Opinion Magazine
Number of visits: 10080166
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|25 June 2026

વિશ્લેષણ −

કટોકટીનો મામલો તત્ત્વતઃ સત્તા વિ. જનતાનો હતો

ચૂંટણીના સઘળા તામઝામ અને શોર વચાળે આપણે ‘ઇલેક્ટોરલ ડેમોક્રસી’ ભણી જઈ રહ્યા છીએ … નકો નકો વિપક્ષ ને હકો હકો સત્તાપક્ષ ! 

પ્રકાશ ન. શાહ

એક ઓર સંવિધાન હત્યા દિવસ … અને તે પણ દોમ દોમ ગેઝેટેડ! વાત તો દેખીતી રીતે ઠીક જ છે કે પ્રજાસત્તાક ભારતે ટાળવી જોઈતી એક ઇતિહાસચૂક એ હતી. જયપ્રકાશ આદિના પુણ્યપ્રતાપે અને સંજય ગાંધીને લાંઘી જઈ ઇન્દિરા ગાંધીએ જાહેર કરેલી ચૂંટણીની તકે લોકશાહીની ગાડીને પાટે ચડાવી, એનો ઇતિહાસબોધ ભલે દૂઝતા જખમ પેઠે યાદ પણ રહેવો જોઈએ. 1975ના જૂનની 12મીએ અલાહાબાદ – અમદાવાદના ચુકાદાઓ પછી (વ્યક્તિગત સત્તાબચાવની રીતે) ઇંદિરા ગાંધીએ કટોકટીનો રાહ લીધો એમ કહેવામાં ખોટું નથી. પણ કટોકટીરાજનો વિકલ્પ તો છ મહિના પહેલાં વિચારાઈ ચૂક્યો હતો. એ વિગત લક્ષમાં લઈએ ત્યારે સામે આવતું ચિત્ર સત્તામાનસનું છે. જ્યારે જયપ્રકાશે રાષ્ટ્રકવિ દિનકરને ટાંક્યા કે સિંહાસન ખાલી કરો, જનતા આતી હૈ ત્યારે એ મામલો ઇંદિરા વિ. જયપ્રકાશનો નહીં પણ તત્ત્વતઃ સત્તા વિ. જનતાનો હતો. 

મુદ્દે, સત્તા વિ. જનતાનો ચિરમહત્ત્વનો બુનિયાદી મુદ્દો લક્ષમાં લઈએ છીએ ત્યારે 25મી જૂનને, હાલની કાઁગ્રેસ સામે હાલના ભા.જ.પ.ના સંઘર્ષમાં સીમિત કરવો તે એક ગંભીર ઇતિહાસચૂક બની રહેશે. માર્ચ 1977ના ચૂંટણીચુકાદા સાથે જનતા પક્ષે (જેમાં જનસંઘ પણ અંગભૂત હતો) બંધારણીય સુધારા વાટે ઇંદિરાઇ દરમિયાનની બંધારણીય તોડમરોડને દુરસ્ત કરી હતી, એ યાદ રાખવું રહે છે તો સાથે સાથે જે જોડી (વાજપેયી-અડવાણી) ત્યારે જનસંઘમાં શીર્ષસ્થાને હતી તે પૈકી અડવાણીનાં એ રેકોર્ડડ ઉદ્દગારો પણ યાદ રાખવાપણું છે કે આ દુરસ્તી છતાં નવેસર કટોકટી ન જ આવી શકે એમ હું માનતો નથી. (આ એમના 2015ના ઉદ્દગારો હતા.) 

અડવાણીની આ યાદગાર કેફિયત અને નુક્તેચીનીના ઉજાસમાં મોદી ભા.જ.પ.નાં બાર વરસ સરકારી જાહેરખબરોની આરપાર, વિકાસની આવકને લાંઘી જતી જાxખ જાવકની આરપાર, તપાસીએ તો શું સમજાય છે? ઇંદિરા ગાંધીએ કર્યા હતાં એવા વ્યક્તિગત સત્તાટકાઉ બંધારણીય સુધારાઓ વગર ચાલી શક્તિ સેન્સરશાહી એ એનો એક નાદર નમૂનો છે. પણ તે તો આખા ઘટનાક્રમનું એકદશાંશમું ટોચકું માત્ર છે. ચૂંટણી કમિશનરની નિમણૂકમાં દેશના વડા ન્યાયમૂર્તિને બાકાત રખાયા એવા અનેક દાખલા, સરકારી મનમુરાદશાહીના તમને મળશે. જો કે, પુણ્યાત્માના ઊંડાણ તો આભ જેવાં અગાધ રહ્યાં, અહીં એની શું તપસીલ આપી શકું!

સીમાંકન અને મતાંકનનો સત્તાવ્યૂહ પણ બારીકીથી તપાસવો રહે છે. ‘સર’ બાબતે રાહુલ ગાંધીએ કરેલ અભ્યાસમંડિત પર્દાફાશ લક્ષમાં નહીં લેવાતાં વિપક્ષોમાં શું ખોટું તે નજર સામે છે. તૃણમૂલ – આપ – શિવ સેના, સૌને ફડચામાં લઈ શકતી સત્તાપેરવી નજર સામે છે. વન નેશન, વન ઇલેક્શન પ્રકારનાં નારાઓ કેન્દ્રીય સત્તા તરફે બુલડોઝરી કુમક પૂરી પાડી શકે તેમ છે. જે બધા અધિકારો માટે વિપક્ષ 1975-77માં લડ્યો, એ દરેકનું સંકોચન કરવામાં મોદી ભા.જ.પે. ખંગ મનમોહનસિંહના વારામાં સોનિયા ગાંધીની સલાહકાર સમિતિના સૂચનથી જે લોકલક્ષી સુધારજોગવાઈઓ થઈ તે છેલ્લાં બાર વરસમાં સરેઆમ ટુંપાતી રહી છે. માહિતી અધિકારનું સંકોચન એ રીતે તપાસવા જેવું છે. 

1977-78માં આપણે જ્યારે લોકશાહીને ફેરચાલતી કરવામાં પ્રજાસૂય પડકારમાંથી પસાર થઈ રહ્યા હતા એ જ અરસામાં સમાજવિદ્યાઓના શીર્ષ અભ્યાસી જુઆમાં લિન્ઝનો ‘ધ બ્રેકડાઉન ઑફ ડેમોક્રેટિક રેજિમ્સ’ જેવો નોંધપાત્ર અભ્યાસગ્રંથ પ્રગટ થયો હતો જેમાં એમણે ‘નિર્વાચિત મુખત્યારશાહી’(‘ઇલેક્ટેડ ઑટોક્રસી’)ની નવી પરિસ્થિતિ તરફ ધ્યાન ખેંચ્યું હતું. ચૂંટણી જેવા ઉપચારો ચાલ્યા કરે, પણ સરવાળે કેન્દ્રીય સત્તાપક્ષ તરફે નકો નકો વિપક્ષની સ્થિતિ સરજાયેલી હોય. સહેલો દાખલો આપવો  હોય તો વર્ગમાં એક જ વિદ્યાર્થી હોય અને એ પહેલે નંબરે આવે, એવું કાંક.

‘ઇન્ડિયા’ની બેઠકનું રાહુલ ગાંધીનું જે વક્તવ્ય પછીથી બહાર આવ્યું એમાં એમણે લોકશાહી પ્રતિકાર પર ‘રેઝિસ્ટન્સ મોડ’ પર, રહેવાની જરૂરત ઘૂંટી હતી તેમાં પ્રાયોજિત ચૂંટણી ચકરાવાથી ઉફરાટે ચાલવાની જિકર હતી એ આ પચાસીએ કાળજે ધરવા જોગ એક બુનિયાદી બોધપાઠ ખસૂસ છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 24 જૂન 2026

Loading

આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!

ચંદુ મહેરિયા|Opinion - Opinion|24 June 2026

ચંદુ મહેરિયા

ગયા મહિને જ પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી થઈ હતી. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરલમ્‌, અસમ અને પુડુચેરીમાં નવી વિધાનસભાઓની રચના થઈ ગઈ છે અને મુખ્ય મંત્રી સહિતના પ્રધાનમંડળોએ કાર્યભાર સંભાળી લીધો છે. પરંતુ આ પાંચમાંથી એક પણ રાજ્યના મુખ્ય મંત્રી તરીકે કોઈ દલિતની પસંદગી થઈ નથી. આ રાજ્યોમાં દલિતોના વોટ નિર્ણાયક હતા અને પશ્ચિમ બંગાળમાં તો દલિતોની વસ્તીનું પ્રમાણ ખૂબ મોટું છે. તેમ છતાં કોઈ દલિતને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા નથી. આઝાદીના પંચોતેર વરસો પછી દેશમાં માંડ આઠ જ દલિત રાજનેતાઓએ મુખ્ય મંત્રીની જવાબદારી સંભાળી છે. તે પૈકી એકને છોડીને કોઈએ પાંચ વરસના કાર્યકાળ માટે તો મુખ્ય મંત્રીનું પદ શોભાવ્યું નથી. 

છેલ્લે પંજાબમાં ચરણજીતસિંહ ચન્ની(જન્મ ૧૯૬૩)ને સપ્ટેમ્બર ૨૦૨૧થી માર્ચ-૨૦૨૨ના સમયગાળા માટે મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા.એટલે છેલ્લાં પાંચ વરસોથી દેશના એક પણ રાજ્યમાં દલિત મુખ્ય મંત્રી નથી. ૨૦૧૧ની છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે દેશમાં દલિતોની વસ્તી ૨૦.૧૪ કરોડ હતી. જે કુલ વસ્તીના ૧૬.૬ ટકા હતી. તે પછી વસ્તી ગણતરી થઈ નથી. પરંતુ ૨૦૧૧ પ્રમાણેના ૨૧ કરોડ દલિતોના આટલા મોટા સમૂહને પોણી સદીની સ્વતંત્રતા બાદ માત્ર આઠ જ દલિતો મુખ્ય મંત્રી તરીકે મળ્યા હોય તે ચિંતાજનક અને શોચનીય છે. 

રાજ્યના મુખ્ય મંત્રીનું સર્વોચ્ચ પદ હાંસલ કરનાર પહેલા દલિત રાજનેતા દામોદરમ્‌ સંજીવૈયા (૧૯૨૧-૧૯૭૨) હતા. તેઓ ૧૯૬૦ થી ૧૯૬૨ના ગાળામાં અવિભાજિત આંધ્ર પ્રદેશના  મુખ્ય મંત્રી હતા. તેઓ સ્વતંત્રતા સેનાની અને વરિષ્ઠ કાઁગ્રેસી હતા. આંધ્ર કાઁગ્રેસના  પ્રદેશ પ્રમુખ તો તેઓ હતા જ બે વાર કાઁગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બન્યા હતા. ૧૯૫૭માં તેઓ આંધ્ર કાઁગ્રેસના પ્રદેશ પ્રમુખ હતા ત્યારે થયેલી વિધાનસભા ચૂંટણીમાં કાઁગ્રેસે ૩૦૧માંથી ૧૮૭ બેઠકો પર વિજ્ય મેળવ્યો હતો. પરંતુ મુખ્ય મત્રી નીલમ સંજીવ રેડ્ડીને બનાવવામાં આવ્યા હતા. જૂથવાદ અને કાઁગ્રેસના ભાગલા પછી એ જ ટર્મમાં તેઓ મુખ્ય મંત્રી બન્યા હતા. તેઓ જાન્યુઆરી ૧૯૬૦ થી માર્ચ ૧૯૬૨ સુધી મુખ્ય મંત્રી હતા. તેમણે વૃદ્ધાવસ્થા પેન્શન યોજના શરૂ કરી હતી. ૩૯ વરસની નાની વયે પહેલા દલિત મુખ્ય મંત્રી બનેલા સંજીવૈયા ૫૧ વરસની ઉમરે અવસાન પામ્યા હતા. 

દેશના પહેલા દલિત મહિલા મુખ્ય મંત્રી બનવાનું માન માયાવતી(જન્મ ૧૯૫૬)ને જાય છે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટીના નેત્રી માયાવતી ચાર વખત મુખ્ય પ્રધાન બન્યા હતા. ૧૯૯૫, ૧૯૯૭ અને ૨૦૦૨માં તેઓ સમાજવાદી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના સમર્થનથી મુખ્ય મંત્રી બન્યા હતા. પરંતુ ૨૦૦૭માં તેમણે એકલા હાથે વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મેળવી હતી અને પૂરા પાંચ વરસ (૨૦૦૭ થી ૨૦૧૨)  યુ.પી.ના સી.એમ. પદે વિરાજ્યા હતા. લગભગ ૨૧ ટકા દલિત વસ્તીના આ રાજ્યમાં પોતાની રાજવટ દરમિયાન માયાવતીએ કાયદો અને વ્યવસ્થા સ્થાપ્યાં હતાં. દલિત ઉત્થાન અને દલિત સ્મારકો માટે તેમના કાર્યકાળને યાદ કરાય છે. જો કે તે પછીનાં વરસોમાં તેઓ ચૂંટણીમાં સારો દેખાવ કરી શક્યાં નથી. 

દલિત મુખ્ય મંત્રીની બાબતમાં  બિહારનો ઇતિહાસ સમૃદ્ધ પણ છે અને કલંકિત પણ છે. દેશના આઠ દલિત મુખ્ય મંત્રીઓમાંથી ત્રણ તો બિહારના છે. ભોલા પાસવાન શાસ્ત્રી ( ૧૯૧૪-૧૯૮૪), રામસુંદર દાસ ( ૧૯૨૧- ૨૦૧૫) અને જીતનરામ માંઝી( જન્મ ૧૯૪૪) – એ ત્રણ દલિત રાજનેતાઓ બિહારના મુખ્ય મંત્રી બન્યા હતા. પણ એકેયને પૂરી પાંચ વરસની મુદ્દત આપી નહોતી. સંજોગોએ તેમને મુખ્ય મંત્રીની ગાદીએ બેસાડ્યા હતા. ભોલા પાસવાન શાસ્ત્રી ૧૯૬૮ થી ૭૨ દરમિયાન ત્રણ વખત મુખ્ય મંત્રીની ખુરશી પર બેઠા હતા. પહેલીવાર ૯૧ દિવસ, બીજીવાર ૧૩ દિવસ અને ત્રીજીવાર ૨૨૨ દિવસ તેઓ મુખ્ય પ્રધાન રહ્યા હતા. બહુમતીનો અભાવ અને ગઠબંધન સરકારોએ તેમને લાંબો સમય ગાદીએ ટકવા દીધા નહોતા.

‘ક્વીટ ઇન્ડિયા મુવમેન્ટ’માં ભાગ લેવા કોલેજ છોડી જાહેરજીવનમાં આવેલા રામસુંદર દાસને કર્પુરી ઠાકુરે ઓ.બી.સી. અનામત લાગુ પાડતા પક્ષમાં સર્જાયેલ જૂથવાદ પછી ૧૯૭૯-૮૦માં  સી.એમ.ની ગાદી મળી હતી. બિહારના છેલ્લા દલિત મુખ્ય પ્રધાન જીતનરામ માંઝી છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં જનતા દળ (યુ)ના ધબડકાની જવાબદારી સ્વીકારીને નીતિશ કુમારે મહાદલિત મુસહર જ્ઞાતિના માંઝીને મુખ્ય મંત્રી બનાવ્યા હતા.દસ મહિના પછી તેમને નીતિશ કુમાર માટે મુખ્ય મંત્રીની ખુરશી ખાલી કરવા કહેવામાં આવ્યું. તો માંઝી કહ્યાગરા મુખ્ય મંત્રી બનવાને બદલે હોદ્દો છોડવા નામકર ગયા એટલે પક્ષે તેમને તગેડી મૂક્યા હતા. મીરા કુમાર અને રામવિલાસ પાસવાન ક્ષમતા છતાં સી.એમ. બની ન શક્યાં. ભલે આજે ચિરાગ પાસવાન બિહારનું ભવિષ્ય કહેવાતા હોય પણ માંઝી પછી બિહારમાં દલિત મુખ્ય મંત્રી વગરનો.એક દાયકો વીત્યો છે. 

રાજસ્થાનના જગન્નાથ પહાડિયા (૧૯૩૨-૨૦૨૧) છેક નહેરુના વારાથી કાઁગ્રેસમાં હતા. અને નહેરુ-ગાંધી પરિવારના નજદિકી હતા. સંજય ગાંધીના ચહેતા તરીકે તેઓ જૂન-૧૯૮૦ થી જુલાઈ ૧૯૮૧ના ૧૩ મહિના માટે મુખ્ય મંત્રી બન્યા હતા. પંત પ્રધાન કાળમાં દારુબંધી લાદવાની સિદ્ધિ તેમના નામે છે. મહારાષ્ટ્રમાં સુશીલ કુમાર શિંદે (જન્મ-૧૯૪૧) પણ કાઁગ્રેસના જૂથવાદના ઉગાર તરીકે જાન્યુઆરી ૨૦૦૩ થી નવેમ્બર ૨૦૦૪ના બે એક વરસ માટે મુખ્ય મંત્રી બન્યા હતા. તેમના મુખ્ય મંત્રી કાળ દરમિયાન જ વિધાનસભા ચૂંટણીઓ થઈ હતી. કાઁગ્રેસનો વિજય થયો પણ તેમને ફરી મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા નહોતા. પંજાબમાં ચન્નીને પણ રાજકીય વ્યૂહનીતિના ભાગરૂપે થોડા મહિના મુખ્ય મંત્રી બનાવવાનું નાટક કાઁગ્રેસે કર્યું હતું. 

જે છ રાજ્યોમાં દલિતોને મુખ્ય મંત્રી બનાવ્યા હતા તેમાં માયાવતીના અપવાદ સિવાય બધા ટૂંકા ગાળા માટે અને રાજનીતિના ભાગ તરીકે બનાવ્યા હતા. આ મુખ્ય મંત્રીઓમાં ૧૯૧૪માં જન્મેલા ભોલા પાસવાન શાસ્ત્રી અને ૧૯૬૩માં જન્મેલા ચરણજીત ચન્ની છે. ૧૯૪૭ પૂર્વે જન્મેલા દલિત મુખ્ય મંત્રીઓએ આઝાદી આંદોલનમાં સક્રિય યોગદાન આપ્યું હતું. તમામ આઠેય દલિત મુખ્ય મંત્રીઓએ ડો.આંબેડકરનો શિક્ષિત બનોનો મંત્ર આત્મસાત કર્યો હતો. તમામ કોલેજ-યુનિવર્સિટી શિક્ષણ પામેલા હતા. ભોલા પાસવાન શાસ્ત્રી તેમની વિદ્વતાને લીધે શાસ્ત્રી કહેવાતા હતા. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીની સંસ્કૃતમાં શાસ્ત્રીની ડિગ્રી મેળવી હતી. એમ બી.એ. થયેલા ચન્ની મુખ્ય મંત્રી બન્યા ત્યારે પી.એચડી. કરતા હતા. કેટલાક સીધા જ રાજકારણમાં પ્રવેશ્યા નહોતા. પરંતુ સરકારી નોકરી કરતા હતા. એક પણ મુખ્ય મંત્રી પાસે રાજકીય વારસો નહોતો. હવે  કેટલાકે પોતાના સંતાનોને રાજકારણમાં ઉતાર્યા છે ખરા. દલિત મુખ્ય મંત્રી થવાથી દલિતોને સામાજિક ન્યાય મળે છે અને રાજકીય સશક્તિકરણ  થાય છે તેનો દાખલો માયાવતીનો કાર્યકાળ છે. જો કે તે રીપિટ થઈ શક્યો નથી.

દલિત રાજનીતિની ગૂંજ અને દલિત વોટબેન્કની કાગારોળ વચ્ચે ૭૫ વરસોમાં અલ્પ દલિત મુખ્ય મંત્રીઓ થવા તે દલિતો અને રાજકીય પક્ષો માટે પડકાર છે. દલિતોને મુખ્ય મંત્રીના પદથી અળગા રાખવા તે લોકશાહીની સૌથી અનુત્તરિત ચેલેન્જ છે. ડી. સંજીવૈયા કાઁગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ અને મુખ્ય મંત્રી થયા હતા.આજે મલ્લિકાર્જુન ખરગે માટે તે શક્ય નથી. કાઁગ્રેસ પ્રમુખ ખરગે કર્ણાટકના મુખ્ય મંત્રી બની શકતા નથી તે આજના ભારતીય રાજકારણની વાસ્તવિકતા છે. 

રાજકીય પક્ષો પ્રતીક રૂપે થોડા સમય માટે દલિત મુખ્ય મંત્રીનો ખેલ પાડે તો કેવું પરિણામ આવી શકે તે કાઁગ્રેસે પંજાબમાં જોયું છે. ૨૦૦૭ થી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાતા ચન્ની સી.એમ. બનીને બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા અને બંને પરથી હાર્યા હતા. તે દર્શાવે છે કે પંજાબનો કથિત ઉજળિયાત જ નહીં દલિત મતદાર પણ આ નિર્ણયથી ખુશ નહોતો. દલિતોને સી.એમ. બનાવવામાં કાં તો ઉપેક્ષા થાય છે કાં તો ટોકન તરીકે બનાવાય છે તે સત્ય લોકો સમજી ગયા છે. 

ભારતમાં પંચાયત-પાલિકામાં ટોચના પદે અનામત વર્ગના પ્રતિનિધિત્વના અભાવનો ઉકેલ તેમાં અનામત દાખલ કરીને કાઢવામાં આવ્યો છે પરંતુ મુખ્ય મંત્રી કે વડા પ્રધાન માટે આવી અનામત નથી. એટલે દલિતો મોભાદાર પણ સત્તા વગરના રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના પદ પામે છે પણ વડા પ્રધાન કે મુખ્ય મંત્રી થઈ શકતા નથી. 

જો કોઈ મહાનગરનો મેયર દલિત બને અને દલિતના નળમાં પાણી ના આવે કે તેમના ઝૂંપડા પર બુલડોઝર ફરે તો તેના મેયર બનવાનો શો અર્થ? એમ શું દલિતના સી.એમ. બનવાથી કશો ફેર પડે? રાજકીય સત્તા બધી સત્તાઓની જનની કહેવાતી હોય તો માયાવતીની જેમ પોતાના દમ પર પાંચ વરસના પૂર્ણ કાર્યકાળ માટે કામ કરી શકે તેવી બહુમતી મળે તો કદાચ દલિત મુખ્ય મંત્રી દલિતોના દળદર ફેડી શકે.

e.mail : maheriyachandu@gmail.com 

 

Loading

ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 June 2026

રવીન્દ્ર પારેખ

આપણા અમર્યાદ વિકાસે એટલું કર્યું છે કે આપણી સલામતી ઘટી ગઈ છે. જીવન રક્ષણના જેટલા પ્રયત્નો થાય છે, એટલી જ જિંદગી જોખમમાં મુકાતી જાય છે. આ આંધળા વિકાસે નિર્દયતાથી ઘણી જિંદગીઓ દાવ પર લગાવી છે. ગમે તેટલો વિકાસ માણસને ભોગે તો ના હોયને ! જે વિકાસ, પરંપરા સાથે છેડો ફાડે છે, તે માણસની ઉપેક્ષા તો કરે જ છે. માણસથી જ વિકાસ થાય છે ને એ જ માણસ માટે જોખમી બનતો હોય તો એ અંગે પુનર્વિચાર થવો જોઈએ. એવું ન બનવું જોઈએ કે ઐશ્વર્ય વધતું જાય ને સામાન્ય માણસ પોતાનો જ બોજ ઉપાડી શકવા સમર્થ ન હોય. કહેવાતા વિકાસે સામાન્ય માણસ માટે કોઈ જગ્યા લગભગ રહેવા દીધી નથી. વિકાસના રસ્તા વિકસ્યા એમાં સાધારણ માણસ માટે ફૂટપાથ જ બચ્યો નથી. આ દેશ અબજોપતિઓ માટે જ રહેવાનો હોય, તો સામાન્ય માણસ માટે શું બચશે તે પ્રશ્ન જ છે.

ઘણીવાર એવું બન્યું છે કે રસ્તે ચાલતા માણસને કોઈ કારે કે ડમ્પરે અડફેટે લીધો હોય ને તેણે જિંદગીથી હાથ ધોઈ નાખવા પડ્યા હોય ને આવું એકલદોકલ કિસ્સામાં નથી બન્યું. તે અસંખ્ય વાર બન્યું છે. રસ્તા પર એક ખૂણે સૂતેલા ઘણા જીવો પર ભારે વાહન ફરી વળ્યું હોય ને મોતની ચિચિયારીઓ, કાળી બળતરા સાથે તરફડી ઊઠી હોય ! એવું ઘણીવાર બન્યું છે. સામાન્ય માણસ સલાહ, સૂચના ને ઉપદેશ માટે જ રહી ગયો હોય તેવી સ્થિતિ છે. એક પિતા પોતાનાં પુત્રને સ્કૂલે લઈ જતો હોય ને કોઈ વાહન તેને કચડીને મોતને ઘાટ ઉતારી દે ત્યારે એ પિતાનો વલોપાત કેવો હશે તેની કલ્પના જ કરવાની રહે ! આવું કોઈ પણ શહેરમાં કોઈ પણ પિતાના પુત્ર સાથે બનતું હોય તો નવાઈ નહીં.

એનો સાદો અર્થ તો એટલો જ થાય કે કોઈએ પણ રસ્તે ચાલવું નહીં. રસ્તાઓ સ્કૂટર, મોટર, ટ્રક જેવાં ભારે વાહનો માટે જ છોડવાં ને સાધારણ માણસે ચાલવું હોય તો મરવાની તૈયારી સાથે ચાલવું. આ  નકરી વાસ્તવિકતા છે. જ્યાં ફૂટપાથ છે, ત્યાં દુકાનદારો ફૂટપાથ દબાવીને પોતાનો ધંધો કરે છે અથવા તો લારી ગલ્લાવાળાઓ દબાણ ઊભું કરે છે. કોઈ કાર, સ્કૂટર પાર્ક કરે છે, તો કોઈ ટ્રાન્સફોર્મર કે કચરાપેટીઓ ગોઠવી દે છે. સુપ્રીમ કોર્ટે જનહિતને વિચારીને ફૂટપાથ ફરી સજીવ કરવાની વાત કરી છે, ત્યારે યુદ્ધનાં ધોરણે સરકારે અને સત્તાધીશોએ કાયદો બનાવવાની દિશામાં સક્રિય થવું જોઈએ. એ સાથે જ સ્થાનિક સત્તાધીશોએ પણ ફૂટપાથ પર દબાણ કરનારાં પરિબળો સામે કડક પગલાં લઈને મોટી રકમનો દંડ વસૂલવો જોઈએ. ફૂટપાથ હોય તો તેનું રિપેરીંગ પણ જોવાવું જોઈએ. જૂના, તૂટેલા ફૂટપાથો તરફ સત્તાધીશોની નજર જતી જ નથી, એટલે લીસા, તૂટેલા ફૂટપાથ પર કોઈના લપસવાના, પડવાના  બનાવો બનતા રહે છે. આ પણ ચિંતા ઉપજાવે એવો મુદ્દો છે.

હવે ફૂટઓવર કે બ્રિજ એવી જગ્યાએ ઠોકી દેવામાં આવે છે કે વયસ્કો કે બાળકો તેનો ઉપયોગ જ ના કરી શકે, એટલે વયસ્કો, દિવ્યાંગો, બાળકોએ રસ્તા પર ચાલવા લાચાર બનવું પડે છે ને અકસ્માત થાય છે, ત્યારે વાહન ચાલકનો વાંક હોય કે ન હોય, પણ નિર્દોષ રાહદારીઓ ગંભીર રીતે ઘવાય છે અથવા તો મોતને ઘાટ ઊતરે છે.

આવી જ એક ઘટના સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી, જેમાં 2016માં એક પિતા પોતાનાં 5 વર્ષના દીકરાને સ્કૂલે મૂકવા જતો હતો ને પાછળથી આવતાં એક ટેન્કર સાથે અકસ્માત થતાં બાળકે જીવ ગુમાવવો પડ્યો. સુપ્રીમ કોર્ટે આખા દેશના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પદયાત્રીઓની સુરક્ષા અંગે ભારે ચિંતા વ્યક્ત કરી છે. પિતાને કેટલી પીડા થઇ હશે, તે તો એ જ જાણે ને તેણે વળતરથી સંતોષ માનવો પડે એમ બન્યું છે. આ વળતર પણ હાઈકોર્ટે ઓછું આંક્યું અને વાત સુપ્રીમ સુધી પહોંચી ને ગયા ગુરુવારે સુપ્રીમ કોર્ટે વળતર વધારીને 11.44 લાખ કરી આપ્યું અને હાઈકોર્ટનો વળતર ઘટાડતો આદેશ રદ્દ કર્યો.

વળતર ઉપરાંત સુપ્રીમ કોર્ટે એ પણ જણાવ્યું કે સુરક્ષિત અને નિર્ધારિત ફૂટપાથ પર ચાલવાનો મનુષ્યનો મૂળભૂત અધિકાર છે અને તેને મોટર વેહિકલ્સ કરતાં પ્રાથમિકતા મળવી જોઈએ. મ્યુનિસિપલ કોર્પોરેશનો, શહેરી વિકાસ સત્તાવાળાઓ ને પંચાયતોની ફૂટપાથ બનાવવાની, તેની જાળવણી કરવાની અને સુરક્ષિત રાખવાની જવાબદારી છે. જો આ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન સત્તાવાળાઓ તરફથી થાય તો ભોગ બનનાર વ્યક્તિને વળતર મેળવવાનો કાનૂની અને બંધારણીય અધિકાર છે. આ અધિકાર 1988ના મોટર વ્હેહિક્લ્સ એક્ટ હેઠળ મળતા અધિકારોથી અલગ છે.

આજે રસ્તે ચાલતી વ્યક્તિ સલામત નથી, એટલે જ્યાં રસ્તાઓ હોય, ત્યાં ફૂટપાથ હોવો જરૂરી છે. હવે મોટા મોટા રસ્તાઓ બનતા હોય છે, પણ ફૂટપાથ બનતો નથી. એનો અર્થ એ થાય કે ચાલનારાઓ રહ્યા નથી ને બધા જ વાહનમાં ફરે છે અથવા તો ચાલનારાઓ છે, પણ તેમને માટે ચાલવાની જગ્યા નથી. એ જગ્યા એક કાળે ફૂટપાથ હતી. હવે જૂનાં ફૂટપાથ હોય તો હોય, બાકી નવા રસ્તાઓમાં ફૂટપાથની જોગવાઈ લગભગ નથી. હવેના ટ્રાફિકે રસ્તાઓ પર કબજો જમાવ્યો છે. પરિસ્થિતિ એવી છે કે વાહન ચાલકો માટે ફૂટપાથ અને રાહદારી સૌથી મોટું નડતર છે. એ સાથે જ વાહન ચાલકોનો અહમ્‌ પણ અહીં સક્રિય હોય, એટલે ફૂટપાથ તોડવાનો ને રાહદારીને કચડવાનો અબાધિત અધિકાર છે એમ માનીને સાવ નિર્દોષ વ્યક્તિઓને કચડી નાખવામાં આવે છે. એવા કેટલા ય કિસ્સાઓ બન્યાં છે, જેમાં ફૂટપાથ પર સુનારાઓ કચડાઈ મર્યાં હોય.

એન.સી.આર.બી. અને પરિવહન મંત્રાલયના જાહેર થયેલ આંકડાઓ મુજબ 2019થી 2023 સુધીમાં માર્ગ અકસ્માતમાં આશરે 1.52 લાખ વ્યક્તિઓ મૃત્યુ પામી છે. દર વર્ષે સરેરાશ 30,000 લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. માર્ગ અકસ્માતના કુલ અકસ્માતમાંથી 20 ટકા મોત, પગે ચાલનારના થાય છે, મતલબ કે દર પાંચ વ્યક્તિમાંથી એક મોત પગપાળા ચાલનારનું થાય છે. એમ લાગે છે કે પદયાત્રી હાંસિયામાં ધકેલાઈ ગયો છે.

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ પી.એસ. નરસિમ્હા અને એ.એસ. ચન્દુરકરની બનેલી ખંડપીઠે જણાવ્યું કે બંધારણની કલમ 19(1)(d) હેઠળ અવરજવરનો અધિકાર અને કલમ 21 મુજબ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર બંધારણનો અભિન્ન હિસ્સો છે. એ સ્પષ્ટ છે કે રાહદારીનો અધિકાર વાહનો કરતાં વધારે છે, કારણ કોઈ વાહન ન હતું, અરે ! પૈંડાંની શોધ પણ ના થઇ હતી, તે પહેલાંથી માણસ રસ્તા પર કે કેડીઓ પર ચાલતો જ હતો. અત્યાર સુધી ચાલવાના અધિકારને મહત્ત્વ અપાયું જ ન હતું એટલે સુપ્રીમે સરકારને એના કાયદા અંગે વિચારવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ ચુકાદાની નકલ કેન્દ્રીય મંત્રાલયો અને કાયદાપંચને મોકલવાની એટલે તાકીદ કરી કે કાનૂની માળખું બની શકે.

આમ તો એ આખો મુદ્દો શહેરોને સ્પર્શતો મુદ્દો છે. ટ્રાફિકે એવો પગદંડો જમાવ્યો છે કે રાહદારીઓ માટેનાં જોખમની કલ્પના જ કરવાની રહે. હવે વાહનો માટે રસ્તાઓ બને છે, એટલી સંખ્યામાં રાહદારીઓ માટે ફૂટપાથ બનતા નથી. કદાચ ફૂટપાથનો કન્સેપ્ટ જ નીકળી ગયો છે. ટૂંકમાં, રસ્તાના આયોજનમાં રાહદારીઓ લગભગ નથી. રાહદારીઓની આ અવગણના બધી રીતે શરમજનક છે. જો કે, સુપ્રીમે એટલું તો કર્યું છે કે રાહદારીઓ માટે સ્થાનિક પ્રશાસન ફૂટપાથ બનાવવામાં કે તેની જાળવણીમાં નિષ્ફળ જાય તો નાગરિકો બંધારણીય ઉપાયની માંગ સાથે સીધા હાઈકોર્ટનાં દ્વાર ખખડાવી શકે છે.

તો, આ પરિસ્થિતિ છે.

આડેધડ વિકાસ માટે રસ્તાઓ બન્યા. એ બન્યા તેનો ય વાંધો નથી, પણ રાહદારીઓના ફૂટપાથ માટે સુપ્રીમ કોર્ટે દખલ દેવી પડે એની કોઈ પણ સરકારને નાનમ લાગતી નથી. રસ્તા બનતા હોય, એમાં જ ફૂટપાથનું પણ આયોજન હોય તો વિકાસને લૂણો લાગી જાય એવું છે?

એમ ન થાય તો સારું કે પીડિતોની ઉપેક્ષા એ ચરમસીમાએ પહોંચે કે હાથમાં વિકાસ તો ઠીક, તેનું   માળખું પણ હાથ ન લાગે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 જૂન 2026

Loading

...1020...30313233...405060...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved