Opinion Magazine
Number of visits: 10078492
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”

રમેશ ઓઝા|Opinion - Opinion|10 August 2026

રમેશ ઓઝા

તમને ખબર છે આજથી સો વરસ પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના શા માટે કરવામાં આવી હતી? હિન્દુઓને બહાદુર બનાવવા. હિંદુઓની અંદર શૌર્યનું સિંચન કરવા. હિંદુઓની આવનારી નસલ જરૂર પડ્યે બહાદુરી બતાવવામાં અન્ય પ્રજાથી જરા ય પાછળ ન રહે એ માટે. સંઘના વૈચારિક ગુરુ (આઈડિયોલોગ) વિનાયક દામોદર સાવરકરે તો આ વિષે વિગતે વિવેચન કર્યું છે. સંઘના પ્રકાશિત સાહિત્યમાં (સંઘ બે પ્રકારે વિચાર-વ્યાપાર કરે છે. એક પ્રકાશન દ્વારા અને દશેરા જેવા જાહેર વ્યાખ્યાન દ્વારા જે આપણા માટે હોય છે અને બીજું કર્ણોપકર્ણ જે સ્વયંસેવક માટે જ હોય છે. એને છાપવામાં નથી આવતું કે જાહેરમાં કહેવામાં નથી આવતું, કાનમાં કહેવામાં આવે છે અને એ પણ નિર્ધારિત સીનિયોરિટી પ્રાપ્ત કરનારાને જ ફક્ત) પણ આ વાત કહેવાઈ છે. 

તેઓ એમ માને છે અને હમણાં કહ્યું એમ સાવરકરે તો તેમની આક્રમક શૈલીમાં વિવેકની પરવા કર્યા વિના કહ્યું છે કે હિંદુ દાર્શનિક પરંપરાએ અને એમાં ઓછુ હતું તે શ્રમણ પરંપરા (મહાવીર અને બુદ્ધ) એ હિંદુઓને કાયર બનાવ્યા છે. મહાવીર અને બુદ્ધ માટે તો એ આકરી ભાષામાં લખે છે. તેમણે મધ્યકાલીન હિંદુ સંતોને પણ છોડ્યા નથી. એમાં વળી હિંદુઓના દુર્ભાગ્ય કે જ્યારે જગતમાં પોતાની જગ્યા બનાવવાની હોડ શરૂ થઈ છે અને જે તે પ્રજા એકબીજાનાં ગળાં કાપે છે ત્યારે હિંદુઓના દુર્ભાગ્યે ગાંધીજી આવ્યા. આ માણસ અહિંસાની ગાંડીઘેલી વાતો કરે છે અને હિંદુઓને હજુ વધુ કાયર બનાવે છે. આ મોહનદાસ ગાંધી નામના પેરેસાઈટ, પ્લેગ (આ ગાંધીજી માટે સાવરકરે વાપરેલા તેમના જ શબ્દો છે.) 

સંઘના સ્થાપક કે.બી. હેડગેવારના એક બીજા ગુરુ પણ હતા જેનું નામ ડૉ બાલકૃષ્ણ સીતારામ મુંજે હતું. તેઓ નાગપુરના હતા અને દાકતરી પ્રેક્ટીસ કરતા હતા. મુંજેએ કહ્યું કે હિંદુઓના દુર્ભાગ્ય તો જુઓ; આ ગાંધી નામના માણસથી હિંદુઓને છોડાવી શકે એવો કોઈ હિંદુ નેતા બચ્યો નથી. લોકમાન્ય તિલક ગુજરી ગયા છે, બિપિન ચન્દ્ર પાલ લંડન જતા રહ્યા છે, લાલા લાજપત રાય છે, પણ એ ગાંધીને મદદ કરતા થઈ ગયા છે. મદનમોહન માલવિય મવાળ છે. ચાલો, આપણે પોંડીચેરી જઈએ અને અરવિંદ ઘોષને સમજાવીએ કે તેઓ રાજકારણમાં પાછા આવે અને સદીઓથી રાંકડા હિંદુઓને આ ગાંધી હજુ વધુ રાંકડા બનાવી રહ્યો છે તેને રોકે. કાયર હિંદુ કેવી રીતે નિર્મમ વિધર્મીઓનો સામનો કરશે. એમ કહેવાય છે કે અરવિંદ ઘોષે ત્યાંને ત્યાં જ રાજકારણમાં પાછા ફરવાની ના પાડી હતી. કેટલાક લોકો એમ પણ કહે છે કે અરવિંદે સાધના છોડીને રાજકારણમાં પાછા ફરવાનો કેટલોક સમય વિચાર કર્યો હતો અને એ પછી ના પાડી હતી. જ્યારે અરવિંદની ના આવી એટલે ડૉ મુંજે ૧૯૩૧ની સાલમાં ઇટલી ગયા અને બેનેટીન મુસોલિનીને મળ્યા. મુસોલિની ઈટાલિયનોને મર્દ બનાવવા અને જરૂર પડ્યે મર્દાનગી બતાવવા કેવી રીતે તાલીમ આપી રહ્યો છે અને કેવી રીતે સંગઠિત કરી રહ્યો છે તે જોવા સમજવા. મુસોલિનીની પ્રેરણાથી સ્વયંસેવકોને અર્ધ-લશ્કરી તાલીમ આપવાનું શરૂ કરવામાં આવ્યું અને તેમણે નાસિકમાં ભોંસલા મિલીટરી સ્કૂલ સ્થાપી. સંઘનિર્મિત બહાદુર હિન્દુત્વવાદી હિંદુઓ જ દેશને સંકટથી બચાવી શકશે. આ ગાંધી હિંદુઓને નપુંસક બનાવી રહ્યો છે.

આ લાંબી પૃષ્ઠભૂમિ આપવાનું કારણ એ છે કે તમને ખ્યાલ આવે કે બહાદુરી માટે તેમને કેટલું આકર્ષણ છે. તેમની વાણીમાંથી બહાદુરી ટપકતી જોવા મળશે. નરેન્દ્ર મોદી જેવા વાચાળ લોકોના મોઢામાંથી તો બહાદુરી ટપકતી નથી, વહે છે. ચોવીસે કલાક તેઓ બહાદુર હિંદુઓનાં સપનાં જુએ છે. બહાદુર હિંદુઓનાં દૃષ્ટાંતો આપે છે. ઐતિહાસિક પુરુષોની બહાદુરીનાં અતિરંજક વર્ણનો કરે છે અને ઉદાહરણ આપે છે. કોઈ બહાદુરનો પરાજય થયો હોય તો તેને વિજયમાં ફેરવે છે, જેમ કે હવે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે કે હલ્દીઘાટીના યુદ્ધમાં રાણા પ્રતાપનો પરાજય નહોતો થયો, વિજય થયો હતો. ભારતની આઝાદી માટે લડનારા ક્રાંતિકારીઓના ઓવારણા લે છે. તેમને એ ખબર નથી કે બહાદુરી લડવામાં છે, જય-પરાજય ગૌણ છે. જે લડવા માટે મેદાનમાં ઉતરે એ બહાદુર. આ વાક્ય યાદ રાખજો, સંઘની બહાદુરી સમજવા માટે આ લેખમાં આગળ કામમાં આવશે. 

અહિંસાના અતિરેકે હિંદુઓને કાયર બનાવ્યા છે એમ માત્ર સાવરકરે એકલાએ નથી કહ્યું, સાવરકરના એક નંબરના દુ:શ્મન ગાંધીજીએ પણ કહ્યું છે. પણ દૃષ્ટિકોણમાં ફરક છે. તેમણે કહ્યું હતું કે અહિંસાનો કેવળ શબ્દિક અર્થ અપનાવવાના કારણે હિંદુઓ કાયર બન્યા છે. અન્યાય સામે લડવું તો હિંસા કરવી પડે અને શાસ્ત્રોમાં હિંસા વર્જ્ય છે તો પછી અન્યાય સહન કરવા સિવાય બીજો શું વિકલ્પ? આ અહિંસાની ખોટી સમજ છે. ગાંધીજીએ એક વખત નહીં, અનેક પ્રસંગે કહ્યું છે કે અન્યાય અને અત્યાચારનો સામનો કરવા જરૂર પડ્યે હિંસા કરવી પડે તો એ ધર્મ છે, પણ અન્યાય અને અત્યાચાર સહન કરવા, કે તેને જોતા રહેવું કે મૂંગા રહેવું એ કાયરતા છે. 

હવે લાખ રૂપિયાનો સવાલ અથવા મુદ્દાની વાત: 

હિંદુઓની બહાદુરી જોવા તમે તલસો છો, સો વરસથી બહાદુર હિંદુ પેદા કરવા માટે પરસેવો પાડો છો, તમે હિંદુ શૌર્યનું નેરેટિવ વિકસાવ્યું છે, હિંદુ શૌર્યનો ખાસ ઇતિહાસ લખ્યો છે, ત્યારે આય રિપીટ ત્યારે, જન્તર મન્તર અને દેશભરમાં અન્યત્ર લબરમૂછિયા હિંદુ તરુણોની બહાદુરી જોઇને તમારી છાતી તો ગજ ગજ ફૂલવી જોઈતી હતી. તમારી આંખ ભીની થવી જોઈતી હતી જેમ આ લખનારની થઈ હતી. રાણા પ્રતાપ, શિવાજી મહારાજ અને બીજા જે કોઈ બહાદુર હિંદુઓ થઈ ગયા છે એ સ્વર્ગમાંથી તરુણોની બહાદુરી જોઇને ફૂલ વરસાવતા હશે. તો તમને કઈ વાતનું ઓછું પડ્યું? એક યુવતી (હિંદુ સ્ત્રી) એકલે હાથે પોલીસની વેનને રોકે, એક માં (હિંદુ માં) પોતાનાં બે બાળકોને પોલીસને આપે અને કહે કે મારી નાખો આને, એક યુવક ભાગ્યા વિના ખામોશ ઊભો રહીને પોલીસની લાઠી ખાય, એક યુવક પોલીસને પૂછે કે, “આજ અશ્રુ ગેસ કી વ્યવસ્થા નહીં હૈ ક્યા?” એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.” અને આવા તો હિંદુ યુવાઓની બહાદુરીનાં સેંકડો દૃશ્યો જોવા મળ્યાં હતા જે તમે પણ જોયા હશે. 

જે લોકો હિંદુઓની બહાદુરી જોવા તલસે છે એને કઈ વાતનું ઓછું પડ્યું? કઈ કસર રહી ગઈ હિંદુ યુવાઓની બહાદુરીમાં? આ જ તો તમારું ધ્યેય છે ને? તમે તમારું આયખું અને સો વરસની તપશ્ચર્યા આવો રૂડો દિવસ જોવા માટે ખર્ચ્યું છે ને? એ રૂડો દિવસ આવ્યો તો પછી તમને કઈ વાતે ઓછું પડ્યું? શું જોઈએ છે આના કરતાં વધુ? પાછો કેવો થનગનાટ! કેવી ઉર્જા! કેવી મૌલિકતા! કેવી બુદ્ધિપ્રતિભા! કેવો વિનોદ! કેવો આત્મવિશ્વાસ! અહિંસક માર્ગ અપનાવીને હિંદુ તરુણોએ કેવી બહાદુરી બતાવી! તમે તો આવી બહાદુરી ક્યારે ય બતાવી નથી. આઝાદીની લડતમાં ભાગ લીધો નહોતો. શહીદી કે ખુવારી વહોરી નથી. અન્યાય સામે સંઘર્ષ કર્યો નથી. સો વરસમાં એક પણ સ્વયંસેવક શહીદ થયો નથી. થનગનાટ, મૌલિકતા, તાર્કિકતા, વિનોદ અને આત્મવિશ્વાસ તો દૂરની વાત છે. માત્ર ગાળો દેતા આવડે છે, ચર્ચા પણ કરી શકતા નથી. અને ભય? ટીકાકારોનો ભય, સ્વતંત્ર પત્રકારોનો ભય, પ્રશ્નનો ભય, વિદ્વાનોનો ભય, વિરોધ પક્ષોનો ભય, સંસદનો ભય, મુક્ત ચર્ચાનો ભય, સ્વતંત્ર નાયતંત્રનો ભય, કલાકારોની કૃતિનો ભય એમ સર્વત્ર તમને ભય દેખાય છે અને ભય તમારા ચહેરા પર પણ દેખાય છે. ભારત માતાને તમારા જેવા હિંદુઓનો ખપ છે કે જન્તર મન્તર અને અન્યત્ર નજરે પડેલા તરોતાજા થનગનાટથી છલકતા બહાદુર હિંદુઓનો? કોના થકી ભારત માતાનું ભવિષ્ય સુરક્ષિત છે?  

તો વાત એમ છે કે સંઘની સ્થાપના વખતે કહેવામાં આવે છે એમ બહાદુર હિંદુઓ પેદા કરવા માટે સંઘની રચના થઈ હતી તો પછી તમને કઈ વાતનું ઓછું પડ્યું? અને તાર્કિક રીતે જોઈએ તો આ યુવાઓ તમારી શાખામાંથી પેદા થયેલા હોવા જોઈતા હતા, કારણ કે બહાદુરી તો તમે શીખવાડો છો. એવો તમારો દાવો છે. જેણે બહાદુરીનો જાપ જપવામાં આયખું ખર્ચ્યું એ સો વરસમાં ક્યારે ય બહાદુરી બતાવી શક્યા નથી અને જેનો કહેવાતા બહાદુરો સાથે દૂરદૂરનો સંબંધો નથી એ બહાદુરી બતાવવામાં આગળ નીકળી ગયા. 

કારણ શું? કારણ એ છે કે સંઘની સ્થાપના બહાદુર હિંદુઓ પેદા કરવા માટે નહોતી કરવામાં આવી, ધૂર્ત હિંદુઓ પેદા કરવા માટે કરવામાં આવી છે. ગાંધીજી સાથે તેમનો વાંધો અહિંસાને લઈને નથી, નૈતિકતાને લઈને છે, સાધનશુદ્ધિને લઈને છે. આ વાત સંઘનું પ્રકાશિત સાહિત્ય વાંચવાથી નહીં સમજાય, પણ તેમનું આચરણ જોઇને સમજાશે. આ સિવાય સાવરકરને વાંચવાથી સમજાશે. સાવરકર અભિવ્યક્તિમાં કંઈક અંશે પ્રામાણિક હતા. ગાંધીજી સદ્દગુણની ઉપાસના કરતા હતા અને સાવરકરે સદ્દગુણને વિકૃતિ કહી છે. છેતરપીંડી, વિશ્વાસઘાત અને કોઈ પણ રીતે બચી નીકળવાનો તેમણે મહિમા કર્યો છે. ખાતરી કરવી હોય તો સાવરકરને વાંચી જાઓ. 

સંઘની સો વરસની જહેમત પછી પણ બહુમતી હિંદુઓ મુઠ્ઠીમાં આવ્યા નથી અને સંઘનાં શતાબ્દી વર્ષમાં ૨૦-૨૫ વરસના તરુણ તરુણીઓએ તો કેપ્ચરીંગ હિંદુઝના પ્રોજેક્ટના ફુરચા બોલાવી દીધા. 

કારણ? વિચારી જુઓ. જવાબ મળી રહેશે. જવાબ શોધવો જરા ય અઘરો નથી.  

Loading

10 August 2026 Vipool Kalyani
←  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …

Search by

Opinion

  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353
  • એકલો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved