Opinion Magazine
Number of visits: 9950207
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અનામત કોઈને માટે ક્યાં સુધી ચાલુ રાખવી જોઈએ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|25 May 2026

રવીન્દ્ર પારેખ

અનામતમાં મત ન હોત તો તે આજ સુધી ટકી ન હોત. અનામત ટકવામાં રાજકારણ મુખ્ય છે. આમ તો તે 1902થી અમલમાં છે. કોલ્હાપુરના છત્રપતિ શાહુ મહારાજે રાજ્યની નોકરીમાં બ્રાહ્મણો ઉપરાંત પછાત જાતિઓ માટે 50 ટકા અનામત રાખવાની જાહેરાત કરેલી. 1908માં બ્રિટિશ સરકારે પછાત જાતિઓ માટે સરકારી નોકરીઓમાં અમુક ટકા અનામત રાખવાની પહેલ કરેલી. અંગ્રેજોની ભાગલા પાડો ને રાજ કરો – નીતિ અનુસાર અનામતનો સ્પષ્ટ હેતુ હિંદુ સમાજમાં ફાટફૂટ પડાવવાનો હતો. ગાંધીજી આ તકરાર પામી ગયેલા. તેમણે દલિતો માટે અનામત મતદાર ક્ષેત્રો સામે ઉપવાસ કર્યા હતા. આખરે ગાંધીજી અને ડો. આંબેડકર વચ્ચે પુના કરાર થયેલા, જેમાં દલિતોને હિંદુ મતદાર સંઘોમાં અલગ કોટા ફાળવાયેલા. ભારત સ્વતંત્ર થયું તેના વરસેક પહેલાં જ નવું બંધારણ ઘડવાનું શરૂ થઇ ચૂકેલું ને પાછળથી કાયદા મંત્રી ડો. આંબેડકરે જ બંધારણ રચનાનો દોર સંભાળ્યો હતો. તેમણે બ્રિટિશરોએ દાખલ કરેલી અનામત પ્રથા કાયમ કરવાનું નક્કી કરી રાખેલું, પણ પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અનામતની વિરુદ્ધ હતા. 1950માં નવું બંધારણ અમલમાં આવ્યું ને જાતિ આધારિત અનામત સામે કેસ કરવામાં આવ્યો. એમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો અનામતની વિરુદ્ધ આવ્યો, છતાં, બંધારણમાં 15(4) કલમ ઉમેરવામાં આવી ને આરક્ષણને રક્ષણ આપવામાં આવ્યું. ભારતનું બંધારણ અમલમાં આવ્યું ત્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે જ 22 ટકા અનામતની જોગવાઈ હતી. 1979માં મંડલ કમિશનની રચના થતાં 105 અન્ય પછાત જાતિઓને 27 ટકા અનામત હેઠળ આવરી લેવામાં આવી. 1985માં મંડલ કમિશને પોતાનો અહેવાલ સુપરત કર્યો, ત્યારે કેન્દ્રમાં કાઁગ્રેસની સરકાર હતી ને તે વખતનાં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ તે અહેવાલ અભરાઈ પર ચડાવી દીધો. 1989માં વી.પી. સિંહની સરકાર આવી ત્યારે મંડલ કમિશનના અહેવાલનો અમલ કરવામાં આવ્યો. તેને પરિણામે દેશમાં રમખાણો ફાટી નીકળ્યાં ને એમાં વી.પી. સિંહની સરકારે જવું પડ્યું.

ડો. આંબેડકરે અનામત દાખલ કરી ત્યારે તેનો અમલ 10 વર્ષ માટે જ કરવાની જોગવાઈ બંધારણમાં હતી, પણ પછી અનામતને મુદ્દે નવી સરકાર બનવાના સંજોગો ઊભા થયા અને તેમાં ૩૩ ટકા મહિલા અનામતનો પણ અમલ થયો. જેટલી સરકારો આવી તે કોઈકને કોઈક રીતે અનામતનો લાભ લેવાનું ચૂકી નહીં. આજે તો 50 ટકાથી વધે નહીં એ રીતે અનામત લાગુ છે ને મતનો વધારે લાભ થતો હશે, તો 50 ટકાની લક્ષ્મણરેખા પણ ઓળંગાઈ જાય તો આશ્ચર્ય થાય એમ નથી. અનામતમાં મત પડેલા છે, એટલે સરકાર કોઈ પણ હોય, અનામતની ટકાવારી વધશે, પણ ઘટશે નહીં. અનામત એવું હથિયાર છે જે રાજકીય પક્ષોને જીત માટે દ્વાર ખોલી આપે છે ને ચૂંટણી છે, ત્યાં સુધી એ શસ્ત્ર વપરાતું રહેવાનું છે એ નક્કી છે.

અનામત હવે નાબૂદ થાય એમ જ નથી ત્યારે તે વાત સ્વીકારી લેવાની રહે, પણ સવાલ એ છે કે એથી અનામત જેમને માટે છે, એમને ખરેખર કોઈ લાભ થાય છે કે સંબંધિત જાતિઓ મત મેળવી આપવા પૂરતું જ મહત્ત્વ ધરાવે છે? બનવું તો એવું જોઈતું હતું કે સરકારોએ પછાત જાતિઓને શક્ય તેટલી તમામ મદદ ભણતર, ઉછેર અને સગવડો સાચવવા કરવાની હતી ને પ્રવેશ, પરીક્ષા, નોકરી વગેરે માટે તમામને મેરિટસને આધારે પસંદ કરવાના હતા. તો, સ્વમાન ખોઈને લાભ મેળવવામાંથી અનામત આધારિત જાતિઓ બચી ગઈ હોત.

એક વાર એ પણ માની લઈએ કે અનામતની જે સ્થિતિ અત્યારે છે તે ચાલુ રહે છે, તો સવાલ એ છે કે આ અનામત કોને માટે ક્યાં સુધી ચાલુ રાખવી જોઈએ? અનામતનો લાભ કેટલી પેઢી સુધી આપવો જોઈએ? કે એની કોઈ સમય મર્યાદા હોવી જ ના જોઈએ? આમ તો અનામત ભારતીય પ્રજાને કોઠે પડી ગઈ હતી, પણ બીજા કોઈને નહીં, પણ સુપ્રીમ કોર્ટને સવાલો થયા છે, એટલે અનામત વિષે ફરી વિચારવાનું થયું છે. કોઈ પણ મદદ કોઈને ઉપર ઊઠવા પૂરતી થાય તે સમજી શકાય, પણ મદદ કરવામાં મદદ કરનારે મદદ માંગવાનો વારો આવે એવી મદદ તો ના થાય ને? અનામતને મામલે એવું તો નથી ચાલતું ને તેનો વિચાર કરવાની જરૂર છે. મદદ કરનાર ભિખારી ન થઈ જાય એવું તો મદદ લેનાર પણ ના ઇચ્છે. કોઈક તો મર્યાદા હોવી ઘટે ને !

કર્ણાટક હાઈકોર્ટના ચુકાદા સામેની અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેટલાંક તારણો આપ્યાં તે ધ્યાનાર્હ છે. અરજદારો વતી શશાંક રત્નુએ કહ્યું હતું કે લોકોને તેમના પગાર અને આવકને કારણે નહીં, પણ તેમના સામાજિક દરજ્જાને કારણે અનામત માટે પાત્ર ગણવામાં આવ્યા છે. ગ્રૂપ એ-ના કર્મચારીઓને બહાર કરવામાં આવ્યા છે ને ગ્રૂપ બી-ના કર્મચારીઓને બહાર કરવામાં આવી રહ્યા છે. એની સામે સુપ્રીમનાં જસ્ટિસ નાગરત્નાએ મહત્ત્વની ટિપ્પણી કરી છે કે જો માતા-પિતા બંને IAS કે ઉચ્ચ અધિકારી હોય તો તેમના સંતાનોને અનામતનો લાભ શું કામ મળવો જોઈએ? અરજદારનું માનવું છે કે આર્થિક સધ્ધરતા અનામતના હકને અવગણી શકે નહીં. સામાજિક દરજ્જાને લીધે, અવમાનનાને લીધે અનામત અનિવાર્ય છે. એની સામે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી વિચારવા જેવી છે.

સામાજિક અવમાનના થવાનું મુખ્ય કારણ હતું આર્થિક પછાતપણું. કોઈ પછાત જાતિના સભ્યો આર્થિક રીતે સદ્ધર હોત તો, તેની સામાજિક અવમાનના થઇ હોત? એ પણ છે કે સામાજિક અવમાનનાને કારણે જ આર્થિક સ્થિતિ પણ નબળી રહી, પણ એક જ કુટુંબમાં માબાપ IAS કેડર સુધી પહોંચ્યા હોય, તેમની આર્થિક સ્થિતિ પણ વધારે સુધરી હોય, તો તેમના સંતાનોને અનામતનો લાભ શું કામ મળવો જોઈએ, એ પ્રશ્ન તો રહે જ છે. રહી સામાજિક દરજ્જાની વાત, તો સવાલ એ પણ થાય કે IAS માબાપનો સામાજિક દરજ્જો સુધર્યો જ નથી એમ કહી શકાશે? જે સામાજિક દરજ્જો પહેલાં હતો એ જ IAS બન્યાં પછી પણ રહ્યો હોય એવું ખરું? એ સંદર્ભે સુપ્રીમના જજ નાગરત્નાની ટિપ્પણી વિચારવા તો પ્રેરે જ છે. એક પેઢીને અનામતનો લાભ મળ્યો હોય ને સામાજિક તથા આર્થિક સ્થિતિ પણ સુધરી હોય ને એમના સંતાનોને એ સામાજિક-આર્થિક અવમાનનાનો ભોગ બનવાનું આવ્યું જ નથી, તેમને અનામતનો લાભ શેને માટે મળવો જોઈએ એ પ્રશ્ન તો છે જ ! જે લોકો અનામતનો લાભ લઈને ચોક્કસ સ્થાન પર પહોંચ્યા હોય અને એમાં માતાપિતા બંને IAS કે અન્ય ઉચ્ચ હોદ્દા પર હોય ને એવા સ્થાન પર હોય, જ્યાં ઘણાં સવર્ણો કદી પહોંચવાના ન હોય, ત્યારે અનામતનો લાભ લેનારને વારંવાર તેનો લાભ આપવાને બદલે સરકારે તેમને અનામતથી દૂર રાખવા જોઈએ એવું સુપ્રીમનું તારણ કોઈ રીતે વાંધાજનક નથી. જસ્ટિસ નાગરત્ના અને જસ્ટિસ ભૂઈયાની બેંચ દ્વારા અનામતને મુદ્દે ચાલતી સુનાવણીમાં સરકારને અનામતનો લાભ લઈ ચૂકેલા લોકોને અનામતના દાયરામાંથી બહાર રાખવાની ટકોર કરાઈ છે, કારણ છેવટે નિર્ણય સરકારે લેવાનો છે ને સરકાર અનામતીઓને નારાજ કરવા કેટલી તત્પર છે, તે તો આવનારો સમય જ કહેશે. અનામતનો લાભ જેને આપવા જેવો જ હોય તેને ભલે અપાય, પણ જે આર્થિક તેમ જ સામાજિક રીતે સફળ છે તેમને અને તેમનાં સંતાનોને અનામતના દાયરાથી બહાર રાખવા જોઈએ. આમ પણ અનામતનો લાભ બધી પછાત જાતિઓને મળતો નથી, એમને લાભ મળે, એટલે પણ જે સક્ષમ છે એમને અનામતથી દૂર રાખવા જોઈએ, જેથી એમના જ જાતિ બંધુઓને તેનો લાભ મળી રહે.

એક વાત બહુ સ્પષ્ટ છે કે માબાપને અનામતને લીધે સામાજિક અને આર્થિક સ્થિતિ ઘણી સુધરી હોય તો તેમની પછીની પેઢીને તેનો લાભ ન મળવો જોઈએ. સમાજ એમાંથી બહાર આવે એટલે પણ તે જરૂરી છે. ઉપરના કિસ્સામાં કર્ણાટક હાઈકોર્ટનો અનામતમાંથી બાકાત રાખવાનો નિર્ણય સુપ્રીમે માન્ય રાખ્યો છે તે પણ સૂચક છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 25 મે 2026

Loading

પરફોર્મેટિવ પૉલિટિક્સઃ રાજકારણ હવે માત્ર શાસન નહીં, વાયરલ થવાની કળા પણ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|24 May 2026

પરફોર્મેટિવ પૉલિટિક્સ એક મજાનો શબ્દ છે. ઑપ્ટિક્સ હવે શાસનનો પૂરક ભાગ નથી, એ નેતાઓ માટે શાસનની મુખ્ય ક્રિયા બની ગઈ છે. આધુનિક  રાજકારણ હવે મનોરંજન સાથે સ્પર્ધામાં ઉતર્યું છે અને તે મનોરંજનનાં સાધનોનો ઉપયોગ કરીને જ આ ખેલ ખેલે છે. 

ચિરંતના ભટ્ટ

ગયા અઠવાડિયે મૅલૉડી ચૉકલેટ ચર્ચાઈ ગઈ, લોકોને બાળપણ યાદ આવ્યું તો ખોટી પારલે કંપનીના શૅરના ભાવ વધી ગયા. કારણ એટલું જ કે વડા પ્રધાન મોદીએ ઇટાલીના વડાંને મૅલૉડી ચૉકલેટ ભેટ આપી અને રીલ બનાવી. વાયરલ થતાં રાજકારણીઓ નવી પેઢીમાં હોટ ફેવરીટ છે. સારું કે ખોટું એ તો અત્યારે કહેવા કરતાં યાદ કરીએ એ સમય જ્યારે રાજકારણીઓનું ફોકસ એક સારું ભાષણ અને નક્કર ડીલ્સ કે વાટા-ઘાટોની વાત કરવા પર રહેતું. હવે રાજકારણીઓની આસપાસ સીન ગોઠવી આપતા ડિરેક્ટર્સ અને સોશ્યલ મીડિયા એક્સપર્ટ્સ છે. ભાષણનો હેતુ લોકો સુધી વાત પહોંચાડવાનો હતો અને સીન ગોઠવનારા રાજકારણીઓનો હેતુ વાયરલ થવાનો, ક્લિપ શૅર કેટલી વાર થઈ, સાત સેકન્ડના લૂપમાં લોકોએ તેમને કેટલા યાદ રાખ્યા એ બની ગયો છે. આ બે બાબતો વચ્ચેનો ભેદ સત્તાના દેખાડાના રાજકારણને સમજવા માટે પૂરતો છે. 

વાત માત્ર રાજકારણની સ્ટાઇલ બદલાઈ તેની નથી, રાજકારણનું બંધારણ પણ મૂળભૂત પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. પરિવર્તન એ નથી કે નેતાઓ નાટકીય બન્યા છે, બદલાવ એ છે કે નાટક જ રાજકારણ બની ગયું છે. પરફોર્મેટિવ પૉલિટિક્સ એક મજાનો શબ્દ છે. ઑપ્ટિક્સ હવે શાસનનો પૂરક ભાગ નથી, એ નેતાઓ માટે શાસનની મુખ્ય ક્રિયા બની ગઈ છે. આધુનિક રાજકારણ મનોરંજન સાથે સ્પર્ધામાં ઉતર્યું છે અને તે મનોરંજનના સાધનોનો ઉપયોગ કરીને જ આ ખેલ ખેલે છે. 

સત્તાની જૂની વ્યવસ્થા અખબારો, રાજકીય પક્ષો, સંસ્થાઓ અને સંપાદકીય ફિલ્ટરોમાંથી પસાર થતી હતી. નેતાને વિચારધારાની સ્પષ્ટતા, બ્યુરોક્રેટિક મશીનરી અને સિસ્ટમ સાથે કામ કરવાની ધીરજ જરૂરી હતી. રાજકારણ જનતા સુધી મધ્યસ્થીઓ દ્વારા નિસ્યંદિત, સંદર્ભિત અને થોડું મોડું પહોંચતું.

આ સીનમાં એક તબક્કે અલ્ગોરિધમની એન્ટ્રી થઈ. તેની સાથે સાવ જુદા જ પ્રકારની ટકાવારી પણ સીનમાં આવી. ડિજિટલ ઇકોસિસ્ટમ રાજકીય ક્ષમતાને સરપાવ નથી આપતી. ડિજિટલ ઇકોસિસ્ટમ ભાવનાઓને, લાગણીઓના ઉછાળને સરપાવ આપે છે. મૅલૉડી ચૉકલેટ આપણી લાગણી હતી. એક પેઢી માટે એ નોસ્ટાલ્જિયા હતો તો નવી પેઢી માટે એ હેશટેગ મૅલૉડીના ટ્રેન્ડનું એક્સાઇટમેન્ટ હતું. આ બધું બારીકીઓને એમ્પ્લીફાય નથી કરતું પણ નિશ્ચિતતાને એમ્પ્લિફાય કરે છે. ઇટલી અને ભારત વચ્ચેના વાટાઘાટો જિઓપૉલિટિક્સમાં રસ લેનારાઓને યાદ હશે પણ બાકીનાઓને યાદ રહ્યા હાવભાવ, એક ઉપનામ, એક તસવીર વગેરે; આ બધું એવો ખેલ છે જે સમજ પહેલાં તમારા ફોન્સ થકી તમારા સુધી પહોંચી જાય અને સંદર્ભ ખોવાઈ જાય પછી પણ ટકી રહે. 

આ પરિસ્થિતિમાં શાંત અને કાર્યક્ષમ ટેક્નોક્રેટ, ભલે તે કેટલા પણ સક્ષમ હોય, પાછળ પડી જાય છે. જરૂરી નથી કે તેમની વિચારધારા ખોટી હોય, પરંતુ તેમની હાજરી ‘વૉલ્ટેજ’ પેદા કરતી નથી. જે નેતાઓએ આ બાબત સૌથી ઝડપથી સમજી લીધી છે, તેઓ પરંપરાગત રાજકીય સ્પેક્ટ્રમના એક જ છેડે નથી. તેમને જોડવામાં વિચારધારાનો નહીં પણ પરંતુ ઇન્સ્ટિંક્ટનો ખેલ રમાય છે. કેમેરાને શું જોઈએ છે તેની લગભગ કોઈ પ્રાણી જેવી ચોક્કસ અને સાહજિક સમજ.

ડૉનાલ્ડ ટ્રમ્પને લીધે રાજકારણમાં રેસલિંગ શરૂ થયું એમ કહી શકાય. પહેલેથી નક્કી કરેલો ગુસ્સો, અભ્યાસપૂર્વક કરાયેલો આક્રોશ અને એવા વિરોધીઓ જેમનાં ઉપનામ વ્યક્તિ કરતાં વધારે જાણીતા બની જાય. ટ્રમ્પની રેલીઓ ભાષણો નહોતી પણ લાઈવ ટેલિવિઝન હતી. ઘણીવાર નીતિઓ કોરાણે મૂકાતી અને પ્રદર્શન કેન્દ્ર સ્થાને લાગતું. આ નવી રાજનીતિનું સૌથી સ્પષ્ટ સ્વરૂપ હતું : પરિચિત, ગર્જે એવું અને એવું જેને અવગણવું અશક્ય બની જાય.

વોલોડીમિર ઝેલેન્સ્કીએ એ જ તર્કનો ઉપયોગ સાવ જૂદા હેતુ માટે કર્યો. એ તો પાછા સ્ટેન્ડ અપ કૉમેડિયન પણ હતા એટલે એમને માટે થિએટ્રિક્સ બહુ અઘરા નથી. ઑલિવ ગ્રીન ટી-શર્ટ પહેરીને કીવમાં બનાવેલા ઓછા પ્રકાશ વાળા સેલ્ફી વીડિયોઝ, દેશ છોડવાનો ઇન્કાર આ બધું કંઇ અચાનક નહોતું થયું. આ યુદ્ધ દરમિયાનના મેસેજિંગની વિચારપૂર્વક બનાવાયેલી વ્યૂહરચનાઓ હતી. ઝેલેન્સ્કીએ સમયસર સમજી લીધું કે ઑપ્ટિક્સ પણ સૈન્ય રણનીતિ બની શકે. દેશ ન છોડનાર રાષ્ટ્રપતિની છબી જ હથિયાર બની ગઈ. ધારણા જ મોરચો સંભાળી રહી હતી. કદાચ આધુનિક ઇતિહાસમાં પહેલીવાર કોઈ નેતાનું વિઝ્યુઅલ ગ્રામર એક સૈન્ય જેવું કામ કરી રહ્યું હતું.

ઇલોન મસ્કની વાત પણ કરવી પડે. એ ક્યારે ય કોઈ ચૂંટાયેલ પદ પર હતા નહીં, સત્તાવાર રીતે કોઈ દેશ ચલાવતા નથી પણ તો ય ચૂંટણીની આખી પ્રક્રિયા પર તેનો પ્રભાવ રહ્યો. તે આખી મીડિયા ઇકોસિસ્ટમ જ ફરી ઘડી નાખે અને અડધી રાતે કરેલી પોસ્ટ્સથી જાહેર નીતિના ડાયલૉગ્ઝ પર તે પોતાની અસર છોડે છે. ઇલોન મસ્ક કંઇક નવી જ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે. સેલિબ્રિટી, મૂડી અને રાજકીય સત્તા વચ્ચેની ભેદરેખા આમાં ભુંસાઈ ગઈ. તે રાજકીય સિસ્ટમમાં પ્રદર્શન નથી કરતા પણ તે પોતે જ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની ગયા જેના માધ્યમથી બીજાઓએ પ્રદર્શન કરવું પડે. 

સ્ટેજ સાચવવામાં આખી ઇમારત ગાયબ થઈ ગઈ છે. નરેન્દ્ર મોદી, આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલેઈ અને ઇમેન્યુઅલ મેક્રોન, દરેકે પોતાના આગવા અંદાજમાં આ મંચના નાટ્યને સંપૂર્ણ બનાવ્યું છે. અહીં અવાજ છે પણ તેમાં કંઈ નક્કર વાત નથી, આ એક યોજનાબદ્ધ સિનેમેટિક મૌન છે. કોઈ રેલીમાં એક ચેન સૉ હલાવાય અને તે નીતિનું સાધન નથી બનતી પણ મીમ બનીને વાયરલ થઇ જાય છે. એક ફિલોસોફર પ્રેસિડન્ટની તસવીર જેમાં બાંયો ચડાવેલી હોય, બુદ્ધિજીવી પ્રતીકો અને કોરિયોગ્રાફ કરાયેલી સત્તાનો ઉપયોગ થાય તો એ બધું કંઈ અચાનક, સંજોગોવશાત નથી થયું. આ બધું એવી રીતે ખડું કરાયું છે જે બે સેકન્ડમાં અસર કરે અને અલ્ગોરિધમના અટેન્શન સ્પૅનમાં જીવતું રહે. 

આ પ્રક્રિયાને કારણે એવો મતદાર વર્ગ ખડો થાય જે શાસનને વિઝ્યુઅલ ગ્રામરથી માપે છે. નેતા ખરેખર નેતા જેવો લાગે છે, એવો છે કે નહીં એ નહીં, પણ એની ક્લિપ કેટલી ચાલી ગઈ, એના હાવભાવ કેવા હતા એ જ આ નવા મતદાર વર્ગ માટે અગત્યનું બની જાય છે. 

નીતિ નક્કી થાય, લાગુ થાય અને તેના પરિણામ આવે એમાં વર્ષો લાગે અને તેનું મૂલ્યાંકન કરવા ધીરજ જોઈએ. ગણતરીના સેકન્ડ્ઝમાં લોકો સુધી પહોંચતા અને જેમાં કોઈ વિચારશીલતાની જરૂર નથી એવા મીમ અને વાયરલ કોન્ટેન્ટ સામે એ ધીરજ સ્પર્ધા નથી કરી શકતી, હારી જાય છે. 

હવે મૂળ મુદ્દા પર આવીએ, ઘણીવાર નાર્સિસિઝમ કહીને નકારી દેવાય છે પણ આધુનિક નેતાઓનાં મૂલ્યોમાં દમ નથી એટલે એ લોકો આવું પ્રદર્શન કરે છે તેમ નથી. ઘણા નેતાઓને આવા ખેલ કરવા પડે છે કારણ કે ધ્યાન ખેંચવાનું આખું તંત્ર જે ડિજિટાઈઝેશનને કારણે બદલાઈ ગયું છે તેની જ આ માંગ છે. એવા નેતા જે આવા સીન ખડા કરવાની ના પાડે, આખા વાક્યોમાં બોલે, અનિશ્ચિતતા સ્વીકારે, શાંતિથી શાસન કરે અને હેશટૅગ્ઝમાં નહીં મીમમાં વાત કરે એ વાયરલ થવામાં નિષ્ફળ થાય છે કે નહીં એ પછીની વાત છે પણ તે લોકોની ટૂંકી યાદશક્તિમાંથી જ અદૃશ્ય થઇ જવાના જોખમમાં મુકાય છે. 

વળી અટેન્શન ઇકોનોમીમાં અદૃશ્ય થઇ જવું એ રાજકીય મોતનું એક સ્વરૂપ છે. જોખમ એ નથી કે નેતાઓ વાયરલ થવાના વાદે ચઢીને આવા દેખાડા કરે છે કારણ કે આવા ખેલ તો ઇતિહાસના દરેક નેતાઓએ કર્યા છે. જો નરેન્દ્ર મોદીને માર્કેટિંગના માસ્ટર કહેવા હો તો તમારે એ યાદ રાખવું જોઈએ કે દાંડી કૂચ થઈ ત્યારે ગાંધીજીએ અમેરિકન પત્રકારોને બોલાવ્યા હતા. કૂચની જે તસવીરો આપણે જોઇએ છીએ તેમાંની કેટલા આગલા દિવસના રિહર્સલની તસવીરો છે. વિન્સ્ટન્ટ ચર્ચિલની વિ સાઈન હોય કે જ્હોન એફ કેનેડીનું ટેલિવિઝન પર સરળતાથી આવવું હોય – આ બધું જ અસર માટે કરાયું હતું. રાજકારણમાં પ્રદર્શન નવી બાબત નથી. 

તો પછી વાંધો શું છે? સ્પીડ, ગતિ અને સીધી પહોંચને કારણે મધ્યસ્થી સંસ્થાઓ બાયપાસ થઇ જાય છે. આ જ ખાટલે મોટી ખોડ છે. નવી પેઢી માહિતી અને સમાચારો સોશ્યલ મીડિયામાંથી મેળવે છે અને એટલે જ રાજકીય બાબતોમાં રહેલું ગાંભીર્ય ક્યારેક ગોટે ચઢી જાય છે. એક વખત હતો જ્યારે નેતાઓ અખબારના તંત્રીઓ મારફત લોકો સુધી પહોંચતા, તંત્રી ચાર સવાલ કરીને, બાબત સમજીને નક્કી કરતાં કે અગત્યનું શું છે. આજે નેતાઓ સીધાં જ લોકોની ભાવનાત્મક નવર્સ સિસ્ટમમાં પ્રવેશી જાય છે. રાત્રે પલંગમાં પડ્યાં પડ્યાં મતદારો અલ્ગોરિધમે ગોઠવેલા ફીડને સ્ક્રોલ કરતા હોય છે ત્યારે નેતાઓએ શું કર્યું તે તેમને જોવા મળે છે. માહિતીને મામલે હવે કોઈ વિલંબ નથી થતો, કોઈ સંદર્ભોની ચર્ચા નથી થતી, કોઈ કૂલિંગ ઑફ પીરિયડ નથી હોતો. ઇમેજિઝ, વીડિયોઝ અને પ્રતિક્રિયા – બધું એક સાથે લોકો સુધી પહોંચી જાય છે. 

અહીં સવાલ એ છે કે આ એક સમસ્યા છે કે માત્ર બદલાયેલા સમય અને ટૅક્નોલૉજી સાથેનું અનુકૂલન છે? દરેક દાયકા કે યુગને તે સમયની ટૅક્નોલૉજીથી જન્મનેલું રાજકીય એસ્થેટિક્સ મળ્યું છે. પ્રિન્ટિંગ પ્રેસે પમ્ફ્લેટ અને પ્રચાર આપ્યો, ટેલિવિઝને કાયમી કેમ્પેઇન સર્જ્યું અને સોશ્યલ મીડિયાએ કાયમી પરફોર્મન્સ ખડું કર્યું. આ બધામાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થાય એ લટકામાં. 

ભવિષ્યમાં ઇતિહાસકારો આ સમયને લોકશાહીનું પતન નહીં ગણે, તેને એક વિકાસ તરીકે જોશે. એક નવું રાજકારણ જે નવા મીડિયાના માહોલમાં સ્વાભાવિક રીતે જન્મ્યું, પોતાની અલગ તર્ક વ્યવસ્થા, પ્રોત્સાહનો અને વિચિત્ર કહી શકાય તેવી સુસંગતતા સાથે. કદાય એમને ભાગે એવો ઇતિહાસ લખવાનું પણ આવે કે વિશ્વના સૌથી કુશળ રાજકીય પરફોર્મ્સ આપનારા આ દાયકાઓમાં સૌથી મોટી શાસકીય નિષ્ફળતાઓ પણ સાંપડી, કદાચ કોઈ એમ પણ પૂછે કે આ બંને વચ્ચે કોઈ સંબંધ હતો ખરો?  આખરે એક હકીકત એ પણ છે કે કેમેરાને જોઈતો મસાલો આપવો અને વાસ્તવિક્તામાં શું કરવું તેની ખબર હોવી એ બન્ને એક બાબત નથી. 

બાય ધી વેઃ 

21મી સદીનો સૌથી જોખમી રાજકીય ચહેરો કોન્ફીડન્સથી ખોટું બોલનારો નહીં હોય પણ એ હશે જેને સમજાયું હશે કે સત્ય જ માળખાકીય રીતે નબળું પડ્યું છે. સત્ય ધીમું છે, જૂઠાણાંની અથવા તો ઉપરછલ્લી બાબતોની ઝડપ બહુ વધારે હોય છે. બોગસ વાતો જલ્દી વાયરલ થાય છે, એ રીતે તે ડિઝાઇન પણ કરી શકાય છે. સત્યને ચકાસણી, સંદર્ભ, નિષ્ણાતનો અભિપ્રાય અને સમય જોઈએ. આ બધું થાય ત્યા સુધીમાં દેખાડાયેલી ચીજો બહુ આગળ સુધી વિસ્તરી ગઇ હોય છે. ભાવનાત્મક નિષ્કર્ષ લોકોના મનમાં ગંઠાઇ ચૂક્યો હોય છે. અલ્ગોરિધમિક મીડિયાના સમયમાં ગતિ માત્ર ટૅક્નિકલ ફાયદો નથી પણ રાજકીય સત્તા છે. આ કારણે જ કદાચ આધુનિક રાજકીય મેસેજિંગ હવે ઇન્ફ્લુએન્સર કલ્ચર જેવું લાગે છે. નેતાઓ પાસેથી માત્ર શાસન કરવાની અપેક્ષા નથી પણ તે સતત દેખાતા રહે, નવી પેઢીને ગમે એ રીતે તેમની સાથે જોડાતા રહે તેવી પણ અપેક્ષા છે. મૌનને નબળાઈ માનવામાં આવે છે, વિચારશીલ ગાંભીર્ય લોકોને અનિશ્ચિતતાની લાગણી આપે છે, કંઇપણ સહેજ જટિલ હોય તો તેનું પરફોર્મન્સ બરાબર નથી હોતું. જે નક્કર, ઠોસ, નિશ્ચિત લાગે, તે ખોટું હોય તો રાજકીય સ્તરે તે અફલાતૂન પરફોર્મ કરે છે. સરકારો હવે નેરેટિવ મેનેજમેન્ટ પર સારી એવી શક્તિ વાપરે છે. કેમેરા એંગલ્સ, પ્રતીકાત્મક હાવભાવ, હેશટૅગ્ઝ, વિઝ્યુઅલ ઓળખાણ, ઇમોશનલ ટાઇમિંગ આ બધું રાજકીય ઇકોસિસ્ટમનો ભાગ છે ને તે સંસ્થાકીય ક્ષમતાથી વધુ ઝડપી છે. નાટકીયતા રાજકારણનો હિસ્સો હંમેશાંથી રહી છે પણ હવે અમુક કિસ્સાઓમાં તે રાજકારણનો વિકલ્પ બની રહી છે. આનો અર્થ એમ પણ નથી કે વિઝ્યુઅલી સ્કિલ્ડ હોય તેવા અને પરફોર્મેટિવ પૉલિટિક્સ કરતા નેતા અયોગ્ય છે કે દરેક શાંત નેતા બુદ્ધિશાળી જ છે. એટલું ચોક્કસ છે કે શાસનના વાસ્તવિક પરિણામો દેખાય તે પહેલાં જાહેરમાં એક ધારણા ઘડી દેવાય છે. ચોકસાઈથી તૈયાર કરેલા પૉલિસી પેપર કરતાં કેમેરા સામે જે થયું હોય તે ચર્ચા પર કબ્જો જમાવી લે છે. આપણા સમયની સૌથી મોટી ચિંતા પણ એ જ છે, લોકશાહી માહિતગાર નાગિરકો માટે હતી અને ડિજિટલ પ્લેટફોર્મ્સ લાગણીઓમાં વહી એક્સાઇટ થતા યુઝર્સ માટે બન્યાં છે. આ બંને વાસ્તવિકતાઓ વચ્ચેનું અંતર આજે આધુનિક રાજકારણનું સાચું સરનામું છે. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 મે 2026

Loading

રાષ્ટૃની વિભાવના : સંઘર્ષ સમજૂતિ અને સ્થાપિત એજન્ડા

રમેશ ઓઝા|Opinion - Opinion|24 May 2026

રમેશ ઓઝા

“It is perhaps no exaggeration to assert that the Sangh hopes to be in future India what the ‘Fascist’ are to Italy and the “nazis’ to Germany.” (NAI, Home Poll Department, 88/33, 1933) 

(૧૯૩૩માં, જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને આઠ વરસ માંડ થયા હતા ત્યારે બ્રિટિશ  ગુપ્તચર વિભાગે ભય બતાવ્યો હતો કે ભવિષ્યના ભારતમાં સંઘ ઇટલીના ફાસિસ્ટ કે જર્મનીના નાઝી નીવડી શકે છે અને એમાં ઘણું કરીને કોઈ અતિશયોક્તિ નજરે નથી પડતી. આ અહેવાલ રાષ્ટ્રીય સંગ્રહાલયમાં ઉપલબ્ધ છે. Home Poll એટલે ministry of home, political department.)

પ્રારંભથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો એજન્ડા સત્તા કબજે કરવાનો નહોતો, ભારતીય રાજ્ય કબજે કરવાનો હતો જે રીતે એક સમયે ભારતનાં સામ્યવાદીઓનો પણ એજન્ડા રાજ્ય કબજે કરવાનો હતો. સામ્યવાદીઓ સશસ્ત્ર લોહિયાળ ક્રાંતિ કરીને રાજ્ય કબજે કરવા માગતા હતા અને તેવો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો હતો. ફરક એ છે કે સામ્યવાદીઓ એ વાત છૂપાવતા નહોતા. તેમણે જ્યારે જ્યારે જે નીતિ અપનાવી છે તેની વિગતે વાત કરી છે, તેના વિષે આપસમાં અને અન્યો સાથે મલ્લીનાથી કરી છે અને એ પછી તેમાં સફળતા નહીં મળતા જ્યારે જ્યારે નીતિ કે રણનીતિ બદલી છે તો તેની પણ વાત કરી છે. જેમ કે ૧૯૫૦ સુધીમાં તેમને સમજાઈ ગયું હતું કે ભારતમાં રશિયા કે ચીન જેવી ક્રાંતિ શક્ય નથી, માટે સંસદીય લોકશાહી માર્ગે રાજ્ય પર કબજો કરવો રહ્યો. તેમની ખુલ્લી અને બદલાયેલી રણનીતિ જોઇને કાઁગ્રેસમાંના તેમ જ નાગરિક સમાજમાંના જમણેરીઓ ડરી ગયા હતા અને તેમને એમ લાગવા માંડ્યું હતું કે સામ્યવાદીઓને ખાળવામાં સંઘ ઉપયોગી થઈ શકે એમ છે. friend in need. ૧૯૫૭માં કેરળમાં સામ્યવાદી પક્ષ સત્તામાં આવ્યો એ પછી તો તેઓ વધારે ડરી ગયા હતા અને સંઘ વધારે નજીકનો લાગવા માંડ્યો હતો.   

અહીં આગળ વધતા પહેલાં સત્તા કબજે કરવી અને રાજ્ય કબજે કરવું એમાં જે ફરક છે એ સમજી લેવો જોઈએ. જે લોકો વર્તમાન શાસકોને સત્તા પરથી ઉતારીને પોતે શાસન કરવા માગે છે તેમને રાષ્ટ્ર/રાજ્ય(નેશન સ્ટેટ)નાં ઢાંચા સામે વાંધો નથી હોતો. તેઓ સત્તાકીય વિકલ્પ લઈને આવે છે, નેશન સ્ટેટનો વિકલ્પ લઈને નથી આવતા. ભારતમાં સેંકડો રાજકીય પક્ષો છે જેમાંથી કોઈને બંધારણમાં નિરૂપાયેલ ભારતીય રાષ્ટ્ર અને બંધારણ દ્વારા આકાર પામેલા ભારતીય રાજ્ય સામે કોઈ વાંધો નથી. ઊલટું સત્તાપરિવર્તન તંદુરસ્ત લોકશાહી માટે અને રાષ્ટ્રહિત માટે જરૂરી છે. પરંતુ કેટલાક લોકો રાજ્ય કબજે કરવા માગે છે. કારણ એ છે કે તેમને  રાષ્ટ્ર વિશેની સર્વસ્વીકૃત વિભાવના (નેરેટિવ) અને એ વિભાવનાને સાકાર કરતું બંધારણ અને તેનાં પર આધારિત બંધારણીય રાજ્યવ્યવસ્થા સ્વીકાર્ય નથી હોતાં. તેને તે બદલવા માગે છે. તેમની પોતાની રાષ્ટ્ર અને રાજ્ય વિશેની એક કલ્પના હોય છે. 

હવે સૌથી અગત્યની વાત. ભારતીય રાષ્ટ્ર વિશેની વિભાવના કે કલ્પના અલગ અલગ લોકોની અલગ અલગ ન હોઈ શકે? એમાં ખોટું શું છે?

આમાં કશું જ ખોટું નથી. હકીકતમાં ભારતને આઝાદી મળી તેના સો-સવાસો સાલ પહેલેથી ભારતીય રાષ્ટ્રની વિભાવના વિષે ચર્ચા શરૂ થઈ ગઈ હતી. એમાં દયાનંદ સરસ્વતી, બંકિમચંદ્ર ચેટરજી, કદાચ ભારતના પહેલા હિંદુ રાષ્ટ્રવાદી કહી શકાય એ ભૂદેવ મુખોપાધ્યાય, અરવિંદ ઘોષ, લોકમાન્ય તિલક, લાલા લાજપત રાય, મદનમોહન માલવિય, એમ.આર. જયકર, કનૈયાલાલ મુનશી વગેરે અનેક લોકો હતા જેમની વિચારધારા અને રાજકારણના કેન્દ્રમાં હિંદુ અને હિંદુ સંસ્કૃતિ હતાં. તેમણે તેમની વાત સ્પષ્ટ શબ્દોમાં કહી છે અને પોતાનાં સમકાલીનો સાથે બાખડ્યા છે. એ દરેક હિંદુ હિતને વરેલા હતા અને તેના પક્ષધર હતા. બીજી બાજુ મુસ્લિમ હિતનું જતન કરવા માગનારાઓએ, દલિત અને અન્ય શોષિત પ્રજાના હિતનું જતન કરવા માગનારાઓએ, પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીઓનાં હિતનું જતન કરવા માગનારાઓએ, ભૌગોલિક રીતે સીમાડાની પ્રજાઓના હિતનું જતન કરવા માગનારાઓએ, આદિવાસી પ્રજાના હિતોનું જતન કરવા માગનારાઓએ, દક્ષિણની ગૈરઆર્ય ગૈરહિંદુ ભાષિક પ્રજાનાં હિતનું જતન કરવા માગનારાઓએ અને અન્ય લઘુમતી પ્રજાઓના હિતોનું જતન કરવા માગનારાઓએ પણ પોતપોતાની રાષ્ટ્ર વિશેની કલ્પના માંડી હતી. બીજી ગોળમેજ પરિષદમાં ૭૪ ભારતીયોએ ભાગ લીધો હતો જેમાં ૫૮ રાજકીય નેતાઓ હતા અને બાકીના જે તે હિતોના પક્ષધર હતા. તેમણે દરેકે પોતાની કલ્પનાના હિન્દુસ્તાનની વાત કરી હતી. જો કે એકબીજાની કલ્પનાના ભારતનો વત્તાઓછા પ્રમાણમાં છેદ ઉડાડ્યો હતો. 

હિંદુહિતના પક્ષધરો સામે બે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. પહેલો સવાલ ગૈર હિંદુઓએ ઉઠાવ્યો હતો અને બીજો સવાલ ગૈર આર્ય ગૈર બ્રાહ્મણ હિંદુઓએ ઉઠાવ્યો હતો. ગૈર હિંદુઓને હિંદુઓની બહુમતીનો ડર હતો. એવું ન બને કે સ્વતંત્ર ભારતમાં હિંદુઓનું વર્ચસ્વ રહે, ગૈર હિંદુઓએ ઓશિયાળા બનીને રહેવું પડે, તેમની સાથે અન્યાય કરવામાં આવે. હિંદુઓમાં દલિતો, પછાતો, શોષિતો, આદિવાસીઓ, સીમાડાની પ્રજા, સ્ત્રીઓ અને દક્ષિણના દ્રવિડોને ભય હતો કે હિંદુ સમાજ અને સંસ્કૃતિ ગમે એટલી મહાન હોય, વ્યવહારમાં સામાજિક સરસાઈ ધરાવનાર વ્યક્તિ નીચેવાળાને અન્યાય કરે છે અને તેને દૂર રાખે છે. બીજું હિંદુ સંસ્કૃતિ મુખ્યત્વે બ્રાહ્મણી સન્સ્કૃતિ છે અને ભેદભાવ શાસ્ત્રમાન્ય છે. તેમણે માંગણી કરી હતી ભારતીય રાષ્ટ્ર એવું હોય જેમાં દરેક સરખા ભાગીદાર હોય, દરેકને સમાન અવસર મળે, દરેકને ન્યાય મળે, દરેકનું માનવીય ગૌરવ જળવાય, કોઈનું કોઈના પર વર્ચસ ન હોય અને તેની બંધારણ દ્વારા બાંયધરી આપવામાં આવે. હિંદુહિતના પપક્ષધરોને સમજાઈ ગયું હતું કે દરેકને સાથે લેવામાં ભારતનું હિત છે. જ્યાં સંતુષ્ટ હિંદુ કરતાં અસંતુષ્ટ હિંદુ મોટી સંખ્યામાં હોય અને તેના અસંતોષનું કારણ કહેવાતો સંતુષ્ટ હિંદુ હોય ત્યાં આગ્રહી બનવાનો કોઈ અર્થ નથી. એમાં કોઈ હિંદુને લાભ થવાનો નથી. 

એક સદી બાખડ્યા પછી દરેકે પોતપોતાની ભૂમિકા હળવી કરી હતી એક સર્વસંમતિ વિકસાવી હતી જેનું નામ છે ભારતીય રાષ્ટ્ર અને તેનું પરિણામ છે બંધારણ આધારિત ભારતીય રાજ્ય. બંધારણસભામાંની ચર્ચા જોશો તો ખ્યાલ આવશે કે દરેકે બાંધછોડ કરી હતી. બંધારણ સભામાં ભારતીય જનસંઘના સ્થાપક અને પ્રથમ અધ્યક્ષ ડૉ શ્યામા પ્રસાદ મુખર્જી પણ હતા, તેઓ લઘુમતી કોમના અધિકારો નિશ્ચિત કરવા માટે ઘડાયેલી સમિતિના સભ્ય પણ હતા અને તેમણે સુદ્ધા લઘુમતી કોમના અધિકારોનો વિરોધ નહોતો કર્યો. એ સમયે તેમનો સંબન્ધ સંઘ સાથે નહોતો અને ભારતીય જનસંઘની હજુ રચના નહોતી થઈ. તેઓ કાઁગ્રેસની સીટ પરથી બંધારણસભામાં ગયા હતા. મતભેદ છતાં ય કૉન્ગ્રસે હિંદુ હિતના પક્ષધરને ખાસ એકોમોડેટ કર્યા હતા. 

હવે સવાલ ઉપસ્થિત થાય છે કે હિંદુહિતના પક્ષધરોએ પોતાની ભૂમિકા હળવી હતી તો એ તેમની દૂરંદેશી હતી કે શરણાગતી હતી? 

એ દૂરન્દેશી હતી. એક તો એ કે હિંદુહિતની વાત કરતા અને તેને માટે કામ કરતાં તમને કોઈ રોકતું નથી. અરે તમે તમારા જ્ઞાતિહિતની વાત કરી શકો છે હિત માટે પ્રયત્ન કરી શકો છો. એ બંધારણીય અધિકાર છે અને એ પણ બાંયધરીવાળો અધિકાર છે. બીજું હિંદુ સંસ્કૃતિ સમૃદ્ધ કરવા માટે કે તેના પ્રચાર-પ્રસાર માટે શાસન અને સત્તાની કોઈ જરૂર નથી. એ પ્રજાકીય પુરુષાર્થ છે અને એમાં શાસન તમને રોકતું નથી. જગતમાં કોઈ જગ્યાએ કોઈ સંસ્કૃતિ સત્તાધીશે નથી વિકસાવી, પ્રજાએ વિકસાવી છે. શાસક તો વધુમાં વધુ તેમાં મદદ કરી શકે. એક સમયે દેશમાં આધુનિક મિજાજનો જુવાળ પેદા થયો હતો તો એ એકલા નેહરુના કારણે નહોતો થયો. મેધાવીઓએ એ જુવાળ પેદા કર્યો હતો જેમાં નેહરુએ તો માત્ર મદદ કરી હતી. ઊલટું સત્તાકીય સરસાઈ માથાભારેપણું પેદા કરે જેની કિંમત બહુમતી પ્રજાએ જ ચૂકવવી પડે કારણ કે તે બહુમતીમાં છે. જો રાજ્ય તમને હિંદુ બનતા, હિંદુ હિતની વાત કરતા, હિંદુ હિત માટે કામ કરતા, હિંદુ તરીકે સંગઠિત થતાં, હિંદુ પક્ષની રચના કરતા, હિંદુ રાજકારણ કરતા, હિંદુ શિક્ષણસંસ્થા સ્થાપતા, હિંદુ સંસ્કૃતિને સમૃદ્ધ કરતા ન રોકતું હોય તો પછી હિંદુ તરીકે આનાથી વધારે જોઈએ છે શું? રાજકીય સરસાઈ અને સરસાઈજન્ય માથાભારેપણું? માથાભારેપણાથી મહાન હિંદુ નથી થવાતું, સાચા હિંદુ તરીકે જીવવાથી મહાન હિંદુ બની શકાય છે. બંધારણસભામાં જે મતભેદ પેદા થયા હતા એ સેક્યુલરિઝમની વાતે નહોતા પેદા થયા એ હિન્દી ભાષાને લઈને પેદા થયા હતા, રાજ્યોને કેટલી સત્તા આપવી કે કેન્દ્રને વધારે મજબૂત કરવું જોઈએ એ બાબતે થયા હતા,  

રાજ્ય પર કબજો કરવાના બે માર્ગ છે. એક છે લોકવિદ્રોહ અને બીજો છે લોકશાહી માર્ગે સત્તા પર કબજો કરીને ધીરે ધીરે રાજ્ય પર કબજો કરવો. ભારતમાં સામ્યવાદી પક્ષે ૧૯૪૭-૧૯૫૦નાં વર્ષોમાં પહેલો માર્ગ અપનાવવાની કોશિશ કરી હતી, પરંતુ તેમાં તેને સફળતા નહોતી મળી. સાધારણપણે લોકવિદ્રોહ ત્યાં થાય છે જ્યાં રાજ્ય ક્ષતિગ્રસ્ત હોય અને નિષ્ફળ નીવડી રહ્યું હોય. શ્રીલંકા, બંગલાદેશ અને નેપાળમાં લોકોએ વિદ્રોહ કરીને રાજ્ય પર કબજો કર્યો હતો. ભારતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે અનુક્રમે જર્મની અને ઇટલીના હિટલર અને મુસોલિનીનો માર્ગ અપનાવ્યો હતો. પહેલાં લોકશાહી માર્ગે સત્તા પર કબજો કરવો અને પછી ધીરે ધીરે રાજ્ય કબજે કરવું. આનો જવાબ પણ અઘરો નથી અને હવે તો સુજ્ઞ વાચકને તેનો અનુભવ થવા લાગ્યો હશે. રાજ્ય કબજે કરવું એટલે એ રાજ્યને પોષનારી સંસ્થાઓને કબજે કરવી. 

સૌથી પહેલા ક્રમે આવે રાષ્ટ્ર વિશેની સર્વસ્વીકૃત પ્રસ્થાપિત થયેલી વિભાવના(નેરેટિવ)ને તોડવી. તે તેના પર પ્રહારો કરીને તોડી શકાય, તેને અમુક રીતે ઓળખાવીને તોડી શકાય, એ વિભાવનાને વાચા આપનારા વિદ્વાનો અને લોકનેતાઓને બદનામ કરીને તોડી શકાય, તેનો બચાવ કરનારાઓને બોલવા નહીં દઈને તોડી શકાય અને નિરર્થક ઘોંઘાટ કરીને તેમ જ જૂઠાણાં ફેલાવીને તોડી શકાય, વગેરે વગેરે. આને માટે મીડિયા પર કબજો કરવો પડે, યુનિવર્સિટી અને અન્ય શિક્ષણ સંસ્થાઓ પર કબજો કરવો પડે, પાઠ્યપુસ્તકોને અને ખાસ કરીને ઇતિહાસને બદલવો પડે. દરેક જગ્યાએ એવા લોકોને ભરવા જે કાં તેમને માફક આવે એવી વાતો કરે અથવા તેમને જે માફક ન આવે એવું બોલનારાઓને બોલવા જ ન દે, પ્લેટફોર્મ જ ન આપે અથવા દેશપ્રેમ અને રાષ્ટ્રવાદનો ઘોંઘાટ કરે. શિક્ષણ સંસ્થાઓ, મુક્ત શિક્ષણ અને વિચારનારું ચિત્ત તેમને પસંદ ન આવે. 

બીજું કામ તેઓ લોકશાહીમાં પક્ષીય રાજકીય વિરોધીઓને તેમ જ વૈચારિક વિરોધીઓને ખતમ કરવાનું કરે. સૌથી પહેલાં તો નાગરિક સમાજના વાચાળ લોકોમાંથી જેને ખરીદી શકાય હોય તેને ખરીદે. જ્યાં ખરીદી શક્ય ન હોય ત્યાં નાગરિક સમાજના વાચાળ લોકોને ડરાવે, ધમકાવે અથવા જેલમાં નાખે. રાજકીય પક્ષોમાં લોકપ્રતિનિધિઓને ખરીદે, ડરાવીને પક્ષાંતર કરાવે વિભાજન કરાવે, રાજકીય પક્ષોને નાણાકીય મદદ ન મળે એવી વ્યવસ્થા કરે. ધીરે ધીરે લોકશાહીમાં પ્રતિપક્ષી જ ન બચે. જે હોય એ નામ પૂરતા હોય કે જેથી એમ બતાવી શકાય કે દેશમાં  

ગયા સપ્તાહના મારા લેખનો અંત એક પ્રશ્ન સાથે કર્યો હતો : હિંદુ પીંડ કેમ બદલાયો? હિંદુ માનસ કેમ બદલાયું? વેદ ઉપનિષદ મહાવીર અને બુદ્ધે તેમ જ મધ્યકાલીન સંતો અને +સૂફીઓએ ઉછેરેલો હિંદુ ક્યાં ગયો?

જે લોકો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મદદ લઈને તેનો રાજકીય ખપ જોતા હતા એ લોકોને ખાતરી હતી કે હિંદુ પીંડ તેમ જ હિંદુ માનસ ન બદલાઈ શકે અને જે લોકો અહર્નિશ આધ્યાત્મિક હિંદુ હતા (ગાંધી અને વિનોબા) તેમ જ જે ભારતનો સાંગોપાંગ ઇતિહાસ જાણતા હતા અને જેણે ઇતિહાસ લખ્યો પણ હતો (જવાહરલાલ નેહરુ) એ લોકોને એમ લાગતું હતું કે હિંદુ પીંડ પણ બદલાઈ શકે છે. હિંદુ માનસ બદલાઈ શકે છે. જે હિંદુ હોવાપણું અનુભવતા હતા, જીવતા હતા, જેઓ હિંદુ પિંડના ગર્ભગૃહની અંદર હતા તેવા અંદરના લોકોને (insider) ડર હતો કે હિંદુ પીંડ ભવિષ્યમાં ક્યારેક બદલાઈ શકે છે માટે સાવધાન રહેવું જોઈએ.

આવું કેમ બન્યું? હિંદુ હોવાના ગર્વથી પ્રેરાઈને સોમાનાથનું મંદિર બાંધનારા હિંદુઓને એમ લાગતું હતું કે હિંદુ પીંડ બદલાઈ ન શકે માટે આર.એસ.એસ.થી ડરવાની જરૂર નથી અને જેણે વેદો અને ઉપનિષદોનો અભ્યાસ કર્યો હતો, જેણે શ્રમણ-બ્રાહ્મણ પરંપરાનો અભ્યાસ કર્યો, જેણે સંતો અને સૂફીઓના દર્શનનો અભ્યાસ કર્યો, જેણે ખુલ્લા મને ભારતના અને જગતના ઇતિહાસનો અભ્યાસ કર્યો અને જેણે હિંદુ હોવાપણાને શ્વસ્યું એ લોકો સાશંક હતા. 

આગળ વધતા પહેલાં એક ખુલાસો જરૂરી છે. જે લોકોએ આર.એસ.એસ.ને મદદ કરી અથવા આર.એસ.એસ.ની મદદ લીધી એ કાઁગ્રેસીઓ છૂપા હિન્દુત્વવાદી હતા અથવા હિંદુ કોમવાદી હતા એમ હું માનતો નથી. એકાદ-બે લોકોનો એવો અપવાદ હોઈ શકે છે, પણ એકંદરે તેઓ જમણેરી હતા અને સમાજવાદ તેમ જ સમાજવાદીઓ માટે અણગમો ધરાવતા હતા અને સામ્યવાદથી ડરતા હતા. તેમને મુસ્લિમ કોમવાદનો પણ ડર હતો અને એને માટે કારણો પણ હતાં. તેઓ સંસ્કૃતિપ્રેમી અને સંસ્કૃતિરક્ષક હતા અને તેમને એમ લાગતું હતું પોતાને ડાબરી તેમ જ ઉદારમતવાદી તરીકે ઓળખાવનારાઓ પાશ્ચાત્ય પ્રભાવ હેઠળ જીવે છે. તેઓ જવાહરલાલ નેહરુને તેમાં અગ્રેસર સમજતા હતા જ્યારે કે નેહરુએ જગતનો ઇતિહાસ લખીને પશ્ચિમના અમાનવીય શોષક તેમ જ હિંસક ચહેરાને ઉજાગર કર્યો હતો અને પૂર્વની માનવીય પરંપરાનો મહિમા કર્યો હતો. એ સમયે ભારતનાં આકાશમાં જે વિચાર, વ્યક્તિ અને વલણ હતાં તે વિષે તેમનો આવો અભિપ્રાય હતો. પણ એનો અર્થ એવો નથી કે તેઓ હિંદુ મૂળભૂતવાદી કે કોમવાદી હતા. સમાનતા અને ન્યાય આધારિત આધુનિક રાજ્યમાં, કાયદાના રાજમાં અને લોકતંત્રમાં તેમની નિષ્ઠા હતી. તેમને જાણ હતી કે કાયદાના રાજનો સૌથી વધુ લાભ બહુમતી કોમને મળવાનો છે અને અરાજકતાની સૌથી મોટી કિંમત પણ બહુમતી કોમે જ ચૂકવવી પડતી હોય છે. તેઓ દ્વેષ કરનારા અને વેર લેનારા હિંદુ નહોતા. 

તો સવાલ પાંચ છે. એક. જે લોકોએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સમજવામાં થાપ ખાધી તેમણે ભારતીય રાજકારણને ક્યાં પહોંચાડ્યું? બે. જે લોકો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ઓળખી શક્યા તો તે શેને કારણે? ત્રણ. હિંદુ પીંડ અથવા હિંદુ માનસ બદલાયું શેના કારણે? ચાર. ખરેખર હિંદુ પીંડ કે હિંદુ માનસ પાછા ન ફરી શકાય એ હદે સંપૂર્ણપણે બદલાયું છે ખરું? અને પાંચ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સત્તા કબજે કરી છે કે પછી રાજ્ય કબજે કર્યું છે કે હિંદુ માનસ? 

આ પાંચ સવાલોને હાથ ધરતા પહેલાં મારે અહીં એક કબૂલાત કરવી જોઈએ. આ લખનારને પણ વાનપ્રસ્થાનની ઉંમરે પહોંચવા સુધી એમ લાગતું હતું કે હિંદુ પીંડ ક્યારે ય ન બદલાઈ શકે માટે સંઘથી ડરવાની જરૂર નથી. આ પૂરાણમતવાદી ગાંડીઘેલી વાતો કરનારી જમાત છે. તેની કોમવાદી હિંદુઓની એક વોટ બેંક છે, લોકતાંત્રિક દેશમાં તેનો તે અધિકાર છે અને એક અર્થમાં તેનો ખપ પણ છે. જેમ સૃષ્ટિનું સંતુલન જાળવી રાખવા વિવિધ સ્વભાવ ધર્મ ધરાવનારા જીવોનું એક સાથે હોવું જરૂરી છે તેમ સમાજમાં સંતુલન જાળવી રાખવા માટે વિવિધ અભિપ્રાય અને વલણનું એક સાથે હોવું જરૂરી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો આ રીતે એક મર્યાદિત ખપ છે. બાકી ભારતની હિંદુ બહુમતી પ્રજા એક પ્રકારની ઉદારતા અને મર્યાદામાં માને છે. ઉપરથી ભારતની વિવિધતા કોઈ એક પ્રજાને આક્રમક થવા દેતી નથી. આત્યંતિકતા અને આક્રમકતાનો અંદરથી છેદ ઉડાડે છે. મધ્યમ માર્ગ અને સહઅસ્તિત્વ ભારતની નિયતિ છે. આ સિવાય ભારતનું સંસદીય રાજકારણ પણ આત્યંતિકતાને પોષનારું નથી. સામ્યવાદીઓ, અકાલીઓ, દ્રવિડવાદીઓ, ઇશાન ભારતના અલગતાવાદીઓને એક દિવસ સમજાઈ ગયું કે આક્રમકતા અને આત્યંતિકતા આ દેશની પ્રજાને ભાવતી નથી અને જો સંસદીય લોકશાહી માર્ગે સત્તા સુધી પહોંચવું હોય તો દરેકનો સાથ લેવો જરૂરી છે. 

ટૂંકમાં આ પ્રકારનો રાજકીય વિમર્શ એ સમયે દેશમાં ચાલતો હતો જેમાં દરેકને એમ લાગતું હતું કે સામ્યવાદી ભારત અને હિંદુ ફાસીવાદી ભારત આ દેશમાં ક્યારે ય આકાર ન પામી શકે. સામ્યવાદીઓએ લોહિયાળ ક્રાંતિ કરીને સત્તા કબજે કરવાનો માર્ગ છોડીને સંસદીય માર્ગ અપનાવ્યો હતો. આ લખનારની પણ એવી જ સમજ હતી. એટલે તો કાઁગ્રેસના ભ્રષ્ટાચાર સામે લડવા જેમ રાજકીય પક્ષોએ અને રાજકીય નેતાઓએ સંઘનો સાથ લીધો હતો એમ નાગરિક સમાજે પણ લીધો હતો જેનો હું એક સભ્ય છું. એક સધિયારો હતો જે ખોટો સાબિત થયો. 

(ક્રમશ:)
24 મે 2026
e.mail : ozaramesh@gmail.com

Loading

...10...21222324...304050...

Search by

Opinion

  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …
  • મોહેં-જો-દડોની ‘ડાન્સિંગ ગર્લ’: 4500 વર્ષથી યથાવત્ હતી, 21મી સદીએ તેને ‘સુધારી’?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved