Opinion Magazine
Number of visits: 10080364
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શ્રેય સામે પ્રેય :  સત્યમય જીવન અને મૂલ્ય આધારિત વ્યવસ્થાતંત્ર રચવા માટે નીડોનોમિક્સનો પથ

અનુવાદક: આશા બૂચ|Opinion - Opinion|8 July 2026

મદન મોહન ગોએલ

પ્રોફેસર મદન મોહન ગોએલ Needonomics School of Thoughtના પ્રણેતા છે. તેઓ કુરુક્ષેત્ર યુનિવર્સિટીના ત્રણ વખત વાઇસ ચાન્સેલર પદે સેવા બજાવી ચુક્યા છે. અનેક રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં 46 વર્ષના શિક્ષણ અને 17 વર્ષના વહીવટી ક્ષેત્રમાં ઉચ્ચ પદ ભોગવનાર મદન મોહન ગોએલને અનેક માન અકરામ મળ્યા છે, તેમાંનું એક યુનિવર્સલ પીસ ફેડરેશન તરફથી ‘એમ્બેસેડર ફોર પીસ’નો ઇલકાબ એનાયત કરવામાં આવ્યો છે એ ઉલ્લેખનીય છે.  

મદન મોહન ગોએલના નામે 524 જેટલાં પ્રકાશનો બોલે છે અને 50થી વધુ સંશોધનકર્તાઓને તેમણે માર્ગદર્શન પૂરું પાડ્યું છે. શિક્ષણ, આર્થિક અને સામાજિક વ્યવસ્થાની નીતિ લોકોની જરૂરિયાતને આધારે ઘડાય અને તેનો અમલ પણ એ સિદ્ધાંતને અનુસરીને કઈ રીતે કરી શકાય તે વિશે અલગ અલગ વક્તવ્યો અને લેખો દ્વારા તેઓ યુવા વર્ગને પ્રેરણા પૂરી પાડતા રહે છે. 

આજે મદન મોહન ગોએલના એક લેખનો અનુવાદ તેમની અનુમતિ સાથે અહીં પ્રસ્તુત કરું છું.

− આશા બૂચ

•

કુરુક્ષેત્ર સ્થિત નીડોનોમિક્સ સ્કૂલ ઓફ થોટ્સ સાથે સંલગ્ન નિષ્ણાતોનું જૂથ નૈતિક મૂલ્યોને ધ્યાનમાં રાખીને રાખેલા સંયમ, સ્વ-શિસ્ત, નૈતિક વર્તન અને ફરજોના પાલનથી જીવન દોરવવાવું જોઈએ નહીં કે અમર્યાદિત એષણાઓ, આકર્ષણો અને લોભામણી વસ્તુઓથી એ વિચાર પર ભાર મૂકે છે. એ “નીડો-લાઈફ સ્ટાઇલ” એટલે કે “જરૂરિયાત આધારિત જીવન પદ્ધતિ”ની ભલામણ કરે છે જેનાં મૂળ સચ્ચાઈ, મનની સમતુલા અને સચેત જીવનમાં પડેલાં છે. આ પ્રણાલીના જીવનમાં સાચી પ્રગતિ માત્ર ભૌતિક વસ્તુઓના સંગ્રહ પરથી નથી માપવામાં આવતી, પરંતુ માનવીના ચારિત્ર્ય, શાંતિમય સહઅસ્તિત્વ અને નૈતિક મર્યાદાઓની અંદર જીવાતા શિસ્તબદ્ધ જીવનથી મપાય છે.

‘સચ્ચાઈનો માર્ગ’ કે ‘સીમાંકિત માર્ગ’ જેવા શબ્દ પ્રયોગો નીડોનોમિક્સના હાર્દને સુંદર રીતે દર્શાવે છે. માનવ જીવન ત્યારે સુંદર બને છે જ્યારે વ્યક્તિ પોતે પોતાની નૈતિક મર્યાદાઓની અંદર રહીને વર્તે છે, સામાજિક જવાબદારીઓ નિભાવે છે અને આંતરિક શિસ્તનું પાલન કરે છે. આવી શિસ્ત ભય કે દબાવ કરીને બહારથી નથી લાદવામાં આવતી, પરંતુ શાણપણનો આધાર લઈને જાગૃત મનથી સ્વના અંતરમાં જ શિસ્ત નીપજે છે. આથી જ તો નીડોનોમિક્સ ‘બાહ્ય આકર્ષણ વિહોણી આંતરિક શિસ્ત’ને પ્રોત્સાહન આપે છે.

આ તાત્ત્વિક વિચારને કઠોપનિષદમાં સબળ ટેકો મળી રહે છે. તેમાં યમ રાજા સત્ય શોધક નચિકેતાને શ્રેય (જે આપણા માટે લાભદાયી છે) અને પ્રેય (જે આપણને પ્રિય લાગે છે, મનભાવન ભાસે છે) વચ્ચેનો તફાવત સમજાવે છે. આ વાર્તાલાપ ભારતીય જ્ઞાન અને વિદ્વત્તાની પરંપરામાં માનવીની એ બે વિકલ્પો વચ્ચેની પસંદગી અને નૈતિક જીવનનું ગહન ચિંતન દર્શાવે છે.

પ્રેય : આકર્ષક, પણ અલ્પજીવી માર્ગ 

પ્રેય તાત્કાલિક મોજ મજાનું દ્યોતક, સુખ સગવડ પૂરું પાડનારું, ઇન્દ્રિયોને સંતોષ આપનારું, અહમ્‌ને પોષનારું અને ભૌતિક વસ્તુઓમાંથી નિપજતા આનંદ તરફ ખેંચનારું હોય છે. એ માનવ મનને આકર્ષે છે કેમ કે ક્ષણવારમાં આનંદ અને ભાવનાત્મક ઉત્તેજના પૂરા પાડે છે. મૂલ્યોની જાળવણી વિના પ્રાપ્ત કરેલ ધન સંપત્તિ, જવાબદારીના ભાન વિના ભોગવવામાં આવતી સત્તા, સ્વયં શિસ્ત વિના કરવાના આવતો ઉપભોગ અને નૈતિકતા વિના પ્રાપ્ત કરેલી સફળતા એ પ્રેયના દાયરામાં આવે છે.

આધુનિક ગ્રાહકવાદ મહદ્દ અંશે પ્રેય પ્રત્યેના આકર્ષણ ઉપર જ નભે છે. તેમાં માનવ જાતને સતત બાહ્ય સિદ્ધિઓ, એશ આરામના સાધનો, એકબીજાની તુલના અને અંતહીન ઇચ્છાઓને સંતોષવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. આ બધું જ અલ્પ સમય માટે સુખનો અનુભવ કરાવી શકે, પણ તે મોટે ભાગે માનસિક તનાવ, અસંતોષ, સ્પર્ધા અને ઊર્મિનો ખાલીપો પેદા કરતા હોય છે. પ્રેય તરફનું વધુ પડતું ખેંચાણ વ્યક્તિની આંતરિક શિસ્તને નબળી પાડે છે અને તેને પોતાના જીવનના મૂળભૂત હેતુથી દૂર ફેંકી દે છે. નીડોનોમિક્સ સ્કૂલ ઓફ થોટ્સ ચેતવણી આપે છે કે અમર્યાદ ઇચ્છાઓ માનવીને લોભ અને નકલ કરવાની આદતના કેદી બનાવી દે છે. તેનું પરિણામ સામાજિક સંઘર્ષ, પર્યાવરણમાં અસમતુલા, માનસિક તનાવ, લાંચ-રૂશ્વત અને માનવીય મૂલ્યોના હ્રાસમાં આવે છે.

શ્રેયઃ અનંત કલ્યાણનો માર્ગ  

સામા પક્ષે જોઈએ તો શ્રેય મૂળભૂત રીતે કલ્યાણકારી, શાણપણ ભર્યો, નૈતિક ફરજથી દોરવાયેલ, આત્મજ્ઞાનથી ભરપૂર અને આંતરિક શાંતિનો માર્ગ આપણી સામે ધરે છે. શરૂઆતમાં આ પથ પર ચાલવું કઠિન લાગે કેમ કે તેમાં ધૈર્ય, ભોગ આપવાની તૈયારી, શિસ્ત અને સ્વ નિયંત્રણની જરૂર પડે છે. પરંતુ કડવી દવાની માફક એ આપણા સ્વાસ્થ્યને દુરસ્ત કરે છે. આખરે શ્રેય આપણને એકબીજા સાથે કાયમી સહમતી, પરસ્પર સંવાદિતા અને વ્યક્તિગત મુક્તિ તરફ લઇ જાય છે.

શાણો માણસ (ધીર) બંને માર્ગનું કાળજીથી પરીક્ષણ કરે છે અને એ શ્રેયની પસંદગી કરે છે. એવી વ્યક્તિ સમજે છે કે કાયમી શાંતિ બાહ્ય આકર્ષક વસ્તુઓના અમર્યાદિત ઉપભોગમાંથી નથી પેદા થતી હોતી. સાચો સંતોષ પોતાની લાલસાઓ પર વિજય મેળવવામાંથી, સાદગી ભર્યું જીવન જીવવાથી, અર્થ યુક્ત સંબંધોમાંથી, નીતિ યુક્ત કાર્ય પદ્ધતિમાંથી અને આધ્યાત્મિક જાગૃતિમાંથી ઉદ્ભવતી હોય છે.

નીડોનોમિક્સ સ્વાભાવિક રીતે જ શ્રેયના તત્ત્વજ્ઞાન સાથે અનુબંધ ધરાવે છે. એ કહે છે કે માનવીની જરૂરિયાતોને સીમા હોય છે, પરંતુ લોભ અસીમ હોય છે. આથી હવે સમાજે ‘લોભ સંચાલિત અર્થવ્યવસ્થા’થી દૂર થઈને ‘જરૂરિયાત આધારિત અર્થવ્યવસ્થા’ તરફ આગળ વધવું જોઈએ. આપણું લક્ષ્ય જીવનનો ત્યાગ કરવાનું નથી, પણ આપણી ઇચ્છાઓ અને વાસનાઓને શાણપણ અને નૈતિક સભાનતાથી સંયમમાં રાખવાનું છે.

નીડોનોમિક્સની કાર્યપદ્ધતિનું માળખું અને વ્યવસ્થા 

શ્રેય અને પ્રેય વચ્ચેનો મુખ્ય તફાવત તેની વ્યવસ્થા પદ્ધતિ અને નેતૃત્વમાં છે. આધુનિક વ્યવસ્થાતંત્ર મહદ્દ અંશે નફો, તંત્રનો વધતો વ્યાપ, સ્પર્ધા અને ઉપભોગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આવું વ્યવસ્થાતંત્ર ટૂંકા ગાળા માટે લાભદાયક સાબિત થઇ શકતું હોય છે, પણ લાંબે ગાળે સમાજનો તેના પ્રત્યે વિશ્વાસ નબળો પડે, નોકરિયાતોની સુખાકારી જોખમાય, નૈતિક ધોરણો નીચાં ઉતરે અને પર્યાવરણની જાળવણી જોખમાય એ શક્ય છે. નીડોનોમિક્સનું માળખું વ્યવસ્થાતંત્રની વ્યાખ્યા આ રીતે કરે છે : વ્યવસ્થાતંત્રનો અર્થ છે, કાર્યક્ષમતા અને નૈતિકતા વચ્ચે સંતુલન રાખવું, પ્રગતિની સાથે સારી ગુણવત્તા જાળવી રાખવી અને સફળતાની સાથે સામાજિક જવાબદારી સંકળાયેલી રાખવી. સાચો વહાવસ્થાપક માત્ર સંસાધનોને નિયંત્રણમાં રાખનારો જ નથી હોતો, પરંતુ એ માનવીની ગરિમા અને સમાજના સામૂહિક હિતનો રખેવાળ પણ હોય છે.

શ્રેય થી પ્રેરિત વ્યવસ્થાતંત્ર નીચે મુજબના મુદ્દાઓને પ્રોત્સાહન આપે છે :

  • નીતિમત્તાને કેન્દ્રમાં રાખીને નિર્ણયો લેવા
  • જવાબદાર નેતૃત્વ વિકસાવવું
  • ટકાઉ વિકાસની નીતિ અપનાવવી
  • કામના સ્થળે કરુણાસભર વર્તનની સંસ્કૃતિ હોવી ઘટે
  • વિશ્વાસ આધારિત સંબંધો જાળવવા
  • માનવતાના રક્ષણ સાથે શિસ્તનું પાલન કરવું અને કરાવવું
  • ટૂંકા ગાળાના પ્રલોભનને સ્થાને લાંબા ગાળાના હિતનો વિચાર કરવાની નીતિ અપનાવવી

બીજી બાજુ જોઈએ તો માત્ર પ્રેયથી સંચાલિત વ્યવસ્થાતંત્ર શોષણ, કુશળતાનો કંપની કે સંગઠનના હિત માટે જ ઉપયોગ કરવો, તંદુરસ્ત ન કહી શકાય તેવી સ્પર્ધામાં ઉતરવું અને નફો કરવાની અદમ્ય ઇચ્છાથી ગ્રસિત મનોદશાના ભોગ બનવા જેવી સ્થિતિમાં ફસાઈ જતા હોય છે.

આથી જ નીડોનોમિક્સ સ્કૂલ ઓફ થોટ્સ સંસ્થાઓ, સંગઠનો અને વ્યક્તિઓને પોતાની નીતિના ઘડતરમાં, નેતૃત્વમાં, શિક્ષણમાં અને આર્થિક વ્યવસ્થાતંત્રમાં શ્રેયનો માર્ગ લેવા માટે પ્રોત્સાહન આપે છે. આવો અભિગમ માત્ર આર્થિક સમૃદ્ધિ જ નથી અપાવતો, પરંતુ એ સામાજિક સુસંવાદિતા અને આધ્યાત્મિક સંતોષ પણ પેદા કરે છે.

સમાપન

કઠોપનિષદમાં દર્શાવેલ કાલાતીત શાણપણ ભર્યા કથન વર્તમાન માનવીય સમાજ માટે પણ માર્ગદર્શક બની રહે છે. દરરોજ માનવી શ્રેય અને પ્રેયના ચારરસ્તા પર આવીને ઊભો રહેતો હોય છે. એક માર્ગ તાત્કાલિક પ્રલોભન આપે છે, પણ એ સંતોષ અલ્પજીવી હોય છે; જ્યારે બીજો માર્ગ શિસ્તની અપેક્ષા રાખે છે, પણ કાયમી શાંતિ આપે છે. નીડોનોમિક્સ સ્કૂલ ઓફ થોટ્સ માનવજાતને યાદ અપાવે છે કે અનંત કાળ સુધી ટકી રહે તેવું સુખ સીમા વિહીન ઉપભોગમાંથી નથી મળતું, પણ સદ્દવર્તન, નૈતિક મર્યાદામા રહીને જીવેલા જીવન, આંતરિક શિસ્ત અને ખરેખર જરૂરિયાત હોય તેટલી જ વસ્તુઓને સંતોષવાથી ખરું સુખ પ્રાપ્ત થાય છે. પ્રેય ને બદલે શ્રેય પસંદ કરવાથી વ્યક્તિ અને સમાજ શાંતિ, સંતુલન, ગરિમા અને શ્રેષ્ઠત્વ આધારિત સંસ્કૃતિ તરફ ગતિ કરી શકે.

ટૂંકમાં કહીએ તો નીડોનોમિક્સ એ માત્ર આર્થિક વિચારધારા નથી; એ શાણપણ, સંયમ અને નૈતિક જાગૃતિથી દોરવાયેલી જીવનની માર્ગદર્શિકા છે.

e.mail : 71abuch@gmail.com

Loading

વિજ્યા મહેતા : 

બી.બી.બી. ગુજરાતી|Opinion - Opinion|7 July 2026

ગુજરાતમાં જન્મેલાં નાટ્યકાર, જેમના પ્રયોગોએ ભારતીય રંગમંચને નવી દિશા આપી

ગયા સપ્તાહે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લેનારાં વિજ્યા મહેતા તેમના નોખા પ્રવાહનાં નાટકો માટે જાણીતાં હતાં

વિજયા મહેતાનાં પ્રયોગાત્મક નાટકોએ પરંપરાગત વાર્તાઓ અને પાત્રોથી જુદી કેડી કંડારીને નોખો ચીલો ચાતર્યો. ગયા સપ્તાહે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લેનારાં વિજ્યા મહેતા તેમના નોખા પ્રવાહનાં નાટકો માટે જાણીતાં હતાં, જેમણે ભારતીય થિયેટર(નાટ્યજગત)નું ચિત્ર સમૂળગું બદલી નાખ્યું.

1960 અને 1970ના દાયકામાં મરાઠી રંગભૂમિ(જે નાટકો મુખ્યત્વે મહારાષ્ટ્રમાં ભજવાતાં હતાં)ને આધુનિક સ્વરૂપ આપવાનું ઘણું-ખરું શ્રેય વિજ્યા મહેતાને આપવામાં આવે છે. પર્ફૉર્મિંગ આર્ટ્સના જગતમાં તેઓ અત્યંત પ્રભાવશાળી હસ્તીઓ પૈકીનાં એક હતાં. તેઓ પ્રયોગલક્ષી નાટકો અને ફિલ્મોનું દિગ્દર્શન કરવા બદલ અને તેમાં અભિનય કરવા બદલ જાણીતાં હતાં, તેમ જ નાના પાટેકર તથા અનુપમ ખેર જેવા બોલીવૂડના ઘણા ઊભરતા તથા લોકપ્રિય અભિનેતાઓનાં માર્ગદર્શક પણ હતાં.

વિજ્યા મહેતાએ તેમના જીવનકાળ દરમિયાન ઘણા પુરસ્કારો મેળવ્યા હતા, જેમાં અભિનય તથા દિગ્દર્શન બદલ નૅશનલ ફિલ્મ ઍવૉર્ડ તથા આધુનિક ભારતીય રંગભૂમિમાં અમૂલ્ય યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા એનાયત કરાયેલા નાગરિક સન્માન પદ્મશ્રીનો પણ સમાવેશ થાય છે. મોટા ભાગે મરાઠી રંગભૂમિ સાથે સંકળાયેલાં રહેનારાં વિજ્યા મહેતાનો જન્મ 1934માં વર્તમાન સમયના ગુજરાત રાજ્યમાં આવેલા વડોદરામાં થયો હતો. તેઓ કલાકારોના પરિવારમાંથી આવતાં હતાં અને તેઓ સરળતાથી મુખ્ય પ્રવાહના સિનેમામાં તેમની કારકિર્દી ઘડી શક્યાં હોત, પણ તેમણે તેને બદલે થિયેટર(રંગભૂમિ)ની દુનિયા પસંદ કરી હતી.

ભારતીય રંગમંચ પાસે ચાહકોની કમી નથી, પણ પર્ફૉર્મિંગ આર્ટ્સના ક્ષેત્રમાં તેને હંમેશાં ઓછું ગ્લેમરસ સ્થાન મળ્યું છે. પણ મહેતાએ કદી તેની પરવા કરી હોય, એમ લાગતું નથી. વિજ્યા મહેતાએ એક પ્રોફેસરે આપેલા પ્રોત્સાહનથી પ્રેરાઈને મરાઠી નાટકોમાં અભિનયની શરૂઆત કરી હતી.

નિડર અને પ્રયોગાત્મક નાટકો

વિજયા મહેતાએ મુંબઈમાં નૅશનલ સેન્ટર ફૉર ધ પર્ફૉર્મિંગ આર્ટ્સનાં ચૅરપર્સન તરીકે એક દાયકા કરતાં વધુ સમય સુધી સેવા પૂરી પાડી હતી

એ પછી તેમણે આધુનિક ભારતીય રંગમંચના પ્રણેતા ગણાતા ઇબ્રાહીમ અલકાઝી અને અદી મર્ઝબાનના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી અને પ્રયોગશીલતાના તેમના જુસ્સાને તેમના પોતાના કાર્યમાં વણી લીધો. મહારાષ્ટ્રના નાટ્યપ્રેમીઓ વિજ્યા મહેતાને એક એવાં મહિલા તરીકે યાદ કરે છે, જેમણે સામાન્ય જીવન વિશેનાં નિડર અને પ્રયોગાત્મક નાટકો થકી મરાઠી રંગભૂમિની કાયાપલટ કરી. આ બદલાવ મુખ્યત્વે મધ્યમવર્ગીય મરાઠીભાષી દર્શકોને પસંદ પડ્યો, જેમને આખરે તેમના પોતાના જીવનનું પ્રતિબિંબ તખ્તા પર ભજવાતું જોવા મળ્યું. વિજ્યા મહેતાનાં નાટકો રોજિંદા જીવનની આંટીઘૂંટીને તાદૃશ રજૂ કરતાં હતાં, જેમાં પાત્રો ખામી ધરાવતાં, છતાં માન્યામાં આવે, એવાં રહેતાં હતાં અને તેમની પ્રામાણિકતા દર્શકોનાં હૃદયને સ્પર્શી જતી હતી.

વિજ્યા મહેતાને શ્રદ્ધાંજલિ અર્પતાં મહારાષ્ટ્રના અગ્રણી રાજકારણીઓ પૈકીના એક રાજ ઠાકરેએ મહેતાની “હિંમત”ને બિરદાવતાં કહ્યું હતું કે, તેમણે એવા સમયે મરાઠી રંગભૂમિમાં પરિવર્તન આણ્યું, જ્યારે રાજ્ય સ્વયં નવું સ્વરૂપ ધારણ કરી રહ્યું હતું. મહેતાએ 1960માં પ્રયોગલક્ષી મુંબઈ થિયેટર ગ્રૂપ – ‘રંગાયન’ની સહ-સ્થાપના કરી હતી. એ જ વર્ષે મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઈ હતી. બૉમ્બે રિઑર્ગેનાઇઝેશન ઍક્ટ મુજબ દ્વિભાષી બૉમ્બે રાજ્યનું ગુજરાતી બોલતા રાજ્ય ગુજરાત અને મરાઠી બોલતા રાજ્ય મહારાષ્ટ્રમાં વિભાજન કરવામાં આવ્યું હતું. ઠાકરેએ કહ્યું હતું કે, મહેતા એવા સમયે ઊભરી આવ્યાં, જ્યારે મહારાષ્ટ્ર સામાજિક સુધારણા, ઉદ્યોગીકરણ અને સાર્વત્રિક શિક્ષણ અપનાવી રહ્યું હતું. તે સમયે મરાઠી રંગમંચે “ભવ્ય સેટ અને મેલોડ્રામા”થી આગળ વધીને “ખરા અર્થમાં પ્રયોગાત્મક” બનવાની જરૂર હતી. રાજ ઠાકરેએ લખ્યું હતું, “વિજ્યાતાઈ(વિજ્યાબહેન)એ ખાલીપો પૂર્યો હતો.”

“રંગાયન”એ મરાઠી રંગભૂમિનાં કેટલાંક સૌથી નિડર પ્રયોગલક્ષી નાટકોનું મંચન કર્યું અને સાથે જ કલાકારો અને લેખકોની એક આખી પેઢી તૈયાર કરી.

‘પ્રસિદ્ધિ અને નાણાં કમાવાનો આશય તો દૂર-દૂર સુધી નહોતો.’

નાના પાટેકર સાથે વિજયા મહેતા

વિજ્યા મહેતાએ “રંગાયન” ખાતે જેમનાં નાટકોનું દિગ્દર્શન અને નિર્માણ કર્યું હતું, તે નાટ્યકાર મહેશ એલકુંચવારે તેમની સાથે કામ કરવાનાં સંસ્મરણો ‘ઇન્ડિયન ઍક્સપ્રેસ’ અખબારમાં વાગોળ્યાં છે. “મેં જ્યારે બાઈ (મરાઠી ભાષાનો માનવાચક શબ્દ, વિજ્યા મહેતાને આદરથી બાઈ કહેવામાં આવતાં હતાં) સાથે હાથ મિલાવ્યાં, ત્યારે હું સમજી ગયો હતો કે, મને મારું પોતાનું સ્થાન મળી ગયું છે. અમને મનોરંજન પીરસવામાં કોઈ રસ ન હતો, પ્રસિદ્ધિ અને નાણાં કમાવાનો આશય તો દૂર-દૂર સુધી નહોતો. અમે અમારા કાર્ય દ્વારા નાટક, કળા અને જીવનને ખોળવા માગતાં હતાં,” એમ તેમણે લખ્યું હતું.

મહેતાએ ઘણાં લોકોને નાટક તરફ વળવાની પ્રેરણા પૂરી પાડી હતી. તેમાં ગાયક અને લેખક સ્વાનંદ કિરકિરેનો પણ સમાવેશ થતો હતો, જેમણે કહ્યું હતું કે, વિજ્યા મહેતાનો એક વર્કશૉપ તેમને રંગમંચ સુધી ખેંચી લાવ્યો હતો. તેમણે ઍક્સ પર લખ્યું હતું કે, ત્યાંનું વાતાવરણ એટલું “જકડી રાખનારું” હતું કે, તેમણે “બસ તેમાં જ સ્થાયી થઈ જવાનું નક્કી કર્યું.” મહેતાએ મરાઠીભાષી દર્શકોને સંસ્કૃતનાં ઉત્કૃષ્ટ નાટકો, વિજય તેંડુલકર જેવા મરાઠી નાટ્યકારોનાં પ્રયોગાત્મક નિર્માણો અને બર્ટોલ્ટ બ્રેખ્ત તથા એન્ટન ચેખોવનાં સર્જનોનાં રૂપાંતરણોનો પરિચય કરાવ્યો.

પરંતુ મહેતાના પ્રયોગો ફક્ત નાટકો પૂરતા મર્યાદિત નહોતા.

પીઢ દિગ્દર્શક શ્યામ બેનેગલ (ડાબે) અને વિજયા મહેતા મુંબઈમાં એક પેનલ ડિસ્કશન દરમિયાન

તેમણે કેટલીક પ્રશંસનીય ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું, જેમાં 1985ની “રાવ સાહેબ” (19મી સદીના મહારાષ્ટ્રના એક સુધારાવાદી વકીલ વિશેની વાર્તા) અને 1988માં આવેલી “પેસ્તનજી” જેવી ફિલ્મોનો સમાવેશ થતો હતો. “પેસ્તનજી”માં 1950ના દાયકાના મુંબઈમાં ત્રણ પારસીઓના જીવન દ્વારા પ્રેમ, વ્યભિચાર અને મૈત્રીની વાર્તા દર્શાવાઈ હતી. વિજ્યા મહેતા સાથે કામ કરનારાં કલાકારો તેમની કળા વિશેની ઊંડી સમજ અને દિગ્દર્શન પ્રત્યેના તેમના અભિગમને યાદ કરે છે.

અભિનેતા અનુપમ ખેરે ઍક્સ પર એક પોસ્ટ કરીને “રાવ સાહેબ”માં વિજ્યા મહેતા સાથે કામ કરવાનો તેમનો અનુભવ વાગોળ્યો હતો. તે ફિલ્મમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. “ત્યાં સુધીમાં હું થોડી ફિલ્મો કરી ચૂક્યો હતો અને વિચારતો હતો કે, મને અભિનય વિશે થોડી સમજ છે. પણ તેમની સાથેના દરેક રિહર્સલે મને યાદ અપાવ્યું કે, આ કળાનો મહાસાગર કેટલો વિશાળ છે. તેમની સમજણ, માનવ વર્તન વિશેની તેમની સમજ અને અતિશય સંવેદનશીલતાની સામે હું ખુશી-ખુશી ફરીથી વિદ્યાર્થી બની ગયો,” એમ તેમણે લખ્યું હતું.

મહેતા એક દાયકા કરતાં વધુ સમય સુધી મુંબઈના નૅશનલ સેન્ટર ફૉર પર્ફૉર્મિંગ આર્ટ્સ (એનસીપીએ)નાં અધ્યક્ષપદે પણ રહ્યાં હતાં. તેમની કારકિર્દી દરમિયાન તેમણે અગ્રણી ભારતીય નાટ્યસર્જકો અને કલાકારો તેમ જ પીટર બ્રૂક, યુજેનિયો બાર્બા અને રિચાર્ડ શેકનર જેવી આંતરરાષ્ટ્રીય થિયેટર હસ્તીઓ સાથે પણ કામ કર્યું હતું.

તેમના અવસાન સાથે ભારતીય રંગભૂમિના વિશ્વમાં એક શૂન્યાવકાશ સર્જાયો છે, જે ભરવો મુશ્કેલ છે. અભિનેત્રી સોનાલી કુલકર્ણી જણાવે છે કે, તેઓ અને અન્ય કલાકારો તથા થિયેટરકર્મીઓ વિજ્યા મહેતાનાં ઋણી છે અને તેઓ આ ઋણ કદીયે ચુકાવી શકશે નહીં. કુલકર્ણીએ જણાવ્યું હતું કે, વિજ્યા મહેતાની વિદાય એ તેમને (કુલકર્ણીને) થયેલું નુકસાન છે, એમ કહેવું ઘણી નાની વાત ગણાશે. “એમ કહેવાથી તમે સાચે અમને જે આપ્યું છે, તેનું મૂલ્ય ઓછું થઈ જશે. તમારી હાજરી જે સમૃદ્ધિ લાવી હતી, થિયેટરને તમે જે વિપુલતા ભેટમાં આપી છે, તેનું ઋણ કદીયે ચૂકવી શકાશે નહીં.”

[બી.બી.સી. મરાઠીના સિદ્ધાંત ગાનુ અને મયૂરેશ કોણ્ણુરનાં ઇનપુટ્સ સાથે]
છબિ સૌજન્ય : NCPA Library Archives
સૌજન્ય : https://www.bbc.com/gujarati/articles/cdrp01l6vmzo

Loading

સરકારનો વિરોધ બંધારણીય અધિકાર છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|6 July 2026

રવીન્દ્ર પારેખ

કેન્દ્ર સરકાર કે અન્ય રાજ્યોની સરકાર સામે આજની પ્રજા પાળેલી હોય તેમ વર્તે છે. સરકારનું ભક્ત મંડળ એટલું વ્યાપક છે કે આ દેશમાંથી વિરોધ કરનારાં પરિબળો ઓછાં થતાં જાય છે ને તે ઓછાં જ રહે એવા પ્રયત્નો થાય છે. કેટલાક કિસ્સાઓમાં તો સરકારને ખબર પડે તે પહેલાં ભક્તો જ ન્યાય કરવા બેસી જાય છે. આ ઠીક નથી. સરકારની ભક્તિ ચાલતી હોય તો સરકારનો વિરોધ પણ ચાલવો જોઈએ. કમનસીબી એ છે કે ભક્તોને વાંધો નથી આવતો, પણ વિરોધનો સૂર કાઢનારાઓનું આવી બને છે. આવો વિરોધ કરનાર સરકાર દ્વારા દંડાય છે ને એ મામલો કોર્ટ સુધી પહોંચે છે, તો કોર્ટને નિર્ણય કરવાનું અઘરું થઈ પડે છે. કોર્ટ સરકારની વિરુદ્ધ ચુકાદો આપે તો તે સરકારની વિરુદ્ધ છે, એવું અર્થઘટન થાય ને સરકાર તરફી ચુકાદો આપે તો સરકારની ભાટાઈ કરે છે, તેવો તેનો અર્થ થાય. આવામાં સામાન્ય માણસનું સ્થાન કેવું હોય તે સમજી શકાય એવું છે.

મુંબઈ પોલીસે ભૂતપૂર્વ લોકસભા ઉમેદવાર સઈદ ચૌધરી સામે 2019 થી 2024 દરમિયાન CAA – સિટિઝન્સ એમેન્ડમેન્ટ્સ એકટ, નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ – NRC, બાબરી મસ્જિદ, વકફ બોર્ડનું  કહેવાતું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને જ્ઞાનવાપી મસ્જિદ જેવા મુદ્દાઓ પર પરવાનગી વગર શાંતિપૂર્ણ દેખાવો કરવા બદલ અને ‘ભા.જ.પ. સરકાર મુર્દાબાદ’ કે ‘અમિત શાહ મુર્દાબાદ’ જેવા રાજકીય નારાઓ બદલ 4-5 સામાન્ય FIR નોંધવામાં આવી હતી. આવી નારેબાજી કોઈ પણ કાર્યવાહી કરવા માટેનો આધાર કઈ રીતે બની શકે તે સવાલ બોમ્બે હાઈકોર્ટને હતો.

સોશિઅલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા(SDPI)ના જનરલ સેક્રેટરી સઈદ એહમદ અબ્દુલ વાહિદ ચૌધરીએ મુંબઈ પોલીસના તડીપારના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. પોલીસે ચૌધરીને 1 વર્ષ માટે મુંબઈ બહાર જવા(તડીપાર)નો આદેશ આપ્યો હતો. સઈદ ચૌધરીની યાચિકામાં જણાવાયું હતું કે ઓક્ટોબર, 2025માં મહારાષ્ટ્ર પોલીસ એકટ (MPA) હેઠળ તડીપારની કાર્યવાહી કરવામાં આવી હતી.

બોમ્બે હાઈકોર્ટે પોલીસની ઝાટકણી કાઢતાં આ આદેશને ગેરકાનૂની અને બદઈરાદાપૂર્વકનો ગણાવ્યો હતો. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકશાહી સ્વસ્થ રાખવા માટે શાંતિપૂર્ણ વિરોધ અને અસંમતિ જરૂરી છે. કોર્ટે જણાવ્યું કે વિરોધ કરવો એ બંધારણીય અધિકાર છે. સરકારની નીતિઓનો વિરોધ કરવો અને સૂત્રો પોકારવા એ બંધારણના અનુચ્છેદ 19 અને 21 હેઠળ નાગરિકોને મળતો મૂળભૂત અધિકાર છે. માત્ર સરકારનો વિરોધ કરવા બદલ કોઈને અપરાધી ન ગણી શકાય. આની સામે પોલીસની ભૂમિકા બદલ પણ કોર્ટે કહ્યું કે પોલીસો કોઈ મુખ્ય મંત્રી કે વડા પ્રધાનના સેવકો નથી, તે લોકસેવકો છે – પબ્લિક સર્વન્ટ છે. સઈદ એહમદને તડીપાર કરવાનો આદેશ એટલે પણ ખોટો હતો કે તે એવા ગુનેગારો માટે છે જેમનાથી જાહેર સુરક્ષાને જોખમ હોય એ સાથે જ રાજકીય અસંમતિ દબાવવા માટે તડીપારનો દુરુપયોગ થઈ શકે નહીં.

બોમ્બે હાઈકોર્ટે સરકાર અને પોલીસની કામગીરી બાબતે એવી ટિપ્પણી કરી કે તમામ નાગરિકોને ભારત સરકારના ગુલામ બનાવવામાં આવી રહ્યા છે. લોકો વિરોધ કરે તો તેમની સામે ખોટા કેસો ઊભા કરીને હેરાન પરેશાન કરવામાં આવે છે. જુલાઈ, 2026માં બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ માધવ જામદારે મુંબઈ પોલીસ દ્વારા સઈદ એહમદ વિરુદ્ધના તડીપારના આદેશને રદ્દ કરતો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.

બોમ્બે હાઈકોર્ટે પરીક્ષાનાં પેપરો લીક થવાના વિરોધમાં દેશભરમાં થયેલાં વિરોધ પ્રદર્શનો મુદ્દે પણ ટકોર કરી હતી. એવા વિરોધ કરનાર સામે કાનૂની પગલાં લેવાયાં હતાં. સુનાવણી દરમિયાન જજ માધવ જામદારે રોકડું પરખાવ્યું હતું કે પોલીસ જનતાને જવાબદાર છે. તે રાજકીય કાર્યકરોને બંધાયેલી નથી. જો કે, વ્યવહારુ ચિત્ર એવું છે કે રાજકીય કાર્યકરોની ખુશામત સુધી પોલીસ પહોંચે છે ને સામાન્ય નાગરિક ગુનેગાર હોય તેમ તેની સાથે વર્તે છે. એ ખરું કે નાગરિકોને સરકારી નિર્ણયો સામે દેખાવો કે આંદોલન કરવાનો અધિકાર છે, પણ એવો અધિકાર સરકાર દ્વારા, તંત્રોને એવી ફરજ પાડે છે કે પેલો અધિકાર પ્રજા પાસે બચે જ નહીં. ટૂંકમાં, પોલીસને વિરોધ કે સૂત્રોચારને મુદ્દે તડીપારનો આદેશ આપવાની સત્તા નથી.

સૂત્રોચ્ચાર દ્વારા કોઈ જાનમાલની હાનિ થતી ન હોય કે હિંસાનો કોઈ પુરાવો ન હોય, તો કોઈને તડીપાર કરી શકાય નહીં. કોર્ટનો સવાલ એ છે કે સૂત્રોચ્ચાર કેમ ન થઇ શકે? સઈદ ચૌધરીએ સૂત્રો પોકાર્યા હોય એટલા પરથી તેને ગંભીર પ્રકારની સજા કરી શકાય નહીં. જસ્ટિસ જામદારે એ પણ સ્પષ્ટતા કરી કે કોઈ પણ પ્રકારનું પ્રદર્શન કાયદાથી પર છે એવું નથી. જે પ્રદર્શનથી કોઈ હાનિ થતી નથી કે જાનમાલનું નુકસાન થતું નથી એવું જ પ્રદર્શન તડીપારની પાત્રતા બનતું નથી. પ્રદર્શનમાં જાહેર હાનિ કે નુકસાનનું પ્રાધાન્ય હશે તો તેવાઓની સામે કાયદો કાયદાની રીતે કામ કરશે.

જસ્ટિસ જામદારે કડક શબ્દોમાં કેટલાક સવાલો એમ કહીને પૂછ્યા હતા કે આ શું છે? તમામ નાગરિકોને ભારત સરકાર ગુલામ બનાવી રહી છે, પરિણામે લોકો વિરોધ કરી શકતા નથી કે આંદોલન કરી શકતા નથી. આ બધું શું ચાલી રહ્યું છે? અત્યારે ઘણાં પેપર્સ લીક થયાં છે. જો લોકો વિરોધ નોંધાવે છે તો, તેની સામે કેસ ઠોકી દેવાય છે. જસ્ટિસ માધવ જામદારે એ પણ જાણવા ઇચ્છ્યું કે સઈદ ચૌધરીને તડીપારનો હુકમ કેમ અપાયો હતો? જજ માધવ જામદાર એટલા ઉગ્ર હતા કે તંત્રનાં અધિકારીઓ પર તેમણે દંડ લાદવાની વાત પણ કરી હતી. અવાજ ઉઠાવવા બદલ તડીપાર કરવાથી વાણી સ્વાતંત્ર્ય અને ગરિમાના અધિકાર પર તરાપ પડે છે. જસ્ટિસ માધવ જામદારે સ્પષ્ટ કહ્યું કે તંત્રે બદઈરાદાથી પગલાં લીધાં હતાં. કોર્ટે કહ્યું કે તડીપારનો આદેશ રદ્દ કરીને રીટ અરજીનો નિકાલ કરવામાં આવે છે.

આજકાલ તો સુપ્રીમ કોર્ટના નિર્ણયો સામે પણ શંકાઓ થાય છે, ત્યાં બોમ્બે હાઇકોર્ટનો આ ચુકાદો અનેક રીતે વિશિષ્ટ છે. તે એ રીતે કે રીટ ફાઈલ કરનાર સઈદને તે પૂરોપૂરો ન્યાય કરે છે ને તે સાથે જ સરકાર ગુલામ બનાવે છે એ વાત પણ પૂરી નિર્ભીકતાથી કરે છે.

આ ચુકાદાની અસર સુપ્રીમ સુધી પહોંચી છે. સુપ્રીમના જાહેર હિતના સિનિયર વકીલ પ્રશાંત ભૂષણે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું, ’હજી એવા જજો મોજૂદ છે જેઓ સરકારને સવાલ કરવાની અને નાગરિકોના અધિકારો માટે ઊભા રહેવાની હિંમત ધરાવે છે. પ્રશંસનીય.’ સુપ્રીમના વકીલનું આ પ્રમાણપત્ર અનેક રીતે ન્યાયનો મહિમા કરે છે. માધવ જામદારે રીટ કાઢી નાખી તે તો એક સહજ ક્રમ હતો, પણ તડીપારનો કાયદો કયા સંજોગોમાં બિનઅસરકારક છે એની સ્પષ્ટતા પણ કરી જ ! તેમણે સરકારને સોંસરા સવાલો કર્યા. એક તરફ સાદો વિરોધ કરનાર જો તડીપારને લાયક ઠરતો હોય, તો સરકારને સીધા સવાલ કરનાર જજ સામે કયો ખેલ નહીં પડે એની કલ્પના જ કરવાની રહે છે.

એમાં કોઈ શંકા નથી કે ભા.જ.પ. સરકારે વિકાસનાં ઘણાં કામો કર્યાં છે ને ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠા ઊભી કરી છે. અનેક દેશો સાથે સંપર્ક વધ્યા છે. વેપાર વાણિજ્યની અનેક તકો ઊભી થઈ છે. દેશના 81.5 કરોડ લોકોને મફત અનાજ અપાય છે. અનેક પ્રકારની આર્થિક સહાયની ઘણી યોજનાઓ સક્રિય છે, પણ તે કિન્નાખોરી રાખીને પણ વર્તે છે. ખાસ કરીને વિપક્ષો બહુ સ્વકેન્દ્રી છે એનો લાભ સરકારને મળે છે. મજબૂત વિપક્ષ ન હોવાથી સરકારને એની ચિંતા નથી, એટલે તે મનમાની કરી શકે છે. કોઈ વિપક્ષી નેતા સામે પડ્યો તો તેને સરકારી હેરાનગતિનો ભોગ બનવાનું આવે છે. વિપક્ષને તોડવાનું ને સામેથી પોતાની સાથે કરી લેવાનું સરકારને અનુકૂળ આવે છે. જનતાનો વિરોધ પણ સરકારને અસહ્ય છે, એટલે સઈદ ચૌધરી જેવા રાજકીય નેતા ને તડીપાર કરવાનું ફાવતું આવે છે.

સરકારને એકલદોક્લ વિરોધ પણ માફક આવતો નથી, એટલે તે એવા વિરોધીઓને પજવવાના રસ્તાઓ શોધી કાઢે છે. કંઇ નહિ તો ખોટા કેસો ઊભા કરીને વિરોધીને એટલો પરેશાન કરાય છે કે વિરોધ કરવાની ખો ભૂલી જાય. રાજકીય, સામાજિક, ધાર્મિક વિરોધોનું વાતાવરણ સર્જીને વિવાદ ચાલુ રાખવાનું સરકારને માફક આવે છે. સાદી વાત એટલી છે કે સરકારને લોકશાહી હોવા છતાં વિરોધ માફક આવતો નથી ને તે સામાન્ય માણસનો વિરોધ હોય તો પણ તેને હેરાન કર્યા સિવાય ભાગ્યે જ છોડે છે. એવે વખતે માધવ જામદાર જેવા જજો મોટું આશ્વાસન છે જે યાદ અપાવે છે કે દેશમાં હજી લોકશાહી છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 જુલાઈ 2026

Loading

...1020...24252627...304050...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved