Opinion Magazine
Number of visits: 9950683
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અભિજાત સ્વયંસિદ્ધા અને પ્રેમાળ મા મૃણાલિની સારાભાઈ 

સોનલ પરીખ|Opinion - Opinion|14 June 2026

મારે માટે બાળકો એ દાંપત્યજીવનની પૂર્ણતા છે. અમે બંને અમારાં બાળકોને ચાહતાં અને એમનું ગૌરવ જાળવીને વર્તતાં. પ્રેમનો અર્થ બાળકોને છાપરે ચડાવીને બગાડવાં એવો નથી, પણ એમને ખીલવીને ઉચ્ચ કોટિનાં કરવાં એ છે. 

— મૃણાલિની સારાભાઈ 

મૃણાલિની સારાભાઈ

ડૉ. વિક્રમ સારાભાઈ અને મૃણાલિની સારાભાઈ વિષે વાત કરીએ તો કલાકો જોઈએ, લખવા બેસીએ તો પુસ્તકો ભરાય અને છતાં વાત અધૂરી રહે. બંને એવાં – પોતપોતાનાં ક્ષેત્રોમાં સિદ્ધિનાં ઉચ્ચ શિખરો સર કરી ચૂકેલાં આંતરરાષ્ટ્રીય કહી શકાય એવાં અને દેશની નવી પેઢીએ જેમના વિષે જાણવું જ જોઈએ એવાં પ્રેરક વ્યક્તિત્વો છે. મૃણાલિની સારાભાઈનો જન્મદિન 11 મેના દિવસે છે અને આજે 10 મેએ મધર્સ ડે છે – વાત કરીએ મૃણાલિની સારાભાઈનાં મા અમ્મુ સ્વામીનાથન્‌ની અને મા તરીકે મૃણાલિની સારાભાઈની. 

1908માં અમ્મુ તેર વર્ષની ઉંમરે પાંત્રીસ વર્ષના સુબ્બરામ સ્વામીનાથન્‌ને પરણ્યાં. મેધાવી ને કામમાં ગળાડૂબ પતિએ બાલિકાવધૂ પત્ની માટે આઈરિશ પ્રશિક્ષિકા રાખ્યાં. માતૃસત્તાક પરિવારમાં ઉછરેલાં અમ્મુ બુદ્ધિશાળી અને આત્મવિશ્વાસસભર તો હતાં જ, હવે એ ફેશનેબલ બન્યાં. ઘોડેસવારી કરતાં, ટેનિસ રમતાં, કાર ચલાવતાં, પ્રતિષ્ઠિત બ્રિટિશ ક્લબોમાં જતાં અને અનેક સામાજિક-રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય રહેતાં. વિશાળ વર્તુળ. ભારતીય અને વિદેશી મહાનુભાવોની અવરજવર અને વિદેશપ્રવાસો સતત ચાલે. સ્વાતંત્ર્યસંગ્રામ દરમિયાન એમણે જેલવાસ વેઠેલો અને બંધારણસભાનાં સભ્ય પણ હતાં. પણ, આત્મકથામાં મૃણાલિની લખે છે તેમ એમની પાસે એમનાં બાળકો મારે સમય ન હતો. મા તરીકે તેઓ આકરાં હતાં. ધાકધમકી અને શિક્ષા કરતાં. એ જમાનામાં બાળકોની આળપંપાળ કોઈ કરતું નહીં. દસેક વર્ષની ઉંમરે જ મૃણાલિનીએ નક્કી કર્યું હતું કે મને જ્યારે બાળકો થશે ત્યારે હું ખરા હૃદયથી એમનું જતન કરીશ. મોટા થયા પછી જો કે માદીકરી નિકટ આવ્યાં હતાં. 1975માં આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષે અમ્મુ સ્વામીનાથન્‌ને ‘મધર ઑફ ધ યર’નો ઍવોર્ડ ઇન્દિરા ગાંધીના હાથે મળ્યો. એ વખતે એમના પ્રતિભાશાળી સંતાનોનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મૃણાલિનીનાં બહેન લક્ષ્મી સ્વામીનાથન્‌ સુભાષબાબુની આઝાદ હિંદ ફોજની મહિલા પાંખનાં કેપ્ટન હતાં. ભાઈ ગોવિંદ તમિલનાડુના એડવોકેટ જનરલ હતા. 

મૃણાલિની ચેન્નાઈ, સ્વિટ્ઝરલેન્ડ, શાંતિનિકેતન, અમેરિકામાં ભણ્યાં. સાથે નૃત્યની અવિરત સાધના ચાલતી. ભરતનાટ્યમ્‌, કુચિપુડી, જાપાની અને ગ્રીક નૃત્યો, બેલે, રંગભૂમિ. 1942માં પ્રસિદ્ધ ભૌતિકવિજ્ઞાની ડૉ. વિક્રમ સારાભાઈ સાથે લગ્ન થયાં. વિક્રમના પિતા અંબાલાલ સારાભાઈ જાણીતા ઉદ્યોગપતિ. ગર્ભશ્રીમંત, ગાંધીજીની નિકટ, સામાજિક જવાબદારીથી સભાન અને સ્વાતંત્ર્યસંગ્રામમાં સક્રિય. મોટું, પ્રતિભાઓથી ભરેલું કુટુંબ. એમને ત્યાં પણ ભારતીય અને વિદેશી મહાનુભાવોની ખાસ્સી અવરજવર. મહાન પરિવારોમાં જન્મ ગૌરવ પ્રદાન કરે છે, પણ એના અંતરંગ સંઘર્ષો પણ હોય છે. પ્રતિભાશાળી વિખ્યાત માના સંતાન તરીકે મૃણાલિનીનું બાળપણ કઇંક એકલવાયું વીત્યું હતું, અહીં નવો પ્રદેશ, નવી ભાષા, અલગ રહેણીકરણી અને અતિવ્યસ્ત પતિ વચ્ચે એકલતાની સ્થિતિ હતી. પણ કૃષ્ણભક્તિ અને નૃત્યએ એમને એકલાં પડવા ન દીધાં. 

1948માં મૃણાલિનીએ અમદાવાદમાં ‘દર્પણ અકાદમી ઑફ પરફૉર્મિંગ આર્ટ્સ’ નામની દૃશ્યકલાઓને વરેલી સંસ્થાની સ્થાપના કરી, જેની અનેક પ્રયોગશીલ રંગમંચ નિર્મિતિઓએ તેમને દેશવિદેશમાં ખ્યાતિ અપાવી. મૃણાલિનીએ અમદાવાદમાં નૃત્યપ્રવૃત્તિઓ શરૂ કરી તે સમયે સ્ત્રીઓએ જાહેરમાં નૃત્ય કરવાનું નિષિદ્ધ ગણવામાં આવતું. પણ સસરા અને પતિના જાણીતા ઉદ્યોગપતિ શેઠ અંબાલાલ સારાભાઈ અને તેમના પતિ ડૉ. વિક્રમ સારાભાઈના સક્રિય પ્રોત્સાહનથી મૃણાલિનીએ પોતાની નૃત્યપ્રવૃત્તિઓ પોતે તો ચાલુ રાખી હતી જ, સાથે ગુજરાતના કલાપ્રેમી પરિવારોની યુવાન છોકરીઓને પણ તેમાં આકર્ષવામાં સફળતા મેળવી. 

વિક્રમ અને મૃણાલિની 1947માં કાર્તિકેયનાં અને 1953માં મલ્લિકાનાં માતાપિતા બન્યાં. મૃણાલિની લખે છે, ‘મારે માટે બાળકો એ દાંપત્યજીવનની પૂર્ણતા છે … અમે બંને અમારાં બાળકોને ચાહતાં અને એમનું ગૌરવ જાળવીને વર્તતાં. પ્રેમનો અર્થ બાળકોને છાપરે ચડાવીને બગાડવાં એવો નથી, પણ એમને ખીલવીને ઉચ્ચ કોટિનાં કરવાં એ છે … સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે હંમેશાં ભેદરેખા છે. અમારી સમજણ હતી કે જ્યાં પણ કઈં દૃષ્ટિભેદ થાય ત્યાં ચર્ચા કરીને નિષ્કર્ષ કાઢવો. બાળકો અમારી જિંદગીનો હિસ્સો રહ્યાં જ અને બધાં જ નામાંકિત લોકો સાથે કોઈ પણ પ્રકારના આત્માભિમાન કે પૂર્વગ્રહ વિના પ્રત્યાયન કરતાં શીખ્યાં.’    

મલ્લિકાએ એક લેખમાં લખ્યું છે, ‘અમ્માની સિદ્ધિઓ અમારી પણ ખરી. પપ્પાની પ્રતિભાવંત કીર્તિમાં અમારી પણ સામેલગીરી. આવી કીર્તિ અને સિદ્ધિનો અમે નિર્ભેળ આનંદ માણવો એટલું જ, એ એવી વાત ન હતી કે અમે પ્રખ્યાત બન્યાં છીએ, એટલે તમે પણ એવાં બનો. એના બદલે એવી ભાવના આવતી કે જુઓ, સતત મહેનત કરવાનો કેટલો આનંદ હોય છે! તમે જે કરવા માંગો છો તેને માટે સચિંત રહેવું કેટલું જરૂરી હોય છે! દુનિયામાં કરવા જેવું ઘણું કામ છે, કરો. પછી તે લોકો માટે હોય કે દેશને માટે.’  

મૃણાલિનીએ પુસ્તકો પણ લખ્યાં છે. એમની આત્મકથા ‘ધ વૉઇસ ઑફ હાર્ટ’નો સુંદર ગુજરાતી અનુવાદ બકુલા ઘાસવાલાએ ‘અંતરનાદ’ નામે કર્યો છે. એમાં મૃણાલિનીએ જોસેફ કેમ્પબેલની એક ઉક્તિ ટાંકી છે, ‘આપણી સામે, આસપાસ અને અંદર જે કઈં જીર્ણશીર્ણ ઘાટઘૂટ છે તેનું હિંમતભેર ખુલ્લી આંખે નિરીક્ષણ કરવું.’ દરેક માએ સંતાનને આ શીખવવા જેવું નથી? સમય કોઈપણ હોય, સ્વયંસ્ફુરણા અને સ્વાનુભૂતિની અભિવ્યક્તિ વગર સાચા અર્થમાં જીવી શકાતું હોતું નથી.  

મૃણાલિની સારાભાઈ

વ્યસ્ત કારકિર્દી છતાં બાળકો મૃણાલિની માટે પ્રથમ અગ્રિમતા હતાં. એક વાર કોઈના મૃત્યુ પ્રસંગે ત્રણ વર્ષના કાર્તિકેયે પૂછ્યું, ‘મૃત્યુ એટલે શું?’ મૃણાલિનીએ કહ્યું, ‘એ લાંબી મુસાફરી છે, ભગવાન પાસે જવા માટેની.’ ‘બધાં રડે છે કેમ?’ મૃણાલિનીએ સમજાવ્યું, ‘ભગવાન પાસેથી કોઈ આવી શકતું નથી, બીજે ક્યાંક જન્મ લે છે.’ બીજે દિવસે કાર્તિકેયે કહ્યું, ‘અમ્મા, તમે ભગવાનને કહેશો કે હું મૃત્યુ પામું તો એ મને તમારા પેટમાં જ મૂકે?’ એક વખત પંડિત નહેરુ સમક્ષ નૃત્યપ્રદર્શન કરવાનું આમંત્રણ હતું અને એ જ દિવસે કાર્તિકેયને સ્કૂલના પ્રવાસમાં જવાનું હતું. મા સ્ટેશને મૂકવા આવે એવી એની ઇચ્છા હતી તેથી મૃણાલિનીએ આમંત્રણ ટાળ્યું. કાર્તિકેય આ વાત ઘણાં વર્ષ ભૂલ્યા ન હતા. કાર્તિકેય આંતર્મુખી અને મલ્લિકા બહિર્મુખી. બાળકોના સ્વભાવનો આદરપૂર્વક સ્વીકાર હતો. કુટુંબ પ્રગતિશીલ વિચારોવાળું અને પતિપત્ની વચ્ચે સમજણ એવી કે બેમાંથી એક બાળકો પાસે રહે, છતાં મૃણાલિનીને બાળકો માટે પ્રવાસમાં કાપ મૂકવો પડે એવું બનતું. ખાસ તો હોમી ભાભાનાં મૃત્યુ પછી વિક્રમ પર કાયમનું અતિશય ભારણ આવ્યું એ ગાળામાં. પણ તેઓ નારાજ ન થતાં. પોતાની કારકિર્દી માટેનું સમયપત્રક જે હોય તે, બાળકોને જરૂર પડે ત્યારે તેઓ હાજર જ હોય. તેમને મન નૃત્યાંગના જેટલી જ મહત્ત્વની ભૂમિકા માતાની હતી. પ્રવાસમાં હોય ત્યારે મૃણાલિની બાળકોને રોજ એક પત્ર મળે એવી વ્યવસ્થા કરે. વિક્રમ પણ બાળકોના વિગતવાર સમાચાર મૃણાલિનીને પહોંચાડ્યા કરે. 

બાળકો મોટાં થતાં ગયાં પછી પણ એમણે એમની સાથે સંવાદ જાળવી રાખ્યો. દરેક વિષય પર છૂટથી વાતો થાય. સ્વતંત્ર વિચારશક્તિ ખીલવવી ને સાથે માનવમૂલ્યો રોપવાં એ ધ્યેય. મહાનુભાવોનો પરિચય, તેમનો આદરસત્કાર કરવો, આત્મવિશ્વાસ, નવા અનુભવો આ બધાની વચ્ચે બંનેએ સરસ કારકિર્દી બનાવી. કાર્તિકેયે યુ.કે.ના કેમ્બ્રિજમાં નેચરલ સાયન્સમાં ટ્રિપોસ મેળવ્યો, ત્યારબાદ તેઓ યુ.એસ.એ.માં મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી(એમ.આઈ.ટી.)માં ડેવલપમેન્ટ કોમ્યુનિકેશનમાં અનુસ્નાતક થયા. તેઓ  અમદાવાદમાં મુખ્ય મથક ધરાવતા સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશનના સ્થાપક અને ડિરેક્ટર છે, જેની ઓફિસો ભારતભરમાં છે. મલ્લિકા કુશળ કુચીપુડી અને ભરતનાટ્યમ નૃત્યાંગના અને અભિનેત્રી છે. સામાજિક પરિવર્તન માટે કલાનો ઉપયોગ કરવામાં નિષ્ણાત છે અને મૃણાલિનીએ સ્થાપેલી દર્પણ એકેડમીનો વહીવટ સંભાળે છે. ભદ્રાયુ વછરાજાનીએ આ બંનેનો દીર્ઘ મુલાકાત લીધી છે તે જોઈએ તો સાચા અર્થમાં વિકસિત મનુષ્યો કેવા હોય એની પ્રતીતિ થાય. બંનેને બે બે સંતાનો છે જે પણ સ્કૉલરો છે.

મૃણાલિનીએ પુસ્તકો પણ લખ્યાં છે. એમની આત્મકથા ‘ધ વૉઇસ ઑફ હાર્ટ’નો સુંદર ગુજરાતી અનુવાદ બકુલા ઘાસવાલાએ ‘અંતરનાદ’ નામે કર્યો છે. એમાં મૃણાલિનીએ જોસેફ કેમ્પબેલની એક ઉક્તિ ટાંકી છે, ‘આપણી સામે, આસપાસ અને અંદર જે કઈં જીર્ણશીર્ણ ઘાટઘૂટ છે તેનું હિંમતભેર ખુલ્લી આંખે નિરીક્ષણ કરવું.’ દરેક માએ સંતાનને આ શીખવવા જેવું નથી? સમય કોઈપણ હોય, સ્વયંસ્ફુરણા અને સ્વાનુભૂતિની અભિવ્યક્તિ વગર સાચા અર્થમાં જીવી શકાતું હોતું નથી.  

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 10 મે  2026

Loading

સ્ત્રી એટલે રોકાણ સામે વળતર? :  370 રૂપિયાની બિરયાનીનું બિલ, માનસિકતાનું દેવાળું

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|14 June 2026

જાહેરમાં એક પુરુષ સ્ત્રીને પોતાની મિલકત માનીને વસૂલીની વાત કરે અને લોકો તાળીઓ પાડીને ખિખિયાટા કરે એ આ આખી ઘટનાનું સૌથી વધુ ચિંતાજનક પાસું હતું. સમાજને પેલી 370ની ટિપ્પણી કરનારો હિમાંશુ જાંગરા નડે એ સારું જ છે પણ છતાં ય તેની પર હસનારા લોકો સમાજની ખરી સમસ્યા છે.

ચિરંતના ભટ્ટ

370 રૂપિયાની બિરયાની!!! ખરેખર, હવે આ કહેવાતા આધુનિક સમાજમાં આપણે આ મુદ્દે વાત કરવાનો વખત આવ્યો છે. આધુનિકતા સાથે શાલિનતા અને સંસ્કાર મફતમાં મળતા નથી એની સાબિતી એટલે કૉમેડિયન પ્રણિત મોરેના શોમાં જઇને પોતાના ડેટિંગ અનુભવની વાત કરનારા છોકરા વાળો વિવાદ. હિમાંશુ જાંગરા નામના એ છોકરાનું કહેવું કંઇક એમ હતું કે પોતે પૈસા ખર્ચ્યા એટલે છોકરી પાસેથી ‘કંઇક’ વસૂલવું પડે. પહેલા એ વાયરલ થયો અને પછી નોકરી વગરનો પણ થઈ ગયો. તાજા સમાચાર અનુસાર પ્રણિત મોરે, હિમાંશુ જાંગરા અને આ જ કૉમેડિયનના શોમાં જઇને કૂલ દેખાવા માટે પોસ્ટમોર્ટમ વિશે એલફેલ બોલી આવેલી ડૉક્ટર સેજલ પવાર, એ ત્રણેય પર એફ.આઇ.આર. કરવામાં આવી છે. પણ અહીં વાંક આ બકવાસ કરનારા ત્રણ જણનો જ છે? આ એક વિવાદે એવો મધપૂડો છંછેડ્યો કે એનો ડંખ લાગશે એ માણસ સીધો થઇ જશે.

370 રૂપિયા ખર્ચનારા અથવા તો કોઈ પણ સ્ત્રી માટે પૈસા ખર્ચનારા પુરુષને લાગે છે કે એણે પાકીટ ખોલ્યું એટલે હવે તે સ્ત્રી પાસે જે ઇચ્છે એ કરાવી શકશે. કમનસીબે આર્થિક રીતે સ્વતંત્ર થયેલી સ્ત્રીઓ પણ હવે ‘મન કી બાત’ કહી દે છે અને તેમને ના પાડતા પણ આવી ગયું છે. કમનસીબ એટલે પુરુષોનું કમનસીબ કારણ કે આપણા પિતૃસત્તાક સમાજમાં પુરુષોને ના સાંભળવાની ટેવ જ નથી પડી. કોઇ રડ્યાંખડ્યાં પુરુષો સ્ત્રીની મંજૂરી, તેની ^ચ્છા, તેની હા કે નાને ગણતરીમાં લેતા હોય તો તેમની છાને ખૂણે ઠેકડી ઉડાડનારા મવાલીઓનો તોટો નથી. દમન કરી શકનારો, પોતાની માગણી મનાવી શકનારો અને એમ કહી શકનારો પુરુષ કે તેને પોતાના સમર્પિત રહે, સબમિસિવ હોય, પોતાની વાતમાં હાએ હા કરે એવી છોકરી જ ગમે છે તો એણે ઢાંકણીમાં પાણી લઇને ડૂબી મરવું જોઇએ.

સારી વાત છે કે સોશ્યલ મીડિયાને કારણે આ બકવાસ કરનારો છોકરો, પેલો કહેવાતો હાસ્ય કલાકાર બધાં રડારમાં આવ્યા, ચર્ચાને વાવટે ચડ્યા અને જે પગલાં લઇ શકાય એ લેવાયા. મને જે સૌથી વધારે ખૂંચે છે એ બાબત એ છે કે પેલા શોમાં જે વાત થઈ એમાં પૂછનારો અને બોલનારો તો બે જણ હતા પણ આખું ઑડિટોરિયમ ત્યાં બેઠું હતું અને બધાને આ કોમેન્ટ રમૂજી લાગી. ખુદ સ્ટેજ પરથી હસીને એને ‘પીક ગુરગાંવ કન્ટેન્ટ’ કહીને વધાવી લેવામાં આવી. સવાલ માત્ર એટલો જ કે, કેમ? આ બેહુદો બકવાસ સાંભળીને હસનારા લોકોમાં આપણા સમાજનો આયનો છે. આ આપણી માનસિકતા છે. કૂલ લાગવાના મોહમાં, પછાત ન લાગવાના મોહમાં આપણને બધું જ જાહેરમાં બોલવું છે. ડૉક્ટર સેજલ પવાર આનું બીજું ઉદાહરણ. એ જ શોમાં, એ જ કૂલ દેખાવાની હોડમાં, પોસ્ટમોર્ટમ અને ગુપ્તાંગ વિશે એલફેલ બોલીને એક આખા વ્યવસાયની શાલિનતાનો છેદ ઉડાડી દીધો, એવો વ્યવસાય જેને લોકો ઈશ્વર પછી બીજા સ્થાને મૂકે છે. આ વાત ખરેખર બિરયાનીની છે? 370 રૂપિયાની એક પ્લેટ રાષ્ટ્રીય મુદ્દો કેમ બની? વાત પૈસાની હતી? અહીં વાત માનસિકતાની છે. પુરુષ માને છે કે એ પૈસા ખર્ચે એટલે તેના બદલામાં તેને કંઇ મેળવવાનો અધિકાર મળી જાય છે. સ્ત્રી આખી લેવડ-દેવડ માટે કેટલી તૈયાર છે, કેટલી મંજૂરી આપે છે તેની સાથે એ પુરુષને કોઈ લેવાદેવા જ નથી. આ વલણનાં મૂળિયાં આપણે ત્યાં એટલે ઊંડે સુધી જડાયેલાં છે કે પુરુષો સ્ત્રીઓને એક સ્વતંત્ર, સ્વાયત્ત વ્યક્તિ તરીકે જોવા હજી તૈયાર જ નથી. તેમને માટે તો સ્ત્રી એટલે એવી સહભાગી જેના વહેવારો પર તેનું એટલે કે પુરુષનું નિયંત્રણ છે.

એક બાજુ ભોપાલની ત્વિષા શર્મા છે, જેના પરિવારનો આરોપ છે કે દહેજની માગણીએ તેનો જીવ લીધો, તો બીજી તરફ 370 રૂપિયાની બિરયાની છે. ગંભીરતાનો ક્રમ જુદો છે, મૂળ એક જ છે : સ્ત્રી એટલે લેવડ-દેવડની વસ્તુ. સ્ત્રી સંપત્તિ બની જાય છે, કોઇ પણ સંબંધ, સાથે ગાળેલી કોઈ સાંજ કે એક સાદું ડિનર ડેટ પુરુષ માટે ઇન્વેસ્ટમેન્ટ છે. હવે તો સ્ત્રીઓ આ પ્રકારના સંજોગોમાં ‘ખર્ચો’ વહેંચી લઇશું એમ કહેતી થઇ છે, કોઈ પુરુષ ક્યારેક આ માટે હા પાડે તો કોઈ ના પાડે અને એ બન્ને જણાંની અંગત સમજ પર આધારિત બાબત છે. પણ કમનસીબે સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધોમાં પુરુષો રોકાણ અને વળતરની ગણતરી કરતા થયા છે. સ્ત્રીઓ બધી સતી છે એવું નથી, જરા ય નથી પણ છતાં ય હેરાન થનાર, બદનામ થનાર કે વેઠનાર તો મોટે ભાગે સ્ત્રી જ હોય છે એ પણ વાસ્તવિકતા છે. સમાજ સુધરતો નથી એટલે અમુક સ્ત્રીઓ ક્યારેક પોતાના મૂળ સ્વભાવથી પર જઇને સામી થાય છે. દર વખતે તેમની સામા થવાની શૈલી કે રીત સાચી કે યોગ્ય હોય એવું પણ નથી હોતું. પણ છતાં ય જાહેરમાં એક પુરુષ સ્ત્રીને પોતાની મિલકત માનીને વસૂલીની વાત કરે અને લોકો તાળીઓ પાડીને ખિખિયાટા કરે એ આ આખી ઘટનાનું સૌથી વધુ ચિંતાજનક પાસું હતું. સમાજને પેલી 370ની ટિપ્પણી કરનારો હિમાંશુ જાંગરા નડે એ સારું જ છે પણ છતાં ય તેની પર હસનારા લોકો સમાજની ખરી સમસ્યા છે.

લોકો કેવી વાતો પર હસી નાખે છે એ સાબિત કરે છે કે સમાજને શું ચાલે છે, સમાજ શું સ્વીકારે છે કે સહન કરી લે છે. સ્ત્રી પર ઊતરતી કક્ષાની કોમેન્ટ કરવી એ મનોરંજન હોય તો એ સમાજનો ચહેરો કેવો હોય? સોશ્યલ મીડિયાના જમાનામાં આવી બાબત પહેલાં વાયરલ થઇ અને પછી તેની પર સવાલો ઉઠ્યા. જોવાનું એ પણ છે કે આ વાયરલ જ કેમ થયું? ચાર લોકો વચ્ચે આ વાત પહોંચી પછી ચાળીસ, પછી ચારસો અને પછી વધારે અને તેનાથી વધારે અને પછી ક્યાંક કોઇને સમજાયું કે આ ચાલે એવું નથી અને વિવાદ થયો. આ કાર્યક્રમમાં, આ બોલાયું ત્યારે જ બબાલ થવી જોઇતી હતી અને એ વાયરલ થવા જેવું હતું. આ ટિપ્પણી એડિટ કરીને સોશ્યલ મીડિયા પર મૂકવામાં આવી, એ જ બતાડે છે કે આમ કરવા પાછળ એક સજાગ પસંદગી હતી, કોઈ આંધળુકિયાં નહોતાં. રમૂજ, વ્યંગ, અશ્લીલતા અને પ્રહસન વચ્ચેનો તફાવત ભૂંસાઈ રહ્યો છે. રાજુ શ્રીવાસ્તવ અને જસપાલ ભટ્ટી જેવા કલાકારો ખરા વ્યંગકાર હતા. અપમાન કરીને હાસ્ય પેદા કરવાની છીછરી આદત આપણને ગમતી હોય તો આપણે જાત તપાસ કરવાનો વખત આવ્યો છે. જેટલું અંગત એટલું દિલને સ્પર્શે એ વાત સર્જનાત્મકતા માટે સાચી છે પણ અંગત બાબતોમાં માન, સન્માન, ગરિમાને નેવે મૂકી દેવાની શરત તો ક્યાં ય નહોતી લખાઇ તો આપણે ત્યાં કાચા પડ્યા?

આપણે શું ચલાવી લઇએ છીએ એ આપણી માનસિકતા છતી કરે છે. બળાત્કાર, છેડતી, હત્યા જેવા ગુનાના સમાચારો આ વિકાસશીલ દેશમાં ઘટી નથી રહ્યા. સ્વતંત્ર બનેલી સ્ત્રીઓને સલામતી અનુભવવાની સો ટકા સ્વતંત્રતા તો નથી જ મળી. કોર્પોરેટ સી.ઇ.ઓ. હોય તો ભલે તે બતાવતી હોય કે તેને કોઈની સાડાબારી નથી પણ તેનાં કપડાં પર કોઇ ટકોર તો નહીં કરેને એવો એક વિચાર તો તેના મનમાં ય ક્યારેક ઝબકી જતો હશે. કોઇ પણ વ્યક્તિ, પરિસ્થિતિ કે લાગણીને છીછરી કરી દેવામાં આપણે કરુણા, ક્ષમા, દયા અને સંવેદનાની આખી સંસ્કૃતિનો છેદ ઉડાડી રહ્યાં છીએ. તકલીફ એ જ છે કે સ્ત્રીઓ તો આગળ વધી ગઇ છે, આધુનિક થઇ છે પણ પુરુષો હજી ય ક્યાંક ચોથી પાંચમી સદીની માનસિકતામાં જીવી રહ્યા છે. અને એ સદી બદલવાનું કામ કોઈ એફ.આઇ.આર. નહીં કરે, પિતૃસત્તાક સમાજમાં પુત્ર રત્નોને સરખી રીતે ઉછેરવાની કેળવણી દરેક માતા-પિતાએ મેળવવી અને કેળવવી પડશે, એ જ આજનું સત્ય છે.

બાય ધી વે: 

એફ.આઇ.આર. ત્રણ જણ સામે નોંધાઈ છે, નામ, સરનામાં, સમન્સ સહિત. રાષ્ટ્રીય મહિલા આયોગે પણ નોંધ લીધી છે અને સુનાવણી થવાની છે. છોકરો નોકરી ગુમાવી ચૂક્યો છે, કૉમેડિયને પોતાનું ઇન્સ્ટાગ્રામ બંધ કરી દીધું છે. વ્યવસ્થાએ જે કરવાનું હતું એ બધું થઈ રહ્યું છે એવું લાગે, ખરુંને? પણ એ રાત્રે ઑડિટોરિયમમાં બેઠેલા સેંકડો લોકો, જેમના ખડખડાટ વગર આ ટિપ્પણી ‘કન્ટેન્ટ’ બની જ ન શકી હોત, તેમના નામની કોઈ યાદી નથી, કોઈ સમન્સ નથી, કોઈની નોકરી ગઈ નથી. કાયદો માઇક સુધી પહોંચી શકે છે, તાળીઓ સુધી નહીં. અંધારા ઑડિટોરિયમમાં હસનારાનું નામ ક્યારે ય બહાર નથી આવતું અને એ વાતનો તેમને પૂરો ભરોસો છે. એટલે જ એ બધા અત્યારે કદાચ આવતા શોની ટિકિટ બુક કરી રહ્યા હશે. ટિકિટનો ભાવ? 370 રૂપિયાથી તો વધારે જ હશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 જૂન 2026

Loading

ચલ મન મુંબઈ નગરી—345 

દીપક મહેતા|Opinion - Opinion|14 June 2026

એક પુલ, દો માલી : એક ફ્રેંચ, એક ફ્રેરે      

તુઝે સૂરજ કહું યા ચંદા,

તુઝે દીપ કહું યા તારા?

૧૯૬૯માં આવેલી ફિલ્મ ‘એક ફૂલ દો માલી’નું પડદા પર બલરાજ સાહની ગાતા એ ગીત આજે આટલે વરસે યાદ આવવાનું કારણ? હા, જી. અમને ખબર છે: સુજ્ઞ વાચકો વિમાસણમાં પડ્યા હશે કે મુંબઈના બ્રિજ વિષે વાત કરતાં કરતાં આજે આ ભાઈ ફિલ્મી ગીતને રવાડે કેમ ચડી ગયા? કારણ આજે આપણે મુંબઈના એક બ્રિજનાં બે નામ અંગેની આવી જ વાત કરવાની છે. મુંબઈ પર ક્યારે ય ફ્રેંચ શાસન હતું? ના. તો પછી મુંબઈના એક જાણીતા બ્રિજનું નામ ‘ફ્રેંચ બ્રિજ’ કેમ છે? જવાબ : અંગ્રેજ સરકારના એક અધિકારી, જે પછીથી BBCI રેલવે કંપનીની સ્થાપના થઈ ત્યારે તેના પહેલા ચેરમેન બન્યા હતા. તેમની યાદગીરીમાં આ બ્રિજનું નામ પાડવામાં આવેલું. એમનું આખું નામ લેફ્ટનન્ટ કર્નલ પેટ્રિક થિયોડોર ફ્રેંચ. જન્મ ૧૮૦૫માં, અવસાન ૧૮૯૦માં. આ રેલવે કંપનીના ચેરમેન બન્યા તે પહેલાં તેઓ ૧૮૪૧-૧૮૪૨ દરમિયાન ‘અપર સિંધ’ના પોલિટિકલ એજન્ટ હતા. ૧૮૪૪માં રાજસ્થાનના જોધપુર ખાતે તેમણે એક્ટિંગ પોલિટિકલ એજન્ટ તરીકે કામ કર્યું. પછી થોડા વખત માટે તેઓ મુંબઈ શહેરના ‘ટાઉન મેજર’ બન્યા અને ૧૮૫૧માં બન્યા વડોદરા રાજ્યના રેસિડન્ટ. ૧૮૫૫માં BBCI રેલવે કંપની શરૂ થઈ ત્યારે તેના પહેલા અધ્યક્ષ બન્યા. 

ચાલો, એક આંટી તો ઉકેલાઈ ગઈ. ના, ના. વધુ ગૂંચવાઈ છે. કારણ મુંબઈની મ્યુનિસિપાલિટીના અને રેલવેના જૂના દફતરોમાં આ બ્રિજ ‘ફ્રેંચ બ્રિજ’ તરીકે નહિ, પણ ‘ફ્રેરે બ્રિજ’ તરીકે નોંધાયેલો છે! આજે પણ મુંબઈની મ્યુનિસિપાલિટીનો Mumbai Legacy Project આ બ્રિજને ‘ફ્રેરે બ્રિજ’ તરીકે જ ઓળખાવે છે, ફ્રેંચ બ્રિજ તરીકે નહિ. અને ગૂગલ દેવતાનો નકશો ઉઘાડો તો તેમાં પણ નામ મળશે ‘ફ્રેરે બ્રિજ. તો આ ‘ફ્રેરે’ વળી ક્યાંથી ટપકી પડ્યો? એ હતો કોણ? 

લેફ્ટનન્ટ કર્નલ પેટ્રિક થિયોડોર ફ્રેંચ

જનમેજય કહે સુણો રાજન! ૧૮૬૨થી ૧૮૬૭ સુધી મુંબઈના ગવર્નર હતા તેઓ શ્રી. આખું નામ સર હેન્રી બાર્ટલ એડવર્ડ ફ્રેરે, પહેલા બેરોનેટ. ૧૮૧૫ના માર્ચની ૨૯મી તારીખે જન્મ. ૧૮૮૪ના મે મહિનાની ૨૯મી તારીખે અવસાન. ઇસ્ટ ઇન્ડિયા કંપનીની કોલેજનો અભ્યાસ પૂરો કરી ૧૮૩૪માં તેઓ હિન્દુસ્તાન આવ્યા અને બોમ્બે પ્રેસિડન્સીની મુંબઈ ખાતેની ઓફિસમાં એક સાધારણ ‘રાઈટર’ (ક્લાર્ક) તરીકે જોડાયા. એ વખતે બોમ્બે પ્રેસિડન્સીની સરકારમાં જોડાનાર દરેક અંગ્રેજ માટે ઓછામાં ઓછી એક ‘દેશી’ ભાષા જાણવાનું ફરજિયાત હતું. મરાઠી ભાષાની પરીક્ષા પસાર કર્યા પછી તેમની નિમણૂક ૧૮૩૫માં પૂણેના અસિસ્ટન્ટ કલેકટર તરીકે થઈ. સરકારી સીડીનું એક એક પગથિયું ચડતાં ચડતાં છેવટે ૧૮૬૨માં તેમની નિમણૂક મુંબઈના ગવર્નર તરીકે થઈ. હિન્દુસ્તાનમાંની કંપની સરકારની રાજવટ પૂરી થઈ તે પછી ગ્રેટ બ્રિટનના ‘તાજ’ દ્વારા નીમાયેલા તેઓ પહેલવહેલા ગવર્નર.

હતા તો સરકારી નોકર, પણ કામ કરવાની રીત સરકારી નોકર જેવી નહિ. લોકોના હિત માટે પોતાને જે સાચું અને સારું લાગે તે કરવાનું. વળી રાજા વીર વિક્રમની જેમ અવારનવાર નગરચર્યા કરવા નીકળી પડે. એ વખતનું મુંબઈ બે ભાગમાં વહેંચાયેલું : કોટ, અને બહાર કોટ. તેમાં બહાર કોટમાં એક મકાન. ગવર્નર ફ્રેરેએ નોંધ્યું કે દર બે-પાંચ મહીને મકાનમાં એક-એક માળ વધતો જતો હતો અને હવે તો તે પાંચ માળનું બની ગયું હતું. ગયા મકાન માલિકને મળવા. ‘આ વખતોવખત મકાનમાં નવા માળ કેમ બાંધો છો?’ ‘શું કરીએ સાહેબ! મકાન છે કોટ ફરતી ખાઈની બાજુમાં. તેમાં બારે માસ ગંધાતું પાણી રહે. ગંદકીનો પણ પાર નહિ. મારાં ત્રણ છોકરાં મરી ગયાં, રોગનો ભોગ બનીને. એટલે ખાઈની ગંદકીથી બચવા નવા નવા માળ ઉમેરું છું.

બીજે દિવસે ગવર્નરસાહેબે બધા લાગતાવળગતા અમલદારોની મીટિંગ બોલાવી. કહે : ‘એક જમાનામાં દુ:શ્મનોના આક્રમણથી બચવા કોટ જરૂરી હતો. પણ આજે હવે, ૧૮૫૭ પછી, કોઈની મગદૂર નથી કે મુંબઈ પર નજર બગાડે. એટલે હવે કોટ નકામો થઈ ગયો છે. વહેલામાં વહેલી તકે તેને તોડવાનું કામ શરૂ કરો.’ અમલદારો તો ડઘાઈ ગયા. જરા વારે હિંમત કરી બોલ્યા : ‘પણ સાહેબ! આવા મોટા કામ માટે તો લંડનથી પરવાનગી મેળવવી પડે. એ વગર તાજના પૈસા આપણે વાપરી કઈ રીતે શકીએ?’

‘તાજનો એક સેન્ટ પણ આપણે વાપરશું નહિ. કિલ્લો તોડ્યા પછી, ખાઈ પૂર્યા પછી, જે જમીન છુટ્ટી થશે તે બજાર ભાવે વેચશું. તેમાંથી જે આવક થશે તે કોટ તોડવાના ખરચ કરતાં ઘણી વધુ હશે.’ અને પછી મુંબઈનો કોટ કહેતાં ફોર્ટ તૂટ્યો, અને એ પણ એવી રીતે કે એની એકાદ ઈંટ પણ યાદગીરી રૂપે સચવાઈ નહિ. આ ગવર્નર સાહેબના નામનો એક રસ્તો પણ મુંબઈમાં હતો, ફ્રેરે રોડ. આઝાદી પછી તેનું નામ બદલીને પી. ડીમેલો રોડ કરવામાં આવ્યું. તેઓ એક જમાનામાં જાણીતા સમાજવાદી મજૂર સંગઠનના નેતા હતા. 

સર બાર્ટલ ફ્રેરે 

પણ હજી પેલો કોયડો તો ઉકેલાયો નહિ. ફ્રેરે બ્રિજ કઈ રીતે બન્યો ફ્રેંચ બ્રિજ? ૧૯૧૭માં પ્રગટ થયેલા પુસ્તક Bombay Place-names and Street-namesમાં Samuel T. Sheppard જણાવે છે કે ફ્રેરે બ્રિજ ૧૮૬૬માં બંધાયેલો. પણ આ સાલ સ્વીકારવી મુશ્કેલ છે. કારણ BBCI રેલવેના ગ્રાન્ટ રોડ સ્ટેશનનું ઉદ્ઘાટન ૧૮૬૪ના નવેમ્બરની ૨૮મી તારીખે થયું. એ કંપનીનું મુંબઈનું આ પહેલવહેલું ટર્મિનસ. એટલે કે એ વખતે એ કંપનીના ટ્રેનના પાટા ગ્રાન્ટ રોડથી આગળ જતા નહોતા. તો પછી પાટા ઓળંગવા માટે ૧૮૬૬માં બ્રિજ બાંધવાની જરૂર જ શા માટે પડે? તે પછી ચર્ની રોડ સ્ટેશનનું ઉદ્ઘાટન ૧૮૬૮ના સપ્ટેમ્બરની ત્રીજી તારીખે થયું. અને મરીન લાઈન્સ સ્ટેશનનું ઉદ્ઘાટન ૧૮૬૯ના જૂનની ૧૯મી તારીખે થયું. બ્રિજ બાંધવાની જરૂર પડે એટલી હદે ટ્રેનોની આવનજાવન વધતાં થોડાં વરસ તો લાગ્યાં જ હોય. ત્યાં સુધી ફાટકથી કામ ચાલ્યું હોય. એટલે બોમ્બે સિટી ગેઝેટિયર (ભાગ ૧, પાનું ૫૦૯) ફ્રેંચ કે ફ્રેરે બ્રિજ બંધાયાની સાલ ૧૮૮૬ આપે છે તે વધારે યોગ્ય લાગે છે. આ બ્રિજ ખાસ્સો લાંબો છે. લેમિંગ્ટન રોડ અને ગ્રાન્ટ રોડના નાકા આગળથી શરૂ થઈને આ બ્રિજ નાના ચોક આગળ પૂરો થાય છે. નાના ચોક આગળ છ રસ્તા ભેગા થાય છે. એટલે વાહનો અને રાહદારીઓની જબરી ભીડ. એ દૂર કરવા માટે આ બ્રિજના નાના ચોકના છેડા પર છ રસ્તાને જોડતો સ્કાઈ વોક બાંધવામાં આવ્યો જેનું ઉદ્ઘાટન ૨૦૧૪ના જુલાઈની ૨૩મી તારીખે થયું હતું. એ દિવસે ભારતીય જનતા પાર્ટીના ‘સ્વયંસેવકો’એ કાળા વાવટા ફરકાવીને આ બ્રિજનો વિરોધ કર્યો હતો. કેમ? તો કે એ બ્રિજની નીચે આવેલા જગન્નાથ શંકરશેઠના પૂતળાને યોગ્ય રીતે શણગારવામાં આવ્યું નહોતું એટલે! આજે આપણને માનતાં વાર લાગે, પણ ૫૮૫ મીટર લાંબો આ લંબગોળ બ્રિજ બાંધવા પાછળ ૫૦.૪ કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ હતો. પણ હકીકતમાં આ બ્રિજ બાંધવાનો ખર્ચ તેના કરતાં ઓછો થયો હતો, ૪૩.૧૨ કરોડ રૂપિયા! 

લંબગોળ સ્કાઈ વોક, નાના ચોક 

અસલ ફ્રેરે  બ્રિજ જૂનો પુરાણો થઈ જતાં ૧૯૨૧માં તેને ફરી બાંધવામાં આવ્યો. આ કામ કરેલું BBCI રેલવેએ, અને એટલે તે વખતે રેલવેએ તેનું નામ બદલીને રાખ્યું ફ્રેંચ બ્રિજ. ૧૯૨૧માં જ્યારે તે બંધાયો ત્યારે તે વખતની અદ્યતન ટેકનોલોજી પ્રમાણે બંધાયો હતો. અને તેના પરથી ટ્રામ પણ પસાર થતી હતી. આ લખનાર ન્યૂ ઈરા સ્કૂલમાં ભણતો ત્યારે વરસો સુધી આ બ્રિજ પરથી પસાર થતી ટ્રામમાં બેસીને ગોવાળિયા ટેંક ઊતરીને સ્કૂલે જતો. 

આ બ્રિજની આસપાસનો વિસ્તાર એક જમાનામાં ગુજરાતી અને મરાઠી સંસ્કૃતિની પ્રવૃત્તિઓથી ધમધમતો હતો. લેમિંગ્ટન રોડ એટલે આજે કમ્પ્યુટર બજાર. એક જમાનામાં એ બુક બજાર હતું. ગુજરાતી અને મરાઠી છાપખાનાં, નાટકશાળાઓ, સુધારાની પ્રવૃત્તિને વેગ આપતી સંસ્થાઓ, તથા કેટલીક જાણીતી શિક્ષણ સંસ્થાઓ તેની આસપાસના વિસ્તારમાં આવી હતી. આઝાદી માટેની ચળવળની પણ ઘણી મહત્ત્વની ઘટનાઓનો આ બ્રિજ સાક્ષી બન્યો હતો. ૨૦૧૯માં આ પુલ જોખમી જણાતાં તેને તોડવાને બદલે સમારકામ કરવામાં આવ્યું. કેટલાંક કટાઈ ગયેલાં ગર્ડર બદલવામાં આવ્યાં જ્યાં ચણતરકામ ખવાઈ ગયું હતું ત્યાં ફરી કરવામાં આવ્યું અને ૨૦૨૦માં આ બ્રિજ ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો. 

આ બ્રિજનું નામ ફ્રેરે બ્રિજ, કે ફ્રેંચ બ્રિજ? આપણા મરાઠીભાષી બહેન-ભાઈઓ કહે તેમ ‘ગમ્મત કાય ઝાલી આહે’ કે પાક્કા મુંબઈગરા તો આ બ્રિજને નથી ઓળખતા ફ્રેંચ બ્રિજ તરીકે, કે નથી ઓળખતા ફ્રેરે બ્રિજ તરીકે. તેમને માટે તો એ છે ‘ગ્રાન્ટ રોડનો બ્રિજ.’ કારણ એ આવ્યો છે ગ્રાન્ટ રોડ સ્ટેશનની નજીક.

૧૯૫૫માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘નાગ દેવતા’માં ગીતા દત્ત અને પિનાકિન શાહે ગાયેલું: ‘કોઈ રે ઉકેલો આંટી, જેની પડે ન પાઈ રાતી.’ આજે બ્રિજના નામની આંટી તો ઉકલી, પણ હવે પછી આપણે ઉકેલવાની છે એક આંટી નહિ, પણ એક જબરી ગૂંચ. મુંબઈની સૌથી વધુ જાણીતી બે-પાંચ જગ્યાઓમાંની એક જગ્યાના નામ અંગેની ગૂંચ.

e.mail : deepakbmehta@gmail.com 

XXX XXX XXX 

 પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 13 મે 2026

Loading

...78910...203040...

Search by

Opinion

  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …
  • મોહેં-જો-દડોની ‘ડાન્સિંગ ગર્લ’: 4500 વર્ષથી યથાવત્ હતી, 21મી સદીએ તેને ‘સુધારી’?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved