Opinion Magazine
Number of visits: 10080101
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

The Gujaratis : કોમની તસવીર

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|27 June 2026

The Gujaratis : Salil Tripathi : Aleph Book Company, Promoted by Rupa Publication India : ISBN – 978-93-90652-13-6 : First Edison – 2025 : 730 pages : Indian Rs. 1499/- 

•

સલિલ ત્રપાઠી

આ ગ્રંથના લેખક, સલિલ ત્રિપાઠી, 640 પાનાઓ પર વિચારોત્તેજક માહિતીઓ, વિગતો, વિશ્લેષની રજૂઆત કરી, છેવટે, ઉપસંહારમાં, આ અસ્સલ વાત, દીર્ઘ સ્વરૂપે, માંડે છે : 

એક બપોરે, 2022માં, હાર્મની સિંગાપોરિયા [Harmony Siganporia] મારા નિવાસસ્થાને ભાણું લેવાં આવ્યાં હતાં. એ અમદાવાદમાં શૈક્ષણિક ક્ષેત્રે કાર્યપ્રવૃત્ત છે. થોડાક વખત પૂર્વે એમણે ‘વૉકિંગ ફ્રૉમ દાંડી’ [Walking from Dandi] નામે એક પુસ્તક પ્રગટ કર્યું છે. સન 1930માં, મોહનદાસ ગાંધી સાબરમતી આશ્રમથી પોતાના 78 સાથીઓ જોડે સુરતની અડખે પડખે દરિયા કિનારે દાંડી જવા નીકળ્યા હતા. એ જેમ જેમ દક્ષિણ તરફ આગળ વધતા જતા હતા તેમ તેમ કૂચ સાથે અનેક લોકો જોડાઈને સામેલ રહેતા હતા. એમણે દાંડી કાંઠે ચપટી નીમક ઉપાડ્યું અને એક શહેનશાહતના પાયા ડગમગાવી કાઢ્યા હતા. એને સમય લાગ્યો તો હતો − પૂરાં સત્તર વર્ષ − પણ એથી પરિણામ તો આવ્યું જ.

સિંગાપોરિયાને, પરંતુ, બીજી જ કોઈક ખોજ હતી. એ વ્યક્તિગત જાતરા હતી. એમણે ગુજરાતની સામૂહિક ચેતનામાંથી ગાંધીનું ઉચ્છેદન થતું અનુભવ્યું છે. વળી, રાષ્ટૃના આત્મવિશ્વાસનું રખોપું કરનાર એકમેવ મહાપુરુષને ઠેકાણે સ્વચ્છતાની માત્ર વાતો કરનારા તેમ જ ફક્ત પ્રવચનો કરનારા દરવાન શા રૂપે એ લેખાતા ગયા છે. અતિવાદી માનસિકતામાંથી એમને હટાવવામાં આવ્યા છે. વળી, એમની ગણના શૂન્યમાં ફેરવી કઢાઈ છે તેમ જ પોકળ અર્થહિન તરીકે એમનું મૂલ કરી દેવાયું છે.’ એમ એમણે ઉમેરણ કર્યું.

આમ સિંગાપોરિયાએ પોતાની કૂચ અંગે પોતાની રીતરસમ અનુસાર કરવાનું નિરધારી કાઢેલું. ‘વિકાસ’ની કે પછી ‘પ્રગતિ’ની તરતપાસ કરવાનો આશય એમાં કેન્દ્રસ્થ કરી દેવાયો. ભૌતિક સુખસંપત્તિ સારુ મૂલ્યોનો જાણે કે ગુજરાતના આત્મસમર્પણનો સોદો કરાયો હોય.

હાર્મની સિંગાપોરિયા

એમની મૂળ ઇચ્છા મુજબ તો અમદાવાદથી દાંડી તરફ કૂચ કરવાની જ હતી, જેનું અંતર આશરે 385 કિલોમીટર જેવું છે. પરંતુ આમ કરવા જતાં એ ગુજરાતના ભૂતકાળમાં સરી જતાં હોય તેમ એમને લાગ્યું. એમના મત અનુસાર, દાંડી એટલે એક વેળાના ગુજરાતની પરાકાષ્ઠા. આઝાદી મેળવવા માટેની એ કામગીરી હતી, એક કૃતિ હતી. પરંતુ અમદાવાદ તો ‘વિકાસ’ માટેનો આજે સારસંક્ષેપ હોય, તેમ બન્યું છે. હું આથી ભૂતકાળમાં જઈ કૂચ આદરી ન શકું. મારે ભવિષ્યને ધ્યાનમાં રાખીને પદયાત્રા કરવી રહી. આમ મેં ઊલટે કૂચ કરેલી. મારે જોવું હતું, કે આપણી સંસ્કૃતિની અસર હવે કેવડી રહી છે. ક્યાં ક્યાં બખેડા લેવાના થયા છે. શું શું બદલ્યું છે ? આ ‘વિકાસ’ કેમનો છે ? આ મારે જાણવું હતું.’ એ કહેતી રહી. વિશ્વ હિન્દુ પરિષદના એક કર્મશીલે તો એમને પૂછી પાડેલું, કે તે શા સારુ અવળે મારગે, ઉપરતળે કૂચ કરે છે ? એમને જવાબ વાળેલો, ‘દાંડી તો ભૂતકાળ છે. જ્યારે અમદાવાદ તો વર્તમાન છે. સાંપ્રત ગુજરાતને આજે શું થયું છે તે મારે સમજવું હતું, જોવું હતું. આવો ખુલાસો એમણે કરેલો.

દાંડીને મારગે મારે કૂચ કરવી જોઈએ એમ તો એક અરસાથી હું વિચાર્યા કરતી હતી. તિબેટી કવિ અને કર્મશીલ તેન્ઝિન સુન્દુએએ [Tenzin Tsundue] મારા મગજમાં આ વિચારનું બીજ રોપેલું. આરંભે મને થયા કરતું કે હું દાંડી સુધીની પદયાત્રા કરીશ. પરંતુ પછી હું તે બાબતે વિચાર કરવા લાગી કે મારે શું મેળવવું છે. એ ગામના રહીશોને સાંભરે છે કે ગાંધીએ ત્યાં રાતવાસો કરેલો ? પદયાત્રા કરવી એટલે લોકજીવન અને સંસ્કૃતિનું વર્ણન [ethnography] કહેવામાં આવે છે. આ અભ્યાસમાં સંશોધક ચોક્કસ સંસ્કૃતિ કે સમાજના લોકો વચ્ચે રહીને તેમના રીતિ-રિવાજો, ભાષા, જીવનશૈલી અને માન્યતાઓને તેમની દૃષ્ટિએ સમજવાનો પ્રયાસ કરે છે. અને આવી આ માન્યતાઓ અનુસારનું ગુજરાત મારે ખોળવાનું હતું, સિંગાપોરિયા મને જણાવતા હતાં.

એક વિચાર રૂપે હંમેશને સારુ ‘વિકાસ’નું બાહ્ય સ્વરૂપ અપાતું રહ્યું છે. અને ઘણા ગુજરાતીઓ અને ભારતીયો સુધ્ધાં તેને રસ્તાઓ અને વિમાનીમથકો, કે પછી ‘પાણીની ટાંકી રસ્તો અને વીજળી’માં ખતવી દે છે. આવું એ કહી રહ્યાં હતાં. પરંતુ ગાંધી તો સતત અંતરમન વિશે, આધ્યાત્મિક વિકાસની વાત કરતા હતા. આપણે આ ભૂલી ગયા લાગીએ છીએ ને ? કઈ વધુ સારી રીતે આનો અર્થ પામી શકાય ? બસ ડેપોનો ચકચકાટ, ભલા, વિકાસ કેમ હોઈ શકે ? ચકચકાટ મારતો બસ ડેપો શા માટે વિકાસ તરીકે લેખાય ? એ ચકચકાટ મારે છે તેથી, કે પછી, તેની ગતિશીલતાને કારણે, જે સતત ચાલકબળ રૂપે વર્તાય છે તેથી તે ‘વિકાસ’ કહેવાય છે ? શા માટે ઘણા ગુજરાતીઓને ગતિશીલ રહેવું છે ? અભિષેક જૈનની ફિલ્મ, ‘કેવી રીતે જઈશ’માં આ તો કેન્દ્રવર્તી વિચાર છે.

સિંગાપોરિયા બીજા બે મિત્રો જોડે કૂચ આદરે છે, એમાના એક છે એમના ભૂતપૂર્વ વિદ્યાર્થી ચિરાગ મેદીરત્તા, જે પંજાબી હતા. બીજા હતા સુસ્મિત પ્રભુદાસ, જે આંધ્ર પ્રદેશના વતની હતા. એ બન્નેને દાઢી હતી. પૂલવામાની આતંકી ઘટના પછીની જ આ વાત છે. પૂલવામામાં કેન્દ્રીય સુરક્ષા દળાના ચાળીસ જવાનોની મારી નંખાયા, તે પછીની આ ઘટના હતી. શાસન આ કાશ્મીરમાં બની ઘટનાને આતંકી ઘટના તરીકે ઓળખાવતી હતી. ગ્રામ્યજનતા જાણવા ઇચ્છતી હતી કે સિંગાપોરિયા સાથે બે જણ હતા તે મુસ્લિમ છે કે કાશ્મીરી. એ બે જણ કઈ કોમના છે તે જાણવા સારુ ગ્રામ્યજનો પૂછતા કે તમારે શું જમવું છે. માંસાહાર કરતા હોય તો ખબર પડી જાય કે તે બન્ને મુસ્લિમ છે.

સિંગાપોરિયાએ જોયું કે જ્યાં ‘સંદેશાઓ’[messages]ને વૉટ્સએપ વાટે હકીકત તરીકે પાઠવવાની સંસ્કૃતિ છે, ત્યાં તો ઇતિહાસને પુરાણકથામાં ફેરવી કાઢવાનો આ પ્રયાસ છે. વળી, સિંગાપોરિયાને આ લોકો જણાવતા હતા કે વિવિધ મંદિરોના ઘુમટોનો આકાર અલાયદો છે કેમ કે મોહમ્મદ બેગડાએ એનું ખંડન કરી કાઢેલું. કેટલાંક મંદિરોના ઘુમ્મટોનો આકાર મસ્જિદ શો દેખાતો હતો. કે પછી મસ્જિદો મંદિરના આકારની લાગતી હતી ? અને સિંગાપોરિયા માટે પડપૂછ કરવી તદ્દન મુશ્કેલ હતી. સમગ્ર મિજાજ જ દૂષિત બની ગયો હતો. એ તો ખુદ પારસી હતી, જીવ પટેલના એક પ્રસિદ્ધ કાવ્યમાં આવે છે તેમ તેનું નસીબ જ જાણે કે અસ્પષ્ટ બની ગયું હતું.    

રસ્તે ગ્રામ્યજનો સારા યજમાન હતા. આ ત્રિપુટી સવારે કૂચ કરતી, નવા ગામમાં બપોર પસાર કરતી, અને પછી, સાંજ પડે તે પહેલાં, નવા ગામે પહોંચી જતી. ત્યાં જ રાતવાસો કરતી. આ લોકો કોઈક ધર્મશાળામાં કે પછી ધાબામાં સૂવાનું રાખતાં. બહુધા રાતે આ બહેન એકલાં જ મહિલા હતાં. એક મહિલા બે દાઢિયાળા જણ સાથે રાતવાસો કરતી એની આ ગ્રામ્યજનોને વિમાસણ રહેતી. ‘અમારી અટક નોખી નોખી હતી. અને મોટા ભાગની ધર્મશાળાઓના રખેવાળો અને હોટેલવાળાઓ અમને એક જ ઓરડામાં રાતોવાસો કરવા દેતા નહીં. એમ એ કહેતાં હતાં. ગુજરાતીઓની જૂનવાણી, મધ્યમમાર્ગી નીતિમત્તા જાણે કે સતત ડોકાયા કરતી. છેવટે, એમને બે ઓરડા અંકે કરાવવાના થતા, એક બે છડા માટે, અને બીજો આ મહિલા સારુ.

જેમ જેમ અમદાવાદ નજીક આવતું જતું હતું તેમ તેમ એમને ‘વિકાસ’ દેખાવા લાગ્યો હતો. અમદાવાદ પહોંચવા સારુ ત્રણ દિવસની વાર હતી અને આ પદયાત્રીઓને આ ‘વિકાસ’ની વાસ આવવા માંડી હતી. રસાયણી ધુમાડો એમના લલાટને [sinuses] ગૂંગળાવવા લાગ્યો હતો. ‘કેટલાક સમયે તો અમે શ્વાસ લઈ પણ શકતા નહીં’, એમ એ જણાવતાં હતાં. પાક લેવાયો હોય તેના ખૂંપરાને બાળી કઢાતા હતા, એવી માહિતી એમને જણાવવામાં આવતી. પરંતુ કલકારખાનામાંનો રસાયણી ધુમાડો જ કારણભૂત છે તેમ એમને વર્તાતું જ હતું. ને એમનું હૃદય દૃવી ઊઠતું. એમણે એ પણ જોયું કે પાણીનો પ્રવાહ પ્રદૂષણને કારણે જાંબુડી, લીલો, પીળો અને રાતો દેખાતો હતો. પરંતુ આ તો ‘વિકાસ’ જ હતો ને.

અમદાવાદ પહોંચતાની સાથે, એ રોક્યા રોકાય તેમ રહ્યા નહોતાં. ગુજરાતને તેમ ગુજરાતીઓને સમજવા સારુ એકની એક કથાવાર્તા સાંભળી સાંભળીને ઊબકી જવાયું છે. પરંતુ એમને તો આ સઘળું રોજેરોજ સાંભળવાનું થતું. જે જે એમને મળ્યાં તે તે સૌ પોપટની જેમ જાણે કે પઢાવેલા હોય તેમ વર્તાતું હતું. કેટકેટલાં સો વર્ષોથી વધુના સમય દરમિયાન એમના મતે જે કંઈ બની ગયું હતું તે ખરાઈ રૂપે કહેતા રહી, એ દરેક એમના પર થોપતા રહેલા. આ જમણેરી જૂથની વાતો એમને જે ભણાવવામાં આવેલી તેને ફળ બેઠાં છે તેમ દેખાતું હતું. ત્રણેક દાયકા ઉપરાંતના સમયગાળા દરમિયાનના આ ગુજરાતમાં હવે એવી એક પેઢીની મજબુતાઈ આવી છે કે જેને એકપરિમાણીય દૃષ્ટિકોણથી ઇતિહાસને જોવાની સમજણ છે. 

ગુજરાતમાં પરીક્ષા માટેના પ્રશ્નપત્રમાં, હકીકતે, વિદ્યાર્થીઓને પૂછવામાં આવેલું કે ગાંધીએ આત્મહત્યા ક્યારે કરી હતી ? એક વાર આ અંગેની વાત બહાર પડી કે, જિલ્લા શિક્ષણ અધિકારીઓ આ બાબત અંગે એમને કંઈ લાગતું વળગતું નથી કહી દૂર હઠી ગયેલા. આ પ્રશ્નપત્ર તૈયાર કરવામાં એમનો કોઈ હાથ નથી, તેમ તેઓ કહેતા રહ્યા. ‘સુફલમ્ શાળા વિકાસ સંકુલ’ દ્વારા ચાલતી એક નિશાળના નવમા ધોરણના વર્ગના વિદ્યાર્થીઓને આંતરિક મૂલ્યાંકન કરવાના ભાગ રૂપે પૂછાયું હતું. આ ગાંધીનગરમાં આવી એક સ્વ-નિર્ભર ખાનગી નિશાળ છે, જે સરકારી અનુદાન પણ મેળવે છે. 

એમની પદયાત્રા દરમિયાન, મારગે, સિંગાપોરિયાને વિશ્વ હિંદુ પરિષદના અનેક કાર્યકરોનો ભેટો થયેલો. આજના ગામડાઓમાં સરસ રીતના અલગ અલગ વિસ્તારો બની ગયા છે તેમ અભિમાનપૂર્વક તેઓ જણાવતા હતા. અહીં પટેલો વસે છે, તહીં બ્રાહ્મણો વસે છે અને તે બાજુ દલિતો વસે છે. અને પ્રત્યુત્તરરૂપે બહેને પૂછી લીધું, અને મુસ્લિમો ? વળતાં એમણે અભિમાન સાથે કહેલું કે આ ગામમાં મુસ્લિમો વસતા જ નથી. તેઓ બીજા ગામોમાં વસે છે.

ગુજરાતની વિવિધતાને નવા સ્વાંગમાં કંડારાતી હતી, અને આની એક સરખી વાત રાજ્યભરમાં હોય તેમ તેઓ અભિમાનપૂર્વક જણાવતા હતા. સમગ્ર ગુજરાતીઓને માટે આ હૃદયદ્રાવક પીડા છે તેમ આ બહેન મને કહેતાં હતાં. ‘મારે રોજેરોજ આવું જ સાંભળવાનું થાય છે,’ તેમ સિંગાપોરિયા વિમાસણ વ્યક્ત કરતાં હતાં.

•

હા…શ ! − 

આ પુસ્તકને અંતે, સ્વીકારનોંધ લેતા લેતા, લેખક જણાવે છે : ગુજરાત, મહારાષ્ટૃ તેમ જ અન્યત્ર મળીને લેખકે 213 લોકો જોડે રૂબરૂ વિચારવિમર્ષ કર્યો છે. વળી, એમણે છેલ્લાં આઠેક વરસ દરમિયાન, ગુજરાત અને ગુજરાતીઓ અંગેના સો ઉપરાંત પુસ્તકોનું વાંચન કર્યું છે. આ વરસો દરમિયાન, વળી, બીજી સાઠેક મુલાકાતોનો આધાર લેવાયો છે. આરંભે, લેખકની નોંધપોથીમાં કહેવાયું છે તેમ, આ પુસ્તક માટે સંશોધન કરવાને સારુ, સલિલ ત્રિપાઠીએ, વળી, 2015 અને 2018ના ગાળા વચ્ચે સાતેક વખત ગુજરાતનો પ્રવાસ ખેડ્યો છે. તદ્દુપરાંત, અન્ય આશરે સાઠેક દેશોનો પ્રવાસ કરવાનો એમને આવ્યો.

લેખક સલિલ ત્રિપાઠી સાથે વાતચીતનો અઢારેક મિનિટ લાંબો એક વીડિયો ‘બી.બી.સી. ગુજરાતી’ની વેબસાઇટ પર જોવા મળે છે. 1 મે 2025ની નોંધ મુજબ, જાણીતા પત્રકાર અને બી.બી.સી. ગુજરાતીના સંવાદદાતા, પારસ જ્હા સાથેની આ મુલાકાત અનુસાર, તેમાં લેખક ગુજરાતી હોવાની ખરેખર પરિભાષા શું છે ? અને તેમનો વર્ષો જૂનો ઇતિહાસ શું દર્શાવે છે ? તેની છણાવટ છે. મૂળ મુંબઈના ગુજરાતી પરિવારમાં જન્મેલા સલિલભાઈએ ગુજરાતી સમુદાયની લગભગ તમામ મોટી બાબતો વણી લેતું આ પુસ્તક લખ્યું છે. તેમણે ગુજરાતીઓની વિસ્તૃત ઓળખ આ પુસ્તકમાં આપી છે. ગુજરાતીઓનો ઇતિહાસ કેવો ભવ્ય છે? ગુજરાતીઓમાં ગાંધી કેટલા વસે છે, ગુજરાતીઓ ખરેખર અહિંસક છે? ગુજરાતની અસ્મિતા એટલે શું? ગુજરાતી હોવાની સાચી ઓળખ શું છે? ગુજરાતીઓ વિશેના ઘણા સવાલોના જવાબ આ પુસ્તકમાંથી મળી શકે તેમ છે.

•

આ પુસ્તકને બાર વિભાગમાં ફાળવવામાં આવ્યું છે; ઉપરાંત, કુલ મળીને 87 પ્રકરણોમાં પુસ્તક વહેંચાયું છે. સર્વગ્રાહી બાબતોને અને વિગતમાહિતીઓને પુસ્તકમાં સરળ ભાષામાં તેમ જ રસાળ શૈલીમાં આપવામાં આવી છે. હા, કેટલીક જગ્યાએ પારિભાષિક શબ્દોનો છૂટથી ઉપયોગ થયો છે. ત્યારે ત્યારે શબ્દકોશનો વપરાશ પણ વધ્યો છે. 

વારુ, અસામાન્યપણે ગુજરાતીઓ ઉદ્યમી અને કોઠાસૂઝ ધરાવનાર, સાધનસમ્પન્ન સમૂહ છે. માત્ર ભારતમાં જ આશરે સાડા પાંચ કરોડ જેવડો ગુજરાતી ભાષા બોલતો આ સમૂહ હશે. વળી, આ જમાતનો, જગત ભરમાં અહીંતહીં પથરાયેલા, બીજા સાઠેક લાખનો આંક થવા જતો હશે. વેપારવણજ ક્ષેત્રે ભારે કાબેલ જનસમૂહ તરીકે આ જમાતની નામના રહી છે. દુનિયામાં જેમની ગણના થાય છે તેવા ઉદ્યોગગૃહો – ટાટા, રિલાયન્સ, વીપ્રો સમેતના બીજા કુડીબંધ ઉદ્યોગગૃહો ગુજરાતી જમાતના જ નબીરાઓ છે. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ઇન્દુલાલ યાજ્ઞિક સરીખા આગેવાનો ગુજરાતી છે. અને દેશને મળેલા કેટલાક વડાપ્રધાનો પણ આ જમાતમાંથી છે, જેવા કે ગુલઝારીલાલ નંદા, મોરારજી દેસાઈ, તેમ જ નરેન્દ્ર મોદી. આટઆટલું કમ હોય તેમ, વિજ્ઞાન, કલા, સાહિત્ય, ક્રિકેટ, સુગમ સંગીત સરીખા સ્તરે ય ગુજરાતી પ્રતિનિધિઓની બોલબાલા રહી છે. પાકશાસ્ત્રમાં ય એમની નિપુણતા જગજાહેર છે અને શાકાહારી ખાદ્યપદાર્થોમાં તેમ જ અનેકાધિક વ્યજંનો પેટે એમનો ડંકો વાગ્યા કરે છે. બીજી પેરે, ઠગીઓ, મહાઠગીઓ, છેતરપીંડી કરનારાઓ અને, વળી, કોમી આતંકવાદીઓ પણ અહીં જોવા, અનુભવવાના મળે છે.

સલિલ ત્રિપાઠીની કમાલ આ પુસ્તકમાં ઠેર ઠેર જોવા વાંચવા મળે છે. અને એમનાં લખાણની ક્ષિતિજ ચોમેર પથરાઈ હોય તેમ બહુધા અનુભવવા મળે છે. ગુજરાતી એટલે કોણ તેની ઇતિહાસપ્રસિદ્ધ રજૂઆત કરી એમણે આ પાથરણનો પટ ઉઘાડી આપ્યો છે. હિન્દુ જમાત અને તેમાં જોવા મળતા અનેકાધિક નાતજાતના જૂથો, પારસી, સુન્ની મુસ્લિમ, શિયા મુસ્લિમ, બોહરા મુસ્લિમ, સિદ્દી, જૈન તેમ જ બૌદ્ધને આવરી લેવાયા છે. લેખક કહે છે, એ ખુદ મુંબઈગરા છે છતાં ગુજરાત ને ગુજરાતીઓ વિશે આ લેખનકામ હાથ લીધું છે. તેથી આ સમૂળગો ઉપક્રમ અંદરથી બહાર જોતા, તેમ જ બહારથી અંદર જોતા હોઈએ તેવો લાગવાનો. અને પહેલા પ્રકરણને અંતે ‘અસ્મિતા’ શું ચીજ છે તેની વાત માંડે છે. વળી, સિતાંશુ યશશ્ચન્દ્ર સરીખા વિદ્વાન જોડે થયેલા સંવાદને અહીં ટાંકે છે. ‘અસ્મિતા’નું મૂળ ‘અસ્તિ’ અને ‘અસ્તિત્વ’માં છે. આ ‘અસ્તિ’ વ્યાકરણ અનુસાર ત્રીજી વિભક્તિમાં ત્રીજો પુરુષ એકવચન છે. જ્યારે ‘અસ્મિ’ પહેલી વિભક્તિમાં પહેલો પુરુષ એકવચન છે. આથી આ બન્ને શબ્દોનું અહીં મહત્ત્વ છે. આમ આ શબ્દ પોતીકી ઓળખ દર્શાવે છે. આ શબ્દ સ્વઓળખ દર્શાવે છે અને તેથી તેમાં અભિમાન કે પછી ગુમાન સામેલ હોતા નથી. 

તેરમા ગુજરાતી સાહિત્ય સંમેલનમાં કનૈયાલાલ મુનશીના ભાષણમાં આ વિશેની રજૂઆત કરતા જે કહ્યું છે તેની ટિપ્પણ રૂપે ‘સાહિત્યવિચાર’માં આનન્દશંકર બાપુભાઈ ધ્રુવ, લખે છે, ‘અમે નિખાલસપણે કહીશું કે વર્તમાન સમયમાં પ્રાન્તિક સ્વરાજ્યને લીધે પ્રાન્તિક ‘અસ્મિતા’ ભારતના અભેદદર્શનમાં વિઘ્નકર થવાનો ભય છે. … … આ ભય મુનશીની ધ્યાન બહાર નથી, અને તેથી જ ચેતવણીરૂપે કહે છે કે ‘આવી ભાવના જો પ્રાન્તીયતાની સિદ્ધિ સારુ સેવાય તો તે જરૂર સંકુચિત બને, અને રાષ્ટૃવિધાનની આડે આવે. હિન્દ જેવા વિશાળ દેશમાં જ્યાં સામાજિક અને ધાર્મિક ભેદોના ઢગલા પડ્યા હોય ત્યાં પ્રાન્તિક પ્રેમની નિસરણી દ્વારા જ રાષ્ટૃીયતાની સિદ્ધિને પહોંચાય. જો આ ભાવિ પરસ્પર વિરોધી ન હોય તો હિન્દથી અલગ ગૂજરાતનું અસ્તિત્વ ન હોવું જોઇએ ન હોઈ શકે. બધી પ્રાન્તિક વિશિષ્ટતા હિન્દની પ્રચંડ એકતામાં ભળી જાય તો જ જીવનસાફલ્ય પ્રાપ્ત થશે.’

સલિલ ત્રિપાઠી આચાર્ય આનન્દશંકર ધ્રુવની આ ટિપ્પણીથી અજાણ નથી, તે અહીં પરખાય છે. 

ગુજરાતી જનસમૂહમાં કોનો કોનો સમાવેશ છે તેની વિષદ વિગતમાહિતી બીજા વિભાગના પ્રકરણોમાં છે. નાત, જાત, પાંત, ધર્મ ઉપરાંત વિચરતી જાતિ, આદિવાસી સમૂહની ગણના પણ અહીં કરવામાં આવી છે. જગતને ચોક જ્યાં જ્યાં ગુજરાતીઓ પથરાયા છે, તેને ય લેખકે અહીં આવરી લીધા છે. આ વિશેના આ પ્રકરણો રસપ્રદ થયા છે. આ રજૂઆત સાથે ગુજરાતી જમાતને કોની કોની સાથે ઉદ્વેગ છે, કોની કોની જોડે પૂવર્ગ્રહ આધારિત અન્યાયી વલણ છે તેની વાત છેડતા સલિલ ત્રિપાઠી અચકાતા નથી. આમ શક્ય હોય ત્યાં લેખકની વલણ સમથળ રહેતી હોય તેમ સહજપણે વર્તાય છે.

એ પછીના પ્રકરણમાં ઇતિહાસ ભણી લેખક તેના વાંચકોને લઈ જાય છે અને તે કેવો ભાતીગળ છે તેની મજબૂત રજૂઆત કરી, ગુજરાતીઓથી ભરપૂર ગુજરાતના તેમ જ ભારત ભરનાં અનેક શહેરો અને સમાજોમાં લઈ જવા મથે છે. અને વળી, પરિસ્થિતિવસાત પરદેશ ગયેલી આપણી જમાતની ય વાત માંડે છે. આફ્રિકા ખંડ માંહે દક્ષિણ પ્રદેશ, પૂર્વ કાંઠે આવેલા નાનામોટા પ્રદેશો, મધ્યપૂર્વના દેશો, યુરોપ અને પછી અમેરિકે સ્થાયી થયેલી ગુજરાતી આલમની રજૂઆતોમાં વાચકને દોરી પણ જાય છે. આ આલમને અડતાનડતા અનેક સવાલો અંગે ય વિગતો પૂરે છે. વેપારવણજમાં હંમેશાં પારંગત રહેલી આ જમાતને કેટલાક દેશોમાંથી ઉચાળા ભરવા પડે છે તેની સિલસિલાબંધ વાત કરે છે તો અમેરિકા જેવા દેશમાં મોટેલના ધંધામાં પડેલા આ સમૂહની દાસ્તાઁની પોરસાવતી તેમ જ વાસ્તવિક પ્રશ્નો ઊભા કરતી રજૂઆતો પણ સમજાય છે. આ વિશ્વમાંના અનેક વિસ્તારોમાં સ્થાયી થવા, કે પછી, એક યા બીજા બ્હાના અનુસાર ઉચ્ચ અભ્યાસ સારુ ગયેલી આજની પેઢીના કોયડાઓ અને સવાલોને ય અહીં વાચા અપાઈ છે. આમ ગુજરાતીઓએ પોતાની આગવી મુદ્રા ઉપસાવી છે તેના દાખલાઓ લેખકે અહીં આપ્યા ય છે.

ગુજરાતના હીરાઉદ્યોગ વિશે લેખકે જેમ વાત માંડી છે તેમ, આણંદમાં આવેલી અમૂલ સહકારી દૂધ મંડળી છે તેનો આદરભેર ઉલ્લેખ જ કર્યો નથી, તેની વિગતો ભરપેટ અહીં આપી છે. આ સંસ્થા સહકારી રીતે ૩૧ લાખ દૂધ ઉત્પાદન કરતાં લોકોની માલિકીની સંસ્થા છે. વળી, વહાણ બાંધવાના યુગો જૂના ધંધા બાબત પણ પોરસાવતી રજૂઆત કરાઈ છે. ગુજરાતના ધનપતિઓના વિગતે અપાયેલા ઉલ્લેખો પણ લેખકે ટાળ્યા નથી.

પછીના પ્રકરણોમાં આપણું દંભીપણું છત્તુ હોય તેમ લાગે છે. ગુજરાતે જોયેલા કોમી તોફાનો, શાકાહારીપણું ઠોકી બેસાડવાની ઘટનાઓ, મહિલાઓ પ્રત્યેનાં વલણો ખૂલા કરી આપ્યાં છે. ગુજરાતમાં શિક્ષણ સમૂળગું ખાડે ગયું છે અને તેને લીધે વિચારવાનું, સહિષ્ણુ રહેવાનું તેમ જ બૃહસ્પતિ ગુજરાતીપણું તળિયે જઈ બેઠું હોય તેમ વર્તાય છે.  

મકરંદ મહેતા સંપાદિત ‘વિશ્વ નાગરિક અને વિરલ વિદ્યાપુરુષ લૉર્ડ ભીખુ પારેખ પરિચય અને પરીક્ષણ’ પુસ્તકમાં, જાણીતા વિદ્વાન પ્રાધ્યાપક ધવલ મહેતાનો એક મજાનો લેખ – લૉર્ડ ભીખુ પારેખ અને પોલિટિકલ ફિલોસૉફી’ નામે આમેજ છે. ધવલ મહેતા તેમાં લખે છે, “ … 1957-1960ના ગાળામાં રાવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અમે કૉલેજના વિદ્યાર્થીઓ એકૅડેમિક અને સેક્યુલર ભાથું બાંધી રહ્યા હતા. તેમાં મારા ભાઈઓ મકરંદ, અંગદ, કુંતલ ઉપરાંત નીતિન ત્રિવેદી, સદ્દગત ધીરુભાઈ શેઠ, નવીન ઝવેરી અને પ્રકાશ દેસાઈ ઘડાતા જતા હતા. હેરકટિંગ સલૂનના માલિક મૂળજીભાઈ શર્મા પણ રેનેસાં ક્લબમાં આવતા તેમ જ ભાગ લેતા. વડોદરા નગર તે સમયે સાચે જ ગુલામીમાંથી મુક્ત થયેલા ભારતીય રેનેસાંના અંતરાત્માસમાન હતું. ગુલામીકાળ બાદ ભારત ધીમે ધીમે પણ નવી દિશામાં ફંટાઈ રહ્યું હતું, પણ તેને અમે બધા શોધી રહ્યા હતા. કોઈએ પણ ધર્મ, અધ્યાત્મ, મહાત્મા કે મહાપુરુષની કંઠી બાંધી નહોતી. ચર્ચાઓ અત્યન્ત વ્યવસ્થિત ક્રિટિકલ અને ટુ ધી પૉઇન્ટ થતી હતી. આજે ગુજરાતમાં આ પ્રચારનું મુક્ત ‘વૈચારિક કલ્ચર’ જોવામાં આવતું નથી. યુનિવર્સિટીઓમાં તો નહીં જ. …”   

આ પુસ્તકમાં એક નામ આદરભેર ઠેરઠેર જોવા વાંચવા મળે છે : મહાત્મા ગાંધી. જો કે, ઘણા બિન-ભારતીય વાચકો માટે આ પુસ્તકમાં માત્ર એક જ જાણીતું નામ ગાંધી રહ્યું છે. વર્તમાન સરકાર હેઠળ તેમની થયેલી બાદબાકીના કારણે નહીં, પરંતુ તેમને અર્થહીન મૂર્તિમાં ફેરવી દેવાથી જે નૈતિક શૂન્યાવકાશ સર્જાયો છે, તેને જોતાં તેઓ સલિલ ત્રિપાઠીના વર્ણનમાં એક રક્ષક દેવતાની જેમ છવાયેલા રહે છે, કારણ કે આધુનિક ગુજરાતી મધ્યમ વર્ગ પર તેમના ઘડતર પ્રભાવ રહ્યો છે. વડીલો લાગણી અને નોસ્ટાલ્જિયા (ભૂતકાળ વિશેની યાદો) સાથે મહાત્મા ગાંધી વિશે વાત કરે છે. જ્યારે સલિલભાઈ દ્વારા મુલાકાત લેવાયેલા યુવાનો ગાંધીજીની સામાજિક અને રાજકીય પસંદગીઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરે છે અને આશ્ચર્ય વ્યક્ત કરે છે કે શું ભારત તેમના નેતૃત્વ હેઠળ ખોટા રસ્તે તો નહોતું ચાલ્યું ગયું. જો કે, આ એક વ્યાજબી પ્રશ્ન છે અને સલિલ ત્રિપાઠી તેને ટાળતા નથી, છતાં ગાંધીજીની સહિષ્ણુતા અને અહિંસક ઉપદેશોના અસ્વીકારની અહીં સખત નિંદા કરવામાં આવી છે. આ બધા વચ્ચે, બારમાં પ્રકરણના આરંભમાં, ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન, માધવસિંહ સોલંકીને ટાંકીને લેખકે અનેક વમળો ઊભા કર્યા છે. માધવસિંહભાઈ સલિલ ત્રિપાઠી સાથેની ચર્ચામાં કહે છે : ‘આપણે તો હંમેશાં હિંસક હતા. આપણને શાંત કરવા આપણને ગાંધીજીની જરૂર પડી.’

આ અલગ અલગ વાતો માંડવા માટે સલિલ ત્રિપાઠી અનન્યપણે સક્ષમ છે. તેમના કૌટુંબિક ઇતિહાસમાંથી તેમને કવિઓ, દાર્શનિકો અને સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથેનો ઘનિષ્ઠ સંબંધ મળ્યો છે. અને તેને કારણે દર્શાવાઈ વિવિધ વિગતોને મજબૂતાઈ સાંપડી છે. એક બિઝનેસ પત્રકાર તરીકેના તેમના વર્ષોના અનુભવને કારણે, તેઓ અંબાણી, અદાણી અને ટાટાના ઉદયને એવી રીતે સમજાવી શકે છે કે જેને જોઈને બિઝનેસ સ્કૂલના પ્રોફેસરને પણ ગૌરવ થાય. તેમના જૂના શાળાકીય સંબંધો (કાળ) તેમને ગુજરાત અને મુંબઈના ઘણા મહાન કોર્પોરેટ નાટકોને નજીકથી (રિન્ગસાઇડ પર બેસીને) જોવાની તક આપે છે. અને અંતે, PEN (પેન)ના એક અગ્રણી અવાજ તરીકે, તેમની પાસે ભારતીય મુસ્લિમો પર થતા અત્યાચારો, માનવ અધિકારોના હનન અને દમનને સમજાવવા માટેના ધારદાર શબ્દો છે. 

‘એશિયન રિવ્યુ ઑવ્‌ બૂક્સ’ માટે ‘રોયલ સોસાયટી ફોર એશિયન અફેર્સ’ના સભ્ય અને જાણીતા લેખક ડેવિડ ચેયફિટ્સ [David Chaffetz] લખે છે :

‘અંબાણી અને અદાણી જેવા અબજોપતિઓ, પારસી પરોપકારીઓ, વૈશ્વિક પ્રવાસી સમુદાય (ડાયસ્પોરા), ઔદ્યોગિક અને વેપારી ક્ષમતા અને તેમના સૌથી મહાન સંતાન ગાંધીના વારસા ધરાવતા ગુજરાતી લોકોનો આ ઊંડાણપૂર્વકનો અભ્યાસ, લગભગ દરેક પાના પર વાચકોની ઉત્સુકતા જાળવી રાખે છે. કમનસીબે પરંતુ કદાચ સમજી શકાય તેવું છે કે, પુસ્તકના વ્યાપને કારણે અમુક અંશે પુનરાવર્તન આવે છે. જાણે આપણે કોઈ ગુજરાતી વડીલને ઘણી રાતો સુધી સાંભળી રહ્યા હોઈએ, તેમ આપણે સહેજ અલગ દૃષ્ટિકોણથી તે જ વાત ફરી ફરી સાંભળીએ છીએ. બાકી, સલિલ ત્રિપાઠીની સચોટ શૈલી અને પાત્રોને સમજવાની તેમની દૃષ્ટિ આ લાંબા પુસ્તકને અત્યંત રસપ્રદ બનાવે છે. રાષ્ટ્રવાદીઓ જાહેરમાં ગુજરાતની ‘ગંદકી’ (ત્રૂટિઓ) બહાર કાઢવા બદલ લેખકની ટીકા કરશે, પરંતુ ડાબેરીઓ કદાચ એવો આક્ષેપ કરશે કે લેખક તેમના દેશબંધુઓ જ્યારે ઉશ્કેરાઈ જાય છે ત્યારે તેમના પ્રત્યે વધુ પડતા ઉદાર છે. આ પુસ્તક સર્વોપરી રીતે ગુજરાતીઓને તેમના વધુ સારા સ્વરૂપને, અહિંસા, સહિષ્ણુતા, સમાધાન અને સાહસની તેમની પરંપરાને અપનાવવા માટેનું આહ્વાન છે. ‘

સંદર્ભ :

  1. The Gujaratis : Salil Tripathi 

     2.      https://www.bbc.com/gujarati/articles/c87pn5ed0xro

28 મે – 27 જૂન 2026; હેરૉ, યુનાઇટેડ કિંગ્ડમ
e.mail ; Vipoolkalyani.opinion@btinternet.com

Loading

AIને માથે ચડાવવા જેવું નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|26 June 2026

રવીન્દ્ર પારેખ

કોઈ પણ શોધ માનવ જાતના કલ્યાણ ને સુખાકારી માટે થતી હોય છે, પણ AI (આર્ટિફિશિઅલ ઇન્ટેલિજન્સ) કેટલું ઉપકારક નીવડશે તે પ્રશ્ન જ છે. કોઈ પણ યંત્ર માણસ માટે હોય છે ને માનવના કાબૂમાં તે રહે છે, પણ AI જતે દિવસે માણસને ખસેડીને પોતે જ સર્વેસર્વા બની રહે તો આશ્ચર્ય ન થાય. AI-નો અર્થ જ કૃત્રિમ બુદ્ધિમત્તા છે. તે કૃત્રિમ છે ને અસલને ખસેડીને તેની નકલમાં પડે તો તેને આવકારવાનું મુશ્કેલ છે. એમાં કોઈ શક નથી કે AI માણસની મદદમાં ઘણું રહે છે, પણ તેણે માણસના સદ્દગુણોને સત્કારવા જોઈએ, તેને બદલે તે અવગુણો શીખે તો, તે બરાબર નથી. આ અવગુણો શીખવામાં તેને શીખવનાર પરિબળોને અવગણી ન શકાય. AI માણસની ઉપરવટ જાય એવા દિવસો આવી રહ્યા છે. એ સાચું હોય તો તેનાથી ચેતવા જેવું છે.

હમણાં AIને લઈને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એક ચોંકાવનારો રિપોર્ટ બહાર આવ્યો છે. આ રિપોર્ટમાં એવી ચેતવણી આપવામાં આવી છે કે AI માનવીના અવગુણો શીખી રહ્યું છે ને તે શીખે છે માનવી પાસેથી. AI માનવીના તમામ પ્રકારના ભેદભાવો શીખી રહ્યું છે. હાલના સંજોગોમાં માણસ વધુ હિંસક, વધુ આક્રમક, વધુ ભ્રષ્ટ થયો છે, ત્યારે AI તેની પાસેથી અનાચાર શીખે એ માનવ જીવન માટે કઈ રીતે ઉપકારક નીવડશે તે નથી સમજાતું. માણસ હિંસક, આક્રમક કે ભ્રષ્ટ ઓછો હતો તે હવે AI પણ એ જ દિશામાં આગળ વધી રહ્યું છે? આ કોઈ પણ રીતે ઇચ્છવા જેવું નથી.

સમાજમાં જે ભેદભાવ અને હિંસા ફેલાયેલાં છે, તેમાં AI વધારો કરી રહ્યું છે – એવી ચેતવણી પણ એ રિપોર્ટમાં આપવામાં આવી છે. તપાસ તો એ પણ થવી જોઈએ કે વિશ્વમાં યુદ્ધો, હત્યાઓ, ભ્રષ્ટાચાર વગેરે ચરમ સીમાએ છે તેમાં AIનો કોઈ ફાળો છે કેમ? એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે કોઈ પણ મશીન માનવ કલ્યાણ માટે અમલમાં આવ્યું હોય, તો તેનો હેતુ બદલાયો નથી, પણ AIની ભૂમિકા સંદિગ્ધ રહી છે. તે ઉપયોગી તો છે જ, તે સાથે જ તે જોખમી પણ છે. તે માણસના અવગુણો શીખે છે, તો તેનાથી માનવ જાતનું શું હિત સધાશે તે પર વિચાર થવો ઘટે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેષે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે AI કંપનીઓએ વીજળી, પાણી અને જમીનના ઉપયોગથી પર્યાવરણને શું નુકસાન પહોંચાડ્યું છે તેનો કાર્બન ઉત્સર્જનનો તથા પાણી, વીજળી,  જમીન વગેરેના ઉપયોગનો વિસ્તૃત અહેવાલ આવવો જોઈએ. ટૂંકમાં, એટલું તો નક્કી છે કે વીજળી, પાણી અને જમીનના ઉપયોગથી પર્યાવરણને નુકસાન તો થયું છે. જોવાનું એ રહે છે કે નુકસાન કેટલું થયું છે? યુ.એન.ના વડાના કહેવા મુજબ 12,000 ડેટા સેન્ટરો આવેલાં છે, તે આખા વિશ્વમાં વપરાતા વીજળી-પાણીનો બેથી ત્રણ ટકા હિસ્સો છે. આ બધાંને લીધે પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે. UNના મહાસચિવે AIને લીધે પર્યાવરણને થતાં નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે AI પર્યાવરણ સંલગ્ન પારદર્શિતા અને ઈનિશિએટિવ પર એક પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે.

વધારે દુખદ તો એ છે કે AI માનવીય વાણી વ્યવહારોની નકલ કરવા લાગ્યું છે. તે મનુષ્યના વ્યવહારોમાં પણ નબળા વ્યવહારોની નકલ કરે છે એ દુખદ છે. AI ગમે એટલું ઉત્તમ હોય તો પણ તે માણસની ઉપરવટ ન જાય એની કાળજી લેવાવી જોઈએ. તે માથે ચડી જાય તો તે ચલાવી શકાય નહીં. માણસે મશીન બનાવ્યું છે, મશીને માણસ બનાવ્યો નથી, પણ હવેની ગતિ મશીન માણસને બનાવે એ દિશાની છે. દેખીતું છે કે મશીન માણસ બનાવે તો તેના પર સૌથી વધુ કાબૂ મશીનનો રહે ને એમ માણસ બનતો હોય તો તેમ થવા દેવા જેવું ખરું? અત્યારે તો AI નબળા વ્યવહારો માણસ પાસેથી શીખે છે, પછી એ હત્યા, બળાત્કાર, ભ્રષ્ટાચાર વગેરે નહીં જ શીખે એની ખાતરી નથી. મશીનને નબળું મશીન બનાવવાથી કોને શું લાભ છે, એ પણ જોવાવું જોઈએ. માણસની નબળાઈ AI શીખે એથી માણસને તો કોઈ લાભ નથી.

AI મનુષ્યનાં વર્તનનો પડઘો પાડે એનાથી ખુશ થવા જેવું નથી. માણસ સ્ત્રી-પુરુષ વચ્ચેના ભેદભાવ કરે જ છે. હવે એ જ કામ AI પણ કરવાનું હોય તો તેના હોવાનું કયું ગૌરવ લેવા જેવું છે? AI મહિલા-પુરુષ વચ્ચેના ભેદભાવો શીખે કે વંશીય ભેદભાવો શીખે, એમાં માણસને કોઈ લાભ નથી, એથી ઊલટું AI શીખે એથી એને પણ નથી, તો તે શું કામ ચાલુ રહેવું જોઈએ? જગત આટલું નબળું છે જ તેમાં AIની નબળાઈ ઉમેરવા જેવી ખરી? સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતો દ્વારા 133 AI સિસ્ટમનો અભ્યાસ કરવામાં આવ્યો તો, 44 ટકા સિસ્ટમ એવી નીકળી જેમાં મહિલાઓ પ્રત્યે પૂર્વગ્રહ જોવા મળ્યો, જ્યારે 30 ટકા સિસ્ટમમાં લિંગભેદની સાથે વંશીય ભેદભાવ પણ જોવા મળ્યો. સૌથી ખરાબ શીખવાનું AIનું મહિલાઓ માટે રહ્યું છે. લાર્જ લેન્ગવેજ મોડેલ્સ-એલ.એલ.એમ.માં મહિલાઓને ઘર, પરિવાર કે બાળકો સાથે જ જોડવામાં આવી છે, જ્યારે કેટલાક કેસમાં મહિલાઓને શારીરિક સંબંધ બાંધવાની વસ્તુ કે સંપત્તિ તરીકે કે પુરુષોને આધીન વ્યક્તિ તરીકે બતાવાઈ છે, જયારે પુરુષને બિઝનેસ, લીડરશિપ કે કારકિર્દીમાં સફળ બતાવાઈ રહ્યા છે. AI, પુરુષો દ્વારા સ્ત્રીઓ અંગેની માન્યતાનો પડઘો પાડીને પુરુષોને જ સાચા ઠેરવે છે, તેમાં ‘હા’માં ‘હા’ મેળવવા સિવાય બીજું કંઇ નથી. બનવું તો એવું જોઈએ કે AI પુરુષોની માન્યતા બદલે તો તે ઉપકારક નીવડે, પણ હાલ તુરત તો એ શક્ય નથી, કારણ AI પોતે જ માણસની કોપી કરે છે. માણસ સ્ત્રીઓ અંગેની માન્યતા બદલે, તો AIની માન્યતા બદલાય, મગર વો દિન કહાં કે –

અત્યારે તો એવું લાગે છે કે AI ભેદભાવ અને હિંસા વધારશે, કારણ મનુષ્યમાં એનું પ્રમાણ વધારે છે. આમ પણ AI ભારતમાં જ લાખો નોકરીઓ ગળી જઈ રહ્યું છે, ત્યારે તેની ઉપયોગીતા વિષે પ્રશ્ન જ છે. AIમાં નક્લખોરી એ રીતે પણ શક્ય છે કે તે મૂળ લેખકો, કલાકારો અથવા સર્જકોની પરવાનગી વગર તેમના કામનો ઉપયોગ, AI મોડેલને શીખવવા કરે છે. આનાથી કોપીરાઈટ અને નૈતિકતાના ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

AIનો ઉપયોગ મુખ્યત્વે ઈમેઈલ લખવા, પ્રેઝન્ટેશન તૈયાર કરવા, કન્ટેન્ટ તૈયાર કરવા કે સવાલોના જવાબ આપવા થાય છે. આ દરમિયાન ભેદભાવવાળા એલ્ગોરિધમને કારણે AI પણ ભેદ કરતું થઈ ગયું છે. AI આ બધું ઈન્ટરનેટ પરથી શીખે છે. એનો ઉપયોગ માણસ કરે છે. માનવી ભેદભાવ ધરાવે છે એટલે AI પણ ભેદ કરતું થઈ ગયું છે. આમ પણ મહિલાઓ ઓનલાઈન ભેદભાવ અને અન્યાય વેઠી જ રહી છે ને AI એ અન્યાય કે શોષણને હવા આપી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ડિજિટલ ટેકનોલોજી પર મહિલા લીડ જયતમા વિક્રમનાયકે [Jayathma Wickramanayake] કહ્યું કે વર્ષો સુધી માનવીએ ભેદભાવવાળી માનસિકતા સાથે જે લખ્યું છે, તેની હવે AI કોપી કરી રહ્યું છે.

એમ લાગે છે કે AI અસાધારણ હોય તો પણ તે માણસને ઉપયોગમાં આવે તે કરતાં હાનિ વધારે પહોંચે તે રીતે વર્તે છે ને ગમ્મત એ છે કે તે ઉપયોગી છે એવો પ્રચાર વધુ થાય છે. કોઈ પણ શોધ આટલી પ્રખર નથી રહી, પણ આટલાં પ્રશ્નો પણ અન્ય શોધે નથી સર્જ્યા તે પણ હકીકત છે. અત્યારે તો AIનો એકડો નીકળે એમ નથી, ભલે પછી તે ઘણાં એકડાને કાઢીને શૂન્ય સર્જે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 જૂન 2026

Loading

અપેક્ષા                                                 

સરયૂ પરીખ|Opinion - Short Stories|25 June 2026

“આજે સરગમ કેમ હજી આવ્યા નહીં?” અવન્તિકાબહેન ક્યારના સવારની પૂજામાંથી પરવારી સરગમની રાહ જોઈ રહ્યા હતાં. ચાર મહિના પહેલાં અવન્તિકાબહેન નિવૃત્તિ નિવાસમાં આવ્યાં ત્યારે એમનો ચહેરો જોઈને કોઈને ખ્યાલ પણ ના આવે કે આ બહેન કેટલા હસમુખા સ્વભાવના હશે! ભક્તિના નામે રઝળપાટ કરે અને ધાર્મિક ક્રિયાકાંડમાં તન મન અને ધન ખર્ચી નાખે. સાહેબનાં પત્ની તરીકે સુખમય જીવન જીવેલાં.

જ્યારે દીકરો-વહુ ઘરડાઘરમાં મૂકવા આવ્યાં ત્યારે અવન્તિકાબહેન એટલાં ગભરાયેલા હતાં કે આંખના આંસુ પણ સંતાઈ ગયાં હતાં. ઓફિસમાં મિસ. મેનનની રાહ જોતાં બેઠાં હતાં. ત્રણેમાંથી કોણે શું બોલવું એ ખબર નહોતી પડતી. વહુના મનમાં ગુસ્સો અને ધૂંધવાટ ભરેલા હતા, ત્યારે દીકરો મહેશ ક્ષુબ્ધ બની બેઠો હતો. મોટાભાઈ-ભાભીએ તો કહી દીધું હતું, ‘તમને યોગ્ય લાગે એમ કરો. બાને ક્યાં અમારે ત્યાં ફાવે છે?’ મહેશ વિચારે કે હવે બીજો કોઈ ઉપાય નથી. જ્યારે બીજી તરફ અવન્તિકાબહેન મનમાં ગણગણતાં હતાં, ’એમાં મેં શું ખોટું કરેલું? મારી સિત્તેર વર્ષની ઉંમરની પણ કાંઈ માન મર્યાદા નથી રાખતા. ભલે, અજાણી જગ્યામાં નાખી જાવ. મારે કોઈની જરૂર નથી.’ 

મહેશની નજર તેની મા તરફ વળી. ‘કેટલી પાતળી થઈ ગઈ છે પણ માનસિક શક્તિ હજી ઓછી નથી થઈ. જીદ કરવાની આદત ઓછી કરી હોત તો આ દિવસ ના આવત. જ્યારે સુનીલ-સુમનની સલામતીની વાત આવે ત્યારે બાનો બચાવ ક્યાં સુધી થાય!’ દીકરાએ મનથી સહજ પ્રાર્થના કરી કે જરા ગોઠવાઈ જતા બાનો આનંદી સ્વભાવ પાછો આવી જાય.

ડિરેક્ટર મિસ. મેનન આવ્યાં અને જરૂરી કાગળો તૈયાર કરી આપ્યાં. અવન્તિકાબહેનને અહીં શાકાહારી ખોરાક જ આપવામાં આવે છે એ જાણીને શાંતિ થયેલી. સવિતાબહેન આવીને ત્રણેને અંદર લઈ ગયાં. 

રૂમ પાસે પહોંચતા જ હસતો અવાજ સંભળાયો, “હલ્લો, કેમ છો? મારું નામ સરગમ. તમારું નામ?”

“અવન્તિકા,” એમણે ધીમેથી જવાબ આપ્યો.

”મજાનું લાંબુ નામ છે. હું તમને મિસિસ. એન કહું તો વાંધો નથી ને?” 

“ભલે.” અવન્તિકાબહેને રસ વગર જવાબ આપ્યો.

સરગમ તેમને વર્ષોથી જાણતી હોય તેવા ભાવથી એમના દીકરા-વહુને પણ મળી. એમને રૂમ બતાવવા સરગમ પ્રસન્નતાથી વાતચીત કરતી હતી પણ અવન્તિકાબહેનને તો ત્યાંથી ક્યાંય દૂર ભાગી જવાનું મન થતું હતું. મન-મગજનો વાર્તાલાપ તો ચાલુ જ હતો.

‘અરેરે! અહીં તો ભગવાનનું મંદિર પણ નથી. આ જગ્યામાં કોઈ સંતનાં પગલાં પણ નહીં પડ્યાં હોય એવી અપવિત્ર જગ્યામાં મારાથી કેમ રહેવાશે! મારા ઠાકોરજીને અહીં જરા ય નહીં ગમે. આ ઓરડામાં બીજા કોઈ ધર્મિષ્ઠ બહેન હોય તો સારું, જેને છૂતાછૂતનું ભાન હોય.’

“જુઓ બા, આ રૂમ તમને ગમશે.” મીનળ બોલી, “આ ખાટલો ઠીક છે ને? તમારી શાલ બેગમાં મૂકી છે.”
”હા, ઠીક છે.” અવન્તિકાબહેન બોલ્યાં પણ મનમાં વિચારે કે, ‘હવે મીઠાશ બતાવે છે. જે કકળાટ કર્યો હતો તે હું એમ કાંઈ ભૂલી જવાની છું!’

”ધ્યાન રાખજો,” કહીને દીકરો-વહુ જતાં રહ્યાં. અવન્તિકાબહેન એકલા પથારી પર ખબર નહીં કેટલી વાર બેસી રહ્યાં! બે આંખોમાંથી આંસુની ધારા એમના પાલવને ભીંજાવી રહી હતી. નાનાં હતાં ત્યારે એમના બાપુ કહેતા, ”બેનાને તો પાંપણે પાણી.” એ ઉંમરે એમને કલ્પના પણ નહોતી કે પોતે ક્યારેક સિત્તેર વર્ષનાં થશે અને રડતાં રડતાં બાપુને યાદ કરશે! … યાદોની હવા ક્યાંથી ક્યાં લઈ જાય છે!

સવિતાબહેન બોલાવવા આવ્યાં. “મને સરગમબહેને વાત કરી કે તમારું નામ અવન્તિકાબહેન છે. ચાલો ચા પીવા જવાનો સમય થયો છે, આવો છો ને?”

”ચાલો.” એમને સારું લાગ્યું કે રોજની જેમ આજે એકલા એકલા ચા નહીં પીવી પડે. જમવાના રૂમમાં જુદા જુદા ટેબલો ગોઠવેલાં હતાં. એક ખાલી ખુરશીમાં એ બેસી ગયાં. થોડીવાર કોઈએ ધ્યાન આપ્યું નહીં. ચાના કપ આવ્યા એટલે બધાં શાંતિથી ચા પીવા લાગ્યા. અવન્તિકાબહેનને થયું, ’આ ચા તો બહુ ગળી છે. મને પસંદ એવું અહીં મને કંઈ નહી મળે.’ ત્યાં બાજુવાળા બહેન બોલ્યાં, “એ સરગમ! અહીં આવો તો.” સરગમ આવીને અવન્તિકાબહેન પાસે બેઠાં અને પૂછ્યું, “ચા પીધી ને?” અવન્તિકાબહેને માથું નમાવ્યું. 

“હું તમને આ બધાની ઓળખાણ કરાવું.” સરગમ હસીને બોલ્યાં, ”પેસ્તનજી દારૂવાલા, વલ્લભભાઈ ચોરડિયા, વિનયવભાઈ પંડ્યા અને લીલાબહેન. તમે અને લીલાબહેન એક જ રૂમમાં છો.” હવે લીલાબેનના મુખ પર હાસ્ય આવ્યું.

પેસ્તનજી કહે, “સોજ્જો તમો અહીં આયા. તમોને ગમશે.” વલ્લભભાઈએ સંમતિમાં માથું હલાવ્યું.
વિનયભાઈએ પૂછ્યું, “ક્યાંના છો?”

અવન્તિકાબહેન બોલ્યા, ”ભાવનગરની છું. હવે છોકરાઓ મુંબઈમાં ગોઠવાયા તેથી એમની સાથે…” આટલું બોલતા તો એમનું મન વ્યાકુળ થઈ ગયું અને આંખમાંના આંસુને પી જવા હોંઠ મજબૂતાઈથી બંધ કર્યા.

સરગમે ભાવથી એમનાં ખભા પર હાથ મૂક્યો અને બધા સામે જોઈ બોલ્યાં, ”ચાલો રમત ગમતનો સમય થયો છે, તો જઈએ.” મોટા હોલમાં ઘરડાં સભ્યો આમતેમ પોતાની જ દુનિયામાં ખોવાયેલા ફરતાં હતાં. પત્તા રમવાનાં ટેબલ પરથી વિનયભાઈએ પૂછ્યું, “અવન્તિકાબહેન, બ્રીજ રમતાં આવડે છે?”

”હા, થોડું થોડું. થોડા દિવસ પછી પ્રયત્ન કરીશ.” એમણે ઉત્સાહ વગર જવાબ આપ્યો અને એક ખૂણામાં બેસી ગયાં. ક્યારે પૌત્રોની દુનિયામાં પહોંચી ગયાં એનો ખ્યાલ ના રહ્યો. ‘બેઉને નાનપણથી કેટલાં જતનપૂર્વક ઉછેર્યાં! નાનો તો દાદી વગર પાણી પણ ના પીવે. ગર્વ સાથ યાદ આવ્યું, ’અઠવાડિયામાં ચાર વખત છોકરાઓને મંદિર લઈ જાઉં. મીનળ અને મહેશ કીધાં કરે, આ બધી અંધશ્રદ્ધા છે. એમને શું ખબર પડે!’

“અવન્તિકાબહેન, કયાં ખોવાઈ ગયાં છો?” સરગમે વિચાર તંદ્રામાંથી જગાડ્યાં. “તમને પહેલે દિવસે કાંઈ પસંદ નહિ પડે પણ હિંમત નહિ હારતાં, ધીરે ધીરે ગમી જશે. અને આમ તો, જ્યાં રહીએ ત્યાં પ્રેમથી રહીએ તો બધે ગમે.” વિરોધ વંટોળમાં ઘેરાયેલાં મનોભાવ કંઈક બીજું જ સાંભળતા હતાં. ‘મારું કામ હતું ત્યાં સુધી રાખી અને હવે ઘરમાંથી કાઢી મૂકી. માંડ ઘરમાં ધરમ કરમ, પાઠ-પૂજા ચાલુ કર્યા હતા. ઘર કેવું પવિત્ર થાય! બસ હવે તો બધી માંડવાળ. મહેશ કહી ગયો હતો કે એક વરસ નિવૃત્તિનિવાસમાં રહો પછી વિચારશું. આટલા કલાક લાંબા લાગે છે તો વરસ કેમ જશે?’

રૂમમાં આવી અવન્તિકાબહેને બેગ ખોલી વસ્તુઓ ઠેકાણે મૂકવા માંડી. સાડલા ઉપાડ્યા ત્યાં નીચેથી બે ય દીકરાના કુટુંબના અને સુનીલ-સુમનના ફોટા સામે નજર પડી. ‘ફોટા પડાવવા જવાનું હતું ત્યારે વાળ ઓળતા બાળકોએ કેટલી લમણાં ફોડ કરાવેલી! પાંચ વરસનો સુમન અને આઠ વરસનો સુનીલ, પણ હોંશીયારી તો વીસ વરસનાં હોય ને એવી!’ આટલાં વર્ષો એમણે કુટુંબની માયાને સર્વસ્વ માની, એ જ માયાજાળમાં ગુંચવાયેલા રહેલાં. ફરિયાદી મનનો ઊભરો વાણી અને વર્તન દ્વારા બતાવી દેવાનો અને સાથે રડવાનું પણ ખરું. ‘મારું તો કોઈ સાંભળતું જ નથી. હું તો કેટલી સારી છું! કોઈ આશા નથી રાખતી, પણ જુઓ, છે કોઈને મારી દરકાર!’

અકળામણમાં પહેલી રાત તો જેમતેમ પૂરી કરી. બીજે દિવસે લીલાબહેન સાથે બેસીને વાતચીત શરૂ કરી. “તમે અહીં ક્યારથી છો?”

“પાંચ મહિનાથી છું. મને જમણા કાને સંભળાતું નથી. મને વાંચવાનો બહુ શોખ. કેટલીયે ચોપડીઓ વાંચ્યા કરું છુ.” લીલાબહેન પાતળી કાયાને ટટ્ટાર રાખીને બેઠાં હતાં. એમની ધૂનમાં બોલતા હતાં. અવન્તિકાબહેનને ખ્યાલ આવી ગયો કે એમને લાંબા સમયની યાદદાસ્ત નથી રહી. વર્તમાનમાં જે બની રહ્યું છે સમજી શકે છે. ત્યારબાદ એમને સવાલો પૂછી ભૂતકાળમાં લઈ જવાની કોશિશ ન કરી.

લીલાબહેનની દીકરી અનુ મળવા આવી હતી. “મારા બાને સ્ટ્રોક આવ્યો પછી નિવૃત્તિ નિવાસમાં આવવાનો એમનો જ આગ્રહ અને સહકાર હતા જેથી હું નોકરી પર હોઉં કે બહાર ગામ, મારે ચિંતા ન કરવી પડે.” અવન્તિકાબહેન તો આ મા-દીકરીનો સરળ સંબંધ જોઈને છક્ક જ થઈ ગયા. ન કોઈ ફરિયાદ, ન કોઈ હક્ક-માંગણી.

સરગમનો અવાજ આવ્યો, “અંદર આવું?”

“હા, આવોને.” અવન્તિકાબહેને હસીને આવકાર આપ્યો. ”આ જુઓ, મારા દીકરાઓનો પરિવાર અને નાના સુનીલ અને સુમન.” સરગમ રસપૂર્વક ફોટાઓની સામે જોઈ રહી હતી.

અવન્તિકાબહેને આગળ ચલાવ્યું. ”મેં જ આ બેયને મોટા કર્યા, સાચું કહું છું. મીનળ અને મહેશ નોકરી પર ગયાં હોય ત્યારે બે બાળકોની સાચવણી મેં કરી છે. મંદિર લઈ જઈને બાબા ગુરુના આશીર્વાદ લેવડાવ્યા. પણ હોળી ટાણે સુમન માંદો પડ્યો ત્યારે ઠીક ન થયું.”

“શું ઠીક ન થયું?” સરગમે પૂછ્યું.

”મારા હૈયા પર બહુ ભાર થઈ ગયો છે તેથી મારે કો’કને તો કહેવું જ પડશે. તમને કહું પછી તમે જ ન્યાય કરજો.” અવન્તિકાબહેનને એ વાત એટલી મનમાં ઘૂંટાઈ રહી હતી કે હવે બહાર કાઢ્યે જ છૂટકો. ”સુમનને ડોક્ટરે કહ્યું હતું ન્યુમોનિયા થયો છે. મને બાબા ગુરુમાં બહુ શ્રદ્ધા. દવાની ગોળીમાં શું ભલીવાર હોય છે? મેં તો મંત્રેલી રક્ષાથી એને માથે ટીલાં કર્યા. સુમન તો ઊંઘ્યા કરતો હતો તેથી મને થયું કે સારું થઈ જશે … મારા બાબા ગુરુની રક્ષા. પણ, ત્રીજે દાડે સવારથી તબિયત વધુ બગડી અને ડોક્ટરને ઘેર બોલાવવા પડ્યા.

ડોક્ટરે પૂછ્યુ, ”દવાની ગોળીઓ બરાબર આપો છો ને?”

મીનળ કહે, ”સમય વગેરે બધું લખીને બાને ગોળીઓ આપી હતી તે સુમનને ખવડાવતા જ હશે. હમણાં એમને બોલાવીને પૂછું.”

મેં તો હા ના કરતા, બીતાં બીતાં રક્ષાની વાત કરી. ડોક્ટર, મહેશ અને મીનળના ગુસ્સા ભર્યા ચહેરા હજુ મારી નજર સામે ચોંટી ગયા છે. ઈંજેક્શન આપીને ડોક્ટર તો જતા રહ્યા. હું મારા રુમમાં ભરાઈ ગઈ પણ એ દિવસે, હંમેશા શાંત રહેતી મીનળ, અને સાથે મહેશનો અવાજ સાંભળીને હું ધ્રુજી રહી હતી. મહેશનો છેલ્લે બારણાં પાસેથી અવાજ સંભળાયો, ”જે કહેવાનુ હશે તે મારી બાને હું કહીશ, ઓકે! તારે બરાડા પાડવાની જરૂર નથી,” કહીને બહાર જતો રહ્યો.

મહેશ કલાકેક પછી પાછો આવ્યો અને ઉદાસ ચહેરે મારી પાસે બેઠો અને કહે, ”બા! અમે કહીએ છીએ કે અંધશ્રદ્ધા છોડી દો પણ પથ્થર પર પાણી. હવે તમને સંભળાય છે ઓછું, દેખાય છે ઓછું પણ જીદ વધતી જાય છે. દિવસે દિવસે તમારું અહીં રહેવું અશક્ય બનતું જાય છે. મેં ભાઈ સાથે વાત કરી લીધી છે અને તમને નિવૃત્તિ નિવાસમાં મૂકવાનો નિર્ણય લઈ લીધો છે.”

મેં કહ્યુ, “તમને કશી સમજ નથી પડતી. બાબા ગુરુની રક્ષામાં કેટલી શક્તિ છે! ગયા અઠવાડીએ મંત્રેલા પાણીથી જ સુનીલની ઉધરસ મટી ગઈ હતી.”

“હેં! તમે મંત્રેલ પાણી સુનીલને આપેલું?”

“હા! એમાં ખોટું શું છે? તમારી સારી નોકરીઓ મારા મંત્ર જાપથી જ ચાલુ છે.” મને લાગ્યું કે જાણે મહેશને ચક્કર આવી ગયા …. હવે તમે જ કહો સરગમ, મારી વાત સાચી છે ને?”

સરગમ ધીરે ધીરે વિચાર કરતાં બોલી, “તમારી માન્યતાઓને સત્યનું નામ આપો એ બરાબર છે? તમારા ધાર્મિક ક્રિયાકાંડને ભગવાનનું સ્વરૂપ માની લો અને અંધશ્રદ્ધાને સમર્પણ સમજો ત્યારે તમને તો નુકસાન થાય, પણ બીજાને એમાં ઘસડી જવાનો પ્રયત્ન કરો ત્યારે એમને પારાવાર નુકસાન થાય.”

અવન્તિકાબહેન અકળાઈને બોલ્યાં, “મારો ધર્મ મને નાનપણથી એ જ શીખવાડે છે અને હું એ જ રીતે જીવવાની છું. થોડું ભણ્યાં એટલે છોકરાઓ એમ માનવા માંડે કે હું ખોટી છું, એ મારાથી સહન નહીં થાય. મારી વાત એટલે સો ટકા સાચી.”

સરગમ ઠંડકથી બોલ્યાં, ”કશો વાંધો નહિ. આજનો દિવસ સૌથી વધારે અગત્યનો છે. અનુભવોમાંથી કંઈક શીખીને આપણી આજ સુધારવાની છે.”

આ પછી સરગમના સત્સંગમાં અવન્તિકાબહેનના દિવસો પસાર થઈ રહ્યા હતા. સહજ રીતે કહેલી વાત જેમ કે …પૌત્રોને ઉછેરવામાં મદદ કરો તે તો યોગ્ય છે પણ જરૂર કરતાં વધારે મોહ અને વિટંબણામાં પડ્યા કે ખલાસ! ત્યાંથી જાકારો અને ક્લેશ સિવાય કાંઈ હાથમાં ના આવે. 

સુનીલનો કાગળ બતાવી કહે, “જો સરગમ! મેં બે અઠવાડિયા પહેલાં સુનીલના જન્મદિવસે કાગળ લખેલો, એનો કેવો સરસ જવાબ આવ્યો! છોકરાઓ તો સ્કૂલ પછી બાલવાડીમાં જાય છે. મીનળ સાંજે પાંચ વાગે ઘેર લઈ જાય છે. ‘મારા વગર નહીં ચાલે’ એ ભ્રમણા ભાંગી ગઈ.” દિવાળી સમયે બધાં મળવા આવેલાં. મીનળ સાથે સામાન્ય વાતચીત કરેલી પણ બે જણા વચ્ચે દીવાલ ઊભી થઈ ગયેલી એ હજી ખસી નહોતી. 

મીનળે પૂછેલું, “બા, તમને અહીં ગમે તો છે ને?”  …‘ખાલી વિવેક કરવા પૂછ્યું હશે.’ પોતાનો અહમ મીનળની કિંમત કરતાં રોકતો હતો.

લીલાબહેન કહે, “ભૂલકાઓ એની મમ્મી જેવાં મીઠાં છે.” એ સાંભળી અવન્તિકાબહેન મીનળને જુદી દૃષ્ટિથી જોવા લાગ્યાં. એમને થયું કે ઘરમાં આવી સારી વ્યક્તિ છે અને પોતે બહારનાનાં વખાણ કરતા થાકતા નહોતાં.

”લીલાબહેન, એ ઘરમાં આવી ત્યારથી મેં જ એને બધું મારી રીતે શીખવાડ્યું. એમાં કાંઈ ફેર પડે તો મારો પિત્તો જાય.” અવન્તિકાબહેન પોતે જ પોતાની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગયાં. નાની વહુ તરીકે સાસુના આવા શબ્દોને પોતે જુલમ માનતા એ કેમ ભૂલી ગયા? 

આ સાથે સરગમ સાથે થયેલ વાતચીત યાદ આવી. “ઘર સજાવટ તો મારી પસંદગી પ્રમાણે જ થાય. એક વખત મહેશ-મીનળ મને પૂછ્યા વગર ખુરશીઓ લઈ આવ્યાં. મને જરા ય ન ગમી. એની ખોડ ખાંપણ રોજ કહેતી.” 

સરગમ કહે, ”મિસિસ. એન, તમે એ વિચાર કર્યો છે કે એ ઘર મીનળનું હતું કે તમારું! મીનળને એના શોખ મુજબ સજાવટ કરવાની ઇચ્છા નહીં હોય? મન મારીને તમારું માન જાળવ્યું હોય એનો અર્થ એવો કેમ કરી શકાય કે એને કોઈ ઉમંગ નહીં હોય?”

પોતાનો બચાવ જરૂર કરેલો, “પણ મારી પસંદગી એટલી સરસ કે બધા વખાણ કરે.”

ઘણીવાર કચવાટ પછી મીનળ જ કહેતી કે, “બા કહે એમ કરો.” હવે એમને ખ્યાલ આવે છે કે, “… જેથી શાંતિ થાય.” જુદા રહેતા દીકરાની વહુએ તો પહેલેથી જ એટલો ઠંડો સંબંધ રાખ્યો હતો કે એની પાસેથી કોઈ અપેક્ષા રાખી નહોતી. પ્રસંગે આવીને મળી જાય એટલે બસ પત્યું. યાદ પણ નહોતું આવતું કે મોટાને ઘેર જમવા ક્યારે ગયા હતા!

મીનળ જે ખરીદી કરીને લાવે એ વિષે પોતાને દર વખતે ‘આ તો સારુ નથી, પૈસા વેડફાઈ ગયા,’ વગેરે બોલવાનું હોય જ. મનમાં થાય કે એ કમાય છે તેથી છૂટથી પૈસા વાપરે છે જ્યારે પોતાને દર વખત પતિની ‘હા’ થાય પછી જ કંઈક ખરીદી થતી. આખી જિંદગી પૈસા બાબત બીજાના અંકુશનો અનુભવ મીનળ તરફ દ્વેષભાવ લાવતો, એ આજે સમજાય છે.

હવે નિવૃત્તિ નિવાસમાં આવ્યે વરસ થવા આવ્યું હતું. અવન્તિકાબહેને હળવા મનથી મીનળને કગળ લખ્યો. “પોતાના વિચારોને બીજા પર ઠોકી બેસાડવાના મારા સ્વભાવની મને હવે જાણ થઈ. સરગમના મીઠા, ટૂંકા વચનો હજી મને સારે રસ્તે દોરે છે. ધર્મમાં પૂજાપાઠ વગેરે જરૂરી છે પણ એ જ ધર્મ છે એમ માનીને આખી જિંદગી જીવવી એ કેટલી મોટી ભૂલ છે! હું બહારના પાછળ દોડતી અને મારા ઘરની વ્યક્તિને ઓળખવાની દરકાર નહોતી કરતી. દીકરી! તું તો મારા ઘરની  લક્ષ્મી  છે એ વાતની આજે કબૂલાત કરું છું. ક્યારેક તારી માફી માંગવા જેટલી નમ્રતા પણ આવશે. જય શ્રીક્રૃષ્ણ.”

ઉમંગભર્યો જવાબ આવ્યો. “બા, હવે વરસ થવા આવ્યું. અમે તમને આવતા અઠવાડિયે લેવા આવશું.” 

સુનીલ-સુમન દોડતાં આવી દાદીને વળગી પડ્યાં. મીનળ બોલી, ”બા! અમે તમને લેવા આવ્યા છીએ. મારી આટલાં વર્ષોમાં જે ભૂલચૂક થઈ હોય તે માફ કરજો.” અવન્તિકાબહેન મીનળની નમ્રતાથી દ્રવિત થઈ ગયા. 

મહેશ કહે, “ચાલો બેગ લઈ આવું.”

અવન્તિકાબહેન કહે, ”બેટા, અહીં બેસ. મારી વાત સાંભળ. મને હવે અહીં ગોઠી ગયું છે. મને એ વાતનો આનંદ છે કે મારે જરૂર પડશે ત્યારે દીકરા-વહુનું ઘર સદાય આવકાર આપશે.” વિદાય આપી સ્મિત સાથે નિવૃત્તિ નિવાસની પ્રવૃત્તિમાં જોડાવા અંદર જતાં ગાતાં હતાં.

           પ્રભુ મારી  આશા નહિવત કરજે,
            પ્રભુ મારી અપેક્ષા નિર્મૂળ કરજે.

સાથે સૂર પુરાવતી સરગમ સંભળાઈ …

”સુખી કરીને સુખી થવાની એક અજબ એ ચાવી,
        જરી તરી નહીં કોઈ અપેક્ષા ‘સરયૂ’ સંસારીની.”

——-

e.mail : saryuparikh@yahoo.com  
www.saryu.wordpress.com

Loading

...1020...29303132...405060...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved