Opinion Magazine
Number of visits: 9950694
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નવું વર્ષ ‘હોપ ઈઝ અ ડિસીઝન’ની પ્રેરણા સાથે શરૂ કરીએ … 

સોનલ પરીખ|Opinion - Opinion|9 January 2026

મારા થોડા નિયમ હતા – મેં નક્કી કર્યું હતું કે ભલે ચીંથરેહાલ હોઉં, ઊંચા માથે ચાલીશ. જિંદગીને પૂર્ણપણે જીવીશ અને જ્યાંથી આશાનું કિરણ મળશે તેને સ્વીકારીશ. હું જે પણ સ્થિતિમાં હોઉં, મેં મારાથી બનતું કરવાનું ચાલુ રાખ્યું છે કેમ કે પોતે માણસ તરીકે શ્રેષ્ઠ આપ્યું તેની પ્રતીતિ એ જ અંતિમ વિજય છે

— દાઇસાકુ ઇકેડા

ગઈકાલે મિર્ઝા ગાલિબનો જન્મદિન હતો. એમણે લખ્યું છે, ‘કૈદ-એ-હયાત ઔર બંદ-ઓ-ગમ અસલ મેં દોનોં એક હૈ, મરને સે પહલે આદમી ગમ સે નિજાત પાયે ક્યોં’ – જીવનની કેદ અને દુ:ખનું બંધન અસલમાં એક જ છે. મરીએ નહીં ત્યાં સુધી એનાથી છુટકારો નથી. આ સત્ય તો જિંદગી આપણને ભૂલવા નહીં દે. પણ નવું વર્ષ ક્ષિતિજ પર ડોકાઈ રહ્યું છે ત્યારે સિક્કાની બીજી બાજુ જેવું બીજું સત્ય યાદ કરવા જેવું છે અને તે એ કે વાસ્તવ જો અફર છે તો આશા અમર છે. 

આશા માટે અંગ્રેજીમાં હોપ શબ્દ છે. જૂના અંગ્રેજીમાં હોપા, ડચ ભાષામાં હૂપ અને જર્મનમાં હોફના શબ્દો છે. ઓપ્ટીમિઝ્મ, એસ્પિરેશન જેવાં શબ્દો પણ વપરાય છે. ‘હોપ’નો એક અર્થ આસ્થા પણ છે. ‘હોપ ઈઝ અ ડિસીઝન’ પુસ્તકમાંથી પસાર થઈએ ત્યારે ‘આશા’ શબ્દની ક્ષિતિજોના ખરા વિસ્તારનો ખ્યાલ આવે.  

‘હોપ ઈઝ અ ડિસીઝન’ પુસ્તક જાપાનના બૌદ્ધ ચિંતક દાઇસાકુ ઇકેડાએ પ્રસંગોપાત આપેલાં કેટલાક વ્યાખ્યાનોનો સંચય છે. તેઓ કહે છે કે આશા જ આદિ છે અને આશા જ અંત છે. એનાથી જ માણસ જાગે છે, સંકલ્પબદ્ધ થાય છે, આંતરિક શક્તિઓ પર એકાગ્ર થાય છે અને પોતાનામાં વસતા બુદ્ધ સુધી પહોંચી શકે છે. બુદ્ધ કોઈ વ્યક્તિનું નામ નથી. એ એક અવસ્થાનું નામ છે. માણસના મનમાં પશુત્વ પણ છે અને બુદ્ધત્વ પણ છે. એ બેની વચ્ચેની પણ આઠ અવસ્થાઓ છે. પોતાનામાં વસતા પશુત્વને બુદ્ધત્વ સુધી પહોંચાડવું તેને જ ઇકેડાના ગુરુ જોસાઈ તોડા ‘હ્યુમન રિવોલ્યુશન’ કહે છે અને આ હ્યુમન રિવોલ્યુશન એ જ સાકા ગોકાઈ ઇન્ટરનેશનલ નામના જાપાની બૌદ્ધ મહાયાન પંથનો મુદ્રાલેખ છે. દાઇસાકુ ઇકેડા તેના પ્રમુખ છે.  

ઇકેડા કહે છે કે અન્યને પ્રોત્સાહિત કરવાથી પોતાને પણ આશા અને આનંદનો અનુભવ થાય છે. યોગ્ય વ્યક્તિ સાથે પીડા અને સમસ્યા વહેંચવાથી એક આધાર મળે છે. કોઈ કોઈની પીડા લઈ શકે નહીં, કોઈ કોઈની સમસ્યા ઉકેલી આપી શકે નહીં – પણ સાથ અને પ્રોત્સાહન માણસને પોતાનામાં જ રહેલી શક્તિ પર એકાગ્ર કરે છે. આ એકાગ્રતા એક તરફ ધ્યેય સિદ્ધ કરવામાં મદદરૂપ થાય છે અને બીજી તરફ આંતરયાત્રાને બુદ્ધત્વપ્રાપ્તિની દિશામાં આગળ વધારે છે. 

પણ આશાની વાત લેખક માત્ર સિદ્ધાંત તરીકે નથી કરતા, એ એમની અનુભવવાણી છે. વિશ્વયુદ્ધ, તેમાં ચાર ચાર ભાઈઓનું ઓરાઈ જવું, ગરીબી, તારાજી, પિતાની પથારીવશ સ્થિતિ, માની અસહાયતા, પોતાને થયેલો ટી.બી. – આ બધું તરુણ વયમાં જ ભોગવી લીધા પછી તેમણે કહ્યું છે, ‘આશા બધું બદલી નાખે છે અને એની શરૂઆત પોતાની જિંદગીથી થાય છે. આશા આપણને સક્રિય અને સક્ષમ કરનારું બળ છે. આશામાં શિયાળાને વસંતમાં ને ઉજ્જ્ડને પુષ્પિતમાં પરિવર્તિત કરવાની તાકાત છે. આશા છે ત્યાં સુધી કશું જ અશક્ય નથી. આશાન્વિત વ્યક્તિ દુનિયા કરતાં બે ડગલાં આગળ હોય છે. આશા કુદરતે જ આપણામાં પ્રગટાવેલી જ્યોત છે પણ તેને પ્રજ્વલિત રાખવા માટે સંકલ્પની હવા આપણે આપવાની છે. આશા એટલે પોતાની અને અન્યની અંદર રહેલી અનંત શક્યતાઓમાં આસ્થા રાખવી અને તેના પર એકાગ્ર થવાનો સંકલ્પ કરવો. 

દાઇસાકુ ઈકેડા

એમણે મહાત્મા ગાંધીનું ઉદાહરણ આપ્યું છે : અનેક વિઘ્નો વચ્ચે મહાત્મા ગાંધી સફળ થતા રહ્યા તેનું કારણ તેમનો અદમ્ય આશાવાદ હતો. ગાંધીજી પોતાને ‘ઈરરિપ્રેસિબલ ઓપ્ટીમીસ્ટ’ કહેતા. એમની આશા સંજોગો પર, વ્યક્તિઓ પર, સફળતા-નિષ્ફળતા પર કે ચડઉતર પર નિર્ભર ન હતી. એમની આશા માનવીની સારપ, ક્ષમતા અને પુરુષાર્થ પરની અચળ શ્રદ્ધા પર નિર્ભર હતી. આ શ્રદ્ધાનો એમણે એક પળ માટે પણ ત્યાગ કર્યો ન હતો. અન્યની સારપ પર શ્રદ્ધા અને પોતાની સારપ માટે પુરુષાર્થ એ બે ગાંધીજીની ચાવીઓ હતી. 

મહાન માણસોનાં ચરિત્રો આ જ કહે છે – કસોટીઓ તેમને હરાવી ન શકી, આફતો તેમને અટકાવી ન શકી. તેઓ સહન કરતા રહ્યા, પણ તૂટ્યા નહીં કારણ કે તેમની આશા જ્વલંત હતી. અને આ આશા માત્ર પોતાની ઇચ્છાપૂર્તિ કે પોતાના વિકાસ માટે ન હતી, એ સમગ્રના સુખ માટેની હતી. ‘એટલે, સમજો’, ઇકેડા કહે છે, ‘સાચી આશા વિશાળ ધ્યેય માટે માણસને પ્રતિબદ્ધ કરે છે – જેમ કે યુદ્ધ વિનાનું વિશ્વ, સૌને ગરિમાપૂર્વક જીવવા મળે એવું વિશ્વ.’    

પણ પરિસ્થિતિ અંધકારમય હોય, અને વધારે અંધકારમય થવાના એંધાણ હોય ત્યારે આશા કેવી રીતે રાખવી? ઇકેડા કહે છે કે એવે વખતે આશા સર્જવી પડે અને તેને માટે પોતાની જાતમાં ઊંડે, વધુ ઊંડે, વધુ ને વધુ ઊંડે ઊતરવું પડે. એમણે ડીગીંગ શબ્દ વાપર્યો છે – ડીગીંગ ડીપર વિધીન. મુશ્કેલ સંજોગોમાં આશા વધુ શક્તિશાળી, વધુ વિસ્તૃત બનતી જાય છે. ખરી કરુણતા શરીરનો અંત નથી; ખરી કરુણતા આશાનો અંત, પોતાની શક્યતાઓ પરના વિશ્વાસનો અંત છે. 

અને નિષ્ફળતા – એનાથી કદી ન ડરવું. નિષ્ફળતા માણસને એવા અનુભવ આપે છે જે દસ હજાર પુસ્તકો વાંચવાથી પણ ન મળે. દુઃખ અને પીડાનો પણ એક ઉપકાર હોય છે. એમાંથી પસાર થયા પછી માણસ વધારે નમ્ર, વધારે પરિપક્વ બને છે. જિંદગી એક લાંબી પ્રક્રિયા છે. તમે ગમે તેટલું લાંબુ જીવો, પણ અંતે પરાજય અને દુઃખ અનુભવતા હો તો તેનો કોઈ અર્થ નથી. નિર્ભય બનો, નિષ્ફળતામાંથી શીખો અને જે પણ બને તેની જવાબદારી પોતે જ લો. અન્ય પર દોષ ન નાખો. 

ઇકેડા યુવાનોને કહે છે, ‘યુદ્ધ, ગરીબી, તારાજી, બીમારી આ મારી તરુણાવસ્થાનું વર્ણન છે. પણ એ બધાને લીધે ત્યારે પણ મને શરમ કે હતાશાનો અનુભવ નહોતો થતો. હું પોતાને નાટકના એક પાત્ર તરીકે જોતો. એક તરુણ, જે હસતા હસતા લડી રહ્યો છે. મને ગૌરવનો અનુભવ થતો. અત્યારે હું જે છું તેનાં મૂળ ત્યાં છે. પણ મારા થોડાં નિયમ હતા – મેં નક્કી કર્યું હતું કે ભલે ચીંથરેહાલ હોઉં, ઊંચાં માથે ચાલીશ. જિંદગીને પૂર્ણપણે જીવીશ અને જ્યાંથી આશાનું કિરણ મળશે તેને સ્વીકારીશ. હું જે પણ સ્થિતિમાં હોઉં, મેં મારાથી બનતું કરવાનું ચાલુ રાખ્યું છે કેમ કે પોતે માણસ તરીકે શ્રેષ્ઠ આપ્યું તેની પ્રતીતિ એ જ અંતિમ વિજય છે.’ 

માનવસમાજ અસ્તિત્વમાં આવ્યો ત્યારથી વિશ્વસનીયતા આદરને પાત્ર રહી છે. વિશ્વાસઘાતી અંતે હાર્યો છે, ફેંકાઇ ગયો છે. કોઈનો વિશ્વાસ જીતવો એ સૌથી મોટી સંપદા છે અને શક્તિ પણ. ભૌતિકવાદ આપણને પરમ ચૈતન્યની વિશાળતા અને ગહનતાથી વિખૂટા પાડે છે. પરમ ચૈતન્ય સાથે જોડાનાર એક વધુ ઊંચાઈ પર, એક વધુ જાગૃતિમાં અને સમસ્ત સૃષ્ટિ સાથેની એક આગવી નિકટતામાં જીવે છે. 

એક વ્યક્તિ વધુ સમજદાર, વધુ શક્તિશાળી, વધુ સંવેદનશીલ બને ત્યારે શાંતિમય સહઅસ્તિત્વ તરફની યાત્રાના પૈડાનું પહેલું ચક્ર ફરે. આશાપ્રેરિત માનવી તોફાનો વચ્ચે સ્થિર પ્રકાશતી શાંત જ્યોત જેવો હોય છે. જે બીજા માટે મશાલ હાથમાં લે છે તેનો પોતાનો માર્ગ પણ પ્રકાશિત થતો આવે છે. 

કાળના અનંત અખંડ પ્રવાહમાં સંખ્યા કે શરૂઆત-અંત વગેરેની કોઈ હસ્તી નથી, પણ આપણી નાનીસરખી જિંદગી ઠીકઠાક ચાલે એ માટે આપણે ગણતરીઓ, પ્રારંભો, સમાપનો કરવાં પડે છે. વર્ષ 2026 ક્ષિતિજ પર ડોકાઈ રહ્યું છે ત્યારે વીતેલું વર્ષ સરસ ગયું હોય કે કપરું, એનો આદર કરીએ. કરેલી ભૂલોમાંથી પાઠ શીખીને; ધૈર્યવાન, કરુણાવાન, સાદા અને ભલા બનીને નવા વર્ષની શરૂઆત કરીએ.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 28 ડિસેમ્બર  2025

Loading

કુછ તો લોગ કહેંગે 

સોનલ પરીખ|Opinion - Opinion|8 January 2026

કુછ તો લોગ કહેંગે લોગોં કા કામ હૈ કહના 

છોડો બેકાર કી બાતોં મેં કહીં બીત ન જાયે રૈના 

 

કુછ રીત જગત કી ઐસી હૈ હર એક સુબહ કી શામ હુઈ

તૂ કૌન હૈ તેરા નામ હૈ કયા સીતા ભી યહાં બદનામ હુઈ

ફિર ક્યૉન સંસાર કી બાતોં મેં ભીગ ગયે તેરે નૈના  

 

હમકો જો તાને દેતે હૈ, હમ ખોયે હૈં ઇન રંગરલિયોં મેં 

હમને ઉનકો ભી છૂપ છૂપ કે આતે દેખા ઇન ગલિયોં મેં 

યે સચ હૈ જૂઠી બાત નહીં, તુમ બોલો યે સચ હૈ ના  

‘આજ તુમ જો હો, જિસ જગહ હો વહાં તુમ્હારે આંસુ સલાઇન વોટર – નમકીન પાની સે જ્યાદા કુછ નહીં. પોંછ ડાલો ઈનકો’ અને પછી આવે છે એ પ્રસિદ્ધ એપિક સંવાદ, ‘પુષ્પા, આઈ હેટ ટીયર્સ.’ ઓરિજિનલ સુપરસ્ટાર રાજેશ ખન્નાનો જન્મદિન 29 ડિસેમ્બરે આવે છે. એ નિમિત્તે તેને અને તેની ક્લાસિક ફિલ્મ ‘અમર પ્રેમ’ને યાદ કરીએ. 

રાજેશ ખન્ના

જન્મ 1942માં, મૂળ નામ જતીન. સેન્ટ સેબેસ્ટિયન ગોઆન હાઇસ્કૂલમાં રવિ કપૂર સાથે દોસ્તી થઈ. રવિએ સ્ટેજ પર જિતેન્દ્ર નામથી અભિનય કરવા માંડ્યો. જતીને પણ ધીમે ધીમે થિયેટરમાં રસ લેવાનું શરૂ કર્યું. રવિએ સિદ્ધાર્થ કૉલેજમાં અને જતીને કે.સી. કૉલેજમાં અભ્યાસ કર્યો. જતીને આંતર-કોલેજ નાટક સ્પર્ધાઓમાં ઘણાં ઇનામો જીત્યાં. ફિલ્મોમાં પ્રવેશવાનું નક્કી કર્યું ત્યારે નામ બદલીને રાજેશ રાખ્યું.

જે વખતે ટેલેન્ટ સર્ચ વગેરે મોટી અને નવી વાત કહેવાતી એ વખતે – 1965ની સાલમાં ઓલ ઇન્ડિયા ટેલેન્ટ કોન્ટેસ્ટમાં 10,000થી વધુ સ્પર્ધકોમાં રાજેશ ખન્ના પહેલો આવ્યો હતો. જજમાંના એક હતા ‘હાવરા બ્રિજ’ અને ‘ચાઈના ટાઉન’ સહિત અનેક મનોરંજક ફિલ્મો આપનાર શક્તિ સામંત. 23 વર્ષનો રાજેશ ખન્ના જરૂર તેમની નજરમાં વસી ગયો હોવો જોઈએ, કેમ કે ‘એન ઈવનિંગ ઇન પેરિસ’ આપ્યા બાદ એમણે જ્યારે સંવેદનસમૃદ્ધ ફિલ્મો બનાવવાની દિશામાં પગલાં ભર્યાં ત્યારે તેમને એ જ યાદ આવ્યો. રાજેશ ખન્ના સાથેની તેમની સર્વાંગસુંદર ફિલ્મત્રયી ‘આરાધના’, કટી પતંગ’ અને ‘અમર પ્રેમ’ અનુક્રમે 1969, 1971 અને 1972માં આવી ત્યાં સુધીમાં રાજેશ ખન્ના સફળતાની ટોચે બિરાજી ચૂક્યો હતો. ‘આરાધના’ પછી રાજેશ ખન્નાની સળંગ 14 ફિલ્મો હિટ બની, એ એક એવો રેકોર્ડ છે જે આજ સુધી તૂટ્યો નથી. આ ફિલ્મોનાં ગીતો કિશોર કુમારને સ્થાપિત કરી રફીયુગનો અંત લાવવામાં નિમિત્ત બન્યાં હતાં.

શક્તિદાને શંકા હતી કે ‘અમર પ્રેમ’ જેવી નાયિકાકેન્દ્રી ફિલ્મમાં કામ કરવા રાજેશ ખન્ના સંમત થશે કે નહીં, પણ રાજેશ ખન્નાએ માત્ર સંમતિ જ ન આપી, બાળકે બંગાળી આનંદબાબુની ભૂમિકા એટલી સુંદર રીતે જીવી બતાવી કે એ પાત્ર, એ ફિલ્મ હંમેશ માટે અમર થઈ ગયાં. ‘અમર પ્રેમ’ સૈફ અલી ખાનના જન્મ પછી શર્મિલા ટાગોરે સાઇન કરેલી પહેલી ફિલ્મોમાંની એક હતી. શર્મિલા ટાગોર – રાજેશ ખન્નાને ૧૦૦ વર્ષના ભારતીય સિનેમાના અગ્રણી ઓન-સ્ક્રીન રોમેન્ટિક યુગલોમાંના એક માનવામાં આવે છે. આ જોડીની દસેક ફિલ્મો આવી હતી. 

‘અમર પ્રેમ’ બિભૂતિભૂષણ બંદોપાધ્યાય દ્વારા લખાયેલી બંગાળી ટૂંકી વાર્તા ‘હિંગર કોચુરી’ પરથી બનેલી ‘નિશિપદ્મ’ ફિલ્મની હિંદી આવૃત્તિ હતી. અરબિન્દા મુખર્જી નિર્દેશિત ‘નિશિપદ્મ’ની મુખ્ય ભૂમિકામાં ઉત્તમ કુમાર અને સાબિત્રી ચેટર્જી હતાં. શક્તિ સામંત ફિલ્મથી અને ઉત્તમ કુમારના અભિનયથી એટલા પ્રભાવિત થયા કે તેમણે તેને સ્ક્રિપ્ટમાં કેટલાક ફેરફારો સાથે ફરીથી બનાવવાનું નક્કી કર્યું.

1950-60ના કાળનું બંગાળ, તેનું નાનું એવું ગામડું, કોલકાતા શહેર અને તેનો ભદ્રલોક એ હતો આ ફિલ્મનો પરિવેશ. ઘસાતાં જતાં મૂલ્યો અને તૂટતા જતા સંબધો વચ્ચે પ્રેમની ઊંચાઈ અને અમરત્વની ઝાંખી કરાવતી એની વાર્તાના કેન્દ્રમાં છે પુષ્પા (શર્મિલા ટાગોર). પતિએ તરછોડેલી, વગર વાંકે મા અને ગામલોકોના તિરસ્કારનો ભોગ બનેલી પુષ્પા મરવા માગે છે, પણ નેપાળી બાબુ એને કલકત્તા લાવી એક કોઠામાં વેચી દે છે. શ્રીમંત એકલવાયા આનંદબાબુનો પ્રેમ પામી એ પુષ્પની જેમ ખીલી ઊઠે છે અને અપરમાના ત્રાસથી અડધા ભૂખ્યા નંદુનું સહજ માતૃત્વથી જતન કરે છે. 

સમાજના હડસેલા ખાઈને પણ પોતાની સારપ ન ગુમાવતી પુષ્પા પિતૃસત્તાક સમાજવ્યવસ્થાનો ભોગ બનતા નારીત્વની વેદનાનું પ્રતીક છે. આનંદ, પુષ્પા અને નંદુ એકબીજાના કઈં નથી, છતાં ઘણુંબધું છે. પણ પછી પુષ્પા આનંદના પરિવારની ઇચ્છાથી તેને પોતાનો પાસે આવતો અટકાવે છે ને નંદુ પાછો પોતાને ગામ ચાલ્યો જાય છે. વર્ષો પછી પ્રૌઢ આનંદ-પુષ્પા અને યુવાન નંદુ ફરી એક વાર મળે છે. અપમાનો સહેતી, ઠોકરો ખાતી, કોઈ ધર્મશાળામાં વાસણ માંજતી પુષ્પાને નંદુ કોઇની પરવા કર્યા વગર પોતાના ઘેર લઇ જાય છે ત્યારે ‘આઈ હેટ ટીયર્સ’ કહેતા આનંદબાબુની આંખો ઊંડી પરિતૃપ્તિથી છલકાઈ જાય છે. ‘પુષ્પા, આઈ હેટ ટીયર્સ’ સંવાદ ફિલ્મમાં પાંચ વખત આવ્યો હતો, પણ શાશ્વત બની ગયો. 

‘અમર પ્રેમ’ અને આનંદબાબુ યાદ આવતાં આજે પણ હૃદય ભીનું થાય, પણ એ વર્ષે શ્રેષ્ઠ ફિલ્મ કે શ્રેષ્ઠ અભિનેતાનો ઍવોર્ડ ‘અમર પ્રેમ’ કે રાજેશ ખન્નાને નહીં, ‘બેઈમાન’ અને મનોજકુમારને મળ્યો હતો. ‘બેઈમાન’ બધી રીતે સામાન્ય ફિલ્મ હતી, છતાં તેને એ વર્ષે સાત ફિલ્મફેર ઍવોર્ડ મળ્યા હતા. ‘પાકીઝા’ એ જ વર્ષે રિલિઝ થઈ હતી પણ શ્રેષ્ઠ સંગીતકારનો ઍવોર્ડ પણ તેને નહીં, ‘બેઈમાન’ને જ મળ્યો હતો. તેનો વિરોધ કરતાં પ્રાણે એ જ ફિલ્મ માટે તેને મળેલો સહાયક અભિનેતા તરીકેનો ઍવોર્ડ પરત કર્યો હતો. 

‘કુછ તો લોગ કહેંગે’ ગીતમાં કોઈના કડવા બોલથી આહત થયેલી પુષ્પાને સાંત્વન છે. સાથે એમાં આ વિચિત્ર જગતને જોવાની એક ફિલસૂફી પણ છે. નીતિમત્તાનાં બેવડાં ધોરણોનો ઉપહાસ છે અને આવી નકામી વાતોમાં જીવ ન બાળવાનો ઈશારો પણ છે. આ બધું છતાં લોક નામનાં સાગરને તરવો મુશ્કેલ છે અને ભલભલા તેમાં ડૂબી જાય છે એ હકીકતની ઉપેક્ષા પણ નથી. આ ગીત મિશ્ર ખમાજમાં છે. ‘અમર પ્રેમ’નાં ગીતો આનંદ બક્ષીએ લખ્યાં હતાં અને આર.ડી. બર્મને સંગીતબદ્ધ કર્યાં હતાં. માનવીય સંબંધો અને નિઃસ્વાર્થ પ્રેમની વાર્તા કહેતી આ ફિલ્મ તેનાં ગીતો માટે પણ અમર બની ગઈ છે. આર.ડી. ત્યારે વેસ્ટર્ન મ્યુઝિકનો પર્યાય ગણાતાં પણ આ ફિલ્મમાં શાસ્ત્રીય સંગીતની સોડમ છે. ‘રૈના બીતી જાય’ તોડીમાં, ‘ચિનગારી કોઈ ભડકે’ ભૈરવીમાં, ‘યે ક્યા હુઆ’ કલાવતીમાં અને ‘બડા નટખટ હૈ’ ખમાજમાં છે. ‘ડોલી મેં બિઠાઈ કે’માં બંગાળી લોકસંગીત છે. ‘અમર પ્રેમનાં ગીતોમાં આર.ડી. બારબાર કલાક ડૂબેલા રહેતા એમ કહેવાય છે.  

‘દિયે જલતે હૈં, ફૂલ ખિલતે હૈં, બડી મુશ્કિલ સે મગર દુનિયા મેં દોસ્ત મિલતે હૈં’ના રચયિતા આનંદ બક્ષી ‘આરાધના’, કટી પતંગ’ અને ‘અમર પ્રેમ’ ત્રણે ફિલ્મના ગીતકાર હતા. ફિલ્મોના મુડને અનુરૂપ સાદાં, તાજાં અને મૌલિક ગીતો આપીને તેમણે એ ફિલ્મોને જ નહીં, ફિલ્મસંગીતના શોખીનોને પણ માલામાલ કર્યા હતા. રાજેશ ખન્નાએ ત્રણ વર્ષના ગાળામાં ઉપરાઉપર પંદર હીટ ફિલ્મો આપી હતી. ત્યાર પછી આવેલા એક્શન અને મલ્ટીસ્ટારર ફિલ્મોના વેવમાં એ ખરાબ રીતે ફેંકાઇ ગયો, પણ આજે પણ શાહરુખ ખાન સહિત અનેક અભિનેતાઓ માને છે કે રાજેશ ખન્નાની ઊંચાઈએ પહોંચવું શક્ય નથી. તેની આલોચના કરનાર પણ ઓછા નથી. એમને માટે એટલું જ કહેવાનું મન થાય, કુછ તો લોગ કહેંગે, લોગોં કા કામ હૈ કહના..

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 26 ડિસેમ્બર  2025

Loading

યુદ્ધની સામે યુદ્ધ 

દીપક મહેતા|Opinion - Literature|8 January 2026

ગ્રંથયાત્રા – 21

કોઈ નવલકથાનું નામ અંગ્રેજી ભાષાને એક નવો શબ્દપ્રયોગ આપે એવું વારંવાર બનતું નથી. અમેરિકન નવલકથાકાર જોસેફ હેલરે નવલકથા તો સાત-આઠ લખી છે, પણ તેની પહેલી જ નવલકથાએ અંગ્રેજી ભાષાને એક નવો શબ્દપ્રયોગ આપ્યો : ‘કેચ ટ્વેન્ટી ટુ.’ તમારી પાસે કોઈ વિકલ્પ જ નથી એવું નહિ. સામે બે વિકલ્પ હોય તો ખરા, પણ બંનેમાં તમને સરખું જ નુકસાન થવાનું હોય, સરખી જ મુશ્કેલી પડવાની હોય, બેમાંથી એકે વિકલ્પ વધુ સારો કે ખરાબ એમ કહી શકાય તેમ ન હોય, એવી પરિસ્થિતિને કહેવાય છે ‘કેચ ટ્વેન્ટી ટુ.’ તેની આ નવલકથા પહેલાં તો અમેરિકાનાં બે ત્રણ સામયિકોએ ‘સાભાર પરત’ કરેલી. પછી પુસ્તક રૂપે ૧૯૬૧માં પ્રગટ થઇ ત્યારે પણ ઘણાખરા વિવેચકોએ જાતજાતના વાંધાવચકા કાઢ્યા, પણ વાચકોને આ નવલકથા ગમી ગઈ. ખૂબ વેચાવા અને વંચાવા લાગી. ૧૯૭૦માં તેના પરથી તૈયાર થયેલી ફિલ્મને પણ ઘણી લોકપ્રિયતા મળી. આનું એક કારણ ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકાના અમેરિકાની સ્થિતિ હતું. એ વખતે અમેરિકા વિયેતનામ યુદ્ધમાં સપડાયેલું હતું. સત્તાવાર આંકડા પ્રમાણે ૫૮ હજાર અમેરિકન સૈનિકો આ યુદ્ધમાં માર્યા ગયા હતા (બિન સત્તાવાર આંકડો તો ઘણો મોટો હતો). અમેરિકન પ્રજામાં, અને ખાસ કરીને યુવાનોમાં વિયેતનામ યુદ્ધ માટેનો વિરોધ વધુ ને વધુ ઉગ્ર બનતો જતો હતો. અને ‘કેચ ટ્વેન્ટી ટુ’નવલકથાનો પણ મુખ્ય સૂર છે યુદ્ધના વિરોધનો, યુદ્ધની નિરર્થકતાનો, યુદ્ધ એ રાજકારણીઓનું ગાંડપણ છે એવી માન્યતાનો.

આ નવલકથાનો નાયક જોસેફ યોસારિયન વાયુસેનામાં બોમર તરીકે કામ કરે છે. તેનું લશ્કરી થાણું એક ટાપુ પર હતું. યુદ્ધનો અંત દેખાતો નથી અને નાયક હવે યુદ્ધથી વાજ આવી ગયો છે. યુદ્ધની નિરર્થકતા તેને સમજાઈ ગઈ છે. એટલે તે છૂટવા માગે છે. પણ લશ્કરના કાયદા તેને તેમ કરતાં રોકે છે. એટલે માંદગીનો ઢોંગ કરી તે લશ્કરી હોસ્પિટલમાં જાય છે.બીજા સૈનિકોએ લખેલા, અને તેમના પર આવેલા પત્રો વાંચીને સેન્સર કરવાનું કામ તેને હોસ્પિટલમાં સોંપવામાં આવે છે. પણ થોડા વખત પછી તે આ કામથી પણ કંટાળી જાય છે, અને પોતે વોશિંગ્ટન ઇરવીંગ નામ ધારણ કરીને તેની જેમ, તો ક્યારેક ચેપ્લીન ટેપમેનની જેમ વર્તવા લાગે છે. તેના આવા વર્તનથી લશ્કરી અધિકારીઓ ચોંકી જાય છે અને આ માણસ દુશ્મનનો જાસૂસ તો નથી ને એની તપાસ કરવા સી.આઈ.ડી.ના બે અધિકારીઓને બોલાવે છે. યુદ્ધમાંથી છૂટવા ખાતર બીજા સૈનિકો પણ માંદગીનો ઢોંગ કરવા લાગે છે એટલે પછી નાયકને પરાણે યુદ્ધમાં મોકલી દેવામાં આવે છે. પણ યુદ્ધના મોરચે પણ નાયક અને બીજા કેટલાક સૈનિકો પાગલોની જેમ વર્તે છે. તેના જ રૂમમાં રહેતો એક પાયલટ જાણી જોઇને પોતાનું વિમાન ક્રેશ-લેન્ડ કરે છે. જુદા જુદા સૈનિકોની જાતજાતની હરકતોનું લેખકે અહીં જાત અનુભવે આલેખન કર્યું છે. કોઈ સૈનિક નોર્મલ નથી, બધાને કોઈ ને કોઈ માનસિક સમસ્યા સતાવે છે. 

જોસેફ હેલર

યુદ્ધમાંથી છૂટવા માટે નાયક જાતજાતની તરકીબો અજમાવે છે. ક્યારેક બોમ ફેંક્યા વગર પાછો ભાગી આવે છે. ક્યારેક ઇન્ટરકોમ બગડી ગયો છે એવું બહાનું કાઢે છે. ક્યારેક નકશા પરની યુદ્ધરેખાને આઘીપાછી કરી નાખે છે. છતાં તે યુદ્ધમાંથી છૂટી શકતો નથી. બીજી બાજુ સાથીઓને મરતા જોઇને તેના મનમાં યુદ્ધની નિરર્થકતા વધુ ને વધુ ઘૂંટાતી જાય છે. તે ફરી ગાંડો હોવાનો ઢોંગ કરે છે. બધાં કપડાં કાઢી નાખીને લશ્કરી કેમ્પમાં ફરવા લાગે છે. હવે તો પોતે યુદ્ધમાંથી છૂટી શકશે એમ તે માને છે. પણ ડોક્ટર ડેનિકા તેને માટે ‘કેચ ટ્વેન્ટી ટુ’ની પરિસ્થિતિ ઊભી કરે છે. લશ્કરનો નિયમ એવો છે કે ગાંડપણને કારણે પોતાને યુદ્ધમાંથી મુક્ત કરવાની અરજી તે સૈનિકે પોતે જ કરવી જોઈએ. પણ ડોક્ટર નાયકને કહે છે કે જો તું આવી અરજી કરીશ તો એ વાત સાબિત થશે કે તું ખરેખર ગાંડો નથી. કારણ ગાંડો માણસ આવી અરજી લખવા જેટલો સ્વસ્થ ન હોય. અને જો તું ગાંડો ન હોય તો તને લડવામાંથી મુક્ત કરવાનો સવાલ જ ઊભો થતો નથી. તું જો ખરેખર ગાંડો હો અને તેથી જાતે અરજી ન કરી શકે તેમ હોય, તો પણ તને લડવામાંથી મુક્તિ મળી શકે નહિ, કારણ જો તેં જાતે અરજી જ ન કરી હોય તો તને મુક્ત કેવી રીતે કરી શકાય? આમ બંને બાજુ નાયક માટે તો આફત જ છે. છેવટે બીજો કોઈ માર્ગ ન દેખાતાં નાયક લશ્કરી છાવણીમાંથી ભાગી જાય છે.

ઘરને સલામત ખૂણે બેસીને વાંચેલાં છાપાં કે સાંભળેલા રેડિયો સમાચારોને આધારે લેખકે આ નવલકથા લખી નથી. ૧૯૨૩માં બ્રૂકલિનમાં જન્મેલા હેલર બીજા અનેક અમેરિકન યુવાનોની જેમ અભ્યાસ અધૂરો મૂકીને બીજા વિશ્વયુદ્ધ વખતે અમેરિકન લશ્કરમાં જોડાયા હતા. વાયુસેનાના વિમાનોમાંથી બોમ ફેંકવાની કામગીરી તેમણે કરી હતી. ફ્રાંસ અને ઇટલી પર ૬૦ વખત બોમમારો કર્યો હતો. પછીથી અભ્યાસ પૂરો કરી અધ્યાપક બન્યા, સામયિકોના જાહેર ખબર વિભાગમાં કામ કર્યું. અભ્યાસ કાળ દરમ્યાન જ વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. ૧૯૫૩માં ‘કેચ ૧૮’ નામની વાર્તા લખી. આઠ વર્ષ પછી એ જ વાર્તાને વિસ્તારીને નવલકથા લખી. પહેલાં તો તેનું નામ પણ ‘કેચ ૧૮’ રાખેલું, પણ બીજી એક નવલકથા સાથે એ નામ મળતું આવતું હતું એટલે બદલીને ‘કેચ ટ્વેન્ટી ટુ’ કર્યું. આ નવલકથાનાં પાત્રોના પચાસ વર્ષ પછીના જીવનને આલેખતી નવલકથા ‘કલોઝિંગ ટાઈમ’ ૧૯૯૪માં પ્રગટ થઇ. હૃદય રોગના

હુમલાથી ૧૯૯૯માં હેલરનું અવસાન થયું.

xxxxxxxxxxx

07 જાન્યુઆરી 2026
e.mail : deepakbmehta@gmail.com

Loading

...102030...99100101102...110120130...

Search by

Opinion

  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …
  • મોહેં-જો-દડોની ‘ડાન્સિંગ ગર્લ’: 4500 વર્ષથી યથાવત્ હતી, 21મી સદીએ તેને ‘સુધારી’?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved