Opinion Magazine
Number of visits: 9950690
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્ફુલ્લિન્ગ (7) આજકાલનાં સાહિત્યિક સમ્પાદનો

સુમન શાહ|Opinion - Literature|29 December 2025

આજકાલનાં કેટલાંક સાહિત્યિક સમ્પાદનો ભયાવહ છે. એનાં ૩ કારણો છે: 

૧: પહેલું કારણ –  

સુમન શાહ

પોતે કઈ દૃષ્ટિથી સમ્પાદન કર્યું છે એની એ સમ્પાદકો જાણ નથી કરતા. બાકી, કોઈપણ સમ્પાદન ચૉક્કસ દૃષ્ટિથી થવું જોઈએ. દાખલા તરીકે, સમજુ માણસ શાકમાર્કેટમાં ગયો હોય તો એને ભાન હોય છે કે પોતે રીંગણ, અને તે પણ એકદમ લીલાં, નાનાં અને તાજાં લેવા ગયો છે. એવી ચૉક્કસ દૃષ્ટિમતિને કારણે પત્ની અને પરિવારજનોને એ પ્રિય થઈ પડે છે. એવી સાર્થક દૃષ્ટિ વિનાના સાહિત્યક્ષેત્રના સમ્પાદકો જે હાથ ચડે તે લઈ લે છે. રીંગણાં બટાકા ભીંડા ગલકાં ગાજર કે મૂળા બધું જ ઉપાડી લે છે. એમ ઉપાડી લીધેલા કે ઉઠાવી લીધેલા માલને સમ્પાદન ન કહેવાય; એ જથ્થો હોય છે, જેને બાચકો કે ઢગલો કહેવાય. એટલે જ કેટલાક સમ્પાદકો આરામથી અગાઉના સમ્પાદનોમાંથી કૃતિઓ ઉપાડી લેતા હોય છે! એ ચોરીચપાટી છે, પણ એમ કરતાં તેઓ શરમાતા નથી. 

સમ્પાદક પોતાની દૃષ્ટિ સ્પષ્ટ નથી કરતો એ કારણે લેખકો પણ એને પોતાની કોઈપણ કૃતિ સમ્પાદિત કરવાની છૂટ આપી દે છે. સમ્પાદકીય દૃષ્ટિમતિ નથી હોતી તેથી કોઈ કોઈ લેખકો સામે ચાલીને પોતાની કૃતિઓ સમ્પાદકના ચરણે ધરે છે! લેખક તરીકેના પોતાના શીલને – writerly charecterને – બાજુએ મૂકનારા એ લેખકો ય શરમાતા નથી. વળી, દૃષ્ટિહીન સમ્પાદનોથી મૂળ લેખકોને તેમ જ વાચકોને કશો જ લાભ થતો નથી. આખો તરીકો સૌના સમયની બરબાદી કરનારો પુરવાર થાય છે.  

૨: બીજું કારણ – 

આ સમયમાં અનેક સમ્પાદકો જનમી રહ્યા છે. કેટલાકના ઊજળા દિવસો આથમી ગયા હોય છે, તેઓ પોતાના જૂના મુગટમાં એક પીછું ‘સમ્પાદક’-નું ખોસવાની લાલચના માર્યા મથ્યા કરે છે. અલબત્ત, જો એમની પાસે સાહિત્યજ્ઞાન હોય, તો એનો લાભ મળી શકે, નહિતર, એમના ચીમળાઇ ગયેલા મહિમાને આધારે એ સમ્પાદનોને તપાસવાનો વારો આવે. કેટલાક એવા છે જેઓને કારકિર્દી દરમ્યાન સારું સર્જન કે અર્થપૂર્ણ સમીક્ષા કરતાં આવડ્યું નથી. તેઓને સમ્પાદનનું કામ સરળમાં સરળ દેખાતું હોય છે, એટલે મંડી પડે છે.  

એ જો સમ્પાદક થવા નીકળ્યો છે, તો ગુજરાતી સાહિત્યના ઇતિહાસનો જાણકાર તો હોવો જ જોઈએ ને! આજકાલના મોટાભાગનાઓને જે સાહિત્યપ્રકાર માટે સમ્પાદન કરતા હોય તેના ઇતિહાસનું જ્ઞાન નથી હોતું. જેમ કે, આધુનિક ટૂંકીવાર્તાનું સમ્પાદન કરતો હોય તો એને ખબર હોવી જોઈએ કે આધુનિક ટૂંકીવાર્તાનો પ્રારમ્ભ અને મધ્ય શો હતો, અને જો થયું જ હોય, તો અવસાન શું હતું. કેટલાકને તો ખબર જ નથી હોતી કે આધુનિક ટૂંકીવાર્તાનું અવસાન થયું છે કે કેમ. એ કારણે ઉતાવળે ઉતાવળે તેઓ અનુ-આધુનિકતાના ઘોડે ચડી જતા હોય છે. એ ઘોડો શું છે એનું ય એમને ભાન હોતું નથી. એ જ અજ્ઞાનને કારણે એમને પોતાના ભાઇબન્ધની નબળી રચના અને નીવડેલા સાહિત્યકારની ઐતિહાસિક મૂલ્ય ધરાવતી રચના વચ્ચેનો ભેદ પરખાતો નથી. એ સમ્પાદકો પક્ષાઘાતી છે. તેઓ જાણ્યે-અજાણ્યે ખોટા ઇતિહાસ લખવા માટેની સામગ્રી પૂરી પાડતા હોય છે.

૩: ત્રીજું કારણ –

આમ, આજકાલનાં સમ્પાદનોમાં સમ્પાદકીય દૃષ્ટિનો અને ઇતિહાસના જ્ઞાનનો અભાવ છે. તેમછતાં, જેમની રચનાઓ લેવાઇ હોય છે તેઓ કૉલર ઊંચો રાખીને વટ પાડતા ફરે છે, જેમની નથી લેવાઇ હોતી તેઓ વ્યથિત રહે છે. આ ત્રીજા કારણે તો એ સમ્પાદનો ભારે ભયાવહ છે. કેમ કે એથી સાહિત્યસમાજમાં ભ્રાન્ત ઉચ્ચાવચતા ઊભી થાય છે, જે દુ:ખદ છે. ઉપરાન્ત, સાહિત્ય-વ્યવહાર પણ નથી સચવાતો – સમ્પાદકો મહેનતાણું લે છે પણ મૂળ લેખકને પુરસ્કાર નથી અપાતો, સમ્પાદક એમ કહીને છૂટી પડે છે કે એ કામ મારું નથી, પ્રકાશકનું છે. મૂળ લેખકને ક્યારેક તો સમ્પાદનનું પુસ્તક પણ નથી અપાતું! પરિણામે, સાહિત્યિક વિકાસ રુંધાય છે.

+ +

ધારો કે કોઈ સમ્પાદક ગઝલકાવ્યોનું સમ્પાદન કરવા માગે છે. એ દૃષ્ટિહીન હશે તો એને કશી જ મુશ્કેલી નહીં પડે, કેમ કે આપણે ત્યાં ગઝલોનો તો જ્યાં નજર નાખો ત્યાં જૂનો, નવો કે નવીનતમ ફાલ જોવા મળે છે. એની પાસે ગઝલ-સાહિત્યના ઇતિહાસનું જ્ઞાન નહીં હોય તો એ કયા ગઝલકારનો મહિમા કરશે અને કયાનો નહીં કરે? સમજાય એવું છે કે એથી કેટલા ય ગઝલકારો બાકી રહી જશે અને વાતાવરણમાં એક બેદિલી ફેલાશે. એ સમ્પાદક સામે ફરિયાદો જરૂર થશે, પણ એ શેનો સાંભળે? 

ઓછામાં ઓછા બે દાયકા દરમ્યાન મેં જોયું છે કે આવાં ઢંગધડા વગરનાં સમ્પાદનો સામે ઘણી ઘણી ફરિયાદો થઈ છે, પણ ભાગ્યેજ કોઈ સમ્પાદકે સુધારા-વધારા કર્યા છે. ગુજરાતી સમ્પાદન-સાહિત્યની કડક આલોચના થવી જોઈએ.  

+ +

સમગ્ર સાર એ કે આજકાલનાં એવાં સમ્પાદનોની નીવડેલાઓએ જાહેરમાં હોળી કરવી જોઈએ અને નવોદિતોએ એ સમ્પાદકોનો જાહેરમાં બહિષ્કાર કરવો જોઈએ.

= = =

(291225Abad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પ્રાઈવસી કેમ જરૂરી છે – ભલે તમારી પાસે છુપાવવા જેવું કશું ન હોય

રાજ ગોસ્વામી|Opinion - Opinion|29 December 2025

રાજ ગોસ્વામી

ટેકનોલોજીના આવ્યા પછી, દુનિયાભરમાં લોકોની પ્રાઈવસીને લઈને સવાલો વધી ગયા છે. તાજેતરમાં ભારત સરકારની ‘સંચારસાથી’ એપને લઈને દેશભરમાં ભયાનક હોબાળો થયો અને સરકારે તેના ‘ફરજિયાતપણા’ અંગે ખુલાસો કરવો પડ્યો, તે બતાવે છે કે ભારતના લોકો પણ આ બાબતને લઈને કેટલા સંવેદનશીલ છે. દુનિયાની અનેક કંપનીઓ લોકોના પ્રાઈવેટ ડેટા ‘ચોરવા’નું કામ કરતી હોય છે, અને ભારત સરકાર તો ઊલટાની તે ડેટાની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે.

જો કે દેશમાં એક વર્ગ એવું પણ માને છે કે ‘તમારી પાસે કશું છુપાવા જેવું ન હોય, તો ડરવાનું શું કારણ છે?’ આ તર્કમાં એવો અર્થ અભિપ્રેત છે કે જે લોકો ‘ચોખ્ખા’ નથી અથવા જે લોકો ‘આપરાધિક’ કામો કરે છે તેમને જ પ્રાઈવસીના ઉલ્લંઘનની ચિંતા હોય છે.

આ વાસ્તવમાં કોઈ ઉચિત તર્ક નથી – બલકે કુતર્ક છે અને આત્મસંતોષ માટે છે. સૌથી પહેલાં તો, પ્રાઈવસી ‘ખોટું કામ છુપાવવા માટે’નું સાધન નથી. દરેક વ્યક્તિના જીવનમાં એવી બાબતો હોય છે, જેને તે સાર્વજનિક કરવા ન ઇચ્છતા હોય – જરૂરી નથી કે તે અપરાધ હોય કે અનૈતિક હોય કે સમાજ વિરોધી હોય. 

દાખલા તરીકે, સ્વાસ્થ્યને લઈને તમને શું સમસ્યાઓ છે, તમે કેવાં પુસ્તકો વાંચો છો, તમારા અંગત શોખ શું છે, તમારા સંબંધોમાં કેવી ગડબડ છે, આ બધું પ્રાઈવસીના દાયરામાં આવે છે. તમે ન ઇચ્છો કે તમે બીજા લોકોને તેની જાણ કરો, અને જાણ કરો તે પણ તમારી ઇચ્છા અનુસાર હોવું  જોઈએ. કોઈ સોફ્ટવેર તમારા ફોન કે કોમ્પ્યુટરમાં બેસીને રોજે રોજની ડાયરી બનાવે એ તમને મંજૂર હોય?

તમે જેવું ‘કશું છુપાવવા જેવું નથી’ કહીને દરવાજા ખોલી નાખો છો, તો તમે ધીમે ધીમે તમારી પ્રાઈવસીના અધિકારને છોડવાનો સંકેત આપો છો. બેશક, તમે તમારી કોઈ અંગત બાબત કોઇથી છુપાવી નથી, પણ શું તમે બીજાઓને એ અધિકાર આપી દીધો છે કે તે તમારી દરેક નાની-મોટી અંગત બાબતો એકઠી કરીને તેનું પિષ્ટપેષણ કરે? કદાચ તમારી અનુમતિ વગર?

કોઈ તમારી પર જબરદસ્તીથી નિગરાની રાખે, તમારી દરેક ગતિવિધિ જોયા કરે (ભલે તમે ખોટું ન કરી રહ્યા હોવ), ત્યારે પણ તમારી પ્રાઈવસીનું ઉલ્લંઘન થાય છે. આ એક સંવેદનશીલતાનો પ્રશ્ન છે, કારણ કે ‘તમે જોવામાં આવી રહ્યા છે’ એવો અહેસાસ તમારા આત્મવિશ્વાસ અને સ્વતંત્રતાને દબાવે છે. 

ક્યારેક, એવી વ્યક્તિગત માહિતીઓ, જેને આપણે સામાન્ય સમજીએ છીએ – જેમ કે પુસ્તકોની પસંદગી, શોપિંગ, દવાઓ – જો મોટા ડેટાબેસમાં જોડાઈ જાય, તો તેનો અર્થ બદલાઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે તાજેતરમાં કેન્સર વિશેનાં પુસ્તકો ખરીદ્યાં હોય, અથવા દવાઓ લીધી હોય, તો તેનો એવો સંકેત જાય છે કે તમે સ્વાસ્થ્ય બાબતે સંઘર્ષ કરી રહ્યા છો. બીજાને આ ખબર પડે તેવું તમે ઇચ્છો?

તે ડેટા જે તમે કોઈ ઉદ્દેશ્ય માટે આપ્યો હતો, તે અન્ય કોઈ ઉદ્દેશ્ય માટે પણ વપરાઈ શકે છે, અને શક્ય છે તમારી તેમાં સહમતી ન હોય. એટલે, પ્રાઈવસીનું મહત્ત્વ કેવળ ‘ખોટા’ કામને છુપાવવા માટે નથી હોતું, તે તમારા આત્મ-નિર્ણય, તમારી અંગતતા, તમારી ગરિમા અન તમારી આઝાદીની  ગૌરવ રક્ષા માટેનું સાધન છે. પશ્ચિમના દેશોમાં આને લઈને બહુ ચર્ચા-વિવાદ થાય છે કે જ્યારે સરકાર અથવા મોટી સંસ્થાઓ – ભલે તે ટેક કંપનીઓ હોય કે ગુપ્તચર એજન્સીઓ હોય – એકત્રિત માહિતીઓને સંઘરવા લાગે છે, ત્યારે શક્તિનું અસંતુલન ઊભું થાય છે.

તે પછી તેમના પર વધુ પડતી નિર્ભરતા આવી જાય છે કે તેઓ તેમનો ડેટા સુરક્ષિત રાખે. જો કોઈ કારણવશ ડેટા લીક થઇ જાય તો કોઇપણ વ્યક્તિની અંગત જાણકારી સાર્વજનિક થઇ જાય છે. 2025ની શરૂઆતમાં એવા સમાચાર આવ્યા હતા કે આઈ,આઈ,ટી, – રૂરકીના લગભગ 30,000 વિદ્યાર્થીઓ અને એલુમનાઈનો ખાનગી ડેટા – જેમ કે સંપર્કની વિગતો, જાતિ, આર્થિક માહિતી વગેરે – ઘણાં વર્ષોથી ઓનલાઈન ઉપલબ્ધ છે.  

અર્થાત વિદ્યાર્થીઓનો ભૂતકાળ, તેમની સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિ, તેમની સંવેદનશીલ માહિતી, બધું જાહેર થઈ ગયું, શક્યતઃ તેમની અનુમતિ અથવા જાગરૂકતા વગર.

2025નો રિપોર્ટ દર્શાવે છે કે ભારતમાં ‘ડેટા ભંગ’ની સરેરાશ કિંમત 22 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે! સાથે જ, એક અન્ય સર્વેમાં કહેવામાં આવ્યું હતું કે 87% ભારતીયોને ડર છે કે તેમનો ખાનગી ડેટા પહેલેથી જ જાહેર અથવા લીક થઈ ગયો છે – લોકો ચિંતિત છે કે તેમની આધાર કાર્ડ, પાન કાર્ડ, અને અન્ય અંગત માહિતી અસુરક્ષિત હોઈ શકે છે.

આના પરથી સ્પષ્ટ થાય છે કે ડેટા રાખનારા સંસ્થા – ભલે તે શૈક્ષણિક સંસ્થા હોય, કંપનીઓ હોય, કે સર્વિસ-પ્રોવાઈડર હોય – જો તેઓ તેના પર નિયંત્રણ અથવા સુરક્ષા ન રાખે, તો કોઈને પણ નુકસાન થઈ શકે છે, ભલે તે વ્યક્તિ સામાન્ય હોય અથવા ‘કંઈ છુપાવવા જેવું ન હોય.’

ભારતમાં હવે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રૂલ્સ, 2025 (2025) જાહેર થઇ ચુક્યા છે, જેને ડેટાની સુરક્ષાના પ્રથમ મજબૂત પગલાં તરીકે જોવામાં આવે છે. પરંતુ, ઘણા નિષ્ણાતો અને વપરાશકર્તાઓ કહે છે કે ‘કાયદો તો છે – પરંતુ તેની પર વિશ્વાસ કરવો હજુ મુશ્કેલ છે, કારણ કે ડેટા પ્રોસેસિંગ, ઉપયોગ, અને સુરક્ષાના વ્યવહારિક પડકારો હજુ યથાવત છે.’

પ્રાઈવસી કેવળ ખોટું કરતા લોકોના હક્ની વાત નથી, તે દરેક નાગરિકનો અધિકાર છે. જો આપણે પ્રાઈવસીને જતી કરીએ છીએ, તો આપણે ખાલી આઝાદી જ જતી નથી કરતા, પરંતુ એવી દુનિયા માટે દરવાજા ખોલી દઇએ છીએ જ્યાં દરેક પગલે આપણી દરેક ગતિવિધિ સંસ્થાઓ કે કંપનીઓના હાથમાં હોય છે.

તો, ભલે તમે એમ માનતા હોવ કે તમારી પાસે છુપાવવાનું કંઈ નથી, પરંતુ તેમ છતાં પણ પ્રાઈવસી તમારા માટે મહત્ત્વપૂર્ણ છે. પ્રાઈવસી કંઇક અંશે ‘પર્યાવરણ’ જેવી છે; તેમાં એટલી બધી બાબતોનું મિશ્રણ હોય છે તે ક્યારેક ધૂંધળી થઈ જાય છે, અને પરિણામસ્વરૂપ દરેક નાની-નાની સુવિધાઓ અથવા લાલચોના કારણે તે કચડાતી જાય છે. તેનું પરિણામ એક એવી દુનિયાના રૂપમાં સામે આવે છે જે બગડેલી, કઠોર અને આપણી વિરુદ્ધ થઇ ગયેલી હોય છે – એવી દુનિયા, જે આપણે પસંદ નથી કરી પણ તેનાં દૂરગામી પરિણામો આપણને પહેલેથી જ સાફ-સાફ દેખાઈ જાય છે.

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 28 ડિસેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

હિંદુ ધર્મને સૌથી મોટો ખતરો હિંદુત્વથી છે !

રમેશ સવાણી|Opinion - Opinion|28 December 2025

પ્રતાપ ભાનુ મહેતા

27 ડિસેમ્બર 2025ના રોજ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના હોલ ખાતે, ‘અચ્યુત યાજ્ઞિક સ્મૃતિ વ્યાખ્યાન’માં પ્રતાપ ભાનુ મહેતાએ ‘સિવિલાઇઝેશન’ (સભ્યતા) અને ‘સિવિલાઇઝેશનલ સ્ટેટ’ની વાત કરી. 

તેમણે કહ્યું કે ‘સિવિલાઇઝેશનલ સ્ટેટ’ યુરોપથી આવેલા ‘નેશન સ્ટેટ’થી પણ આગળનું પગથિયું છે, જેમાં પોતાની જૂની સભ્યતાને જ કેન્દ્રમાં રાખવાની અને આધુનિક નેશન સ્ટેટનાં બંધારણથી માંડીને બીજાં બધાં અંગોને ગૌણ ગણવાની વાત હોય છે. સિવિલાઇઝેશનલ સ્ટેટ ભૂતકાળની સભ્યતાની મૂડી લઈને આગળ નથી વધતું; તે ભૂતકાળમાં જ ગોંધી રાખવા ઇચ્છે છે. 

આમ તો એવું થાય કે જૂની સભ્યતાને કેન્દ્રમાં રાખવામાં વાંધો શો છે? પણ વાંધો એ છે કે સભ્યતા એટલે શું? તે નક્કી કરવાની આપખુદશાહી સત્તા કેવળ સત્તાધીશ પાસે હોય છે, જે નેશન સ્ટેટના માળખા પ્રમાણે ચૂંટાઈને આવે છે, પણ ત્યાર પછી એ માળખાને બદલે સભ્યતાની સગવડિયા માળા જપે છે. હકીકતમાં તેને સભ્યતાના બહાને પોતાની સત્તા ટકાવવા-વધારવામાં જ રસ હોય છે. અમુક હજાર વર્ષની સભ્યતાના એક માત્ર પ્રતિનિધિ અને તેના અર્થઘટનનો ઇજારો ધરાવતા જણ તરીકે શાસકો બંધારણ અને લોકતાંત્રિક વ્યવસ્થાઓ સહિતની બધી જ બાબતોનો છેદ ઉડાડતા જાય છે. 

શરૂઆતમાં તે લોકસમર્થન(ચૂંટણીમાં મળેલા મત)ના જોરે પોતાનો દંડો પછાડતા હોય છે, પણ પછી તો તેનું મહત્ત્વ પણ ઓછું થઈ જાય છે અને મુખ્ય જોર ‘અમુક હજાર વર્ષ જૂની સભ્યતાના એકમેવ પ્રતિનિધિ’ તરીકેનું જ બની જાય છે. તેના જોરે તે ગમે તેવાં બિનલોકશાહી, સરમુખત્યારી પગલાં પણ સભ્યતાને આગળ કરીને લોકોના માથે મારી દે છે. 

અત્યારની સરકાર અને RSS; મુસ્લિમ આક્રમણ, અંગ્રેજોનું આક્રમણ અને નહેરુ સરકાર — આ ત્રણને આપણી જૂની સભ્યતામાં પડેલાં મોટાં ભંગાણ માને છે (જે તેમનું સગવડિયું અને ઐતિહાસિક – તથ્યાત્મક રીતે ટકી ન શકે એવું વિકૃત અર્થઘટન છે.) એટલે તેને ભૂંસવા માટે તે બધા પ્રયાસ કરે છે. (અત્યારના ભાઈલોગના કહેવાતા સભ્યતા-પ્રેમમાંથી બીજા માટેનો ધિક્કાર કાઢી નાખીએ તો શું બચે, એ વળી અલગ સવાલ છે.)

હિંદુ ધર્મને સૌથી મોટો ખતરો હિંદુત્વથી છે. કારણ કે હિંદુત્વે હિંદુ ધર્મને કોલોનાઇઝ કર્યો છે. ગુજરાતીમાં કહીએ તો, હિંદુત્વે હિંદુ ધર્મને બથાવી પાડ્યો છે.

આપણા બંધારણમાં આણેલાં મૂલ્યો વિશે ડાબેરીઓ અને જમણેરીઓ એવી ટીકા કરતા રહ્યા કે આ બધાં ઉછીનાં પશ્ચિમી મૂલ્યો છે. તેની સામે, આ મૂલ્યો હકીકતમાં ભારતીય સભ્યતામાંથી જ આવેલાં છે – એ હકીકત ભારપૂર્વક સ્થાપિત કરી શકાઈ નહીં. 

આખું વ્યાખ્યાન બાકાયદા પોલિટિકલ સાયન્સના લેક્ચર જેવું હતું, એ તેની ખૂબી તરીકે, અને મર્યાદા તરીકે પણ, કહી શકાય. 

[સૌજન્ય : ઉર્વીશ કોઠારી]
28 ડિસેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...109110111112...120130140...

Search by

Opinion

  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …
  • મોહેં-જો-દડોની ‘ડાન્સિંગ ગર્લ’: 4500 વર્ષથી યથાવત્ હતી, 21મી સદીએ તેને ‘સુધારી’?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved