Opinion Magazine
Number of visits: 9950451
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાઝિશ રમકડાંની

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|31 March 2026

ઇબર ક્રાઈમ પોલીસ ચોકીમાં આજે ખૂબ જ ભીડ હતી. આશરે સો જેટલા માણસો પોતાની સાથે છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવવા આવ્યા હતા. પી.આઈ. મહેતા સાહેબે બધાંને એક-એક કાગળ આપ્યો, અને કહ્યું, `તમે બધાં તમારી વિગતવાર ફરિયાદ આ કાગળમાં લખીને આપી દ્યો એટલે અમારે લેવલે તરત જ કાર્યવાહી કરવામાં આવશે. તમારો ફોન નંબર પણ લખજો એટલે જરૂર પડે તમને બોલાવી શકાય.’ 

પી.આઈ. મહેતાસાહેબે બધાંની અરજીઓ લઈ લીધી, જે 100થી પણ વધારે હતી. બધાંને એક અઠવાડિયાનો સમય આપ્યો. એ સમય દરમ્યાન જે કાર્યવાહી થશે, તેની જાણ કરવામાં આવશે, એવું જણાવી, ફરિયાદીને પાછા મોકલી દીધા.

પી.આઈ. મહેતાસાહેબે જોયું, તો બધી અરજીઓ એક સરખી ફરિયાદની હતી. જે તે વ્યક્તિના બેન્કના ખાતામાંથી બીજી કોઈ વ્યક્તિ દ્વારા પૈસા ઉપાડી લેવામાં હતા. આશરે દસ-બાર જુદી જુદી બેન્કની બ્રાન્ચમાંથી આશરે એકાદ કરોડ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. કોઈકના ખાતામાંથી વીસ… પચીસ…સાઈઠ…હજાર..કે બે…ત્રણ લાખ સુધીની રકમ હતી. મોટું બેંક બેલેન્સ ધરાવતા ખાતામાંથી પાંચ લાખથી લઈને દશ લાખ સુધીની રકમ ઉપાડી લેવામાં આવી હતી. જે તે ખાતેદારે બેન્કની બ્રાન્ચનો સંપર્ક પણ કર્યો હતો, તો બેંક દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે તમારા ખાતામાંથી પૈસા ઉપડવાની કાર્યવાહી બેન્કના નિયમ અને પ્રણાલી પ્રમાણે જ થઈ છે, એટલે તમારા ખાતાના વહીવટ માટે તમે જવાબદાર છો, બેંક નથી. બધી જ ફરિયાદવાળી અરજીઓની વિગત જાણી લીધા પછી પી.આઈ. મહેતાસાહેબે  ડી.વાય.એસ.પી. દવે સાહેબનો સંપર્ક કર્યો અને બધી વિગતથી માહિતગાર કર્યા. દવે સાહેબે બધાં જ ફરિયાદીની એક મિટિંગ બોલવાનું કહ્યું અને પોતે પણ હાજર રહી માર્ગદર્શન આપશે.

`તમારા લોકોની ફરિયાદની અરજીઓ મેં વાંચી લીધી છે. મારે તમને થોડાક સવાલ પૂછવા છે. તમે લોકો સાચા જવાબ અને જે જાણતા હો તેની  પૂરી વિગત આપશો, તો અમારું કામ સરળ થશે.`

`તમને બેન્કે આપેલ જવાબ  અત્યારે તો બરોબર લાગે છે. તમારી કોઈ ભૂલથી, કોઈ ત્રાહિત વ્યક્તિએ  પૈસા તમારા ખાતામાંથી ઉપાડી લીધા  હોય, તો બેંક શું કરી શકે.`

ડી.વાય.એસ.પી. દવે સાહેબની વાત અને સવાલો સાંભળ્યા પછી બધાં જ ફરિયાદી મૂંઝાયાં, સાહેબને શું જવાબ આપવો. બધાં કોઈને કોઈ વાત સાથે સંકળાયેલા હતા. એક ફરિયાદીએ કહ્યું, `સાહેબ, આપણા શહેરમાં પંદર દિવસ પહેલાં એક મનપસંદ રમકડાંનો સ્ટોર ખુલ્યો હતો. એ મનપસંદ રમકડાંનો સ્ટોર બંધ થઈ ગયો છે, એવી માહિતી અમને મળી એટલે અમે તપાસ કરી, તો  સ્ટોર અઠવાડિયા પહેલાં બંધ થઈ ગયો હતો. અમારા પૈસા બેન્કમાંથી ઉપડી જવાને અને આ સ્ટોર બંધ થઇ જવા સાથે કોઈ સંબંધ નહીં હોય એવું વિચારીને અમે એ બાબત પ્રત્યે ધ્યાન નહોતું આપ્યું. પણ, સાહેબ, મનપસંદ રામકડાંનો સ્ટોર ખુલ્યો, ત્યારે તેણે એક જાહેરાત કરી હતી. આ જાહેરાતના લોભમાં અમે બધાં આવી ગયાં છીએ અને એ જાહેરાતને અમારી બેંકનાં ખાતામાંથી પૈસા ઉપાડી જવા સાથે  કોઈ ને કોઈ સંબંધ જરૂર છે.` 

દવે સાહેબે પુછયુ,  `એવી તો શું જાહેરાત હતી? કે રમકડાંનો બધો જ માલ વેચી સ્ટોર બંધ કરી જતા રહ્યાં? તેનો માલ પણ ઝડપથી વેચાઈ ગયો એટલે.`

`દવે સાહેબ, મનપસંદ રમકડાંનો સ્ટોર ખુલ્યો, ત્યારે એવી જાહેરાત કરી હતી, કે આ સ્ટોર ટૂંક સમય માટે છે. અમારો બધો જ માલ વેચાઈ જાય પછી અમે સ્ટોર બંધ કરી દઈશું. આ માટે અમે એક ઈનામી યોજના રાખી છે, કે પાંચસો રૂપિયાની કિંમતનું રમકડું ખરીદશો તો પાંચ હજારનું ઇનામ મળશે અને એ લાભ ફક્ત પ્રથમ સો ગ્રાહકને જ મળશે, પછીના ગ્રાહકોને ડીસકાઉન્ટ મળશે, પણ ઈનામનો લાભ નહી મળે, એટલે વહેલી તકે તમારી ખરીદી પતાવી દ્યો, એવી અમારી વિનંતી છે. પ્રથમ સો ગ્રાહકના રામકડામાંથી એક કાર્ડ નીકળશે જેને સ્ક્રેચ કરતા એક મોબાઈલ નંબર નીકળશે. આ મોબાઈલ નંબર ઉપર ફોન કરશો એટલે તમને કહેવામાં આવશે કે તમારું જે બેન્કમાં ખાતું છે, એ ખાતામાં તમે જે મોબાઈલ નંબર રજીસ્ટર કરાવ્યો છે, એ નંબર તમારે  કાર્ડમાં લખેલ મોબાઈલ નંબર ઉપર આપી દેવાનો. એટલે તમારું જે બેંકમાં ખાતા હશે, એ ખાતામાં પાંચ હજાર રૂપિયા જમા થઈ જશે. કાર્ડ ઉપર જે મોબાઈલ નંબર લખ્યો હશે, એ નંબરની જરૂરી કાર્યવાહી અત્યારે ચાલતી હોવાથી લાગશે નહીં. નંબર પંદર દિવસમાં કાર્યરત થશે અને લાગશે. એટલે ઇનામનાં રૂપિયા પાંચ હજાર પંદર દિવસ પછી તમને મળશે. ત્યાં સુધી ગ્રાહકોએ ધીરજ રાખવી પડશે. અમારો સ્ટોર બંધ થઇ ગયો હશે છતાં તમને પાંચ હાજર રૂપિયા ચોક્કસ મળશે તેની અમારી ગેરંટી છે.`

`સાહેબ, પાંચસો રૂપિયાનું રમકડું ખરીદીએ અને પાંચ હજારનું ઇનામ કોને ન ગમે, એટલે બધા ય તૂટી પડ્યા હશે અને સ્ટોરેનો બધો જ માલ ફટાફટ વેચાઈ ગયો હશે. સ્ટોર બંધ થઈ ગયો છે. ત્યાં અત્યારે કાગડા ઊડે છે.`

`સાહેબ, સ્ટોરવાળાએ કહેલી વાત સાચી નીકળી હતી. અમે રમકડામાંથી નીકળેલ કાર્ડને સ્ક્રેચ કર્યું તો એક મોબાઈલ નંબર નીકળ્યો હતો. અમે ત્યારે ફોન કર્યો તો ન લાગ્યો, એટલે અમને `મનપસંદ સ્ટોર`વાળાની વાત પર ભરોસો બેસી ગયો. અમે પંદર દિવસ સુધી રાહ જોઈ. પંદર દિવસ પછી ફોન કર્યો, તો ફોન લાગ્યો. એટલે અમે સ્ટોરવાળાએ કહ્યું હતું એમ કર્યું, માંગી એ બધી માહિતી આપી. અમારા ખાતામાં પાંચ હજાર રૂપિયા જમા થઈ ગયા. અમે બધાં ખુશ થઈ ગયા હતા કે પાંચસો રૂપિયા સામે ચાર હજાર પાંચનો ફાયદો થયો હતો. સાહેબ, તમે જે કંઈ સવાલો અમને પૂછ્યા છે, એ બધાં જ સાચા છે. અમે ફોન કરનાર વ્યક્તિએ કહ્યું એ પ્રમાણે કર્યું હતું. અમે ખુશ હતા. પણ બીજે દિવસે અમારા ખાતામાંથી રકમ ઉધાર થઈ છે એવો બેન્કનો મેસેજ આવ્યો. અમે રકમ તો ઉપાડી નહોતી એટલે બેન્કનો સંપર્ક કરતાં બધું જ બરોબર છે, એવો જવાબ આપી હાથ ઊંચા કરી દીધા. એટલે અમે બધાં આપને ફરિયાદ કરવા આવ્યા છીએ.`

પી.આઈ. મહેતાસાહેબ, ડી.વાય.એસ.પી. દવેસાહેબ વાત સાંભળીને વિચારમાં પડી ગયા કે સાઇબર ક્રાઈમ પણ ફૂલપ્રુફ યોજનાથી કર્યો છે. અને માણસની ઇનામ મેળવવાની લાલચનો અને અજ્ઞાનતાનો પૂરતો લાભ ઉઠાવ્યો છે. 

દવેસાહેબે કહ્યું, `કે યોજના બનાવનારે તમારી સાથે બહુ વ્યવસ્થિત રીતે છેતરપિંડી કરી છે. છેતરપિંડીનો ગુનો બને છે. પણ ગુનો કરનારથી આપણે અજાણ છીએ. કારણ કે આવા સ્ટોર કોઈ કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થતા નથી. એમ જ ખૂલી જાય છે અને બંધ થઈ જાય છે. આજની સ્થિતિમાં આપણને તેના વિશે કોઈ જાણકારી નથી. આવા સાઇબર ક્રાઈમ કરવાવાળા બહુ ચતુર હોય છે. ગુનો કરનારે તમારા ખભા ઉપર રાખીને બંધૂક ફોડી છે. બેન્કમાં જે કંઈ કામકાજ થયું છે. એ કરનાર બીજી વ્યક્તિ છે. તમને છેતરનાર વ્યક્તિ છે, પણ બેન્કના વ્યવહારમાં તમારો જ મોબાઈલ નંબર અને તમે આપેલ ઓ.ટી.પી. થી વ્યવહાર થયો છે. એટલે પૈસા ગુમાવવા માટે તમે પણ એટલા જ જવાબદાર છો.` 

`અમે તમારી ફરિયાદના આધારે કાર્યવાહી ચોક્કસ કરીશું અને તમને તમારા પૈસા પાછા મળી જાય તે માટે અમારા પ્રયત્ન સતત ચાલુ રહેશે. તમને એક વાત જણાવી દઉં, કે  ગુનેગાર પકડાશે તો પણ તમારા પૈસા પાછા મળશે તેની કોઈ ખાતરી નથી. અત્યારે તો તમારે એ ગુમાવ્યા છે એમ માનીને, હવે પછી આવું ન બને તે માટે સતર્ક રહેજો. તમે લોકો પી.આઈ. મહેતાસાહેબને તમારું રમકડું અને જે કાર્ડ નીકળ્યું છે એ પહોચાડી દેજો. એ કાર્ડમાં લખેલ મોબાઈલ નંબર તો બંધ થઇ ગયો હશે. પણ અત્યારે તો એ એક જ પુરાવો છે. જે જેના આધારે આગળ વધી શકાય.`

દવેસાહેબે કહ્યું, `મહેતા, બધાંના કાર્ડમાં એક જ મોબાઈલ નંબર હશે. એ મોબાઈલ નંબરનું સીમકાર્ડ આપનાર દુકાનદારને પહેલાં તો શોધવો પડશે. બીજું તમે એક પ્રેસનોટ આપો કે `મનપસંદ સ્ટોર`માંથી જે કોઈએ રમકડાં ખરીદ્યા છે. અને તેમાંથી જો મોબાઈલ નંબર લખેલું કાર્ડ નીકળ્યું હોય, તો એ તરત જ પોલીસ ચોકીમાં જમા કરાવી દે. મારા માનવા પ્રમાણે આ જે લોકોના ખાતામાંથી પૈસા ઉપાડી ગયા છે એ સિવાયના બીજા કોઈના રમકડામાંથી મોબાઈલ નંબરવાળું કાર્ડ નહીં નીકળ્યું હોય.` 

દવેસાહેબનું અનુમાન સાચું નીકળ્યું. બધાં જ રમકડામાંથી એક જ મોબાઈલ નંબર લખેલું કાર્ડ હતું. તેમ જ જે લોકોએ ફરિયાદ આપી હતી એ સિવાયના બીજા કોઈના રમકડામાંથી મોબાઈલ નંબર લખેલ કાર્ડ નીકળ્યું નહોતું.

દવે સાહેબે કહ્યું, `મહેતા, આપણી સામે જે પરિસ્થિતિ આવી છે એ ઉપરથી મને એમ લાગે છે, કે આ કોઈ બહારની નહીં પણ શહેરની વ્યક્તિનું જ કામ છે. તેમ જ એ વ્યક્તિ કદાચ આ લોકોની આર્થિક પરિસ્થિતિ કે લોભામણી વૃત્તિને જાણતી હશે. તમે તપાસ કરો કે એકાદ મહિનામાં કોઈએ મોટી ખોટ કરી હોય કે શેરબજારમાં કરોડ રૂપિયા ઉપરનું દેવું થઇ ગયું હોય. આ એવી જ કોઈ વ્યક્તિ છે કે જેને તાત્કાલિક પૈસાની જરૂરિયાત છે. કદાચ તેણે કોઈ ટેકનોલોજીના જાણકારની મદદ પણ લીધી હોય. પહેલાં મોબાઈલનું સીમકાર્ડ આપનારને શોધી કાઢો એટલે બાકીની વિગત સરળતાથી મળી જશે.”

મહેતાસાહેબ માટે મોબાઈલનું સીમકાર્ડ આપનારને શોધવો એ અઘરું કામ નહોતું, એ મળી ગયો અને પોપટની જેમ બોલીને જગુ સટોડિયાના વટાણા વેરી દીધા. જગુ સટોડિયાનો બિઝનેસ જ શેરબજારમાં સટ્ટો કરવાનો હતો. મહેતાસાહેબે બીજી માહિતી એ પણ મેળવી લીધી કે જે ફરિયાદી હતા એ જગુ સટોડિયાના ગ્રુપના હતા. જગુ સટોડિયાને તે લોકોની આર્થિક સધ્ધરતાની ખબર હતી. 

આટલી માહિતીને આધારે અને પુરાવા વગર જગુ સટોડિયાને પકડવો કેવી રીતે? એ પ્રશ્ન હતો. તેનો પણ ઉકેલ મળી ગયો, જગુ સટોડિયાએ એક ભૂલ કરી હતી કે ફરિયાદીના ખાતામાંથી પૈસા પોતાની કંપનીના ખાતામાં સીધા ટ્રાન્સફર કર્યા હતા. આ બધી માહિતી મહેતાસાહેબે એકઠી કરીને દવેસાહેબને આપી. દવે સાહેબે, તરત જ જગુ સટોડિયાને પોલીસ ચોકી મળવા બોલાવ્યો.

`મારું શું કામ પડ્યું, સાહેબ? હું, તો ઈમાનદારીથી બિઝનેસ કરું છું.`

`અમારે તો એટલું જ જાણવું છે કે તમારી બેન્કે અમને માહિતી આપી છે કે તમારી કંપનીના ખાતામાં બે દિવસમાં એક કરોડ ઉપરની રકમ જમા થઇ છે. એ રકમ તમારી કંપનીના ખાતામાં ક્યાંથી આવી એ અમારે જાણવું છે. આમ તો આ પ્રશ્ન ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટનો છે. પણ અમારી પાસે સો ઉપરની ફરિયાદ આવી છે કે તેમના ખાતામાંથી કોઈ અજાણી વ્યક્તિએ પૈસા ઉપાડી લીધા છે. એ અજાણી વ્યક્તિ તમે છો? કારણ કે પૈસા તમારી કંપનીના ખાતામાં જમા થયા છે. બસ, આ પ્રશ્નનો જવાબ આપી દ્યો, એટલે તમે છૂટા.`

જગુ સટોડિયો ગેંગેંફેફે થઇ ગયો. `સાહેબ, બધાં ફરિયાદીએ તેમના નામે સટ્ટો કરવા માટે મને પૈસા આપ્યા છે. મેં, મેં કંઈ ખોટું કર્યું નથી.`

`પંદર દિવસ પહેલાં તે એક રમકડાનો સ્ટોર, `મનપસંદ`નાં નામે શરૂ કર્યો હતો અને રમકડાં વેચાઈ ગયા પછી એ બંધ પણ કરી દીધો. ચાલો એ વાત તો બરોબર છે. પણ જેના ખાતામાંથી પૈસા ઉપડી ગયા છે એ ફરિયાદીના રમકડામાંથી નીકળેલ કાર્ડમાં મોબાઈલ નંબર લખેલો છે. જેનું સીમકાર્ડ, તે ખોટા દસ્તાવેજ આપીને પંદર દિવસ પહેલાં ખરીદ્યું  હતું. પણ ત્યારે તે એકિટવેટ નહોતું કરાવ્યું, જે તે ત્રણ દિવસ પહેલાં કરાવ્યું હતું. જેથી કાર્ડમાં લખેલ મોબાઈલ નંબર લાગે અને તું તારી યોજનામાં સફળ થઇ જા. અમારી પાસે તારી પૂરી કરમકુંડળી છે. હવે, આ ધંધો શું કામ કર્યો? એ કહી દે, અને જેના પૈસા લીધા છે એ પાછા આપી દે.`

જગુ સટોડિયા પાસે ગુનો કબૂલી લેવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. જગુએ કહ્યું, `સાહેબ, તમારી બધી જ વાત સાચી છે. મને સટ્ટામાં બહુ મોટી ખોટ ગઈ હતી. મેં મારા કસ્ટમર પાસેથી લોન માંગી, એ લોકોએ ન આપી. એટલે મેં આ રસ્તો લીધો. એમાં મેં ખોટું શું કર્યું? હું એ લોકોની પાઈપાઈ ચૂકવી આપીશ. અત્યારે તો મારી પાસે પૈસા નથી. તમારી પાસે એ પણ માહિતી હશે જ, કે મારી કંપનીના ખાતામાં જમા થયેલા પૈસા મારા લેણદારને ચૂકવાઈ ગયા છે. અને એટલે તો અત્યારે તમારી સામે છું, બાકી…..`

દવેસાહેબે કહ્યું, `તે જાણી કોઈને તારા જ કસ્ટરને છેતરીને સાયબર ક્રાઈમનો ગુનો કર્યો છે એટલે હવે જેલની હવા ખાવી પડશે. અમે તારી મિલકત વેચીને ફરિયાદીના પૈસા વસૂલી લઈશું.`

મહેતાસાહેબે કહ્યું, `સાહેબ, આ વખતે તો સરળતાથી આપણે સાઈબર કેસ સોલ્વ કરી શક્યા. પણ, જો, લોકો બેન્કની સૂચનાઓનો અમલ નહીં કરે તો લોકોનાં નાણાં સો ટકા ડૂબી જવાના છે.`

`હા, મહેતાસાહેબ, લોભી હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે.`

(ભાવનગર)
e.mail : Nkt7848@mail.com

Loading

શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|30 March 2026

રવીન્દ્ર પારેખ

આંગળાં ચાટીને પેટ ભરવામાં ગુજરાતનું શિક્ષણ ખાતું, ખાસું પાવરધું થઈ ગયું છે. પ્રાથમિક શિક્ષણનો સર્વનાશ કરવામાં, બીજું કોઈ નહીં, પણ સરકાર જ જવાબદાર છે. શિક્ષકો પાસે મહિનાઓ સુધી SIRની મજૂરી કરાવીને માસ્તરો માંડ સ્કૂલે જતા થયા, ત્યાં વસ્તી ગણતરીનો વેપલો પણ તેમની જ પાસેથી કરાવવાની સરકારે પ્રતિજ્ઞા લીધી છે. તે એટલે કે સરકાર જાણે છે કે માસ્તરો તો પાળેલા છે ને તે ગમે એટલું થાય તો પણ માથું ઊંચકવાના નથી. તેમના પર ગમે એટલો બોજ પડે, તો પણ તે વેઠી જ લેવાના છે. તેમને સ્વમાન જેવું નથી કે માથું ઊંચકે. એકલદોકલ શિક્ષક હોય તો વાંધો ન ઉઠાવે, પણ આખા રાજ્યમાં હજારો શિક્ષકો પણ વિત્ત વગરનાં હોય, ત્યાં સરકાર ધારેલું કરાવે તેમાં નવાઈ નથી. BLOની કામગીરીમાં, બોર્ડની પરીક્ષામાં જોતરીને સરકાર ધરાઈ નથી, એટલે વસ્તી ગણતરી-2027 શરૂ થવા જઈ રહી છે ને તેમાં ૩૦૦થી વધુ આચાર્યો સહિત અનેક શિક્ષકોના ઓર્ડર કાઢવામાં આવ્યા છે. આમાં અસહ્ય એ છે કે આચાર્યોને પણ જોડવામાં આવ્યા છે. આચાર્યો જો વસ્તી ગણતરીમાં જશે, તો શાળાનું સંચાલન કરવાનું જ ન રહે ને એવું થાય તો પૂરો રકાસ થઈ શકે એવું સરકારનું લક્ષ્ય છે.

વસ્તી ગણતરી તાલીમની સમાંતરે ૩ એપ્રિલથી પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા શરૂ થવા જઈ રહી છે, એને લીધે શિક્ષકોની ચાલી આવતી ઘટ વચ્ચે સ્કૂલોમાં શિક્ષકો ને આચાર્યો હાજર નહીં રહી શકે. એ સંજોગોમાં પરીક્ષા કેમ લેવાશે ને એમાં કેટલો ભલીવાર હશે તે પ્રશ્ન જ છે, કારણ કે શિક્ષકોની તંગી વચ્ચે અન્ય શિક્ષકોએ બેત્રણ વર્ગો સંભાળવા પડે એમ બને. આ વસ્તી ગણતરી કંઇ નજીકમાં પૂરી થવાની નથી, તે મહિનાઓ સુધી ચાલશે, એ સ્થિતિમાં બાળકોનું શિક્ષણ ને તેમની પરીક્ષાઓ કેટલી હદે પ્રભાવિત થશે, એની તો કલ્પના જ કરવાની રહે છે. શિક્ષકોની લાંબી ગેરહાજરી વચ્ચે શિક્ષણનો તો દાટ જ વળવાનો છે. સમિતિને નિર્દોષ બાળકોનાં શિક્ષણ સામે શી દુશ્મનાવટ છે, તે નથી ખબર, પણ બાળકો ભણે જ નહીં, એની પેરવીમાં સરકાર છે. વર્ગમાં શિક્ષક જાય જ નહીં ને સરકારની ઈતર પ્રવૃત્તિઓમાં જ વ્યસ્ત રહે એ સરકારનો એકમેવ હેતુ છે. શિક્ષક પગાર શિક્ષણનો લે ને કામ સરકારનું કરે એવી ગણતરી છે ને હવે તો શિક્ષક ઘેટાંની જેમ નતમસ્તક રહેવા ટેવાઈ ગયો છે, એટલે ચાલે છે બધું.

આ સરકાર બાળકોની શત્રુ ન હોત, તો ખાવાપીવાને મામલે તે કંજૂસની જેમ વર્તતી ન હોત. મોટે ઉપાડે સરકાર યોજનાઓ તો ઘણી કરે છે, પણ પછી તે યોજનાઓ બંધ કરે છે, અથવા તો તેમાં એવો કાપ મૂકે છે કે યોજના ચાલુ રહે કે બંધ, બહુ ફરક ના પડે. એક તરફ ‘કુપોષણ મુક્ત ગુજરાત’નો પ્રચાર થતો હોય ને તેને માટે કરોડોનો ખર્ચ થતો હોય, એ સ્થિતિમાં રાજ્યમાં બે લાખ બાળકો કુપોષિત હોવાનું સામે આવે તો સરકારનો ખર્ચ બીજાની હોજરી ભરવા જ થતો હોવાનો વહેમ પડે. રાજ્યની 32,277 શાળાઓના 38 લાખ જેટલાં બાળકોને બપોરનાં ભોજન ઉપરાંત અલ્પાહાર માટેની ‘મુખ્ય મંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ શરૂ કરવામાં આવી. મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ દર વર્ષે 40 લાખ બાળકો પાછળ 1,27૩ કરોડ રૂપિયા ખર્ચાય છે. અલ્પાહાર યોજના અંતર્ગત બાળકોને કુપોષણથી બચાવવા બાલ વાટિકાથી ધોરણ 8 સુધીનાં વિદ્યાર્થીઓને નિયત માત્રામાં પૌષ્ટિક અલ્પાહાર, વર્ગશિક્ષણ શરૂ થાય તે પહેલાં, પ્રાર્થના સમયે આપવામાં આવતો હતો, જેની વિદ્યાર્થી દીઠ 5 રૂપિયા કિંમત નક્કી કરવામાં આવી હતી. આટલી મોંઘવારી છતાં, 5 રૂપિયામાં સરકારે કોઈ વધારો કર્યો નથી. એથી ઊલટું આર્થિક ભારણ વધારાનાં બહાના હેઠળ પાંચ રૂપિયામાં જ 50 ગ્રામનો નાસ્તો ઘટાડીને સરેરાશ 46.83 ગ્રામ કરી દેવામાં આવ્યો હતો. આમ દશાંશ પદ્ધતિ મુજબ નાસ્તો આપવો પડે કે 50ના 38 ગ્રામ સુધી તે ઘટી આવે, તો આ બધું કોને માટે થાય છે એ સરકાર નથી જાણતી?

નાસ્તામાં થોડી વધઘટ તો સહજ ગણાય, પણ સરકાર એટલી બધી ગરીબ થઈ ગઈ છે કે ગ્રામ, અડધા ગ્રામ જોખીતોળીને કટોકટ નાસ્તો આપવો પડે? એ નાસ્તો સ્કૂલનાં બાળકોને આપવાનો છે, તો એને થોડો વધારે અપાય તો એને પોષણ જ મળશે, તેને બદલે ગ્રામ, મિલિગ્રામ સુધીની કરકસર કરવી પડે ને એનો સરકારને સંકોચ ન હોય એ શરમજનક છે. એની સામે ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહ્ન ભોજન કર્મચારી મંડળ દ્વારા પાંચના સાત રૂપિયા કરવાની માંગણી મૂકવામાં આવી છે.

ટૂંકમાં, 5ના 7 તો થાય એમ ન હતું, પણ અલ્પાહાર ઘટાડવાનું તો સહેલું હતું ને એ જ થયું. નાસ્તાના વજનમાં ઘટાડો કરીને તે 38 ગ્રામ સુધી લઈ જવાયો છે. આ નાસ્તાઓમાં ચાટ, પૌંઆ, ઉપમા વગેરે હતાં, આ 38 ગ્રામનો જથ્થો વિદ્યાર્થીઓને કેટલાં પોષિત રાખશે તે પ્રશ્ન જ છે, પણ એમાં ધોરણ પાંચથી સાતના મોટા વિદ્યાર્થીઓએ આંગળાં ચાટીને પેટ ભરવું પડે એમ બને. આટલો ઓછો નાસ્તો હોય તો એક બે ચમચીમાં કે એક બે ટુકડામાં જ પતી જાય. નાસ્તો કર્યા પછી પણ નાસ્તો કર્યા જેવું લાગે જ નહીં, એવું તો ન થાય ને ! ટૂંકમાં, આ નાસ્તો અપૂરતો છે. બાકી, હતું તે સરકારે 30 કરોડ બચાવવા બાળકોને સુખડી અપાતી હતી તે બંધ કરી. 2013-2014માં ‘પી.એમ. પોષણ યોજના’ અંતર્ગત અઠવાડિયામાં એક વાર સુખડી આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી હતી, જેને માટે 16 કરોડ આપવામાં આવતા હતા. એમાં 2024માં 14 કરોડનો વધારો કરવામાં આવ્યો ને ૩૦ કરોડને ખર્ચે બનતી સુખડી દર ગુરુવારે બાળકોને અપાતી હતી, તે યોજના હાલ કોઈ જ કારણ વગર સદંતર બંધ કરી દેવાઈ છે.

આ આખો વેપલો એન.જી.ઓ.ને આધારે થઇ રહ્યો છે. પી.એમ. પોષણ યોજના અંતર્ગત સેન્ટ્રલાઈઝ કિચન દ્વારા 5,000 જેટલાં કેન્દ્રો પર ભોજન પહોંચાડવાની કામગીરી એન.જી.ઓ.ને સોંપવામાં આવી છે. એમાં રમત એ છે કે જે શાળાઓમાં ભોજન તૈયાર થાય છે તેને એન.જી.ઓ. કરતાં ઓછી રકમ આપવામાં આવે છે. વળી જિલ્લા કે તાલુકા મથકે સેન્ટ્રલાઇઝ કિચન દ્વારા તૈયાર થયેલું ભોજન બાળકો સુધી પહોંચતામાં ટાઢું પડી ગયું હોય છે. સરકારના પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ભોજન લીધાના બે કલાકમાં તાજી સુખડી આપવી, પણ હકીકત એ છે કે ભોજન તૈયાર કરનાર કૂક-કમ-હેલ્પરો ને ચૂકવવામાં આવતું વેતન, લઘુત્તમ વેતન કરતાં પણ ઓછું છે. મતલબ કે સરકારી કામોમાં પણ શોષણ ને ભ્રષ્ટાચાર કઈ રીતે થાય છે, એનો આ નમૂનો છે.

2026માં કોઈ દુકાનમાં 5 રૂપિયામાં નાસ્તો મળતો નથી. 20 રૂપિયાથી ઓછામાં નાસ્તો મળશે નહીં, એવાં પાટિયાં મારેલાં હોય છે ને સરકાર 5 રૂપિયામાં નાસ્તાનું વજન ઘટાડતાં જઈને પૌષ્ટિક (?)નાસ્તો આપે છે. એ નાસ્તો કેવી રીતે બનતો હશે ને કેવો હશે તે કહેવાની જરૂર નથી. જેને નાસ્તાનો કોન્ટ્રાક્ટ અપાયો હશે, તે ખોટ ખાઈને તો નાસ્તો બનાવવાનો નથી. એ જે મટિરિયલ વાપરશે તેની ગુણવત્તાના પ્રશ્નો હશે, તો 5 રૂપિયામાં એ પૌષ્ટિક કેવી રીતે હશે ને સવાલોનો સવાલ તો એ છે કે આટલી કરકસર સરકાર પોતાને માટે કરે છે? તેના મંત્રીઓ, નેતાઓ, ગ્રામ, મિલિગ્રામમાં તોલીને નાસ્તો કે ભોજન લે છે? સરકારના મેળાવડાઓ કે સરકારી તાયફાઓમાં નાસ્તાપાણી થાય છે કે જમવાના થાળ બને છે, તેમાં સરકાર કેટલી કરકસર કરે છે તે દુનિયા જાણે છે. એકતરફ કરોડોનો ધુમાડો થતો હોય ને બીજી તરફ જેમને પોષણની જરૂર છે તેવાં બાળકોને નાસ્તો આપવામાં કરકસર થાય તે ઠીક નથી. પૈસા ઉડાવાય નહીં તે ખરું, પણ ગુણવત્તાને ભોગે કેવળ કંજૂસાઈ જ થાય, તો તે બધી રીતે અક્ષમ્ય છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 30 માર્ચ 2026

Loading

સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|29 March 2026

જ્યારે ભવિષ્યમાં હોર્મુઝમાં વિક્ષેપ ઊભો થશે, ત્યારે ભારત પાસે પોતાના હિતોનું રક્ષણ કરવામાં મદદ કરે એવા સંબંધો છે ખરા કે પછી ભારતને ભાગે વેઠવાનું જ આવશેનો સવાલ માત્ર સૈદ્ધાંતિક બનીને નહીં રહી જાય. 

ચિરંતના ભટ્ટ

પશ્ચિમ એશિયામાં સંજોગો તંગ બની રહ્યા છે ત્યારે પાણીનાં વહેણનો એક સાંકડો પટ્ટો જે માંડ 30–35 કિલોમીટર પહોળો છે તે સતત ચર્ચાઈ રહ્યો છે. લોકોને તેને વિશે કદાચ બહુ ખબર હોય એ જરૂરી નથી, પણ એનું નામ ચોક્કસ ખબર પડી ગઈ છે. હોર્મુઝની જળસંધિ (Strait of Hormuz) ભારતમાં ભાગ્યે જ હેડલાઇન્સમાં રહે છે. રાજકીય ભાષણોમાં પણ તેનો ઉલ્લેખ ઓછો થાય છે. છતાં, હકીકત એ છે કે આ જળમાર્ગ ભારતની આર્થિક સ્થિરતાને સીધો અસર કરે છે. ભારત તેના ક્રૂડ ઓઇલનો લગભગ 85% આયાત કરે છે. તેમાંના 55–60% ગલ્ફ દેશોમાંથી આવે છે. આ નિર્ભરતા નવી નથી, વર્ષોથી PPACના ડેટામાં સ્પષ્ટ દેખાય છે. ઇરાક અને સાઉદી અરેબિયા હંમેશાં ટોચ પર રહે છે. અને આ બધું ઓઇલ એક જ રસ્તેથી પસાર થાય છે, હોર્મુઝ. વિશ્વના કુલ ઓઇલ વેપારનો લગભગ પાંચમો ભાગ અહીંથી જાય છે. આ ભારત માટે માત્ર ભૌગોલિક બાબત નથી. આ એક સીધી નિર્ભરતા છે. જે શાંતિથી ચાલે છે, જ્યાં સુધી કંઈ ખલેલ ન આવે.

કિતને દૂર કિતને પાસ?

આપણને એમ માનવું ગમે તે સ્વાભાવિક છે કે આપણા દેશની સરહદોથી જોજનો દૂર થતા સંઘર્ષોની અસર આપણને નથી થતી, પણ આ કોઈ પારસી બાવા જેવું નામ ધરાવતી હોર્મુઝ જળસંઘી આ જ માન્યતાને ખોટી સાબિત કરે છે. 

અહીં વિક્ષેપ માટે નાકાબંધી જેવી મોટી ઘટના જરૂરી નથી. થોડો તણાવ વધે, શિપિંગને ધમકીઓ મળે, ટેન્કર સાથે નાની ઘટનાઓ બને કે નૌકાદળની હાજરી વધી જાય, અને તરત જ વૈશ્વિક પ્રતિક્રિયા શરૂ થાય છે. ઓઇલ માર્કેટ બહુ સંવેદનશીલ હોય છે. ઘણીવાર વાસ્તવિકતા કરતાં ધારણાઓ જ ભાવ વધારવા માટે પૂરતી હોય છે. અને તેની અસર ભારત પર ઝડપથી દેખાય છે.

ઈંધણના ભાવ વધે છે. એવિએશન ટર્બાઈન ફ્યુઅલ મોંઘું થાય છે. હવાઈ ભાડાં વધી જાય છે. શિપિંગમાં વિલંબ થાય એટલે સપ્લાય ચેન ધીમી પડે છે. આયાત બિલ વધે છે અને રૂપિયા પર દબાણ આવે છે. પછી ધીમે ધીમે મોંઘવારી વધે છે.

આ બધું સમાચારોમાં નથી ઝળકતું પણ સામાન્ય માણસને રોજેરોજ કોઈને કોઈ રીતે તેના ભોગ બનવું પડે છે. ક્યારેક પેટ્રોલ પંપ પર વધુ પૈસા ચૂકવીને, ઘરખર્ચમાં ફેરફાર કરીને, અથવા વેપારમાં વધેલા ખર્ચનો સામનો કરીને. યુદ્ધની અસરો વેઠવા માટે આપણે આપણા દેશ પર કોઈ મિસાઈલ પડે તેની રાહ જોવાની જરૂર નથી.

વિક્ષેપનું અર્થશાસ્ત્ર

આ નવી પરિસ્થિતિ નથી. ગલ્ફમાં તણાવ વધે ત્યારે આપણે આ બધું અગાઉ પણ જોઈ ચૂક્યા છીએ. એરલાઇન્સને ફ્લાઇટ રૂટ બદલવા પડે છે, જેના કારણે મુસાફરીનો સમય અને ઇંધણ બંને વધે છે. શિપિંગ સમયપત્રક ખોરવાય છે. એનર્જી માર્કેટ અસ્થિર બને છે.

ભારત જેવા દેશમાં, જ્યાં ઇંધણની કિંમત લગભગ દરેક ક્ષેત્રને અસર કરે છે, ત્યાં આ ડોમિનો ઇફેક્ટ ખૂબ વ્યાપક બને છે. ટ્રાન્સપોર્ટેશનથી લઈને મેન્યુફેક્ચરિંગ, કૃષિથી લઈને ઘરખર્ચ વગેરે બધું તેની અસર હેઠળ આવે છે. પરંતુ અહીં એક વધુ અગત્યની વાત છે. આ સમસ્યાનું મૂળ ભારતની બહાર છે. એટલે આપણો પ્રતિભાવ મોટા ભાગે પ્રતિક્રિયાત્મક જ રહે છે. આંચકો આપણને લાગે છે, પરંતુ કારણ ક્યાંક બીજે હોય છે.

ઊર્જા સુરક્ષા, કે પછી વ્યૂહાત્મક ભ્રમ?

ભારતે આ પડકારને અવગણ્યો નથી. સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ જે મેંગલુરુ અને પાડુરમાં છે તે આપણને ઊર્જાને મામલૈ આશરે 9–10 દિવસનો બફર આપે છે. સપ્લાયરોનું ડાયવર્સિફિકેશન કરવામાં આવ્યું છે. અને 2022 પછી રશિયન ક્રૂડ ઓઇલ મોટી માત્રામાં આવ્યું છે, જે હવે ભારતની કુલ આયાતમાં મહત્વનો હિસ્સો ધરાવે છે. આ છેલ્લા ફેરફાર પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. 

રશિયન ઓઇલ તરફ ભારતનો વળાંક છેલ્લાં કેટલાંક વર્ષોમાં મોટો બદલાવ છે. એક રીતે જોઇએ તો લાગે છે કે ગલ્ફ દેશો પરની નિર્ભરતા ઘટી છે. પરંતુ હકીકતમાં હોર્મુઝ પરની નિર્ભરતા હજી પણ યથાવત છે. કારણ કે રશિયન ઓઇલના ભાવ પણ વૈશ્વિક બજાર સાથે જોડાયેલા છે, જે પર પશ્ચિમ એશિયાનો પ્રભાવ રહે છે. સાથે સાથે, રશિયન સપ્લાય પોતે પણ સ્થિર નથી કારણ કે તેની પર પ્રતિબંધો, રાજકીય દબાણ અને યુક્રેન યુદ્ધની અસર છે. એટલે જો ત્યાં કોઈ ખલેલ પડે, તો ભારત પાસે વિકલ્પો બહુ મર્યાદિત રહી જાય છે. ટૂંકમાં સપ્લાયર બદલાયો છે, જોખમ ઓછું નથી થયું.

ચાબહાર : વિકલ્પ કે મર્યાદા?

ચાબહાર પોર્ટ જેવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલને ઘણીવાર કોરિડોરના વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવે છે. સિદ્ધાંતની દૃષ્ટિએ આ તર્ક સાચો છે. આ એક એવો માર્ગ છે જે ગલ્ફને બાયપાસ કરીને મધ્ય એશિયા સુધી પહોંચે છે. પરંતુ હકીકતમાં, આ પ્રોજેક્ટ હજુ તેની સંપૂર્ણ ક્ષમતાએ પહોંચ્યો નથી. ઈરાન પરના યુ.એસ. પ્રતિબંધોએ દરેક તબક્કે ભારતીય રોકાણ માટે મુશ્કેલી ખડી કરી છે. ચાબહારથી આગળ અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધીની કનેક્ટિવિટી હજુ પણ અધૂરી છે. ભારત પણ તેહરાન અને વોશિંગ્ટન વચ્ચે સંતુલન જાળવવામાં સાવચેત રહ્યો છે. ચાબહાર એક કાર્ચરત બાયપાસ ઓછો અને એક રાજદ્વારી મુદ્દો વધારે છે. નીતિઓની દૃષ્ટિએ ભારત ભલે ઊર્જા-સુરક્ષિત દેખાય, પરંતુ ભૌગોલિક રીતે તે હજુ પણ ઊર્જાની બાબતમાં આપણે એટલા મજબૂત નથી.

ડાયવર્સિફિકેશનની મર્યાદાઓ

ડાયવર્સિફિકેશને વારંવાર ઊર્જા અસુરક્ષાના મુખ્ય ઉકેલ તરીકે રજૂ કરાય છે. તમને ઊર્જા વેચતો વેપારી બદલો અને તમારું જોખમ ઘટાડો. આ જેટલું લાગે છે એટલું સરળ નથી. ઓઇલ માર્કેટ્સ ગ્લોબલ છે. ગલ્ફમાં થતો કોઈ પણ વિક્ષેપ દરેક જગ્યાએ અસર કરે છે, આમ બધા પ્રદેશોમાં ઓઈલનો ભાવ વધે છે. 

જ્યારે ભારત ગલ્ફ સિવાયના સપ્લાયર્સ પાસેથી ઓઇલ આયાત કરે છે ત્યારે પણ, તે હોર્મુઝની ઘટનાઓને આધારે નક્કી થતા ભાવના ડાયનેમિક્સથી સંપૂર્ણપણે નથી બચી શકતો. બેન્ચમાર્ક બદલાય છે, અને અસર ભારત સુધી પહોંચે છે. લૉજિસ્ટિક્સ આ સમીકરણને વધુ જટિલ બનાવે છે. વૈશ્વિક શિપિંગ માર્ગો ચેકપોઇન્ટ્સ પર એકબીજાને છેદે છે. એટલે સપ્લાયર બદલવાથી વેપારની ભૂગોળ બદલાતી નથી.

આ સમીકરણમાં ચીન માત્ર એક મૂક પ્રેક્ષક નથી હિંદ મહાસાગરમાં તેની નૌકાદળની હાજરી સતત વધી રહી છે. ગ્વાદરથી લઈને જીબુટી સુધી તેનું પોર્ટ નેટવર્ક વિસ્તરી રહ્યું છે. ગલ્ફ દેશો સાથે તેની સુરક્ષા ભાગીદારી પણ ગાઢ બની રહી છે. બેઇજિંગ જાણીજોઈને એ જ કોરિડોર પર પોતાનો પ્રભાવ વધારે છે, જેની પર ભારતનો આધાર છે. એ સ્વીકારવું પડશે કે ભારતની આ નબળાઈ માત્ર માળખાગત નથી સ્પર્ધાત્મક પણ છે. 

એક વ્યૂહાત્મક પ્રશ્ન જેને ભારત ટાળી શકે તેમ નથી

ભારતની અર્થવ્યવસ્થાને સતત અને સસ્તી ઊર્જાની જરૂર છે. પરંતુ એ ઊર્જા એક એવા માર્ગ પર આધારિત છે, જેનું સુકાન કોઈપણ રીતે, જરાક જેટલું પણ ભારત પાસે નથી. આ સ્વીકારી શકાય તેવી બાબત છે પણ અવગણી ન શકાય. એટલે જ આપણી પકડ વધે, આપણી ક્ષમતા વધે તે જરૂરી છે. સ્પર્ધામાં પડવામાં સાર નથી તે આપણે જાણીએ છીએ પણ શક્તિ પ્રદર્શનમાં આપણે પાછા નથી પડતા. ભારતીય નૌકાદળ અરબી સમુદ્ર અને આસપાસના વિસ્તારમાં પહેલેથી જ કામ કરી રહ્યું છે. ચાંચિયાગીરી સામેની કામગીરીને કારણે ભારતને આ વિસ્તાર સારી પેઠે જાણે છે, એટલે તૈયારીમાં કોઈ ખામી નથી. અહીં પ્રશ્ન ક્ષમતાનો નહીં પ્રાથમિકતાનો છે, એનર્જી માર્ગોને સુરક્ષિત રાખવા એ ઇચ્છા નહીં, જવાબદારી બની જવી જોઇએ. 

પ્રાદેશિક ભાગીદારીનો વધુ અસરકારક ઉપયોગ થઈ શકે છે. I2U2 ગ્રૂપ એટલે કે, ભારત, ઇઝરાયેલ, યુ.એઈ. અને યુનાઇટેડ સ્ટેટ્સનો ઉપયોગ હજી પૂરતી ક્ષમતામાં નથી કરાયો. ઓમાન સાથેના સંબંધો, ખાસ કરીને દુકમ પોર્ટ એક્સેસ, શાંતિથી અસરકારક સાબિત થયા છે. આ તમામ પ્રયાસોને એક સાથે જોવાની જરૂર છે, અલગ-અલગ પહેલ તરીકે નહીં.

આનાથી વધુ અઘરી બાબત છે વોશિંગ્ટન સાથે વાત કરવામાં છે, આપણી વ્યૂહાત્મક સ્વાયત્તતાથી અમેરિકાને ફાયદો બહુ થયો છે પણ કટોકટીમાં સ્વાયત્તતાની કિંમત ચૂકવવી પડે છે. જ્યારે ભવિષ્યમાં હોર્મુઝમાં વિક્ષેપ ઊભો થશે, ત્યારે ભારત પાસે પોતાના હિતોનું રક્ષણ કરવામાં મદદ કરે એવા સંબંધો છે ખરા કે પછી ભારતને ભાગે વેઠવાનું જ આવશેનો સવાલ માત્ર સૈદ્ધાંતિક બનીને નહીં રહી જાય. 

બાય ધી વેઃ 

વૈશ્વિક મહાસત્તાઓ પોતાના જરૂરી કોરિડોરને ગઠબંધન અને સતત હાજરીથી સુરક્ષિત રાખે છે. ભારત માટે હોર્મુઝ એવી નબળી કડી છે જેને અવગણવી હવે શક્ય નથી. કારણ કે ત્યાં થતો દરેક ફેરફાર સીધો આપણા ખિસ્સા સુધી પહોંચે છે, ઈંધણના ભાવથી લઈને મોંઘવારી સુધી. ભારતનો આર્થિક વ્યાપ મોટો છે, પરંતુ તેની સ્થિરતા હજી એક સાંકડા જળમાર્ગ પર આધારિત છે. મહત્ત્વાકાંક્ષા મોટી છે, પણ નિર્ભરતાનો પ્રશ્ન હજી અનઉત્તરિત છે. હવે સવાલ એક જ છે, હોર્મુઝ શાંત રહે ત્યાં સુધી રાહ જોવી કે સમય રહેતાં તૈયાર થવું?

 પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 29 માર્ચ 2026
courtesy : Strait of Hormuz : “The New York Times”

Loading

...102030...48495051...607080...

Search by

Opinion

  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …
  • મોહેં-જો-દડોની ‘ડાન્સિંગ ગર્લ’: 4500 વર્ષથી યથાવત્ હતી, 21મી સદીએ તેને ‘સુધારી’?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved