Opinion Magazine
Number of visits: 10080255
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આંબેડકરઃ નેહરુથી ન.મો. દલિત રાજનીતિના પડકારો

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|16 April 2026

આંબેડકર હિન્દુ સમાજના દમનકારી વલણો સામે વિપ્લવનું પ્રતીક

શિડ્યુલ કાસ્ટ્સથી રિપબ્લિકન તેમ જ કાંસીરામ–માયાવતીની મથામણો કેમ ટાંચી પડી એ તપાસ માંગી લે છે … કાશ, લોહિયા અને આંબેડકરને સાર્થક સંવાદતક મળી હોત!

પ્રકાશ ન. શાહ

135મી આંબેડકર જયંતી આવી અને ગઈઃ સરકારી, બિનસરકારી, તરેહવાર આયોજનો કંઈક ઉત્સાહથી તો કંઈક રસમી રાબેતાસર પાર પડ્યાં. 

સાધારણપણે સંવિધાનનિર્માતા તરીકે તેમ દલિત મસીહા તરીકે તેમને યાદ કરાતા રહે છે. પણ 14મી એપ્રિલ સત્તાવાર સરકારી પ્રયોગ મુજબ જો એક રાષ્ટ્રીય પર્વ (નેશનલ હોલીડે) હોય તો આંબેડકરને જોવા અને મૂલવવાની રીતે કંઈક વિશેષ વિચારવું રહે છે. 

1956ના ડિસેમ્બરમાં એ ગયા. સ્વરાજસંગ્રામની પરંપરામાંથી આવેલા જવાહરલાલ નેહરુ ત્યારે વડા પ્રધાન હતા. આજે 2026માં સંઘ પરંપરામાંથી આવેલા નરેન્દ્ર મોદી વડા પ્રધાન છે ત્યારે નેહરુથી માંડી નીચે સુધી આંબેડકરનું નામ લેવાતું હશે, પણ આજે ન.મો.થી માંડી નીચે સુધી કદાચ વધારે જ ગાજે છે. 

ભીમરાવ આમ્બેડકર

નામ લેવાવાથી માંડી ગાજવા લગીની આ ઇતિહાસ-પ્રક્રિયા હર પરંપરાની પેઠે સાતત્ય ઉપરાંત શોધન પણ માંગી લે છે. 1956માં આંબેડકર ગયા ત્યારે લોકસભામાં એમને અંજલિ આપતાં (સત્તાવાર સંસદીય નોંધ લેતાં) નેહરુએ જે કહ્યું હતું એમાંથી એક સારરૂપ ફકરો અહીં સંભારું તો તે આ સંદર્ભમાં ઉપયોગી થઈ પડશેઃ ‘બંધારણનિર્માણમાં આંબેડકરે જે સંભાળ ને જહેમત લીધી એવી બીજા કોઈએ નથી લીધી એ અલબત્ત શંકાતીત છે.’ હવે વાત આગળ ચાલે છેઃ ‘હિંદુ કાયદામાં સુધારા બાબતે એમણે જે રસ લીધો અને બોજ વેંઢાર્યો તેને સારુ પણ એ સંભારાશે.’ જાહેર છે કે આંબેડકર જે ઝડપે તે કરવા ઇચ્છતા હતા તે શક્ય ન બનતાં એમણે પ્રધાનમંડળમાંથી છૂટા થવું પસંદ કર્યું હતું વડા પ્રધાન નેહરુ સુધારા પરત્વે પ્રતિબદ્ધ હતા. પણ તત્કાળ તે શક્ય નહોતું, કેમ કે કૉંગ્રેસના ખુદના રૂઢિચુસ્ત મત ધરાવનારાઓ ઉપરાંત, સવિશેષ, બહારનાં કેટલાંક બળો (કૉંગ્રેસથી વિપરીત પણે) એકંદર બંધારણ અને હિંદુ કાયદાના સૂચિત સુધારા બેઉ બાબતે હાડના વિરોધી હતા. આ બળોમાં યોજકત્વની ભૂમિકા હાલના વડા પ્રધાનના પૂર્વસૂરિઓની હતી. સંઘ પરિવારના પત્ર ‘ઓર્ગેનાઇઝર’ના મતે આ બંધારણમાં મનુસ્મૃતિનો સ્વીકાર નહોતો. સાવરકર-ગોળવલકર છેડેથી પણ આવા જ અવાજો ઊઠ્યા હતા. હિંદુ કાયદામાં સુધારા બાબતે આ પરિબળો અલબત્ત ‘અબ્રહ્મણ્યમ, અબ્રહ્મણ્યમ્’ના મિજાજથી મંડેલા હતા. 

વળી નેહેરુના ઉદ્‌ગારો સંભારું કે “તેઓ હિંદુ કાયદામાં આ સુધારાઓ (ભલે એમના રાજીનામા પછી પણ) ઠીક ઠીક પ્રમાણમાં – જો કે એમણે તૈયાર કરેલ સમગ્ર ધોરણે નહીં પણ – કટકે કટકે ય થતા જોઈ શક્યા તે વિચારે હું રાજીપો અનુભવું છું.” કોંગ્રેસ શ્રેષ્ઠીઓને વિશ્વાસમાં લઈ નેહરુ આગળ વધી શક્યા હતા, પણ સંઘ પરિવારના પૂર્વ સૂરિઓ? તેઓ અલબત્ત તળેઉપર મનુસ્મૃતિમય હતા.

હવે, નેહરુના આ જ ફકરાનાં સમાપનવચનો ઉતારુંઃ “ગમે તેમ પણ, મને લાગે છે કે એમનું સ્મરણ સર્વાધિક તો હિંદુ સમાજમાં રહેલાં સઘળાં દમનકારી વલણો સામેના વિપ્લવના પ્રતીક તરીકે થતું રહેશે.”

હિંદુ સમાજના હાડમાં પેંધેલાં આ જે દમનકારી વલણો અને આધુનિક બંધારણને બદલે મનુસ્મૃ઼તિના સ્વર્ગલોકમાં મુક્તિની જે ખોજ, એને અંગે પોતાના અને આજુબાજુના વૈચારિક પૂર્વસૂરિઓથી હાલના સત્તાશ્રેષ્ઠીઓ વસ્તુતઃ ઊંચે ઊઠી શક્યા છે કે કેમ? સત્તાવાર અવાજો આંબેડકરની એકંદર અનુમોદનાના (બલકે, ક્યારેક તો આંબેડકર પારના આંબેડકરની હદના) સંભળાય છે. આ પ્રશ્ન, અત્યારે તો, આપણે એમના આત્મનિરીક્ષણ પર છોડવો રહે છે. 

હવે બે શબ્દો, ઉતાવળે પણ, આંબેડકરી રાજનીતિ સબબ-કાંસીરામ-માયાવતીનો ચમત્કાર ને એવી જ પીછેહઠનાં આપણે સાક્ષી છીએ. શિડ્યુલ કાસ્ટ્સની સીમિત ઓળખથી હટી રિપબ્લિકન જેવી વ્યાપક ઓળખની આંબેડકરની છટપટાહટ નેમ આ ‘વ્યાપક’નું દલિત પેટાકરણ પણ આપણે જોયું છે. 1955-1956માં લોહિયા-આંબેડકરના આછાપાતળા સંપર્કસંવાદ પછી રૂબરૂ વિગતે વાત થતે થતે અણી ટાંકણે આંબેડકરની ચિરવિદાય સાથે થંભી ગઈ. સપ્તક્રાંતિની સમાજવાદી ભૂમિકાએ લોહિયા પીછડી અને અનુસૂચિત સંમિલન તેમ અગ્રતાપૂર્વક ‘સમગ્ર’રાજનીતિ છેડવા ઇચ્છતા હતા, પણ …

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 15 ઍપ્રિલ 2026

Loading

મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

પ્રશાંત સાગર • હિન્દી પરથી અનુવાદ : રૂપાલી બર્ક|Poetry|15 April 2026

મિસ્ટર આંબેડકર!

મિસ્ટર આંબેડકર!
તમારા પુસ્તકમાં
ખાસ્સો ખતરનાક આ વિચાર છે
કે આખી માનવ જાતનો એક આધાર છે

કે કોઈ કોઈની પર
જુલ્મ ના કરે,
મરજી હોય એને
પ્રેમ કરે

કે હક મળે
દરેક હકદારને
ખેતર મળે
દરેક ખેડદારને

મૂળ અને જંગલ મળે
ત્યાંના વાસીને
રોટલી મળે
દરેક નિવાસીને

શું આવું થશે?
જે ક્યાં ય નથી થયું
એ કેમ કરી થશે?

માનવ સભ્યતા તો
માલિકોની સભ્યતા રહી છે
આંબેડકર
મજૂરોની કથાઓ
હજુ સુધી મૌન છે

ઘણાં ખતરનાક છે ઇરાદા
તમારા મિસ્ટર આંબેડકર

બતાવો
તમારા ગુલાબી ખ્યાલોમાં
રાચતો આ જાદુઈ મલક કયો છે?

°°°

આંબેડકર કોણ હતા

ખેતરમાંથી ઉંદર પકડીને
ખાવા મજબૂર બનાવેલા
મારા દાદા-પૂર્વજોએ
નહોતું સાંભળ્યું
આંબેડકર કોણ હતા

શાળામાં  પોતાનું ખાવાનું
અળગા બેસીને ખાતા
મારા પિતાએ વાંચેલું
આંબેડકર કોણ હતા

હું બાળપણથી જાણી ગયેલો
આંબેડકર કોણ હતા

હવે જ્યારે પણ કોઈ પૂછે છે
કે આ આંબેડકર છે કોણ
આવું પૂછનારાને

હું માત્ર એટલું કહી શકું છું
કે આંબેડકરને જાણવામાં
પેઢીઓ વીતી ગઈ

આંબેડકર એક દિવસની પકડમાં
આવવાવાળી વ્યક્તિ નથી.

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

ડૉ. આંબેડકરના જીવન અને વિચારોનું મૂલ્યાંકન કરતું સંપાદન : સમતાના સેનાની આંબેડકર

વિરાગ સૂતરિયા|Opinion - Opinion|14 April 2026

બાબાસાહેબ ડો. આંબેડકર ભારતના ઇતિહાસનું ‘ઉપેક્ષાથી ઇશ્વરીકરણ’ સુધીના તમામ તબક્કાઓમાંથી પસાર થઈ ચૂકેલું વ્યક્તિત્વ છે. ચંદ્રકાન્ત બક્ષીના યાદગાર શબ્દોમાં “ડૉ. આંબેડકરનું જીવન મૂલ્યાંકનની 2000⁰ (ડિગ્રી) ગરમીમાંથી પસાર થઇ શકે એવું છે. કોઇપણ અભ્યાસીને મજા પડી જાય એવું અને કોઇપણ અભ્યાસીની તાકાત મપાઇ જાય એવું છે.”

આપણે મહાપુરુષોની કાં તો ભક્તિભાવપૂર્વક પૂજા કરતી કાં તો એકાંગી ટીકા કરતી પ્રજા છીએ. એમના જીવન – વિચારનું મૂલ્યાંકન ભાગ્યે જ થાય છે. આઝાદી પછી અમુક અભ્યાસુઓ અને દલિત ચિંતકો સુધી સીમિત રહેલા ડૉ. આંબેડકર એમની જન્મ શતાબ્દી પછી વાયુવેગે રાષ્ટ્રીય ફલક પર છવાઇ ગયા છે. એમનું લખાણ વિવિધ સરકારો દ્વારા ‘સંપૂર્ણ અક્ષરદેહ’ સ્વરૂપે પ્રકાશિત થતાં અભ્યાસુઓ અને જિજ્ઞાસુઓને એમના વિચારદેહને નવી દૃષ્ટિએ જોવા-મૂલવવાની તક મળી. વિદેશી વિદ્વાનો ગેલ ઓમવેટ, ક્રિસ્તોફ જેફ્રલે અને એલીનોર ઝેલીએટ આંબેડકરી જીવન અને વિચારના અભાસ્યુઓ તરીકે જાણીતાં છે. જો કે ગુજરાતીમાં આ પ્રકારનો અભ્યાસ જોઇએ એટલો થયો નથી.

બાબાસાહેબના જન્મની સવા શતાબ્દી નિમિત્તે દલિત – સામાજિક ચળવળોના જાણતલ, વિદ્વાન અભ્યાસુ અને આ ક્ષેત્રના અધિકારી લેખક ચંદુ મહેરિયાએ બાબાસાહેબનાં વિવિધ પાસાંઓ ઊજાગર કરતું પુસ્તક ‘સમતાના સેનાની : ડૉ. આંબેડકર’ સંપાદિત કરીને સ્તુત્ય કાર્ય તો કર્યું જ છે. ઉપરાંત આંબેડકરી અભ્યાસની ગુજરાતીમાં ખોટ પણ પૂરી કરી છે.

ઇતિહાસ, અર્થશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, શિક્ષણશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, પત્રકારત્વ, રાજનીતિશાસ્ત્ર, બંધારણ, રેશનાલિઝમ, સમાજ સુધારા, મજૂર અધિકારો, મહિલા અધિકારો, દલિત અધિકારો વગેરે  અનેક ક્ષેત્રે ડૉ. આંબેડકરે ચિંતન, મનન, લેખન કર્યું છે. તેઓ દલિત અધિકારોના લડવૈયા તો હતા જ. બાબાસાહેબના વિવિધક્ષેત્રના વિચારોનું મૂલ્યાંકન, સમીક્ષા અને  આલોચના કરતા, ગુજરાતના વિવિધ ક્ષેત્રના અને વૈચારિક રીતે મતાંતર ધરાવતા ચાલીસ અભ્યાસુઓના લેખો, આ સંપાદનમાં સમાવિષ્ટ છે.

લેખકોના નામના અકારાદિક્રમે ૪૦ લેખો છે. બહુચર્ચિત ગાંધી – આંબેડકર વૈચારિક સંઘર્ષ અને સત્યાગ્રહોનું મૂલ્યાંકન કરતો મકરંદ મહેતાનો અને બાબાસાહેબના જીવનધ્યેય સમાન જ્ઞાતિનિર્મૂલન, આંબેડકર અને સામ્યવાદી ચળવળ વિશેનો આનંદ પરમારનો લેખ છે. ઇન્દુકુમાર જાનીએ બાબાસાહેબની સમાજ સુધારણાની ચળવળ અંગે, અરુણ વાઘેલાએ બાબાસાહેબના ઇતિહાસ ચિંતન તથા વિષ્ણુ પંડ્યાએ ઇતિહાસકાર તરીકે ડો. આંબેડકરને મૂલવતા લેખો લખ્યા છે.

ડો. આંબેડકરના ‘થૉટ્સ ઓન પાકિસ્તાન’ ગ્રંથની તલસ્પર્શી સમીક્ષા કરતો પંદર પાનાંનો  ઉર્વીશ કોઠારીનો લેખ નોખી ભાત પાડે છે. ઇલિયાસ મનસૂરીના લેખ ‘બાપુ, બાપા અને બાબાસાહેબ : રસ્તા અલગ, લક્ષ્ય એક’માં અસ્પૃશ્યતા નિવારણ માટે ગાંધીજી, ઠક્કર બાપા અને બાબાસાહેબના વિચારો, વલણો અને એ માટેની તીવ્રતાની વિશદ રીતે સમીક્ષા છે. ઇતિહાસ, પુરાકથાઓના પરિપ્રેક્ષ્યમાં ભારતીય સ્ત્રી અને સ્ત્રી અધિકારો સંબંધે બાબાસાહેબના વિચારો- કાર્યોનું મૂલ્યાંકન કરતો લેખ પ્રવીણ ગઢવીનો છે. જ્ઞાતિના પ્રશ્ને ડો. આંબેડકરના ઐતિહાસિક દૃષ્ટિકોણની તપાસ લક્ષ્મણ વાઢેરે કરી છે. બાબાસાહેબના જીવનમાં છત્રપતિ શાહુ મહારાજનું અપ્રતિમ પ્રદાન રહ્યું છે. બાબાસાહેબ અને શાહુ મહારાજ વચ્ચેના સંબંધોના તાણાવાણા કિશોર મકવાણાએ વર્ણવ્યા છે.

દલપત ચૌહાણનો બાબાસાહેબ પર લખાયેલાં અંજલિ કાવ્યો વિશેનો, સાહિલ પરમારનો એમની કવિતા – લખાણો સાથે આંબેડકરનો નાતો વર્ણવતો અને  નીરવ પટેલનો ‘ હિંદુ ધર્મનું તત્ત્વજ્ઞાન અને આંબેડકર વિશે મૂલ્યાંકન કરતો લેખ અહીં છે. બાબાસાહેબે વિવિધ સામયિકોના પ્રકાશન દ્વારા પોતાના વિચારો અને કાર્યોનો પ્રસાર કર્યો હતો. તેનો પરિચય અને સમીક્ષા કરતા લેખમાં નટુભાઇ પરમારે બાબાસાહેબને ઉચિત રીતે જ ભારતીય પત્રકારત્વના નવપથપ્રદર્શક ગણાવ્યા છે. ડંકેશ ઓઝાએ આંબેડકરના જીવન અને આજના યુવાનો વિશે લખતાં ‘આંબેડકરની ઉપેક્ષા ભારતીય લોકશાહીને ભારે પડશે’ એવું અવલોકન કર્યું છે. બાબાસાહેબનો વાચન પ્રેમ અને પુસ્તકપ્રીતિ જાણીતાં છે. ભૂખ્યા રહીને, દેવું કરીને પણ એમણે પુસ્તકો ખરીદ્યાં હતાં અને ખાસ પુસ્તકો માટે જ એમણે મુંબઈમાં ઘર બંધાવ્યું હતું. એ વખતના દેશના ખૂબ ઓછા નેતાઓ પાસે હોય એવી સમૃદ્ધ અંગત લાઇબ્રેરી તેમની હતી. બાબાસાહેબના વાચન અને પુસ્તકપ્રેમનો પરિચય સંજય ભાવેએ કરાવ્યો છે. બાબાસાહેબના સૌથી જાણીતા પાસા કાનૂનવિદ અને કાનૂનદાતા ડૉ. આંબેડકરની વિગતો પુસ્તકના સંપાદક ચંદુ મહેરિયાના લેખમાંથી મળે છે. ‘સમાજશાસ્ત્રી’ઓને આંબેડકરના વિદ્યાર્થી બનવા આવાહ્ન કરતો લેખ  સમાજશાસ્ત્રી આંબેડકર વિષે ગૌરાંગ જાનીનો છે.

સનત મહેતા, અશ્વિનકુમાર કારીઆ, એન.વી. ચાવડા, કનુભાઇ વ્યાસ, દિનેશ શુક્લ, નાથાલાલ ગોહિલ, નિમેશ શેઠ, ફાધર વર્ગીસ પોલ, પી.કે. વાલેરા, બાલકૃષ્ણ આનંદ, મણિલાલ રાનવેરિયા, મૂળચંદ સ. રાણા, મંજુલા લક્ષ્મણ, યશવંત મહેતા, યાસીન દલાલ, રતિલાલ રોહિત, રાજેશ મકવાણા, રોહિત શુક્લ, સિદ્ધાર્થ નરહરિ ભટ્ટ, સુનીલ જાદવ, હરપાલ રાણા અને હરીશ મંગલમના  બાબાસાહેબના જીવન- વિચારના વિવિધ પાસાઓ અંગેના લેખો પણ પુસ્તકમાં છે.

આરંભે નેપથ્યે ઉપેક્ષિત રહેલા ડૉ. આંબેડકર આજે વધુને વધુ પ્રસ્તુત બની વ્યાસપીઠે વિરાજે છે. વર્તમાનમાં બાબાસાહેબ પર થતા અભ્યાસો તેઓ જેના અધિકારી છે તે તેમના જીવનકાર્ય અને વિચારોના ઉચિત મૂલ્યાંકનથી સમજાય છે. ડો. આંબેડકરે આજીવન તમામ ક્ષેત્રે વ્યાપેલી અસમાનતા સામે સતત અને સખત સંઘર્ષ કર્યો હતો. આ સંઘર્ષે જ તેમને સમતાના સેનાની તરીકે પ્રસ્થાપિત કર્યા છે. ગઈ કાલના, આજના અને આવતી કાલના આંબેડકરવિદોને અર્પણ થયેલું, આંબેડકર સવાસો નિમિત્તે પ્રકાશિત આ સંપાદન ગુજરાતના અલ્પ આંબેડકરી અભ્યાસોમાં નોંધપાત્ર  ઉમેરણ છે.

સમતાના સેનાની ડૉ. આંબેડકર – સંપાદક. ચંદુ મહેરિયા, પૃષ્ઠ. 12 + 356, પ્રથમ આવૃતિ.- 2015, કિંમત – રૂ. 350, પ્રકાશક – સંસ્કાર સાહિત્ય મંદિર, 5, N.B.C.C. હાઉસ, સહજાનંદ કોલેજ પાસે, પોલિટેકનિક, અમદાવાદ-૩૮૦ ૦૧૫

e.mail : viragsutariya@gmail.com

Loading

...102030...69707172...8090100...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved