Opinion Magazine
Number of visits: 9842403
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સવાલ પૂછનાર નહીં, જવાબ નહીં આપનારા દેશદ્રોહી છે

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|3 December 2025

હેમન્તકુમાર શાહ

‘દિશા’ દ્વારા સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાઓના ખેડબ્રહ્મા, પોશીના, દાંતા, અમીરગઢ, મેઘરજ અને વિજયનગર એમ છ તાલુકાના લગભગ ૭૦ જેટલા યુવાન નાગરિકો માટે યોજાયેલી ‘નાગરિક શાળા’માં આજે ત્રણેક કલાક આપેલા વ્યાખ્યાનના મુખ્ય મુદ્દા આ રહ્યા :

(૧) લોકશાહી એ સૌથી વધુ મૂલ્યવાન વહીવટી વ્યવસ્થા છે. એનું કારણ એ છે કે એ વ્યવસ્થામાં જ નાગરિકોને અધિકારો હોય છે, બીજી કોઈ પણ વ્યવસ્થામાં એ મૂળભૂત માનવ અધિકારો હોતા નથી. એ અધિકારો ન હોય તો આપણે જંતુ જેવા થઈ જઈએ. 

(૨) રાજાઓ હતા ત્યારે આપણે પ્રજા હતા. હવે રાજાઓ નથી, માટે આપણે પ્રજા નથી. હવે લોકશાહી છે અને એમાં આપણે નાગરિકો છીએ, પ્રજા નહીં. પ્રજાને કોઈ હક હોતો નથી, નાગરિકોને હક હોય છે. આજે દુનિયામાં જ્યાં પણ રાજાશાહી કે તાનાશાહી છે ત્યાં હકીકતમાં લોકો પ્રજા છે, નાગરિકો નહીં. આપણે નાગરિક બની રહેવા માટે મહેનત કરવી પડશે. આપણે પ્રજાસત્તાક નથી, આપણે નાગરિકસત્તાક છીએ. 

(૩) આપણે ૧૯૫૦માં બંધારણ બનાવીને આપણી જાતને આપણે પ્રજામાંથી નાગરિક બનાવી છે. હવે આપણે ફરી પ્રજા થઈ જઈએ નહીં એનું ધ્યાન રાખવાની જવાબદારી આપણી પોતાની છે. 

(૪) ભારતનું બંધારણ એક એવો કાયદો છે કે જેમાં આપણા અધિકારો આપણે લખેલા છે અને તેથી ચૂંટાયેલા લોકોની એ ફરજ છે કે તેઓ આપણા અધિકારોનું રક્ષણ કરે. આજકાલ આપણને આપણી ફરજોની યાદ અપાવવામાં આવે છે ત્યારે આપણે નેતાઓને આપણા અધિકારોનું રક્ષણ કરવાની એમની ફરજની યાદ આપવાની જરૂર છે.

(૫) રાજાઓ ગયા પણ ઘણા ચૂંટાયેલા નેતાઓ આજકાલ રાજાની જેમ વર્તે છે. અબજો રૂપિયાનો બેફામ ખર્ચ કરે છે. એ આપણા પૈસા છે. સરપંચ હોય કે વડા પ્રધાન, જે રાજાની જેમ વર્તે એને એમના ઘરમાં બેસાડી દેવાની નાગરિકોની ફરજ છે. એ ફરજ ચૂકીશું તો લોકશાહી સામે ખતરો ઊભો થશે. 

(૬) પંચાયતોમાં આપણે સ્વશાસન ઊભું કરવાનું છે. પંચાયતો એ સ્થાનિક સ્તરની સરકાર છે એમ બંધારણ કહે છે. જો ગ્રામ પંચાયતો લોકોની ભાગીદારીથી ચાલતી થશે તો જ લોકશાહી મજબૂત થશે. પણ ગુજરાત સરકાર ઇચ્છતી જ નથી કે સરપંચો એમ સમજે કે ગ્રામ પંચાયત એ ગામની સરકાર છે. એને ખરેખર સરકાર તરીકે કામ કરવા દેવામાં આવતું નથી. પંચાયતો રાજ્ય સરકારની ગુલામડી અને બિચારીબાપડી કરી દેવાઈ છે. 

(૭) આપણો હજારો વર્ષોનો ઇતિહાસ રાજાશાહીનો ઇતિહાસ રહ્યો છે. માત્ર ૭૫ વર્ષથી જ આપણે લોકશાહીમાં શ્વાસ લઈ રહ્યા છીએ. એ શ્વાસ રૂંધાઈ ન જાય તેની કાળજી રાખવાની છે. એ કાળજી ત્યારે જ રાખી કહેવાય કે જ્યારે આપણે સરકારને સવાલો પૂછીએ. સરકારને સવાલ પૂછનાર દેશદ્રોહી નથી, સવાલનો જવાબ ન આપનાર સરકાર દેશદ્રોહી છે. 

(૮) જે નાગરિક સરકારને સવાલ નથી પૂછતો, સરકારની ટીકા કરતો નથી, એ પ્રજા બની જાય છે, નાગરિક રહેતો જ નથી. ઘણી વાર તો એની ખબર એને પોતાને પણ પડતી નથી કે એ પ્રજા બની ગયો! સાચવો, આપણને નાગરિકમાંથી પ્રજા બનાવી દેવાનું મસમોટું કાવતરું ચાલી રહ્યું છે. 

તા.૦૨-૧૨-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર

દીપક મહેતા|Opinion - Opinion, Profile|3 December 2025

આજથી દસેક દાયકા પહેલાંની આ વાત છે. મુંબઈમાં જુનિયર બી.એ.માં ભણતો એક વિદ્યાર્થી. દોઢેક મહિના સુધી યુનિવર્સિટી ઓફ બોમ્બેની લાયબ્રેરીમાં રોજના પાંચ-છ કલાક બેસીને ભારતીય સંસ્કૃતિની પરંપરા, જુદા જુદા ધર્મો અને સંપ્રદાયો, વગેરે વિષે વાંચે છે, નોંધો કરે છે. કેમ? કારણ, ‘૧૯મી સદી દરમ્યાન પશ્ચિમ ભારતમાં થયેલી ધાર્મિક પ્રવૃત્તિઓ’ વિષેની નિબંધ હરીફાઈમાં ભાગ લેવાનું તેના અધ્યાપકે કહ્યું છે. ૧૦૦ ફૂલસ્કેપ પાનાંનો નિબંધ લખી સ્પર્ધામાં મોકલે છે, અને ૨૦૦ રૂપિયાનું ઇનામ મેળવે છે.

દાયકાઓ પછી એ વિદ્યાર્થી ગાંધીજી અને આપણા પાંચ સાક્ષરો વિષે પુસ્તક લખે છે. સંદર્ભ માટેનાં એક-બે પુસ્તકો અમદાવાદમાં ક્યાંયથી નથી મળતાં. ‘ચાલશે’ એમ નહીં. આ લખનારને ‘વિનંતી’ કરી મુંબઈની લાયબ્રેરીઓમાંથી તેની ઝેરોક્સ નકલો મેળવીને જ જંપે છે. અને યુવાન વિવેચકો કે સંશોધકોને પણ ઈર્ષા આવે એવું પુસ્તક આપણને આપે છે. પેલો જુનિયર બી.એ.માં ભણતો વિદ્યાર્થી અને ‘ગાંધીજી અને પાંચ સાક્ષરો’ પુસ્તકના લેખક તે બંને એક જ – ધીરુભાઈ ઠાકર.

કોડીનાર જેવું ગામડું, જ્યાં જન્મ થયેલો, ૧૯૧૮ના જૂનની ૨૭મી તારીખે. ૨૦૧૪ના જાન્યુઆરીની ૨૨મી તારીખે આપની વચ્ચેથી વિદાય લીધી. એટલે વરસ ગણો તો આયુષ્ય ૯૬ વર્ષ. પણ નારાયણ દેસાઈએ તેમને ‘ચિરયુવા’ તરીકે અને ‘આજીવન સંશોધક’ તરીકે ઓળખાવ્યા હતા. ધીરુભાઈ ચિરયુવા રહી શક્યા, કારણ આજીવન સંશોધક રહ્યા. જે માણસ સતત નવું નવું શોધતો જ રહે તે જૂનો કઈ રીતે થાય? એટલે ‘જ્ઞાનવૃદ્ધ’ એ જ ધીરુભાઈની સાચી ઓળખ, ‘વયોવૃદ્ધ’ એ એમની સાચી ઓળખ નહીં.

બાળપણનાં વર્ષો ગામડામાં વીત્યાં. શરૂઆતમાં તો ભણવાનું પણ અનિયમિત. પિતાજી સાત ચોપડી ભણેલા. સાહિત્યના સંસ્કાર ક્યાંથી આવ્યા હશે? આજે તવંગરોનાં ઘણાં ઘરમાં પણ જે જોવા નથી મળતાં તે પુસ્તકો એમના ઘરમાં હતાં. વડોદરા રાજ્યની નોકરીમાં ટૂંકો પગાર, પણ પિતાનો વાચનશોખ ટૂંકો નહીં. ભીંતમાં જડેલા કબાટમાં રહેતાં જે પુસ્તકો વાંચેલાં તે દાયકાઓ પછી પણ ધીરુભાઈને યાદ : કપડાનું પૂંઠું ચડાવેલું શ્રીમદ્ ભાગવત, નથ્થુરામ શર્માની ટીકાવાળી ગીતા, સસ્તું સાહિત્યનું મહાભારત, ગિરધરકૃત રામાયણ, ગુજરાતી પ્રેસના કાવ્યદોહનના આઠ ભાગ, સરસ્વતીચંદ્રના ત્રણ ભાગ, વગેરે. આ પુસ્તકોને સંભારીને ધીરુભાઈ કહે છે : “આ પુસ્તકોએ અમારા નાનકડા કુટુંબની વાચનરુચિ ઘડીને સતેજ રાખી હતી.”

અને છતાં બીજા અનેક યુવાનોની જેમ સ્વપ્ન તો જોયું હતું ઈજનેર બનવાનું. ગુજરાત કોલેજમાં સાયન્સનું ભણવા દાખલ પણ થયા. પણ પ્રેક્ટિકલ પરીક્ષા દરમ્યાન હાથમાંની ક્રૂસિબલ પડીને તૂટી ગઈ અને ગુજરાતી સાહિત્યના સારા નસીબે ધીરુભાઈ પ્રેક્ટિકલમાં નાપાસ થયા. ૧૯૩૬ના જૂનમાં મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ઇન્ટર આર્ટસમાં દાખલ થયા. પણ તેમની કારકિર્દીને ઘાટ આપ્યો તે તો એલ્ફિન્સ્ટન કોલેજ અને તેના ગુજરાતીના અધ્યાપક અને જાણીતા ભાષાશાસ્ત્રી ડૉ. કાંતિલાલ બી. વ્યાસે. પછી તો બી.એ. થઈને એ જ કોલેજમાં ધીરુભાઈ અધ્યાપક થયા. પણ પછી વ્યવહારડાહ્યો ગુજરાતી સહેલાઈથી ન લે તેવા નિર્ણયો લીધા. એ વખતે એલ્ફિન્સ્ટન કોલેજ માત્ર મુંબઈની જ નહીં, આખા પશ્ચિમ ભારતની અગ્રણી કોલેજ હતી. પણ તે છોડીને અમદાવાદ આવી ગુજરાત કોલેજમાં જોડાયા. ૧૯૬૦માં ગુજરાતનું અલગ રાજ્ય થતાં ગુજરાત કોલેજ આખા રાજ્યની અગ્રણી કોલેજ બની. લગભગ તે જ વખતે બેંતાલીસ વર્ષની ઉંમરે આ કોલેજ છોડી રેલવે સ્ટેશન પણ ન ધરાવતા મોડાસામાં શરૂ થતી નવી કોલેજના આચાર્ય તરીકે જોડાયા. ૧૮ વર્ષમાં એ કોલેજને એવી વિકસાવી કે ઉમાશંકર જોશી મોડાસાને ‘સાબરકાંઠાનું ઓક્સફર્ડ’ તરીકે ઓળખાવતા. નિવૃત્તિ પછી ૬૭મે વર્ષે વિશ્વકોશના મુખ્ય સંપાદકની જવાબદારી સ્વીકારી. અંગ્રેજીમાં કહે છે તેમ ‘ધ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી.’

ધીરુભાઈનો અંગત પરિચય તો છેલ્લાં થોડાં વર્ષોમાં થયો. પણ પાંચેક દાયકા પહેલાં બી.એ. અને એમ.એ.માં અભ્યાસ કરતો હતો ત્યારથી તેમનાં પુસ્તકો દ્વારા પરોક્ષ પરિચય થયો હતો. પણ તેમાંથી એ વખતે હજી નવું પ્રગટ થયેલું ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યની રૂપરેખા’ પુસ્તક તો અમારું વિદ્યાર્થીઓનું બાઈબલ હતું. એ પછી તો તેની બારેક આવૃત્તિઓ થઇ છે, પણ એ વખતે વાપરતો એ નકલ સાવ જીર્ણ થઇ ગઈ છે તો ય હજી સાચવી રાખી છે.

મુંબઈ સાથેનો ધીરુભાઈનો સંબંધ થોડાં વરસનો જ. છતાં તેઓ ‘સ્મરણમાધુરી’ પુસ્તકમાં લખે છે: “મુંબઈમાં હુ પાંચ વર્ષ રહ્યો. તે દરમ્યાન મારું બૌદ્ધિક ઘડતર થયું. વિવિધ રસરુચિ અને શક્તિ ધરાવતા પચરંગી (કોસ્મોપોલિટન) જનસમુદાયના સંસર્ગમાં આવવાનું થયું તે મોટી વાત હતી. નવી તાજી હવા માટે મગજનાં બારીબારણાં ખુલી ગયાં હતાં. આશા, ઉત્સાહ, અને પ્રવૃત્તિપ્રેરક ચેતના દેશના વાતાવરણમાં અનુભવાતી હતી તેનો સવિશેષ અનુભવ મુંબઈમાં થતો.” 

ધીરુભાઈની તપશ્ચર્યાનાં મૂળ એટલાં ઊંડાં અને મજબૂત કે આજે ‘ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’ એક વિશાળ વડલો બનીને અનેક દિશાઓમાં પોતાની ડાળીઓ ફેલાવી રહ્યું છે. ચોથી ડિસેમ્બરે તેની સ્થાપનાને ચાલીસ વરસ પૂરાં થાય છે ત્યારે ધીરુભાઈને માનવંદના. 

XXX XXX XXX

03 ડિસેમ્બર 2025
e.mail : deepakbmehta@gmail.com

Loading

કાન્તનું મંથન : ધર્મ, કવિતા અને સત્યની અનંત ખોજ

પ્રકાશ ન. શાહ|Opinion - Literature|3 December 2025

વિશ્વના મહાન કવિઓમાંના એક એવા ‘કાન્ત’ની કલમ 1891માં શા માટે અટકી, અને તેમનું મન કાવ્યમાર્ગને બદલે ધર્મ અને સત્યની કઈ ખોજમાં ચકરાવે ચડ્યું?

જોગાનુજોગ, ‘કાન્ત’ના 158મા જન્મદિવસે (વીસમી નવેમ્બરે), ગુજરાતી સાહિત્ય પરિષદના રા.વિ. પાઠક સભાગૃહમાં જય ખોલિયાનું ‘કાન્ત’ વિષયક દસ્તાવેજી ચિત્ર જોવાનું બન્યું. પૂર્વાલાપ ફાઉન્ડેશન દ્વારા પ્રાપ્ત સર્વપ્રથમ ફેલોશિપ અતંર્ગત નિર્મિત આ ફિલ્મ જોતો હતો અને એમાં ‘કાન્ત’ના પુત્ર મુનિકુમાર ભટ્ટનો ઉલ્લેખ આવ્યો, તે સાથે હું સહસા પાંચેક દાયકા પાછળ ચાલ્યો ગયો. ભાવનગરમાં મુનિકુમારના ‘તપોવન’ બંગલામાં મિત્ર અજય પ્રિયવદન પાઠકના સ્નેહવશ એક રાત ગાળવાનું બન્યું હતું. એ રાતે ચિત્ત કંઈક જુદા જ ચગડોળે ચડી ગયું હતું.

એ રાત્રિ મારે સારુ એક મોટા કવિની નહીં, પણ ધર્મચિંતકની મનોમન મુલાકાતની હતી. ત્યારે અને અત્યારે ય બને કે કંઈક ઓછી માહિતીવશ પણ મારી લાગણી એ રહી છે કે ‘કાન્તે’ 1900માં ‘પવિત્ર ભોજન’પૂર્વક ખ્રિસ્તમતનો જાહેર અંગીકાર કીધો એની પૂંઠે એમનું જે મંથન રહ્યું હશે એને આપણે ઘટતો ન્યાય આપી શક્યા નથી. કદાચ, આખી ચર્ચા એમના મંથન અને ચિંતનને બદલે ચકચારી રીતે એમના ધર્મપરિવર્તન આસપાસ ચકરાવે ચડી ગઈ છે. જે કવિહૃદયે 1888માં એક એલ્ફિન્સ્ટોનિયનને નાતે બી.એ. થવા વાસ્તે ચહીને લોજિક અને મોરલ ફિલોસોફી જેવા વિષયો લીધા હતા, તેણે કરેલ નિર્ણયની પૂંઠે કંઈક તો વજૂદ હશે જ. હવે ફ્રિન્જ લાઈન ચર્ચોમાં જ ક્યાંક રહી ગયેલી ને ખરીખોટી વગોવાયેલી વટાળ પ્રવૃત્તિનો સામાન્ય કિસ્સો તો એ ન જ હોય. પણ બ.ક.ઠા. સરખા વિદ્યાવારિધિ નિકટમિત્ર સુદ્ધાં એમના મનોમંથનની રગ પકડવામાં ઊણા પડ્યા ને એક ગાળા માટે એમની મૈત્રીમાં મુદ્દત પડી ગઈ હતી.

મુદ્દે, સતત સંભારાતા ‘કાન્ત’ એમણે 1886થી 1891 દરમ્યાન જે સર્જનયજ્ઞ માંડ્યો તે કવિ ‘કાન્ત’ છે. પણ ગુજરાતી પાઠ્યપુસ્તક કે સાહિત્યિક પુસ્તકની જરી બહાર જઈએ તો તે પછીનાં વરસો એમના ધર્મમંથનનાં છે. ક્યાં ક્યાં નથી વિહર્યા ને વિચર્યા, એ! બુદ્ધ કને જાય છે અને એમની કરુણા ને વર્ણાશ્રમવિરોધને હૈયે ધરે છે. જો ખ્રિસ્તમતનું કલ્યાણ સ્વરૂપ એમને વસે છે તો ઈસ્લામનો ભ્રાતૃભાવ (અને ધાર્મિક આવેશ) પણ સ્પર્શે છે. સંતપરંપરાના હૃદયબોલમાંયે એ ઊંડા ઊતર્યા છે. છેવટે, 1897-98 લગી પહોંચતે પહોંચતે એકત્રીસમે એમને દિલનો કરાર સાંપડ્યો હોય તો એ સ્વીડનબોર્ગમાં છે.

રા.વિ.એ ‘પૂર્વાલાપ’ની બીજી આવૃત્તિ વેળાએ જે ઉપોદ્દઘાત લખ્યો, સપ્ટેમ્બર 1926માં, તે અધ્યાપિ બિલકુલ મેરુદંડવત છે. પાઠકસાહેબે લખ્યું છે કે કવિએ ફિલસૂફી અને ધર્મની શોધમાં ન પડતાં કાવ્યમાર્ગે જ પ્રગતિ કરી હોત તો સારું એમ કહેવું સહેલું છે. ‘પણ આપણે જાણવું જોઈએ કે એ કાવ્યો પણ, જે સત્યની ખોજ તેઓ કરતા હતા તેમાંથી જ ઉદ્દભવતાં હતાં.’ પહેલાં પત્ની નર્મદા (નદી) પાછાં થયાં, 1891માં, અને કવિની કલમ જાણે અટકી ગઈ. ‘કોઈ વસમી આપત્તિથી હૃદય ઘાયલ થાય ત્યારે મૃદુ થઈ દ્રવે.’

પાઠકસાહેબ લખે છે, ‘પણ કાન્તનાં કાવ્યોમાં માત્ર આમ થતું નથી … તેમાં જગતની યોજનાની અપૂર્ણતા છે એ સામે કવિમાનસની ફરિયાદ છે, પોકાર છે.’ આ માનસને અને આ હૃદયને પતિ-પત્ની સ્વર્ગમાં મળી શકે એવો સધિયારો સંપડાવતાં સ્વીડનબોર્ગીય દર્શનમાં સમાધાન અનુભવાયું, 1898 પહોંચતે પહોંચતે અને આગળ ચાલતાં એમણે ઉપવીત છોડ્યું, ને 1900માં તો ‘પવિત્રભોજન!’ ‘કાન્ત’-સંપર્કે કલાપીએ પણ સ્વીડનબોર્ગીય સૃષ્ટિમાં કંઈક પ્રવેશ કીધો છે. જો કે, સ્નેહે ઝૂરતા કવિ માટે નિકટના સ્વજનોથી વંચિત અવસ્થામાં (નાત બહાર) રહેવું આકરું ને અકારું હતું એટલે વિધિવત્‌ પ્રાયશ્ચિતપૂર્વક પાછા ફર્યા પણ દિલનો કરાર તો ખ્રિસ્ત સાથે હતો તે હતો. નાતના જમણવાર વખતે એ જગન્નાથના મરાલકુલનાયક જેવા પોતે બગલાંથી ઘેરાયેલા જેવું અનુભવતા એવું એક સમકાલીન સ્મરણ નોંધાયેલું છે.

 છેલ્લાં વર્ષોમાં એમણે મુંબઈથી સ્વીડનબોર્ગીય પત્રિકા પ્રકાશનમાં રસ લીધો ત્યારે એક સમજ જરૂર પાકી હતી કે એના અનુસરણ માટે ધર્મપરિવર્તન જરૂરી નથી. ગાંધીને શ્રીમદ્ રાજચંદ્રનો ભેટો થયો એવી કોઈ બીનાથી ‘કાન્ત’ વંચિત છે. પણ એમની વિચારરૂખમાં આર્યસમાજના અંશો, ઋગ્વેદના કોઈક સૂક્ત વગેરે મૂળભૂત સ્વીડનબોર્ગીય આરત સાથે સંકળાયેલ વરતાય છે. કલ્પનાને જરી છૂટો દોર આપું તો ગાંધીને પોતાની તરેહના વિશ્વવત્સલ ખ્રિસ્તમતીલા તોલ્સ્તોય મળ્યા તે જો ‘કાન્ત’ને મળ્યા હોત તો?

હવે સંકેલો કરું તે પહેલાં મને ગમતી એક ‘કાન્ત’-છવિ નાનાભાઈ ભટ્ટની આત્મકથામાંથી સંભારું. પ્રો. નૃસિંહપ્રસાદ ભટ્ટ, ટૂંકમાં ને માનથી શ્રીમન નથુરામ શર્માના વર્તુળમાં પ્રસાદજી- એમણે ભાવનગરનાં પ્રોફેસરી પરહરી છાત્રો માટે દક્ષિણામૂર્તિની શરૂઆત કરી ત્યારે ગુરુપૂર્ણિમાએ નથુરામ શર્માનું પૂજન છાત્રાવાસમાં કરતા. 

એક વાર પૂજન વખતે ડંગોરો ખખડાવતા ‘કાન્ત’ પ્રવેશ્યા અને એમણે નાનાભાઈને શબ્દે શબ્દે ઝૂડ્યા કે તારો ગુરુ હોય તેમાં આ છોકરાને શું. પરંપરાગત માળખામાંથી નૃસિંહપ્રસાદને નાનાભાઈ બનવા ભણી લઈ જતો એ નવી કેળવણીનો ઇતિહાસધક્કો હતો.

હમણેના દાયકાઓમાં ગુજરાત એ વાતે રળિયાત છે કે સતીશ વ્યાસના ‘જળને પડદે’ નાટકથી આપણે ‘કાન્ત’ સાથે મુખોમુખ થયા અને હવે જયની આ ડોક્યુમેન્ટરી પણ આપણી વચ્ચે છે. અને હા, ‘કુમાર’માં સિલસિલાવાર પ્રગટ થયેલું કાન્તચરિત્ર પણ પ્રફુલ્લ રાવલના આખરી ઓપ સાથે ગ્રંથસ્થ થવામાં છે. ઇચ્છું કે ગુજરાતની પ્રસંગોપાત પ્રગટ થવા કરતી, વચ્ચે વળી વળીને ખોડંગાતી રેનેસાં મથામણને ‘કાન્ત’ના જીવનસમગ્રના પરિચયે લગરીક પણ ચાલના મળે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 03 ડિસેમ્બર  2025

Loading

...102030...108109110111...120130140...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved