Opinion Magazine
Number of visits: 10080166
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

AI

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|13 July 2026

રવીન્દ્ર પારેખ

અણુશસ્ત્રોને બાદ કરતાં લગભગ તમામ શોધો માનવજાતનાં કલ્યાણ માટે જ થયેલી છે. એ જુદી વાત છે કે તે શોધનો ઉપયોગ માનવ હિતની વિરુદ્ધ થયો હોય. એમાં પણ અતિ – થયું છે, ત્યારે જ વાંધો આવ્યો છે, બાકી શોધ બહુ નડતરરૂપ થઈ નથી. સ્માર્ટ ફોન આવ્યા ને આખી દુનિયા સ્ક્રીનમાં પોતાનો સમય ખર્ચવા લાગી. તેમાં હવે તો કોઈ પણ ઉંમર બાકાત નથી. દોઢેક વર્ષનાં બાળકથી લઈને વૃદ્ધો સુધીનાં તમામ સ્માર્ટ ‘લોકો’ એમાંથી બાકાત નથી. બાળકો વરસાદી પાણીમાં કાગળની હોડીઓ તરાવતાં હતાં, એ બાળપણ હવે મોબાઈલમાં વીતે છે. ઇનડોર ગેઈમ્સ, આઉટ ડોર ગેઈમ્સ, હરવુંફરવું આ બધું મોબાઈલમાં કેન્દ્રિત થઇ ગયું છે. બાળક હવે રમવાને બદલે, ગેઇમ્સમાં અન્યને રમતાં જોઇને રાજી થાય છે. યુવાનોની પણ એ જ દશા છે. નવરા પડ્યા નથી કે મોબાઈલ મચડ્યો નથી ! ઘણીવાર તો કામ બાજુ પર મૂકીને, મોબાઈલને જ કામ બનાવી લેવાય છે. હરખ-શોક કંઇ પણ હોય, આખી દુનિયા મોબાઈલમાં વસી ગઈ છે.

ગયા ઓગસ્ટમાં આર્ટસ, સાયન્સ, કોમર્સના હજારેક વિદ્યાર્થીઓ, રજાનો કેવોક ઉપયોગ કરે છે તેનો સરવે  થયો, જેમાં જાણવા મળ્યું કે રજાના દિવસોમાં વિદ્યાર્થીઓ બેથી પાંચ કલાક સ્ક્રીન પર પસાર કરે છે. એમાં 61.૩૩ ટકા વિદ્યાર્થીઓ તથા 63.૩૩ ટકા વિદ્યાર્થિનીઓ છે. તેમાં આર્ટ્સના 64.28. સાયન્સના 64.17 ટકા અને કોમર્સના 68.૩૩ ટકાનો સમાવેશ થાય છે, માત્ર 29 ટકાને જ પુસ્તકો વાંચવામાં રસ પડે છે. મોબાઈલનું આટલું ઓછું હતું તે AI અને જેમિની જેવાએ પૂરું કર્યું. હવે જાણે એની બહાર જગત રહ્યું જ ન હોય તેમ બધું AIને સોંપી દેવાયું છે. એટલું સારું છે કે લોકોએ ખાવાપીવાનું પોતાની પાસે રાખ્યું છે. કાલે એવું બને કે AIને એવો હુકમ અપાય કે મારું ખાવાનું ખાઈ આપ ને એવું થાય તો માણસને ખાવાપીવાની ય ઝંઝટ ન રહે. અત્યારે તો ખાવાપીવાનું બાદ કરતાં, ઘણુંબધું AIને જ સોંપી દેવાયું છે. એ જેમ જેમ સર્જે છે, તેમ તેમ માણસની સર્જકતા ઘટતી આવે છે. AI માણસની મદદ માટે છે. AI પોતે માણસ નથી, પણ માણસે બધું એને સોંપવા માંડ્યું છે. કંઇ કરવાનું રહેતું જ નથી જાણે !

ચેટ જી.પી.ટી. સામાન્ય લોકો માટે આવ્યું એ વાતને ય ત્રણેક વર્ષ થયાં. હવે ચેટ જી.પી.ટી. અને જેમિની જેવા AI LLM સવાલો પૂછવા પૂરતાં સીમિત નથી. તે જટિલ કાર્યોને સરળ અને ઝડપી બનાવવાં લાગ્યાં છે, તો કેટલાંક કાર્યો પોતે જ કરવાં લાગ્યાં છે. સેમ આલ્ટમેનની આ કંપની AI મોડલ્સ અને એજન્ટ્સ પછી ‘AIએજન્ટ ફોન’ બનાવવાની પેરવીમાં છે. આ એવો સ્માર્ટ ફોન હશે જે ફોનના વપરાશની પદ્ધતિ જ બદલી કાઢી શકે. આમાં ઓપન એ.આઈ. અને એપલ જેવી કંપનીઓ રસ લઇ રહી છે. જલદી જ લોન્ચ થશે આ AI ડિવાઈસ ! આ ફોન પોતે ઈ-મેઈલનો જવાબ આપી શકશે, કોલ કરી શકશે. ગ્રોસરી પોતે ઓર્ડર કરી શકશે. મતલબ કે સ્ક્રોલ કરવાને બદલે ફોનને કામ પણ સોંપી શકાશે. તેનો ઇન્ટરફેસ એવો હશે કે તેનો સ્ક્રીન આંખો સામે હશે, પણ તે આંખોને બ્લોક નહીં કરે. એટલે કે ટ્રાન્સપેરન્ટ એલિમેન્ટ દ્વારા માહિતી દેખાશે. આ જેમિની પર આધારિત હશે. તે પ્રશ્નોના જવાબ આપવા ઉપરાંત રસ્તો બતાવશે અને નોટિફિકેશન લેન્સ પર બતાવશે. આ ફોન 2027 સુધીમાં લોન્ચ થઈ શકે અને પહેલે જ વર્ષે ૩ કરોડ યુનિટ્સ વેચવાનો અંદાજ છે.

એક સમયે બધું જ સ્માર્ટ હતું. સ્માર્ટ ફોન, સ્માર્ટ ટી.વી., સ્માર્ટ હોમ … વગેરે. તે વખતે અપેક્ષા એવી હતી કે ફ્રિજ પોતે જ દૂધ ઓર્ડર કરે, દરવાજો, મોબાઈલ ખોલે, માઈક્રોવેવ જવાબ આપે, પરંતુ હવે ‘સ્માર્ટ’ વિપરીત ‘બેઝિક’ વસ્તુઓનો ટ્રેન્ડ ઊભરી રહ્યો છે. એટલે કે એવા ફોન, ટી.વી.… જે ફક્ત પોતાનું કામ કરે અને ઈન્ટરનેટ કે એપ સાથે જોડાયેલાં ન રહે. અમેરિકા સહિત પશ્ચિમી બજારોમાં યુવાનો બેઝિક ફોન તરફ પાછા ફરી રહ્યા છે. લોકો બેઝિક ટી.વી. શોધી રહ્યા છે. એવી સ્ક્રીન, તમે જે ચલાવવા માંગો છો એ જ બતાવે. એમ થાય તો આપણી જોવાની ટેવો ટ્રેક થતી અટકશે. આમ થવાનું કારણ ડિજિટલ થાક છે. આજકાલ અમેરિકાના અડધા કિશોરો લગભગ બધો સમય ઓનલાઈન રહે છે. આ ટ્રેન્ડ ટેકનોલોજી વિરોધીઓમાં નહીં, પણ ટેક-સેવીમાં જોવા મળે છે. તેઓ ટેકનોલોજીનો પોતાની શરત પર ઉપયોગ કરવા માંગે છે. સ્માર્ટનેસ બધી વસ્તુઓ કનેક્ટ કરવામાં નહીં, પણ કઈ વસ્તુ કનેક્ટ ન કરવી એમાં પણ જોઈએ. કદાચ આગામી ટેક ક્રાંતિ ઓછું બોલનાર અને વધુ સમજદાર હશે.

એક તરફ ‘સ્માર્ટ’નો વિકલ્પ ‘બેઝિક’માં જોવાઈ રહ્યો છે, જયારે અમેરિકામાં યુવાનો આ બધાંથી ઉબાઈ ગયાં-ની સ્થિતિ છે. નો ચેટ જી.પી.ટી., નો જેમિની જેવા નારા લાગી રહ્યા છે. અમેરિકામાં 25 ટકા જેન ઝી એ સ્વીકાર્યું છે કે તેઓ અત્યારે સ્ક્રીન ટાઈમની કિંમત ચૂકવી રહ્યા છે. સ્માર્ટ ફોન અને સોશિઅલ મીડિયા વચ્ચે ઉછરેલી પેઢીને એ જ ટેકનોલોજી માટે સવાલો થવા લાગ્યા છે તે શુભ કે અશુભ સંકેત ગણવો એ સમજાતું નથી. આયોજિત ટેકનોલોજી પર શંકા કરનારાઓનું એક સંમેલન ન્યૂયોર્કમાં 28 જૂનથી 5 જુલાઈ દરમિયાન યોજાઈ ગયું. આ સંમેલનમાં અઈપોડથી મુક્તિ અપાવીશું, નો ચેટ જી.પી.ટી., નો જેમિની, નો ગ્રોક, નો ક્લોડ – જેવાં સૂત્રો પોકારવામાં આવ્યાં. આયોજનનો પ્રચાર વ્યક્તિગત સંપર્ક અને પોસ્ટર્સથી કર્યો. એટલે બહુ ભીડ ન હતી, પણ ઉપસ્થિત રહેલાંઓમાં મોટે ભાગના 20 વર્ષ કે તેથી વધુ ઉંમરનાં હતાં.

આ વલણ જેન-ઝી(1997થી 2012 દરમિયાન જન્મેલાં લોકો)નાં બદલાતાં વલણ અંગેનો સંકેત પણ છે. સ્માર્ટફોનના જમાનામાં ઉછરેલી આ પેઢી એમ માનવા લાગી છે કે સતત સ્ક્રીન પર રહેવાની કિંમત ચૂકવી રહી છે. ન્યૂયોર્કમાં 28 જુલાઈથી 5 જુલાઈ, 2026 સુધી AI અને સોશિઅલ મીડિયા પર શંકા કરનારા લોકોનું એક સંમેલન મળી ગયું. 2024ના એક સરવેનું તારણ કહે છે કે જેન-ઝીના ¼ ભાગના લોકોએ કહ્યું કે કાશ આ સ્માર્ટ ફોનની શોધ જ ન થઈ હોત ! અડધાથી વધુ લોકોએ 16 વર્ષથી ઓછી વય માટે સોશિઅલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની વાતને સમર્થન આપ્યું. ટેકનોલોજીનો સંપૂર્ણ વિરોધ ન કરતાં તેમને દેખરેખ રાખતાં, દખલ કરતાં અલ્ગોરિધમ અને સામાજિક જીવન પર વધતી ડિજિટલ અસરો સામે વાંધો છે. AIએ પણ ચિંતા વધારી છે. 70 ટકા જેન-ઝી માને છે કે AIની રોજગારી પર નકારાત્મક અસરો પડી શકે છે. તે ઘણો બગાડ કરે છે, એ પણ ખરું.

AI નાં ડેટા સેન્ટર્સ ચલાવવા માટે વીજળી પાણીનો બહોળો ઉપયોગ થાય છે. ડેટા સેન્ટર્સને કૂલ રાખવા માટે મોટા પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. એક અંદાજ પ્રમાણે 100 કરોડ લોકો AIનો ઉપયોગ કરી રહ્યા છે. તેની પ્રોસેસ પાછળ દરરોજ 6.80 લાખ કિલોવોટ વીજળી વપરાય છે. આટલી વીજળીથી 22 હજાર ઘરોને એક દિવસ વીજળી આપી શકાય. ડેટા સેન્ટર્સને ઠંડા રાખવાં જરૂરી છે, નહિતર તે કામ કરતાં નથી. એ કામ કરે એટલે પાણીનો મોટો જથ્થો વપરાય છે. ડેટા સેન્ટર્સ પાછળ વર્ષે 2,300 કરોડ લિટર પાણીનો જથ્થો વપરાય છે. ટૂંકમાં, 150 કરોડ લોકોને પૂરતો થાય એટલો જથ્થો પાણીનો AI પાછળ વપરાય છે. એ પરથી પણ ખ્યાલ આવશે કે AI કઈ હદે ઉપયોગી છે ! એમાં દર વર્ષે 17 ટકાનો વધારો થાય ને વધતો જ રહે એમ છે.

આ ગાળામાં ફ્લિપફોન અને કેસેટ ટેપનું વેચાણ વધ્યું છે. નવા ‘લુડાઈટ ક્લબ’(19મી સદીનાં મશીનીકરણનો વાંધો હતો એવા ટેક્સટાઇલ કામદારો)ના સભ્યોને મશીનીકરણનો એટલો વાંધો ન હતો, જેટલો આજીવિકા અને નોકરી સંદર્ભે હતો. તેવા જ વાંધા AI અને સોશિઅલ મીડિયા સામે હોવાથી યુવાનો પોતાને ‘લુડાઈટસ’ તરીકે ઓળખાવે છે. ત્યારે મશીનીકરણનો વાંધો હતો, હવે AI સામે છે. તેણે ઘણાંની નોકરી છીનવી હોવાના સમાચારો અખબારોમાં પ્રગટ થતા રહે છે. ન્યૂયોર્કના બની બેઠેલા લુડાઈટસ લોકોએ તો એક કેસ ચલાવ્યા પછી, ફોન ડિવાઈસને ફાંસી સુદ્ધાં આપી દીધી. આવો વર્ગ લોકોને સ્માર્ટ ફોન અને સોશિઅલ મીડિયાથી દૂર રહેવા પ્રેરિત કરે છે. કોયડા ઉકેલવા, ગાર્ડનિંગ, સ્ક્રીનથી દૂર રહેવા જેવી પ્રવૃત્તિઓ નવી લાઈફસ્ટાઈલ તરીકે સ્વીકૃત બની રહી છે.

એટલું છે કે મશીનીકરણનો વાંધો હોવા છતાં યંત્રો રોકાયાં નથી અને એનો જ એક છેડો આજના AI સુધી આવ્યો છે. જેમ મશીનોને રોકી શકાયાં નથી, એમ જ AI કે સોશિઅલ મીડિયાને પણ રોકી શકાવાનું નથી, પણ AIનાં લાભ કરતાં, તેનાં જોખમો વહેલાં ધ્યાન પર આવવાં લાગ્યાં છે. એની ચિંતા એક જ છે અને તે માણસને ખસેડીને તેને નકામો બનાવી દેવાની. માણસનાં કેટલાંક કામ પોતાની પાસે લઈ લેવાનું વલણ ચિંતા ઉપજાવનારું છે. માણસને મશીનથી રિપ્લેસ કરવાનું ઠીક નથી ને આજે AIએ ઘણી નોકરીઓ છીનવી લીધી છે ને એમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને શિક્ષિત બેકારી ચરમસીમાએ હોય ત્યારે નવી બેકારી ઊભી કરવાનો કોઈ અર્થ નથી. AI ઉપયોગી છે જ, જેમ યંત્રો એક કાળે હતાં જ, પણ, તેને એટલાં ઉપયોગી ન બનાવાય, જે માણસના ‘પિતાશ્રી’ બનવાની વેતરણમાં હોય. માણસે મશીન બનાવ્યું, મશીને માણસ બનાવ્યો નથી, એટલું ધ્યાનમાં રખાય તો ય ઘણું. AI અને સોશિઅલ મીડિયાનું આક્રમણ એટલું તીવ્ર છે કે એ જીરવવાનું મુશ્કેલ બન્યું છે, પણ એવા નાના વાંધાઓ, AI અને સોશિઅલ મીડિયાની સામે કેટલું ટકે એ વિચારવાનું રહે. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 જુલાઈ 2026

Loading

સતલુજઃ અનામી મૃતકોને ઓળખ આપનારા ખાલરાનું સત્ય લોકો સુધી પહોંચે એ કઠ્યું કેમ?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|12 July 2026

જો જોખમ એ હોય કે લોકોને યાદ આવી જશે કે આતંકવાદ વિરોધી અભિયાનનાં વર્ષો દરમિયાન હજારો પુરુષોના ગેરકાયદે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા, તો સત્ય એ છે કે આ હકીકત ક્યારે ય ખરેખર ગુપ્ત હતી જ નહીં.

ચિરંતના ભટ્ટ

ગયા રવિવારે સાંજે OTT પ્લેટફોર્મ Zee5 પરથી ફિલ્મ ‘સતલુજ’ હટાવી લેવાઇ. એ ફિલ્મ ત્રીજી જુલાઈએ OTT પર રિલીઝ થઇ અને અઢી દિવસમાં ખસેડી લેવાઇ. આગળ વાત કરીએ તે પહેલાં પંજાબી ભાષામાં સતલજ નદીનો ઉચ્ચાર સતલુજ થાય એ ચોખવટ. આ ફિલ્મ શાના વિશે હતી તે જાણીએ. જસવંત સિંહ ખાલરા નામે એક બૅંક કર્મચારીની જિંદગીની વાત આ ફિલ્મમાં કરાઇ છે. આ માણસે પોતાની જિંદગીનાં છેલ્લાં વર્ષો ઉપરછલ્લી રીતે કંટાળાજનક લાગે એવું કામ કરવામાં વિતાવ્યાં. તે સ્મશાનોના રજિસ્ટર વાંચતા જેમાં મોટાભાગના મૃતકોના નામ સામે બિનવારસી, અજ્ઞાત કે નિકાલ કરાયો જેવી નોંઘ ટપકાવાઇ હતી. આ એવા મૃતદેહો હતા જેને પંજાબ પોલીસ કોઇ ઓળખ આપવા નહોતી માગતી. ખાલરાએ રજિસ્ટરની નોંધોને ગુમ થયેલા લોકો સાથે, ગુમ કરાયેલા લોકો અને તેમના પરિવારો સાથે, અને પરિવારોને પોલીસ સ્ટેશનો સાથે જોડ્યા. તેમણે એક ફાઇલિંગ કૅબિનેટને આરોપપત્રમાં ફેરવી નાખ્યું. આખરે જ્યારે સી.બી.આઇ.ને તપાસ કરવાની ફરજ પડી, ત્યારે માત્ર તરનતારન જિલ્લામાં જ 2,000થી વધુ ગેરકાયદે અગ્નિસંસ્કાર થયાનું બહાર આવ્યું. એક બૅન્ક કર્મચારીએ શોધી કાઢેલી આ હકીકત કેટલી વ્યાપક હતી તેની તપાસ સી.બી.આઈ. કરી રહી હતી. 

6 સપ્ટેમ્બર 1995ના રોજ અમૃતસરમાં તેમના ઘરની બહારથી સાદાં કપડાંમાં આવેલા માણસો તેમને ઉપાડી ગયા. ત્યાર પછી તે ક્યારે ય જોવા ન મળ્યા. વર્ષો પછી સાક્ષીઓએ કોર્ટને જણાવ્યું કે કસ્ટડીમાં તેમને યાતનાઓ અપાઇ, ત્યાર બાદ ગોળી મારી દઇ, તેમનો મૃતદેહ નહેરમાં ફેંકી દેવાયો. 2005માં સેશન્સ કોર્ટે છ પોલીસકર્મીઓને તેમના અપહરણ અને હત્યા માટે દોષિત ઠેરવ્યા. 2007માં પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે તેમની સજા વધારીને આજીવન કેદ કરી. એકત્રીસ વર્ષ બાદ આ કેસમાં દોષિત ઠરેલા પોલીસકર્મીઓમાંથી એક આજે ઓપન જેલમાંથી જામીન પર બહાર છે. ક્રૂર યોગાનુયોગ એવો છે કે આ આરોપીઓની મુક્તિ એ જ અઠવાડિયામાં થઈ, જ્યારે ખાલરાની વાત ફરી એક વખત લોકો સામે આવી.

અહીં આપણે એ હકીકતથી નજર નથી ફેરવી રહ્યાં કે પંજાબમાં આતંકવાદ કોઈ નાનકડી સમસ્યા હતી, જેની સામે રાજ્યએ વધારે પડતી પ્રતિક્રિયા આપી હોય. એવું જરા ય નહોતું. બજારોમાં અને બસોમાં બૉમ્બ ફૂટતા હતા; પોલીસ અધિકારીઓ, સામાન્ય હિંદુઓ અને શીખો જે કોઈ એક પક્ષ પસંદ કરવા તૈયાર નહોતા, તેમને પણ મારી નાખવામાં આવતા. એ દાયકાએ જે ડર પેદા કર્યો એ વાજબી હતો, અને એ સમયગાળાની કોઈપણ પ્રામાણિક વાત આ ડરને વાસ્તવિક ગણ્યા વિના કહી શકાય નહીં. પણ ખાલરાના રજિસ્ટરોમાં નોંધાયેલા માણસો બૉમ્બ મૂકનારા આતંકવાદી નહોતા. તેઓ ‘અજ્ઞાત’, ‘બિનવારસી’ હતા, તેમના પર ક્યારે ય આરોપ મુકાયો નહીં, ક્યારે ય કેસ ચાલ્યો નહીં, કોઈ હિંસક કૃત્ય સાથે તેમનું નામ ક્યારે ય ન જોડાયું; ફક્ત આંકડા હતા, જેના થકી પરિવાર એફ.આઇ.આર. નોંધાવે એ પહેલાં જ મૃતદેહ ગાયબ થઈ જતો. બળવાખોરી સામે લડવું, અને જેને સહેલાઈથી ગુમ કરી શકાય એને મારી નાખી કાગળિયાં પૂરાં કરી દેવાં, આ બંને બાબતો સમાન નથી. રાજ્ય આતંકવાદ સામે લડે એ જરૂરી છે, છતાં પોતાના જ નાગરિકોને દુ:શ્મન અને સહેલા શિકાર વચ્ચેનો ફેર સમજવાની અને બીજા લોકે તે ફરક સમજાવવાની પોતાની જવાબદારીમાંથી સત્તાધીશો છટકી ન શકે. ખાલરાએ પોતાની આખી જિંદગી એ જ ફરકને પુનઃસ્થાપિત કરવામાં પસાર કરી. 

‘સતલુજ’ ફિલ્મ જસવંત સિંહ ખાલરા વિશે છે. હની ત્રેહાનની આ ફિલ્મમાં ખાલરાનું પાત્ર દિલજિત દોસાંઝે ભજવ્યું છે. આ ફિલ્મ ત્રણ જુદાં નામ હેઠળ વર્ષો સુધી સર્ટિફિકેશનની મુશ્કેલીઓમાંથી પસાર થયા પછી અંતે OTT પર આવી. ફિલ્મ સર્જકોએ તેને થિએટરમાં રિલિઝ કરવાની આશા માંડી વાળી હતી અને તે પહેલાં સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશને શરૂઆતમાં 127 કટ્સની માગણી કરી હતી. આ સામાન્ય વિવાદ છંછેડે એવા થોડાઘણાં કટ્સ નહોતા પણ ફિલ્મને ભાંગી નાખે એવા કટ્સ હતા. આવા વિવાદોની સુનાવણી કરતું અપીલ ટ્રિબ્યુનલ સરકારે 2021માં બંધ કરી દીધું હોવાથી ફિલ્મના સર્જકો પાસે બૉમ્બે હાઈ કોર્ટમાં જવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. એ જ રીતે ફિલ્મને સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ પર રિલીઝ કરવા સિવાય પણ બીજો કોઈ વિકલ્પ રહ્યો નહીં. આખરે એક પણ કટ પાછો ઉમેર્યા વિના ફિલ્મ રિલીઝ કરવામાં આવી. તે બે દિવસ ચાલી અને પછી ભારતીય સ્ક્રીન પરથી ગાયબ થઈ ગઈ. આઇ.ટી. ઍક્ટની કલમ 69A હેઠળ તેને હટાવવામાં આવી, એ જ જોગવાઈ, જે વાસ્તવિક કટોકટીની પરિસ્થિતિઓ માટે બનાવવામાં આવી હતી, પરંતુ અહીં તેનો ઉપયોગ એવા કેસ પર આધારિત ફિલ્મ માટે થયો, જેનો કોર્ટમાં પહેલેથી જ ચુકાદો આવી ચૂક્યો હતો. જો કે ભારતમાં ન હોય તેવી વ્યક્તિ આ ફિલ્મ જોઇ શકે છે.  

થોડા વખત પહેલાં હિંસા અને પીડિત સમુદાય પર બનેલી એક બીજી ફિલ્મ એટલી સરળતાથી પાસ થઇ ગઇ કે સર્વોચ્ચ અદાલતે સાવ જુદાં જ કારણસર હસ્તક્ષેપ કરવો પડ્યો. કોર્ટે ફિલ્મમાં ડિસ્ક્લેમર ઉમેરવાનો આદેશ આપ્યો, જેથી દર્શકોને સ્પષ્ટતા થાય કે તેની વાર્તા હકીકતમાં બનેલી ઘટનાઓ પર આધારિત નથી. ‘સતલુજ’ને મામલે એ સમસ્યા હતી જ નહીં કે તેની વાર્તા સાચી હોવાથી નાટ્યાત્કમ હતી. મુશ્કેલી એ હતી કે વાર્તા એટલી સાચી હતી કે કોઇને પણ બેચેની થઇ જાય, આઘાત લાગે અને વિચારતાં કરી મૂકે. કોઇ ડિસક્લેમર આ સત્યને ઝાંખુ પાડી શકે એમ નહોતું. પણ આપણે ત્યાં પાછો, ‘સત્યમ બ્રૂયાત પ્રિયમ બ્રૂયાત, ન બ્રૂયાત્ સત્યમ્ અપ્રિયમ્’ વાળો ઘાટ છે, બીજાને અપ્રિય લાગે એવું સત્ય ન બોલવું.

‘સતલુજ’ અગાઉ પણ એક વખત ચૂપચાપ પડતી મૂકાઇ હતી. ભારતમાં કોઈને તે જોવાનો મોકો મળે તેનાં વર્ષો પહેલાં 2023માં ટોરોન્ટો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ પસંદ થઇ હોવા છતાં કોઇ નક્કર કારણ આપ્યા વિના ફિલ્મ ખસેડી લેવાઈ હતી. ભારતને પડદા પર દેખાડાતી હિંસા સામે વાંધો નથી. વાંધો એ છે કે બંદૂક ક્યાં કોના હાથમાં છે (આ કિસ્સામાં પોલીસના) અને એ હકીકત સામે પણ વાંધો છે કે આ મામલે ચુકાદો તો પહેલાં જ અપાયો છે. 

‘સુરક્ષાની ચિંતા’ કરનારા અધિકારીઓએ એવી શક્યતા વ્યક્ત કરી છે કે આ ફિલ્મનો ઉપયોગ પંજાબમાં લોકોની લાગણીઓ ઉશ્કેરવા માટે થઈ શકે છે. કોઈ રાજ્યને પોતાની જ અદાલતો અંગે આવી ચિંતા થાય એ વિચિત્ર નથી? વળી ખાલરાના પરિવારને આ ફિલ્મ સામે કોઈ જ વાંધો નથી. જસવંત સિંહનાં વિધવા પરમિંદર કૌર ખાલરાએ રિલીઝ પહેલાં ફિલ્મ જોઈ હતી અને જાહેરમાં કહ્યું હતું કે તેમાં જે દર્શાવાયું છે એ સચોટ છે. જો જોખમ એ હોય કે લોકોને યાદ આવી જશે કે આતંકવાદ વિરોધી અભિયાનનાં વર્ષો દરમિયાન હજારો પુરુષોના ગેરકાયદે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા, તો સત્ય એ છે કે આ હકીકત ક્યારે ય ખરેખર ગુપ્ત હતી જ નહીં. આ સત્ય કોર્ટના ચુકાદાઓમાં, ઍમ્નેસ્ટીના અહેવાલોમાં અને ત્રીસ વર્ષ પહેલાં ખાલરાએ ખોલેલા ફાઇલિંગ કૅબિનેટમાં સતત મોજૂદ રહી છે. Zee5એ સ્ટેટમેન્ટ આપ્યું છે કે પ્લૅટફૉર્મ આ ફિલ્મની ‘પડખે ઊભું છે’, પણ એ જ પ્લૅટફૉર્મે ફિલ્મ હટાવી દીધી છે. જેનું કોઈ પરિણામ ન હોય તેવી બહાદૂરી શા કામની? 

દિલ્હી શીખ ગુરુદ્વારા મૅનેજમેન્ટ કમિટીએ હવે ફિલ્મનાં જાહેર સ્ક્રીનિંગ અને તેના પર સેમિનાર યોજવાની જાહેરાત કરી છે. આ પણ એક પ્રકારનો જવાબ છે કે OTT પ્લૅટફૉર્મ ફિલ્મ નહીં બતાવે તો સમુદાય પોતાનું પ્લૅટફૉર્મ ઊભું કરશે. રામ ગોપાલ વર્માએ સોશ્યલ મીડિયા પર એમ કહેલું કે, ખાલરા સાથે જે કરવામાં આવ્યું એ જ જો ફિલ્મ સાથે કરવામાં આવશે, તો એ તેમને ચૂપ કરી દેવાની ઘટનાનું પુનરાવર્તન જ ગણાશે. રાજ્ય દ્વારા આચરાયેલી હિંસાની વાતો, પછી ભલે એ પંજાબમાં બની હોય, 1984નાં દિલ્હીમાં કે કાશ્મીરમાં, તેમનું નસીબ નક્કી હોય છે. આ કથાઓ પર પ્રતિબંધ મુકાય છે કારણ કે તેમાં સત્ય છે, કલ્પના નથી. 

બાય ધી વેઃ 

આપણે એક રાષ્ટ્ર તરીકે એક ચોક્કસ પ્રકારની જવાબદારી સાથે સમાધાન કરી ચૂક્યા છીએ, એવી જવાબદારી, જે કોર્ટના ચુકાદામાં કેદ રહે; ફાઇલ થાય, ટાંકવામાં આવે, તેની ફૂટનોટ્સ લખાય અને પછી સલામત રીતે કાયદાનાં કોઈ પુસ્તકાલયમાં નિવૃત્ત થઈ જાય, જ્યાં લગભગ કોઈ તેને ક્યારે ય વાંચવાનું નથી. પરંતુ એ જ જવાબદારી જ્યારે કોઈ ચહેરો ધરે, તેને રિલીઝની તારીખ મળે અને લોકો તેને જોઇને વિચારવા મજબૂર થાય, સવાલ કરવા મજબૂર થાય ત્યારે પાસાં પલટાઇ જાય છે. આ ઘટનાક્રમને તેના મૂળ સુધી લઈ જઈએ તો ખાલરાનો વાસ્તવિક ‘ગુનો’ એ હતો કે તેમણે અનામી મૃતકોને ઓળખ આપી. ‘સતલુજ’નો ‘ગુનો’ એ હતો કે તેણે એ ઓળખને લોકો સુધી ફરી પહોંચાડી, લોકપ્રિય બનાવી. હત્યા પર કોઈએ પ્રતિબંધ નહોતો મૂક્યો. એકત્રીસ વર્ષ પહેલાં પોલીસના હાથે, તેમની નજર સામે હત્યા થઇ, અદાલતોએ પણ એ હકીકત સ્વીકારી અને અંતે પ્રતિબંધ દર્શકો પર લાગ્યો. બીજું બાય ધી વે, એ કે સુપરકોપ તરીકે જાણીતા કે.પી.એસ. ગીલનો આતંકવાદનો સફાયો કરવામાં મોટો હાથ હતો તે આપણે જાણીએ છીએ. એ પણ હકીકત છે કે, ખાલરાની હત્યામાં તે સીધા દોષિત નહોતા પણ એ વિવાદ તેમના કાર્યકાળની આસપાસ જ ફરે છે. આઇ.એ.એસ. અધિકારી રૂપા દેઓલ બજાજે 1988ની એક પાર્ટીમાં કે.પી.એસ. ગીલે તેમની સાથે અણછાજતું વર્તન કર્યું હોવાનો આરોપ મૂકી 17 વર્ષ કેસ ચલાવ્યો હતો જેમાં ગીલને દોષિત ઠેરવાયા હતા. આ જ સુપરકોપને 2002 પછી ગુજરાત સરકારે સુરક્ષા સલાહકાર તરીકે નિમ્યા હતા. સત્તા, રાજકારણ, ઢાંકપિછોડો અને વાગે એવું સત્ય એ એક એવું કોકડું છે જે ઉકેલવું સહેલું નથી.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 જુલાઈ 2026

Loading

ગઝલ

કિંજલ પંચાલ|Opinion - Opinion|12 July 2026

આભ આખું જોને કેવું પ્રેમથી ન્હાયે છે વરસાદમાં,
મોર થઈને જીવ મારો આજ તો ગાયે છે વરસાદમાં.

ધૂળથી ખરડાયેલી આ સૃષ્ટિ આખી શુદ્ધ થઈ,
પાન પાન પર નવું એક રૂપ દેખાયે છે વરસાદમાં.

બંધ જે રાખ્યા હતા મેં દર્દના વાગોળવા,
એ બધાંયે આંસુઓ પાણીમાં ધોવાયે છે વરસાદમાં.

વાયરો લાવ્યો છે ભીની એ જ માટીની સુવાસ,
એક જૂની યાદ દિલમાં આવી ન્હાયે છે વરસાદમાં.

નાવ કાગળની બનાવીને ફરી કૂદ્યા બધા,
બાળપણ આખું જુઓ શેરીમાં છલકાયે છે વરસાદમાં.

કોઈના વિરહની અગન જે દિલ મહીં બળતી હતી,
જોઈ વાદળ એ નજર પણ આજ મલકાયે છે વરસાદમાં.

આખી ધરતી ઓઢીને બેઠી છે લીલી ચાદરો,
કુદરતનો ઠાઠ આખો ક્યાંય ના સમાયે છે વરસાદમાં.

e.mail : kinjalpanchal439@gmail.com

Loading

...10...21222324...304050...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved