સડકો પર સંભળાઈ છે ‘છાત્રોની ગુંજ’
નવાં બળો અને પરિબળોનાં ઉદય સાથે સ્વરાજી કાઁગ્રેસ કુળ પરંપરાનું પુનઃ આવાહન, શોધન અને સંધાન, નવલાં શરસંધાન વાસ્તે જરૂરી છે. વિપક્ષી રાજનીતિ પણ હતી તો સ્વરાજી કાઁગ્રેસકુળ પરંપરામાં.

પ્રકાશ ન. શાહ
‘છાત્રોંકી ગુંજ’ એ શ્રેણીમાં પુણેની મહિલાકેન્દ્રી જમાવટ જોયા પછી રાહુલ ગાંધી વિશે અંગ્રેજી ઢબે કદાચ એટલું જ કહેવાનું રહે છે કે ‘હી હેઝ એરાઇવ્ડ’, અસ્તંગમિતમહિલા જેવો વરતાતો કૉંગ્રેસ પક્ષ, હજુ સંગઠને ઢીલોઢાલો, પણ આ અક્ષરશ: યુવા નેતૃત્વ થકી કંઈક આશ્વસ્ત ને કંઈક આશાન્વિત જરૂર થઈ શકે. પુણ હમણેનાં વરસોનો રાહુલ દોર પક્ષનિરપેક્ષપણેય દેશમાં એક વૈકલ્પિક નેતૃત્વની આશા સંપડાવે છે, એ નિઃ શંક.
લાંબો સમય આપણે એમને ‘પપ્પુ’ કહ્યા – આપણે એટલે કે, ખાસ તો, અમિત માલવિય હસ્તકની આઈ.ટી. સેલે અને રૂપિયે બે રૂપિયે રમતી લાઈકોડી મંડળીએ હમણાં રૂપિયે બે રૂપિયે એમ કહ્યું, પણ એ તો એક કહેવાની રીત થઈ. મુદ્દે, હજારો કરોડની, ‘તમારાં રાજદ્વારોના ખૂની ભપકે’ નીંગળતી સરકારી અને સત્તાપક્ષી, પ્રચારમારાની એ કમાલ હતી. પણ ભારત જોડો યાત્રા સાથે આ ‘પપ્પુ’ મિથક પિગળવા લાગ્યું અને 2024ના લોકસભા-પરિણામ સાથે નેતા પ્રતિપક્ષના વિધિવત ઉદય તેમ જ સ્થાપનપૂર્વક કેમ જાણે નવસંવતના આરંભ શી અરુણિત લાલિમા વરતાઈ.

રાહુલ ગાંધી
‘રાહુલ? કોણ રાહુલ’ એકદા વર્તમાન વડા પ્રધાને અજબ જેવી માસૂમિયતથી સ્ક્રિપ્ટશૂરા કોઈ ચેનલનવીસને પૂછ્યું હતું. પણ 2024ના જૂન સાથે કેમ જાણે આછીપાતળી પણ ‘ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની’ની તરાહ ને તરજ પર ‘આ સ્તો રાહુલ’ એવો જવાબ આવી મળ્યો … અને એ પણ બિલકુલ બાયોલૉજિકલ.
આ જે રાહુલ એની ચૂંટણી ઝુંબેશ ચાલુ દાયરાની બહાર ‘મહોબતની દુકાન’થી માંડી ‘સંવિધાન’ સરખા મુખર સંકેતો વાટે એક નવું કથાનક ઘડતી માલૂમ પડે છે.
ક્યારેક એમનું રાજકારણ ‘કેમિયો’ જેવું લાગતું હતું. પણ હવે આપણે એમને ટ્વેન્ટી ફૉર બાય સેવન લગભગ જોતા હોઈએ એવો ઘાટ છે. આજે પાર્લમેન્ટ સ્ટ્રીટની પોલીસ ચોકી પર એફ.આઈ.આર. નોંધાવવા માટે કલાકોના કલાકો લગી ધરણા પર, ને કાલે પુણે … વાંસોવાંસ નાગપુરની તારીખ પણ ગમે તે ક્ષણે આવી પડશે સ્તો!
ચિહ્નો બધાં જ એવાં છે કે જંતરમંતરથી શરૂ થયેલો ઘટનાક્રમ ઝાલ્યો ઝલાવાનો નથી. આપણા ચાલુ માળખામાં એ પૂરેપૂરો કેમ પડઘાય તે અલબત્ત જોવું રહે છે. તે સંદર્ભે કંઈક દાયિત્વ, કંઈક ઉત્તરદાયિત્વ ચાલુ રાજકીય પરિબળોનુંયે હોય તે સંસંદીય લોકશાહી રાજકારણમાં સહજ છે. દાયિત્વ ને ઉત્તરદાયિત્વની આ રમઝટમાં આપણા સરજાતા ઇતિહાસમાં ઉભરી રહેલી શખ્સિયત રાહુલ ગાંધી છે.
જેન ઝી ઇતિહાસધક્કા ઉપરાંત એમની પાસે ક્યારેક સ્વરાજની વડી પાર્ટી એવી ભાંગ્યું તોયે ભરૂચ જેવી કાઁગ્રેસ છે. આ કાઁગ્રેસ પાસે હજુ બાર વરસ પરનો મનમોહન દસકાનો ઇતિહાસ છે. 2014-26ના બાર વરસનો મુકાબલે 2004-2014ના મનમોહન અભિગમની વિશેષતાઓ ધીરે ધીરે ઊઘડતી જાય છે, કેમ કે હમણેના દસકાની મૂઠ ને મૂર્છા ઊતરી રહી છે.
નરસિંહરાવને અને રાજીવ ગાંધીને વટીને ઇન્દિરાકાળમાં જઈએ ત્યારે અત્યારના સંદર્ભમાં એક વિલક્ષણ વાત સામે આવે છે. અજ્ઞેયની એક જાણીતી રચના ‘બૌદ્ધિક બુલાયે ગયે’ છે જેમાં કટોકટીના સંદર્ભમાં ચહેતા ને પાળીતા બૌદ્ધિકોની જિકર આવે છે. પણ તમે જુઓ કે મનમોહન કાળમાં સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં બનેલા એડવાઇઝરી કમિટી પર એ કુળના લોકો હતા જેઓ કટોકટીકાળે સહજક્રમમાં જે.પી. આંદોલન સાથે હોઈ શકતા હતા. મોરારજી સરકાર ટકી હોત તો આગળ ચાલતાં એણે હાથ ધર્યાં હોત એવાં કેટલાંક પગલાં આ એડવાઇઝરી કમિટીનાં હતાં. હાલનું માનવ અધિકાર પંચ, એમ તો નરસિંહરાવની ભેટ છે!
હમણાં એક ‘ગુંજ’ દરમિયાન જેન ઝી મિજાજથી છાત્રે રાહુલ ગાંધી સાથેના સંવાદમાં લોહિયાને સંભાર્યા હતા કે સડકો સૂની પડે ત્યારે સંસદ ‘આવારા’ બની જાય છે! કાઁગ્રેસને કંઈક કાંઠુ લાગે ને કુડીબંધ નાગરિકોને પણ કંઈક કઠે, છતાં જે.પી.-કૃપાલાણી-લોહિયાની વિપક્ષી રાજનીતિ પણ હતી તો સ્વરાજી કાઁગ્રેસકુળ પરંપરામાં, એટલો વિવેક જેમ રાહુલ ગાંધીને તેમ સ્વતંત્ર નાગરિકોનેય વસવો તો જોઈએ.
ગમે તેમ પણ, પરિવર્તનનો વાયરો વહી રહ્યો છે એટલું ચોક્કસ.
26 ઑગસ્ટ 2026
e.mail : prakash.nireekshak@gmail.com
![]()

