વિશ્લેષણ —
મુદ્દો શિક્ષણપદ્ધતિનો અને ફૂટતાં પેપરોથી રોળાંતાં જીવતરનો છે
સોનમ વાંગચૂક મીર તકી મીરની સાખે કહે છે : ઈબ્તિદાયે ઇશ્ક હૈ રોના હૈ ક્યા, આગે દેખીએ હોતા હૈ ક્યા … ને ક્યાંક વળી ભગતસિંહની સાખે સંભળાય છે : હમ મસ્તોકા ટોલા

પ્રકાશ ન. શાહ
બરાબર એંશી વરસ થયાં, પહેલી જુલાઇએ, એમની શહાદતનેઃ 1946માં, સ્વરાજ આગમચ વરસેક હશે અને અમદાવાદમાં જમાલપુર-ખાંડની શેરી પરિસરમાં વસંતરાવ હેગિષ્ટે અને રજબઅલી લાખાણીએ કોમી હુતાશનને ઠારવા સારુ બલિદાન વહોરવામાં જીવનની સાર્થકતા જોઈ હતી.
આ ત્વરિત ને ટૂંકી ટિપ્પણીની શરૂઆત વસંત-રજબના ઉલ્લેખથી કરી છે. પણ એની પાછળનો આશય કોઈ એ ઘટનાની વારતા માંડવાનો કે દાસ્તાં આલેખવાનો અલબત્ત નથી. બલિદાન બેલાશક મોટી વાત છે, અને એમનો પાડ પ્રજાજીવન પર બિનચૂક રહેશે. પણ શહીદ ભેરુઓને જેમ એમના વીરમૃત્યુથી તેમ યશસ્વી જીવનથીયે ઓળખવા રહે છે.
આ યશસ્વિતા નાતજાતકોમ લિંગ બધું અંડોળા જઈ જલતાં જિગરે દેશજનતાની સેવા થકી ફોરતી રહે છે. ખાંડની શેરીએ, આજની તારીખે થોડુંક લોક હતું ભલે – પણ જરી અહીં ગુજરાત બેઠે દિલ્હીના જંતરમંતર પરિસરની તો કલ્પના કરો. જો વીરમૃત્યુની એક પરંપરા છે, તો સમર્પિત ને સક્રિય સંઘર્ષશીલ સેવાજીવનનીયે એક ભૂમિકા છે.
જંતરમંતરની કોક્રોચ કમાલમાં ગાજેલું મોટું નામ જરૂર સોનમ વાંગચૂકનું છે, અને એક લોકધર્મી પર્યાવરણપટુ તરીકે તે અક્ષરશઃ બેમિસાલ પણ છે. લદ્દાખની 8 સેન્ટિગ્રેડ સુવિધા છોડી એ 45 સેન્ટિગ્રેડની દિલ્હીની જિંદગી, તે પણ ભૂખ્યા પેટે બસર કરી રહ્યા છે. પહેલકારી કોક્રોચ સત્તમ અલબત્ત અભિજિત દીપકે, એક દલિતનો દીકરો છે જે દોમ દોમ અમેરિકી સંભાવના ને રૂંવે રૂંવે ડોલરિયો મોલ કોરાણે મેલી અહીં જગન માંડી બેઠો છે. ભલા ભાઈ, તમે જુઓ તો ખરા પેલા મુસ્લિમ બંધુ જૂનેદ પહેલા જ દિવસથી અહીં છાવણી નાખી પડેલા સૌ હઠધર્મીઓની કેવી આસનાવાસના કરે છે. સોશ્યલ મીડિયાની કૃપાથી એની સેવાસુવાસ પામી સુદૂર સહરાનપુરથી આવી લાગેલી પેલી મધ્યવયસ્ક હિંદુ મહિલા જૂનેદમાં પોતાનો દીકરો જુએ છે અને પેલા સરદારજી? એમણે લંગર ચલાવવામાં પોતાનો ધર્મ જોયો છે.
મુદ્દો શિક્ષણપદ્ધતિનો અને ફૂટતાં પેપરોએ રોળાતાં જીવતરનો છે. બેલાશક ‘જેન ઝી’-નો છે. પણ એક છેડેથી એમનાં માવતર તો બીજે છેડેથી જેન આલ્ફા થકીયે આ કુરુક્ષેત્ર ઉભરાય છે. આ જમાવડા પર સત્તા-પ્રતિષ્ઠાન તરફથી ઉપેક્ષા ને આક્રમકતા બેઉ વરતાય છે ત્યારે ભા.જ.પ.ના કોઈ કોઈ કાર્યકર પણ પોતાની ઓળખ વિધિવત છતી કરી, પોતાની સંતતિએ જેને કારણે વેઠ્યું છે. તે સિસ્ટમના વિરોધમાં અહીં જોડાઈ રહ્યા છે.
હિંદુમુસ્લિમશીખ એ ભેદ અહીં નથી. ગંગાજમની તહજીબ અહીં એક સંઘર્ષશીલ નાગરિકધર્મી તરજ પર આપણી સામે આવે છે. માહોલ આખો જુઓ તમે. બુધવારે આ ટિપ્પણી લખાઈ રહી છે ત્યારે સોનમ વાંગચૂકની તબિયતનું બુલેટિન બહાર આવે છે. ઉપવાસનો ચોથો દિવસ છે અને સુગર લેવલ ચિંતાજનક હોઈ શકે એ રીતે નીચે જતું માલૂમ પડે છે. હવે તરતમાં, સપ્ટેમ્બરમાં સાઠ વરસ પૂરા કરવા તરફ જઈ રહેલાં સોનમ મહાશયની શું પ્રતિક્રિયા છે? ન જાણે ક્યાંથી એમને મીર તકી મીર અને હસરત જયપુરી સાંભરી આવે છેઃ ઇબ્તિદાયે ઇશ્ક હૈ રોના હૈ ક્યાં, આગે આગે દેખીએ હોતા હૈ ક્યાં. ક્યાંક વળી જુવાન-જુવતીની મંડળી જામી છે, ને ભગતસિંહની સાખે ‘હમ મસ્તોં કા ટોલા’ ગવાઈ રહ્યું છે.
અણ્ણા હજારેના લાભાર્થી કંઈ કેજરીવાલ એકલા તો નહોતા, બલકે, વડા લાભાર્થી અયોધ્યાથી હાલ સંભળાતી વિશિષ્ટ રામધૂન સાથે દિલ્હીનશીન છે. પક્ષના વડા મની-મેનેજર ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેતા એ શીદ ખચકાતા હશે? પક્ષપ્રમુખ નવીને વળી આ જંતરમંતર જમાવડામાં આતંકવાદીઓની બી ટીમ જોઈ છે.
ભલા’દમી, તમારાં છોકરાંવને સાંભળો સમજો ને કાંક ઉપાય કરો. પારકું રાજ ને સાંસ્થાનિક પોલીસ હતી ત્યારે વસંત-રજબનું જેવાનું હતું તે થયું, પણ નાતજાતકોમના ભેદ ઓળાંડી જઈ અહીં જે જેન ઝી હુલસે છે એની જોડે લગીર દિલની દાસ્તાં તો માંડી જુઓ.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 02 જુલાઈ 2026
![]()

