ઉત્તર પ્રદેશ કે પંજાબમાં શેરડીના ભાવનો મુદ્દો ક્યારે ય માત્ર ખેતી પૂરતો સીમિત રહ્યો નથી. વાજબી અને લાભદાયી ભાવ એટલે કે ફેર ઍન્ડ રેમ્યુનરેટિવ પ્રાઇસ(FRP)ના માધ્યમથી છૂટક સ્તરે રમાતું આ રાજકારણ છે.

ચિરંતના ભટ્ટ
ગળપણ મોંઘું થયું છે. ગયા અઠવાડિયે મહારાષ્ટ્રમાં ખાંડનો ભાવ 60 રૂપિયે કિલોએ પહોંચ્યો હતો. ખાંડના ભાવની આ અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી છે—છાપાળવી ભાષામાં કહીએ તો વિક્રમજનક ભાવવધારો. જુલાઈની શરૂઆતથી ખાંડના ભાવમાં 60 ટકાનો ઉછાળો આવ્યો છે. હજી દિવાળીને વાર છે. નેપાળનાં પૂરને કારણે ખાંડના સમાચાર પહેલા પાનેથી ખસી ગયા છે ખરા, પરંતુ ખાંડનો ભાવ 20 ટકા જેટલો ઘટ્યો ખરો, એટલે કે 62 પ્રતિ કિલોથી ભાવ 56 રૂપિયે કિલો પહોંચ્યો ખરો. જો કે, ઉછાળા પછી ભાવ થોડા નરમ પડે એ સામાન્ય રીતે આ ચક્રનો જ એક ભાગ હોય છે. જો કે એનાથી ભાવવધારા પાછળનાં કારણોમાં કોઈ ફેર પડતો નથી.
વિશ્વમાં સૌથી વધુ ખાંડનું ઉત્પાદન કરતા દેશોમાં સ્થાન ધરાવતા અને છેલ્લા એક દાયકાથી ખાંડના મામલે દેશ આત્મનિર્ભર છે, એવી વાત સાંભળતા આવેલા ભારતમાં ખાંડના ભાવ આ સ્તરે પહોંચે એવું કોઈ કાળે ન થવું જોઈએ. છતાં હકીકત આપણી સામે છે. વિશ્વમાં ખાંડના બીજા ક્રમના સૌથી મોટા ઉત્પાદક દેશ એવા ભારતે નવ વર્ષમાં પહેલી વાર ખાંડની આયાત શરૂ કરી છે. જો કે આ કાચી ખાંડ છે, તમારા ઘરના રસોડામાં પહોંચતી તૈયાર ખાંડ નથી. આ કાચી ખાંડ એવી સુગર મિલોને વેચવામાં આવે છે, જે તેને પ્રોસેસ કરીને સ્થાનિક બજારમાં વેચવા માટે કાનૂની રીતે બંધાયેલી છે. ક્યારે ય કોઈ બીજા દેશના શેરડીના પાકની જરૂર નહીં પડે તેવા દાવા પર પોતાની ઈથેનોલની ગાથા રચી હતી તેવા ભારતને હવે બ્રાઝિલની કાચી ખાંડની જરૂર પડી રહી છે.
સરકારે કંઈક અંશે નારાજગી સાથે સ્પષ્ટતા કરી કે આ ભાવવધારા સાથે ઇથેનોલને કોઈ લેવાદેવા નથી. કનઝ્યુમર અફેર્સ મંત્રાલયે ઇથેનોલ બ્લેન્ડિંગ (મિશ્રણ) માટે ખાંડના ડાયવર્ઝન અને ભાવવધારા વચ્ચેના કોઈપણ સંબંધને નકારી કાઢતું નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં પોતાના જ આંકડાઓનો હવાલો આપવામાં આવ્યો હતો : ઇથેનોલ માટે ઉપયોગમાં લેવાતી ખાંડનો હિસ્સો ખરેખર તો ઘટ્યો છે, જે 2022-23માં કુલ ઉત્પાદનના આશરે 12 ટકા હતો તે આ સીઝનમાં ઘટીને 9 ટકા થયો છે.
ઈંધણને મામલે સામે આવતો આંકડો પણ આ જ હકીકત કહે છે. ઓઇલ કંપનીઓને સપ્લાય કરવામાં આવતા ઇથેનોલમાં શેરડી આધારિત ઇથેનોલનો હિસ્સો હવે માંડ ત્રીજા ભાગ જેટલો જ છે, જ્યારે બાકીનો મોટાભાગનો હિસ્સો અનાજ, ખાસ કરીને મકાઈમાંથી બને છે. મંત્રાલયના મતે ખાંડનું ઓછું ઉત્પાદન, તહેવારો દરમિયાન વધેલી માગ અને સંગ્રહખોરીએ ભાવવધારો સર્જ્યો છે. પરંતુ જે ઇથેનોલ બ્લેન્ડિંગ કાર્યક્રમને સરકારે દસ વર્ષના પ્રયાસો પછી પોતાની એક મોટી સિદ્ધિ તરીકે રજૂ કર્યો છે, તેનો આ ભાવવધારા સાથે કોઈ સંબંધ નથી. વળી, આ વર્ષે ઇથેનોલનું ઉત્પાદન પણ મુખ્યત્વે શેરડી પર આધારિત રહ્યું નથી.
તકનીકી રીતે જોઈએ તો આ વાત ખોટી નથી. પરંતુ જે રીતે એને બચાવ તરીકે રજૂ કરવામાં આવી રહી છે એટલી સીધી વાત પણ નથી. આ વર્ષે ઇથેનોલ કાર્યક્રમને શેરડી પર સતત આધાર રાખવાની જરૂર ભલે ન પડી હોય, પરંતુ આ નીતિએ દેશમાં ‘પૂરતી ખાંડ’નો અર્થ શું થાય એની વ્યાખ્યા છેલ્લાં દસ વર્ષમાં બદલી નાખી છે.
ઈંધણની ટાંકી ભરવા માટે શેરડી, અનાજ કે પછી એ સિઝનમાં જે ઉપલબ્ધ હોય તે મળી જ રહેશે; આ વચનના આધારે દસ વર્ષ સુધી નીતિ ઘડ્યા પછી નબળા ચોમાસાને કારણે ખાંડના ડબ્બામાં અપેક્ષા કરતાં ઓછો જથ્થો બચે ત્યારે સરકાર આશ્ચર્ય પામી શકે નહીં. આ વર્ષે એક પણ તહેવારની મીઠાઈ બને એ પહેલાં જ આશરે 34 લાખ ટન ખાંડનું ઉત્પાદન ડાયવર્ટ થઈ ચૂક્યું છે, અને એ પણ એવા પાક પર જે ગયા ઑક્ટોબરના અંદાજ કરતાં પહેલેથી જ લગભગ 30 લાખ ટન ઓછો છે.
ખરેખર તો ઇથેનોલની ભૂખ માત્ર શેરડીમાંથી અનાજ તરફ અને મહારાષ્ટ્રની સુગર મિલોમાંથી મકાઈના પટ્ટા તરફ વળી છે. સાથે જ એવી અપેક્ષા રાખવામાં આવી કે આ લેવડદેવડ ક્યાં ય ગઈ નથી એ તરફ કોઈનું ધ્યાન ન જાય. બદલાયું છે તો માત્ર એટલું જ કે હવે આ કિંમત કયો પાક ચૂકવે છે. 2025માં આપણને કહેવામાં આવ્યું હતું કે નિર્ધારિત સમય કરતાં એક વર્ષ વહેલો 20 ટકા ઇથેનોલ બ્લેન્ડિંગનો લક્ષ્યાંક હાંસલ કરવો એ ઊર્જા સુરક્ષા અને વિદેશી હૂંડિયામણની બચતના મોરચે મોટી સફળતા છે. ત્યારે કોઈએ એ નહોતું કહ્યું કે ઇંધણમાં આત્મનિર્ભરતાનો હિસાબ સરભર કરવા માટે એક દિવસ ખાંડના ડબ્બામાંથી ઉધાર લેવું પડે તેમ બની શકે છે. આ સિઝનના અંતે બચેલો ખાંડનો જથ્થો (ક્લોઝિંગ સ્ટૉક) લગભગ એક દાયકાના સૌથી નીચા સ્તરે પહોંચે એવી શક્યતા છે.
અત્યારે ભારત બ્રાઝિલ પાસેથી ખાંડની આયાત કરી રહ્યું છે. આ નિર્ણયની પૃષ્ઠભૂમિમાં ઉત્તર પ્રદેશ અને પંજાબની ચૂંટણીઓ પણ છે. 2027ના પહેલા ત્રણ મહિનામાં બન્ને રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે અને બન્ને દેશના સૌથી મોટા શેરડી ઉત્પાદક વિસ્તારોમાં સામેલ છે. આમ, ઇથેનોલનું ગણિત માત્ર ઇંધણ નીતિના આધારે ક્યારે ય નક્કી નહોતું થવાનું.
20 ઑગસ્ટે સરકારે 10 લાખ ટન કાચી ખાંડની શૂન્ય આયાત જકાત સાથે આયાત કરવા માટે ટેરિફ-રેટ ક્વોટા ખોલ્યો. સામાન્ય રીતે ખાંડ પર 100 ટકા આયાત જકાત લાગુ પડે છે. જે મિલો 15 ઑક્ટોબર સુધીમાં આયાતી ખાંડનો જથ્થો ભારતમાં પહોંચાડવાની ખાતરી આપે તેમને 31 ઑક્ટોબરની અંતિમ સમયમર્યાદાની નજીક જથ્થો પહોંચાડનારી મિલો કરતાં પ્રાથમિકતા આપવામાં આવશે.
ભારતને પરંપરાગત રીતે ખાંડ પૂરી પાડતો બીજો દેશ થાઇલૅન્ડ પોતાના જ ઉત્પાદનની અછતનો સામનો કરી રહ્યો છે. એટલે આ મુદ્દે ચર્ચા શરૂ થાય એ પહેલાં જ થાઇલૅન્ડનો વિકલ્પ બાકાત થઈ ગયો હતો. કાગળ પર બીજા દેશોના વિકલ્પો ઉપલબ્ધ છે, પરંતુ આટલા ઓછા સમયમાં જરૂરી જથ્થો પૂરો પાડવાની ક્ષમતા એ દેશોમાંથી કોઈની પાસે નથી. બ્રાઝિલ કોઈ વૈકલ્પિક યોજના નથી; અત્યારે એ જ એકમાત્ર યોજના છે. આ સમગ્ર સ્થિતિનો વિરોધાભાસ શિપિંગ શેડ્યૂલમાં શાંતિથી છુપાયેલો છે. બ્રાઝિલનાં બંદરોથી ભારતના કિનારા સુધી માલવાહક જહાજને પહોંચતાં 40થી 45 દિવસ લાગે છે. એટલે આ અઠવાડિયે જે ખાંડ માટે સોદા થશે એ ભારતમાં પહોંચીને કસ્ટમ્સમાંથી બહાર આવે ત્યાં સુધીમાં જકાતમુક્ત આયાતની સમયમર્યાદા લગભગ પૂરી થઈ ચૂકી હશે અને 100 ટકા આયાત જકાત ફરી લાગુ થઈ જશે. ટૂંકમાં, ત્યાં સુધીમાં ભારત જેટલી ખાંડની આયાત સુનિશ્ચિત નહીં કરી શકે, તેના માટે પૂરી કિંમત ચૂકવવી પડશે. આ જકાતની દીવાલ ભારતે પોતે જ ઊભી કરી હતી; હવે એ જ દીવાલ દેશની પોતાની અછત પર કર વસૂલશે.
આમાંનું કશું પણ રાજકીય શૂન્યાવકાશમાં કે કોઈ સામાન્ય વર્ષમાં નથી બની રહ્યું. ઉત્તર પ્રદેશ કે પંજાબમાં શેરડીના ભાવનો મુદ્દો ક્યારે ય માત્ર ખેતી પૂરતો સીમિત રહ્યો નથી. વાજબી અને લાભદાયી ભાવ એટલે કે ફેર ઍન્ડ રેમ્યુનરેટિવ પ્રાઇસ(FRP)ના માધ્યમથી છૂટક સ્તરે રમાતું આ રાજકારણ છે. દરેક શેરડીની સિઝન પહેલાં નાટકીય સમય પસંદ કરીને તેની જાહેરાત કરવામાં આવે છે. એનો સંબંધ આર્થિક ગણતરી કરતાં એ ચોક્કસ પ્રકારના ખેડૂતને સાધવા સાથે છે, જેને ગયા વર્ષે પોતાની શેરડીના કેટલા રૂપિયા મળ્યા હતા એ બરાબર યાદ છે.
ફેબ્રુઆરીની ચૂંટણી પહેલાં સરકારે શેરડીના ખેડૂતોને ખુશ પણ રાખવાના છે અને ખાંડના ભાવ ઘટાડવા માટે ખેડૂતોને મળતા ભાવ પર દબાણ કરી રહી હોય એવું દેખાવા પણ દેવાનું નથી. સરકારે એક જ સમયે બન્ને કામ કરવાનાં છે. એટલે ચાર મહિનામાં ચાર પગલાં લેવાયાં; નિકાસ પર પ્રતિબંધ, જથ્થાની મર્યાદા, જકાતમુક્ત આયાત અને આ બધાં વચ્ચેની એક મહત્ત્વની કડીનો જાહેરમાં ઇનકાર. દરેક પગલું અલગ મતદારવર્ગને ધ્યાનમાં રાખીને લેવાયું, પરંતુ આ વર્ષે દેશમાં કેટલી ખાંડ મળશે એ 18 મહિના પહેલાં લેવાયેલા વાવેતરના નિર્ણયથી જ નક્કી થઈ ગયું હતું. તેને આમાંથી એકેય પગલું બદલી શકે એમ નહોતું.
ખાંડનો ભાવ પ્રતિ કિલો ₹ 60 સુધી પહોંચતો જોનાર ગ્રાહક અને પોતાના FRPની બાકી રકમ મળવાની રાહ જોતો શેરડીનો ખેડૂત આ ઘટનામાં સામસામે નથી. બન્નેની સમસ્યાનું મૂળ એક જ છે. ગ્રાહકને ખાંડના ભાવ ઘટવાની રાહ છે અને ખેડૂતને પોતાના બાકી પૈસા મળવાની. પરંતુ બન્ને માટે સરકારના નિર્ણયો ચૂંટણીના સમયપત્રકને ધ્યાનમાં રાખીને લેવાઈ રહ્યા છે.
બાય ધી વેઃ
સરકાર સતત કહે છે કે ઇથેનોલ કાર્યક્રમને ખાંડની અછત સાથે કોઈ સંબંધ નથી. શક્ય છે કે સરકાર આ બાબતમાં સાચું કહી રહી હોય. પરંતુ દિવાળી જેવા દેશના સૌથી મોટા તહેવાર માટે ભારતે બ્રાઝિલથી ખાંડ મંગાવવી પડે એ સ્થિતિ જ ઘણું કહી જાય છે. માટે જ, સવાલ માત્ર એટલો નથી કે ઇથેનોલ કાર્યક્રમ અને ખાંડની અછત વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં. વધુ અગત્યનો સવાલ એ છે કે યોગ્ય આયોજન થયું હોત તો આ બન્ને બાબતો એકબીજા સાથે જોડાય એવી સ્થિતિ ઊભી જ ન થઈ હોત. છતાં સત્તામાં બેઠેલા લોકોને એની ચિંતા કેમ નથી?
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 30 ઑગસ્ટ 2026
![]()

