Opinion Magazine
Number of visits: 10080366
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇંધણના ભાવ ગમે એટલા ઘટે, સરકાર ભાવ ઘટાડવાની નથી –

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|3 July 2026

રવીન્દ્ર પારેખ

બે દિવસ પર કોમર્શિયલ સિલિન્ડર સસ્તો થયો છે. તેનો ભાવ 183.5 રૂપિયા ઘટીને 3,11૩ પરથી 2,93૦ પર ઊતરી આવ્યો છે. આ વર્ષનો આ પહેલો ઘટાડો છે. ઓઈલ ક્મ્પનીઓએ વિમાની ઇંધણ (ATF) અને પાંચ કિલોની ફ્રી ટ્રેડ એલ.પી.જી.(FTL)ના ભાવમાં પણ ઘટાડો કર્યો છે. ATFનો ભાવ લિટરે 5 રૂપિયા ઘટ્યો છે, જ્યારે FTL સિલિન્ડરમાં 13 રૂપિયા ભાવ ઘટ્યો છે. એલ.પી.જી. સિલિન્ડરનો ભાવ 942 યથાવત રખાયો છે. એલ.પી.જી. સિલિન્ડરનો ભાવ ૩ માર્ચે 60 રૂપિયા અને 7 જૂને 29 રૂપિયા વધ્યો હતો, તેમાં આ વખતે કોઈ ઘટાડો આવ્યો નથી, એટલે સામાન્ય નાગરિકને કોઈ રાહત અપાઈ નથી. ત્રણ મહિનામાં 89 રૂપિયાનો વધારો થયા પછી પણ એલ.પી.જી. સિલિન્ડરનો ભાવ ઘટ્યો નથી એ હકીકત છે.

થોડો પણ ભાવ ઘટે તો સરકારે ખોટ પણ વ્યાપકપણે ખાવી પડે ને નફાખોર સરકાર એ સહન ન કરી શકે. એટલું છે કે ઘરેલું એલ.પી.જી.નાં વેચાણમાં સસ્તું કંઇ થાય એમ નથી. કારણ ઘરેલું એલ.પી.જી.માં સબસીડી અપાય છે. તેની કિંમત અને છૂટક વેચાણ કિંમત વચ્ચેનાં અંતરની ભરપાઈ સરકાર દ્વારા કરવામાં આવે છે. એમાં જો ભાવ ઘટાડવામાં આવે તો સરકારને વધુ ખોટ જાય ને સરકાર એવું કરે નહીં.

એવી જ સ્થિતિ પેટ્રોલ-ડિઝલના ભાવમાં પણ જોવા મળી છે. પશ્ચિમ એશિયા અને ઈરાન યુદ્ધની અસરો ઓછી થતાં ને દરિયાઈ માર્ગ ખુલ્લો થતા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ અડધા થઈ ગયા છે. અત્યાર સુધી ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા હોવાથી ભારતીય તેલ કંપનીઓ ખોટ ભોગવતી હતી, એટલે પેટ્રોલ-ડિઝલનાં ભાવમાં વધારો કરાયો હતો. વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ આશરે 1 ટકા ઘટાડા સાથે 79 ડોલર પ્રતિ બેરલ નજીક આવી ગયું છે. WTI ક્રૂડ પણ 76 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે. ક્રૂડના ભાવ ઘટતા ભારતીય જનતાને એમ લાગી રહ્યું છે કે પેટ્રોલ-ડિઝલ સસ્તું થશે. એ ખરું કે 200 લિટર ડિઝલની મર્યાદા નીકળી ગઈ છે. હવે ઇચ્છો તેટલું પેટ્રોલ કે ડિઝલ ગાડીમાં પુરાવી શકાય. પણ ભાવ ઘટવા અંગે કશી સ્પષ્ટતા નથી. જો કે, પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે સ્થાનિક બજારમાં રિટેલ ભાવો અંગેનો કોઈ પણ નિર્ણય આંતરરાષ્ટ્રીય સ્થિતિનાં મૂલ્યાંકન પછી જ કરવામાં આવશે. એ ખરું કે યુદ્ધની કટોકટી દરમિયાન ક્રૂડ ઓઈલ 120 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું હતું. તેમાં ઘટાડો થયો હોય તો ઓઇલના ભાવ પણ ઘટવા જ જોઈએ, પણ સરકારની નફાખોરી, ખોટ ભરપાઈ કરવામાં જ જતી હોય તો નવાઈ નહીં.

અત્યારે દેશભરમાં ઇંધણની અંદાજિત કિંમત પેટ્રોલની 105થી 112 અને ડિઝલની કિંમત 95થી 100 પ્રતિ લિટર છે. મે મહિનામાં સરકારી ઇંધણ રિટેઈલર કંપનીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ વધતા, ભારતની સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ-ડિઝલના લિટરે 7.50 રૂપિયા ભાવ વધારેલા. સંયુક્ત રીતે ભારતની ઇંધણ કંપનીઓ, રિટેલ ઇંધણ માર્કેટમાં 90 ટકા હિસ્સો ધરાવે છે, તે ભાવ ઘટાડે તો કહેવાતી ખોટ વ્યાપક ને ઊંડી બને. એટલે પણ ઓઈલ ક્મ્પનીઓએ ભાવ યથાવત રાખ્યા છે. ઓઈલ સસ્તું ન થવાનું એક કારણ સરકાર દ્વારા લાદવામાં આવતો ભારે ટેક્સ અને એક્સાઈઝ ડ્યૂટી છે. એને લીધે ગ્રાહકોને સીધો ફાયદો થતો નથી. મોટો ટેક્સ વસૂલવાની સરકારી નીતિને લીધે લોકોમાં ભારે નારાજગી છે.

વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલ સસ્તું થતાં નાયરા ખાનગી કંપનીએ એક જુલાઈથી પેટ્રોલમાં લિટરે 5 અને ડિઝલમાં ૩ રૂપિયાનો ઘટાડો જાહેર કરતા લોકોને થોડી રાહત મળી છે. છેલ્લાં બે વર્ષમાં પંપ પર ઇંધણના દર ઘટાડનાર નાયરા પહેલી રિટેલર કંપની બની છે. નાયરાએ તેનાં 7,000 ઇંધણ સ્ટેશનોનાં  નેટ વર્ક પર આ ઘટાડો કર્યો છે. ખાનગી કંપની પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડી શકે છે, પણ સરકારની તેલ કંપનીઓ બધી ચકાસણી પછી ભાવ નક્કી કરશે. એમાં ચકાસણી તો નફો ઘટે નહીં એટલી જ કરવાની હશે. સરકારી તેલ કંપનીઓ બહુ અપ્રમાણિક છે, એટલે સાચું ચિત્ર હાથમાં આવતું નથી. ભાવ ઘટાડવાના હોય ત્યારે તેલ કંપનીઓ તે ઘટાડતી નથી ને વધે એમ હોય ત્યારે, એક યા બીજા કારણે ભાવ સ્થિર રાખે છે.

અપ્રમાણિકતા એ રીતે પણ જોવા મળે છે કે  ભારતીય તેલ કંપનીઓ ક્રૂડના ભાવ વધે તો વધારે જ છે, પણ ઘટે તો ઘટાડતી નથી. તે વખતે તે આગલી ખોટ આગળ કરે છે. એ ખરું કે યુદ્ધનાં સમયે ઓઈલની અછતને કારણે ભાવ વધે તે ક્બૂલ, પણ કંપનીઓ રોજની 1,000 કરોડની ખોટનું ગાણું ગાતી હતી તે ખોટું હતું. તેલ કંપનીઓ ચૂંટણી વખતે ખોટ ખાઈને પણ ભાવ સ્થિર રાખે છે ને જેવી ચૂંટણી પતે કે જોર કા ઝટકા ધીરે સે લગે-ની સ્ટાઈલે ઇંધણના ભાવો હળવેથી વધારી દે છે.

અત્યારે યુદ્ધની પરિસ્થિતિમાં ઓઈલના ભાવમાં વધઘટ રહી, પણ કોરોના વખતે તો પટ્રોલ ડિઝલનો ઉપયોગ બહુ ઓછો હતો, કારણ વાહનો સડક પર ઉતરતાં જ ન હતાં. તે વખતે ભાવ 42-44 ડોલર પ્રતિ બેરલ હતો, પણ સરકારે ભાવ ઘટાડવાને બદલે ચોક્ખો નફો જ કર્યો, એ ઠીક ન હતું. અત્યારે પણ  છેલ્લી વખતે 120 ડોલર પ્રતિ બેરલ ભાવ હવે 70 ડોલરથી પણ ઘટી ગયો હોય તો સરકારી કંપનીઓએ ભાવ ઘટાડવા જ જોઈએ, પણ નથી જ ઘટાડતી તે હકીકત છે. કોરોના વખતે તો ક્રૂડ ઓઈલનો 42-44 ડોલર પ્રતિ બેરલ ભાવ હતો, ત્યારે પણ તેલ કંપનીઓએ ભાવ ઘટાડ્યો ન હતો, એટલું જ નહીં, અત્યારે પણ ક્રૂડના ભાવ અડધા થઈ ગયા છે, પણ સરકાર ભાવ ઘટાડવા તૈયાર નથી. પહેલાં ખોટ સરભર કરવા ભાવ ન ઘટાડ્યા, હવે ભાવ સ્થિર રાખવાનું કયું કારણ છે? તે ઘટાડી જ શકાયને !

PPACના આંકડા મુજબ 26-27 જૂને ક્રૂડ ઓઈલ બાસ્કેટનો ભાવ 68.86 ડોલર પ્રતિ બેરલ હતો જે માર્ચના ભાવ કરતા 56 ટકાથી ય ઓછો હતો. ઓઈલ આટલું સસ્તું થવાં છતાં પેટ્રોલ ડિઝલના ભાવ તરત ઘટ્યા નથી. તે એટલે કે ક્રૂડ ઓઈલ મોંઘું હતું ત્યારે સરકારી તેલ કંપનીઓએ ગ્રાહકો પર બધો બોજ નાખ્યો ન હતો. હવે કંપનીઓ નુકસાનીની ભરપાઈ કરી રહી છે. એ જ કારણ છે કે ક્રૂડ સસ્તું થવા છતાં તરત પેટ્રોલ ડિઝલ સસ્તું થયું નથી. એક્સપર્ટસની આગાહી છે કે આવનારા દિવસોમાં પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટી શકે છે. થાય છે શું કે પેટ્રોલ-ડિઝલ મોંઘાં થાય છે તો પરિવહન મોંઘું થાય છે, એટલે દૂધ, ફળ, શાકભાજી ,,,, બધું મોંઘું થાય છે. ટૂંકમાં, ઓઈલ મોંઘું થાય તો ઓઈલ જ મોંઘું થાય એવું નથી, બધું જ મોંઘુ થાય છે. અત્યારે બધું જ મોંઘુ છે, ત્યારે ઓઈલનો ભાવ ન ઘટે તો મોંઘવારી પણ કેવી રીતે ઘટે?

યુદ્ધો અને ક્રૂડના અસ્થિર ભાવો વચ્ચે તેલ ક્મ્પ્નીઓની રોજિંદી નુકસાની સરભર કરવા સરકારે મે અને જૂનમાં ભાવ વધારાની મંજૂરી પણ આપી હતી. ત્યારે ભાવ વધ્યા પણ હતા. હવે ભાવ ઘટ્યા છે તો સરકારે ઓઈલમાં ભાવ ઘટાડવાનું અનિવાર્ય કરવું જોઈએ. બધું જ મોંઘું હોય ત્યાં ક્રૂડ સસ્તું થવા છતાં સરકાર ભાવ ન ઘટાડીને લોકોની મુશ્કેલી વધારી રહી છે. સરકારી તેલ કંપનીઓ નુકસાનીની ભરપાઈમાં એટલી વ્યસ્ત છે કે સામાન્ય લોકોની મુશ્કેલીઓનો અંદાજ જ નથી આવતો.

જો કે, આ લખાય છે ત્યારે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે બધું બરાબર ચાલ્યું તો આવનારા દિવસોમાં પેટ્રોલ-ડિઝલનાં ભાવમાં ઘટાડો થાય એમ બને. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ એ પણ કહ્યું કે 30 જૂન સુધીમાં પેટ્રોલ-ડિઝલ અને એલ.પી.જી., કિંમત કરતાં ઓછી કિંમતે વેચીને 74,781 કરોડનું નુકસાન થયું છે. આ બધું ઓછી કિંમતે ને કોને વેચાયું તે જાહેર થવું જોઈએ. કારણ સામાન્ય લોકોને કંઇ ઘટ્યું હોય એવું તો યાદ જ નથી આવતું. એ સ્થિતિમાં ઓઈલનો ભાવ ઘટવાની તકો ઓછી જ છે. આમાં મીડિયાને તડાકો પડી ગયો છે. બધાં જ લિટરે કેટલા રૂપિયા ઘટશે તેની આગાહી કરવા લાગ્યા છે. કોઈ 4 રૂપિયા તો કોઈ બે રૂપિયા ઘટવાની વાત કરે છે. ઇચ્છીએ કે મીડિયા થોડું પણ સાચું પડે ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 જુલાઈ 2026

Loading

નાતજાતકોમનો  ભેદભાવ  એક પા : જેન ઝી, જંતરમંતર જગન બીજી પા

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|2 July 2026

વિશ્લેષણ —

મુદ્દો શિક્ષણપદ્ધતિનો અને ફૂટતાં પેપરોથી રોળાંતાં જીવતરનો છે

સોનમ વાંગચૂક  મીર તકી મીરની  સાખે કહે છે : ઈબ્તિદાયે ઇશ્ક હૈ રોના હૈ ક્યા, આગે દેખીએ હોતા હૈ ક્યા … ને ક્યાંક વળી ભગતસિંહની સાખે સંભળાય છે : હમ મસ્તોકા ટોલા

પ્રકાશ ન. શાહ

બરાબર એંશી વરસ થયાં, પહેલી જુલાઇએ, એમની શહાદતનેઃ 1946માં, સ્વરાજ આગમચ વરસેક હશે અને અમદાવાદમાં જમાલપુર-ખાંડની શેરી પરિસરમાં વસંતરાવ હેગિષ્ટે અને રજબઅલી લાખાણીએ કોમી હુતાશનને ઠારવા સારુ બલિદાન વહોરવામાં જીવનની સાર્થકતા જોઈ હતી. 

આ ત્વરિત ને ટૂંકી ટિપ્પણીની શરૂઆત વસંત-રજબના ઉલ્લેખથી કરી છે. પણ એની પાછળનો આશય કોઈ એ ઘટનાની વારતા માંડવાનો કે દાસ્તાં આલેખવાનો અલબત્ત નથી. બલિદાન બેલાશક મોટી વાત છે, અને એમનો પાડ પ્રજાજીવન પર બિનચૂક રહેશે. પણ શહીદ ભેરુઓને જેમ એમના વીરમૃત્યુથી તેમ યશસ્વી જીવનથીયે ઓળખવા રહે છે. 

આ યશસ્વિતા નાતજાતકોમ લિંગ બધું અંડોળા જઈ જલતાં જિગરે દેશજનતાની સેવા થકી ફોરતી રહે છે. ખાંડની શેરીએ, આજની તારીખે થોડુંક લોક હતું ભલે – પણ જરી અહીં ગુજરાત બેઠે દિલ્હીના જંતરમંતર પરિસરની તો કલ્પના કરો. જો વીરમૃત્યુની એક પરંપરા છે, તો સમર્પિત ને સક્રિય સંઘર્ષશીલ સેવાજીવનનીયે એક ભૂમિકા છે. 

જંતરમંતરની કોક્રોચ કમાલમાં ગાજેલું મોટું નામ જરૂર સોનમ વાંગચૂકનું છે, અને એક લોકધર્મી પર્યાવરણપટુ તરીકે તે અક્ષરશઃ બેમિસાલ પણ છે. લદ્દાખની 8 સેન્ટિગ્રેડ સુવિધા છોડી એ 45 સેન્ટિગ્રેડની દિલ્હીની જિંદગી, તે પણ ભૂખ્યા પેટે બસર કરી રહ્યા છે. પહેલકારી કોક્રોચ સત્તમ અલબત્ત અભિજિત દીપકે, એક દલિતનો દીકરો છે જે દોમ દોમ અમેરિકી સંભાવના ને રૂંવે રૂંવે ડોલરિયો મોલ કોરાણે મેલી અહીં જગન માંડી બેઠો છે. ભલા ભાઈ, તમે જુઓ તો ખરા પેલા મુસ્લિમ બંધુ જૂનેદ પહેલા જ દિવસથી અહીં છાવણી નાખી પડેલા સૌ હઠધર્મીઓની કેવી આસનાવાસના કરે છે. સોશ્યલ મીડિયાની કૃપાથી એની સેવાસુવાસ પામી સુદૂર સહરાનપુરથી આવી લાગેલી પેલી મધ્યવયસ્ક હિંદુ મહિલા જૂનેદમાં પોતાનો દીકરો જુએ છે અને પેલા સરદારજી? એમણે લંગર ચલાવવામાં પોતાનો ધર્મ જોયો છે. 

મુદ્દો શિક્ષણપદ્ધતિનો અને ફૂટતાં પેપરોએ રોળાતાં જીવતરનો છે. બેલાશક ‘જેન ઝી’-નો છે. પણ એક છેડેથી એમનાં માવતર તો બીજે છેડેથી જેન આલ્ફા થકીયે આ કુરુક્ષેત્ર ઉભરાય છે. આ જમાવડા પર સત્તા-પ્રતિષ્ઠાન તરફથી ઉપેક્ષા ને આક્રમકતા બેઉ વરતાય છે ત્યારે ભા.જ.પ.ના કોઈ કોઈ કાર્યકર પણ પોતાની ઓળખ વિધિવત છતી કરી, પોતાની સંતતિએ જેને કારણે વેઠ્યું છે. તે સિસ્ટમના વિરોધમાં અહીં જોડાઈ રહ્યા છે. 

હિંદુમુસ્લિમશીખ એ ભેદ અહીં નથી. ગંગાજમની તહજીબ અહીં એક સંઘર્ષશીલ નાગરિકધર્મી તરજ પર આપણી સામે આવે છે. માહોલ આખો જુઓ તમે. બુધવારે આ ટિપ્પણી લખાઈ રહી છે ત્યારે સોનમ વાંગચૂકની તબિયતનું બુલેટિન બહાર આવે છે. ઉપવાસનો ચોથો દિવસ છે અને સુગર લેવલ ચિંતાજનક હોઈ શકે એ રીતે નીચે જતું માલૂમ પડે છે. હવે તરતમાં, સપ્ટેમ્બરમાં સાઠ વરસ પૂરા કરવા તરફ જઈ રહેલાં સોનમ મહાશયની શું પ્રતિક્રિયા છે? ન જાણે ક્યાંથી એમને મીર તકી મીર અને હસરત જયપુરી સાંભરી આવે છેઃ  ઇબ્તિદાયે ઇશ્ક હૈ રોના હૈ ક્યાં, આગે આગે દેખીએ હોતા હૈ ક્યાં. ક્યાંક વળી જુવાન-જુવતીની મંડળી જામી છે, ને ભગતસિંહની સાખે ‘હમ મસ્તોં કા ટોલા’ ગવાઈ રહ્યું છે. 

અણ્ણા હજારેના લાભાર્થી કંઈ કેજરીવાલ એકલા તો નહોતા, બલકે, વડા લાભાર્થી અયોધ્યાથી હાલ સંભળાતી વિશિષ્ટ રામધૂન સાથે દિલ્હીનશીન છે. પક્ષના વડા  મની-મેનેજર ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેતા એ શીદ ખચકાતા હશે? પક્ષપ્રમુખ નવીને વળી આ જંતરમંતર જમાવડામાં આતંકવાદીઓની બી ટીમ જોઈ છે. 

ભલા’દમી, તમારાં છોકરાંવને સાંભળો સમજો ને કાંક ઉપાય કરો. પારકું રાજ ને સાંસ્થાનિક પોલીસ હતી ત્યારે વસંત-રજબનું જેવાનું હતું તે થયું, પણ નાતજાતકોમના ભેદ ઓળાંડી જઈ અહીં જે જેન ઝી હુલસે છે એની જોડે લગીર દિલની દાસ્તાં તો માંડી જુઓ.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 02 જુલાઈ 2026

Loading

‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર

માનસી જયસ્વાલ|Opinion - Literature|1 July 2026

કાવ્યસંગ્રહનું મુખપૃષ્ઠ ચિત્ર ગુલામમોહમ્મદ શેખ

‘સાચી કવિતા એ મૌનની ધાર પર શબ્દની અવતારણા છે …’૧ એમ કહીને જર્મન ફિલોસોફર માર્ટિન હાઇડેગરે કવિતાના અસ્તિત્વને વ્યાખ્યાયિત કર્યું હતું. આ વિચારને ગુજરાતી સાહિત્યના સંદર્ભમાં જીવંત કરતો એક યુવા અવાજ એટલે બ્રિજેશ પંચાલ, જે ‘મધુર’ અને ‘મધુરલલિત’ જેવા ઉપનામે સાહિત્ય સર્જન કરે છે. યુગ કવિ ઉમાશંકર જોશી કવિતાને જીવનની ઊંડાણભરી સમજણ આપતું સર્જનાત્મક માધ્યમ માનતા હતા.૨ આ વિચાર ઊંડાણથી સમજવા યુવા કવિ, નાટ્યકાર, ફિલ્મ લેખક અને અનુવાદક બ્રિજેશ પંચાલનો ૨૦૨૫માં પ્રકાશિત થયેલ કાવ્યસંગ્રહ “મૌનથી શબ્દમાં કાણું પડશે”૩ તપાસીએ. આ કાવ્યસંગ્રહમાં કવિએ આશરે ૩૨ ગીત, ૨૪ ગઝલ અને ૪૬ અછાંદસ જેવા કવિતા પ્રકારને રજૂ કર્યા છે. આ કાવ્યસંગ્રહમાં યુવા સર્જક જીવનને માત્ર વર્ણવતા નથી, પરંતુ તેને અનુભૂતિના સ્તરે ફરીથી ગાઢ બનાવે છે. મૌન અને શબ્દ વચ્ચેનો તણાવ, જે સામાન્ય રીતે અભિવ્યક્તિના વિરોધી ધ્રુવો તરીકે જોવામાં આવે છે, એ અહીં સર્જનાત્મક સહઅસ્તિત્વમાં રૂપાંતરિત થાય છે. કવિ મૌનને ગૂંગળામણ નહીં, પરંતુ સંભાવનાનો ગર્ભ માને છે, જેથી શબ્દ જન્મે છે. બ્રિજેશ પંચાલનું આ સર્જન માત્ર કવિતાઓનો સમૂહ નથી, પરંતુ માનવ જીવનના મૌન, સંવાદ, સંઘર્ષ અને સંવેદનાના જટિલ પરિમાણોને સ્પર્શતો એક ગહન સાહિત્યિક પ્રયોગ છે. 

પહેલા વાત કરીએ આ કાવ્યસંગ્રહના મુખપૃષ્ઠની. જે જાણીતા ચિત્રકાર અને કવિ-લેખક ગુલામમોહમ્મદ શેખ સાહેબ દ્વારા રચાયેલ છે. અહીં કાવ્યસંગ્રહમાં કવિએ પોતે હાથે ઘૂંટીને “મૌનથી શબ્દમાં કાણું પડશે” (પૃ. ૧૫) મૂક્યું છે. જે એક રીતે ચિત્રમાં શબ્દપ્રયોગ છે. 

‘કવિતા, તને લખ્યાનો મને રંજ છે!’ જેવી કવિતા લખીને સાહિત્ય સર્જન માટે પોતાનો અનોખો સૂર પૂરાવનાર યુવા સર્જક વિશે ઑનલાઈન ‘રેખ્તા ગુજરાતી’૪ જણાવે છે કે બ્રિજેશ પંચાલનો જન્મ ૨ મે, ૧૯૯૫ના રોજ પિતા યોગેશભાઈ અને માતા ગીતાબહેનના ત્યાં વડોદરામાં થયો. તેમણે કમ્પ્યૂટર એન્જિનિયરિંગમાં સ્નાતક અને અનુસ્નાતકની પદવી મેળવી સાથે ગુજરાતી ભાષા અને ગાંધીાઅન ફિલસૂફીમાં પણ અભ્યાસ કર્યો છે. તેઓ સાહિત્ય (ગદ્ય-પદ્ય), નાટક અને ફિલ્મ માટે લેખન કરે છે તથા તેમના એકાધિક પુસ્તકો પ્રકાશિત થયાં છે. હાલમાં તેઓ કમ્પ્યૂટર એન્જિનિયરિંગના અધ્યાપન સાથે નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ ક્ષેત્રે, ખાસ કરીને ભારતીય ભાષાઓ માટે સંશોધન કરી રહ્યા છે. તેમણે પીએચ.ડી. સંશોધનમાં ગુજરાતી ભાષાનું ડીપ લર્નિંગ આધારિત સ્પેલ ચેકર વિકસાવ્યું છે. કવિસંમેલન, સાહિત્ય, ફિલ્મ અને નાટ્યક્ષેત્રે તેમની સક્રિય હાજરી રહી છે. જે માટે તેમને અનેક પુરસ્કારો મળ્યા છે, જેમાં મુખત્વે નેશનલ બુક ટ્રસ્ટ, મિનિસ્ટ્રી ઑફ એજ્યુકેશન, ભારત સરકાર તરફથી મળેલ PM Yuva 2.0 ફેલોશિપનો સમાવેશ થાય છે.

કવિએ કાવ્યસંગ્રહના શીર્ષકમાં પ્રયોજેલ “કાણું” શબ્દ અત્યંત મહત્ત્વનો છે. સામાન્ય રીતે કાણું એટલે ખામી, પરંતુ અહીં તે જ સર્જનનો પ્રારંભબિંદુ છે. જેમ રશિયન વિવેચક રોમન જેકોબ્સન કહે છે કે “Poetry Is Organized Violence Committed on Ordinary Speech … (કવિતા સામાન્ય વાણી પર કરવામાં આવતી સંગઠિત હિંસા છે …)”૫  તે જ રીતે આ કવિ  સામાન્ય ભાષામાં ‘કાણું’ પાડી તેને કાવ્યમાં ફેરવે છે. કવિ પોતાના નિવેદનમાં “સાહિત્ય સર્જન એક રીતે પોતાની પાસે રહેલ શબ્દમાં પોતાની તાકાત મુજબ કાણું પાડવાની ઘટના છે”૩ કહીને આ વિચારને સ્પષ્ટપણે સાકાર કરે છે.

આ કાવ્યસંગ્રહની સૌથી મોટી વિશેષતા તેની વિષયવૈવિધ્યતા અને પ્રયોગશીલતા છે. રઘુવીર ચૌધરીએ યોગ્ય રીતે નોંધ્યું છે કે ‘બ્રિજેશનું સર્જન વિચાર પ્રયોજનની દૃષ્ટિએ નોખું છે.’૩ યજ્ઞેશ દવે પણ આ બાબતને સ્પષ્ટ કરે છે કે ‘અહીં યુવાનનો ઉદ્વેગ, અજંપો અને વિદ્રોહ છે તો હતાશા, દૈહિક કામના અને સામાજિક પ્રતિબદ્ધતા પણ છે’૩. જ્યારે કવિ હિતેન આનંદપરા લખે છે ‘બ્રિજેશ પંચાલ અને નાટ્યલેખક બ્રિજેશ પંચાલને અલગ પાડવા દુષ્કર છે. કવિ બારીક સંવેદનોને નિરૂપવાનો પ્રયત્ન કરે છે.’૩ આ કાવ્યસંગ્રહમાં જીવનના વિવિધ રંગો પ્રેમ, પીડા, વિમર્શ, વિદ્રોહ અને આધ્યાત્મિકતા એકસાથે જોવા મળે છે. અહીં ‘વર્જિનિટી’, ‘સ્ખલન’, ‘કિન્નરનું ગીત’, ‘નિરોધનું ગીત’, ‘લી… મોના લિસા’, ‘સોક્રેટિસ માટે પ્રાયશ્ચિત ગીત’, ‘અલ્ઝાઇમર્સનું ગીત’ જેવા વિષયો માત્ર ચોંકાવવા માટે નથી, પરંતુ સમાજના ઉપેક્ષિત અને અવગણાયેલા સત્યને અવાજ આપવા માટે છે. આ દૃષ્ટિએ કવિનો અભિગમ પ્રગતિશીલ છે અને સત્વર  છે.

વિશ્વ સાહિત્યના વિવેચક મેથ્યુ આર્નોલ્ડે કવિતાને ‘Criticism of Life’૬ ગણાવી છે. આ કૃતિની કવિતાઓ આ વ્યાખ્યાને જીવંત કરે છે. ઉદાહરણ તરીકે ‘ગાંધીટોપી’ કવિતામાં કવિ જે રીતે મૂલ્યોના બજારીકરણ પર કટાક્ષ કરે છે, “જે વસ્તુ બજારમાં ન ચાલે, એને તમારા નામ સાથે જોડું છું. / જેમ કે …

ગાંધીની ટોપી!

ગાંધીનાં ચશ્માં!

ગાંધીની લાકડી!

ગાંધીનું ઘડિયાળ!

ગાંધીની ખાદી!

અને … ગાંધીનું સત્ય!” (પૃ. ૨૮)

આ માત્ર વ્યંગ્ય નથી, પરંતુ આધુનિક સમાજ પર કરાયેલું તીવ્ર વિવેચન છે. અહીં કવિતા એક નૈતિક દર્પણ બનીને ઊભી રહે છે. સમગ્ર કાવ્યસંગ્રહમાં કવિની કવિતામાં માનવીય સંવેદનાનો ઊંડો પ્રવાહ પણ સતત વહે છે. ‘પેટ નથી ભરાતું!’ જેવી કવિતા આપણને યાદ અપાવે છે કે જીવનમાં ભૌતિકતા પૂરતી નથી. 

“તમે પેટ ભરાઈ ગયું, કોને કહો છો?

ખાવાથી ભરાય કે પીવાથી ભરાય એને? કે પછી …

બાજુના ઘરમાં કોઈ ભૂખ્યું હોય અને

તમારા ગળેથી કોળિયો નીચે ન ઊતરે –  એને?” (પૃ. ૨૯)  

આ વિચારને ગુજરાતી સાહિત્યના મહાન કવિ ઝવેરચંદ મેઘાણીના માનવતાવાદી દૃષ્ટિકોણ સાથે જોડીને જોઈ શકાય. કવિ અહીં સૂચવે છે કે સાચી ભૂખ શરીરની નહીં, પરંતુ સંવેદનાની છે. અહી કવિતામાં નાટ્યાત્મકતા એક વિશેષ તત્ત્વ તરીકે જોવા મળે છે, જે કદાચ તેમના નાટ્યલેખનના અનુભવનું પરિણામ છે. ‘નાટકનું એક પાત્ર’ જેવી કવિતામાં મૃત્યુને પાત્ર તરીકે રજૂ કરવું, એ માત્ર કલ્પનાનો ખેલ નથી, પરંતુ અસ્તિત્વવાદી પ્રશ્નોને સ્પર્શવાનો પ્રયાસ છે. આ દૃષ્ટિએ તેમની કવિતા સાહિત્ય અને રંગમંચ વચ્ચેનો સેતુ બની જાય છે.

આ કાવ્યસંગ્રહમાં ગહનતા અને વિવેચન સાથે હળવી, રમૂજી અને વિટસભર કવિતાઓ પણ વિશેષ આકર્ષણ ઊભું કરે છે. આ કવિતાઓ માત્ર હાસ્ય માટે નથી, પરંતુ તે હાસ્યના આવરણમાં જીવનના સત્યને સરળ રીતે રજૂ કરે છે. ગુજરાતી સાહિત્યમાં જ્યોતીન્દ્ર દવે કહે છે કે ‘હાસ્ય એ વિચારને સહેલાઈથી પહોંચાડવાનું સૌથી અસરકારક સાધન છે.’ આ દૃષ્ટિએ જોવામાં આવે તો બ્રિજેશ પંચાલની હળવી કવિતાઓ વાચકને હસાવતાં-હસાવતાં વિચારવા પ્રેરિત કરે છે. ઉદાહરણ તરીકે ‘છેલ્લો પિરિયડ…’ કવિતા અત્યંત રસપ્રદ અને પ્રતીકાત્મક છે. અહીં કવિ શાળાના હાજરી પત્રક દ્વારા માનવીય ભાવનાઓને જીવંત બનાવે છે :

“આ રોલ નંબર દસ – “જિંદગી”

કેમ આજે ય નથી આવી?

કોઈને ખબર છે?

“જિંદગી કેમ રહે છે ગેરહાજર ઘણા દિવસથી?”

તો એકદમ રોલ નંબર અગિયાર … “અનુભવ” ઊભો થઈને બોલ્યો :

“સર, જિંદગી જ્યારથી એની દોસ્ત હકીકતને મળી છે,  ત્યારથી એ બીમાર પડી છે!

છતાં એણે મને ખાતરી આપી છે કે –

એ મારી મદદ લઈને, જલદી સાજી થઈને,

આપના સુખના દરેક પિરિયડ રેગ્યુલર ભરશે!” (પૃ. ૨0)

આ પંક્તિઓમાં રહેલું હળવું હાસ્ય વાચકને તરત જ આકર્ષે છે, પરંતુ અંતે “જિંદગી”ની ગેરહાજરી એક ગંભીર પ્રશ્ન ઊભો કરે છે. હાસ્ય અહીં માત્ર મનોરંજન નથી, પરંતુ જીવનની અસંગતતાનું પ્રતિબિંબ છે. કવિની “અણુબૉમ્બ અને કવિતા” તેની સર્જનપ્રક્રિયાનો તત્ત્વ જ્ઞાન રજૂ કરે છે :

“સાચી કવિતા લખવી

અણુબૉમ્બ બનાવવા જેવી જ

 એક ઘટના છે.”         (પૃ. ૨૧)

આ પંક્તિઓમાં કવિ કવિતાની શક્તિને વ્યાખ્યાયિત કરે છે. જ્યાં અણુબૉમ્બ વિનાશ કરે છે, ત્યાં કવિતા માણસને “બનાવે” છે. આ વિરુદ્ધતા કવિતાની સકારાત્મક શક્તિને ઉજાગર કરે છે. અહીં કવિની દૃષ્ટિ સ્પષ્ટપણે માનવતાવાદી છે.

ટી.એસ. એલિયટનો એક મહત્ત્વનો વિચાર છે કે “Genuine Poetry Can Communicate before It Is Understood. (સાચી કવિતા સમજાય તે પહેલાં જ વાતચીત કરી શકે છે.)”૭ અહીં ઘણી કવિતાઓ આ વાતને સાબિત કરે છે. “ઍનેસ્થેસિયા” (પૃ. ૧૮) અથવા “મારી ભીતર…” (પૃ. ૧૯)જેવી કવિતાઓમાં ભાષા કરતાં અનુભવ વધુ પ્રબળ બને છે. વાચક પહેલા તેને અનુભવે છે અને પછી સમજવાનો પ્રયત્ન કરશે. આ સંગ્રહમાં આશા અને સકારાત્મકતા પણ એક મહત્વપૂર્ણ ધારા તરીકે વહે છે. “પ્રકાશ” કવિતામાં કવિ લખે છે, ‘અમે પ્રકાશ માટે લડીશું’ (પૃ. ૨૨) જે માત્ર કાવ્યપંક્તિ નથી, પરંતુ એક માનસિક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. અંધકાર વચ્ચે પ્રકાશની શોધ, આજના સમયમાં અત્યંત પ્રાસંગિક છે. આ સંદર્ભમાં ટીએસ એલિયટનું બીજું એક પ્રખ્યાત નિવેદન યાદ આવે છે: “Poetry is not a turning loose of emotion, but an escape from emotion. (કવિતા એટલે લાગણીઓથી મુક્ત થવાનું નથી, પણ લાગણીઓથી છટકી જવાનું છે.)”૮ કવિ બ્રિજેશ પંચાલની કવિતામાં ભાવનાઓનો વિસ્ફોટ છે, પરંતુ તે અનિયંત્રિત નથી; તે એક ચેતનાત્મક રચનાત્મક પ્રક્રિયાનો ભાગ છે. તેથી તેમની કવિતા વ્યક્તિગત અનુભવોમાંથી ઉપજી હોવા છતાં સામૂહિક અનુભૂતિમાં રૂપાંતરિત થાય છે. “કવિતા એટલે …” કવિતામાં કવિ કવિતાની વ્યાખ્યા આપતા કહે છે : 

“કવિતા એટલે … તું

કવિતા એટલે … હું

 ના … ના … આપણે બંને એટલે કવિતા” (પૃ. ૨૫)

આ પંક્તિઓમાં કવિતાને એક સંબંધ તરીકે રજૂ કરવામાં આવી છે. અહીં કવિતા કોઈ એકલદોકલ સર્જન નથી, પરંતુ સંવાદનું માધ્યમ છે. આ વિચાર રવીન્દ્રનાથ ટાગોરના કાવ્ય દૃષ્ટિકોણ સાથે ગુંજાયમાન થાય છે, જ્યાં કવિતા માનવ અને વિશ્વ વચ્ચેના સંબંધનું માધ્યમ બને છે. આ કાવ્યસંગ્રહની એક વિશેષતા એ પણ છે કે તેમાં આધુનિક જીવનના વિવિધ પરિમાણો ટેકનોલોજી, શહેરજીવન, અને માનસિક સંઘર્ષને પણ સ્થાન મળ્યું છે. “??? – ઇમોજીસ” (પૃ. ૯૭) દ્વારા લખાયેલી કવિતા કવિની નવીનતાને દર્શાવે છે. આ પ્રયોગ બતાવે છે કે કવિ પરંપરા અને આધુનિકતાના સંગમ પર ઊભો છે.

આ સંગ્રહમાં ગીત અને ગઝલનો વારસો પણ સમૃદ્ધ અને વૈવિધ્યસભર છે. ચાલો માણીએ થોડી પંક્તિઓ, 

હું તો રટ્યા કરીશ ખાલી તારું નામ,

કાનજી ભૂલીને સઘળું સંસારનું કામ.

ભક્તિ અઢળક, એનો ક્યા અંત રે …” (પૃ. ૧૧૨)

અહીં કાનની અંધતાની વ્યથા અને ભક્તિની ગહનતા લોકગીતની છટામાં વણાઈ ગઈ છે. ‘ગોપીઓની ઇચ્છા’ ગીતમાં કવિ ગોપીઓની મનોદશાને આધુનિક સંવેદનાથી નિરૂપે છે : 

“મારી અંદર ઊગેલી એક તાજી ગોપીને તમે સમજો, જો શ્યામ,

તો સમજાશે, ગોપીઓની ઇચ્છા છે,

રાધાની જેમ તારી આગળ જોડાય, એનુંયે નામ!” (પૃ. ૧૧૫)

આ પંક્તિઓ પ્રેમમાં સમાનતાની ઇચ્છાને નવી ઊંચાઈ આપે છે. ‘આપણે બે ને છત્રી એક’ એક લોકભોગ્ય ગીત છે. આ ગીત પ્રેમની નાજુકતા, નિકટતા અને અનકહ્યા સંવાદનો મોહક આલેખ છે. ‘રંગ અડશે અંગને’ ગીત હોળીના રંગ અને પ્રેમના ઉત્સાહને સમાન કરે છે: s

“રંગ અડશે અંગને તારા ગોરી, દલડું થાશે, મારું ત્યારે ચોરી.

ખોઈને બેઠો ધબકારા મારા, જઈને બેઠા જે દિલમાં તારા.

સંગે બાંધી લે, જીવનની ડોરી.” (પૃ. ૧૨૬)

આ ગીતમાં ધબકારા ખોઈને પ્રિયતમાના દિલમાં બેસી જવાની કલ્પના રોમેન્ટિક કાવ્યશાસ્ત્રને નવી જમીન આપે છે. ‘તને નીંદર આવે તો’ હાલરડાના પરંપરાગત સ્વરમાં નવી કોમળતા ઉમેરે છે :

“તને નીંદર આવે તો એક સપનું હું આપું તને ભેટમાં …

આંખની અટારીઓને ધીરે ધીરે બસ વાસવાની હોય,

ભેટમાં જાતે જ્યારે સપનાની વહેંચણી કરવાની હોય.” (પૃ. ૧૧૫)

ગઝલની વાત કરીએ તો ‘સિતારો કીધો’ એક ઉત્તમ ગઝલ છે જ્યાં દરેક શેરમાં એક અલગ વિષયને બાંધવાની કૌવત બતાવવામાં આવી છે : ‘તપાવ્યો છે મને’ ગઝલમાં કવિએ પોતાના જીવનના અનુભવોને કેન્દ્રમાં રાખ્યા છે : 

“જિંદગીભર કેમ આ રીતે વખાણ્યો છે મને,

 તેં કદી સારો કદી નરસો ગણાવ્યો છે મને.” (પૃ. ૧૦૯)

‘છૂટી ગયો છું હું’ ગઝલમાં કવિ પોતાની આત્મસંલગ્નતાની વાત કરે છે : 

“એટલું બોલીને બસ છૂટી ગયો છું હું, 

 વાપરો ના બહુ મને, ખૂટી ગયો છું હું. (પૃ. ૮૫) 

‘ચચરતું કશું બોલી’ ગઝલમાં વિદ્રોહનો સૂર છે : 

પાડનારા ઘણા મુજને રસ્તે મળ્યા હતા પણ,

એમની યોજના પાડી નાખી, ઊભો થયો છું.” (પૃ. ૯૩)

‘દોસ્ત’ ગઝલ મિત્રતાની ગહનતાને અભિવ્યક્ત કરે છે: 

“હું તને ‘ને તું મને સમજી શકે છે, દોસ્ત!

એની આ દુનિયાને ચિંતા બહુ રહે છે, દોસ્ત!” (પૃ. ૮૬)

આમ આ સંગ્રહમાં સમાવિષ્ટ ગીતો લોકભોગ્યતા, ભક્તિ, રોમાન્સ અને હાલરડાના સ્વરે વાચકને ઝૂમવા મજબૂર કરે છે, જ્યારે ગઝલો વ્યક્તિગત અનુભવો, સામાજિક વિસંગતિઓ, વિદ્રોહ અને પ્રેમની ગૂંચોને કલાત્મક મક્તા અને મત્લા સાથે રજૂ કરે છે. આ સંગ્રહનું અછાંદસ કાવ્યત્વ ગદ્યની સરળતા અને પદ્યની ગાઢ સંવેદનાનો અદ્દભુત સમન્વય સાધે છે અને ઘણા બિંબવિધાન અછાંદસની અપાર શક્યતાઓને ઉજાગર કરે છે. આ સંગ્રહના અછાંદસ સાબિત કરે છે કે મુક્ત ગદ્ય પણ ઊંડી અસર કરી શકે છે.

કવિતાની ભાષા સરળ હોવા છતાં અર્થઘટન સભર છે. તે જટિલ વિચારને સરળ શબ્દોમાં રજૂ કરે છે, જે વાચકને સહજ રીતે સ્પર્શે છે. આ એક એવો કાવ્યસંગ્રહ છે, જે વાચકને માત્ર વાંચવા માટે નહીં, પરંતુ અનુભવવા અને વિચારવા માટે આમંત્રિત કરે છે. આ કાવ્યસંગ્રહ સાબિત કરે છે કે કવિતા આજે પણ માનવ જીવનમાં પરિવર્તન લાવી શકે છે. જેમ કવિ પોતે કહે છે ‘કવિતા માણસને બનાવે છે.’૩ એ જ આ કાવ્યસંગ્રહનો મૂળ સંદેશ છે. અંતમાં આ કાવ્યસંગ્રહને એક જ શબ્દમાં વ્યાખ્યાયિત કરવો હોય તો તે “સંવાદ” છે, મનુષ્ય અને મનુષ્ય વચ્ચેનો, મનુષ્ય અને સમાજ વચ્ચેનો તથા સૌથી મહત્ત્વનો, મનુષ્ય અને પોતાનાં અંતરાત્મા વચ્ચેનો. આ કવિની કવિતાઓ આ સંવાદને જીવંત બનાવે છે. તેથી, “મૌનથી શબ્દમાં કાણું પડશે” આ કાવ્યસંગ્રહ આધુનિક ગુજરાતી કવિતામાં એક નોંધપાત્ર ઉમેરો કહી શકાય. જેનો પુરાવો આપે છે, -કવિની આ કાવ્યપંક્તિ – “કવિતા એટલે … કવિએ વિનમ્રતાથી બતાવેલી પોતાની તાકાત.”

સંદર્ભઃ 

૧. હાઇડેગર, એમ. (૧૯૭૧). પોએટ્રી, લેંગ્વિજ, થોટ (એ. હોફસ્ટેડટર, ટ્રાન્સ.). હાર્પર એન્ડ રો.

૨. જોશી, ઉમાશંકર. (૧૯૮૧). કવિતા શું છે? અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ.

૩. પંચાલ, બ્રિજેશ. “મૌનથી શબ્દમાં કાણું પડશે” (૨૦૨૫), ડિવાઇન પબ્લિકેશન્સ, અમદાવાદ  

૪. https://rekhtagujarati.org/poets/brijesh-panchal/profile 

૫. જેકોબસન, આર. (૧૯૬૦). ક્લોઝિંગ સ્ટેટમેન્ટ: લિંગ્વિસ્ટિક્સ એન્ડ પોએટિક્સ. ઇન ટી. એ. સેબેઓક (એડ.), સ્ટાઇલ ઇન લેંગ્વિજ (પૃ. ૩૫૦–૩૭૭). કેમ્બ્રિજ, એમએ: એમઆઇટી પ્રેસ.

૬. આર્નોલ્ડ, એમ. (૨૦૦૬). ધ સ્ટડી ઓફ પોએટ્રી. ઇન એસેઝ ઇન ક્રિટિસિઝમ. (મૂળ કૃતિ ૧૮૮૦માં પ્રકાશિત).

૭. એલિયટ, ટી. એસ. (૧૯૬૪). ધ યુઝ ઓફ પોએટ્રી એન્ડ ધ યુઝ ઓફ ક્રિટિસિઝમ. હાર્વર્ડ યુનિવર્સિટી પ્રેસ. (મૂળ વ્યાખ્યાનો ૧૯૩૩માં આપવામાં આવ્યા હતા).

૮. એલિયટ, ટી. એસ. (૧૯૭૫). ટ્રેડિશન એન્ડ ધ ઇન્ડિવિજ્યુઅલ ટેલન્ટ. ઇન સિલેક્ટેડ પ્રોઝ ઓફ ટી. એસ. એલિયટ. હાર્કોર્ટ બ્રેસ. (મૂળ નિબંધ ૧૯૧૯માં પ્રકાશિત.)

* 

(પ્રગટ : “શબ્દસૃષ્ટિ” – મે 2026 અંક: 5, સળંગ અંક: 510. પૃષ્ઠ: 92-97)                                                              
e-mail : mansijayswal27@gmail.com

Loading

...1020...26272829...405060...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved