Opinion Magazine
Number of visits: 9842017
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રચંડ ધડાકો અને ઉલ્કાપાત

સુરેશ જાની|Opinion - Opinion|4 April 2026

આશરે 1,370 કરોડ વર્ષ પહેલાં

એ કોઈ ગૂઢ, ન સમજી શકાય તેવી સ્થિતિ હતી. સમગ્ર બ્રહ્માંડ એક જ બિંદુ ઉપર કેન્દ્રિત  થયેલું હતું. તેમાં દૃવ્ય ખીચોખીચ ભરેલું હતું. આંકડા વડે દર્શાવી ન શકાય એટલું પ્રચંડ તેનું વજન હતું. કોઈ પણ પદાર્થ ખમી ન શકે એટલું તેનું ઉષ્ણતામાન હતું. એ બિન્દુની બહાર કેવળ શૂન્યાવકાશ હતું – એટલે કે ત્યાં કશું જ ન હતું. જેનાથી વધારે ઓછું તાપમાન શક્ય જ ન હોય તેટલું તેનું ઉષ્ણતામાન, શૂન્ય અંશ કેલ્વિન હતું. આ બન્ને, સાવ વિભિન્ન હોવાપણાંને અલગ રાખતું એક અદૃશ્ય, અને જડ આવરણ પણ હતું જ. અથવા આનાથી સાવ વિપરિત કાંઈક હતું. એટલે કે સમસ્ત જગત પ્રચંડ વજનના, ઠંડાગાર દૃવ્યથી ભરેલું હતું અને તેના કેન્દ્રમાં કેવળ ધગધગતું શૂન્ય હતું – કોઈ કદ વિનાનું, ઉષ્ણાતિઉષ્ણ, બળબળતું અને ધગધગતું, અનસ્તિત્વ. 

એ આમ હતું કે તેમ હતું; હોવાપણું હતું કે ન હોવાપણું; તેની ચકાસણી કરી શકે તેવું કોઈ પણ ત્યાં હાજર ન હતું.

પણ આવું કશુંક, અનાદિ કાળથી, બ્રહ્માંડના ગર્ભમાં લપાઈને સૂતેલું, પડેલું હતું. ત્યાં કે ક્યાં ય –  તે સમયે કે તે પહેલાંના સમયે – કશું બનતું ન હતું. ત્યાં હોવાપણું કે બનવાપણું પણ ન હતું. કોઈ પરિવર્તન વિનાની એ કેવળ જડતા હતી. અને ત્યાં કશુંક થયું. શું થયું? શા માટે થયું? કોણે કર્યું? ક્યારે કર્યું? કઈ રીતે કર્યું? આવા કોઈ પ્રશ્નોના કોઈ ઉત્તર આપી શકે તેવું પણ કોઈ ન હતું.

પણ કશુંક થયું તો ખરું જ.

ક્ષણાર્ધમાં એ સમગ્ર હોવાપણું, કે ન હોવાપણું પરિવર્તનના ન થંભી શકે તેવા ચકરાવે ચઢી ગયું. કોઈ અજ્ઞાત તત્ત્વની પ્રચ્છન્ન અભિપ્સાના બળે આમ થયું. જ્યાં કશું જ ન હતું એમાંથી સતત, પ્રચંડ માત્રામાં, બળબળતી દૃવ્ય રાશિઓ ફેંકાવા માંડી. હવે એ જડ હોવાપણાની અપરિવર્તનશીલ સ્થિતિ ક્ષણાર્ધ માટે પણ ટકી શકે તેમ ન હતું. પ્રત્યેક ક્ષણે, પ્રચંડકાય, બળબળતા વાયુની બનેલી, નિહારીકાઓ, ચકરાવા ખાતી ખાતી, તીવ્ર વેગે, એ બિન્દુમાંથી બહાર ફેંકાઈ રહી હતી અને દૂર ને દૂર સરતી જતી હતી. હવે તેમને એકમેક સાથે આકર્ષેલી રાખનાર, ગુરુત્વાકર્ષણ બળ પણ જન્મ લઈ ચૂક્યું હતું. આ ભેગા રાખનાર બળને અતિક્રમીને એમની પ્રચંડ ગતિને કાયમી કરતું – હર ક્ષણ એ બહિર્મુખ ગતિને વધારતું – કોઈ અજ્ઞાત બળ પણ સર્જાઈ ચુક્યું હતું.

 

[સોમ્બેરો નિહારિકા – પૃથ્વીથી 2.8 કરોડ પ્રકાશવર્ષ દૂર, 50,000 પ્રકાશ વર્ષ વ્યાસ, તારાઓની સંખ્યા આશરે 80,000 કરોડ! [હબલ દૂરબીન વડે લેવાયેલ ફોટો.] 

     

અસ્તિત્વવાળા બ્રહ્માંડનો જન્મ થઈ ચૂક્યો હતો. પરિવર્તનની ન રોકી શકાય તેવી ઘટના આકાર લઈ ચૂકી હતી.

——–

બીગ બેન્ગની ઘટના ઘટી ગયે, કરોડો વર્ષો વીતી ગયાં હતાં. બળબળતા વાયુઓના અતિ પ્રચંડ સમૂહો તીવ્ર વેગે દૂર અને દૂર ફંગોળાતા રહ્યા. પણ ગુરુત્વાકર્ષણના બળે, નજીકની મતા ભેગી પણ થતી ગઈ. જેમ જેમ આ ભેગી થતી મતા નજીક ને નજીક આવતી ગઈ; તેમ તેમ તેમનો નજીક આવવાનો વેગ પણ વધતો ગયો. વળી પાછું દૃવ્ય ઘનીભૂત થતું ગયું. તારાઓ અસ્તિત્વમાં આવ્યા.

આવો એક તારો તે આપણો સૂર્ય. એની આજુબાજુ ઠેર ઠેર વેરાયેલા આવા સમૂહો અત્યંત નાના હોવાને કારણે જલદી ઠરી ગયા અને નવ ગ્રહો સર્જાયા. સૂર્યની બહુ નજીક હોવા છતાં પોતાના પ્રચંડ વેગને કારણે એ બધા સૂર્યમાં ન સમાયા – એની આસપાસ ઘુમતા રહ્યા. સૂર્યમાળાના મણકા જેવા એ ગ્રહો, અને એમાંની એક તે આપણી ધરતી.

એનાથી ય નાના પદાર્થો  એ ગ્રહોની આજુબાજુ ફરવા લાગ્યા. ધરતીની સાવ નજીક હોવાને કારણે એની આજુબાજુ ફરતો બની ગયો તે આપણો ચન્દ્ર.

સૌથી નાના બાળકો એટલે ગુરુ અને મંગળના ગ્રહની વચ્ચે ફરતી રહેલી, ઓરડાની ફર્શ પરની ધૂળ જેવી ઉલ્કાઓ – કોઈક મોટી તો કોઈક નાની. એ રજકણોની સતત વર્ષા બધા ગ્રહો પર અને ધરતી પર થતી જ રહે.

સાડા છ કરોડ વર્ષ પહેલાં …..

એ જમાનામાં ધરતી પર અલગ અલગ ખંડો ન હતા. એક મોટો જમીનનો સમૂહ હતો, માણસ જાતે આપેલું  નામ – ગોન્ડવાના લેન્ડ. અને તેના ખાડામાં ભરાયેલાં પાણીનો તેનાથી મોટો સમૂહ હતો –  એક મહાન મહાસાગર. બન્નેમાં જાતજાતનાં અને ભાતભાતનાં પ્રચંડકાય ડિનોસોર મહાલતાં હતાં. કોઈ વનસ્પતિ આહારી તો કોઈ માંસાહારી. એમના કદને અનુરૂપ, પ્રચંડ કદવાળાં વૃક્ષોનાં જંગલો પણ સમસ્ત ધરતીને આવરી રહેલાં હતાં. આ ચિત્રવિચિત્ર દુનિયાનો વ્યવહાર રાબેતા મુજબ ચાલી રહ્યો હતો. જુરાસિક પછીના ક્રિટેશિયસ યુગની સંધ્યાનો એ અંતિમ તબક્કો હતો. એક નવા યુગની ઉષા ઊગવાની હતી.

કોઈક ધૂમકેતુના સૂર્યની નજીક આવવાના કારણે, મસમોટી એક ઉલ્કાની ગતિ બદલાઈ. તે પૃથ્વીની થોડીક નજીક સરકી. પછી તો તે સરકતી જ ગઈ – સરકતી જ ગઈ. જેમ નજીક આવતી ગઈ તેમ તેનો વેગ વધવા માંડ્યો. ધરતી તેને પોતાની ગોદમાં લેવા આતુર હતી ને?!

ધરતી કરતાં આમ તો તે ઉલ્કા સાવ નાનકડી જ હતી. માંડ 6 માઈલના વ્યાસ વાળી, વજન માત્ર દસ લાખ ટન. જો થોડીક દૂર રહી હોત તો, પૃથ્વીથી થોડે દૂર રહી, પાછી સૂર્યમાળાના એક રજકણની જેમ ફરતી રહી હોત. પણ ભવિતવ્ય કાંઈક અલગ જ હતું. આ માયા ધરતીમાં સમાઈ જવા આતુર હતી.

અંધાર ઘેરી એ રાત હતી. ઈવડી એ ઉલ્કા કલાકના 7,000 માઈલની ઝડપે ગોન્ડવાના લેન્ડ ઉપર ખાબકી. દસ લાખ ટન વજનની ઉલ્કા અને કલાકના 7,000 માઈલ.

(એક ટન વજનની કાર એક શીલા સાથે કલાકના 60 માઈલની ઝડપે અથડાય તો એના ભુક્કા બોલી જાય. કલાકના 600 માઈલની ઝડપે અથડાય તો, તે આગનો અને ઓગળેલા લોખંડનો ગોળો બની જાય. પેલી શીલા પર તો નાનો અમથો ગોબો પડે એટલું જ. કલાકના 6,000 માઈલની ઝડપે અથડાય તો? આખી શીલાના ભૂક્કે ભુક્કા બોલી જાય અને તે બળવા લાગે!)

અને પેલી માયા તો માળી ખાબકી હોં! મધરાતે સો સો સૂર્ય ઝળહળી રહ્યા હોય એટલું અજવાળું થઈ ગયું. બળબળતી એ ઉલ્કા  કંઈ કેટલા ય માઈલની ઝડપે – બહુ જ ઊંડે ને ઊંડે – ધરતીના પડને ચીરીને ધગધગતા લાવાની અંદર ખાબકી એ તો.

ખર્વોના ખર્વોની સંખ્યામાં ફટાકડા ફૂટતા હોય એમ, સેંકડો જ્વાળામુખીઓ ભભૂકી ઉઠ્યા. ધરતીના ટુકડે ટુકડા થઈ ગયા. મહાસાગરનાં પાણી ધગધગતી વરાળ બનવા માંડ્યા અને આખા પર્યાવરણમાં ફેલાવા માંડ્યા. ધરતીમાંથી નીકળેલી લાવારસની જ્વાળા પણ આની હોડ બકતી ચોગમ ફેલાવા લાગી.

આ બે બળબળતી માયાઓ વચ્ચેનું તુમુલ યુદ્ધ, વર્ષો સુધી જારી રહ્યું. બળબળતા અગ્નિ અને વરાળનું આ મહાવાદળ ધરતીને વીંટળાઈને પર્યાવરણની બહારની સપાટી સુધી પહોંચી ગયું. અને ત્યાં પહોંચતાની સાથે જ શૂન્યાવકાશની અત્યંત ઠંડીથી ઠરવા માંડ્યું.

ધરતી ઉપર શી હાલત હતી? બળબળતી ગરમી અને કરોડો તીવ્ર માત્રાના ધરતીકંપોનાં સતત જારી રહેતા આંચકાઓ વચ્ચે જંગલો અને પ્રાણીઓ બળીને ભસ્મ થઈ ગયા. પૃથ્વી પરનો પ્રાણવાયુ એમને બાળવા માટે પુરતો ન હતો. અબજો પ્રાણીઓનાં ભડથું થઈ ગયેલાં ખોળિયાં અને કાળા ભંઠ કોલસા બની ગયેલાં જંગલો. ધૂળ અને ખડકોના ઢગલે ઢગલા. બળબળતા વાયરાની સંગાથે આ બધાનાં ચક્રવાત અને પ્રતિચક્રવાત – એક જગ્યાએ નહીં – ઠેર ઠેર.

ધરતી પરનું અને વાતાવરણનું આ તાંડવ ધીમે ધીમે શમવા લાગ્યું. ઘટાટોપ ધૂળ અને પાણીની બાષ્પનાં વાદળો ટુકડે ટુકડા થઈ ગયેલી ધરતી પર છવાઈ ગયાં. ધૂળની સાથે લાવામાંથી નીકળેલો સલ્ફર પણ હતો જ ને? એસીડની વર્ષા રહી સહી જીવસૃષ્ટિનું નિકંદન કરતી રહી. પ્રચંડ ઉષ્ણતામાનનું સ્થાન હવે પ્રચંડ ઠંડી લેવા માંડી. સમસ્ત ધરતી પર બરફ છવાઈ ગયો.

સેંકડો વર્ષોની ઠંડી અને અંધાર ઘેરી એ રાત હતી. કોઈ જીવ કે વનસ્પતિનું અસ્તીત્વ શક્ય જ ન હતું. એ બધી સલ્તનતો નષ્ટપ્રાય થઈ ચૂકી હતી. ધરતીના ગર્ભમાં એક નવી સૃષ્ટિ આકાર લઈ રહી હતી. એક નવી જ શક્યતાના બીજનું સેવન કરીને ધરતી ઠંડીગાર બનીને ચુપચાપ સૂતી રહી. એક નવા યુગની ઉષા, સૂર્યના કિરણોથી એ બીજને સેવવા, પોતાના પ્રસવની પ્રતીક્ષા કરી રહી હતી.

અપ્રતિમ,
અભૂતપૂર્વ,
ન ભૂતો ન ભવિષ્યતિ
–
ઉલ્કાપાત.

પણ બીગ બેન્ગની તુલનામાં? એક રજકણ જેવી ધરતી ઉપર હવાની લ્હેરખી માત્ર લહેરાઈ હતી! સમષ્ટિના સ્થળ અને સમયના પરિમાણના પરિપ્રેક્ષ્યમાં, ક્ષણાર્ધનાય સાવ નાનકડા ભાગ જેવી એક પળ માટે, એક નાનકડી રજકણે પોતાનાથી અત્યંત નાના પાવડરની કણી સાથે આશ્લેષ અનુભવ્યો હતો.

પરિવર્તન, પરિવર્તન, પરિવર્તન – પ્રચંડ પરિવર્તન.

e.mail : surpad2017@gmail.com

Loading

સરકાર કહે છે કે ભાવ વધવા દીધા નથી ને ભાવ તો વધે જ છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|3 April 2026

રવીન્દ્ર પારેખ

બે દિવસ પર જ વડા પ્રધાને કહ્યું કે વૈશ્વિક સ્તરે ઇંધણના ભાવમાં ભારે વધારા છતાં, તેમની સરકારે દેશમાં પેટ્રોલ, ડિઝલના ભાવ વધવા દીધા નથી. એ ખરું કે નાના મોટા સુપર પાવર દેશોમાં પણ ડિઝલ અને પેટ્રોલના ભાવમાં 10 ટકા-25 ટકાનો વધારો થયો છે, પણ ભારતની સફળ વિદેશ નીતિ અને સરકારી પ્રયત્નોને લીધે વૈશ્વિક ભાવ વધારાની અસર ભારતની જનતાને બહુ થઈ નથી. એક્સાઈઝ ડ્યૂટી ઘટાડીને પણ ભારતે ઇંધણના ભાવ પર નિયંત્રણ મેળવ્યું છે, પણ એપ્રિલ શરૂ થતાં જ સામાન્ય લોકોને મોંઘવારીનો માર પડ્યો છે. નાયરા કંપની દ્વારા પેટ્રોલ ડિઝલમાં વધારા બાદ હવે શેલ ઇન્ડિયાએ પણ પેટ્રોલ-ડિઝલના ભાવ વધાર્યા છે. ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયો હોવાથી, ખાનગી કંપનીઓએ નુકસાની સરભર કરવા ઇંધણના ભાવમાં વધારો કર્યો છે. બેંગલુરૂમાં પેટ્રોલના ભાવમાં લિટરે 7.41નો અને ડિઝલમાં 25 રૂપિયાનો વધારો થયો છે. આ વધારા બાદ સામાન્ય ડિઝલની કિંમત શેલ ઇન્ડિયામાં 123.52 અને પ્રીમિયમ વેરિઅંટની કિંમત 133.52 પ્રતિ લિટર થઈ છે. બેંગલુરુમાં સામાન્ય પેટ્રોલ 119.85 અને પાવર પટ્રોલ 129.85ના ભાવે વેચાઈ રહ્યું છે. VAT અને પરિવહન ખર્ચને કારણે અન્ય શહેર કે રાજ્યમાં ભાવમાં થોડો ફેર પડ્યો હશે, પણ કુલ મળીને આખા દેશમાં શેલના આઉટલેટ્સ પર ગ્રાહકોના ગજવાં હલકાં થઈ રહ્યાં છે. એ ખરું કે સરકારી કંપનીઓ (IOCL, BPCL,HPCL) એ ક્રૂડની કિંમતો વધી રહી હોવા છતાં સરકારના હસ્તક્ષેપને લીધે ભાવ નિયંત્રણમાં રાખ્યા છે.

ઇંધણની જે તંગી ઊભી થયેલી દેખાય છે, તેમાં લોકોનો ફાળો પણ ઓછો નથી. સરકારે વારંવાર લોકોને કહ્યું કે દેશમાં પૂરતાં પ્રમાણમાં પેટ્રોલ, ડિઝલ, ગેસ છે, તેમ છતાં જેમની પાસે મહિનો ચાલે એટલો એલ.પી.જી. હોવા છતાં ઊંચા ભાવ આપીને બે કે તેથી વધુ બાટલા ખરીદી લેવાયા છે. વાહનોમાં પણ જરૂર હોય તેથી વધુ પેટ્રોલ ભરાવાઈ રહ્યું છે. આવું એટલે પણ છે કે લોકોને સરકારની વાતોમાં વિશ્વાસ નથી. તે જે બતાવે છે, તેથી ચિત્ર ઊલટું જ બને છે. આમ બનવાનું કારણ કોરોના વખતે લોકોએ આમ જ સરકાર પરનો ભરોસો ખોઈ દીધેલો તે છે. એ વખતે ઓક્સિજનની તંગી નથી, એવું ચલાવેલું ને જ્યારે જરૂર પડી ત્યારે સરકારે હાથ ઊંચા કરી દીધા હતા. આ વખતે પણ એવું જ થયું. ગેસની ચિંતા કરવાની જરૂર નથી એમ કહેવાયું, પણ ગેસની તંગી હળવી થઈ નથી. રાંધણ ગેસની એટલી અછત નથી, પણ કમર્શિયલ ગેસની તંગી તો છે જ. આ ગેસના અભાવમાં ઘણી ફેકટરીઓ બંધ થઇ ગઈ છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ, સુરતની ટેક્સટાઇલ માર્કેટોમાં કારોબાર થોડા દિવસ થોભાવવાની વાત એનાં ઉદાહરણો છે. આવી જ સ્થિતિ અન્ય શહેરોની પણ છે. સરકારે કમ સે કમ એ સ્થિતિ ઊભી કરવી જોઈએ કે લાઈનો લાગતી બંધ થાય, શક્ય હોય ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમ થાય ને લોકો નોકરી ધંધાના સ્થળે પહોંચી શકે એટલું ઇંધણ મળી રહે તે અપેક્ષિત છે.

નવાં નાણાંકીય વર્ષમાં અત્યારે શી હાલત છે તે જોવા જેવી છે. પશ્ચિમ એશિયાની યુદ્ધની સ્થિતિ અને ભારતમાં મોંઘવારીને જોતાં સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. ક્રૂડનો ભાવ 100 ડોલરની ઉપર જતાં તેની સીધી અસર ભારતમાં વર્તાઈ રહી છે. શેલ ઇન્ડિયા કંપનીએ પોતાનાં પમ્પો પર પેટ્રોલ, ડીઝલના ભાવમાં લિટરે ખાસા ભાવ વધાર્યા છે. એ પહેલાં નાયરાએ ભાવ વધારી દીધા છે. હાલમાં એલ.પી.જી. સિલિન્ડરની તંગી વચ્ચે લાઈનો લાગે છે. એવામાં સરકારી ક્મ્પનીઓએ બુધવારે કમર્શિયલ એલ.પી.જી.નો ભાવ વધારી દીધો છે. પાંચ કિલોના મિનિ સિલિન્ડરનો ભાવ 51 અને 19 કિલોના સિલિન્ડરનો ભાવ 195થી 218 રૂપિયા સુધી વધી ગયો છે. આ વધારાની સાથે જ 19 કિલોનાં સિલિન્ડરનો ભાવ 2,000ને પાર પહોંચી ગયો છે. દિલ્હીનો ભાવ 2,078 અને મુંબઈનો ભાવ 2,031 થઈ ગયો છે. આ ભાવ વધારાને પગલે પરિવહન સંબંધિત બીજી ચીજ વસ્તુઓના પણ ભાવ વધ્યા છે ને હજી વધે એવી પૂરી શક્યતાઓ છે.

ઇંધણના ભાવ વધ્યા તે સાથે વિમાની ઇંધણ પણ બહુ મોંઘું થયું છે. ડોમેસ્ટિક એરલાઈન્સ માટે ભાવ પ્રતિ કિલો લિટરે 8,289.04 વધતાં 8.56 ટકાનો વધારો થયો છે, એટલે કે ભાવ 96,638.14થી વધીને 1,10,703.08 થયો. બીજા શબ્દોમાં ATFનો ભાવ લાખ રૂપિયાને વટાવી ગયો છે. એટલે એરલાઈન્સ કંપનીઓ વિમાનનાં ભાડામાં વધારો કરે તેવાં પૂરતાં કારણો છે. ઇન્ડિગોનાં વિમાન ભાડાં તો સ્થાનિક 930 અને આંતરરાષ્ટ્રીય 10,000 સુધી વધી ગયા છે.  ટૂંકમાં, નવાં નાણાંકીય વર્ષની શરૂઆત મોંઘવારીના ભાવથી થઈ છે. એડહોક, ચાર્ટર, નોન શિડ્યુલ ફલાઈટનું ATF 100 ટકા વધીને 2 લાખ થયું છે. અગાઉ એ ભાવ 1,10,703 હતો તે બમણો થઈને 2,07,341 થયો છે. જેને પગલે આંતરરાષ્ટ્રીય વિમાની મુસાફરી મોંઘી થઈ ગઈ છે.

એ છે કે જે પરિવહન ડિઝલ, પેટ્રોલ પર નિર્ભર છે તેની સાથે જોડાયેલી તમામ ચીજ વસ્તુઓના ભાવ વધી જ રહ્યા છે ને જેમ જેમ ઇંધણ મોંઘુ થશે, તેમ તેમ તેને સંલગ્ન ચીજ વસ્તુઓના ભાવ વધશે જ એમાં શંકા નથી. એક તરફ જીવન રક્ષક દવાઓના ભાવ સરકાર ઘટાડતી જાય છે, પણ હવે દવાઓ પણ મોંઘી થઈ રહી છે. લિવર, કિડની, બી,પી,, સુગર, તાવ…ને લગતી 900થી વધુ દવાઓ મોંઘી થઈ છે. જરૂરી દવાઓનો ભાવ 1 એપ્રિલથી વધી ગયો છે. જી.એસ.ટી. કપાયા પછી 10 ટકા વધુ કિંમતે દવાઓ ખરીદવી પડે એવી સ્થિતિ છે. આમ તો 60 ટકા ફાર્મા ક્મ્પનીઓએ તો જાન્યુઆરીમાં જ નવાં ઉત્પાદન પર ભાવ વધારી દીધેલાં, તેમાં ઇંધણનું બહાનું મળતાં વળી એક વાર ભાવ વધારવાની તક મળી ગઈ છે. આમ તો જાન્યુઆરી, 2026થી આવનારી દવાઓના ભાવ નવી એમ.આર.પી. મુજબ બદલાઈને આવશે એટલે 80 રૂપિયાની દવા પણ 90-95માં મળશે. દવાના ભાવ આમ પણ વધતા જ રહે છે, તેમાં ઇંધણે નવું બહાનું આપ્યું છે.

એટલું સ્પષ્ટ છે કે યુદ્ધની સ્થિતિએ અન્ય દેશોને અસરો પહોંચાડી જ છે, પણ ભારતને કદાચ વધુ અસરો થઈ છે. સરકાર તેનાથી બનતાં બધાં જ પગલાં લઈ રહી છે, પણ તે ટૂંકા પડે એમ છે. તાજેતરમાં જ વડા પ્રધાનની અધ્યક્ષતામાં યુદ્ધનાં સંકટ વચ્ચે યોજેલી એક બેઠકમાં લેવાયેલાં પગલાંની સમીક્ષા થઈ. બેઠકમાં વડા પ્રધાને જરૂરી ચીજ વસ્તુઓના ભાવ સ્થિર કરવા માટેનાં પગલાંની સમીક્ષા કરી હતી ને સંગ્રહખોરી અને કાળાબજાર અંગે કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો. વડા પ્રધાને એ પણ સુનિશ્ચિત કર્યું કે આવશ્યક સેવાઓની ઉપલબ્ધિ કેવીક છે, સાથે સાથે યુદ્ધનાં આ વૈશ્વિક કટોકટીના કાળની અસરોથી સામાન્ય નાગરિક પ્રભાવિત ન થાય ને એ માટે જે પગલાંઓ લેવાં જરૂરી હોય તે લેવાય. વડા પ્રધાનનું કહેવું છે કે એક મહિનાથી ખાદ્યપદાર્થના ભાવો સ્થિર રહ્યા છે. ભાવ પર નજર રાખવા કન્ટ્રોલ રૂમ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે એ સાથે જ રાજ્યો સાથે કેન્દ્ર પણ સતત સંપર્કમાં છે. આ ઉપરાંત દરિયાઈ માર્ગોને સુરક્ષિત કરવા માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે, એટલું જ નહીં, રાજદ્વારી પ્રયત્નો પણ ચાલુ જ છે.

આમ વૈશ્વિક કસોટીને પહોંચી વળવા સરકાર થાય તે પ્રયત્નો કરે જ છે, પણ શરૂઆતના તબક્કામાં સરકાર પણ પ્રજાની જેમ જ રઘવાઈ થઇ જાય છે ને પ્રજા જેમ ગેસ સિલિન્ડર માટે લાઈનો લગાવે છે, મોંઘા ભાવે સિલિન્ડર ખરીદી સંગ્રહખોરીમાં પડે છે, એમ જ સરકાર પણ વાસ્તવિક પરિસ્થિતિની જાણ કરવાને બદલે સબસલામતની ઘંટી વગાડવા લાગે છે ને કશાની અછત નથી એવી આલબેલ પોકારતી રહે છે, પછી લોકોને સાચી પરિસ્થિતિની જાણ થાય છે, તો સરકાર પરથી તેમનો ભરોસો તૂટવા લાગે છે. પછી સરકાર ગમે તેટલા થીંગડાં મારે તે ખાતર પર દિવેલ જેવાં જ છે. સરકારે એ સમજી લેવાનું રહે કે પ્રજા અસ્વસ્થ થાય તો ચાલે, પણ સરકારને અસ્વસ્થ થવાની છૂટ નથી …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 ઍપ્રિલ 2026

Loading

સંસદ અને ધારાગૃહોમાં સરકારોની કસોટી કરતો પ્રશ્નકાળ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|2 April 2026

ચંદુ મહેરિયા

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ આ વરસના બજેટ સત્રના પ્રશ્નકાળમાં સભ્યોને બિનજરૂરી લાંબાલચ્ચક જવાબો આપતા મંત્રીઓને “ભાષણ ના આપો”  તેમ કહીને ટપાર્યા હતા. સંક્ષિપ્ત સવાલ અને તેનો મુદ્દાસર સંક્ષિપ્ત જવાબની જરૂરિયાત પણ તેમણે ચીંધી હતી. ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્ર ૨૦૨૬ના પ્રશ્નકાળમાં ધારાસભ્યો વાંચીને પૂરક પ્રશ્નો પૂછતા હતા અને મંત્રીઓ પણ વાંચીને જવાબો આપતા હતા તે બાબતે અધ્યક્ષ શંકર ચૌધરીએ નારાજગી વ્યક્ત કરી હતી. સંસદ અને ધારાગૃહોમાં પ્રશ્નોત્તરીનો સમય સૌથી વધુ જીવંત અને સભ્યોની સૌથી વધુ હાજરી ધરાવતો હોય છે. તેમાં જનપ્રતિનિધિ એવા સાંસદો અને ધારાસભ્યો કોઈના લખી આપેલા પ્રશ્નો વાંચે અને મંત્રીશ્રીઓ પણ અગાઉથી નક્કી હોય તેમ વાંચીને જવાબો આપે તેનાથી તેમની મૌલિકતા કે પ્રશ્ન સાથેનો નાતો તો પરખાય છે, ગૃહની કાર્યવાહી કંટાળાજનક બની જાય છે. 

સંસદ અને રાજ્યોના વિધાનગૃહોના સત્રો ચાલુ હોય ત્યારે તેની બેઠકોનો આરંભ એક કલાકના પ્રશ્નકાળ(QUESTION HOUR)થી થાય છે. સામાન્ય રીતે પ્રશ્નોત્તરીનો સમય સવારના ૧૧ થી ૧૨ વાગ્યાનો હોય છે. અપવાદરૂપે નવેમ્બર ૨૦૧૪થી રાજ્યસભા પ્રશ્નકાળથી શરૂ થતી નથી. સંસદીય પ્રક્રિયાનો મહત્ત્વનો ભાગ એવો ધારાગૃહોનો પ્રશ્નકાળ ધાંધલ-ધમાલ કે પ્રશ્નોત્તરી સ્થગિત કરી અન્ય અગત્યના પ્રશ્નની ચર્ચા હાથ ધરવાની માંગણીમાં વેડફાઈ જતો હતો. તેના નિવારણ અર્થે રાજ્યસભાના તત્કાલીન અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિએ રાજ્યસભામાં તેનો સમય બદલીને ૧૨ થી ૧-નો કર્યો છે.

પ્રશ્નકાળ સરકારને લોકો પ્રતિ જવાબદાર બનાવવાનું મહત્ત્વનું સંસદીય ઉપકરણ છે. વહીવટી તંત્ર અને જનતા વચ્ચેનો સેતુ છે. સાંસદો અને ધારાસભ્યોને મળેલો મૂળભૂત અધિકાર છે. જેમાં તે સરકારને નિ:સંકોચ સવાલો કરી શકે છે અને મંત્રીઓ પણ તેના જવાબો આપવા અનિવાર્યપણે બાધ્ય છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પ્રશ્નો પૂછી શકે છે અને સરકારનું દાયિત્વ છે કે તે પ્રશ્નોના જવાબો આપે. પ્રશ્નો દ્વારા સાંસદો અને ધારાસભ્યો સરકારને વહીવટી કાર્યો, સરકારની નીતિઓ, લોકહિત સાથે જોડાયેલા મુદ્દાઓ, તેમના મતવિસ્તારની સમસ્યાઓ અને બીજી અનેક માહિતી અને જાણકારી મેળવે છે. 

મુખ્યત્વે ત્રણ પ્રકારના પ્રશ્નો હોય છે. જ્યારે સંસદ અને ધારાગૃહોનું સત્ર મળે ત્યારે પૂછાતા પ્રશ્નો તારાંકિત પ્રશ્નો કહેવાય છે. તારાંકિત પ્રશ્નોના લેખિત જવાબો આપવામાં આવે છે. ઉપરાંત તેની વિશેષતા એ છે કે તેના પર પૂરક પ્રશ્નો પૂછી શકાય છે. મૂળ પ્રશ્નકર્તા સભ્ય અને ગૃહના બીજા સભ્યો પણ પૂરક પ્રશ્નો પૂછી શકે છે. તેના પર વિષદ ચર્ચા થઈ શકે છે. સંવાદ, વાદવિવાદ પણ થાય છે. સભ્યો અને મંત્રીઓ બંનેની કસોટી  થતી હોય છે. સભ્યો જો કોઈના ઉછીના શબ્દો કે કોઈએ લખી આપેલા પ્રશ્નો પૂછતા હોય તો તેમને પૂરક પ્રશ્નોમાં તકલીફ પડે છે. એ જ રીતે મંત્રીઓ પોતાના વિભાગની કામગીરીથી કે તેને આનુષંગિક મુદ્દાઓથી કેટલા વાકેફ અને સચેત છે તેનું માપ તેમના જવાબો પરથી નીકળી જાય છે. ઘણીવાર મંત્રી જવાબ ન આપી શકે ત્યારે સિનિયર મંત્રી કે વડા પ્રધાન / મુખ્ય મંત્રી દરમિયાનગીરી કરી શકે છે.

અતારાંકિત પ્રશ્નો ગૃહ ચાલુ હોય કે બંધ હોય એવા કોઈપણ સમયે પૂછી શકાય છે. તેનો લેખિત જવાબ મળે છે. સદનના પટલ પર પણ તે સવાલ-જવાબ મૂકવામાં આવે છે પરંતુ અતાંરાકિત પ્રશ્નોની મર્યાદા એ છે કે તેના પર ચર્ચા થઈ શકતી નથી કે પૂરક પ્રશ્નો પૂછી શકાતા નથી. તારાંકિત પ્રશ્ન જ્યારે ગૃહમાં ચર્ચાય અને કોઈ એક પ્રશ્ન પર ગૃહના ઘણા સભ્યો સવાલ પૂછવાની રુચિ દર્શાવે તો અધ્યક્ષ તેના પર અડધો કલાકની જુદી ચર્ચાની મંજૂરી આપી શકે છે. સભ્યો કોઈ જનહિતના મુદ્દે સરકારને ટૂંકી મુદ્દતની નોટિસથી પ્રશ્ન પૂછી શકે છે અને તેના પર ચર્ચા થાય છે.

સાંસદો અને ધારાસભ્યોના પ્રશ્નોમાંથી સ્વીકૃત પ્રશ્નોની સૂચિ તૈયાર કરવાનું કામ સંસદ કે ધારાગૃહોના અધ્યક્ષોના કાર્યાલયો કરે છે. સ્વીકૃત પ્રશ્નોની ગૃહમાં પ્રાયોરિટી પણ તેઓ જ નક્કી કરે છે. સંસદમાં રોજના આશરે ૨૦૦ અને ધારાગૃહોમાં ૧૫૦ પ્રશ્નોના જવાબો મળે છે પરંતુ પ્રાથમિકતાના ધોરણે પસંદ થયેલા દસ કે વીસ જ પ્રશ્નોની ચર્ચા થઈ શકે છે. પ્રશ્નકાળમાં ઉઠાવાતા પ્રશ્નો મારફતે સરકારી કામકાજની તપાસ, નાણાંકીય અનિયમિતતા ઉજાગર કરવી, જનહિતના પ્રશ્નો ઉઠાવવા અને સરકારના કામકાજની સફળતા કે સિદ્ધિઓ દર્શાવવાનો ઉદ્દેશ છે. 

ભારતના બંધારણમાં પ્રશ્નકાળનો કોઈ સીધો ઉલ્લેખ જોવા મળતો નથી. પરંતુ બંધારણના આર્ટિકલ ૧૧૩ હેઠળ સંસદની પ્રક્રિયા અને સંચાલન સંબંધી નિયમો હેઠળ તે આવે છે. પ્રશ્નકાળનું મૂળ બ્રિટિશ સંસદીય પ્રણાલીમાં રહેલું છે. સંસદીય લોકશાહીને વરેલા મોટા ભાગના દેશોમાં પ્રશ્નકાળનું અસ્તિત્વ જોવા મળે છે. ઈ.સ. ૧૭૨૧માં બ્રિટિશ સંસદના હાઊસ ઓફ લોર્ડસમાં પ્રશ્નકાળનો પહેલવહેલો આરંભ જોવા મળ્યો છે. હાઉસ ઓફ કોમન્સમાં સૌથી પહેલો પ્રશ્ન ૧૮૩૫માં પૂછાયો હતો. ૧૯૬૧માં બ્રિટિનમાં PMQ કે પાઈમ મિનિસ્ટર ક્વેસ્ચન શરૂ થયા હતા. જેમાં સભ્યોના સવાલોના જવાબો બિટિશ વડા પ્રધાને આપવાના હોય છે. 

ભારતીય લોકતંત્રના ચાર પાયા પૈકી કાર્યપાલિકાને સવાલો કરવાની શરૂઆત ૧૮૯૨ના ઇન્ડિયન કાઉન્સિલ એક્ટમાં જોવા મળે છે. ૧૮૯૩માં ભારતની પાર્લામેન્ટમાં પૂછાયેલો સૌથી પહેલો સવાલ અંગ્રેજ સરકારી અધિકારીઓ ગામડાની મુલાકાતો લે છે કે પ્રવાસો કરે છે ત્યારે નાના દુકાનદારો પર તેમના પ્રવાસનો બોજો પડે છે તે અંગે હતો. ૧૯૦૯માં એકટમાં સુધારો કરીને પૂરક પ્રશ્નોની જોગવાઈ થઈ હતી. આઝાદીપછી લોકસભા અને રાજ્યસભામાં ૧૯૫૨થી પ્રશ્નકાળનો આરંભ થયો હતો. ૧૯૯૧થી સંસદની કાર્યવાહીનું ટી.વી. પર જીવંત પ્રસારણ થતાં લોકોને તેમના જનપ્રતિનિધિઓની કામગીરીનો સીધો પરિચય મળતો થયો. જો કે ગુજરાત સહિતની ઘણાં રાજ્યોની વિધાનસભા કામગીરીનું જીવંત પ્રસારણ થતું નથી. 

ધીરે ધીરે વિકસેલો પ્રશ્નકાળ આજે તેના પતન તરફ જઈ રહ્યો હોય તેવું લાગે છે. હવે સરકારો પોતાની વાહવાહી થાય તેવા પ્રશ્નો જાતે જ તૈયાર કરીને પૂછાવતી હોય છે. ગુજરાતમાં પણ પ્રશ્નોત્તરીના પ્રશ્નો શાસક જ નહીં વિપક્ષના નેતાઓના કાર્યાલયો તૈયાર કરતાં હોવાનું કહેવાય છે. એટલે તેની પ્રસ્તુતતા ઘટતી રહી છે. સરકારની કસોટી થાય તેવા પ્રશ્નો ન પૂછવામાં આવે તેની કાળજી લેવાય છે. ૧૯૫૭ના વરસમાં લોકસભામાં ફિરોઝ ગાંધીના એક સવાલ પરથી મુંદ્રા કૌભાંડ છતું થયું હતું અને તે સમયના નાણાં મંત્રી ટી.ટી. ક્રિષ્ણમાચારીને રાજીનામું આપવાનો વારો આવ્યો હતો. હવે તો રાહુલ ગાંધી અને રંજન ગોગોઈએ અનુક્રમે લોકસભા અને રાજ્યસભામાં એકેય પ્રશ્ન પૂછ્યો નથી તે સમાચાર બને છે. વિપક્ષના નેતા અને રાજ્યસભાના નિયુક્ત સભ્યને મંત્રીઓને કોઈ સવાલ કરવાનું મન ન થાય તેના પરથી પ્રશ્નકાળનું ભાવિ અને પ્રાસંગિકતા જણાઈ આવે છે.

e.mail : maheriyachandu@gmail.com 

Loading

...10...18192021...304050...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved