જાવેદ હબીબ જાણીતો હેર સ્ટાઇલિસ્ટ છે. તેની દેશવિદેશમાં અનેક શાખાઓ છે. તે ઉપરાંત તે હેર કટિંગના ટ્રેનિંગ ક્લાસ ચલાવે છે. મુઝફ્ફરનગરની એક મહિલા એક ટ્રેનિંગ દરમિયાન ખુરશી પર બેઠી છે અને જાવેદ હબીબ ટ્રેનિંગમાં હાજર લોકોને ટિપ્સ આપતાં કહે છે કે પાણી ન હોય તો વાળ કાપતી વખતે માથામાં થૂંકવું, એ થૂંકમાં તાકાત છે. આ કહેતી વખતે તે પેલી મહિલાના માથામાં થૂંકીને બતાવે છે. એ વીડિયો વાયરલ થયો ને પેલી મહિલાએ જાવેદ સામે પોલીસ ફરિયાદ કરી છે. મહિલા પોતે બ્યુટી પાર્લર ચલાવે છે ને તે જાવેદનો સેમિનાર એટેન્ડ કરવા ગઈ હતી, જ્યાં થૂંકવાનો વ્યવહાર થતાં તે ગુસ્સે થઈ હતી ને તેણે વાળ કપાવવાનું માંડી વાળતાં કહ્યું હતું કે તે ગલીના કોઈ હેર ડ્રેસર પાસે વાળ કપાવશે, પણ જાવેદ હબીબ પાસે નહીં કપાવે. આ ઘટનાની જે અસરો પડવી જોઈએ તે પડી છે ને એકાદ હિન્દુ સંગઠને તો જાવેદની ધરપકડ માટે પ્રદર્શન પણ કર્યું છે. રાષ્ટ્રીય મહિલા આયોગે દિલ્હી અને યુ.પી. પોલીસને પત્ર લખીને જાવેદની વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી અંગે રિપોર્ટ માંગ્યો છે. જાવેદે આ મામલે વીડિયો રજૂ કર્યો છે ને પોતાનાં આવાં વર્તનથી કોઈને દુ:ખ પહોંચ્યું હોય તો તેની માફી માંગી છે. વાતને હિન્દુ-મુસ્લિમ રંગ પણ અપાયો છે ને તેની સાથે બીજા વીડિયો પણ ન્યૂઝ ચેનલો બતાવે છે, જેમાં કોઈ લારીવાળો ફળોને થૂંક લગાવીને લારીમાં ગોઠવે છે. તો કોઈ રોટી બનાવનારો રોટી બનાવતાં પહેલાં તેનાં પર થૂંકે છે. આવું બીજી બાબતે પણ બનતું હશે ને લોકો જાણ્યે અજાણ્યે બધું વેઠતા પણ હશે.
એક વાત બહુ સ્પષ્ટ છે કે આ બાબતો કોઈ પણ રીતે તિરસ્કારને પાત્ર છે. એ કોઈ પણ કરતું હોય ને ગમે તેવા ઉત્તમ ઇરાદે કરતું હોય તો પણ તે વખોડવા પાત્ર છે. એનો બચાવ ન હોઈ શકે. બધા મુસ્લિમો ખરાબ નથી જ. એમાંના ઘણાએ આ દેશને બેઠો કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું જ છે, છતાં ઘણા આ દેશનું ખાઈને આ દેશને પારકો ગણે છે એ કોઈ પણ રીતે યોગ્ય નથી. બહુમતી હિન્દુઓની હોય છતાં આ દેશ લઘુમતીઓનો દેશ પણ છે જ. મુસ્લિમ આક્રમણો દરમિયાન ઘણાં મંદિરો તૂટ્યાં છે ને ઘણાંને ઇસ્લામ અપનાવવાની ફરજ પડાઈ છે, એ પછી પણ આ બંને કોમ આ દેશમાં ટકી રહી છે તે સૂચક છે. બધાં હિન્દુ, મુસલમાન નથી થયાં કે બધાં મુસલમાન, હિન્દુ નથી થયાં. લઘુમતી હોવા છતાં દેશમાં 20 કરોડ મુસ્લિમો ભારતીય નાગરિક હોવાનો હક આગળ કરી જ શકે છે. આમાં કેટલાકને એવું છે કે થૂંકેલું ખવડાવવાથી સામેની કોમ વટલાઈ જશે. આ એક ભ્રમ છે ને એમાં ભારોભાર નાદાનિયત છે. જેમને ખબર પડશે કે પોતે થૂંકેલું પામે છે તો લોકો ત્યાં જતાં અટકશે ને એમ થવામાં જો કોઈને ધંધાનો વિકાસ લાગતો હોય તો અહીં કૈં કહેવાનું નથી. કોઈ મુસ્લિમ થૂંકીને રોટલી બનાવી હિન્દુને છેતરી શકે કદાચ, પણ એવી થૂંકેલી રોટલી કોઈ જાણી કરીને મુસ્લિમ પણ ખાશે કે? કોઈ હિન્દુ કોઈને મુસ્લિમ બનાવવા થૂંકેલી રોટલી ખવડાવતો ન હોય તો મુસ્લિમે એવું કરવાની જરૂર ખરી? એવું કરવાથી આવક વધે છે કે ધંધો તૂટે છે તે વિચારવા જેવું છે. ધારો કે કોઈ અજાણતાં થૂંકેલું ખાય છે, તો થૂંકનાર રાજી થઈ શકે, પણ તેણે જે કર્યું છે તેનો સાક્ષી તો તે પોતે છે જ. એ શું પોતાનાં ધર્મની વિરુદ્ધ જતી વાત નથી?
એ પણ દુ:ખદ છે કે કોઈ મુસ્લિમ, હિન્દુ કન્યાને મુસ્લિમ બનાવવાને ઇરાદે ઓળખ છુપાવીને પ્રેમનું નાટક કરે છે. પ્રેમ, જાતિ-ધર્મ નથી જોતો એ સાચું, પણ જાતિ, ધર્મ સંતાડીને કોઈ ધર્મ બદલાવવાને ઇરાદે કોઈને છેતરે એને પોતાનો જ ધર્મ અનુમોદન નહીં આપે એ કહેવાની જરૂર નથી. જો કે, બુલ્લીબાઈ એપ હવે નષ્ટ થઈ ગઈ છે, છતાં એમાં જે ચાલ્યું તે પણ ખોટું જ હતું. એ એપ બનાવવા પાછળનો એક હેતુ મુસ્લિમ મહિલાઓની લીલામી કરીને પૈસા કમાવાનો હતો. એ એપની મદદથી સાઇબર અપરાધીઓ લોકપ્રિય મહિલાઓ, સેલેબ્સના ફોટાઓનો ઈન્ટરનેટ સાથે તોડ પાડીને, એનો ઉપયોગ પૈસા ઊભા કરવામાં કરતા હતા. કમનસીબી એ છે કે મુસ્લિમ મહિલાઓ વિરુદ્ધ આવું ષડયંત્ર રચનારી ઉત્તરાખંડની એક 18 વર્ષની હિન્દુ યુવતી છે, જેણે તેના 21 વર્ષના પુરુષ સાથીની મદદથી આ કામ કર્યું હતું. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી છે. આ મામલામાં પૈસા કમાવા કરતાં પણ ધાર્મિક કટ્ટરતા કામ કરી રહી હોવાનું ઘણાંને લાગે છે. વિશેષ વાતો તો કેસ આગળ ચાલે ત્યારે બહાર આવશે, પણ ધાર્મિક ઉન્માદ ક્યાંક પ્રભાવક બની રહ્યો હોવાનું દેખાઈ રહ્યું છે. કેમ હશે આટલી સંકુચિતતા તે નથી સમજાતું. ટૂંકમાં, લઘુમતીની હોય કે બહુમતીની, કટ્ટરતા લાંબે ગાળે તો ઘાતક જ પુરવાર થતી હોય છે.
દરેક જાતિ, ધર્મને તેની વિશેષતાઓ છે, તેમ જ મર્યાદાઓ પણ છે. અન્ય રીતે ફરજ ન પડે તો મોટે ભાગના તો જન્મથી મળેલ જાતિ, ધર્મને નિભાવે છે. એવાઓને કોઈ પણ ધર્મ છેડે, છંછેડે એ વાજબી નથી. ધર્મ, કોઈ પણ મહાન જ છે, પણ ધર્માંધતા એટલી જ ખતરનાક છે. ધર્માંતરણથી ધર્મ વિશાળ થતો નથી. હા, વિશાળ હોવાનો ભ્રમ એથી થઈ શકે, પણ ગમે તેવા પ્રચંડ ધર્માંતરણથી એક જ ધર્મ બચે એવું થતું નથી. એવું થયું હોત તો વિશ્વમાં એક જ ધર્મ બચ્યો હોત, પણ એવું નથી. એટલે જેને તેને પોતાની રીતે, ધર્મ માનવા, મનાવવાની મોકળાશ મળી રહે એટલું જોવાય તો, તે પણ ધર્મ જ છે. બધાં ધર્મને લાગુ પડતો એક સીધો ધર્મ છે, માનવ ધર્મ. એ બધાં ધર્મની ઉપરવટ જઈને પણ નિભાવવા જેવો છે. માનવધર્મ નિભાવનારથી અલ્લાહ, ઈશુ કે કોઈ પણ દેવ નારાજ નથી થતા, છતાં આજે સૌથી વધુ ખૂટે છે માનવધર્મ !
ધાર્મિક કટ્ટરતા જેમ નકારવા લાયક છે એમ જ હરામની કમાણી પણ વખોડવા લાયક છે. જાવેદ હબીબ જેવા ઘણા એવા હશે જે આવી મળેલી સંપત્તિ જીરવી શકતા નથી. આમ તો તે માત્ર એક વાળ કાપનાર છે, પણ તે કામને લીધે જાણીતો થયો. દેશવિદેશમાં તેની સંસ્થાઓ બની. આવક વધી. તેને કારણે નમ્રતા આવવી જોઈતી હતી, પણ એવું ન થયું. નમ્રતાને બદલે ઉદ્ધતાઈ, અહંકારનો પડઘો પડ્યો. તે વગર પોતાનું થૂંક તેને પાણી કરતાં વધુ તાકાતવાળું લાગે ને તે વાળમાં પાણી નાખવાને બદલે થૂંકે? આ બીભત્સ છે, ગંદું છે. પોતાનું થૂંક એટલું જ તાકાતવાળું હોય તો તેનો ઉપયોગ તેણે પોતાને માટે ને પોતાના પર જ કરવો જોઈએ, પણ ઇરાદો તાકાતનો નથી, સામેનાને અપમાનિત કરવાનો ને નીચા ગણવા-દેખાડવાનો છે. વાળ કપાવવા એક મહિલા બેઠી હોય ને તેના માથામાં જાવેદ થૂંકે એ બધી રીતે અક્ષમ્ય છે. એ ગમે એટલો મહાન કે તાકતવર જ કેમ ન હોય, તેને કોઈ હક નથી પહોંચતો કોઈના પણ માથામાં થૂંકવાનો. આમ તો ગમે ત્યાં થૂંકવાની મનાઈ છે ત્યાં, કોઈનું માથું કૈં થૂંકદાની નથી કે કોઈ પણ બહાને તેમાં થૂંકી દેવાય ! એમાં જો થૂંકનાર વિધર્મી હોય તો તેનાં તંતુ, કોઈ તે રીતે વિક્સાવે તો તેનો વાંક કાઢી શકાય નહીં. કોઈને ભલે તે ગમે એટલી લાભદાયી લાગતી હોય તો પણ, થૂંકવાની આખેઆખી રીત જ મનુષ્ય માત્રનું અપમાન કરનારી છે.
એની સામે ઝારખંડના ધનબાદના એક કિસ્સામાં એક મુસ્લિમ યુવકને ભા.જ.પ.ના કાર્યકરોએ તેનું જ થૂંક ચાટવાની ફરજ પાડી. તેને ઢોર માર મારવામાં આવ્યો ને એ આખી ઘટનામાં પોલીસ તમાશો જોઈ રહી હતી. યુવકનો વાંક એ હતો કે તે વડા પ્રધાન વિષે અપશબ્દો બોલ્યો હતો. એ સાચું હોય તો પણ તેને સડક પર માર મારીને થૂંક ચટાવવાનો આખો ઉદ્યમ જ શરમજનક છે. જવાબદાર યુવક સામે ફરિયાદ દાખલ થઈ શકતી હતી, પણ તેવું ન કરતાં કાર્યકરો પોતે ન્યાય કરવા બેઠા, એમાં અપમાન આખી ન્યાય પદ્ધતિનું થયું. આ જે તે ગ્રૂપના વધારે પડતા આત્મવિશ્વાસનું પરિણામ છે. ભા.જ.પ.નો સાધારણ માણસ પણ તુમાખી અને તુચ્છતાથી વર્તતો થયો છે, એ ફેરવિચારણાને પાત્ર છે. દાયકાઓનું કાઁગ્રેસનું શાસન જો જમીનદોસ્ત થઈ શકતું હોય તો ભા.જ.પ.ને તો દાયકો પણ થયો નથી એ ભૂલવા જેવું નથી.
મહેરબાની કરીને કોઈ એવું ન માને કે ભા.જ.પ. કે મોદી વિરુદ્ધ કોઈ પ્રચારનો ઉપક્રમ અહીં છે. એવું નથી, પણ ભા.જ.પ.ને કોઈ પૂછવાવાળું રહ્યું નથી એવી સમજ જે સાધારણ કાર્યકર્તાઓમાં વિકસી રહી છે તેણે, ચા કરતાં કીટલી ગરમની સ્થિતિ સર્જી છે ને એ પક્ષની વર્ષો જૂની મહેનત અને સિદ્ધિની તરફેણમાં નહીં જાય એ સમજી લેવાનું રહે.
કારણ કોઈ પણ હોય, ધર્મ કોઈ પણ હોય, કોમ કોઈ પણ હોય, પક્ષ કોઈ પણ હોય કોઈએ મનુષ્યનું ગૌરવ ન જાળવવાનું કહ્યું નથી ને દુ:ખ એ વાતનું છે કે અત્યારે સ્થિતિ સામાન્ય માણસનું અપમાન કરનારી વધુ છે. આ અંગે ગંભીરતાથી વિચારીએ –
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 જાન્યુઆરી 2022