સત્ય સાપેક્ષ હોય છે એનો સૌથી વધુ લાભ ચૂંટણી વખતે રાજકીય પક્ષો ઉઠાવતા હોય છે. સાચું એ છે કે કોઈ, કોઈને ખોટું લાગતું જ નથી. અત્યારે લોકસભાની ચૂંટણીનો જોરદાર પ્રચાર ભા.જ.પ., કાઁગ્રેસ ને અન્ય પક્ષો કરી રહ્યા છે. ભા.જ.પ., કાઁગ્રેસથી બચવાનું કહે છે ને કાઁગ્રેસ, ભા.જ.પ.થી બચાવવા મથે છે ને ઘણાંને લાગે છે કે બચવાનું તો એ બંનેથી છે, પણ તેમની પાસે વિકલ્પ નથી, એટલે મત આપવા લાચાર છે. ગમ્મત એ છે કે એકબીજાની સ્પર્ધા અન્ય સંજોગોમાં ઓછી હોય છે, એમાં કોઈ ઊજળું થઈને બહાર આવતું નથી. મોટેભાગે તો ખરડાઈને જ બધાં ઊભાં થાય છે. એટલું છે કે જે જીતે છે તે શપથ લેવા જેટલો તો પવિત્ર થઈ જ જાય છે. આમ તો આ બધું પ્રજા માટે થાય છે ને હકીકત એ છે કે પ્રજા તો સામાને પરાજિત કરવા પૂરતી જ કામની છે.
એ હકીકત છે કે વિકાસનાં કામો થવા છતાં, તેનો લાભ પ્રજા સુધી ઓછો જ પહોંચે છે. લાભ તો વિકાસનાં કામો કરનારાં વચેટિયાઓ ખાટતાં હોય છે. લોકો માટે પુલ બંધાય તો છે, પણ તે બેસી પડે છે ને એને બાંધનારાંઓ ઊભાં થઈ જાય છે. સરકારને નામે થતાં ઘણાં કામો થાય છે જ એટલે કે ખવડાવીને ખાવાની તક આવી મળે. રાજકીય કામોમાં સૌથી વધુ મશ્કરી સત્યની થાય છે. ખાસ કરીને ચૂંટણીમાં સ્વાર્થ, સત્યનો પર્યાય બનીને આવે છે. ચૂંટણી વખતે અપાતી ને કપાતી ટિકિટોમાં ધ્યાન, વર્ષોથી સેવા કરી રહેલા પક્ષના કાર્યકરો પર નથી રહેતું, પણ લાભ ખાટવા આવી ચડેલા પક્ષપલટુઓ પર વધુ રહે છે. ઉમેદવાર ફોર્મ ભરે છે ત્યારે તેનો રેકોર્ડ ચેક થાય છે ને તેમાં પોતાની ઉપર ચાલતા ગંભીર ગુનાના કેસની વિગતો પણ હોય છે. કોઈ સાધારણ સંસ્થામાં પણ પટાવાળો ગુનેગાર ન આવી જાય એની કાળજી રખાય છે, જ્યારે ચૂંટણીમાં ગુનાહિત રેકોર્ડ હોવા છતાં ઉમેદવાર જીતે છે, એ જ બતાવે છે કે ગુનાહિત પ્રવૃત્તિઓની છોછ હવે ખાસ રહી નથી.
આપણી આસપાસ બનતી છેડતી, દુષ્કર્મ, હત્યાની ઘટનાઓનું વધતું પ્રમાણ એ સૂચવે છે કે લોકોનું માનસ હવે ગુનાહિત પ્રવૃત્તિઓ કરીને ‘ન્યાય’ મેળવી લેવામાં વધુ છે. સામાન્ય વાતોમાં પણ છરી હુલાવી દેવાની નવાઈ રહી નથી. ગુનાઓ વધી રહ્યા છે એ જોઈએ તો બધાં જ ગજવામાં છરી લઈને ફરતાં હોવાનો વહેમ પડે. સ્ત્રીઓ વિરુદ્ધના ગુનાઓ ઘટવાને બદલે વધે છે. આ પ્રકારના ગુનાઓને આડકતરું પ્રોત્સાહન રાજકીય પક્ષો આપતા હોય તો દેખીતું છે કે ગુનેગાર સંકોચાવાને બદલે વધુ આક્રમક બને. એવું પ્રોત્સાહન કર્ણાટકના સાંસદ પ્રજ્વલ રેવન્નાને આપવા જેવું થયું છે. પ્રજ્વલ રેવન્ના પૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવગૌડાના પૌત્ર અને કર્ણાટકના પૂર્વ મંત્રી એચ.ડી. રેવન્નાના પુત્ર છે. તે હાસન બેઠકના સાંસદ છે અને આ વખતે પણ એ જ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. તેમના પર દુષ્કર્મ, સેકસ વીડિયો રેકોર્ડિંગ, ધાકધમકી અને ષડયંત્ર જેવા આરોપો છે. આરોપોને કારણે જે.ડી.(એસ.) પાર્ટીએ તેમને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી સસ્પેન્ડ કર્યા છે ને કારણ દર્શક નોટિસ પણ બજાવી છે. રાજ્ય સરકારે આ મુદ્દે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(સીટ)ની રચના કરી છે. પ્રજ્વલની સામે તો સીટની તપાસ મુકાઇ જ છે, પણ તેમના પિતા એચ.ડી. રેવન્ના પર પણ યૌન શોષણને મામલે સીટની તપાસ મુકાઇ છે. એમાં વળાંક એ આવ્યો છે કે 26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન પૂરું થતાં ને કહેવાતા સેંકડો અશ્લીલ વીડિયો વાઇરલ થતાં, પ્રજ્વલ જર્મની ભાગી ગયા છે. પ્રજ્વલ રેવન્નાનું કહેવું છે કે તેમને બદનામ કરવા ષડયંત્ર કરવામાં આવ્યું છે ને વીડિયો મોર્ફ કરવામાં આવ્યા છે. એ તો તપાસમાં બહાર આવશે, પણ પિતા-પુત્ર સામે ઘરની નોકરાણીએ જ હાસનના હોલેનરસીપુર પોલીસ સ્ટેશનમાં એફ.આઇ.આર. નોંધાવી છે. બીજું, એ પણ છે કે 200થી વધુ વીડિયો વાઇરલ થયા છે તે શૂટ તો પ્રજ્વલ પોતે જ કરતા દેખાય છે, તો એમ માનવાનું છે કે વીડિયો એમણે જ મોર્ફ કર્યા છે?
આ મામલે કાઁગ્રેસ અને ભા.જ.પ.ને સામસામા આક્ષેપો કરવાની તક મળી ગઈ છે. જે.ડી.(એસ.)નું કહેવું છે કે પૂર્વ વડા પ્રધાનનું નામ આમાં સાંકળવું ઠીક નથી, બરાબર, પણ તેઓ આ મામલે મગનું નામ મરી નથી પાડતા એનું શું? જે.ડી.(એસ.) ઉમેરે છે કે કાઁગ્રેસ અમારા પરિવારમાં ભાગલા પડાવવાની કોશિશ કરી રહી છે. બીજી તરફ જનતા દળ (સેક્યુલર) અને ભા.જ.પ.નું ગઠબંધન છે, એટલે ભા.જ.પ.ની સ્થિતિ વધારે કફોડી થઈ છે. એક તરફ 67 વર્ષના પિતા એચ.ડી. રેવન્ના અને 33 વર્ષના પુત્ર પ્રજ્વલ રેવન્ના પર યૌન શોષણના આરોપો છે ને બીજી તરફ ભા.જ.પ.ની હાલત સાપે છછુંદર ગળ્યાં જેવી થઈ છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તો ગુવાહાટીમાં મંગળવારે કહેવું પડ્યું છે કે ભા.જ.પ. માતૃશક્તિ સાથે છે ને પ્રજ્વલ સામે કડક હાથે કામ લેવામાં આવશે.
આ સ્થતિનો લાભ કાઁગ્રેસ ન લે એવું તો બને જ કેમ? વડા પ્રધાન જાહેરસભામાં પ્રજ્વલને મત આપવાની હિમાયત કરતાં હોય ને તેનાં સેકસ સ્કેન્ડલ વિષે હરફ પણ ન ઉચ્ચારે એ વાતે કાઁગ્રેસનાં પ્રિયંકા ગાંધીએ વડા પ્રધાનને સોંસરું પૂછ્યું કે જેનો 10 દિવસ અગાઉ પ્રચાર કર્યો એ કર્ણાટકનો નેતા ફરાર છે ને જેણે સેંકડો મહિલાઓની જિદગી બરબાદ કરી છે એને વિષે હજી ચૂપ જ રહેશો? કાઁગ્રેસીઓને એ મુદ્દે પણ વાંધો છે કે વર્ષોથી કાઁગ્રેસના પરિવારવાદની ધોલાઈ કરી રહેલા વડા પ્રધાનને એચ.ડી. દેવેગૌડાનો પરિવાર અનેક હોદ્દે બિરાજે છે એનો વાંધો નથી, એટલું જ નહીં, એ પરિવાર સાથે બેસવામાં કે ફોટા પડાવવામાં પણ સંકોચ નથી થતો, તે પણ એવા આરોપી માટે જેનો પિતા કહેતો હોય કે જે વીડિયો જાહેર થયા છે તે તો 4-5 વર્ષ પહેલાંના છે. હવે આ સજ્જનને શું કહેવું? વીડિયો આજના ન હોય, તો ભલે, પણ ચાર પાંચ વર્ષ પહેલાંના હોય ને તે જો યૌન શોષણનાં હોય તો ગુનો તો બને જ છેને ! આવું કહીને તો ગુનાની કબૂલાત કરવા જેવું જ થાય છે કે બીજું કૈં? વીડિયો પ્રજ્વલના ડ્રાઈવર કાર્તિકે વાઇરલ કરવાની વાત પણ છે. કાર્તિક પ્રજ્વલ સાથે 15 વર્ષથી કામ કરતો હતો, પણ ગયા વર્ષે તેણે નોકરી છોડી હતી, તે એટલે કે પ્રજ્વલે તેની જમીન પચાવી પાડી હતી અને તેની પત્ની પર હુમલો કર્યો હતો.
કર્ણાટકની કાઁગ્રેસ સરકાર સામે આંગળી એ વાતે ચીંધાઈ છે કે તે બધું જાણતી હતી, પણ પગલાં લેવામાં મોડી પડી ને એમાં પ્રજ્વલને વિદેશ જવાની તક મળી ગઈ. લોકશાહીમાં એવું છે કે કોઈ આરોપી દેશ છોડવા તૈયાર થાય તો સંબંધિત સરકાર તેને રોકવાની કાર્યવાહી કરી શકે, જ્યારે અહીં તો રાજય સરકારે, કેન્દ્ર સરકારને કે એજન્સીઓને જાણ કરવાની પણ તસ્દી લીધી નથી. રહી વાત ભા.જ.પ.ની, તો તેણે પણ ભીનું જ સંકેલ્યું છે. તે એ રીતે કે ભા.જ.પ.ના સ્થાનિક નેતા દેવરાજ ગૌડાએ પ્રજ્વલ અંગે રાજ્ય ભા.જ.પ. અધ્યક્ષ બીવાય વિજયેન્દ્રને પત્ર લખીને જણાવ્યું હતું કે પ્રજ્વલ પર ‘મહિલાઓ સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિ’માં સામેલ હોવાનો આરોપ છે, સાથે એવી ચેતવણી પણ આપી હતી કે કાઁગ્રેસ લોકસભા ચૂંટણી દરમિયાન આ વીડિયોનો ઉપયોગ કરી શકે એમ છે. ભા.જ.પ.ના આંતરિક સૂત્રોનું કહેવું છે કે કેન્દ્રીય નેતૃત્વને આરોપો અંગે માહિતી આપવામાં આવી હતી, પણ અગ્રવાલે પોતાની બાજુ સાફ કરતાં કહ્યું કે અમે ચૂંટણી માટે જે.ડી.(એસ.) સાથે ગઠબંધન કર્યું એ ખરું, પણ જે.ડી. (એસ.) ઉમેદવારની પસંદગી કરે તેમાં હસ્તક્ષેપ ન કરી શકીએ, એટલું જ નહીં, અમે આરોપીના બચાવમાં પણ નહીં રહીએ.
ખરેખર તો જેની સાથે જોડાણ થયું હોય એ પાર્ટીના ઉમેદવાર અંગે કશી જ તપાસ કર્યા વગર જોડાણ કબૂલ રાખવું જોખમી છે. પ્રજ્વલ વિષે કશું જાણ્યા વગર વડા પ્રધાન મત આપવાની જાહેર સભામાં ભલામણ કરે તો એમાં છાપ વડા પ્રધાનની બગડે એ ખ્યાલ ભા.જ.પ.ના મોવડીઓને આવવો જ જોઈએ. એક તરફ અગ્રવાલ કહે છે કે જે.ડી. (એસ.) કયો ઉમેદવાર પસંદ કરે છે તે તેની આંતરિક બાબત છે ને બીજી તરફ એમ પણ કહે છે કે મને પ્રજ્વલ વિષે કૈં જ કહેવામાં આવ્યું નથી, તો સવાલ એ થાય કે ભા.જ.પે. કેન્દ્રીય નેતાગીરીને પ્રજ્વલ વિષે માહિતી આપી હતી કે કેમ? સ્થાનિક નેતાગીરીને એ ખ્યાલ જ નહીં હોય કે વડા પ્રધાન જાહેર સભામાં અજાણતાં જ પ્રજ્વલની ભલામણ કરી રહ્યા છે. એ સ્થિતિમાં કાઁગ્રેસ એમ માને કે વડા પ્રધાન, ઉમેદવાર દુરાચારી છે એમ માનીને પ્રચાર કરે છે તો તેનો હાથ કેવી રીતે પકડાય? એટલે જ તો રાહુલ ગાંધીએ કર્ણાટકના શિવમોગાની જાહેર સભામાં છડેચોક કહ્યું કે વડા પ્રધાન માસ રેપિસ્ટ માટે વોટ માંગી રહ્યા છે. ગમે એટલો નબળો વડા પ્રધાન પણ જાણીજોઈને કોઈ રેપિસ્ટને મત આપવાની ભલામણ ન જ કરે, પણ કાઁગ્રેસ તકનો લાભ લેવાનું તો ન ચૂકેને ! એ જે હોય તે, પણ પ્રજ્વલનો કેસ ભા.જ.પ.ને નડ્યા વગર નહીં રહે. એક તરફ વડા પ્રધાન મહિલાઓને તેમના અભિયાનના મુખ્ય સ્તંભોમાંના એક તરીકે રજૂ કરતાં હોય ને બીજી તરફ પ્રજ્વલ જેવા મહિલા શોષણખોર ઉમેદવારનું સમર્થન કરવાનું થાય તો ભા.જ.પ. જેવી પાર્ટીને તે અસહ્ય જ બને એમાં શંકા નથી.
જોઈ શકાશે કે ક્યાં ય કોઈ મૂલ્યની, નિષ્ઠાની, સત્યની વાત જ રહી નથી. જે આવે છે તે કોઈ પણ રીતે પોતાની ભાટાઈ અને સામેનાની ધોલાઈ કરીને જીતવા મથે છે. સાધન શુદ્ધિની ક્યાં ય ચિંતા નથી. જે પાણીએ મગ ચડે એ રીતે જ બધાં ચડાવે છે. હવેની ઘણી તકરારો અસત્ય અને અસત્ય વચ્ચેની છે, એટલે સત્યના માપદંડે મૂલવવાનું ખાસ રહેતું જ નથી ને એ દુ:ખદ છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 મે 2024