વસ્તીનો આંકડો ગમે તેટલો વિગતવાર હોય, અંતે તો એ માત્ર સરખામણી માટેનો પાયાનો આંકડો છે. તેનાથી એટલી ખબર પડે છે કે કેટલા લોકોનું નોંધાયેલું સામાજિક સ્થાન એક સરખું છે; પણ એ આંકડો આપણને એ નથી કહેતો કે લાભનો પહેલો કોળિયો તેમને ભાગે આવે છે કે છેલ્લો?

ચિરંતના ભટ્ટ
લોકો અત્યારે બહુ ઉત્સાહમાં છે કારણ કે 2027ની જાતિ ગણતરીના પડઘમ વાગી રહ્યા છે, સાથે જ આ વખતે ગણતરી વધુ ન્યાયસંગત રહેશે એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. અહીં યાદ રાખવા જેવું છે કે ભારત આ પ્રયોગનું એક સ્વરૂપ પહેલાં પણ અજમાવી ચૂક્યું છે. 2011માં સામાજિક-આર્થિક અને જાતિ આધારિત વસ્તી ગણતરી (SECC) દરમિયાન લોકોને કોઈ વિકલ્પ આપ્યા વિના ઓપન કોલમમાં પોતાની જાતિ જણાવવાનું કહેવામાં આવ્યું હતું—કોઈ નિર્ધારિત કેટેગરીઝ નહીં, કોઈ ડ્રૉપ-ડાઉન યાદી નહીં અને કોઈ ચકાસણી નહીં. પરિણામે જાતિ, પેટાજાતિ, અટક, કુળ, ગોત્ર, સમાનાર્થી નામો અને જુદી-જુદી જોડણી સહિત જાતિ સંબંધિત આશરે 46 લાખ એન્ટ્રીઓ સામે આવી. તેની સરખામણીએ આઝાદી પહેલાં 1931માં થયેલી છેલ્લી વ્યાપક જાતિ ગણતરીમાં 4,147 જાતિઓ નોંધવામાં આવી હતી.
2011ની કવાયતનાં સામાજિક અને આર્થિક તારણો જાહેર કરવામાં આવ્યાં, પરંતુ જાતિ સંબંધિત વિગતવાર આંકડા ક્યારે ય જાહેર ન થયા. આ 15 વર્ષના મૌનને માત્ર આંકડાકીય સમસ્યા ગણાવીને અવગણી શકાય નહીં. આ એક એવો નિર્ણય છે, જે વારંવાર નવેસરથી લેવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે હવે પુષ્ટિ કરી છે કે 2027ની વસ્તી ગણતરીમાં અગાઉની પદ્ધતિનું સૌથી નિર્ણાયક લક્ષણ યથાવત્ રહેશે: લોકો જાતિ અંગે જે વિગત આપશે તે કોઈપણ ડ્રોપ-ડાઉન વિકલ્પ વિના ‘જેમની તેમ’ (verbatim) નોંધવામાં આવશે.
આ બાબતને આપણે જરા ઉદાર વલણથી જોવું હોય તો તેને વહીવટી આશાવાદ કહી શકાય. પરંતુ જો ભારતીય વહીવટી તંત્રના છેલ્લા એક દાયકાના ઇતિહાસ પર નજર કરીએ, તો આ સમગ્ર કવાયત એક ‘નિયંત્રિત નિષ્ફળતા’ (controlled failure) જેવી ભાસે છે—એવી વ્યવસ્થા, જે એટલા અટપટા અને અવ્યવસ્થિત આંકડા પેદા કરી શકે કે તેના આધારે કોઈ નક્કર પગલું જ ન લઈ શકાય અને પછી આ આંકડાનો ઉપયોગ કેમ ન થયો તેનો ખુલાસો પણ કોઈએ ન કરવો પડે. પેલું કહેવાય છે ને કે જો તમે તેમને તમારી વાત મનાવી ન શકો તો તેમને ગૂંચવી નાખો (If you can’t convince them, confuse them).
ઉજવણીના ઉત્સાહમાં મોટાભાગે આ જ વાત નજરઅંદાજ થઈ જાય છે: કોઈ દેશ જાતિઓની ગણતરી કરે એનો અર્થ એવો નથી કે તે જાતિની વાસ્તવિકતા અને તેને કારણે થતા અન્યાયનો હિસાબ પણ કરે છે. ભારતમાં જાતિ કોઈ એક રાષ્ટ્રીય વર્ગીકરણ વ્યવસ્થા નથી. એ પ્રદેશ, ભાષા અને સ્થાનિક ઓળખનું સતત બદલાતું આર્કાઇવ છે, જ્યાં સમાન સામાજિક સ્થાનને અલગ-અલગ નામ અપાય છે. દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશમાં વસતી કોઈ દલિત પેટાજાતિ પોતાના નામની જે જોડણી અને ઉચ્ચાર કરતી હોય, તેનાથી માત્ર 3 જિલ્લા દૂર વસનારો સંબંધિત સમુદાય એ જ નામની જોડણી કે ઉચ્ચાર જુદી રીતે કરી શકે છે. ગણતરી કરનાર કર્મચારી કોઈ જવાબને ‘જેમનો તેમ’ નોંધે ત્યારે તે એ ઓળખનું માત્ર એક સ્વરૂપ નોંધી રહ્યો હોય છે—એ સ્થળે, એ ભાષામાં અને એ સંજોગોમાં જવાબ આપનારી વ્યક્તિ પોતાની ઓળખ માટે જે શબ્દ વાપરે છે તે જ શબ્દ ત્યાં નોંધાય છે.
લોકોને પોતાની ઓળખ જાતે જણાવવાનો અધિકાર આપવાની તરફેણમાં લોકશાહી આધારિત દલીલ ચોક્કસ છે. સરકાર દ્વારા તૈયાર કરાયેલી યાદી સમુદાયો પર સત્તાવાર ઓળખ લાદી શકે અથવા તેમને એવી કેટેગરીમાં મૂકી શકે, જેને તેઓ પોતાની ઓળખ તરીકે સ્વીકારતા જ ન હોય. પરંતુ ઓપન કૉલમ વર્ગીકરણની સમસ્યાનો કાયમી ઉકેલ નથી; એ માત્ર મુશ્કેલીને આગળ ધકેલવાનું કામ કરે છે. જ્યાં સુધી રાજ્ય પાસે લાખો જવાબો મેળવીને તેને પછીથી યોગ્ય કેટેગરીમાં ગોઠવવાની પારદર્શક પદ્ધતિ નહીં હોય, ત્યાં સુધી પ્રામાણિક જવાબો પણ વહીવટી રીતે કોઈપણ ઉપયોગમાં ન આવી શકે તેવો ડેટા જ તૈયાર કરશે.
આખી જવાબદારી ફરી રાજ્યને માથે જ આવે છે : તે જાતિને-પેટાજાતિઓ, અટકો, કુળ અને પ્રાદેશિક સમાનાર્થી શબ્દોથી કેવી રીતે અલગ તારવશે? કોણ નક્કી કરશે કે કઈ ઓળખને એક કેટેગરીમાં રાખવી કે કઈ ઓળખને અલગ રાખવી? સૌથી મહત્ત્વનું એ છે કે આ પ્રક્રિયા સાર્વજનિક કરાશે ખરી?
આ ઉપરાંત એવા લોકોનો પ્રશ્ન પણ છે, જેમની વાસ્તવિક સામાજિક ઓળખ રાજ્યએ નક્કી કરેલી ધાર્મિક શ્રેણીઓમાં સહેલાઈથી બંધબેસતી નથી. ભારતીય બંધારણીય કાયદામાં દલિત ખ્રિસ્તીઓ અને દલિત મુસ્લિમોનું સ્થાન લાંબા સમયથી વિવાદનો વિષય રહ્યું છે. તેમની જાતિગત પૃષ્ઠભૂમિ અને તેની સાથે સંકળાયેલો સામાજિક ભેદભાવ ધર્માંતરણ પછી પણ પીછો છોડતા નથી, પરંતુ આ ઐતિહાસિક અન્યાયનું નિવારણ કરવા માટે રચાયેલી અનામત વ્યવસ્થા નવા ધર્મમાં તેમની સાથે આવતી નથી. બંધારણ (અનુસૂચિત જાતિઓ) આદેશ, 1950 હેઠળ હાલમાં અનુસૂચિત જાતિ તરીકેની માન્યતા માત્ર હિન્દુઓ, શીખો અને બૌદ્ધો પૂરતી મર્યાદિત છે.
2027ની વસ્તી ગણતરીમાં દલિત ખ્રિસ્તીઓ અને દલિત મુસ્લિમોની નોંધ તેમની વાસ્તવિક સામાજિક સ્થિતિ દર્શાવે એ રીતે કરવામાં આવશે કે પછી તેમને એવી ધાર્મિક શ્રેણીઓમાં સમાવી દેવામાં આવશે જેમાં અનુસૂચિત જાતિને મળતું સમકક્ષ બંધારણીય રક્ષણ ઉપલબ્ધ નથી એ કોઈ માત્ર ટેક્નિકલ મુદ્દો નથી. રાજ્ય કોની વંચિતતાને વાસ્તવિક વંચિતતા તરીકે માન્યતા આપવા તૈયાર છે, એ મૂળ પ્રશ્ન સાથે આ બાબત સીધી જોડાયેલી છે.
હવે આમાંનું કશું માત્ર સૈદ્ધાંતિક ચર્ચા પૂરતું મર્યાદિત નથી. એક રાજ્ય મોટા પાયે જાતિ આધારિત સર્વેક્ષણ કરી પણ ચૂક્યું છે. તેલંગણાના સામાજિક, આર્થિક, શૈક્ષણિક, રોજગાર, રાજકીય અને જાતિ આધારિત સર્વેક્ષણમાં (SEEEPC) 242 જાતિઓના આશરે 3.5 કરોડ લોકોને આવરી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ થયેલા વિશ્લેષણમાં જાણવા મળ્યું કે 11 મુખ્ય કલ્યાણકારી યોજનાઓના કુલ ખર્ચમાંથી આશરે 30 ટકા ખર્ચ પ્રમાણમાં વધુ સારી સ્થિતિ ધરાવતી ઓછી પછાત જાતિઓ સુધી પહોંચી રહ્યો હતો. બીજી તરફ, જેમને માટે આ યોજનાઓ બનાવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવતો હતો એવા કેટલાક સાવ વંચિત સમુદાયો સુધી પૂરતા પ્રમાણમાં લાભ નહોતા પહોંચી રહ્યા.
રાજ્યના સંયુક્ત પછાતપણું સૂચકાંકના આધારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સમુદાયો સામાન્ય વર્ગના સમુદાયોની સરખામણીએ લગભગ 3 ગણા વધુ પછાત હોવાનું જાણવા મળ્યું હતું. જમીન આધારિત યોજનાઓનો લાભ ખાસ કરીને અગાઉથી જમીન ધરાવતા લોકોને મળતો હતો. બીજી તરફ, સૌથી વધુ વંચિત પરિવારોમાંથી ઘણા પાસે પોતાની જમીન જ નહોતી અને તેથી ગ્રામીણ કલ્યાણના નામે આપવામાં આવતા આ જ લાભોમાંથી તેઓ બાકાત રહી જતા હતા.
આમ, રાજ્ય સરકારે મોટા પાયે ગણતરી કરાવી અને નિષ્ણાતો પાસે તેનું વિશ્લેષણ પણ કરાવ્યું, પરંતુ વિધાનસભા અને જાહેર સ્તરે ચકાસણી માટે માત્ર તારણોનો સાર જ ઉપલબ્ધ કરાવ્યો. આ સારાંશ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ ગોપનીયતાની ચિંતા આગળ ધરીને જાતિવાર સંપૂર્ણ અહેવાલ અને તેના મૂળ આંકડા જાહેર કરવામાં આવ્યા નહોતા.
વ્યક્તિગત ગોપનીયતાનું રક્ષણ થવું જ જોઈએ, એમાં કોઈ બેમત નથી. પરંતુ લોકોની ઓળખ ગુપ્ત રાખીને એકત્રિત કરવામાં આવેલાં સંકલિત તારણો જાહેર ન કરવા માટે ગોપનીયતાને સર્વગ્રાહી બહાનું બનાવી શકાય નહીં. સરકાર નીતિઓને યોગ્ય ઠેરવવા માટે પસંદગીના જાતિ આધારિત આંકડા આગળ ધરી શકે નહીં અને સાથે જ સંશોધકો, ધારાસભ્યો તથા નાગરિકોને એ દાવાઓની સ્વતંત્ર ચકાસણી માટે જરૂરી માહિતી આપવાનો ઇનકાર પણ ન કરી શકે.
ગણતરીથી એટલું ચોક્કસ જાણવા મળ્યું કે લાભનો પહેલો કોળિયો કોને મળે છે. પરંતુ પસંદગીપૂર્વક આંકડા જાહેર કરીને સરકારે એ નક્કી કરવાનો અધિકાર પોતાની પાસે રાખ્યો કે આ હકીકતમાંથી લોકોને કેટલું જાણવા દેવું. આ દરમિયાન દિલ્હીમાં વસ્તી ગણતરીને લગતી જાહેર સૂચનાઓ રાજકીય આક્ષેપો અને સત્તાવાર સ્પષ્ટતાઓનું નાનકડું રંગમંચ બની ગઈ. જાતિ ગણતરીનો ઉલ્લેખ ન હોવાથી કૉંગ્રેસે પ્રારંભિક જાહેર સૂચનાને ‘ડૅમ્પ સ્ક્વિબ’ એટલે કે પોકળ જાહેરાત ગણાવી, જ્યારે ગૃહ મંત્રાલયે દાવો કર્યો કે આ અંગેની પ્રતિબદ્ધતા સરકારની અગાઉની જાહેરાતોમાં સ્પષ્ટ કરવામાં આવી ચૂકી હતી.
આ વિવાદે એક વધુ મોટી સમસ્યા સામે મૂકી: આટલું ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી કવાયતની ચોક્કસ પદ્ધતિ, વર્ગીકરણની પ્રક્રિયા, આંકડા જાહેર કરવાની સમયમર્યાદા અને નીતિ ઘડવામાં તેનો શો ઉપયોગ થશે, આ બધી બાબતો જાણવા માટે અલગ-અલગ સમયે બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝોના ટુકડા જોડવાની ફરજ ન પડવી જોઈએ. હા, જાતિ ગણતરી થવી જોઈએ. જાતિની ગણતરી ન કરવાથી કોઈનું પણ જાતિ-વ્યવસ્થાથી રક્ષણ થયું નથી; તેનાથી માત્ર રાજ્યને પોતાની ઉપેક્ષાનો હિસાબ આપવાથી છૂટકારો મળ્યો છે.
વસ્તીનો આંકડો ગમે તેટલો વિગતવાર હોય, અંતે તો એ માત્ર સરખામણી માટેનો પાયાનો આંકડો છે. તેનાથી એટલી ખબર પડે છે કે કેટલા લોકોનું નોંધાયેલું સામાજિક સ્થાન એક સરખું છે; પણ એ આંકડો આપણને એ નથી કહેતો કે લાભનો પહેલો કોળિયો તેમને ભાગે આવે છે કે છેલ્લો, તેમનાં સંતાનો શિક્ષણ પૂરું કરે છે કે નહીં, તેમને શિષ્યવૃત્તિ મળે છે કે નહીં, તેમના માટેની અનામત બેઠકો ખાલી પડી રહે છે કે નહીં, તેમની પાસે જમીન છે કે નહીં અથવા જાતિ આધારિત અત્યાચારની તેમની ફરિયાદો FIRથી આગળ વધીને ગુનેગારને દોષિત ઠેરવવા સુધી પહોંચે છે કે નહીં.
ભારતને માત્ર જાતિની ગણતરીની જરૂર નથી, આપણને તેનાથી વિશેષ કંઈકની જરૂર છે. દેશમાં સમયાંતરે અધિકારો અને સરકારી સેવાઓનું ઓડિટ થવું જોઈએ, જેમાં દરેક સમુદાયની વસ્તીના પ્રમાણની સરખામણી તેમને મળતાં શિક્ષણ, આરોગ્યસેવાઓ, આવાસ, જમીન, કલ્યાણકારી લાભો, જાહેર ક્ષેત્રની નોકરીઓ, રાજકીય પ્રતિનિધિત્વ અને ન્યાય સાથે કરવામાં આવે. સાથે એ પણ તપાસવું જોઈએ કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ જેવી વ્યાપક શ્રેણીઓ માટે ફાળવાયેલા લાભો ખરેખર એ શ્રેણીઓમાં રહેલા સૌથી વધુ વંચિત સમુદાયો સુધી પહોંચે છે કે નહીં.
બાય ધ વે:
2027ની વસ્તી ગણતરીને ન્યાયનો પર્યાય માની લેવામાં આવે એ પહેલાં કોઈએ ખુલ્લેઆમ આકરો સવાલ પૂછવો જોઈએઃ 2011માં જાતિ સંબંધિત 46 લાખ એન્ટ્રીઓનું વ્યવસ્થાપન ન કરી શકેલું અને તેલંગણા સર્વેક્ષણનો સંપૂર્ણ જાતિવાર અહેવાલ તથા મૂળ આંકડા જાહેર ન કરનારું તંત્ર ખરેખર અધિકારો અને સેવાઓના આવા ઓડિટ તરફ આગળ વધી રહ્યું છે કે પછી વધુ એક એવા ડેટાસેટ તરફ, જેને ગુમાવી દેવાનું તેને પરવડી શકે? આ દેશે છેલ્લે પોતાની જાતિઓની ગણતરી કરી ત્યારે મળેલા જવાબોનું વ્યવસ્થાપન ન થઈ શક્યું તો તેણે પદ્ધતિ સુધારી નહીં; પરિણામોની ચર્ચા કરવાનું જ બંધ કરી દીધું. આ વખતે માત્ર ગણતરી થઈ જવાની બાબતને વિજય માની લેતાં પહેલાં એનાં તારણોનું શું થાય છે એ જોવું રહ્યું.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 ઑગસ્ટ 2026
![]()

