Opinion Magazine
Number of visits: 9950187
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાત UCCમાં સ્ત્રી  

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 May 2026

રવીન્દ્ર પારેખ

24 માર્ચને રોજ ગુજરાત UCC(યુનિફોર્મ સિવિલ કોડ)નું મુખ્ય મંત્રીશ્રીએ બિલ રજૂ કર્યું. આ પ્રકારનું બિલ પાસ થયું હોય એવું ઉત્તરાખંડ પછીનું ગુજરાત બીજું રાજ્ય છે. ગુજરાત વિધાનસભામાં 182માંથી ભા.જ.પ.ના જ 161 મતની જંગી બહુમતીથી બિલ પસાર થયું. પસાર કરાયેલ UCC બિલ સાડા સાત કલાકની ચર્ચા બાદ પસાર કરાયું હતું. સુપ્રીમ કોર્ટે પણ UCC સંદર્ભે કહ્યું કે પ્રસ્તુત બિલ મહિલાઓના અધિકારોનું રક્ષણ કરશે. આ બિલ મુખ્યત્વે લગ્ન અને છૂટાછેડાની ફરજિયાત નોંધણી પર ભાર મૂકે છે ને જે કોઈ તેમ કરવામાં નિષ્ફળ જશે, તેને 10,000 સુધીનો દંડ થઇ શકે છે. આ ઉપરાંત બળજબરીએ થયેલાં લગ્નને મામલે 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે. કોર્ટના આદેશ સિવાયના કોઈ પણ છૂટાછેડામાં ૩ વર્ષ સુધીની સજા થઈ શકે છે. આ બિલનો મુસદ્દો તૈયાર કરનારી પેનલને 20,00,000 સૂચનો મળ્યાં હતાં ને લાંબા પરામર્શનને અંતે તેનું આખરી સ્વરૂપ ઘડાયું હતું. સરકારનું UCC નક્કી કરવા પાછળનું એક કારણ ફ્રાંસ, જર્મની, નેપાળ, અઝરબૈજાન જેવાં મુસ્લિમ બહુમતી ધરાવતાં રાષ્ટ્રોમાં પણ સમાન કાયદો છે, તે છે, તો ગુજરાતમાં પણ એ શક્ય છે ને એ શક્ય બન્યું.

જો કે, કાઁગ્રેસે સરકાર પર એવો આરોપ મૂક્યો હતો કે ચૂંટણીનો લાભ લેવા બિલ ઉતાવળે લાવવામાં આવ્યું છે. બીજો વાંધો એ પડ્યો કે બિલ ધારાસભ્યોની સમિતિને મોકલવામાં આવ્યું નથી. તે મોકલવામાં આવે તે જરૂરી છે, જેથી તેનો અભ્યાસ થઈ શકે ને ચર્ચામાં તે અભ્યાસની મદદ મળે. ત્રીજો મુદ્દો એ થયો કે UCC બંધારણીય અધિકારો સાથે સુસંગત હોવું જોઈએ જે વિપક્ષને લાગતું નથી. એ સાચું છે કે બધા ધારાસભ્યોને બિલ મોકલાયું હોત તો તેનો અભ્યાસ શક્ય બની શકે. આમ તો બિલ મહિલા સશક્તીકરણ, સમાનતા અને ન્યાય પર કેન્દ્રિત છે. આ બિલ અંતર્ગત મહિલાઓને મિલકતમાં સમાન હક, 18 વરસે લગ્નની લઘુત્તમ વય, ફરજિયાત નોંધણી અને છૂટાછેડા બાદ 60 દિવસમાં ભરણપોષણ જેવા અધિકારો મહિલાઓને આપવામાં આવ્યા છે. તમામ ધર્મની મહિલાઓ માટે વારસાઈ હકો સમાન કરી દેવાયા છે. UCCમાં મહિલાઓને લગતી મુખ્ય જોગવાઈમાં દીકરીઓને દીકરા જેટલો જ હક મળશે. લગ્નની ઉંમર પુરુષ માટે 21 ને સ્ત્રી માટે 18ની છે ને લગ્નનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે.

મુસ્લિમોમાં બહુ પત્નીત્વ પર પ્રતિબંધ મુકાયો છે, એટલું જ નહીં, છૂટાછેડા માટે પણ બધા નિયમો બધા માટે સમાન કરી દેવાયા છે. બિલનું રાજકારણ પણ જોવા જેવું છે. લગ્ન અને છૂટાછેડામાં સમાનતા લાવવાને લીધે ત્રણ તલાકવાળી પ્રથાનો પ્રશ્ન ઉકલી ગયાનું લાગે, પણ આ કાયદાથી લવ જેહાદ અટકી જશે એવું બનવાની શક્યતાઓ ઓછી જ છે. લવ જેહાદનું આખું રાજકારણ એ હિન્દુત્વના રાજકારણનો જ હિસ્સો છે. ભારતમાં જે રીતે ધર્મનું રાજકારણ ઘૂસ્યું છે અને કોમી ધ્રુવીકરણ થયું છે, એ જોતાં મુસ્લિમો આ કાયદા અંગે શંકા ધરાવે છે. તેમનું કહેવું છે કે નાની અમથી બાબતોમાં બુલડોઝર ફેરવતી સરકાર મુસ્લિમ મહિલાઓનું હિત વિચારે એ વાત ગળે ઉતારવાનું મુશ્કેલ છે.

એ ખરું કે 2,500 મહિલાઓના એક સર્વેક્ષણમાં 85 ટકા મુસ્લિમ મહિલાઓ ઇચ્છે છે કે બહુપત્નીત્વ પ્રથા નાબૂદ કરવામાં આવે. મુસ્લિમ પતિ બીજા લગ્ન કરે તેની જાણ ક્યારે ય ન કરાઈ હોય એવું 79 ટકા મહિલાઓનું કહેવું છે. 88 ટકા મહિલાઓનું કહેવું છે કે પતિએ બીજા લગ્ન કરતાં પહેલાં, પહેલી પત્નીની મંજૂરી લીધી નથી. એવું પણ બન્યું છે કે 54 ટકા પ્રથમ પત્નીઓને બીજા લગ્ન પછી છોડી દેવાઈ હોય ને તેમને કોઈ આર્થિક સહાય પૂરી પડાઈ ન હોય ને તેમણે માબાપને આશ્રયે રહેવું પડ્યું હોય. છૂટાછેડા બાદ 60 દિવસની અંદર ભરણપોષણના કેસનો નિકાલ લાવવાની જોગવાઈ પણ દાખલ કરાઈ છે.

બિલમાં વિશિષ્ટ લિવ-ઇન રિલેશનમાં રહેતી મહિલાની સુરક્ષા માટે નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. 1 મહિનામાં રજિસ્ટ્રેશન ફરજિયાત છે ને તે ઉપરાંત માતાપિતાને જાણ કરવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ બિલનો હેતુ મહિલાઓને ધર્મ આધારિત ભેદભાવમાંથી બહાર કાઢવાનો અને સમાનતા પ્રદાન કરવાનો છે. જો કે, કેટલાકનું કહેવું છે કે લગ્નનાં રજિસ્ટ્રેશન માટે આપણી પાસે બબ્બે કાયદા છે જ, તો નવા કાયદાની જરૂર ન હતી. તેમનું એમ પણ માનવું છે કે નવું બિલ એટલે લાવવામાં આવ્યું કે હિંદુ અને મુસ્લિમો તથા આદિવાસીઓ અને ખ્રિસ્તીઓ વચ્ચે ભેદભાવ ઊભો થાય. UCCથી મહિલાઓને વારસાઈ હક મળશે તેવી સરકારની વાત સાથે એટલે સંમત થવાય એમ નથી કે ઇસ્લામમાં દીકરીઓને છોડવા પર 5 વર્ષ સુધીની સજા થઇ શકે છે અને કોઈ પણ યુગલને લગ્નનાં એક વર્ષ સુધી છૂટાછેડા નહીં મળે. UCC લાગુ ત્યારે જ થશે, જો લગ્ન માટે બેમાંથી એક વ્યક્તિ ગુજરાતનો રહેવાસી હોય. ઇસ્લામમાં વારસાઈ અધિકાર ઓલરેડી મળેલો જ છે. બીજું, જો UCC સમાન રીતે લાગુ પડતો હોય, તો આદિવાસીઓને તેમાંથી બાકાત કેમ રાખવામાં આવ્યા છે? ગુજરાતમાં 14-15 ટકા આદિવાસીઓ છે ને સરકારે વોટબેંક સાચવવા આદિવાસીઓને આ બિલમાંથી ઈરાદાપૂર્વક બાકાત રાખ્યા છે.

એક મત એવો પણ છે કે દરેક ધર્મ માટે અલગ અલગ કાયદા ન હોવા જોઈએ. આ બિલ માત્ર મુસ્લિમો માટે નથી, મુસ્લિમો કરતાં પણ અન્ય ધર્મીઓની સંખ્યા સારી એવી છે ને UCC તેમને પણ લાગુ પડે છે. ઘણાનું માનવું છે કે UCC એક હિંદુ એક્ટ છે ને તે મુસ્લિમ કાયદા પર થોપવાનો પ્રયાસ છે. એમ પણ કહેવાય છે કે મુસ્લિમોમાં બહુપત્નીત્વ છે, પણ એક પત્ની પર કોઈ બીજી પત્ની કરીને કોઈ ત્યકતા કે વિધવાને ટેકો આપવા પરણે તો તેમાં ખોટું શું છે? લિવ ઈનને પણ માન્યતા આપવાનો ઘણાં વિરોધ કરે છે, તે એટલે કે તે ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ છે. એનાથી સમાજમાં વ્યભિચાર વધશે.

UCC બિલ રજૂ થાય તે પહેલાં લાલદરવાજા, અમદાવાદ ખાતે એમ કહીને વિરોધ કરાયો કે UCC સંવિધાન મુજબ નથી, મહિલાઓએ એવો આક્ષેપ કર્યો કે UCC મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરે છે. આ બિલને કોઈ ચોક્કસ જાતિ કે ધર્મની વિરુદ્ધ જોવાને બદલે, એ રીતે જોવાય કે તમામ ધર્મ, પંથ, સમુદાયને સમાન કાયદા લાગુ કરવાને ઈરાદે લાવવામાં આવ્યું છે. ગુજરાત, ઉત્તરાખંડ અને ગોવા સિવાયના અન્ય રાજ્યોમાં સમુદાયો પ્રમાણે અલગ અલગ કાયદાઓ અમલમાં છે. આ બિલથી તમામ સમુદાયો એક જ છત્ર હેઠળ આવે એમ બને.

આ બિલ જરૂરી ખરું? એના વિરોધમાં ને તરફેણમાં બન્ને પ્રકારના મત ચર્ચામાં છે. તો સરદાર પટેલનું એક અને અખંડ ભારતનું સપનું સાકાર કરવા પણ ગુજરાત UCC અનિવાર્ય છે. સમાનતાની વાતો આપણે કરતા હોઈએ તો એક જ રાજ્યમાં સમાન કાયદા ને વિકાસની સમાન તકો હોય તે અપેક્ષિત છે. આ સમાનતાની વાતો કરવાની હોય ત્યારે સરકાર આદિવાસીઓને રાજકીય હેતુ સર બાકાત રાખે તે બરાબર નથી. UCCમાં બધા સમાન હોય. આદિવાસીઓ અપવાદ હોય તો મુસ્લિમોનો ને એમ અન્ય ધર્મીઓનો પણ અપવાદ કરવો પડે ને તો ધર્મ આધારિત અલગ કાયદાઓ છે, તે શું ખોટા છે?

ખરેખર તો કાયદામાં જ સાફસૂફી કરીને એક જ કાયદો લાગુ કરી શકાતો હોય તો તે અંગે વિચારાવું જોઈએ. એક જ વિષયને લગતા અલગ કાયદાઓ હોય જ ને તેમાં બીજો એક કાયદો ઉમેરાય તો ગૂંચ વધશે. અર્થઘટનો બદલાય એમ બને અને કાયદામાં અર્થઘટનને સ્થાન છે, અનર્થઘટનને નહીં !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 મે 2026

Loading

વિરોધ અને અન્યાય પ્રતિકારની અહિંસક નવતર રીતો

ચંદુ મહેરિયા|Opinion - Opinion|7 May 2026

ચંદુ મહેરિયા

જેનો સૂર્ય દુનિયામાંથી કદી આથમતો નહોતો તેવી અંગ્રેજ સલ્તનતને ગાંધીજીના અહિંસક આંદોલને પરાસ્ત કરી દીધી હતી અને ભારત ગુલામીની જંજીરોમાંથી મુક્ત થઈ ગયું હતું. ઈ.સ. ૧૯૧૫માં ગાંધીજી ભારત આવ્યા તે પહેલા દક્ષિણ આફ્રિકાના હિંદીઓને થઈ રહેલા અન્યાય સામે તેઓ પેસિવ રેઝિસ્ટન્સનું શસ્ત્ર સફળતાપૂર્વક અજમાવી ચૂક્યા હતા. ગાંધીજીએ ભારતની આઝાદીના તેમના અહિંસક આંદોલનમાં સત્યાગ્રહ, અસહકાર, સવિનય કાનૂન ભંગ, ઉપવાસ, વિદેશી ચીજોની હોળી, બહિષ્કાર જેવી રીતોનો પ્રયોગ કર્યો હતો. આજે તો કોઈપણ આંદોલનકારી ગાંધીચિંધ્યા માર્ગે  જ આંદોલન કરવાનો દાવો કરે છે પણ તેમાં ગાંધીનો માર્ગ કેટલો તેવો સવાલ થાય છે. યુદ્ધજ્વરથી પીડિત અમેરિકી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એક રાતમાં પૂરી ઈરાની સભ્યતાનો ખાતમો બોલાવી દેવાની ઘોષણા કરી ત્યારે ઈરાને ગાંધીનો રસ્તો અપનાવ્યો. સરકારે ઈરાનના ઓઈલ ભંડારો અને બીજા સ્થળોએ લોકોને શાંત માનવ શૃંખલા બનાવવા અપીલ કરી હતી.

વિરોધ અને અન્યાય પ્રતિકાર માટેના ગાંધીજીના અહિંસક આંદોલનમાં નવી નવી રીતો અજમાવાતી રહી છે. યહૂદી દેશ ઈઝરાયેલ પર હમાસના આંતકી હુમલા પછી ઈઝરાયેલે પેલેસ્ટાઈન અને ગાઝા પર કાળો કેર વર્તાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ અને ગાઝાના આરોગ્ય વિભાગના આંકડાઓ પ્રમાણે ગાઝામાં માર્ચ-૨૦૨૬ના  અંત સુધીમાં ૭૨,૦૦૦ પેલેસ્ટીનીઓના મોત થયા છે, ૧૦,૦૦૦ કરતાં વધુનો કોઈ પતો નથી અને ૧.૭૨ લાખથી વધુ લોકો ઘાયલ છે. મૃતકોમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધ ની સંખ્યા મોટી છે. ૯૨ ટકા ઘર અને ૯૧ ટકા બીજી ઈમારતો કાં તો નષ્ટ થઈ છે કે ક્ષતિગ્રસ્ત થઈ છે. ઈઝરાયેલના હુમલાઓમાં ગાઝા ખંડેર બની ગયું છે. જે લોકો બચ્ચા છે તે બેહદ મુશ્કેલીઓ વચ્ચે જીવે છે. 

ગાઝામાં વર્તાતા કાળા કેર વિશે મોટા ભાગની દુનિયા મૌન છે. પરંતુ સ્વીડનના પર્યાવરણ કર્મશીલ ગ્રેટા થનબર્ગ અને અન્યના પ્રયાસોથી ગ્લોબલ સુમુદ ફ્લોટિલા (GLOBAL SUMUD FLOTILLA) અભિયાન ચાલી રહ્યું છે. અરબી ભાષાના શબ્દ સુમુદનો અર્થ અતિ કઠિન પરિસ્થિતિઓમાં પણ અટલ રહેવું, હાર ન માનવી અને ફ્લોટિલા એટલે નાવોનો કાફલો. ૧૨મી એપ્રિલ ૨૦૨૬ના રોજ દુનિયાના ૭૦ થી વધુ દેશોના ૧,૦૦૦ લોકો સ્પેનના બાર્સિલોનાથી ૭૦ નાવોમાં ગાઝા તરફ રવાના થયા છે. આ કાફલામાં દુનિયાભરના કર્મશીલો, બૌદ્ધિકો, રાજનેતાઓ, અધ્યાપકો, મહિલા અગ્રણીઓ અને યુવાનો સામેલ છે. તેઓ તેમની સાથે ગાઝા માટે માનવીય મદદ તો લઈ જઈ રહ્યા છે પરંતુ ગાઝા નરસંહાર સામેનો તેમનો અહિંસહ અને દૃઢ વિરોધ વ્યક્ત કરવા જઈ રહ્યા છે. અગાઉ આવા ચાર પ્રયાસો થયા છે. ઈઝરાયેલે કાં તો તેમને ગાઝા પહોંચતા અટકાવીને પરત કર્યા છે કે પછી જેલોમાં નાંખ્યા છે. પરંતુ તેનાથી જરા ય ડર્યા વિના આ પાંચમો પ્રયાસ વધુ મોટી સંખ્યામાં થઈ રહ્યો છે. ગાંધી અને તેની અહિંસા જીવિત છે તેનો આ પુરાવો છે.

વૈશ્વિકથી સ્થાનિક સ્તરે પણ ગાઝાના પીડિતોની વહાર અને ઈઝરાયેલની હિંસાને વખોડતા પ્રયાસો થયા છે. અમદાવાદના સાંણદ તાલુકાના નાની દેવતી ગામે આવેલા દલિત શક્તિ કેન્દ્રમાં બૌદ્ધિકો અને નાગરિકોની એક સભા ગાઝાની હિંસાને વખોડવા થઈ હતી. પેલેસ્ટાઈનના ભારત ખાતેના રાજદૂતની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં એક કોફીન બોક્સના આકારની મીણબત્તી રાખવામાં આવી હતી. જેમાં મીણ તો ભર્યું હતું પણ તેને વાટ નહોતી. ગાઝાના મુદ્દે આપણી ચૂપકિદીનું તે પ્રતીક હતું. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જ નહીં આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના આદેશ છતાં ગાઝા સુધી માનવીય મદદ પહોંચતી નથી આ કઠિન કાળમાં દુનિયામાંથી ન્યાય માંગતો અવાજ શાંત થઈ ગયો નથી તેની પ્રતીતિ ફ્લોટિલા કરાવે છે. 

મતદારો મતદાનનો બહિષ્કાર કરી પોતાના વિસ્તાર, ગામ, શહેરની સમસ્યા અંગે ધ્યાન દોરે એવું તો ઘણીવાર બને છે. પરંતુ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હાલમાં નવરચિત ફાગવેલ તાલુકા પંચાયતની ચિખલોડ બેઠકના તમામ ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચીને વિરોધની નવતર રીત અપનાવી છે. ૪,૫૦૦ની વસ્તીનું ચિખલોડ કપડવંજ તાલુકાનું ગામ હતું પણ તેને સરકારે ફાગવેલ તાલુકામાં ભેળવી દીધું. તેનો વિરોધ મતદારો અને લોકો તો કરતા જ હતા, પરંતુ તમામ રાજકીય પક્ષોના ઉમેદવારોને ઉમેદવારી પરત ખેંચવાની ફરજ પાડી મતદાન બહિષ્કારની અનોખી રીત અજમાવી છે.

છતીસગઢના પાટનગર રાયપુરમાં ૯૦ દિવસથી શિક્ષકોની ભરતીની માંગણી સબબ ગાંધી માર્ગે શાંત અહિંસક આંદોલન ચાલતું હતું. સરકારનો કશો પ્રતિભાવ ન મળતાં આંદોલનકારીઓએ દંડવત પ્રણામ કરતાં કરતાં વિધાનસભા કૂચ કરી. સાડીનો કાચ્છડો મારી દંડવત કરતી યુવતીઓ સહિતના આ યુવાનોને જોઈ જેનું દિલ ન પીગળે તે દયાહીન નૃપ જ હોઈ શકે! નાગરિકો કર તો નિયમિત ભરે પણ નાગરિક સુવિધાઓ મળે નહીં. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદનું સાહિબાબાદ અને એનો બ્રિજ વિહાર લત્તો. અહીં એક ગંદા પાણીનું નાળું છે. એ બંધાયું ત્યારથી  કદી સાફ થયું નથી. તેમાં ઝેરી ગેસ અને  દુર્ગંધથી લોકો પરેશાન છે. પણ તંત્રના પેટનું પાણી નથી હાલતું. બ્રિજવિહારના રહેવાસી નિવૃત્ત ઈજનેર હેમંત ભારદ્વાજે ગંદા નાળાના કેડસમા પાણીમાં ઉતરી હાથમાં બેનરો સાથે લોકોનું અને તંત્રનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો. તેમણે જો નાળાની સફાઈ ન જ થવાની હોય તો ઇચ્છામૃત્યુની માંગ કરી હતી. 

ગાંધીનગર જિલ્લાના તાલુકા મથક દહેગામના હાઉસીંગ બોર્ડના મકાનોમાં ગટરનું ગંદુ પાણી નિયમિત વહે. તેનું ખાબોચિયું પણ ભરાય. લોકોની રજૂઆતો પણ નીંભર તંત્ર ના સાંભળે. અમેરિકાના શિકોગાની યુનિવર્સિટીમાં પીએચ.ડી. કરતા તેજસ્વી છાત્ર અને રંગકર્મી મૌલિકરાજ વતન આવ્યા તો તેમને આ મુશ્કેલી ખટકી. નાટ્યરંગે રંગાયેલા મૌલિકરાજે ગંદાપાણીના ખાબોચિયામાં વેશભૂષા ધારણ કરી પરફોર્મન્સ કર્યું. ગંદા પાણીમા ઊભા, બેઠા, આળોટ્યા અને નહાયા. એટલે મીડિયાનું પણ ધ્યાન ગયું. આ નવતર વિરોધ પછી નગરપાલિકાના શાસકો શરમાયા અને ગંદા પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરી. 

ગાંધી માર્ગે અનશન અને પદયાત્રા દ્વારા પર્યાવરણ અને શિક્ષણવિદ સોનમ વાંગચૂકે લદાખને અલગ રાજ્યનો દરજ્જો આપવા અને બીજી માંગણીઓને લઈને આંદોલનો કર્યા. છેક દિલ્હી સુધી રજૂઆતો કરી પણ સરકાર એમ કંઈ સાંભળે? લોકોનો વિરોધ ઉગ્ર બન્યો અને હિંસા થઈ તો સરકારે વાંગચૂકને જ જવાબદાર ઠેરવી રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ પકડીને રાજસ્થાનના જોધપુરની જેલમાં મોકલી દીધા. સોનમની ધરપકડના અન્યાયી પગલાંથી હતાશ તેમના  સહયોગીએ આત્મવિલોપન કર્યું હતું. સરકારે અદાલતના ડરે ૬૦ દિવસ જેલમાં ગોંધી રાખ્યા પછી વાંગચૂકને છોડી મૂક્યા છે અને વાંગચૂક ફરી આંદોલનમાં સક્રિય થઈ ગયા છે. 

ગાંધીનો અહિંસાનો માર્ગ આજના જડ શાસકોને હલાવી શકે ખરો? ગાંધી માર્ગે થયેલા અંદોલનો સફળ થાય ખરા? અવલ્લી પર્વતમાળાનું ખનન સંપૂર્ણ અટકાવવી દેવાનો સરકારનો નિર્ણય અને દક્ષિણ ગુજરાતના આદિવાસીઓના મક્કમ વિરોધ પછી પાર તાપી નર્મદા લિંક યોજના અને વાપી શામળાજી નેશનલ હાઈવેને ફોરલેન કરવાની યોજના સ્થગિત કરવી પડી છે તે તેના તાજેતરના ઉદાહરણો છે. ગાંધીનો માર્ગ નવતર રીતો સાથે ગઈકાલે,  આજે અને આવતી કાલે પણ પ્રસ્તુત રહેશે. 

E.mail : maheriyachandu@gmail.com

Loading

નકો નકો ચૂંટણી હાજરાહજૂર : લોકશાહીનો સ્વાંગ બરકરાર

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|7 May 2026

આસામ તરેહના સીામાંકન અને પશ્ચિમ બંગાળ જેવા મતાંકન પછી પણ ચૂંટણી યોજાય તો પણ શું અને ન યોજાય તો પણ શું

પ્રકાશ ન. શાહ

વિધિવત્ત પરાજિત થયેલાં મમતા બેનરજી કહે છે કે હું રાજીનામું નહીં આપું. જે રીતે ચૂંટણીતંત્ર ચૂંટણીપંચ અને કેન્દ્ર સરકારની દોંગાઈથી ચાલ્યું છે, એથી આવેલ પરિણામને (મારા, તૃણમૂલના પરાજયને) હું હરગીઝ સ્વીકારી ન શકું. જોઇએ, આજે સાતમીએ વિધાનસભાની મુદ્દત પૂરી થાય છે ત્યારે વાસ્તવમાં શું બને છે : કોઈ પ્રકારની બંધારણીય મડાગાંઠ સરજાય છે કે કે પછી ‘હું તો સ્ટૃીટ ફાયટર છું’ એવો મમતાનો ઉદ્દગાર કોઈક જુદી રીતે પ્રગટ થાય છે.

સામાન્ય પ્રતિભાવ આવે પ્રસંગે, એ જ હોય અને હોવોયે જોઇએ કે સહજક્રમમાં રાજીનામું અપાઈ જવું જોઇએ. છતાં, ભલે ચાલચલાઉ પણ મમતા બેનરજીએ જે મુદ્રા લીધી છે એમાં કાંક કશુંક અપીલ કેમ કરે છે તે ચોક્કસ તપાસ બલકે સહવિચાર માંગી લે છે. મુદ્દાની વાત એ છે કે જ્યારે રાહુલ ગાંધીએ વોટચોરીનો મુદ્દો ઉપાડ્યો, બાઅદબ ‘ડેમો’ સર ઉપાડ્યો; ત્યારે સમજાયું હોય તો પણ એ એટલું તો સમજાઈ રહેવું જોઇએ કે આસામમાં જે રીતે સીમામકન થયું અને બંગાળમાં જે રીતે મતદાર યાદી બની, એણે પરિણામ લગીની લોકશાહી પ્રક્રિયાને ધરાર વિક્રિયામાં ફેરવી નાખી તે પછી ચૂંટણી નામનો લોકશાહી જગન નકરો બેમતલબ અને બેમાની બની રહે છે.

વાત પાંચ રાજ્યોની ચૂંટણીની હતી, પણ પ્રમુખ ટૃમ્પ સહિત ઘણું ખરું સૌની નજર આસામ – બંગાળ પર − સવિશેષ અલબત્ત બંગાળ પર હતી. ચૂંટણીની પ્રક્રિયાને ખોખલી ને કહ્યાગરી બનાવવાના બિનલોકશાહી રવૈયે અશ્વમેધ વાસ્તે ધરાર નીકળી પડેલ ભા.જ.પ. પરત્વે, 2024ની લોકસભા ચૂંટણી વખતે દેખાવા માંડેલો મોહભંગ હાલનાં પરિણામોમાં, ખાસ કરીને આસામ – બંગાળમાં તો ક્યાંયે શોધ્યો જડતો નથી.

મમતા બેનરજીની રાજવટ વિશે એમની મર્યાદાઓ અને અમલશૈલી વિશે ભરપુર ટીકાને અવકાશ હોઈ શકે છે, બલકે છે જ. પણ આસામ સ્ટાઇલ સીમાંકન અને બંગાળ સ્ટાઇલ મતાંકનની જે રાજનીતિ, એને વિશે કશું જ કહેવાનું ન હોય એવું કેમ ?

આશા નહીં તો યે આસ્વાસનરૂપ બે વાત અલબત્ત ઉતાવળે પણ નોંધી શકાય. કેરળમાં કાઁગ્રેસના વડપણ હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટની સરકાર બનવા જઈ રહી છે, તો ડી.એમ.કે. – એ.આઈ.ડી.એમ.કે. વચ્ચેના સ્થાયી રાજકારણને બદલે અભિનેતા વિજયનો પક્ષ તામીલનાડુમાં કેન્દ્રવર્તી ઊપસ્યો છે. સરકારની રચનામાં કાઁગ્રેસ પણ સામેલ હોઈ શકે છે. કર્ણાટક ઉપરાંત સવિશેષ કેરળ ને અંશત: તામિલનાડુમાં કાઁગ્રેસની હાજરી તેમ ઉત્તરમાં હિમાચલની સરકાર, હજુ ભાંગ્યું ભાંગ્યું તોયે ભરુચ એવી કાઁગ્રેસ અંશત: પણ ‘પાન ઇન્ડિયન’ હાજરી ધરાવે છે.

મમતાને તત્કાળ મળી રહેલ સાથ-સંવાદમાં સોનિયા – રાહુલ, અખિલેશ, તેજસ્વી, હેમંત સોરેન વગેરે સહભાગી છે તેમાં ‘ઇન્ડિયા’ના નવજીવનની જે શક્યતા છે એ અવશ્ય એક આવકાર્ય બીના છે. પૂર્વે; ઇન્ડિયા’ના નેતૃત્વ મુદ્દે ‘વૉર ઑફ નર્વ્ઝ’નો એક તબક્કો ખબર લઈ ગયેલો, એવું વચ્ચે વચ્ચે બન્યા કરે તો પણ અત્યારે તો કોઈક રીતે ગોળબંદ થવાનો ને સાથે રહેવાનો એક ધક્કો લાગેલો છે.

2029ની લોકસભા ચૂંટણી સુધી ‘ઇન્ડિયા”ની સંભવિત અંગડાઈ જારી રહે તો અશ્વમેધ આડે લોકશાહીની આશા રહે, એ ચોક્કસ.

એક રીતે ભા.જ.પ. રાજી થઈ શકે કે પોતાના ‘પાન ઇન્ડિયા’પણા ઉર્ફે ભારતીય એકતામાં  કોઈ પ્રાદેશિક અસ્મિતા અવરોધરૂપ નથી. પણ ઝાલામુડી તો ઠીક, પરંતુ માંસમચ્છી સહિતનો જે ઘોર રાજકીય ડેમો ભા.જ.પ. શ્રેષ્ઠીઓએ બંગાળ સાથે અપનાપન દાખવવા કર્યો એને વિશે શું કહીશું. એમ તો, કેન્દ્રીય મંત્રી રિજ્જુ કહે છે કે અમારે ઈશાન ભારતમાં ગોમાંસનો બાધ નથી. ગોરક્ષકો સરકારી મેળપીપાપણા સાથે જે દેકારો મચાવે છે એની સામે રિજ્જુના ઉદ્દગારો મૂકી અંતરમાં ઊતતરવાની તૈયારી હિંદુત્વ રાજનીતિના બટુકોમાં હોય તો આપણે જરૂર રાજી થઇશું.

‘વન નેશન, વન ઇલેકશન’ પ્રકારના નારતાઓથી ઉફરાટે સમવાયી સમાદારનો રાસ્તો જ રાષ્ટૃીય એકતાનો રાજપથ ને જનપથ હોઈ શકે.

ગુરુવાર, 07 મે 2026
Editor: nireekshak@gmail.com
મુદ્રાંકન : વિ.ક.

Loading

...1020...29303132...405060...

Search by

Opinion

  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …
  • મોહેં-જો-દડોની ‘ડાન્સિંગ ગર્લ’: 4500 વર્ષથી યથાવત્ હતી, 21મી સદીએ તેને ‘સુધારી’?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved