Opinion Magazine
Number of visits: 9950695
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગઝલ

પરેશ દવે 'નિર્મન'|Poetry|16 May 2026

પહાડ કોરી એક પથ્થર આપ તું,
પૂજવાને એક ઈશ્વર આપ તું.

ક્યારનો વીંઝ્યા કરું તલવાર હું,
પાળિયો છું તેગ ટક્કર આપ તું.

હું ધરાશાયી થયેલો શબ્દ છું,
મૌનનું નિર્વિંધ વજ્જર આપ તું.

હાથથી છટકી ગયો છું હું, સબબ
તારણો બેપાંચ નક્કર આપ તું.

હું ઉથાપનમાં કહું છું આટલું,
સ્થાપનાનો કોઈ વક્કર આપ તું.

15.5.26
વૃન્દાવન બંગલોઝ, 15) શિવ બંગલો, બળિયાદેવ મંદિર નજીક, ગાના-કરમસદ રોડ, મુ. કરમસદ. તા.જિ. આણંદ.
ઈ-મેલ: 1959pareshdave@gmail.com

Loading

ચંદુભાઈ મહેરિયાના લેખનનું ગૌરવ : દેશના અગ્રણી અભ્યાસીઓના શબ્દોમાં

સંકલન : સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|16 May 2026

મે મહિનાના પહેલાં અઠવાડિયામાં જાણીતા દલિત લેખક, કર્મશીલ અને જાહેર જીવનના અભ્યાસી ચંદુભાઈ મહેરિયાના આત્મકથનાત્મક ગુજરાતી નિબંધોના અંગ્રેજી અનુવાદનું પુસ્તક પ્રસિદ્ધ થયું છે. પુસ્તકનું નામ છે Homes without Windows, અનુવાદક હેમાંગ અશ્વિનકુમાર અને પ્રકાશક Juggernaut Books, દિલ્હી. પુસ્તકમાં સમાવાયેલા નિંબંધોના મૂળ ગુજરાતી નિબંધો હજુ પુસ્તક રૂપે પ્રસિદ્ધ થયા નથી. તેમાંથી મોટા ભાગના નિબંધો ગયાં બારેક વર્ષ દરમિયાન સાર્થક પ્રકાશનના અર્ધવાર્ષિક ‘સાર્થક જલસો’ના અંકોમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. 

Homes without Windows સંચયમાં અઢીસો જેટલાં પાનાંમાં ઉત્તમ રીતે અંગ્રેજીમાં ઊતરેલા અગિયાર નિબંધો છે. અનુવાદકે લખેલી પ્રસ્તાવના અને દરેક નિબંધ માટેની તેમણે તૈયાર કરેલી ટિપ્પણીઓ ખૂબ વાચનીય છે. પુસ્તક માટે ભારતના જાણીતા અભ્યાસીઓએ આપેલા અભિપ્રાયો પુસ્તકનાં આવરણ અને ઉપરણાં પર તેમ જ અન્યત્ર મૂકવામાં આવ્યાં છે. તે અહીં ગુજરાતીમાં મૂક્યા છે. 

રામચન્દ્ર ગુહા –   ઇતિહાસકાર, પર્યાવરણવિદ, લેખક અને પબ્લિક ઈન્ટેલેક્ચ્યુઅલ :

આ ખરેખર નોંધપાત્ર પુસ્તક છે. તે શ્રમજીવી દલિતવર્ગની અણધાર્યા જોખમોવાળી  જિંદગીનું તાદૃશ અને ખૂબ પ્રભાવશાળી ચિત્ર આપે છે. તે વિગતોથી સમૃદ્ધ,દૃષ્ટિસંપન્ન અને  હૃદયસ્પર્શી હોવાની સાથે નર્મમર્મના સ્પર્શવાળું પણ છે. જાહેર સ્થળોએ – શાળાઓ, અસ્પતાલો, કચેરી, અને સહુથી વધુ તો સામૂહિક શૌચાલયોમાં – જોવા મળતાં માણસના સામાજિક વર્તનનાં ઉત્તમ વર્ણનો અહીં છે. મિત્રો અને પરિવારજનોના વહાલભર્યાં શબ્દચિત્રો પણ યાદગાર છે. તેમાં ય શિરમોર છે લેખકના સમભાવી અવિચળ પિતા અને બધું જ ખમી જનાર મક્કમ માતા. આ પુસ્તકને બાજુ પર ન મૂકી શકાય તેવી સ્મરણકથા બનાવવાનો યશ હેમાંગ અશ્વિનકુમારે સહસંવેદનથી કરેલા સુઘડ અનુવાદને મળે છે. આ એક એવું પુસ્તક છે કે જેમાં સંઘર્ષ અને પીડાની વચ્ચેથી આશા અને વિનોદ સતત ડોકાયા કરે છે. 

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌વી. ગીથા – નારીવાદી કર્મશીલ અને Bhimrao Ramji Ambedkar and the Question of Socialism in India પુસ્તકના લેખક :

ચંદુ મહેરિયાના નિબંધોનો આ સુંદર સંગ્રહ જીવનની હૃદયસ્પર્શી વક્રતાનું ઉત્તમ ઉદાહરણ છે. હેમાંગ અશ્વિનકુમારે કરેલા અનુવાદમાં ઉલ્લાસ અને સૌંદર્ય અનુભવી શકાય છે. અન્ન અને મળ, તહેવારો અને મજૂરી, થાકેલાં પગ અને મૂલ્યવાન ચપ્પલ, જેનાં ગીતો રચાયાં નથી તે – શહેરી દલિતો માટે હોનારત લાવનાર – ચોમાસાં જેવાં સંભારણાં અહીં છે. તેમની અડોઅડ છે ગાંધી, લેખકના આંબેડકરવાદી પિતા અને હૈયાઉકલત ધરાવતાં માતાનાં શબ્દચિત્રો જે વિષયાંતર છતાં મનને ગમી જાય છે. આ પુસ્તકમાં દલિતોની ભૌતિક હસ્તીનું તીક્ષ્ણ રીતે વેધક પ્રતિબિંબ છે, જેમાં અભાવ અને હાડમારીની સાથે કપરા જીવતરમાં ટકી રહેવાનું બળ આપનાર કલ્પનાશક્તિ અને ભાષાશક્તિ  છે. 

સૂરજ યેન્ગડે – સંશોધક તેમ જ Caste, a Global Story પુસ્તકના લેખક : 

આ પુસ્તકમાં ગાધીવાદી વિચારસરણી સાથે સંકળાયેલા આંબેડકરવાદી એવા બેવડા કર્મશીલ ચંદુભાઈની નજરે જોવાયેલા ગુજરાતની આ અદ્દભુત અને વાચનીય કથા છે. ચંદુ મહેરિયા આપણને એમની પોતાના વિસ્તારમાં લઈ જઈને પ્રભાવશાળી ગદ્યમાં વાત માંડે છે. એમની વાત આપણને સ્પર્શે છે, કેમ કે તેની સાથે સત્ય અને આશય જોડાયેલાં છે. ચંદુભાઈ જિંદગીની વાત તો કરે જ છે, સાથે મોતને ટિખળની નજરે જોઈને, જીવનક્રમમાં એ પણ કેટલું કંટાળાજનક હોઈ શકે તે સુદ્ધાં બતાવે છે. ગુજરાત આભછેટ મહામંડળની આ કથાનો અનુવાદ વાંચવામાં મજા પડે તેવો થયો છે. 

ગણેશ દેવી – લેખક, ચિંતક અને સાંસ્કૃતિક કર્મશીલ :

માત્ર નરસિંહ મહેતા કે મહાત્મા ગાંધીને જાણીને તમે ગુજરાતને જાણી ન શકો. તમે એને ભીષણ કોમી હુલ્લડો વિશે જાણીને પણ જાણી ન શકો. આ રીતે જાણીતું ગુજરાત તો સાહિત્ય, ઇતિહાસ અને રાજકારણનું ગુજરાત છે. ગુજરાતની સચ્ચાઈ ઊંડા મૂળ ઘાલી ગયેલા નાતજાતના ભેદભાવોમાં છે. ગુજરાતના વર્ણવિભાજનની ચંદુ મહેરિયાએ કરેલી ફૉરેન્સિક તપાસ ગુજરાતના હૈયે શું છે તે આપણને બતાવે છે. ભારતને લાગેલા શાપ સમી અપમાનજનક વર્ણવ્યવસ્થા હેઠળ વીતેલી જિંદગીના, વાચકને દઝાડતાં ગદ્યમાં લખાયેલાં, ઉત્કટ સંસ્મરણો દલિત ચરિત્રલેખનમાં યાદગાર છે. કવિ હેમાંગ અશ્વિનકુમારે કરેલો અનુવાદ મહેરિયાએ ગુજરાતીમાં લખેલા એક-એક શબ્દને જીવંત બનાવે છે. ચંદુભાઈ જાણે પોતે જ તેમનાં જખમો, પીડા, દુર્ગંધ અને એ બધાંની વાત અંગ્રેજીમાં માંડતા હોય તેમ લાગે છે. 

ઉર્વીશ કોઠારી – લેખક, પત્રકાર અને વ્યંગકાર : 

ગુજરાતમાં ચંદુભાઈનું લેખન તેની વેધક સ્પષ્ટતા માટે ક્યારનું ય વખાણાઈ ચૂક્યું છે.તેમનું લેખન વીંધી નાખનારું છતાં કડવાશ વિનાનું, તીક્ષ્ણ છતાં ય સંવેદનપૂર્ણ, પાકા પાયે વાસ્તવદર્શી છતાં ય બીબાંઢાળ નહીં એ પ્રકારનું છે. આ અનુવાદ થકી અંગ્રેજી વાચકો માટે એમના લખાણનું તેજ અને તેમણે જીવંત કરેલી સીધા અનુભવની સાચી દુનિયા જોવા માટેનું દ્વાર ખૂલ્યું છે.  

પુસ્તકના આવરણ પર લેખકનો પરિચય આ મુજબ આપવામાં આવ્યો છે : 

ચંદુ મહેરિયા

ચંદુ મહેરિયા પ્રમુખ ગુજરાતી દલિત લેખક, સંપાદક, કર્મશીલ અને પત્રકાર છે. તેમના દૃષ્ટિપૂર્ણ સંપાદનને કારણે જાણીતા બનેલા પખવાડિક ‘દલિત અધિકાર’ દ્વારા ચંદુભાઈએ દલિતોને લગતા મુદ્દાઓને ગુજરાતના રાજકીય તખ્તામાં અગ્રસ્થાને મૂકવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. વર્ણભેદ સામેની આજીવન ઝુંબેશમાં ચંદુભાઈએ રાજકીય ચળવળો પણ કરી છે.

ગુજરાતી દલિત સાહિત્યની એક આરંભિક આહલેક સમા ચંદુભાઈએ સંખ્યાબંધ પુસ્તકોનું લેખન અને સંપાદન કર્યું છે, તેમ જ છાપાં-સામયિકોમાં સેંકડો વૈચારિક લેખો લખ્યા છે. ચાહીને વંચાતા તેમનાં પુસ્તકો આ મુજબ છે : ‘સાંબરડાથી સ્વમાનનગર’ (ગુજરાતમાં દલિતોએ જોરજુલમ હેઠળ કરેલી હિજરતનો ઇતિહાસ અને તેની સમીક્ષા), ‘ડૉ. આંબેડકર’ (બાબાસાહેબનો ટૂંકો સર્વાંગી પરિચય), ‘પ્રાણપ્રશ્ન પાણીનો’ (જળસંકટ અને જળસંરક્ષણના પ્રયોગો), ‘ચોતરફ’ (અગત્યના સામજિક પ્રશ્નોનો પરિચય અને તેમની સમીક્ષા), ‘અસ્મિતા’ અને ‘વિસ્ફોટ’ (દલિત કાવ્યસંચયો) અને ‘માડી મને સાંભરે રે’ (દલિત લેખકોએ મા વિશે લખેલા લેખો).   

ચંદુભાઈના પ્રદાનમાં વિચાર અને કર્મશીલતાનો સમન્વય છે, જેમાં તેમના શેરીઓમાં થયેલા ઘડતર જેટલો જ ફાળો પુસ્તકોનો પણ છે. સ્વકથનના આ પુસ્તકમાં ચંદુભાઈએ પૂર્વ અમદાવાદની કામદાર-ચાલીઓની ગરીબીમાં પિસાતા તેમના દિવસોથી લઈને વાચન-લેખન અને રાજકીય લડતમાં આગળ વધેલાં જીવનનો આલેખ આપ્યો છે. પહેલવહેલી વખત અંગ્રેજીમાં અનૂદિત થઈ રહેલાં ચંદુભાઈનાં લખાણો ભારતમાં રોજબરોજની આભડછેટની હિંસાને ખુલ્લી પાડે છે. લેખકે 1980ના દાયકાના ગુજરાતના સામૂહિક હિજરત, કોમી તણાવ અને અનામત-વિરોધી આંદોલનના ખળભળાટભર્યા તબક્કાને પણ આવરી લીધો છે.  

 જાહેરજીવનની ઝલક આપતી આ આ સ્મરણકથા વ્યક્તિગત જીવનની વિગતો અને જીવાતી જિંદગીની વાસ્તવિકતાની ભૂમિ પર રચાઈ છે. તેમાં સામુદાયિક શૌચાલયમાં રોજબરોજ વેઠવી પડતી બેઇજ્જતી, ચપ્પલ વિનાનાં આખાં બાળપણ, સતતની ભૂખ, પિતાના મગજમાં પાછલી ઉંમરે પ્રવેશેલી કટ્ટર નાસ્તિકતા, માની કઠોર મક્કમતા; અને માંદગી તેમ જ  મોત સાથે લેખકની  વારંવારની મુલાકાત ‌– આ બધું ચંદુભાઈ આપણને કહે છે. 

લેખકની રોજ બ રોજની જિંદગીના બયાનને સમાંતરે બૌદ્ધિક ઘડતરની વાત આવે છે. તે ગાંધીના સંકુલ વિચારવારસા સાથેની તેમની નિર્મમ મથામણથી લઈને સમકાલીન દલિત વિચારકો સાથેની દલીલો સુધીના પટ પર વ્યાપેલી છે. સરવાળે આપણને એવું પુસ્તક મળે છે કે જેમાં વંચિતતાની તવારીખ, રાજકીય કેળવણી અને ભારતને વિભાજિત કરતા રહેલાં સત્તામાળખાંની સતત વૈચારિક તપસીલ ત્રણેય એક સાથે  હોય.

પુસ્તકના આવરણ પર અનુવાદકનો પરિચય આ મુજબ આપવામાં આવ્યો છે : 

હેમાંગ અશ્વિનકુમાર દ્વિભાષી કવિ, વાર્તાકાર, અનુવાદક, સંપાદક અને વિવેચક છે. તેઓ ગુજરાતી અને અંગ્રેજીમાં લખે છે. તેમની કૃતિઓ ગ્રીક, ઈટાલિયન તેમ જ ભારતીય ભાષાઓમાં અનુવાદિત થઈ છે. સમકાલીન ગુજરાતી કાવ્યોના તેમણે કરેલા અનુવાદ Poetic Refractions  (2012) અને સુંદરમ્‌ની વાર્તાઓના તેમણે કરેલો અનુવાદ Thirsty Fish and Other Stories (2013) નામના સંચયો તરીકે પ્રકાશિત થયો છે. ન્યુ ઇન્ડિયા ફાઉન્ડેશનની ફેલોશીપ હેઠળ હેમાંગે કરેલા, ગાંધીજીના ભત્રીજા છગનલાલ ગાંધીના પુત્ર પ્રભુદાસ ગાંધીના પુસ્તક ‘જીવનનું પરોઢ’નો અનુવાદ The Dawn of Life (2025) તરીકે પ્રસિદ્ધ થયો છે.

10 મે 2026
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

નીટ છે, પણ ક્લીન નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|15 May 2026

રવીન્દ્ર પારેખ

૩ મે, 2026ને રોજ 22.79 લાખ વિદ્યાર્થીઓએ નીટ-યુ.જી.ની પરીક્ષા આપી ને બધી મહેનતને અંતે સૌએ નિરાંતનો શ્વાસ લીધો. પરીક્ષા પછી કેટલાક વિદ્યાર્થીઓ તો ફેમિલી સાથે વિદેશ ફરવા નીકળી ગયા ને જે અહીં હતા તે પૂરા વેકેશન મૂડમાં હતા. આ પરીક્ષાનું આયોજન નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) કરે છે ને તે એક્ઝામ ફૂલપ્રૂફ હોવાના દાવા સાથે કરતી રહે છે. એ દાવાઓ વચ્ચે 2024માં પેપર ફૂટવાની ઘટના બની હતી, પણ તેની અસરો મર્યાદિત હતી, એટલે પરીક્ષામાં ફેર પડ્યો ન હતો.

એનું સાટું 2026માં વળી ગયું. 10 લાખમાં નાસિકથી પેપર ફૂટી ગયું એવી વાત છે. જો કે, પેપર સીધું ફૂટ્યું ન હતું, પણ 410 જેટલા સવાલોમાંથી 140 જેટલા સવાલો પરીક્ષામાં અક્ષરશ: ને એ જ ક્રમે પુછાયા તે અકસ્માત ન હતો. એ પેપર આખા દેશમાં અનેક વિસ્તારોમાં ને અનેક હાથોમાં પહોંચ્યું. NTAની સમાંતરે પેપરફોડું એજન્સી ખૂલી હોય તેમ મનફાવે તે રકમ લઈને પેપર છડેચોક વેચાયાં ને વહેંચાયાં. રાજસ્થાનમાં GUESS PAPERમાં પુછાયેલા પ્રશ્નો નીટની એકઝામમાં બેઠા પુછાયા એ રીતે નીટનું પેપર બહુ વ્યાપક રીતે ફૂટ્યું. જો કે, એજન્સીને તેની ભનક પણ ન પડી.

પડી ત્યારે ઓછામાં ઓછું એ પરીક્ષા રદ્દ કરવી પડે એવી સ્થિતિ આવી ને NTAએ નીટની એક્ઝામ ઠંડે કલેજે રદ્દ કરી દીધી, તે સાથે જ નીટની પરીક્ષા ફરી લેવાશે એવી જાહેરાત પણ થઈ ગઈ. ભવિષ્યમાં સિસ્ટમ પરથી ને આ પરીક્ષા પરથી ભરોસો ન ઊઠી જાય એટલે પરીક્ષા રદ્દ કરવામાં આવી છે, એવી ફિશિયારી પણ મારવામાં આવી. જો કે, નીટની પરીક્ષા પર ભરોસો રહે એવું NTA શું કરે છે તે નથી ખબર. ખરેખર તો પરીક્ષા કરતાં NTAને જ રદ્દ કરવા જેવી છે. પરીક્ષા રદ્દ કરવી કે ન કરવી એ સિવાય NTAની કોઈ જવાબદારી બનતી હોય એવું લાગતું નથી. એટલું સારું છે કે NTAએ પરીક્ષા ફરી લેવાની વાત કરી છે, પણ નવી પરીક્ષા લેવામાં NTAને મોઢે ફીણ આવી જવાના છે તે પણ નક્કી છે. પરીક્ષાની નવી તારીખો ને નવું શિડ્યુલ સત્તાવાર ચેનલો મારફતે જાહેર કરવામાં આવશે.

10 મેના રોજ રાજસ્થાનમાં પેપર લીક થવા અંગે અહેવાલ સામે આવ્યા બાદ પરીક્ષા રદ્દ કરવામાં આવી ને તે અંગે સરકારની મંજૂરી પણ લેવામાં આવી. નવી પરીક્ષાની નવી ફી ઉઘરાવવાની નથી એટલે જૂના ભાવે જ નવી પરીક્ષા આપવાની થશે. સી.બી.આઈ.ને તપાસ સોંપાઈ છે, તે તો ઠીક, પણ આ  વેપલામાં 22.79 લાખ વિદ્યાર્થીઓની એકદમ જ પથારી ફરી ગઈ છે તે નક્કી છે.

આવું કંઇ થાય છે તો એકાએક જ સમિતિ રચાઈ જાય છે, તપાસ સોંપાઈ જાય છે, ધરપકડો થઈ જાય છે ને બીજું કંઇ નહિ તો સી.બી.આઈ. ધંધે લાગી જાય છે. રિપોર્ટ પણ આવી જાય છે ને આગળ પછી કંઇ થતું નથી. થોડા વખતમાં બધું હતું તેવું જ રેઢિયાળ થઈ જાય છે. પેપર ફૂટવા માટે જ હોય તેમ મન મનાવી લેવાય છે. અમદાવાદ મેડિકલ એસોશિયેશને ખાતર પર દિવેલ કરતાં કહ્યું પણ ખરું કે થોડા બેદરકાર લોકોને લીધે, મહેનતુ અને પ્રમાણિક વિદ્યાર્થીઓએ નિરાશ થવાની જરૂર નથી. એસોશિયેશનને પૂછી શકાય કે મહેનતુ અને પ્રમાણિક વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે જ છે? તેમની હોંશિયારી ફરી પરીક્ષા આપવા જેટલી જ છે? તેઓ પરીક્ષાની ચુંગાલમાંથી મુક્ત થાય તો તેઓની હોંશિયારી દાવ પર લાગી જાય, એમ?

નીટ પરીક્ષા 2013માં શરૂ થઈ હતી. NTAએ તેનું આયોજન 2019માં કર્યું હતું. 2024માં પેપર લીક થયું ત્યારે સુપ્રીમ કોર્ટે આખી પરીક્ષા રદ્દ કરવાનો ઇન્કાર કર્યો હતો ને 1,539 ઉમેદવારોની ફરી પરીક્ષા લેવાઈ હતી, પણ આખી જ પરીક્ષા ફરી લેવાનું બહુ જ મુશ્કેલ છે. વળી ફરી પેપર નહીં જ ફૂટે એની કોઈ ગેરંટી નથી. હવે વધુ ફૂલપ્રૂફ આયોજન હશે એવું માનીએ તો સવાલ થાય કે અગાઉ ફૂલપ્રૂફ આયોજન ન હતું? આ વખતની પરીક્ષામાં 720માંથી 600 માર્કના પ્રશ્નો બે દિવસ પહેલાં સીકરમાં વિદ્યાર્થીઓ પાસે પહોંચી ગયા હતા. રિપોર્ટ કહે છે કે સીકરના એક પી.જી. સંચાલકને આ પેપર મળ્યું ને તેણે પોતાનાં વિદ્યાર્થીઓને લ્હાણી કરી દીધી. 150 પ્રશ્નો તેમાંથી બેઠા નીટમાં પુછાયા. આમ તો સરકાર જૂન, 2024માં એન્ટી પેપરલીક કાયદો લાવી હતી, જેથી પેપર લીક થાય તો આ કાયદા મુજબ તેનો ન્યાય થઈ શકે.

વાત તો એવી પણ છે કે પેપર છપાય તે પહેલાં તેની નકલ બહાર પહોંચી ગઈ હતી. એનો અર્થ એવો પણ થાય કે પેપર, પ્રેસમાં પહોંચતાં પહેલાં બહાર આવ્યું છે, તમામ પ્રશ્નો હાથથી લખાયેલા છે. તો એ કોણ હોઈ શકે તે ક્લ્પવાનું બહુ અઘરું નથી. પેપર સેટરને ત્યાં તો કોઈ ગરબડ નથી થઈને એવી શંકા સહેજે થાય. બને કે પેપર, પેપર સેટરને ત્યાંથી નીકળી ચૂક્યું હોય ને પ્રિન્ટિંગ પ્રેસમાં પહોંચે એની વચ્ચે ક્યાંક લીક થયું હોય. એમાં પણ ઘણો સમય ગયો છે, કારણ તે અનેક જગ્યાએ પહોંચ્યું છે, મતલબ કે પેપર બધાંને મળી રહે એટલો સમય પેપરફોડુઓને મળ્યો છે. આમાં ખાસ ઉતાવળ થઈ હોય એવું લાગતું નથી, કારણ ભારતનાં ઘણાં શહેરો સુધી તે સહીસલામત પહોંચ્યું છે. ગમ્મત તો એ વાતે થાય છે કે NTA 10 મેના રોજ પેપર લીકના સમાચાર વચ્ચે x પર એવો ખુલાસો કરે છે કે કોઈ ગરબડ થઈ નથી. ગરબડ થઈ નથી તો NTAને પરીક્ષા રદ્દ કરવાની ફરજ કેમ પડી? તેને એ ખ્યાલ નથી કે આવી બેવકૂફીથી 22.79 લાખ ઉમેદવારોને જીવવામરવાનું એક થઇ જશે? સબ સલામત જ હતું તો સી.બી.આઈ.ને તપાસ સોંપવાનું શું કારણ હતું? શંકાસ્પદની ધરપકડ પણ થશે, પણ જે એનો ભોગ બન્યા એ વિદ્યાર્થીઓ આને કેવી રીતે લે છે તે વધુ મહત્ત્વનું છે.

પેપર ફૂટવાની આ પહેલી ઘટના નથી. એટલે આવી બાબતમાં રાબેતા મુજબ કેમ વર્તવું તે મામલે સિસ્ટમ રીઢી થઈ ચૂકી છે. ફટાફટ કેસ નોંધાય છે, તપાસ શરૂ થઇ જાય છે, પકડાપકડી ચાલે છે, પણ સજા સુધી વાત ભાગ્યે જ પહોંચે છે. ભીનું સંકેલાઈ જવું એ અસાધ્ય રાષ્ટ્રીય રોગ છે. આ મામલે પણ ભીનું સંકેલાય તો નવાઈ નહીં. રીઢાપણું આપણા લોહીમાં વણાઈ ગયું છે. કંઇ તૂટીને નથી સંધાતું તે પરીક્ષાને ગંભીરતાથી લેનારનું. તેનો મરો એવો થાય છે કે તે પૂર્વવત થઈ શકતો નથી. કેટલાંયનાં સપનાં તૂટીને તારાજ થઈ જાય છે. ફરી પરીક્ષા લેવાની વાત કરનારા લોકોને એક વખત પણ એવો સવાલ થાય છે કે કોઈ વાંક વગર ફરીથી પરીક્ષા આપવી એટલે શું? જેનું પડીકું વળી ગયું હોય તે મન ફરી નવી પરીક્ષા માટે તૈયાર કરવું, એની આ પરીક્ષા લેનારને થોડી પણ ચિંતા છે? માબાપ, અન્ય સંબંધીઓ પણ આ પરીક્ષા માટે લોહીનું પાણી કરતાં હોય છે. એ બધી કસરત ફરી કરવાની? તે પણ પોતાનાં કોઈ વાંક વગર? વળી પૂરી તૈયારી હોવા છતાં પરીક્ષામાં અગાઉની પરીક્ષા જેવું ન જ થયું કે કોઈ એવી ઘટના બને કે પરીક્ષા સુધી જ ન પહોંચાય ત્યારે શું? કેટલુંક પહેલાં જેવું ન જ થાય એટલે જ તો લગ્ન અને પુનર્લગ્ન એક નથી ગણાયાં.

૩મેને દિવસે જે તૈયારી હોય એ જ તૈયારી દરેક વખતે દરેકની, એ જ પરીક્ષાની નવી તારીખે પણ હોય  એ શક્ય નથી. તૈયારી સારી થાય ને ન પણ થાય ને સૌથી મોટો ત્રાસ તો એ કે એકવાર ઉત્તમ રીતે પરીક્ષા આપી દીધી હોય, પછી એ જ પરીક્ષા પાછી શું કામ આપવાની? પૂરી પ્રમાણિકતાથી એક પરીક્ષા આપી હોય ને જે ગરબડો થઇ હોય તેમાં પોતાનો સીધો કે આડકતરો કોઈ હાથ ન હોય, તેણે ફરી એ જ પરીક્ષા આપવાની ને તે પણ 26.79 લાખ વિદ્યાર્થીઓ દ્વારા, એ કોઈ રીતે ક્ષમ્ય નથી. આમાં જે થોડા માનસિક સમસ્યાથી પીડાશે તે નફામાં. બધું બરાબર કર્યું હોય ને પછી ફરી એ જ પરીક્ષા આપવામાં ઘણાં ડિપ્રેશનમાં જશે. નીટની પુનર્પરીક્ષા બધી જ રીતે ત્રાસદાયક છે ને એની કરુણતા એ છે કે જવાબદારોને સજા થશે, એનાં પ્રમાણમાં ફરી પરીક્ષા આપનારને અનેકગણી સજા આપશે ને કેટલીક સજા તો પરીક્ષા આપ્યા પછી પણ ચાલુ રહેશે ને તેનું કોઈ વળતર પણ નહીં હોય …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 મે 2026

Loading

...1020...26272829...405060...

Search by

Opinion

  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …
  • મોહેં-જો-દડોની ‘ડાન્સિંગ ગર્લ’: 4500 વર્ષથી યથાવત્ હતી, 21મી સદીએ તેને ‘સુધારી’?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved