Opinion Magazine
Number of visits: 9842257
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નફરત એ રાજકીય હિન્દુત્વનો શ્વાસ છે !

રમેશ સવાણી|Opinion - Opinion|2 December 2025

અમદાવાદમાં દલિત કર્મશીલ ભાનુભાઈ પરમાર દ્વારા લિખિત પુસ્તિકા ‘હિન્દુત્વ: અલગાવવાદનો પ્રેરક વિચાર’ના વિમોચન પ્રસંગે આપેલા વ્યાખ્યાનના મુખ્ય મુદ્દા : 

[1] આશરે 300 વર્ષથી મનુષ્યની જીવન જીવવાની પદ્ધતિ બદલાઈ ગઈ. ખેતી હવે મુખ્ય વ્યવસાય નથી અને રાજશાહી નથી. એટલે ધર્મપુસ્તકોમાં મનુષ્યે કેવી રીતે જીવવું તેને વિશે જે કંઈ લખવામાં આવ્યું છે તે બધું નકામું થઈ ગયું છે. એમાં સત્ય, દયા, કરુણા, અહિંસા જેવાં શાશ્વત મૂલ્યો જ મહત્ત્વનાં છે, બીજું કશું નહીં. કેટલી ઉંમરે લગ્ન કરવાનું, કેટલાં લગ્ન કરવાં વગરે જેવી અનેક બાબતો વિશે ધર્મનું માર્ગદર્શન હાલ ચાલી શકે નહીં. 

[2] આધુનિક રાજ્યનો આધાર ધર્મ હોઈ શકે નહીં. હિન્દુત્વ ધર્મને રાજ્યનો આધાર બનાવીને હિન્દુરાષ્ટ્રની રચના કરવા માગે છે, માટે એ પછાત ખ્યાલ છે. હિન્દુત્વ આધુનિક નથી, પણ સાધુનિક છે. 

[3] હિન્દુ ધર્મનાં વિચારો અને દર્શન મોટે ભાગે ઉચ્ચ રહ્યાં છે. પણ ઐતિહાસિક રીતે હિન્દુઓનો વ્યવહાર કનિષ્ઠ રહ્યો છે. મૂળભૂત રીતે એ અસમાનતા પર આધાર રાખે છે અને એને પોષે છે. 

[4] હિન્દુત્વ એ એક રાજકીય વિભાવના છે અને એ ખતરનાક છે કારણ કે તેમાં દેશમાં રહેતા બધા લોકોનો સમાનતાના ધોરણે સમાવેશ થતો નથી. અમુક લોકોની બાદબાકી એ અસમાનતા છે. હિન્દુત્વ સૌના નહીં પણ અમુક લોકોના જ અધિકારોને મહત્ત્વના ગણે છે અને એમને માન્ય રાખે છે.

[5] રાજ્યનું કામ મનુષ્યના ભૌતિક કલ્યાણનું છે; ઇશ્વર, અલ્લાહ કે ગોડ જેવા ભગવાનો સાથે એને કશી લેવાદેવા નથી. આ વિચાર આધુનિક છે, માંડ પાંચસો વર્ષ પહેલાંનો છે. જો રાજ્ય ધર્મમાં પડે તો રાજ્ય, લોકોનું કલ્યાણ કરવાનું એનું મૂળ કામ ભૂલી જાય છે એમ કહેવાય. 

[6] કોઈ પણ ધર્મ આધુનિક લોકશાહીની વાત કરતો નથી. ધર્મને અને લોકશાહીને સહેજે બનતું નથી, બનવાનું પણ નથી. એનું કારણ એ છે કે ધર્મને ભક્તિ સાથે સંબંધ છે અને લોકશાહીમાં કોઈની ભક્તિ થાય જ નહીં.

[7] હિન્દુત્વ અલગાવવાદ પેદા કરે છે, એ એક હકીકત છે. ‘અમે અને તમે’ની વિભાવના પર હિન્દુત્વ ઊભેલું છે અને એમાં ‘તમે’ સામે ધિક્કાર છે, નફરત છે. નફરત એ રાજકીય  હિન્દુત્વનો શ્વાસ છે, એના વિના એ જીવી શકે જ નહીં. 

[8] હિન્દુત્વમાં માત્ર મુસ્લિમો પ્રત્યે જ નફરતની દૃષ્ટિ છે એવું નથી. એમાં તો સ્વતંત્ર રીતે એનાથી વિરોધી વિચાર કરનાર દરેક પ્રત્યે નફરતની દૃષ્ટિથી જોવામાં આવે છે. એટલે જ વિરોધી દરેક વ્યક્તિ દેશદ્રોહી અને અર્બન નક્સલ બની જાય છે. એને માટે આજે નહીં તો કાલે, કોઈક દુ:શ્મન હોવો જરૂરી છે. 

[9] ભારતના બંધારણમાં સમાનતા, ન્યાય, સ્વતંત્રતા, બંધુતા અને વ્યક્તિનું ગૌરવ અને લોકશાહી જેવા આદર્શો લખેલા છે. તે ચરિતાર્થ થવાનું હિન્દુ રાષ્ટ્રમાં શક્ય છે જ નહિ. કારણ કે તે લોકશાહીથી તદ્દન વિરોધી વિચાર છે. હિન્દુત્વ એ રાજાશાહી અને તાનાશાહીના ખોળામાં બેઠેલો ખ્યાલ છે. અને માટે જ લોકશાહીના ચાહકોએ એની સામે લડવાની જરૂર છે. 

[10] લોકશાહી એક વ્યક્તિ, એક મત અને એક મૂલ્યના સિદ્ધાંત પર આધારિત છે. હિન્દુત્વમાં માત્ર શાસકોનું જ મૂલ્ય છે. આપણે બંધારણ થકી પ્રજામાંથી નાગરિક થયા. હવે હિન્દુત્વ ઘડિયાળના કાંટા પાછા ફેરવીને આપણને નાગરિકમાંથી વળી પાછા પ્રજા બનાવવા માગે છે. માટે એ ખ્યાલથી ચેતતા રહેવું અનિવાર્ય છે.  

[સૌજન્ય : પ્રો. હેમંતકુમાર શાહ] 
1 ડિસેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગુજરાતી વિશ્વકોશને વંદન 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|2 December 2025

‘અહીં જ્ઞાનસૂર્ય સંચરે,

આપણું ચિત્ત પ્રકાશિત કરે …

અહીં જ્ઞાનયજ્ઞ સૌ કરે,

ચિત્તનું ચિત્ત વિકાસિત કરે …

આ યથાર્થ શબ્દો કવિ ચન્દ્રકાન્ત શેઠે જેના માટે લખ્યા છે તે ગુજરાતી વિશ્વકોશ, આજે 2 ડિસેમ્બરે, એકતાળીસમાં વર્ષમાં પ્રવેશે છે. ગુજરાતની એક અત્યુચ્ચ વિદ્યાકીય સિદ્ધિને કૃતજ્ઞભાવે વંદન. 

વિશ્વકોશ થકી વિશ્વના જ્ઞાનનો રાશિ આપણી ભાષામાં હોવાનું અત્યંત ગૌરવ છે. ગયાં પાંચેક વર્ષથી તો આંગળીને ટેરવે ઇન્ટરનેટ પર છે. તેમાં કવિના શબ્દો જાણે પ્રત્યક્ષ થાય છે: ‘ગૂર્જરી વિશ્વરૂપને વરે!’ 

અત્યારના વાચકોના એક વર્ગને કહેવું જોઈએ કે વિશ્વકોશ એટલે encyclopaedia એટલે કાગળનાં પાનાં પર છાપેલો Wikipedia, એટલે કે એક પ્રકારનું google. વિશ્વકોશની લિન્ક છે : https://gujarativishwakosh.org/

ગ્રંથાલયમાં વિશ્વકોશના છવ્વીસ ગ્રંથો સામે મસ્તક નમે છે. મોટા કદના આ ગ્રંથોના 26 હજાર પાનાં દુનિયાભરના 170 જેટલા વિષયોને 24 હજાર જેટલા લેખોમાં આવરી લે છે. ‘અધિકરણ’ શબ્દથી ઓળખાતો દરેક લેખ એકંદર શિક્ષિત વાચકને સમજાય તેવી ભાષામાં પૂરા અભ્યાસ અને પદ્ધતિસરની રજૂઆત સાથે લખાયો છે. તેમાં આધારભૂત, વિશ્વસનીય અને સંપૂર્ણ માહિતી કેન્દ્રસ્થાને છે. વિશેષણો ઓછાં અને મંતવ્યો સંયત છે. કશું પણ ચૂકી જવું એ કચાશ, વ્યાપ આકાશ અને ધ્યેય : ‘પૃથ્વી પર સંચિત થયેલા સચરાચર સૃષ્ટિની માહિતીનો કોશ’.  

વિશ્વજ્ઞાનની ઓળખ આપતો એક પ્રમાણભૂત સંચય એક રાજ્યની ભાષામાં પ્રકાશિત થાય એ કેટલી મોટી વાત છે તે ઉપયોગે જ સમજાય. જ્ઞાન-વિજ્ઞાન, ભાષા-સાહિત્ય-કલા તરફ ઓછો ઝૂકાવ ધરાવતા માહોલમાં તો ઉપયોગ અને કદર બંને પણ ઓછાં.

અને છતાં 1985માં સ્થપાયેલા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના તંત્રવાહકો સંસ્થાને સર્વાંગે વિકસતું રાખવા  કુનેહપૂર્વકનો સાતત્યપૂર્ણ પરિશ્રમ કરતા રહ્યા છે. ટ્રસ્ટે શ્રેષ્ઠીઓ, વીસમી સદીના ‘સંતો’ અને સરકાર પાસેથી ભંડોળ મેળવીને તેનો ઉત્તમ રીતે વિનિયોગ કર્યો છે. ગુજરાતભરના વિદ્વાનો પાસેથી વિષયસાપેક્ષ શબ્દ મર્યાદામાં અને ચોક્કસ માળખામાં માહિતીપ્રદ તથા તાટસ્થ્યપૂર્ણ લેખો લખાવીને, તેમનું સંપાદકીય સંમાર્જન કરીને (એટલે કે તેમને મઠારીને) એટલા ભૂલ વિનાના હજ્જારો પાનાં પ્રસિદ્ધ કરવા એ પડકારને ઝીલવામાં વિશ્વકોશ ખૂબ સફળ રહ્યો છે. 

આટલું ઓછું હોય તેમ વિશ્વકોશે ચાર અન્ય કોશ પ્રસિદ્ધ કર્યા છે – દસ ખંડોનો બાળ વિશ્વકોશ, તબીબી વિજ્ઞાન પરિભાષા કોશ, ગુજરાતના સ્વાતંત્ર્ય સૈનિકોનો માહિતી કોશ અને પરિભાષા કોશ. બે ભાગનો નારીકોશ નજીકના ભવિષ્યમાં આવશે અને ગ્રંથાલયવિજ્ઞાન કોશનું કામ ચાલી રહ્યું છે. 

કોશકાર્ય ઉપરાંતની વિશ્વકોશ ટ્રસ્ટની પ્રવૃત્તિ એટલે પુસ્તક-પ્રકાશન. તેની હેઠળ મુખ્યત્વે સાહિત્યેતર વિષયો પરના 115 જેટલાં પ્રમાનભૂત પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે. વળી,વિશ્વની ગતિવિધિઓને સ્પર્શતું ટ્રસ્ટનું મુખપત્ર ‘વિશ્વવિહાર’ અને મહિલાઓ દ્વારા ચાલતું સાહિત્ય-જ્ઞાન-કળાનું ત્રૈમાસિક ‘વિશ્વા’ પણ બહાર પાડવામાં આવે છે. 

વિશ્વકોશ ભવન બારે ય મહિના પ્રવૃત્તિઓથી ધબકતું બહુરુચિસંપન્ન સાંસ્કૃતિક કેન્દ્ર છે. આખા વર્ષ દરમિયાન ગીત-સંગીત, વાદ્ય-નૃત્ય, શિલ્પ-સ્થાપત્ય, નાટક-સિનેમાના નિવડેલા કાર્યક્રમો માણવા મળે. અનેક સાહિત્યકારો અને વિષય-નિષ્ણાતોને સાંભળવા મળે છે. તેમાં અગિયાર વ્યાખ્યાનશ્રેણીઓ અને એટલી જ સંખ્યામાં સન્માન પ્રદાનના ઉપક્રમો ચાલે છે. કાર્યશિબિરો અને પ્રવૃત્તિકેન્દ્રોની નોંધ લેવી ઘટે, લલિતકલાકેન્દ્ર અને કલાવિથિ (આર્ટ ગૅલરી) અલંકારો છે. રવિવાર(30 નવેમ્બર)થી એક અઠવાડિયા માટે વિશ્વકોશ સ્થાપના દિનના ઉપલક્ષ્યમાં સંસ્કૃતિ પર્વની ઉજવણી હેઠળ વિશ્વકોશ ભવનમાં દરરોજ એક કાર્યક્રમ થઈ રહ્યો છે. 

બાય ધ વે, વિશ્વકોશ ભવનના કાર્યક્રમોમાં કોઈ સભ્યપદ કે ટિકિટ તો છોડો રજિસ્ટ્રેશન કે એવું કશું જ હોતું નથી. બધા કાર્યક્રમો બધાં માટે વિના અપવાદ ખુલ્લા હોય છે. પ્રવેશદ્વાર પર સલામતી ચેકિન્ગ નહીં માણસની અંદરની સારપ પરના વિશ્વાસથી બધું ચાલતું હશે એમ ધારી શકાય. પાર્કિંન્ગ માટેની સીટીઓ, ભભકો, દેખાડો, કોઈ પણ પ્રકારનું ગ્લૅમર હોતું નથી. પૈસો-પદ-પ્રતિષ્ઠા-સત્તાને અહીં સ્થાન નથી. આ ભવનના ભાવાવરણમાં જ એવું કંઈક છે કે ઉપર્યુક્ત બધું અહીં પ્રકટતું જ નથી. અહીં હોય છે સાદગી અને સમાનતા, નમ્રતા અને સંસ્કારિતા.

સમયની સાથે ચાલતી આ જ્ઞાનસંસ્થા ડિજિટલ માધ્યમો પણ પ્રયોજે છે. ઑનલાઈન ગુજરાતી લેક્સિકન અર્થાત્‌ શબ્દકોશમાં 45 લાખ શબ્દો છે. વિશ્વકોશ માહિતી અને આનંદથી ભરપૂર સૂઝપૂર્ણ સામગ્રી તૈયાર કરીને યુટ્યૂબ ચૅનલ તેમ જ વૉટ્સૅપ દ્વારા પણ સર્વસુલભ બનાવે છે. 

એક સમયે ગુજરાતી સાહિત્યના ઇતિહાસલેખક-વિવેચક ધીરુભાઈ ઠાકર (1918-2014) વિશ્વકોશનો પર્યાય હતા. તેઓ ટ્રસ્ટના સ્થાપક, મુખ્ય સંપાદક અને તેના સમગ્ર કાર્યના કર્ણધાર હતા. અત્યારનો પર્યાય સાહિત્યકાર અને કટારલેખક કુમારપાળ દેસાઈ છે. વીતેલા પંદરેક વર્ષમાં વિશ્વકોશમાં જે ઉન્મેષો પ્રગટ્યા તેમાં ત્યાસી વર્ષના બિલકુલ ન જણાતાં કુમારપાળભાઈનાં દૃષ્ટિ ,મહેનત, લોકસંગ્રહ, શાલિનતા, નેતૃત્વ અને સમર્પણભાવનો મોટો ફાળો છે. વિશ્વકોશને અનેકવિધ ક્ષેત્રોના ઉત્તમ જનોને જે સંયોજકો, હિતચિંતકો, સલાહકારો, સંપાદકો અને લેખકો મળતા રહ્યા છે તેમાં ધીરુભાઈ તેમ જ કુમારપાળભાઈનાં પરખ અને પ્રેમાગ્રહનો ઘણો ફાળો છે. વિશ્વકોશ ભવનને સંશોધકો, સંપાદકો, સહાયકો, સેવકો અને આઈ.ટી.ના જાણકાર કર્મચારીઓની નિષ્ઠાવાન ટુકડી મળી છે. દરેક કાર્યક્રમ અને આખા ય વિશ્વકોશની ગુણવત્તામાં આ આ કાર્યક્ષમ અને સૌજન્યશીલ ટુકડીનો મોટો ફાળો છે. તેમાંથી દરેકને હૃદયપૂર્વક ધન્યવાદ. 

વિશ્વકોશના કાર્યક્રમો એ જાહેર કાર્યક્રમો કેવી રીતે યોજાવા જોઈએ તેનો પદાર્થપાઠ પૂરો પાડે છે. પસંદગી, આયોજન, સમયપાલન, સુરુચિ જેવી બાબતો ભાર વિના ચીવટપૂર્વક જાળવવામાં આવે છે. વળી, વિશ્વકોશના ઉપક્રમે કાર્યક્રમ આપવો એ તો ગૌરવ, સૌહાર્દ અને ગુણાનુરાગિતાનો અનોખો અનુભવ હોય છે. 

વિશ્વકોશ ભવનમાં જ્ઞાનની સાધના એક યા બીજા રૂપે સતત ચાલતી જ હોય છે. જ્ઞાન ગતિશીલ છે તેની પાકી સમજ સાથે વિશ્વકોશના લેખોને revise અને update કરવાની પ્રક્રિયા થતી રહે છે. તે મુજબ અદ્યયાવત માહિતી સાથે પહેલાં નવ ગ્રંથોનું નવસંસ્કરણ પ્રસિદ્ધ થયું છે. હવે ગ્રંથો સીધા ઑનલાઈન વર્ઝનમાં અપડેટ થતા રહે છે. વિશ્વકોશના ગ્રંથોની કે તેના કાર્યક્રમોની મર્યાદાઓ પણ દુર્ભાવ વિના બતાવનારા હોઈ શકે અને તે મંતવ્યો કોશ માટે ઉપકારક પણ બની શકે. 

વિશ્વકોશ ભવનમાં હોવું ‘વિશ્વકોશની એવી સૃષ્ટિ’ની મનભર અનુભૂતિ કરાવે છે. જ્ઞાન-પ્રવૃત્તિ વ્યક્તિ અને વાતાવરણમાં  સંસ્કાર સીંચે એટલે શું થાય તે આ શાતાદાયી વાસ્તુમાં અનુભવવા મળે છે.   

વિશ્વકોશના દરેક કાર્યક્રમના આરંભે ગાવામાં આવતું, અમર ભટ્ટે સ્વરાંકિત કરેલું ચાર કડીનું વિશ્વકોશ-ગીત કાનમાં ગૂંજે છે. જેની છેલ્લી કડી છે : 

‘રેવા-જળ શી શક્તિદાયિની

સત્ય-સંમુદા મુક્તિદાયિની !

વિશ્વવિહાર જ કરે

ગુર્જરી વિશ્વરૂપને વરે!’ 

[કોલાજની છબિઓ, ક્લૉકવાઇઝ : વિશ્વકોશના ગ્રંથો, ધીરુભાઈ ઠાકર, વિશ્વકોશ ભવન, વિશ્વકોશનું ચિહ્ન]  

02 ડિસેમ્બર 2025
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…

Samantar Gujarat - Samantar|1 December 2025

રવીન્દ્ર પારેખ

નવી શિક્ષણ નીતિ-2020થી લાગુ થઈ, પણ પાંચ વર્ષે ય તે હજી પ્રારંભિક તબક્કામાં જ છે. થયું છે એવું કે નીતિ તો લાગુ કરી દેવાઈ છે, પણ તેને વિષે સ્પષ્ટતા નથી અને જે તે યુનિવર્સિટી ઠીક લાગે તેમ લાગુ કરી રહી છે. તબીબી ક્ષેત્રે ઇન્ટર્નશિપ સંભળાતી હતી, તે ગુજરાત યુનિવર્સિટીએ આર્ટસના 10,800, કોમર્સના 27,000 અને સાયન્સના 2,500 મળીને અંદાજે ચાળીસેક હજાર વિદ્યાર્થીઓને લાગુ કરવાની જાહેરાત કરી છે. સાધારણ રીતે તબીબી ક્ષેત્રનો વિદ્યાર્થી પ્રાયોગિક રીતે પણ સંબંધિત વ્યવસાયના પરિચયમાં આવે એ સમજ ઇન્ટર્નશિપ સંબંધે ફેલાયેલી છે, પણ આર્ટસ, સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓને પોતાનાં શિક્ષણક્ષેત્રનું કયું જ્ઞાન ઇન્ટર્નશિપ સંબંધે અપેક્ષિત કે અભિપ્રેત છે, તે અંગે સમજ કરતાં ગેરસમજ વધુ છે.

ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ માટે સેમેસ્ટર 6માં ઇન્ટર્નશિપ ફરજિયાત છે. ઇન્ટર્નશિપ સંદર્ભે ગુજરાત યુનિવર્સિટીને ઉપક્રમે આચાર્યો અને કુલપતિની સંયુક્ત બેઠક મળી હતી. આ બેઠકમાં ઇન્ટર્નશિપ સંદર્ભે ચર્ચા-વિચારણા તો થઈ, પણ ખાટલે મોટી ખોડ એ હતી કે ઇન્ટર્નશિપને લઈને કોઈ આગોતરું આયોજન ન હતું. શિક્ષણ નીતિ 2020માં નક્કી થઈ હોય, ઇન્ટર્નશિપ ફરજિયાત છે એ પણ નક્કી હોય ને આટલા સમય પછી પણ, તેને લગતી ખાસ સ્પષ્ટતા જ ન હોય, તો તે લાગુ કરવાનો અર્થ ખરો? જે નથી તે લાગુ કરવામાં તો જેના તેના તુક્કાઓ જ કામે લાગે ને યુનિવર્સિટીની બેઠકમાં એ જ થયું. વિદ્યાર્થીઓની જુદી જુદી પ્રવૃત્તિઓને ઇન્ટર્નશિપ તરીકે ઠઠાડવાનું નક્કી થયું. કંઇ પણ કરો, તો એને ઇન્ટર્નશિપ ગણી લેવાની વાત ઠીક નથી. ઉપરથી આવી પ્રવૃત્તિઓને માન્યતા આપવાનું યુનિવર્સિટીઓ પોતે જ ઠરાવે તે કોઈ રીતે યોગ્ય નથી.

આર્ટસ, સાયન્સ, કોમર્સના 6 સેમેસ્ટરમાં 120 કલાકની ઇન્ટર્નશિપ ફરજિયાત કરાય તેનો વાંધો નથી, પણ કઈ બાબતને ઇન્ટર્નશિપ ગણવી તે અંગે ઝાઝી સ્પષ્ટતા શિક્ષણ નીતિમાં નથી. વિદ્યાર્થીઓને શિક્ષણ ઉપરાંત પ્રેક્ટિકલ જ્ઞાન મળી રહે તે ઇન્ટર્નશિપનો હેતુ અલબત્ત ! ઉમદા છે, પણ તે અંગે આગોતરું આયોજન યુનિવર્સિટીઓએ કરવું જોઈએ, તેને બદલે વિદ્યાર્થીઓ સેમેસ્ટર 6માં આવે તેની રાહ જોઇને છેક હવે ઇન્ટર્નશિપમાં શું કરવું તેની ચર્ચા-વિચારણા કરવા કોલેજના આચાર્યોને તેડવામાં આવે તે બરાબર નથી. ઇન્ટર્નશિપની નવી વ્યવસ્થાનું આ પહેલું વર્ષ છે, એટલે દ્વિધા હોય તે સમજી શકાય, પણ ઇન્ટર્નશિપ લાગુ કરવાને ટાણે જ તેનો વિચાર કરવામાં આવે તે કઈ રીતે યોગ્ય છે? ઇન્ટર્નશિપ લાગુ કરવાની નીતિ તો પાંચ વર્ષ પહેલાંથી નક્કી હતી, તો તે પહેલાં તેનો વિચાર થઇ જ શક્યો હોત, પણ તેવું ન થયું ને છબરડાઓને આમંત્રણ આપવા જેવું થયું. ઇન્ટર્નશિપની જાહેરાત પછી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, જી.આઇ.ડી.સી., કોર્પોરેશન, હોટેલો જેવા ઉદ્યોગધંધા સાથે હજી તો વાટાઘાટો શરૂ થઈ છે, એ જોતાં લાગતું નથી કે સેમેસ્ટર પતે તે પહેલાં ગાડી પાટે ચડે.

આમ તો આની બ્લુ પ્રિન્ટ યુનિવર્સિટી તરફથી તૈયાર થવી જોઈએ, પણ કોઈ કોલેજ પોતાની રીતે આયોજન  કરે તો તેને પણ માન્ય કરવાની તૈયારી યુનિવર્સિટીની છે. યાદ રહે, આ આર્ટસ, સાયન્સ ને કોમર્સના વિદ્યાર્થીઓની ઇન્ટર્નશિપની વાત છે. કોઈ વિદ્યાર્થી પિતાનાં સલૂનમાં 120 કલાક કામ કરે કે કોઈ વિદ્યાર્થિની કોઈ સંબંધીનાં બ્યૂટીપાર્લરમાં 120 કલાક કામ કર્યાનું દર્શાવે તો તેને ઇન્ટર્નશિપ તરીકે ટ્રીટ કરવામાં આવશે તેવું નક્કી થયું છે. તેમાં મહત્ત્વનું એ છે કે જે તે સંસ્થા કે દુકાન ઇન્ટર્નશિપ કરી હોવાનું પ્રમાણપત્ર આપે. દેખીતું છે કે પિતા કે સંબંધી, વિદ્યાર્થી કામ કરે કે ન કરે, પ્રમાણપત્ર આપી દે, તો વિદ્યાર્થીનું તો કામ થઇ જશે, પણ તે શીખશે શું ને કેટલું તે વિચારવાનું રહે. વારુ, આવાં પ્રમાણપત્રો પૈસા વેરીને ન જ મેળવાય તેની કોઈ ખાતરી નથી. બીજું, ઇન્ટર્નશિપનો હેતુ ઇન્ડસ્ટ્રી અને એકેડેમિક સંસ્થાઓ વચ્ચે સંકલન સાધવાનો હોય તો, પિતા કે સંબંધીની પાસે કામ કરવાથી તે હેતુ કેટલો સચવાય તે પ્રશ્ન જ છે. ઇન્ટર્નશિપનો હેતુ પ્રેક્ટિકલ નોલેજનો હોય ને હેરકટિંગ સલૂનમાં કોઈ વિદ્યાર્થી 120 કલાક કામ કરે તો તે, આર્ટસ માટે કઈ રીતે પ્રેક્ટિકલ નોલેજ ગણાય કે સાયન્સની વિદ્યાર્થિની બ્યૂટી પાર્લરમાં કામ કરે તો તે, સાયન્સનું પ્રેક્ટિકલ નોલેજ કઈ રીતે ગણાય તેની સ્પષ્ટતા થવી ઘટે.

મેડિકલનો કોઈ વિદ્યાર્થી હેરકટિંગ સલૂનમાં કામ કરે તો તે ઇન્ટર્નશિપ ગણાશે? જો નહીં, તો આર્ટસની વિદ્યાર્થિની બ્યૂટીપાર્લરમાં કામ કરે તો તે કઈ રીતે ઇન્ટર્નશિપ ગણાય તેની ચોખવટ થવી ઘટે. કોમર્સનો વિદ્યાર્થી બેંકમાં જઈને કોઈ ગ્રાહકને ફોર્મ ભરી આપવામાં મદદ કરે તો તે કોમર્સની ઇન્ટર્નશિપ ભલે ગણાય, પણ તે કોઈ દુકાને કોઈની દાઢી કરે, તો તે કોમર્સની ઇન્ટર્નશિપમાં કઈ રીતે ખપાવી શકાય? પ્રવૃત્તિ, કોઈ શોખ ખાતર કે જાણવા માટે કરે તેનો તો શો વાંધો હોય, પણ તે જે તે વિદ્યાશાખાના પ્રેક્ટિકલ જ્ઞાનમાં ખપાવાય તો જે તે વિદ્યાશાખાનું અલગ કોઈ મૂલ્ય ખરું કે કેમ? કે બધી વિદ્યાશાખાઓ સરખી જ ગણવાની છે? કોઈ વેચાણ કેન્દ્ર કે એન્ટરપ્રાઈઝ કે સેવાકેન્દ્ર પર અપાયેલી સેવાને ઇન્ટર્નશિપ ગણવાની ઉદારતા એ ઉદારતા નથી, પણ યોજનાના સમુચિત અભાવનું પરિણામ છે, તે સમજી લેવાનું રહે.

ઇન્ટર્નશિપને મામલે યુનિવર્સિટી બેઠકમાં સાયન્સ કોલેજના કેટલાક આચાર્યોએ સમગ્ર પદ્ધતિનો સખત વિરોધ કર્યો, પણ તેમની ચિંતા જે તે પદ્ધતિને ઇન્ટર્નશિપ ગણવા કરતાં, વિદ્યાર્થીઓને કંઇ થાય, તો તેની જવાબદારી કોની એ મામલે વધારે હતી. બીજો વાંધો ગર્લ્સ કોલેજની વિદ્યાર્થિનીઓ એકલી ઇન્ટર્નશિપ માટે બહાર જવા તૈયાર ન થાય કે તેના વાલીઓ એમ અજાણી જગ્યાએ મોકલવા તૈયાર ન થાય તો શું, એનો હતો. એનો તોડ એવો લાવવામાં આવ્યો કે કોઈ એજન્સી કે ઇન્ડસ્ટ્રીને કોલેજમાં મહિના માટે બોલાવીને 120 કલાકની કામગીરી કરાવી શકાય, તો ઇન્ટર્નશિપનો પ્રશ્ન ઉકેલી શકાય, બીજા શબ્દોમાં રવિવાર સહિત બધા દિવસ કામગીરી ચાલે તો પણ ઇન્ટર્નશિપ માટે રોજના 4 કલાક અલગ ફાળવવા પડે. વિદ્યાર્થીઓ એટલો સમય કોલેજ સમય સિવાય આપવા રાજી હોય કે કેમ તે પ્રશ્ન જ છે કે એને જ કોલેજ સમય ગણી લેવાનો છે? એ સાથે જ ઇન્ટર્નશિપ માટે વિદ્યાર્થીઓ બહાર જાય ને કંઇ થાય તો તેની જવાબદારી કોની એ સવાલ તો ઊભો જ છે.

ગુજરાત યુનિવર્સિટીનો તો અહીં દાખલો માત્ર છે, પણ ઘણી યુનિવર્સિટીઓમાં ઇન્ટર્નશિપ નવી શિક્ષણ નીતિમાં ફરજિયાત હોવા છતાં લાગુ થઇ ન હોય અથવા તરતમાં જ લાગુ થઇ હોય એમ બને. વારુ, જ્યાં લાગુ થઇ હોય ત્યાં ગુજરાત યુનિવર્સિટી જેવી હાલત હોય, એ પણ સમજી શકાય એવું છે. એમ.એસ. યુનિવતગસિટી, બરોડામાં પણ એવી જ હાલત છે. ત્યાં, આર્ટ્સમાં ટી.વાય.માં ભણતા 900 વિદ્યાર્થીઓ પહેલી વખત હવે ઇન્ટર્નશિપ કરશે. ત્યાં પણ હજી કંપનીઓ કે એન.જી.ઓ. સાથે વાટાઘાટો ચાલે છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, ભાવનગરે તો મોટા ઉપાડે ઇન્ટર્નશિપ નીતિ જાહેર કરી, પણ યુનિવર્સિટીને યુથ કાઁગ્રેસ અને NSUIએ આવેદન આપ્યું છે. NSUIનું કહેવું છે કે ઇન્ટર્નશિપ અંગેની ગાઈડલાઈન જાહેર કરવામાં અતિશય વિલંબ થયો છે. નવું સત્ર 4 ડિસેમ્બરે શરૂ થતું હોય ત્યારે, 1 ડિસેમ્બરે આચાર્યોની બેઠક કરાય એ કેવું? વળી ભાવનગરમાં મોટા ઔદ્યોગિક એકમો ને કંપનીઓનો અભાવ હોય ત્યારે ઇન્ટર્નશિપ લાગુ કરવામાં પણ મુશ્કેલીઓ છે. એ સ્થિતિમાં તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે અન્ય વિકલ્પ વિચારવો જોઈએ એવી NSUIની માંગ છે.

આ જ હાલત રહી તો ઘણાં વિદ્યાર્થીઓ સેમેસ્ટર પતે પછી ઇન્ટર્નશિપ કરે એમ બને. નવી શિક્ષણ નીતિમાં ઇન્ટર્નશિપ ફરજિયાત લાગુ કરવામાં છે, એટલી એકવાક્યતા તેનાં અર્થઘટનમાં નથી, નહિતર, અભ્યાસ જોડે સ્નાન સૂતકનો ય સંબંધ ન હોય એવી પ્રવૃત્તિઓ ઇન્ટર્નશિપ તરીકે ઠઠાડી દેવાનું બને કઈ રીતે? યુનિવર્સિટીઓનું આ મનસ્વી અર્થઘટન ચિંતા ઉપજાવનારું છે. કંઇ પણ શીખવાનો તો વાંધો જ ન હોય, પણ જ્યારે વિદ્યાશાખાઓ ચોક્કસ હેતુસર અસ્તિત્વમાં આવી હોય, તો તેની વિશેષતા ને વિશિષ્ટતા જળવાય તે રીતે સંબંધિત પ્રવૃત્તિઓ થાય તે અપેક્ષિત છે. તેને બદલે મોંમાથા વગરની પ્રવૃત્તિઓ કોઈ પણ જાતના વિઝન વગર ઠઠાડી દેવાય તે બધી રીતે નિંદનીય છે.

અને છેલ્લે –

આટલી બેદરકારી વિદ્યાર્થીઓ કોઈ બાબતે દર્શાવે તો તેને યુનિવરસિટીઓ ક્ષમ્ય ગણશે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 01 ડિસેમ્બર 2025

Loading

...102030...109110111112...120130140...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved