Opinion Magazine
Number of visits: 9950210
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—334

દીપક મહેતા|Opinion - Opinion|28 March 2026

માઈ નેમ ઈઝ એન્થની ગોનસાલવેસ : ગોવાથી આવીને મુંબઈ વસેલા ખ્રિસ્તીઓ           

माई नेम इझ एन्थनी गोनसालवेस
मैं इस दुनिया में अकेला हूँ

दिल भी है खाली, घर भी है खाली
इसमें रहेगी कोई किस्मत वाली
हाए, जिसे मेरी याद आए, जब चाहे चली आए
जिसे मेरी याद आए, जब चाहे चली आए
रूप महल, प्रेम गली, खोली नंबर ४२०
एक्सक्युझ मी प्लीझ

माई नेम इझ एन्थनी गोनसालवेस

છેક ૧૯૭૭માં આવેલી ફિલ્મ ‘અમર, અકબર, એન્થની’નું આ ગીત આજે પણ ઘણાંને યાદ હશે. તેમાં ખ્રિસ્તી એન્થનીનું પાત્ર ભજવનાર અમિતાભ બચ્ચન અને કિશોરકુમારે ગાયેલું આ ગીત અને જેમાં એ આવતું હતું તે ફિલ્મ એક જમાનાના મુંબઈની ‘સર્વધર્મસમભાવ’ની ભાવનાનું એક ઉદાહરણ હતી. અને છતાં એ વખતે, અને આજે પણ, ઘણા મુંબઈવાસીઓ બધા ખ્રિસ્તીઓને એક સરખા જ માને છે. પણ ગયે વખતે આપણે જેને વિષે વાત કરેલી તે બોમ્બે ઇસ્ટ ઇન્ડિયન્સ અને આ એન્થની ગોનસાલવેસ જેવા ગોવાના ખ્રિસ્તીઓ, બંને પોતપોતાની જમાતને અલગ માને. બંને વચ્ચે નોકરીઓ અને સામાજિક દરજ્જા અંગે થોડી ખેંચતાણ પણ ખરી. પણ ગોવાના ખ્રિસ્તીઓ વિષે વાત કરતાં પહેલાં એક બીજી વાત. આ ગીત અને ફિલ્મમાં જે નામ આવે છે, એન્થની ગોનસાલવેસ, એ કાલ્પનિક નામ નથી. એ વખતે જાણીતા એવા એક ગોવાના ખ્રિસ્તી સંગીતકારનું હતું એ નામ. ૧૯૫૦ના અરસામાં હિન્દી ફિલ્મોમાં એમનું નામ અવારનવાર ઝલળકતું. ગોવાના માજોર્ડા ગામે ૧૯૨૭માં તેમનો જન્મ. આખું નામ એન્થની પ્રભુ ગોનસાલવેસ. નૌશાદસાહેબ સાથે વાયોલીનવાદક તરીકે તેમની કારકિર્દીની શરૂઆત. પછી આર.ડી. બર્મન અને (લક્ષ્મીકાન્ત) પ્યારેલાલજી જેવા ધરખમ સંગીતકારોને પોતાને ઘરે બોલાવી, ટ્યૂશન આપી, વાયોલીન વગાડતાં શીખવ્યું. અમર અકબર એન્થની ફિલ્મનું શૂટિંગ શરૂ થયું તે પહેલાં અમિતાભ બચ્ચનના પાત્રનું નામ હતું એન્થની ફર્નાનડિસ. ત્યારે પ્યારેલાલજીએ દિગ્દર્શક મનમોહન દેસાઈને ખાસ વિનતી કરીને તેનું નામ બદલીને એન્થની ગોનસાલવેસ કરાવ્યું અને આ ગીત દ્વારા પોતાના ગુરુ પ્રત્યેનું ઋણ અદા કર્યું. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે અસલ એન્થની ગોન્સાલવેસ હિન્દુસ્તાન છોડીને અમેરિકા ચાલ્યા ગયા હતા. ત્યાં સેરાક્યૂઝ યુનિવર્સિટીમાં ગોવન-હિન્દુસ્તાની ફયુઝન જાઝ મ્યુઝીક પર ઘણું કામ કર્યું. પણ પછી સ્વદેશ પાછા ફરી ગોવામાં સ્થાયી થયા. ત્યાં જ ૨૦૧૨માં તેમનું અવસાન થયું.

ગોવન ખ્રિસ્તી વર–વધૂ  

પણ હવે પાછા વળીએ મુંબઈના ગોવાન ખ્રિસ્તીઓ તરફ. ગોવામાં ખ્રિસ્તી ધર્મના પ્રચારની શરૂઆત ક્યારથી થઈ એ અંગે મતભેદ છે. એક માન્યતા પ્રમાણે ભગવાન ઈશુના બાર ‘એપોસ્ટલ’માંના એક સેન્ટ બાર્થોમેલો હિન્દુસ્તાન આવ્યા હતા અને તેમણે કોંકણ અને ગોવામાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર-પ્રસારની શરૂઆત કરી હતી. છેક ૧૫૧૦માં પોર્ટુગીઝોએ બીજાપુરના સુલતાન પાસેથી ગોવા જીતી લીધું. ત્યારબાદ તેમણે ધર્માંતરણની શરૂઆત કરી. તે માટે ગરીબ લોકોને તેઓ ચોખાનું ‘દાન’ આપતા તો મધ્યમ વર્ગના લોકોને સરકારી નોકરીની લાલચ આપતા. બીજા રાજાઓના મુલકમાં પણ ધર્મ પ્રચાર થઈ શકે તે માટે પોર્ટુગીઝ સરકાર તેમને લશ્કરી મદદ આપતી. ઈ.સ. ૧૫૪૨માં સોસાયટી ઓફ જિસસના બે સ્થાપકોમાંના એક સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સ ગોવા આવ્યા. તે પછી ખ્રિસ્તી ધર્મના પ્રચારે વધુ જોર પકડ્યું. ઈ.સ ૧૫૬૦માં પોર્ટુગીઝ સરકારે બિન ખ્રિસ્તીઓ માટે ખૂબ આકરા કાયદા અમલમાં મૂક્યા. ખ્રિસ્તી ધર્મ સિવાયના બીજા કોઈ પણ ધર્મના પાલન પર પ્રતિબંધ મૂક્યો. ખ્રિસ્તીઓ માટે પણ ઘણા કડક કાયદા અમલમાં મૂક્યા. તેથી એ વખતે ઘણા ખ્રિસ્તીઓ ગોવા છોડીને બીજે ગયા. તેમાંના કેટલાક મુંબઈ આવી વસ્યા. મુંબઈમાં પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો તે પછી તેમને સરકારી જુલમનો સામનો કરવાનો રહ્યો નહિ. બલકે અંગ્રેજી ભાષાની સારી જાણકારીને લીધે સરકારી અને બીજી નોકરીઓમાં તેમને માટે સારી તકો ઊભી થઈ. વખત જતાં આઝાદી માટેની લડતમાં પણ મુંબઈના ગોવન ખ્રિસ્તીઓએ ભાગ લીધો. અને ખુદ ગોવાની આઝાદી માટેની લડતમાં તો મુંબઈના ગોવન ખ્રિસ્તીઓ અગ્રેસર રહ્યા. અગાઉ ગોવન ખ્રિસ્તીઓએ ડીસૂઝા, રોડરિક્સ, ફર્નાનડિસ, પિન્ટો જેવી પોર્ટુગીઝ અટકો અપનાવી હતી તે ચાલુ રાખી. તો બીજી બાજુ મુંબઈના કેટલાક ગોવાનીઝ ખ્રિસ્તીઓ ધર્માંતરણ પહેલાંની પોતાની પ્રભુ, કામથ, નાયક, શેટ, શેનોય, જેવી અટકો જ આજે પણ વાપરે છે. ગોવાનીઝ ખ્રિસ્તીઓઓ મુંબઈ આવ્યા ત્યારે મુંબઈના ઈસ્ટ ઇન્ડિયન ખ્રિસ્તીઓએ પહેલાં તો તેમને પોતાના હરીફ તરીકે જોયા હતા. ગોવાથી આવેલા ખ્રિસ્તીઓ મુંબઈમાં ગીરગામ, કાલબાદેવી, વાંદરા જેવા વિસ્તારોમાં વસ્યા. 

સેન્ટ ફ્રાન્સીસ ઝેવિયર્સ ચર્ચ, બરોઝ ક્રોસ લેન 

આ લખનારને આજે પણ બરાબર યાદ છે એ ગીરગામના વસવાટના એ દિવસો. ગીરગામ રોડ પરની નાના શંકર શેઠની વાડીથી શરૂ કરીને લગભગ પ્રિન્સેસ સ્ટ્રીટ સુધી મુખ્ય વસતી ગોવન ખ્રિસ્તીઓની. નાતાલ શરૂ થવાના થોડા દિવસ અગાઉથી ફૂટપાથ પર ચીની સ્ત્રીઓ (હા, જી. એ વખતે મુંબઈમાં ચીનાઓની સારી એવી વસતી હતી. તેમાંના ઘણા દાંતના ડોક્ટર હતા.) સ્ત્રીઓ ફૂટપાથ પર દુકાન માંડીને ચીકણા કાગળનાં સ્ટાર, ફોલ્ડિંગ તોરણો, બીજાં સુશોભનો વેચવા લાગે. (આ બધું જ એ વખતે રંગબેરંગી કાગળનું બનતું, કારણ ‘પ્લાસ્ટિક’ નામના બહુમુખી ઓક્ટોપસે હજી દેખા દીધી નહોતી. અહીંથી ખરીદી કરીને ખ્રિસ્તીઓ પોતાનાં ઘરને બહારથી અને અંદરથી શણગારે. સાથે ઇલેક્ટ્રિક લાઈટની રોશની તો ખરી જ. ડિસેમ્બરની ૨૪મીની અને ૩૧મીની રાતે બરાબર બાર વાગે થોડે દૂરની બરોઝ ક્રોસ લેનમાં ૧૮૭૦માં બંધાયેલી સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર ચર્ચમાં ઘંટારવ શરૂ થાય. ઘણા ખ્રિસ્તીઓ રસ્તા પર આવી નાચે, પીપુડાં વગાડે, ફટાકડા પણ ફોડે.

ગીરગામનું ખ્રિસ્તી કબ્રસ્તાન 

બીજી યાદ તે તેમના ફ્યુનરલ પ્રોસેશનની. સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સ ચર્ચની પાછળ જ એ વખતે આવેલું હતું ખ્રિસ્તી કબ્રસ્તાન. પછીથી એ બધી જમીન એક પૈસોય લીધા વગર ખ્રિસ્તીઓએ સરકારને આપી દીધી, સરસ બગીચો બનાવવા. આજે એ જગ્યા પર સ.કા. પાટિલ ઉદ્યાન આવેલો છે. જગ્યા આપતી વખતે બે જ શરત: એક, યાદગીરી કહો કે સ્મારક કહો, બગીચામાં એક – માત્ર એક જ, કબર રહેવા દેવાની. બીજી બધી કબર ઉખેડી નાખવાની. અને બીજી શરત એ કે આ જગ્યાના કોઈ પણ ભાગનો ઉપયોગ આવક થાય એવી કોઈ પણ પ્રવૃત્તિ માટે કરવાનો નહિ. એ વખતે ફ્યુનરલ પ્રોસેશનમાં બધું જ સફેદ. પારદર્શક કાચ બધી બાજુ મઢેલી મોટી સફેદ મોટર કહેતાં હર્સ. તેમાં સફેદ કોફીનમાં મૂકાયેલો સફેદ કપડામાં સજ્જ પાર્થિવ દેહ. તેના પર અને હર્સની બધી બાજુ સફેદ ફૂલોની બનેલી રીધ (ગોળાકાર પુષ્પમાળા). તેની પાછળ શોક સંગીત વગાડતું નાનું બેન્ડ. પાછળ ચાલતાં બધાં સ્ત્રી-પુરુષ સફેદ કપડામાં સજ્જ. એ બધું બહુ જ ગરિમા ભરી વિદાય જેવું લાગે. પણ પછી એ કબ્રસ્તાન ગયું. પછી એ ફ્યુનરલ પ્રોસેશન પણ ગીરગામ રોડ પરથી નીકળતાં લગભગ બંધ થયાં. 

ગીરગામના ખ્રિસ્તી કબ્રસ્તાનની જગ્યાએ બનેલ સ.કા. પાટિલ ઉદ્યાન 

 તો બીજી બાજુ આ જ ગોવન ખ્રિસ્તી સમાજમાં જળવાઈ રહેલા કેટલાક રિવાજો જોઈ આપણને સહેજ નવાઈ લાગે. લગ્ન વખતે નવવધૂ માટે હાથમાં ‘ચૂડો’ પહેરવાનું લગભગ ફરજિયાત. એનો રંગ અને એની ડિઝાઈન અમુક ચોક્કસ જાતનાં, અને તેને માટે વપરાતો શબ્દ પણ ‘ચૂડો.’ લગ્ન અગાઉ વિધિપૂર્વક મણિયાર (ચૂડા બનાવનાર) પાસેથી ખરીદવાનો. તેને એ લોકો ‘કંકણકાર’ કહે. બરાબર માપ લઈને પહેરાવવા માટે કંકણકારને નવવધૂને ઘરે તેડાવાય. એ વિધિ થાય કન્યાના મામાના ઘરે. અગાઉ તો પતિનું અવસાન થાય ત્યારે તેના કોફિન સાથે હાથનાં કાંડાં પછાડીને એ કાચનો ચૂડો તોડીને તેના ટુકડા પતિના કોફીનમાં નાખવાનો રિવાજ હતો. 

લગ્ન પહેલાંનો બીજો એક વિધિ તે ‘ભુઈમ જેવોણ’ અથવા ‘બિકારામચે જેવોણ’. પૂર્વજોની યાદમાં અપાતા આ જમણમાં મોટે ભાગે આસપાસના ભીખારીઓ અને ગરીબગુરબાંને જમાડવામાં આવે. સાથોસાથ અનાથાશ્રમનાં બાળકોને અને વૃદ્ધાશ્રમના વૃદ્ધોને પણ જમાડવામાં આવે. આ રીતે તેમને જમાડવાથી તેમની ભલી દુઆઓ નવદંપતીને મળે એવી માન્યતા. 

લગ્ન વખતની બીજી એક વિધિ તે ‘હલદી કંકુ’ કે પીઠીને મળતી આવતી ‘રોસ’ની વિધિ. તેમાં વર-વધૂ બંનેને નાળિયેરનાં દૂધથી નવડાવવામાં આવે. બંને પક્ષનાં સગાંઓ તેમાં આનંદપૂર્વક ભાગ લે. નવડાવતી વખતે વરવધૂનાં માથાં પર ઈંડાં પણ ફોડવામાં આવે. તેમના શરીર પર ઢોળવામાં આવેલું દૂધ એક વાસણમાં એકઠું કરવામાં આવે. હાજર રહેલાં સગાં-સંબંધી તેમાં નાના મોટા સિક્કા નાખે. વિધિ પૂરો થયા પછી એ સિક્કા કાં ગરીબોમાં વહેંચી દેવાય, કાં ઘરના નોકરોને આપી દેવાય. આ વિધિ પૂરો થયા પછી કન્યાને જે વસ્ત્રો પહેરાવવામાં આવે તેના પર ઈશુ ખ્રિસ્તની નાનકડી છબી ચીતરેલી હોય જેથી બીજાની બુરી નજર કન્યાને લાગે નહિ. 

ચર્ચમાં લગ્નવિધિ થઈ જાય તે પછી નવવધૂને ‘સાડો’ આપવાનો રિવાજ. પણ આ ‘સાડો’ એટલે સાડી નહિ, લાલ રંગનો પોશાક. વર પક્ષ તરફથી નવવધૂને આ ‘સાડો’ અપાય. એ આપ્યા પછી તેને આખા ઘરમાં ફેરવવામાં આવે. લગ્નના બીજા દિવસે નવવધૂ પાછી પિતાને ઘરે જાય ત્યારે ત્યાં પણ તેને આવો ‘સાડો’ આપવામાં આવે. લગ્ન પછી કન્યાનાં માતાપિતા વર પક્ષના લોકોને જમવા બોલાવે ત્યારે (અથવા હવે રિસેપ્શનમાં) નવવધૂ આ ‘સાડો’ પહેરે.

આજે વાતની શરૂઆત એક ફિલ્મી ગીતથી કરેલી. તો છેવટે સાંભળીએ રાજકપૂરની ધૂમ મચાવનારી, અને ગોવન ખ્રિસ્તી નાયિકા ધરાવતી ફિલ્મ ‘બોબી’ના ગીતની એક કડી. ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર ફરી એ જ લક્ષ્મીકાન્ત પ્યારેલાલ, અને ગાયકો મન્ના ડે અને શૈલેન્દ્ર સિંહ.

ना जानू मुल्ला काज़ी,
ना जानू काबा काशी,
मैं तो हूँ प्रेम प्यासा रे.
मेरे सपनों की रानी,
होगी तुमको हैरानी,
मैं तो तेरा दीवाना रे.

હવે આવતે શનિવારે મુંબઈના કયા દિવાનાની વાત? રાહ જુઓ. 

સપનાંઓમાં જાગતું શહેર પુસ્તકનો પ્રકાશન સમારંભ

આ કોલમમાં પ્રગટ થયેલા લેખોમાંથી પસંદ કરેલા ૮૦ જેટલા લેખોનું પુસ્તક ‘સપનાંઓમાં જાગતું શહેર’ આવતી કાલે (રવિવાર, ૨૯ માર્ચ) પ્રગટ થઈ રહ્યું છે. અમદાવાદના નવજીવન સાંપ્રત દ્વારા પ્રકાશિત આ પુસ્તકનો વિમોચન સમારંભ સાંજે છ વાગ્યે જીતેન્દ્ર દેસાઈ મેમોરિયલ હોલ, નવજીવન ટ્રસ્ટ કેમ્પસ, ગૂજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે સાંજના ૬ વાગ્યે યોજાયો છે. આ કાર્યક્રમમાં પુસ્તકના લેખક દીપક મહેતા, જાણીતા સમાજશાસ્ત્રી, અધ્યાપક અને સંશોધક ડો. ખેવના દેસાઈ, સાહિત્ય, નાટક, ફિલ્મ, સંગીત, અને બીજી કલાઓ સાથે સંકળાયેલા શ્રી રામ મોરી, તથા અન્યો ભાગ લેશે. આ કાર્યક્રમમાં સૌ સાહિત્યપ્રેમીઓ સહભાગી થઈ શકે છે.   

e.mail : deepakbmehta@gmail.com
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 28 માર્ચ 2026

Loading

મારે મોગલ ને ફુલાય પિંજારા 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 March 2026

રવીન્દ્ર પારેખ

આ કહેવતનો સાદો અર્થ કામ કોઈ કરે ને જશ બીજો ખાટે એવો છે. આ યાદ આવવાનું એટલે બન્યું કે આજકાલ વોટ્સએપ યુનિવર્સિટીમાં મેસેજનો એટલો મારો થાય છે કે ઘણાં મેસેજ તો જોવાતા જ નથી. એમાં કામના કેટલાક મેસેજ રહી જાય તો અફસોસ પણ થાય છે. મોટે ભાગના મેસેજો ફોરવર્ડ થયેલા જ હોય છે. એક કાળે માતાજીના, ભગવાનના પોસ્ટકાર્ડ લાલ શાહીથી લખાતા ને તેમાં માતાજીના પરચાની વાત કરીને એવા બીજા દસ પોસ્ટકાર્ડ લખવાનું કહેવામાં આવતું અને કેવો લાભ થશે કે પોસ્ટકાર્ડ ન લખવાથી કોનું કેટલું નુકસાન થયેલું તેની વિગતો પણ અપાતી. આમ કરવાથી શાહીના, પોસ્ટકાર્ડના ખર્ચ સિવાય કેટલો લાભ કે ગેરલાભ થતો તે તો લખનાર કે મોકલનાર જ કહી શકે. 

એ જ પદ્ધતિ વોટ્સએપમા વપરાય છે. એમાં પણ અમુક મેસેજ, દસ જણને મોકલો તેવો આદેશ અપાય છે ને તે મોકલવામાં લાભ અને ન મોકલવામાં ગેરલાભની વિગતો પણ અપાય છે. આ મેસેજ ધમકી જેવો જ હોય છે. આમ કરવાથી આમ થશે ને ન કરવાથી નુકસાન થશે એવી વિગત ચેતવણીના સૂરમાં અપાતી હોય છે. કેટલાંક ડરીને, મેસેજ દસ જણાને ફોરવર્ડ કરે છે, તો કેટલાંક તેને અવગણતા પણ હોય છે. એવા મેસેજ ધાર્મિક જ હોય એવું જરૂરી નથી, તે ધર્મકારણ ઉપરાંત રાજકારણના, સમાજકારણના પણ હોઈ શકે છે. કમાલ તો એ છે કે મેસેજ મોકલનાર પોતાની ચાર લીટી લખવા સક્ષમ નથી હોતો, પણ તે બીજાના આવેલા મેસેજ ફોરવર્ડ કરવામાં ધન્યતા અનુભવે છે. અગાઉ કરતાં આજે ફરક એ પડ્યો છે કે દસ પોસ્ટકાર્ડનું સ્થાન હવે દસ પંદર ગ્રૂપોએ લઈ લીધું છે, જેની સભ્ય સંખ્યા સેંકડો- હજારોમાં હોય છે.

સુધારો તો એ પણ થયો છે કે મેસેજ હવે અંગ્રેજી, હિન્દી કે ગુજરાતીમાં ફોરવર્ડ થાય છે. મેસેજ મોકલનારે તો મેસેજ મોકલ્યો જ હોય છે, પણ તેને ફોરવર્ડ કરનાર, આટલાને ફોરવર્ડ કર્યા એ વાતે એમ જ ફુલાતો ફરતો હોય છે. મારે મોગલ ને ફુલાય પિંજારા, બીજું શું? હવે પિંજારાને બદલે કોઈ પિંઢારા મૂકે તો ય બહુ ફરક પડતો નથી.

મીડિયામાં જે કોમેન્ટ્સ આવતી હોય છે તે એક જુદી જ ખુમારી કે ખુવારી દર્શાવે છે. કેટલાં ય દૃશ્યો – રીલ્સ – જૂની કુટુંબપ્રથાનો મહિમા કરતાં ઊતરે છે, પણ એમાં મૌલિકતા ઓછી હોય છે, ઘણીવાર તો જૂની ફિલ્મોનાં દૃશ્યોની સાથે, જે મેટર મુકાય છે, તે ભાગ્યે જ મૌલિક હોય છે ને એને લાઈક કરનારા, અંગૂઠા મારનારા કે કોમેન્ટ્સ કરનારા પણ મૌલિક નથી હોતાં. ઘણાં તો અંગૂઠા મારીને રાજી રહે છે. કેટલીક રીલ ખરેખર ક્રિએટિવ હોય છે, પણ એવું બહુ ઓછું બનતું હોય છે. ઘણાં કોઈની કવિતા કે લેખ એટલાં આત્મસાત કરી લે છે કે મૂળ લેખક કે કવિને સ્થાને પોતાનું નામ દૈવી સિદ્ધિની જેમ મૂકે છે. ઈન્સ્ટાગ્રામ કે ફેસબુક પર કેટલીક રીલ સલાહ સૂચના માટે, ઉપદેશ આપવા કે જાત પ્રચાર માટે મુકાય છે. આમ અરીઠા છાપ હોય, પણ વાતો ને ઉપદેશ એવી સ્ટાઈલથી કરે કે કોઈ સંત કે જ્ઞાની ફિક્કા લાગે. સલાહ આપવાનો અત્યારે વાવર ચાલે છે. એ મીડિયામાં ને ખાસ કરીને અખબારોમાં વધારે વકરેલો છે. કેટલાંક અખબારો તો વાચકોને ધમકાવવાનું જ કરે છે. દૂધ સંપૂર્ણ ખોરાક છે, એવું ભણેલો ડોસો વાંચે કે દૂધ હાનિકારક છે, તો તેને પસ્તાવો થાય કે આટલાં વર્ષો પાણીમાં ગયાં ! એટલાં બધાં મૂલ્યોની પથારી ફરી ગઈ છે કે સાચું, ખોટું થઇ ગયું છે ને ખોટું, સાચું લાગવા માંડ્યું છે. એમ લાગે છે કે જે આવે છે, તે કોઈકનું કરી નાખવા જ આવે છે. એટલાં દુષ્કર્મો, છેતરપિંડી ને ભ્રષ્ટાચાર ચાલે છે કે ક્યાં ય સંવેદનોને સ્થાન જ નથી. ક્યાંક થોડું સારું થતું પણ હશે, પણ મોટે ભાગે તો સૌ એકબીજાને વધેરી નાંખવાનું જ ગૌરવ લેતાં હોય છે. છૂટાછેડા, હત્યા ને આત્મહત્યાનું પ્રમાણ એવું ઘનઘોર છે કે પ્રાયશ્ચિત કરવાનો સમય પણ કોઈ કાઢવા નથી માંગતું. 

અખબારોમાં તાટસ્થ્ય પણ ઘટતું આવે છે. કેટલાંક અખબારો શાસકપક્ષની તરફેણમાં લખે છે, તો કેટલાંક વિપક્ષની આરતી ઉતારે છે. એમાં સમાચારોમાં પણ મોચમરોડ આવે છે, પરિણામે વાચકોને સાચું ચિત્ર જોવા નથી મળતું, ખાસ કરીને ભારતીય રાજકારણનું. અમુકતમુકની ફેવર કરવામાં કે અમુકતમુકની ટીકા કરવામાં જનતા એ નક્કી જ નથી કરી શકતી કે સાચું શું છે? અત્યારે ગેસની, પેટ્રોલ, ડિઝલની  કટોકટી ઊભી થઈ છે, એમાં બે સ્પષ્ટ મત પ્રગટ થતા રહે છે. એક કહે છે કે પેટ્રોલ, ગેસની તંગી નથી, પૂરતી માત્રામાં છે બધું. બીજો મત એવો છે કે ગેસ, પેટ્રોલની તંગી છે. એ મત એટલે સાચો લાગે છે કે પંપ પર લાંબી લાઈનો પેટ્રોલ, ડિઝલ માટે લાગે છે, લોકોએ રાંધણ ગેસના બાટલા માટે કલાકો તપવું પડ્યું છે. 

અફવાઓને કારણે લોકો ધસારો કરે છે એ સાચું, પણ અફવા સાવ પાયા વગરની નથી હોતી. રોજ અફવા નથી ફેલાતી, તે તંગીમાં જ ફેલાય છે, એનો અર્થ એ થયો કે કંઈક તો ખૂટે છે, નહીં તો અફવા ફેલાય જ કેમ? વડા પ્રધાન પોતે સંસદમાં પશ્ચિમ એશિયાઈ દેશોમાં યુદ્ધની વ્યાપક અસરો વર્તાઈ રહ્યાનું કહેતા હોય કે ગેસ, ડિઝલ,પેટ્રોલ અને ફર્ટિલાઈઝર્સની અછતનું સ્વીકારતા હોય કે યુદ્ધને લીધે ભારત પણ ગંભીર ઊર્જા સંકટનો સામનો કરી રહ્યાનું કબૂલતા હોય કે યુદ્ધથી ભારતના વેપારના માર્ગો પ્રભાવિત થઇ રહ્યાનું જાહેર કરતા હોય, તો મીડિયા સબ સલામતની ઘંટી કઈ રીતે વગાડી શકે? મીડિયાને આવી ભાટાઈ ન પરવડવી જોઈએ. હકીકત જાહેર કરવા કરતાં સંતાડવાનું વધારે ઘાતક છે ને કમ સે કમ પ્રિન્ટ મીડીયાએ તેનાથી બચવું જોઈએ.

અત્યારે યુદ્ધનો માહોલ છે ને ઘણાં વિશ્વ યુદ્ધ સુધીની આગાહી કરી રહ્યા છે, એ સંજોગોમાં સમાચાર માધ્યમોએ જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ. સમાચાર સંતાડવાના નથી, પણ તેમાં મરચું-મીઠું ભભરાવીને તેને પરાણે રોચક બનાવવાના પ્રયત્નો પણ ઠીક નથી. યુદ્ધખોર દેશોને તો બહુ ફરક પડતો નથી, પણ સાધારણ નાગરિકો જે ટેન્શન અનુભવે છે તેની પ્રતિક્રિયાઓ ઘણી રીતે જોખમી નીવડી શકે એમ છે. એક જ સમાચાર ઈરાન અને ઇઝરાયલના જોઈએ. 6 માર્ચના ઈરાનને લગતા સમાચાર કૈંક આવા છે : યુદ્ધ જહાજ પર હુમલાના જવાબમાં ઈરાને અમેરિકાના ઓઈલ ટેન્કરનો સફાયો કર્યો. 9 માર્ચના એક અખબારમાં એક સમાચાર આમ પ્રગટ થયા છે: ઈરાનના ઓઈલ ડેપો તબાહ: તેલનો વરસાદ: જ્વાળાઓમાં ઘેરાયું તહેરાન – ઇઝરાયલે લેબેનોનમાં ટોક્સિક બોમ્બ ફેંક્યા, તહેરાનમાં ધુમાડો જ ધુમાડો ! એક તરફ ઈરાને કરેલા હુમલાની વાત કે ઇઝરાયલના હુમલાની વાત ચાલ્યા જ કરે છે. સમાચાર આપવા જ જોઈએ એની ના જ નથી, પણ સામસામે હુમલાઓની વિગતો ઉશ્કેરણી કરવાની રીતે અપાય તો તે ઠીક નથી. આપણે તો યુદ્ધને કિનારેથી જોઈએ છીએ, પણ જે દેશો એ ભોગવે છે ને ત્યાંના સામાન્ય નાગરિકોનો જીવ તાળવે ચોંટે છે તે કદી પણ પરસ્પર બે દેશોને ઉશ્કેરતા સમાચારોથી રાજી નહીં જ થાય. આ બધું ‘શકટનો ભાર જ્યમ શ્વાન તાણે’ની જેમ ચાલ્યા કરતું હોય છે. લડનારા લડે ને છાપનારા ચટખારા લઈને છાપે એ બરાબર નથી. મારે મોગલ ને ફુલાય પિંજારા – જેવું ન થવું જોઈએ.  

આ ને આવા ઘણાં સમાચારો વિવેક બાજુ પર મૂકીને અપાય છે. એવા તો ઘણાં સમાચારો, ધરતીકંપના, આરોગ્યના, રાજકારણના, સમાજજીવનના એવી રીતે છપાય છે કે તે વાચકને સમભાવથી લેતા નથી તેની ચાડી ખાય છે. કેટલાક સમાચારો તો રીતસર ધમકી, લાલચ, ચેતવણીની રીતે જ અપાય છે. કટોકટીનો સમય છે તો ગમે ત્યારે લોકડાઉન લાગુ પડે એમ છે, તો ચીજ વસ્તુઓનો સ્ટોક કરી રાખો. અમુક તારીખે અમુક ઝડપે પવન ફૂંકાશે ને ભારે વરસાદ થશે-ની વિગતો સલામતીની રીતે ન અપાતી હોય ને ડરાવવા કે ચેતવણીની રીતે અપાય તો પણ, સામાન્ય જનની હાલત કફોડી થતી હોય છે. 

કોણ જાણે કેમ પણ અખબારો રોગની માહિતી આપે છે એટલી, ઉપચારની આપતાં નથી. એ કદાચ તેમના અખબારી ધર્મમાં નહિ આવતું હોય, તેથી કે તે તેમની જવાબદારી જ ન હોય એટલે, તે ખબર નથી …. 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 માર્ચ 2026

Loading

અસત્યના પ્રયોગો  

સંગીતા પટેલ|Opinion - Opinion|26 March 2026

કહેવાતા અસત્ય પર કથિત સત્યનો, રાવણ પર રામનો, માની લીધેલા સત્યના શૂરાતનનો દિવસ એટલે દશેરા. 15 ઓક્ટોબર 2002ના દિવસે હરિયાણાના જઝ્ઝાર  ગામે દશેરાની ઉજવણી પૂરી કરી ટોળું કંઇક આવા ઉન્માદે પાછું વળતું હતું. વળતા રસ્તે આ ટોળાએ મૃત ગાયની ચામડી ઉતારતા પાંચ ચર્મકારોને જોયા અને ગૌરક્ષા ભાવના તેમના માથે સવાર થઇ ગઇ. ગુસ્સાથી અંધ ટોળાને જોઇ આ ચર્મકારો ભાગ્યા. ટોળું પણ પૂરજોશથી તેમની પાછળ પડ્યું. 

રસકસ વિહોણી થતાં માલિકોએ તરછોડી દીધેલી, રસ્તે રઝળીને પ્લાસ્ટીક ચાવી પેટ ભરી લેતી ગાયો જોઇને આ ગૌપ્રતિપાલકોને કઇ લાગણી થતી હશે ખબર નહિ પણ, ગાયનું હાડપિંજર જોતાં ધર્મભાવના જાગૃત થઇ આવી અને દશેરાની ઉજવણીની જે કાંઇ ભજવણી બાકી રહી ગયેલી તે પૂરી કરવાના સંકલ્પે પાંચેય દલિતોને જીવતા મારી નાખ્યા, મૃત દેહ ફાડી નાખ્યા, પાંચમાંથી બેના ચહેરા બાળી નાખ્યા. ગૌમાતાની પૂજા આટલાથી અટકતી ન હતી. સૌથી વધુ વક્રોક્તિ તો એ હતી કે, ગાયના મૃત્યુનો સમય નક્કી કરવા ગાયનું શબ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું. અને એ ટોળાએ દશેરાની ઉજવણી પૂરી કર્યાનો નિરાંતનો દમ લીધો. હિંદુ ધર્મના મિથકમાં અસુર વધની જેમ. 

નાયબ પોલીસ અધીક્ષક, સીટી મેજિસ્ટ્રેટ, નાયબ તાલુકા મામલતદાર અને લગભગ પચાસ પોલીસ કર્મચારીઓની હાજરીમાં સાંજે છ વાગ્યાથી શરૂ થયેલું આ રમખાણ રાતના દસ વાગ્યા સુધી ચાલ્યું. ધર્મના નામે, ગૌવધના નામે ખેલાતા રાજકારણમાં ગામેગામ ગૌરક્ષા સમિતિઓ ઊભી થઇ ગઇ.

14 ઓગસ્ટ 2014ના દિવસે હરિયાણામાં માંસના મુસ્લિમ વેપારીને દિલ્હીની સરહદે મારી નાખવામાં આવ્યો. 23 ઓગસ્ટ 2024ના રોજ પમ્પવેલ, કર્ણાટકમાં પશુઓને લઇ જતી વાન પર ટોળાએ હુમલો કર્યાો. 28 સપ્ટેમ્બર 2015માં ઉત્તર પ્રદેશમાં દાદરી ગામે હુમલાખોરોએ બાવન વર્ષના મહમદ અખલકની હત્યા કરી અને તેના પુત્ર ડેનીશને ઇજાગ્રસ્ત કર્યા. મુસ્લિમ સામે હિંસા આચરવાનું સૌથી સબળ કારણ હતું “ગૌહત્યા”. 

સેન્ટર ફોર સ્ટડીઝ ઇન ઇન્ટરનેશનલ રીલેશનCERT)ના રીસર્ચ ફેલો અને જાણીતા લેખક ક્રીસ્ટોફ જેફ્ફરલોટ લખે છે, “ગૌરક્ષકોની કામગીરી શાસકોને અનુકૂળ છે. આ કહેવાતી સ્વયંભૂ હિંસાથી રાજ્ય કસુરવાર પણ થતું નથી અને હિન્દુવાદી અનુયાયીઓ કાયદો તેમના હાથમાં લે છે ત્યારે તેમનો શુભાશય સ્વધર્મના રક્ષણનો હોય છે. આ વ્યવસ્થાનું નૈતિક અને રાજકીય અર્થકારણ તો એથી પણ વધુ સુસભ્ય છે : રાજ્ય લઘુમતીઓને ખુલ્લેઆમ હેરાન કરી શકે નહિ પણ આ સ્વયંસેવકોને તેમ કરવા દઇને સરકાર બહુમતીની લાગણી પોષે છે.”

ગૌહત્યાના નામે ચર્મકારો પર હિસક હુમલા કરી તેમને આર્થિક રીતે પણ પાયમાલ કરવાની આ દિશામાં ગુજરાતમાં સર્જાયેલો “ઉનાકાંડ” અને તેની સામે ઊભો થયેલો પ્રતિરોધ અને પ્રત્યાઘાત સ્વાભિમાન ઝંખતા દલિતોનું લોક આંદોલન હતું. 11 જુલાઇ 2016ના રોજ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક મોટા સામઢિયાળા ગામમાં એક દલિત પરિવારના સાત સભ્યો મૃત ગાયનું ચામડું ઉતારતા હતા. ત્યાં બે ગાડીમાંથી કેટલાંક માણસો ઉતર્યા અને ગૌરક્ષકો હોવાનો દાવો કર્યો. દલિતોએ આ ગૌરક્ષકોને તેઓ મૃત ગાયનું ચર્મકામ કરતા હોવાનું જણાવ્યું. પણ તેમની વાત સાથે આ માણસો સંમત થયા નહિ. એ લોકોએ ચર્મકારોને લોખંડની પાઇપ, લાકડી અને ચાકુથી માર્યા. ત્યારપછી તેમાન ચાર દલિતોને ગાડીમાં નાખી ઉના ગામે લઇ ગયા અને ત્યાં તેમના કપડાં ઉતારી ફરી જાહેરમાં માર્યા. અને આ હુમલાનો વીડિયો ઉતારી વાઇરલ કર્યો. 

હિન્દુવાદી વીરતા પ્રદર્શનના આ પ્રયોગે ગુજરાતના દલિતોને ઝકઝોર્યા. મહારાષ્ટ્રના દલિતોની જેમ. મહારાષ્ટ્રના ખેલરાંજી ગામે એક જ પરિવારના તમામ સભ્યોની ધોળે દિવસે જાહેરમાં નિર્મમ હત્યાના પગલે મહારાષ્ટ્રના દલિતોનો આક્રોશ ભભૂક્યો એ પછી જ આ ક્રૂરતાની સમગ્ર દેશે નોંધ લીધી હતી. ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખાસ કરીને દલિતોની ભાતૃત્વ ભાવના વર્ષોથી ઘણી મજબૂત છે. બંને રાજ્યોના દલિત સંઘર્ષની તવારીખ અને સ્વરૂપ ઘણા મળતા રહ્યા છે. ઉનાકાંડે આ ભાતૃત્વ દોહરાવ્યું. આત્મવિલોપનના ત્રેવીસ બનાવો બન્યા, તેમાં એક વ્યક્તિનું મૃત્યું પણ થયું. કલેક્ટર કચેરી આગળ મરેલા ઢોર નાખવાના દેખોવો પણ થયા અને ચર્મકામ નહિ કરવાના શપથ લેવાયા. આ એક લોકજુવાળ હતો. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ હેઠળ મોટી સભા યોજાઇ અને “દલિત અસ્મિતા યાત્રા”એ સૌરાષ્ટ્ર પંથકને ઘમરોળી દીધો. દલિત સ્વાભિમાનને લોહીલુઙાણ કરતા બોલતા પુરાવાને પરિણામે પોલીસ અધિકારી સહિત 43 લોકોની ધરપકડ કરવામાં આવી. પણ યુવા વર્ગથી સમાજકારણની નવી ધરી રચાય, આંબેડકરવાદી વિચારધારા તેના ખરા સ્વરૂપે મજબૂત થાય અને દેશની નિર્ણય પ્રક્રિયામાં દલિતો સહભાગી બને તે સ્થિતિએ દલિતો પહોંચે તે વખત માટે કદાચ ઘણી રાહ જોવી પડશે. 

1995માં કેશુભાઈની સરકાર વખતે પહેલીવાર પર્યુષણ દરમિયાન અઠવાડિયું કતલખાના બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી. વિદ્વાન ધારાશાસ્ત્રી અને માનવ હક હિમાયતી સ્વ. ગિરીશભાઈ પટેલ રાઇટ ટુ ફુડના સિદ્ધાંત પર હાઇકોર્ટમાંથી આ નિર્ણય સામે સ્ટે ઓર્ડર લઇ આવ્યા. કાનૂની માર્ગે આવી પ્રખર વિદ્વતા અને પ્રતિબદ્ધતાની ખોટ વર્તાય છે. 

         જાતપાંત કે ફેરમાંહિ, ઉરઝિ રહઇ સબ લોગ 

         માનુષતા કૂં ખાત હઇ, રૈદાસ જાત કર રોગ. 

જાતપાતની અધોગતિને સંત રોહિદાસ સદીઓ પહેલા પારખી ગયેલા. કદાચ સ્વાનુભવે આ પંક્તિઓ તેમના મુખેથી સરી પડી હશે. સમગ્ર માનવજાતની ચિંતા કરતા આ સંતે કહેલું જાતિવાદના ચક્કરમાંથી માણસ જાત બહાર નહિ આવે તો આ રોગ સંપૂર્ણ માનવતાને ભરખી જશે. તેમણે વિચારેલું “બેગમપુરા” એટલે કે કોઇપણ ગામ. દુ:ખ વગરનો સમતામૂલક સમાજ રચાવાના એંધાણ હજી દેખાતા નથી. તેમના શબ્દોને આચરણમાં મુકવાને બદલે પરંપરાગત વિષમતાઓ વધુ જડબેસલાક બનતી દેખાય છે. 

જેલવ્યવસ્થા અને ગુનાઇત માનસ બદલવાના ઘણા પ્રગતિશીલ પ્રયોગો વિશ્વભરમાં થઈ રહ્યા છે. છેલ્લી કક્ષાએ જઇ માણસના સ્વાભિમાનનું હનન કરીને તેનો દેખાડો કરવાની હિન વૃત્તિ બદલવાનો ઇલાજ કદાચ સંત રોહિદાસના આ દોહામાં છે. આ સત્યના પ્રયોગોથી આવી ગુનાખોરી ડામી શકાતી હોય તો જાતિવિહીન સમાજ રચના સાકાર થશે.

e.mail : sanita2021patel1966@gmail.com

Loading

...102030...49505152...607080...

Search by

Opinion

  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …
  • મોહેં-જો-દડોની ‘ડાન્સિંગ ગર્લ’: 4500 વર્ષથી યથાવત્ હતી, 21મી સદીએ તેને ‘સુધારી’?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved