Opinion Magazine
Number of visits: 9842140
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|16 February 2026

રવીન્દ્ર પારેખ

માસ્તર એટલે મસોતું.

ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ માસ્તરને મસોતું જ સમજે છે ને માસ્તરો પણ એવા નિર્માલ્ય છે કે પોતાનો અઘટિત ઉપયોગ થવા દે છે. સરકારી સ્કૂલોમાં શિક્ષણનું પડીકું વળી ગયું છે, પણ કોઈને તેની ચિંતા નથી. SIRની કામગીરીમાં મહિનાઓ સુધી શિક્ષકોને જોતર્યા ને વર્ગખંડો શિક્ષણથી વંચિત રહ્યા. વિદ્યાર્થીઓ હોય, પણ તેને ભણાવનાર શિક્ષકો મહિનાઓ સુધી વર્ગમાં આવે જ નહીં, તો વિદ્યાર્થીઓ શું ધૂળ શીખે? જે એક બે શિક્ષકો સ્કૂલમાં હોય, તે એકથી વધુ ક્લાસો ભેગા કરીને શીખવે તો, તેમાં શું ભલીવાર હોય તે સમજી શકાય એવું છે. શિક્ષણ જોડે કોઈ જ લેવા દેવા ના હોય એવો એક જ વિભાગ છે ને તે-શિક્ષણ વિભાગ. ગુજરાતમાં જ 40,000થી વધુ શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરાતી ન હોય, 3,000થી વધુ શાળાઓ એક જ શિક્ષકથી ચાલતી હોય, ત્યાં કૂતરાં ગણવા માસ્તરોને મોકલવાની વાત ગાયને દોહીને બકરીને પાવા જેવી છે. ભણશે ગુજરાતને બદલે (કૂતરાં, સંડાસ) ગણશે ગુજરાત જેવી સ્થિતિ છે. ભણે ક્યાંથી, જો વર્ગમાં શિક્ષકને પ્રવેશવાની તક જ રહી ન હોય? ગુજરાત આખા દેશમાં શ્રેષ્ઠ નબળા રાજ્ય તરીકે છેલ્લે છે, છતાં શિક્ષણ વિભાગને એની ચિંતા નથી ને રોજ ફતવા બહાર પાડીને ને ડેટા કલેક્ટ કરીને, માસ્તરનું પ્લાસ્ટર ઉખેડી રહ્યો છે. SIRની કામગીરી માંડ ઠેકાણે પડી તો સુપ્રીમના આદેશને આગળ કરીને સરકારે કૂતરાં ગણવાની કામગીરી શિક્ષકોને માથે નાખી છે ને ત્રણ દિવસમાં એનો રીપોર્ટ માંગ્યો છે.

કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગર તરફથી 11/02/’26નો પરિપત્ર તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને મોકલાયો છે, જેનો વિષય ‘નામદાર સુપ્રીમકોર્ટના આદેશના અનુસંધાને સંસ્થાઓમાં રહેતા શ્વાનોનો સર્વે તાત્કાલિક કરવા બાબત’ છે. જિલ્લા શિક્ષણાધિકારીઓને સૂચના અપાઈ છે, ’સુપ્રીમ કોર્ટના આદેશોના અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરવા હેતુસર આપના અધિકાર ક્ષેત્ર હેઠળ આવતી તમામ શૈક્ષણિક સંસ્થાઓ/કચેરીઓ, કેમ્પસ વગેરે વિસ્તારોમાં રહેલા શ્વાનોનો સર્વે તાત્કાલિક હાથ ધરવા યોગ્ય કાર્યવાહી કરવા જણાવેલ છે અને જિલ્લાવાર સંક્ષિપ્ત અહેવાલ મોકલી આપવા ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડએ જણાવેલ છે.’

આ પરિપત્રમાં ક્યાં ય વિદ્યાર્થીઓનો કે શિક્ષકોનો ઉલ્લેખ નથી. જિલ્લા શિક્ષણાધિકારીઓને આ પરિપત્ર પાઠવાયો છે અને તેમણે સ્કૂલોને તે જણાવવાનો હતો, એટલે કૂતરાં ગણવાનું કામ શિક્ષકો, આચાર્યો દ્વારા કરાવવાનો હેતુ હોઈ શકે છે. હવે શિક્ષકો, આચાર્યો SIRની કામગીરી ત્રણેક મહિનાથી કરવામાં વ્યસ્ત છે. તે હજી પતી નથી ને કૂતરાં ગણવાનું કામ ત્રણ દિવસમાં કરવાનો ફતવો આવ્યો છે. તે પતે કે વસ્તી ગણતરી કરવાનું ચાલશે. એ અગાઉ તીડ ભગાડવાનાં, ભૂંડ ભગાડવાનાં, પંક્ચર સાંધતાં શીખવવાનાં, શૌચાલય ગણવાનાં, સભા માટે ભીડ ભેગી કરવાનાં કામો શિક્ષકો કરી ચૂક્યા છે. સરકાર સાંઠેક પ્રકારની શિક્ષણેતર કામગીરીઓ શિક્ષકો પાસે કરાવે છે. અહીં એક સાદો સવાલ એ થાય કે આટલી કામગીરી શિક્ષકો જ કરવાના હોય, તો ભણાવવાની કામગીરી કોણે કરવાની છે? શિક્ષકોને નોકરી અપાય છે તે ભણાવવા માટે કે ઈતર સરકારી કામગીરી માટે? શિક્ષણેતર કામગીરી જ મહત્ત્વની હોય તો શિક્ષકો નીમવાની જરૂર શી છે? એ નિમણૂકો સરકારી કામગીરીને નામે જ આપવી જોઈએ, જેથી શિક્ષક, શિક્ષણ માટે છે, એવી ગેરસમજ જ ના રહે.

વારુ, બીજી સરકારી નોકરીઓમાં ક્યાં ય સાંઠેક વધારાની કામગીરીઓ નથી સોંપાતી, તો એનો ઢગલો બોજ શિક્ષકોને જ કેમ? રાષ્ટ્રીય કામગીરીને નામે શિક્ષકો પાસેથી આવી કાળી મજૂરી ફરજિયાત કરાવાય છે, તો, વર્ગ શિક્ષણ પણ રાષ્ટ્રીય કામગીરી ખરી કે કેમ? ન શીખવવાનો પગાર તો શિક્ષકોને નહીં ચૂકવાતો હોય. તો વર્ગ શિક્ષણ નથી થતું એનો વાંધો શિક્ષકોને કેમ નથી પડતો? ભણાવવાનો પગાર અપાતો હોય ને ભણાવવાનું થતું જ ન હોય, તેનું શિક્ષકોને GUILT કેમ નથી? GUILT હોય તો તેનો પડઘો સરકાર સુધી કેમ નથી પડતો? કહેવાય છે કે શિક્ષકોનાં યુનિયનો તોડી નાખવામાં આવ્યાં છે, એટલે પણ વિરોધના સૂર બુઠ્ઠા થઇ ગયા હોય એમ બને. જો કે, એ વાત ગળે ઊતરે તેમ નથી. તે એટલે કે બીજાં ક્ષેત્રોમાં યુનિયનો વિના રોકટોક ચાલતાં હોય, તો શિક્ષકોનાં યુનિયનો જ કેમ તોડી નખાય એ પ્રશ્ન જ છે. બનવા જોગ છે કે યુનિયનો શિક્ષકોને વફાદાર રહેવાને બદલે સરકારને વધુ વફાદાર હોય !

આમ તો વર્તમાનપત્રોમાં-મીડિયા માત્રમાં, સરકાર, શિક્ષક પાસે કૂતરાં ગણાવશે એવા સમાચારો વહેતાં થયા છે, ત્યાં શિક્ષણ વિભાગે એવી સ્પષ્ટતા કરી છે કે સુપ્રીમના આદેશ સંદર્ભે માત્ર વિદ્યાર્થીઓ, નાગરિકોની સલામતી નિશ્ચિત કરવા જરૂરી વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે, નહીં કે કૂતરાં ગણવાની ! સુપ્રીમે સંસ્થાકીય વિસ્તારો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, રમતગમત સંકુલો, બસ સ્ટેન્ડ, બસ ડેપો, રેલવે સ્ટેશનો…માં કૂતરાંના વધતા હુમલાઓ ને ધ્યાને લઈ સુરક્ષા મજબૂત કરવાના આદેશ આપ્યા છે, જેમાં બાઉન્ડરી નક્કી કરી રખડતાં કૂતરાંને પ્રવેશતાં રોકવાની વાત છે. એ જુદી વાત છે કે સુરતમાં રખડતાં કૂતરાં સર્વે ટીમને બહુ મળ્યાં નથી. છેલ્લા 10 મહિનામાં 9,224 કૂતરાં જ મળ્યાં છે. એક તરફ 10 મહિનાની કામગીરીમાં કામગીરીનું ઠેકાણું પડતું નથી ને બીજી તરફ ત્રણ દિવસમાં કૂતરાં ગણવાની કામગીરીનો રિપોર્ટ સરકાર માંગે છે. સુપ્રીમનો આદેશ હોય ને ઉતાવળે રિપોર્ટ મોકલાય તે અપેક્ષિત હોય, તો પણ ત્રણ દિવસમાં રિપોર્ટ માંગવાનું વ્યવહારુ નથી ને તે સરકારની અસંતુલિત નિર્ણય શક્તિનું જ પરિણામ છે. શિક્ષણ વિભાગ તુક્કાઓ પર જીવે છે. તેને અસ્થિર મનોદશામાં રહી રહીને એટેકો આવે છે. ઘડીમાં તે SIRની કામગીરી કરાવે છે, તો ઘડીમાં કૂતરાં, પશુ કે ટોઇલેટ ગણવાનું કહે છે, ઉપરથી વસ્તી ગણતરીનું કામ તો કરમે ચોંટેલું જ છે. તે ઓછું હોય તેમ શિક્ષણ વિભાગને હવે શિક્ષકોને તાલીમ આપવાનો અભરખો જાગ્યો છે. એક તરફ વાર્ષિક પરીક્ષાઓ માથે તોળાઈ રહી છે, ત્યાં તાલીમનું ગતકડું શિક્ષણ વિભાગે કાઢ્યું છે. આમાં વિદ્યાર્થીઓનાં ભણતરની તો કોઈ વાત જ નથી. જેને માટે જાતભાતના વેપલા થાય છે, એ વિદ્યાર્થીઓને લખતાં, વાંચતાં કે ગણતાં આવડતું નથી ને તે સુધારવાને બદલે સરકાર શિક્ષકોને ભળતી જ કામગીરીમાં જોતરે છે.

જિલ્લા શિક્ષણાધિકારીઓને પાઠવાયેલ પરિપત્રમાં ક્યાં ય કૂતરાં ગણવાની કામગીરી શિક્ષકો પાસે કરાવવી એવો ઉલેખ નથી ને શિક્ષણ વિભાગ બાઉન્ડ્રી નક્કી કરી કૂતરાંને પ્રવેશતાં રોકવાની વાત કરે છે. એ પ્રવેશ શિક્ષકોએ જ રોકવો એવો પણ ઉલ્લેખ નથી. તે સાથે જ કૂતરાંના પ્રવેશને રોકવાની કામગીરી કોની પાસે કરાવવી તે અંગે પણ કોઈ સ્પષ્ટતા નથી, તો શિક્ષકોને જ કૂતરાં ગણવાનું શૂર છૂટ્યું એમ માનવાનું છે? સરકાર કૂતરાંનો જે તે સંસ્થાઓમાં પ્રવેશ રોકવાની વાત કરે છે, તેમાં શિક્ષકોની કોઈ વાત નથી. આ છટકબારી છે. પ્રવેશ રોકવા બાઉન્ડ્રી કરવાની વાતમાં શિક્ષકો અભિપ્રેત નથી એવું સરકાર કહી શકે એમ છે? ને શિક્ષકો નહીં તો કોણ કૂતરાંનો પ્રશ્ન ઉકેલે તેનો ખુલાસો થવો જોઈએ. શિક્ષકો એવા દેવના દીધેલ નથી કે કૂતરાં ગણવા દોટ મૂકે. એમણે જિલ્લા શિક્ષણાધિકારીએ મોકલેલા પરિપત્રને અનુસરવાનું આવ્યું હોય ને શિક્ષકોને કૂતરાં ગણવાની ફરજ પડી હોય એમ બને. જો આ કામગીરી શિક્ષકોએ નથી કરવાની તો શિક્ષકોને નામે આ વાત ચડી કઈ રીતે? વળી શિક્ષકો આમાં નથી જ, તો તેમના તરફથી વિરોધ ઊઠ્યો કઈ રીતે? એમ લાગે છે કે ઊહાપોહ થતાં સરકારે ફેરવી તોળ્યું છે.

સુપ્રીમના, કૂતરાંને રોકવાના આદેશનું પાલન કરાવવા તો શિક્ષકો જ હાથવગાં છે, એટલે તેમને ન જ કહેવાયું હોય એમ માનવાને કોઈ કારણ નથી. એમ હોય તો પ્રશ્ન એ થાય કે ટોઇલેટ કે કૂતરાં ગણવાની કામગીરી શિક્ષકો પાસે કરાવવાનું સરકારને શોભે છે? શિક્ષકની ગરિમા જાળવવાની સરકારની કોઈ જવાબદારી ખરી કે કેમ? એમ લાગે છે કે  શિક્ષકો પાસે કૂતરાં ગણાવવાની વાત સુપ્રીમ સુધી નહીં જ પહોંચી હોય. પહોંચી હોત તો સુપ્રીમે જ સંજ્ઞાન લઈને, શિક્ષકો પાસે કૂતરાં ગણાવવા પર રોક લગાવીને સરકારનો ઊધડો લીધો હોત ને શિક્ષકની ગરિમા જાળવી લીધી હોત !

જો કે, શિક્ષકોને કૂતરાં ગણવાનું કહ્યું નથી એમ વિરોધને કારણે સરકાર ભલે કહે, પણ અગાઉ ટોઇલેટ ગણવાના, તીડ ઉડાડવાના કામો માસ્તરો પાસેથી કરાવાયાં જ છે, તો એ અંગે સરકારે શું કહેવાનું છે? પ્રાથમિક શિક્ષણ તો સરકારની છેલ્લી પ્રાયોરિટીમાં પણ નથી તે દુખદ છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 16 ફેબ્રુઆરી 2026

Loading

ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|15 February 2026

ચંદુ મહેરિયા

રોજ આપણે છાપામાં ચોરીના સમાચાર વાંચતા હોઈએ છીએ. મંદિરે જતાં વૃદ્ધા, મોર્નિંગ વોક માટે નીકળેલા સિનિયર સીટિઝન, બજારે ખરીદી કરતાં ગૃહિણીની બુકાનીબંધ બાઈક સવારે સોનાની ચેઈન ખેંચ્યાના કે મોબાઈલ ઝૂંટવ્યાના, ઉનાળામાં ઘરની અગાસીએ સૂતેલા કે ઘર બંધ કરી બહાર ગયેલા લોકોના ઘરનાં તાળાં તૂટ્યાંના સમાચાર કોઈ પણ દિવસના અખબારના કોઈક પાને જરૂર જડી આવે છે. દેશમાં દર પાંચ સેકંડે ચોરીનો એક બનાવ બને છે અને ઇન્ડિયન પિનલ કોડ કે ભારતીય ન્યાય સંહિતા મુજબ ચોરી એ ગુનો છે. આ અપરાધની સજા પણ કાયદામાં મુકરર થઈ છે. 

ચોરી એટલે કોઈ વ્યક્તિની માલિકીની કે કબજા હેઠળની જંગમ સંપત્તિ તેની સંમતિ વિના, અપ્રમાણિકતા આચરીને કે ખોટી રીતે લઈ લેવી, પડાવી લેવી. હવે ચોરીઓ પણ હાઈટેક બની છે. તે માત્ર ચેઈન સ્નેચિંગ સુધી મર્યાદિત નથી રહી. તેમાં નવી નવી તરકીબો અજમાવીને, મસમોટી વસ્તુઓની ચોરીઓ થાય છે. 

સુરતની એક જ્વેલરી શોપમાં ચોરી કરવાના ઈરાદે ચોરે ત્રીજી દુકાન ભાડે રાખી હતી. એક રાત્રે ચોરીનો મોકો મળતાં તેણે પોતાની ભાડાની દુકાનમાંથી બાજુની દુકાનમાં અને તેમાંથી જ્યાં ચોરી કરવાની હતી તે સોના-ચાંદીની દુકાનની દીવાલમાં બાકોરું પાડ્યું. છે ને નવતર તરકીબ! લગભગ બે લાખના ચાંદીના દાગીના તેણે ચોર્યા પણ નસીબ વાંકુ તે અમદાવાદ પોલીસની તપાસમાં રસ્તે જ પકડાઈ ગયો. 

મંદિરે, રસ્તે, બજારમાં, ઓફિસે જતાં – આવતાં કે ઘરે ચોરી થાય અને ચોર ભાગી જાય એ તો સમજાય એવું છે પણ કુદરતી હાજતે કોઈ જાય અને ચોરી થાય? ગાંધીનગરમાં ભાડેથી રીક્ષા ફેરવતા આધેડ રસ્તે સાચવીને રીક્ષા મૂકી કુદરતી હાજતે ગયા અને તેમની રીક્ષા ચોરાઈ ગઈ! આવી પણ ચોરી થાય છે. 

ચોર ચોરી કરતાં પૂર્વે અને દરમિયાન કેવી કેવી ટેકનિકો અપનાવે છે અને સાવધાની રાખે છે તેની માહિતી સુરતની હીરા પેઢીમાં થયેલી ૩૨ કરોડના હીરાની ચોરીના બનાવમાં જાણવા મળે છે. ચોરી કરતાં પહેલાં ચોરોએ કંપનીના સી.સી.ટી.વી. અને ફાયર એલાર્મ તોડી નાંખ્યા હતા અને ડી.વી.આર. ઉઠાવી ગયા હતા. તે પછી તેમણે ગેસકટરથી તિજોરીમાં બાકોરું પાડી ૩૨ કરોડના હીરા અને રૂ. પાંચ લાખ રોકડા ચોરી લીધા હતા. જો તસ્કરો આવી કોઈ સાવધાની ન રાખે તો પરિણામ શું આવે? વડોદરાની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનું એ.ટી.એમ. તોડવા ઘૂસેલા ચોરે રૂપિયા ભરેલા બોક્સનું તાળું હથોડીથી તોડતાં જ સી.સી.ટી.વી.નું મોનિટરીંગ કરતાં મુંબઈ બેઠેલા કર્મચારીને ખબર પડી.તેણે સી.સી.ટી.વી.ના સ્પીકરથી ચોરને “તુમ કૌન હૌ? મશીન ક્યોં તોડ રહે હો?” એમ પૂછતાં ચોરભાઈ ગભરાઈને ભાગી ગયા.. 

સામાન્ય રીતે રૂપિયા-પૈસા, સોના–ચાંદીના ઘરેણા, હીરા-મોતી જેવી કિંમતી વસ્તુઓની ચોરી થાય છે. એટલે કે ચાલુ સંપત્તિ જ ચોરાય છે. પરંતુ ચોર જેનું નામ! તે અચલ ને પણ ચલ બનાવી જાણે છે. જૂનાગઢના દાતારના જંગલમાં ચંદનના કિંમતી ઝાડ કાપી ચોરી જવાનો બનાવ નોંધાયો છે. વળી આ ચોર છેક મધ્ય પ્રદેશના કટનીથી હથિયારો સાથે ટ્રેનમાં જૂનાગઢ આવ્યા હતા. જો કોઈ વ્યક્તિ ઊઠાવીને કે લઈ જવાના ઈરાદે કે વેચી મારવાના ઈરાદે ઝાડ કાપે તો તે કાયદાની વ્યાખ્યામાં ચોરી ગણાય છે.

અમદાવાદના જુહાપુરા વિસ્તારની દુકાનમાં ૧૧ વિદેશી પોપટની ચોરી કરવામાં આવી હતી. આ પોપટ કોઈ સામાન્ય પોપટ નહોતા. એકની કિંમત રૂ. લાખ-દોઢ લાખ હતી એટલે રૂ. ૧૫ લાખના ૧૧ પોપટ ચોર્યા હતા. તહેવારોમાં કે સામાજિક-ધાર્મિક પ્રસંગોએ સાફસફાઈ કરવા આવતા મજૂરો નાની-મોટી ચોરી કરતાં હોવાનું તો સાંભળ્યું છે પણ ગાંધીનગર જિલ્લાના કુડાસણના એક બંગલામાં દિવાળીએ સાફસફાઈ કરવા આવેલા મજૂરો બંગલાના માલિકની રિવોલ્વર કારતુસ સાથે ચોરી ગયા હતા. પરંતુ તેમની ચોરી લાંબી ન ટકી અને પોલીસની ઝડતીમાં પકડાઈ ગયા.

સોનાનો હાર, બંગડી, હીરા, રોકડ, ચંદનનાં ઝાડ, પોપટ અને રિવોલ્વર જ નહીં મરઘાંની પણ ચોરી થઈ છે. તેલંગાણાના મહેબૂબનગર જિલ્લાના એક ગામના ગરીબ પશુપાલકના ઘરેથી ચોરે મરઘાંની ચોરી કરી હતી. પરંતુ તે ગામમાં જ વેચવા જતાં લોકોના હાથે ઝલાઈ ગયો હતો. 

આખરે લોકો ચોરી કરે છે શા માટે? નાણાંભીડ, આર્થિક જરૂરિયાત, દવાખાનાના ખર્ચને પહોંચી વળવા – ટૂંકમાં ગરીબીને કારણે લોકો ચોરી કરતાં હોય છે. પરંતુ બધા ચોર કે બધી ચોરીઓ કંઈ એવી નથી હોતી. કોઈ થ્રીલ માટે ચોરી કરે છે તો કોઈ મોજશોખને પહોંચી વળવા પણ ચોરી કરે છે. માત્ર પુરુષો જ નહીં મહિલાઓ પણ ચોરી કરે છે. ચોરી કરવામાં કોઈ એક ધર્મ કે જ્ઞાતિના લોકોનો ઈજારો નથી. ગરીબોની જેમ અમીરો પણ ચોરી કરે છે. બસમાં કે ટ્રેનમાં જ નહીં વિમાનમાં પણ ચોરીઓ થાય છે. પ્રેમ લગ્ન કરનાર યુવકને કન્યાપક્ષને ચાર લાખ રૂપિયા આપવાના હતા. તે માટે તેણે ચોરી કરી હતી. પત્નીની મોંઘા આઈફોનની માંગણી પૂરી કરવા પતિએ ચોરી કરી. પકડાયો નહીં એટલે ચોરીના રવાડે ચડ્યો હતો. પોતાની પ્રેમિકા સાથે ચંદ્ર પર સેક્સ કરવાનું સ્વપ્ન પૂરું કરવા અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસાના એક કર્મચારીએ પોણા બે કરોડના ચંદ્રના દુર્લભ પથ્થરોની ચોરી કર્યાનો બનાવ અમેરિકામાં બન્યો હતો. 

હવે તો ચોરીનો વ્યાપ વધ્યો છે અને તેનાં સ્વરૂપ બદલાયાં છે. અમીરો કરચોરી કરે છે,  શોષકો શ્રમિકોનો પસીનો ચોરે છે, નિર્ધન રોટલો ચોરે છે અને નેતા મત ચોરે છે. વિદ્યાર્થી પરીક્ષામાં ચોરી કરે છે અને શિક્ષક ભણાવવામાં ચોરી કરે છે. 

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના ચોરીના આંકડા ચોંકાવનારા છે. આખા દેશમાં ૨૦૨૩માં રૂ. ૬,૯૧૭.૨ કરોડની ચોરી થઈ હતી. રાજધાની દિલ્હીમાં ચોરીથી થયેલું નુકસાન રૂ.૬૮૮.૬ કરોડનું હતું. એન.સી.આર.બી.ના અહેવાલ પ્રમાણે ૨૦૨૩માં ૬૨.૪૧ લાખથી વધુ ચોરીના નોંધાયેલા ગુના હતા. ૨૦૨૨ કરતાં તેમાં ૭.૨ ટકાની વૃદ્ધિ થઈ હતી.

દેશની એક લાખની વસ્તીએ ચોરીના બનાવોની રાષ્ટ્રીય સરેરાશ ૪૯.૫ છે. સૌથી વધુ અરુણાચલમાં ૯૪.૧ છે. ગુજરાતમાં ૨૬.૯ની સરેરાશ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછી છે, પરંતુ ઉત્તર પ્રદેશની સરેરાશ ૧૮.૬થી વધુ છે. ચોરીના બનાવોમાં વધારો થયો છે પણ ચોરાયેલો માલ પરત મેળવવામાં ઘટાડો જોવા મળ્યો છે. આખા દેશમાં ચોરીનો વસૂલાત કે પરત સંપત્તિનો દર ૨૦૨૧માં ૩૦.૨ ટકા હતો, ૨૦૨૨માં ૩૬ ટકા અને ૨૦૨૩માં ૨૯.૯ ટકા હતો. 

ગાંધીજીના અગિયાર વ્રતોમાં સત્ય અને અહિંસા પછી ત્રીજા સ્થાને રહેલું ચોરી ન કરવી એ વ્રત નમ્રપણે દૃઢ કેવું આચરાય છે તે તો દેશમાં એક મિનિટે એક ડઝન ચોરીના બનાવો બને છે  તેના પરથી સમજાય છે. ભવ્ય ભારત ભૂમિમાં ચોર છે તો દાતારો પણ છે. એટલે એરણની ચોરી અને સોયના દાનનો ઘાટ છે. લાગે છે દેશમાં ન ચોરી મટવાની છે ન દાન.

29.01.2026                                                         
e.mail : maheriyachandu@gmail.com

Loading

એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|15 February 2026

ચિરંતના ભટ્ટ

નોર્વેના ટેર્જે રોડ લાર્સનનું નામ જેફરી એપસ્ટીનની ફાઇલોમાં ચમક્યું અને તેમણે તરત જ રાજીનામું આપી દીધું. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં એપસ્ટીન ફાઇલોના વિસ્ફોટને પગલે વિશ્વના દસ દેશોમાં વરિષ્ઠ રાજકીય અધિકારીઓએ રાજીનામાં આપી દીધાં છે. ભારતમાં પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીનું નામ આ દસ્તાવેજોમાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે, પરંતુ અહીં રાજીનામાનો કોઈ ઉલ્લેખ નથી. તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને દાવો કર્યો કે તેઓ એપસ્ટીનને માત્ર સત્તાવાર કાર્યક્રમોમાં જ મળ્યા હતા. જો કે, પુરીનું નામ ફાઇલમાં હોવું એ કદાચ સૌથી ઓછી ચોંકાવનારી બાબત છે. રાજકારણમાં તમારે ગમે-તે પ્રકારના લોકોને મળવું તો પડે જ, પત્રકાર તરીકે તમે કોઈ ખૂની કે કોઈ દાણચોરને મળો તો એ તમારા કામનો ભાગ છે, રાજકારણીઓ કે અધિકારીઓને મામલે પણ એવું હોય જ છે કે તેમણે ગમે તે પ્રકારના લોકોને મળવું પડે. 

જેફરી એપસ્ટીનનું નેટવર્ક માત્ર શારીરિક શોષણ માટે નહોતું, પરંતુ તે ભૌગોલિક-રાજકીય ગોઠવણો (Geopolitical Liaisoning) કરવાનું એક મધ્યસ્થી કેન્દ્ર હતું. પ્રશ્ન એ છે કે રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને ટેક જાયન્ટ્સને એપસ્ટીનની જરૂર કેમ પડતી હતી? કનેક્શન્સ વિના રાજકીય ખેલ શક્ય નથી.

એપસ્ટીન ફાઇલ્સમાં અનિલ અંબાણીએ “સ્વીડિશ યુવતી”ની વ્યવસ્થા કરવા વિશે કરેલી વાતચીત કરતાં પણ વધુ વિસ્ફોટક એ ચેટ્સ છે, જેમાં આંતરરાષ્ટ્રીય રાજનીતિના પ્યાદાં ગોઠવવાની વાત છે. અહીં મામલો સેક્સ સ્કેન્ડલનો નથી, પરંતુ ‘સેક્સ્યુઅલ કોમ્પ્રોમેટ’ (જાતીય બ્લેકમેઈલ) કેવી રીતે આંતરરાષ્ટ્રીય સોદાબાજીમાં એક મજબૂત ‘ચલણ’ બની ગયું, તેનો છે. કમનસીબે, ભારતના ભદ્ર વર્ગના લોકો પણ આવા નેટવર્કનો ઉપયોગ બેક-ચેનલ ડિપ્લોમસી માટે કરતા હતા.

આ વાત ખાસ નોંધવી કે એપસ્ટીન ફાઇલના દસ્તાવેજો સંસ્થાકીય નિષ્ફળતા અને ‘ભૂલભરેલી પસંદગી’ પર સવાલ ઉઠાવે છે. આ આક્ષેપો US ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના જાહેર દસ્તાવેજો અને કોર્ટ રેકોર્ડ્સ પર આધારિત છે, જેનો હેતુ કોઈ વ્યક્તિ પર ગુનાહિત આરોપ મૂકવાનો નહીં પણ પારદર્શિતાની તપાસ કરવાનો છે.

બેક–ચેનલ ડિપ્લોમસી 

આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ક્યાં ‘ભૌગોલિક-રાજકીય મહેરબાની’ની જરૂર પડી, તે આ ટાઇમલાઇન પરથી સ્પષ્ટ સમજાય છે. માર્ચ 2017માં વડા પ્રધાન મોદીના અમેરિકા પ્રવાસના ત્રણ મહિના પહેલા, અનિલ અંબાણીએ એપસ્ટીન પાસે ટ્રમ્પ પ્રશાસનના કુશનર અને બેનન સાથે તાત્કાલિક મુલાકાત માંગી. અંબાણીના શબ્દો હતા : “દિલ્હીનું નેતૃત્વ આ ઇચ્છે છે.” મે 2019માં અંબાણી અને એપસ્ટીન ફરી મળ્યા. જે બાદ એપસ્ટીને બેનનને મેસેજ કર્યો કે, “PM મોદીના માણસ ફરિયાદ કરે છે કે વોશિંગ્ટનમાં કોઈ તેમની સાથે વાત નથી કરી રહ્યું.” સપ્ટેમ્બર 2016માં રાફેલ સોદો થયો અને તેના ગણતરીના મહિનાઓમાં જ અંબાણીની નવી કંપનીને ₹ 21,000 કરોડના ઓફસેટ કોન્ટ્રાક્ટ મળ્યા. માર્ચ 2017માં અંબાણી પેરિસમાં એપસ્ટીન અને ઇઝરાયેલના પૂર્વ PM એહુદ બરાક સાથે ડિનર કરવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ તે રદ્દ કરીને તેઓ ફ્રાંકોઇસ ઓલાંદ(તત્કાલીન ફ્રેન્ચ રાષ્ટ્રપતિ)ને મળ્યા. બાદમાં ઓલાંદે જ કબૂલ્યું હતું કે રિલાયન્સને ભાગીદાર બનાવવા માટે ‘ભારતીય પક્ષ’નો આગ્રહ હતો. આ તરફ જુલાઈ 2017માં મોદીની ઐતિહાસિક ઇઝરાયેલ મુલાકાત બાદ એપસ્ટીને ઈ.મેઈલમાં શ્રેય લેતા લખ્યું: “સલાહ માની… પ્લાન સફળ રહ્યો.” આ જ ગાળામાં, હરદીપ સિંહ પુરી (હાલના કેબિનેટ મંત્રી) 2015 થી 2017 વચ્ચે એપસ્ટીનને તેના મેનહટન નિવાસસ્થાને 3-4 વાર મળ્યા હતા. આ તમામ મુલાકાતો એપસ્ટીન સેક્સ અપરાધી જાહેર થયા પછી થઈ હતી. જો કે એ મુલાકાતો એપસ્ટીનના સંપર્કોના નેટવર્કનો ઉપયોગ કરવા માટે કરવામાં આવી હોય તેવું હોય. 

કોમ્પ્રોમેટ : વ્યવસાય કે બ્લેકમેઈલ? 

આ ફાઇલ્સમાં સૌથી ખતરનાક વળાંક ‘સેક્સ્યુઅલ કોમ્પ્રોમેટ’ (બ્લેકમેઈલ) વિશે છે. જેને સેક્સ્યુઅલ ગુના માટે સજા થઈ ચૂકી હોય એવો અપરાધી સંરક્ષણને લગતા સોદા, આંતરરાષ્ટ્રીય સત્તાઓ અને બીજી ‘સેવા’ પૂરી પાડતો હોય ત્યારે દિલ્હીના નેતૃત્વ સામે સવાલ થાય તે સ્વાભાવિક છે. વળી જો આ બેઠકો કાયદેસર હતી તો સરકારે મૌન તોડવું જોઈએ. 

સર્વાધિકાર કે માત્ર દેખાડો?

4 જુલાઈ, 2017ના વડા પ્રધાન મોદી પેલેસ્ટાઇનને સાથે જોડ્યા વિના ઇઝરાયેલની સ્વતંત્ર મુલાકાત લેનારા ભારતીય વડા પ્રધાન બન્યા. એપસ્ટીને આનો શ્રેય લેતો એક ઇમેઇલ કર્યો, “ભારતીય વડા પ્રધાન મોદીએ સલાહ માની અને થોડા અઠવાડિયા પહેલા મળેલા અમેરિકન રાષ્ટ્રપતિના ફાયદા માટે ઇઝરાયેલમાં નાચ્યા અને ગીતો ગાયા. તે કામ કરી ગયું. પ્લાન સફળ રહ્યો.”

અહીં ટાઇમલાઇન નોંધવી જરૂરી છે. જૂન 2017માં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મોદીની પહેલી મુલાકાતના થોડા અઠવાડિયા પછીનો સમય હતો. ભારત તેના બિન-જોડાણવાદી વારસાથી દૂર હટીને અમેરિકા-ઇઝરાયેલ ધરી તરફ વળી રહ્યું હતું. ઇઝરાયેલ પાસેથી સંરક્ષણ ખરીદી આસમાને પહોંચવાની હતી. નેતન્યાહુ 2018માં ભારતની મુલાકાતે આવવાના હતા. આ એક રાષ્ટ્ર તરીકે ભારતે પોતે પસંદ કરેલી બાબતો હતી કે એપસ્ટીનના ઇમેલની માફક આ બધી એક ગોઠવણ માત્ર હતી? એપસ્ટીનના નેટવર્કમાં ઇઝરાયેલના ભૂતપૂર્વ PM એહુદ બરાક હતા, જે એપસ્ટીન અને અંબાણી સાથેના કનેક્શન સહિત ફાઇલોમાં વારંવાર દેખાય છે.

જો વિદેશ મંત્રાલયને મતે આ દાવા પાયાવિહોણા છે તો સ્વતંત્ર તપાસ થવા દેવી જોઇએ. સંસદે રાહુલ ગાંધીના પ્રશ્નો કેમ કાઢી નાખ્યા (expunge)? મુદ્દો એ નથી કે મોદી વ્યક્તિગત રીતે એપસ્ટીનને મળ્યા હતા કે નહીં, આમ પણ તેનો કોઈ પુરાવો નથી. મુદ્દો એ છે કે ભારતની વિદેશ નીતિ એવા નેટવર્કથી પ્રભાવિત હતી જે ‘સેક્સ્યુઅલ કોમ્પ્રોમેટ’ને ચલણ તરીકે વાપરતી હતી? એક અપરાધી સાબિત થયેલા માણસની પહોંચ ભારતના વ્યૂહાત્મક નિર્ણયો પર ચાલતી હતી?  દાવા ખોટા હોય તો તપાસ થવા દેવી જોઇએ.

રાજદ્વારી પહોંચ અને ‘પ્લોસિબલ ડિનાયબિલિટી‘

હરદીપ સિંહ પુરીએ સ્વીકાર્યું છે કે તેઓ એપસ્ટીનને તેના મેનહટનના ઘરે ત્રણ-ચાર વખત મળ્યા હતા. પણ એ મળ્યા તેના આઠેક વર્ષ પહેલાં એપસ્ટીનને સગીરાઓના શોષણ માટે સજા ફટકારાઈ હતી. આવા માણસને મળવું જરૂરી હતું? હરદીપ સિંહ પુરીનું કહેવું છે કે પહેલી વખત ઇન્ટરનેશનલ પીસ ઇન્સ્ટિટ્યૂટના (IPI) તેમના બોસ ટેરિયે રોડ-લાર્સને તેમને “ભેરવી” (ambushed) દીધા હતા. ઈ.મેઇલ્સમાં કંઇ બીજું વર્તાય છે. ડિસેમ્બર 2014માં, પુરીએ એપસ્ટીનને લખ્યું હતું: “તમે તમારા વિદેશી ટાપુ પરથી ક્યારે પાછા આવો છો તે જણાવશો. મારે વાતચીત માટે આવવું છે.” જાન્યુઆરી 2017માં, તેમણે “મારા પુસ્તકની નકલ આપવા માટે આવવા” બીજી મુલાકાત માંગી. મે 2017માં, તેમણે એપસ્ટીનના ટાઉનહાઉસ પર સવારે 11 વાગ્યે મળવાનું કન્ફર્મ કર્યું. આ કોઈ ઓચિંતી મુલાકાતો નથી. આ વિધિવત એપોઇન્ટમેન્ટ્સ છે.

IPI કનેક્શન તેનું કારણ હોઈ શકે છે. લાર્સનને એપસ્ટીનના વસિયતનામામાં $2 મિલિયન મળ્યા હોવાનું કહેવાય છે, જે એપસ્ટીનના મૃત્યુના બે દિવસ પહેલા સાઇન થયું હતું. આ તરફ ફાઇલો બહાર આવી, ત્યારે લાર્સને નોર્વેમાં રાજીનામું આપ્યું. 

ઈ.મેઈલ્સ પરથી સાબિત થાય છે કે પુરીને એપસ્ટીન સાથે થોડોઘણો ઘરોબો તો હતો કારણ કે તેમણે એપસ્ટીનના કોઈ આસિસ્ટન્ટ જેને ભારતીય લગ્ન અટેન્ડ કરવા હતા તેમને માટે વિઝાની વ્યવસ્થા કરવાની તૈયાર બતાડી હતી. વળી એપસ્ટીનના “એક્ઝોટિક આઇલેન્ડ” વિશે પણ તેમને ખબર હતી. છતાં વિદેશ મંત્રાલય પાસે આ મુલાકાતોનો કોઈ રેકોર્ડ નથી.

ભા.જ.પ.ના જ સુબ્રમણ્યમ સ્વામીએ એપસ્ટીન ફાઇલો જાહેર થઈ તે પહેલાં વિસ્ફોટક દાવા કર્યા હતા. તેમની સામે માનહાનિનો કોઈ દાવો નહોતો કરાયો. સુબ્રમણ્યમ સ્વામીના દાવા અને ફાઈલો વચ્ચે સમાનતા કંઇક કડીઓ જોડાઈ તેમ લાગ્યું ત્યારે પણ કોઈ ચોખવટ ન કરી અને સંસદે પોતાના રેકોર્ડમાંથી પુરી વિશેના પ્રશ્નો કાઢી નાખ્યા.

2021માં મંત્રી તરીકે હરદીપ સિંહની પ્રગતિ એ યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયન તેલ પરના ડિસ્કાઉન્ટના સમયે થઈ એ પણ સવાલો ખડા કરે છે. ભારત જ્યારે અમેરિકાના દબાણ વચ્ચે રશિયા સાથે એનર્જી સંબંધોને મામલે સંતુલન સાધવાનો પ્રયાસ કરી રહ્યો છે ત્યારે એવો કોઈ મંત્રી જે અમેરિકન ઇન્ટેલિજન્સ એનન્સીઓની માહિતીને પગલે સંભવિત રીતે દબાણમાં હોઈ શકે તે ભારતના હિતમાં નિષ્પક્ષ વાટાઘાટ કરી શકે? 

જેફરી એપસ્ટીન કોઈ વિકૃત અબજોપતિ નહોતો તે રાજકારણીઓને ઓળખતો હતો. તે એક જિઓ-પૉલિટિકલ ‘ફિક્સર’ હતો જેના જાતીય ગુનાઓ તેના કામની એક પદ્ધતિ (methodology) હતી, વિકૃતિ નહીં. કોમ્પ્રોમેટ એટલે કે કોઈપણ વ્યક્તિ વિશેની એવી માહિતી એકઠી કરવી જેના થકી તેને બ્લેકમેલ કરી શકાય, તેને સમાધાન કરવા મજબૂર કરી શકાય વગેરે. જેફરીની કામગીરી કોમ્પ્રોમેટના માળખાથી જ ચાલતી હતી. તેણે એવા લોકો સાથે ઓળખાણો રાખી જે મહત્ત્વાકાંક્ષી નેતાઓ, ઉદ્યોગપતિઓ હોય અને જેને અમેરિકા, ઇઝરાયલ કે યુરોપના સત્તાના કેન્દ્રો સુધી પહોંચવું હોય. ચાવી રૂપ માણસો સાથે મુલાકાત ગોઠવવી, વધારાની ‘સર્વિસિઝ’ આપવી, અને આ બધાનું ડોક્યુમેન્ટેશન ઈ.મેઈલ્સ, પ્રોપ્રટીમાં ગોઠવાયેલા કોમેરાઝથી કરવું. જરૂર પડે ત્યારે આ બધી માહિતીઓ વાપરીને દબાણ કરીને ધાર્યું પરિણામ મેળવવું. 

હજી તો ઇન્ટેલિજન્સ એજન્સીઝ સાથેના જોડાણની વાતો ચર્ચામાં છે. પત્રકાર વિકી વોર્ડેના રિપોર્ટ અનુસાર ભૂતપૂર્વ યુ.એસ. એટર્ની એલેક્ઝાન્ડર એકોસ્ટાએ 2008ની સોફ્ટ ડિલને મામલે એવું કહ્યુ હતું કે તેમને “કહેવામાં આવ્યું હતું” કે એપસ્ટીન “ઇન્ટેલિજન્સનો માણસ છે.”

ભારતના મામલે જે થયું તેમાં પણ આ પેટર્ન બંધ બેસે છે. આ કોઈ કાવતરું (conspiracy theory) નથી. આ અમેરિકી કાયદા હેઠળ બહાર પાડવામાં આવેલા ઈ.મેઈલ્સ, ફ્લાઈટ લોગ્સ અને નાણાંકીય રેકોર્ડ્સમાં નોંધાયેલી બાબતો છે.

તફાવત એકદમ સ્પષ્ટ છે: જ્યાં નોર્વે, યુ.કે. અને સ્વીડન જેવા દેશોમાં એપસ્ટીન ફાઇલ્સમાં નામ આવતા જ નેતાઓએ રાજીનામાં આપ્યા. દસ્તાવેજી સંકેતો હોવા છતાં તપાસને બદલે પ્રેસ કોન્ફરન્સ યોજવી અને સંસદીય પ્રશ્નોને રેકોર્ડ પરથી ભૂંસી નાખવા યોગ્ય નથી. 

આ એક વ્યવસ્થિત પેટર્ન છે, યુ.એસ. ‘ડીપ સ્ટેટ’ની એ પદ્ધતિ જેમાં ‘સેક્સ્યુઅલ કોમ્પ્રોમેટ’ દ્વારા વ્યક્તિગત નબળાઈઓને નીતિવિષયક દબાણમાં ફેરવવામાં આવે છે. ભારત જ્યારે રશિયા પાસેથી તેલ અને ક્વાડ (Quad) જેવા મહત્ત્વના વ્યૂહાત્મક નિર્ણયો લઈ રહ્યું હોય, ત્યારે પ્રશ્ન એ થાય કે આ નીતિઓ કોના હિતમાં ઘડાઈ રહી છે?

બાય ધી વેઃ 

ભારતે હવે માંગ કરવી જોઇએ કે, વિદેશ મંત્રાલયની તમામ બેઠકોના અસંશોધિત (Unredacted) રેકોર્ડ્સ જાહેર થાય, સ્વતંત્ર તપાસ સમિતિ રચાય અને  એમ.જે. અકબરના ઉદાહરણને અનુસરીને, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સંબંધિત મંત્રી પદ છોડે. સંસદમાં પૂછાયેલા અને કાઢી નાખેલા તમામ પ્રશ્નોને રેકોર્ડ પર પુનઃસ્થાપિત કરવામાં આવે. એપસ્ટીન ફાઇલ્સ માત્ર ભૂતકાળના ગુનાઓ નહીં, પણ સત્તાના ગલિયારાઓમાં ફેલાયેલી બ્લેકમેઇલની જાળનો પર્દાફાશ કરે છે. અહીં એપસ્ટીન શું હતો, કોણ હતો તે સવાલ જ નથી, આવા ફિક્સર વિના વૈશ્વિક રાજકારણ ચાલી શકે એ સવાલ અગત્યનો છે. એપસ્ટીન જેવા લોકો જોખમી હોય છે. આ ખેલમાં ડીપ સ્ટેટ કોનસ્પીરસી હોવાની શક્યતા પણ છે. અમેરિકામાં ગ્રે એરિયા બહુ છે, રાજકારણમાં તો ખાસ. એક આડ વાત જે અમુક લોકોને રસપ્રદ લાગી શકે છે. હોરરના શોખીનોને ખબર હશે કે શેતાનની પૂજા કરનારાઓ અમુક પ્રકારની પ્રવૃત્તિઓમાં જોડાતા હોય છે. જો કે એપસ્ટીનને મામલે એવા કોઈ પુરાવા નથી જાહેર થયા પણ ધાર્યું કરવા માટે કોઈપણ હદ સુધી જતા લોકો ગુપ્ત સંપ્રદાયો સાથે મળીને મેલી વિદ્યાઓ સાથે સંકળાયેલા હોય તેવું માનવામાં કંઇ ખોટું નથી. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 ફેબ્રુઆરી 2026

Loading

...102030...48495051...607080...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved