Opinion Magazine
Number of visits: 9950904
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—329

દીપક મહેતા|Opinion - Opinion|21 February 2026

મુંબઈના પોલીસ કમિશનરે જાતે છૂપો વેશ ધારણ કરીને બળવાનું કાવતરું પકડી પાડ્યું      

જાહેરમાં ફાંસી આપવા માટેનો માંચડો – ગિબેટ

પોલીસ કમિશનર ફોર્જેટે પોતાના જાનના જોખમે કંપની સરકારના લશ્કરના દેશી સૈનિકોનો બળવો શરૂ થાય એ પહેલાં જ દાબી દીધો. છતાં બ્રિટિશ લશ્કરના વડા પોતાની જિદ્દ છોડતા નહોતા : નક્કી, દિવાળીના તહેવારના દિવસોમાં કોટમાં આવેલ બજારના દેશી લોકો બળવો પોકારશે. ફોર્જેટ આ વાત માનતા નહોતા. છતાં કોટ વિસ્તારના લોકોને ચેતવવા ખાતર તેમણે બોમ્બે પોલીસના મકાનના કમ્પાઉન્ડમાં એક ખાસ પ્રકારનો ફાંસીનો માચડો (Gibbet) ઊભો કરાવ્યો અને શહેરના કેટલાક આગેવાનોને ત્યાં બોલાવી જાહેર કર્યું કે જો કોઈ પણ ઇસમ બળવો કરવાનો વિચાર સુધ્ધાં કરશે તો તેને ધોળે દિવસે, રાહદારીઓની હાજરીમાં, આ માંચડા પર લટકાવીને તાબડતોબ ફાંસી આપવામાં આવશે. આવી ચેતવણી પછી કોટ વિસ્તારના ‘દેશી’ લોકો તો સપનામાં ય ‘બળવો’ કરવાનો વિચાર નહિ કરે એમ ફોર્જેટને લાગ્યું. પણ બીજી બાજુથી બીક વધી રહી છે એમ પણ તેને લાગ્યું. ફોર્જેટના ખબરીઓએ તેમને જણાવ્યું કે રોજ રાતે કેટલાક ‘દેશી’ સૈનિકો એક ઘરમાં ભેગા થઈ કશીક ગૂસપૂસ કરી રહ્યા છે. ફોર્જેટે પોતાના ખબરીઓને તાબડતોબ તપાસ કરી રિપોર્ટ આપવા જણાવ્યું. બ્રિટિશ આર્મીના દેશી સૈનિકો સાથે જેને ઘરોબો હતો એવો એક ઇસમ તે ગંગાપ્રસાદ. એ ‘ભગત’ હતો, ગોર હતો, અને વૈદ પણ હતો. એટલે ઘણા સૈનિકોને તેનામાં પુષ્કળ વિશ્વાસ. ધોબી તળાવથી થોડે દૂર આવેલા સોનાપુર વિસ્તારના એક ઘરમાં લગભગ રોજ રાત્રે તે જતો. અને મોડી રાતે ઘરે પાછો જતો. આ ખબર મળતાં જ તાબડતોબ ફોર્જેટે આ ગંગાપ્રસાદની ધરપકડ કરી અને પોલીસની જાણીતી-માનીતી રીતે તેની પાસેથી બધી બાતમી મેળવી લીધી. બીજી જ રાતે વેશપલટો કરીને ફોર્જેટ પહોંચ્યા સોનાપુર વિસ્તારમાં આવેલા પેલા ઘરે. ત્યાં બેઠેલા ‘દેશી’ સિપાઈઓ જે ઘૂસપૂસ કરતા હતા તે બધી સાંભળી લીધી. આ સિપાઈઓ ભેગા મળીને દિવાળીના દિવસો દરમ્યાન બળવો કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા. એ વખતે લૂંટફાટ કરીને બનતી ઝડપે મુંબઈ છોડી ભાગી જવાની યોજના ઘડતા હતા. પણ આ કાવતરું ઘડનારાઓ હતા તો કંપની સરકારના લશ્કરના સૈનિકો. એટલે ફોર્જેટ પોતે સીધી રીતે તેમની સામે કશાં પગલાં લઈ શકે તેમ નહોતું. બ્રિટિશ લશ્કરના અફસરો ફોર્જેટની વાત માનવા તૈયાર નહોતા. એટલે ફોર્જેટ લશ્કરના વડા મેજર બેરોને મળ્યો અને બધી વાતથી તેમને વાકેફ કર્યા. તેઓ છૂપા વેશે ફોર્જેટ સાથે સોનાપુર વિસ્તારના મકાનમાં જવા તૈયાર થયા. ત્યાંની વાતો સાંભળીને મેજર બેરો તો ડઘાઈ જ ગયા. તેમણે તાબડતોબ એ ખબર જનરલ શોર્ટને પહોંચાડ્યા. બધી વાત સાંભળ્યા પછી શોર્ટ બોલ્યા : ‘છેવટે ફોર્જેટે આપણને બધાને ઊંઘતા પકડી પાડ્યા!’ સંબંધિત સૈનિકો પર તાબડતોબ લશ્કરી અદાલતમાં કામ ચલાવવામાં આવ્યું. બે મુખ્ય આરોપી ડ્રિલ હવાલદાર સય્યદ હુસેન અને સિપાઈ મંગલ ગુડેરાને સજા-એ-મૌત ફરમાવવામાં આવી અને તેમના છ સાગરિતોને આજીવન બ્રિટિશ રાજના પ્રદેશમાંથી તડીપાર કરવામાં આવ્યા. બે સૈનિકોને દેહાંત દંડની શિક્ષા માટે પોલીસ કમીશનરની ઓફિસની બહાર ફોર્જેટે જે ફાંસીનો માચડો ઊભો કરાવેલો તેનો ઉપયોગ કરવામાં ન આવ્યો. પણ કોટની બહારના એસપ્લનેડ મેદાન(આજનું આઝાદ મેદાન)માં બે લશ્કરી તોપ લાવવામાં આવી. દિવાળીને દિવસે બન્ને ગુનેગારોને તોપના મોઢા સાથે મુશ્કેટાટ બાંધવામાં આવ્યા. અને પછી તોપના ગોળા વડે તેમના શરીરના ફુરચેફુરચા ઉડાડી દેવામાં આવ્યા. તે પછી મુંબઈના રહેવાસીઓ કે લશ્કરના દેશી સૈનિકોમાંથી કોઈએ સપનામાં પણ બળવો કરવાનો વિચાર કર્યો નહિ. બીજા ત્રીસ ગુનેગારોને પણ તડીપારની સજા થઈ હતી. પણ લોકોની લાગણી વધુ પડતી ઉશ્કેરાય નહિ એટલે નામદાર ગવર્નર લોર્ડ એલ્ફિન્સ્ટને તેમને માફી આપી.

તોપને મોઢે બાંધીને અપાતી દેહાંત દંડની સજા

હા, આજે આપણને તોપને મોઢે ગુનેગારને બાંધીને ફાંસીની સજા આપવાનું ક્રૂર અને ઘાતકી લાગે. પણ એ વખતે યરપમાં તો સજા આપવાની આવી રીતો પ્રચલિત હતી જ. પણ આપણા દેશમાં મોગલ સામ્રાજ્યમાં પણ આવી, કે આના કરતાં વધુ ઘાતકી રીતો પ્રચલિત હતી. જેમ કે, ગુનેગારને જીવતેજીવત ભીંતમાં ચણી લેવો કે તેના હાથ-પગ પર મોટા ખીલા ઠોકીને તેને ભીંત સાથે જીવતો જડી દેવો. લોર્ડ એલ્ફિન્સ્ટનનું માનવું હતું કે જો મુંબઈમાં બળવો થયો હોત તો તેને પૂના, હૈદરાબાદ, અને મુંબઈ ઈલાકાનાં બીજાં શહેરોમાં ફેલાતાં વાર ન લાગી હોત. અને પછી બળવાની એ જ્વાલા મદ્રાસ સુધી પહોંચી હોત. બળવો શમી ગયો અને કંપનીના રાજને બદલે તાજનું રાજ સ્થપાયું તે પછી, ૧૮૫૯ના મે મહિનાની ૨૩મી તારીખે લખાયેલા એક પત્ર દ્વારા નામદાર ગવર્નરે ફોર્જેટનો ખાસ આભાર માન્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું : ‘મિસ્ટર ફોર્જેટે જે કામ સફળતાપૂર્વક પાર પાડ્યું તે કામ અસાધારણ હિંમત, ચોકસાઈ, અને નિર્ણયશક્તિ માગી લે તેવું હતું. કપરી કસોટીના કાળમાં મિસ્ટર ફોર્જેટમાં રહેલા આ બધા જ ઉમદા ગુણો પૂરેપૂરા ખીલી ઊઠ્યા હતા.’ 

૧૮૫૭ના બળવાના ઘા લગભગ રૂઝાવા આવ્યા હતા ત્યાં મુંબઈએ, અને એટલે પોલીસ કમિશનર ફોર્જેટે, નવી, અને સાવ જૂદી જાતની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. આ પરિસ્થિતિ તે અસાધારણ સમૃદ્ધિની પરિસ્થિતિ. ૧૮૬૧ના એપ્રિલની ૧૨મી તારીખે અમેરિકામાં આંતરવિગ્રહ શરૂ થયો. પરિણામે માન્ચેસ્ટરની કાપડ મિલોને અમેરિકન રૂ (કપાસ) મળતું બંધ થયું. એટલે એ મિલોએ હિન્દુસ્તાનથી, અને ખાસ કરીને મુંબઈથી ઊંચા ભાવે કપાસ ખરીદવાનું શરૂ કર્યું. પરિણામે હિન્દુસ્તાનના કપાસના ભાવ આસમાને ગયા. કહેવાય છે કે મુંબઈ શહેરના જ નહિ, મુંબઈ ઈલાકાના ઘણા લોકોએ ઘરનાં ગાદલાં-ઓશિકાં ફાડીને તેમાંનું રૂ પણ વેચી નાખ્યું હતું! મુંબઈમાં પૈસાની રેલમછેલ થઈ. કપાસના વેપારીઓને લોન આપવા રાતોરાત નવી બેંકો ઊભી થઈ. નવી નવી કંપનીઓ ઊભી થઇ. શેરની લે-વેચથી મુંબઈનું શેર બજાર ધમધમવા લાગ્યું. 

૧૮૬૩ના એપ્રિલમાં કવિ દલપતરામ મુંબઈની મુલાકાતે આવેલા ત્યારે મુંબઈની જાહોજલાલી જોઈ આભા થઈ ગયા હતા. તેમણે લખ્યું :

લંકાની લક્ષ્મી બધી, છે મુંબઈ મોઝાર,

જેણે મુંબઈ જોઈ નહિ, અફળ ગયો અવતાર.  

માન્ચેસ્ટર મોકલવા મુંબઈની ગોદી પર ખડકાયેલી કપાસની ગાંસડીઓ 

બરાબર આ જ વખતે, ૧૮૬૨માં, મુંબઈને નવા ગવર્નર મળ્યા, સર બાર્ટલ ફ્રેરે. એ હતા ઉદારમતવાદી. શેર બજારના બેતાજ બાદશાહ ગણાતા પ્રેમચંદ રાયચંદને ફ્રેરે સાથે સારો સંબંધ બંધાયો. નવી બેંકો, નવા વેપારીઓ, નવી રેકલમેશન યોજનાઓને ગવર્નરે ટેકો આપ્યો. તો બીજી બાજુ એ વખતે ફૂટી નીકળેલી ઢગલાબંધ ‘રેકલમેશન’ કંપનીઓ દરિયો પૂરીને નવી જમીન મેળવવામાં પડી હતી. દેશાવરમાંથી મજૂરો, વેપારીઓ, આડતિયાઓ, વગેરેના ધાડે ધાડાં મુંબઈ આવવા લાગ્યાં. વસતી વધતી ગઈ. આ બધાંને લીધે પોલીસ કમિશનર ફોરજેટનું કામ ઘણું વધ્યું એટલું જ નહિ, કામનું સ્વરૂપ પણ બદલાયું. પહેલાં ચોર-ડાકુ પકડવાના હતા. મુંબઈમાં બળવો ન ફાટી નીકળે તેનું ધ્યાન રાખવાનું હતું. હવે વેપારવણજમાં હેરાફેરી કરી લોકોને ખંખેરતા વેપારીઓને પકડી પાડવાના હતા. રાતોરાત પૈસાદાર થઈ ગયેલા લોકોની સાથે તેમને ખંખેરી નાખનારા ઉસ્તાદો પણ મન ફાવે તેમ આખા શહેરમાં આવન-જાવન કરતા હતા. વધતી વસતી સાથે નાના મોટા ગૂના પણ વધ્યા જ. એ બધા સાથે કામ પાર પાડવાનું હતું પોલીસ કમિશનર ફોર્જેટે. વળી આ જ અરસામાં ફોર્જેટને માથે એક વધારાની જવાબદારી આવી : મુંબઈના મ્યુનિસિપલ કમિશનરનો વધારાનો હોદ્દો પણ તેમને સોંપવામાં આવ્યો!

ફોર્જેટે કડક હાથે કામ લઈ મુંબઈમાં કાયદો અને વ્યવસ્થામાં પુષ્કળ સુધારા કર્યા તે અંગે આભાર વ્યક્ત કરવા મુંબઈના વેપારીઓએ ૧,૩૦૦ પાઉન્ડ જેટલી રકમ ભેગી કરી ફોર્જેટને ‘થેલી’ આપી. તો કોટન મર્ચન્ટ એસોસિયેશને ૧,૫૦૦ પાઉન્ડ જેટલી રકમ તેમને ભેટ ધરી. બેક-બે રેક્લ્મેશન કંપનીએ પોતાના પાંચ શેર ફોર્જેટને ભેટ આપ્યા. એ શેરનો ભાવ જ્યારે આસમાને ગયો ત્યારે એ વેચીને ૧૩,૫૮૦ પાઉન્ડ જેટલી રકમ ફોર્જેટને મોકલી આપી. (એ જમાનામાં સરકારની મંજૂરી લીધા પછી સરકારી નોકરો આવી ભેટો સ્વીકારી શકતા.) પણ હા, ફોર્જેટના મનની એક વાત તેના મનમાં જ રહી ગઈ. તેને હતું કે ૧૮૫૭ના બળવા વખતે  પોતે જે કાંઈ કર્યું તેને ધ્યાનમાં લઈને ઉપરીઓ તેને ‘સર’નો, કે નહિ તો બીજો કોઈ ઇલકાબ આપશે. પણ સરકારે વખાણ કર્યા, વધારાનું પેન્શન મંજૂર કર્યું, પણ કોઈ ઈલ્કાબ ફોર્જેટને આપ્યો નહિ. કેટલાક માને છે કે તેનું કારણ એ કે ફોર્જેટ પાક્કો અંગ્રેજ બચ્ચો નહિ, એન્ગલો ઇન્ડિયન ઓલાદનો હતો.

નિવૃત્તિ પછી સ્વદેશમાં ફોર્જેટે બંધાવેલ ‘કાવસજી જહાંગીર હોલ’ 

છેવટે ૧૮૬૪ના એપ્રિલમાં ફોર્જેટે નિવૃત્તિ લીધી અને ઈંગ્લન્ડ પાછા જવાની તૈયારી કરી. એ વખતે કોઈક કારણે સર કાવસજી જહાંગીરે તેને બહુ મોટી રકમ ભેટ આપી. એટલે ગ્રેટ બ્રિટન ગયા પછી ફોર્જેટે ૨૬ એકર જેટલી જમીન ખરીદી. તેના પર બાંધવાના મકાનનો નકશો પોતે બનાવ્યો અને એ પ્રમાણે જે ભવ્ય ઈમારત ઊભી થઈ તેને નામ આપ્યું ‘કાવસજી જહાંગીર હોલ.’ તેણે બંધાવેલી ઈમારતમાં ભારતીય સ્થાપત્યનાં ઘણાં લક્ષણો જોવા મળતાં હતાં. ૧૮૯૦ના જાન્યુઆરીની ૨૭મી તારીખે લંડનમાં ફોર્જેટનું અવસાન થયું. 

મુંબઈની ફોર્જેટ સ્ટ્રીટ પર આંટો મારવા આપણે નીકળેલા. અને પહોંચી ગયા છેક લંડન. 

હવે? ન જાણ્યું જાનકી નાથે … તો આપણે તે વળી કોણ જાણનારા?

e.mail `; deepakbmehta@gmail.com

XXX XXX XXX 

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 21 ફેબ્રુઆરી 2026

Loading

સોનમ વાંગચુકનો ગુનો શો છે : લોક-સહભાગિતા માંગવી એ?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|21 February 2026

સરકારને ઉખાડી ફેંકવાની ધમકી અને આત્મવિલોપનની જાહેરાત ઉપર આખો કેસ ઊભો કરાઈ રહ્યો છે પણ મૂળ વક્તવ્યમાં આ બે વાત તો ગોતી જ જડતી નથી એપ્સ્ટીન ફાઈલ્સ તો માનો કે દૂર પડી (ખરું જોતાં જો કે એટલી દૂર નથી, પૂછો કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીને), પણ ઘરઆંગણે પેલા જે એક સોનમ વાંગચુક હતા, થ્રી ઇડિયટ્સ ફેઇમ, ક્યાં છે એ આજકાલ? લદ્દાખથી દિલ્હી તંત્ર એમને ઉપાડી ગયું તે છેક જોધપુર લગી.

જલવાયુ પરિવર્તનને મોરચે એક સિપાહી સરખા સોનમ અચ્છા લોકવિજ્ઞાની છે અને એ દિશા માંહેલુ એમનું નેતૃત્વ ને કર્તૃત્વ તેઓ નાગરિક સમાજની ખિદમતમાં પ્રયોજી રહ્યા છે. પત્ની ગીતાંજલિ, હુલાવેલા ફુલાવેલા ભળતાસળતાં આરોપસર વતનથી સોળસો કિલોમીટર દૂર બિલકુલ વિપરીત આબોહવામાં જેલ ગોંધાયેલ પતિને મળવા દર વિમાની ખેપે ખાસા એંશી હજાર રૂપિયા ક્યાંથી જોગવી શકે? દિલ્હી રહી આવ-જા કરવાની ને મિત્રસહાયની રીતે ગોઠવાયું તે ગોઠવાયું.

શો છે વાંકગુનો બંધુ વાંગચુકનો? લોકલક્ષી વિજ્ઞાનકર્મી છે, અને લદ્દાખના લોકોનું સહભાગિતા પૂર્વકનું શાસન વાંછે છે. મોદી શાસને જ્યારે 370મી કલમ નાબૂદ કરી ત્યારે લદ્દાખને વિધાનસભા વગરની યુનિયન ટેરિટરી બનાવી. સોનમની સીધીસાદી માંગ એ છે કે અમને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવી તે મુજબ સ્વાયત્ત કાઉન્સિલની સોઇ આપો જે સ્થાનિક સહભાગિતા અને સ્વશાસનનો અહેસાસ જગવે. 2019માં 370મી નાબૂદ થઈ તે પછી સોનમ આ મુદ્દે શાંતિમય આંદોલન કરતાં રહ્યા છે. એની શૃંખલામાં સપ્ટેમ્બર 2025માં એમણે પાંત્રીસ દિવસના ઉપવાસનો ઉપક્રમ હાથ ધર્યો હતો. એક તબક્કે, સાધારણપણે એમનાં આંદોલનમાં કદાપિ નહીં એમ હિંસાએ દેખા દીધી. વાંગચુકે ઉપવાસ તરત પાછા ખેંચ્યા. ‘આ તો મારા પાંચ પાંચ વરસ પરના સંઘર્ષ પર પાણી ફેરવતી બીના છે’, એવા વ્યથિત ઉદ્ગારો સાથે એમણે દોહરાવ્યું, ‘હિંસા કંઈ આપણો માર્ગ નથી.’

મુદ્દે ગમે તે કારણ હોય, કેન્દ્ર સરકાર લદ્દાખના નાગરિક ચૈતન્ય પરત્વે અસહજ પેશ આવતી રહી છે. પ્રતીતિકર લોકભાગીદારી સાથેની શાંતિમય રજૂઆત બાબતે તે બિલકુલ બહેરી રહેતી આવી છે. જેવો હિંસાનો બનાવ બન્યો, તક ઝડપીને તંત્રે સોનમને પકડ્યા ને જોધપુરમાં ગોંધ્યા. અને પકડવામાં તથ્યનિરપેક્ષ માન પણ અજબગજબનું આપ્યું કે તમે સુરક્ષા પરત્વે ખતરો જગવો છો. નેશનલ સિક્યોરિટી એક્ટ- એન.એસ.એ. હેઠળ લીધા તે લીધા.

ગીતાંજલિને ક્યાં ય સુધી પકડહુકમની ધોરણસરની નકલ માટે ટટળવું પડ્યું. ક્યાં છે મારા પતિ, ગીતાંજલિએ હેબિયસ કોર્પસને ધોરણે સુપ્રીમની દેવડીએ ધા નાખી. સરકારી વકીલોની મુદ્દતપાડુ રજૂઆત અને ધોરણસરની ગુનાવિગતનો અભાવ અદાલત એમને જે રીતે ઘઘલાવે છે એમાં સાફ વરતાય છે. ચાલુ અઠવાડિયે જે સુનાવણી થઈ એમાં સર્વોચ્ચ અદાલતની ખંડપીઠે કહ્યું, એવું કેવી રીતે બની શકે કે સોનમ વાંગચુકના કથિત ત્રણ મિનિટના વક્તવ્યનું ભાષાંતર-લિપ્યંતર સાત મિનિટ લે. અને પછી જે થઈ મજા, નામદાર અદાલતે સરકારી વકીલસાહેબને પૂછ્યું, તમે જે વક્તવ્યમાં રાજદ્રોહ જોયો છે, એ વક્તવ્યમાં એવું તે શું છે? તમારી રજૂઆતમાં તમે કહ્યું છે કે સોનમે આત્મવિલોપનની વાત કરતાં લોકો ઉશ્કેરાયા હતા અને સરકારને ઉખાડી મૂકો એવી એમની હાકલે બળતામાં ઘી રેડ્યું હતું. એથી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો ઊભો થયો હતો. પણ તમે પુરાવા તરીકે કરેલ વક્તવ્યમાં ક્યાં ય આ બે વાત તો છે જ નહીં. વકીલસાહેબોએ લાળા ચાવ્યા, ભાષાંતરની મુશ્કેલી છે. જજસાહેબોએ કહ્યું, (ભલા ‘દમી ક્યા જમાનામાં જીવો છો) ‘એ.આઈ. હાજરાહજૂર છે.’ અને આ આખા કેસ-કકળાટમાં ખૂબીની વાત કોઈ હોય તો એ છે કે અનુસૂચિ 6 (244- 2, 275-1) અન્વયે ઓટોનોમસ કાઉન્સિલનું વચન ભા.જ.પે. પોતાના સ્થાનિક ચૂંટણીઢંઢેરામાં 2020માં આપ્યું હતું. વળી સુનાવણી થશે, પણ આખો કેસ અદાલતે કહ્યું તેમ કહ્યું નહીં તે સાંભળ્યું અને સાંભળ્યું નહીં તે કહ્યું એમ ચાલે છે. 

જય સુરક્ષા.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 18 ફેબ્રુઆરી 2026

Loading

ખોરાક બાબતે આપણે બેદરકાર, તો કંપનીઓ છેતરવા બેકરાર …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|20 February 2026

રવીન્દ્ર પારેખ

ગઈ કાલના જ સમાચાર મુજબ સુપ્રીમ કોર્ટે FSSAI (ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ) અને કેન્દ્ર સરકારને કહ્યું છે કે પેકેજ્ડ ફૂડ પર ‘ફ્રન્ટ-ઓફ-પેક વોર્નિંગ લેબલ’ લગાવવા મુદ્દે વિચાર કરવામાં આવે. આમ તો તૈયાર ફૂડ પેકેટ્સ આરોગ્યના શત્રુ છે, પણ તેની વેચનાર કે ખરીદનાર બહુ ચિંતા કરતા નથી. ન્યૂટ્રિશનલ વેલ્યુ શું છે તે પેકેટના પાછલા ભાગમાં ઝીણા અક્ષરે છપાયેલી હોય છે, એટલે તે તરફ ધ્યાન જતું નથી ને આપણે તે જાણ્યા વગર જોખમો ઘરે લાવતાં હોઈએ છીએ. એ જ કારણે સુપ્રીમે FSSAI અને સરકારને કહ્યું કે ન્યૂટ્રિશન વેલ્યુ પેકેટની આગળ પ્રગટ કરવી, જેથી ખરીદનાર તે જાણીને ખરીદ કરે. જો કે, આપણે એ વેલ્યુ વિશે જાણીશું, એટલે જોઈ તપાસીને જ ખરીદીશું એવી ખાતરી નથી. હકીકત જ એ છે કે તૈયાર ફૂડ પેકેટ્સ જોખમી જ છે તો વેલ્યુ આગળ છપાય કે પાછળ, શો ફરક પડે છે? આપણે ભાગ્યે જ સુગર, ફેટ, સોલ્ટ … વગેરેની માત્રા જોઈને ખાદ્યપદાર્થ ખરીદતા હોઈએ છીએ. કયો ખાદ્યપદાર્થ કેટલો આરોગ્યપ્રદ છે કે નથી, તે ભાગ્યે જ કોઈ જુએ છે. મોટે ભાગે તો પેકેટ્સ ખરીદાય છે ને તેને ઘરભેગાં કરી દેવાય છે.

સુપ્રીમનું માનવું છે કે ન્યૂટ્રિશન વેલ્યુ છપાઈને સામે જ દેખાશે તો ગ્રાહકો તે ખરીદતી વખતે જોશે અને પેકેટ ખરીદવું કે નહીં તેનો નિર્ણય કરશે. આમ આગળ વેલ્યુ છાપવી તેને ‘ફ્રન્ટ-ઓફ-પેક લેબલિંગ’ કહે છે, પણ જે પેકેટમાં, વેલ્યુમાં જ વધઘટ હોય, તો તે સરભર કરાવવાને બદલે કે તે રદ કરાવવાને બદલે, જોખમી તત્ત્વોની જાણકારી આપી દેવાથી શો ફરક પડશે તે નથી સમજાતું. વધારે સારું એ નથી કે જોખમી ફૂડ પેકેટ્સ ગ્રાહકો સુધી પહોંચે જ નહીં એટલી તકેદારી રખાય? ગ્રાહકને ચેતવાય અને કમ્પની વેલ્યુ આગળ છાપે એટલી જવાબદારીથી જ કંપનીઓ ફરજ મુક્ત થઇ જાય એ બરાબર નથી. પેકેટ પર વેલ્યુ સામે જ લખાયેલી હોય ને ગ્રાહક તે ન ખરીદે એવું ઓછું જ બનવાનું. સિગારેટના પેકેટ્સ પર તે હાનિકારક છે, એવું લખેલું જ હોય છે ને ખરીદનાર પણ તે જાણતો હોય છે, છતાં ખરીદી થાય જ છેને ! એવું જ આ છે, આગળ વેલ્યુ લખાયેલી જોઈને પણ ખરીદનારા તો તે ખરીદવાના જ છે. ખરીદનાર જોખમ જોઇને ભાગ્યે જ ખરીદે છે, મોટે ભાગે તો બધું બરાબર જ છે અથવા તો એ બધું ક્યાં જોવા બેસવાનું – એમ માનીને જ ખરીદનાર ખરીદે છે. આમાં વેચનાર કરતાં પણ ખરીદનારની બેદરકારી વધુ જવાબદાર છે. ન્યૂટ્રિશન વેલ્યુ બધી બરાબર છાપી હોય, તો પણ તેની ખરાઈના પ્રશ્નો છે જ ! એ આદર્શ સ્થિતિ છે કે વેચનાર ને ખરીદનારને પક્ષે પ્રમાણિકતા હોય. બાકી, સ્થિતિ તો એવી છે કે એક છેતરવા તૈયાર છે ને બીજો છેતરાવા –

ઠેર ઠેર ખાદ્ય પદાર્થોની બનાવટમાં છેતરવાનો જ ઈરાદો રાખીને બધું ચાલતું હોય, ત્યાં સાવધાની કેટલીક રહે? સુપ્રીમ તો પ્રજા હિત જુએ, બાકી સુપ્રીમને નથી ખબર કે લશ્કર ક્યાં લડે છે? તે તો પ્રજા હિતનું ચિંતન કરે, પણ વેચનારમાં પ્રમાણિકતા, સચ્ચાઈ, ગ્રાહકની ચિંતા અપવાદરૂપે પણ જોવા મળતી નથી. એ ન હોય ને માત્ર દેખાવ ખાતર આંકડાકીય સચ્ચાઈ કૂટ્યા કરતાં હોઈએ તેનો કોઈ અર્થ નથી. ફૂડ પેકેટ્સમાં વપરાતા પદાર્થો ને તેની ગુણવત્તા અનેક સ્તરે ચર્ચાસ્પદ છે. હેતુ એક જ હોય છે, છળવાનો. નફાખોરી જ લોહીમાં એટલી ભરાઈ પડી હોય કે કોઈ સાચું હોય તો પણ ખોટું લાગે. એવું જ ખરીદનારાઓનું પણ છે. કોઈ ઘડિયાળીને બેવાર ચકાસીને ઘડિયાળ રીપેરીંગમાં આપનારા આપણે ફૂડ પેકેટ્સને, કશું પણ જોયા વગર જાત સોંપી દઈએ છીએ.

ગ્રાહક લૂંટાય નહી એની ચિંતા કરવી જોઈએ, પણ તે મફતિયું શોધે એ પણ બરાબર નથી. એક પર એક ફ્રીની લાલચે ગ્રાહક ઘણાં સાહસો કરી શકે છે. તેણે શું ખરીદ્યું એ તેની ચિંતાનો વિષય નથી, પણ તેણે ખરીદ્યું તેનો તેને સંતોષ છે. મોટે ભાગના ગ્રાહકો ગુણવત્તાની બાબતે દુર્લક્ષ સેવતા હોય છે. તેમાં પણ સૌથી વધુ દુર્લક્ષ તૈયાર ખાદ્ય સામગ્રી ખરીદવામાં સેવાય છે. હોટેલોમાં, અરે! ઘરોમાં, ફૂડ કોર્ટમાં, તૈયાર ફૂડ પેકેટ્સમાં, ફાસ્ટ ફૂડમાં સારું ઓછું જ હોય છે, પણ શનિ, રવિ ઘણાં કુટુંબો સાંજે બહાર જ જમતાં હોય છે. આ ટ્રેન્ડ ઘણાં વખતથી ચાલે છે, એમાં દાળમાં વાંદો નીકળે કે દેડકી નીકળે તો પણ બધું ખપી જાય છે. કેટલી ય વખત નકલી ઘી અસલી તરીકે વેચાતું રહે છે. નકલી ઘી બનાવવાની ફેકટરીઓ ચાલે છે ને થોડી લાલચ આપીને ફૂડ ઇન્સ્પેકટરોને પણ પટાવી લેવાતા હોય છે. નકલી ઘી, નકલી દૂધ, નકલી મસાલા, નકલી પનીર …. કેટલું ગણીએ, એમાં પેકેટ પર ‘ખાવા લાયક’ કે ‘હાનિકારક’ છાપવાથી શો ફેર પડશે? આ સ્થિતિ હોય ત્યાં ગુણવત્તાની તો વાત જ શું કરવાની?

ફ્રન્ટ ઓફ પેક લેબલિંગ સારી જ વાત છે ને સુપ્રીમ તેનો FSSAIને અને સરકારને નિર્દેશ કરે તે જરૂરી છે, પણ આ, ગુનેગારને ઘણી ઓછી સજા કરવા જેવું છે. ફ્રન્ટ ઓફ પેક લેબલિંગથી ફૂડ હેલ્ધી છે કે મિડિયમ હેલ્ધી કે અનહેલ્ધી તે અનુક્રમે ગ્રીન, યેલો કે રેડ કલરથી સૂચવી શકાય, પણ તે તેવું જ છે ને તેમાં રમત નથી જ થઈ એવું કઈ રીતે નક્કી કરવું? આમ ઉપરી સ્તર પર આ બધી ચોક્સાઈ સારી લાગે, પણ પેકેટની અંદર એ જ ગુણવત્તાનો ખોરાક છે તે ખબર પડવાનું મુશ્કેલ છે. આ બધું દેખાડા પૂરતું સારું છે, પણ તેથી જે ખરીદાય તે ફૂડ પેકેટ 100 ટકા સુરક્ષિત છે, એની ખાતરી તો સુપ્રીમને પણ થાય કે કેમ તે પ્રશ્ન જ છે. એ ખરું કે ફ્રન્ટ ઓફ પેક લેબલિંગનો હેતુ પોષણની માહિતી સરળ બનાવવાનો છે, પણ એમ સહેલાઈથી કોઈ વાંચી લે એટલા પરથી ફૂડ હેલ્ધી થઇ જતું નથી. ગ્રાહકો જોઇને ખરીદે તો ગંભીર બીમારીઓનું જોખમ ઘટે એમાં પૂરું સત્ય નથી, થોડો ફેર જરૂર પડે, પણ ફ્રન્ટ ઓફ પેક લેબલિંગથી જોખમ ન જ રહે એવું કહી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે FSSAI અને સરકારને એટલે સભાન કર્યાં કે દેશમાં લાઈફ સ્ટાઈલ બીમારીઓ ઝડપથી વધી રહી છે, તે એટલે કે દેશમાં ખાનપાન અનહેલ્ધી છે. પેકેજ્ડ અને અલ્ટ્રાપ્રોસેસ્ડ ફૂડમાં રહેલાં સુગર, ફેટ, સોલ્ટ બીમારીઓનું મોટું કારણ છે. ફ્રન્ટ ઓફ પેક લેબલિંગનો હેતુ, સંભવિત હેલ્થ રિસ્ક ખરીદનાર સમજે એ છે. ભારતમાં 1 કરોડથી વધુ ડાયાબિટીસના દર્દીઓ છે. પ્રિ-ડાયાબિટીસ 13.6 કરોડને છે. ઓબેસિટીથી 25.4 કરોડ, હાઈકોલેસ્ટ્રોલથી 21.3 કરોડ, કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝથી 2.24 કરોડ લોકો પીડાય છે. આ હાલત હોય ત્યારે લેબલિંગ મદદરૂપ જરૂર નીવડે, પણ એટલું જ પૂરતું નથી. ફ્રન્ટ ઓફ પેક લેબલિંગમાં હાઈ સુગર વાળું લેબલ ફૂડ હેલ્ધી નથી એવી જાણ થતાં તેનાથી દૂર રહેવાનો સંકેત મળે છે, એ જ રીતે લો ફેટ કે લો સોલ્ટવાળો સંકેત હેલ્ધી વિકલ્પ પસંદ કરવામાં મદદ કરે છે. આવી પસંદગી રોગનું જોખમ ઘટાડે છે. એ ખરું કે પેકેજ્ડ ફૂડમાં સુગર, સોલ્ટ જેવાં તત્ત્વનું પ્રમાણ વધુ જ હોય છે. એટલે એના પર લેબલિંગ હોય તો પણ તેનો મર્યાદિત ઉપયોગ જ હિતાવહ છે. ખરેખર તો પ્રોસેસ્ડ ફૂડને બદલે કુદરતી અને પોષક તત્ત્વોવાળો ખોરાક જ વધુ ઇચ્છનીય છે. આ પિઝા, બર્ગરવાળી પેઢીને વધારે ભારપૂર્વક સમજાવવાની જરૂર છે. એક તરફ ડ્રગ્સ, શરાબથી દેશ ખોખલો કરવાનું ચાલે છે, તેમાં પ્રોસેસ્ડ ફૂડનો ઊભરો એ પેઢીની કઈ દિશા નક્કી કરે તે કહેવાની જરૂર નથી. કોણ જાણે કેમ પણ આ દેશની યુવા પેઢીના સર્વનાશની દિશા, કોઈએ નક્કી કરી આપી હોય તેમ એ તરફ ગતિશીલ છે ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 ફેબ્રુઆરી 2026

Loading

...102030...71727374...8090100...

Search by

Opinion

  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …
  • મોહેં-જો-દડોની ‘ડાન્સિંગ ગર્લ’: 4500 વર્ષથી યથાવત્ હતી, 21મી સદીએ તેને ‘સુધારી’?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved