Opinion Magazine
Number of visits: 9950219
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સુરત મહાનગરપાલિકાને –

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|11 May 2026

રવીન્દ્ર પારેખ

સુરત મહાનગરપાલિકાને લીધે શહેરનો વિકાસ થયો, ઘણાં પ્રોજેક્ટ્સ પણ પાર પડ્યા, પણ શહેરના આડેધડ વિકાસને કારણે કેટલીક સમસ્યાઓ પણ વકરી છે. એક અખબારમાં આવેલી વિગતો જોઈએ તો સમજાય છે કે મહાનગરપાલિકા આરંભે શૂરાની જેમ ઘણું બધું કરી નાખે છે, પછી મેઈન્ટેનન્સ કે ફોલોઅપની વાત આવે છે, તો તેની બેદરકારી અને ભ્રષ્ટતા જ સામે આવે છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ 11,000 કરોડનું હોય, છતાં મેઈન્ટેનન્સ માટે પૈસા ફાળવવામાં અખાડા થાય છે, કેમ જાણે એક વાર પ્રોજેક્ટ તૈયાર થયા પછી તેને ક્યારે ય મેઈન્ટેનન્સની જરૂર જ ન પડવાની હોય ! આ બરાબર નથી. મેઈન્ટેનન્સના અભાવમાં કેટલા ય પ્રોજેક્ટ્સ આજે બંધ પડ્યા છે કે મરામતની રાહમાં બંધ જેવી હાલતમાં છે. આજકાલનાં બાંધકામો તકલાદી હોય છે ને કરોડોનો ભ્રષ્ટાચાર ચાલતો હોય, તો ઓછા સમયમાં તે ઘણી મરામત માંગે એમ બને. તે વખતે તેને માટે પૂરતી રકમ ન ફાળવવામાં આવે તો બધું જર્જરિત જ થાય તે કહેવાની જરૂર નથી.

સુરત મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી મિશન હેઠળ, 15 કરોડ રૂપિયાના ખર્ચે, ડિંડોલીના છઠ સરોવર સામે, 46,50૦ ચોરસ મીટર વિસ્તારમાં ફલોરલ ગાર્ડન બનાવવામાં આવ્યો ને તેમાં દેશવિદેશના 1.60 લાખ ફૂલછોડથી હરિયાળી વિકસાવાઈ, જેનું ઉદ્ઘાટન 2022માં થયું. તે હવે ટેકનિકલ કે મેઈન્ટેનન્સની સગવડ ન હોવાથી ઘણીવાર બંધ રખાય છે, ત્યારે સવાલ થાય કે કરોડોના ખર્ચે બનેલો ફલોરલ ગાર્ડન બંધ રાખવા બનાવાયો હતો? અત્યારે મોટી સમસ્યા હરિયાળી-ફૂલો તથા પ્લે એરિયાની જાળવણીની છે. દેશવિદેશનાં 1.60 લાખ ફૂલછોડ આમ કરમાય એટલે લવાયાં હતાં? બાળકો માટે પ્લેએરિયા, જોગિંગ ટ્રેક, વોકિંગ ટ્રેક અને બેસવા માટેનાં ગેઝેબો છે. અહીં જ સેલ્ફી પોઈન્ટ પણ છે. આ બધું આવા વેડફાટ માટે છે?

આ કંઇ ફલોરલ ગાર્ડનનું જ રડવાનું નથી, શહેરનું પાલ એક્વેરિયમ ( 2025-2026ના એક રિપોર્ટ મુજબ) 10 મહિનાથી બંધ પડ્યું છે. એક્વેરિયમ બનવાને હજી તો 10 વર્ષ માંડ થયાં છે, પણ ઈમારતમાં તિરાડો પડી ગઈ છે. આવું જર્જરિત બાંધકામ ઈમાનદારીથી થયેલ કામનું પરિણામ નથી જ ! આ બધું શુદ્ધ બુદ્ધિથી થયું હોય એવું પણ નથી જ ! આજકાલ ખાયકીનો રોગ કોરોના કરતાં ય વધુ ઝડપથી ફેલાય છે ને એમાંથી ભાગ્યે જ કોઈ બાકાત હશે. પાલ એક્વેરિયમ 2014માં ખુલ્લું મુકાયું હતું. આ એક્વેરિયમ એક સમયે લોક આકર્ષણનું મહત્ત્વનું કેન્દ્ર હતું ને ગમ્મત તો એ છે કે તે બંધ પડ્યું છે, પણ ઓનલાઈન તો તે ‘ઓપન’ જ બતાવતું હોવાને કારણે બહારથી આવનારાઓને ફેરો માથે પડે છે. એક્વેરિયમ બંધ રહેવાને કારણે શાર્ક પુલ, ટર્ટલ ટચપુલ, ફિશપોન્ડ જેવાં આકર્ષણો પણ નકામાં જેવાં થઈ ગયાં છે. એન્જીનિયર્સ ન હતા ત્યારે તાજમહાલ, મીનાક્ષી મંદિર, સુવર્ણ મંદિર બન્યાં તેને રિપેરીંગની જરૂર પડી હશે, પણ તે નવરાં કે ખંડેર થયાં નથી, જ્યારે આજની ઈમારતો તો 10 વર્ષમાં ખંડેર થઇ જાય છે, તે કેટલી હદે ભ્રષ્ટતા કારભારમાં પ્રવેશી હશે તેનો જીવંત પુરાવો છે. આ માત્ર એક્વેરિયમ પૂરતું જ સાચું નથી, બીજી પણ ઈમારતો છે જે આ વાતની સાક્ષી પૂરે છે.

મોટે ઉપાડે ઘોડદોડ રોડ પર ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક બનાવાયો, પણ તેનું લોકાર્પણ જ ન થયું ને તે એમ જ ખંડેર થઈ ગયો. આ પાર્કમાં બાળકો માટે રોડ, ટ્રાફિક જેવી બાબતોના નિયમો શીખવાની સગવડ હતી. ઝેબ્રા ક્રોસિંગ, લેન માર્કિંગ અને સ્લોપ અંગેની જાણકારી પણ હતી. ટ્રાફિક સિગ્નલો, સાઈનબોર્ડસ, અંગેની જાણકારી પણ મળે એમ હતી. પણ તે આજ સુધી ચાલુ જ ના કરાયો. પાર્ક બે વર્ષથી તૈયાર હતો ને હવે તો બિલ્ડિંગ અને સાધન સામગ્રી જર્જરિત થઈ ગઈ છે ને લગભગ નવરી પડી ગઈ છે ને વધારામાં ઝાડીઝાંખરાં ઊગી નીકળ્યાં છે તે નફામાં. કમાલ છે ને કે કોર્પોરેશનને આટલા નેતા, અભિનેતા, મંત્રીઓ શહેરમાં અને શહેર બહાર હોવા છતાં લોકાર્પણ માટે કોઈ યોગ્ય વ્યક્તિ જ ન મળી ! એમાં ગંદું રાજકારણ જ દાખલ પડી ગયું હોય એવું નથી લાગતું? આટલી બેદરકારી ને બેવકૂફી તો આ શહેરને જ પરવડી શકે.

બીજી ઘોર-અઘોર બેદરકારી શહીદ સ્મારક અંગેની છે. 80 હજાર ચોરસ મીટરમાં વેસુમાં બની રહેલા શહીદ સ્મારકનો અંદાજિત ખર્ચ 51 કરોડનો મુકાયો હતો ને આ સ્મારક 2020માં પૂર્ણ કરવાનું હતું, પણ 6 વર્ષ પછી પણ તે અધૂરું છે. એ તરફ પાછું વળીને જોવાયું જ નથી. શહીદ સ્મારકના હાલના સ્ટેટસ મુજબ સિવિલ કામ પૂરું થયું છે, પણ ક્યુરેશન-પ્રદર્શન માટે કોઈ એજન્સીની પસંદગીમાં વિલંબ થઈ રહ્યો છે. એ કેટલી શહીદી પછી શક્ય બનશે એ કોર્પોરેશનને ય ખબર નહીં હોય એમ બને. આ સ્મારકનું આકર્ષણ શહીદ સ્તંભ, ગેલરી, ઓડિટોરિયમ વગેરે છે, પણ અધૂરા સ્મારકમાં આકર્ષણ હોય તો પણ શેનું? કરોડો રૂપિયા ખર્ચવા છતાં કેટલાક પ્રોજેક્ટ્સ બંધ પડ્યા છે, અથવા બંધ પડવાની હાલતમાં છે. કરોડોને ખર્ચે મોટાં મોટાં તાબૂત તો ઊભાં કરી દેવાય છે, પણ પછી તેનો બોજ લાગવા માંડે છે ને તેને નભાવવામાં તાવ ચડતો હોય છે.

આ શહેરને નવા પ્રોજેક્ટ્સની નવાઈ નથી. નવાઈ છે તે તેને મેઈન્ટેઇન કરવાની. કરોડો રૂપિયા પ્રોજેક્ટ્સ પાછળ ખર્ચાય છે, પણ તેને નભાવવાની રકમ ફાળવવામાં ચૂંક ઊપડે છે. એવું કેવી રીતે બને કે નવાં પ્રોજેક્ટ્સ માટે કરોડો ફાળવાય ને મેઈન્ટેનન્સ માટે કંઇ વિચારાયું જ ન હોય? સાધારણ વ્યક્તિ  પણ ઘરનાં રિપેરિંગનું વિચારતો હોય, તો આ તો કોર્પોરેશન છે, તે આટલું કાચું કેવી રીતે કાપી શકે? એવું તો છે નહીં કે બધે શુદ્ધ ને આદર્શ સ્થિતિ છે ! એવું હોત તો ભ્રષ્ટાચારે માઝા શું કામ મૂકી હોત? શહેરમાં સિટી લાઈટ નજીક સાયન્સ સેન્ટર જેવી ભવ્ય ઈમારત તો તાણી બંધાઈ, પણ પછી તે કેટલી ઉપયોગમાં રહી છે, એ જોઈએ તો આઘાત લાગે એમ છે. તેમાં અડધાથી વધુ સ્ક્રીન્સ, વીડિયો રૂમ્સ, પ્રદર્શનો બંધ હાલતમાં છે. એમાં બીજી મુશ્કેલી એક્સપર્ટસની છે, બીજા શબ્દોમાં અહીં નિષ્ણાતોની અછત છે. વારુ, જે સ્ટાફ છે તે કોન્ટ્રાક્ટ બેઝ્ડ છે. એને લીધે ગુણવત્તાના પ્રશ્નો ઊભા થયા છે. સ્ક્રીન-વીડિયો રૂમ્સ ઘણીવાર બંધ હાલતમાં હોય છે. આ ઉપરાંત વિવિધ ગેલરીઓમાં ઢગલો ધૂળ હોવાથી તેનો અસરકારક ઉપયોગ થતો નથી. પ્લેનેટોરિયમ, ગેલરી, મ્યુઝિયમ જેવાં આકર્ષણો હોવા છતાં કાળજી અને યોગ્ય કારભારના અભાવમાં કરોડોના ખર્ચનો કોઈ મતલબ રહેતો નથી. ખરેખર તો સાયન્સ સેન્ટર વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન રસિકો માટે શરૂ થયું હતું. મુલાકાતીઓના ફીડબેક અનુસાર ગેલરીઓમાં મુકાયેલા ઇન્ટરએક્ટિવ સ્ક્રીન્સ અને વીડિયો રૂમ્સ વારંવાર બંધ રહે છે ને ગેલરીઓમાં ધૂળની વચ્ચે બેસવાની અપૂરતી સગવડને કારણે ને સ્વચ્છતાનો અભાવ હોવાથી કથળેલા વહીવટની છડી પોકારાય છે. પ્રોજેક્ટ્સની નિષ્ફળતા વહીવટીતંત્રની પ્રાથમિકતાઓ અને ભવિષ્યના આયોજનમાં રહેલી ખામીઓની ચાડી ખાય છે.

પછી એવું બને છે કે પ્રોજેક્ટ્સ બંધ પડે છે ને મેઈન્ટેનન્સના અભાવે ખર્ચાયેલા કરોડો રૂપિયાનો પણ કોઈ અર્થ રહેતો નથી. એ પૈસા તો વેડફાઈ જ ચૂક્યા હોય છે. એનું કોઈ વળતર નથી. એ નાણાંનો બીજાં કોઈ લોકકલ્યાણમાં ઉપયોગ થઇ શક્યો હોત, પણ ત્યાં પણ કલ્યાણ બીજાનું જ થયું હોત. એટલે અહીં તો પડે છે ત્યારે સઘળું જ પડે છે. આખું કોળું જ દાળમાં જાય તો બોલવા જેવું જ શું રહે? આમાં વાંક પ્રજાનો પણ છે. તેને કંઇ થાય કે ન થાય, કોઈ ફેર નથી પડતો. પ્રજા એટલી નિર્માલ્ય છે કે તે સેવકોને ક્યારે ય કોઈ હિસાબ પૂછતી જ નથી, એટલે જ કદાચ કોર્પોરેશનને ફાવતું આવે છે. આ પ્રજા બોલવાનું હોય ત્યાં ચૂપ રહે છે ને ન બોલવાનું હોય ત્યાં બકવાસ કરે છે. એ રીતે તો આ વકરી ચૂકેલો રાષ્ટ્રીય રોગ છે. વધારે શું રડવું?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 11 મે 2026

Loading

MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|10 May 2026

સેલિબ્રિટીઝ, એથલિટ્સ, રાજારણીઓ, ટેક ફાઉન્ડર્સ અને દરેક ખંડના કલ્ચર આઇકન્સ મેટ ગાલાના ગેસ્ટ લિસ્ટમાં હતા. તેમણે અમુક નિયમો પણ ઘડ્યાં, જેમ કે અઢાર વર્ષથી ઓછી ઉંમરનાને પ્રવેશ ન આપવો, કાંદા–લસણને નો એન્ટ્રી, સ્મોકિંગ ન કરવું વગેરે.

ચિરંતના ભટ્ટ

દર વર્ષે મે મહિનાના પહેલા સોમવારે ન્યૂ યોર્કનું મેટ્રોપૉલિટન મ્યુઝિયમ ઑફ આર્ટ (The Met) વિશ્વનું સૌથી વધુ ચર્ચિત સ્થળ બની જાય છે. મેટ ગાલા કોઈ સામાન્ય ફેશન શો કે એવોર્ડ સેરીમની નથી; આ એક એવું પરફોર્મન્સ છે જ્યાં મહેમાનો પોતે જ કળા સમાન હોય છે અને રેડ કાર્પેટ એક જીવંત કેનવાસ બને છે.

1948માં સાવ સાધારણ રીતે મેટ ગાલાની શરૂઆત થઈ હતી. વૉલ્ડોર્ફ ઑસ્ટ્રીયામાં મધરાતના જમણની કિંમત ત્યારે પચાસ ડૉલર્સ હતી અને ન્યૂ યોર્કની હાઇ સોસાયટી અને ફૅશન ઉદ્યોગના ઇનસાઈડર્સ તેમાં આવ્યા. એલિનોર લેમ્બર્ટ, એક તેજસ્વી અને ચકોર પબ્લિસિસ્ટ હતાં જેમને મેટ્રોપૉલિટન મ્યુઝિયમના કોશ્ચ્યુમ ઇન્સ્ટિટ્યૂટ માટે ભંડોળ એકઠું કરવું હતું. વર્ષોમાં કોઈને સ્વપ્ને પણ કલ્પના નહીં હોય કે 2026માં થનારા મેટ ગાલાની એક જ રાતમાંથી $42 મિલિયન ડૉલરની આવક થશે. લેમ્બર્ટની ચાહ માત્ર એટલી હતી કે દુનિયા ફૅશનને સિરિયસ આર્ટ ગણે. 

1972માં ‘વોગ’ના લેજેન્ડરી ભૂતપૂર્વ એડિટર ડાયના વ્રિલેન્ડનું આગમન થયું અને તે આ કોશ્ચ્યુમ ઇન્સ્ટિટ્યૂટનાં કન્સલ્ટન્ટ બન્યાં. વ્રીલેન્ડે થીમ આધારિત એક્ઝિબિશનની શરૂઆત કરી. દર વખતે કોઈ નવા વિચારની આસપાસ ક્યુરેશન થાય, સંકલ્પના થાય અને દરેક મહેમાને તેની સાથે મેળ ખાય એ રીતે વસ્ત્રો પહેરવાનાં. એલિઝાબેથ ટેલર, એન્ડી વૉર્હોલ, બિઆન્કા જેગર જેવાં મોટાં માથાંને આમંત્રણો અપાયા અને એ સાથે ગ્લેમરે મેટ ગાલામાં એન્ટ્રી મારી અને એ પછી આજ સુધી એક્ઝિટ નથી લીધી.

એ પછી વોગના એના વિન્ટૂરે 1995માં મેટ ગાલાનું સુકાન સંભાળ્યું તેમણે મેટ ગાલાને ‘ફેશન વિશ્વનું ઑલિમ્પિક’ બનાવ્યું. સેલિબ્રિટીઝ, એથલિટ્સ, રાજારણીઓ, ટેક ફાઉન્ડર્સ અને દરેક ખંડના કલ્ચર આઇકન્સ મેટ ગાલાના ગેસ્ટ લિસ્ટમાં હતા. તેમણે અમુક નિયમો પણ ઘડ્યાં, જેમ કે અઢાર વર્ષથી ઓછી ઉંમરનાને પ્રવેશ ન આપવો, કાંદા-લસણને નો એન્ટ્રી, સ્મોકિંગ ન કરવું, વગેરે. આજે અહીં પ્રવેશ મેળવવા માટે એના વિન્ટૂરની અંગત મંજૂરી અનિવાર્ય છે. આજે મેટ ગાલા એ સુપર બૉલ કરતાં બમણી મીડિયા ઈમ્પેક્ટ વેલ્યુ ઉપજાવે છે. મેટ ગાલાના પગથિયાં પર પહેરાયેલો એક ‘લૂક’ કોઈ ડિઝાઇનરની આખી કારકિર્દી ઘડી શકે છે.

તમને થતું હશે કે મેટ ગાલામાં લોકો તૈયાર થાય એ તો ઠીક છે પણ ચિત્ર-વિચિત્ર વાઘાં કેમ કાઢતાં હશે? મેટ ગાલાના થીમની માગણી જ એવી છે, આ કોઈ બ્લેક ટાઈ ઑકેઝન નથી, આ એક કોન્સેપ્ચ્યુઅલ થિએટર છે, ત્યાં જવું એક પરફોર્મન્સ છે. 2026નો થીમ હતો ‘કોશ્ચ્યુમ આર્ટ’ અને ડ્રેસ કોડ હતો ‘ફેશન ઇઝ આર્ટ’. અહીં પહેરાતાં વસ્ત્રો માત્ર કપડાં નથી, પણ હજારો કલાકની મહેનત અને કૌશલ્યનો દસ્તાવેજ છે. દરેક મહેમાને પોતાના શરીરને હરતું ફરતું એક્ઝિબિશન જ બનાવવાનું હતું. ત્યાં પહેરાતા ડ્રેસ એક થીસિસ છે તો પાછળ પહેરાતાં લાંબા કૅપ કે ખભાની આસપાસ ફેલાયેલું ડિઝાઈનર બખ્તર એક મેનિફેસ્ટો છે, તે એક સ્ટેટમેન્ટ છે. આ તમામ વસ્ત્રો એમ પોકારી રહ્યાં છે કે કૌશલ્ય પણ કળા જેટલું જ અગત્યનું હોય અને તેને પણ મ્યુઝિયમમાં જગ્યા મળવી જ જોઈએ. આ વર્ષના મેટ ગાલામાં કૌશલ્યને મહત્ત્વ આપવાની સૌથી સચોટ દલીલ ભારતે કરી છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. 

2026ના મેટ ગાલામાં ભારતે માત્ર હાજરી નથી નોંધાવી, પણ પોતાની સાંસ્કૃતિક સત્તા સાબિત કરી છે. કકરણ જોહરે મનીષ મલ્હોત્રાનું સર્જન ‘ફ્રેમ્ડ ઇન ઇટર્નિટી’ પહેર્યું. 86 દિવસની મહેનત અને રાજા રવિ વર્માની કૃતિઓથી પ્રેરિત એ પરિધાન ભારતીય ચિત્રકળાના પિતાને એક અંજલી સમાન હતું. રાજા રવિ વર્મા 19મી સદીના પહેલા ભારતીય ચિત્રકાર હતા જેમણે હિન્દુ પૌરાણિક પાત્રોને યુરોપિયન એકેડેમિક પેઇન્ટિંગની શૈલીમાં ઢાળ્યાં હતાં.

ઇશા અંબાણીએ ગૌર ગુપ્તાએ અને સ્વદેશ ફાઉન્ડેશનના સહયોગથી બનેલી સાડી પહેરી જેને બનાવવામાં 1200 કલાક લાગ્યા, 25 કારીગરોએ તેની પર કામ કર્યું હતું. તેના પરિધાનમાં હાથે રંગેલી પિછવાઈ હતી, સ્ટ્રક્ચર્ડ કૅપ હતું. મેટના પગથિયાં પર હોત કુતુર (haute couture) ઉચ્ચ સ્તરની ફેશનમાં પિછવાઇ જોવી એટલે જાણે મંદિરની દિવાલ ત્યાં પગથિયાં પર ખડી થઇ ગઇ તેમ લાગ્યું. સુધા રેડ્ડી કલમકારીથી ઇન્સ્પાયર્ડ પીસ ‘ધી ટ્રી ઑફ લાઇફ’ લાવ્યાં, જેમાં 90થી વધુ કારીગરોએ મળીને 3,459 કલાક કામ કર્યુ હતું. મનીષ મલ્હોત્રાએ સ્વાભાવિક રીતે જ પોતાનું સર્જન પહેર્યું જેમાં 960 કલાક સુધી 50 કારીગરોએ કામ કરી કૅપ તૈયાર કરી હતી જેમાં દરેક ટાંકા સાથે કારીગરોના નામ અને સહીં હતા. જયપુરના મહારાજા સવાઈ પદ્મનાભ સિંહે, કારીગરોએ 600 કલાકથી વધુ મહેનત કરીને તૈયાર કરેલ રાજસ્થાની ફૂલકારી સાથે કોટ પહેર્યો હતો. અનન્યા બિર્લાએ રોબર્ટ વુનની ડિઝાઈન પહેરી અને સાથે આર્ટિસ્ટ કસુબોધ ગુપ્તાએ તૈયાર કરેલ સ્ટ્રક્ચર્ડ માસ્ક પહેર્યું. સુબોધ ગુપ્તા વાસણોથી આર્ટ પીસ બનાવવા માટે વિશ્વ વિખ્યાત છે. તેમના કામ ટોટ મ્યુઝિયમથી માંડીને ગોગનહાઇમ સુધી પહોંચ્યા છે. 

આમાંનુ કશું ય ઉપરછલ્લું કે કરવા ખાતર નહોતું કરાયું. પશ્ચિમી વિચારો ભારતને એક્ઝોટિક ગણે છે અને આપણે તેમને આપણી કળાના મૂળિયાં, તેની મક્કમતા અને પ્રભાવનો પરિચય કરાવ્યો. આપણો વારસો અને સંસ્કૃતિ કેટલાં દમદાર છે તે તેમને દેખાડવાનો આ મોકો હતો અને ભારતે એ કરી બતાવ્યું. 

મેટ ગાલા હવે માત્ર કળા પૂરતું મર્યાદિત નથી, તે આર્થિક તાકાતનું પ્રદર્શન છે. મેટ ગાલા પૈસા પર ચાલે છે. તેની ટિકિટ્સ વ્યક્તિ દીઠ 10,00,000 ડૉલર્સ પર પહોંચી હતી જે ગયા વર્ષે 75,000 ડૉલર્સ હતી. 

આખું વર્ષ કન્વેન્શનલ એડવર્ટાઇઝિંગ પર જેટલો ખર્ચો થતો હોય તેની સામે આ એક સાંજ પર થતો ખર્ચ વાર્ષિક બજેટને ટક્કર મારે તેવો હોય છે. આ માત્ર સુંદર મોંઘા કપડાં નથી, આ માર્કેટ પોઝિશનિંગ છે. મેટ ગાલાએ સૌથી મોંઘું પણ સૌથી લાયક બિલબોર્ડ છે. બ્રાન્ડ્સ માટે આ સૌથી મોટું વૈશ્વિક પ્લેટફોર્મ છે. ભારતીય લક્ઝરી ફેશન જ્યારે આ સ્તરે પહોંચે છે, ત્યારે તે સાબિત કરે છે કે આપણી કારીગરી વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ અને સુસંસ્કૃત છે.

નીતા અંબાણી આજે મેટ્રોપોલિટન મ્યુઝિયમના બોર્ડમાં પ્રથમ ભારતીય ટ્રસ્ટી તરીકે સ્થાન ધરાવે છે. આવું દોઢસો વર્ષમાં પહેલીવાર થયું છે. આ પદ તેમણે વર્ષોની સંસ્થાગત પકડ અને આયોજનબદ્ધ ફિલાન્થ્રોફી દ્વારા મેળવ્યું છે. તેમના સ્વદેશ ફાઉન્ડેશન દ્વારા કોશ્ચ્યુમ ઇન્સ્ટિટ્યૂટને મળેલી આર્થિક સહાય અને મ્યુઝિયમના નેતૃત્વ સાથેના સંબંધોએ ભારતને ‘સીટ એટ ધ ટેબલ’ અપાવી છે. હવે એક ભારતીય પાસે એ નક્કી કરવાની સત્તા છે કે કઈ સંસ્કૃતિઓની વાર્તા આ મ્યુઝિયમની દીવાલો પર કહેવાશે.

આ સાચો ‘સોફ્ટ પાવર’ છે. જ્યારે ભારત સરહદો પર ભૌતિક પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે સાંસ્કૃતિક મોરચે તે વિશ્વને નેતૃત્વ પૂરું પાડે છે. ગ્લોબલ સોફ્ટ પાવર ઇન્ડેક્સમાં ભારત ૩૨મા ક્રમે હોવા છતાં, જ્યારે પોતાની શરતો પર રજૂ થાય છે, ત્યારે તે વિશ્વના સાંસ્કૃતિક નકશા પર છવાઈ જાય છે.

વર્તમાન પરિપ્રેક્ષ્યમાં આનો અર્થ સમજવા જેવો છે. અત્યારે ભારત એક તરફ સરહદો પર લશ્કરી પડકારો ઝીલી રહ્યો છે, તો બીજી તરફ પેચીદાં રાજદ્વારી સંબંધો અને લોકશાહીની આંતરિક ખેંચતાણમાં તે અટવાયેલો છે. આ બધાંની વચ્ચે એક આંકડો જોવા જેવો છે કે, ‘ગ્લોબલ સોફ્ટ પાવર’ ઇન્ડેક્સમાં ભારત 32માં સ્થાને છે. હા, આ કંઇ બહુ આગળનો આંકડો નથી, મધ્યમ સ્તર છે પણ છતાં આ વર્ષે મે મહિનાના પહેલા સોમવારે ભારતીય ડિઝાઇનરો બેસ્ટ ડ્રેસ્ડ લિસ્ટમાં છવાયેલા રહ્યાં, કારીગરોને વાહવાહી મળી અને વિશ્વનાં સૌથી પ્રખ્યાત મ્યુઝિયમના પગથિયાં પર ભારતની પરંપરાગત કળા, સર્જકો અને કારીગરી ગુંજી ઉઠી.

બાય ધી વેઃ 

એપ્રિલ 2023માં ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ (NMACC) ખુલ્યું, ત્યારે તેને ‘ભારતના મેટ ગાલા’નું ટૅગ અપાયું હતું. અને એ સરખામણી યોગ્ય જ હતી, કારણ કે તે વીકએન્ડમાં મહેમાનોની યાદીમાં શાહરૂખ ખાન જેવા સ્થાનિક દિગ્ગજોની સાથે ઝેન્ડાયા, ટોમ હોલેન્ડ અને ગીગી હદીદ જેવા વૈશ્વિક સિતારાઓની હાજરીએ આંતરરાષ્ટ્રીય સ્તરની ચમક લાવી દીધી હતી. ત્યાંનું મુખ્ય પ્રદર્શન ‘ઇન્ડિયા ઇન ફેશન’ એ સદીઓથી પશ્ચિમી ડિઝાઈન પર ભારતીય કાપડ અને કારીગરીના પ્રભાવનો જીવંત પુરાવો હતું, બરાબર એ જ દલીલ, જે 2026માં ભારતીયોએ મેટ ગાલાના પગથિયાં પર કરી.

જ્યારે ગીગી હદીદ અબુ જાની-સંદીપ ખોસલાના 8,400 સ્વરોવસ્કી ક્રિસ્ટલ્સથી ઝળહળતા ગોલ્ડ-બીડ જરદોશી જેકેટમાં પહોંચી, ત્યારે એ સ્પષ્ટ થઈ ગયું કે ભારત હવે બીજાઓના સૌંદર્યશાસ્ત્ર માટે માત્ર એક સંદર્ભ (Reference point) નથી, પણ પોતાની સાંસ્કૃતિક વાર્તાનું પોતે જ સક્રિય સર્જક બન્યો છે. મેટ ગાલા અને NMACCનું ઉદ્દઘાટન એ માત્ર બે ઘટનાઓ નથી, પણ એક જ વિસ્તારિત નેટવર્કની જોડાયેલી કડીઓ છે. જ્યારે કરણ જોહર મેટ્રોપોલિટન મ્યુઝિયમના પગથિયાં પર રાજા રવિ વર્માને પહેરે છે, અને જ્યારે નીતા અંબાણી ભારતમાં ભારતીય હસ્તકળાના પ્રારંભ રૂપે ‘ડિયોર’ જેવી બ્રાન્ડને રજૂ કરે છે, ત્યારે દુનિયાના બંને છેડેથી એક જ વાત મજબૂતીથી કહેવાય છે: ભારતનો વારસો હવે કોઈ પૃષ્ઠભૂમિ નથી, પણ તે પોતે જ ‘મેઈન ઇવેન્ટ’ છે.

 પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 10 મે 2026

Loading

ચલ મન મુંબઈ નગરી—340

દીપક મહેતા|Opinion - Opinion|10 May 2026

મુંબાપુરીનું પુલ–પુરાણ : અધ્યાય પહેલો     

એક સીધો સાદો સવાલ: ‘પુલ’ એટલે શું? ગુજરાતી શબ્દના અર્થ માટે પહેલાં તો સાર્થ ગુજરાતી જોડણીકોશને જ પૂછવાનું હોય ને? એ શું જવાબ આપે છે? કહે છે, ‘પુલ’ એટલે ‘સેતુ.’ હકીકતમાં આ ‘અર્થ’ નથી, પર્યાય છે. પણ ચાલો, એને જ પૂછીએ કે ‘સેતુ’ એટલે શું? જવાબ હાજર છે: ‘પુલ.’ આવી વ્યવસ્થાને ‘સાર્થ’ કઈ રીતે કહી શકાય? ‘સેતુ’ શબ્દ લઈને હવે જઈએ ભગવદ્ગોમંડળ કોશ પાસે. એનો જવાબ છે : “પુલ; પાણી ઉપર થઈને જવા આવવા માટે બાંધેલો રસ્તો. આજકાલ મુખ્યત : ચાર પ્રકારના સેતુ બનાવવામાં આવે છે : (૧) ગર્ડર બ્રિજ-લોઢાના ગર્ડરોનો બનાવેલો પુલ; (૨) આર્કબ્રિજ-ગોલાકાર પુલ; (૩) સસ્પેન્શન બ્રિજ-ઝુલતો પુલ, જેમાં થાંભલા હોતા નથી. અને (૪) ઓપનિંગ બ્રિજ – વહાણોની આવજા કરતી વખતે ઊડતો પુલ.” ખાસ્સી વિગતવાર સમજણ આપી છે, ‘પુલ’ શબ્દની. પણ અહીંયા એક મુશ્કેલી છે: માત્ર પાણી ઉપર થઈને જવા-આવવાનો રસ્તો એ અર્થ મર્યાદિત છે. પાણી પાર કરવા પુલ બંધાય તેમ રસ્તો કે ટ્રેનનાં પાટા પાર કરવા માટે પણ બંધાય. બીજા રસ્તાઓ પર પણ બંધાય. 

હા, જી. અમે જાણીએ છીએ કે અમારા માનવંતા વાચકો વિચારતા હશે કે આજે આ શબ્દાર્થ પુરાણ કેમ માંડ્યું છે?

ગાડાં–ગાડીને ધ્યાનમાં રાખીને ૧૮૭૯માં બંધાયેલો હેન્કોક બ્રિજ 

કારણ આજે માંડવું છે મુંબઈનું પુલ-પુરાણ. આ આપણું મુંબઈ શહેર મુખ્યત્વે ફેલાયું છે દક્ષિણથી ઉત્તર દિશામાં. એટલે ધોરી રસ્તાઓ પણ મોટા ભાગના દક્ષિણ-ઉત્તર. ગ્રેટ ઇન્ડિયા પેનેનસુલા રેલવે અને બોમ્બે બરોડા એન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા રેલવે કંપનીઓએ જે ટ્રેનો શરૂ કરી તે પણ દક્ષિણ-ઉત્તર ટ્રેનો. પરિણામે ૧૮૫૩થી ટ્રેનો ચાલતી થઈ તે પછી મુંબઈનો પશ્ચિમ કિનારો અને પૂર્વ કિનારો અને તેની આસપાસનો પ્રદેશ બે ભાગમાં વહેચાઈ ગયા. મુંબઈનાં બધાં બંદર તેના પૂર્વ કિનારે. એટલે લાવવા-લઈ જવાનો બધો સામાન મોકલવાનો પૂર્વ કિનારે આવેલાં બંદરોએ. અને બહારથી આવેલો સામાન બંદરો પર ઊતરે પછી તેને મોકલવાનો બાકીની ત્રણ દિશામાં. મુંબઈમાં ટ્રેન આવી નહોતી ત્યાં સુધી તો બધું હેમખેમ ચાલતું રહ્યું. પણ વચમાં ટ્રેનના પાટા આવ્યા પછી? પહેલાં તો ફાટકની વ્યવસ્થા થઈ. એક જમાનામાં લગભગ દરેક સ્ટેશન પાસે ફાટક હોય જ. ચાલતા લોકો, વાહનો, વગેરે સૌ આ ફાટકનો ઉપયોગ કરીને રેલવે લાઈનની એક બાજુથી બીજી બાજુ પહોંચે.

પણ બે ટ્રેનો વચ્ચેનો સમયગાળો જરા લાંબો હોય ત્યારે જ ફાટક ખૂલે. પછી ઝડપથી બંધ. માલ લાવતાં-લઈ જતાં વાર થાય તે ન તો વેપારીને પોસાય, ન તો વહાણવટીઓને પોસાય. તો કરવું શું? અને જવાબ રૂપે બંધાયો મુંબઈનો પહેલવહેલો પુલ કહેતાં સેતુ કહેતાં બ્રિજ. તેનું નામ હેન્કોક બ્રિજ. મુંબઈના આ પહેલવહેલા પુલ સાથે જેમનું નામ જોડાયું એ હેન્કોક હતા કોણ? ઇન્ગ્લંડમાં એન્જિનિયરીંગનો અભ્યાસ. ૧૮૫૪માં ૧૯ વરસની ઉંમરે હિન્દુસ્તાન આવ્યા. દસ વરસ લશ્કરમાં એન્જીનિયર તરીકે કામ કર્યા પછી બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જાહેર બાંધકામ ખાતા(PWD)માં જોડાયા અને એ વખતે મુંબઈમાં બંધાતાં રસ્તા, સરકારી ઇમારતો વગેરેના બાંધકામ સાથે નજીકથી સંકળાયેલા રહ્યા. આ રીતે તેમણે વીસ વરસ સુધી કામ કર્યું. વખત જતાં બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ બન્યા. ૧૮૮૫માં તેમનું અવસાન થયું.

મુંબઈમાં રેલવે લાઈનને ઓળંગતો પહેલવહેલો પુલ બંધાયો ત્યારે તેની સાથે આ હેન્કોકનું નામ જોડવામાં આવ્યું. ૧૮૭૯માં હેન્કોક બ્રિજ બંધાઈ રહ્યો ત્યારે હેન્કોક હયાત હતા, મુંબઈમાં જ હતા. મુંબઈનાં જાહેર બાંધકામો અંગેના તેમના ફાળાને ધ્યાનમાં રાખીને આ પુલ સાથે તેમનું નામ જોડવામાં આવ્યું. કેટલાકને મતે આ પુલની ડિઝાઈન પણ હેન્કોકે પોતે જ તૈયાર કરી હતી. તેની એક ખાસ બાબત એ કે પુલનો બંને બાજુનો ઢોળાવ (slope) જરા ય ઊભો (steep) નથી, પણ બને તેટળો સરળ છે. આને કારણે એ પુલ ખાસ્સો લાંબો બન્યો હતો. પણ આમ કરવાનું કારણ? કનૈયાલાલ મુનશીની આત્મકથાના એક પુસ્તકનું નામ છે ‘સીધાં ચઢાણ’. મુનશી જેવા બાહોશ વકીલ અદાલતોમાં ગમે તેટલાં સીધાં ચઢાણ આસાનીથી ચડી શકતા. પણ પૂર્વની કિનારાપટ્ટીથી સામાન લાવતાં કે લઈ જતાં ગાડાના બેલની બિચારાની શી વિસાત, કે કપરાં ચઢાણ ચડી શકે? એટલે આ બાબત ખાસ ધ્યાનમાં રાખીને આ પુલનો બંને બાજુનો ઢોળાવ બને તેટલો સરળ રાખવામાં આવેલો. અને આ દૂરંદેશી હતી તેની ડિઝાઈન બનાવનાર હેન્કોકની.

ફ્રેંક હેન્કોક – હિન્દુસ્તાનમાં રહેલી આગલી છ પેઢીનો ઇતિહાસ શોધી કાઢ્યો 

આ હેન્કોક કુટુંબનો મુંબઈ સાથેનો સંબંધ છ પેઢી જૂનો છે. જેમનું નામ આ પુલ સાથે જોડાયું છે તેમનું આખું નામ કર્નલ હેન્રી ફ્રાન્સિસ હેન્કોક. તેમના પિતા ૧૮૧૯માં પહેલી વાર હિન્દુસ્તાન આવ્યા, બ્રિટિશ લશ્કરના એક સામાન્ય સિપાઈ તરીકે. તેમના દીકરા હેન્રી ૧૮૫૫માં મુંબઈના બ્રિટિશ લશ્કરમાં એક સામાન્ય સોલ્જર તરીકે જોડાયા. લશ્કરમાં થોડો વખત કામ કર્યા પછી બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોડાયા, ઇજનેર તરીકે. તેમના દીકરા ફ્રાન્સિસ પણ લશ્કરમાં જોડાયા, પણ પછી સિવિસ સર્વિસની પસંદગી કરી અને કાઠિયાવાડ અને એડનમાં પોલિટિકલ એજન્ટ તરીકે કામ કર્યું. (એડન એ વખતે મુંબઈ ઈલાકાનો ભાગ હતું.) તેમના દીકરા કાર્લ હેન્કોક, ૧૮૯૬માં જન્મ. ગ્રેટ બ્રિટનની વેલિંગટન કોલેજ અને રોયલ મિલિટરી કોલેજમાં અભ્યાસ. ૧૯૧૬માં ૧૧૪ મરાઠા રેજીમેન્ટમાં જોડાયા. પછી તેમણે પણ સિવિલ સર્વિસનો રસ્તો લીધો. ૧૯૧૯માં બોમ્બે પોલિટિકલ ડિપાર્ટમેન્ટમાં બદલી લીધી. ૧૯૨૦માં મુંબઈના ગવર્નરના અસિસ્ટન્ટ પ્રાઈવેટ સેક્રેટરી. પછી દિલ્હી જઈ વાઈસરોયના અસિસ્ટન્ટ પ્રાઈવેટ સેક્રેટરી. ૧૯૨૩માં રાજકોટના પોલિટિકલ એજન્ટના સેક્રેટરી. ૧૯૨૫માં રાજપુતાના (આજનું રાજસ્થાન)ના રેસિડન્ટના સેક્રેટરી. પછી ૧૯૨૯માં ભરતપુરના દેશી રાજ્યના ‘પ્રાઈમ મિનિસ્ટર’ બન્યા. ૧૯૩૨માં દિલ્હી જઈ સરકારના પોલિટિકલ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી સેક્રેટરી. ૧૯૩૯માં પૂર્વ ભારતના દેશી રાજ્યોના રેસિડન્ટ તરીકે કલકત્તામાં નિમણૂક. ૧૯૪૧માં પશ્ચિમ  ભારતનાં દેશી રાજ્યો, તથા બરોડા અને રાજકોટનાં દેશી રાજ્યોના રેસિડન્ટ બન્યા. ૧૯૪૭માં નિવૃત્તિ લઈ સ્વદેશ ગયા અને ત્યાં ૧૯૯૦માં તેમનું અવસાન થયું. આવી લાંબી કારકિર્દી દરમ્યાન તેઓને સરસાહેબનો માનવંતો ઈલ્કાબ મળ્યો હતો. 

આ જ કુટુંબના જયોફ્રી હેન્કોક ભારતમાં ઊછર્યા, ભણ્યા, પછી બ્રિટિશ ફોરેન સર્વિસમાં જોડાયા અને કારકિર્દીનો મોટો ભાગ અખાતના દેશોમાં કામ કર્યું. તેમના દીકરા ફ્રેંક એક બ્રિટિશ બેન્કમાં જોડાયા અને ૧૯૯૪માં ભારત આવ્યા. પણ તેમની પત્ની અને ત્રણ દીકરીઓ આયર્લેન્ડમાં રહેતાં હોવાને કારણે મુંબઈ અને આયર્લેન્ડ વચ્ચે અવારનવાર આવજા. ૨૦૧૬માં બેન્કની નોકરી છોડીને Hakluyt નામની આંતરરાષ્ટ્રીય કંપનીમાં જોડાયા. Induface નામની આંતરરાષ્ટ્રીય સલાહકાર કંપનીના પણ તેઓ ડિરેક્ટર છે. કેટલાક સ્થાનિક જાણકારોની મદદ લઈને દસ વરસની શોધખોળ પછી તેમણે પોતાની આગલી છ પેઢીનો હિન્દુસ્તાન સાથેના સંબંધનો ઇતિહાસ શોધી કાઢ્યો, જેની રૂપરેખા ઉપર આપી છે.   

દસ વરસની મહેનત અને ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચ્યા પછી બંધાયેલો અડધો હેન્કોક બ્રિજ

બ્રિટિશ રાજવટ દરમ્યાન જ ૧૯૨૩માં એ અસલ હેન્ગ્કોક બ્રિજ તોડીને તેની જગ્યાએ નવો પુલ બાંધવામાં આવ્યો. એ વખતે સંજોગો બદલાયા હતા. માલસામાનની હેરાફેરી માટે ખટારા પણ વપરાતા થયા હતા. એટલે બ્રિજનો બંને બાજુનો ઢાળ બીજા સામાન્ય પુલ જેવો જ રાખવામાં આવ્યો. પછી તો આવી આપણી પોતાની રાજવટ. ૨૦૧૬ના જાન્યુઆરીમાં આ બ્રીજ તોડી પાડવામાં આવ્યો. પણ કેમ? કારણ એ જૂનો થઈ ગયો છે, લોકો માટે જોખમરૂપ છે, વગેરે. પછી તેની જગ્યાએ બાંધવાનો નવો પૂલ. ડિઝાઈનો તૈયાર થઈ, ટેન્ડરો અપાયાં, કામ શરૂ થયું, પણ આજે દસ વરસ પછી પણ તેવો પુલ પૂરેપૂરો બંધાઈ રહ્યો નથી! અડધો ભાગ બંધાયો તે ખુલ્લો મૂકી દીધો. બાકીનો અડધો અદ્ધર લટકે છે. કમલાકર શેનોય નામના એક મુંબઈ-ચાહકે અદાલતમાં ધા નાખી. તપાસ દરમ્યાન જણાયું કે આ પુલ જોખમકારક છે, તેને તોડી પાડવો જોઈએ એવું જણાવતો કોઈ જાણકારનો અહેવાલ સરકારી દફતરે નોંધાયો જ નથી! એટલું જ નહિ, વધુ તપાસ કરતાં જણાયું કે સમારકામ કરીને આ પુલને બચાવી શકાયો હોત. પુલ જોખમી હોવાની વાત કોના લાભ માટે ઉપજાવી કઢાઈ હોય એ સુજ્ઞ વાચકોને કહેવાનું ન હોય. નવો પુલ બાંધવાનું નક્કી થયું ત્યારે તેની પાછળ ૪૧.૩૧ કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ હતો. ૨૦૨૬ સુધીમાં એ કામ પાછળ એક સો કરોડ કરતાં વધુ રૂપિયા ખરચાઈ ગયા છે અને તો ય પુલનું બાંધકામ પૂરું થયું નથી. 

હેન્કોક બ્રિજ – કામ અભી ચાલુ હૈ 

અસલ પુલને તો બચાવી ન શકાયો. પણ કમલાકર શેનોયની અદાલતી લડત ચાલુ છે. કેમ? શેનોયનું કહેવું છે કે જૂનો પુલ તો ગયો તે ગયો. પણ હવે નવા પુલનું કામ તો ઝટ પૂરું કરો બાપલા! પુલ અધૂરો હોવાને કારણે લોકોને કેવી મુશ્કેલીઓ વેઠવી પડે છે, એ વિસ્તારમાં અકસ્માતોનું પ્રમાણ કેટલું વધ્યું છે, વગેરે દાખલા-દલીલ શેનોયે અદાલતમાં રજૂ કર્યાં છે. પણ એક બાજુથી તારીખ પર તારીખ. અને બીજી બાજુથી સત્તાવાળાઓના બહેરા કાન!

એ પુલનું બાંધકામ તો જ્યારે પૂરું થવાનું હશે ત્યારે થશે. પણ આપણે તો આવતે અઠવાડિયે પહોંચી જશું મુંબઈના બીજા કોઈ પુલ પર. અને ત્યાંથી જોશું એ પુલનો ભૂતકાળ, વર્તમાન, અને ભવિષ્ય. પાછા મળશું મુંબઈના બીજા કોઈ પુલ પર.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX 

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 09 મે 2026

Loading

...1020...28293031...405060...

Search by

Opinion

  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …
  • મોહેં-જો-દડોની ‘ડાન્સિંગ ગર્લ’: 4500 વર્ષથી યથાવત્ હતી, 21મી સદીએ તેને ‘સુધારી’?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved