હિંદીના ભાષાના દિગ્ગજ પત્રકાર પ્રભાષ જોશીનું પુસ્તક છે : ‘હિંદુ હોને કા ધર્મ’. આ પુસ્તક દેશમાં જ્યારે હિંદુ રાજનીતિનો ઉદય થઈ રહ્યો હતો તે સમયનું જાણે એક દસ્તાવેજિકરણ હોય તે રીતે તેમાં ઘટના અને ઉલ્લેખ આવે છે. આ પુસ્તક સાડા છસ્સો પાનાનું છે અને આ પુસ્તકની ‘ભૂમિકા’ વિશેષ કરીને વાંચવા જેવી છે. મૂળે તો પ્રભાષ જોશીએ આ પુસ્તક બાબરી મસ્જિદના ધ્વંસ પછી હિંદુ ધર્મનો ખરો ખ્યાલ શું હતો તે દર્શાવવા અખબારોમાં લખેલા અનેક લેખોમાંથી પસંદ કરેલા લેખોનો સંગ્રહ છે.
‘હિંદુ હોને કા ધર્મ’માં તત્કાલિન ખૂબ સૂક્ષ્મ વિગતો નોંધાઈ છે. એક અરસા બાદ કોઈ પણ ઘટના ધૂંધળી થઈ જાય છે અને તેને સ્પષ્ટતાથી જોઈ શકાતી નથી. પ્રભાષ જોશીનું આ પુસ્તક નેવુંના દાયકામાં ઊભરી રહેલા હિંદુત્વની રાજનીતિનો મૂળ સુધી પહોંચે છે. તેઓ ભૂમિકામાં જ એમ લખે છે કે, ‘સૌથી અગત્યનું એ છે કે પોતાના ધર્મ અને સમાજમાં હિંદુત્વથી જે કોમી સંકુચિતતા જન્મે તે માટે સંગઠિત અને સતત પ્રયાસ થઈ રહ્યા છે તેનાથી લોકોની આંખ ઉઘડે. અને તેનાથી પણ જરૂરી બાબત એ છે કે બ્રિટિશ સામ્રાજ્ય સામે આપણે બે સદીના સંઘર્ષથી જે ભારતીય ચેતના અને રાષ્ટ્ર જન્મ્યું છે – તેનો મૂળ આધાર બદલવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે તેનાથી લોકોને ચેતવી શકાય. જે લોકો ભારતને હિંદુઓનું દર્શાવીને તેને હિંદુ રાષ્ટ્રમાં પરિવર્તિત કરવા ઇચ્છે છે તે કોઈ રામજન્મભૂમિ આંદોલનમાંથી જ નથી નીકળ્યા. તેમના પૂર્વજો ઓગણીસમી સદીના આખરી દાયકામાં પણ હતા અને વીસમી સદીના પ્રથમ પાંચ દાયકામાં પણ હતા, જ્યારે દેશે અંગ્રેજો પાસેથી રાજકીય આઝાદી મેળવી હતી. આઝાદી પછીના પાંચ દાયકામાં પણ તેઓ સક્રીય રહ્યા, જ્યારે આપણા દેશે લોકશાહી અને સામાજિક-આર્થિક આઝાદી મેળવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આઝાદીમાં તેમનું કેટલું યોગદાન છે અને તેમણે કેટલી શહીદી વહોરી છે તેનાથી દેશમાં કોઈ અજાણ નથી. ‘વંદે માતરમ્’ અને ‘ભારત માતા કી જય’ બોલીને જે લોકો અંગ્રેજોની જેલમાં ગયા, તેમની વરસાવેલી લાઠીઓ ખાધી, તેમની ગોળીઓથી શહીદ થયા અને ફાંસીનો તખ્ત સ્વીકાર્યો – એ રીતે આ દેશ લોકતાંત્રિક, ધર્મનિરપેક્ષ બન્યો છે. આપણા આગેવાનોએ એવું બંધારણ બનાવીને આપણને આપ્યું જેમાં કોઈ ધર્મ, જ્ઞાતિ, જાતિ કે રંગનો કોઈ ભેદ નથી. ઉપરાંત, સૌની સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય અને વિચાર, અભિવ્યક્તિ, આસ્થા, ધર્મ અને આસ્થાની આઝાદી આપવાનો અને આપણામાં તકોની સમાનતા, વ્યક્તિની ગરિમાના આધારે ભાઈચારો જન્મે તેનો સંકલ્પ સમાવિષ્ટ છે.’
આ ખ્યાલ તો આપણા બંધારણનો છે અને તે પ્રભાષ જોશીએ ભૂમિકામાં શરૂઆતમાં લખ્યો છે. પછીથી તેઓ દેશમાં બનેલી ઘટના તરફ આગળ વધતા લખે છે કે, ‘હિંદુત્વની રાજકીય, સામાજિક અને ધાર્મિક વ્યાખ્યામાં એટલાં ખૂણા, પડ અને અર્થ નિકળીને નથી આવતાં, જેટલાં બનેલી ઘટનાઓથી ખુલે છે. દસ વર્ષની આ ઘટનાઓમાં એક વિચારધારા અને ખ્યાલના સંદર્ભે હિંદુત્વના એટલાં પડ ખુલ્યા છે જે વીર સાવરકર અને ગુરુ ગોલવલકરના સૈદ્ધાંતિક વિવેચનામાં ક્યાં ય દેખાતા નથી. એ પ્રમાણે ‘રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ’નો મૂળ ખ્યાલ એવો હતો કે સત્તાથી પાયાનું પરિવર્તન થઈ શકે છે – એવું અમે માનતા નથી. તે ‘રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ’ અગાઉ જનસંઘ અને તે પછીથી ભા.જ.પે. સત્તા અર્થે કેવા પ્રકારના સમાધાન કર્યા તે આપણે જાણીએ છીએ. કોણ એવું માનશે કે આ પક્ષ અન્ય પક્ષ જેવો છે. ‘આર.એસ.એસ.’થી સહાનુભૂતિ રાખનારા તટસ્થ લોકો સુધ્ધા એવું માને છે કે ભા.જ.પ. સંઘનું લોકતાંત્રિક હથિયાર છે. અને સૌ કોઈ જોઈ ચૂક્યા છે કે જ્યારે જનસંઘ અને ભા.જ.પ. શાસનમાં આવ્યું છે ત્યારે સંઘનો વ્યાપ ઝડપથી થયો છે. જો શાસનમાં રહેવાથી ‘આર.એસ.એસ.’ જો આટલું નિ:સ્પૃહી હોત તો ભા.જ.પ.નું સત્તા પ્રત્યે આટલું આકર્ષણ અને સંઘ સત્તાના ઉપયોગ અર્થે આટલું આતુર સંગઠન હોત?’

प्रभाष जोशी
હવે તેઓ લખે છે કે : ‘જેમ કે લાલકૃષ્ણ અડવાણીએ સંસદમાં આપેલા નિવેદનના મીડિયાએ સૌથી મોટાં સમાચાર બનાવ્યા કે – ભારત ક્યારે ય હિંદુ રાષ્ટ્ર ન બની શકે. અડવાણી ગૃહ મંત્રી ને નાયબ વડા પ્રધાનથી પણ વધારે હિંદુત્વના પહરી માનવામાં આવતા હતા. એટલે તેમના નિવેદન બાદ શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે અને વિશ્વ હિંદુ પરિષદના આગેવાનોએ કડક ટીપ્પણીઓ કરી હતી. તે પછી લાલકૃષ્ણ અડવાણી તરફથી ખુલાસો થયો કે – તેમનો કહેવાનો અર્થ એ હતો કે ભારત ક્યારે ય હિંદુ રાજ્ય ન થઈ શકે. હિંદુ રાષ્ટ્ર તો છે જ, કારણ કે તે હિંદુઓનો દેશ છે. હિંદુ રાજ્ય એટલે હિંદુ ધાર્મિક રાજ્ય. અડવાણીનું જે કહ્યું છે તેનો અર્થ એ કે પાકિસ્તાનની જેમ તે ક્યારે ય ધાર્મિક રાષ્ટ્ર નહીં બને. ભૂલ મીડિયાની હતી – જેને ન સમજાયું કે રાજ્ય અને રાષ્ટ્રમાં શું અંતર છે. રાજ્ય એક રાજકીય સંસ્થા છે અને રાષ્ટ્ર એક સાંસ્કૃતિક સંસ્થા. હિંદુત્વ ભારત દેશને સાંસ્કૃતિક અર્થમાં હિંદુ રાષ્ટ્ર માને છે. અને જે હિંદુત્વને ભા.જ.પ. અને સંઘ પરિવાર પોતાનો મૂળ સિદ્ધાંત માને છે તે વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી અને રામકૃષ્ણ પરમહંસનું હિંદુત્વ છે. તમને યાદ હશે કે થોડા મહિના અગાઉ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ પણ કહ્યું હતું કે તેમનું હિંદુત્વ સ્વામી વિવેકાનંદના ખ્યાલનું છે. સરસંઘચાલક સુદર્શન પણ હિંદુત્વની વાત કરે છે ત્યારે વિવેકાનંદનું જ નામ લે છે. વીર સાવરકરનું નામ તો કોઈ લેતું પણ નથી.’ તે પછી પ્રભાષ જોશી સાવરકરનું કાર્ય દર્શાવે છે અને તેમ છતાં તેમને સંઘ પરિવારે ભૂલાવી દિધા તે વાત પણ રજૂ કરે છે. પ્રભાષ જોશીએ તે સમયે સાવરકરને ભૂલાવી દેવાની વાત લખી તે આજે આશ્ચર્ય લાગે છે.
આગળ તેઓ હિંદુત્વ શબ્દના મૂળમાં જઈ જે કંઈ લખે છે તેમાં તેમનું અવલોકન છે કે, ‘જેને વિદ્વાન લોકો હિંદુ રાષ્ટ્રવાદ કહે છે તેના બીજ રોપવામાં દયાનંદ સરસ્વતી અને સ્વામી વિવેકાનંદનું મોટું યોગદાન છે. રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી શ્રદ્ધાનંદના વિચારોએ પણ તેમાં ખાતરનું કામ કર્યું છે. પરંતુ હિંદુત્વનો ખ્યાલ તો સાવરકરનો જ હતો. તેમનું પુસ્તક ‘હિંદુત્વ – હિંદુ કોણ છે?’ હિંદુત્વનું બીજ રોપનારું પુસ્તક છે. દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદના સાહિત્યમાં ક્યાં ય હિંદુત્વ શબ્દ મળશે નહીં. આ તમામ વિચારકોની પ્રથમ ચિંતા હિંદુ ધર્મની હતી. વીર સાવરકર માટે ધર્મ અગત્યનો નહોતો, ન તો તેઓ ધાર્મિક વ્યક્તિ હતા. પત્નીના અવસાન બાદ પણ તેમણે તે પછીની ઉત્તરક્રિયા કરવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે પોતાના સાથીઓને કહ્યું હતું કે કોઈ કર્મકાંડ ન કરવામાં આવે.’
હાલમાં ‘આર.એસ.એસ.’ના સરસંઘચાલક મોહન ભાગવત અમેરિકાના પ્રવાસે છે અને ત્યાંથી તેમનું નિવેદન એમ આવ્યું કે જે હિંદુ અન્ય ધર્મીઓને બહાર હડસેલી દે તે હિંદુ નથી. હિંદુ ધર્મ ઉદાર છે અને સર્વસમાવેશક છે -તેમાં કોઈ પ્રશ્ન નથી, પણ હાલની પરિસ્થિતિમાં આવું નિવેદન આપવું પડે છે. સમય સમયે બદલાતા આવા નિવેદનોનો ઉલ્લેખ અહીં પુસ્તકમાં મળે છે. પ્રભાષ જોશી લખે છે કે, ‘1940થી 1973 સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક રહેનારા માધવ સદાશિવ ગોલવલકરે 1939માં પ્રકાશિત પોતાના પુસ્તકમાં ‘હમ યા હમારી રાષ્ટ્રીયતા કી પરિભાષા’માં કહ્યું છે કે – હિંદુસ્તાનમાં જે પણ વિદેશી મૂળના લોકો છે તેમણે હિંદુ સંસ્કૃતિ અને ભાષા સ્વીકારી લેવી જોઈએ. હિંદુ ધર્મનો આદર અને સન્માન કરવાનું શીખી લેવું જોઈએ. હિંદુ મૂળના અને સંસ્કૃતિનું ગૌરવ સિવાય કોઈ પણ વિચાર રાખવો ન જોઈએ. અથવા તો હિંદુ રાષ્ટ્રના આધિન રહીને દેશમાં રહેવું જોઈએ. કોઈ દાવો ન કરવો જોઈએ. પોતાને કોઈ વિશેષાધિકારના યોગ્ય સમજવા ન જોઈએ. વિશેષ વ્યવહાર મેળવવાની આંકાક્ષાની વાત તો દૂર રહી નાગરિક અધિકારોની આશા પણ ન રાખવી જોઈએ.’ એ જ પ્રમાણે 1993માં સરસંઘચાલક રહેનારા સુદર્શન પણ મુસલમાનો પાસે હિંદુ સંસ્કૃતિ કબૂલ કરાવવાનું નિવેદન કર્યું હતું.
પ્રભાષ જોશીના આ પુસ્તકમાં એવું ઘણું છે જે હાલમાં દેખાતાં સાંપ્રદાયિક માહોલમાં વાંચવું જોઈએ. વિશેષ કરીને તેમણે ભા.જ.પ. અને ‘આર.એસ.એસ.’ની હિંદુત્વના ખ્યાલ પર આખું પુસ્તક લખ્યું છે. હાલની રાજનીતિ સમજવા માટે આ પુસ્તક ઉપયોગી છે. પુસ્તક દળદાર છે – તેની વાત અહીં લંબાવી શકાય, પણ પુસ્તકની અન્ય વિગતો ક્યારેક ફરી મૂકીશું.
e.mail : kirankapure@gmail.com
![]()

