Opinion Magazine
Number of visits: 9842018
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ

સોનલ પરીખ|Opinion - Opinion|15 February 2026

સ્માર્ટ ફોન, આપણને એનું વ્યસન થઈ જાય એ રીતે જ ડિઝાઈન થયો છે. ઈલાજ એ નથી કે સ્માર્ટ ફોનનો ઉપયોગ બંધ કરવો. ઈલાજ એ છે કે સ્માર્ટ ફોન કરતાં વધારે સ્માર્ટ થવું. માઈન્ડફુલનેસ અને સર્જનાત્મકતા મોબાઈલના વ્યસનથી તો મુક્ત કરશે, પણ વ્યક્તિત્વ–વિકાસની દૃષ્ટિએ પણ કામ આવશે. 

સોનલ પરીખ

મહાભારતના દુર્યોધનની ‘જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામ્યધર્મમ ન ચ મે નિવૃત્તિ’ ઉક્તિ મહાભારત યુગથી માંડીને મોબાઈલ યુગ સુધીની માનસિકતાને લાગુ પડે. શું યોગ્ય છે તે જાણવા છતાં એ થઈ શકતું નથી અને શું અયોગ્ય છે એ જાણવા છતાં એ છોડી શકાતું નથી – આ સંઘર્ષ ત્યારનો કે આજનો નહીં, કોઈપણ સમયનો છે. 

2022 હર્મન હેસની પ્રખ્યાન નવલકથા ‘સિદ્ધાર્થ’નું શતાબ્દીવર્ષ હતું. હેસે બંને વિશ્વયુદ્ધમાં વિશ્વને ખુવાર થતું નજીકથી જોયું અને ‘ઓ ફ્રેન્ડ્ઝ, નોટ ઈન ધીસ ટોન’માં લખ્યું, ‘આપણે જાણીએ છીએ કે પ્રેમ ધિક્કારથી મોટો છે, સમજદારી દ્વેષ કરતાં ઊંચી છે અને શાંતિ યુદ્ધ કરતાં ઉમદા છે પણ વિશ્વવિગ્રહે આપણાં મૂલ્યોને ઊલટાંસૂલટાં કરી નાખ્યાં છે.’ 

ગઈ સદીમાં મૂલ્યોને ઊલટાંસૂલટાં કરી નાખવાનું જે કામ વિશ્વયુદ્ધોએ કર્યું હતું તે કામ આજે ટૅક્નૉલૉજી કરી રહી છે. 2020ની ડૉક્યુ-ડ્રામા ‘ધ સોશ્યલ ડિલેમા’ જેમણે જોઈ હશે એમણે ખ્યાલ હશે કે તેમાં અમેરિકાના ટૅક્નૉલૉજી-એથિસિસ્ટ ટ્રિસ્ટન હેરિસે કહ્યું, ‘હું તો સ્માર્ટ ફોનની દરેક ચાલ સમજતો હતો, છતાં એને છોડી શકતો નહોતો. મહામુશ્કેલીએ હું એને મારા કાબૂમાં કરી શક્યો. પણ મારી ખરી ચિંતા એ છે કે આપણે નવી પેઢીને એવી ટ્રેઈનિંગ, એવું કન્ડિશનિંગ આપી રહ્યા છીએ કે દરેક ઉદ્વેગ, એકલતા, ભય કે અનિશ્ચિતતાની સ્થિતિનો ઉકેલ આપણા “ડિજિટલ પેસીફાયર” એટલે કે સ્માર્ટ ફોન પાસે છે. એનાથી આપણી કુદરતી ઉકેલક્ષમતા નકામા અવયવની જેમ નાશ પામશે.’ 

કેવું બદલાઈ ગયું છે આપણું ભાવવિશ્વ – આપણું સુખ એટલે બ્રાન્ડ ન્યૂ સેલફોન, આપણું દુ:ખ એટલે સાયલન્ટ મોડ પર મૂકેલો સેલફોન ખોવાઈ જવો, ગુસ્સો એટલે કોઈનો સેલફોન છુપાવી દો પછી તેને થાય તે, આપણો આનંદ એટલે સરસ સેલ્ફી અપલોડ થાય તે અને આપણી પીડા એટલે એડિટ કર્યા પછીની પ્રોફાઈલ તસવીર જેવા ન દેખાઈ શકવું તે. ઊલટાંસૂલટાં થવાનું એટલી હદે પહોંચ્યું છે કે આપણે જ શોધેલી ટૅક્નૉલૉજી હવે આપણને એની આંગળીઓ પર નચાવે છે, ને આપણે નાચીએ પણ છીએ, કેમ કે આપણો સ્માર્ટ ફોન આપણા કરતાં વધારે સ્માર્ટ છે. સ્માર્ટ ફોન બહુ સહેલાઈથી દૂર બેઠેલા લોકો નજીક છે એવો ભ્રમ આપે છે અને એ જ સહેલાઈથી બાજુમાં જ બેઠેલી વ્યક્તિને દૂર કરી દે છે. સ્માર્ટ ફોન આપણી સંવેદનાને કોઈ કાનમાં બૂમો પાડે તો ય ન સંભળાય એવી બધિર બનાવી દે છે અને આપણી એટેન્શન સિકિંગની આદિમ વૃત્તિ પર ટાર્ગેટ કરી પોતાનો આખો કારોબાર ચલાવે છે. 

સ્માર્ટ ફોનને વખોડવાનો આશય નથી, એ ચોક્કસ એક ઉપયોગી ઉપકરણ છે. મુશ્કેલી એ છે કે એ આપણને ક્યારે એનું ઉપકરણ એટલે કે સાધન બનાવી દે છે એની આપણને ખબર રહેતી નથી. સ્માર્ટ ફોન જ્યારે આપણા જીવનનો અગત્યનો હિસ્સો બની ગયો છે ત્યારે આપણે એના વિશે થોડું સમજી તો લેવું જોઈએ. આપણે એના વિશે પૂરું જાણતા નથી જ્યારે એ આપણા વિશે આપણાથી વધારે જાણે છે. સોશ્યલ મીડિયા કંપનીઓના કેટલાક ‘હિડન એજન્ડા’ છે – એ આપણી દરેક ક્લિક રેકૉર્ડ કરે છે, એનું એનાલિસિસ કરે છે, એને ટાર્ગેટ કરે છે અને આ ડેટાનો ફ્યુચર મોડેલ બનાવવામાં ઉપયોગ કરે છે. બે વ્યક્તિ વચ્ચેની ઓનલાઈન ફ્રેન્ડશીપ કોઈ ત્રીજી વ્યક્તિ નક્કી કરે છે ને કમાય છે. મનોવિજ્ઞાન કહે છે કે ભ્રમ ત્યારે કામ કરે છે, જ્યારે એ તમારા દિમાગના એવા હિસ્સાને સ્પર્શે છે જેની તમને જાણ નથી. લાઈકથી ખુશ થતી વખતે આપણને ખબર હોતી નથી કે એને લીધે આપણી પોકળતા-હોલોનેસ વધે છે. આ ખાલીપો ફરી ફરી, વધુ ને વધુ લાઈક મેળવીને જ ભરાય છે. આખું સોશ્યલ મીડિયા ફોસલાવવાની રમત છે. ફેસબૂક ફોસલાવવામાં એટલું ઉસ્તાદ છે કે લગભગ આખા દેશની જનતાને કાબૂમાં લઈ શકે છે. 

આપણે બધા, ખાસ તો નવી પેઢી વૉટ્સ અપ, ફેસબૂક ને ટ્વિટર પર જે મુકાય તેને સાચું માની લે છે. એની ઇચ્છાશક્તિ, એની સંશોધકવૃત્તિ એને ખબર ન પડે એમ નિયંત્રિત થવા લાગે છે. એક આભાસી વિશ્વ, ઈનામ મળવાથી થતી લાગણી ઉત્પન્ન કરતા ડોપામાઈન નામના રસાયણનો સ્રાવ વધારે છે. આત્મવિશ્વાસ મળવા ને તૂટવાની ઘટના સેલ્ફીને મળતી કૉમેન્ટ્સ પર આધાર રાખતી થઈ જાય છે. મોબાઈલ-મેનિયા પછી તરુણોની આત્મહત્યા 65 ટકા વધી છે એ આપણે જાણીએ છીએ? આપણી મોબાઈલ-નિર્ભરતાનો કટ્ટરવાદીઓ, અલગતાવાદીઓ અને ફેકન્યૂઝવાળા પુષ્કળ લાભ ઉઠાવે છે. એ લોકોને બરાબર ખબર છે કે જૂઠી ખબર, સાચી ખબર કરતાં અનેકગણી વધારે ઝડપે ફેલાય છે ને ભડકામણી વાતો ફેલાવવી સરળ છે કેમ કે લોકો ઉતાવળમાં હોય છે, સાચું-ખોટું પારખવાની ઝંઝટમાં પડતા નથી ને એમને ઉશ્કેરાવું ગમે છે. 

સ્માર્ટ ફોન, આપણને એનું વ્યસન થઈ જાય એ રીતે જ ડિઝાઈન થયો છે, એ આપણને એવા વહેમમાં રાખે છે કે કર્તાહર્તા આપણે જ છીએ કેમ કે આપણે વહેમમાં રહીએ તો જ વ્યસનની પ્રતીતિ ન થાય. આપણે સ્ક્રીન પર રોકાયેલા રહીએ તેમ એ વધારે નફો કમાય, આપણા અભિપ્રાયો-લાગણીઓ-માનસિકતા બદલવામાં સફળ થાય અને અને ખોટા સમાચાર કે લાભદાયક થિયરી ફેલાવી શકાય. સ્માર્ટ ફોનનો ઉપયોગ બંધ કરવો એ આનો ઈલાજ નથી, અને એ શક્ય પણ નથી. ઈલાજ એ છે કે સ્માર્ટ ફોન કરતાં વધારે સ્માર્ટ થવું. એનો યોગ્ય ઉપયોગ કરવો, એના ગુલામ ન થવું. 

પણ, એની લતમાંથી છૂટવું કઈ રીતે? 

પહેલા તો પોતાની સ્થિતિ જાણો. જો તમે ત્રણ કલાકથી વધારે મોબાઈલ વાપરો છો તો તમને એની લત લાગી છે એ સમજી લો. એ પણ મોનિટર કરો કે કેટલી વાર, કેટલા સમયાંતરે મેસેજ ચેક કરો છો. જાગૃતિ પહેલું પગલું છે. ‘ચેકી’, ‘ટાઈમર’ જેવી એપ્સ ડાઉનલોડ કરો જે તમારા વપરાશને ટ્રેક કરે. 

પછી પ્લાન બનાવો. એક્દમ વપરાશ છોડશો તો અજંપો-એંક્ઝાયટી આવશે. દિવસમાં સવારે એક કલાક ને રાતે એક કલાક નક્કી કરો, એ સિવાય ફોનને અડવાનું નહીં. અડધી કલાકે એક વાર ચેક કરો. એના કરતાં ઓછો વાપર્યો હોય તો પોતાને રિવૉર્ડ આપો. મોબાઈલ આંખથી દૂર રાખો. કામના કલાકોમાં મોબાઈલ સાયલન્ટ રાખો. કોઈને આપી રાખો અને વાપરવો હોય ત્યારે માગો. અઠવાડિયામાં એક દિવસ ‘હોલિડે’ રાખો. બધાને કહી દો કે આ દિવસે મોબાઈલ ઑફ હશે. ફોન વિશે વિચાર્યા ન કરો. વાંચન, સંગીત, મિત્રો, ફરવું વગેરે બહેતર વિકલ્પ તૈયાર રાખો. માઈન્ડફુલનેસ અને સર્જનાત્મકતા કેળવો. એ તમને મોબાઈલના વ્યસનથી તો મુક્ત કરશે, પણ વ્યક્તિત્વ-વિકાસની દૃષ્ટિએ પણ કામ આવશે. રચનાત્મક રીતે વ્યસ્ત રહો.  

એક ઉપાય સેટિંગ બદલવાનો પણ છે. પેમેન્ટ સિસ્ટમ બદલી કાઢો. પે એઝ યુ ગો એવા પ્લાન હોય છે અને અમુક એમાઉન્ટ ભરો એટલે અમુક મિનિટની જ છૂટ મળે એવી સગવડ પણ હોય છે. ટેવ બદલો.  

આ બધું છતાં જો છોડી ન શકાય તો ટ્રીટમેન્ટ લેતા અચકાતા નહીં. સ્માર્ટ ફોનના સ્માર્ટ યુઝર બનવું એ આજની અનિવાર્યતા છે. નવા વર્ષે એ જ સંકલ્પ લઈએ તો ખોટું નહીં, શું કહો છો? 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 04 જાન્યુઆરી  2026

Loading

ચલ મન મુંબઈ નગરી—328

દીપક મહેતા|Opinion - Opinion|14 February 2026

વેલેન્ટાઇન ડેના સપરમા દિવસે : હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમનાં જ્ઞાન ઓછાં છે    

૧૯૨૪ના વરસની એક સાંજ. મુંબઈનો ‘પિલા (પ્લે) હાઉસ’ તરીકે ઓળખાતો વિસ્તાર. ત્યાં આવેલું વિક્ટોરિયા થિયેટર. શેર બજારના શેઠિયાઓથી માંડીને ઘોડા ગાડીવાળા સુધીનાની ભીડ સાંજથી વધતી જાય છે. કારણ? કારણ આજે લક્ષ્મીકાન્ત નાટક સમાજનું એક નવું ગુજરાતી નાટક ભજવાવાનું છે : માલવપતિ મુંજ. રાતના સાડા નવે પોટાશનો ધડાકો થાય છે, અને ધીમે ધીમે પડદો ખૂલે છે. મુંજના પાત્રમાં છે ગાયક – નટ માસ્ટર અશરફખાન. રાજા તૈલપ, તેની બહેન મૃણાલવતી, અને રાજા મુંજ – એ ત્રણની આસપાસ ફરતું આ નાટક કનૈયાલાલ મુનશીની પ્રખ્યાત નવલકથા ‘પૃથિવીવલ્લભ’ને આધારે લખ્યું છે પ્રભુલાલ દ્વિવેદીએ. અને માસ્ટર અશરફખાનના પહાડી અવાજમાં એક ગીત વહેતું થાય છે :

હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમનાં જ્ઞાન ઓછાં છે,

ન પરવા માનની તોયે, બધાં સન્માન ઓછાં છે. 

તરી જાવું બહુ સહેલું છે, મુશકીલ ડૂબવું જેમાં,

એ નિર્મળ રસ સરિતાથી, ગંગાસ્નાન ઓછાં છે.

પ્રણય કલહે વહે આંસુ, ચૂમે ચાંપી હૃદય સ્વામિન્,

અરે, એ એક પળ માટે, જીવનનાં દાન ઓછાં છે.

ગીતોને વન્સ મોર પર વન્સ મોર. ઇન્ટરવલમાં શેઠ, શેઠાણી અને ‘બાબા શેઠ’ ફેરિયાનાં ખારાં બદામ-પિસ્તાંનાં ‘ઊડ ઊડ’ પડીકાં ઝીલી તેમાંનાં ખારાં પિસ્તાં ફોલીને ખાય છે. એક અંક પછી બીજો, પછી, ત્રીજો, પછી … સવારે સાડા ચારે નાટક પૂરું થાય છે. 

આજે નથી રહ્યું એ ૧૮૬૯માં બંધાયેલું વિક્ટોરિયા થિયેટર. પછીથી ફિલ્મોનો જમાનો આવ્યો ત્યારે એ બન્યું ‘તાજ ટોકીઝ’. પછી એય ગયું અને તેની જગ્યાએ ઊભું થયું એક શોપિંગ સેન્ટર. પણ આજે ૧૪મી ફેબ્રુઆરીએ ત્યાંથી પસાર થશો, અને તમારા કાન સરવા અને નરવા હશે, ગરવાં ગીતો સાંભળવા ટેવાયેલા હશે, તો તમને સંભળાશે એ શબ્દો, માસ્ટર અશરફખાનના ગળામાંથી નીકળતા : ‘હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમનાં જ્ઞાન ઓછાં છે’.

માસ્ટર અશરફખાન 

હા, જી. અમે જાણીએ છીએ કે વાચકમિત્રો વિમાસણમાં પડ્યા હશે કે ક્યાં ગયા પેલા પોલીસ કમિશનર ફોર્જેટ, ક્યાં ગયા ૧૮૫૭ના ‘બળવા’ના એ દિવસો? અને ક્યાંથી આવી ચડ્યા કે પડ્યા આ માસ્ટર અશરફખાન! પણ આજે કઈ તારીખ છે એ યાદ કરશો તો સમજાઈ જશે આ બધું. કારણ આજનો દિવસ એટલે ફોર્જેટની બંદૂકનો દિવસ નહિ, પણ કટારીનો દિવસ. અને એ કટારી પણ પાછી સોનાની : ‘પ્રેમની, પ્રેમની, પ્રેમની, રે, મને લાગી કટારી પ્રેમની.’ 

મુંબઈ શહેરમાં જ નહિ, આખા મુંબઈ ઇલાકામાં (જેમાં આજના ગુજરાત રાજ્યનો પણ સમાવેશ થતો હતો) ગુજરાતી નાટકની શરૂઆત કરી પારસી બિરાદરોએ. મુંબઈમાં. દાદાભાઈ નવરોજીની પ્રેરણાથી સ્થપાયેલી ‘પારસી નાટક મંડળી’એ ૧૮૫૩ના ઓક્ટોબરની ૨૯મી તારીખે, ગ્રાન્ટ રોડ પર જગન્નાથ શંકરશેઠે બંધાવેલા થિયેટરમાં ‘રુસ્તમ અને શોરાબ’ નામનું નાટક ભજવ્યું અને સાથે ભજવ્યું ‘ધનજી ગરકનું ફારસ.’ 

પારસી નાટક મંડળીએ પહેલેથી જ નાટક સાથે સંગીતને પણ જોડ્યું. હા, શરૂઆતમાં નાટક પૂરું થયા પછી ચાર-પાંચ ‘પોરિયાઓ’ (એ વખતે ‘પોરીઓ’ સ્ટેજ પર આવતી જ નહિ) સ્ટેજ પર આવી થોડાં ગીતો ગાઈ જતા. પણ પછી થોડા જ વખતમાં ગીત-સંગીતને નાટકની અંદર સમાવી લીધાં. એ ગીતોમાં એક બાજુ પશ્ચિમી સંગીતના સૂરો હતા, તેમ બીજી બાજુ આપણા શાસ્ત્રીય સંગીતના સૂરો પણ હતા. ૧૮૭૧માં ભજવાયું એદલજી ખોરી(૧૮૪૭-૧૯૧૭)નું નાટક ‘સોનાના મૂલની ખોરશેદ.’ એ નાટકનું એક ગીત :

બિન પિયા ઘટા નહિ ભાવે,

રેહ રેહ દેખકુ ગભરાવે,

બીજલી કી ચમક તરપાવે, ડરાવે,

બિન પિયા ઘટા નહિ ભાવે.

આમાં છે ક્યાં ય પારસી બોલી? શાસ્ત્રીય સંગીતની ‘ચીજ’ ગવાતી હોય એવું જ લાગે, આજે ૧૪મી ફેબ્રુઆરીએ સાંભળીએ તો પણ. તો આ જ એદલજી ખોરી ઉર્દૂ જબાનમાં ગઝલ પણ લખે, પ્રેમની જ તો!

આંખ ક્યૂં તૂને ભલા, હમસે મિલાઈ પ્યારે!

બૂઝ ગયીથી સો ફેર અબ, આગ લગાઈ પ્યારે!

મૈ સિવા તેરે કિસિકું ભી ન દેખું હરગીઝ,

સામને અપને અગર હોવે ખુદાઈ પ્યારે!

ખુરશેદજી બાલીવાલા 

તો વિક્ટોરિયા થિએટરના છેલ્લા માલિક, નટ, નાટ્યલેખક ખુરશેદજી બાલીવાલા, ‘રોશન’ શુદ્ધ ગુજરાતીમાં દોહરા લખે છે :

ચંદા તુજ ચમકાટ પર, ચકોર બની ગઈ હું,

ચાતક સમ તુજ પ્રીતની, હું પ્યાસી બહુ થઈ છું.

હરદમ તુજના નામની, હું જાપ કરું દિલદાર,

તન બદન કુરબાન કરી, પૂજું સનમ સરદાર.

૧૯૦૭માં બાલીવાલાએ પીલાહાઉસ વિસ્તારમાં ‘બાલીવાલા ગ્રાન્ડ થિયેટર’ બંધાવ્યું જે એ વખતના મુંબઈના પોલીસ કમિશનર એચ.જી. ગેલ દ્વારા ખુલ્લું મૂકાયું હતું. આ ગેલસાહેબ મુંબઈના પહેલા પોલીસ કમિશનર હતા જેમને સરકારે મોટર ફાળવી હતી. તે પહેલાંના બધા પોલીસ કમિશનર ઘોડાનો ઉપયોગ કરતા. ૧૯૪૭ પછી આ થિયેટર સિનેમા ઘર બન્યું ત્યારે તેનું નામ પડ્યું ‘દોલત ટોકીઝ.’

આજે આપણે જેને ‘ધંધાદારી રંગભૂમિ’નું લેબલ લગાડી દીધું છે એ જ રંગભૂમિ પર કવીશ્વર દલપતરામ, નર્મદ, મણિલાલ નભુભાઈ જેવા પ્રતિષ્ઠિત લેખકોનાં નાટકો પણ ભજવાતાં. મણિલાલનું ‘નૃસિંહાવતાર’ નાટક ૧૮૯૯માં ગુજરાતી નાટક મંડળી દ્વારા ભજવાયું હતું. તેમાંનું એક ગીત :

રસબસ ભીની હો રાજ, લગન મારી રસિયા સંગે,

તનમનથી લાગી લગન મારી રસિયા સંગે.

પ્રેમે ભીની પોયણી, ચંદા નભમાં દૂર,

જે જેની નજરે વસે તે તો નિશદિન તેની હજૂર. 

વસંતવિજય, ચક્રવાકમિથુન, દેવયાની જેવાં ખંડકાવ્યોને પ્રતાપે ગુજરાતી કવિતામાં અનોખું સ્થાન ધરાવતા કવિ કાન્તે પણ નાટકો લખેલાં, અને એ રંગભૂમિ પર ભજવાયેલાં પણ ખરાં. તેમનું જાલિમ ટુલિયા નાટક દેશી નાટક સમાજે ૧૯૦૯માં ભજવેલું. તેમાંનું એક અલ્લડ પ્રણયગીત :

વાંકડિયા વાળ પર મોહી, 

છબીલા હું તો વાંકડિયા વાળ પર મોહી, 

વાંકડિયા વાળ, તારો વાંકડિયા ફેંટો, 

ભ્રમર કમાન વાંકી જોઈ.   

વાંકી વાંકી ચાલ તારી, ગરદનની ઢાલ વાંકી,

રાખી છેલ બાંકા વાંકુ જોઈ,

વાંકલડી નજરે શું ચોર ચોરી લીધું તે એ,

હું તો બેઠી મારું સર્વ ખોઈ.

રમણલાલ વસંતલાલ દેસાઈ 

ગાંધીયુગના ગુજરાતની આબેહૂબ છબી ઝીલતી નવલકથાઓને કારણે ‘યુગમૂર્તિ વાર્તાકાર’નું બિરુદ જેમને મળ્યું તે રમણલાલ વસંતલાલ દેસાઈની લેખક તરીકેની કારકિર્દીની શરૂઆત નાટકકાર તરીકે થયેલી. તે એટલે સુધી કે ગુજરાતી લેખકો વિશેનો ૧૧ ભાગમાં પ્રગટ થયેલો માહિતીકોશ ‘ગ્રંથ અને ગ્રંથકાર’નો પહેલો ભાગ ૧૯૩૦માં પ્રગટ થયો ત્યારે તેમાં રમણલાલનો પરિચય એક આગળ પડતા નાટકકાર તરીકે અપાયો છે, અગ્રણી નવલકથાકાર તરીકે નહિ. એ જમાનામાં રમણલાલનાં નાટકો રંગભૂમિ પર સફળતાથી ભજવાતાં. તેમનું શંકિત હૃદય નાટક વડોદરાના ‘રસમંડળ’ દ્વારા ૧૯૨૫માં ભજવાયેલું. તેમાંનું એક પ્રેમગીત :

મારી મદભર આંખ ઘેરાણી, ઝુલાવો ધીમે હજી ધીમે પ્રાણ,

નીંદભર્યા અમ પાસે પ્રિયતમ રાખીએ ચિત્ત ચકોર,

જો જો સલૂણા ફાટે નહિ, મારા નવરંગ સાળુની કોર.

કુળી કુળી ચૂંટી મેંદી મૂકયો મેં પાનીએ કુમકુમ રંગ,

આછો ઉઘાડ ઝૂલાવતા બળથી, ઊડશે લહરી સંગ.

વેગળાં લ્યો જરી નયનો બ્હીતાં, નાસતાં ખંજન લોલ,

કીકી તણો પડછાયો પડી, મારા કાળા થાય કપોલ.

૧૯૯૨માં રમણલાલની જન્મશતાબ્દીની ઉજવણીના એક ભાગ તરીકે ‘શમણાં’ નામની એક કેસેટ બહાર પડી હતી. (જી, હા. એ જમાનો કેસેટનો હતો, સી.ડી .હજી આવી નહોતી.) તેમાં કૌમુદી મુનશીએ આ ગીત અત્યંત માધુર્યસભર કંઠે ગાયું હતું. અને ઓછી જાણીતી વાત એ કે આ ગીતનું સ્વરાંકન કૌમુદીબહેને પોતે જ કર્યું હતું.

ભાંગતી ભાંગવાડી

અને હવે જઈએ ‘જૂની’ ગુજરાતી રંગભૂમિના પિયર જેવી ભાંગવાડી. આજે તો ત્યાં પણ શોપિંગ સેન્ટર ઊભું છે. પણ એક જમાનો હતો જ્યારે વહેલી સવાર સુધી અહીં નાટકના સંવાદોના અને ગાયનોના પડઘા ફેલાયા કરતા. અને એ સેંકડો, બલકે હજારો ગાયનોમાંથી કોઈ એક જ પસંદ કરવાનું હોય તો? સ્વયંવરમાં પતિ પસંદ કરવા કરતાં ય વધુ અઘરું કામ. આ લખનારના જન્મ પહેલાં એક વરસે, ૧૯૩૮માં પહેલી વાર ભજવાયેલું નાટક, વડીલોના વાંકે. લેખક પ્રભુલાલ દ્વિવેદી. પણ એ નાટક કાકા (પિતાને અમે કાકા કહેતા), મા, ભાઈદાદા અને બીજાં કુટુંબીજનો સાથે ભાંગવાડીમાં જોયાનું બરાબર યાદ છે. અને એના કરતાં ય વધુ યાદ છે, ના, ના, યાદ નહિ, અવારનવાર કાનમાં જ નહિ, મનમાં ગુંજ્યા કરે છે તે તો માસ્ટર કાસમભાઈએ બેસાડેલી તરજ પર એ વખતની રંગભૂમિ પર મહારાણીની જેમ છવાઈ ગયેલાં મોતીબાઈ અદ્ભુત અભિનય અને અદ્ભુત કંઠે ગાતાં એ ગીત :

મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા.

જોતી’તી વહાલાની વાટ રે, 

અલબેલા કાજે ઉજાગરા. 

પગલે પગલે એના ભણકારા વાગતા, 

અંતરમાં અમથા ઉચાટ રે। … અલબેલા કાજે 

બાંધી મેં હોડ આજ નિંદરડી સાથ ત્યાં 

વેરણ હિંડોળા ખાટ રે … અલબેલા કાજે 

ઘેરાતી આંખડીને દીધા સોગન મેં 

મટકું માર્યું તો તારી વાત રે … અલબેલા કાજે 

આજના તો જાગરણે આતમા જગાડ્યો 

જાણે ઊભી હું ગંગાને ઘાટ રે … અલબેલા કાજે 

મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા. 

મોતીબાઈ

આ મીઠા ઉજાગરા ગુજરાતી રંગભૂમિને ફળ્યા એવા આજે, વેલેન્ટાઇન ડેના સપરમા દિવસે સૌ પ્રેમીઓને ફળજો.

e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 14 ફેબ્રુઆરી 2026

Loading

આનંદ તેલતુંબડેની જેલડાયરી

સંગીતા પટેલ|Opinion - Opinion|14 February 2026

નરક જેવી ઝૂંપડપટ્ટી હોય કે ઝૂંપડપટ્ટી કરતાં પણ બદતર કેદખાના. પાપ, પુણ્ય અને કર્મનાં ફળની વાત કરો એટલે તેમાં સુધારાને કોઇ અવકાશ ન રહે. કર્મશીલ અને વિદ્વાન લેખક આનંદ તેલતુંબડેની કલમે અવતરેલું પુસ્તક “સેલ એન્ડ સોલ” આપણા દેશની જેલ અને ન્યાયતંત્રનો અરીસો છે. લેખકની 31 માસની આપવીતી એમાં છે. તાજેતરમાં કાલાઘોડા આર્ટ ફેસ્ટિવલ, 2026માં આ પુસ્તક વિષે તેલતુંબડેનો વાર્તાલાપ રદ્દ કરવામાં આવ્યો એ ઘટના આપણા દેશની કહેવાતી લોકશાહીનું પ્રતિબિંબ છે. વિષમતા નિર્મૂલનની દિશામાં તેલતુંબડેના બૌદ્ધિક વિચારો અને નિસબત પ્રગટ કરતાં પુસ્તકો પછી અલગ શૈલીથી લખાયેલા “સેલ એન્ડ સોલ”માં તેમનું વ્યક્તિગત જીવન છે. કદાચ તેમને સ્વજીવનની વાત કરવી પડી છે. 

1લી જાન્યુઆરી, 2018ની ભીમા કોરેગાંવ પરિષદ પછી થયેલા તોફાનો અને રાજકીય ગતિવિધિઓનાં પગલે આનંદ તેલતુંબડે સહિત સોળ વ્યક્તિઓને અર્બન નક્સલ કહી કેદ કરી દેવામાં આવ્યા. ભીમા કોરેગાંવ -16 (BK- 16) પૈકીના જી.એન. સાંઇબાબા અને સ્ટેન સ્વામીને તો મોત ભેટી ગયું. આની પાછળ ઉદ્દેશ વર્ષો સુધી આરોપીને જેલમાં રાખવાનો કે જામીન પર છોડી અદાલલતી આંટીઘૂંટીમાં રાખવાનો હતો જેથી, તે અવાજ ન ઉઠાવે. કટોકટી છાને પગલે પણ આવી શકે. 

તેલતુંબડેએ તેમની લાંબી કારકિર્દીમાં સતત ઇનોવેટિવ ટેકનોલોજિકલ પ્રોજેક્ટ કર્યા છે. બીગ ડેટા એનાલીસીસમાં તેઓ ગળાડૂબ હતા ત્યાં એક અણધાર્યો વણાંક આવ્યો. પોલીસે બારણે ટકોરા દીધા. લેખક લખે છે કે નાનપણમાં પોલીસ નામનો ડર જોયેલો. તેમણે પિતા પાસેથી વીર નાયકોની વાર્તો સાંભળેલી. પોલીસની ગોળીએ ઠાર થતા વીરોની વાર્તા પણ સાંભળેલી. તે જ વખતે પોલીસ અને પ્રજા વચ્ચેની કડી ખોટી હોવાનું પ્રતીત થયેલું. લેખકે નાની વયે ભગતસિંહને વાંચેલા. અને પછી ડો. બાબાસાહેબ આંબેડકરને. ભગતસિંહની વીરતા અને બાબાસાહેબની શિક્ષણની હાકલ બંને તેમણે આત્મસાત કર્યા. બંનેનું સહજીવન તેમનામાં રહ્યું. આ બંનેમાં તેલતુંબડેને કોઇ વિરોધાભાસ દેખોયો નહિ. 

ઉચ્ચ શિક્ષણ પછી કોર્પોરેટ ક્ષેત્રની નોકરી છતાં મૂડીવાદી લાલચમાં તેઓ ડૂબ્યા નથી. તેમની પ્રતિબદ્ધતા સામે લાલચ ઝાંખી પડી. કારકિર્દી અને લેખનથી આગળ જતાં તેમના જીવનમાં ધરપકડ કે જેલનો ક્યાં ય ઓછાયો ન હતો. ખ્યાતનામ IITમાં પ્રાધ્યાપક થયા. આ બધાની વચ્ચે ધરપકડનો વિચાર માત્ર વાહિયાત હતો. જીવનના કપરા મુકામે તેમને આંબેડકરની ચેતવણી યાદ આવી કે, લોકશાહી માની લેવાની બાબત નથી. તે સંવૈધાનિક નૈતિકતા આત્મસાત કરતા લોકો પર નિર્ભર છે. આવા વિચારો વચ્ચે ગિરફતાર થઇ પોલીસ કર્મચારીને તાબે થવાનું હતું. જે રૂક્ષ, બેપરવા, યંત્રવત, લગભગ પાશવી સિસ્ટમનું પ્યાદુ જ છે. ગંદકીથી પીળા પડી ગયેલા દેશી જાજરૂ, સતત લીક થતા નળ, ગંદી રીતે અપાતા ભોજન, સેલ ડોરના સતત અવાજ આવો જેલવાસ ક્યારે ય સપનાનો પણ ભાગ ન હતો. આ સઘળી પરિસ્થિતિમાં સતત અટવાતી પત્નીની શારિરીક અને માનસિક રીતે કથળતી અવસ્થા. બધું જ અસહ્ય હતું. તેથી જ દૃઢ મનોબળથી નક્કર તર્ક કરતી આનંદ તેલતુંબડેની કલમ “સેલ એન્ડ સોલમાં” લાગણીસભર રહી છે

આનંદ તેલતુંબડે

દેશ અને દુનિયામાં આનંદ તેલતુંબડેની ધરપકડનો વિરોધ થયેલો. 168 સ્થળો ખાતે તેમની ધરપકડ સામે એકસાથે દેખાવો યોજાયા હતા. નામાંકિત કર્મશીલો, વિદ્વાનો, સાહિત્યકારોની સહી ઝુંબેશ થઇ. તેનાથી વિપરીત હિન્દુત્વવાદીઓએ લેખકની ધરપકડની તરફેણ કરી. કોરોનાકાળમાં લેખક જેલના શરણે થયા. આ સમયે દેશ પણ એક વિષમ પરિસ્થિતિમાં હતો. દરેક આકસ્મિકતામાં રાજકીય હિત જોવાની ફિરાકમાં રહેતા આપણા દેશના વડા પ્રધાને કોરોનાને પણ બક્ષ્યો ન હતો. ઘરની બાલકનીમાંથી કે ઘરના ઉંબરે ઊભા રહીને થાળી વગાડવાનું એલાન થાય અને આ ઉન્માદ શેરી સ્વરૂપે ફેરવાઇ જાય. તો બીજી બાજુ દિલ્હીમાં નિઝામુદ્દીન ખાતે ધાર્મિક સ્થળે યોજાયેલા તબલીઘી જમાત સંમેલનને કોરોના જેહાદ કે તબલીઘી જમાત વાયરસ જેવા લેબલ લગાડી દેવાતા. તો વળી આવા જ વાતાવરણામાં યોજાતા કુંભમેળા પર સરકારે આંખ આડા કાન કર્યા, એકાએક કરવામાં આવેલા રાષ્ટ્ર વ્યાપી લોકડાઉનમાં વિસ્થાપિત મજૂરોની અવદશા તો સાવ જુદી જ સ્થિતિ હતી. 

RSSના સામયિક “પંચજન્યમાં” તેલતુંબડેને માયાવી આંબેડકર કહીને અને વીકીમિડિયામાં લેખકના પાના પરના લખાણ સાથે ચેડાં કરીને તેમના વિરુદ્ધ અપપ્રચાર કરવામાં આવ્યો હતો. ધરપકડ પહેલાં લેખકે ખુલ્લા પત્રમાં વિગતે વાત કરી છે. પ્રમાણિકતાથી રળી ખાતા અને લેખનથી નાગરિક હકની શક્ય હિમાયત કરતા લેખકને અનલોફુલ એક્ટિવીટી પ્રિવેન્શન એક્ટ(UAPA)ની આપખુદી જોગવાઇનો ભોગ બનાવવમાં સહાયક હતા પેગેસસ અને ઇઝરાયલ સ્પાયવેર. આવા કાયદાઓથી નિસ્વાર્થ લોકસેવકને દેશદ્રોહી અને દેશના વિધ્વંસકને દેશભક્ત પુરવાર કરવા તેમ જ ઝિન્ગોઇઝમને રાષ્ટ્રવાદમાં ફેરવી લોકોનું ધ્રુવીકરણ કરવું એ સત્તાધીશોની કમાલ છે. 

ખાસા સમયથી જેલના ભણકારા વાગતા હતા પણ વાસ્તવિકતાનો બોજો તો જેલમાં જ વર્તાયો. જેલના સળિયામાંથી મેલેમાઇનના થાળી વાડકામાં ફેકાતા આહાર, ગેંગસ્ટર કંપનીના ગુનેગાર, પોલીસ સુપ્રીટેન્ડેન્ટના ઇશારે પોલીસના ચાબખા ખાઇને લોહીલુહાણ થતા વિલાપ કરતા કેદીઓથી સ્થિતિ ઘણી ભયાવહ થતી. જેલના ન્યાયતંત્રમાં જજ, જ્યુરી અને પ્રોસેક્યુશન પોલીસ સુપ્રીટેન્ડન્ટમાં વીલિન થતાં લેખકે જોયાં અને તેની સામે કોઇની અપીલને સ્થાન નથી. 

70 વર્ષની પાકટ વયે જેલની ચરમસીમા તો હતી કોરોના અસર. પાંચ દિવસ સતત તાવ, ઝાડાઊલટી, ચક્કર, પથારીમાંથી ઊઠી પણ ન શકાય તેવી હાલતની સામે કોઇપણ સારવાર વગર ઝીંક ઝીલવાની હતી. તેમની સાથે જેલવાસ વેઠતા BK 16 પૈકીના 84 વર્ષની જૈફ વયના સ્ટેન સ્વામીનું મૃત્યુ તેમને હચમચાવી ગયું. તેમણે લખેલી એકોક્તિમાં આ સંવેદના ઠલવાઇ છે. ઝારખંડના જંગલોમાં રહીને આદિવાસીઓના હિતની વાત કરતા જેસ્યુટ સ્ટેન પાર્કિસનના દર્દી હતા. તેમને જરૂરી સીપર, સ્ટ્રો, લાંબી બાંયનું સ્વેટર જેવી મામૂલી જરૂરિયાતો માટે તેમણે વલખાં મારવા પડેલા. જેલ બહાર સારવાર મળે તે માટેના તેમના અથાગ પ્રયત્નો તેમના જીવનના છેલ્લા દિવસોમાં માંડ સફળ થયા. લેખક લખે છે કે “જેલના હોસ્પિટલના દરવાજે વિદાય આપતી વખતે ‘અહીં પાછા ન આવતા’ એમ કહ્યું ત્યારે ન હતી ખબર કે આ શબ્દો સાવ અમંગળ પુરવાર થશે.” સ્ટેન તેમના જીવન અને મૃત્યુમાં નીતિબોધ મુકતા ગયા. સ્ટેન સાથે થયેલા તેમના સંવાદના સહારે લેખકે તેમનું સચોટ પાત્રાલેખન કર્યું છે. 

જેલવાસમાં તેલતુંબડેના અસહ્ય માનસિક સંતાપનો દિવસ હતો 14 નવેમ્બર 2021. જેલના ટી.વી. સ્ક્રીન પર ગડચિરૌલી જંગલમાં મોટા પોલીસ એનકાઉન્ટરમાં 26 માઓવાદીઓ માર્યા ગયાના સમાચાર જોતા આનંદ કાંપી ઉઠ્યા. વર્ષોથી માઓવાદીઓના દરેક રિપોર્ટથી તેઓ ધ્રૂજી જતા. અંગ્રેજી એંકરના મોઢે તેમની બોલવામાં અઘરી અટકના ઉચ્ચારથી તેમનો ડર સાચો પુરવાર થયો. અને અશ્રુભીની આંખે ભૂતકાળની ઘટનાઓનો કેલિડોસ્કોપ શરૂ થયો. લેખકે અહીં પારિવારીક જીવનની વિકટ વાતો ઘણી સરળ અને સચોટ ભાષામાં ખુલ્લા દિલે કરી છે. પાત્રાલેખનની શૈલી અહીં ઉઘડતી જાય છે. સ્વભાવે ગંભીર તેમનાથી 15 વર્ષ નાનો, છઠ્ઠા નંબરનો ભાઈ મિલિન્દ તેમના પેંગડામાં પગ નાખવા સક્ષમ છે તેમ જણાતા, પોતાની ઇજનેરી અભ્યાસની તમામ સામગ્રી મિલિન્દ માટે સાચવી રાખી હતી. પણ ભાઈને ભાવિ કોઇ જુદી જ દિશામાં પોકારતું હતું. મોટા થઇને મિલિન્દે ITIમાં ઇલેકટ્રીકનો કોર્સ કરી પેપર મિલ્સમાં એપ્રેન્ટીસની નોકરી લીધી. તે પછી માઇન્સમાં જોડાયો. મિલિન્દે નોકરી સાથે કામદાર સંગઠનનું બીડું ઝડપેલું. ઘણી સફળ કામદાર લડતો પણ કરી. મહારાષ્ટ્ર કામગાર યુનિયન હેઠળ હજારો કામદાર સંગઠિત કરેલા. ખેલરાંજીમાં એક પરિવારના તમામ સભ્યોને રહેંસી નાખવાની ઘટના સામે વિરોધ શરૂ કરાવવામાં મિલિન્દની મુખ્ય ભૂમિકા હતી. શ્રમજીવીના પ્રશ્નો લડતો મિલિન્દ પરિવારથી ધીમેધીમે અલગ થતો ગયો. ત્યાં સુધી કે તે પરિવારના સારા માઠા પ્રસંગે પણ આવવાનું ટાળતો. મિત્રો અને સગાઓનું કહેવું છે કે તેમના પારિવારિક પ્રસંગોમાં પોલીસ સાદા ડ્રેસે તૈનાત રહેતી. માધ્યમોએ તેના નામ પર માઓવાદીની મહોર મારેલી. તેના માટે મોટું ઇનામ પણ જાહેર કરેલું. બંગાળી પ્રતિબદ્ધ નવલકથાકાર મહાશ્વેતાદેવીની નવલકથા “હજાર ચુરાશીર મા”ના શહીદ વ્રતીનો નંબર 1084મો હતો. એ પછી તો મિલિન્દ જેવા શહીદોની ગણતરી જ ભુલાઇ ગઇ. 

ભાઈની સાથે માદરે વતન રાજુર યાદ કરતા આનંદ કહે છે, રાજુર ન હતુ પૂરું ગામ કે પૂરું નગર. તે પરંપરા અને આધુનિકતાનો સંયોગ હતું. જીવનના રંગો સમજવાની સૂઝ લેખકને અહીં મળેલી. દલિત વસતિના સાવ છેડે એક માટીના ઘર સિવાય બીજું કાંઇ ન હતું. પરિવારના દસ સભ્યો, ઘણાબધાં ઉંદરો અને ક્યારેક દેખાડો દઇ જતા સાપ માંડ આ ઘરમાં સમાતા. માતાપિતાના પરિશ્રમે તેમનું ઘડતર થયું. માર્કસના શ્રમ મૂલ્યનો સિદ્ધાંત અને દુનિયા બદલવાની હાકલ સમજવાની પ્રેરણા અહીં  મળેલી. સંજોગોવસાત રાજુરથી દૂર થતા ગયા પણ પ્રારંભિક વર્ષોની સ્પષ્ટ સ્મૃતિઓ હજી તેમને ઘડી રહી છે. અને કદાચ ભાઈ મિલિનન્દને મૃત્યુ પર્યંત. એટલે જ બે સહોદર ભાઈઓની સામાજિક નિસબત દાખવવાની રીત નોખી પણ પ્રતિબદ્ધતા સરખી રહી. 

બીજું એક પાત્રાલેખન તેમની કલમે લખાયું છે કેદી ભોલાનું. લેખક કહે છે, સામાન્ય કેદીના પ્રતિરૂપ હતો ભોલો. નિર્દોષ અને અભણ, અસ્તિત્વનો ભાર રાખ્યા વગર દરેક પળમાં જીવતો માણસ. મૃત્યુ પામ્યો એ દિવસની સવારે આનંદે તેને ટી.વી. પર આવતાં ગીતના તાલે નાચતા જોયેલો. તેના ખુલ્લા શરીર પર કમરેથી સરકતું જતું ખુલતું પેન્ટ સૌના મનોરંજન માટે પૂરતું હતું. ઘોડાનો અવાજ કાઢવાનું કહેતા ઊંચા અને મોટા અવાજે હણહણી લેતો અને તેનું ઉપનામ ઘોડો સાર્થક કરતો. લેખક કહે છે એમણે જોયો છે રાત્રે સળિયા પકડી તેની માતાને યાદ કરી રડતો, પ્રલાપ કરતો, ગમગીન ભોલો. ભોલાને ખબર નહતી કે તેનો ગુનો શું છે? એક સવારે મિત્રો સાથે ઊભો હતો. ત્યાં પોલીસની જીપ આવી અને ભોલાને તેના ફાટેલા ખમીસેથી પકડી અનાજની ગુણ ફેંકતા હોય તેમ જીપમાં નાખી જેલના હવાલે કરી દીધો. કદાચ એક માત્ર સ્વજન તેની માને પણ આ ઘટનાની ખબર નહિ હોય. ભોલાએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દીધું. આપણી સામાજિક વ્યવસ્થા અને ન્યાયતંત્રની મિસાલ સમા ભોલા માટે લેખક લખે છે, સર્વહારા નસીબ લઇને જન્મેલા ભોલાને આ નરક આખો ગળી ગયું. લેખકે એનો ઇતિહાસ અશોકના શિલાલેખની જેમ એના શરીર પર વાંચેલો. 

કદાચ ભોલાની આવી દર્દનાક ઘટનાના પગલે તેમણે પરિવર્તનકારી જસ્ટીસ મોડેલ ધરાવતી શિક્ષાત્મક પ્રણાલી આવકારવાની વાત કરી છે. તેઓ કહે છે ઉમર ખાલીદ જેવા લોકોને પકડીને વર્ષો સુધી ગોંધી રાખવામાં આવતા હોય ત્યારે આ દિશામાં વિચારવું જરૂરી લાગે છે. દેશની સુરક્ષા અને વિકાસ તેના લોકોને ગુંગળાવવામાં નથી. લેખકનુ માનવું છે કે, વિરોધ એ ધાકધમકી નથી પણ લોકશાહીનો આવશ્યક ઘટક છે. તેના સ્વીકાર, સર્વસમાવેશ અને સંવાદથી દેશ રચી શકાય. 

પોસ્ટટ્રુથ(મનઘડંત સત્ય)ના સહારે જીતાતી ચૂંટણીઓ વિષે લખતા તેલતુંબડે કહે છે અહીં જુઠાણા સત્ય તરીકે વિહરે છે. ધર્માંધતા સહિષ્ણુતાનું સ્થાન લે છે. આપખુદી લોકશાહી તરીકે વેચવામાં આવે છે અને નકરા રાષ્ટ્ર વિધ્વંસક દેશભક્ત ગણાય છે.

e.mail : sanita2021patel1966@gmail.com                   

Loading

...102030...49505152...607080...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved