Opinion Magazine
Number of visits: 10080366
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—343

દીપક મહેતા|Opinion - Opinion|30 May 2026

ઓગણીસમી સદીના મુંબઈમાં બંધાયેલો કિન્ગ્ઝ બ્રિજ

વીસમી સદીમાં આઝાદી પછી બન્યો ટિળક બ્રિજ     

‘પુઢિલ સ્ટેશન દાદર.’ આજની વેસ્ટર્ન રેલવેની લોકલ ટ્રેન પ્રભાદેવી સ્ટેશનેથી ઊપડે તે પછી, કે સેન્ટ્રલ રેલવેની ટ્રેન પરળ સ્ટેશનેથી ઊપડે તે પછી મુંબઈની ટ્રેનોમાં બેઠેલા લાખો લોકો રોજેરોજ આ એનાઉન્સમેન્ટ એક કાનથી સાંભળતા હોય છે, અને બીજે કાનેથી કાઢી નાખતા હોય છે. આજે દાદર ઊભી ન રહેતી હોય તેવી લોકલ ટ્રેન ભાગ્યે જ જોવા મળે. પણ ૧૮૫૩ના એપ્રિલની ૧૬મી તારીખે જ્યારે બોરીબંદર અને ઠાણે વચ્ચે પહેલી ટ્રેન દોડી ત્યારે તે દાદર સ્ટેશને ઊભી રહી નહોતી. એમ કેમ? કારણ ત્યારે દાદર સ્ટેશનનું અસ્તિત્વ જ નહોતું. બોરી બંદર અને ઠાણે વચ્ચે એ ટ્રેન માત્ર બે જ સ્ટેશને ઊભી રહી હતી, ભાયખળા અને સાયન! ગ્રેટ ઇન્ડિયા પેનનસુલા રેલવેએ ૧૮૫૩ના ઓગસ્ટથી ઓક્ટોબર સુધીના ગાળામાં ક્યારેક દાદર સ્ટેશન શરૂ કરેલું, પણ એ વખતે એનું નામ હતું ‘માહિમ રોડ સ્ટેશન’! ૧૮૫૬ના નવેમ્બરની પહેલી તારીખે નવા નામ ‘દાદુર’ સાથે તેનું ફરીથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પછી આવ્યો રવિવાર, એપ્રિલ ૧૨, ૧૮૬૭નો દિવસ. એ વખતની બી.બી.સી.આઈ. રેલવેએ વિરાર અને બેક બે સ્ટેશન વચ્ચે પહેલવહેલી લોકલ ટ્રેન દોડાવી. (આ બેક-બે સ્ટેશન આજના ચર્ચ ગેટ અને મરીન લાઈન્સ સ્ટેશનો વચ્ચે આવેલું હતું. ૧૮૬૨ પછી મુંબઈમાં કાપૂસની નિકાસ, નવી બેંકો, રેકલમેશન કંપનીઓની બોલબાલા થઈ એ વખતે દરિયો પૂરીને જમીન મેળવવાની જે જબરદસ્ત કવાયત શરૂ થઈ તેમાંનો એક વિસ્તાર એ વખતે ‘બેક-બે’ તરીકે ઓળખાતો હતો. બી.બી.સી.આઈ. રેલવેની આ પહેલી લોકલ ટ્રેન વિરાર અને બેક બે વચ્ચે માત્ર દસ સ્ટેશને રોકાઈ હતી, અને તેમાંનું એક સ્ટેશન હતું ‘દાદુર’ એટલે કે દાદર. તે દિવસથી દાદર સ્ટેશનનું મહત્ત્વ વધતું ગયું, કારણ બંને કંપનીઓની લોકલ ટ્રેન એ સ્ટેશને થોભતી હતી. પણ શરૂઆતમાં આ બે કંપનીઓ વચ્ચે સમજૂતી થઈ નહોતી, એટલે મુસાફરો દાદર સ્ટેશને ટ્રેન બદલી શકતા નહિ. પણ પછી સમજૂતી થતાં બંને રેલવેનાં પ્લેટફોર્મને જોડતા ફૂટ ઓવર બ્રિજ બંધાયા. બે બે કંપનીની ટ્રેનો અહીં ઊભી રહેતી હોવા છતાં ઘણા વખત સુધી દાદરનો વિસ્તાર ગામડા જેવો હતો. 

૧૮૬૨-૧૮૬૫ દરમિયાન રૂના વેપારીઓ ગ્રેટ બ્રિટન નિકાસ કરીને ઢગલાબંધ કમાયા. મુંબઈમાં પહેલવહેલી કોટન મિલ ૧૮૫૪માં કાવસજી નાનાભાઈ દાવરે આજના તારદેવ વિસ્તારમાં શરૂ કરેલી. પણ ૧૮૬૫ પછી ઘણા શાણા વેપારીઓને વિચાર આવ્યો કે સૂતરાઉ કાપડ વણવા માટે આપણે અહીંનું રૂ માન્ચેસ્ટર મોકલીએ અને પછી એ જ રૂમાંથી બનેલું કાપડ મોંઘા ભાવે ખરીદીએ એના કરતાં આપણા દેશમાં જ સૂતરાઉ કાપડ કેમ ન બનાવીએ? અને મુંબઈમાં નવી કોટન મિલ કૂદકે ને ભૂસકે ખુલવા લાગી. તેમાંની ઘણી મિલો ‘ગિરણગાંવ’ વિસ્તારમાં શરૂ થઈ. (આ ગિરણગાંવ તે ‘ગિરગાંવ’ નહિ, આજના પરળ-દાદરનો વિસ્તાર.) તેને પરિણામે દાદર સ્ટેશને મિલ મજૂરોની આવન-જાવન વધી અને એટલે આ સ્ટેશનનું મહત્ત્વ પણ વધતું ગયું.

દાદર સ્ટેશન(BBCI)માં દાખલ થવાનો અસલ રસ્તો   

પછી દાદરના અસાધારણ વિકાસ માટે કારણભૂત બની એક અણધારી કુદરતી આફત. ૧૮૯૬માં પ્લેગના જીવલેણ રોગે મુંબઈ પર જબરદસ્ત હુમલો કર્યો. તેનો પહેલો અણસારો આવી ગયો એ વખતના એક પ્રખ્યાત ડોક્ટર એકાસિયો ગેબ્રિઅલ વિગાસને. જેમ જેમ રોગચાળો ફેલાતો ગયો, તેમ તેમ કેટલાયે લોકો તળ મુંબઈ છોડી કાં ‘દેશ’માં જવા લાગ્યા કાં દૂરનાં પરાંઓમાં રહેવા જતા રહ્યા. એ વખતે મુંબઈનાં ઘણાં પરાંનો ઝડપી વિકાસ થયો. ડો. વાલ્ડેમર હાફકિને બને તેટલી ઝડપથી પ્લેગની રસી શોધી કાઢી. અને સરકારે લોકો માટે તે લેવાનું ફરજિયાત બનાવ્યું તે પછી રોગનું જોર ધીમે ધીમે ઓછું થયું. પણ સરકારી આંકડા પ્રમાણે પ્લેગને લીધે મુંબઈમાં ૧,૫૭,૮૯૧ લોકો મોતને ભેટ્યા.

પ્લેગમાંથી મુંબઈ બહાર આવ્યું પછી સરકારને લાગ્યું કે પ્લેગ આટલો ઝડપથી ફેલાયો તેનું એક મુખ્ય કારણ હતું તળ મુંબઈની ગીચ વસતી. એટલે મુંબઈ સરકારે લોકોને તળ મુંબઈથી દૂર ખસેડવાનું નક્કી કર્યું. તે માટે મુંબઈને એક સુઆયોજિત શહેર બનાવવાના ઉદ્દેશથી ૧૮૯૮ના ડિસેમ્બરની નવમી તારીખે ‘બોમ્બે ઈમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટ’ની સ્થાપના કરી. બીજે જ વરસે, ૧૮૯૯માં તેણે દાદર, માટુંગા, સાયન, અને વડાલા ખાતે સુઆયોજિત રહેણાકના વિસ્તારો ઊભા કરવાની યોજના બનાવી. ઘણાને મતે હિન્દુસ્તાનમાં ‘નગર આયોજન’નો આ પહેલવહેલો પ્રયત્ન હતો. અ ટ્રસ્ટે મિલ મજૂરોને રહેવા માટે સુઘડ ચાલો બનાવી, તો મધ્યમ વર્ગના લોકોને ઘર બાંધવા માટે દાદર-માટુંગા ખાતે લગભગ પાણીના ભાવે વ્યવસ્થિત રીતે પાડેલા જમીનના પ્લોટ આપ્યા. દાદરમાં આવેલી હિંદુ કોલોની અને પારસી કોલોની એ અસલમાં આ ટ્રસ્ટની સર્જત. હજી આજે પણ આ વિસ્તારમાં લટાર મારીએ તો જાણે કોઈ બીજા જ શહેરમાં આવી ચડ્યાં હોઈએ એવું ઘડી ભર તો લાગે. 

દાદર સ્ટેશન, ૧૯૨૩માં 

પરિણામે દાદરની અને માટુંગા, સાયન, વડાલા જેવા એક વખતના ગામડા જેવા વિસ્તારોની વસતી વધી ગઈ. એટલે ત્યાં રહેતા લોકો માટે વાહન વ્યવહારની સગવડો ઊભી કરવાનું જરૂરી બન્યું. મુંબઈમાં અગાઉ ઘોડાથી ચાલતી ટ્રામ હતી પણ તેની પહોંચ મર્યાદિત હતી. તેની જગ્યાએ ૧૯૦૭માં ઇલેક્ટ્રિક ટ્રામ BEST કંપની દ્વારા શરૂ કરવામાં આવી. થોડા વખતમાં આ ટ્રામ સર્વિસને દાદર સુધી લંબાવવામાં આવી. ઘણા વખત સુધી એ છેલ્લું સ્ટેશન હતું એટલે દાદર ટ્રામ ટર્મિનસ તરીકે ઓળખાતું. લોકો ટૂંકમાં તેને દાદર ટી.ટી. તરીકે ઓળખતા. ૧૯૬૪ના માર્ચની ૩૧મીએ રાતે દસ વાગે છેલ્લી ટ્રામ બોરી બંદર (આજનું CSMT) અને દાદર વચ્ચે દોડાવવામાં આવેલી. એ વાતને આજે ૬૨ વરસનાં વહાણાં વાઈ ગયાં, છતાં આજે પણ અસ્સલ મુંબઈગરા એ વિસ્તારને ‘દાદર ટી.ટી.’ તરીકે જ ઓળખે છે. 

મુંબઈની લોકલ ટ્રેનોને પ્રતાપે વાહન વ્યવહારમાં જબરદસ્ત ક્રાંતિ આવી. પણ બી.બી.સી.આઈ. અને જી.આઈ.પી. બંનેની ટ્રેનો દક્ષિણ મુંબઈથી ઉત્તર દિશામાં વિસ્તરતી ગઈ. એટલે શહેરના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારો બે ભાગમાં વહેચાઈ ગયા. શરૂઆતમાં તો લગભગ દરેક સ્ટેશન પાસે ફાટક(રેલવે ક્રોસિંગ)ની વ્યવસ્થાથી કામ ચાલ્યું. પણ પછી એક બાજુથી બે ટ્રેનો વચ્ચેનો સમયગાળો ઓછો ને ઓછો થતો ગયો, અને બીજી બાજુથી રસ્તાઓ પરનો વાહનવ્યવહાર વધતો ગયો. એટલે રેલવે લાઈન ઉપરથી પસાર થતા બ્રિજ બાંધવાનું જરૂરી બન્યું. આવા કેટલાક બ્રિજ વિષે અગાઉ આપણે વાત કરી છે. 

લોકમાન્ય બાળગંગાધર ટિળક

  બીજાં ઘણાંખરાં સ્ટેશનોની જેમ લાંબા વખત સુધી દાદર સ્ટેશને પણ ફાટકથી કામ ચાલ્યું. એ ફાટક આજના ટિળક બ્રિજથી થોડે દૂર દક્ષિણ દિશામાં આવેલું હતું. પણ પછી અહીં પણ બ્રિજ બાંધવાનું જરૂરી બન્યું. એટલે બંને રેલવે કંપનીઓના પાટા પરથી પસાર થતા બ્રિજનું બાંધકામ ૧૯૧૭માં શરૂ થયું અને પૂરું થયું છેક ૧૯૨૫માં. આજે બહુ ઓછા મુંબઈગરાને આ બ્રિજનું અસલ નામ ખબર હશે : Kingsway Bridge. ૧૯૧૧માં સાયન પાસે કિન્ગ્ઝ સર્કલ અને ત્યાંથી ક્રાફર્ડ માર્કેટ સુધીના રસ્તાને કિન્ગ્ઝ વે નામ આપવામાં આવ્યું. એ રસ્તાથી શરૂ થતા બ્રિજને નામ અપાયું કિન્ગ્ઝવે બ્રિજ. આ બ્રિજ બંધાયા પછી તેના પરથી રાહદારીઓ, બળદ ગાડાં, ઘોડા ગાડી, અને નવી નવી આવેલી મોટરો, વગેરે તો પસાર થતાં, પણ એ વખતે ટ્રામ પણ પસાર થતી! તો બ્રિજની નીચેથી બે રેલવે કંપનીની ટ્રેનો પસાર થતી, બલકે, આજે પણ થાય છે. અને આજે પણ બહાર ગામથી આવેલા ઘણા લોકો બ્રિજ પર ઊભા રહીને સાપ જેવી લાંબી ટ્રેનોને નીચેથી સરકી જતી જોતા રહે છે. આજે વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેનાં સ્ટેશન એક રીતે અલગ અલગ, અને બીજી રીતે એકબીજા સાથે મુસાફરો માટેના ફૂટ ઓવર બ્રિજથી સંકળાયેલાં છે. વેસ્ટર્ન રેલવેના પાટાની સાત લાઈન અને સેન્ટ્રલ રેલવેના પાટાની સાત લાઈન, એમ કુલ ૧૪ લાઈન ઓળંગીને આ બ્રિજ પૂર્વ અને પશ્ચિમ દાદરને એકબીજા સાથે જોડે છે. આ બ્રિજને પ્રતાપે હિંદુ અને પારસી કોલોની, માટુંગા, શિવાજી પાર્ક (દાદર પશ્ચિમ) અને એક જમાનાનું ‘ગિરણગાંવ’ એકબીજા સાથે જોડાઈ ગયાં. તે એટલે સુધી કે એક જમાનામાં મુંબઈની મરાઠી પ્રજા અને તેની સંસ્કૃતિનું કેન્દ્ર ગિરગાંવ હતું, તેને બદલે વખત જતાં એ માન દાદરને મળ્યું. દેશને આઝાદી મળી તે પછી આ બ્રિજનું નામ બદલીને લોકમાન્ય બાળગંગાધર ટિળકની સ્મૃતિમાં ‘ટિળક બ્રિજ’ રાખવામાં આવ્યું. (પૂરતા પ્રયત્નો છતાં નવા નામકરણની તારીખ જાણવા મળી નથી. કોઈ સુજ્ઞ વાચક જણાવશે તો આ લખનાર આભારી થશે.) હવે તો ‘ટિળક બ્રિજ’ નામ મુંબઈગરાને હૈયે અને હોઠે એવું તો જડાઈ ગયું છે કે આ બ્રિજનું અગાઉ બીજું કોઈ નામ હતું એ વાત લગભગ ભૂલાઈ ગઈ છે.

દાદર સ્ટેશન અને ટિળક બ્રિજ, આજે 

બીજા ઘણા બ્રિજની જેમ ટિળક બ્રિજ પણ હવે ઘરડો થયો છે અને સાંકડો પણ પડે છે. પણ અનેક કારણો સર તેને તોડીને તેની જગ્યાએ નવો બ્રિજ બાંધવાનું શક્ય ન જણાતાં તેની બાજુમાં નવો ‘કેબલ સ્ટે બ્રિજ’ બંધાઈ રહ્યો છે. તેની લંબાઈ ૬૫૦-૬૭૦ મીટરની હશે, અને તેના પર ટ્રાફિક માટે છ ‘લેન’ હશે. આ નવો પુલ બંધાય એ દરમિયાન જૂનો પુલ ચાલુ રહેશે. નવો બ્રિજ બાંધવાનો ખર્ચ ૩૭૫ કરોડ રૂપિયા જેટલો થવાનો અંદાજ છે. પણ આપણે બધાં જાણીએ છીએ કે આવાં કામોમાં અંદાજ અને વાસ્તવિકતા વચ્ચે કેટલો ફરક હોય છે. 

ક્યાં ૧૮૫૬નું નાનકડું ‘દાદુર’ સ્ટેશન અને ક્યાં આજનું ૧૪ રેલવે ટ્રેકને સમાવતું દાદર. ૧૯મી સદીમાં પહેલવહેલી ટ્રેન દોડતી થઈ ત્યારે લોકોના મનમાં તે કેવી તો વસી ગઈ હતી તે એ વખતના એક ખૂબ લોકપ્રિય ગરબાની થોડી પંક્તિઓ વાંચતાં સમજાય છે :

ગાડી આવી ગુજરાત, અગન કેરી ગાડી રે આવી.

ગાડી આવી હિન્દુસ્તાન, અગન કેરી ગાડી રે આવી.

ગાડી તારાં બેસણાં, ઇન્દ્ર તણાં વૈમાન, 

આંકડે આંકડો મેળવ્યો,

તેનો ઘડનારો ચતુર સુજાણ.

અમદાવાદની દીકરી, મુંબઈ તેનું મોસાળ,

સુરત તેનું સાસરું, તેનો સહેજે સંદેશો જાય,

અગન કેરી ગાડી રે આવી. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX 

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 30 મે 2026

Loading

ઓઈલ કંપનીઓ મગરનાં આંસુ સારે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|29 May 2026

રવીન્દ્ર પારેખ

ઓઈલ કંપનીએ 26મીના છેલ્લા ભાવ વધારા મુજબ પેટ્રોલ લીટરે 2.61 રૂપિયા અને ડિઝલ 2.71 રૂપિયા મોંઘુ કરતાં પેટ્રોલ 100ને પાર પામી ગયું છે. 11 દિવસમાં પ્રજાને પેટ્રોલ-ડિઝલમાં લિટરે 7.50નો ફટકો પડ્યો છે. 11 દિવસમાં ચાર વખત પેટ્રોલ-ડિઝલના ભાવ વધ્યા છે. આ અગાઉ ચૂંટણી પછી ૩.14, ૦.91 અને ૦.87નો વધારો ઝીંકાયો હતો. ઈરાન યુદ્ધ ને નામે ને ક્રૂડ 100 ડોલરે જતાં સરકારે ઓઈલ ઓછું વાપરવાની સલાહ આપી ને બીજી તરફ પેટ્રોલ-ડિઝલ મોંઘું થવાની ચેતવણીઓ પણ આપી. એવું નથી કે હવે ભાવ વધશે નહીં. ભાવ વધારાની તલવાર તો પ્રજા પર લટકેલી જ છે. બાકી, હતું તે સી.એન.જી.નો ભાવ પણ કિલોએ 2 રૂપિયા વધ્યો છે.

આમ તો યુદ્ધને કારણે ને ઓઈલની અછતને કારણે ભાવ વધે તે સમજી શકાય, પણ તેલ કંપનીઓ રોજ હજાર કરોડની ખોટ ખાય છે – એવું રડે છે તે મગરનાં આંસુ છે. પાંચ રાજ્યોની ચૂંટણી પતે એની રાહ જ જોવાતી હતી ને જેવી ચૂંટણી પતી કે સાપ ફૂંક મારીને કરડે એમ ઓઈલ કંપનીઓએ ભાવ વધારીને પ્રજાને ડંખવાનું શરૂ કર્યું. છેલ્લા ભાવ વધારાથી કંપનીઓની રોજની 1,000 કરોડની ખોટ 600 કરોડ પર આવી ગઈ છે. આ ખોટની રડારોળ કંપનીઓ ચૂંટણી વખતે કરતી નથી. પ્રજાને પણ એવું થઈ ગયું છે કે ચૂંટણી બારે મહિના હોય તો સારું, કારણ એ વખતે ભાવ વધતા નથી.

કોરોના વખતે કાર, એરોપ્લેન, બાઈક વગેરે બંધ હતાં એટલે અત્યારે જે 100 ડોલરે મળે છે તે ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 42-44 ડોલરે મળતું હતું. તે પછી રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન ક્રૂડના ભાવ વધ્યા એ બાદ કરતાં ભાવ કાબૂમાં રહ્યા. દુનિયા આખીમાં ઓઈલ સસ્તું હતું, ત્યારે ભારતીય ઓઈલ કંપનીઓએ પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડ્યા નહીં ને લોકોનાં ગજવાં ખંખેરીને સરકારે અને તેલ કંપનીઓએ નફાથી હોજરી ભરી લીધી. હજારો કરોડ નફો ગજવે ઘાલીને હવે કંપનીઓ રોજની 1,000 કે 600 કરોડની ખોટ બતાવીને લોકોની સિમ્પથી ઉઘરાવે છે ને પ્રજાને ભાવ વધારો વેઠવાની ફરજ પાડે છે તે અપ્રમાણિકતા અને છેતરપિંડીનો નાદાર નમૂનો છે. રોજની 1,000 કરોડની ખોટનું સરકાર રડે છે પણ કોરોનામાં હોજરી ભરી ત્યારે કોઈ દિવસ એવું કહ્યું નથી કે કંપનીઓને રોજનો હજાર કરોડનો નફો થયો છે.

હકીકત એ છે કે કોરોના કાળમાં સરકારની ટેક્સની આવક ૩.84 લાખ કરોડ રૂપિયા થઈ હતી ને રાજ્યોની કમાણી 2 લાખ કરોડથી વધારે હતી. આટલો નફો ગજવે ઘાલીને સરકાર અને તેલ કંપનીઓ ઓઇલના ભાવ વધારવાના બહાના શોધે તો વાત કોને ગળે ઊતરે? સરકાર અને તેલ કંપનીઓએ લૂંટવામાં કંઇ બાકી રાખ્યું નથી ને તે વર્તે છે એવી રીતે કેમ જાણે ભાવ ન વધારીને તે લૂંટાઈ રહી છે. સરકાર પ્રજાની માનસિકતા જાણે છે. તે જાણે છે કે આ ભોળી પ્રજાને લૂંટીને ચૂંટણી વખતે છૂટક રાહત આપી દેવાથી તે જીતાડી દેશે ને એમ જ છે, નહિતર ચૂંટણીની રાહત યાદ રાખતી પ્રજાને આગલાં પાંચ વર્ષ યાદ જ ન આવે એ કેવું?

યુદ્ધની પરિસ્થિતિમાં કાચા તેલનો ભાવ પ્રતિ બેરલ 70 ડોલરથી વધીને 122 ડોલર થઇ ગયો  ને ઓઈલની તંગી ઊભી થઈ. તે વખતે કંપનીઓનું રડવું થોડું સાચું પણ હતું, પણ પછી જનતાની દયા ઉઘરાવવા પેટ્રોલ પર લિટરે 26નું અને ડિઝલ પર 31.90નું નુકસાન રડીને રોજની 1,600 કરોડની ખોટનું ગાણું ચાલુ કર્યું. ખોટ ખોટનું ગાઈને કંપનીઓએ ભરત નહીં, ભારત નાટ્યમ્‌ જ શરૂ કર્યું. સરકારે એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાનો ખેલ પણ કરી જોયો, પણ લોકોને પેટ્રોલ સસ્તું ન તે ન જ મળ્યું. પેટ્રોલ પંપ પર તો ભાવ એના એ જ રહ્યા. ખરું નાટક તો એ હતું કે ડ્યૂટી ઘટાડાનો લાભ પણ તેલ કંપનીઓને ખોટ પૂરવા જ અપાયો ને ગ્રાહક બિચારો થઈને મોંઘું પેટ્રોલ ભરાવતો રહ્યો.

આ દેશની લોકશાહી સરકાર ને તેલ કંપનીઓ આટલી નિષ્ઠુર કઈ રીતે હોઈ શકે? પોતાની જ પ્રજા જોડે આટલો વહીવંચો રાખવાની જરૂર કેમ પડે છે, તે નથી સમજાતું. કેમ એવું લાગ્યા કરે છે કે પ્રજા જોડે કોઈને કોઈ પ્રકારનું કાવતરું જ ચાલ્યા કરે છે? પ્રજા ઘવાતી જાય ને તેને તેની ખબર પણ ના પડે એવા ઘા કયા વાંકે મરાય છે તે અકળ છે.

આજનું 100 રૂપિયાના તેલનું રહસ્ય જાણવા જેવું છે. તેલની પડતર કિંમત 45 ટકા હોય તો કેન્દ્રનો ટેક્સ 25 ટકા ને રાજ્યનો ટેક્સ 20 ટકા ઉમેરાય છે. એના પર પંપ ડીલરનું કમિશન 10 ટકા લાગે. આમ લિટરના 45 રૂપિયા પર ટેક્સ લાગીને 100નો ભાવ લગાવાય છે. ગમ્મત તો એ છે કે 45 રૂપિયે પડતાં ઓઈલ પર 45 રૂપિયા ટેક્સ લાગે છે ને તે પછી પણ પેટ્રોલ પંપને 10 રૂપિયાનું દાપું તો ચૂકવવાનું જ હોય છે. રોજની 600 કરોડની ખોટ ખાતી કંપનીઓ 45 રૂપિયા પર 45 રૂપિયા ટેક્સ વસૂલે છે, તો ય છાજિયાં લે છે. આખા વેપલામાં ક્રૂડ સસ્તું હોય તો નફો સરકાર ગજવે ઘાલે છે ને ક્રૂડ મોંઘું થાય તો એ વધારો પ્રજાને માથે પડે છે. સાદો નિયમ તો એવો હતો કે ક્રૂડ મોંઘુ હોય તો મોંઘું વેચાશે ને સસ્તું હશે તો સસ્તું વેચાશે. એ નિયમનો ઉલાળિયો કરી દેવામાં આવ્યો છે. ક્રૂડ સસ્તું હતું ત્યારે પેટ્રોલ-ડિઝલ મોંઘું વેચાયું ને મોંઘુ થયું ત્યારે પણ મોંઘું જ વેચાયું.

ઇંધણના ભાવમાં વધારાને લીધે, રિટેલ ફુગાવો ૩.40 ટકાથી વધીને ૩.48 ટકા થયો છે ને જથ્થાબંધ ફુગાવો 42 મહિનાની ટોચે 8.૩ ટકા પર છે. પેટ્રોલ, ડિઝલમાં વધારાને પગલે મોંઘવારીનું વિષચક્ર વળી શરૂ થશે ને દૂધ, ફળ, શાકભાજી, અનાજ, કરિયાણું, ખાવાનું તેલ … એમ બધું જ વત્તે ઓછે અંશે મોંઘું થશે. સરકાર એટલી ઉસ્તાદ છે કે તે બીજું બધું મોંઘું કરવાને બદલે માત્ર પેટ્રોલ-ડિઝલ જ મોંઘુ કરી દે છે, જેથી અન્ય ચીજ વસ્તુઓ આપોઆપ જ મોંઘી થઈ શકે. વિપક્ષો બોલે છે કે સરકાર વરસેકમાં પડી જશે, એ તો થશે ત્યારે, પણ વિપક્ષોનો અસરકારક વિરોધ નથી એટલે આખો વેપલો ચાલે છે. આમાં ગેસમાં થયેલો વધારો તો ગણતા જ નથી. એ જોવા જઈએ તો ગેસ, ઓઈલમાં જ એટલા ખર્ચાઈ જાય એમ છે કે રાંધવા કે બાફવા જેવું કશું બચે જ નહીં. સરકાર જાણે છે કે ગેસ, ઓઈલ વગર પ્રજા રહેવાની નથી કે રાંધવાનું બંધ રખાય એમ નથી કે સ્કૂટરમાં પેટ્રોલ પુરાવ્યા વગર ચાલવાનું નથી, એટલે પ્રજા લાચાર છે અને સરકાર અત્યારે લાચારીનો ભરપૂર લાભ ઉઠાવી રહી છે.

આમ તો વાહન ખરીદી વખતે જ 28 ટકા ટેક્સ વસૂલાય તે પછી પેટ્રોલ કે ડિઝલ પર સૌથી ઊંચો એક્સાઈઝ-વેટ વસૂલાય છે. એ પછી રોડ સેસ અને ટોલ ટેક્સ તો ખરો જ. આમ તો પેટ્રોલ ભરાવીએ ત્યારે જ રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસને નામે ટેક્સ વસૂલાય જ છે, તો સવાલ એ થાય કે એક્સપ્રેસવે પર ઢગલો ટોલ ટેક્સ કઈ ખુશીમાં વસૂલાય છે? એક જ વાહન પર એક જ પ્રકારના બે વખત ટેક્સ કઈ રીતે લાગે? ટૂંકમાં, વાહન ખરીદનારને બધી જ બાજુએથી, બધા જ વેતરે છે. એ સમજાતું જ નથી કે રાષ્ટ્રનો વિકાસ મધ્યમ વર્ગના ખભા પર જ કેમ થાય છે? આ પ્રજા પણ ચૂંટણી વખતે, સરકાર દેખાડા ખાતર થોડું સસ્તું કરે એટલે આગળનું બધું ભૂલીને મત આપી આવે છે ને બીજા પાંચ વર્ષ માટે મોંઘવારી પર સહીસિક્કા કરી દે છે. સરકાર પ્રજાની નાડ પારખે છે ને તેને કેવી રીતે બાટલીમાં ઉતારી શકાય એ પણ જાણે છે, પણ પ્રજા સરકારની માનસિકતા નથી જાણતી એ દુ:ખદ છે, નહિતર એવું કેવી રીતે બને કે ચૂંટણી વખતે ફેંકાયેલી રાહત, એટલા પૂરતી જ છે, એનું ભાન જ ના પડે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 મે 2026

Loading

જ્યોતિરાવ ફુલે અને સ્ત્રી શિક્ષણની ક્રાંતિ: એક અર્થશાસ્ત્રીય અર્થઘટન

તુલિકા ત્રિપાઠી [અનુવાદ : નટુભાઈ પરમાર]|Opinion - Opinion|29 May 2026

નટુભાઈ પરમાર

૧૧ એપ્રિલ ૨૦૨૬ના દિવસે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા સેન્ટ્રલ યુનિવર્સિટી – ગુજરાતના સંયુક્ત ઉપક્રમે, તેના ‘ડૉ. આંબેડકર સેન્ટર ઓફ એક્સેલન્સ-DACE’ના યજમાનપદે, તેના નોડલ ઓફિસર પ્રો. ડૉ. રાજેશ મકવાણા અને રજીસ્ટ્રાર પ્રો. એચ.બી. પટેલ અને સહયોગીઓના પ્રયાસોથી ‘મહાત્મા ફૂલે’ પર પૂરા દિવસનો એક સેમિનાર (ચર્ચા સત્ર) યોજાયો હતો. જેમાં ગુજરાતના સામાજિક ન્યાય-અધિકારી મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમ્ન વાજા સહિતના ૧૬ (સોળ) વિદ્વાનોએ મહાત્મા ફૂલે પર જ્ઞાનસભર વક્તવ્યો રજૂ કર્યા હતા. 

પરમ મિત્ર એવા ડૉ. રાજેશ મકવાણાના નિમંત્રણથી આ સેમિનારમાં સહભાગી થવાનો એક અવસર મને પણ મળ્યો, તે બદલ તેમનો તો આભારી છું જ, પણ વિશેષ આભારી છું આ સેમિનારમાં મહાત્મા ફૂલેના જીવનકાર્ય અને વિશેષ કરીને મહિલા ઉત્થાનના બેમિસાલ કાર્યને એક અર્થશાસ્ત્રીની દૃષ્ટિએ તપાસીને વક્તવ્ય આપનારા, સેન્ટ્રલ યુનિવર્સિટી-ગુજરાત (વડોદરા)નાં અધ્યાપિકા પ્રો. ડૉ. તુલિકા ત્રિપાઠીનો.

મહાત્મા ફૂલેના જીવનકાર્ય અને પ્રદાન વિશે આપણે ઘણું વાંચ્યું હોય તો પણ તુલિકાબહેને એક અર્થશાસ્ત્રીની અદાથી આ જીવનકાર્યનો અભ્યાસ તેમના પ્રવચનમાં રજૂ કર્યો છે, તે નિરાળો છે. ખ્યાતિપ્રાપ્ત અને નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રીઓ જે વાત – જે સિદ્ધાંતો આજે રજૂ કરે છે, તે તો મહાત્મા જ્યોતિરાવ ફૂલે ૨૦૦ વર્ષ પહેલા કહી ચૂક્યા હતા – પુરવાર કરી ચૂક્યા હતા.

સાચે જ, તુલિકાબહેનનો આ લેખ અનન્ય છે. મારી વિનંતીથી એમનો મૂળ અંગ્રેજી લેખ મને અનુવાદ હેતુ મોકલી આપવા માટે હું તુલિકાબહેનનો હૃદયથી આભાર માનું છું. 

– નટુભાઈ પરમાર

•

મહાત્મા જ્યોતિરાવ ફૂલેનો જન્મ આજથી બસો વર્ષ પહેલાં, ૧૧ એપ્રિલ ૧૮૨૭ના રોજ થયો હતો. તેમ છતાં, જ્યારે હું તેમના જીવન અને કાર્યોને વાંચું છું, ત્યારે તેમણે ઓળખેલી સમસ્યાઓ અને તેમણે જે ચોકસાઈથી તેનો ઉકેલ આણ્યો તેમાં મને તેમનો એક આર્થિક દૃષ્ટિકોણ નજરે પડે છે. તેમણે મહિલાઓ અને નીચલી જાતિના લોકોની સ્થિતિને માત્ર એક સામાજિક સમસ્યા તરીકે જ નહીં, પરંતુ એક વંચિત જૂથની સમસ્યા તરીકે જોઈ. આ એ વંચિત વર્ગ હતા જેમની ક્ષમતાને શિક્ષણમાંથી બહિષ્કાર અને અલગ શ્રમ બજાર (segregated labor market) દ્વારા પદ્ધતિસર રીતે રોકવામાં આવી રહી હતી. 

આ સમસ્યાઓના ઉકેલ માટે, તેમણે એવી સંસ્થાઓનું નિર્માણ કર્યું જે માત્ર શિક્ષણના અવરોધોને જ નહીં, પરંતુ લિંગ (જેન્ડર) અને જ્ઞાતિના અવરોધોને પણ તોડે. આ જ કારણ છે જે આજે બસો વર્ષ પછી પણ તેમને માત્ર એક સુધારક તરીકે જ નહીં, પરંતુ એક વિચારક તરીકે વાંચવા અને યાદ રાખવા યોગ્ય બનાવે છે. સમાજ સુધારાની સાથે મહાત્મા ફૂલેનો એક આર્થિક દૃષ્ટિકોણ પણ મને મારા અભ્યાસથી જડી આવ્યો છે.

પ્રસ્તુત લેખ તેમના કાર્યના છ પાસાંઓ (threads) પર આધારિત છે; જેમાં મેં તેમને વારસામાં મળેલી દુનિયા, તેમણે ઓળખેલી સમસ્યાઓ અને શોધેલા ઉકેલો, તથા અર્થશાસ્ત્રના દૃષ્ટિકોણથી તેઓ કેટલા સફળ રહ્યા છે અને તેમનો અધૂરો એજન્ડા શું છે ? તેના પર પ્રકાશ પાથરવાનો પ્રયાસ કર્યો છે.

૧. મહાત્મા ફુલેને વારસામાં મળેલી દુનિયા (The World He Inherited)

જ્યારે જ્યોતિબા ફૂલેનો જન્મ થયો ત્યારે ભારતમાં મહિલા સાક્ષરતા દર ૦.૨ ટકાથી પણ ઓછો હતો. દલિત અને શુદ્ર મહિલાઓ માટે તો તે લગભગ શૂન્ય સમાન હતો. બોમ્બે પ્રેસિડેન્સીમાં ૧૮૫૧માં માત્ર ત્રણ ટકા જેટલી કન્યાઓ જ શાળાએ જતી હતી. ભારતમાં ક્યાં ય પણ ખાસ કરીને દલિત કન્યાઓ માટે કોઈ શાળા અસ્તિત્વમાં નહોતી. 

જે અર્થતંત્રમાં અડધી વસ્તી વાંચી શકતી નથી, સંપત્તિની માલિકી ધરાવી શકતી નથી, મુક્તપણે હરી-ફરી શકતી નથી, કોઈ કૌશલ્ય મેળવી શકતી નથી – તે માત્ર એક અન્યાય નથી, પરંતુ માનવ સંપદા(human capital)નો ભયંકર વ્યય પણ છે. જ્યાં એંસી ટકા લોકો ખેતી કે ખેતમજૂરી પર નિર્ભર હતા ત્યાં આવા અર્થતંત્રમાં મહિલા સાક્ષરતાનું કોઈ મૂલ્ય નહોતું અને તેથી તેનું કોઈ વળતર પણ નહોતું. મહિલાઓ પાસે સંપત્તિના કોઈ અધિકારો નહોતા અને તેથી કોઈ બેંક તેમને લોન આપતી નહોતી. સ્ત્રી શિક્ષણમાં રોકાણ કરવા માટે કોઈ આર્થિક કે સામાજિક પ્રોત્સાહન નહોતું. આ એક વિષચક્ર હતું અને એમાંથી મુક્ત થવાનો મહિલાઓ પાસે કોઈ માર્ગ નહોતો.

૨. વ્યવસ્થાને સમજવાનો પ્રયાસ (Reading the System)

૧૮૪૧માં, માળી જ્ઞાતિના છોકરા માટેની તમામ સામાજિક અપેક્ષાઓની વિરુદ્ધ જઈને, જ્યોતિરાવે પુણેની સ્કોટિશ મિશન હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. ત્યાં તેમનો પરિચય થોમસ પેઈનના પુસ્તક ‘રાઈટ્સ ઓફ મેન’ (Rights of Man) સાથે થયો. પેઈન યુરોપિયન રાજાશાહી (aristocracy) – રાજાઓ અને વારસાગત વિશેષાધિકારો વિશે લખી રહ્યા હતા. ફૂલેએ તેને વાંચ્યું અને તેનો અનુવાદ કર્યો. પેઈને જે વાત ઉચ્ચ કુળમાં જન્મ વિશે કહી હતી, તે જ વાત ફૂલેએ જ્ઞાતિ આધારિત જન્મ વિશે કહી. પેઈન અને ફૂલેના લેખનમાં તર્ક સમાન છે, અન્યાય પણ સમાન છે. 

ફુલેએ અમેરિકન ગુલામી નાબૂદી આંદોલન(abolition movement)માંથી પણ પ્રેરણા લીધી. સિવિલ વોર (ગૃહયુદ્ધ) અને ગુલામી પ્રથા નાબૂદ કરવાની લડાઈ વિશે વાંચીને, તેમણે પણ એ જ માર્ગ અપનાવ્યો. ગુલામી નાબૂદ કરનારાઓએ જે વાત અશ્વેતોની ગુલામી વિશે કહી હતી, તે જ વાત ફૂલેએ દલિતોની ગુલામી વિશે કહી. ઉલ્લેખનીય છે કે ૧૮૭૩માં પ્રકાશિત તેમના પુસ્તક ‘ગુલામગીરી’ને જ્યોતિબા ફુલેએ અમેરિકન ગુલામી નાબૂદીના એ લડવૈયાઓને જ સમર્પિત કર્યું છે.  

બીજી એક ઘટના ૧૮૪૮માં એક બ્રાહ્મણને ત્યાં લગ્ન દરમિયાન બની, જેમાં ફૂલે જોડાયા હતા. વરપક્ષના પરિવારે ફુલેને અપમાનિત કર્યા અને ધિક્કાર્યા. તેમને કહેવામાં આવ્યું કે તેઓ તે વરઘોડામાં સામેલ થવાને લાયક નથી. આ ઘટના ફૂલે માટે એક નિર્ણાયક વળાંક (tipping point) સાબિત થઈ. 

જુઓ કે અહીં તર્ક સમાન છે, અન્યાય સમાન છે અને ઉપાય પણ સમાન છે. 

તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. થોડાક જ મહિનાઓની અંદર તેમણે કન્યાઓ માટે ભારતની પ્રથમ શાળા શરૂ કરી, કેમ કે તે અપમાને તેમને સામાજિક વ્યવસ્થાનો અસલી ચહેરો બતાવ્યો હતો. જ્યોતિબાના પ્રતિભાવમાં ગુસ્સો નહોતો, પરંતુ રચનાત્મક અને પરિવર્તનકારી પગલાં ભરવાનો દૃઢ નિર્ધાર હતો.

૩. બહિષ્કારની ત્રણ પદ્ધતિઓ (Three Mechanisms of Exclusion)

જ્યોતિબા ફુલેની વિચારધારાને ‘ગુલામગીરી’માં સ્પષ્ટપણે વાંચી શકાય છે, તેમણે એવી ત્રણ બાબતો ઓળખાવી છે જેણે સમાજના બહુમતિ વર્ગ માટે બહિષ્કારની જાળ ઊભી કરી હતી. પ્રથમ તે જ્ઞાનાત્મક બહિષ્કાર (epistemic exclusion); એક એવી પ્રણાલી જે અંતર્ગત સંસ્કૃત ભાષા પુરોહિતોની સાક્ષરતા સાથે જ જોડાયેલી હતી. આ પ્રથાએ બહુમતિ વર્ગના શિક્ષણ પ્રવેશ માટે એક અવરોધ તરીકે કામ કર્યું. તેનો ઉકેલ ફુલેએ બિનસાંપ્રદાયિક, પ્રાદેશિક (વર્નાક્યુલર) અને સાર્વત્રિક શિક્ષણમાં જોયો જેને આપણે આજે ‘જ્ઞાનની સમાન વહેંચણી’ કહી શકીએ.  

બીજું, આર્થિક ગુલામી. જ્ઞાતિ વ્યવસ્થા એ કોઈ દૈવી વ્યવસ્થા નહોતી. તે એવા લોકો દ્વારા શોધવામાં આવેલી એક પ્રણાલી હતી જેમને તેનાથી ફાયદો થતો હતો. તેની પાછળનો આશય બીજા લોકોને શ્રમિક અને ગુલામ બનાવી રાખવાનો હતો. તેથી જ ફુલેએ ‘ગુલામી’ (slavery) શબ્દનો પ્રયોગ કર્યો હતો. ત્રીજું, – અહીં હું માનું છું કે જ્યોતિબા ફુલે તેમના સમયના સુધારકો અને બૌદ્ધિકો કરતાં ઘણાં આગળ હતા – સ્ત્રીઓ પર લિંગ આધારિત બેવડા બોજ બાબતે જો કે તેમના યુગના મોટા ભાગના સુધારકો, પરિવારમાં સ્ત્રીઓના સ્થાન વિશે ચિંતિત હતા, પરંતુ ફુલેએ તેને એક સામાજિક અને આર્થિક સમસ્યા તરીકે જોઈ હતી.

(અ) જાતિ : એક આર્થિક એકમ (Caste as an Economic Institution)

જ્યારે આપણે તે સમયની જાતિ વ્યવસ્થાને એક અર્થશાસ્ત્રીના દૃષ્ટિકોણથી જોઈએ છીએ, ત્યારે આપણને નિયમોનો એક એવો સમૂહ જોવા મળે છે જે ઉત્પાદક સંસાધનોને થોડા લોકોના હાથમાં કેન્દ્રિત કરવા અને તે કેન્દ્રીકરણને જ સ્વનિર્ભર બનાવવાના હેતુથી જ રચવામાં આવ્યો હતો. 

બ્રાહ્મણ પુરોહિતોનો સામાન્ય રીતે સાક્ષરતા પર અને ખાસ કરીને સંસ્કૃત પર, અને તે દ્વારા ધાર્મિક ગ્રંથો, હિસાબ-કિતાબ તેમ જ વહીવટી જ્ઞાન પર એકાધિકાર (monopoly) હતો. ટેકનિકલ-આર્થિક અર્થમાં આ એવા એકાધિકારનું જ સંપૂર્ણ સ્વરૂપ છે. જૂજ લોકો પૂરતો આ એકાધિકાર હતો. બહારના લોકોને તેમાં પ્રવેશવા બદલ સજા કરવામાં આવતી હતી. અને ભાડું/સેવા શુલ્ક વસૂલવામાં આવતું હતું, વર્ણ વ્યવસ્થાએ જન્મના આધારે વ્યવસાયો નક્કી કર્યા હતા. તમારી બુદ્ધિમત્તા, સર્જનાત્મકતા કે ક્ષમતા ગમે તે હોય, તમારું કામ તમે જે દિવસે જન્મ્યા તે જ દિવસે નક્કી થઈ જતું હતું. 

આપણે સંસાધનોની આ ખોટી ફાળવણી(misallocation)ના આર્થિક નુકસાનની ગણતરી તો કરી શકતા નથી, પરંતુ આ નુકસાન કોઈ પણ ગણતરીએ ઘણું મોટું જ હશે એટલું તો આપણને સમજાય છે. જરા વિચારો કે કોઈ દેશ એવું નક્કી કરે કે માત્ર એક જ ચોક્કસ શહેરમાં જન્મેલા લોકો જ એન્જિનિયર બની શકે. બસ આ વ્યવસ્થા તે પ્રકારની હતી ! આવી દરેક વ્યવસ્થાના સાવ તળિયે નીચલી જ્ઞાતિની મહિલાઓ હતી. તેઓ બહિષ્કાર અને જાતિ આધારિત બહિષ્કાર, બંને એકસાથે સહન કરતી હતી અને તેમને આર્થિક ભાગીદાર તરીકે બિલકુલ ગણનામાં જ નહોતી લેવાતી. શૂન્ય સંપત્તિ, શૂન્ય અવાજ અને શૂન્ય કાનૂની દરજ્જો. 

ફુલેએ આ વ્યવસ્થાને જોઈ પણ તેમાં ધર્મ ન જોયો. તેમણે એક એકાધિકાર ધરાવતું બજાર (monopoly market) જોયું. અને તેમણે કન્યાઓ માટે એક શાળા બનાવી, જેણે માત્ર આ એકાધિકારને જ નહીં પરંતુ ઈરાદાપૂર્વક બિછાવાયેલી આ નિમ્ન-સ્તરીય જાળને જ તોડી નાખી. તેમણે સાવિત્રીબાઈ અને ફાતિમા શેખ એમ બે મહિલા શિક્ષકોની નિમણૂક કરી, જેનાથી મહિલા શ્રમિકોની રોજગારી માટેનો માર્ગ મોકળો થયો.  

(બ) લિંગ ભેદઃ ભેદભાવના એક હથિયારરૂપે (Gender and Intersectionality)

મહાત્મા ફુલે એક મૂળભૂત બાબત અંગે ચિંતિત હતા કે મહિલાઓ, ખાસ કરીને દલિત મહિલાઓ, જેઓ અર્થતંત્રમાંથી સંપૂર્ણપણે બાકાત હતી, તેઓ એક વિલુપ્ત વર્ગ (missing class) સમાન હતી. આથી તેમનો આશય મહિલાઓને સૌથી પહેલા શિક્ષિત કરવાનો હતો. તેમનું આ પગલું ભવિષ્યલક્ષી હતું, જેમાં સામાજિક રોકાણનું સૌથી વધુ વળતર મળવાનું હતું (માનવ મૂડીનો સિદ્ધાંત). 

ફુલે દૃઢપણે માનતા કે એક દીકરીને શિક્ષિત કરવાથી તેનું વળતર તેના પોતાનાથી ઘણું આગળ પહોંચે છે. દુનિયાની કોઈપણ વ્યક્તિ આનું મૂલ્યાંકન કરી શકે તે પહેલાં ફુલે આ વાત સમજી ગયા હતા કે એક શિક્ષિત માતા તેની આવનારી પેઢીનું ભાવિ બદલી નાખે છે. 

ફુલેએ કરેલો દરેક હસ્તક્ષેપ (intervention) એવા સામાજિક વળતર સાથે મેળ ખાય છે જેને આધુનિક અર્થશાસ્ત્રે પણ પ્રમાણ્યો છે. દીકરીઓના શિક્ષણના દરેક વધારાના વર્ષ દીઠ બાળ મૃત્યુદરમાં દસ ટકાનો ઘટાડો થાય છે (સમર્સ, ૧૯૯૪). અને શિક્ષણના પ્રત્યેક વર્ષ દીઠ આવકમાં દસ ટકાનો વધારો થાય છે, જે કોઈપણ રોકાણનું આ સૌથી વધુ ખાનગી વળતર (private return) છે. ફુલેએ પ્રથમ વખત શિક્ષિત મહિલાઓનો એવો પુરવઠો (supply) ઊભો કર્યો, જેઓ આ વળતર મેળવી શકે. આંતરપેઢીય અસર (Intergenerational effect) મુજબ શિક્ષિત માતાઓના બાળકો બમણું શૈક્ષણિક રોકાણ મેળવે છે. મહાત્મા ફુલેનું સુપ્રસિદ્ધ નિવેદન છેઃ ‘એક મહિલાને તમે શિક્ષિત કરો છો ત્યારે એકથી વધુ પરિવારને શિક્ષિત કરો છો’ 

૪. તેમણે જે નિર્માણ કર્યું (What He Built)

૧ જાન્યુઆરી ૧૮૪૮. ભીડેવાડા, પુણે. જ્યોતિરાવ અને સાવિત્રીબાઈએ કન્યાઓ માટે ભારતની પ્રથમ શાળા શરૂ કરી. આના માટે કોઈ બજાર તૈયાર નહોતું અને કોઈ પરિવારને આમાં તાત્કાલિક વળતર દેખાતું નહોતું. આની સામાજિક સજા ખૂબ જ ક્રૂર હતી – સામાજિક બહિષ્કાર, શારીરિક સતામણી. સાવિત્રીબાઈ રોજ સવારે શાળાએ ચાલીને જતાં ત્યારે લોકો તેમના પર છાણ અને પથ્થરો ફેંકતા હતા. તેઓ શાળાએ પહોંચીને બદલવા માટે પોતાની સાથે એક વધારાની સાડી રાખતાં હતાં, છતાં તેઓ રોજ સવારે આવતાં. જ્યારે ફુલેના પોતાના પરિવારે દલિત બાળકોને ભણાવવા બદલ તેમને ઘરમાંથી હાંકી કાઢ્યા, ત્યારે ઉસ્માન શેખ અને તેમની બહેન ફાતિમા શેખે ફુલે દંપતીને આશરો આપ્યો. ફાતિમા, જેઓ પહેલેથી જ સાક્ષર હતાં, તેમણે સાવિત્રીબાઈની સાથે તાલીમ લીધી અને ફુલે દંપતીએ આખરે જે પાંચ શાળાઓ ખોલી તે તમામમાં ભણાવવા ગયાં – તેઓ ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષક પણ બન્યાં.  

૧૮૫૧-૫૨ સુધીમાં, પુણેની ત્રણ શાળાઓમાં લગભગ ૧૫૦-૨૦૦ કન્યાઓ નોંધાઈ ચૂકી હતી. ફુલેએ જે કર્યું તેને અર્થશાસ્ત્રની ભાષામાં ‘કોઓર્ડિનેશન ફેલ્યોર'(સામૂહિક નિષ્ફળતા)નો સિદ્ધાંત કહેવામાં આવે છે. જ્યારે કોઈ શાળા નહોતી, ત્યારે કોઈ પરિવારે છોકરીઓનાં શિક્ષણમાં રોકાણ ન કર્યું, કારણ કે તેનું કોઈ વળતર નહોતું. તેમણે શાળા બનાવી, જેણે પ્રશિક્ષિત શિક્ષકોનો પુરવઠો ઊભો કર્યો; આ રીતે, કન્યા શિક્ષણનું વળતર શરૂ થયું. તેમણે કન્યાઓની શાળાની સાથે જે નાઈટ સ્કૂલ (રાત્રિ શાળા) શરૂ કરી તે પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે. તેઓ સમજતા હતા કે તમે કોઈ કામ કરતાં વ્યક્તિને કમાણી કરવા અથવા ભણવા વચ્ચે પસંદગી કરવાનું કહી શકો નહીં. જ્યોતિબાએ તો તે પસંદગીનો અવરોધ જ દૂર કરી દીધો.  

૫. આર્થિક માળખાઓ (The Economic Frameworks)

અર્થશાસ્ત્રના ત્રણ સિદ્ધાંતો આપણને એ સમજવામાં મદદ કરે છે કે ફુલેનું આ કાર્ય આર્થિક રીતે આટલું મહત્ત્વપૂર્ણ કેમ હતું અને તે શા માટે સફળ રહ્યું. દરેક કિસ્સામાં, આ સિદ્ધાંતો તેમના કાર્યોના એક સદી કે તેથી વધુ સમય પછી અસ્તિત્વમાં આવ્યા. યાને મહાન અર્થશાસ્ત્રીઓએ જે કહ્યુ એ એમની પહેલા જ્યોતિબા ફુલે કહી ચૂક્યા હતા.

(અ) માનવ મૂડીના સિદ્ધાંતની સમજ (Traces of the Theory of Human Capital)

અર્થશાસ્ત્રી શુલ્ત્ઝે ૧૯૬૧માં દલીલ કરી હતી કે શિક્ષણ એ એક રોકાણ છે, વપરાશ (consumption) નથી. તેમણે દર્શાવ્યું કે તે કામદારોની ઉત્પાદક ક્ષમતા વધારે છે અને તેનું વળતર માપી શકાય તેવું અને સામાજિક રીતે વહેંચાયેલું હોય છે. અર્થશાસ્ત્રી ગેરી બેકરે ૧૯૬૪માં આને ઔપચારિક સ્વરૂપ આપ્યું. શુલ્ત્ઝને ૧૯૭૯માં નોબેલ પુરસ્કાર મળ્યો અને બેકરને ૧૯૯૨માં, જ્યારે કે ફલે તો આ વિચારનો અમલ છેક ૧૮૪૮માં કરી ચૂક્યા હતા ! 

વધુમાં, ફુલેએ તેમના દ્વારા સંચાલિત શાળાઓના અભ્યાસક્રમમાં ધાર્મિક શિક્ષણને બદલે અંકગણિત, પ્રાકૃતિક વિજ્ઞાન અને ઇતિહાસની પસંદગી કરી. તે એવું ઉત્પાદક જ્ઞાન હતું જે લોકોને દુનિયામાં રોજગારી મેળવવા માટે સક્ષમ બનાવતું હતું. ૧૮૮૨માં હંટર કમિશન સમક્ષ આપેલા તેમના નિવેદનમાં ફુલેએ સ્પષ્ટ દલીલ કરી હતી કે સરકારે કન્યા શિક્ષણ માટે ભંડોળ પૂરું પાડવું જોઈએ કારણ કે ઘરગથ્થુ ખાનગી રોકાણને પ્રેરિત કરવા માટે ખાનગી વળતર અપૂરતું છે. પરિવારો સામાજિક પુનઃઉત્પાદન(social reproduction)માં ત્યાં સુધી રોકાણ નહીં કરે જ્યાં સુધી તેનો લાભ પરિવારને મળવાને બદલે બાળકો, સમુદાયો અને આવનારી પેઢીઓને મળતો રહેશે; આ એક આદર્શ બજાર નિષ્ફળતા(market failure)ની દલીલ છે.  

રાત્રિ શાળા એ સમસ્યાનો ઉકેલ લાવે છે જેને અર્થશાસ્ત્રી બેકરે ‘તકમાં ખર્ચ અવરોધ’ (opportunity cost barrier) તરીકે ઓળખાવ્યો હતો. ગરીબ લોકો શિક્ષણ મફત હોવા છતાં પણ કેમ મેળવી શકતા નથી તેનું કારણ એ છે કે શાળાએ જવાનો પણ એક ખર્ચ હોય છે. બેકરે આ સિદ્ધાંતને ઓળખાવ્યો તેની એક સદી પહેલાં ફુલેએ તો આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો હતો. અર્થશાસ્ત્રી લોરેન્સ સમર્સે ૧૯૯૪માં શોધી કાઢ્યું કે છોકરીઓના શિક્ષણનું દરેક વધારાનું વર્ષ બાળ મૃત્યુદરમાં આશરે દસ ટકાનો ઘટાડો કરે છે અને સ્ત્રીઓની આવકમાં પણ તેટલા જ ગણો વધારો કરે છે; હકીકતમાં સમર્સ ફુલેએ જે નિર્માણ કર્યું હતું તેનું જ મૂલ્યાંકન કરી રહ્યા હતા.  

(બ)      સંસ્થાકીય અર્થશાસ્ત્રના સિદ્ધાંતની સમજ (Traces of the Theory of Institutional Economics)

ડગ્લાસ નોર્થ, જેમને ૧૯૯૩માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો, તેમણે દર્શાવ્યું હતું કે આર્થિક કામગીરી જે તે સંસ્થાઓ પર આધાર રાખે છે – એટલે કે તે અનૌપચારિક નિયમો અને વિનિયમો (norms and regulations) હોય છે, જેના દ્વારા લોકો એકબીજા સાથે વ્યવહાર કરે છે. જાતિ વ્યવસ્થા એ ભારતની પ્રભાવશાળી અનૌપચારિક સંસ્થા હતી. તેને લાગુ કરવા માટે કોઈ પોલીસ બળની જરૂર નહોતી; તે ધાર્મિક વિધિઓ, સામાજિક દબાણ અને શિક્ષણ તેમ જ સામુદાયિક જીવનમાંથી બહિષ્કાર દ્વારા લાગુ કરવામાં આવતી હતી. નોર્થે દર્શાવ્યું કે, આ અનૌપચારિક પદ્ધતિઓ ઘણીવાર ઔપચારિક કાયદા કરતાં વધુ શક્તિશાળી હોય છે. જ્યોતિબા ફુલેએ સપ્ટેમ્બર ૧૮૭૩માં જેનું નિર્માણ કર્યું – તે ‘સત્યશોધક સમાજ’ એક પ્રતિ-સંસ્થા (counterinstitution) હતી. જ્યાં જૂની વ્યવસ્થામાં પુરોહિતોની જરૂર પડતી હતી, ત્યાં નવી વ્યવસ્થાએ તેમના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો. જ્યાં જૂની વ્યવસ્થા જ્ઞાતિ આધારિત લગ્નો(caste endogamy)નો આગ્રહ રાખતી હતી, ત્યાં આ નવી વ્યવસ્થાએ સૌનું સ્વાગત કર્યું. જ્યાં જૂની વ્યવસ્થા સ્ત્રીઓને સંપત્તિ તરીકે જોતી હતી, ત્યાં નવી વ્યવસ્થાએ તેમને પૂર્ણ સભ્ય બનાવ્યા. અર્થશાસ્ત્રીઓ એસેમોગ્લુ અને રોબિન્સનના ૨૦૧૨ના કાર્યએ દર્શાવ્યું કે સમાવેશી સંસ્થાઓ (inclusive institutions) પોતે જ લાંબા ગાળાની આર્થિક સમૃદ્ધિનું મુખ્ય કારણ હોય છે. જ્યારે કે મહાત્મા ફુલે છેક ૧૮૭૩માં આ સિદ્ધાંત પર કામ કરી રહ્યા હતા. વિચાર એ જ છે, માત્ર શબ્દો અલગ છે.  

(ક) ક્ષમતા અભિગમના સિદ્ધાંતની સમજ (Traces of Capabilities Approach)

મહાન અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનના ૧૯૯૯માં પ્રકાશિત પુસ્તક ‘ડેવલપમેન્ટ એઝ ફ્રીડમ'(Development as Freedom)માં દલીલ કરવામાં આવી હતી કે વિકાસ એ કોઈ દેશનો જી.ડી.પી. (GDP) નથી. તે એ છે કે ત્યાંના લોકો શું કરી શકે છે અને તેમનું સામર્થ્ય કેવું છે. મહાન ફિલોસોફર માર્થા નુસબૌમે આને માનવ ક્ષમતાઓની એક વિશિષ્ટ સૂચિ તરીકે વિકસાવી – જે મૂળભૂત ન્યાયના સંદર્ભે દરેક વ્યક્તિ શું કરવા અને શું બનવા માટે હકદાર છે તે દર્શાવે છે. તે સૂચિ વાંચો અને તમને ફુલેનું જીવન તેની સાથે સુસંગત થતું જોવા મળશે. 

બાળલગ્ન સામેની તેમની ઝુંબેશ સામાન્ય આયુષ્ય સુધી જીવવાની ક્ષમતા સુરક્ષિત કરી રહી હતી. તેમણે ૧૮૬૩માં જે બાળહત્યા પ્રતિબંધક ગૃહ (infanticide home) ખોલ્યું તે શારીરિક સ્વાસ્થ્ય અને શારીરિક અખંડિતતા (bodily integrity) માટે હતું. શાળાઓએ સંવેદનાઓ, કલ્પના શક્તિ અને વિચારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. વિધવાઓના બળજબરીથી કરવામાં આવતા મુંડન (માથું મુંડાવવા) વિરુદ્ધની તેમની ઝુંબેશ, અપમાન વિના દુઃખનો અનુભવ કરવાની ક્ષમતા પર ભાર મૂકતી હતી. સત્યશોધક સમાજનો વ્યવહારિક તર્ક, વિચારવા અને પ્રશ્ન પૂછવા માટેની એક જગ્યા પૂરી પાડતો હતો. પુરોહિતો વિનાના સત્યશોધક લગ્નોએ વ્યક્તિને પોતાના જીવન પર પોતાન અધિકારના સિદ્ધાંતની પુષ્ટિ કરી; તેમણે જે સંસ્થાઓ બનાવી તેણે જ આ ક્ષમતાઓ પ્રદાન કરી.  

(૬) અધૂરી ક્રાંતિ – ભારત ૨૦૨૬ (The Unfinished Revolution – India ૨૦૨૬)

મહાત્મા ફુલેના જન્મના બસો વર્ષ પછી, ફુલે જે આંકડા – જે સ્થિતિ બદલવા માંગતા હતા તેના પર નજર નાખવા જેવી છે. 

મહિલા સાક્ષરતા દર આજે પુરુષોના ૮૨ ટકાની સામે અંદાજે ૬૫ ટકા છે. મહિલા શ્રમ દળ ભાગીદારી દર (LFPR) – ૩૭ ટકા છે, જ્યારે પુરુષોનો ૭૯ ટકા છે. પુરુષ અને મહિલા શ્રમ દળ ભાગીદારી દર (LFPR) વચ્ચેનો આ ૪૨ ટકાનો તફાવત એ મહિલાઓનો માળખાકીય બહિષ્કાર (structural exclusion) દર્શાવે છે, એમાં કોઈ વ્યક્તિગત પસંદગીનો તફાવત નથી. વધુમાં, સમાન કામ માટે પુરુષો દ્વારા કમાવવામાં આવતા દરેક એક રૂપિયા સામે મહિલાઓ અંદાજે ૭૭ પૈસા કમાય છે (ILO, ૨૦૨૪). વર્લ્ડ ઇકોનોમિક ફોરમ જેન્ડર ગેપ ઇન્ડેક્સ(૨૦૨૪)માં ભારત ૧૪૬ દેશોમાંથી ૧૨૯મા ક્રમે છે.  

(૭) નિષ્કર્ષ (Conclusion)

મારા મનમાં જે વાક્ય આવે છે તે છે ‘economist avant la lettre’ – એટલે કે સમય કરતાં આગળ વિચારીને આર્થિક સિદ્ધાંતો આપનાર. આનો અર્થ એ નથી કે જ્યોતિબા ફુલેના વિચારો માત્ર અર્થશાસ્ત્રને સંબંધિત છે. અહીં ખરેખર તો તેઓ જે રીતે વિચારતા હતા અને તેમણે જેનું નિર્માણ કર્યું તે મહત્ત્વનું છે. તેમણે એવા પરિબળોને શોધ્યા જે નિષ્ફળતા તરફ દોરી જતા હતા. તેમણે તેનાં સંસ્થાકીય કારણોનું મૂલ્યાંકન કર્યું. તેમણે એવા હસ્તક્ષેપો તૈયાર કર્યા જેણે પુરવઠા અને માંગ બંને બાજુના અવરોધો પર એકસાથે પ્રહાર કર્યો, જેણે સકારાત્મક બાહ્ય અસરો (positive externalities) પેદા કરી. તેમણે કન્યાઓની શાળા, સત્યશોધક સમાજ જેવી પ્રતિ-સંસ્થાઓનું નિર્માણ કર્યું. અને તેમણે વસાહતી સરકાર (colonial state) સમક્ષ એક ઔપચારિક નીતિવિષયક દલીલ રજૂ કરી. તેમણે સાવિત્રીબાઈના રોજ સવારે બધી જ મુશ્કેલીઓ સાથે સામે ચાલીને શાળાએ જવાના ઉદાહરણ સાથે એ પણ સાબિત કર્યું કે, પ્રથમ પહેલ કરનાર (first mover) હંમેશાં સૌથી વધુ કિંમત ચૂકવે છે. પરંતુ પ્રથમ પહેલ કરનાર વિના કોઈ આંદોલન કે ચળવળ ક્યારે ય શક્ય નથી બનતી.

ક્રાંતિપુરુષ મહાત્મા ફુલેની વિદાયના બસો વર્ષ પછી, આપણે એક પૂર્ણ થયેલી ક્રાંતિની ઉજવણી કરીને નહીં, પરંતુ તેમનું કેટલું કામ હજી પૂર્ણ કરવાનું બાકી છે તેનો સ્વીકાર કરીને જ તેમને સાચું સન્માન આપીએ શકીશું.

*

સંદર્ભો (References)

૧.         ઓ’હેનલોન, આર. (૧૯૮૫). Caste, Conflict and Ideology: Mahatma Jyoti Rao Phule and Low Caste Protest in ૧૯th Century Western India. કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.  

૨.              ઓ’હેનલોન, આર. (૧૯૮૫), એ જ. વધુમાં: Census of India ૧૮૮૧, Bombay Presidency Education Returns.  

૩.              ૧ જાન્યુઆરી ૧૮૪૮ની તારીખ આ સ્રોતો દ્વારા પુષ્ટિ થયેલ છે: વેલીવાડા ફાઉન્ડેશન ટાઇમલાઇન; સાવિત્રીબાઈ ફુલે, વિકિપીડિયા (હરિ નરકે, ૨૦૧૫ને ટાંકીને); The Statesman, ૧ જાન્યુઆરી ૨૦૨૩. ૧૫ મે ૧૮૪૮ દર્શાવતા અગાઉના અહેવાલો ભૂલભરેલા જણાય છે.  

૪.              ફાતિમા શેખ, વિકિપીડિયા; Clarion India, જાન્યુઆરી ૨૦૨૬; The Print, ૨૦૧૮.  

૫.              સાવિત્રીબાઈ ફુલે, વિકિપીડિયા, ૧૮૫૧ના અંત સુધીમાં આશરે ૧૫૦ વિદ્યાર્થીઓને ટાંકીને. કેટલાક ગૌણ અહેવાલોમાં ૧૮૫૨ માટે ૨૭૩નો આંકડો દેખાય છે.

૬.              શુલ્ત્ઝ, ટી.ડબલ્યુ. (૧૯૬૧). Investment in Human Capital. American Economic Review, ૫૧(૧), ૧-૧૭. બેકર, જી.એસ. (૧૯૬૪). Human Capital. NBER/કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.  

૭.              સમર્સ, એલ.એચ. (૧૯૯૪). Investing in All the People. World Bank EDI Seminar Paper No. ૪૫.  

૮.              સેન, અમર્ત્ય (૧૯૯૯). Development as Freedom. ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ.  

૯.              નુસબૌમ, એમ.સી. (૨૦૦૦). Women and Human Development. કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.  

૧૦.           નોર્થ, ડી.સી. (૧૯૯૦). Institutions, Institutional Change and Economic Performance. કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.  

૧૧.           એસેમોગ્લુ, ડી. અને રોબિન્સન, જે.એ. (૨૦૧૨). Why Nations Fail. ક્રાઉન પબ્લિશર્સ.  

૧૨.           ભારતની વસ્તી ગણતરી ૨૦૧૧ (Census of India ૨૦૧૧).  

૧૩.           પિરિયોડિક લેબર ફોર્સ સર્વે ૨૦૨૨-૨૩ (PLFS). આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય, ભારત સરકાર.  

૧૪.           ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (૨૦૨૪). World Employment and Social Outlook: Trends ૨૦૨૪. જિનીવા: ILO.  

૧૫.           વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (૨૦૨૪). Global Gender Gap Report ૨૦૨૪. જિનીવા: WEF.  

૧૬.           પિરિયોડિક લેબર ફોર્સ સર્વે ૨૦૨૨-૨૩ (PLFS). જ્ઞાતિ-વર્ગીકૃત LFPR કોષ્ટકો.  

જ્યોતિરાવ ફુલેના પ્રાથમિક સ્રોતો (Primary Sources by Jyotirao Phule)

*                ફુલે, જ્યોતિરાવ (૧૮૫૫). તૃતીય રત્ન (Tritiya Ratna). પુણે.  

*                ફુલે, જ્યોતિરાવ (૧૮૬૯). બ્રાહ્મણાંચે કસબ (Brahmananche Kasab). પુણે.  

*                ફુલે, જ્યોતિરાવ (૧૮૭૩). ગુલામગિરી (Gulamgiri) [Slavery]. પુણે. અનુવાદ: દેશપાંડે, જી.પી. (સંપાદક) (૨૦૦૨). Selected Writings of Jyotiba Phule. મનોહર, નવી દિલ્હી.  

*                ફુલે, જ્યોતિરાવ (૧૮૮૧). શેતકર્યાચા આસુડ (Shetkaryacha Asud) [The Cultivator’s Whipcord]. પુણે.  

*                ફુલે, જ્યોતિરાવ (૧૮૮૨). Memorial Addressed to the Education Commission [Hunter Commission]. એમાં: Education Commission, Bombay, Vol II. કલકત્તા, ૧૮૮૪.  

*                ફુલે, જ્યોતિરાવ (૧૮૯૧). સાર્વજનિક સત્યધર્મ પુસ્તક (Sarvajanik Satyadharma Pustak). પુણે (મરણોત્તર)

e.mail : natubhaip56@gmail.com

Loading

...102030...47484950...607080...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved