Opinion Magazine
Number of visits: 9842257
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઈસ્માઈલ મીર (1918 – 2000)

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|6 April 2026

ઇસ્માઈલ મીર

દક્ષિણ આફ્રિકાના ઇતિહાસમાં ઈસ્માઈલ મીર એક એવું માણસ છે કે તેનાં ગીત બહુ જ ઓછાં ગવાયાં છે. નેલ્સન મન્ડેલાને આફ્રિકન કેન્દ્રી રાજકારણથી સર્વસમાવેશક વિચારધારામાં અને કર્તૃત્વમાં પલોટનાર હિન્દવી નસ્સલના એ અગત્યના કર્મશીલ હતા. દસકાઓ પછી, જ્યારે મન્ડેલાને જેલમુક્ત કરાયા, ત્યારે વિશ્વપ્રવાસે જતી વેળા, નેલ્સન મન્ડેલાએ ઈસ્માઈલ મીરને જ પોતાના સાથીદાર તરીકે જોડે આવવા નિમંત્રણ આપેલું. 

દક્ષિણ આફ્રિકાના રાષ્ટૃપુરુષ નેલ્સન મન્ડેલાના મતાનુસાર, ‘ઈસ્માઇલ મીર મારા મિત્ર હતા … પોતાપણામાં તેમ જ રાજકીય વિચારધારામાં  કલપ્નાતીત નેક માણસ.’ મન્ડેલા વિશેષે લખે છે : ‘અમે જુવાન હતા; કાયદાનો અભ્યાસ સાથે કરતા. અને એવો ય વખત હતો જ્યારે હું ખોલવડ હાઉસના ઈસ્માઈલના ફ્લેટમાં રાતવાસો પણ કરી લેતો. અમારા બન્ને માટે એ અગત્યનો સમય હતો. પરિણામે વિવિધ સંસ્કૃતિઓને સમજવાની સુગમતા મળતી અને વિવિધતામાં એકતાના પાઠ ભણવાના સહેલા રહેતા.

‘સાચું કહું તો ત્યાં લગી મને હિન્દીઓની ઓળખ જ નહોતી. એ વખતના રંગભેદી વાતાવરણમાં ઈસ્માઇલ જોડેની ભાઈબંધીને કારણે મારા પૂર્વગ્રહોને પણ ખંખેરી શકાયા. ઈસ્માઈલ તો મારા અદના મિત્ર બની ગયા, પણ સાથે સાથે  હું હિન્દીઓને પીછાનતો થયો. મને ડો. દાદુ, મૌલવી તથા યુસૂફ કાછલિયા, ગુલામ અને અમીના પહાડ, અહમદ કથરાડા તેમ જ જે.એન. સિંહનો પરિચય થયો અને તે દરેક જોડેની મૈત્રી પણ સબળ બની. વળી, તે દરેક દક્ષિણ આફ્રિકા માટેની સ્વાતંત્ર્ય લડતનાં સાથી બનીને રહ્યાં.’

મન્ડેલા ઉમેરે છે : ‘હું ઈસ્માઇલ પાસેથી ખૂબ શીખ્યો છું. એ સાર્વત્રિકતામાં માનનારા મનેખ હતા. કોઈ પણ જાતના ભેદભાવ વિના એ પૂરા માનવતાવાદી હતા. માનવીય ભાઈચારાના નિજી લક્ષણમાં તે છૂટછાટ લેનારા હતા જ નહીં.’ 

•••

ઈસ્માઈલ મીરના દાદા અહમદ મીરને ચાર દીકરા. તેમાં ઈસ્માઈલ મીરના પિતા છોટા મીર સૌથી નાના. તેમના મોટા ભાઈ, મોહમદ અહમદ મીર દક્ષિણ આફ્રિકે લીલા ચરિયાણની ખોજમાં આવેલા, એ પહેલવહેલા મીર. તેમનું વય તે વેળા 17 હશે. એ 1882ની સાલ હતી. હળુ હળુ એમણે ડરબન, જ્હોનાસિબર્ગ, ડંડી [Dundee] તેમ જ વૉશબેન્ક[Waschbank]માં પાથરણ કર્યું અને ધંધોધાપોની જમાવટ કરી. એમના ભાઈઓ દક્ષિણ આફ્રિકા હરવાફરવા ગયેલા પણ ત્યાં સ્થાયી તો છોટા મીર જ થયા. સન 1893માં છોટા મીરે પોતાના નામે − સી.એ. મીર નામે – ધંધો આદરેલો. ઐતિહાસિક તવારીખ અનુસાર, મોહનદાસ કરમચંદ ગાંધીનું ય એ જ વરસે દક્ષિણ આફ્રિકા જવાનું ગોઠવાયેલું. 

ક્વાઝુલુ-નાતાલ પ્રાન્તના ડંડી ગામની પડખેના આ વૉશબેન્ક ગામે, છોટા મીરે થાણું નાંખ્યું. એ સમજદાર હતા તેથી એમણે પણ મોટાભાઈ મોહમદ અહમદ મીરની જેમ અનેકને ધંધેધાપે ઠેકાણે પાડ્યાના દાખલા સાંપડે. એમાં એક રામસેવક સિંહ પણ હતા. મૂળે તે તો ગીરમીટિયા હિન્દવી મજૂર હતા. પણ ગામમાં તેમની શાખ ને નામના હતી. હિન્દવી જમાત તેમની અદબ જાળવતી. આમ રામસેવક સિંહ વૉશબેન્કના એક જમીનદાર બની ગયા. બીજી બાજુ, ગામના બીજાત્રીજા વીસેક હિન્દવીઓ સાંજ પડે ને છોટા મીરની દુકાને સાગમટે હળતા મળતા. આવા આ છોટા મીરને ત્યાં, ઈસ્માઈલ મીરનો 05 સપ્ટેમ્બર 1918ના રોજ જન્મ થયો. 

આવા ભાઈચારાના, સર્વધર્મસમભાવના, વાતાવરણમાં ઈસ્માઈલનો ઉછેર થયો. વિશ્વવ્યાપક ઇસ્લામની નીતિમત્તાનાં વિવિધ લક્ષણો પિતાના આગ્રહને કારણે ઈસ્માઈલમાં ઊતરતા ગયાં. પિતાની હૂંફે આટલું ઓછું હોય તેમ સાચા મુસ્લિમ બનવાનું અને જોડજોડ સમાજવાદી વિચારધારામાં પલોટાવાનું ય બન્યું.  

છોટા મીરે ગાંધીભાઈએ પાઠવેલા કાગળ કાળજીપૂર્વક સાંચવ્યા હતા. સન 1913 દરમિયાનની વિશાળ કૂચ વેળા ઈસ્માઇલના એક કાકા, એમ.એ. મીર ગાંધીના સાથીદાર હતા. એમ.એ. મીરની જેમ, વળી, છોટા મીર પણ ગાંધીજીના ભારે ચાહક હતા. એક માહિતી અનુસાર, હિન્દુસ્તાન પરત ગયેલા ગાંધીની નેતાગીરીથી, વિવિધ ગતિવિધિથી તેમ જ  કામગીરીથી મીર પરિવાર વાકેફ રહેતો અને તેથી પ્રસન્ન રહેતો. મોટાભાઈ મોહમદ મીર તો સુરત હતા. તેથી અવારનવાર આવી વિગતોથી દક્ષિણ આફ્રિકાના પરિવારજનોને એ વાકેફ રાખતા. એક વેળા, સુરતમાં ગાંધીની સભા હતી. યજમાનોએ ગાંધીનો કાર્યક્રમ ઘડી કાઢેલો. પરંતુ ગાંધીએ કેટલુંક રદ્દ કરી કરાવીને ‘નાતાલના મારા મોહમદ શેઠને’ મળવા નીકળી ગયેલા !

•••

ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના ‘નાટ્યમહર્ષિ’ તરીકે જાણીતા સુપ્રસિદ્ધ નાટ્યકાર, પ્રભુલાલ દ્વિવેદીને નામ એક કાવ્ય છે :

એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી,
એથી જ શાણા સાહ્યબીથી લેશ ફુલાતા નથી.

ભાગ્ય રૂઠે કે રીઝે એની તમા જેને નથી,
એ જ શૂરા જે મુસીબત જોઈ ગભરાતા નથી.

ખીલે તે કરમાય છે, સર્જાય તે લોપાય છે,
જે ચઢે તે પડે, એ નિયમ બદલાતા નથી.

કંઈક આવું જ છોટા મીરના વ્યાપારી જીવનમાં બને છે. 1929 થી 1939ના સમયગાળામાં આવેલી વિશ્વવ્યાપી મહા મંદી[The Great Depression]ના ઝપાટામાં છોટા મીર આવી ગયા અને ધંધાને જબ્બર ઝાપટ લાગી. અને તેની અસરમાં છોટા મીર પરિવારમાં જે અમીરપણું હતું તેની જગ્યાએ ફકીરી આવી પડી. અને ઈસ્માઈલને ભણતર સાથે નાનીમોટી નોકરી કરવાનો વખત આવી પડ્યો. ઈસ્માઈલને ડરબન ખાતે સ્થળાંતર કરવાનું બન્યું, જ્યા તેમના એક મોટા ભાઈનો ખમીસ બનાવવાનો ધંધો હતો. તેમાં તે જોતરાયા. અને જોડાજોડ નિશાળનું ભણતર પૂરું કરીને સ્થાનિક શાસ્ત્રી કૉલેજમાંથી 1939ના અરસામાં ગ્રેજ્યુએટ થયા. પછી જ્હોનિસબર્ગમાં આવી યુનિવર્સિટી ઑવ્‌ ધ વીટવૉટર્સરાન્ડ(Witwatersrand)માંથી વકીલાતનું ભણ્યા અને 1950 દરમિયાન એટર્ની તરીકેની કુશળતા હાંસલ કરી. અને પછી, નાતાલ પ્રાંતના વેરુલૅમ [Verulam] ખાતે એમણે વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો. ઉદ્દામવાદી રાજકરણથી ઇસ્માઈલ પ્રભાવિત તો હતા તેથી યુનિવર્સિટીમા બીજા જ વરસે તે દક્ષિણ આફ્રિકાના સામ્યવાદી પક્ષમાં જોડાઈ પણ ગયા. 

જોહાનિસબર્ગની માર્કેટ સ્ટૃીટમાં ખોલવાડ હાઉસના તેરમા નંબરના ફ્લેટમાં વસવાટ હતો તે વેળા સ્વાતંત્ર્ય સૈનિકોનું એ જાણે કે વડું મથક જ બની ગયેલું. વળી, અહમદ કથરાડાના રાજકીય માર્ગદર્શક પણ અનાયાસે થયા. અહમદ કથરાડાએ એથી તો કહેલું, ઈસ્માઇલ મીર એક વ્યક્તિથી વિશેષ હતા. એ જ ખુદ સંસ્થા રૂપે હોય તેવા અનેક પ્રમાણો છે.  

સન 1946ના પાસિવ રેસિસ્ટન્સ (Passive Resistence) આંદોલનમાં અગ્રગણ્ય ભાગ લેનારા તો હતા જ, પણ પછી 1952ના ‘ડિફાયન્સ ઑવ્‌ અનજસ્ટ લૉઝ’ (Defiance of Unjust Laws)માં ય એ અગ્રેસર બની રહ્યા. 1955માં ‘ફ્રિડમ ચાર્ટર’ ઘડવામાં ય ઈસ્માઇલનો અગ્રગામી ફાળો રહ્યો. અને આફ્રિકન નેશનલ કાઁગ્રેસ તેમ જ નાતાલ ઇન્ડિયન કાઁગ્રેસની કારોબારી સમિતિમાં ય એ કાર્યપ્રવૃત્ત બન્યા. 

ગઈ સદીના ચોથા દાયકા વેળા ઈસ્માઈલ મીર તથા બીજા અનેક ઉદ્દામવાદી હિન્દવી નસ્સલના રાજકીય કર્મશીલોએ જૂની પેઢીને હડસેલી હિન્દવી રાજકારણમાં અગ્રેસર રહી કામ હાથ કર્યું. 1945થી ડૉ, યુસૂફ દાદુ સાથે નજીક રહીને પ્રવૃત્ત બની રહ્યા. ટૃાન્સવાલ ઇન્ડિયન કાઁગ્રેસની કારોબારીમાં દાખલ થયા, યુસૂફ દાદુ પ્રમુખ તરીકે અને ઈસ્માઈલ મીર મંત્રી તરીકે. અને આમ આ જોડીએ સાઉથ આફ્રિકન ઇન્ડિયન કાઁગ્રેસનો કારભાર 1946થી હાથ કર્યો, અને તેના નેજા હેઠળ ગાંધી વિચારાધીન સત્યાગ્રહ આદરવાનો નિર્ણય કર્યો. ખુદ ઈસ્માઈલ મીરના જણાવવા મુજબ, ‘એશિયાટિક લેન્ડ ટેન્યોર એન્ડ ઇન્ડિયન રિપ્રેઝન્ટેશન એક્ટનો વિરોધ કરવા સારુ 1946નો આ સત્યાગ્રહ કરવાનો અમારો મનસૂબો હતો. 1952 વેળા ‘ડિફાયન્સ’ (અવજ્ઞા) આંદોલન તેમ જ 1955ના આમ જનતાની કાઁગ્રેસ, ‘ફ્રિડમ ચાર્ટર’ (સ્વાતંત્ર્ય માટેનો ખરીતો) અને 1956 વેળા દેશદ્રોહનો મુકદ્દમો માટેની જમીન તેને કારણે જાણે કે તૈયાર થઈ.’

ઈસ્માઈલ મીરની રાજકીય સમજણ પર જવાહરલાલ નેહરુનાં લખાણોની ભારે મોટી અસર હતી. ઉપરાંત, ‘ઇન્ડસ્ટૃીઅલ એન્ડ કમર્સિયલ વર્કર્સ યુનિયન’ના ક્લેમન્ટ્સ કાડલીનો બચપણથી પ્રભાવ રહેલો હતો. સમય સમય પર વળી એ આફ્રિકન નેશનલ કાઁગ્રેસના વડા ચીફ આલ્બર્ટ લુથુલી તેમ જ કામદાર આંદોલનના એક વડા એલિસન જ્યોર્જ ચેમ્પિયન (Allison George Champion) જોડે સતત સંપર્કમાં રહેતા. આ દિવસો દરમિયાન પોતાની બૌદ્ધિક અને પત્રકારત્વની સમજણ ખીલવી શરૂ થઈ. વળી, એમણે 1937માં સ્થાપેલી ‘લેફ્ટ બૂક કલ્બ’માં જે ચર્ચાવિચારણા થતી રહેતી તેનાથી પણ ઉદારમતી સમજણની બુદ્ધિમતા મજબૂત બનતી ચાલી. 

આ સમયગાળા દરમિયાન, વળી, ‘ધ ઇન્ડિયન વ્યૂઝ’ તેમ જ ‘ન્યૂ આઉટલૂક’ સામયિકો માટે તંત્રી લેખો લખતા રહ્યા. એ જ રીતે, ‘ધ લીડર’ સામયિક માટે ‘આઇ રિમેમ્બર’ નામક કોલમ પણ લખતા હતા. આને કારણે હિન્દવી જમાતના લોકો દક્ષિણ આફ્રિકાના સામાજિક અને રાજકીય જીવનમાં રસ લેતા થયા અને જરૂર પડી ત્યારે ભાગ પણ લેતા થયા. 1946ના નાતાલ પ્રાંતે ‘પાસિવ રેસિસ્ટન્સ કેમ્પેઇન’માં ઈસ્માઈલ મીર બીજાઓની સાથે સક્રિયપણે સામેલ હતા. ઈસ્માઇલભાઈ જ્હોનાસિબર્ગમાંથી ‘પાસિવ રેસિસ્ટર’ નામક સાપ્તાહિકનું સંપાદન પણ કરતા હતા. આ બધાને લીધે એમને એક મહિનાની કેદની સજા પણ થયેલી. હકીકતે આફ્રિકીઓ અને હિન્દવી લોકો વચ્ચે દરેક આંદોલન માટે મજબૂતપણે સહકાર રહે તેમ તે માનતા હતા.

ઇસ્માઈલ અને ફાતીમા મીર

સન 1954 દરમિયાન, એમનાં પત્ની તેમ જ ખુદ એમના પર પ્રતિબંધક ધારા અનુસાર પ્રતિબંધ લદાયો હતો. આથી 1952થી 1990ના સમયગાળામાં ઈસ્માઈલ મીરનાં લખાણમાંથી કશું ય અવતરણ લઈ શકાતું નહીં. પરિણામે ઈાસ્માઈલ મીર તખલ્લુસ વાપરીને લખાણ કરતા.

સિદ્ધાન્તનિષ્ઠ આંદોલનકાર, નીવડેલા કામદાર આગેવાન, શિક્ષણકાર, રાજકારણી, વકીલ, તેમ જ દક્ષિણ આફ્રિકામાંના મોટા ભાગના બહુમતી લોકો પર શાસકોનો દાબ તેમ જ તેમના કંગાળ જનજીવન બાબતના ઇતિહાસના લેખક તરીકે નાની વયથી જ વિવિધપણે સક્રિય રહ્યા હતા. ‘નાતાલ ઇન્ડિયન કાઁગ્રેસ’ના ઉપપ્રમુખ હોવાને નાતે તેમ જ ‘સાઉથ આફ્રિકન કાઁગ્રેસ ઑવ્‌ ટેૃડ યુનિયન્સ’ની નાતાલ શાખાનું પ્રમુખપદ પણ સંભાળેલું હોઈ શાસકોની ઊંડી તવાઈનો ભોગ બનતા રહેલા. આથી જ 1956 વેળા દેશદ્રોહના મુકદમામાંના 156 આગેવાનોમાં ઈસ્માઇલ મીરનો ય સમાવેશ કરાયો હતો. દેશમાં, સન 1960, વેળા કટોકટી લાદવામાં આવી, ત્યારે ચીફ આલ્બર્ટ લુથુલીની જોડાજોડ ઈસ્માઈલ મીરને પણ અટકમાં લેવામાં આવેલા. એ જ સદીના આઠમા દાયકા દરમિયાન, વિશાળ લોકશાહી તંત્ર માટેનું આંદોલન ઊભું કરવા બાબત તે સતત સક્રિય રહેલા. સન 1994માં લોકશાહી મૂલક રાજતંત્ર અમલી બન્યું ત્યારે ક્વાઝુલુ-નાતાલ પ્રાંતની ધારાસભામાં બે સત્ર માટે એ સભ્ય રહ્યા હતા.

દક્ષિણ આફ્રિકાની સ્વાતંત્ર્ય લડતમાં ઉમદા ફાળો આપનાર પ્રાધ્યાપક ફાતિમા મીર જોડે 1951માં એમનું લગ્ન થયેલું. એમના પુ્ત્ર રશીદનું એક કાર અકસ્માતમાં અવસાન થયેલું. એમને બે દીકરીઓ ય હતી : શમીમ અને શેહનાઝ. ઈસ્માઈ મીર પાક મુસ્લિમ હતા. પોતાના વિસ્તારની મસ્જિદમાં એ ઘણી વખત ‘જુમા ખુત્બ:’નો ઉપદેશ આપતા અને ‘તફસિર’ ભણાવતા. 1984 વેળા પોતાની જોડે એ હજ માટે ય જઈ આવેલા. ઈસ્માઈલ મીરના કિમ્મતી જીવનની એકમેકથી ચડિયાતી વિગતમાહિતી આપણને ‘ઍ ફોરચ્યુનેટ મેન’ નામક આત્મકથામાં સાંપડે છે. વિધિની વક્રતા તો એવી કે આ આત્મકથાના અંત ભાગને એ પૂરો ન કરી શક્યા, કેમ કે 01 મે 2000ના રોજ એમનું અવસાન થયું. અને એમના વિદુષી પત્ની ફાતિમા મીરે આ આત્મકથા આટોપી અને પ્રકાશિત કરવાની કાર્યવાહી પણ કરી. જ્યારે નેલ્સન મન્ડેલાએ આ પુસ્તકની દીર્ઘ પણ સરસ પ્રસ્તાવના લખી છે. દક્ષિણ આફ્રિકાની સ્વાતંત્ર્ય લડતમાં વિધવિધ ક્ષેત્રે અગ્રગણ્ય ફાળો આપવા સારુ તત્કાલીન રાષ્ટૃપતિ જેકબ ઝૂમાએ ઇસ્માઈલ મીરને મરણોત્તર ‘ઑર્ડર ઑવ્‌ લુથુલી’ રૌપ્ય ચંદ્રક એનાયત કરેલો.           

06 ઍપ્રિલ 2026 
હેરૉ, યુનાઇટેડ કિંગ્ડમ
vipoolkalyani.opinion@btinternet.com

Loading

શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?

રમેશ ઓઝા|Opinion - Opinion|6 April 2026

રમેશ ઓઝા

ઇરાનના શાસકો અને ધર્મગુરુઓ પોતાની પ્રજા સાથે જે કરી રહ્યા છે અને ઈરાન બીજા દેશો સાથે જે કરી રહ્યું છે એ ભારત કરી શકે અને ભારતની પ્રજા (ખાસ કરીને હિંદુ) સહન કરી શકે? ઇઝરાયેલ જે કરી રહ્યું છે અને પોતાની પ્રજાને જેવું જીવન આપ્યું છે એ ભારત કરી શકે અને ભારતની પ્રજા સહી શકે? અન્ય મુસ્લિમ દેશોમાં ધર્મના નામે જે બની રહ્યું છે અને પ્રજા સહી રહી છે એ ભારતમાં શક્ય છે? ઉત્તર કોરિયા દુનિયા સાથે અને પોતાની પ્રજા સાથે જે કરી રહ્યું છે એ ભારત સરકાર અને ભારતની પ્રજા કરી કે સહી શકે? દાખલા આપવા હોય તો બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન જર્મની, ઇટલી, જપાનના આપી શકાય, એ દરમ્યાન અને એ પછીનાં વર્ષોનાં સ્તાલીનકાલીન સોવિયેત રશિયાનું આપી શકાય, માઓકાલીન ચીનનું આપી શકાય, પૂર્વ યુરોપનાં સામ્યવાદી દેશોનું આપી શકાય, ઈદી અમીન અને તેના જેવા શાસકોનો શિકાર બનેલાં આફ્રિકા અને લેટિન અમેરિકાના બીજા દેશોનાં આપી શકાય. આ સિવાય સુદાન, સીરિયા, ચેકોસ્લોવેકિયા, મ્યાનમાર, હૈતી, ઈથિયોપિયા જેવા બીજા એક ડઝન દેશોમાં પ્રજાએ આપસી કત્લેઆમ કરી છે અને સહી છે એનાં આપી શકાય. વર્તમાન ચીન અને રશિયાનું આપી શકાય. શું ભારતીય પ્રજા આ કરી કે સહી શકે એમ છે?

આ બધા દેશો એવા છે જેમાં ત્યાનાં શાસકો બેફામ હિંસા કરે છે, જાણીબૂજીને આયોજનના ભાગરૂપે હિંસા કરે છે, પ્રજાએ સુદ્ધા હિંસામાં ભાગ લીધો છે અને હિંસા સહન પણ કરી છે. દૈનંદિન હિંસા ત્યાંના સમાજજીવનનું અંગ છે. શું ભારતની પ્રજા (ખાસ કરીને હિંદુઓ) આવું કરી કે સહી શકે? થોડુંક આત્મનિરીક્ષણ કરો. શું આવી જિંદગી આપણે જીવી શકીએ? સાચી વાત તો એ છે કે જગતના લોકતાંત્રિક વિકસિત દેશોમાં (જેમ કે કેનેડા, ફ્રાંસ, બ્રિટન, જર્મની, ઓસ્ટ્રેલિયા, જપાન વગેરે. અમેરિકાનો પણ આમાં સમાવેશ થાય છે, પણ આજકાલ એક પાગલ મનસ્વીપણે વર્તે છે એ એક અપવાદ છે) ત્યાંની પ્રજા ભેદભાવ વિના જેવી મોકળાશ અનુભવે છે એવી મોકળાશ આપણે આજ સુધી અનુભવતા આવ્યા છીએ અને તેમના જેટલું ભલે ન હોય, પણ એકંદરે રાજ્ય મર્યાદા જાળવનારુ જવાબદાર છે. ભારત વિકસિત દેશ નહીં હોવા છતાં એકંદરે વિકસિત દેશોની મૂલ્યવ્યવસ્થા અને રાજ્યવ્યવસ્થા ધરાવે છે. વિકાસશીલ દેશોમાં ભારત કદાચ એકમાત્ર દેશ છે જે અર્થતંત્રને મોરચે ભલે નહીં, પણ મૂલ્યવ્યવસ્થા અને જવાબદાર રાજ્યતંત્રના મોરચે વિકસિત દેશોની હરોળમાં બેસે છે. બાકી કહેવાતા સમૃદ્ધ દેશોમાં પણ હિંસાનું તાંડવ ચાલે છે. ઇઝરાયેલ અને તેલના કારણે સમૃદ્ધ થયેલા કેટલાક મુસ્લિમ દેશો આનું ઉદાહરણ છે.

જન્મ લીધા પછી ગમે ત્યારે મોત આવે એ હદે જિંદગી અસલામત હોય, માની નજર સામે બાળક મરતાં હોય, વીણીવીણીને સામૂહિક હત્યાઓ કરાતી હોય, વિકાસ કરતાં વધુ ખર્ચો રક્ષણ માટે કરવામાં આવતો હોય, એની પાછી આર્થિક કિંમત હોય અને બાળકો ભૂખે મરતાં હોય, શાસકોની ચોવીસે કલાક તમારા પર નજર હોય, ગમે ત્યારે તમને ગુનેગાર ઠરાવીને સજા કરાતી હોય, અશાંતિનો લાભ લઈને ચાલાક દેશો કુદરતી સંસાધનો લૂંટીને એ દેશને અંદરથી ફોલી નાખતા હોય વગેરે. ટૂંકમાં ગમે ત્યારે જેલમાં જવાનું અથવા ગોળીએ મરવાનું અને જો ગોળીથી બચો તો ભૂખે મરવાનું! આવી બર્બરતા આ બધા દેશોની વાસ્તવિકતા હતી કે છે. આપણે એ કરી કે સહી શકીએ ખરા? અને એનાથી પણ મહત્ત્વનો સવાલ એ માર્ગ અપનાવવો જોઈએ ખરો? સૌથી પહેલાં તો આપણે આ બધા દેશો પર એક સામટી નજર કરવી જોઈએ. શા માટે આ બધા દેશોને હિંસા કરવાનો કે ખમવાનો વખત આવ્યો? તેમના નસીબ ખરાબ હતા કે પછી કશાક બીજાં કારણો હતાં અને આજે પણ છે. આ બધા દેશો પર એક સામટી નજર કરશો તો ધ્યાનમાં આવશે કે આ બધા દેશોમાં ત્યાંના શાસકોને અથવા પ્રજાને અને કેટલીક જગ્યાએ બન્નેને ‘બીજા’નું કશુંક સ્વીકાર્ય નહોતું કે નથી અને ‘પોતા’નું સ્વીકાર્ય બને એવો આગ્રહ નજરે પડશે. ઘડીભર થોભો અને ઉપરના દરેકે દરેક હિંસાગ્રસ્ત દેશના ઇતિહાસ કે વર્તમાન પર નજર કરો અને તપાસો કે હું જે કહું છું એ વાત ખરી છે કે ખોટી? શિયાને સુન્ની સ્વીકાર્ય નથી, સુન્નીને શિયા સ્વીકાર્ય નથી, પરંપરાપૂજકોને પરિવર્તન સ્વીકાર્ય નથી, રૂઢિચુસ્તોને આધુનિકતા સ્વીકાર્ય નથી, પુરુષને સ્ત્રીની આઝાદી સ્વીકાર્ય નથી, મુસ્લિમને યહૂદી સ્વીકાર્ય નથી, યહૂદીને મુસ્લિમ સ્વીકાર્ય નથી, સમાજવાદી-સામ્યવાદીને મૂડીવાદી અર્થતંત્ર સ્વીકાર્ય નથી, તાનાશાહને લોકશાહી સ્વીકાર્ય નથી, શ્રીલંકામાં સિંહાલાને તમિલ સ્વીકાર્ય નથી, એક કબિલાઈ પ્રજાને બીજા કબીલાની પ્રજા સ્વીકાર્ય નથી, બાંગ્લાદેશમાં બંગાળીને ઉર્દૂ સ્વીકાર્ય નથી વગેરે વગેરે વગેરે. ૨૦મી સદી અને ૨૧મી સદીમાં જ્યાં જ્યાં લોહી રેડાયું છે અને આજ પણ લોહી રેડાઈ રહ્યું છે એ એકે એક દેશ પર નજર કરશો તો આ જ હકીકત જોવા મળશે. કોઈકને કશુંક સ્વીકાર્ય નથી અને પોતાનું કશુંક સ્વીકાર્ય બને એ માટેનો આગ્રહ છે. અમુક દેશમાં શાસકો આગ્રહી છે અને અમુક દેશમાં શાસકો અને પ્રજા બન્ને આગ્રહી છે. આમાં હિંસા થવી અનિવાર્ય છે. ક્યાંક આંતરિક અને ક્યાંક બહારના સાથે અને કેટલીક જગ્યાએ બન્ને પ્રકારની હિંસા.

ગમા-અણગમાનો, સ્વીકાર્ય અને અસ્વીકાર્યની પ્રજાકીય વૃત્તિનો રાજકારણીઓ લાભ લે છે, એની આસપાસ રાજકારણ વિકસે છે અને રાજ્ય એ રીતે આકાર પામે છે. એક દિવસ અસ્વીકૃત સાથે ભેદભાવ, અન્યાય, અસભ્યતા અને હિંસા વગેરે રાજ્યમાન્ય બને છે. એ પછી શું થાય છે ખબર છે? શાસકો બેફામ બનવા લાગે છે. બહુમતી પ્રજાને જેની સુગ છે એનાથી એ લોકો બહુમતી પ્રજાને બચાવવાનો દાવો કરે છે અને બહુમતી પ્રજા પોતાનું જે સ્વીકાર્ય બનાવવા માગે છે તેના તેઓ ઠેકેદાર બની જાય છે. પ્રારંભમાં શાસકો પ્રજાની મૂક કે સક્રિય સ્વીકૃતિ સાથે હિંસા કરે, અત્યાચાર કરે, દમન કરે અને જો પ્રજાકીય સક્રિયતા ઘટતી નજરે પડે તો શાસકો પ્રજાને આપસમાં લડાવે. પ્રજાકીય યુદ્ધ, આંતરવિગ્રહ, અન્ય દેશો સાથેનું યુદ્ધ એમ જ્યારે હિંસા ક્રૂર અને વ્યાપક બનવા લાગે ત્યારે બીજા દેશો તેનો લાભ લેવાનું શરૂ કરે અને એ હિંસાગ્રસ્ત દેશને અંદરથી ખોખલો કરે. ઘણીવાર દુષ્ટતાની ધરી પણ રચાય. ઉપર કહ્યા એ દેશો પર હજુ એકવાર નજર કરશો તો આ જ હકીકત જોવા મળશે.

ભારતીય પ્રજા (મુખ્યત્વે હિંદુઓ) આવી બર્બરતા આચરી શકે અને ખમી શકે? આ માર્ગ અપનાવવો જોઈએ ખરો? જેણે અપનાવ્યો છે એમાંથી કયો દેશ કે કઈ પ્રજા સુખી છે? ઇઝરાયેલ યહૂદીઓ ભૌતિક રીતે સુખી છે, પણ અદ્ધરજીવે જીવે છે. આવું જ ચીનાઓનું. ક્યારે તમને રાજ્યદ્રોહી જાહેર કરીને જેલમાં મોકલવામાં આવે એ કોઈ કહી શકે નહીં. હિંસા અને ચોવીસ કલાકની અસલામતી કરતાં સહિષ્ણુતા વધારે સારી એવું નથી લાગતું? તમને એવું નથી લાગતું કે યહૂદીઓએ આરબો ઉપર સરસાઈ મેળવવાની જગ્યાએ આરબો સાથે સહઅસ્તિત્વનો માર્ગ અપનાવ્યો હોત તો વધારે સુખી પણ હોત અને શાંતિથી જીવતી હોત? જે જે લોકોએ વિચારધારાની સરસાઈ, સંખ્યા આધારિત પ્રજાકીય સરસાઈ, ધર્મની સરસાઈ, સામાજિક પરંપરા-માન્યતાઓની સરસાઈ, સામાજિક સરસાઈ મેળવવાનો પ્રયાસ કર્યો છે તેમના હાથમાં હિંસા અને અસલામતી સિવાય કશું જ હાથમાં આવ્યું નથી. ઉપર બતાવ્યા એવા સોએક દેશનો સો વરસનો ઇતિહાસ તપાસી જુઓ. ખાસ કરીને હિંદુ રાષ્ટ્રના સમર્થકોને મારો સવાલ છે કે તમે શું સભ્ય દેશોની પંક્તિમાંથી બહાર નીકળીને ઉપર કહ્યા એવા દેશોની પંક્તિમાં બેસવા માંગો છો? પાછું એ દેશોની પ્રજા હિંસા, અસલામતી અને ખુવારી સિવાય કશું પામી નથી.

બીજું અહીં શૌર્યને પણ સમજી લેવું જોઈએ. મર્દાનગીને સમજી લેવી જોઈએ.   

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 ઍપ્રિલ 2026 

Loading

સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|6 April 2026

રવીન્દ્ર પારેખ

થોડાં વર્ષો પર ભોપાલના એક મંદિરનાં પરિસરમાં એક દોઢેક વર્ષનું બાળક તેના પિતા સાથે રમતું હતું મોબાઈલથી, ત્યાં રિંગ વાગી એટલે પિતાએ બાળક પાસેથી મોબાઈલ લઈ લીધો, તો બાળક રડવા લાગ્યું ને પરિસરમાં આમતેમ દોડવા લાગ્યું. ફોન પૂરો થતાં પિતાએ બાળકને ફોન પાછો આપ્યો. બાળક રડતી આંખે હસવા લાગ્યું, ત્યાં ફરી રિંગ વાગી. ફરી ફોન ખેંચી લેવાયો. બાળક ફરી રડ્યું. ફરી ફોન સોંપાયો ને બાળક રાજી થઈને રમવા લાગ્યું. દોઢેક વર્ષનાં એ બાળકને તેનો ઉપયોગ પણ ખબર નથી, પણ મોબાઈલ તેની પાસે ના રહ્યો, તો તેણે ઘણો સંતાપ કર્યો. આવી જ સ્થિતિ અન્ય બાળકોની પણ છે. થોડું મોટું બાળક મોબાઈલને મચડવાનું જાણે છે ને સ્ક્રિન પર થતા ફેરફારોનો સમજ્યા વગર આનંદ લે છે. એથી મોટી ઉંમરનાં બાળકો થોડું જાણીને તેનો ઉપયોગ કરે છે. આજનું જનરેશન લેટેસ્ટ ટેકનોલોજીવાળા મોબાઈલનો એટલો ઉપયોગ જાણે છે કે એટલો તો તેનાં મમ્મી પપ્પા ય નથી જાણતાં.

સોશિઅલ મીડિયાનો ઉપયોગ સ્કૂલના વિદ્યાર્થીઓમાં એવો વધી પડ્યો છે કે બાળકો સૌથી વધુ ભોગ શિક્ષણનો લે છે. સ્કૂલમાં ભણાવવાની શિક્ષકોને તક રહી નથી ને બાળકો તેનો લાભ સોશિઅલ મીડિયાને આપે છે, તે ત્યાં સુધી કે શેરિંગ, લાઈક્સ, ફોલોઅર્સ મેળવવામાં તેઓ જીવ પર આવી જાય છે અથવા તો જીવ લઇ લે છે. એમાં કેટલાક તો પોર્ન સુધી પણ પહોંચે છે. ઘરમાં સ્થિતિ અપવાદરૂપે જ સારી હોય છે. શિક્ષકો કે માબાપ પોતે જ મોબાઈલ એટલો મચડતા હોય છે કે તેઓ પાસે સંતાનોને આનાથી બચવાનું કહેવા જેટલો સમય પણ નથી. એક જ ઘરમાં માબાપ અને દીકરો/દીકરી પોતપોતાના મોબાઈલમાં મેસેજ કે રીલ્સ પોસ્ટ કરવામાં એટલાં વ્યસ્ત હોય છે કે બાજુમાં કોણ બેઠું છે એ પણ યાદ નથી આવતું ને સામે ટી.વી., એમ જ ચાલ્યાં કરતું હોય છે. એમાં મોટેભાગના તો આવેલા ફોર્વર્ડેડ મેસેજિસ વધુ ફોરવર્ડ કરવામાં જ બિઝી હોય છે. બાકી હતું તે નાનાં મોટાં બાળકો હવે રીલ્સ બનાવવામાં વ્યસ્ત થઈ ગયાં છે. રીલ્સ, વીડિયો કે સેલ્ફી બનાવવામાં કે ફોરવર્ડ કરવામાં બાળકો સહિત વડીલો પણ સક્રિય છે. સોશિઅલ મીડિયામાં જાણકારી કરતાં અજ્ઞાન વધુ ફરતું રહે છે.

એક સમયે નિરક્ષર અંગૂઠાછાપ હતા, હવે શિક્ષિત અંગૂઠાછાપોની મોટી જમાત ઊભી થઈ છે. કોઈ પણ આર્ટિકલ કે મેસેજ કે રીલ પોસ્ટ થાય છે કે કોઈ પણ પરિચિત કે અપરિચિત આંખ બંધ કરીને અંગૂઠા મારી દે છે. થોડા સમજીને, વાંચીને કે જોઇને લાઈક્સ કે કોમેન્ટ્સ કરે છે, પણ મોટે ભાગે તો શિક્ષિત અભણથી જ કારભાર ચાલે છે. સોશિયલ મીડિયામાં બીજી બાબત સામેલ થઈ છે તે રાતોરાત પ્રસિદ્ધિ પામવાની. કંઇ પણ કર્યા વગર કોઈએ લેખક, કોઈએ કવિ, કોઈએ નિબંધકાર, કોઈએ નાટ્યકાર … થવું છે ને ઢગલો લાઈક્સથી ટોચ પર રહેવું છે. થાય છે શું કે સોશિઅલ મીડિયામાં કંઇ પણ લખો તે સાહિત્ય થઈ જાય છે. લખનારે લાઈક્સ મેળવવી છે. તે પણ અંગૂઠાછાપ છે ને જે વાંચે છે, તે તો વધારે અંગૂઠાછાપ છે, એટલે બે અંગૂઠાછાપોની વચ્ચેનો આ વેપલો છે. વોટ્સએપને તો યુનિવર્સિટીનું માન મળેલું છે. અહીં પણ બધું ખપે છે. અનેકવાર ફોરવર્ડ થયેલા મેસેજિસ અનેક ખાતાંઓમાં ફરતા રહે છે. એ ઉપરાંત જે ફેસબુકમાં ખપે કે ન ખપે, એ માલ પણ અહીં ખપી જાય છે. આટલી જાહોજલાલી ભોગવતા યુઝર્સ ભાગ્યે જ ચાર લીટી પોતાની લખી શકે છે.

સોશિઅલ મીડિયામાં એટલો કારભાર ચાલે છે કે તે શું કામ ચાલે છે એ જ નથી સમજાતું. સાવ ફાલતું વાતોમાં એટલો સમય ખર્ચાય છે કે વાત ન પૂછો. સોશિઅલ મીડિયામાં એટલો બધો સમય વડીલોનો ને બાળકોનો ખર્ચાય છે કે વડીલો ઘરમાં કે નોકરીધંધામાં પૂરતું ધ્યાન આપી શકતા નથી. બાળકો ગેમ્સ, મેસેજિસ, રીલ્સ વગેરેમાં એટલા રોકાય છે કે તેઓ પણ ભણવામાં પૂરતું ધ્યાન આપી શકતાં નથી. યુવકો નવી મૈત્રી બાંધવા, છોડવામાંથી ઊંચા નથી આવતા. ટૂંકમાં, સોશિઅલ મીડિયામાં આખી પૃથ્વી ખૂંપી ગઈ હોય એવી સ્થિતિ છે.

આજે મોબાઈલ અનિવાર્ય થઈ પડ્યો છે, એ સાથે જ વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, u-ટ્યૂબ વગેરે પણ જરૂરી થઈ પડ્યાં છે. કોને વધારે મત મળ્યા એ પરથી મંત્રીઓ, વિધાયકો, સાંસદો નક્કી થાય છે, એમ જ આજના યુઝર્સની મહાનતા લાઈક્સ, કોમેન્ટ્સ, ફોલોઅર્સ પરથી નક્કી થાય છે. સોશિઅલ મીડિયાનો ઉપયોગ કરવાની ફરજ તો હવે રાજકારણમાં પણ પડે છે. એવા દિવસો પણ હતા કે નેતાની સભામાં લોકોની હાજરી પરથી તેની લોકપ્રિયતા નક્કી થતી. એ સ્થિતિ હવે રહી નથી. આ વખતે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થોડો ફેર પડ્યો છે. ભા.જ.પે. દાવેદારો પાસે ફોર્મ ભરાવ્યાં, તેમાં એ જાણકારી પણ માંગી કે તેમની પાસે સોશિઅલ મીડિયામાં ફોલોઅર્સ કેટલા છે? લોકપ્રિયતા નક્કી કરવાના માપદંડ બદલાયા છે. ટેકનોલોજી વધતી આવે છે, તેમ તેમ રાજકારણ પણ હાઈટેક બનતું આવે છે. સોશિઅલ મીડિયાનો ઉપયોગ એક તબક્કે પ્રચાર પૂરતો હતો, પણ હવે દાવેદારોને પણ સોશિઅલ મીડિયામાં કેટલાં ફોલોઅર્સ છે, એ કહેવાનું આવ્યું છે. એનો ગેરલાભ એ થશે કે નેતાઓ ફોલોઅર્સ વધારવામાં જ વ્યસ્ત રહેશે ને કામ કરશે નહીં. રાજકારણમાં સોશિઅલ મીડિયા પક્ષને માફક હશે, પણ તેનો જનતાને બહુ લાભ નહીં મળે. રાજકારણ પણ પોતાનો ઉલ્લુ સીધો કરવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને લાભ પોતે ખાટશે ને જનતા દૂર દૂર સુધી ક્યાં ય નહીં હોય.

સોશિઅલ મીડિયાનો લાભ નથી એવું નથી. મીડિયા માત્ર શુભ આશયથી જ શરૂ થાય છે, પણ તેના ઉપયોગમાં વિવેક જળવાવો જોઈએ જે જળવાતો નથી. બાકી, સોશિઅલ મીડિયા કેટલું ઉપયોગી છે, તેનું એક જ ઉદાહરણ જોઈએ. સુપ્રીમના જસ્ટિસ વિક્રમનાથે એક સંબોધનમાં જણાવ્યું કે ડિજિટલ યુગમાં ઓપન જસ્ટિસ અનિવાર્ય વિચારધારા છે, તે સાથે જ ન્યાય પ્રણાલીમાં સંતુલન જાળવવું પણ એટલું જ જરૂરી છે. શરૂઆતમાં કોર્ટને ડિજિટલ માધ્યમ સાથે જોડવાનું પડકારજનક હતું. પણ પછી ડિજિટલ માધ્યમ સાથે એ જોડાવું અસરકારક પુરવાર થયું છે. હવે એક જ વકીલ વર્ચ્યુઅલ માધ્યમથી એકથી વધુ કોર્ટમાં હાજરી આપી શકે છે.

આવા ઘણા લાભ છે, પણ સૌથી વધુ દુરુપયોગ બાળકો દ્વારા થાય છે. એટલે જ ઓસ્ટ્રેલિયાએ 9 ડિસેમ્બરે 16થી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશિઅલ મીડિયા પર પ્રતિબંધ લાગુ કર્યો છે. આ પ્રકારનો પ્રતિબંધ મૂકનાર ઓસ્ટ્રેલિયા પહેલો દેશ છે. આવો પ્રતિબંધ મૂકનારા દેશોમાં ઇન્ડોનેશિયા, નેધરલેંડ જેવા દેશો પણ છે. એના લાભ એ થયા છે કે બાળકોની સુરક્ષા વધી છે, બુલિંગના કેસો ઘટ્યા છે, બાળકોની એકાગ્રતા વધી છે, સામાજિક વાતાવરણ સુધર્યું છે. બાળકો પોતે કહી રહ્યા છે કે પ્રતિબંધથી તેઓ વર્તમાનને વધુ સારી રીતે જીવી રહ્યાં છે.

ભારતમાં પણ આંધ્ર અને કર્ણાટકે સોશિઅલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ 17મું બજેટ રજૂ કરતી વખતે 16થી ઓછી વયનાં બાળકો માટે સોશિઅલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. એ જ રીતે આંધ્રની સરકારે પણ 13 વર્ષથી નીચેની વયનાં બાળકો પર એ જ દિવસે પ્રતિબંધ મૂક્યો છે. ભારતમાં પહેલો પ્રતિબંધ મૂકનાર આંધ્ર ને કર્ણાટક એમ બે રાજ્યો છે. આવા પ્રતિબંધ મૂકવાથી બાળકોનાં માનસિક આરોગ્ય પર નકારાત્મક અસરો ન પડે, એ સાથે જ અભ્યાસમાં ખલેલ ન પહોંચે તે ચિંતા પણ એમાં છે.

આવાં સકારાત્મક પરિણામો મળતાં હોય તો સોશિઅલ મીડિયામાં પ્રતિબંધ મૂકવાનું સહ્ય બનવું જોઈએ. ખરેખર તો યુવાનો, વડીલો પર પણ સોશિઅલ મીડિયા સંદર્ભે પ્રતિબંધ મૂકવો જોઈએ, પણ તેમની પાસેથી સંયમની અપેક્ષા રહે. એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે સોશિઅલ મીડિયા એવું પ્લેટફોર્મ છે, જેનાથી બાળકો તો ઠીક, યુવાનો, વડીલો, વૃદ્ધો એમ સૌ કોઈ સંમોહિત થાય છે. વળી AIના આવવાથી તેનો ઉપયોગ વધુ વ્યાપક અને ઊંડો બનવાનો છે, એવે વખતે પ્રતિબંધ કરતાં પણ આત્મસંયમ જ વધુ લાભદાયી નીવડે, પણ એવો સંયમ શક્ય કેટલો એ પ્રશ્ન જ છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 ઍપ્રિલ 2026

Loading

...10...16171819...304050...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved