Opinion Magazine
Number of visits: 9842257
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઈરાની યુદ્ધ સુરતને પણ સ્પર્શ્યું છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|23 March 2026

રવીન્દ્ર પારેખ

અમેરિકા-ઇઝરાયલ, ઈરાનને ભટકાયાં છે ને 22-23 દિવસ થયા તેનો છેડો આવતો નથી. યુદ્ધનાં કારણો ગમે તે હોય, પણ તેની આડ અસરોથી ભારત મુક્ત નથી. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાની યુદ્ધવીરો એકબીજાને પછાડીને પોરસાતા હશે, પણ એમને ભાન જ નથી કે તેમને તો ઘસરકોય પડ્યો નથી, પણ ભારત, તેના કોઈ વાંક વગર અમસ્તું જ દંડાઈ રહ્યું છે. યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યાં તો લોહી રેડાયું જ છે ને નિર્દોષોનો ભોગ પણ લેવાયો છે. આ નિર્દોષો દુ:શ્મન દેશના છે, તો યુદ્ધ ખેલનારા દેશના પણ છે. એમણે કોઈ દેશનું કંઇ બગાડ્યું નથી, મરનારને તો ખબર પણ નથી કે તે શું કામ મરી રહ્યો છે, પણ મરે છે. કમ સે કમ નિર્દોષો માટે પણ યુદ્ધ અટકવું જોઈએ. યુદ્ધનાં સરવાળામાં જવાબ તો હાનિમાં જ આવે છે, ભલે પછી એ સરવાળો વિજેતા દેશનો જ કેમ ન હોય ! યુદ્ધ એટલે જ ખોટ ! જે થાય છે, સત્તા કમાવા, પણ કમાણી લોહીમાં આવે છે. દરેક દેશ એ માને છે, પણ રોકાતો નથી. યુગોથી ચાલે છે, યુદ્ધ, પણ તેનો અંત આવતો નથી. યુદ્ધખોર નેતાઓની સત્તાલાલસાઓ માટે કેટલા ય સૈનિકો અને સામાન્ય નાગરિકો કારણ વગર જ મોતને વહાલું કરી રહ્યા  છે.

યુદ્ધની બીજી આડઅસરો એ છે કે એમાં સંડોવાનાર દેશો ઉપરાંત અન્ય દેશો સુધી તેની ઝાળ ફેલાતી હોય છે. ઈરાને ઇઝરાયલને ભડકે બાળ્યું છે, તો ઇઝરાયલે પણ ઈરાનના ખોમેનીનાં મૃત્યુ સહિત અન્ય નેતાઓને ઘાયલ કર્યા છે અથવા તો મોતને ઘાટ ઉતાર્યા છે. એમાં ઈરાને નાક દાબીને મોં ખોલાવવા હોર્મુઝ્ની ખાડી પરથી પસાર થનાર તેલના જહાજો પર બ્રેક મારી, એટલું જ નહીં ઇઝરાયલ ને ઈરાને  એ મુર્ખામી પણ કરી કે તેણે તેલ ક્ષેત્રોને જ ટાર્ગેટ કર્યાં ને તેલ, ગેસની વૈશ્વિક કટોકટી ઊભી કરી. તેલના કૂવાની નુકસાનીથી ઈરાનને જ નુકસાન નથી થવાનું, જે દેશો તેલ પર નિર્ભર છે, એમની પણ દશા બેસવાની છે, તે એટલે કે ઈરાનના હુમલાથી કતારમાં 17 ટકા એલ.એન.જી. ઉત્પાદન ઠપ થઈ ગયું છે.

22 માર્ચે ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂએ કહ્યું કે 21 માર્ચની રાત્રે ઈરાને સૌથી મોટો હુમલો કર્યો. એ હુમલા પરથી એવી અટકળો ચાલી છે કે ઇઝરાયલ ઈરાન પર પરમાણુ હુમલો કરી શકે છે. ઇઝરાયલને ઈરાનનો હુમલો સૌથી મોટો લાગ્યો તો તે પરમાણુ હુમલા સુધી જઈ શકે એવી સ્થિતિ છે, પણ હુમલા ઘટે તેવું નથી અમેરિકા, નથી ઇઝરાયલ નથી ઈરાન વિચારતું. બધા જ મરવા-મારવા પર આવી શકે છે, પણ બચાવવા કોઈ તૈયાર નથી એ દુ:ખદ છે.

આ કટોકટી લાંબી ચાલવાની છે. બીજી તરફ ઈરાન અડી ગયું છે, હોર્મુઝ સામુદ્રધૂની ખોલવા બાબતે. એટલે 22 દેશો ઈરાન વિરુદ્ધ એક થયા છે. આ દેશોએ હુમલાઓ અંગે ઈરાનને ચેતવણી આપી છે. એમ પણ લાગે છે કે ઈરાન યુદ્ધ આગળ ન વધે તેમ ઇચ્છે છે. ઈરાનના રાષ્ટ્રપતિએ ભારતીય વડા પ્રધાનને કહ્યું કે ઇઝરાયલ, અમેરિકા હુમલાઓ અટકાવે તો શાંતિ થઈ શકે. એક તરફ ઈરાન આવી વાત કરે છે ને બીજી તરફ તે હિંદ મહાસાગરમાં અમેરિકી બેઝ પર હુમલો કરે છે ને નાતાન્ઝ પરમાણુ મથક પર પણ હુમલો કરે છે. આનો નજીકમાં અંત આવે એમ લાગતું નથી. ઈરાને ભારતીય જહાજને હોર્મુઝ ખાડી પરથી પસાર થવા દીધું છે, પણ ગેસ, તેલની વૈશ્વિક તંગીમાં ભારત પણ સપડાયું છે. રાંધણગેસની તંગી સર્જાતાં રાંધણગેસ અને કોમર્શિયલ ગેસના બાટલાઓ પર રેશનિંગ આવ્યું છે.

સરકાર બોલે તો છે કે ગેસની સમસ્યાને પહોંચી વળાશે, પણ લોકોની ગેસના બાટલા માટેની લાઈનો અટકી નથી તે ભૂલવા જેવું નથી. ભારતે એવી ટકોર પણ કરી છે કે ક્રૂડ અને ગેસના કૂવા પર હુમલા અટકવા જોઈએ. સરકારે બધું ઠીક છે એ સૂર બદલીને ગેસ, પેટ્રોલ, ડિઝલની તંગીની વાસ્તવિક સ્થિતિ સ્વીકારી છે. એનો લાભ પણ લીધો છે ને તે પ્રીમિયમ પેટ્રોલ લિટરે 2.35 મોંઘું કરી ને ! આ વધારો પ્રીમિયમ પેટ્રોલ પૂરતો સીમિત નહીં રહે. સરકાર તકની શોધમાં છે, એ મળશે તો સાદું પેટ્રોલ પણ મોંઘુ કરશે એમાં શંકા નથી. એક તરફ તંગી છે ને બીજી તરફ સંગ્રહખોરીમાં પડીને વેપારીઓ હોજરી ભરી રહ્યા છે. ગેસની અછતને કારણે મોરબીના સિરામિક ઉદ્યોગમાં શટ ડાઉન લાગુ પડતાં 16,000 લોકોની નોકરી ગઈ છે તે આડઅસર જ છે.

ગેસની અછતને કારણે ખાદ્ય સામગ્રીઓ મોંઘી થઈ છે, તો કેટલીક હોટેલો ને લારીઓ બંધ થઈ છે ને કેટલીક હવે પછી બંધ થશે ને આવનારા દિવસો બધાંને વિતાડવાના છે એ નક્કી છે. ગેસના વિકલ્પો લાકડાં, કોલસામાં કે ઇન્ડક્શન સ્ટવમાં શોધાયા છે ને બધો ભાર ગ્રાહકો પર આવવાનું શરૂ થઇ ગયું છે. આમાં મરો મધ્યમ અને ગરીબ વર્ગનો થશે. ઝોમેટો એ તેની ફી 2.40 રૂપિયા વધારી દીધી છે. ગેસના ભાવો નિયંત્રિત કરવાના સરકારના પ્રયત્નો છતાં, ગેસના બાટલાઓ બ્લેકમાં ડબલ ભાવે વેચાયા છે. ટૂંકમાં, ગેસની અછત, તેનાથી સંબંધિત બધી ચીજ વસ્તુઓ મોંઘી કરશે ને તે લોકોએ વેઠ્યા સિવાય છૂટકો નથી. આ સંજોગોમાં ઘણાનાં કામ છીનવાયાં છે ને તેમને વતન હિજરત કરવાની ફરજ પડી છે. લડનારા લડે, તેમાં ભારતને શું? પણ એવું નથી. ગેસ, પેટ્રોલ, ડિઝલથી જે દેશો ઈરાન સાથે જોડાયેલાં છે, તે સૌની હાલત કફોડી થઈ છે કે થશે એમ અત્યારે તો લાગે છે. ઈરાનનું યુદ્ધ ભારતને તો ઠીક, લેવાદેવા વગર સુરતને પણ પરચો બતાવી ચૂક્યું છે.

આમ તો આ યુદ્ધ કેવળ અમેરિકાનો અહમ પોષવા ખેલાઈ રહ્યું છે ને અમેરિકી પ્રમુખ પોતાની ઇચ્છાઓ સંતોષવા યુદ્ધ કરી રહ્યા છે. એમાં ઇઝરાયલ જોડાયું તે કેટલું જોડાયેલું રહેશે તે સવાલ જ છે, કારણ ઇઝરાયલ-અમેરિકા વચ્ચે મતભેદો શરૂ થઇ ગયા છે. અમેરિકા પણ અમેરિકી પ્રમુખની ઘણી બાબતો સાથે સંમત નથી, પણ અત્યારે તો અમેરિકા, અમેરિકી પ્રમુખનું કૈં બગાડી શકે એમ નથી. આ શરમજનક છે, પણ તે છે એ સ્વીકાર્યે જ છૂટકો છે.

ઈરાની યુદ્ધની આડઅસર સુરતના કાપડ ઉદ્યોગ પર પણ પડી છે. ટેક્સટાઈલ ઉદ્યોગ કોઈ પણ વાંક વગર મોટી પછડાટ ખાય તેવી સ્થિતિ છે. યુદ્ધનાં કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે, તેથી  કાપડ ઉદ્યોગ પ્રભાવિત થયો છે. માત્ર યાર્ન જ નહીં, કોલસાની અછતને કારણે, ભાવ વધ્યા છે, પરિણામે, પ્રોસેસિંગ મિલ બે દિવસ સુધી બંધ રહેશે એમ લાગે છે. ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોશિએશનના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય અસ્થિરતાને કારણે કાચા માલનો સપ્લાય ખોટકાયો છે. ટૂંકમાં, સ્થાનિક ઉત્પાદન ખર્ચમાં અસહ્ય વધારો થતા મિલમાલિકોને મિલો બંધ રાખવાની ફરજ પડી છે. મિલો પાસે 10થી 20 દિવસ ચાલે એટલો જ કોલસો છે. આ રીતે જ વપરાશ ચાલુ રહે તો આવનારા સમયમાં ઊર્જાનું મોટું સંકટ ઊભું થઈ શકે. આ સ્થિતિમાં ખર્ચને પહોંચી વળવા અને સંસાધનોની બચત કરવા એસોશિએશને અઠવાડિયામાં બે દિવસ મિલો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. સુરતની ચારસોથી વધુ મિલોમાં દ્વિદિવસીય સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવાની જાહેરાત થઈ છે. જેમનું ગુજરાન મિલો પર નિર્ભર છે, તેમની હાલત વધારે કફોડી છે ને આ ચાલુ રહેશે તો વધુ કફોડી થવાની છે. હકીકત એ છે કે ગ્રે કાપડના ભાવ વધારાને કારણે પ્રોસેસિંગ માટે માલ મળતો નથી. એ સ્થિતિમાં મિલ ચાલુ રાખવાનું નુકસાનીમાં વધારો જ કરશે, એટલે આજે મળનારી બેઠકમાં કયા બે દિવસ લોકડાઉન રહેશે તેની જાહેરાત કરવામાં આવશે.

સુરતની ટેક્સટાઇલ મિલ સાથે અઢી લાખ શ્રમિકો જોડાયેલા છે. મિલો લોકડાઉન કરશે તો વેતન ઓછું મળતાં રોજિંદા વ્યવહારો પર અસર પડશે. કામ ન મળવાની સ્થિતિમાં શ્રમિકોનું પલાયન વધશે. આમે ય મોંઘવારી અને સિલિન્ડરની અછતથી હજારોની સંખ્યામાં કામદારો વતન તરફ રવાના થઈ રહ્યા છે. આવું લાંબો સમય ચાલશે તો ઉદ્યોગને લેબરની ભારે અછતનો સામનો કરવો પડે એમ બને ને એ બધું સુરતના અર્થતંત્રના લાભમાં નહીં જ હોય તે કહેવાની જરૂર નથી.

હવે સ્થિતિ એવી છે કે યુદ્ધ જે તે વિસ્તારો પૂરતું સીમિત નથી રહ્યું. લડાઈ બીજે ચાલતી હોય, પણ તેની અસરો જ્યાં યુદ્ધ નથી ત્યાં પણ વર્તાતી હોય છે. એક તરફ વિકાસની વાતો ચાલતી હોય ને બીજી તરફ યુદ્ધ એ વિકાસ પર પાણી ફેરવતું હોય તો આપણે કયા વિકાસથી ફુલાઈએ છીએ તે નથી સમજાતું. થોડાક મુઠ્ઠી ભર માણસો પોતાની ઘેલછાઓ પૂરી કરવા આખું જગત બાનમાં લે અને બીજા તે ચાલવા દે તો પેલા મુઠ્ઠીભર માણસો, બીજા કરોડો લોકોની શક્તિ કરતાં વધુ શક્તિશાળી છે એમ સ્વીકારવું પડે. યુદ્ધ કદી કોઈના લાભમાં નથી તે આટલાં યુદ્ધો પછી પણ માણસ જાતને નથી સમજાતું એ વૈશ્વિક કટોકટી જેવી જ કમનસીબી છે.

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 માર્ચ 2026

Loading

 ભારત પોતે જ નિશાના પર હોય, ત્યારે તટસ્થતા નિષ્ક્રિયતા લાગી શકે છે 

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|22 March 2026

ભારત અત્યારના સંજોગોમાં અપનાવેલા નેરેટિવને  “વ્યૂહાત્મક સ્વાયત્તતા”(સ્ટ્રેટેજિક ઓટોનોમી)નું છોગું પહેરાવે છે. બીજા લોકો તેને “મલ્ટી–અલાઈનમેન્ટ” કહે છે. આ ભારેખમ શબ્દોની પાછળની સત્તાવાર નીતિ એકદમ સરળ છે.

ચિરંતના ભટ્ટ

ખાડી દેશોની ઉપરથી કોઈ મિસાઈલ પસાર થાય છે, ત્યારે વિવિધ રાષ્ટ્રોની રાજધાનીઓમાં એક વ્યૂહરચના તરીકે તેનું વિશ્લેષણ થાય છે. પરંતુ ભારતના મામલામાં, તે અનિશ્ચિતતાનો અહેસાસ કરાવે છે, જેમ કે વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવો, ફ્લાઇટ્સમાં થતા વિલંબ અને વોટ્સએપ પર આવનારો તમારી સુરક્ષાની પૃચ્છા કરતો મેસેજ. 

ભારત માટે, પશ્ચિમ એશિયા માત્ર કોઈ થિંક-ટેન્કના બ્રીફિંગમાં રહેલો નકશો નથી. તે ખાડી દેશોમાં વસતા 80થી 90 લાખ ભારતીયો છે. આમાંની દરેક વ્યક્તિ કટોકટી વખતે બચાવ કામગીરીના સમાચારની હેડલાઈન બની શકે છે, અને દરેક વ્યક્તિ દેશમાં લાખો પરિવારોનું ગુજરાન ચલાવતી કમાણીની (રેમિટન્સની) જીવાદોરી છે.

પરંતુ, ભારતે પોતાને માટે એક નેરેટિવ બનાવી રાખ્યું છે અને તેમાં અહીંથી જ તિરાડ પડવાની શરૂઆત થાય છે.

ભારત અત્યારના સંજોગોમાં અપનાવેલા નેરેટિવને “વ્યૂહાત્મક સ્વાયત્તતા”(સ્ટ્રેટેજિક ઓટોનોમી)નું છોગું પહેરાવે છે. બીજા લોકો તેને “મલ્ટી-અલાઈનમેન્ટ” કહે છે. આ ભારેખમ શબ્દોની પાછળની સત્તાવાર નીતિ એકદમ સરળ છે: ભારત તમામ ગ્રૂપ્સથી એક સરખું અંતર જાળવશે, ઇઝરાયેલ, ઈરાન અને આરબ મોનાર્કીઝ સાથે સંબંધો જાળવી રાખશે અને માત્ર તણાવ ઘટાડવા પર જ ભાર મુકશે. સૈદ્ધાંતિક રીતે, આ બિન-જોડાણવાદની (નોન-અલાઈનમેન્ટની) પરાકાષ્ઠા જેવું લાગે છે. પરંતુ વ્યવહારમાં, તે એક ભાંગી પડે એવી કલ્પના સાબિત થઈ રહી છે.

ભારત તટસ્થ હોવાનો દાવો કરે છે. પરંતુ તેનાં પગલાં અગાઉથી જ પક્ષ પસંદ કરી ચૂક્યા છે.

એક તરફ, નવી દિલ્હી રશિયા પાસેથી ડિસ્કાઉન્ટમાં ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખીને, વૈશ્વિક ક્રૂડના આંચકાઓ સામે તેને એક કવચ તરીકે વાપરી રહ્યું છે. તો બીજી તરફ, તે ખાડી દેશો અને યુરોપની સાથે મળીને ઇન્ડિયા-મિડલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોર(IMEC)ને વેગ આપે છે, જે અમેરિકાનો ટેકો ધરાવતો વ્યાપાર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રૂટ છે, જે મૂળ તો ચીન-નિયંત્રિત પ્રોજેક્ટ્સના વિકલ્પ તરીકે તૈયાર કરાયો છે. ભારતનો એક પગ યુરેશિયન ઊર્જામાં છે, તો બીજો અમેરિકા-કેન્દ્રિત વેપાર વ્યવસ્થામાં. આ હવે માત્ર કોઈ સાવચેતીભર્યો બચાવ નથી; તે તટસ્થતાના પેકિંગમાં પીરસવામાં આવતું મનપસંદ જોડાણ છે.

આંતરરાષ્ટ્રીય મંચ પર, ભારતના સાવચેતીથી બોલાતા શબ્દો અને મતદાનથી અળગા રહેવાની નીતિને બીજા દેશો તટસ્થ વલણ તરીકે નહીં, પરંતુ સંજોગો જેમના તેમ રાખવા માંગતી સત્તાઓ માટેના હળવા સમર્થન તરીકે જોવામાં આવે છે. તટસ્થતા હવે અદૃશ્ય નથી રહી, તેનું અર્થઘટન થાય છે અને ઘણીવાર તેનું ખોટું અર્થઘટન પણ થાય છે. જૂથબંધીમાં વહેંચાયેલા આ વિશ્વમાં, મૌન કોઈ નિર્દોષતાનું પ્રતીક નથી; તે એક એવી ખાલી જગ્યા છે જેને અન્ય લોકો પોતાની મરજી મુજબ ભરી દેશે.

આ જોખમો માત્ર સૈદ્ધાંતિક નથી. ભારતના કુલ રેમિટન્સનો લગભગ 40% હિસ્સો ખાડી દેશોમાંથી આવે છે. કેરળ, ઉત્તર પ્રદેશ, બિહાર અને અન્ય રાજ્યોના લાખો પરિવારો દુબઈ, દોહા, રિયાધ અને શારજાહથી આવતા પૈસા પર નિર્ભર છે. ખાડી દેશો ભારતના ક્રૂડ ઓઇલનો પણ એક મોટો સ્રોત છે, જે વિશ્વના કેટલાક સૌથી અસ્થિર સમુદ્રી માર્ગો – હોર્મુઝની સામુદ્રધુની અને બાબ-અલ-મંડેબમાંથી પસાર થાય છે. આ પ્રદેશમાં થતા દરેક સંઘર્ષની સફર તેજીલી હોય છે: એ દૂરના સંઘર્ષ ક્યારે લોકલ પરિણામ લાવશે તેની કોઈ સમય મર્યાદા કે ગેરંટી નથી. આ અંતે ઇંધણના વધતા ભાવો, ખોરવાયેલી સપ્લાય ચેઇન અને સમાચારની રાહ જોતા ચિંતિત પરિવારોમાં ફેરવાય છે.

 કટોકટી આવે ત્યારે ભારતે હંમેશાં હિંમત જ દાખવી છે પણ એ સ્થાયી ભાવ નહીં કામચલાઉ ગોઠવણ વધુ હોય છે. 2023માં અચાનક ફાટી નીકળેલા આંતરવિગ્રહને કારણે સુદાનમાં ફસાયેલા અંદાજે 3,500થી વધુ ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે ચલાવવામાં આવેલું ‘ઓપરેશન કાવેરી’ આનું ઉત્તમ ઉદાહરણ છે. ભારતીય વાયુસેના અને નૌકાદળે ઝડપથી પગલાં લીધાં, દૂતાવાસના સ્ટાફે રાત-દિવસ કામ કર્યું અને મોટાભાગના નાગરિકો સલામત પાછા ફર્યા. કોઈપણ માપદંડથી જોઈએ તો, આ એક મોટી સફળતા હતી. આ બધું તાબડતોબ કરવામાં આવ્યું હતું – ફ્લાઇટ્સના રૂટ બદલવા પડ્યા, જહાજોને તાત્કાલિક કામે લગાડવામાં આવ્યા, અને ભારે દબાણ હેઠળ રિયલ-ટાઇમમાં સંકલન કરવું પડ્યું. આપણે બચાવ કામગીરીની સફળતાની ઉજવણી તો કરી, પણ આપણે એ પ્રશ્ન ન પૂછ્યો: શા માટે આપણે દરેક વખતે છેલ્લી ઘડીએ જ નવી ગોઠવણ કરવી પડે છે? પહેલાં યુક્રેન, પછી સુદાન, અને આ બંનેની વચ્ચે સતત ધૂંધવાતો ખાડી પ્રદેશ. દરેક નવો સંઘર્ષ એક જ પ્રશ્ન ઊભો કરે છે : આપણે કેટલા ભારતીયોને અને કેટલી ઝડપથી બહાર કાઢી શકીશું? આ અંતર જાળવવાની વ્યૂહરચના નથી. આ માત્ર તાત્કાલિક સ્થિતિ થાળે પાડવાની વ્યૂહરચના છે. ટૂંકમાં આગ લાગે ત્યારે કૂવો ખોદવામાં આપણે માહેર છીએ એવું કહી શકાય. 

આ દરમિયાન, ચીન જે કરે છે એ  ભારતે ખૂબ જ ધ્યાનથી જોવાની જરૂર છે. બેઇજિંગે છેલ્લા એક દાયકામાં ખાડી પ્રદેશમાં એવા સંબંધો વિકસાવ્યા છે જેને વિશ્લેષકો બેવડા ઉપયોગવાળા સંબંધો કહે છે. ચીને અહીં બંદરો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ચલણ અંગેના કરારો અને એવી કૂટનીતિક વ્યવસ્થાઓ ઊભી કરી છે જે શાંતિ હોય ત્યારે વેપારી હેતુઓ પૂરા પાડે છે અને કટોકટી વખતે વ્યૂહાત્મક કામમાં આવે છે. ચીન તટસ્થતાનો દાવો નથી કરતું. તે પોતાની હાજરીનો દાવો કરે છે. તેણે એકસાથે રિયાધ અને તેહરાન બંને સાથે સંબંધો કેળવ્યા, 2023માં સાઉદી-ઈરાન શાંતિ કરાર કરાવવામાં મધ્યસ્થી તરીકે કામ કરીને ચીને પોતાને એક એવા અનિવાર્ય ભાગીદાર તરીકે સ્થાપિત કર્યું છે કે વોશિંગ્ટન કે નવી દિલ્હી પણ હજી એ સ્તરે નથી. કોઈને ચીનની આ પદ્ધતિ ગમે કે ન ગમે, તેનો ઈરાદો એકદમ સ્પષ્ટ છે: ચીન પોતાનો પ્રભાવ વધારી રહ્યું છે, અંતર નથી જાળવી રહ્યું. આનાથી વિપરીત, ભારત હજુ પણ ‘બધા આપણને પસંદ કરે છે’ એ વાત પર પોતાની પીઠ થાબડી રહ્યું છે, પરંતુ એ હકીકત ચૂકી જાય છે કે જ્યારે આ પ્રદેશમાં સત્તાનાં સમીકરણો બદલાય છે, ત્યારે કોઈ સૌથી પહેલા ભારતને ફોન કરતું નથી. વ્હાલા થવામાં, પીપલ પ્લીઝર થવામાં આપણે નુકસાન વહોરી રહ્યા છીએ. 

એટલે જ ભારતને કોઈ દેખાડા કે માત્ર વલણની નહીં, પરંતુ એક નક્કર સિદ્ધાંતની જરૂર છે.

પહેલી જરૂરિયાત રાજકીય સ્પષ્ટતા છે. ભારતે એવો ડોળ કરવાનું બંધ કરવું જોઈએ કે તેની વર્તમાન સ્થિતિ તટસ્થતાની છે. તેના બદલે તેને એક ઇરાદાપૂર્વકની પસંદગી તરીકે સ્વીકારવી જોઈએ;  તમામ પક્ષો સાથે જોડાણ, પરંતુ કોઈના પણ પક્ષે આંધળું સમર્થન નહીં. આ એક બચાવ કરી શકાય તેવી સ્થિતિ છે. જ્યારે આપણી ઊર્જાની ખરીદી અને વેપાર કોરિડોર કંઈક અલગ જ વાર્તા કહેતા હોય, ત્યારે તેને તટસ્થતા કહેવી એ યોગ્ય નથી.

બીજી જરૂર છે નાગરિક સુરક્ષાને અગ્રિમતા આપવાની ખાતરી. વિદેશમાં વસતા દરેક ભારતીયને માત્ર દૂતાવાસની એક નોંધ તરીકે નહીં, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાના મુખ્ય હિત તરીકે ગણવા જોઈએ. આનો અર્થ છે કે કટોકટીમાં બચાવ માટેનો એક કાયમી સિદ્ધાંત, આપણા વિદેશી મિશનો અને ગુપ્તચર સંસ્થાઓ વચ્ચે વધુ સારું સંકલન, અને ખાડી દેશોના ભાગીદારો સાથે ફોર્મલ ક્રાઇસિસ રિસ્પોન્સ એગ્રીમેન્ટ કરવું જેથી કટોકટી આવે પછી નહીં, પણ પહેલાં જ આપણને ખબર હોય કે આપણા લોકો ક્યાં છે. ઓપરેશન કાવેરીએ સાબિત કર્યું કે દબાણ હેઠળ ભારત શું કરી શકે છે. પરંતુ જો કોઈ યોગ્ય સિદ્ધાંત હશે, તો આવી છેલ્લી ઘડીની કસોટીમાંથી ફરી ક્યારે ય પસાર નહીં થવું પડે. 

ત્રીજી જરૂરિયાત આક્રમક વૈવિધ્યકરણ છે. ભારત માત્ર મુઠ્ઠીભર હાઇડ્રોકાર્બન સપ્લાયર્સ અને ગણ્યાગાંઠ્યા દરિયાઈ માર્ગો પર નિર્ભર ન રહી શકે. તેણે વૈકલ્પિક સપ્લાયર્સ સાથે LPG માટે સંબંધો ગાઢ બનાવવા જોઈએ, નવીનીકરણીય ઊર્જા કોરિડોરનો વિસ્તાર કરવો જોઈએ, અને સ્થાનિક ભંડારો તેમ જ વૈકલ્પિક પરિવહન માર્ગો વિકસાવવા જોઈએ, જેથી પ્રાદેશિક સ્તરે થતો દરેક સંઘર્ષ દેશની સ્થાનિક કટોકટી ન બને. આ માત્ર કિંમતનો સવાલ નથી. આ એવા સંવેદનશીલ દરિયાઈ માર્ગો પરનો આધાર ઘટાડવાની વાત છે, જે ભારતને એવા ભૂગોળનું બંધક બનાવે છે જેના પર ભારતનું પોતાનું કોઈ નિયંત્રણ નથી.

આમાંના કોઈ પણ પગલાં માટે ભારતે કોઈ લશ્કરી જોડાણમાં જોડાવાની જરૂર નથી. આપણે કંઈ કરીએ જ નહીં અને પછી સમજું હોવાને દાવો કરીએ તો ન ચાલે. કંઇ ન કરવું એ નિષ્ક્રિયતાની નિશાની પણ છે.

નવી વિશ્વ વ્યવસ્થામાં, મૌન કોઈ વ્યૂહરચના નથી, એક વલણ છે, અને તેના આધારે જ તમારી કસોટી થશે.

 બાય ધી વેઃ 

ભારતને તટસ્થ રહેવાનું પરવડે તેમ નથી જ્યારે તેના લોકો, તેની ઊર્જા અને તેનું અર્થતંત્ર પહેલેથી જ નિશાના પર હોય. તટસ્થતા અને સંતુલન વચ્ચે ફેર છે, તમે તટસ્થ હો તો તમે ક્યાં ય નથી, ન આ તરફ ન પેલી તરફ પણ તમે સંતુલિત અભિગમ અપનાવો તો તમારે સ્ટેન્ડ લેવું પડે, એટલે કે નિર્ણય લઈ તેની પડખે ઊભા રહેવું પડે. ખરી હિંમત એમ કરવામાં દેખાય છે. 

 પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 માર્ચ 2026

Loading

ઍ લાઈફ કમીટેડ – ઍ મેમવા

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|21 March 2026

એક લાંબા અરસાથી આફ્રિકા ખંડના અનેક મુલકોની ગતિવિધિમાં રસ પડતો. તેના આગેવાનો વિશે વિશેષપણે વિગતમાહિતી મેળવતો અને પોરસાતો રહેતો. આ બધામાં દક્ષિણ આફ્રિકા, ટૅન્ઝાનિયા, કેનિયા અંગે સ્વાભાવિકપણે એ રસ બેવડાતો. ટૅન્ઝાનિયા તો જન્મભૂમિને નાતે અને દક્ષિણ આફ્રિકા અને કેન્યા માંહેની અનેક સામ્યતાઓ નિહાળી એ ભણી દોરવાતો રહેતો.

જાણીતા પત્રકાર, લેખક સલિલ ત્રિપાઠીએ નિજી બિરાદરીની પ્રતિકૃતિ પેશ કરતું રસપ્રદ પુસ્તક આપ્યું છે. એમના આ તાજાતર, ‘The Gujaratis’ નામક પુસ્તકમાંનાં એક ટચૂકડા પ્રાસ્તાવિક [Prologue] લખાણને સાદર અહીં લઈએ : ‘અમે અમેરિકામાં મોટેલ ચલાવીએ છીએ, દક્ષિણ આફ્રિકામાં અમે રંગભેદ (અપાર્ટાઇડ – Apartheid) સામે લડત કરી છે, યુગાન્ડામાંથી અમને હાંકી કઢાયા હતા, લંડનમાં અમે મજૂર આંદોલન ચલાવ્યાં છે, ચીનમાં અમે અફીણનો વેપાર કરેલો છે, અને અગ્નિ એશિયામાં સુભાષચંદ્ર બોઝે ઊભી કરેલી આઝાદ હિંદ ફૌજ માટે ભંડોળ ઊભું કરેલું છે.’ 

‘દક્ષિણ આફ્રિકામાં અમે રંગભેદ સામે લડત કરી છે.’ − હા, કરી છે અને તેના પ્રમાણ સંખ્યાબંધ જોવા પામીએ. મોહનદાસ કરમચંદ ગાંધીના વારાથી આ રજૂઆતમાં તથ્ય આપણે જોઈએ છીએ. તોતીંગ મોટા દેશના નાતાલ અને ટ્રાન્સવાલ વિસ્તારોમાં આ લડતના પ્રથમપહેલા પ્રમાણ એટલે મો.ક. ગાંધીકૃત ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’. આ સાથે રાવજીભાઈ પટેલ કૃત ‘જીવનનાં ઝરણાં’ તેમ જ પ્રભુદાસ ગાંધીકૃત ‘જીવનનું પરોઢ’ને ય લઈ શકાય. પરંતુ મહદ્દ અંશે આ 1893 થી 1915ના સમયગાળાની વાત બની.

ખેર ! દક્ષિણ આફ્રિકામાં, 1948 દરમિયાન ડી.એફ. મલાનની આગેવાની હેઠળ ‘નેશનલ પાર્ટી’નો વિજય થયો. તેના સત્તામાં આવ્યાના ઘડીક સમયગાળામાં રંગભેદની નીતરીતિને તેમણે અધિકૃત અમલમાં મૂકી અને જાણે કે મધપૂડો છંછેડાયો હોય તેવી હાલત પેદા થઈ. કેમ કે ‘આફ્રિકાનાર’ લોકો સિવાય બીજી બધી લધુમતી કોમો અને વિશાળ આફ્રિકી જમાતને આ ભારે નડતરરૂપ નીતિરીતિ થવા લાગી.

અને એક તરફ, ‘ઇન્ડિયન કાઁગ્રેસ’ અને બીજી બાજુ ‘આફ્રિકન નેશનલ કાઁગ્રેસ’ની આગેવાનીમાં વિવિધ આંદોલનોનો સિલસિલો શરૂ થયો જે 1994 સુધી ચાલ્યો. સ્વાભાવિકપણે અનેક હિન્દવી જમાતના લોકો ય આવી લડતનાં નાનામોટા આંદોલનોમાં જોડાયા. ઉદાહરણની રૂએ જોઈએ તો આવાં આંદોલનોમાંથી અહમદ કથરાડા, ઝૂલેખા મયત, ફ્રેની જીનવાલા, કાદર ઈસ્માઇલ, અઝીઝ પહાડ, ઈસપ પહાડ, ઈસ્માઈલ અને ફાતીમા મીર, મૌલવી કાછલિયા, યુસૂફ અને અમીના કાછલિયા, ઇલા ગાંધી, અબુ બક્ર અસ્વાત, ઝૈયનબ અસ્વાત, યુસૂફ મોહમ્મદ દાદુ જેવાં જેવાં કર્મશીલો અને આગેવાનો દક્ષિણ આફ્રિકાને મળે છે. આમાં મોટે ભાગે દરેક ગુજરાતી છે. અને મારે મન એ હકીકત પોરસાવનારી છે.

ગુજરાતના પશ્ચિમી કાંઠેથી વેપારી આલમના આ આપ્રવાસીઓ દક્ષિણ આફ્રિકાના ડરબન શહેરે બોટ વાટે આવી પહોંચેલા; અને તેઓની સરકારી દફતરમાં ‘પેસેન્જર ઇન્ડિયન્સ’ તરીકેની ઓળખ પાકી બની. એ 1860નો આશરે સમયગાળો હતો. એમાંના કેટલાક મુલકના અંદરના વિસ્તારોમાં રોજીરોટી સારુ વિસ્તારાઈ ગયા. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ‘ખોલવડ’ નામક ગામથી આ વસાહતીઓ દક્ષિણ આફ્રિકે સ્થળાંતર કરી ગયા હતા. ટૂંકમાં જોઈએ તો ડરબનથી જ્હોનિસબર્ગ વચ્ચેના અંતરિયાળ મથકોમાં આ હિન્દવી જમાતના લોકો ધંધાધાપા સારુ ફેલાઈ ગયા હતા.  

જ્હોનિસબર્ગ મહાનગરનું જૂનામાં જૂનું પરુ એટલે ફૂહરેરુટાઉન[Ferreiratown]નો આ સમૂળગો વિસ્તાર. આ વિસ્તારમાં આફ્રિકન નેશનલ કાઁગ્રેસ, ટૃાન્સવાલ ઇન્ડિયન કાઁગ્રેસ તેમ જ ટૃાન્સવાલ ઇન્ડિયન યૂથ કાઁગ્રેસનાં, એ દિવસો વેળા, અહીં દફતરો ધમધમતા. મૂળ ખોલવડના ગુલામ હુસ્સેન પહાડ ટૃાન્સવાલ ઇન્ડિયન કાઁગ્રસના પ્રમુખપદે લાંબા અરસા સુધી હતા. ગુલામ પહાડનાં પત્ની અમીના પહાડ; અને આ દંપતીને પાંચ સંતાનો – ઈસ્માઈલ, ઈસપ, અઝીઝ, નસીમ તેમ જ ઝૂનૈદ. ઈસપ તેમ જ અઝીઝ, બન્ને અગ્રેસર રહ્યા અને બન્નેએ પોતપોતાની ભાતીગળ સ્મરણકથા આપી છે. ‘ઈન્સરજન્ટ ડિપ્લોમેટ – સિવીલ ટૉક્સ ઑર સિવિલ વૉર ?’ [Insurgent Diplomat – Civil Talks or Civil War?] નામક અઝીઝ પહાડની આપવીતી કથા છે; જ્યારે ઈસપ પહાડને નામ ‘ઍ લાઈફ કમીટેડ, ઍ મેમવા’ [A Life Committed, A Memoir] આપવીતી બોલે છે. આ લેખના કેન્દ્રમાં સ્વાભાવિકપણે ઈસપ પહાડ અને એમની આપવીતી જ છે.

આશરે 560 પૃષ્ઠના આ પુસ્તકને અગિયાર પ્રકરણો છે અને પુસ્તકને એમના નિજી દોસ્ત તેમ જ પ્રજાસત્તાક દક્ષિણ આફ્રિકાના બીજા રાષ્ટૃપતિ થાબો મ્બેકીની પ્રસ્તાવના સાંપડી છે. આ પ્રસ્તાવના ખુદ ખૂબ અગત્યની છે.

ઈસપનો જન્મ આજના ગાઉતેન્ગ(એક વેળાના ટૃાન્સવાલ)માં આવ્યા સ્વાઇત્ઝર રિનીક (Schweizer Reneke) ગામે 21 જૂન 1939ના રોજ થયો. પરિસ્થિતિ અનુસાર, ગુલામ પહાડ અને પરિવાર સ્વાઇત્ઝર રિનીકથી જ્હોનિસબર્ગ વસવાટ માટે સ્થળાંતરિત થયા. જ્હોનિસબર્ગ મહાનગરનું જૂનામાં જૂનું પરુ એટલે ફૂહરેરુટાઉન[Ferreiratown]નો આ સમૂળગો વિસ્તાર. તેની બેકર (Becker) સ્ટૃીટમાંના ‘ઓરિયેન્ટ હાઉસ’માં પહાડ પરિવાર સ્થાયી થયો. અહીં, બેકર સ્ટૃીટ તથા ફોક્સ સ્ટૃીટને નાકે નેલસન મન્ડેલા તેમ જ ઓલિવર ટામ્બોની, તે દહાડે, વકીલાત સારુ ઓફિસો. 

થાબો મ્બેકી અને ઈસપ પહાડ – લંડનના દિવસો માણતા માણતા

આ વિસ્તારમાં આફ્રિકન નેશનલ કાઁગ્રેસ, ટૃાન્સવાલ ઇન્ડિયન કાઁગ્રેસ તેમ જ ટૃાન્સવાલ ઇન્ડિયન યૂથ કાઁગ્રેસનાં, એ દિવસો વેળા, અહીં દફતરો ધમધમતા. બીજી તરફ ઈસપ પહાડના પિતા, ગુલામ પહાડ ટૃાન્સવાલ ઇન્ડિયન કાઁગ્રસના પ્રમુખપદે લાંબા અરસા સુધી હતા. આ સક્રિયતાને કારણે ‘ઓરિયેન્ટ હાઉસ’ના એમના રહેણાકે અનેક નાનીમોટી સભાબેઠકો જોઈ છે. ક્યારેક નેલ્સન મન્ડેલા, ઓલિવર ટામ્બો, વોલ્ટર સિસુલુ શા આગેવાનો આમાંની બેઠકો માટે આવી ચડતા. યુસૂફ દાદુ, અહમદ કથરાડા તો નિયમિતપણ રોજ આવ્યા જ જાણવા. માતાપિતાની આ ‘ભલે પધાર્યા’ની નીતિરીતિ સંતાનોને માટે પારિવારિક સંસ્કાર બની રહેતી. પોતાના સંતાનો રંગભેદ, જાતિભેદથી પર રહે અને દરેક માણસને એક સરખા લેખે તેવું શિક્ષણ સંતાનોને અપાયું. આથી રાજકીય કર્મશીલની કેળવણી સંતાનોને આપવામાં આવી. આ કાઁગ્રેસ આંદોલનો તેમ જ સંસ્કારનો વારસો જ્હોનિસબર્ગમાં મળતો થયો તેમતેમ આ સંતાનોનું ઘડતર મજબૂત થતું ચાલ્યું.

કાઁગ્રેસ આંદોલનોમાંની સક્રિયતાને કારણે, ‘ટૃાન્સવાલ ઇન્ડિયન યૂથ કાઁગ્રસ’ના એક કારભારીને નાતે, 1964માં, ઈસપને દક્ષિણ આફ્રિકામાંથી દેશવટો મળેલો. એ યુનાઇટેડ કિંગ્ડમ ગયા અને ત્યાં ‘સાઉથ આફ્રિકન કમ્યુનિસ્ટ પાર્ટી’(SACP) માટે તેમની ભરતી કરવામાં આવી. આમ 1973 વેળા મૉસ્કોની લેનિન પાર્ટી સ્કૂલમાં ઈસપને દાખલ થવાનો લાભ મળ્યો. અને પછી ચેકોસ્લાવાકિયાના પાટનગર પ્રાગમાં ‘સાઉથ આફ્રિકન કમ્યુનિસ્ટ પાર્ટી’ના પ્રતિનિધિને નાતે અનેકવિધ કામો કરવાની તક સાાંપડી. ‘વર્લ્ડ માર્કસિસ્ટ રિવ્યૂ’ના સંપાદક મંડળમાં ય એ પલોટાયા. આ દરમિયાન એન્ગોલા ખાતે ‘ઉમકોન્તો વે સિઝવે’ [Umkhonto we Sizwe] માટે એમને લશ્કરી તાલીમ મળે તેવી ગોઠવણ કરાઈ. પરંતુ એમને મલેરિયા લાગુ થયો અને પછી ઈસપ આ તાલીમ લઈ ન શક્યા.

ફેબ્રુઆરી 1990 વેળા રંગભેદી શાસનના પ્રમુખ એફ.ડબલ્યુ. દ’ ક્લાર્કે આઝાદીની ચળવળ માટે જે કોઈ આંદોલન કે સંસ્થા પર પ્રતિબંધો લદાયેલાં તે ઊઠાવી લેવાની જાહેરાત કરતાં, દેશવટો ભોગવતાં અનેક આગેવાનો વતન પાછાં ફર્યાં હતાં. આમ ઈસપ પહાડ પણ 1990માં દક્ષિણ આફ્રિકા પરત થયા. નવાનક્કોર રાષ્ટૃ માટે લોકશાહીની પ્રથા દાખલ કરવાની વાત હોઈ, તે માટેની સઘળી તૈયારી કરવાનાં વિધવિધ કામોમાં ઈસપ પહાડ પૂરેવચ્ચ જોતરાઈ પણ ગયા. અત્યન્ત બુદ્ધિશાળી ઈસપ પહાડની દીર્ઘદૃષ્ટિ તેમ જ સ્વપ્નદૃષ્ટાપણું સોળે કળાએ કામોમાં પરોવાતાં ચાલ્યાં  

‘ઍ લાઈફ કમીટેડ, ઍ મેમવા’ એક ક્રાન્તિકારીની આપવીતી છે. બીજા અનેક સ્થાનિક તેમ જ આંતરરાષ્ટૃીય સ્તરના પ્રગતિશીલ લોકો તેમ જ આંદોલનો જોડે સંકળાવવાને કારણે એમના વિધવિધ અનુભવોનું આ પુસ્તક ગાથા બને છે. આવા આવા અનુભવોને કારણે દક્ષિણ આફ્રિકાને, આફ્રિકા ખંડને તેમ જ જગતને કેવા કેવા પડકારોનો સામનો કરવાનો થાય તેની સમજણ એમને આ અનુભવોમાંથી જડી આવી છે.

ઈસપ પહાડ

ઈસપ પહાડે પોતાની જબ્બર યાદદાસ્તને સહારે તેમ જ જે તે ઘટના ટાણે જે કોઈ નોંધ કરી હોય તેનો ય આધાર આ આપવીતી માટે લેવાયો હોય તેમ બને. આ બાબત જ આ આપવીતીને મજબૂત દસ્તાવેજનું સ્વરૂપ આપી જાય છે. વળી, પોતાનો વિનોદી સ્વભાવ પણ અહીં સર્વત્ર ડોકાયા કરે છે. જે જે લોકોએ અને આગેવાનોએ ઈસપ પહાડનું ઘડતર કર્યું છે તેવા લોકોની ટૂંકીટચ પણ સભર નોંધ, આઝાદીની લડત માટેના વિધવિધ પ્રવાહોમાંના સાથીદારો વિશેની વિગત નોંધો પુસ્તકને સબળ બનાવે છે. આટલું ઓછું હોય તેમ, લેખકની તીવ્ર સચ્ચાઈ, કરુણા અને માનવતા સમગ્રપણે ઉપસી આવતી હોય તેમ વાચકને આ આપવીતીમાં લગભગ ઠેરઠેર જોવાની સાંપડે છે.

આ પુસ્તકના ત્રીજા, ચોથા અને પાંચમા પ્રકરણોમાં સામ્યવાદ, સોવિયેત યુનિયન તેમ જ પૂર્વ યુરોપ માંહેના સામ્યવાદી દેશોની નક્કર સહાયતા, વાંચવા, જાણવા મળે છે. આટઆટલી ઊંડી વિગતો સાથેનું વર્ણન સ્વતંત્રતાની લડાઈ લડતા સમૂહોને આ ડાબેરી જમાત કેટલો ઉપયોગી બને છે તેની ઝાંખી કરાવે છે. એ સમયગાળામાં જે તે સામયિકો અને સાહિત્ય પ્રકાશિત થતું તેની વિગતમાહિતીઓ પણ વાંચવા સમજવા પામીએ છીએ. જો કે લેખક તો આફ્રિકા ખંડને કેન્દ્રમાં રાખીને વાત કરે છે, પરંતુ આ બધું આંતરરાષ્ટૃીય દૃઢતા, એકતાના અનેક અભ્યાસીઓને રસ પડે તેવી સામગ્રી અહીં જોવા પામીએ છીએ.

પાછોતરા પ્રકરણોમાં ‘આફ્રિકન નેશનલ કાઁગ્રેસ’ની ચડતી, પડતી, તેમ જ નબળાઈઓની વિગતો જાણવા મળે છે. ચીફ આલ્બર્ટ લુથુલી, ઓલિવર ટામ્બો, નેલ્સન મન્ડેલા, વોલ્ટર સિસુલુ સરીખા આગેવાનો કોમને માટે, દેશને માટે સઘળું ન્યોછાવર કરી જતા આગેવાનો હોય તેમ અનુભવીએ છીએ. એમની વિદાય પછીની આગેવાનીનાં પોત નબળાં પડતાં ભાળીએ ત્યારે વાચકને વસમું લાગ્યા વગર રહેતું નથી. ત્યારે સહજ આપણી નજર ભારત ભણી ડોકાયા કરે છે અને સરખામણી ‘હિન્દી રાષ્ટૃીય કાઁગ્રેસ’ સાથે અનાયાસે થયા વગર રહેતી નથી. ભારત, દક્ષિણ આફ્રિકા ઉપરાંત એશિયા, આફ્રિકા ખંડ, લેટિન અમેરિકાના દેશોની સાંપ્રત હાલતમાં સહજ સરખાપણું જોવા મળે છે. સેવાની જગ્યાએ સત્તા કેન્દ્રસ્થ બની જતાં આવું બધું અન્યત્ર પણ જોવા, વાંચવા પામીએ જ છીએ.

દક્ષિણ આફ્રિકા પ્રજાસત્તાકને મન્ડેલા પછી થાબો મ્બેકી શા આદર્શ, નેક, નિષ્ઠાવાન આગેવાન સાંપડે છે. મ્બેકીને ઈસપ પહાડની સમજણ અને આવડત પર ભારે વિશ્વાસ. દેશવટાના સમયથી બન્ને વચ્ચેની નિજી ભાઈબંધી. તેને ય કારણે તેમના મંત્રીમંડળમાં ઈસપ પહાડને સ્થાન અપાય છે, તેની વિગતે પાછોતરા પ્રકરણોમાં રજૂઆત થઈ છે. આ આઠ, નવ અને દશ ક્રમાંકના પ્રકરણોમાં આ વિગતમાહિતી છે. અહીં બહુસાંસ્કૃતિક, વિવિધ જાતીય મંત્રીમંડળનો પ્રયોગ ખીલતો ચાલ્યો છે અને મેઘધનુષી કારભાર ચલણમાં અહીં રહ્યું છે. હજુ તો નવોદિત દક્ષિણ આફ્રિકા પ્રજાસત્તાક બાખોડિયા ભરે છે તેવા વખતમાં ‘ટિમ્બુક્તુ મેન્યુસ્ક્રીપ્ટ પ્રૉજેક્ટ’ તેમ જ ‘ધ સાઉથ આફ્રિકન ડેમોક્રસી એજ્યુકેશન ટ્રસ્ટ’ શા જાગતિક સ્તરનાં કામોની કામગીરીમાં આગેવાની લઈ બિરાદરી ઝંપલાવે તો છે પણ તેને સાંગોપાંગ પૂર્ણ પર કરે છે. 

પશ્ચિમ આફ્રિકાના માલી દેશની વાત છે. ‘અહમદ બાબા ઇન્સ્ટિટ્યૂટ’માં ઈસ્લામિક દસ્તાવેજો, હસ્તપ્રતો છે તેને ભાવિને માટે જાળવી રાખવા ને સાંચવવા જરૂરી હોઈ, તે કામમાં દક્ષિણ આફ્રિકાની સરકારે આગેવાનીને આદરભેર હસ્તક રાખી. અને તેને માટે જે જે વ્યવસ્થા કરવાની આવી તેમાં ય માલીની સરકારના પ્રતિનિધિઓને ય સામેલ રાખી આ વિશ્વસ્તરનું આયોજન આટોપવાનું રાખે છે. વિશ્વ સ્તરના આ ઐતિહાસિક વારસાને જાળવી રાખવાનું કામ પણ દક્ષિણ આફ્રિકા આટોપે છે.

ઈસપ પહાડ આ આપવીતી ઉપરાંત બીજું એક પુસ્તક પણ કરવાની તૈયારીમાં હતા; પરંતુ તેમ એ કરી ન શક્યા. ગળાના જીવલેણ કેન્સરમાં એ લપેટાયા જતા હતા; અને 06 જુલાઈ 2023ના એમણે દેહ છોડ્યો.  

આરંભના રંગભેદ વાળા સમયગાળાથી માંડી, મેઘધનુષી પરંપરાના પ્રજાસત્તાક દેશ તરીકે આ મુલક ઓળખાતો થયો; અને તેની લગોલગ, સમાન્તરે દેશની નીતિરીતિ ય બદલાતી ચાલી. આ સઘળી સઘન વિગતો દર્શાવતાં અનેક પુસ્તકો નામદાર આગેવાનોએ આપ્યાં છે. ગુજરાતી નસ્સલનાં આગેવાનોએ આપ્યાં પુસ્તકો વળી તેમાં અગત્યનું સ્થાન ધરાવે છે. આ આખું ચિત્ર સામે રાખીને કોઈ પણ અભ્યાસુને રસ પડે તેવી આ સામગ્રી સામે આવી છે. ઈસપ પહાડ ઉપરાંત એમના નાના ભાઈ અઝીઝ પહાડે આપ્યું પુસ્તક ‘ઈન્સરજન્ટ ડિપ્લોમેટ સિવિલ ટૉક્સ ઓર સિવિલ યર ?’, અહમદ કથરાડાકૃત ‘મેમવાઝ’, ઈસ્માઈલ મીરકૃત ‘ઍ ફોરચ્યુનેટ મેન’, ઉમા ધૂપેલિયા – મિસ્ત્રીકૃત ‘ગાંધીઝ પ્રિઝનર ?’ તથા ‘ગાંધીઝ આફ્રિકન લિગસી’ વગેરે વગેરેને અગત્યનું સ્થાન છે. આમાં નેલસ્ન મંડેલા, ઓલિવર ટામ્બો, વૉલ્ટર સિસુલુ ફાતીમા મીર આપ્યાં પુસ્તકોને દાખલ કરવા જરૂરી છે. અશ્વિન દેસાઈ, ગુલામ વાહેદ જેવા ઇતિહાસકારોને તેમાં સામેલ રાખવા જરૂરી છે. મો.ક. ગાંધીકૃત ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ તેમ જ પ્રભુદાસ ગાંધી લિખિત ‘જીવનનું પરોઢ’ને પાયાગત રાખવા જરૂરી છે. રાજકારણ, સમાજકારણ, અર્થકારણને તેમ જ સાહિત્ય સર્જન જેવા અનેક મુદ્દે આ અભ્યાસ આપણને નવી દિશા આપી શકે તેમ છે.

હેરૉ, યુનાઇટેડ કિંગ્ડમ; 21 માર્ચ 2026
E.mail : vipoolkalyani.opinion@btinternent.com 

ઍ લાઈફ કમીટેડ, ઍ મેમવા : ઈસપ પહાડ : રીઅલ આફ્રિકન પબ્લિશર્સ, 236 ફ્રેડરિક ડૃાઈવ, નૉર્થક્લીફ, જોહાનિસબર્ગ 2195 : પ્રથમ આવૃત્તિ -ઑક્ટોબર 2023 : ISBN978 – 1-7764567-1-0 : પૃષ્ઠ – 560 :  

Loading

...1020...24252627...304050...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved