Opinion Magazine
Opinion Magazine
Visitors: 8388672
  • Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
  • About us
    • Launch
    • Digitisation
    • Opinion Online Team
    • Contact Us

મોહનદાસ ગાંધી, વતન-વાપસી, અને માતૃભાષા-ગૌરવ

ડૉ. અશ્વિનકુમાર|Gandhiana|9 January 2022

ત્રીસ જાન્યુઆરી, ઓગણીસો અડતાળીસે દેહથી ગયા તે ‘મહાત્મા’ હતા. પણ નવ જાન્યુઆરી, ઓગણીસો પંદરે દેશમાં આવ્યા તે ‘મોહનદાસ ગાંધી’ હતા. જો કે, ગાંધીભાઈએ જીવનનાં એકવીસ વરસ દક્ષિણ આફ્રિકાની ભૂગોળને અને દુનિયાના ઇતિહાસને આપ્યા. તેઓ ગિરમીટિયાઓને દેશી ભાષાઓમાં સમજતા તો ગોરાઓને અંગ્રેજી ભાષામાં સમજાવતા. મો.ક. ગાંધી અધિપતિની હેસિયતથી ‘ઇન્ડિયન ઓપિનિયન’માં ગુજરાતી, હિંદી, તામિલ, અને અંગ્રેજી એમ ચાર ભાષામાં લખાણો છાપતા. ‘સત્યાગ્રહ’નું શસ્ત્ર નહીં પણ શાસ્ત્ર સમજી-સમજાવીને તેઓ હિંદના દરિયાકિનારે ભરતી બનીને આવ્યા. ૦૯-૦૧-૧૯૧૫ના રોજ, ગાંધી મુંબઈ બંદરે ઊતર્યા ત્યારે એક પારસી ખબરપત્રી તેમની મુલાકાત લેવા સારુ છેક બંદર ઉપર પહોંચી જઈને તેમને મળ્યો. તેને પહેલાં પહોંચી જઈને ગાંધીને મળી લેવાની હોંશ હતી. ‘સૌથી પ્રથમ, તેજ કદમ’નું સ્પર્ધાસૂત્ર એ જમાનાના પત્રકારત્વનું લક્ષણ હોય પણ ખરું. પેલા પત્રકારે તો મળતાંની સાથે જ ગાંધી ઉપર અંગ્રેજીમાં સવાલ છાંટ્યો. પછી શું થયું? … ગાંધીનું નહીં, પેલા પત્રકારનું?! … આ અંગે આપણા સૌના ‘કા.કા.’ને પૂછવું પડે.

કાકાસાહેબ કાલેલકર ‘બાપુની ઝાંખી’(નવજીવન પ્રકાશન મંદિર, પહેલી આવૃત્તિ: ૧૯૪૯, બીજી આવૃત્તિ : ૧૯૫૫, પુનર્મુદ્રણ : ૧૯૬૯, પૃ.૧૨)માં નોંધે છે : “તેમણે પૂછેલા સવાલનો જવાબ આપતાં પહેલાં બાપુએ કહ્યું – ‘ભાઈ, તમે હિંદી છો, હું પણ હિંદી છું. તમારી માતૃભાષા ગુજરાતી છે, મારી પણ ગુજરાતી છે. તો પછી તમે મને અંગ્રેજીમાં કેમ સવાલ પૂછો છો? તમે શું એમ માનો છો કે દક્ષિણ આફ્રિકામાં રહી આવ્યો એટલે મારી જન્મભાષા ભૂલી ગયો? અથવા એવું તો માનતા નથીને કે મારા જેવા બેરિસ્ટર સાથે અંગ્રેજીમાં વાત કરવી જ શોભે?’ ” આ ઘટના અંગે કાકાસાહેબ વધુમાં લખે છે કે, “ખબરપત્રી શરમાયો કે નહીં એ હું જાણતો નથી, પણ એને નવાઈ થઈ ખરી. પોતાની મુલાકાતના હેવાલમાં બાપુના આ જવાબને જ તેણે અગ્રસ્થાન આપ્યું હતું.” લેખને સમેટતાં કાલેલકર કહે છે : “તેણે બીજા સવાલો શા પૂછ્યા અને બાપુએ જવાબો શા આપ્યા એ હું ભૂલી ગયો છું. પણ આપણા દેશના નેતાઓમાં એક નેતા એવા છે જે માતૃભાષામાં બોલવાની સ્વાભાવિકતાનું મહત્ત્વ સમજે છે એ જાણીને સૌને સંતોષ થયો.” આ જે બન્યું તેને સમાચારની ભાષામાં ઘટના પણ વિચારની ભાષામાં ઘડતર કહેવાય. જેમાંથી એક પત્રકારે નહીં, આખી પ્રજાએ બોધપાઠ લેવો રહ્યો.

ગાંધીના માનમાં ઉત્તમલાલ ત્રિવેદીએ મુંબઈમાં ગુજરાતીઓનો મેળાવડો ગોઠવ્યો હતો. ‘ગાંધીજીની દિનવારી’(માહિતી ખાતું, ગુજરાત રાજ્ય, સંવર્ધિત આવૃત્તિ ૧૯૯૦, પૃ. ૦૨)માં સંગ્રાહક ચંદુલાલ ભગુભાઈ દલાલની નોંધ મુજબ, ‘આ મેળાવડો ગુર્જર સભા તરફથી ૧૪-૦૧-૧૯૧૫ની સાંજે મુંબઈસ્થિત મંગળદાસની વાડીમાં યોજાયો હતો.’ ગુજરાતી હોવાના નાતે મહમદઅલી ઝીણા પણ એમાં હાજર રહ્યા હતા. આ મેળાવડાના પ્રમુખ કે મુખ્ય વક્તા તરીકે ઝીણાએ ટૂંકું અને મીઠું પણ અંગ્રેજીમાં ભાષણ કર્યું. બીજાં ભાષણો પણ મોટા ભાગે અંગ્રેજીમાં જ થયાં હતાં. હવે ગાંધીનો વારો આવ્યો! આ બનાવનું બયાન કરતાં મો.ક. ગાંધી ‘સત્યના પ્રયોગો’(નવજીવન પ્રકાશન મંદિર, પ્રથમ આવૃત્તિ : ૧૯૨૭, પુનર્મુદ્રણ : ૨૦૦૯, પૃ. ૩૪૫)માં કહે છે : “જ્યારે મારો બોલવાનો વારો આવ્યો ત્યારે મેં ઉત્તર ગુજરાતીમાં જ વાળ્યો, ને ગુજરાતીનો તથા હિંદુસ્તાનીનો મારો પક્ષપાત મેં થોડા જ શબ્દોમાં જાહેર કરી, ગુજરાતીઓની સભામાં અંગ્રેજીના ઉપયોગની સામેનો મારો નમ્ર વિરોધ નોંધાવ્યો. મારા મનમાં આમ કરવા વિશે સંકોચ તો હતો જ. લાંબી મુદ્દતની ગેરહાજરી પછી પરદેશથી વળેલો બિનઅનુભવી માણસ ચાલતા પ્રવાહની સામે જાય એમાં અવિવેક તો નહીં હોય એવું મને લાગ્યા કરતું હતું. પણ ગુજરાતીમાં ઉત્તર વાળવાની મેં હિંમત કરી તેનો કોઈએ અનર્થ ન કર્યો ને સૌએ મારો વિરોધ સાંખી લીધો એ જોઈ હું રાજી થયો, ને મારા નવા લાગતા બીજા વિચારો પ્રજા આગળ મૂકવામાં મને અડચણ નહીં આવે એવો સાર પણ મેં આ સભામાંથી ખેંચ્યો.”

દાનત હોય તો, આ દૃષ્ટાંતો ઉપરથી આપણે ધડો લઈ શકીએ છીએ. સવાલો પૂછનાર પત્રકારની માતૃભાષા ગુજરાતી છે એવું જાણી લીધા પછી ગુજરાતીમાં સંવાદ કરવો એ ગૌરવનો વિષય છે, શરમનો નહીં. એનાથી ગેરસમજ ઘટશે, ઠેરસમજ વધશે. ગુજરાતી વ્યવસ્થા-વાતાવરણ-વ્યવહારમાં ગુજરાતી ભાષામાં વાત વહેતી કરવા માટે હિંમત સિવાય કશું જરૂરી નથી. પછી ભલેને સામે ઝીણા હોય કે મોટા! અંતે એટલું સ્વીકારીએ કે, જાહેરમાં એક વાર માતૃભાષામાં અભિવ્યક્ત થયા પછી કોઈ નવી વાત રજૂ કરવામાં અગવડ નહીં પડે એવો સાર જો મો.ક. ગાંધી ખેંચી શકતા હોય તો આપણે તેમના તરફ ખેંચાવું જ રહ્યું.

પ્રાધ્યાપક, પત્રકારત્વ વિભાગ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, મહાત્મા ગાંધી આશ્રમ માર્ગ, અમદાવાદ – ૩૮૦ ૦૧૪

વીજાણુ-ઠેકાણું (ઈ-મેઇલ) : ashwinkumar.phd@gmail.com

અક્ષર-આકાશિકા (બ્લોગ) : https://ashwinningstroke.blogspot.com

9 January 2022 ડૉ. અશ્વિનકુમાર
← વચ્ચે રાજકારણ આવશે !
હરામની કમાણીએ ઘણાંને હરામી બનાવ્યા છે … →

Search by

Popular Content

  • પિંડને પાંખ દઈ દીધી અને –
  • માતૃભાષા તમારો પાયો છે અને તે જ કાચો રહેશે તો શું ઇમારત બુલંદ થવાની?
  • વતનને પત્ર
  • ‘બ્રિટનમાં ગુજરાતીઓ’ : એક મૂલ્યાંકન
  • ઇબ્રાહિમ ઉમ્મરભાઈ રાઠોડ ‘ખય્યામ

Diaspora

  • સામ્રાજ્યની સફર અને વિભિન્ન દેશોમાં વસતા  મૂળ વતનીઓ
  • અનુરાધા ભગવતી : Unbecoming : A Memoir of Disobedience : આજ્ઞાભંગની અસહ્ય સ્મૃતિયાત્રા 
  • Breaking Out : મુક્તિયાત્રા :  લેખિકા : પદ્મા દેસાઈ 
  • 1900થી 1921 સુધી હિંદી આયાઓના રહેઠાણ પર બ્લૂ તક્તિનું અનાવરણ – 16 જૂન 2022
  • પ્રકાશકીય

Gandhiana

  • અમૃતમહોત્સવ : ભારતનાં મૂળિયાં ઉખેડવામાં આવી રહ્યાં છે એ દેશનું દુર્ભાગ્ય છે
  • નાટ્ય અદાકારીમાં છુપાયેલું એક વિચારશીલ અને વિનમ્ર વ્યક્તિત્વ એટલે પોલ બેઝલી
  • કસ્તૂરી મહેક
  • “હું યુનિયનમાં માનું, પહેલેથી જ – અને યુનિયન એટલે ઍક્શન” : ઇલા ર. ભટ્ટ
  • મારા હાવર્ડ મેનેજમેન્ટના અભ્યાસક્રમમાં ગાંધીના નેતૃત્વના ગુણધર્મોની આપેલી વ્યાખ્યા

Poetry

  • ફરી પાછા
  • બે ગઝલ
  • દિવંગત મહેન્દ્ર મેઘાણીને મારી કાવ્યાંજલિ
  • પથ્થર પર કવિતા
  • હવે એ જોવું છે

Samantar Gujarat

  • લઠ્ઠાકાંડમાં રાંડ્યા પછીનું ડહાપણ …
  • ગુજરાત, ૧ મે ૨૦૨૨
  • અકાદમીની સ્વાયત્તતા પરિષદની જવાબદારી કઈ રીતે છે?
  • ઝીણાં ઝીણાં સંવેદનોનો આંસુ ભીનો આસ્વાદ : ‘21મું ટિફિન’
  • ગુજરાતના નવા મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને ખુલ્લો પત્ર …

English Bazaar Patrika

  • The Father and the Assassin
  • In praise of Nayantara Sahgal
  • On his birthday a Tribute to a Musical genius and a Bridge builder Pt. Ravi Shankar
  • Poetry Brought Us Together–
  • Metta Centre for Nonviolence

Profile

  • વાચન સંસ્કૃતિના દીપસ્તંભ મહેન્દ્રભાઈ મેઘાણી
  • પપ્પા એટલે ….
  • પપ્પાનું પ્રગતિપત્રક
  • ગાંધીનું દૂધ પીધેલા
  • મા, તારે જ કારણે જગતનાં સર્વ સુખ મળ્યાં

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved