‘સમય મળશે તો (કસ્તૂરબા વિષે) વિસ્તૃત લખવાની મારી ધારણા છે.’ ૧૯૪૫ના ફેબ્રુઆરીની ૧૮મી તારીખે ગાંધીજીએ આ વાક્ય લખ્યું હતું. શબ્દો તોળી-જોખીને વાપરવાની ગાંધીજીની પ્રકૃતિનો પરિચય આ સાવ નાનકડા વાક્યમાંથી પણ મળી રહે. લખે છે : ‘ધારણા છે.’ ‘ઇચ્છા છે’ એમ લખતા નથી. અને એ ધારણા પણ બિનશરતી નથી. ‘સમય મળશે તો.’ પણ પછીનાં લગભગ ત્રણ વરસમાં ગાંધીજીને સમય મળ્યો નહિ, અને તેઓ તેમની ધારણા પૂરી કરી શક્યા નહિ. જો ગાંધીજીએ કસ્તૂરબા વિષે વિસ્તૃત રીતે લખ્યું હોત તો બીજા લખનારાઓનું કામ ઓછું મુશ્કેલ બન્યું હોત. સેજલ-સોનલની જોડીએ આ લેખ લખવા કહ્યું ત્યારે પહેલો પ્રતિભાવ તો એ હતો કે કસ્તૂરબા વિષે તો બહુ ઓછું લખાયું છે. બે-ચાર પુસ્તકો કરતાં વધુ નહિ હોય. પણ પછી જેમ જેમ અમે ત્રણેએ ખાંખાંખોળાં કર્યાં તેમ વધુ ને વધુ પુસ્તકોની ભાળ મળતી ગઈ. જો કે, બધાં પુસ્તકો મેળવી શકાયાં હોવાનો દાવો નથી જ. પણ આ બધાં પુસ્તકો વાંચ્યા પછી પણ લાગે છે કે કસ્તૂરબા વિષે મૌલિક, પોતીકું, આગવું, તો ઓછું જ લખાયું છે.
કસ્તૂરબા વિષે લખતી વખતે સૌથી મોટી મુશ્કેલી છે ગાંધીજી. વિભૂતિરૂપ પતિના પડછાયામાં સતત જીવનાર સ્ત્રીના વ્યક્તિત્વને પામીને ઉઘાડવાનું અશક્ય નહિ તો ય ઘણું કપરું કામ તો છે જ. અને આવું કપરું કામ ભાગ્યે જ કોઈ કરી શક્યું છે. કેટલાક લેખકોએ તો સહેલો રસ્તો જ અપનાવ્યો છે : ગાંધીજીના જીવનના મુખ્ય પ્રસંગો વર્ણવતા જવા અને તેની સાથે કસ્તૂરબાની વાત સાંકળતા જવી, અને તે પણ મુખ્યત્વે ગાંધીજીની આત્મકથાને આધારે. પોતીકા પરિચય અને અનુભવોને આધારે લખાયાં હોય તેવાં તો બે જ પુસ્તકો જોવા મળ્યાં છે: વનમાળા દેસાઈ અને સુશીલા નૈયરનું પુસ્તક ‘અમારાં બા’. બંને લખાયાં છે સ્વતંત્ર રીતે પણ આજ સુધી ગુજરાતીમાં પ્રગટ થતાં રહ્યાં છે એક પુસ્તક રૂપે. શરૂઆતમાં ગાંધીજીનું જે વાક્ય ટાંક્યું છે તે પણ આ પુસ્તકની પ્રસ્તાવનાનું છે.
અલબત્ત, કસ્તૂરબા વિશેનાં આ પહેલાં પુસ્તકો નથી. કસ્તૂરબાનું અવસાન થયું એ જ વરસે, ૧૯૪૪માં, બે પુસ્તક પ્રગટ થયાં, એક અંગ્રેજી અને એક ગુજરાતી. દયાશંકર ભ. કવિનું ‘ભારતજનની કસ્તૂરબા’ મુંબઈની એન.એમ. ઠક્કરની કંપનીએ પ્રગટ કરેલું. કસ્તૂરબા વિશેનું આ પહેલું ગુજરાતી પુસ્તક. તેની એક વિશિષ્ટતા એ છે કે તેમાં કસ્તૂરબાના ફોટા ઉપરાંત કનુ દેસાઈ અને ચાંદવડકરનાં ચિત્રો મૂક્યાં છે, એટલું જ નહિ, કસ્તૂરબાના હસ્તાક્ષરમાં બે પત્રો પણ છાપ્યા છે. આ જ લેખકે કેપ્ટન લક્ષ્મી અને સરદાર વલ્લભભાઈ પટેલ વિષે પણ પુસ્તકો લખ્યાં છે અને કેટલીક બંગાળી કૃતિઓના અનુવાદ પણ આપ્યા છે.
Sati Kasturba : A Life-sketch પુસ્તકનું સંપાદન આર.કે. પ્રભુએ કર્યું છે, આમુખ લખ્યું છે એમ.આર. મસાણીએ. આ મીનુ મસાણી એ વખતે મુંબઈના મેયર હતા. આઝાદીની લડતમાં સક્રીય ભાગ લઈને જેલમાં પણ ગયેલા. લડત દરમ્યાન જવાહરલાલ નેહરુના મિત્ર એવા મસાણી આઝાદી પછી નેહરુની સમાજવાદી વિચારણાથી દૂર થતા ગયા અને એટલે રાજાજી સાથે મળીને તેમણે ‘સ્વતંત્ર પાર્ટી’ સ્થાપેલી. મુંબઈના ‘હિન્દ કિતાબ્સ’ નામના પ્રકાશકે આ પુસ્તક પ્રગટ કરેલું. કસ્તૂરબાનું અવસાન ફેબ્રુઆરીની ૨૨મી તારીખે થયેલું અને મસાણીની પ્રસ્તાવના એ જ વરસની ૧૧મી માર્ચે લખાઈ છે, એટલે કે વીસેક દિવસમાં આ પુસ્તક તૈયાર થયેલું. તેમાં કસ્તૂરબાની જીવનકથા ટૂંકમાં આલેખી છે. પણ આ પુસ્તકની ઉપયોગિતા એ છે કે એ વખતની અગ્રગણ્ય વ્યક્તિઓએ, દેશ અને દુનિયાનાં કેટલાંક છાપાંઓએ આપેલી અંજલિઓ અહીં સમાવી છે. એટલે આજે હવે દસ્તાવેજી દ્રષ્ટિએ આ પુસ્તક મહત્ત્વનું બની રહે છે.
વનમાળા દેસાઈ અને સુશીલા નૈયર બંનેનાં પુસ્તકનું લેખન સ્વતંત્ર રીતે થયું છે, પણ એ બંને એક પુસ્તક રૂપે ૧૯૪૫માં પ્રગટ થયેલાં. નૈયરનું પુસ્તક મૂળ હિન્દીમાં લખાયેલું. એનો અંગ્રેજી અનુવાદ ૧૯૪૮માં અમેરિકાથી પ્રગટ થયેલો. નવજીવન પ્રકાશન મંદિરે પ્રગટ કરેલ ‘અમારાં બા’માં નૈયરના લખાણનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો છે તે જણાવ્યું નથી. વનમાળા બહેનના પુસ્તકમાં ૧૧૦મા પાના ઉપર નૈયરના પુસ્તકનો ઉલ્લેખ છે એટલે વનમાળાબહેનના પુસ્તક કરતાં કંઈ નહિ તો તેની હસ્તપ્રત તો વહેલી તૈયાર થઈ ગઈ હોવી જોઈએ. એટલે આ અનુવાદ વનમાળાબહેને જ કર્યો હોય એ બનવાજોગ છે. બીજું, કસ્તૂરબા વિશેનું આ એક જ પુસ્તક એવું છે જેની પ્રસ્તાવના ખુદ ગાંધીજીએ લખી છે. એટલે કે, પરીખ અને નૈયરનાં લખાણ ગાંધીજી વાંચી ગયા છે ને તેને પ્રગટ કરવાની અનુમતિ તેમણે આપી છે. આ બંને લેખિકા ગાંધીજી અને કસ્તૂરબાનાં નિકટવર્તી. વનમાળાબહેન આશ્રમવાસી નરહરિ પરીખનાં દીકરી. સસરા વાલજી ગોવિંદજી દેસાઈ પણ ચુસ્ત ગાંધીવાદી અને આશ્રમવાસી. ગાંધીજીના આશ્રમમાં ઘણાં વરસ રહેલાં એટલે અનુભવો તો ઘણા હોય. છતાં કોણ જાણે કેમ, તેમણે પણ ગાંધીજીની આત્મકથા પર ઘણો મદાર રાખ્યો છે. પિતા નરહરિભાઈનું જીવનચરિત્ર લખવા ઉપરાંત વનમાળાબહેને મેડલિન સ્લેડ ઉર્ફે મીરાંબહેનની આત્મકથાનો ગુજરાતી અનુવાદ પણ કર્યો છે. સુશીલા નૈયર વ્યવસાયે ડોક્ટર, ઘણાં વરસ ગાંધી આશ્રમમાં રહેલાં. કસ્તૂરબાની છેલ્લી માંદગી અને અવસાન વખતે પણ તેઓ તેમની સારવાર માટે આગાખાન જેલમાં તેમની સાથે જ હતાં. આઝાદી પછી તેઓ સક્રીય રાજકારણમાં પડ્યાં હતાં અને ૧૯૫૨થી ૧૯૫૫ અને ૧૯૬૨થી ૧૯૬૭ સુધી તેઓ કેન્દ્ર સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી રહ્યાં હતાં. તેમનાં ગાંધીજી વિશેનાં દસેક પુસ્તકો અંગ્રેજીમાં પ્રગટ થયાં છે. ગાંધી જન્મશતાબદી વખતે ૧૯૬૯માં નૈયરના પુસ્તકના લખાણને આધારે હિન્દીમાં કોમિક રૂપે કસ્તૂરબાનું જીવન ચરિત્ર પ્રગટ થયું હતું. એરિક ફ્રાન્સિસ દ્વારા તૈયાર થયેલું આ પુસ્તક મુંબઈના પુરોહિત એન્ડ સન્સ નામના પ્રકાશકે પ્રગટ કરેલું. તો ૧૯૪૬માં પ્રગટ થયેલું પુરાતન બૂચનું ‘આપણાં કસ્તૂરબા’ મુખ્યત્વે ‘અમારાં બા’ પુસ્તકને આધારે ઓછું ભણેલી સ્ત્રીઓને ધ્યાનમાં રાખીને સીધી સાદી ભાષામાં લખાયું છે.
ગણપત રાયના અંગ્રેજી પુસ્તક Gandhi and Kasturba : The Story of their lifeમાં તેની પ્રકાશન સાલ છાપી નથી, પણ પુસ્તક અર્પણ કર્યું છે ગાંધીજીને તેમના ૭૬મા જન્મ દિવસે. એટલે તે ૧૯૪૫ના અરસામાં પ્રગટ થયું હોય. કસ્તૂરબા મેમોરિયલ પબ્લિકેશન્સ તરફથી તે પ્રગટ થયું છે. ગણપત રાયે ગાંધીજી, જવાહરલાલ નેહરુ, અને આચાર્ય જે.બી. કૃપલાની વિષેનાં અંગ્રેજી પુસ્તકોનું પણ સંપાદન કર્યું છે. કસ્તૂરબા વિશેના તેમના પુસ્તકની પ્રસ્તાવના જાણીતાં મહિલા કાર્યકર અને નેહરુ કુટુંબમાં પરણેલાં રામેશ્વરી નેહરુએ લખી છે. પુસ્તક વાંચવાનું શરૂ કરતાં પહેલે કોળિયે જ કાંકરો આવે છે. કસ્તૂરબાનો જન્મ ૧૮૬૯માં રાજકોટ રાજ્યના પાટનગર પોરબંદરમાં થયો હતો એમ લેખક કહે છે! પણ આ પુસ્તકમાંની કેટલીક દસ્તાવેજી સામગ્રી આજે પણ ઉપયોગી થાય તેવી છે. છેલ્લી માંદગી વખતે કસ્તૂરબા જેલમાં હતાં ત્યારે તે અંગે, તેમની તબિયત અંગે, તેમને જેલમાંથી છોડી મૂકવા અંગે બ્રિટિશ પાર્લામેન્ટમાં જે સવાલો પૂછાયા હતા અને ગ્રેટ બ્રિટનની સરકારે જે જવાબો આપેલા તે અહીં શબ્દશઃ રજૂ કર્યા છે. તેવી જ રીતે આ અંગેનો ગાંધીજી અને હિન્દુસ્તાનની સરકાર વચ્ચેનો પત્રવ્યવહાર પણ આપ્યો છે. આ પુસ્તક જ્યારે પ્રગટ થયું ત્યારે ‘ગાંધીજીનો અક્ષરદેહ’નાં પુસ્તકો પ્રગટ થયાં નહોતાં. અને ગૂગલદેવની મદદથી બ્રિટિશ પાર્લામેન્ટના સવાલ-જવાબ મેળવી શકાય એવી સગવડ નહોતી. એટલે આ સામગ્રી વધુ નોંધપાત્ર બને છે.
ગાંધીજીના પૌત્ર અરુણ મણિલાલ ગાંધીના પુસ્તક ‘ધ ફરગોટન વુમન’નો અત્યંત પ્રવાહી, વાંચતાં અનુવાદ છે એમ ન લાગે એવો અનુવાદ ‘બા : મહાત્માનાં અર્ધાંગિની’ સોનલ પરીખ પાસેથી મળ્યો છે. તેની પહેલી આવૃત્તિ ૨૦૧૬માં અને બીજી ૨૦૧૭માં પ્રગટ થઈ. ૧૯૪૪માં કસ્તૂરબાનું અવસાન થયું ત્યારે અરુણભાઈની ઉંમર દસેક વરસની. છતાં દાદી કસ્તૂરબાના જીવન અને વ્યક્તિત્વ વિષે ઘણી રસપ્રદ અને કેટલીક નવી માહિતી આ પુસ્તકમાંથી મળી રહે છે. ગાંધીજીની આત્મકથા અને તેમનાં બીજાં લખાણો ઉપરાંત લેખકે મૌખિક ઇતિહાસ – oral historyનો આશરો લીધો છે. કસ્તૂરબાના પરિચયમાં આવી હોય તેવી વ્યક્તિઓને શોધી શોધીને તેમની મુલાકાતો રેકર્ડ કરી. આ પુસ્તક અંગે એક રસપ્રદ વાત એ છે કે તેની અંગ્રેજી આવૃત્તિ પ્રગટ થઈ તે પહેલાં જર્મન અને સ્પેનિશ આવૃત્તિ પ્રગટ થઈ હતી. કારણ અંગ્રેજી પુસ્તકોના પ્રકાશકો તો લેખકને કહેતા : ‘કસ્તૂરબામાં કોને રસ પડે? તમે તમારા દાદા મહાત્મા ગાંધી વિષે કેમ નથી લખતા?’ અરુણ ગાંધીનું પુસ્તક વાંચ્યા પછી આવો સવાલ પૂછવાની જરૂર ન રહે.
૨૦૧૮માં બે પુસ્તક મળે છે. Kasturba Gandhi : A Bio-fiction અને Kasturba Gandhi : The Silent Sufferer. તેમાં પહેલું પુસ્તક ૨૦૧૬માં હિન્દીમાં પ્રગટ થયેલ ગિરિરાજ કિશોરની જીવનચરિત્રાત્મક નવલકથાનો મનીષા ચૌધરીએ કરેલો અનુવાદ છે. દેખીતી રીતે જ અહીં નવી સામગ્રીને ઝાઝો અવકાશ નથી. અગાઉ પ્રગટ થયેલાં પુસ્તકોની માહિતીમાં થોડા કલ્પનાના રંગો ઉમેરીને આ પુસ્તક લખાયું છે. N.C. Beoharનું પુસ્તક Kasturba Gandhi : The Silent Sufferer કસ્તૂરબાને મૂંગે મોઢે સહન કરી લેતી એક અબૂઝ, અસહાય સ્ત્રી તરીકે રજૂ કરે છે, જે હકીકતથી સાવ વેગળું છે. મુખ્યત્વે હરિલાલ, અને તે ઉપરાંત બીજા પુત્રો સાથેના ગાંધીજીના વર્તનને તેમણે કેવું મૂંગે મોઢે સહી લીધું તે બતાવવાનો લેખકે પ્રયત્ન કર્યો છે.
તો ૨૦૨૦માં પ્રગટ થયેલું બી.એમ. ભલ્લાનું પુસ્તક Kasturba Gandhi : A Biography સામે છેડે જઈને ગાંધીજી સાથે ખભે ખભો મિલાવીને કસ્તૂરબા પહેલાં દક્ષિણ આફ્રિકામાં અને પછી હિન્દુસ્તાનમાં સ્વાતંત્ર્ય માટેની ચળવળમાં, અને ખાસ કરીને નારીમુક્તિની ચળવળમાં, સમભાગી થયા હતા એવું ઠસાવવાનો પ્રયત્ન કરે છે.
૨૦૨૦માં ફેબ્રુઆરી અને માર્ચમાં જેની ઉપરાઉપરી બે આવૃત્તિ પ્રગટ થઈ હોવાનું પુસ્તકમાં નોંધાયું છે તે Kasturba Gandhi : An Embodiment of Empowerment મુંબઈના ગાંધી સ્મારક નિધિ દ્વારા પ્રગટ થયું છે. તેના લેખક સિબી કે. જોસેફ વર્ધાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગાંધીયન સ્ટડીઝમાં અભ્યાસ અને સંશોધન વિભાગના ડીન છે. પ્રસ્તાવનામાં તેઓ કહે છે : This book is not a comprehensive biography of Kasturba. My primary attempt has been to present Kasturba Gandhi in a nutshell as an embodiment of empowered women who had an identity of her own. એટલે કે કસ્તૂરબા એક પરાવલંબી પત્ની કે અબળા નારી નહિ, પણ પોતાની આગવી ઓળખાણ ધરાવનાર સશક્ત સ્ત્રી હતાં એમ બતાવવાનો લેખકે અહીં પ્રયત્ન કર્યો છે. આ પુસ્તકની એક વિશેષતા એ છે કે એમાં પરિશિષ્ટ તરીકે કસ્તૂરબાએ આપેલાં ચાર પ્રવચનનો અંગ્રેજી અનુવાદ આપ્યો છે. અલબત્ત, દરેક પ્રવચનને મથાળે નોંધ્યું છે કે પ્રવચન કસ્તૂરબાએ પોતે આપ્યું નહોતું. તેમના વતી કોણે રજૂ કરેલું તે પણ જણાવ્યું છે. આ પ્રવચનો વાંચતાં મનમાં એક પ્રશ્ન થાય : આવાં પ્રવચનો લખવા જેટલી કસ્તૂરબાની સજ્જતા હતી ખરી? પ્રવચનો ખરેખર કસ્તૂરબાએ લખ્યાં હશે, કે પછી તેમના વતી કોઈએ લખ્યાં હશે?
આ બધાં પુસ્તકો વાંચ્યા પછી કેટલાક સવાલ મનમાં ઊઠ્યા વગર રહે નહિ. એક : વનમાળા દેસાઈ લખે છે કે કસ્તૂરબા નિયમિત રીતે ડાયરી લખતાં. તો એ ડાયરીઓ ક્યાં છે? પ્રગટ થઈ છે કે નહિ? બીજું, કેટલાક લોકો માને છે કે કસ્તૂરબા સાવ અભણ હતાં. હા, લગ્ન થયાં ત્યારે હતાં. પણ પછી ધીમે ધીમે લખતાં વાંચતાં શીખેલાં, પહેલાં ગુજરાતી અને પછી થોડું અંગ્રેજી પણ. વનમાળા દેસાઈ કહે છે કે આપણાં જાણીતાં લેખિકા, પત્રકાર, અને આઝાદી માટેની ચળવળમાં સક્રિય ભાગ લેનાર લાભુબહેન મહેતા અને કસ્તૂરબા એક જ જેલમાં સાથે હતાં ત્યારે કસ્તૂરબા નિયમિત રીતે લાભુબહેન પાસેથી અંગ્રેજી શીખતાં.
કસ્તૂરબા વિષે લખતી વખતે એક વાત ઘણી વર ધ્યાનમાં રહેતી નથી એમ લાગે છે, અને તે છે એમનાં સ્થળ-કાળનો સંદર્ભ. તેમનાં વિચાર-વાણી-વર્તનને આજનાં ધોરણે જોવા-આલેખવાનું ઉચિત ન ગણાય. ઓગણીસમી સદીની ત્રીજી પચ્ચીસીમાં પોરબંદર જેવા કોઈ રીતે પ્રગતિશીલ ન કહી શકાય એવા દેશી રાજ્યમાં જન્મ અને ઉછેર. તેમના જન્મ સુધી પોરબંદરમાં નહોતું એકે છાપખાનું કે નહોતું પ્રગટ થતું એક પણ અખબાર. કન્યા કેળવણી નહિવત હતી. બાળલગ્નો સામાન્ય હતાં. આ બધી મર્યાદાઓ હોવા છતાં કસ્તૂરબા પોતાની ઇચ્છાશક્તિથી અને ગાંધીજીનાં પ્રેરણા અને સહકારથી તેમાંની કેટલીક મુશ્કેલીઓને ઓળંગી ગયાં. છતાં આજનાં ધોરણે તેમના જીવનની મૂલવણી કરવી યોગ્ય ન ગણાય.
વાતની શરૂઆત આપણે કસ્તૂરબા વિશેના ગાંધીજીના શબ્દોથી કરી હતી. અંતે પણ તેમના શબ્દો પાસે જ જઈએ. ‘બાનો ભારે ગુણ કેવળ સ્વેચ્છાએ મારામાં સમાઈ જવાનો હતો. એ કાંઈ મારી ખેંચથી નહોતું બન્યું. પણ બામાં જ એ ગુણ સમય આવ્યે ખીલી નીકળ્યો … તેણે મિત્ર થવા છતાં સ્ત્રી તરીકે ને પત્ની તરીકે પોતાનો ધર્મ મારા કાર્યમાં સમાઈ જવામાં જ માન્યો.’
નોંધ: આ લેખ લખાઈ ગયા પછી જાણવા મળ્યું કે કસ્તૂરબાએ લખેલી ડાયરી સચવાઈ રહી છે અને તેનો અંગ્રેજી અનુવાદ તુષાર ગાંધી કરી રહ્યા છે. ટૂંક સમયમાં એ પ્રગટ થશે એવી આશા છે.
પુસ્તકસૂચિ
૧૯૪૪. ભારતજનની કસ્તૂરબા/દયાશંકર ભ. કવિ. એન.એમ. ઠક્કરની કંપની, મુંબઈ.
૧૯૪૪. Sati Kasturba: A Life-Sketch with Tributes/Ed. R.K. Prabhu. Hind Kitabs, Mumbai.
૧૯૪૫. અમારાં બા/વનમાળા દેસાઈ, સુશીલા નૈયર. નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ.
૧૯૪૫. Kasturba: A Personal Reminiscence/Sushila Nayar. Navjeevan Publishing House, Ahmedabad.
૧૯૪૫? Gandhi and Kasturba: The Story of Their Life/Ganpat Rai. Kasturba Memorial Publications, Lahore
૧૯૪૬. આપણાં કસ્તૂરબા/પુરાતન બુચ. હંસ પ્રકાશન, અમદાવાદ.
૧૯૬૯. કસ્તૂરબા (હિન્દીમાં, બાળકો માટે કોમિકરૂપે)/સુશીલા નૈયર, એરિક ફ્રાન્સિસ. પુરોહિત એન્ડ સન્સ, મુંબઈ.
૨૦૧૬. બા: મહાત્માનાં અર્ધાંગિની (The Forgotten Womanનો અનુવાદ/લેખક અરુણ ગાંધી, અનુ. સોનલ પરીખ. નવજીવન, અમદાવાદ.
૨૦૧૮. Kasturba Gandhi: A Bio-Fiction/Giriraj Kishore, Trans. Manisha Chaudhry (હિન્દીમાંથી અનુવાદિત). Niyogi Books, New Delhi.
૨૦૧૮. Kasturba Gandhi: The Silent Sufferer/N.C. Beohar. Notion Press, Chennai.
૨૦૨૦. Kasturba Gandhi: A Biography/B. M .Bhalla. The Lotus Collection, New Delhi.
૨૦૨૦. Kasturba Gandhi: An Embodiment of Empowerment/Siby K. Joseph. Gandhi Smarak Nidhi, Mumbai.
xxx xxx xxx
e.mail : deepakbmehta@gmail.com
પ્રગટ : “પ્રબુદ્ધ-જીવન” માસિક, માર્ચ 2021