણું ખૂલેલું રખાય. વળી બહાર અને અંદર સંરક્ષકો પ્રવેશ કરનારની પૂરી જડતી જ લે! વિજળીક યંત્રથી ક્યાં ય હથિયાર નથી સંતાડ્યું તેની ખાતરી કરે. પ્રવેશ મેળવ્યા પછી પણ બીજી વાર તપાસ થાય! આવું મિલટરીના સૈનિકોની મહેરબાની ઉપર શ્વાસ લઈને જીવવા મથતું બેલફાસ્ટ નગર મેં જોયું.
મારી પાસેના પ્રાપ્ત સરનામાના આધારે વ્હીટલે દ્વયના દ્વારે પહોંચ્યો તો ખરો. પણ પ્રવેશદ્વાર જ ના જડે. જૂનું ગૅરેજ હશે તેવો ભાસ થાય. વળી, ત્યાં રસ્તે તો કોઈ જનાર-અવનાર હોય નહીં. ‘ક્યારેક તો કાંઈક થશે, કોક તો આવશે !’ એમ વિચારી તો કલાકેક ત્યાં ઊભો રહ્યો. ત્યાં મારા યજમાનની ગાડી આવીને ઊભી. શ્રીમતી વ્હીટલેએ મને કહ્યું. ‘માફ કરજો ! તમે ઓળખાયાં નહીં. અમે બહુ ધ્યાનથી બંદરે તમને ઓળખવાં મથેલાં. બહુ થોભવું પડ્યુંને?’ કોઈએ પજવ્યાં નથીને ?”
‘ના, બહેન અહીં જાતે પહોંચ્યો, પણ ક્યાંથી પ્રવેશ કરાય કે કેવી રીતે સંપર્ક કરાય તેટલો જ પ્રશ્ન મને હતો.
‘ખરી વાત છે. અહીં આવું તારે ઘણું અનુભવવાનું બાકી છે.’
વ્હીટલે દ્વયે નક્કી કરેલા મારા કાર્યક્રમ મુજબ મને પહેલું અઠવાડિયું બેલફાસ્ટ વિશેષ વસતિમાં રહેવાનું યોજ્યું હતું. મને બીજે દિવસે ત્યાં પહોંચાડી દીધો. એ નિવાસ એક ખરે જ સામાન્ય પરિવારમાં હતો. વિસ્તાર આખો માનો ઝૂંપડપટ્ટી સમાન જ. આવામાં જ તો તોફાની, આતંકીઓ છુપાઈ, ગોઠવાઈ રહેતા હોય ને! અને તેથી પણ શાંતિકાર્ય પણ ત્યાં જ કેન્દ્રિત કરવું જરૂરીને! એ નિવાસે રાત્રીભોજન પછી બાર કે તેર ભાઈઓ મળવા / વિચારવા આવ્યા હતા. હું કોણ? શું કામ આવ્યો છું આદિ-આદિ મારી પૂછતાછ, સમજણ, કચાશ બધું જાણવાનો પ્રયત્ન તે બધાએ મળીને કરી હતી. આખરે એ સાત દિવસમાં શું-શું મારાથી કરાય, તેનું તેમણે આયોજન કર્યું. મારી સંમતિ લીધી!
બીજે દિવસે સવારે નાસ્તા પછી મારા યજમાન મને લઈને નીકળ્યા. એમના ઘરેથી થોડાક પહોળા રસ્તા ઉપર અમે પગ મૂક્યો, ત્યાં મિલિટરીની ગાડી સીધી મારી ઉપર જ ચલાવી દેવા આવી હોય એમ આવી ઊભી. ક્ષણવારમાં તો બે સૈનિકોએ મારી બે પડખે ગોઠવાઈ ગયા અને મારા માર્ગદર્શક ઉપર પ્રશ્નોની ઝડી જ છોડી. મને તો ઉપાડીને લઈ જવાની તૈયારીમાં, તેમ જ ગુસ્સાપૂર્ણ કડકમાં કડક ધમકીઓ. ગાળોનો વરસાદ જ મારા ઉપર ચાલુ થઈ ગયો. ‘બહારનો કોઈ આ વિસ્તારમાં અમારી જાણબહાર હોઈ જ કેવી રીતે શકે?’ એ જ એ સૈનિકોની ભૂમિકા મારી સંપૂર્ણ જડતી લીધી.
મારા મિત્રે અત્યંત સ્વસ્થતાથી હું કોણ અને શા માટે આવ્યો છું તે સમજાવ્યું, મારો પાસપૉર્ટ તપાસાયો. મને ફરી તપાસી લીધો ને જવા દીધો. આખરે અમે જ્યાં પહોંચવા માંગતા હતા, ત્યાં પહોંચ્યા. તે ખંડ હશે ૧૨x૧૬નો અડધો પતરથી અડધો પૂંઠાથી મઢેલો. ત્યાં તો જુવાનિયાઓ હતા! યોગાસન કરતા! નવ જણાં. અને એક તેમના માર્ગદર્શક! યુદ્ધને મોરચે, બેલફાસ્ટની ઝૂંપડપટ્ટીમાં ‘યોગાસનનો વર્ગ’ ચાલતો હતો.
જે ધૈર્ય તેમ જ સૌમ્યતમ શબ્દો ઉચ્ચારીને ૩૦ એક વર્ષની ઉંમરનો માર્ગદર્શન આસનો કરાવતો હતો, તેથી હું તો જિતાઈ જ ગયો. મને તેઓએ કહ્યું, ‘ભારતીય છો, તો તમે તો આસન કરતાં જ હશોને ?’ આટલા વિધાનથી ત્યાં ઉપસ્થિત સૌએ આપી આનંદ વ્યક્ત કર્યો અને જે પ્રેમભરી આંખે આવકાર આપી નવાજ્યો, તે દૃશ્ય આ લખું છું, ત્યારેય યથાવત્ મગજમાં સંગ્રહાયેલું છે.
‘ના! ભાઈ, હું કોઈ યોગાસનનો અભ્યાસી નથી.’ ક્યારેક જ પ્રાણાયામ કરી દઉં ખરો.
“અરે! તો તો તે જ કરી બતાવોને!”
પૂર્ણ પલાઠી વાળીને બેસવાનું આપણને તો સહેલું જને! પછી ઊંડો શ્વાસ લેવો. પકડી રાખવો, ધીરે-ધીરેથી મુક્ત કરવો એમ કરવા માંડ્યું. ત્યારે તેમાં થઈ રહેલી તમામે તમામ પ્રક્રિયાની વાતો માર્ગદર્શક મિત્રે તેમના સાથીઓના ધ્યાન ઉપર મૂકી અને તે સૌએ મને ત્યાર પછી વધાવ્યો!
આમ, યુદ્ધસ્થળે શાંતિકાર્ય – શાંતિસ્થાપનનું સાધન તે જ યોગાસન!
ઝૂંપડપટ્ટીને ખૂણે, આડીઅવળી જે મળી તેવી જગ્યાએ સંપૂર્ણ સ્વસ્થતાથી સૌમ્યતમ વાતાવરણ સર્જીને આ યોગાસનો કરનારું યુવકોનું જૂથ જોવું એ રોમહર્ષણ દૃશ્ય જને!
તેની તોલે ૨૧મી જૂન ૨૦૧૫ને દિવસે સરકારી આ દેશો તેમ જ સંખ્યાકીય, અપેક્ષાઓ આધારિત ગોઠવવામાં આવેલા તમાશાને કયા ત્રાજવે તોલી શકાય?
રમત્યુ મંડાણી જીવણજૂઠડી
કાચી રે માટી કામય નીંગળતી
મટુકી કાણી રે જીવણ જૂઠડી. (બાલજી કાનપરિયા, ૧૯૪૩)
મન અને શરીરને સ્વસ્થ કરવાના પ્રયત્ન માટે યોગાસનો જમાનાઓથી વપરાતાં રહ્યાં છે. દુનિયાભરમાં કેટકેટલી ય સંસ્થાઓ અને આરોગ્યધામોમાં યોગાસન પ્રચલિત જ છે. વ્યક્તિ યોગાસન દ્વારા પોતાના શરીરને જ નહીં, પરંતુ જીવનને યોગ્ય દિશાએ વાળવા અને સ્વસ્થજીવનનો પાયો રચવામાં ઉપયોગ કરી શકે તે શક્ય છે. એમાં મુખ્ય શરત તો સ્વનિર્ણયથી વિચારપૂર્વક તે પ્રક્રિયા દ્વારા જીવનમાં ઊંડા ઊતરવાનું નિહિત છે.
માતાપિતાના આગ્રહથી કે કોક વડીલના આદેશથી યોગાસન કરવાનું યોજાય તો તે જીવનમાં ખપ આપી શકે તે સંભવ નથી. કુદરતી ઉપચારમાં અનેક વાર જઈ આવનાર વ્યક્તિ ત્યાં દસ દિવસ કે મહિનો માસ ગાળે ત્યારે આવા યોગાસન કરવાનું સ્વીકારી લે છે. પણ ત્યાંથી નીકળ્યા પછી તો યાદે નથી રહેતું કે કોઈ આસન કરીએ!
બિહારનાં નાનાં-નાનાં ગામોમાં ‘અંતકડી’ની બેઠકો યોજાતી હોય છે. એમાં એક એવી શરત છે કે રામયાણની તુલસીકૃત ચોપાઈ કે દોહાનો જ ઉપયોગ કરવો જરૂરી છે. એ પરંપરામાં પાંચ, છ કે તેર વર્ષ સુધીની ઉંમરની બાળાઓ અને બાળકો ઠીક પાવરધાં સામે આવે છે અને તે ચોપાઈ કે દોહો સમૂહ પણ ઝીલવા લાગે છે. એ જ બિહારના મસુહરીમાં JPને ‘આમનેસામને’નો કાર્યક્રમ યોજ્વો પડ્યો. ગામનાં ગામ નક્ષલી હિંસાને આવકારી બેઠા અને સર્વોદયી મિત્રોની હત્યાઓને પણ જીરવી શક્યા??
આપણી શાળાઓમાં કે શિક્ષણના અભ્યાસક્રમમાં મુકાયેલો વિષય પછી તે ભૂગોળ હોય, બીજગણિત કે સંસ્કૃત કે યોગાસન, પોતાના જીવનમાં ઉપયોગમાં લેવાને બદલે તે તિરસ્કૃત થઈ ઉપહાસનું સાધન બનાવી દેવાય છે. સુખ્યાત જ્હૉન ડ્યૂઈ જેવા શિક્ષણશાસ્ત્રી તે વિષે કહે છે ‘હાશ! છૂટ્યા!’નો ભાવ કેળવવા આ વિષયો ગણી કાઢવામાં આવે છે.
યોગાસન કસરત નથી. શરીરનાં અંગ-ઉપાંગની લવચિકતા દર્શાવવાનો કે કુસ્તીબાજો શો ખેલ પણ નથી. યોગાસનમાં શ્રેષ્ઠતા સાથે જોડાવાનો પ્રયત્ન કરવા મથવાનો અભિગમ છે.
ઇલોરાની ગુફામાં બુદ્ધ ભગવાનની સ્વચ્છ, સૌમ્ય, આનંદથી ઊભરાતી મુદ્રાવાળી પૂર્તિ ધ્યાન પર લઈએ. બુદ્ધના એ મૌનમાં સાવ નજીવું – કહો અલ્પતમ હાસ્ય પણ દર્શાવેલું છે. કારણ તેઓએ પૂર્ણતાના દર્શન કર્યાનો પરમસંતોષ સાધ્યો છે. તેઓએ જીવનને-ભગવાનને નકારીને પણ માનવ કેટલો આત્મસ્થ અને દયાવાન તેમ જ સમાજને પણ સ્વસ્થતા પ્રાપ્ત કરાવી આપવામાં યશસ્વી થઈ શકે, તેનો અંદાજ તેઓને પ્રાપ્ત થયો હોય છે.
આવી સાધના કરાવી દેવી કે ‘મેં કર્યું!’ ભારતની ભેટ જણાવવાનું સાધન બનાવવું, એ તો વિપ્રયાસ અને વિપ્રયાસ જ!
(વેડછી)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2015; પૃ. 07-08