Opinion Magazine
Number of visits: 10080098
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વનામધન્ય સન્માન્ય શિક્ષણ મંત્રીને પ્રધાનપદે રહેવામાં ધર્મ વરતાય છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|16 July 2026

દેશના અજંપ યુવજનોની આર્ત અપીલ અને હાકેમોની દૃષ્ટિશૂન્યતા

વિશ્લેષણ

ગંગાશુદ્ધિ માટે અનશનના 112મા દિવસે જે રીતે વિશ્વખ્યાત તજ્જ્ઞ જી.ડી. અગરવાલને નીંભરપણે મરવા દેવાયા હતા, એના ખયાલે સચિંત અગ્રણીઓએ સોનમ વાંગચૂકને અનશન છોડવા સારુ આર્ત ભાવે અપીલ કરી છે : શાસનનાં બારે વરસે મોદી ભા.જ.પ. પરત્વે સ્વીકૃતિની કટોકટી ચંદાચોરીની સંગત સાથે સાફ દેખાય છે 

પ્રકાશ ન. શાહ

દેશના અજંપ યુવજન અને નિસબત ધરાવતા નાગરિક સૌના જીવ આજની ક્ષણે  જંતર મંતરના પડીકે બંધાયા છે. મળતાં મળે એવો લોકાયની અને વળી વિજ્ઞાની, પોતાની તરેહનો પ્રજાપરક પર્યાવરણી, નામે સોનમ વાંગચુક આમરણ અનશને છે. નગારે ઘાવ દીધો તો હતો દોમદોમ ડોલરજીવી રહી શકતા અભિજીત દીપકેએ, અને વતન આંગણે એને જે વ્યાપક પ્રતિસાદ મળ્યો એમાં શતસહસ્ર અવાજોમાં જાનફેસાનીના તરાને ઝૂમતો એક સશક્ત એટલો જ સમર્પિત સ્વર સોનમ વાંગચૂકનો છે. પ્રતિકાર અને પરિવર્તનની પ્રજાકીય ચેતના આજે એમના તપ અને તિતિક્ષા વાટે પ્રગટ થવા કરે છે.

વાત નીંભર પરીક્ષાતંત્રની, દૃષ્ટિશૂન્ય પ્રશાસનની અને હૈયાફૂટા હાકેમોની છે. એમને સત્તારમત આડે કશું દેખાતું નથી, બાજી ગોઠવાઈ એટલે બાકીનું રામભરોસે. યુવા આંદોલને, આપણી ‘વંદા’ મંડળીએ સ્તો, જે ખતપત્ર યા ચાર્ટર આ દિવસોમાં રમતું મૂક્યું છે એમાં એ જ વાતો સામાન્યપણે છે જે હાલના સત્તાપક્ષે છેલ્લા દસકામાં વખતોવખત વિધિવત મૂકી છે. પણ વહેવારમાં તો અલ્લાયો જ અલ્લાયો છે. દીપકે અને સાથીઓ, સોનમ અને સૌ ટૂંકમાં પ્રથમ કદમ તરીકે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામુ માંગે છે. લોકશાહી રાહે જવાબદેહીની રીતે એ સાદો હિસાબ છે.

કમનસીબે, દાયિત્વ અને ઉત્તરદાયિત્વનું આ સાદું સત્ય નહિ સ્વીકારતા મંત્રીશ્રી અને એમના આકાઓને સ્વનામધન્ય ધોરણે પ્રધાનપદે ચીપકી રહેવામાં જ ધર્મ વરતાય  છે.

સોનમ વાંગચૂક અને જે બીજા યુવજનોએ અનશનનો રાહ લીધો છે એ ઉત્તરોત્તર કથળતા સ્વાસ્થ્યે મૃત્યુ લગોલગ જઇ રહ્યા હોય એમ બને. હુક્મરાનોને અને એમના સત્તા-સાગરીતોને જો નઘરોળ પરીક્ષાતંત્રે પ્રેરેલ આત્મહત્યાઓનો અહેસાસ ન હોય તો પછી જેઓ શાંતિમય પ્રતિકારની રીતે જરૂરી બની રહે છે. રાહે હોઈ શકે છે એમને સમજવાની રગ એમની કને હશે કે કેમ, એવી ફાળ ને ફિકર અલબત્ત અસ્થાને નથી.

આ સંજોગોમાં દેશના જાગ્રત ફિરકાઓમાંથી જે એક ચિંતિત એટલો જ સુચિંતિત સ્વરકૃપાથી ‘ઊઠી રહ્યો છે એની અહીં જરૂર નોંધ લેવી જોઈએ. થોડા વરસ પર હાઇડ્રોલિક વૉટર પ્રોજેકટો થકી ગંગાનું દોહન અને શોષણ જ નહીં પણ ઘોર પ્રદૂષણ સુધ્ધાં અટકાવવા સારુ વિશ્વખ્યાત વિજ્ઞાની જી. ડી. અગરવાલે આમરણ અનશનનો રાહ લીધો હતો અને ‘મા ગંગાના બુલાવે’ જેનું હલનચલન ,ચૂંટણીરમણ બધ્ધેબધ્ધું પરિચાલિત છે તે નેતૃત્વે સન્યસ્ત જીવન ગાળનાર આ પ્રતિભાને રોકવાપણું જોયું નહોતું. આ એક દૂઝતા જખમ શી સ્મૃતિ છે, એક છેડેથી વરવી તો બીજે છેડેથી ગરવી. સોનમ વાંગચૂક સરખી પ્રતિભાને સારુ પણ આવું જ કોઈ વિધિ નિર્માણ તો નથી ને એવી દિલી ધાસ્તીવશ લોકહૈયથી ઉઠેલી એક આર્ત અપીલ સોનમ મહાશય ઉપવાસ છોડે તેવી છે.

જેમ સત્તાધીશોની તેમ આપણી પણ તપાસ આવે વખતે અને ખરું જોતા હર ઘડીપળ જરૂરી બની રહે છે. સોનમ વાંગચૂકને આપણે પહેલપ્રથમ પિછાણ્યા તે આમીરખાન અને રાજકુમાર હિરાણીની “થ્રી ઈડિયટ્સ” થકી. ક્યાં છે એ સૌ, એકાદ અપવાદ બાદ કરતાં? શું સત્તાકારણ, શું સર્જનકારણ કે સિનેકારણ, ધંધો લટકા કરે ધંધા સામે … નરસિંહ મહેતા, સાંભળો છો કે? નવું પ્રભાતિયું લઈને આવો તો તમને ઈલમી બકું.

બુધવારે ઢળતી સાંજે આ લખી રહ્યો છું. કેવું રૂડું થાય, જો હું ભોંઠો પડું! પણ કમબખ્ત સત્તાનો ખેલ તે ખેલ અને નાગરિકને લમણે વકટલેંડ તે વકટલેંડ. નરસૈયો હળવા કરમનો, ને નાગરિક પણ.

On Wed, Jul 15, 2026 
prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 15 જુલાઈ 2026

Loading

ખાતરનો અસંતુલિત ઉપયોગ – ખાતર ઉપર દિવેલ સાબિત થશે.

ચંદુ મહેરિયા|Opinion - Opinion|16 July 2026

ચંદુ મહેરિયા

જૂનનો આખો મહિનો લગભગ કોરોધાકોર ગયો છે. છેક અખાત્રીજથી ખેતર ખેડી આંખોનું નેજવું કરી મેહુલિયાની રાહ જોતો જગતનો તાત ચિંતામાં છે. આકાશી ખેતી પર નભતા કે સિંચાઈ પર જીવતા કિસાનનું જીવન અનિશ્ચિતતાઓથી ભરેલું છે. એટલે તે ગમે તેટલી મહેનત કરે તો પણ તેને વળતરમાં ઘણી વાર ઘણી બધી નિરાશાઓ સાંપડે છે. વાવેતર થઈ ગયું છે. ખાતર અપાઈ ગયું છે. પણ પાણી ક્યાં? ખાતર-પાણી ભલે સાથે બોલાય પણ સાથે મળે જ તેવું ન પણ બને. આ વરસનું ચોમાસું સામાન્ય રહેશે અને દર વરસ કરતાં થોડો ઓછો વરસાદ વરસશે એવી આગાહીઓ વચ્ચે ખેડૂત જીવે છે. 

બિયારણ, ધરુ, છોડ, રોપો, ખાતર, પાણી, દવા એ ખેતી માટેના  કિસાનના કેટલાક સાધનો છે. આમ તો ખેતીમાં બધાનું સરખું મહત્ત્વ છે પરંતુ ખાતરનું મહત્ત્વ સવિશેષ છે. સાર્થ ગૂજરાતી જોડણીકોશ મુજબ ખાતર એટલે ખેતર સુધારવા સારુ તેમાં નખાતાં છાણ, કાંપ, લીંડી વગેરે પદાર્થો, તેવો બીજો રસાયણી પદાર્થ. બીજા અર્થમાં ખેતરની જમીન કે માટીમાં પાકના બિયારણ, ધરુ કે છોડને પોષક તત્ત્વોનો પુરવઠો પૂરો પાડતો કુદરતી કે કૃત્રિમ મૂળનો કોઈ પદાર્થ. જોડણીકોશના અર્થ મુજબ અગાઉ પાકને માત્ર છાણિયું ખાતર જ આપવામાં આવતું હતું. પરંતુ અનાજની અછતમાંથી બહાર આવવા સર્જાયેલી હરિયાળી ક્રાંતિ દરમિયાન વધુ ઉપજ મેળવવા રાસાયણિક ખાતરનો ઉપયોગ થવા માંડ્યો. તેના કારણે અનાજના ઉત્પાદનમાં દેશ આત્મનિર્ભર જ ન બન્યો નિકાસ કરતો પણ થયો. જો કે આજે તો રાસયણિક ખાતરોનો અસંતુલિત અને અતિરેકી ઉપયોગ થઈ રહ્યો છે, જે નુકસાનકારક છે. 

સરકારે આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ ૧૯૫૫ હેઠળ ખાતરને આવશ્યક વસ્તુ જાહેર કરી છે. ૧૯૭૩ અને ૧૯૮૫ના બે આદેશોથી ખાતરનું વેચાણ સુનિશ્ચિત કરવાના રાજ્ય સરકારોને અધિકારો આપેલા છે. ભારત સરકાર ખેડૂતોને ખેતી પરવડે તે હેતુસર ખાતર પર સબસિડી આપે છે. યૂરિયા ખાતરની ૪૫ કિલોની થેલી જે ખેડૂતોને આશરે રૂ. ૨૬૦ થી ૨૮૦માં પડે છે તેની વાસ્તવિક કિમત લગભગ રૂ.૨,૫૦૦ થી ૨,૮૦૦ હોય છે. એટલે એક થેલીએ સરકાર આશરે રૂ. ૨,૫૦૦ની સબસિડી આપે છે. આ વરસના ખરીફ કે ચોમાસુ પાક માટે જ ખાતરની સબસિડી રૂ. ૪૧,૫૩૪ કરોડ નક્કી કરી છે. દર વરસે સરકાર ખાતરની સબસિડી પેટે જ ખેડૂતોને રૂ. ૨ લાખ કરોડ આપે છે. 

૨૦૧૦ના હુકમથી સરકારે પોટેશિયમ અને ફોસ્ફરસ ખાતરના ઉપયોગ પર નિયંત્રણો લાદ્યા છે. પરંતુ તેમાંથી યૂરિયાને બાકાત રાખ્યું છે. એટલે ખેડૂતો યૂરિયાનો અસંતુલિત, આડેધડ અને અત્યાધિક ઉપયોગ કરે છે. કૃષિ નિષ્ણાતોના મતે ખેડૂતના ખેતરમાં જે છોડ કે બિયારણ વાવ્યું હોય તેને માટે જરૂરી ત્રણ પોષક તત્ત્વો નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમનો ૪: ૨: ના પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ પરંતુ ખેડૂતો સામાન્યત: ૧૧:૪:૧ના પ્રમાણમાં આ તત્ત્વોનો ઉપયોગ કરે છે. ખાતરનો ૧/૩ હિસ્સો જ છોડ અવશોષિત કરે છે. બાકીનો વેડફાય છે. એટલે ખાતરના પ્રમાણમાં સંતુલન જરૂરી છે. 

ખાતરનો મોટો જથ્થો સરકારે બીજા દેશોમાંથી આયાત કરવો પડે છે. તેમાં કિંમતી વિદેશી હુંડિયામણ વપરાય છે. વળી ખાતર પર સબસિડી મળે છે. એટલે સરકારને મોટો ખર્ચ વેઠવો પડે છે. બીજી તરફ કિસાનો સસ્તું મળેલું ગણીને જરૂર કરતાં વધુ ખાતર વાપરે છે. ખાતરના અસંતુલિત ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. પ્રદૂષણ વધે છે. ખાતર બનાવતા યંત્રોમાંથી નિકળતો ઝેરી કચરો પાણી અને હવાની ગુણવત્ત્તા બગાડે છે. માનવ આરોગ્ય પર પણ તેની અસર પડે છે. એમોનિયાના સંપર્કથી દમ અને શ્વસનસંબંધી બીમારી થઈ શકે છે. યૂરિયાનો વધુ ઉપયોગ પાકને ફાયદાને બદલે નુકસાન કરે છે. ખાતરના વધારે ઉપયોગથી પોષક તત્ત્વોમાં અસંતુલન થાય છે. માટીની ગુણવત્તામાં ઘટાડો થાય છે. તેના લીધે પાકની વૃદ્ધિ અને પેદાશ પર પ્રતિકૂળ અસરો જન્મી છે. ૨૦૧૩-૧૪માં ૩૦.૬ મિલિયન ટન યૂરિયાનો વપરાશ થયો હતો. દસ વરસ પછી ૨૦૨૩-૨૪માં ૩૫.૮ મિલિયન મેટ્રિક ટન યૂરિયાનો વપરાશ થયો છે. આ વૃદ્ધિ ખાતરના વધુ ઉપયોગને કારણે છે. 

વડા પ્રધાને ખેડૂતોને રાસાયણિક ખાતરોનો વપરાશ અડધો કરવા અને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરી છે. અગાઉ મન કી બાતમાં પણ તેમણે આ વાત કરી હતી. સરકાર તરફથી આ દિશામાં કેટલાંક પગલાં લેવાઈ રહ્યાં છે. પરંતુ તેની ધારી અસર જોવા મળતી નથી. ખાતરોના અસંતુલિત ઉપયોગને અટકાવવા સરકારે ખેડૂતોને ખાતરના ઉપયોગના પ્રમાણ અંગે અને તેનાં કરતાં વધુ ઉપયોગથી થનારા નુકસાન અંગે જાગ્રત કરવા માટે તથા તેમની સમજ વિકસે તે માટેના કાર્યક્રમો હાથ ધરવા જોઈએ.

ખાતર પરની સબસિડી તેના ઉપયોગમાં જોવા મળતા અસંતુલનનું પ્રમુખ કારણ છે. પરંતુ કોઈ સરકાર ખાતરની સબસિડી બંધ તો શું ઘટાડવા માટે પણ વિચારી શકે તેમ નથી. એટલે તેના વિકલ્પો માટે વિચારવું જોઈએ. એક ઉપાય ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ છે. એટલે ખેડૂતના બેન્ક ખાતામાં સબસિડીની રકમ સીધી જમા કરવી. ખેતરનો આકાર, જમીનની ગુણવત્તા અને સોઈલ હેલ્થ કાર્ડના આધારે આ સંભવ હોવાનું મનાય છે. પરંતુ સરકારે દેશના ૨૭ જિલ્લામાં પ્રાયોગિક ધોરણે આ સ્કીમ દાખલ કરી હતી. પરંતુ તેનો ફાયદો ખેડૂતોને ઓછો અને ખાતર ઉત્પાદક કંપનીઓને વધુ થતો જોવા મળ્યો છે. 

સબસિડીવાળા યૂરિયા ખાતરના કાળાબજાર થતા હોવાનું પણ સરકારના ધ્યાને આવ્યું છે. યૂરિયાના ભાવો એટલા ઓછા છે કે ખેડૂતોના નામે કાળાબજારિયા તેની ખરીદી કરી લે છે અને તેનો ઉપયોગ ઔદ્યોગિક રસાયણમાં કરવા દેશમાં અને વિદેશોમાં વેચે છે. તેનો ઉપાય લાભાર્થી ખેડૂતોની ઓળખ વધુ ગંભીર રીતે કરવાની આવશ્યકતા છે. સરકાર પારંપરિક દાણાદાર યુરિયાને સબસિડી માટે યોગ્ય ગણે છે. પરંતુ છોડના પાના પર છાંટવાના પ્રવાહી કે તરલ યૂરિયાને સબસિડી માટે યોગ્ય માન્યું નથી. ખરેખર દાણાદાર યૂરિયા કરતાં તરલ યૂરિયા છોડને માટે વધુ ઉપયોગી છે અને તેનો બગાડ ઓછો થાય છે એટલે સરાકારે નૈનો યૂરિયા અને તરલ યૂરિયા માટે વિચારવું જોઈએ. 

ખેતીમાં ખાતરની  ભૂમિકા શું અને કેવી છે,  તે આરોગ્ય માટે કેટલાં આવશ્યક છે તેની સ્પષ્ટ અને પાકી સમજ ખેડૂતોમાં અને લોકોમાં ઊભી કરવાની જરૂર છે. જૈવિક ખાતરો અને પ્રાકૃતિક ખેતી લાંબાગાળે કેટલી ફાયદાકારક નીવડે છે તે અંગે પણ જાગ્રતિની જરૂર છે. ટકાઉ ખેતી અને વધુ ખેત ઉપજ માટે ખાતરના ઉપયોગમાં સંતુલન જરૂરી છે. નહીં તો ક્યાંક તે ખાતર ઉપર દિવેલ પણ સાબિત થઈ શકે છે. 

e.mail. : maheriyachandu@gmail.com

 

Loading

વસિયતનામું

વલ્લ્ભ નાંઢા|Opinion - Short Stories|15 July 2026

આખરે દક્ષાબહેનની દોડધામનો અંત આવ્યો. બ્રેંટ બરોની હાઉસિંગ કાઉન્સિલે. નિઝડન વિસ્તારમાં એમને રહેવા માટે બે બેડરૂમનો ફ્લેટ ફાળવવામાં આવ્યો છે. દિયાને એવો ઇમેલ મોકલ્યો હતો. દક્ષાબહેને હાશકારો અનુભવ્યો. આ પહેલાં મા-દીકરીએ ફ્લેટ ભાડે મેળવવા ક્યાં ઓછી દોડધામ કરી હતી? મકાનોની દલાલી કરનારા ને  ભાડૂતી મકાનો શોધી આપનારા દલાલો અને એપોઇંટમેંટ લઈને ઇસ્ટેટ ઍજંટોની ઑફિસોની મુલાકાતો લીધી હતી.. ફલાણા ઢિંકણા લતામાં બે બેડરૂમવાળો ફ્લેટ ભાડે દેવાનો છે એવી બાતમી કાને પડતાં દિયા અને દક્ષાબહેન સઘળાં કામ એક કોર ઠેલીને ફ્લેટ માલિકને મળવા દોડી જતાં. દિયાએ તેની ફ્રેંડ્સને પણ ભલામણ કરી રાખી હતી અને બોસના કાનમાં પણ ફૂંક મારી દીધી હતી. પણ પાસાં સીધા પડતાં નહોતા. લંડનમાં રહેણાક જગા ભાડે મેળવવા આટલો ઉદ્યમ કરવો પડશે એવું ધાર્યું ન હતું. આ તો સંજોગોએ એમને લંડન શિફ્ટ થવા મજબૂર કર્યા એથી આવી દોટમદોટ કરવી પડી, બાકી બે જણનાં માથાં ઢાંકવા પૂરતી સગવડ ઍલ્સ્બરીમાં ક્યાં નહોતી? સાડા ચાર દાયકા પહેલાં યુગાન્ડાથી નિર્કાષિત થઈને અજાણ્યા દેશની ધરતી પર પગ મૂકયા પછી થોડાક અઠવાડિયામાં જ સ્થાનિક કાઉન્સિલ અને યુગાંડા રિસેટલ બોર્ડની મહેરબાનીથી ઍલ્સબરીમાં થ્રીબેડરૂમવાળું ટૅરેસમકાન એ લોકોને ભાડે મળ્યું હતું અને બધું થાળે પડી ગયેલું. અને ચારેક દાયકા પહેલાં થોડાં ઉછીનાઉધારાં અને થોડાં બચાવેલાં નાણાંની ડિપોઝિટ ભરીને  આ મકાન કાઉન્સિલ પાસેથી મોર્ગેજ પર ખરીદી લીધેલું. કેટલાં સ્મરણો સાચવીને બેઠું છે આ મકાન! અને હવે લાખ પાઉન્ડ દેતાં ય ન મળે એવો સો ટચ સોનાનો આ મહેલ વેચી દેવાનો?

દિયાની આઈ.ટી.નું અંતિમ વર્ષ પૂરું થયું હતું. જૉબ માટે દિયા નૅટ પર અરજીઓ મોકલવા લાગી. નહીં નહીં તો ય ત્રીસેક ફર્મોને અરજીઓ કરી હશે. કેટલીક ફર્મો તરફથી નકારો આવ્યો હતો અને બે ચાર શોર્ટલિસ્ટમાં મુકાઈ હતી. એક જગ્યા પૂરવા હજારો અરજીઓ આવતી હોય ત્યારે જોબ પોતાને જ મળશે એવી કલ્પના કરવી પણ મુશ્કેલ.

ચારે તરફથી નિરાશા ભરડો લઈ રહી હતી એ જ ગાળામાં લંડનની એક સોફ્ટવેર કંપનીએ દિયાને ઇન્ટરવ્યૂ માટે બોલાવી. નૅટ પર મૅસેજ આવતાં દિયાના ચહેરા પર થોડું તેજ આવ્યું. બીજા જ દિવસે એ ઈંટરવ્યૂ આપી આવી હતી. અને બીજા અઠવાડિયે કંપની તરફથી નોકરી મળી ગયાનો તેના પર ઇમેલ આવી ગયેલો! 

દીકરી માટે ભવિષ્યનો ઊજળો માર્ગ ખૂલતો જોઈ દક્ષાબહેને દિયાને બાથમાં લઈ લીધી હતી. 

બસ, એ પછી દિયા લંડન જવાની તૈયારીમાં લાગી પડી હતી. દીકરી લંડન જાય એથી દક્ષાબહેન રાજી હતાં પણ અંદરથી મન થોડું હચુંડચું પણ હતું. ઍલ્સબરીથી લંડનની મુસાફરી એટલે એકાદ કલાકની લાંબી મજલ! દીકરી ટ્રેનમાં રોજ પચીસત્રીસ માઈલ કૉમ્યુટ કરે એ વિચારે દક્ષાબહેન થોડાં અસ્વસ્થ થઈ જતાં – આ ટ્રેનુનાં શા ભરોસા? ટ્રેન હાલતાં ને ચાલતાં કૅન્સલ થઈ જાય! અને વિંટરમાં તો સિગ્નલ ફેઈલ્યર કે ટ્રેન કૅન્સલેશન્સ પણ છાશવારે થતાં રહે! ગમે તેમ તો ય છોકરીની જાત! ન કરે નારાયણ ને કોઈ લફંગો ડબામાં ચડી જાય અને …. દક્ષાબહેન આગળ વધુ વિચારી શક્યાં નહીં …

આટલા દૂરના ધોડા કરવા કરતાં થોડી ધીરજ રાખી ઍલ્સબરીમાં જૉબ શોધી લીધી હોત તો? આડીતેડી કોઈ જફા જ ન રહેત ને! એમણે દિયાને ઘણી સમજાવી પણ એ હઠ લઈને બેઠી હતી : “આ ખોબા જેવડા ગામમાં હવે રહેવું નથી.” એ માને કહેતી; “મમ્મી, તું મારા પર બધું છોડી દે. લંડનમાં આગળ વધવાની અનેક તકો મારા માટે રાહ જોઈ રહી છે, તું જોજે ને, બે પાંચ વર્ષમાં તારી આ ઢીંગલી ક્યાંથી ક્યાં પહોંચી જાય છે!” દિયાની દલીલ દક્ષાબહેનની તમામ દલીલોને ઠારી નાખતી. એ પછી દક્ષાબહેને દીકરી સામે લડવાનાં તમામ હથિયાર હેઠાં મૂકી દીધાં. અને પુત્રીની ઇચ્છાને સમર્થન આપી દીધું.

એક તરફ મા-દીકરી એક્મત થઈ, ઉજળા ભાવિની દિશામાં કદમ ભરી રહ્યાં તો બીજી તરફ ઘર ચલાવવા પૈસાની તાણ એમને મૂંઝવી રહી હતી. 

કૅન્સરની જીવલેણ માંદગીમાં કરુણાનાથનું અવસાન થયું પછી પ્રતિકૂળ સંજોગો ઘેરી વળ્યા. પણ દક્ષાબહેને થોડી નાણાંભીડ વેઠીને વહેવાર સાચવ્યો હતો, ઘર સાચવ્યું હતું અને પુત્રીને “ગ્રેજ્યુએટ” કરી હતી.

***

દિયાનું લંડન જવું લગભગ નક્કી થઈ ગયું. દિયાએ નોકરી સ્વીકારી લીધી. ઍલ્સ્બરીનું મકાન સત્વરે સૅલ પર મૂકી લંડન શિફ્ટ થઈ જવું, એમ નક્કી થયું. દિયાના કામની ફર્મની આજુબાજુના લતામાં ક્યાંક બે જણની સગવડ સાચવી શકે એવો ફ્લેટ ભાડે રાખી નવા જીવનની શરૂઆત કરી દેવી, એવું ગણિત મંડાયું. દક્ષાબહેનની ભાણેજ સુલોચના લંડનમાં રહેતી હતી. લંડનમાં ભાડે ફ્લેટ મળી જાય ત્યાં સુધી એને ત્યાં રહેવું અને પછી પોતાના ફ્લેટમાં શિફ્ટ થઈ જવું. સુલોચનાનું ઘર નીઝડન ટ્યૂબ સ્ટેશનની સાવ નજીક હતું એટલે જૉબ પર પહોચવામાં પણ થોડી રાહત રહેશે એવી ધારણા સાથે એ લોકો લંડન શિફ્ટ થઈ  ગયાં.

ફ્લેટ શોધી આપવામાં સુલોચનાની વગ અને અનુભવનો લાભ મળતાં ફ્લેટ માટે ઝાઝી રાહ જોવી પડી નહિ. નીઝ્ડનના ડોગલેનમાં વિસ્તરેલા બ્લોક ઓફ ફ્લેટ્સમાં બ્રેંટ કાઉન્સિલે એક ટુ બેડરૂમ ફ્લેટ એ લોકોને ફાળવી દીધો. એ લોકોને જોઈતો હતો એવો જ સગવડિયો ફ્લેટ! શાંત વાતાવરણ, પ્રેમાળ પાડોશીઓ, બે વિશાળ રૂમ, આગળ કોઝી હૉલ, એક તરફ નાનકડું કિચન અને મેઈન રૉડ પર પડતી આલાગ્રાંડ બાલ્કની! 

કામ પરથી આવી સાંજે દિયા બાલ્કનીમાં જઈ ઊભી રહી જતી. ફૂટપાથ પર આવનજાવન કરતા રાહદારીઓ અને વાહનોની યતાયતના માહોલને આંખોમાં કેદ કરી લેતી. અડધોયેક કલાક ત્યાં ઊભતી. અને દિવસભરનું ટેંશન ગાયબ થઈ જતું! 

*** 

બહુ ઝડપથી એ લોકો ડોગલેન કૉમ્પલેક્ષમાં ઠરીઠામ થઈ ગયાં. દિયાને જોઈતો જોબ મળી ગયો હતો, ને દક્ષાબહેનને સારું નૅબરહૂડ! આથી વધારે બીજું શું જોઈએ? 

ફ્લેટની નીચે પડતા રસ્તા પર થોડાં ટેરેસ મકાનો હતાં, જેમાં બેચાર ગુજરાતી કુટુંબોને બાદ કરતાં થોડા ગોરા કુટુંબો અને બીજા વેસ્ટ ઈંડિયન, શીખ, પંજાબી અને બંગાળી કુટુંબો રહેતાં હતાં.. દક્ષાબહેન ઈલિંગ રોડ તરફ શોપિંગ કરવા નીકળતાં ત્યારે આ મકાનો પાસે થઈને જવાનું થાય. ટેરેસ મકાનોમાં રહેતી બેચાર પાડોશણો સાથે કેમ છો કેમ નહિ પૂછવા જેટલો પરિચય બંધાયો હતો. બધા પાડોશીઓ સાથે આછી પાતળી ઓળખાણ થઈ ગઈ હતી. પણ પરેડના છેવાડે આવેલા મકાનમાં રહેતી એક અંગ્રેજ બાઈ સાથે હજી પરિચયનો તાંતણો જોડાયો નહોતો. એ બાઈનું નામ માર્ગરેટ. એ નામની દક્ષાબહેનને એ બાઈના હસબંડનું  મૃત્યુ થયા પછી જ ખબર પડી હતી. 

માર્ગરેટ ફંકશનોમાં ભાગ્યે જ હાજરી આપતી. નાની મોટી પાર્ટીઓમાં પણ જોવામાં આવતી નહીં. બધા પાડોશીઓથી અતડી અતડી રહેતી! આવા એકલપંડા સ્વભાવને કારણે માર્ગરેટ ફલેટવાસીઓમાં અળખામણી બની હતી. એના વિશે જાતજાતની અફવાઓના ગુબ્બારા ઊડતા રહેતા. કોઈ કહેતું એનો હસબંડ ડેવિડ કોરોનાકાળમાં કોવિડનો શિકાર બનતાં મૃત્યુ પામ્યો હતો, એ પછી માર્ગરેટે સ્વૈચ્છિક એકાંતવાસ સ્વીકારી લીધો છે, કોઈ એમ પણ કહેતું ડેવિડના ગયા પછી એ માનસિક સંતૂલન ખોઈ બેઠી છે એટલે કોઈ સાથે ભળતી નથી, કોઈ કહે તેના પર પૈસાનું ભૂત સવાર છે એટલે એકલસૂરી રહે છે. તો કોઈ એના પક્ષે સારો અભિપ્રાય પણ આપતું – બહુ ધાર્મિક બાઈ છે. રવિવારે નિયમિત ચર્ચની સર્વિસમાં જાય છે. 

માર્ગરેટનો પતિ ડેવિડ જોન લુઈસ સુપરસ્ટોરની હેરો શાખાનો મૅનેજર હતો. અને આર્થિક રીતે સધ્ધર હતો. પત્ની માટે ઠીક ઠીક પૂંજી મૂકી ગયો હતો. પતિના વીમાની સારી એવી રકમ માર્ગરેટ્ના એકાઉન્ટ્માં જમા હતી, હંસલોમાં ઍરપોર્ટ પાસે બે ફ્લેટનું ધીકતું ભાડું આવતું હતું, અને બેંકના ખાતામાં દર મહિને એના નામે વીડોપૅન્સનના પૈસા જમા થાય છે! આમ માર્ગરેટ પૈસાટકે સધ્ધર હતી પણ પતિના મૃત્યુના આઘાતે તેને તોડી નાખી હતી. વળી કેટલીક નાની મોટી બિમારીઓએ પણ તેને ઘેરી લીધી હતી. અને માનસિક તનાવ દૂર કરવા તેને થોડા દિવસ સારવાર ‘માટે સેંટ લુકસ પીસ હૉમ’માં રહેવા જવું પડ્યું હતું.

***

દક્ષાબહેન કોઈ કોઈ વાર માર્ગરેટના વિચારે ચડી જતાં. એ બાઈ બધાથી અતડી કેમ રહે છે એ સમજાતું નો’તું. એ માર્ગરેટ પાસે જઈને દોસ્તીનો હાથ લંબવવા માગતાં હતાં. આ કોયડાનો તાળો મેળવવા એમણે માર્ગરેટને ઘેર જવાનો નિશ્ચય કર્યો. 

શનિવાર અને રવિવારે તો આમેય દક્ષાબહેનને નવરાશ જ હોય. દિયા પણ ઘેર હોય એટલે દક્ષાબહેન પાસે વીકેંડમાં ફુરસદ રહેતી. અને એક સવારે એ માર્ગરેટને ટેરેસ હાઉસ તરફ નીકળી પડ્યાં. 

બારણા પાસે આવી ડોરબેલના પુશબટન પર આંગળી મૂકી અને એકાદ મિનિટ પછી એક બાઈએ બારણું ખોલ્યું. “તમે કોણ? કોને મળવા આવ્યા છો?’ દક્ષાબહેનને સામે ઊભેલાં જોતાં તેણે પૂછ્યું.

“માર્ગરેટને” કહી દક્ષાબહેને પોતાની ઓળખાણ આપી. એ બાઈએ નમ્રતાપૂર્વક જણાવ્યું: “મમ્મીની તબિયત ઠીક નથી. પણ તમે અંદર આવો. હું એમને પૂછી આવું.” કહી એ માર્ગરેટને પૂછવા તેના બેડરૂમ તરફ ગઈ. જરા વાર પછી આવીને દક્ષાબહેનને જણાવ્યું: “મમ્મી અત્યારે આરામ કરે છે. અત્યારે તમને મળી શકે એવી હાલતમાં નથી. તમારે એને કાંઈ પૂછવા કરવાનું હોય તો મને જણાવો. તમારો મેસેજ આપી દઈશ.” 

“ઓહ! તો તું માર્ગરેટની કેરર છે, રાઈટ?’

“ના, હું એમની કેરર નથી. હું એમનું ધ્યાન રાખું છું. મારું નામ જયા.”

“હું તો અમસ્તી એમને મળવા આવી હતી. પણ આ માર્ગરેટને એકાએક શું થઈ ગયું?’ દક્ષાબહેને જયાને પૂછ્યું.

“મમ્મીને બ્રેસ્ટ કેંસર છે.’ 

“અરેરે! ….માર્ગરેટના આપ્તજનોને ભારે આઘાત લાગ્યો હશે, એમને જાણ કરી કે?’ 

“માર્ગરેટના અંગત પરિવારમાં કોઈ નથી. હા, એક ભત્રીજો છે, સેમ્યૂઅલ. એ પણ વંઠેલ અને બધી વાતે પૂરો છે. જુગાર રમે છે ને ક્યારેક અડધી રાતે આવી, એમને ધમકાવી પૈસા પડાવી જાય છે. પૈસા આપવા આનાકાની કરે તો હાથ ઉગામી લે છે.’’

“પણ માર્ગરેટ એ બદમાશને ઘરમાં કેમ પેસવા દે છે?’

“માર્ગરેટને પેટનું સંતાન તો છે નહિ એટલે આ ગધેડા તરફ ભાવ દેખાડે છે. કંઈ બોલી શકતાં નથી અને પેલો મમ્મીની  ભલમનસાઇનો લાભ ઊઠાવ્યા કરે છે.’

 ‘હું પંદર વરસથી માર્ગરેટનું ધ્યાન રાખું છું ને અહીં જ રહું છું, એમનાં ડૉક્ટરનાં એપોઇન્ટમેંટસ હોય, શોપિંગ કરવાનું હોય, બેંકના ધક્કા ખાવાના હોય, ટપાલ નાખવા જવાનું હોય, ઘરની સાફસૂફી હોય કે પછી એમને ભાવતી વાનગી બનાવવાની હોય – હું એમનાં નાનાં મોટાં તમામ કામ કરું છું’ 

“માફ કરજે, મારે આ પર્સનલ વાત તને પૂછવી ના જોઈએ છતાં પૂછી રહી છું. મારા સાંભળવામાં આવ્યું છે કે માર્ગરેટના હસબંડ ડેવિડ પાછળ પૈસો તો ઘણો મૂકી ગયા છે. ન કરે નારાયણ ને કાલ સવારે એમને કંઈ થઈ ગયું તો બધા પૈસા સરકારને જાશે! તને ખબર છે ને? આ સંપત્તિ ખોટા હાથોમાં જાય નહીં એ માટે માર્ગરેટે કંઈ પ્રાવધાન કર્યું છે ને? “

‘હા, એમણે વિલ બનાવ્યું છે. વિલમાં મને થોડુંઘણું મળશે એવું એકવાર એમણે મને ખાનગીમાં જણાવ્યું હતું. પણ મારે એમની એક પેની પણ જોઈતી નથી. અને આપશે તો પણ એ પૈસા હું ધર્માદામાં દઈ દેવાની છું. હું તો એમનું ધ્યાન રાખી મારો ધરમ બજાવી રહી છું.” આટલું કહી જયા અટકી. 

અને દક્ષાબહેનને પણ વધારે કંઈ પૂછવા જેવું લાગ્યું નહીં એટલે એ પણ જયાને સધિયારો આપી નીકળી ગયાં.

***

એ વાત હવે જૂની થઈ ગઈ હતી. અને એક દિવસ વહેલી સવારે દક્ષાબહેનને માર્ગરેટના ઘર પાસે કોલાહલ સંભળાયો. નીચે ઊતરી પૂછતાછ કરતાં ખબર પડી; માર્ગરેટે વહેલી સવારે અંતિમ વિદાઈ લઈ લીધી હતી. 

બે દિવસ પછી કેન્સલ ગ્રીનમાં તેની બરિયલ વિધિ પણ થઈ ગઈ. તેની ફ્યૂનરલ સર્વિસમાં પાડોશીઓની હાજરી પાંખી હતી. ફ્યૂનરલ સર્વિસની જવાબદારીઓ માર્ગરેટના ભત્રીજા સેમ્યૂઅલે સંપન્ન કરી. કાકીની મિલકતનો વારસો મળશે એવી અપેક્ષાએ તેણે ક્રિયાકરમ પણ પતાવ્યાં. એ ઉતરદાયિત્વ પત્યાના બીજા દિવસે તેણે જયાને નોકરીમાંથી છૂટી કરી દીધી અને માર્ગરેટના ઘરનો કબજો લઈ લીધો. અઠવાડિયા પછી સેમ્યૂઅલ, લક્ષ્મી અને એક્ઝિકયૂટર મિ. થોમસ પર માર્ગરેટના વકીલ તરફ્થી એક ઇમેલ આવ્યો. વકીલે વીલના દાવેદાર ઉમેદવારોને જાણ કરી હતી કે “આવતા સોમવારે ઠીક સવારે દસ વાગે એક્ઝિકયૂટર મિ. થોમસની હાજરીમાં હું માર્ગરેટનું વીલ વાંચીશ એ પછીની બાકીની બીજી બધી વિધિઓ મિ. થોમસ પૂરી કરશે. બધા સમયસર આવી જશો. “ 

સેમ્યૂઅલ તો બસ આ મોમેંટની જ રાહ જોઈ રહ્યો હતો!.

દસ વાગવાને હજી અડધા કલાકની વાર હતી, પણ સેમ્યૂઅલ અડધો કલાક વહેલો આવી આવી ગયો. સમય થતાં તેની બાજુમાં એક્ઝિકયૂટર મિ. થોમસ આવીને બેઠા. તેની બાજુની ચેરમાં જયા બેસી ગઈ. જયાને જોતાં સેમ્યૂઅલે મોં બગાડ્યું. તેને થયું ડોશીએ આને પણ થોડુંઘણું આપ્યું લાગે છે, એટલે જ એ અહીં આવી છે. 

ઠીક સાડાદસ વાગે વકીલે ત્રણેયને અંદર બોલાવી લીધા. ત્રણેય વકીલના ટેબલની સામેની ખુરશીઓમાં બેઠા પછી વકીલે ડ્રોઅરમાંથી એક લાંબો લિફાફો કાઢ્યો અને વીલની કોપી બહાર સરકાવી. એક્ઝિક્યૂટર મિ.થોમસ અને દાવેદારોની હાજરીમાં વીલ વાંચવાની શરૂઆત કરી. 

“હું માર્ગરેટ મેક્નમારા આ વીલ લખતી વખતે બિલકુલ તંદુરસ્ત મનોસ્થિતિમાં છું અને મારી મિલકતની સોંપણીની જાહેરાત કરું છું ….

સેમ્યુઅલના મોંમાં લાડુ ફૂટવા લાગ્યા. બધું મારા જ નામે કરીને કાકી ગયાં છે… હોઠ ફફડાવી એ જયાના ચહેરા સામું કતરાઈને જોવા લાગ્યો. 

દાવેદારો સામે જોઈ વકીલ વીલનું લખાણ આગળ વાંચવા લાગ્યા :

“- આ સાથે મારી અગાઉ લખાયેલી વસિયતને રદ્દ કરું છું.”

“વાઉ! નવી વસિયત! … એટલે … કાકીએ હવે બધું મારા નામે..!.” સેમ્યુઅલે તાલી પાડી અને જયા સામે જોયું.

“આ વીલમાં હું મારી તમામ સંપત્તિ …”

સેમ્યૂઅલે કાન સરવા કર્યા… છેલ્લા શબ્દો સાંભળવા તેની ઉત્કંઠા તીવ્ર બની રહી હતી. તેના કાનમાં જાણે કોઈ ઢોલ પીટતું હતું – વકીલ વાક્ય પૂરું કરે તે પહેલાં સેમ્યુઅલ બોલી ઊઠ્યો: “મારા નેફ્યૂ સેમ્યૂઅલ મેકનમારાને આપું છું.” 

“કામ ડાઉન મિ. સેમ્યૂઅલ! … ઇટ્સ નોટ ઓવર યટ” મૂછમાં હસતાં વકીલે તેને ટપાર્યો. 

“-હું મારી તમામ સંપત્તિ …”સેંટ લુક્સ, હોસપીસને સોંપવા એક્ઝિક્યૂટરને ભલામણ કરું છું. આ ચેરિટી સેવાભાવી સંસ્થા છે માટે. કોઈ પણ પ્રકારની સરકારી સહાયના આધાર વિના કેવળ પબ્લિક ડૉનેશનથી આ સંસ્થા ચાલે છે. તેનો સ્ટાફ વૉલંટરી સેવા આપે છે. મને પાકો ભરોસો છે, મારું આ પગલું હોસપીસના મિશનને આગળ વધારવામાં ઉપયોગી બનશે. મેઁ મારા પૂરા હોશહવાસમાં આ વસિયત બનાવ્યું છે.” ..

સેમ્યૂઅલના કાનમાં કોઈએ અચાનક બોંબ ફોડ્યો. ફાટફાટ થતા ગુસ્સાથી તેનો ચહેરો તપાવેલા તાંબા જેવો રાતોચોળ થઈ ગયો. ગુસ્સામાં એ ખુરશી પરથી ઊભો થઈ ગયો. વીલના છેલ્લા અવતરણો સેમ્યૂઅલની ચામડીને ડામ દઈ રહ્યા હતા! આંખમાંથી જાણે આગના ગોળા વરસવા લાગ્યા. બીજું કંઈ ન સૂઝતાં વકીલના ટેબલ પર હાથ પછાડતાં એ બરાડ્યો: “વૉટ નૉનસેંસ? સ્ટુપિડ વુમન ડોનેટેડ એવેરી પેની ઓફ હર અરનિંગ્ઝ ટુ ધ ચેરિટી?!” એ બરાડા પાડતો રહ્યો અને વકીલના સિક્યુરિટી ગાર્ડે પિઁખડી પકડીને તેને ચેમ્બરની બહાર ધકેલ્યો.

પણ જયા સ્વસ્થ હતી. થોડા પૈસા મળ્યા તો’ય શું? ને ના મળ્યા તો ય તેનો અફ્સોસ કરવાનો? અત્યાર સુધી આંધળો વાઢતો હતો ને વાછડો ચાવતો હતો. એ લફંગો એ જ લાગનો છે!  તેને વીલમાંથી રદ્દબાતલ રાખી માર્ગરેટ મેડમ ભારે  ડહાપણનું કામ  કરી ગયાં! 

વકીલના દફતરનાં પગથિયાં ઉતરતી વખતે જયાના ચહેરા પર અફસોસને બદલે ખુશીની આભા ઝલકી રહી હતી. 

શબ્દસંખ્યા: 2,094
e.mail : vallabh324@aol.com

Loading

...10...19202122...304050...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved