ગોધરામાં 12 જાન્યુઆરી 2025ના રોજ, ‘ગુજરાત-મુંબઈ રેશનાલિસ્ટ એસોસીએશન’ અને ‘હ્યુમેનિસ્ટ રેશનાલિસ્ટ એસોસીએશન’ દ્વારા યોજાયેલા પરિસંવાદમાં વ્યાખ્યાન આપેલું તેના મુખ્ય મુદ્દાઓ :
[1] રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રભકિતને નામે નેતાઓ લોકોને દેશ માટે બલિદાન આપવાનું કહે છે પણ પોતે ભાગ્યે જ કશું બલિદાન આપે છે. દેશ પ્રત્યે નાગરિકની ફરજ છે, એમ કહીને સતત નાગરિકોને પોતાના અધિકારોને ભૂલી જવાનું કહેવામાં આવે છે એ તદ્દન અતાર્કિક બાબત છે. ભારતના જે સૈનિકો આતંકવાદમાં મરે છે તેઓ મોટે ભાગે ગરીબ પરિવારોના જ હોય છે. ગરીબો દેશ માટે જાન આપે છે, ધનવાનો નહિ, રાજકીય નેતાઓ નહિ. રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રભક્તિ નાગરિકોના અધિકારો કોરાણે મૂકવાનું કાવતરું હોય છે.
[2] સંસ્કૃતિને રાષ્ટ્રત્વની વ્યાખ્યામાં બાંધવામાં આવે છે. પણ રાષ્ટ્ર જેવું કશું ખરેખર હોતું જ નથી. રાષ્ટ્ર તો એક કલ્પના છે કે જે લોકો પર ઠોકી બેસાડવામાં આવે છે. વિચાર, વર્તન, સંકેતો, સંચાર અને સંબંધો સમાન હોય ત્યારે રાષ્ટ્ર બને છે એવી વિભાવનામાં નાગરિક જ ભૂલાઈ જાય છે, કે જેને માટે રાષ્ટ્ર કલ્પવામાં આવ્યું છે.
[3] ભાષા, સંસ્કૃતિ, ધર્મ, જાતિ, ભૌગોલિક એકતા અને રાજકીય એષણા થકી રાષ્ટ્ર બને છે. એને રાજ્ય હોય પણ ખરું અને ન પણ હોય. સવાલ સૌ સાથે મળીને શાંતિથી જીવે તે છે, કારણ કે માણસજાતે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને રાજ્ય બનાવ્યું હોય છે.
[4] રાષ્ટ્રવાદ લોકોને એવું શીખવે છે કે તેમનો દેશ જ મહાન છે, તેમનો ધર્મ અને તેમની સંસ્કૃતિ જ મહાન છે, શ્રેષ્ઠ છે અને બીજા બધાને તે ઊતરતી કક્ષાના ગણે છે. જગતમાં વ્યાપેલી અશાંતિનું એક અગત્યનું કારણ આ છે કારણ કે આ તદ્દન બુદ્ધિ વગરની વાત છે. હિટલર એમ જ કહેતો હતો કે જર્મનો આર્ય છે અને તેઓ જ જગત પર શાસન કરવાને લાયક છે. વિશ્વગુરુ થવાના અભરખા પણ કંઈક આ જ રીતના લાગે છે. એનું પરિણામ સહેજે સ્પષ્ટ છે.
[5] રાષ્ટ્રભક્તિ હોય પણ એ જ્યારે નેતાભક્તિ કે સરકારની ભક્તિમાં પરિણમે છે ત્યારે તે વધારે મૂર્ખાઈભરી બને છે.
[6] દેશની અખંડતા એટલા માટે જાળવવાની હોય છે કે જેથી લોકોનું કલ્યાણ એમાં રહેલું છે. પણ સૌને માટે સમાન રાજકીય, આર્થિક અને સામાજિક ન્યાય મહત્ત્વનો છે.

સેમ્યુઅલ જ્હોનસન
[7] જગતભરના દેશોના નકશાઓ બદલાતા રહ્યા છે. એટલે નકશાઓને નહિ, એની સરહદોમાં રહેતા અને સરહદોની પેલે પાર રહેતા મનુષ્યોને વધુ પ્રેમ કરવાની જરૂર છે. એ જ વધુ બુદ્ધિપૂર્વકનું કૃત્ય હોઈ શકે.
[8] વિખ્યાત બ્રિટિશ સાહિત્યકાર સેમ્યુઅલ જ્હોનસન એમ કહે છે કે, ‘રાષ્ટ્રભક્તિ એ હરામખોર લોકોનું છેલ્લું આશ્રયસ્થાન હોય છે.’ નેતાઓ અને રાજકીય પક્ષોને લોકોની લાગણીને ભડકાવવા રાષ્ટ્રભક્તિના ઓઠાની જરૂર પડે છે. એમની પાસે બીજું કોઈ સાધન રહેતું નથી ત્યારે તેઓ દેશભક્તિનું સૂત્ર લઈ આવે છે. 2016ની નોટબંધી વખતે એમ જ થયું હતું. લોકોને 50 દિવસ દેશ માટે બલિદાન આપવાનું કહેવામાં આવ્યું હતું. જેણે આ કહ્યું એણે કયું બલિદાન આપ્યું હતું?
[સૌજન્ય : પ્રો. હેમંતકુમાર શાહ]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર