Opinion Magazine
Opinion Magazine
Number of visits: 8399879
  • Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
  • About us
    • Launch
    • Digitisation
    • Opinion Online Team
    • Contact Us

ઋષિ સુનકમાં ખુશ થવા જેવું ભારતીયપણું શું છે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|1 August 2022

તમે સપરિવાર રેસ્ટોરન્ટમાં જમવા ગયા હો, ત્યારે એક દૃશ્ય અચૂક જોયું હશે. જમવાનું પતી ગયું હોય, અને વેઈટર અથવા તો મેનેજર તમારા ટેબલ પાસે આવીને તમારી સાથે અપેક્ષા સભર આંખો મિલાવે, એટલે તમે કહો કે “જમવાનું જોરદાર હતું,” અને એ એટલો બધો ખુશ થઇ જાય કે તમને એવું લાગે કે જાણે કિચનમાં એપ્રોન પહેરીને એ જાતે છેલ્લા અડધા કલાકથી તમારા માટે મરી-મસાલાનો વઘાર કરતો હતો!

બ્રિટનમાં, બોરિસ જોહ્નન્સનના રાજીનામા પછી, અગામી વડા પ્રધાનની રેસમાં દોડી રહેલા ભારતીય મૂળના ઉમેદવાર ઋષિ સુનકને લઈને છેલ્લા ઘણા વખતથી ભારતના લોકોની હાલત રેસ્ટોરન્ટના વેઈટર જેવી છે. બ્રિટનમાં હવે એક “ભારતીય વડા પ્રધાન” હશે તેવા શુભ સમાચારોથી ભારતીયોમાં “ગૌરવ”નું એક એવું સામૂહિક કલાઇમેકસ આવી ગયું છે, જાણે ઋષિ સુનકને બાળપણથી મોટા કરવામાં તેમનો સીધો હાથ હોય! આને બેગાની શાદી મેં અબ્દુલા દીવાના પણ કહી શકાય.

ડાયસ્પોરામાં ભારતીય નામો વાંચીને ભીના થઇ જતા ભારતીયો એ જાણવાની પણ તસ્દી લેતા નથી કે જેમની શાદીમાં તેઓ દીવાના થાય છે તે સાચે જ “આપણા”માંના છે કે “એ” લોકો પૈકીના. પહેલી વાત તો એ કે બ્રિટનમાં ચાન્સેલર ઓફ એક્સ્ચેકર (નાણા મંત્રી) રહી ચૂકેલા અને 2015થી સંસદ સભ્ય ઋષિ સુનક જન્મે જ બ્રિટિશર છે. સધર્ન ઇંગ્લેન્ડમાં આવેલા સાઉધમ્પટન શહેરમાં 1980માં તે જન્મ્યા હતા. તેમના સંજય અને રાખી નામનાં બે ભાઈ-બહેન પણ છે.

તેમનાં માતા-પિતા યશ્વીર અને ઉષા સુનક, સાઉથઇસ્ટ આફ્રિકાના ભારતીય ડાયસ્પોરામાંથી આવે છે. પિતા યશ્વીર કોલોની એન્ડ પ્રોટેકટોરેટ ઓફ કેન્યા(હાલના કેન્યા)માં જન્મ્યા હતા, જ્યારે માતા ઉષા ટાંગાન્યીકા(જે પછીથી તાન્ઝાનિયામાં ભળી ગયું હતું)માં પેદા થયાં હતાં. યશ્વીર અને ઉષાનાં પેરેન્ટ્સ મૂળ પંજાબનાં હતાં અને ઇસ્ટ આફિકા સ્થળાંતર કરી ગયાં હતાં. સાઈઠના દાયકામાં બંને ઇંગ્લેન્ડ ગયાં હતાં. યશ્વીર જનરલ ફીઝીશિયન હતા અને ઉષા દવાની દુકાન ચલાવતાં હતાં.

ઋષિએ હેમ્પશાયરની સ્કૂલમાં અને વિન્ચેસ્ટર બોર્ડિંગ કોલેજમાંથી પ્રાથમિક ભણતર મેળવ્યું હતું. વેકેશનમાં તે સાઉધમ્પટનની હોટેલમાં વેઈટરનું કામ કરતા હતા. 2001માં તે ઓક્સફર્ડની લિંકન કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા હતા. તેમનાં લગ્ન, ઇન્ફોસિસવાળા નારાયણ મૂર્તિની પુત્રી આકાંક્ષા મૂર્તિ સાથે થયાં છે. ઋષિ ચાન્સેલર હતા ત્યારે ટેક્સના મામલે વિરોધ પક્ષોએ આકાંક્ષાને નિશાન બનાવી હતી.

એક ભારતીય સમાચારપત્રને ઋષિએ કહ્યું હતું, “વસ્તી ગણતરીમાં ‘બ્રિટિશ ઇન્ડિયન’ એવું ખાનું હોય છે, હું તેમાં ટિક કરું છું. હું સંપૂર્ણપણે બ્રિટિશ છું, આ મારું વતન અને મારો દેશ છે, પણ મારો ધાર્મિક તેમ જ સાંસ્કૃતિક વારસો ભારતમાં છે, મારી પત્ની ભારતીય છે.”

ઋષિ સુનક, બ્રિટનના વડા પ્રધાનપદની રેસમાં પહોંચી ગયા તેમાં તેમનું બ્રિટિશ હોવું કારણભૂત છે, ભારતનું મૂળ નહીં. બ્રિટનમાં કોઈપણ બ્રિટિશ નાગરિક વડા પ્રધાન બની શકે છે, પછી ભલે તેનો જન્મ બીજે ક્યાંક થયો હોય. બીજી રીતે કહીએ તો, કોમનવેલ્થ દેશનો કોઈ પણ નાગરિક બ્રિટિશ વડા પ્રધાન બની શકે. આમાં વ્યક્તિની લાયકાત તો ખરી જ, સિસ્ટમ પણ તેને મદદ કરે છે.

તો, ઋષિ સુનક તેમની પ્રતિભાના જોરે એક ઉદારવાદી દેશમાં ટોચ સુધી પહોંચે, તેમાં આપણે શું કામ ખુશ થવું જોઈએ? જયારે પણ ભારતીય મૂળની કોઈ વ્યક્તિ યુરોપ-અમેરિકામાં સફળ થાય છે ત્યારે આપણે એવી રીતે ખુશ થઈએ છીએ જાણે તેની સફળતામાં આપણું યોગદાન હોય. એમ તો એવા ઘણા ભારતીયો રશિયા, ફ્રાન્સ કે ચીનમાં પરસેવો પાડે છે, પણ તેમને અમેરિકા-બ્રિટન જેવી સફળતા નથી મળતી.

બુનિયાદી રૂપે, વ્યક્તિ અંદરની હોય કે બહારની, દેશ મેરિટ અને ટેલેન્ટને કેટલું મહત્ત્વ આપે છે, તેના પર તેની સફળતાનો આધાર રહે છે. ભારત સરકારનો તાજો અહેવાલ કહે છે કે 2021માં, દોઢ લાખથી વધુ ભારતીયો ભારતનું નાગરિકત્વ છોડીને અન્ય દેશોમાં સ્થાયી થઇ ગયા છે. તેમાં સૌથી વધુ લોકો અમેરિકા (78,284), ઓસ્ટ્રેલિયા (23,533), કેનેડા (21,597) અને બ્રિટન (14,637) ગયા છે.

કેમ? અલગ-અલગ કારણો છે, પરંતુ આખી દુનિયામાં સામાન્ય વલણ એવું છે કે લોકો સામાજિક-આર્થિક કારણોસર બીજા દેશમાં જાય છે. અમુક લોકોને બીજા દેશમાં તેમની ટેલેન્ટની વધુ સારી રીતે કિંમત થતી દેખાય છે, જયારે અમુક લોકોને વતનનું સામાજિક-રાજકીય વાતાવણ તેમની પ્રગતિમાં નડતરરૂપ લાગતું હોય છે. મેહુલ ચોકસી, નીરવ મોદી, વિજય માલ્યા, લલિત મોદી જેવા હાઈ-પ્રોફાઈલ લોકો કાયદકીય ચુંગાલમાંથી બચવા વિદેશ સ્થાયી થઇ જાય છે.

ટૂંકમાં, જે તે દેશનું સામાજિક-રાજકીય વાતાવરણ વ્યક્તિની સફળતા-નિષ્ફળતામાં ભૂમિકા ભજવે છે. ઇન્ડિયન-અમેરિકન બિઝનેસવુમન ઈન્દ્રા નૂઈ માટે હંમેશાં એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે તે અમેરિકા ન ગઈ હોત, તો એક મલ્ટીનેશનલ કંપનીની સી.ઈ.ઓ. અને ચેરપર્સન બની હોત? પેપ્સિકોમાં તે જોડાઈ ત્યારે તેના એક્ઝીક્યુટીવ વર્ગમાં એક પણ મહિલા નહોતી અને બધા જ ગોરા અમેરિકનો હતા. તેમા છતાં, નૂઈ કંપનીમાં સૌથી ઊંચી પોસ્ટ પર પહોંચી હતી.

તેનું કારણ અમેરિકન બિઝનેસ કલ્ચર છે. નૂઈ તેમની આત્મકથામાં લખે છે કે, “દુનિયામાં યુ.એસ. હજુ પણ સૌથી ઉદાર દેશ છે.” પુસ્તકમાં તે એક પ્રસંગ ટાંકે છે. એકવાર બ્રિટનના વડા પ્રધાન સાથે તેમની લંચ-મિટિંગ હતી. બંને ગપસપ કરતા હતા, ત્યારે વડ પ્રધાને સહજ રીતે પૂછ્યું કે વર્ષો પહેલાં તમે ભારતથી યુ.કે. કેમ ન આવ્યાં? (સિત્તેરના દાયકામાં યુ.કે. હોટ-ફેવરીટ હતું). નૂઈએ વડા પ્રધાનને કહ્યું, “હું જો યુ.કે. આવી હોત, તો તમારી સાથે લંચ કરતી નહોત.”

નૂઈને અમેરિકાએ એટલો મોટો અવસર આપ્યો હતો કે તે દુનિયાની સૌથી શક્તિશાળી કંપનીની સી.ઈ.ઓ. બની હતી અને તેના જોરે જ તે વડા પ્રધાનો અને રાષ્ટ્રપતિઓ ઊઠબેસ કરતી હતી. બ્રિટને આ તાકાત આપી હોત? એક ઈમિગ્રન્ટ, અને તે પણ મહિલા, માટે કોઈ કંપનીની સી.ઈ.ઓ. બનવાનું અમેરિકા સિવાય શક્ય નથી.

ભારતમાંથી બહાર જઈને સફળતાના પરચમ લહેરાવતા અગ્રવાલો, નડેલાઓ, નૂઈઓ અને પિચાઈઓ આપણી તાળીઓના હકદાર જરૂર છે, પણ આપણે તેમની ટેલેન્ટ અને જે તે દેશની ઉદારતા માટે ખુશ થવું જોઈએ, નહીં કે તેમના ભારતીય મૂળ માટે, કારણ કે ભારત કોઈ સ્પેશ્યલ ભૂમિ નથી કે તે દુનિયાના લીડરો પેદા કરે છે. આપણે તેમની સફળતામાંથી પ્રેરણા લઈને આપણી નિષ્ફળતા પર ચિંતન કરવું  જોઈએ.

ઈન્દ્રા નૂઈએ કહ્યું હતું, “હું એક એવી વાર્તા છું, જે માત્ર અમેરિકામાં જ ઘટી શકે.”

ઋષિ સુનક એક એવી વાર્તા છે, જે માત્ર બ્રિટનમાં જ આકાર લઇ શકે.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 31 જુલાઈ 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

સર્જક રાષ્ટ્રવાદી નથી હોતો; વિશ્વવાદી હોય છે !

રમેશ સવાણી|Opinion - Opinion|1 August 2022

પ્રિન્સટન, ન્યુ જર્સીમાં કનુભાઈ સૂચકના ઘેર ‘સાહિત્ય સંસદ, નોર્થ અમેરિકા’ના ઉપક્રમે, એક બેઠકનું આયોજન 30 જુલાઈ 2022ના રોજ થયેલ. તેમાં સર્જક મિત્ર ભૂપેન્દ્રસિંહ રાઓલ સાથે મને પણ આ બેઠકમાં હાજર રહેવાનો અવસર મળ્યો. સાંજના 5:00થી 7:00 સુધી સર્જક બાબુ સુથારે પોતાની કવિતાઓ અને વાર્તાઓનું વાંચન કર્યું; જલસો પડી ગયો ! બાબુ સુથારની રચનાઓમાં સામાજિક નિસ્બત છે, જે મને ગમી. સાહિત્ય, સામાજિક નિસ્બતવાળું ન હોય તો કામનું શું? એમની રચનાઓમાં ગૂઢાર્થ / વ્યંગ્ય હોય છે. એમની ફેસબૂક વોલ ઉપર આંટો મારશો તો મજા પડશે અને ખાતરી થશે કે સર્જક રાષ્ટ્રવાદી નથી હોતો; વિશ્વવાદી હોય છે !

પ્રસંગે લીધી છવિ : ભૂપેન્દ્રસિંહ રાઓલ, બાબુ સુથાર અને રમેશ સવાણી

બાબુ સુથાર કોણ છે? તેમના વિચારોથી જ જાણીએ :

[1] ગઈ કાલે ન્યૂ યોર્ક ગયેલો. Museum of Modern Art (MoMa) જોવા. છ માળના એ મ્યુઝિયમમાં બીજો માળ જોયો. સમકાલીન કળાનો. ત્યાં મોટા ભાગની કળા protest artની કોટિમાં જાય એવી. એ જોતાં સહેજે ગુજરાતી સાહિત્ય યાદ આવી ગયું અને થયું : હે રામ, આખેઆખી પેઢી જાણે કે મૂંગી થઈ ગઈ છે. આપણે વાત કરીએ લોકોની પીડાની અને ગુજરાતી સાહિત્યકારો વાત કરે પતંગિયાંની !

[2] Neuroscientistsના કહેવા પ્રમાણે આપણે મોટા ભાગના નિર્ણયો બે systems પ્રમાણે લેતા હોઈએ છીએ. System-1માં લાગણી અને સહજવૃત્તિ કામ કરતાં હોય છે; જ્યારે System-2માં તર્ક કામ કરતો હોય છે. એક સંશોધન પ્રમાણે 95% લોકો System-1 પ્રમાણે નિર્ણયો લેતા હોય છે. એમાં કોને મત આપવો એ અંગેના નિર્ણયનો પણ સમાવેશ થાય છે. એટલે જ રાજકારણીઓ મતદારોની લાગણીઓને સ્પર્શવાનો પ્રયાસ કરતા હોય છે; નહીં કે એમના તર્કને. આ જ વાત આપણા સાહિત્યકારોને પણ લાગુ પડે. મોટા ભાગના સાહિત્યકારો ભાવકોની લાગણી અને એમની સહજવૃત્તિને target બનાવતા હોય છે. બહુ થોડાં; ભાવકના logicને ધ્યાન રાખતા હોય છે. લોકપ્રિય સાહિત્યકારો પહેલા પ્રકારમાં આવે !

[3] એક મનોવૈજ્ઞાનિક પ્રયોગ: માએ એના બાળકને કહ્યું કે ગોડઝિલા જેવું કોઈ પ્રાણી નથી. એ એક કાલ્પનિક પ્રાણી છે. પછી માએ બાળકને YouTube પર જઈને ગોડઝિલા ફિલ્મની એક ક્લિપ બતાવે છે. એમાં ગોડઝિલા સાન ફ્રાન્સિસસ્કોનો Golden Bridgeને ખાતાં ખાતાં તોડી નાખતો હોય છે. થોડાક દિવસો પછી મા કારમાં એના છોકરાને લઈને પેલા Golden Bridge પરથી પસાર થાય છે. એ દરમિયાન બાળકને બીક લાગતી હોય છે: ક્યાંક ગોડઝિલા આવશે અને બ્રિજને તોડી નાખશે તો? મા એને સમજાવે છે કે ગોડઝિલા એક કલ્પના છે. પણ, બાળક એ વાત માનવા તૈયાર નથી. બાળક માને માનવા તૈયાર નથી, પણ ફિલ્મની imageને માનવા તૈયાર છે! Power of image over power of words.

[4] ભારતમાં ખાનગી યુનિવર્સિટીઓ શરૂ થઈ ત્યારે મને એમ હતું કે હાશ, હવે ત્યાં પણ અમેરિકાની જેમ યુનિવર્સિટીઓ જે બોલવું હશે તે બોલશે અને જે કરવું હશે તે કરશે. પણ, ના. એવું ન થયું. ઊલટાની મોટા ભાગની ખાનગી યુનિવર્સિટીઓ સરકારની પગચંપીમાં પડી ગઈ. કેમ કે એમને જ્ઞાનના નિર્માણ સાથે સંબંધ ન હતો. બધાંને તક મળી છે તો રળી લેવું હતું. ગયા અઠવાડિયે હું વરસો પછી જ્યાંથી મેં પીએચ.ડી.ની ડિગ્રી લીધી છે, એ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના કેમ્પસ પર લટાર મારવા ગયો. ત્યાં મેં Annenberg Public Policy Center જોયું. અત્યારે એમાં સાઈઠેક વિદ્વાનો સંશોધનનું કામ કરી રહ્યા છે! આ સેન્ટરના ઉપક્રમે આપણી altnewsના જેવી જ એક વેબસાઈટ ચલાવવામાં આવે છે. કોઈ રાજકીય પક્ષને કે વિચારધારાને ન વરેલી એવી આ સંસ્થા સતત રાજકારણીઓ જે કંઈ બોલે એ સાચું છે કે ખોટું છે એની તપાસ કરતી હોય છે અને જો ખોટું હોય તો લોકોને એ વિશે જાણ કરતી હોય છે. જ્યારે રાજકારણીઓ અસત્યમેવ જયતેની આરતી ઉતારતા હોય ત્યારે લોકો અસત્યને સત્ય ન માની લે એની આ લોકો કાળજી રાખતા હોય છે. તમને લાગે છે કે ગુજરાતની કોઈ યુનિવર્સિટી આવું કશુંક કરી શકે? મારો જવાબ છે : ના. રામનામ લો. આપણી મોટા ભાગની યુનિવર્સિટીઓને યુનિવર્સિટીઓ કહી ન શકાય. એ બધી દુકાનો છે. સરકારના પરવાના પર ચાલતી.

[5] અમેરિકામાં Christopher Hitchens, Richard Dawkins, Sam Harris, અને Daniel Dennett, આ ચાર વિદ્વાનોએ ખ્રિસ્તી ધર્મના જ નહીં, ધર્મ માત્રના પાયા હચમાચવી નાખ્યા. મેં આ ચારેય વિદ્વાનોને બરાબર વાંચ્યા છે. એમનાં પુસ્તકો પણ વાંચ્યાં છે. એમાં Sam Harrisનું A Letter to a Christian Nation તો એક અદ્દભુત પુસ્તક છે. મેં ઘણી વાર એની વાત Facebook પર કરી છે. એ પુસ્તકમાં Harris કહે છે કે ધાર્મિક લોકોએ હત્યાઓ કરી છે, નાસ્તિકોએ નથી કરી. પણ, મજાની વાત એ છે કે આ ચારમાંથી એકેય પર કોઈએ ધાર્મિક લાગણી દુભાવાની ફરિયાદ કરી નથી. એટલું જ નહીં, આ ચારમાંથી એકેયના પુસ્તક પર કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. એમનાં પુસ્તકો ખુલ્લેઆમ વેચાય છે. એટલું જ નહીં, એ પુસ્તકો પર ચર્ચાઓ પણ થાય છે. અમેરિકાના પ્રમાણમાં ભારતમાં ધાર્મિક અસહિષ્ણુતા વધારે પડતી છે. હિન્દુઓ આ પહેલાં આટલા બધા અસહિષ્ણુ ન હતા. હું એવું માનું છું કે અસહિષ્ણુતા, ખાસ કરીને ધાર્મિક અસહિષ્ણુતા, એક પ્રકારની રાજકીય product હોય છે. એટલે કે, એમાં ધર્મ ઓછો હોય છે અને રાજકારણ વધારે હોય છે. રાજકારણીઓ ધાર્મિક અસહિષ્ણુતાને એક પ્રકારની commodity બનાવી દેતા હોય છે. એ લોકો એનો ઉપયોગ પોતાની મતબેંકને મજબૂત કરવામાં કરતા હોય છે. પણ, આપણે એ બધું જોતા નથી. અને જોઈએ છે તો પણ ઘણી વાર દેખાદેખીથી એમાં જોડાઈ જતા હોઈએ છીએ.

[6] પહેલાં એ લોકો hatredનું ઉત્પાદન કરવાનું start up બનાવશે. પછી એ start upને એ લોકો એમનાં ગાણાં ગાતાં સમૂહમાધ્યમોને આપશે. ત્યાર બાદ, એ સમૂહમાધ્યમો hatredનું mass production કરશે. પછી એ માધ્યમો તમારા મગજમાં hatred manufacturing device ઇન્સટોલ કરશે. પછી તમે તમે નહીં હો. તમને કોઈક દૂર બેઠું બેઠું ચલાવશે. તમે માનશો કે હું સ્વતંત્ર છું. પણ, ના. hatred તમને બીજાના ગુલામ બનાવશે. આ આખી મશીનરી સમજો.

[7] એક માણસે એક જનાવરનો મૃતદેહ ગામની વચોવચ ફેંક્યો. થોડીક વારમાં આકાશ આખું ગીધોથી ભરાઈ ગયું. લોકો ગીધોની ટીકા કરવા માંડ્યા. પૂછવા લાગ્યા : ક્યાંથી આવ્યાં છે આ ગીધડાં? કોણે મોકલ્યાં? શા માટે આવ્યાં હશે આ? પછી ગામલોકોએ નક્કી કર્યું: ‘મારો આ ગીધડાંને’. બધા પોતપોતાના ઘરમાંથી બંદૂક લઈ આવીને મારવા માંડ્યા ગીધોને. બધાં ગીધ મરી ગયાં પછી ગામલોકોએ ઉજાણી કરી. પણ, કોઈએ એમ ન પૂછ્યું કે કોણ નાખી ગયેલું પેલા જનાવરનો મૃતદેહ આપણા ગામની વચોવચ? એટલું જ નહીં, કોઈએ એ મૃતદેહને ત્યાંથી દૂર કરવામાં પણ રસ ન લીધો. અને બીજા દિવસે પાછાં ગીધડાં … સમજો. તમે જે પરિસ્થિતિમાં છો એનાં કારણોમાં જાઓ.

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને પણ ‘પ્રાથમિક’ શિક્ષણ જરૂરી બન્યું છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|1 August 2022

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આજકાલ ચર્ચામાં છે. આમ તો પ્રવેશોત્સવથી જ તે ચર્ચામાં હોય છે. બાળકોને શાળા પ્રવેશનો આનંદ થાય તે માટે પ્રવેશોત્સવ ઉજવાય છે, પણ હાલ તો તે રાજકીય મેળાવડો જ વધુ બની ગયો છે. શિક્ષકો અને આચાર્યો, સાહેબોની સરભરામાં જ એટલા વ્યસ્ત થઈ જાય છે કે બાળકો ગૌણ થઈ જાય છે. એટલું સારું છે કે પ્રવેશોત્સવને બહાને કેટલાક રાજકારણીઓ સ્કૂલનું મોં જોવા પામે છે, બાકી, એ વળી ક્યારે સ્કૂલે જવાના હતા ! આ પ્રવેશોત્સવમાં કલાકારો, સંગીતકારો, ચિત્રકારો .. વગેરેને પણ જોડી શકાય, પણ તેઓ કદાચ મત આપતા નથી અથવા તો એમના મત જીવાડે એટલા હોતા નથી એટલે તેડાતા નહીં હોય. આમ પણ બાળકો નાનેથી રાજકારણ શીખે એ વધારે મહત્ત્વનું છે, નહીં કે કળા શીખે તે, ખરું ને?

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉજવણાં-ઉઠમણાંમાં પણ વધુ સક્રિય થઈ ગઈ છે. મોટે ભાગે તે રાજકીય નેતાઓની જન્મ-મરણ તિથિઓમાં શાળાઓને રોકી રાખે છે. એ થાય તેની ય ના નથી, પણ બે અઢી વર્ષથી કોરોનાએ દાટ વાળ્યો હોય, શિક્ષણકાર્ય ઓનલાઈન થયું હોય, પણ, તે પૂરતું ન હોય, માસ પ્રમોશનથી બાળકોને પાસ કરવા પડ્યા હોય એ સ્થિતિમાં બાળકો થોડો વખત શિક્ષણકાર્યમાં વધુ પ્રવૃત્ત હોય તે ઇચ્છનીય, નહીં? તેને બદલે તે ઇતરપ્રવૃત્તિને જ શિક્ષણ માનતું થાય એ સ્થિતિ થોડો વખત ટાળવા જેવી છે. આ ઉપરાંત શિક્ષકો, આચાર્યો રસીકરણ, ચૂંટણી, વસતિગણતરી જેવી પ્રવૃત્તિઓમાંથી થોડો વખત મુક્ત કરાય અને તેમને બાળકોનાં સઘન શિક્ષણ માટે આગ્રહપૂર્વક જોડવામાં આવે તો બાળકોનાં શિક્ષણનો પાયો કાચો રહી જવાનું જે જોખમ છે તે ટાળી શકાય. શિક્ષણ સમિતિમાં રાજકીય હેતુઓ ધરાવતા અધિકારીઓ કે વહીવટી અધિકારીઓ આ મામલે વધુ ગંભીર હોય તેવી અપેક્ષા રહે, પણ એ તરફ કદાચ એ વર્ગનું ધ્યાન નથી લાગતું, નહિતર, એ મુશ્કેલ એવાં કામો કરવાની આચાર્યો, શિક્ષકો અને બાળકોને ફરજ ન પાડે.

સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા એક પરિપત્ર એવો બહાર આવ્યો કે જિલ્લાની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસથી અવગત થાય અને સૈનિકો-સ્વાતંત્ર્ય સેનાનીઓ પરત્વે ઉદારતા પ્રગટ કરે, એ હેતુથી 30 જુલાઇ, 2022 સુધીમાં શાળાની અનુકૂળતા મુજબ ગુરુવંદનાનું આયોજન કરવું. આ ઉપરાંત 1 ઓગસ્ટે ભારત માતાનાં પૂજન-અર્ચનનું આયોજન કરવું. આમ તો આવાં આયોજનથી આનંદ થાય, પણ આ ઉપક્રમમાં આનંદ ન થાય એવું ઘણું છે, કારણ આ આયોજન વેઠ ઉતારવા ને અણઘડ રીતે થયું હોવાનો વહેમ પડે છે. 30મી જુલાઇ સુધીમાં અનુકૂળતા મુજબ તમામ શાળાઓને ગુરુવંદનાનો કાર્યક્રમ કરવાનું કહેવાયું. એ ક્યારે કહેવાયું, તો કે 29 જુલાઈ ને શુક્રવારે. 29મીએ પરિપત્ર બહાર પડે તો ‘30 જુલાઇ સુધી’નો શો અર્થ કરવાનો? સીધું એમ જ ઠોકી બેસાડાયું છે કે 30મીએ શનિવારે ગુરુવંદનાનો કાર્યક્રમ કરવાનો જ છે. એમાં ‘અનુકૂળતા મુજબ’ કરવાની તક જ ક્યાં ને કેટલી છે? એ ઓછું હોય તેમ એ પછી 1 ઓગસ્ટે પૂજન-અર્ચનનો બીજો કાર્યક્રમ ! બીજે જ દિવસે, કારણ 31મીએ રવિવાર હતો. લાગે છે, આ આયોજન સમજપૂર્વકનું છે? અમૃત મહોત્સવ તો વર્ષથી ચાલે છે, પણ શિક્ષણાધિકારી એકાએક 29મીએ જાગે છે ને 30મીએ સ્કૂલોને ફરજ પાડે છે – એક પછી એક કાર્યક્રમો કરવાની. આમાં સૌથી શરમજનક તો છે, સૈનિકો પરત્વે ‘ઉદારતા’ બતાવવાની વાત ! આ કાર્યક્રમ સૈનિકો પ્રત્યે ઉદારતા બતાવવા કરવાનો? ઉદારતા? તે ય સૈનિકો-સેનાનીઓ પરત્વે? એમના પરત્વે ઉદારતા બતાવવાની કે એમના પ્રત્યે આભાર પ્રગટ કરવાનો? ક્યાં, કેવા શબ્દોનો ઉપયોગ થાય એટલી કાળજી ન રખાય તો વિવેક ચૂકવા જેવું જ થાય ને તે બધી રીતે અસહ્ય છે.

એક કાળે સ્કૂલમાં મુદ્દા પરથી વાર્તા લખવાનું શીખવાતું હતું. હવે એ શીખવાય છે કે કેમ તે નથી ખબર, પણ  ત્યારે શિક્ષક જ વર્ગમાં વાર્તા કહેતા. હવે શિક્ષકો વાર્તા નહીં કહી શકતા હોય એવું શિક્ષણ સમિતિને લાગે છે, એટલે સમિતિએ એજન્સી દ્વારા ધોરણ એકનાં બાળકોને વાર્તા કહેવાનો એક ઉપક્રમ યોજ્યો. શિક્ષણખાતું અખતરાઓ યુદ્ધને ધોરણે કરતું રહેતું હોય તો શિક્ષણ સમિતિ પણ તેમાંથી બાકાત શું કામ રહે? તેણે વાર્તા દીઠ 1886ના ભાવે 100 સ્કૂલોમાં એજન્સી દ્વારા વાર્તા કહેવાનું ઠરાવી દીધું. 20મી જૂને સ્ટોરી ટેલિંગનો કોન્ટ્રાક્ટ બહાર પડ્યો અને તે વખતે હાજર જ હોય તેમ, 20મીએ જ, એક કંપનીએ પોતાની અરજી મૂકી પણ દીધી. એ પતે કે 21મીએ બીજી બે વ્યક્તિઓએ પણ અરજી કરી દીધી. સમિતિની આટલી સક્રિયતાનો વિપક્ષ તરીકે આપનો કોઈ પડઘો જ ન પડે એવું તો કેમ બને? આમ આદમી પાર્ટીના રાકેશ હિરપરાએ તપાસ કરી તો ત્રણેય અરજદારોનું અસ્તિત્વ નથી કે ત્યાં રહેનારનું નામ કોઈ બીજું જ છે એ વાત સામે આવી. રાકેશ હિરપરા જોડે ફોન પર વાત થઈ તો તેમણે જાતે આ તપાસ કરી હોવાનું જણાવ્યું. આ કામ ‘વાર્તા કથન’ કરતાં ય કોઈને લાભ ખટાવવા હાથ પર લેવાયું હોવાનું વધારે લાગે છે. સ્કૂલોમાં વાર્તા કહેવાઈ કે કેમ તે અંગે હિરપરાએ તપાસ કરી તો કેટલીક વાતો સામે આવી. એક તો એ કે આવી કોઈ કંપની દ્વારા વાર્તા શાળાઓમાં કહેવાઈ નથી. બે, કાર્યક્રમ સ્કૂલે જ તૈયાર કર્યો હતો. ત્રણ, કોઈક સ્કૂલમાં વાર્તા કહેવાઈ ને સારી રીતે કહેવાઈ. ચાર, એજન્સીના સભ્ય વાર્તા કહેવા ઓચિંતા જઈ ચડ્યા, ત્યારે બાળકો અન્ય શૈક્ષણિક કાર્યમાં વ્યસ્ત હોવાથી વાર્તા માટે સમય ફાળવી શકાયો નહીં.

આ અંગે શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી ધનેશ શાહનો ફોન પર સંપર્ક કરતાં તેમણે ‘વાર્તા કથન’ અંગે પ્રગટ થયેલા સમાચારો સાચા ન હોવાનું જણાવ્યું ને સ્કૂલોમાં વાર્તા કહેવાઈ છે તેનું સમર્થન કરતાં ઉમેર્યું કે 100 શાળાના આચાર્યોએ વાર્તા કહેવાઈ હોવાનાં પ્રમાણપત્રો પણ આપ્યાં છે. એ પ્રમાણપત્રો બતાવવાનું પણ તેમણે કબૂલ્યું. જો જાણકારી ખોટી ન હોય તો કેટલાક પ્રશ્નોના જવાબો સમિતિ પાસેથી અપેક્ષિત છે. 

  1. ખરેખર તો વાર્તા કથનનો પ્રયોગ શાળાના શિક્ષકો કરી શકે એ સહજ ગણાય. એ સ્થિતિમાં કોઈ એજન્સીને વાર્તા દીઠ 1,886 રૂપિયા ખટાવવાનો આખો ઉપક્રમ ફેર વિચારણાને પાત્ર છે. શિક્ષકો પર ભરોસો ન મૂકવાનું અને ત્રાહિત એજન્સી પર પૈસા ખર્ચીને ભરોસો ખરીદવાનું કઇ રીતે યોગ્ય છે તે પણ પ્રશ્ન છે. કોઈ એજન્સીને બદલે, શિક્ષકોને કે જાણીતા બાળવાર્તા લેખકોને નિમંત્રણ આપવાનું વધારે યોગ્ય રહ્યું હોત કે કેમ? વધારે સારું તો એ હતું કે એજન્સીને ખટાવવા કરતાં એટલી રકમ શિક્ષકોને વાર્તા કથન માટે તૈયાર કરવા પાછળ ખર્ચાઈ હોત ! 
  2. વાર્તા કથનનો આ ઉપક્રમ 100 સ્કૂલો પૂરતો જ સીમિત હતો કે એમાં અન્ય સ્કૂલો ઉમેરવાનો હેતુ પણ હતો? 
  3. 20મી જૂને વાર્તા કથનનો નિર્ણય લેવાય છે. 21મી જૂને 3 અરજીઓ આવે છે ને 30 જુલાઇ સુધીમાં વાર્તા કહેવાયાના 100 પ્રમાણપત્રો અધ્યક્ષ પાસે જમા થઈ જાય છે. આ બધું સહજ ક્રમે થયાનું લાગે છે? 
  4. 21 જૂને જે બે વ્યક્તિઓએ અરજી કરી તે એક જ એરિયાની છે. કદાચ બંને એકબીજાના પરિચયમાં હોય ને બંનેએ સાથે મળીને અરજી કરી હોય એમ બને, કારણ બંનેની ભાષા સરખી છે. એકબીજાની અરજીઓ, જોઈને ન કરી હોય તો આવું સામ્ય શક્ય નથી. હવે એ બે વ્યક્તિઓ એક જ એરિયાની હોય, કદાચ પરિચિત હોય તો આપેલાં સરનામે મળવી જોઈએ, પણ ત્યાં હિરપરાએ જણાવ્યું છે તે પ્રમાણે એવી કોઈ વ્યક્તિઓ રહેતી નથી કે ત્યાંની આસપાસની વ્યક્તિઓને આ બંને અરજદારોનો કોઈ પરિચય પણ નથી, તો સવાલ એ રહે છે કે બંને અરજીઓની ભાષા એક જેવી થઈ કેવી રીતે કે ઓફિસમાંથી જ બે વ્યક્તિઓએ સાથે મળીને એ અરજીઓ કરી છે? આ પ્રશ્નો અત્યારે તો વણ ઉકલ્યા જ છે.

સમિતિની વાતો જોતાં એવું લાગે છે કે તે હજી ઘણી બધી રીતે પ્રાથમિક તબક્કામાં જ છે. એમ પણ લાગે છે કે સમિતિના રાજકીય કે વહીવટી હોદ્દેદારો જવાબદારી લેવા કરતાં સામાની જવાબદારી ઊભી કરવામાં વધારે માને છે. પરિપત્રો કે પત્રકોમાં આચાર્યની જવાબદારી અંગે વખતોવખત ચેતવણી અપાતી રહે છે ને આ પ્રવાહ રાજકીય ટોચથી નીચેની દિશાએ વહેતો રહે છે. જવાબદારી સ્વીકાર્યા વગર આચાર્યો અને શિક્ષકોને ભયભીત રાખવામાં આવે છે એટલે એમને સાહેબોની ભક્તિની ફરજ પડે તેવું વાતાવરણ છે. આચાર્યો, શિક્ષકોનાં યુનિયનો છે, પણ કોઈનો સામૂહિક અવાજ આર્થિક હિત સિવાય સંભળાતો નથી. શિક્ષણની કોઈ જ સમસ્યા તેમને લાગતી નથી ને આવતી કાલનું ભવિષ્ય એવાં બાળકો, શિક્ષણને નામે ખરેખર કઇ દશા ને દિશામાં છે એની બહુ ઓછાને ચિંતા છે. કાગળ પર, પત્રકોમાં બાળકો ઉત્તમ શિક્ષણ પામતાં હશે, પણ વર્ગમાં તેઓ શું પામે છે એની ચિંતા ખરેખર કરવા જેવી છે. બાળકોને વાર્તા કહેવાનો હક શિક્ષકોનો હોય ને એ પારકી એજન્સીને સોંપવો પડે ને એની કોઈ શિક્ષકને નાનમ ન લાગે ત્યારે થાય કે ખરાં છે આ બાળકો, પથ્થર એટલા દેવ પૂજી રહ્યા છે…

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 01 ઑગસ્ટ 2022
...10...19202122...304050...

Search by

Popular Content

  • પિંડને પાંખ દઈ દીધી અને –
  • માતૃભાષા તમારો પાયો છે અને તે જ કાચો રહેશે તો શું ઇમારત બુલંદ થવાની?
  • વતનને પત્ર
  • ‘બ્રિટનમાં ગુજરાતીઓ’ : એક મૂલ્યાંકન
  • ઇબ્રાહિમ ઉમ્મરભાઈ રાઠોડ ‘ખય્યામ

Diaspora

  • ડાયસ્પોરાને નામે ભળતું જ લખાય છે 
  • સામ્રાજ્યની સફર અને વિભિન્ન દેશોમાં વસતા  મૂળ વતનીઓ
  • અનુરાધા ભગવતી : Unbecoming : A Memoir of Disobedience : આજ્ઞાભંગની અસહ્ય સ્મૃતિયાત્રા 
  • Breaking Out : મુક્તિયાત્રા :  લેખિકા : પદ્મા દેસાઈ 
  • 1900થી 1921 સુધી હિંદી આયાઓના રહેઠાણ પર બ્લૂ તક્તિનું અનાવરણ – 16 જૂન 2022

Gandhiana

  • અમૃતમહોત્સવ : ભારતનાં મૂળિયાં ઉખેડવામાં આવી રહ્યાં છે એ દેશનું દુર્ભાગ્ય છે
  • નાટ્ય અદાકારીમાં છુપાયેલું એક વિચારશીલ અને વિનમ્ર વ્યક્તિત્વ એટલે પોલ બેઝલી
  • કસ્તૂરી મહેક
  • “હું યુનિયનમાં માનું, પહેલેથી જ – અને યુનિયન એટલે ઍક્શન” : ઇલા ર. ભટ્ટ
  • મારા હાવર્ડ મેનેજમેન્ટના અભ્યાસક્રમમાં ગાંધીના નેતૃત્વના ગુણધર્મોની આપેલી વ્યાખ્યા

Poetry

  • દેવકીની પીડા ..
  • રેશમ ગાંઠ
  • ફરી પાછા
  • બે ગઝલ
  • દિવંગત મહેન્દ્ર મેઘાણીને મારી કાવ્યાંજલિ

Samantar Gujarat

  • લઠ્ઠાકાંડમાં રાંડ્યા પછીનું ડહાપણ …
  • ગુજરાત, ૧ મે ૨૦૨૨
  • અકાદમીની સ્વાયત્તતા પરિષદની જવાબદારી કઈ રીતે છે?
  • ઝીણાં ઝીણાં સંવેદનોનો આંસુ ભીનો આસ્વાદ : ‘21મું ટિફિન’
  • ગુજરાતના નવા મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને ખુલ્લો પત્ર …

English Bazaar Patrika

  • PEN–India at 75
  • Personal reflection on India’s 75th independence anniversary
  • The Father and the Assassin
  • In praise of Nayantara Sahgal
  • On his birthday a Tribute to a Musical genius and a Bridge builder Pt. Ravi Shankar

Profile

  • વાચન સંસ્કૃતિના દીપસ્તંભ મહેન્દ્રભાઈ મેઘાણી
  • પપ્પા એટલે ….
  • પપ્પાનું પ્રગતિપત્રક
  • ગાંધીનું દૂધ પીધેલા
  • મા, તારે જ કારણે જગતનાં સર્વ સુખ મળ્યાં

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved