Opinion Magazine
Number of visits: 10080375
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમદાવાદમાં પણ ચાલ્યો જંતરમંતરનો જાદુ : સરસ વ્યૂહરચના સાથે

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|21 July 2026

અમદાવાદની એમ.જે. લાઈબ્રેરીની બહારના ધમધમતા રસ્તા પર આજે સાંજે યુવક-યુવતીઓએ વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં પોલીસે 150 જેટલાં દેખાવકારોની અટકાયતો કરી. તેમાં વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓ ઉપરાંત આધેડ વયનાં થોડાંક સ્ત્રી-પુરુષ નાગરિકો પણ હતાં.

યુવાનોએ કરેલી વ્યૂહરચના ગજબની હતી. વિરોધ સ્થળે જુદી જુદી બાજુથી યુવાઓની ટુકડીઓ ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’, ‘મોદી તેરી તાનાશાહી, નહીં ચલેગી નહી ચલેગી’,’ સરકાર હમસે ડરતી હૈ, પુલીસ કો આગે કરતી હૈ’, ‘ધર્મેન્દ્ર પ્રધાન ઇસ્તિફા દો, ઇસ્તિફા દો’ જેવા નારા સાથે આવતા હતા. પોલીસ વી.એસ. હૉસ્પિટલ બાજુથી આવતા એક જૂથને ડિટેઈન કરતી હોય, ત્યાં બી.એમ. ઇન્સ્ટિટ્યૂટના નવા સંકુલની ફૂટપાથ પરથી બીજી ટુકડી આવે. વળી થોડી વારે એમ.જે.ની સામેના ફૂટપાથ પરથી ટુકડી આવે, ક્યાંક એમ.જે. ગલીને સમાંતરે આવેલી ગલીમાંથી આવે. સમૂહ ક્યારે ય એક જગ્યાએ એકઠો ન થતો હતો, કે ન પોલીસ એને થવા દેતી હતી. સમગ્ર વિરોધ-પ્રદર્શન આ રીતે પ્રવાહી હતું. કૉસ્મોપૉલિટન યુવાઓની હાજરી ધ્યાનપાત્ર હતી, દલિત અને મુસ્લિમ સમૂહો હતા. યુવાઓને ટેકો આપવા માટે થોડાંક વડીલ કર્મશીલ ભાઈ-બહેનો હતાં. 

પુષ્કળ પોલીસ અને તેના વાહનો તો હતાં જ, પણ આઈ.જી. કક્ષાના એક આધિકારી પણ મોટા ભાગનો સમય હાજર હતા. એ હકીકત દેખાવોની તાકાત બતાવે છે. વાદળઘેરી ઉકળાટભરી સમી સાંજે પીક અવર્સના આ વિરોધ પ્રદર્શનને કારણે અમદાવાદની, ગુજરાતની છબિ ઉજળી થઈ.

આ વિરોધ-પ્રદર્શનની અન્ય બે નોંધપાત્ર બાબતો પણ હતી. એક તો એ કે દેખીતી રીતે કોઈ પણ સંગઠનનાં નેજા વિના, વરિષ્ટ આગેવાનોની દોરવણી વિના આ દેખાવો થયા. તેના પોસ્ટરમાં પણ આયોજક તરીકે કોઈ વ્યક્તિ કે સંસ્થાનું નામ ન હતું. બીજી વાત, અમદાવાદમાં નાગરિકતા બિલ સામે થયેલાં વિરોધ પછી સાત-આઠ વર્ષે પછી આટલી મોટી સંખ્યામાં વિરોધકો ધરાવતું વિરોધ-પ્રદર્શન થયું. 

પોલીસ રાબેતા મુજબ ટુકડીના દેખાવકારોને જોરજબરદસ્તી અટકાયતમાં લઈને નાનાં-મોટાં વાહનોમાં બેસાડતી હતી. પણ તે તે છૂટાછવાયાં ફરતાં એક, બે કે ત્રણને સુધ્ધા લઈ જતી હતી. પોલીસ કોઈ પોસ્ટર અને તેને બતાવનારને ટકવા દેતી ન હતી. ડૉ. બાબાસાહેબ આંબેડકરના ફોટા લઈને ફરતા બે યુવકોને પણ પોલીસે અટકાયતમાં લીધા. એક વખત હદ થઈ. એક યુવક અને યુવતીએ થેલીમાંથી હજુ તો પોસ્ટર પૂરું બહાર કાઢ્યું ન હતું, ત્યાં પોલીસવાળા તેમને ખેંચીને એમ.જે. લાઈબ્રેરીના ફૂટપાથ પરથી થઈને સામે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં લઈ ગયાં. 

સવારે લૉ ગાર્ડન અને પરિમલ ગાર્ડન પાસે નાના સમૂહોએ કરેલા દેખાવોમાં પણ પોલીસે તરત જ ધરપકડ કરી હતી : https://theprint.in/india/protests-in-various-cities-of-gujarat-to-support-cjp-march-and-wangchuk-150-detained-in-ahmedabad/2991634/ સારંગપુરમાં ડૉ. આંબેડકરના પૂતળા પાસે છ દલિત સંગઠનોએ કરેલાં દેખાવોમાં પણ પોલીસે અટકાયત કરી તેના વીડિયો જોવા મળ્યાં: https://www.youtube.com/shorts/6-RZ51csvA4 આ લખનાર અને તેના એક સાથી અધ્યાપક સાથે એક વાગ્યાના સુમારે ત્યાં પહોંચ્યા ત્યારે માત્ર પોલીસની ગાડીઓ હતી. 

જાહેરજીવનના આવા વિરોધ પ્રસંગે હાજર રહેવામાં લોકશાહી દેશના નાગરિક તરીકેનો અહમ્‌ થોડોક સંતોષાય છે, અને ઝાઝો ઘવાય છે. લોકશાહીમાં થઈ રહેલાં પારોઠના પગલાંના દરેક વર્ષની સાથે ઘા વધુ તીવ્ર બને છે. નાગરિક તરીકે આપણે એકઠા પણ ન થઈ શકીએ, નારા પણ ન બોલાવી શકીએ, કોઈ પણ પ્રકારનો વિરોધ દબાવી દેવામાં આવે તે ખૂબ કઠતું હોય છે. જે યુવતીને તેનું પોસ્ટર કાઢવા પણ ન દીધું, તે યુવતી વીફરેલી વાઘણ જેવી આક્રમક થઈ ગઈ. તે ખૂબ ક્રોધ અને આક્રોશથી કહેતી હતી : Why can’t we do this ? This is our right…’  એવી રીતે વીફરવાનું મન સહુને થાય. 

કેન્દ્રીય શિક્ષણ મંત્રી દેવેન્દ્ર પ્રધાનના રાજીનામા અને દેશની અત્યંત કથળેલી શિક્ષણ વ્યવસ્થા માટે શાસકોના વિરોધ સાથેના ઉપરોક્ત દેખાવો બિલકુલ નવલોહિયાં યુવતીઓ અને યુવકોએ અમદાવાદના નિસબત ધરાવતા સહુ નાગરિકોને ગૌરવ થાય તે રીતે પાર પાડ્યાં. તે સહુને સલામ. ઇન્કલાબ ઝિંદાબાદ !

‌—————————————————————-
ફોટોગ્રાફ સૌજન્ય : એક મિત્ર / કોલાજ સૌજન્ય : સંજના
20 જુલાઈ 2026
e.mail : sanjaysbhave@yahoo.com

https://www.theguardian.com/world/gallery/2026/jul/20/india-cockroach-party-supporters-march-on-parliament-new-delhi

Loading

ભૂખ્યા યૌવનનો વિચારાગ્નિ જાગશે : જંતરમંતર પર યુવાનોની ભૂખ હડતાલ 

સંકલન : સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|20 July 2026

નેહા બોરા

જંતરમંતર પર ભૂખ હડતાલ પર ઊતરેલાં સહુમાં વિદ્યાર્થી-આગેવાન નેહા બોરાની પરિસ્થિતિ સહુથી ચિંતાજનક છે. વીસ દિવસથી માત્ર પાણી પર જીવી રહેલાં ઉત્તરાખંડની નેહા બોરા જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં પીએચ.ડી.ની વિદ્યાર્થિની ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટસ અસોસિએશનની પ્રમુખ છે. તેની સાથે તેના સંગઠનના, ઉત્તર પ્રદેશના આમીન અને પંજાબના મનીષ પણ પહેલેથી જ ઉપવાસ પર છે. તેઓ અનુક્રમે અલ્લાહબાદ અને પંજાબ યુનિવર્સિટીમાં પીએચ.ડી. કરી રહ્યા છે. 

વાલીઓ–ટેકેદારોના દુઆ–સલામ મેળવતી, આડી પડીને ધીમા અવાજે માધ્યમો સાથે વાત કરતી, અશક્તિને કારણે સાથીઓના ટેકે ચાલતી, ચહેરા પર નબળાઈ કે હતાશાની જગ્યાએ, અવામપરસ્તીના આંતરિક આતશથી પ્રકાશતી નેહાના સંખ્યાબંધ વિડીયોઝ મળે છે. જો કે આંદોલનકારીઓની તબિયત જોવા આવેલાં દિલ્હીના ડૉ. તિલોપાએ નેહાની તબિયતને ‘મોસ્ટ ક્રિટિકલ’ ગણાવી. મુંબઈના ડૉ.અંજલિ શર્માને ટાંકતા પત્રકાર ઝીશાન અખ્તર લખે છે :  डॉ. अंजलिने कहा – नेहा के साथ कुछ भी हो सकता है. कोमा में जा सकती हैं या जान जा सकती है. एक लड़की के तौर पर नेहा के लिए भूखे रहना ज्यादा चुनौतीपूर्ण साबित हो सकता है. नतीजे भविष्य के लिए बेहद खतरनाक साबित हो सकता हैं.

નેહાએ એક વીડિયોમાં જણાવ્યું કે ભૂખ-હડતાલિયાં તમામ બાવીસ યુવા માત્ર બે-બે કલાકે મીઠાનું પાણી પીને જીવી રહ્યાં છે. ગરમી છે, ઉકળાટ છે, ડિહાઈડ્રેશન થાય છે. વરસાદમાં મંડપના ખૂણા પરના લોકો એમનાં કરતાં વધુ ભીંજાયા. ઉનો કે ચેસ રમાય છે. બોરડમ છે, કેમ કે ખાવાનું નથી એટલે શક્તિ નથી એટલે કશી પ્રવૃત્તિ નથી. ‘भूख बहुत मुश्किल चीज होती है’ 

 ‘अगर जिंदा रहे तो ’ એમ કહીને, નેહા હડતાલ પૂરી થાય પછી ખાવાની વસ્તુઓની યાદી બનાવે છે, કેમ કે ‘ખાને કી મેમરી સસ્ટેન કર રહી હૈ’. એને રસદાર સફરજન યાદ આવે છે, તેમનામાંથી એકને કેરી તો બીજાને લસ્સી. અભ્યાસ માટે બાર વર્ષથી ઘરથી બહાર રહેતી નેહાએ તેની ભૂખ-હડતાળ અંગે ઘરે જણાવ્યું નથી, ફોન પર મમ્મી અને ભાઈ સાથે રોજ વાત થાય છે, જો કે હવે ખબર પડી ગઈ હશે એમ તે માને છે. જો કે ‘मम्मी को पता चल जाती  हैं चीजे’. નેહાનો સંશોધનનો વિષય થિએટર ઍન્ડ પર્ફોર્મન્સ સ્ટડીઝ’ છે.

‘ધ વાયર’ પોર્ટલના રોહિત કુમાર સાથે વાત કરતાં નેહાએ કહ્યું : ‘સરકાર જે કેટલાંક પ્રશ્નો અંગે વિચાર કરે છે તેમાં શિક્ષણ અને આ દેશના યુવાવર્ગના ભવિષ્યનો સમાવેશ નથી. અમે અહીં સરકારના અંતરાત્માને – જો તેને અંતરાત્મા હોય તો – ડંખવા ભૂખ્યાં નથી રહ્યાં, અમે એવા લોકોના માંહ્યલાને ઢંઢોળવા બેઠાં છીએ કે જેમને સરકારે એવી કંઈક તાલીમ આપી છે તે લોકો દરેક વ્યક્તિને પોતાના જેવાં જ સુખદુ:ખ અનુભવતાં માનવીઓ તરીકે જોવાને બદલે જાતિ, ધર્મ અને જેન્ડરથી જુએ છે. એવા લોકોને તેમના દેશવાસીઓની સાથે ઊભા રહેવાની હિમ્મત મળે તે માટે અમે અહીં આવ્યાં છીએ.’ તેણે ધ્યાન દોર્યું કે ‘દરરોજ અહીં ચાલીસ–પચાસ લોકો અમને મળીને માફી માંગે છે.તેઓ કહે છે કે અમે ભારતીય જનતા પક્ષને મત આપ્યાં એટલે તમારે ભૂખ–હડતાળ પર ઊતરવું પડ્યું છે. આપઘાત કરનારા એક વિદ્યાર્થીના પિતાએ મને કહ્યું કે ભા.જ.પ. તેમના છોકરાને ખાઈ ગયો ત્યાં સુધી તેઓ પક્ષને ટેકો આપતા રહ્યા.’ રોહિત કુમાર લખે છે કે નેહાની હિમ્મત અને સાફ સમજ જોતાં સમજાય છે કે મોદી સરકારે જે.એન.યુ. જેવી યુનિવર્સિટીઓને નબળી પાડવા અને એકંદરે અનુદાનિત જાહેર શિક્ષણને કોરાણે મૂકવા માટે આટલી બધી મહેનત કરી છે. 

એક વીડિયોમાં નેહાએ કહ્યું કે સંગઠન ધર્મેન્દ્ર પ્રધાન 2021માં શિક્ષણ મંત્રી બન્યા ત્યારથી તેમનું સંગઠન પરીક્ષાઓમાં થઈ રહેલી ગેરરીતિઓને પગલે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માગતું રહ્યું છે. એ કહે છે : ‘સરકાર ચુનેં, સરકાર યા તો અપને ભ્રષ્ટ ઇનકૅપેબલ મંત્રી કો ચુને યા તો દેશ કે આમ આવામ કી જિંદગી કો ચુને. સરકાર જો ફૈસલા કરેગી ઉસે હિસ્ટોરિકલી જજ કિયા જાયેગા. અપને એક ભ્રષ્ટ ઔર ઇનકૅપેબલ મંત્રી કો બચાને કે લિએ, અપની ગૈરલોકતાંત્રિક સમજદારી  કો  ડિફેન્ડ કરને કે લિએ યહાં પે બૈઠે અગર વો યહાં પે બૈઠે બાઈસ લોગોં કી જાને લે સકતી હૈ તો વહ ઉસકે લિએ એક કૉમેન્ટ હૈ. યહ સ્ટુડન્ટ્સ કી લડાઈ હૈ, વો અપની લડાઈ લડેંગે, જહાં તક ચલેગી વહાં તક લડેંગે. યા તો ઍમ્બુલન્સ યહાં સે ઉઠાકર લે જાયેગી યા ધર્મેન્દ્ર પ્રધાન ઉઠેંગે અપની કુર્સી સે.’ 

‘વેબદુનિયા’ પોર્ટલમાંથી મળતી માહિતી મુજબ સામાન્ય પરિવારની નેહાએ સમાજશાસ્ત્રની પદવીઓ દિલ્હી અને આંબેડકર યુનિવર્સિટીમાંથી મેળવી છે. સંખ્યાબંધ વીડીઓઝમાં તે વર્ણવ્યવસ્થા, શિક્ષણના ખાનગીકરણ, મૉબ લિન્ચિન્ગ, બિલ્કિસ બાનુ કેસ, ગાઝાની દુર્દશા જેવા વિષયો પર પ્રખર ભાષણ આપે છે. તેના તાજેતરના બે તેજાબી વીડિયોઝમાં તે ઉત્તર પ્રદેશમાં પેપરલિકના બનાવો અને સી.બી.એસ.સી.ની પરીક્ષામાં મૂલ્યાંકનમાં ગડબડ તેમ જ  તે મુદ્દે અવાજ ઊઠાવનાર બારમા ધોરણના વેદાન્ગ તેમ જ બીજા વિદ્યાર્થીઓ પર દેશદ્રોહી અને પાકિસ્તાની કહીને થયેલા કીચડઊછાળ પર છે. 

ઝીશાન લખે છે : नेहा 19 दिन से पानी पीकर जिंदा हैं. या कहें मौत की ओर कदम बढ़ा रही हैं.
नेहा फिर भी डटी हैं. नेहा को आखिर क्या पड़ी थी, जे.एन.यू. जैसी जगह से पीएच.डी. पूरी होती तो देश दुनिया में कहीं भी बढ़िया नौकरी पा लेतीं …. लेकिन नेहा ने भूखे रहना चुना. किसके लिए? देश के लिए भविष्य की खातिर… छात्रों और उनकी शिक्षा की खातिर…जवाबदेही तय करने की खातिर… कुछ बदले न बदले… जिंदा होने का सबूत देने की खातिर.नेहा के लिए दुआ करें.

નેહાના સાથીઓ આમીન અને મનીષને પણ બોલી-ચાલી ન શકે એટલી અશક્તિ આવી છે. ત્રણેયનું વજન દસેક કિલો ઊતરી ગયું છે. તેમના શરીરમાં ketosis નામની ખૂબ જોખમકારક સ્થિતિ ઊભી થઈ છે, એમ ડૉ. તિલોપા જણાવે છે.

બંને યુવાનો વતી જામિયા મિલિયા યુનિવર્સિટીનો સમાજશાસ્ત્રનો વિદ્યાર્થી અને તેમનો સંગઠનનો સાથી વાત કરે છે. તે કહે છે કે ભારતની ઉત્તમ સંસ્થાઓના આ તેજસ્વી સંશોધકો અહીં છે. આમીન અર્બન સ્ટ્ડીઝમાં અને મનીષ રાજ્યશાસ્ત્રમાં સંશોધન કરી રહ્યા છે. 

એક વીડિયોમાં મનીષ વિરોધ સ્થળે પાણી, ટૉઈલેટ, પ્રવેશ વગેરેમાં સરકારની આડોડાઈની વાત કરે છે. તે પહેલાં તે કહે છે : ‘या तो ईसतिफा लेके जायेगे या अॅम्ब्युलेन्स में जायेगे’  

આમીન કહે છે : ‘હમેં લગતા હૈ કી હમારે દેશ કો હમારી કોઈ વૅલ્યુ નહીં હૈ, યહાં જી કે ક્યા કરે હમ યે સોચકર આયે થે.’

ભૂખ-હડતાળ પર ઊતરેલા યુવાઓના પરિવારોની સ્થિતિ ખૂબ અઘરી બને છે. સૈયદ જણાવે છે કે આમીનની બહેન જંતર મંતર પર જ રોકાઈ છે, અને તેનાં માતાપિતા દરરોજ આવે છે. મનીષના પરિવારજનો પણ આવતાં રહે છે. નેહાના પરિવાર માટે મુસાફરી કરીને આવવું મુશ્કેલ છે. 

આ ત્રણના સંગાથમાં, લખનૌ યુનિવર્સિટીમાં પીએચ.ડી. કરી રહેલાં મનીષનાં પત્ની સીમા છે જે સવારે દસ વાગ્યે આવીને મોડી સાંજે પરત જાય છે. તે ઉપવાસ પર નથી પણ વોલંટિયર તરીકે સેવા આપે છે. તે કહે છે કે ખાવાના શોખીન મનીષે વીસ દિવસથી કંઈ જ ખાધું નથી ! મનીષ સાથે ઘરેથી ફોન વાત કરતાં મા અને દાદી રડી પડે છે, પિતા તેને માત્ર તબિયત સાચવવાનું કહે છે.

વધુ ને વધુ નાગરિકો લાંબા-ટૂંકા ઉપવાસ કરીને ટેકો આપે છે. ત્રણ કે તેથી વધુ વિરોધ ભૂખ્યાં રહેનારાં યુવાઓનાં હાથથી લખેલાં નામોની યાદીનું પોસ્ટર વિરોધ-સ્થળે જોવા મળે છે. ઘણાં 16 જુલાઈની એક દિવસની સામુહિક હડતાળમાં જોડાયાં હતાં. કેટલાંક ટેકેદારો તેમના ઘરે ભૂખ-હડતાલ રાખીને તેના વીડિયોઝ મૂકે છે. 

ગુજરાતના ત્રણ યુવાનો અને એક યુવતી પણ કેટલાક દિવસ માટે ભૂખ-હડતાલ પર હતાં. નોકરિયાત યુવતી કપાતા પગારે રજા લઈને આવ્યાં હતાં. તેઓની વાતમાં મુદ્દા હતા –  વાંગચૂકની મહાનતા, દેશની કથળેલી સ્થિતિ, શિક્ષણની દુર્દશા અને ગુજરાતના લોકોનો જાહેર જીવનથી અલગાવ. બી.બી.સી. ગુજરાતીના આર્જવ પારેખે આ ચારેય વીરલાઓનો બનાવેલા વીડિયોની લિન્ક : https://www.facebook.com/reel/1061293709897691 

ગાઝિયાબાદની ખાનગી શાળાનાં શિક્ષિકા શીતલ તેમની નોકરીમાંથી રાજીનામું આપીને વિરોધમાં જોડાયાં છે. તેમણે વાંગચૂક સાથે જ ઉપવાસ શરૂ કર્યાં, પણ પંદરમા દિવસે તેમની તબિયત લથડી, ઊલટીઓ શરૂ થઈ અને બ્લડ પ્રેશર ખૂબ નીચે જતું રહ્યું. 

ટૂંકી મુદ્દતની ભૂખ-હડતાળ કરનારાંમાંથી કેટલાંક છે : સર્વોચ્ચ અદાલતના વકીલ સૌરભ યાદવ, મુઝફ્ફરનગરના ખેડૂત અમીત કુમાર નીતી, દિલ્હીના પુસ્તક-વિક્રેતા રાજ કુમાર વર્મા, આઈ.ટી. પ્રોફેશનલ યશ મિશ્રા, પ્રવાસી ફારુખ ખાન અને અન્ય. 

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા અમીત કુમારને તેમના દીકરાએ આંદોલનનું મહત્ત્વ સમજાવીને જંતર મંતર પર મોકલ્યા. તેઓ કહે છે : ‘આ લડાઈ માત્ર અત્યારના વિદ્યાર્થીઓ માટે નથી, એ આવતી પેઢીઓ માટે અને દેશના ભવિષ્ય માટે છે. 

જાણીતા અંગ્રેજી કવિ વિલિયમ વડ્ર્ઝવર્થ જુલાઈ 1789ની ફ્રેન્ચ ક્રાન્તિ વખતે ફ્રાન્સમાં હતા. સ્વાતંત્ર્ય-સમાનતા-બંધુતાના જુવાળથી ભાવવિભોર થયેલાં અઢાર વર્ષના ‘ક્રાન્તિમુગ્ધ’  કવિએ લખ્યું :

Bliss was it in that dawn to be alive,

But to be young was very heaven!

[માનવ સંસ્કૃતિની] એ પ્રભાતમાં જીવવું તો ધન્ય છે, પણ તેમાં ય યુવાન હોવું તો સ્વર્ગસમું છે. 

દિલ્હીના જંતરમંતરના યૌવનધન્ય માહોલ વિશે ઈન્ટરનેટ પર જોતાં-વાંચતાં વડ્ર્ઝવર્થની પંક્તિઓ અચૂક યાદ આવે છે. આ મહોલની કેટલીક શાબ્દિક ઝલક માટે વધુ આવતી કાલ સોમવારે. 

કોલાજ સૌજન્ય : પરીક્ષિત મેઘના મુકેશ
19 જુલાઈ 2016 
(1,300 શબ્દો)
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

સોનમ વાંગચુકથી કોને ચૂંક ઊપડે એમ છે…?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|20 July 2026

રવીન્દ્ર પારેખ

લદાખના મેગ્સેસે એવોર્ડ વિજેતા, પ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી અને ટેકનોક્રેટ સોનમ વાંગચુક વીસેક દિવસથી ભૂખ હડતાળ પર છે. દિલ્હીના જંતરમંતર પર કોક્રોચ જનતા પાર્ટી, શિક્ષણ સંદર્ભે મહિનાએકથી વિરોધ પ્રદર્શન કરી રહી છે ને તેમના સમર્થનમાં વાંગચુક પણ આમરણ ઉપવાસ પર ઊતર્યા છે. તેમાં નીટ સહિતની ઘણી પરીક્ષાઓનાં પેપરો ફૂટ્યાં, પણ તે રોકવાના પ્રયત્નો સરકાર દ્વારા ન થયા, એટલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગવાની વાત કોક્રોચ પાર્ટીએ અને વાંગચુકે કરી છે. કાઁગ્રેસના ને વિપક્ષના નેતા રાહુલ ગાંધીના મતે છેલ્લા દાયકામાં 152 જેટલાં પેપર લીક થયાં છે, પણ જવાબદારોને કોઈ સજા થઈ નથી. આની અસર કેન્દ્ર સરકારને થઈ હોય એવું પણ દેખાતું નથી … વાંગચુકના આટલા દિવસનાં અનશન છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી એ દુ:ખદ છે.

વાંગચુક તો દિલ્હીનાં જંતરમંતર પર ભૂખ હડતાલ પર અડગ હતા, પણ પોલીસે સારવાર માટે તેમને પરાણે હોસ્પિટલે ખસેડ્યા છે, એટલે હવે ૨૦મીએ સંસદ સુધી કૂચ કરવાનો કાર્યક્રમ કેટલો સફળ થાય છે, તે જોવાનું રહે. જો કે, ભા.જ.પે. વાંગચુકને હોસ્પિટલે ખસેડવાનું પગલું યોગ્ય ગણાવ્યું છે. કદાચને વાંગચુક સંસદ કૂચમાં હાજર ન રહે તો તેમની પત્ની ગીતાંજલિએ કૂચની આગેવાની લેવાનું જાહેર કર્યું છે. કોક્રોચ જનતા પાર્ટીના સરકાર સામેનાં વિરોધને અને સંસદ માર્ચને ટેકો હોવાનું ખુદ વાંગચુક કહી ચૂક્યા છે.

વાંગચુકને પોલીસ હોસ્પિટલ લઈ ગઈ ત્યારે તેમની પત્નીએ સ્પષ્ટ કર્યું કે મારી મંજૂરી વગર એમને કંઇ આપશો નહીં. એટલું થયું છે કે ઉપવાસ આંદોલનનો પોલીસે ફિયાસ્કો કરી દીધો છે. બને કે આખો હેતુ જ માર્યો જાય અને કેન્દ્ર સરકારને ફાવતું આવી જાય. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગવાની વાત મોળી પડી જાય ને સંસદ માર્ચને પોલીસ ધરપકડો કરીને નિરર્થક ઠેરવે એમ બને. તે એટલે પણ કે આ લખાય છે ત્યાં સુધીમાં સંસદ માર્ચની પરમિશન કોક્રોચ પાર્ટીએ લીધી નથી.

સોનમ વાંગચુક

સોનમ વાંગચુકના આ ઉપવાસની એકંદરે વ્યાપક અસરો ન થઈ, પણ તેમને પરાણે હોસ્પિટલ ધકેલવામાં તો આખો દેશ છંછેડાઈ ઊઠ્યો છે. એની સમાંતરે આ આંદોલન તોડવા અફવાઓનું બજાર પણ ગરમ રહ્યું છે. વાંગચુકનો વિરોધ કરનારો વર્ગ પણ સક્રિય હતો ને તેણે ઉપવાસ દરમિયાન ચીકનસૂપ પીધો હોવાનો કે સી.સી.ટી.વી. ખસેડીને પોતે ખાય છે જેવી વાતો ફેલાવીને વાંગચુકનાં આંદોલનનું જોર નરમ પાડવાની કોશિશ કરી છે. બાકી, હતું તે ફિલ્મ અભિનેતા આમીરખાને પૂરું કર્યું. તેણે ‘થ્રી ઇડિયટસ’ વાંગચુક દ્વારા પ્રેરિત હતી, એ વાતનો છેદ ઉડાવતા કહ્યું કે પોતે એ ફિલ્મ પૂરી થઈ ત્યાં સુધી વાંગચુકને ઓળખતો ન હતો, તે તો ઠીક, પણ દિગ્દર્શક રાજકુમાર હિરાણી પણ વાંગચુકને જાણતા ન હતા. જો કે, આમિરનો દાવો બહુ ટક્યો નહીં, આમિરના જ અગાઉના મેસેજ પરથી તેના ચાહકોએ શોધી કાઢ્યું કે આમીર અને રાજકુમાર હિરાણી વાંગચુકને ઓળખે છે. આમીરે વાંગચુકના ઉપવાસ સંદર્ભે ચિંતા પણ વ્યક્ત કરી છે.

માની લઈએ કે વાંગચુક સામે હજાર વાંધા હોય ને તે સાચા પણ હોય, તો ય એ સાચું નથી કે પેપરો લીક થયા છે? નીટની એક્ઝામનું પેપર લીક થયું અને ફરી પરીક્ષાના ડરમાં 20 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, એ ખરું છે કે કેમ? એ સંદર્ભે જંતરમંતર તરફથી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું મંગાય ને તેને માટે સંસદ માર્ચ 20મી જુલાઈએ નીકળે એ ખોટું છે? જો કે મંત્રીઓ આજકાલ રાજીનામું આપવાના મૂડમાં હોતા નથી, એટલે શિક્ષણ મંત્રી પણ રાજીનામું ન આપે તો આઘાત ન લાગે. વાંગચુક સામે વાંધા હોય તો પણ તે શિક્ષણ સુધારવા મથે છે ને એ ન કરવા જેવું કામ છે? ખાસ તો આખા દેશના શિક્ષણની પથારી ફરી ગઈ હોય ત્યારે?

વાંગચુકના ઉપવાસની અસર આમ પણ એટલે ઓછી રહી કે તે અન્ના હજારે જેવી વ્યાપક લડત ન હતી. અન્ના હજારેમાં બધાંને સ્પર્શતો મોંઘવારીનો મુદ્દો હતો, એટલે હજારેનું આંદોલન વધુ વ્યાપક રહ્યું, જ્યારે વાંગચુકનો મુદ્દો માત્ર શિક્ષણને સ્પર્શતો હતો, એટલે પણ તે મોંઘવારી જેવો બધાંને સ્પર્શતો મુદ્દો ન બન્યો. એ કારણે પણ વાંગચુકનું ઉપવાસ આંદોલન ધારી અસર ઉપજાવી ના શક્યું. તેનો અર્થ એવો નથી કે કોક્રોચ જનતા પાર્ટી અને વાંગચુકનો શિક્ષણ સુધારણા માટેનો પ્રયત્ન કાઢી નાખવા જેવો છે.

વાંગચુકની ભૂખ હડતાલ પર ખુદ અન્ના હજારેની પ્રતિક્રિયા આવી છે. વાંગચુક હાલ સફદરજંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, ત્યાં પણ તેમના ઉપવાસ તો ચાલુ જ છે. હોસ્પિટલે તેના બુલેટિનમાં જણાવ્યું છે કે વાંગચુક ને તાત્કાલિક મેડિકલ હેલ્પની જરૂર છે. એવે વખતે અન્નાએ હાકલ કરી છે કે સરકારે વાર્તાલાપ શરૂ કરવો જોઈએ. સરકારે વાંગચુક સંદર્ભે કોઈ મોટી દુર્ઘટના કે ગંભીર પરિણામની રાહ ન જોવી જોઈએ. આંદોલનકારીઓ સાથે સત્તાવાર સ્તરે વાતચીત કરવામાં સરકારને કોઈ નુકસાન નથી. લોકશાહીમાં જનતાના મુદ્દાઓ સાંભળવા એ શાસકોની પ્રાથમિક ફરજ છે અને સરકારે આ ગંભીર વિષયો પર તુરંત ટેબલટોક શરૂ કરવી જોઈએ- અન્ના હજારેની આ પ્રતિક્રિયાએ વાંગચુકનાં આંદોલનને એક ઔર વળ ચડાવ્યો છે. જો કે, આંદોલન સમેટાઈ ગયું છે, એવું નથી. ખાસ કરીને આજની કોક્રોચ પાર્ટીની સંસદ કૂચનું શું થાય છે તે પછી જ ખબર પડે કે આંદોલન સફળ રહ્યું કે નિષ્ફળ?

એટલું સમજાય છે કે સોનમ વાંગચુકનાં આંદોલનની હવા કાઢી નાખવાનું પોલીસે કર્યું છે. પોલીસનું કહેવું છે કે તેણે વાંગચુકની સારવાર કરાવવાના ને અન્ય જોખમોથી બચાવવાના હાઈ કોર્ટના આદેશનું પાલન જ કર્યું છે.  ઉપવાસ આંદોલનનો એક હેતુ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવાનો હતો, એમાં પોલીસની દખલથી સફળતા મળવાની તકો ઘટી ગઈ છે. એટલું  તો લાગે છે કે શિક્ષણ મંત્રીનું રાજીનામું પડે તો એ ચમત્કાર જ હશે. જો કે, ઉપવાસ અંદોલન અટક્યું નથી. વાંગચુકને પોલીસ લઇ ગઈ કે તરત કોક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ અનિશ્ચિત મુદ્દતની ભૂખ હડતાલની જાહેરાત કરી દીધી છે. આ ઉપરાંત વાંગચુક ઉપવાસમાં એકલા નથી. તેમની સાથે 21 જણાએ અનિશ્ચિત ભૂખ હડતાલને ચાલુ રાખી છે. વાંગચુક પૂરેપૂરી સભાન અવસ્થામાં છે ને શરીરને 20 ટકા નુકસાન થયું હોવા છતાં આજની સંસદ કૂચ અંગે નિવેદન પણ આપ્યું છે. તેમણે ફરી જંતરમંતર જવું છે ને પોતાની લડત ચાલુ રાખવી છે. સરકારનાં ઉત્તરદાયિત્વ વિષે વાન્ગ્ચુકને શંકા નથી. ઉત્તરદાયિત્વને મુદ્દે જ ભૂતકાળમાં એક વાર કેન્દ્ર સરકાર અને દિલ્હી તથા રાજસ્થાન સરકારનું પતન થયેલું, જ્યારે આજે તો ખાલી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવાનું છે, તો એટલું ય ન થાય?

59 વર્ષની ઉંમરે પણ સોનમ વાંગચુક ઉત્તરદાયિત્વ નિભાવી જાણે છે, તેના મૂળમાં તેમના પિતા સોનમ વાન્ગ્યાલ છે. સોનમ વાંગચુકે ભૂખ હડતાલ કરી ને હવે દેશનું ધ્યાન ગયું, એવી જ રીતે 4 દાયકા પહેલાં વાનગ્યાલે અનુસૂચિત જનજાતિ (ST)ના દરજ્જા માટે આંદોલન છેડ્યું હતું. વાન્ગ્યાલ રાજકીય નેતા જ નહોતા, પણ 23 વર્ષની સૌથી નાની ઉંમરે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર સાહસિક વિજેતા પણ હતા. તે પછી તેઓ જમ્મુ-કાશ્મીરની વિધાન પરિષદના સભ્ય, ધારાસભ્ય, મંત્રી પણ બન્યા. 1980ના દાયકામાં વાન્ગ્યાલે લદાખને અનુસૂચિત જનજાતિનો દરજ્જો અપાવવા મોટું આંદોલન છેડ્યું હતું. 1984માં વાન્ગ્યાલ  ભૂખ હડતાલ પર ઊતર્યા ત્યારે તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ લેહની મુલાકાત લીધી હતી અને તેમને સમર્થનની ખાતરી આપી, ત્યારે વાન્ગ્યાલે ઉપવાસ છોડ્યા હતા. વાન્ગ્યાલને મળવા ઇન્દિરા ગાંધી જઈ શકતાં હોય, તો સોનમ વાંગચુક માટે એવું સૌજન્ય કોઈ મંત્રી દાખવે જ નહીં એ દુ:ખદ છે.

તો, આ વાત છે.

સોનમ વાન્ગ્ચુક નામના પર્યાવરણવિદ શિક્ષણના સુધાર માટે અનશન પર ઊતરીને જિંદગી દાવ પર લગાવે, એમાં તેમની પોતાની પ્રાપ્તિ શું છે? ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે તો વાંગચુકને શું મળવાનું છે? નીટને નિમિત્તે 20 આત્મહત્યાઓ થઈ ને એ આખી ઘટના બાજુ પરથી પસાર થઇ જાય ને કોઈનું રૂંવાડું પણ ન ફરકે, ત્યારે કોક્રોચ જનતા પાર્ટી ને સોનમ વાંગચુક સંસદ માર્ચ કરે તેમાં ખોટું શું છે? ખરેખર તો રાજીનામું મંગાય તે પહેલાં નૈતિકતાને ધોરણે સામેથી રાજીનામું અપાય તે અપેક્ષિત છે. એવું ન થાય તો રાજીનામું માંગવામાં શું ખોટું થાય છે તે સમજાતું નથી. મંત્રીઓ ધીટ હોય છે, પણ ધર્મેન્દ્ર પ્રધાન જેવા પણ હોય છે, એ આઘાતજનક આશ્ચર્ય છે ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 જુલાઈ 2026

Loading

...10...16171819...304050...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved