Opinion Magazine
Number of visits: 9842017
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સમતાલક્ષી કોશિશ સામે ‘સવર્ણ’ ઊહાપોહ શીદને 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|29 January 2026

દાવાનળ? 

યુ.જી.સી. રેગ્યુલેશન અને પ્રજાનો વિરોધ

2012થી જે રેગ્યુલેશન હતા જ એને ચુસ્તદુરુસ્ત કરવાના સુપ્રીમ આદેશના અમલ સામેનો વિરોધ ખુદ સત્તાપક્ષના સમર્થકોમાંથી જ ઊઠે એનો અર્થ એ કે તેઓ નાગરિક  તો શું હિન્દુ પણ થયા નથી 

પ્રકાશ ન. શાહ

ભલા, એવું તે શું નવું ને વળી આકરું છે એમાં કે યુ.જી.સી. રેગ્યુલેશન્સ 2026 સામે કેમ જાણે જંગલના દવ પેઠે ફાટી નીકલે એવો ઊહાપોહ ઊઠી રહ્યો છે – અને તે પણ કમાલ તો જુઓ – સામાન્યપણે જે તબકા મોદી અગર ખાસ તો યોગી ભા.જ.પ.ના ચહેતા અને પહેલા ખોળાના ગણાય છે એમાંથી ? હિંદી અખબારો ને ચેનલોના રિપોર્ટિંગમાં તો બિલકુલ કાસ્ટિસ્ટ જમાબંધી જેવી ભાષા વપરાઈ રહી છે કે અમે સવર્ણો, આ યુ.જી.સી. રેગ્યુલેશન્સ નહીં સ્વીકારી શકીએ. 

હાલના મુખ્ય સત્તાપક્ષ અને વ્યાપક સમર્થક વર્ગ વચ્ચેના આંતરવિરોધ તરીકે પણ આ વાત જોવા તપાસવા જેવી તો છે જ. એ વિશે જરી રહીને થોડી વિગતે વાત કરીએ પણ પહેલાં તો રેગ્યુલેશન્સ 2026 સમજી લઈએ. શિક્ષણ સંસ્થાઓમાં ભેદભાવ ન થાય અને સમાવેશી તેમ સમાનતાલક્ષી વ્યવહાર સચવાય એની આ વાત છે. તે તત્ત્વતઃ નવી નથી. 2012થી આ રેગ્યુલેશન પ્રચલનમાં છે. માત્ર, સર્વોચ્ચ અદાલતે એની સામે આવેલ કેસના ચુકાદામાં શિક્ષણસંસ્થાઓમાં એના અણઅમલ અંગે ચિંતાવશ ચુસ્તદુરુસ્ત ગાઇડલાઇન્સની જરૂરત વિશે આદેશ આપ્યાથી ઘટતા સુધારાવધારા સાથે રેગ્યુલેશન્સ 2026નો નિર્ણય યુ,જી,સી,એ કર્યો છે એટલું જ. હા, એક ઉમેરો – અલબત્ત, સંવાદી ઉમેરો. એમાં કર્યો છે તે માત્ર એટલો અને એટલો જ છે કે અનુસૂચિત જાતિ અને જનજાતિ, એસ.સી. એસ.ટી., સાથે ઓ.બી.સી.નોયે સમાવેશ કર્યો છે. 

જેમ વિદ્યાર્થીઓમાં ઘૃણિતને હિંસ્ર ભેદભાવ (સંભારો રોહિત વેમુલા ને પાયલ તણી પ્રકરણ) પ્રવર્તે છે તેમ શૈક્ષણિક નિમણૂકોમાંયે ખુદ યુનિવર્સિટી સત્તાતંત્ર મૂર્તિમંત્ર ભેદભાવમાં રાચે છે. નમૂના દાખલ કેવળ સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાંથી જ સંબંધિત જુમલો જોઈએ તો 423 જેટલી માન્ય ઓ.બી.સી. બેઠકોમાંથી કેવળ 84 જ ભરાઈ છે, એસ.ટી.-એસ.સી. જુમલોયે એવો જ કંગાળ છે. લોકસભાના ટેબલ પર મુકાયેલ હેવાલ મુજબ તાજેતરનાં વર્ષોમાં સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાંથી 13,500 જેટલા એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. છાત્રો ખડી પડ્યા હતા. એમનું આમ ડ્રૉપ આઉટ થવું બીજા છાત્રો (‘સવર્ણ’) થકી નીચાજોણા કે અલગ પડાયાથી અગર છેક બાદબાકી વશ છોડી ગયા હતા. 

શું 2012 કે શું 2026, આશય તો છાત્રો વચ્ચેના સામાજિક ભેદભાવને રોકવાનો ને સમાવેશી વલણ તેમ જ સમતા પ્રવર્તાવવાનો છે. બીજું, સવર્ણ સવર્ણ હિંસ્ર હોઈ શકતા હાઇપકારા વચ્ચે સમજવાની વાત એ છે કે સમજવાનો વિગતમુદ્દો એ પણ છે કે લિંગભેદ અને દિવ્યાંગતાને ધોરણે પણ આ રેગ્યુલેશન્સમાં નિર્દેશ છે. એક રીતે 2012ના મનમોહન યુગ કરતાં 2026ના મોદી યુગમાં ફરક એ છે કે ત્યારે બાદબાકી (ડિસ્ક્રિમિનેશન) અને હેરેસમેન્ટ (પજવણી)ને વ્યવસ્થિત વ્યાખ્યાબદ્ધ કરાયાં હતાં તે પડતું મૂકાયું છે, અને બંને વાનાં ઘટતી ‘સમજ’ મુજબ અર્થઘટનને આધીન છે. 

ગુજરાતમાં 1985માં માધવસિંહ સોલંકીના શાસનકાળમાં ટર્મ બેસતે જ જે ઉદ્રેક ને ઉત્પાત આપણે જોયો, અનામત મુદ્દે, એનો વડો લાભાર્થી આજે ગુજરાતમાં સત્તારૂઢ છે. એ જ વર્ગ, પટેલ પરિબળનોયે ઠીક લાભાર્થી રહ્યો છે. લોકસભાની ચૂંટણીમાં રાજકોટની બેઠક પર રૂપાલાનું પટેલ હોવું દાવ પર લાગ્યું હતું અને ભા.જ.પ.ની હિંદુત્વ રાજનીતિની મર્યાદા પટેલ વિ. ક્ષત્રિય ઊહાપોહમાં ઉઘાડી પડી ગઈ હતી. અરુણ શૌરી ભા.જ.પ.માં ઊંચી પાયરીએ હોય અને ગુજરાતમાં ભા.જ.પ.ના જ ફકીરભાઈ વાઘેલા શૌરીના આંબેડકર વિષયક પુસ્તકની હોળી કરતા હોય, એ વિરોધ ભા.જ.પ. નાગરિક તો શું હિંદુ પણ પેદા નથી કરી શક્યો એમ સૂચવે છે જે હાલ ભા.જ.પ.ના જ સમર્થકોમાંથી આ રેગ્યુલેશનના વિરોધમાંથી સમજાય છે. 

જો કે એક પ્રત્યાઘાત એવો પણ ઊઠ્યો છે કે સુપ્રીમ કોર્ટે ફરજ પાડ્યાથી જે કરવું પડ્યું છે એને વિશે આ કદાચ ખુદ શાસનપ્રેરિત ઊહાપોહ જ છે. એ જે હોય તે હિંદુત્વ રાજનીતિએ પોતાની સવર્ણવાદી છાપમાંથી બહાર આવવું રહેશે. અને એકંદર રાજકીય ને સામાજિક અગ્રવર્ગે પણ.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 28જાન્યુઆરી 2026

Loading

ક્યારે ય ‘આઉટ ઓફ પ્રિન્ટ’ ન થયેલી નવલકથા 

દીપક મહેતા|Opinion - Literature|29 January 2026

ગ્રંથયાત્રા – 24

બાળકો અને કિશોરો માટેની આ એક અદ્ભુત રસિક વાર્તા છે? હા અને ના. આ એક સાહસ ભરી પ્રવાસકથા છે? હા અને ના. વિક્ટોરિયન યુગના ગ્રેટ બ્રિટનના લોકો, તેમના રીતરિવાજો, તેમની માન્યતાઓ, કેટલીક જાણીતી વ્યક્તિઓ, વગેરેની ઠેકડી ઉડાડતી કટાક્ષકથા છે? હા અને ના. માણસને અંદરથી જોવા અને જાણવા મથતી, તેના ભાવિનો તાગ લેવા મથતી, કંઇક નિરાશાવાદી રૂપકકથા છે આ? હા અને ના. હકીકતમાં આ એક બહુરૂપી સર્જન છે. જેવો વાચક, જેવો સમય, જેવો દેશ તેવો વેશ ધારણ કરી શકતી આ એક અસાધારણ કથા છે. એનું નામ ગલિવર્સ ટ્રાવેલ્સ. 

ઇ.સ ૧૭૨૬માં ચાર ભાગમાં પહેલી વાર ગલિવર્સ ટ્રાવેલ્સ પ્રગટ થઈ. ત્યારથી આજ સુધીમાં તેના કંઈ કેટલાયે અનુવાદ, અનુકરણ, રૂપાંતર થઈ ચૂક્યાં છે. નાટક, ફિલ્મ અને ટી.વી.વાળાઓએ પણ તેનો ઉપયોગ કર્યો છે, પણ મુખ્યત્વે બાળકો માટે. ગલિવર્સ ટ્રાવેલ્સ પહેલી વાર પ્રગટ થઈ ત્યારે તેના ચાર ભાગમાંથી એકે ભાગ પર ક્યાં ય તેના ખરા લેખકનું નામ છાપ્યું જ નહોતું. કથાનાયક પોતે જ જાણે લેખક હોય તેમ પુસ્તક પર લેખક તરીકે ‘લેમ્યુએલ ગલિવર’ એવું નામ છાપેલું. એટલું જ નહીં, ગલિવર જાણે ખરેખરી વ્યક્તિ હોય તેમ તેનું કાલ્પનિક ચિત્ર પણ મુખપૃષ્ઠ પર છાપેલું! પુસ્તકનો આરંભ તેના પ્રકાશક રિચર્ડ સિમ્પસને વાચકોને ઉદ્દેશીને લખેલી નોંધથી થાય છે. પોતાના જિગરજાન દોસ્ત અને દૂરના સગા ગલિવર પાસેથી આ પુસ્તકનું લખાણ પોતાને કઈ રીતે મળ્યું તેની વાત તેમાં તેણે કહી છે. ત્યાર બાદ ગલિવરે પ્રકાશકને લખેલો પત્ર મૂક્યો છે. તેમાં પુસ્તકમાંની કેટલીક વાતો અંગે ગલિવરે પોતાનો બચાવ કર્યો છે અથવા ખુલાસા કર્યા છે. આ પત્ર જાણે ખરેખર કોઈ લેખકે તેના પ્રકાશકને લખ્યો હોય તેવી રીતે લખાયો છે. પણ પત્રને અંતે લખેલી તારીખ – એપ્રિલ ૨, ૧૭૨૭ – તરફ ધ્યાન જાય તો તરત સમજાઈ જાય કે ગલિવરનો પત્ર અને પ્રકાશકની નોંધ, બંને વાસ્તવિક નહીં પણ કાલ્પનિક છે, બનાવટી છે. કારણ ૧૭૨૬ની સાલમાં પ્રગટ થયેલા પુસ્તકમાં ૧૭૨૭માં લખાયેલો પત્ર કઈ રીતે છપાયો હોય? વળી બીજી એપ્રિલની તારીખ પણ પુસ્તકના સ્વરૂપની સૂચક છે. આ પુસ્તકમાં પહેલી એપ્રિલ – એપ્રિલ ફૂલ – ની બનાવટ નથી. પણ વાસ્તવિકતા અને કલ્પના, હકીકત અને બનાવટ, અહેવાલ અને તરંગ, એ બધાનું અહીં અજબ મિશ્રણ છે માટે જ એપ્રિલ ફૂલ પછીના દિવસની તારીખ.

ગલિવરના નામે આ પુસ્તક લખનાર તે આઈરિશ પ્રોટેસ્ટન્ટ પાદરી અને કટાક્ષ લેખક જોનાથન સ્વિફ્ટ. એ જમાનાના બ્રિટનના રાજકારણીઓ પર અને સામાજિક રીતરસમો પર આ કૃતિમાં જે વેધક કટાક્ષો છે તેને કારણે સ્વિફ્ટે લેખક તરીકે પોતાનું નામ છાપ્યું નહોતું. અને છતાં સ્વિફ્ટના વિરોધની ઐસી તૈસી કરીને પ્રકાશકે મૂળ લખાણમાંનો કેટલોક ભાગ કાઢી નાખ્યો હતો. પુસ્તક પ્રગટ થયું તે પછી માત્ર એક જ અઠવાડિયામાં તેની બધી નકલો ખપી ગઈ. ત્યારથી આજ સુધીમાં આ પુસ્તક ક્યારે ય આઉટ ઓફ પ્રિન્ટ થયું નથી. પ્રખ્યાત ફ્રેંચ લેખક અને વિચારક વોલ્તેરે ૧૭૨૮માં સ્વિફ્ટને લખેલું: “જેમ જેમ હું તમારી કૃતિ વાંચતો જાઉં છે તેમ તેમ મેં જે કાંઈ લખ્યું છે તે અંગે હું શરમ અનુભવતો જાઉં છું.” અને પ્રખ્યાત કવિ-વિવેચક ટી.એસ. એલિયટે ૧૯૨૬માં આપેલા ક્લાર્ક લેક્ચર્સમાં સ્વિફ્ટને ‘ધ ગ્રેટેસ્ટ રાઈટર ઓફ ઇંગ્લિશ પ્રોઝ’ તરીકે ઓળખાવ્યો હતો.

ગલિવર્સ ટ્રાવેલ્સના ચાર ભાગમાંથી પહેલા બે ભાગ સૌથી વધુ જાણીતા થયા છે અને તેમાં સ્વિફ્ટની સર્જકતા પણ સોળે કલાએ ખીલી ઊઠી છે. પહેલા ભાગમાં ગલિવર છ ઈંચના વહેંતિયા લીલીપુટોના પ્રદેશમાં જઈ ચડે છે. આ વહેંતિયાઓના રીતરિવાજ, રહેણીકરણી, રાજ્ય-વ્યવસ્થા વગેરેના અદ્ભુત ચિત્રણ દ્વારા લેખકે માણસના વામન સ્વરૂપને પ્રગટ કરવાનું નિશાન તાક્યું છે. આ વહેંતિયાઓ માટે સીધો સાદો, નોર્મલ ગલિવર જેવો માણસ એક અજાયબી બની જાય છે. તેઓ જાતજાતની રીતે ગલિવરને માપવાનો અને પામવાનો પ્રયત્ન કરે છે. તો પુસ્તકના બીજા ભાગમાં એ જ ગલિવર મહાકાય વિરાટ લોકોના દેશમાં પહોંચી જાય છે. આ મહાકાય જીવો જીવે છે તદ્દન વ્યવહારુ ભૂમિકા પર. તેમને ન્યાય-અન્યાય, નીતિ-અનીતિ, સારું-નરસું, જેવા ‘અમૂર્ત’ ખ્યાલોમાં નથી ગતાગમ પડતી કે નથી તેની જરૂર પણ જણાતી. પહેલા ભાગમાં લેખકે માણસના દોષોને સૂક્ષ્મદર્શક કાચ વડે જોયા, તો બીજા ભાગમાં તેને મેગ્નિફાય કરીને બતાવ્યા છે. 

હંસાબહેન મહેતા

તો ત્રીજા ભાગમાં લેખકે પોતાના સમયના વૈજ્ઞાનિકોની હાંસી ઊડાવી છે. લાગાડો શહેરમાં પ્રખર બુદ્ધિશાળી વૈજ્ઞાનિકો, સંશોધકો, વિચારકો વસે છે. પણ એવા, કે માણસની ડાબી આંખ વિષે વિચારવામાં જ આખી જિંદગી કાઢી નાખે, પણ માણસને જમણી આંખ પણ હોય છે તે હકીકતની તેમને ખબર પણ ન હોય! ઈન્ટરનેટ સાથે જેને થોડી ઘણી પણ લેવાદેવા હોય તેવી કોઈ પણ વ્યક્તિ ‘યાહૂ’ નામથી અજાણી ન જ હોય. પણ તેમાંથી કેટલાને ખબર હશે કે આ ‘યાહૂ’ નામ પહેલવહેલું સ્વિફ્ટે આ નવલકથામાં યોજ્યું હતું. ચોથા ભાગમાં ગલિવર આ યાહૂ લોકોના દેશમાં જઈ ચડે છે. આ યાહૂ એટલે માણસના રૂપમાં અતિશય બળવાન રાક્ષસ. એનાં રંગઢંગ જંગલી, એની રીતભાત જંગલી. પેલું ફિલ્મી ગીત યાદ છે ને – ‘યાહૂ! ચાહે કોઈ મુઝે જંગલી કહે.’ સ્વિફ્ટ કદાચ સૂચવવા માગે છે કે માણસજાતનું ભાવિ આવા યાહૂ બની રહેવાનું જ છે. આ કૃતિના પહેલા બે ભાગનો અફલાતૂન ગુજરાતી અનુવાદ હંસાબહેન મહેતાએ કર્યો હતો જે ‘ગોળીબારની મુસાફરી’ નામથી ૧૯૪૦માં પ્રગટ થયો હતો.

૧૬૬૭ના નવેમ્બરની ૩૦મી તારીખે ડબ્લીન શહેરમાં સ્વિફ્ટનો જન્મ. તેના જન્મ પહેલાં જ પિતાનું તો અવસાન થયેલું એટલે પિતાનો પ્રેમ ન મળ્યો. માતાની ગરીબીને કારણે પહેલાં સૂયાણી પાસે અને પછી તવંગર કાકા પાસે ઉછર્યો. સારસંભાળ મળ્યાં, પણ પ્રેમ ન મળ્યો. બે સ્ત્રીઓ સાથેના પ્રેમપ્રસંગો પણ નિષ્ફળ નીવડ્યા. રાજકારણમાં પડ્યો પણ બંને વખત જે પક્ષમાં હતો તે પક્ષ ચૂટણીમાં હાર્યો એટલે સ્વિફ્ટની રાજકીય મહત્ત્વાકાંક્ષા પૂરી ન થઈ. ચર્ચમાં પણ અપેક્ષા પ્રમાણેનો ઊંચો હોદ્દો ક્યારે ય ન મળ્યો. લગભગ આખી જિંદગી બહેરાપણાથી અને વર્ટીગોથી પીડાતો રહ્યો. ગાંડપણની હદે પહોંચ્યા પછી ૧૭૪૫ના ઓક્ટોબરની ૧૯મીએ સ્વિફ્ટનું અવસાન થયું.

XXX XXX XXX

28 જાન્યુઆરી 2026
e.mail : deepakbmehta@gmail.com

Loading

ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

પ્રકાશ ન. શાહ|Gandhiana|28 January 2026

શું ગાંધીહત્યા એ માત્ર એક વ્યક્તિનો ઉન્માદ હતો, કે પછી ગોડસેથી ગોળવલકર સુધી ફેલાયેલું કોઈ સુનિયોજિત રાજકીય કાવતરું?

પ્રકાશ ન. શાહ

ગાંધીનિર્વાણના ઉંબર કલાકોમાં લખી રહ્યો છું ત્યારે ચિત્તમાં કંઈક હથોડાબંધ ટકોરા દઈ રહેલો વૈકલ્પિક પ્રયોગ ગાંધીહત્યા બલકે ગાંધીવધ છે. બાકી દુનિયાએ જે ઘટનાને એક બલિદાની અંતિમ સમર્પણ તરીકે જોઈ, કંઈક અંશે નિર્ઘૃણ હત્યા રૂપે જોઈ, એને આતતાયી વધ તરીકે જોનારા જેમ ત્યારે હશે તેમ અત્યારે પણ છે.

સાધારણપણે ત્રીસમી જાન્યુઆરી પ્રાર્થનાભાવ જગવતી રહે છે – અને એ ઠીક જ છે. પણ કંઈક અવસાદ પ્રેરતી એટલી જ ગીતાપ્રોક્ત મન્યુ જગવતી ઘટના એ નથી એમ તો કહી શકાતું નથી: નિર્વાણથી માંડી વધ સુધીનાં આ વિચારઝોલાંનું તત્કાળ નિમિત્ત હજુ હમણેના કલાકોમાં ગુજરાતવગાં થયેલાં બે પુસ્તકોએ પૂરું પાડ્યું છે: ‘લેટ્સ કિલ ગાંધી’ (તુષાર ગાંધી) અને ‘ગાંધીનો હત્યારો ગોડસે’ (ધીરેન્દ્ર ઝા).

તુષાર અલબત્ત ગાંધીજીના પ્રપૌત્ર તરીકે તેમ જ અજંપ ઉધમાત થકી જાણીતું નામ છે. એને મુકાબલે ધીરેન્દ્ર ઓછા જાણીતા હશે. જો કે, તાજેતરનાં વરસોમાં સંઘકારણના અચ્છા અભ્યાસી તરીકેની એમની પ્રતિભા ચીલેચલુ પત્રકારિતાને વટી ગઈ છે, અને છબછબિયે રાજી રહેતા કલમનવીસોને મુકાબલે ઊંડું અવગાહન કે સંશોધન કરનાર તરીકે ઊભરી છે. 

‘લેટ્સ કિલ ગાંધી’ના ગુજરાતી અનુવાદ સાથે તુષાર ગાંધીના એ ફરિયાદબોલ પણ આપણી સામે આવે છે કે અંગ્રેજીમાં પ્રગટ થયાનાં ખાસાં દસબાર વરસે ગુજરાતી વાચક સુધી પહોંચવાનું બન્યું છે. ‘ગોડસે’ વિશે પૂરા કદનું ઠીક ઠીક સંશોધનમંડિત પુસ્તક ગુજરાતીમાં જ નહીં પણ ત્રણ-ચાર વરસ પર અંગ્રેજીમાં આવ્યું ત્યારે ય કદાચ પહેલું જ હશે.

મુદ્દો એ છે કે ગાંધીહત્યા પછી તપાસ થઈ, કેસ ચાલ્યો, ગોડસેને સજા પણ થઈ છતાં કેમ જાણે આખી પ્રક્રિયામાં કદાચ જાણતે છતે પણ કંઈક ચુકાઈ ગયું તે ચુકાઈ જ ગયું. તુષાર ગાંધીએ બધી વિગતો સંકોરીસમેટી કકળતી આંતરડીએ આપેલું ચિત્ર એ છે કે મુંબઈ પોલીસ અને દિલ્હી પોલીસ આ પ્રશ્ને કેટલી શિથિલ રીતે વરતી હતી અને પૂર્વસંકેત સમજી જરૂરી ચોંપમાં મુંબઈનું ખેર-મોરારજી પ્રશાસન કેટલું ઊણુંઊતર્યું હતું.

ગોડસેને ફાંસી થઈ, બીજાઓને ય ઘટતી સજા થઈ, પણ તપાસની કસર તો છેક 1966માં કપૂર પંચ સાથે જ પૂરી થઈ – કોરોબરેટિવ પુરાવાને અભાવે બાઈજ્જત (ખરું જોતાં, બેનિફિટ ઓફ ડાઉટ, બહુ બહુ તો) સાવરકર બહાર આવ્યા હતા, એ સાફ થયું.

સ્વરાજ આગમચ અને વાંસોવાંસ, આગળપાછળ મળીને સાવરકર અને સંઘને આ સંદર્ભમાં સમજવા માટે ધીરેન્દ્રનું ‘ગોડસે’ અને થોડા વખતમાં ગુજરાતીમાં આવનારું ‘ગોળવલકર’ મજબૂત સંશોધનમંડિત સામગ્રી લઈને આવે છે. મુદ્દે, 1948-49માં તપાસ અને કેસના દોરને અંતે સંઘ સૂત્રોએ આપેલી બલકે ઊપજાવેલી છાપ એ હતી કે અમારે અને ગોડસેને કોઈ સંબંધ જ નથી. આરંભે આ પ્રકારના દાવા પછી કેટલીક વિગતોના ઉજાસમાં આ સૂત્રોએ લગીર કોર્સ-કરેક્શનની રીતે એવી મુદ્રા અંગીકાર કરી કે ભાઈ, નથુરામ સંઘમાં પૂર્વે હતો તો ખરો, પણ પછી એ છૂટો થઈ ગયેલો અને ‘હિંદુ રાષ્ટ્ર દળ’ ચલાવતો હતો. 

આ વિગત, દાયકાઓ સુધી વિશેષ તપાસને અભાવે જડબેસલાક જામી પડી અને જનતા પક્ષના ઉદ્દભવથી માંડી લોકસભામાં વાજપેયીની છટાદાર રજૂઆત મારફતે એ અધોરેખિત થતી રહી. જો કે, વચમાં 1964માં ગોપાલ ગોડસેએ છૂટ્યા પછી ચોખ્ખું લખ્યું હતું કે અમે અમારી જુબાનીમાં તાત્યારાવ(સાવરકર)ને અને સંઘને બચાવી લીધા હતા. સંઘ-જનસંઘ એ વખતે એટલા ચિત્રમધ્ય નહોતા કે વ્યાપકપણે એની નોંધ લેવાય અને પ્રજાકીય સ્મૃતિમાં તે ઝમે.

ધીરેન્દ્રનું સંશોધન આગળ જાય છે. દસ્તાવેજી સામગ્રીને આધારે એમણે કહ્યું છે કે મહારાષ્ટ્રના સંઘચાલક કાશીનાથ લિમયે અને સાવરકરના સક્રિય સહયોગમાં આ હિંદુ રાષ્ટ્ર દળ કાર્યરત હતું. દળના બૌદ્ધિક વર્ગોમાં ને શિબિરોમાં મુખ્ય વક્તાઓ ઘણે ભાગે સંઘના રહેતા. હિંદુ મહાસભા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરંભથી ગાંધીહત્યા સુધી ઓછાવત્તા સંકળાયેલા રહ્યા. હિંદુ રાષ્ટ્ર દળના સંચાલનમાં કાશીનાથ લિમયે મારફત સંઘ અને હિંદુ મહાસભા સહયોગી હતા.

ગુજરાતીમાં સદ્યપ્રકાશ્ય ‘ગોળવલકર’માં ધીરેન્દ્રે ઉપસાવેલો મુદ્દો એ છે કે સ્વરાજપૂર્વ થોડાં વરસોમાં સંઘે રજવાડાઓમાં પાકો પ્રવેશ જમાવ્યો હતો અને ભાગલા નજીક જણાયા ત્યારે રાજાઓને આગળ કરીને પોતાનું પ્રભાવક્ષેત્ર ઊભું કર્યું હતું. સ્વતંત્ર રહેવા ઇચ્છતા રજવાડામાં સંભવિત ‘હિંદુ રાજ્ય’ની આશા ને શક્યતાની રાજકીય ગણતરી હતી. એક પછી એક રજવાડામાં સંઘ સ્વયંસેવકોની રાજસલામીથી એક લશ્કરી અર્ધલશ્કરી માહોલ ઊભો કરાયો હતો.

ને થોડું ‘ગાંધી આસપાસ. નેહરુપટેલ ભાગલાની દિશામાં એકતરફી આગળ વધી ગયા પછી ગાંધીએ પોતાની વિરોધ લાગણી છતાં કોમી ઉત્પાતના કારી ઘાને ખાળવા ને રૂઝવવામાં સાર્થક્ય જોયું. બંગાળમાં શાંતિ સ્થાપન પછી ગાંધી પંજાબ જતાં દિલ્હી રોકાયા તે શાંતિસ્થાપન અર્થે રોકાઈ જ પડ્યા. એક રીતે હવે એ એકલા જેવા હતા. દેખીતો ઓસરતો પ્રભાવ હતો. પણ ધીરેન્દ્ર દસ્તાવેજી વિગતો સાથે સમજાવે છે કે શાંતિના નેહરુ પ્રયાસોમાં ને સરદારની મથામણમાં એક એક મોટું બળ બની રહ્યા.

રજવાડે થનગન ને દિલ્હીજેતા થવાનું સપનું જોતા સંઘને માટે આ એક મોટી રુકાવટ હતી. લગભગ એવી લાગણી હતી કે ગાંધી દિલ્હી છોડે પછી આપણે સારુ અવકાશ મળી રહેશે. અમે તોફાનોમાં નથી અને શાંતિ-સહભાગી છીએ એવી અપીલ કરવાનું ગાંધીનું સૂચન ગોળવલકરને ગ્રાહ્ય નહોતું.

ગાંધીહત્યાનો વિધિવત વિરોધ અને આતતાયી વધને અનુમોદના, સંઘ શતાબ્દીએ આની કળ વળશે, ન જાને.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 28 જાન્યુઆરી  2026

Loading

...102030...59606162...708090...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved