Opinion Magazine
Number of visits: 9950459
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચૂંટણીમાં બિનહરીફ વિજેતા લોકતંત્ર સામેનો પડકાર છે.

ચંદુ મહેરિયા|Opinion - Opinion|21 May 2026

ચંદુ મહેરિયા

ઈલેકશન કમિશન ઓફ ઇન્ડિયાએ સુપ્રીમ કોર્ટ સમક્ષની એફિડેવિટમાં ચૂંટણીમાં બિનહરીફ વિજેતા થવાને એક દુર્લભ અને અપવાદરૂપ બિના ગણાવી છે. પંચે તેની દલીલના સમર્થનમાં જણાવ્યું છે કે ૧૯૫૧થી ૨૦૨૪ સુધીની ૧૮ સામાન્ય ચૂંટણીઓમાં કેવળ નવ જ વખત અને ૧૯૯૧ પછી માત્ર એક જ વખત આવું બન્યું છે. આઝાદી પછીના બે દસકામાં ૩૫ ઉમેદવારો લોકસભા ચૂંટણીમાં બિનહરીફ વિજેતા થયા છે. એક અન્ય અભ્યાસમાં ૨૯૮ ધારાસભ્યો વગર ચૂંટણીએ જીત્યા હોવાનું જણાવાયું છે. 

૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની ૨૬ બેઠકો પૈકી ૨૫ બેઠકો પર જ ચૂંટણી થઈ હતી. સુરત લોકસભા બેઠક પરના  ભારતીય જનતા પક્ષના ઉમેદવાર નિર્વિરોધ ચૂંટાયા હતા એટલે તે બેઠક પર મતદાન થયું નહોતું. એ જ વરસે લોકસભા સાથે પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશ વિધાનસભાની ૬૦ બેઠકોની ચૂંટણી હતી. અરુણાચલની આ ચૂંટણીમા ૧૦ બેઠકો પરના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. તાજેતરની ગુજરાતની પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં ૭૦૦ કરતાં વધુ બેઠકો પરના ઉમેદવારો બિનહરીફ વિજયી થયા છે. તેમાંથી મોટા ભાગના ઉમેદવારો સ્વાભાવિક જ બી.જે.પી.ના છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે કાઁગ્રેસના ૧૨ ઉમેદવારો અને ૩ અપક્ષો પણ બિનહરીફ થયા છે. ગુજરાતમાં ત્રણ દાયકાથી બી.જે.પી.ની રાજવટ હોય અને કાઁગ્રેસ અસ્તિત્વ માટે ઝઝૂમતી હોય ત્યારે તેને એક ડઝન બેઠકો તેની સામે કોઈ ઉમેદવાર જ ન હોવાથી વગર ચૂંટણી લડે મળે તે આશ્ચર્યજનક સમાચાર નથી શું? વળી આ બાબત બિનહરીફ ચૂંટણી(Uncontested Election)ના મુદ્દાને ઓર પ્રાસંગિક બનાવે છે. 

લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ની ધારા ૫૩(૩)માં બિનહરીફ ચૂંટણી પ્રક્રિયાની જોગવાઈ છે. તે મુજબ જો કોઈ ચૂંટણીમાં ભરવાપાત્ર બેઠકોની સંખ્યા જેટલા જ ઉમેદવારો હોય, દા.ત. એક બેઠક માટે એક જ ઉમેદવાર હોય, તો કોઈ મતદાન કરાવવાનું રહેતું નથી. વગર મતદાને ચૂંટણી અધિકારી ઉમેદવારને બિનહરીફ વિજેતા ઘોષિત કરે છે. આ જોગવાઈ અને તેની અસરો સંબંધે અદાલતો સમક્ષ રજૂઆતો થઈ છે અને છેલ્લે સર્વોચ્ચ અદાલતે પણ નિર્વિરોધ ચૂંટણી અંગે કેટલાક આકરા નિરીક્ષણો કર્યા છે. 

સુપ્રીમ કોર્ટે બિનહરીફ ચૂંટાવા બાબતે થયેલી જાહેરહિતની અરજીઓ પર સરકાર અને ચૂંટણી પંચનો જવાબ માંગ્યો છે. દરમિયાનમાં સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે વગર ચૂંટણીએ કોઈ ઉમેદવારને બિનહરીફ વિજેતા ઘોષિત કરવો તે લોકતાંત્રિક મૂલ્યોની વિરુદ્ધ છે. બિનહરીફ ઉમેદવારને ચૂંટાયેલો જાહેર કરતાં પહેલા તેણે અમુક લઘુતમ મતો તો મેળવ્યા જ હોવા જોઈએ તેવી જોગવાઈ થવી જોઈએ તેમ પણ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. નિર્વિરોધ વિજેતા માટે લઘુતમ મતોની અનિવાર્યતાની જોગવાઈ લોકતાંત્રિક પ્રક્રિયાને વધુ પારદર્શી અને મજબૂત બનાવી શકે છે. 

નાગરિકોના મતદાનના અધિકાર(Right to Vote)ની સુરક્ષા માટે જરૂરી છે કે બિનહરીફ ઉમેદવાર મતદારોનું પર્યાપ્ત સમર્થન મેળવે. મતદારોને પણ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો જે મૂળભૂત અધિકાર મળ્યો છે તે મતદાન દ્વારા જ તે વ્યક્ત કરે છે. જો વગર મતદાને તેમનો લોક્પ્રતિનિધિ ચૂંટાઈ જાય તે ભલે કાયદેસર કે બંધારણીય હોય પણ મતદારોનું તે સાચું પ્રતિનિધિત્વ કરતો નથી તેમ કહી શકાય. મતદારોને પોતાની પસંદગી વ્યક્ત કરવાનો અધિકાર મતદાન થકી મળે તે પહેલાં જ તે ચૂંટાયેલો જાહેર થઈ જાય તેનાથી મતદારોની લાગણી અને લોકતાંત્રિક ભાવના આહત થાય છે. 

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જસ્ટિસ સૂર્યકાંત તો કહે છે કે જો કોઈને ૫ ટકા મતદારોનું પણ સમર્થન નથી અને તે પૈસાના જોરે કે સત્તાના બળે બધા ઉમેદવારોને મનાવી લે છે તો આવા ઉમેદવારને લોકપ્રતિનિધિ તરીકે સંસદ કે વિધાનગૃહમાં પ્રવેશવાનો કોઈ અધિકાર જ નથી. 

બિનહરીફ ચૂંટાતો ઉમેદવાર મતદારોનો નોટા કે નકારનો મત, જેના દ્વારા મતદારો મતપત્રમાં જણાવેલ પૈકીનો એકેય ઉમેદવાર તેના મતને પાત્ર નથી, તેવી જે જોગવાઈ છે તેનો ઉપયોગ કરે છે,  તેને રોકે છે. બિનહરીફ ચૂંટાવાથી મતદારને નોટાનો અધિકાર વ્યક્ત કરવાની તક મળતી નથી. ૨૦૧૩નો સુપ્રીમ કોર્ટનો એક આદેશ જણાવે છે તે પ્રમાણે નોટા પસંદ કરીને નકારાત્મક મત આપવાનો મતદારનો હક બંધારણના અનુચ્છેદ ૧૯ મુજબ સંરક્ષિત છે. આ અધિકાર ચૂંટણી લડતા ઉમેદવારોની સંખ્યાથી સ્વતંત્ર છે. એટલે માત્ર એક જ ઉમેદવાર હોવાથી ચૂંટણી ન કરાવવી તે મતદારોના નોટાના અધિકારનું હનન છે. જો કે સરકારનો મત છે કે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ની ધારા ૭૯(બી) હેઠળ નોટાને ઉમેદવાર માનવામાં આવતો નથી. એટલે બિનહરીફ વિજેતાના કિસ્સામાં મતદાન કરાવવાની માંગણી કરવી અને નોટાના ઉપયોગની છૂટ આપવી તે વાજબી નથી. 

વગર ચૂંટણીએ લોકસભા કે ધારાસભાના સભ્ય થઈ જવાનું આ વલણ જો વધે તો તેના માઠા પરિણામો આવી શકે છે. ૨૦૨૪માં સુરત લોકસભા સીટ પર કુલ ૨૯.૪૦ લાખ મતદારો હતા. બિનહરીફ ચૂંટણીને કારણે આશરે ત્રીસ લાખ મતદારોના પ્રતિનિધિ એક પણ મત મેળવ્યા સિવાય મેમ્બર ઓફ પાર્લામેન્ટ બની શક્યા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓમાં કુલ બેઠકોના આશરે ૧૦ ટકા પણ બિનહરીફ ચૂંટાયા છે તો તેમણે પણ લાખો મતદારોનું મતદાન દ્વારા કોઈ સમર્થન મેળવ્યું નથી. એ દૃષ્ટિએ વિચારતાં આ બાબત મતદારોની પસંદગીની તકને છીનવે છે, તેમની મતદાન થકી લોકશાહીમાં ભાગીદારીને સીમિત કરે છે. કેમ કે મતદાન નહીં થવાથી મતદારો તેમના પસંદગીના ઉમેદવારને ચૂંટી શકતા નથી કે બિનહરીફ જાહેર થયેલને નકારનો મત પણ આપી શકતા નથી. 

ગાંધીજીએ સર્વસંમતિ આધારિત શાસનની પરિકલ્પના કરી હતી. પરંતુ સમરસ પંચાયતો કે બિનહરીફ ચૂંટણી  ન તો ગાંધીની પરિકલ્પના પ્રમાણે છે કે ન તો લોકતંત્રના સિદ્ધાંતો પ્રમાણે છે. આ તો નિષ્પક્ષ પ્રતિનિધિત્વનો છેદ ઉડાડે છે. ભારતમાં લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયા પોણી સદી વટાવી ગઈ છે અને ખાસ્સી પુખ્ત થઈ ગઈ છે. આજે દેશમાં રાજકીય પક્ષો વધ્યા છે તો ચૂંટણી લડવાની મહત્ત્વાકાંક્ષા સેવનારા લોકો પણ વધ્યા છે એટલે ઉમેદવારોની સંખ્યા અને હરીફાઈ વધવી જોઈએ. બિનહરીફ ચૂંટણી તો અતિ દુર્લભ કે ભાગ્યે જ બનતી ઘટના બનવી જોઈએ. તેના બદલે તેનું ચલણ વધી રહ્યું છે. 

“વિધિ: સેન્ટર ફોર લીગલ પોલિસી” અને અન્યની જાહેર હિતની અરજીઓ પર સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી થવાની છે. બિનહરીફ ચૂંટણી સંદર્ભમાં લઘુતમ લોક સમર્થનની અનિવાર્યતા લાગુ પાડવામાં આવે તો ચૂંટણી પ્રક્રિયામાં લોકોની ભૂમિકા અને મહત્ત્વ જરૂર વધશે. લોકતાંત્રિક આદર્શોની સુરક્ષા સુનિશ્ચિત કરવા બિનહરીફ ચૂંટણી પર લગામ લગાવવી પડશે.

e.mail : maheriyachandu@gmail.com 

Loading

‘ડેમોક્રેટિક સેન્ટ્રલિઝમ’થી ઉફરાટે  કેરલમાં સતીશન મુખ્યમંત્રીપદે 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|21 May 2026

ચિંતા ન.મો. અગર રાહુલ પરિબળ બાબતે વૈયક્તિક કે પક્ષીય નથી 

ભા.જ.પે. આસામ ફેરહાંસલ કર્યું છે અને  પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની એકચક્રી  આણનાં પંદર વરસ પછી પોતાનો  વિજયવાવટો લહેરાવ્યો છે. વિપક્ષ માટે આ  દેખીતા સારા સમાચાર મુદ્દલ નથી. 

પ્રકાશ ન. શાહ

નવી દિલ્હીના નમો શાસનના ખાસા એક દાયકે નેતા પ્રતિપક્ષ તરીકે રાહુલ ગાંધીની રાજકીય પ્રતિષ્ઠા સાથે જાગેલ નવી આશા અપેક્ષાને હરિયાણા, મહારાષ્ટ્ર આદિ રાજ્ય વિધાનસભાનાં પરિણામો સાથે લાગેલ આંચકા સામે, હમણે હમણે કદાચ એ દોર કેમ જાણે ફેરસંધાવા કરે છે. 

તામિલનાડુમાં મિશ્ર સરકારમાં મહત્ત્વનાં ઘટક તરીકે કાઁગ્રેસનો પ્રવેશ અલબત્ત એક નોંધપાત્ર ઘટના હતી જ. પણ કેરલમાં નવી સરકારમાં મુખ્ય બળ તરીકે કાઁગ્રેસનો પ્રવેશ ને પ્રતિષ્ઠા એથીયે આગળ જતી ઘટના છે. કર્ણાટક, તેલંગાણા, તામિલનાડુ, કેરલ એમ દક્ષિણ ભારતમાં એક પછી એક રાજ્યમાં કાઁગ્રેસની વગદાર હાજરી જરા જુદી રીતે 1977ના લોકસભા પરિણામોની યાદ તાજી કરે છે. કટોકટીરાજ સામેનો લોકચુકાદો સમગ્ર ઉત્તર ભારતમાં કાઁગ્રેસને માટે સૂપડાંસાફ અનુભવ બની રહ્યો હતો પણ ત્યારે દક્ષિણનાં રાજ્યોએ આ પક્ષને નવજીવનની આશા સંપડાવી હતી. 2024માં આ પક્ષને નવજીવનની જે આશા જગવી હતી તે વચલાં બે વરસના વિપરીત અનુભવ પછી પાછી જાગી રહી છે. 

અલબત્ત, ભા.જ.પે. આસામ ફેરહાંસલ કર્યું છે અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની એકચક્રી આણનાં પંદર વરસ પછી પોતાનો વિજયવાવટો લહેરાવ્યો છે. વિપક્ષ માટે આ દેખીતા સારા સમાચાર મુદ્દલ નથી. પણ તામિલનાડુમાં અ.દ્ર.મુ.ક.-ભા.જ.પ. જોડાણનું પાછા પડવું, આ પક્ષની અશ્વમેધા મહત્ત્વાકાંક્ષા સામે જરૂર અલ્પ પણ ‘રુક જાવ’ છે એ નક્કી. 

અહીં આખી ચર્ચામાં સામાન્યપણે ભા.જ.પ. અને કાઁગ્રેસ એ બે મુખ્ય પક્ષનામો લેવાતાં રહ્યાં છે. પણ એ બે પક્ષવિશેષ, આપણી સમગ્ર ચર્ચાની રીતે, સત્તા-પ્રતિષ્ઠાનની સામેની વૈકલ્પિક શક્યતાના દાખલારૂપે લઈએ તો સમજાશે કે આપણી ચિંતા ન.મો. અગર રાહુલ પરિબળ બાબતે વૈયક્તિક કે પક્ષીય નહીં એટલી લોકશાહી દૃષ્ટિએ છે. 

મુખડો જરી લંબાઈ ગયો, પણ આ ક્ષણે સવિશેષ ચર્ચા કેરળની અભિપ્રેત છે. વિજયનના નેતૃત્વ હેઠળ એલ.ડી.એફ. લાગટ બે મુદ્દતથી સત્તામાં હતો. કેરલમાં સામાન્યપણે એલ.ડી.એફ. અને યુ.ડી.એફ. વારાફરતી સત્તા પર આવતા હોય છે. પણ વિજયનને બે મુદ્દત મળી અને છેવટે ત્રીજી મુદ્દતની આશા ભોંઠી પડી તે કાઁગ્રેસના નેતૃત્વ હેઠળના યુ.ડી.એફ. માટે સારા સમાચાર છે – અને એકંદર વિપક્ષની દૃષ્ટિએ પણ, કેમ કે અહીં સત્તાપક્ષ-વિપક્ષ એકે ભૂમિકામાં ભા.જ.પ.નો પ્રવેશ નથી. 

પશ્ચિમ બગાળનાં પરાજય પછી મમતા બેનરજીએ પોતાની રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષાને મ્યાન રાખી ફરી ‘ઇન્ડિયા’ ગઠબંધનની વાત આગળ કરી છે. જૂન 2024 સામે મે 2026 એ રીતે નોંધપાત્ર બની રહે છે. 

ગમે તેમ પણ, કેરળનાં સંદર્ભમાં બે મુદ્દા ધ્યાનાર્હ બની રહે છે. વિજયનના વહીવટમાં મુખ્ય મર્યાદા સત્તાના કેન્દ્રીકરણની હતી. હવે તો સ્મૃતિશેષ, પણ ત્યારે નેવું નાબાદ સર્જક વાસુદેવન નાયરે 2024ના કેરલ લિટફેસ્ટના મંગલ પ્રવચનમાં (મુખ્યમંત્રી વિજયનની હાજરીમાં) ડેમોક્રેટિક સેન્ટ્રલિઝમના રૂપાળા ઝભલા તળે ધરાર સરમુખત્યારી બાબતે સખત નાપસંદગી દર્શાવી હતી. એમણે કેરલના સામ્યવાદી મુખ્ય મંત્રી ઇ.એમ.એસ. નાંબુદ્રીપાદને સરસ સંભાર્યા હતા. એમણે કહ્યું કે નાંબુદ્રીપાદ સત્તાને સમાજપરિવર્તનના સાધન તરીકે જોતા હતા. મતદારોની વિશાળ બહુમતી તો આપણી સાથે આવી, પણ જનવિરાટને એક જવાબદાર સમાજમાં આપણે તબદીલ કરી શકીએ તે ખરો પડકાર છે એમ ઇ.એમ.એસ.નું કહેવું હતું. નહીં તો, વાસુદેવન નાયરે કહ્યું, આપણે ડેમોક્રેટિક સેન્ટ્રલિઝમ માટે તૈયાર રહેવાનું છે. 

નવી દિલ્હીનો આજનો અનુભવ ડેમોક્રેટિક સેન્ટ્રલિઝમનો છે, જેવો નવનિર્માણ કાળે ઇદિંરા ગાધીના શાસન અંગે હતો. રાષ્ટ્રીય ને પ્રાદેશિક બેઉ સ્તરે સત્તાના કેન્દ્રીયકરણની રાજનીતિ સામે કેરલના કાઁગ્રેસ નીત યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટે એક જુદો લોકશાહી હિસાબ આપવો રહેશે. કાઁગ્રેસે નેતૃત્વ માટે હાઇકમાન્ડની રાહે વેણુગોપાલ પર પસંદગી ન ઊતારતાં છેલ્લાં પાંચ વરસથી ગૃહમાં નેતા પ્રતિપક્ષ તરીકે પડ ગાજતું રાખનાર સતીશન પર આખરી મહોર મારી  તે સ્વાગતાર્હ છે.

ગુરુવાર, 20 મે 2026
Editor: nireekshak@gmail.com

Loading

વીરાંગના વિનેશ ફોગટ : મલ્લ અને માતાએ છેડ્યો નવો જંગ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|19 May 2026

વિનેશ ફોગટ

દિલ્હીની વડી અદાલતે 18 મેએ હોનહાર કુસ્તીબાજ વિનેશ ફોગટની કુસ્તીમાં વાપસી પર ભારતીય કુસ્તી મહાસંઘે લગાવેલા પ્રતિબંધમાંથી વચગાળાની રાહત માગતી અરજી મંજૂર કરી નથી અને બીજી સુનાવણી 6 જુલાઈએ રાખી છે. એશિયન ગેમ્સ માટેની પસંદગીની સ્પર્ધા 30 અને 31 મેએ રાખી છે, જેમાં ફોગટ ભાગ લઈ શકશે નહીં. એટલે એ ગેમ્સ અને એના પછીની ઑલિમ્પિક્સ માટેના બારણા વિનેશ માટે લગભગ બંધ થઈ ચૂક્યા છે. 

વિશ્વવિખ્યાત કુસ્તીબાજ અને દસ મહિનાના દીકરાની માતા વિનેશ ફોગટની રમતમાં વાપસીનો માર્ગ ભારતીય જનતા પક્ષના કલંકિત સાંસદ બ્રિજ ભૂષણ સિંહ અને તેની ટોળકીના નીચ સત્તાવાળાઓ રોકી રહ્યા છે. તેમની સામે વિનેશ લડી રહી છે. વિનેશ 2028ની લૉસ એન્જલ્સ ઑલિમ્પિકમાં રમવાના ધ્યેય સાથે પુનરાગમન કરવા ઇચ્છે છે. કમનસીબે તેની પહેલી હાર એશિયન રમતો માટેની પસંદગી માટે ઉત્તર પ્રદેશના ગોંડા ખાતે રમાયેલી પ્રાથમિક કક્ષાની સ્પર્ધાથી થઈ. ભારતીય કુસ્તી મહાસંઘે 10 થી 12 મે દરમિયાન થયેલી આ સ્પર્ધામાં વિનેશને તેમાં ભાગ લેવા દીધો નહીં. સંઘે તેના માર્ગમાં નિયમો અને નોટિસોના ખીલા જડી દીધા, જવાબ આપવા માટે નહીંવત સમય આપ્યો. વિનેશે આપેલી સ્પષ્ટતાઓને હડસેલી દીધી.

સંઘ વિનેશની કારકિર્દી ખતમ કરવાની નેમ લઈને બેઠો છે, કારણ કે તે બ્રિજ ભૂષણની સાપચૂડમાં છે. બ્રિજની જાતીય સતામણી સામે છ મહિલા ખેલાડીઓએ દિલ્હીમાં એક મહિના સુધી ચલાવેલી અહિંસક મક્કમ લડતની આગેવાની વિનેશે લીધી હતી. એટલે તેની પર વેર વાળવામાં આવી રહ્યું છે.

બ્રિજની ટોળકીએ વિનેશ પર કરેલા ચારેક આરોપોમાંથી સહુથી શરમજનક આરોપ એ છે કે વિનેશે પેરિસ ઑલિમ્પિકમાં વજન ન જાળવીને ભારતને મળવાપાત્ર સુવર્ણ ચંદ્રક ગુમાવ્યો છે અને દેશના ગૌરવને લાંબા ગાળાનું નુકસાન પહોંચાડ્યું છે. પેરિસ ઘટના બાદ છે બે વર્ષે આવો આરોપ કરનાર નિંભર સત્તાવાળાઓ એ તો જાણતા જ હોય કે માત્ર સો ગ્રામ વજન ઘટાડવા માટે વિનેશે મરણિયો પ્રયાસ કર્યો હતો. ખોરાક અને પાણી પર કડક નિયંત્રણ રાખીને તેણે 98 ડિગ્રી તાપમાનવાળા સોના બાથમાં કસરત કરી હતી. પણ તે એટલી બધી ડિહાઇડ્રેટ થઈ ચૂકી હતી કે પરસેવાનું એક ટીપું ય પડ્યું નહીં. તેણે સાથી ખેલાડી સાથે બૉક્સિંગ કરી. તેણે વાળ કપાવ્યાં એટલું જ નહીં પણ કુસ્તી માટેનો પોતાનો વન-પીસ સિન્ગ્લેટ એટલે કે ડ્રેસ પણ ટૂંકાવ્યો હતો. તેણે તેના શરીરમાંથી કેટલુંક લોહી કાઢી લેવા માટે ડૉક્ટરોને આજીજીઓ કરી હતી. વજન ઊતારવા માટે તેણે પોતાના શરીર પર જે કંઈ અખતરા કર્યા તેમાં તેને ભારે તબીબી તકલીફ ઊભી થવાની, તેના એકાદ અંગને કાયમી નુકસાન થવાની સંભાવના હતી. જો કે સો ગ્રામ વજન ઓછું ન થયું અને તે સુવર્ણ ચન્દ્રકમાંથી બાકાત રહી. ફાઈનલની આખરી કુસ્તી પહેલાં વિનેશે જેને હરાવી હતી તે જાપાની કુસ્તીબાજ Yui Sukasi દુનિયાની સર્વશ્રેષ્ઠ ગણાતી કુસ્તીબાજ હતી. વિનેશને ફાઇનલમાંથી વજનને કારણે દૂર કરવામાં આવી તે વખતે સર્વકાલીન શ્રેષ્ઠ અમેરિકન કુસ્તીબાજ Joradan Burroughsએ કહ્યું હતું કે વિનેશને રૌપ્ય ચન્દ્રક તો મળવો જ જોઈએ, અને ફાઈનલ પહેલાંના વજનના નિયમમાં ફેરફાર કરવો જોઈએ.

વિનેશે દેશને ગૌરવ અપાવવા માટે જે અસાધારણ પ્રયાસ કર્યો તેને ભારતીય જનતાએ હારમાં પણ જીત તરીકે વધાવી લીધો. જો કે ત્યાર બાદ ઑગસ્ટ 2024માં વિનેશે કુસ્તી ક્ષેત્રમાંથી નિવૃત્તિ જાહેર કરી. તે કેટલોક સમય પંજાબના કિસાન આંદોલન સાથે જોડાઈ. લોકસભાની 2024ની ચૂંટણીમાં તે હરયાણા જુલાના મતવિસ્તારમાંથી કૉન્ગ્રેસની સાંસદ તરીકે પણ ચૂંટાઈ. ડિસેમ્બર 2025માં તેણે કુસ્તી ક્ષેત્રે ફરીથી પ્રવેશ કરવાની જાહેરાત કરી. તેણે એ મતલબનું કહ્યું કે નિવૃત્તિ દરમિયાન કરેલા મનોમંથનમાંથી પછી તેને સમજાયું કે તેની અંદરની આગ ઠરી નહોતી ગઈ, પણ થાક અને ઘોંઘાટમાં મંદ પડી ગઈ હતી. તેના ધ્યાનમાં આવ્યું કે હજુ પણ તે રમતને ચાહે છે અને સ્પર્ધામાં ઊતરવાની તાકાત ધરાવે છે. વિનેશે એમ પણ કહ્યું કે હવે તેનું ધ્યેય 2028ની લૉસ એન્જેલિસ ઑલિમ્પિક પર છે અને તેની ટીમમાં એક સભ્ય ઉમેરાયો છે અને એ તેનો દીકરો છે ‘my biggest motivation, my little cheerleader on the way to the LA Olympics’.

દેશની એક અગ્રણી મહિલા ખેલાડીનાં સ્વપ્નને રોળવા માટે બ્રિજ ભૂષણ મેદાને પડ્યો છે સ્પોર્ટસ સેલીબ્રિટિઝ સહિત આખો દેશ એકંદરે ચૂપ છે. એક અપવાદ ઓલિમ્પિક સુવર્ણ ચન્દ્રક વિજેતા સાક્ષી મલિકનો છે. તેણે આ મતલબનું નિવેદન આપ્યું છે : ‘ઘણાં દેશો તો મહિલા ખેલાડીઓ માતા બન્યા પછી પણ કારકિર્દી ચાલુ રાખી શકે તે માટેની અનુકૂળતા ઊભી કરે છે. જ્યારે આપણા કુસ્તી મહાસંઘે નિયમોમાં એવા ફેરફાર કર્યા કે જેથી વિનેશ ફરીથી રમી ન શકે. હું વડા પ્રધાન, રમતગમત મંત્રી અને કુસ્તી મહાસંઘને  વિનંતી કરું છું કે તેઓ વિનેશની કસોટી કરીને તેને રમવા દે જેથી તે  ચંદ્રક જીતીને દેશને ગૌરવ અપાવી શકે.’

વિનેશ મહાસંઘના અધ્યક્ષ અને બ્રિજના સાગરીત સંજય સિંગને 11 મેના રોજ મળી, પણ તેને ઓપન રૅન્કિન્ગ ટુર્નામેન્ટમાં રમવાની મંજૂરી ન આપવામાં આવી. એ મીટિંગ પછી તરત જ ધ ઇન્ડિયન એક્સપ્રેસે’ તેનો ઇન્ટર્વ્યૂ લીધો જે 12 મેના રોજ પ્રસિદ્ધ થયો છે. તેને અહીં મૂક્યો છે. 

મહાસંઘ સાથેની તમારી બેઠક કેવી રહી ? 

મહાસંઘના અધ્યક્ષને મેં કહ્યું કે શો કૉઝ નોટિસ મને બે દિવસ પહેલાં જ મળી છે અને જવાબ આપવા માટે ચૌદ દિવસ આપવામાં આવ્યા છે. મારે દીકરાનું ધ્યાન રાખવાનું છે, વજન ઊતારવાનું છે અને હું સ્પર્ધા માટે તૈયારી કરી રહી છું. એટલે મેં મહાસંઘને ટૂંકો જવાબ આપ્યો, કારણ કે મને સમયની ખેંચ હતી. મેં કહ્યું કે હું તમને ચૌદ દિવસમાં વિગતવાર જવાબ આપીશ, પણ અત્યારે મને સ્પર્ધામાં ભાગ લેવા દો. ચૌદ દિવસના સમયગાળામાં મેં આપેલો વિગતવાર જવાબ જો તેમને મંજૂર ન હોય તો તેઓ મારી સામે પગલાં લઈ શકે.

પણ મહાસંઘના અધ્યક્ષે કહ્યું કે ‘તમારે વિગતવાર જવાબ આપવો જ પડશે.’ એમણે કહ્યું કે મારા જવાબના દસ-પંદર દિવસ બાદ એ લોકો એક સમિતિ બનાવશે જે નિર્ણય લેશે. મેં એમને કહ્યું કે એ સમિતિ 2028ની ઓલિમ્પિક્સ પહેલાં મળે એવી હું આશા રાખું છું. પાયાની વાત તો એ છે કે મહાસંઘ મને એશિયન ગેમ્સમાં ભાગ લેવા દેવા માગતો નથી, એ મારી નિવૃત્તિ ઇચ્છે છે. 

આજે તમે જે લેખિત જવાબ આપ્યો એમાં શું હતું ? 

મેં જવાબમાં એમ લખ્યું છે કે ઇન્ટરનૅશનલ ટેસ્ટીન્ગ એજન્સીને ડિસેમ્બર 2025ની ડોપ ટેસ્ટ હું શા માટે ચૂકી ગઈ તે અંગે જણાવી દીધું છે, અને એજન્સીએ મને 1 જાન્યુઆરી 2026થી આંતરરાષ્ટ્રીય તેમ જ રાષ્ટ્રીય કક્ષાએ રમવાની મંજૂરી પણ આપી છે. મેં મહાસંઘને અમ કહ્યું કે જ્યારે હું વિગતવાર જવાબ લખું ત્યારે એ જવાબમાં અને અત્યારે હું જે જવાબ આપી રહી છું તેમાં કોઈ વિસંગતિ જણાય તો તેઓ મારી સામે મગલા લઈ શકે. મેં એ પણ સ્વીકાર્યું કે હું એક ડોપ ટેસ્ટ ચૂકી ગઈ હતી અને એ મારી ભૂલ હતી. 

એક ટેસ્ટ ચૂકી ગયા બાદ 12 ડિસેમ્બર 2025ના રોજ મારી ફરીથી ટેસ્ટ લેવામાં આવી. મેં ભારતીય મહાસંઘ અને આંતરરાષ્ટ્રીય મહાસંઘ બંનેને જાણ કરી હતી કે મારે ફરીથી સ્પર્ધામાં ઊતરવાનું ચાલુ કરવું છે. એ સમય અને અત્યારના સમય વચ્ચે પાંચ મહિનાનો ગાળો છે. પણ મારી આ વાત અંગે ભારતીય મહાસંઘે કોઈ પ્રતિભાવ ન આપ્યો. તેમણે ઓપન રૅન્કિન્ગ ટુર્નામેન્ટ માટેની મારી નોંધણી સ્વીકારી પણ લીધી, તેના પછી દસ દિવસે તેની ફી પણ લીધી. એ લોકો વિચારી રહ્યા હતા કે ‘આને અટકાવવી શી રીતે ?’ એટલે તેમણે શો કૉઝ નોટિસ આપી. ભારતીય કુસ્તી મહાસંઘમાં તાનાશાહી ચાલે છે. એમને ડર છે કે હું ફરીથી ચંદ્રકો જીતીશ. 

બે પૂર્વે વર્ષ પેરિસ ઑલિમ્પિક દરમિયાન તમારું હૈયું ભાંગી પડ્યું હતું. તેના એક વર્ષ પછી તમે અને સોમવીર માતા–પિતા બન્યાં.આ બે વિરોધી લાગણીઓ વિશે કહેશો ?

मेरे बेटेने जोड दिया हार्ट. પેરિસમાં હું ગેરલાયક ઠરી એ પછી મારી લાગણીઓ થંભી ગઈ હતી. પણ મારો દીકરો મારી જિંદગીમાં ખુશી પાછી લઈ આવ્યો. તંત્રની વિરુદ્ધ લડવાની મારી તાકાત મારા દીકરા પાસેથી મળી રહી છે. સંતાન એ ભગવાનની દેણ કહેવાય છે. મારી લડતમાં હું કોઈના અધિકાર પર તરાપ મારી રહી નથી. બધું મૅટ પર (અર્થાત આખાડામાં) નક્કી થવું જોઈએ.

તમે કુસ્તીબાજ તરીકે જે અનુભવ્યું તેના કરતાં માતૃત્વનો અનુભવ અલગ છે …

સાચું કહું તો ઑલિમ્પિકમાંથી પાછા આવ્યા બાદ મને પરિવારમાં પણ નહોતું ગમતું. મારે બસ એકલા રહેવું હતું. પછી અમારી જિંદગીમાં ક્રિધવ આવ્યો. અમને દીકરી જોઈતી હતી. હવે હું બધું ક્રિધવ માટે કરું છું. હું જે ખાઉં તે ક્રિધવ માટે, હું કુસ્તીની તાલીમ લઉં તો તે પણ ક્રિધવ માટે. એ દરરોજ મને જોતો હોય છે. મારા મનમાં એવું જ ચાલતું હોય કે હું કંઈ કરું તો ક્રિધવને તે કેવું લાગશે. એ મોટો થશે ત્યારે મારા વિશે જાણશે. એ વાત મને મોટિવેટ કરે છે. એને મારે મહેનતુ બનાવવાનો છે, એને હું સાચી વાત માટે લડતા શીખવવાનું છે, એ પાંચ વર્ષનો થશે ત્યારે પણ હું કુસ્તી લડતી હોઈશ. એ મને લડતી જોશે, અને શીખશે.

તમે કુસ્તીમાં પાછા ફરવાનો નિર્ણય ક્યારે અને શા માટે લીધો ?

મને એવો આત્મવિશ્વાસ ન હતો કે હું પાછી આવી શકીશ કારણ કે લાગણીના સ્તરે હું નિચોવાઈ ચૂકી હતી. તેના પછી તો માત્ર મોત જ શક્ય હતું. આગળ કૂવો પાછળ ખાઈ. મારું પહેલું ધ્યેય ફિટનેસ –  તંદુરસ્તી પાછી મેળવવાનું હતું. તમે મા બનો એટલે જુદી વ્યક્તિ બની જાઓ છો. પણ અત્યારે હવે મને રમતમાં પાછા ફરવામાં બહુ સારું લાગી રહ્યું છે, કારણ કે ક્રિધવ મને જોઈ રહ્યો છે. મને એવું સપનું આવે છે કે હું ઑલિમ્પિક્સમાં રમી રહી છું અને મારો દીકરો મને ચીઅર કરી રહ્યો છે. એ વિચાર મોટું મોટિવેશન છે.

મા બનવાનું અને કુસ્તીબાજ બનવાનું એ બંને વચ્ચે સંતુલન શી રીતે સધાઈ રહ્યું છે ?

હું તો રાજકારણી પણ છું. હું જે જુલના મતવિસ્તારમાંથી ચૂંટાઈ છું ત્યાંના લોકો બહુ સારા છે અને તેઓ મને તેમની દીકરી જ ગણે છે. મારે મારા કામ થકી તેમને ગૌરવ અપાવવું છે. મારે તેમને એ બતાવવું છે કે તેમણે એ વ્યક્તિને ચૂંટી છે કે જે જીતવા માટે કાબેલ છે. ઘરનો પણ બહુ ટેકો છે – મારા પતિ સોમવીર, મારી મા… મદદ કરવા માટે અહીં બધાં છે. મુશ્કેલી આવી જ શકે કારણ કે બાળક તમને રાત્રે બરાબર ઉંઘવા ન દે, એટલે રિકવરી અર્થાત શરીરમાં તાકાત પાછી આવવાના પ્રશ્નો થાય, પણ પડકારો વચ્ચે પણ પછી બાળક ખાતર બધું કરવાનું મોટિવેશન તમારી પાસે હોય.

મા બન્યા પછી ફિટનેસ પાછી મેળવવામાં કયા પડકારો હતા?  

ફિટનેસ પાછી મેળવવાનું અઘરું હતું. મારી નૉર્મલ નહીં પણ સિઝેરિયન ડિલિવરી હતી. દીકરાના જન્મના એક મહિના બાદ મેં કસરત શરૂ કરી. હું પુશ અપ્સ ન કરી શકી, મારું શરીર બહુ ભારે થઈ ગયું હતું, અને મેં તેને આટલું બધું ભારે ક્યારે ય અનુભવ્યું જ ન હતું. પણ મારી પાસે શરીરનો ઘાટ પાછો મેળવવા માટે મોટિવેશન હતું. પહેલાં ચાર-મહિના બહુ કપરા હતા, કારણ કે હું ધવડાવતી હતી. વળી એ બરાબર સૂતો ન હતો, અને વહેલો જાગી જતો. એટલે તાલીમ માટેની મારી રિકવરી બરાબર થતી ન હતી, પણ મેં કસરત ચાલુ રાખી. રમતગમતમાં એવું હોય છે કે પરફેક્શન ઉત્કૃષ્ટતા મેળવવા કરતાં કન્સિસ્ટન્સી સાતત્ય જાળવવાનું મહત્ત્વનું હોય છે. એટલે મેં એવું રાખ્યું કે ભલે હું થોડી ઓછી કસરત કરું, પણ નિયમિતપણે કરું. ચાર મહિનામાં મને પરિણામો દેખાવા લાગ્યાં. 

તમે 2023માં જંતર મંતર મુકામે વિરોધ કર્યો હતો, પણ હવે નવી લડાઈ છે. તમે આ લાંબી મજલ માટે તૈયાર છો ? 

ક્યારેક મને ચોક્કસ એમ લાગે છે કે બસ હવે બહુ થયું, અને હવે મારે લડવાનું બંધ કરી દેવું જોઈએ. પણ બાળપણથી અત્યાર સુધી મેં ક્યારે ય નમતું જોખ્યું નથી, પાછી પાની કરી નથી. કોઈ વાતમાં કાં તો હું પડું નહીં, અને પડું તો છોડું નહીં. જો હું અત્યારે હથિયાર હેઠાં મૂકી દઉં તો દર્પણમાં મારું મોં ન જોઈ શકું. લોકોએ મને રસ્તા પર લડતી જોઈ છે, અને ઑલિમ્પિક્સમાં પણ લડતી જોઈ છે. એટલે હવે લોકોને હું એવું ન માનવા દઉં કે તંત્ર મને ખતમ કરી શકે છે. હું એવી વ્યક્તિ છું કે જે આખું તંત્ર મારી વિરુદ્ધ હોય તો પણ છેલ્લા શ્વાસ સુધી લડે. મારી કિસ્મત જ હું ઘડું, બીજા કોઈને ઘડવા ન દઉં. મારે ક્રિધવને એ પણ બતાવવું છે કે તે જેની સામે પડ્યો છે એની તાકાત ગમે તેટલી હોય, એણે છેક સુધી લડી લેવાનું છે. જે વિરોધ કરતા નથી અને મૂંગા રહે છે તેમને દુનિયા યાદ કરતી નથી. ઝાંસીની રાણીને લોકો એટલા માટે યાદ કરે છે કે તે રણમેદાને લડતાં લડતાં મોતને ભેટી હતી. 

તાજેતરમાં તમે એવું કહ્યું કે બ્રિજ ભૂષણ ભૂષણની વિરુદ્ધ જાતીય સતામણીનો આરોપ કરનાર ખેલાડીઓમાં તમે પણ હતાં. તેની વિરુદ્ધ તમે શા માટે બોલ્યાં? 

મારે એટલા માટે બોલવું પડ્યું કે તંત્રએ આંખે પાટા બાંધ્યા હતા. આઘાતમાંથી પસાર થઈ ચૂકેલી એક યુવતીને ગોંડા જવું પડે, કે જ્યાં બધું જ બ્રિજનું હોય, બધા ય બળિયા હોય અને બ્રિજને ટેકો આપતા હોય. અને કુસ્તી મહાસંઘે પણ સ્પર્ધા યોજવા માટે દેશ આખામાંથી બ્રિજ ભૂષણનો ઇલાકો જ પસંદ કર્યો. અને બ્રિજના અત્યાચારનો ભોગ બનેલી એક યુવતી તરીકે હું અત્યારે અવાજ ન ઉઠાવું તો પછી ક્યારે ઉઠાવું ? મને ખબર છે કે મારો પ્રભાવ છે એટલે હું જો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરું તો લોકોનું ધ્યાન ખેંચાય. હું એવી યુવતીઓને જાણું છું કે જે એમની પરના અત્યાચારો વિશે લખે તો પણ કોઈ નોંધ ન લે. 

આ વર્ષ માટેનું તમારું ધ્યેય એશિયન ગેમ્સ છે, પણ ઑલિમ્પિક્સ પણ તમારા નિશાન પર છે? 

ઑલિમ્પિક્સ 2028 ચોક્કસ મારા નિશાન પર છે, પણ મારે તે પહેલાંની મુખ્ય સ્પર્ધાઓમાં ભાગ લેવો છે. હજુ મારે પાંચ-છ વર્ષ રમવાનું-લડવાનું છે. 

19 મે 2026
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

...1020...23242526...304050...

Search by

Opinion

  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …
  • મોહેં-જો-દડોની ‘ડાન્સિંગ ગર્લ’: 4500 વર્ષથી યથાવત્ હતી, 21મી સદીએ તેને ‘સુધારી’?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved