Opinion Magazine
Number of visits: 9655805
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્ફુલ્લિન્ગ (6) સાહિત્યસર્જન પછીની ભાવિ કોઈપણ જાહેર વાત વિશે 

સુમન શાહ|Opinion - Literature|27 December 2025

સુમન શાહ

સાહિત્યસર્જન પછીની ભાવિ કોઈપણ જાહેર વાત Objective હોવી જોઈએ. આ ઉલ્લેખ ૨૦૨૫ જેટલા વર્તમાન સમયમાં ય કરવો પડે છે, એ શરમજનક છે. 

objective એટલે વસ્તુલક્ષી, અને વસ્તુલક્ષી શું તે જો સમજાવવું પડે, તો એ પણ શરમજનક છે. 

એ જાહેર વાત કરનારો જો વસ્નતુલક્ષી નહીં રહ્યો હોય ને વ્હાલાંદવલાંલક્ષી રહ્યો હશે તો કૃતિની સાહિત્યિક ગુણવત્તા, કલાસૌન્દર્ય વિશે સંકેત, કૃતિ વડે સાહિત્યના ઇતિહાસમાં કશું ઉમેરાયું કે કેમ, વગેરે તત્ત્વોને પામી નહીં શકે, અને તેથી આપણને દર્શાવી નહીં શકે. આ ઉલ્લેખ કરવો પડે છે એ પણ શરમજનક છે. 

આપણે ત્યાં, અનેક સાહિત્યિક વાદ આવ્યા, કોઈ કોઈ સ્થિર થયા, મોટા ભાગના હમ્મેશને માટે ગયા, પણ એક પહેલેથી સ્થિર અને સુદૃઢ રહ્યો છે, એનું નામ છે, મારા-તારાવાદ. એથી સરજાયેલી આપણી મનોવસ્થા રુગ્ણ અને દયનીય છે. 

હવે, એમાં ઉમેરાયાં છે પુસ્તકનાં લોકાર્પણો કે વિમોચનો. એમાં objectivity નથી, બલકે પુસ્તકને જ object ગણી લેવાયું છે!

મારી દૃષ્ટિએ લોકાર્પણ સાહિત્યિક સ્વાસ્થ્યનો નાશ કરનારો અને ગંદકી ફેલાવનારો ચેપી રોગ છે. 

લોકોને એટલે કયા લોકોને પુસ્તક અર્પણ કરાય છે, એ લાજવાબ સવાલ છે. પુસ્તકમાં શું છે એ વિશે ભાગ્યે જ કશું કહેવાય છે. એથી પુસ્તકનું વિમોચન નથી થતું. એ બચારું તો રંગરંગીન ગ્લૉસી પેપરમાં બંધાયેલું ને તેથી ગૂંગળાયેલું રહે છે. પુસ્તકની વાત માંડતા એકાદ વક્તવ્યનો અભાવ હોય તો પુસ્તકના સત્ત્વનો સાક્ષાત્કાર નથી થતો.

લોકાર્પણની ભયાનક આડપેદાશ એ છે કે તે પછી એ પુસ્તકની જવલ્લે જ કશી વાત થાય છે. મોટાભાગનાં લોકાર્પણો એ અર્થમાં સાહિત્યઘાતક નીવડે છે. 

પ્રકાશકો પણ ચુમાતા રહે છે કેમ કે લોકાર્પણને જ કારણે પુસ્તકો વેચાય, એમ નથી થતું. ધંધો વિકસ્યો કે લોકાર્પણ પાછળ નર્યો ખર્ચો થયો — એ વિશે વધુ તો એઓ જાણે છે ને સાચું કહે તો આપણને ખબર પડે. 

આપણે ત્યાં આજકાલ સદ્ સમીક્ષાઓ ખાસ જોવા નથી મળતી એનું એક મહા કારણ 

લોકાર્પણો છે.

ચકમકતા નવા વાઘા સજીને પુસ્તક ધરીને ઊભેલા સાત-આઠ જણમાં મોટાભાગનાઓને સાહિત્ય સાથે કશી લેવાદેવા નથી હોતી. એટલે એમાં એક પણ સાહિત્યકાર ન દેખાય તો મને તો એ દૃશ્ય જોઈને ચીતળી ચડે છે. ચીતળી બીભત્સ રસનો સ્થાયી ભાવ છે. 

એ લોકોને શા કારણોથી જોડવામાં આવે છે, એ જાણીતું છે, તેમછતાં, કહું કે આખી ઘટના બજારુ અને બિનસાહિત્યિક છે. 

સૌ સાહિત્યકારો એથી લલચાય છે, એને સ્થાને સૌ એનો ધરાર વિરોધ કરે, એ સાહિત્યધર્મ છે.  

નહિતર, એ પ્રજ્ઞાપરાધ છે.  

= = =

(271225A’bad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સરકારે શ્રમિકોને ભગવાન ભરોસે છોડી દીધાં છે !

રમેશ સવાણી|Opinion - Opinion|27 December 2025

રમેશ સવાણી

સુરતમાં ડાયમંડ પોલિશિંગ ઉદ્યોગમાં મંદી આવતા લોકો પાવરલૂમ-ટેક્સટાઇલ વીવિંગ તરફ વળ્યા છે. 

સુરત ભારતનું સૌથી મોટું સિન્થેટિક કાપડ ઉત્પાદન કેન્દ્ર છે, જ્યાં મુખ્યત્વે પાવરલૂમ્સ દ્વારા કાપડનું ઉત્પાદન થાય છે. સુરતમાં આશરે 6 લાખથી 6.5 લાખ પાવરલૂમ મશીનો છે. આ મશીનો અનેક નાની-મોટી ફેક્ટરીઓ અથવા યુનિટ્સમાં વહેંચાયેલા છે. એક યુનિટમાં સરેરાશ 10-12 મશીનો હોય છે, તેથી ફેક્ટરીઓ/યુનિટ્સની સંખ્યા 50,000થી વધુ હોઈ શકે છે.

સુરતમાં રોજનું કાપડ ઉત્પાદન આશરે 4 કરોડ મીટર છે. આમાં મુખ્યત્વે સિન્થેટિક (પોલિએસ્ટર) કાપડનો સમાવેશ થાય છે, જે ભારતના કુલ સિન્થેટિક કાપડ ઉત્પાદનના 40% જેટલો હિસ્સો ધરાવે છે. સુરતનું સિન્થેટિક કાપડ દેશમાં તેમ જ 100 કરતાં વધુ દેશોમાં જાય છે. જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ / UAE-યુનાઇટેડ આરબ એમિરેટ્સ / સાઉદી અરેબિયા / UK-યુનાઇટેડ કિંગડમ / જર્મની / ફ્રાન્સ / બાંગ્લાદેશ / શ્રીલંકા / આફ્રિકન દેશો / લેટિન અમેરિકન દેશો-મધ્ય અને દક્ષિણ અમેરિકામાં નિકાસ થાય છે. સુરતનાં કાપડની વૈશ્વિક માંગ સતત વધી રહી છે, ખાસ કરીને સસ્તા અને ગુણવત્તાયુક્ત સિન્થેટિક ફેબ્રિક્સ માટે.

સાડીઓ / ડ્રેસ મટિરિયલ્સ માટેના રંગીન દોરાઓ / જરી વગેરે સુરતમાં જ બને છે. વીવિંગ મશીનો ચીનથી મંગાવે છે. આત્મનિર્ભર / સ્વદેશીનું મિથ્યાભિમાન જ માત્ર આપણું પોતાનું છે ! કાપડ માટેનું રો-મટિરિયલ સપ્લાય કરનાર માત્ર રિલાયન્સ કંપની છે, તેની ઈજારાશાહીના કારણે સૌથી વધુ આવક તે ખેંચી જાય છે. તૈયાર કાપડનાં વેચાણ / નિકાસ કરવાનું કામ સુરત સ્થિત રાજસ્થાની વણિકોના હાથ છે. આખું સેટઅપ વર્ણવ્યવસ્થા મુજબ ગોઠવાઈ ગયું છે, જેમાં શૂદ્રો / અતિ શૂદ્રોના ભાગમાં મજૂરી જ છે !

24 ડિસેમ્બર 2025ની રાત્રે એક પાવરલૂમ યુનિટની વિઝિટ કરી. અહીં સાડીઓનું વીવિંગ થતું હતું. ફેક્ટરીમાં વણાટનો અવાજ પુષ્કળ હતો. મશીનોની ધ્રૂજારી પણ અનુભવી શકાતી હતી. આ યુનિટમાં 12 કલાકની એક શિફ્ટ એમ બે શિફ્ટમાં શ્રમિકો કામ કરે છે. શ્રમિકને રોજના 800 રૂપિયા ચૂકવાય છે. માસ્ટરને મહિને 65 હજાર ચૂકવાય છે. માસ્ટર રાજસ્થાનના છે એટલે શ્રમિકો પણ રાજસ્થાનના છે. 

જે યુનિટોમાં માત્ર પ્લેન કાપડ બને છે તેમાં અવાજનું પ્રદૂષણ તીવ્ર હોય છે. આપણે પાંચ મિનિટ ઊભા ન રહી શકીએ તેટલો અવાજ થતો હોય છે, આ સ્થિતિમાં સતત 12 કલાક કામ કરનારા ઓરિસ્સા / બિહારના શ્રમિકો હોય છે. કોઈ ગુજરાતી શ્રમિકો આવી ફેક્ટરીઓમાં કામ કરતા નથી. 

મને સવાલ એ થયો કે શું આવી ફેક્ટરીઓમાં લેબર લોનો અમલ થાય છે? આ સેક્ટરમાં લેબર લોનું વ્યાપક ઉલ્લંઘન થાય છે, જેમ કે : 

[1] મોટા ભાગના યુનિટ્સ; ફેક્ટરીઝ એક્ટ હેઠળ રજિસ્ટર્ડ નથી, પરંતુ શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ એક્ટ હેઠળ રજિસ્ટર્ડ છે. એટલે સેફ્ટી, હેલ્થ અને વર્કિંગ કન્ડિશન્સના કડક નિયમો લાગુ પડતા નથી. 

[2] કામના કલાકો 12-14 કલાક સુધી હોય છે. કાયદા મુજબ 8-9 કલાકની મર્યાદા છે. ઓવરટાઇમની ચૂકવણી થતી નથી. 

[3] મિનિમમ વેજ, PF, ESI જેવા લાભો અનેક શ્રમિકોને મળતા નથી, ખાસ કરીને માઇગ્રન્ટ વર્કર્સને. 

[4] ખરાબ વેન્ટિલેશન, જૂના મશીનો, અકસ્માતોનું જોખમ અને ઇન્સ્પેક્શન્સની અછતને કારણે સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન થાય છે. 

[5] હોમ-બેઝ્ડ વર્ક, જેમ કે થ્રેડ કટિંગમાં લેબર લો લાગુ પડતા નથી.

લેબર લોનું પાલન કરાવવા માટે લેબર ઓફિસર જોઈએ. સરકાર ભરતી કરતી નથી. નબળી એન્ફોર્સમેન્ટ અને ઇન્સ્પેક્ટર્સની અછતને કારણે શ્રમિકોનું શોષણ થાય છે. મોટા યુનિટસમાં લેબર લોનું પાલન થતું હોય છે, પરંતુ નાની-મધ્યમ પાવરલૂમ ફેક્ટરીઓમાં સામાન્ય રીતે લેબર લોનો અમલ થતો નથી. નવા લેબર કોડ્સ – 2020ના અમલ પછી પણ આ સ્થિતિમાં મોટો સુધારો થયો નથી. સત્તાપક્ષને પૈસા શ્રમિકો આપતા નથી, ફેક્ટરીના માલિકો આપે છે. એટલે સરકારે શ્રમિકોને ભગવાન ભરોસે છોડી દીધાં છે !

26 ડિસેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

બળાત્કાર પીડિતાનું કોઈ નથી, ઈશ્વર પણ નહીં !

રમેશ સવાણી|Opinion - Opinion|27 December 2025

રમેશ સવાણી

ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના બાંગરમઉના સત્તાપક્ષના MLA (ચાર ટર્મ) કુલદીપસિંહ સેંગર અને તેના સાથીઓએ 2017માં સગીર બાળાનું અપહરણ કરી (Unnao Rape Case) બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ પીડિતાના પિતાની હત્યા કરી હતી. પીડિતાએ UPના મુખ્ય મંત્રી નિવાસસ્થાન સામે આત્મદાહની કોશિશ કરી ત્યારે આ મામલો દેશ ભરમાં ચમક્યો હતો. પછી CBI તપાસની માંગ ઊઠી. 12 એપ્રિલ 2018ના રોજ CBIએ તપાસ હાથ ધરી; અને કુલદીપ સેંગરને એરેસ્ટ કરેલ. સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ આ કેસ ઉત્તર પ્રદેશને બદલે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં ટ્રાન્સફર થયો હતો. કોર્ટે 20 ડિસેમ્બર 2019ના રોજ, કુલદીપને આજીવન કેદની સજા કરી હતી. તે પછી તેની વિધાનસભાની સદસ્યતા રદ્દ કરી હતી. પીડિતાના પિતાની હત્યા માટે તીસ હજારી કોર્ટે કુલદીપસિંહ અને તેના છ સાથીઓને 10 વર્ષ કેદની સજા કરી હતી. 

શરુઆતમાં રેપની ફરિયાદ લેવાને ઈન્કાર પોલીસે કર્યો હતો. બળાત્કારના કેસમાં સગીર વિક્ટિમને મદદ કરવી તે પોલીસની / તંત્રની ફરજ છે; પરંતુ વિક્ટિમને બદલે સત્તાપક્ષના MLA કુલદીપસિંહની તરફેણ કરવામાં આવી હતી; તેવો અહેવાલ CBIએ UPના ચીફ સેક્રેટરીને પાઠવ્યો હતો. CBIએ ઉન્નાવના તત્કાલીન જિલ્લા મેજિસ્ટ્રેટ અદિતી સિંહ, IAS તથા બે IPS અધિકારીઓ નેહા પાંડેય અને પુષ્પાંજલિ સિંહની સામે બેકાળજી/ લાપરવાહી દાખવવા સબબ ખાતાકીય પગલાં ભરવા જણાવ્યું હતું. રેપ પીડિતાએ કેટલી ય વખત ફરિયાદ કરી હતી છતાં આ ત્રણેય મહિલા અધિકારીઓએ ધ્યાન આપ્યું નહોતું. CBIએ સીનિયર SP અષ્ટભુજા સિંહની નિષ્કાળજી પણ ઠરાવી હતી.

સગીર બાળા ઉપર રેપ થાય; ન્યાય માટે માંગણી કરનાર પીડિતાના પિતાની હત્યા થાય; આવી શરમજનક ધટના બને છતાં જિલ્લાના ત્રણેય મહિલા અધિકારીઓ સંવેદનશૂન્ય કઈ રીતે રહી શક્યા હશે? બળાત્કારી સત્તાપક્ષના MLA હતો, એટલે આંખમીંચામણા કર્યા હતા ! જો વિપક્ષના MLAએ આવું કૃત્ય કર્યું હોત તો આ ત્રણેય મહિલા અધિકારીઓએ અતિ કડક કાર્યવાહી કરી હોત ! મહિલા અધિકારીઓએ, બળાત્કારીની તરફેણ ચોક્કસ હોદ્દા ઉપર ટકવા માટે કરી હતી. વહિવટીતંત્ર કેટલું ગુલામ બની ગયું છે; તેનું આ ઉદાહરણ છે ! 

હવે આ કેસમાં પીડિતાને અન્યાય કરવા દિલ્હી હાઈકોર્ટ પણ જોડાઈ ગઈ છે. હાઈકોર્ટે 23 ડિસેમ્બર 2025ના રોજ, બળાત્કારી કુલદીપસિંહની આજીવન કેદની સજાને સ્થગિત કરીને તેને જામીન પર છોડી મૂક્યો છે. જો કે કુલદીપસિંહ સેંગર હજુ જેલમાં જ રહેશે, કારણ કે પીડિતાના પિતાની હત્યાના કેસમાં તેને 10 વર્ષની સજા થઈ છે અને તેમાં જામીન મળ્યા નથી.

હાઈકોર્ટના આ ચુકાદાથી નારાજ થતા પીડિતા, તેમની માતા, મહિલા અધિકાર એક્ટિવિસ્ટ યોગિતા ભયાનાએ ઇન્ડિયા ગેટ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

બળાત્કારીની સજા સ્થગિત કરવા હાઈકોર્ટે શું તર્ક આપ્યો? હાઈકોર્ટે કહ્યું કે “IPC અને POCSO એક્ટ હેઠળ ધારાસભ્યને ‘પબ્લિક સર્વન્ટ’ ગણી શકાય નહીં. માત્ર પીડિતા અને તેના પરિવારને ધમકીના ડરથી આરોપીને જેલમાં રાખી શકાય નહીં; સુરક્ષા એજન્સીઓની જવાબદારી છે.” આ આધારે, તેની આજીવન કેદ ઘટાડીને 7 વર્ષ કરવામાં આવી. તેણે 7 વર્ષ જેલમાં વિતાવ્યા છે. આમ, તેણે તેની સજા પૂર્ણ કરી છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી એ.આર. અંતુલે સામેના ભ્રષ્ટાચારના કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટની સાત ન્યાયાધીશોની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી, જેમાં એવું ઠરાવેલ કે ધારાસભ્ય જાહેર સેવક નથી.

અહીં ‘સરકારી કર્મચારી’ અને ‘જાહેર સેવક’ બન્નેને અલગ કર્યા છે. જો કે દરેક સરકારી કર્મચારી પબ્લિક સર્વન્ટ કહેવાય; પરંતુ દરેક પબ્લિક સર્વન્ટ સરકારી કર્મચારી હોતા નથી. જેમ કે સરપંચ, ધારાસભ્ય !

જ્યારે કોઈ સરકારી કર્મચારી બળાત્કારનો ગુનો કરે છે, ત્યારે ભારતીય દંડ સંહિતાની કલમ 376(2)(b) અને જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ(POCSO)ની કલમ 5(c)ની જોગવાઈઓ હેઠળ સજા આપવામાં આવે છે. કુલદીપ સેંગરને પણ આ કલમો હેઠળ દોષિત ઠેરવેલ. IPC અને POCSO હેઠળ સરકારી કર્મચારી દ્વારા બળાત્કાર માટે લઘુત્તમ સજા 10 વર્ષની હતી, જેને આજીવન કેદ સુધી વધારી શકાય છે. તેની તુલનામાં, ખાનગી નાગરિક દ્વારા બળાત્કાર માટે લઘુત્તમ સજા સાત વર્ષની હતી.

આ કિસ્સામાં સ્પષ્ટ દેખાય છે કે પીડિતા ગરીબ છે લાચાર છે તેથી નથી અધિકારીઓએ તેની દરકાર કરી કે નથી કોર્ટે દરકાર કરી. બળાત્કારી સત્તાપક્ષનો ધારાસભ્ય હતો એટલે અધિકારીઓએ તેમને છાવર્યો, કોર્ટે ટેકનિકલ મુદ્દો ઉપસ્થિત કરી પીડિતાને અન્યાય કર્યો ! 

ટૂંકમાં, બળાત્કારી સત્તાપક્ષનો ધારાસભ્ય / સંસદસભ્ય હોય / આર્થિક રીતે સદ્ધર હોય તો અધિકારીઓ આંખમિંચામણા કરે છે અને કોર્ટ પણ ટેકનિકલ મુદ્દાઓ કાઢી બળાત્કારીને રાહત આપે છે ! પીડિતા માટે નથી અધિકારીઓ કે નથી કોર્ટ !

પીડિતાના પિતાનું પોલીસ સ્ટેશનમાં જ મૃત્યુ થયું; પીડિતાના બે કાકાઓના ઘટના બાદ વાહન ‘અકસ્માત’માં મોત થયાં. પીડિતાના વકીલનું પણ વાહન ‘અકસ્માત’માં મોત થયું. આ બધી હત્યાઓ કુલદીપસિંહે કરાવેલ. પીડિતા પર જીવલેણ હુમલો કરાવ્યો. છતાં કોર્ટ ઓછી સજા કરે છે અને બળાત્કારી-હત્યારાને રાહત આપે છે ! 

ગુજરાતમાં પણ બિલકિસ બાનુના બળાત્કારીઓને સંસ્કારી કહીને જેલ-મુક્ત કરી દીધાં હતા, મહિલાઓએ તેમનું કંકુ તિલક કરી સ્વાગત કર્યું હતું ! કુલદીપસિંહનું પણ મહિલાઓ કંકુ તિલક કરી સ્વાગત કરશે ! પડે છે ત્યારે સઘળું પડે છે !

હાઈકોર્ટે જામીનની શરત મૂકી છે કે “પીડિતાના ઘરથી 5 કિલોમીટરની ત્રિજ્યામાં ન જવું. પીડિતા કે તેની માતાને ધમકી ન આપવી.” આપણી કોર્ટ તો જૂઓ, ‘5 કિલોમીટરની ત્રિજ્યામાં ન જવા કે ધમકી ન આપવાની શરત હેઠળ’ બળાત્કારી અને હત્યારાને જામીન પર છોડી મૂકે છે ! બળાત્કાર પીડિતાનું કોઈ નથી, ઈશ્વર પણ નહીં ! 

[કાર્ટૂન સૌજન્ય : સતીષ આચાર્ય]
26 ડિસેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...1020...29303132...405060...

Search by

Opinion

  • નાનમ પણ ન લાગે …?
  • સેનાપ્રમુખની નિર્ણય -કટોકટી : રાષ્ટ્રીય નેતૃત્વની આઘાપાછી?
  • આજ સુધી અજાણ્યા રહેલા બે અંગ્રેજી અનુવાદ
  • મહાશ્વેતાદેવી: વંચિતોની કલમ, શતાબ્દી નમન
  • મૂન આઈલેન્ડ

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved