Opinion Magazine
Number of visits: 10080489
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો …… ગઝલ

સિદ્દીક ભરૂચી|Opinion - Opinion|2 June 2026

સ્વસ્થ રહેવા  સવારમાં ચાલો,
ગમને  મૂકી  જરા  હવા માણો.

આ મહોબ્બતનો દોર  ના  તૂટે,
એ જ અલ્લાહથી  દુવા માંગો.

જ્યાં કહો ત્યાં કરીશ હસ્તાક્ષર,
આપનું  ફક્ત  એક દિલ આપો.

આ નગરમાં નવી રસમ  એ છે,
દહાડે ઊંઘો, ને રાતભર જાગો.

મારો  સહકાર  ના  મળે  તમને,
મારું ઉપનામ   બેવફા રાખો.

દોસ્ત કરતાં  વધારે  કામ આવે,
એવા  દુ:શ્મનને પણ વધુ ચાહો.

અમદાવાદ
e.mail : siddiq948212@gmail.com

Loading

સહિષ્ણુતા: ભારતની અસલી તાકાત

રમેશ ઓઝા|Opinion - Opinion|31 May 2026

રમેશ ઓઝા

ઈ.સ. ૧૯૦૬ના જુલાઈ મહિનામાં વિનાયક દામોદર સાવરકર લંડન ભણવા ગયા તેના ૧૮ વરસ પહેલાં ગાંધીજી લંડન ભણવા ગયા હતા. સાવરકર લંડન ભણવા ગયા તેના ૧૩ વરસ પહેલાં ગાંધીજી દક્ષિણ આફ્રિકા રોજીરોટી કમાવા ગયા હતા. જે વરસમાં સાવરકર લંડન ગયા એ જ વરસમાં, એના મહિના પહેલાં (૨૭મી મે ૧૯૦૬) ગાંધીજીએ પોતાના મોટા ભાઈ લક્ષ્મીદાસ ગાંધીને પત્ર લખીને કહી દીધું હતું કે “મેં મારા અંગત જીવનને સમાપ્ત કરી દીધું છે … હવે ભયને હું ઓળખતો પણ નથી.”

આ વિગત આપવા પાછળ ખાસ કારણ છે. બંનેની નજરમાં અને ગ્રહણશક્તિમાં ફેર હતો. ગાંધીજીની શોધ મનુષ્યત્વની હતી અને સાવરકરની શોધ પૌરુષત્વની હતી. (જાણીતા સમાજશાસ્ત્રી આશિષ નંદીના શબ્દોમાં feminine અથવા માતૃહૃદયી અને macho અર્થાત્ masculine અથવા પૌરુષત્વયુક્ત) ગાંધીજીની શોધના કેન્દ્રમાં ભલે પૌરુષત્વ નહોતું, પણ સાવરકર પૌરુષત્વની શોધમાં વિલાયત જાય એ પહેલાં ગાંધીજીએ જણાવી દીધું હતું કે, “હવે ભયને હું ઓળખતો પણ નથી.” નિર્ભયતા સર્વોચ્ચ આધ્યાત્મિક અવસ્થા છે અને ગાંધીજીની નિર્ભયતા મનુષ્યત્વની શોધનું પરિણામ હતું. યુરોપની સભ્યતા જોઈને તેમને સમજાઈ ગયું હતું કે પાશ્ચાત્ય સભ્યતા ભૂખાળવી સભ્યતા છે, એ કારણ વિના પોતાની જરૂરિયાત વધારનારી અને સંગ્રહ કરનારી સભ્યતા છે. તેની સુખની શોધ અને મેળવેલું ઐશ્વર્ય શોષણજન્ય અને હિંસાજન્ય છે. પરસ્પરંગોએ વિકસાવેલી માનવીય મૂલ્યવ્યવસ્થા દરેક મનુષ્યજાતિ માટે સાર્વત્રિક નથી અને માટે ઢોંગી છે. લોકભાગીદારીની બાંહેધરી આપનારી તેની લોકશાહી વ્યવસ્થા તેમને ત્યાં પણ ખોખલી અને બીકાઉ છે, જ્યાં વ્યવસ્થાના કેન્દ્રમાં ન્યાય અને માણસાઈ ન હોય ત્યાં અસલામતીની ભાવના સ્વાભાવિક છે. સદૈવ ડરમાં જીવતી પ્રજા શસ્ત્રોમાં અને અન્યત્ર સુરક્ષા શોધે છે. ટૂંકમાં પાશ્ચાત્ય આધુનિકતા ભારત માટે સંપૂર્ણપણે ઉપયોગી નથી.

ગાંધીજી દૂર રહીને ભારતની સ્થિતિ પર નજર રાખતા હતા અને તેમાં તેમના ધ્યાનમાં આવ્યું કે ભારતની સમસ્યા સ્વઓળખના અભાવની છે. ભારતની પ્રજા જો પોતાને ઓળખતી થાય તો તે દુનિયાનું માર્ગદર્શન કરી શકે એમ છે.

સંજોગવશાત્ બન્યું એવું કે લંડનથી ભણી આવીને ગાંધીજીને ૧૮૯૩ની સાલમાં (જ્યારે સાવરકરની ઉંમર એક વરસની હતી) દક્ષિણ આફ્રિકા જવાનું બન્યું. ત્યાં તેમણે કાળી પ્રજાનું અમાનવીય અને દર્દનાક શોષણ નજીકથી જોયું. ગોરી પ્રજાએ કાળા આફ્રિકનોનું એવું શોષણ કર્યું હતું કે કાળી પ્રજા નિર્માલ્ય થઈ ગઈ હતી. શ્વાસ લેનારી નિષ્પ્રાણ પ્રજા. જેટલી પ્રજાતિ છે તેમાં સૌથી વધુ શારીરિક તાકાત આફ્રિકન પ્રજા ધરાવે છે. કદાવર શરીર ધરાવનારા એકથી વધુ આફ્રિકન ગોરાને જોઈને ડરીને ભાગી જતા હતા. તેમના ધ્યાનમાં આવ્યું કે તાકાત શરીરમાં નથી, કાળજામાં છે.

અને સૌથી મોટી વાત. તેમના ધ્યાનમાં એ પણ આવ્યું કે કાળજાની તાકાત શોષણ, ઉપેક્ષા અને તિરસ્કાર દ્વારા મારી પણ શકાય છે અને જગાડી તેમ જ વધારી પણ શકાય છે. દક્ષિણ આફ્રિકામાં તેમણે પચાસેક હજાર જેટલા ભારતીય ગિરમીટિયાઓ અને અન્ય ભારતીયોની કાળજાની તાકાત જાગૃત કરવાનું શરૂ કર્યું. બાકી અધમુઆ તો ગિરમીટિયાઓ પણ હતા. તમે બાહ્ય અને પારંપરિક તાકાતથી શોષણ કરનારાઓને નહીં પરાજિત કરી શકો, કારણ કે તેમણે તમારું શોષણ કરીને બાહ્ય તાકાત એકઠી કરી છે અને તે અનેકગણી છે. પણ કાળજાની તાકાતને પરાજિત કરનારી બાહ્ય ભૌતિક તાકાત આજ સુધી કોઈ વિકસાવી શક્યું નથી. શરૂઆત પોતાથી કરી હતી અને ૧૯૦૬ની સાલમાં મોટાભાઈને લખ્યું હતું કે, “હવે ભયને હું ઓળખતો પણ નથી.”

ગાંધીજી દૂર રહીને ભારતની સ્થિતિ પર નજર રાખતા હતા અને તેમાં તેમના ધ્યાનમાં આવ્યું કે ભારતની સમસ્યા સ્વઓળખના અભાવની છે. ભારતની પ્રજા જો પોતાને ઓળખતી થાય તો તે દુનિયાનું માર્ગદર્શન કરી શકે એમ છે. વસુધૈવ કુટુંબકમ્‌વાળું વૈવિધ્ય અને સહઅસ્તિત્વ ભારતની ઓળખ છે. સહિષ્ણુતા ભારતની ઓળખ છે. શુદ્ધ મનુષ્યત્વ ભારતની ઓળખ છે, પણ ભારતના લોકો, ખાસ કરીને શિક્ષિત લોકો, પશ્ચિમની નકલ કરે છે. તેઓ પશ્ચિમની અન્યાય અને શોષણજન્ય સભ્યતાને આદર્શ અને અનુકરણીય સભ્યતા તરીકે જુએ છે. તેઓ વૈવિધ્યતાને મર્યાદા તરીકે જુએ છે, જ્યારે કે વૈવિધ્યતા ભારતની તાકાત છે. તેઓ સર્વસમાવેશક સમાન ભૂમિ શોધવાનો પ્રયાસ કરતા નથી અને એકબીજા સામે શરતો રાખે છે. વેદ-ઉપનિષદ-શ્રમણ બ્રાહ્મણ દર્શન, સૂફીઓ અને સંતોએ તેમ જ કુદરતી અને માનવીય વૈવિધ્યે ભારતીય પ્રજાનો જે પીંડ ઘડ્યો છે અને જેવું ભારત ઘડ્યું છે એ તેની સાચી ઓળખ છે અને તેમાં જ તાકાત રહેલી છે.

ટૂંકમાં ભારતે પશ્ચિમનું અનુકરણ કરવાની જરૂર નથી, પણ સ્વઓળખ કરવાની જરૂર છે. પશ્ચિમની બાહ્ય તકલાદી ભૌતિક તાકાતની ઈર્ષ્યા કરવાની જરૂર નથી, પણ પોતાની તાકાતને ઓળખવાની જરૂર છે. વિદ્યાર્થી તરીકે પશ્ચિમની સભ્યતાના કેન્દ્રબિંદુ સમાન ઇંગ્લેન્ડને જોયા પછી, વકીલ તરીકે સંસ્થાઓમાં અને અન્યત્ર કહેવાતી આધુનિક સભ્યતાની મૂલ્યવ્યવસ્થા જોયા પછી, એક કર્મશીલ તેમ જ સાધક તરીકે આફ્રિકામાં કારમું શોષણ જોયા પછી અને ઉપાયો અજમાવ્યા પછી તેમને ખાતરી થઈ ગઈ હતી મનુષ્યત્વની ઉપાસના જ દોટ મૂકીને ભાગતા જગતને બચાવી શકે એમ છે અને ભારત આ કરી શકે એમ છે, કારણ કે ભારતનો સ્વભાવ આને અનુકૂળ છે. માત્ર ભારતની પ્રજાએ પોતાનો સ્વભાવ અને સ્વધર્મ સમજવાની અને ઓળખવાની જરૂર છે.

ગાંધીજીના પશ્ચિમના ગુરુ પણ હેન્રી ડેવિડ થોરો, જોહ્ન રસ્કિન અને લિયો તોલ્સતોય જેવા હતા જેઓ પશ્ચિમે અપનાવેલા માર્ગથી રાજી નહોતા, પણ તેના ટીકાકાર હતા. ૧૮૮૮થી ૧૯૦૯ દરમ્યાન ગાંધીજી વિલાયતમાં અને આફ્રિકામાં રહીને સતત બારીક નજરે પશ્ચિમને જોતા હતા અને ઉપાય શોધતા હતા. ગાંધીજી પાશ્ચાત્ય પુરુષાર્થ અને ઐશ્વર્યથી જરા ય પ્રભાવિત નહોતા થયા. તેમને એમ લાગવા માંડ્યું હતું અને લખ્યું પણ છે કે પશ્ચિમે તો ઊલટું પૂર્વ પાસેથી, મુખ્યત્વે ભારત પાસેથી [વિવેકનો] પાઠ લેવો જોઈએ. પણ લાખ રૂપિયાનો સવાલ એ હતો કે આજનું ભારત અને ભારતીય પ્રજા પશ્ચિમનું માર્ગદર્શન કરી શકે એમ છે? ૧૯૦૯ની સાલમાં તેમણે લખેલાં નાનકડાં પુસ્તક ‘હિન્દ સ્વરાજ’માં આની છણાવટ કરી છે. તેમણે લખ્યું છે કે આત્મવિશ્વાસ ગુમાવી ચૂકેલી, લઘુતાગ્રંથિથી ગ્રસ્ત, બીજાનું આંધળું અનુકરણ કરનારી પ્રજા વિશ્વનું માર્ગદર્શન ન કરી શકે. ભારતીય પ્રજા માત્ર રાજકીય આઝાદી નહીં, પણ તેના ‘સ્વરાજ્ય’ને તેના દરેક અર્થમાં ઓળખશે ત્યારે તે બીજાનો હાથ ઝાલવા જેટલી સમર્થ બનશે. ‘હિન્દ સ્વરાજ’ ગાંધીજી જગતને, પશ્ચિમને, આધુનિક સભ્યતાને અને ભારત તેમ જ ભારતની પરંપરાને કઈ રીતે જોતા હતા તે સમજવાની ચાવી છે. દક્ષિણ આફ્રિકામાં તેમણે ભારતીય પ્રજા સાથે મળીને તેમણે વિકસાવેલી સમજ સાથે પશ્ચિમનો પ્રતિકાર કરવાનો પ્રયોગ કર્યો હતો અને તેણે દુનિયાને ચોંકાવી દીધી હતી.

ગાંધીજીથી ઊલટું સાવરકર પૌરુષત્વ અને ઐશ્વર્યની શોધમાં વિલાયત ગયા હતા. માત્ર સાવરકર નહીં, સાવરકરની પહેલાં અને પછી બીજા અનેક લોકો વિલાયત ગયા હતા અને તેમની શોધ એકંદરે આ જ હતી: પૌરુષત્વ અને ઉદ્યમ. પણ સાવરકર આ બધામાં જુદા પડતા હતા. તેમની ખોજ પૌરુષત્વયુક્ત રાષ્ટ્રવાદ (macho અર્થાત્ masculine nationalism) માટેની હતી. વિલાયત ગયેલા અન્ય લોકોથી ઊલટું તેમની પહેલી નિસ્બત ભારતની આઝાદી નહોતી, પણ હિંદુઓની સરસાઈ હતી. masculine nationalism માટે ભારતની બહુમતી હિંદુ પ્રજા મરદ (masculine) બને એ પહેલી શરત હતી. બીજી શરત હતી હિંદુઓ સંગઠિત બને. ત્રીજી શરત હતી હિંદુઓની અંદર હિંદુ તરીકેની (માણસ તરીકેની ઓળખ જરૂરી નથી) આપઓળખ વિકસાવવી. ચોથી શરત હતી આ ભૂમિમાં જ્યાં સુધી હિંદુઓની વસ્તી હોય અને જ્યાં સુધી હિંદુ સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળતો હોય ત્યાં સુધીની ભૂમિ પર દાવો કરવો, પાંચમી શરત હતી એક દુ:શ્મનની. પ્રજાને જોડી રાખવા માટે ડર જરૂરી છે. ટૂંકમાં બહુમતી પ્રજાનો ધર્મ, તેની સંસ્કૃતિ, તેની ભૌગોલિક સરહદ અને દુ:શ્મનનો ભય. આ masculine nationalismના અનિવાર્ય પદાર્થો છે જે પશ્ચિમમાં વિકસ્યા છે. જેમ ગાંધીજીના પાશ્ચાત્ય ગુરુ હતા તેમ સાવરકરના પણ હતા. નામ આપવા હોય તો જોસેફ મેઝીની, જોસેફ ગેરીબાલ્ડી, ફ્રેડરિક નિત્શે, ચાર્લ્સ ડાર્વિન, જે.એસ. મિલ, હર્બર્ટ સ્પેન્સર અને હેનરિક વોન ટ્રીશકે (Heinrich Von Treitschke) વગેરેનાં આપી શકાય. આ વિચારકો માનવતાવાદી નહોતા. તેઓ ન્યાય અને સમાનતામાં માનતા નહોતા. જેના હાથમાં લાઠી એની ભેંસના ન્યાયમાં માનતા હતા. તેઓ ઉપયોગિતાવાદી હતા એટલે સાધનશુદ્ધિમાં માનતા નહોતા. તેઓ પ્રજાકેન્દ્રી કાયદાના રાજમાં નહીં, પણ બહુમતી કેન્દ્રી કાયદાના રાજમાં માનતા હતા કે જેથી અરાજકતાની કિંમત બહુમતી પ્રજાએ ચૂકવવી ન પડે. જે પરિઘની બહાર છે તેના અધિકાર અને ન્યાયની ચિંતા કરવાની જરૂર નથી.

તો વાતનો સાર એ કે ગાંધીજીનો પીંડ દરેક અર્થમાં ભારતીય હિંદુનો હતો. તેમની પ્રેરણાસ્રોત વેદ, ઉપનિષદ, ભગવત ગીતા, સંતો અને સૂફીઓ અને પશ્ચિમના કેટલાક માનવતાવાદી વિચારકો હતા. તેમની શ્રદ્ધા માનવીના મનુષ્યત્વમાં હતી. તેઓ વિવેક અને સંયમમાં માનતા હતા અને ભોગના અતિરેકને સમૃદ્ધિ નહીં, પણ વિકૃતિ તરીકે જોતા હતા. તેઓ માનવીની નિર્ભયતામાં માનતા હતા, પણ સાચી નિર્ભયતા અંદરથી ઉગે છે બહારથી નહીં. બાહ્ય તાકાત ગમે એટલી હોય, પણ માણસ જો અંદરથી ડરતો હોય તો એને ડરપોક જ કહેવાય. ૧૯૧૬માં બનારસ હિંદુ યુનિવર્સિટીના ઉદ્ઘાટન સમારંભમાં તેમણે અંગ્રેજ ગવર્નરની સિક્યુરિટીના તામજામ જોઈને કહ્યું હતું કે આ રીતે ભયમાં જીવવા કરતાં પોતાને વતન જતા રહીને નિર્ભયતા સાથે જીવવું જોઈએ. તેઓ ભારતની વિવિધતાને ભારતની ઓળખ અને તાકાત તરીકે જોતા હતા, મર્યાદા તરીકે નહીં.

ગાંધીજીથી ઊલટું સાવરકરનું ચિત્ત પશ્ચિમ દ્વારા ઘડાયું હતું. તેઓ હિંદુઓની માનવતાવાદી પરંપરા માટે અણગમો ધરાવતા હતા. બુદ્ધ અને મહાવીર માટે તો ભયંકર અણગમો ધરાવતા હતા. તેમનાં લખાણમાં કે ભાષણોમાં તમે ક્યારે ય વેદ-ઉપનિષદને કે સંતો કે સૂફીઓને ટાંકેલા જોવા નહીં મળે. ગાંધીજી ભારતનું સર્જન હતા, સાવરકર પશ્ચિમનું. 

(ક્રમશઃ)
31 મે 2026
મુદ્રાંકન સહાય : હિદાયતભાઈ પરમાર
e.mail : ozaramesh@gmail.com

Loading

Artificial Intelligence: જવાબો વધી રહ્યા છે, પણ આપણી વિચારશીલતા પર કાટ ચઢી રહ્યો છે?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|31 May 2026

AI આપણે જે કરીએ છીએ તે નથી બદલી રહ્યું બલકે આપણે કેવી રીતે વિચારીએ છીએ તે બદલી રહ્યું છે અને સરળતા અને ઝડપના મોહમાં આપણે એ થવા પણ દઇએ છીએ. 

ચિરંતના ભટ્ટ

આ લખાઈ રહ્યું છે ત્યારે, આ સમયે, કોટામાં કોમ્પિટિટીવ એક્ઝામ્સની તૈયારીમાં વ્યસ્ત કોઈ વિદ્યાર્થી ChatGPTને પોતાનો નિબંધ અંગ્રેજીમાં લખવાનો પ્રોમ્પ્ટ આપી રહ્યો છે. એ તેના એસાઇન્મેન્ટને પુરું કરવામાં કોઈ ચાલાકી કરે છે, ચિટીંગ કરે છે એવું નથી, કારણ કે એવી કોઈ સૂચના નથી કે AIનો ઉપયોગ ન કરવો. એ તો એ જ કરે છે જે દરેક પેઢી કરતી આવી છે, સૌથી અસરકારક અને સરળતાથી મળતા હોય તેવા સંસાધનનો ઉપયોગ. મુંબઈની ઑફિસમાં કોઈ મેનેજર પોતાના ક્વાર્ટરલી પ્રેઝન્ટેશન માટેની વિગતો લઈને કોઈ AI ટૂલ પાસે પ્રેઝન્ટેશન તૈયાર કરાવે છે. દિલ્હીના કોઈ ન્યૂઝરૂમમાં કોઈ પત્રકાર AIને તે દિવસના સવારના સમાચારોનો સાર કાઢવાનો પ્રોમ્પ્ટ આપીને પોતાના આગલા શોની તૈયારી કરી રહ્યો છે. ગુજરાતના કોઈ વૉટ્સએપ ગ્રૂપમાં કોઈ વ્યક્તિ એક રાજકારણીનો અવાજ વાપરીને AIમાં બનાવેલી કોઈ ક્લિપ પોતાના ગ્રૂપ્સમાં ફોરવર્ડ કરી રહી છે, એ ક્લિપમાં એવી વાત છે જે પેલા રાજકારણીએ ક્યારે ય કીધી જ નથી. કોઈ કિટી પાર્ટી કે ફેમિલી ફંકશનમાં મોડર્ન મમ્મી પોતાનું છોકરું કઈ રીતે AIનો ઉપયોગ કરતા શીખી ગયું છે અને ઘણીવાર તો વોઈસ કમાન્ડથી જ પ્રોમ્પ્ટ આપી દે છે એવી વાત ગર્વથી કરી રહી છે. 

અહીં ઉપર લખેલી દરેક વાત આજનું સત્ય બની ચૂકી છે, આમાંથી કોઈપણ વ્યક્તિ કશું પણ ખોટું નથી કરી રહી. છતાં ય કશુંક છે જે ધરમૂળથી બદલાઈ રહ્યું છે. માણસ જાતના ઇતિહાસમાં જે પણ ટૅક્નોલૉજી ખરેખર મહત્ત્વની સાબિત થઈ છે તેણે માણસની ક્ષમતાઓમાં હંમેશાં વધારો કર્યો છે. પ્રિન્ટિંગ પ્રેસ આવી તો જ્ઞાન અને સમજણને લોકશાહીનું ક્લેવર ચઢ્યું, તે વધુ લોકો સુધી પહોંચતા થયા અને ગણતરીના બુદ્ધિજીવીઓના હાથવગાં ન રહ્યાં. કાર્સને કારણે ગતિ મળી, અંતરો ઘટ્યાં, ઇન્ટરનેટ ક્રાંતિ પછી તો દુનિયા ગોળ નહીં સપાટ બની ગઈ કારણ કે તમારી સ્ક્રીન પર આખું વિશ્વ આવ્યું. સ્માર્ટ ફોન એટલે તો માણસે હાથમાં પકડેલું કૉમ્પ્યુટર જ સમજો. ટૅક્નોલૉજીની પહોંચ અને તેના સ્વરૂપો હવે આંગળીના વેઢે ગણાય એવાં નથી રહ્યાં, ભલે ટૅક્નોલૉજી આપણી આંગળીનાં વેઢે હોય.

પણ છતાં ય AI કંઇક અલગ કરી રહ્યું છે. AI આપણે શું કરીએ છીએ એ બદલે છે એમ નથી પણ તે આપણે કેવી રીતે વિચારીએ છીએ તે પણ બદલી રહ્યું છે. આ જ કારણોસર આપણે આપણે જરા પોરો ખાવાની, થોભવાની જરૂર છે. માણસ શીખે ક્યારે? ફિલસૂફી કે આધ્યાત્મના મતે માણસ ઘર્ષણમાંથી શીખે. સારું લખતાં શીખવું હોય તો લાંબા સમય સુધી ખરાબ લખતાં રહેવું પડે છે. સંશોધન કરતા શીખવું હોય તો એવી ચીજોમાં ખોવાઈ જવું પડે જેને આપણે પૂરી રીતે સમજતા નથી. ધીરજ કેળવવી હોય તો અનુભવ અને પ્રતિક્ષા બન્ને જરૂરી છે. નિર્ણયક્ષમતા વિકસાવવા માટે ભૂલો કરવી પડે, એ ભૂલોમાંથી શીખવું પડે અને ક્યારેક આ ભૂલોની કિંમત પણ ચૂકવવી પડે. ખરું ડહાપણ સાચો જવાબ મળવાથી નથી આવતું, પણ ડહાપણ તો સાચો જવાબ શોધવાની લાંબી, અસ્તવ્યસ્ત કરે તેવી અને ક્યારેક કંટાળાજનક પ્રક્રિયા કર્યા પછી બચી ગયેલો, પાછળ રહી ગયેલો અવશેષ છે. 

Aiનું સૌથી મોટું વચન એ છે કે તમારે સંઘર્ષ નહીં કરવો પડે, આ ઘર્ષણ જ નહીં હોય. શરૂ શરૂમાં તો આ આખી વાત જ અદ્ભૂત લાગે છે. જ્યાં સુધી તમને સમજાતું નથી કે ઘર્ષણ કોઈ અવરોધ નથી પણ એ જ વિકાસની પ્રક્રિયા છે. તમે જ યાદ કરો કે એવું ક્યારે થયું કે તમને કોઈ પેચીદો સવાલ મનમાં આવ્યો, તમે કદાચ કોઈ સામાન્ય શબ્દનો સમાનાર્થી શોધતા હતા અને તમે તરત ફોન હાથમાં ન લીધો હોય? કોઈ માહિતી શોધવા માટે નહીં પણ માત્ર વિચારવા માટે પણ તમારો ફોન તમારી ટેકણ લાકડી બન્યો હોય એવું તો થયું જ હશે. અનિશ્ચિતતા સાથે થોડો સમય પસાર કરવો, જવાબ મળે ત્યાં સુધીની પ્રક્રિયાને સમય આપવો એવું બધું હવે આપણે માટે સાવ ટૂંકી ઘટના છે. આ વિરામ, આ ગૅપ નહીં જેવી રહી ગઈ છે પણ એવું એટલા માટે નથી થયું કે આપણે આળસુ બની ગયા છીએ પણ વાસ્તવિકતા એ છે કે આપણે ટેવાઈ ગયા છીએ કે સવાલ પૂરેપૂરો ઘડાય તે પહેલાં તો આપણે જવાબ સુધી પહોંચી જઈએ છીએ. આ ટ્રેનિંગ આપણને મળી છે, સાહજિક રીતે અને આપણને એની સામે કોઈ વાંધો નથી. ભારતમાં પણ આ પરિવર્તન દેખાય છે. એક વખત હતો જ્યારે કોઈ UPSCનો ઉમેદવાર કલાકો સુધી અખબારોમાં આવતા સંપાદકીય લેખો વાંચતો, નોંધ કરતો, ચોપડાં ઉથલાવતો, દલીલો સમજવાનો પ્રયાસ કરતો પણ હવે તે AIને પ્રોમ્પ્ટ આપીને બધાનો સાર માંગી લે છે. તેને માહિતી જલદી મળી જાય છે, હા, પણ જે નથી મળતું એ છે લાંબા સમય સુધી ધ્યાન કેન્દ્રિત કરી શકવાની ક્ષમતા, જટિલ વિચારો સાથે એટલો સમય વિતાવવાની આદત કે તે તેની પર્સનાલિટીનો ભાગ બને.

AI પાસે લખાવેલું એસાઇન્ટમેન્ટ સબમિટ કરનારો વિદ્યાર્થી કંઇક શીખી તો રહ્યો જ છે પણ તે વિષયની ગહેરાઈ નથી, તે શીખે છે કે જ્યારે સવલત હોય, સાધન હોય ત્યારે પ્રયત્ન – અટેમ્પ્ટ વૈકલ્પિક બની જ શકે છે. ડીપ ફેક્સ, ખોટી માહિતી ફેલાવતાં AI દ્વારા બનાવેલી તસવીરો કે વીડિયો હોય કે ફેક વોઈસની ક્લિપ્સ હોય એ બધું લોકોને પહોંચાડવા હોંશે હોંશે ફોરવર્ડ કરનારાઓની દાનત ખોરી નથી (બનાવનારાઓની છે એમ યાદ રાખવું) પણ તેમને સવાલ કરવાની આદત નથી રહી, તેમણે કદાચ એ આદત વિકસે તે પહેલાં જ નાથી દીધી. તેમને એવો વિચાર જ નથી આવતો કે આ સાચું છે કે નહીં તેની ખાતરી તેમણે કરવી જોઇએ, અને જો કરવી હોય તો કેવી રીતે કરવી જોઇએ?

અગાઉની ટેક્નોલોજીઓએ પણ આપણને કંઈક આપ્યું અને કંઈક લીધું. કેલ્ક્યુલેટરે ગણતરી સરળ બનાવી પણ મોઢે ગણવાની આદત ઓછી કરી. GPSએ રસ્તા શોધવાનું સરળ બનાવ્યું પણ દિશાની સમજ કમજોર કરી. પરંતુ AI અલગ છે. કેલ્ક્યુલેટર તમારા માટે વિચારતું નથી. AI તમારા વિચારની પ્રક્રિયામાં જ પ્રવેશ કરે છે. તે માત્ર કામ નથી કરતું, તે ત્યાં પહોંચે છે જ્યાં એક સમયે માનવીય નિર્ણય અને સમજણ સંઘર્ષમાંથી જન્મતા હતા. માનવ ઇતિહાસમાં પહેલીવાર એવી ટૅક્નોલૉજી આવી છે જે અત્યંત વિશ્વસનીય છાપ કોઈપણ પ્રયત્ન વિના ધરી દે છે જે બુદ્ધિની ધાર કાઢવામાં વપરાતી માનસિક ગડમથલની બાદબાકી કરી દે છે.

વળી આવું આખી દુનિયામાં, એક જ સમયે, એક સાથે, અબજો લોકો સાથે કરી શકવાની ક્ષમતા AI પાસે છે. લાખો નહીં કરોડો લોકોને AI જવાબ આપતું રહે છે. આ માત્ર ટૅકનોલૉજિકલ પરિવર્તન નથી, આ સંસ્કૃતિ અને સભ્યતાના સ્તરે થઇ રહેલો ફેરફાર છે. હજી તો સરકાર AIને લગતા કાયદા ઘડી રહી છે, અદાલતોમાં કૉપિરાઇટની ચર્ચા થાય છે, શૈક્ષણિક સંસ્થાનોમાં પ્રામાણિકતાના નવા માપદડ બની રહ્યા છે, કંપનીઓમાં AI એથિક્સ કમિટી બની રહી છે પણ માનવીય વર્તન નીતિઓની રાહ જોતું નથી. નિયમો લખાશે અને અમલમાં મુકાશે તે પહેલાં તો આદતો બની ચૂકી હશે, વિચારવાની શૈલી બદલાઈ ગઈ હશે, કાયદા પરિણામોનો નિયંત્રિત કરી શકે છે, પણ લોકો કેવી રીતે વિચારે છે તેની ધીમી અને લગભગ ગાયબ થઇ રહેલી પુનઃરચનાનું નિયંત્રણ કરવું તો કાયદા માટે પણ શક્ય નથી. 

દરેક પેઢી એવા સાધનની રાહ જોતી હોય છે જે પોતાના કામને, જીવનને સરળ બનાવી દે. બહુ ઓછી પેઢી જાતને સવાલ કરે છે કે જે બાબત આટલી સરળતાથી ઉકેલાઈ ગઈ, તેમાં રહેલી મુશ્કેલી જ ન રહી ત્યારે તેની સાથે બીજી કઈ બાબત અદૃશ્ય થઇ? જોખમ એ નથી કે AI આપણને સાચા જવાબ નહીં આપે, ઘણીવાર તો આપણને નવાઈ લાગે એ રીતે સાચા અને સચોટ પ્રતિભાવ આપણને AI તરફથી મળતા હોય છે અને એટલે જ જોખમ તો એ છે કે આપણને આપણા જવાબો શોધવાની પ્રક્રિયા સાથે કોઇ લેવા-દેવા જ નહીં રહે. 

સરકાર, કાયદા જ્યારે બનશે ત્યારની વાત ત્યારે પણ AI તો આપણી જિંદગીમાં છે જ, તેણે આપણી આદતો બદલી છે, તેણે આપણી ધીરજનો પનો ટૂંકો કર્યો છે અને પ્રશ્નો અને જવાબ વચ્ચેનું અંતર ઘટાડી દીધું છે. આપણે કાળજી એ વાતની લેવાની છે કે AI આપણી પાસેથી શું લઈ રહ્યું છે તે સમજીએ, એ પહેલાં કે આપણે ભૂલી જઈએ કે આપણી પાસે વિચારવાની ધીરજ, બુદ્ધિ અને સમજણ હતાં.

ક્રાંતિ પરવાનગીની રાહ નથી જોતી, એ તો પહેલેથી જ શરૂ થઇ ચૂકી છે.

બાય ધી વે:

ગુજરાતીમાં આપણે કહીએ છીએ, “ડહાપણ આવ્યું.” આપણે ક્યારે ય નથી કહેતા કે “ડહાપણ ડાઉનલોડ કર્યું.” આપણી ભાષા પણ પોતે એમ જ માને છે કે સમજણ ધીમે ધીમે પાકે છે. કદાચ એ જ કારણ છે કે AI એક સાથે આકર્ષક પણ લાગે છે અને અસ્વસ્થ પણ. તે સેકન્ડોમાં માહિતી આપી શકે છે, પરંતુ ભૂલો, ધીરજ, અનુભવ અને આત્મમંથનમાંથી જન્મતું ડહાપણ હજુ પણ લાંબો રસ્તો લઈને જ આવે છે. AIથી ચાલતો રોબોટ તમારા ઘરમાં સફાઈ કરવાનું કહેશો તો કરી આપશે, પણ એ તમને એમ પણ કહી શકે છે કે તમે જે રીતે ઘર ગોઠવ્યું છે એ બરાબર નથી. એક સ્કોલર જેમણે એક બહુ મોટું પ્રદર્શન ગોઠવ્યું હતું તેમણે મને વાત-ચીતમાં એમ કહેલું કે આર્ટ એક્ઝિબિશન માટેનાં લખાણ અંગે જ્યારે તે AI  સાથે વાત કરતા હતા ત્યારે કૃષ્ણ પરનું પ્રદર્શન હોવાથી એક તબક્કે તેમણે AIને કહ્યું કે તેણે ભગવાન શ્રીકૃષ્ણની માફક જવાબ આપવા જોઇએ અને પછી તેમને જે જવાબ મળ્યા તેનાથી તે ચોંકી ગયા હતા. ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાના રસ્તા પણ AI બદલી નાખી શકે છે, મુદ્દો માત્ર એટલો જ છે કે એટલી સજાગતા અને સતર્કતા હોવી કે ક્યાં સુધી આગળ વધવું અને ક્યારે અટકવું. AIની કેટલી વાત માનવી અને ક્યારે તમારી પોતાની બુદ્ધિ પર વિશ્વાસ કરવો. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 31 મે 2026

Loading

...102030...46474849...607080...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved