Opinion Magazine
Number of visits: 10080258
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આધુનિકતાની વ્યાખ્યા શી?

આશા બૂચ|Opinion - Opinion|20 July 2026

થોડા દિવસ પહેલાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના વિભાગીય નિવૃત્ત ડાયરેક્ટર આર. ગુરુમૂર્થીનો 5/7/2026ના દિને પ્રકાશિત થયેલો ઉપરોક્ત શીર્ષક હેઠળ લખેલો લેખ વાંચવામાં આવ્યો. તેનું ભાષાંતર અહીં પ્રસ્તુત.

− આશા બૂચ

આર. ગુરુમૂર્થી

આધુનિકતાનું માપ આપણે કેટલાં મકાનોનું બાંધકામ કરીએ છીએ તેમાં નથી. આપણે શું બનીએ છીએ એ આધુનિકતાની પારાશીશી છે. આજકાલ દરેક દેશ આધુનિક થવાની હોડથી ગ્રસિત છે.

આપણે વિકાસને દેશની કુલ સરેરાશ આવકથી માપીએ છીએ, કેટલાં એરપોર્ટ બાંધ્યાં, કેટલી બુલેટ ટ્રેન ધરાવીએ છીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો કેટલો વપરાશ છે, તમામ આર્થિક વ્યવહાર ડિજિટલ ચુકવણીથી થાય છે કે નહીં અને કેટલા કાચનાં ગગનચુંબી બહુમાળી મકાનો છે તેના પરથી તોળીએ છીએ.

ઇતિહાસ આપણી સમક્ષ ઘણા મુશ્કેલ સવાલો ધરે છે.

સવાલ : કોઈ સમાજ માત્ર નવીન કે આધુનિક સાધનો વસાવવાથી જ આધુનિક બની જાય છે?

ઉત્તર : આધુનિકતા એ કોઈ એન્જિનિયરીંગ કુશળતાથી મેળવેલી સિદ્ધિ નથી. એ નૈતિક ઉપલબ્ધિ છે.

અર્વાચીનતા ક્ષિતિજ રેખા બદલે છે, આધુનિકતા માનસિક ખ્યાલો બદલે છે.

આ બંને ઘટનાઓ સાથે સાથે ચાલે છે, પણ તે એક સમાન નથી. કોઈ દેશ દુનિયામાં ઉત્તમોત્તમ એરપોર્ટ બાંધી શકે, અને છતાં લાંચ-રૂશ્વત સહી લે એવું બને. કોઈ મુલક સેટેલાઇટ અવકાશમાં તરતો મૂકી શકે, પણ તેના નાગરિકો હરોળ કૂદીને આગળ નીકળી જવાની મનોવૃત્તિ ધરાવતા હોય. ઘણા લોકો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના ઉપયોગને સ્વીકારે પણ પોતાની ભૂલોનો અસ્વીકાર કરે. ઘણા દેશોમાં ટેક્નોલોજી વિસ્મયકારક ઝડપથી આગળ વધતી જોવા મળે છે, જ્યારે ત્યાંના નાગરિકોનું વર્તન મધ્યકાલીન યુગ જેવું હોય છે.

ખરી આધુનિકતા કેવી હોય છે તેની યાદ આપણને જાપાન આપે છે. મુલાકાતીઓ શિંકાનસેન (જાપાનની અતિ ઝડપી ટ્રેન સર્વિસ) જોઈને મંત્ર મુગ્ધ થતા હોય છે, પરંતુ વધુ આશ્ચર્ય પમાડે એવી હકીકત તો આવી સિદ્ધિ મેળવી શકાય તેવી તેમની સંસ્કૃતિમાં છે. સમયપાલનનો આદર કરવામાં આવે છે, તેથી તમામ ટ્રેન સમયસર જાય-આવે. કોઈનું ખોવાઈ ગયેલું પાકીટ પરત કરવામાં આવે છે કેમ કે પ્રામાણિકતા એ સહજ ગુણ ગણાય છે. ઉત્પાદક કંપની ખામી વાળી વસ્તુ બજારમાંથી હટાવી લે છે કેમ કે નફા કરતાં નીતિમત્તાનું મહત્ત્વ વધારે છે. જાહેર સ્થળો અત્યંત ચોખ્ખાં રહે છે કેમ કે નાગરિકો એમ નથી માનતા કે પોતે ગંદકી કરે તે બીજા સાફ કરે.

ટેકનોલોજીની આયાત કરી શકાય; ચારિત્ર્યની નહીં.

સ્કેન્ડિનેવિયન દેશો બીજો પાઠ ભણાવે છે. એ  દેશોની સમૃદ્ધિ હોદ્દેદારોના વિશેષાધિકારોના અભાવ સાથે તાલ મિલાવે છે. સરકારી મંત્રીઓ જાહેર વાહનોમાં મુસાફરી કરે, કામનાં સ્થળે સાઇકલ ચલાવીને જાય અને એવી સાદગીથી રહે છે કે ઘણા વિકસતા દેશોને તેનો અચંબો થાય. આત્મવિશ્વાસને દેખાવ કરવાની જરૂર નથી પડતી હોતી. સરકારી નોકરી સેવા કરવાની તક માનવામાં આવે છે, નહીં કે દરજ્જા અને માન મરતબો મેળવવાનું સાધન.

સાચો આધુનિક માનવી કે દેશ પોતાની આધુનિકતાની જાહેરખબર ન કરે.

એવા લોકોની સિદ્ધિ એમાં છે, જે અર્થશાસ્ત્રીઓ ભાગ્યે જ માપતા હોય છે. તે છે ‘વિશ્વાસ’. નાગરિકો સંસ્થા કે સંગઠન પર વિશ્વાસ મૂકે છે કેમ કે એ સંસ્થાઓ એવું વર્તન કરે છે, જે વિશ્વાસને પાત્ર ઠરે છે. લેવડ-દેવડ સસ્તું બને છે, વહીવટ સરળ બને છે અને સમૃદ્ધિ વધુ ટકાઉ બને છે કારણ કે પ્રામાણિકતાથી તમામ વહીવટ થતો હોવાને કારણે અંતહીન જમાદારીની જરૂર નથી રહેતી.

આધુનિકતાનું એક બીજું પણ લક્ષણ છે જેના પર ઘણું ઓછું ધ્યાન ખેંચાય છે. તે છે, સીમા રેખાની આદરપૂર્વક જાળવણી. આધુનિક સમાજ સમજે છે કે પોતાની સ્વતંત્રતા અન્યને માટે ઉપાધિ ઊભી કરવાનો પરવાનો નથી. મારે ઘેર પ્રસંગ ઉજવવાની સ્વતંત્રતા મારા પાડોશીની ઊંઘ હરામ કરી દેનારી ન બની શકે. મારી અઢળક ધન સંપત્તિ કોઈ જાહેર સ્થળ અંગત મિલકત હોય એ રીતે તેના પર કબજો જમાવવાનો અધિકાર મને નથી આપી શકતી. મારી સફળતા મારી તાકાતનું અતિશય ઘોંઘાટ કરીને, પ્રદૂષણ વધે તેવા જશમ મનાવીને, ધાકધમકીથી અન્ય પાસે કામ કરાવીને કે આડંબરનું પ્રદર્શન કરીને ઉત્સવ મનાવવાની  પરવાનગી નથી આપતી. કાનને બહેરા કરી મુકતા લાઉડ સ્પીકર હોય, બેપરવાઈભર્યું ડ્રાઇવિંગ હોય, ફૂટપાથની જગ્યા પચાવી પાડવાની વાત હોય, રસ્તા પર કચરો ફેંકવાની ટેવ હોય કે પોતાના ઘરના બેઠક રૂમનું જ વિસ્તૃત રૂપ હોય એ રીતે જાહેર સ્થળોનો ઉપયોગ કરવાની આદત હોય; એ તમામ બીજાની અંગત જગ્યાને અવગણતા વર્તન મૂળથી જ અન-આધુનિક ગણાવા જોઈએ.

જ્યાં સ્વયં શિસ્ત શરૂ થાય ત્યાં સભ્યતાનાં શ્રીગણેશ થાય.

તત્ત્વચિંતક દ્વારા દર્શાવાયેલા વિરોધાભાસ સરળ છે. સમાજ જેમ જેમ પૂર્ણ વિકસિત થતો જાય તેમ તેમ તેના વર્તનને નિયમમાં રાખવા માટે ઓછામાં ઓછા કાયદાની જરૂર રહેતી હોય છે. લોકો સદ્દવર્તન કરે છે કેમ કે તેઓને સમજાય છે કે સ્વતંત્રતા ત્યારે જ બચવા પામે છે જ્યારે જવાબદારીના ભાન સાથે તેને મૃદુ બનાવવામાં આવે છે. અધિકારો ત્યારે જ ફૂલેફાલે છે જ્યારે તેમાં ફરજનો સાથ ભળે છે.

આ જ કારણસર સૌથી વધુ પ્રબળ સમાજ બળજબરી કે જુલમ અને સંપત્તિના દેખાડા પર ઓછો આધાર રાખે છે અને સાંસ્કૃતિક ધરોહર પર વધુ મદાર રાખે છે.

અપૂર્ણ કે અપરિપક્વ સમાજમાં સત્તાની હાજરીમાં જ શિસ્તનું અસ્તિત્વ ટકે છે. પોલીસ કોન્સ્ટેબલની હાજરીમાં જ ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં આવે છે. પોતાના ઘર કે ઓફિસ પર પોલીસનો છાપો પડવાની શક્યતા હોય તો જ આવક વેરો ભરવો અનિવાર્ય ગણાય છે. દરેક નિષ્ફ્ળતા માટે ઉત્તરદાયિત્વ સ્વીકારવાને બદલે બહાના રજૂ કરવામાં આવે છે.

સાચો આધુનિક આદમી કઈંક જુદા પ્રકારની સમજણ ધરાવે છે. ભૂલનો સ્વીકાર કરવો એ નિર્બળતાની નિશાની નથી. અન્ય વ્યક્તિની અંગત જગ્યાનો આદર કરવામાં કોઈ ઉદારતા નથી સમાયેલી હોતી. જ્યારે કોઈની દૃષ્ટિ તમારા પર ન હોય ત્યારે સમાનતા જાળવી રાખવી એ અપવાદ ન ગણવો જોઈએ. સુસંસ્કૃત આચરણનાં આ ન્યૂનતમ ધોરણો છે.

ઇતિહાસ આપણને આ હકીકત સૌમ્યતાથી યાદ અપાવે છે. નવજાગૃતિએ માનવીને જીવન જીવવાનું કારણ આપ્યું. ઔદ્યોગિક ક્રાંતિએ આપણે મશીનો આપ્યાં. ડિજિટલ ક્રાંતિએ તેને યાંત્રિક ગણતરી કરવાના નિયમો આપ્યા. અને છતાં તેમાંની એક પણ ક્રાંતિએ માનવીમાં શાણપણ આવશે તેની કોઈ ખાતરી ન આપી. વીસમી સદીએ આપણને બતાવી આપ્યું કે જે સમાજ અસાધારણ વૈજ્ઞાનિક સિદ્ધિઓ મેળવવાની શક્તિ ધરાવે છે એ જ સમાજ અસાધારણ નૈતિક અધઃપતનમાં સરી પાડવાની શક્યતા પણ ધરાવતો હોય છે.

ચારિત્ર્ય બળ વિનાની પ્રગતિ એ માત્ર કાર્યક્ષમતાનું પ્રદર્શન બની રહે છે.

આથી જ આધુનિકતા ગગનચુંબી ઇમારતોમાં, વીજ મથકોમાં કે ચલણી નાણાં વિનાના અર્થતંત્રમાં નથી જોવા મળતી. એ શાંત સ્થળોમાં જોવા મળે છે – એવા નાગરિકોમાં, જે ખોવાયેલ પાકીટ પાછું આપે છે, એવા ઓફિસરમાં, જે બહાનું બતાવવાને બદલે માફી માંગે છે, એવા મંત્રીમાં, જે બીજા નાગરિકોની સાથે લાઈનમાં ઊભા રહે છે, એવા ડ્રાઇવરમાં, જે બીજાં વાહનો ન હોવા છતાં લાલ બત્તી થતાં ઊભો રહે છે અને એવા પાડોશીઓમાં, જે પોતાની સ્વતંત્રતા જેટલી જ બીજાની શાંતિને પણ એટલી જ મહત્ત્વની ગણે છે.

બહુમાળી ભવનો કદાચ આર્થિક આબાદીની ઘોષણા કરી શકે.

માત્ર પ્રજાજનોનું આચરણ જ સભ્યતા દર્શાવી શકે છે.

અને સભ્યતા – સંસ્કૃતિ જ માનવ સમાજની આધુનિકતાની ઉત્કૃષ્ટ અભિવ્યક્તિ તરીકે જળવાઈ રહી છે.

e.mail : 71abuch@gmail.com

Loading

આપણી શિક્ષણવ્યવસ્થાનો સારઃ ગોટાળા, વિરોધ, અનિશ્ચિત ભાવિ અને યથાવત્ મંત્રી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|19 July 2026

આપણી શિક્ષણવ્યવસ્થાની હાલત કર્તા વિનાના વાક્ય જેવી થઈ ગઈ છે. જે મુદ્દા સાથે સોનમ વાંગચુકને સીધો સંબંધ નથી એ માટે તેઓ ઉપવાસ પર છે, પરંતુ જે શિક્ષણ પ્રધાને જવાબદારી સ્વીકારવી જોઈએ એ મૌન છે.

ચિરંતના ભટ્ટ

15મી મે સુધી બધું ઠેકાણે હતું. એ દિવસે ભારતના મુખ્ય ન્યાયાધીશે પોતાની અદાલતમાં એક કેસની સુનાવણી દરમિયાન ભાષાની મર્યાદા ઓળંગી અને દેશના કેટલાક બેરોજગાર યુવાનોને ‘કોકરોચ’ અને ‘પરોપજીવી’ ગણાવ્યા. ચોવીસ કલાક પછી બૉસ્ટનમાં પબ્લિક રિલેશન્સનો અભ્યાસ કરતા એક વિદ્યાર્થી, અભિજીત દીપકે આ શબ્દને પકડી લીધો અને તેની સામે દલીલો કરવાને બદલે તેને આમંત્રણ ગણ્યું. અઠવાડિયું પૂરું થાય ત્યાં સુધીમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ના બે કરોડથી વધુ ફૉલોઅર્સ થઈ ગયા હતા અને તેનું સૂત્ર જ એક આકરો કટાક્ષ હતો, જે હતુંઃ આળસુ અને બેરોજગારોનો અવાજ.

આ સમગ્ર ઘટનાને કાબૂ બહાર નીકળી ગયેલા એક મીમ તરીકે નકારી કાઢવી સહેલી છે. પરંતુ હકીકત તેનાથી લગભગ વિપરીત છેઃ આ એક એવી ધારદાર મજાક હતી, જેનો વાસ્તવિકતા સાથે સામનો થયા પછી પણ તેનો પ્રભાવ જળવાઈ રહ્યો. કારણ કે એ વ્યંગની નીચે એક નક્કર આઘાત છુપાયેલો હતો. ભારતમાં કોને મેડિકલનો અભ્યાસ કરવાની તક મળશે એ નક્કી કરતી NEET-UG 2026 પરીક્ષાની વિશ્વસનીયતા ત્રણ વર્ષમાં બીજી વખત જોખમાઈ હતી. છતાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પોતાના હોદ્દા પર યથાવત્ રહ્યા.

ઘટનાને વધુ નજીકથી જોઇએ તો હાસ્યાસ્પદ હદે નક્ક્રર દેખાય છે. 3 મેની પરીક્ષા પછી રાજસ્થાનના સીકરમાં એક કેમિસ્ટ્રી શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નપત્ર ઉકેલવાનું શરૂ કર્યું. ત્યારે તેમને જાણવા મળ્યું કે ફરતા થયેલા આશરે 4,100 ‘સંભવિત પ્રશ્નો’ના સંગ્રહમાંથી 120થી 140 પ્રશ્નો પરીક્ષાના પ્રશ્નપત્ર સાથે લગભગ શબ્દશઃ મળતા આવતા હતા.

આશરે 22.7 લાખ ઉમેદવારોએ આપેલી આ પરીક્ષા નવ દિવસ પછી રદ્દ કરવામાં આવી. CBIની તપાસમાં પેપર લીકની કેટલીક કડીઓ છેવટે લાતુરના એક કોચિંગ સેન્ટરના માલિક સુધી પહોંચી. આરોપ છે કે તેણે કેમિસ્ટ્રીનો વિભાગ મેળવવા માટે પાંચ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. તેના ફોનમાંથી મળી આવેલા મેટાડેટા પરથી કથિત રીતે જાણવા મળ્યું કે લીક થયેલા પ્રશ્નોના ફોટોગ્રાફ્સ પરીક્ષા થઈ તેના દસ દિવસ પહેલાં લેવાયા હતા.

હાલ 13 લોકો ન્યાયિક કસ્ટડીમાં છે. 21 જૂને અસાધારણ સુરક્ષા-વ્યવસ્થા વચ્ચે દેશભરમાં ફરી પરીક્ષા લેવામાં આવી. એ પેપરના ફોટોગ્રાફ કોણે પાડ્યા, એ કોણે ખરીદ્યું અને કોણે વેંચ્યું એ CBI કદાચ શોધી કાઢશે. પરંતુ, એક રાજકીય પ્રશ્નનો જવાબ CBI નહીં આપી શકેઃ એક જ રાષ્ટ્રીય પરીક્ષા એકથી વધુ વખત નિષ્ફળ જાય પછી શિક્ષણ મંત્રાલય સંભાળતા મંત્રી એ નિષ્ફળતાની જવાબદારી ક્યારે સ્વીકારશે?

ભારતનું આ પહેલું NEET કૌભાંડ નહોતું. 2024ની પરીક્ષામાં પણ પેપરની ચોરી, સંગઠિત ‘સૉલ્વર’ નેટવર્ક અને પરિણામોમાં ગેરરીતિના આરોપો સામે આવ્યા હતા. 2026માં ફરી થયેલું આ છીંડું પણ એ જ મંત્રીના કાર્યકાળમાં પડ્યું, મોદી સરકારમાં ધર્મેન્દ્ર પ્રધાનના કાર્યકાળને પાંચ વર્ષ પૂરા થવા આવ્યા ત્યારે આ ગોટાળો થયો.

2014થી અત્યાર સુધીમાં ભારતે ચાર શિક્ષણ પ્રધાન જોયા છે: સ્મૃતિ ઈરાની, પ્રકાશ જાવડેકર, રમેશ પોખરિયાલ અને ધર્મેન્દ્ર પ્રધાન. દરેકને વારસામાં લગભગ સરખી સમસ્યાઓ મળી હતીઃ અપૂરતું જાહેર રોકાણ, નીતિઓનો અસમાન અમલ, સંઘર્ષ કરતી યુનિવર્સિટીઓ અને સંગઠિત છેતરપિંડી સામે સતત વધુ અસુરક્ષિત બનતી પરીક્ષા-વ્યવસ્થા. નામ બદલાતાં રહ્યાં, પરંતુ નિષ્ફળતાઓ ટકી રહી. પ્રધાનની વિશેષતા માત્ર એટલી છે કે તેઓ આ હોદ્દા પર એટલો લાંબો સમય રહ્યા કે એક જ રાષ્ટ્રીય પરીક્ષાની વિશ્વસનીયતા તેમના કાર્યકાળમાં બે વખત જોખમાઈ.

ફોજદારી તપાસ અને રાજકીય જવાબદારી વચ્ચે તફાવત છે. તપાસ પૂછે છે કે ગુનો કોણે કર્યો. રાજકીય જવાબદારી પૂછે છે કે એ ગુનો થતો અટકાવવાની જવાબદારી કોની હતી.

ભારતે NEET કૌભાંડનો જવાબ ધરપકડો, તપાસો, પુનઃપરીક્ષા અને સુરક્ષાના વિસ્તૃત નવા નિયમોથી આપ્યો છે. છતાં આમાંથી એકેય પગલું એ પ્રશ્નનો જવાબ આપતું નથી કે જે મંત્રીની દેખરેખ હેઠળ વ્યવસ્થા વારંવાર નિષ્ફળ ગઈ, એ જ મંત્રીએ એની દેખરેખ રાખવાનું ચાલુ શા માટે રાખવું જોઈએ? તપાસ નીચે તરફ આગળ વધે છે; કોચિંગ સેન્ટરના માલિકો, દલાલો અને અધિકારીઓ તરફ, પરંતુ જવાબદારી ક્યારે ય સત્તાના ઉપરના સ્તર સુધી પહોંચતી નથી.

રાજકીય સમીક્ષક અને વિચારક પ્રતાપ ભાનુ મહેતાએ તાજેતરમાં પરીક્ષાને લગતા અન્ય એક કૌભાંડ વિશે લખતાં એ ટેવ તરફ આંગળી ચીંધી હતી, જે પોતાની નિષ્ફળતાઓનું વર્ણન કરવા માટે સત્તા દ્વારા વપરાતી ભાષામાં ધીમે-ધીમે પ્રવેશી ગઈ છે. પેપર લીક થાય છે, પરિણામોમાં ગોટાળો થાય છે, પરીક્ષાઓ રદ્દ થાય છે અને વ્યવસ્થા સાથે ચેડાં થાય છે અને આ બધું હંમેશાં એવી રીતે કહેવાય છે, જેમાંથી કર્તા ચૂપચાપ ગાયબ થઈ ગયો હોય છે. તેમનું કહેવું સાફ અને આકરું છેઃ વ્યાકરણના કર્તા વિના લોકશાહી સંભવ નથી.

ચાર મંત્રી અને બાર વર્ષથી સતત ચાલી રહેલી આ નિષ્ફળતા પછી ભારતનું શિક્ષણતંત્ર પાઠ્યપુસ્તકમાં મુકવા જેવું દૃષ્ટાંત બની ગયું છે. એક જ મંત્રી હેઠળ NEETની પરીક્ષાઓની વિશ્વસનીયતા બે વખત જોખમાઈ છે. ધરપકડો થઈ, તપાસો હાથ ધરાઈ અને વધુ કડક પ્રક્રિયાઓનાં વચન અપાયાં; પરંતુ ન તો કોઈએ રાજીનામું આપ્યું કે ન તો વ્યવસ્થાએ જે થવા દીધું એની રાજકીય જવાબદારી સ્વીકારતું એક સાદું વાક્ય ઉચ્ચારાયું.

નાણાકીય સ્થિતિમાં પણ ખાસ કશો ફેરફાર થયો નથી. આર્થિક સર્વેક્ષણ 2025–26 મુજબ, શિક્ષણ (જેમાં રમતગમત, કલા અને સંસ્કૃતિનો પણ સમાવેશ થાય છે) પર કેન્દ્ર અને રાજ્ય સરકારોનો સંયુક્ત ખર્ચ 2019–20માં GDPના 2.9 ટકા હતો, જે 2025–26ના બજેટના અંદાજ મુજબ ઘટીને 2.7 ટકા થયો છે; 2021–22થી આ આંકડો લગભગ 2.7 ટકાની આસપાસ જ રહ્યો છે. જુદી-જુદી સત્તાવાર ગણતરીઓ થોડા અલગ આંકડા આપે છે, પરંતુ એમાંથી એકેય આંકડો ભારતને લાંબા સમયથી અપાયેલા GDPના 6 ટકા ખર્ચના વાયદાની નજીક પહોંચાડતો નથી.

6 ટકાના આ લક્ષ્યાંકની ભલામણ સૌથી પહેલાં કોઠારી કમિશને 1964માં કરી હતી. 2020માં ભારતની પોતાની રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ પણ એનું પુનરાવર્તન કર્યું. જે આંકડા સુધી પહોંચવાનો એક પછી એક સરકારોએ ભાગ્યે જ કોઈ ઇરાદો દેખાડ્યો હોય, એ જ આંકડો વારંવાર દોહરાવતા રહેવા માટે 62 વર્ષ બહુ લાંબો સમય ન કહેવાય?

વચન અને ખર્ચ વચ્ચે, તપાસ અને જવાબદારી વચ્ચે રહેલી આ ખાઈમાં સોનમ વાંગચુકે પગ મૂક્યો છે. એટલે કે ઉપવાસ આદર્યા છે.

અભિજીત દીપકે

અભિજીત દીપકેના આંદોલનની મુખ્ય માગણી છે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અને તેની સાથે સમર્થન દર્શાવવા માટે વાંગચુકે 28 જૂને જંતરમંતર ખાતે અનિશ્ચિત મુદ્દતના ઉપવાસ શરૂ કર્યા. જુલાઈના મધ્ય સુધીમાં તેમનું વજન કથિત રીતે નવ કિલોથી વધુ ઘટી ગયું હતું. ડૉક્ટરોએ તેમની કથળતી તબિયત અંગે ચેતવણી આપી, જ્યારે દિલ્હી હાઈ કોર્ટે સત્તાવાળાઓને તેમના સ્વાસ્થ્ય પર દેખરેખ રાખવા અને તબીબી રીતે જરૂરી બને તો હસ્તક્ષેપ કરવાનો નિર્દેશ આપ્યો. વિપક્ષના નેતાઓએ તેમને ઉપવાસ સમાપ્ત કરવાની અપીલ કરી. પરંતુ આ લખાય છે ત્યાં સુધીમાં પણ સરકાર તરફથી આ માગણી વિશે ચર્ચા કરવાની તૈયારી દર્શાવતો કોઈ જાહેર સંકેત મળ્યો નથી.

આ સંઘર્ષમાં વાંગચુક પોતાની સાથે શું લઈને આવે છે અને શું નથી લાવતા એ વિશે પ્રામાણિક રહેવું જરૂરી છે. એક વર્ષથી પણ ઓછા સમય પહેલાં લદ્દાખમાં તેમના નેતૃત્વ હેઠળ થયેલા અન્ય એક ઉપવાસનો અંત સાવ જુદા સંજોગોમાં આવ્યો હતો. રાજ્યના દરજ્જા અને બંધારણીય સુરક્ષાની માગણી સાથે શરૂ થયેલા વિરોધ-પ્રદર્શન આગચંપી અને પોલીસ સાથેની અથડામણ સુધી પહોંચી ગયા હતા. પોલીસ ફાયરિંગમાં ચાર લોકોનાં મૃત્યુ થયાં હતાં. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વાંગચુક પર ઉશ્કેરણીજનક ભાષણો દ્વારા અશાંતિમાં ફાળો આપવાનો આરોપ મૂક્યો હતો. વાંગચુકે હિંસા ભડકાવ્યાનો ઇનકાર કર્યો હતો અને પોતે શાંતિ જાળવવાની અપીલ કરી હોવાનું કહ્યું હતું.

આ ઇતિહાસ આપણને કોઈ પણ ઉપવાસીને સવાલોથી પર રહેલા નિષ્કલંક સંતમાં ફેરવી નાખતાં રોકે છે. કોઈ વ્યક્તિ મંત્રી પાસેથી જવાબદારીની માગણી કરે છે એટલા માત્રથી લેહની પહેલેથી તંગ પરિસ્થિતિમાં તેની ભાષાએ કોઈ ભૂમિકા ભજવી હતી કે નહીં એવા સવાલોમાંથી તેને મુક્તિ મળી જતી નથી, ભલે તે સરકારના આરોપને નકારતા હોય.

પરંતુ વાંગચુકના ભૂતકાળ વિશે સવાલ ઉઠાવવો અને એ ભૂતકાળને આગળ ધરીને NEETના મૂળ પ્રશ્નને કોરાણે મૂકી દેવો, એ બે જુદી બાબતો છે. બીજા પ્રકારની દલીલ માટે એક શબ્દ છેઃ ‘વ્હોટઅબાઉટરી’. વાંગચુકે લદ્દાખમાં શું કહ્યું હતું એ તપાસવું જરૂરી છે, પરંતુ એના આધારે NEETનું પેપર લીક થયું કે નહીં, લાખો વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા કેમ આપવી પડી અને શિક્ષણ પ્રધાનની રાજકીય જવાબદારી બને છે કે નહીં, એ સવાલો અપ્રસ્તુત થઈ જતા નથી. એમ કરવું એટલે દુઃખે પેટ અને કૂટે માથું જેવો ઘાટ કરવો.

હકીકત એ પણ છે કે વાંગચુક અત્યારે જે માગણી માટે પોતાનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકી રહ્યા છે એની સાથે તેમનો કોઈ સીધો વ્યક્તિગત સંબંધ નથી. છતાં એ માગણીની પ્રાસંગિકતા ટકી રહે છે, કારણ કે એની પાછળ રહેલાં તથ્યો લેહ-લદ્દાખના બનાવોમાં વાંગચુકની ભૂમિકા શું હતી એના પર આધાર રાખતાં નથી. એ તથ્યો સીકરના કેમિસ્ટ્રી શિક્ષકની ગણતરી, એક ફોનમાંથી મળેલા મેટાડેટા, કોચિંગ સેન્ટર સુધી પહોંચતી નાણાંની કડી અને વર્ષોથી લગભગ સ્થિર રહેલો આંકડો દર્શાવતા આર્થિક સર્વેક્ષણના કોષ્ટક પર આધારિત છે.

બાય ધી વેઃ 

ભારત શિક્ષણ પર કેટલો ખર્ચ કરે છે અને એણે કેટલા ખર્ચનું વચન આપ્યું છે, એ બે આંકડા વચ્ચેના અંતરમાં ક્યાંક એ 22.7 લાખ વિદ્યાર્થીઓ બેઠા છે, જેમણે એવી પરીક્ષા આપી જેના પ્રશ્નો તેમણે પેપર ખોલ્યું એ પહેલાં જ કથિત રીતે વેચાઈ ચૂક્યા હતા.

દલાલોની ધરપકડ થઈ શકે છે. કોચિંગ સેન્ટરો પર દરોડા પડી શકે છે. અધિકારીઓની બદલી થઈ શકે છે. વધુ ચુસ્ત સુરક્ષા વચ્ચે ફરી પરીક્ષા લઈ શકાય છે.

પરંતુ મંત્રી યથાવત્ રહે છે. અને વાક્ય હંમેશની જેમ કર્તા વિનાનું રહી જાય છેઃ પેપર લીક થયું, પરીક્ષા રદ્દ થઈ, મામલાની તપાસ થઈ. બધું કર્મણિ પ્રયોગમાં –  જાણે આમાંથી કશું કોઈએ કર્યું જ ન હોય અને એટલે કોઈ ચોક્કસ વ્યક્તિએ માફી માગવાની પણ જરૂર ન હોય.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 19 જુલાઈ 2026

Loading

ધર્મ આધારિત રાજકારણ !

રમેશ ઓઝા|Opinion - Opinion|19 July 2026

રમેશ ઓઝા

ર્મનું રાજકારણ અને ધર્મનો ધંધો કરનારાઓનો હિંસક, વિકૃત અને ગોબરો ચહેરો જોઇને કોઈ ગ્લાનિ, કોઈ શરમ અનુભવો છો ખરા? આ પ્રશ્ન એ લોકો માટે છે જે હજુ ગઈ કાલ સુધી હિંદુ ધર્મના વિજય પતાકા લહેરાવતા નાચતા હતા. ભગવાન રામની પ્રતિષ્ઠા મર્યાદા પુરુષોત્તમની છે. પુરુષોમાં ઉત્તમ એટલા માટે કે તેઓ મર્યાદામાં માનતા હતા. પણ એ જ મર્યાદા પુરુષોત્તમ રામના ચરણોમાંથી ધર્મનું રાજકારણ કરનારાઓ અને ધર્મનો ધંધો કરનારાઓ ૨૦૦ કરોડ રૂપિયા કરતાં વધુ રકમ ચોરી ગયા. ચોરી કરનારાઓ મુસલમાન નહોતા, વિધર્મી નહોતા, નાસ્તિક હિંદુઓ નહોતા, સેકયુલરિસ્ટ હિંદુઓ નહોતા, ગાંધી અને નેહરુને માનનારા ઉદારમતવાદી હિંદુઓ નહોતા, એ લોકો હતા જે પોતાને મહાન ધાર્મિક હિંદુ તરીકે ઓળખાવતા હતા, એ લોકો હતા જેઓ પોતાને ધર્મરક્ષક તરીકે ઓળખાવતા હતા. 

ત્યારે તમને એ નહોતું સમજાતું અને કોઈ સમજાવતા હતા તો તમે સાંભળવા તૈયાર નહોતા કે એ જ લોકો હતા જેણે હિંદુઓની શ્રદ્ધા સાથે રમત રમી હતી. એ લોકો હતા જેણે મર્યાદા પુરુષોત્તમ રામને નામે દેશભરમાં બે દાયકાઓ સુધી કોમી રમખાણો કર્યાં હતાં જેમાં હજારો મુસલમાનો અને સેંકડો હિંદુઓ માર્યા ગયા હતા અને બીજા અનેક નિરાશ્રિત બની ગયા હતા. એ લોકો હતા જેમણે સરેરાશ હિંદુ પરિવારોમાં તિરાડો પેદા કરી. એ લોકો હતા જેમણે રામજન્મભૂમિ મંદિર બંધાવવા માટે ટ્રસ્ટની સ્થાપના કરી અને ટ્રસ્ટ ચલાવતા હતા. એ લોકો હતા જેમણે અબજો રૂપિયા મર્યાદા પુરુષોત્તમ રામના નામે ભેગા કર્યા છે અને હજુ સુધી કોઈને ય હિસાબ આપ્યો નથી. માગો તો પણ આપતા નથી. ભગવાન રામના ચરણોમાં બેસનારાઓ જ તેમના ચરણમાંથી પૈસા ચોરી ગયા. 

ચડાવાચોરીનું પ્રકરણ બહાર આવ્યા પછી ધર્મનું રાજકારણ અને ધર્મનો ધંધો કરનારાઓના ચહેરા પર લાજશરમ નજરે પડે છે ખરી? નરેન્દ્ર મોદી, મોહન ભાગવત વગેરેના ચહેરાઓને ધારી ધારીને નીરખો, દેખાય છે ક્યાં ય કોઈ શરમ? આશારામ, રામરહીમ અને બીજા કળશી એક ધુતારા બાવાઓના ચહેરા પર ક્યારે ય કોઈ લાજશરમ જોઈ છે ખરી? 

શા માટે હોય! ધર્મનું જે બીજું અને મહત્ત્વનું અંગ છે તેની સાથે તેમને નહાવાનિચોવાનો પણ સંબંધ નથી. એ અંગ છે આધ્યાત્મિક અંગ. મનુષ્ય તરીકેની એક જિંદગી મળી છે તો તેને એવી રીતે જીવવી કે જિંદગી સાર્થક થઈ જાય. આ થઈ સાધના. સાર્થકતા માટેની સાધના. અને બીજું મનુષ્ય તરીકે એક જિંદગી મળી છે તો તેને એવી રીતે જીવવી કે કિરતાર સાથે એકત્વ સધાય. ઈશ્વરમય થઈ જવાય. આ છે ધર્મની આધ્યાત્મિક બાજુ. મનુષ્ય તરીકે એક જિંદગી મળી છે તો એવી રીતે જીવવી કે આપણાથી કોઈને ય અન્યાય ન થાય, આપણા થકી કોઈને ય નુકસાન ન પહોંછે, કોઈનું ય બુરું ન ઇચ્છીએ એ થઈ ધર્મની નૈતિક બાજુ. સાચા હિંદુઓ, સાચા મુસલમાનો ધર્મનું આ રીતે અવલંબન લે છે અને પછી તો એક દિવસ સ્થૂળ અર્થમાં ઓળખાતો ધર્મ પણ ખરી પડે છે. સંસારના દરેક ધર્મએ આધ્યાત્મિક, સાધનાકીય અને નૈતિક બાજુ વિકસાવી છે અને તેમાં હિંદુ ધર્મ અગ્રેસર છે. હિંદુ ધર્મની આધ્યાત્મિક અને સાધનાપરક બાજુ આ સંસારમાં સૌથી વધુ પરિપક્વ છે અને એટલે તો પશ્ચિમને અને વિધર્મીઓને હિંદુ ધર્મનું આકર્ષણ છે. પણ ધર્મની આ ખરી બાજુ સાથે ધર્મનું રાજકારણ કરનારાઓને અને ધર્મનો વેપાર કરનારાઓને નહાવાનિચોવાનો પણ સંબંધ નથી. તમે કોઈ હિન્દુત્વવાદીને વેદ, ઉપનિષદ, કે સંતો કે સૂફીઓનાં વચન ટાંકતો જોયો. એની જિંદગી વિધર્મીઓએ કરેલા કહેવાતા અત્યાચારોના ઉકરડા ફેંદવામાં જ રસ છે અને એ જ કામ તમારી પાસે કરાવે છે. 

રામચરિત માનસ લખીને મર્યાદા પુરુષોત્તમ રામને ઘરે ઘરે પહોંચાડનારા ગોસ્વામી તુલસીદાસે માનસમાં રામકથાની પડછે ઊંડું આધ્યાત્મિક ખેડાણ કર્યું છે. પણ લોકોને બહુ ઓછી જાણ છે કે ગોસ્વામી તુલસીદાસે રામચરિત માનસમાં કલિયુગનાં લક્ષણો વર્ણવતી અનેક ચોપાઈઓ કહી છે. એમાંની એક જોઈએ :

सोइ सयान जो परधन हारी, जो कर दंभ सो बड़ा आचारी I

जो कर झूठ मसखरी जाना, कलयुग सोइ गुनवंत बखाना II

અર્થાત્ જે બીજાનાં ધનની ચોરી કરશે એ બુદ્ધિમાન ગણાશે, જે દંભ કરશે એ આચારવાન ગણાશે, જે બેફામ જૂઠ બોલશે અને બીજાની નિંદા મશ્કરી કરશે એ કલિયુગમાં ગુણવાન ગણાશે અને પ્રજા તેનાં વખાણ કરશે. 

લાગુ પડે છે ને સો એ સો ટકા? આમ તુલસીદાસ પોતે કહી ગયા છે અને આવી તો બીજી અનેક ચોપાઈઓ અને દોહાઓ છે જે જોવા હોય તો રામચરિતમાનસના ઉત્તરકાંડમાં જોવા મળશે. નીચતા અને નફ્ફટાઈનું આબેહૂબ વર્ણન તેમાં જોવા મળશે. 

તો વાત એમ છે કે ધર્મનું રાજકારણ અને ધર્મનો ધંધો કરનારાઓને ધર્મની આધ્યાત્મિક અને માણસ ઘડનારી નૈતિક બાજુ સાથે નાહવાનિચોવાનો સંબંધ હોતો નથી. તેમને ખબર છે કે સમાજમાં એવા કેટલાક ધાર્મિક લોકો છે જે ધર્માભિમાન ધરાવે છે, પોતાના ધર્મને સર્વોપરી ગણાવે છે, બીજાને અને તેમના ધર્મને હલકો ગણે છે, વિધર્મીઓએ કરેલા કહેવાતા કરતૂતોનો ઉકરડો ભૂંડણાંની માફક ફેંદવામાં જીવનની સાર્થકતા જુએ છે, એ લોકો માટે ઉકરડો રચી આપવામાં આવે છે, તેઓ વિધર્મીઓ સામે વેર લેવા તત્પર છે, તેઓ ધર્મની સ્થૂળ ઓળખ અને એવી ઓળખ ધરાવનારાઓની સંખ્યાને સાધન તરીકે વાપરે છે. તેમને ધર્મની માણસ ઘડનારી સાધનાપરક તેમ જ આધ્યાત્મિક બાજુ સાથે લેવાદેવા નથી. આવા લોકો પોતાની સાત પેઢીનું નખોદ વાળી દેશે પણ પાછો નહીં હટે. તામસિક માનસ ધરાવનારાઓની અંદર તેઓ તામસની ખેતી કરે છે. સો વરસથી આવી ખેતી કરવામાં આવી રહી છે અને હવે તેનાં પરિણામ સામે છે. તમે આ તામસની ખેતીના દાડિયા હતા. 

હિંદુઓને આજે જે અનુભવ થઈ રહ્યો છે એ અનુભવ ભારતનાં મુસલમાનોને દાયકાઓ પહેલાં થયો હતો, પણ એમાંથી ધડો લેવાનું હિંદુઓએ મુનાસીબ નહોતું માન્યું. 

કલ્પના કરો, મુસ્લિમ ભાઈઓ કલ્પના કરો! ઇસ્લામ જેવો મહાન અને સંપૂર્ણ ધર્મ આ ધરતી પર બીજો છે? જો એ મહાન ધર્મ આધારિત ઇસ્લામિક રાજ્ય આ ધરતી પર સ્થાપાય અને એ પણ સાયાસ આયોજનપૂર્વક સમજીવિચારીને, અને એ પાછું એ મહાન ઇસ્લામિક રાજ્ય આપણી ભૂમિમાં સ્થાપાય, તમે એની સ્થાપના કરો, મહાન ઇસ્લામિક રાજ્યના સ્થાપક હોવાનું પુણ્ય મેળવો તો તમારા કરતાં વધુ બડભાગી બીજું કોણ હોવાનું! ભારતીય ઉપખંડના મુસલમાનોને અર્થાત્ અલ્લાહએ પસંદ કરેલી પ્રજાને સાચું ઇસ્લામિક રાજ્ય સ્થાપવાનો અવસર મળ્યો છે. શું આવી તક ગુમાવી દેશો? બીજું તેમને ડરાવવામાં આવ્યા કે જો અખંડ હિન્દુસ્તાનમાં તમે હિંદુઓ સાથે રહેશો તો બહુમતી હિંદુઓ તમને કચડી નાખશે. ત્રીજું તેમને કહેવામાં આવ્યું કે ઇસ્લામ એ માત્ર અનેક ધર્મોમાંનો એક ધર્મ નથી, પણ સ્વયંભૂ રાષ્ટ્રીયતા છે. ચોથું તેમને કહેવામાં આવ્યું કે ભૌતિક સુખાકારીની ચિંતા કરવાની જરૂર નથી. જો મહાન ધર્મ આધારિત ઇસ્લામિક રાષ્ટ્ર હોય, જેમાં મુસલમાનો એક પરિવારની માફક રહેતા હોય, જો તે હિંદુઓના ડરથી મુક્ત હોય, તે સંપૂર્ણપણે સ્વતંત્ર હોય, મુસલમાનની પૂરી ઉર્જા ઇસ્લામિક રાષ્ટ્ર સાકાર કરવામાં ખર્ચાવાની હોય તો ભૌતિક સુખાકારી તો એની મેળે આવવાની છે. એ તો આડ પરિણામ છે, મુખ્ય ઉદ્દેશ ઇસ્લામિક રાષ્ટ્રને સાકાર કરવાનો છે અને હિંદુઓથી છેડો ફાડવાનો છે. 

ભારતનાં અનેક મુસલમાનો બિચારા તેમની વાતમાં આવી ગયા. અને આમ કોણ કહેતું હતું? મહમ્મદ અલી ઝીણા અને તેમના વિદેશમાં ભણેલા સાથીઓ જેને નમાજ પઢતા પણ આવડતું નહોતું. ઇસ્લામ, ઇસ્લામનું તત્ત્વજ્ઞાન, ઇસ્લામનું આધ્યાત્મ, ઇસ્લામની સાધના, ઇસ્લામ પ્રબોધિત ઈમાન વગેરે સાથે તેમનો સ્નાનસૂતકનો સંબંધ નહોતો. તેમને ખબર હતી કે અવિભક્ત ભારતમાં બહુમતી હિંદુઓ સાથે તેમને સત્તાની ભાગીદારીમાં એક ચોથીયું મળે એમ છે, માટે ધર્મને નામે મુસલમાનોને પોરસાવો, મુસલમાનોના ભવ્ય ઇતિહાસની વાતો કરો, રંગબેરંગી સપનાં બતાવો, હિંદુઓનો ડર બતાવો અને મુસલમાનોને બેવકૂફ બનાવીને પાકિસ્તાન સ્થાપો અને એકલા સત્તા ભોગવો. આ તેમનો એજન્ડા હતો. તેમને નહોતો ઇસ્લામમાં રસ કે નહોતો મુસલમાનોના કલ્યાણમાં રસ. તેમને રસ હતો ભાગીદારી કર્યા વિના સત્તા ભોગવવાનો અને એ સત્તા મુસલમાનો માટે પાકિસ્તાન નામનું ઇસ્લામિક રાષ્ટ્ર સ્થાપીને જ મળે એમ હતી.  

હિન્દુત્વવાદીઓનો પણ એ જ ઈરાદો છે. સેક્યુલર હિંદુઓ, ઉદારમતવાદી હિંદુઓ, લઘુમતી કોમો, ભાષા અને પ્રદેશની અસ્મિતામાં માનનારાઓ, આદિવાસીઓની અલાયદી જીવનશૈલી જાળવી રાખવાનો આગ્રહ રાખનારાઓ, ન્યાય અને સમાનતાની માગણી કરનારા દલિતો, અન્ય પછાત કોમો, સીમાડાની પ્રજાઓ અને તેમની વિશેષ સ્થિતિને ધ્યાનમાં લેવાની માગણી કરનારાઓને હિંદુ ધર્મ અને હિંદુ રાષ્ટ્રના નામે હાંસિયામાં ધકેલી દેવાના. મીડિયા, લોકતંત્ર અને લોકતાંત્રિક સંસ્થાઓને કાયમ માટે કબજે કરી લેવાની કે જેથી તેઓ સત્તા સુધી પહોંચી જ ન શકે. ટૂંકમાં હિંદુ ધર્મ અને હિંદુરાષ્ટ્રના નામે ભારતીય રાષ્ટ્રને કબજે કરી લેવાનું. એ પછી દાયકાઓ સુધી આપણી સત્તાને કોઈ પડકારી નહીં શકે. કોઈ અન્ય હિંદુઓ સાથે સત્તામાં ભાગીદારી નહીં કરવી પડે. કાઁગ્રેસના યુગમાં સત્તા ભલે કાઁગ્રેસની હતી, પણ ઉપર કહ્યા એ દરેક કાઁગ્રેસમાં ભાગીદાર હતા. આ સિવાય શિક્ષણ સંસ્થાઓને પણ કબજે કરી લેવાની કે જેથી તેમાં ભણેલા અભણ પેદા થાય જેનામાં વિચાર કરવાની અને પ્રશ્ન કરવાની આવડત જ ન હોય. ભણેલા ગમારો. 

આઠ-નવ દાયકા પહેલાં ભારતનાં મુસલમાનો ઇસ્લામિક રાષ્ટ્રવાદની વાતથી ભોળવાઈ ગયા અને આજે ખસિયાણી અવસ્થા ભોગવી રહ્યા છે. તમે? ધર્મનું રાજકારણ અને ધર્મનો ધંધો કરનારાઓનો હિંસક, વિકૃત અને ગોબરો ચહેરો જોઇને તમે કોઈ ગ્લાનિ, કોઈ શરમ અનુભવો છો ખરા? કે પછી હજુ ય નશામાં છો?    

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 19 જુલાઈ 2026

Loading

...10...17181920...304050...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved