Opinion Magazine
Number of visits: 10080391
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સલામ જંતરમંતર જગનને

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|23 July 2026

પ્રકાશ ન. શાહ

સ્વાભાવિક જ આ ક્ષણોમાં દેશજનતાની ચેતનાનું કેન્દ્ર જંતરમંતર છે. 2024ના જૂનમાં એક આખા દસકાના લગભગ સોપા પછી, નવા કથાનકની કિંચિત શરૂઆત થઇ,અને લોકસભામાં વિધિવત વિપક્ષનું હોવું શક્ય બન્યું, એ ચોક્કસ જ એક મોટી વાત હતી. નવઉઘાડના એ સંકેતો અને સંજોગો વચમાં કેમ જાણે વિસરું વિસરું વર્તાતા હતા અને વખતોવખત મૂર્છિતવત  લાગતો દેશ સહસા આળસ મરડી અંગડાઇ લેવા લાગ્યો : શાસકપક્ષ જે ગાળામાં સત્તા વિ  જનતાના જંગની પચાસીને કાઁગ્રેસ વિ. ભા.જ.પ.ના જંગ તરીકે ટૂંક નજરી રાજકારણમાં તેમ જ સંકુચિત સત્તારમતમાં ફેરવવા લાલાયિત હતો, એ તાકડે જ કોક્રોચી વાયરો જાણે વાસંતી વધામણાં પેઠે વાયો. સત્તાપક્ષ બિલકુલ ઊંઘતો એટલો જ બેતમા-બેપરવા ઝડપાયો. દરમ્યાન, જે જમાવડો જામ્યો અને જગન મંડાયો, યુવજન પહેલે, એ આમ નાગરિક માટે આરંભે સહેજસાજ આશ્વસ્તકારી અને પછી આશ્ચર્યકારી હદે અસ્તિત્વના અહેસાસ રૂપ હશે. પણ હુક્મરાનો માટે એ માત્ર ઊંઘતાં ઝલાયાનો જ પણ સાક્ષાત્કારક એટલો જ આઘાતજનક  પ્રજાપરચો બની રહ્યો : પેલું જે નવ્ય  વૈકલ્પિક કથાનક, તે હવે ઓર ઊઘડવા લાગ્યું છે અને  એમને ઝંઝેડી તો જનતાને ઝકઝોરી રહ્યું છે.

એ સવારે મળતાં મળે એવા લોકવિજ્ઞાની સોનમને ધોળી લપેટમાં લઇ ગાયબ કીધા ને માન્યું કે એઈ ઢાંકોઢુંબો ને વાત થઇ  પૂરી! ભલા’દમી, ત્યાંથી સ્તો વાત, મૂઈ, શરૂ થવાની હતી. ટપોટપ શતસહસ્ર લોક ગાંઠને ખર્ચે ક્યાંથી ફૂટી નીકળ્યું, દઈ જાણે ! જનસૈલાબ, સાહેબો, જનસૈલાબ. સાડી સત્તર વાર જનસૈલાબ. આનો અર્થ પોલીસે શૂરી સરકારને સમજાય છે? ભયનો જે ઓથાર, એને લોકે આ ક્ષણોમાં જાણે ફગાવી દીધો અને અભિવ્યક્તિસ્વાતંત્ર્ય બંધારણની પોથીમાંથી, સરકારી બંદોબસ્તની કોઠીમાંથી અને સેમિનાર ખંડોની બંધબારણી સૃષ્ટિમાંથી બહાર નીકળી ખુલ્લાણમાં, મુક્ત હવામાં વિલસતું  વિહરતુ હતું. પોલીસ હતી અને વર્દીમાં નહીં એવી લાઠી મંડળી પણ તૈનાત હતી. ડંડા વીંઝાતા હતા અને પ્રહારે પ્રહારે આઝાદી નિંગળતી હતી.

માત્ર સોનમ જ નહીં, નેહા બોરા અને બીજાં પણ વીસ વીસ દિવસથી અનશન પર હતાં પણ રાજના મંત્રીને એમની ભાળસંભાળ વાસ્તે પોતાની કોઈ જવાબદારી ન જણાઈ, અને સુખદુઃખના મુદ્દા જાણવાની દરકાર સરખી તો ક્યાંથી હોય. મહેરામણની ધોંસે જ્યારે યુવા નેતૃત્વને સ્વાસ્થ્ય મંત્રી નડ્ડાએ નોતર્યું ત્યારે એમનો અનુભવ કલાકો લગી હાઉસ એરેસ્ટ શો હતો અને માંગણીના જવાબોમાં લગભગ નિરુત્તર હોવાનો. સરકારને ઢંઢોળવા  નેતા  પ્રતિપક્ષે વડા પ્રધાનના નિવાસ સ્થાને  ધરણાનો અરૂઢ પ્રયોગ કીધો. (અખિલેશે કહ્યું કે ગૃહમાં વડા પ્રધાન હાથમાં  ન આવે એ સંજોગોમાં આ અમારી મજબૂરી હતી.)

હવે બે શબ્દ  ઊઘડતા  કથાનક  વિશે, સૈલાબનાં સૂત્રો નોંધ્યા તમે? મુખ્યત્વે ચાર માલુમ પડે છે : વંદે માતરમ્‌, ભારતમાતાકી જય, ઈન્કિલાબ ઝિંદાબાદ, જય ભીમ. સ્વાતંત્ર્ય સંગ્રામની પરંપરામાંથી આવેલાં સૂત્રોમાં હમણેનાં વરસોમાં ‘જય ભીમ’ એ મૂલ્યવાન ઉમેરો છે. એનો સંદર્ભ કેવળ વર્ણાનુક્રમના વિરોધનો જ નહીં પણ સંવિધાનનો છે. મંચ પર ગાંધી અને આંબેડકર બેઉની તસવીરો બીજે છેડેથી આ મુદ્દો સરસ ઉઘાડી આપે છે.

આ બધો ગોફ મેં કર્યો, પણ તમે કહી તો શકો કે આમાં જે તત્કાળ નિમિત્ત છે તે ક્યાં. તમારી વાત સાચી, ભાઈ, પણ નીટથી માંડી જવાબદેહી નક્કી કરવાની વાત તેમ જ એકંદર શિક્ષણ પ્રથા બાબતે જરૂરી ઘણું બધું છે. પરંતુ આ સરકારે એકબાજુ મોંઘા દાટ શૈક્ષણિક તોસ્તાનો  અને વિદ્વત્તાની અવેજીમાં સંઘમાન્યતાનું જે ઘોર અશૈક્ષણિક રાજકારણ ચલાવ્યું છે એનું શું, ગુરુકુળની વાતો અને નહીં પરવડતાં શિક્ષાસંસ્થાનો. દિવસરાત નવી શિક્ષણ નીતિની દેદાકૂટ  અને ટપોટપ બંધ થતી સરકારી શાળાઓ. છે કોઈ જવાબ? ખુદાકી કસમ, તુમ લાજવાબ હો.

આ બધી ચર્ચા તો ખેર ચાલતી રહેશે. પણ છાત્ર યુવા ઉદ્યુક્તિકરણ સામે પક્ષોએ, શું સત્તાપક્ષે કે શું વિપક્ષે, જનતાની અદાલતમાં પોતાનો હિસાબ આપવો રહે છે. સત્તાપક્ષે ઉત્તરદાયિત્વથી અને વિપક્ષે દાયિત્વથી. કેમ કે પંજાબ વિધાન સભાની ચૂંટણી નજીકમાં છે એટલે કાઁગ્રેસ અને આપ એકમેકને અંગે આ આંદોલનમાં શેહ ને માતની રમત રમવાના હોય તો તે એમની ઘોર બેજવાબદારી લેખાશે. ભાઈ, રાજકારણ આખરે તો શક્યતાઓની કળા છે અને એમાં પક્ષોની ટૂંકનજરી રમત જો યુવાશક્તિના નવ ઉઘાડને રોળીરગદોળી નાખશે કે પૂર્વે દીપકે રાહુલ સંબંધે બાલિશ ઉદ્દગારો કાઢેલા એવો રવૈયો રહેશે  તો તે વાસંતી વાયરાને અભડાવશે.

22 જુલાઈ 2026 
prakash.nireekshak@gmail.com

Loading

માર્યા જશે

કવિ : રાજેશ જોશી [હિન્દી પરથી અનુવાદ : રૂપાલી બર્ક]|Poetry|22 July 2026

જે આ ગાંડપણમાં ભળશે નહીં
માર્યા જશે

કઠેડામાં ઊભા કરી દેવાશે
જે વિરોધમાં બોલશે
જે સાચું બોલશે, માર્યા જશે
સાંખી નહીં લેવાઈ કોઈનું ખમીસ
હોય
‘એમના’ ખમીસથી વધુ સફેદ
જેના ખમીસ પર ડાઘ નહીં હોય, માર્યા જશે

ધકેલી દેવાશે કલાની દુનિયાની બહાર
જે ચારણ નથી
જે ગુણ નહીં ગાય, માર્યા જશે
ધર્મની ધજા ઉઠાવી જે નહીં જાય સરઘસમાં
ગોળીઓ વીંધી નાખશે એમને, દ્રોહી ગણવામાં
આવશે

સૌથી મોટો અપરાધ આ સમયે
છે નિ:શસ્ત્ર અને નિર્દોષ હોવું
જે અપરાધી નથી
માર્યા જશે.

 e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

મહિલાઓને પ્રજનન સંબંધી નિર્ણય લેવાનો પૂર્ણ અધિકાર છે

ચંદુ મહેરિયા|Opinion - Opinion|22 July 2026

ચંદુ મહેરિયા

પિતૃસત્તાક સમાજમાં મહિલાને માણસ નહીં વસ્તુ માનવામાં આવે છે. પુરુષો માટે મહિલાઓ જાણે કે છોકરાં જણવાનું મશીન છે. ભારતમાં વસ્તી નિયંત્રણનો બોજ પણ મહિલાઓના માથે થોપી દેવામાં આવ્યો છે. સરકારો પણ પરિવાર નિયોજનના લક્ષ્યાંકો પૂરા કરવાની જવાબદારી મહિલાઓના માથે ઢોળે છે. અસલામત અને ખતરનાક પરિસ્થિતિઓમાં મહિલાઓના શરીરને વસ્તી નિયંત્રણના સાધન તરીકે ઉપયોગ કરીને તેમના પર પરિવાર નિયોજનની સર્જરી કરવામાં આવે છે. ભારતના બંધારણે તો શું સ્ત્રી કે શું પુરુષ સૌને સમાન લેખ્યા છે, પરંતુ વાસ્તવિકતા જુદી છે. સ્ત્રીઓની આ હાલતમાં બંધારણીય જોગવાઈઓ અને તેને વશવર્તી અદાલતોના ચુકાદા તેમની સમાનતાનું સમર્થન કરે છે ત્યારે આશ્વસ્ત થવાય છે. સંવિધાન અને કોર્ટો સ્ત્રીઓની પ્રજનન સ્વાયત્તતા સ્થાપિત કરે છે. મહિલાઓને તેમનાં શરીર અને પ્રજનન સંબંધી નિર્ણય, સ્વતંત્રપણે તેમ જ કોઈની ય દખલ વિના લેવાનો પૂર્ણ અધિકાર છે. બંધારણના આર્ટિકલ ૨૧થી આ અધિકાર સંરક્ષિત છે. 

કર્ણાટક હાઈકોર્ટે એક દુર્લભ કેસમાં મહિલાના સર્વોત્તમ હિતમાં ચુકાદો આપી ફરી એક વાર ન્યાયની આશા જગવી છે. સંપૂર્ણ પરાવલંબી ૨૩ વર્ષીય એક યુવતી ગંભીર માનસિક અને વિકાસાત્મક અક્ષમતાઓ ધરાવે છે. તેમની વય તો ૨૩ની છે પરંતુ બુદ્ધિ અને શરીરની વય માંડ પાંચ વરસની છે. ૭૫ ટકા કાયમી વિકલાંગતા ધરાવે છે. ૧૩ વરસથી ખેંચ અને વાઈની દવા પર નભે છે. સેરેબ્રલ પાલ્સીપીડિત યુવતી ઉમરના પ્રમાણમાં શરીર અને બૌદ્ધિક ક્ષમતાએ અવિકસિત છે. દર મહિને તેને માસિક તો આવે છે. પણ તેની સ્વચ્છતાની તેને કોઈ સમજ નથી. તેને કારણે તેના શરીરમાં ચેપ લાગે છે અને આરોગ્ય વિષયક ગંભીર સમસ્યાઓ પેદા થાય છે. તેનાં માતા-પિતા અને વાલી તેની સંભાળ તો બહુ રાખે છે, પરંતુ કેટલીક બાબતો સંભાળવી તેમના માટે પણ બહુ મુશ્કેલ છે. 

શારીરિક-માનસિક રીતે અવિકસિત અને અક્ષમ આ યુવતીના ગર્ભાશયને જો સર્જરી દ્વારા કાઢી નાંખવામાં આવે તો, તેને માસિકને કારણે દર મહિને જન્મતી પીડા અને આરોગ્યની સંભાળમાંથી છૂટકારો આપી શકાય. આ માટે તેમણે અદાલતના દરવાજા ખટખટાવ્યા હતા. વ્યક્તિ સ્વયં તેના આરોગ્ય સંબંધી નિર્ણય લેવા સક્ષમ ન હોય ત્યારે માતા, પિતા, વાલી અને તબીબો કોર્ટ સમક્ષ અરજ કરે છે. આવા અક્ષમ વ્યક્તિના સંરક્ષકની ભૂમિકા રાજ્ય અને અદાલતોની છે. તબીબી વિજ્ઞાનનો નિયમ તો દર્દીને સર્જરીના હેતુ, લાભાલાભ અને જોખમ સમજાવી તેની લેખિત સંમતિ મેળવવાનો છે. પરંતુ દર્દી ખુદ આ માટે અક્ષમ હોય તો તે કામ તેના વાલી-વારસોએ કરવું પડે છે. માનસિક વિકલાંગ મહિલાઓના ગર્ભાશય બળજબરીથી કાઢી નાંખવામાં આવે છે, એટલે પણ કડક કાયદાકીય જોગવાઈઓ કરવી પડી છે. RAIGHT OF PERSONS WITH DISABILITIES ACT, 2016ની એક કલમમાં વિકલાંગ વ્યક્તિની સહમતિ વિના તેની પ્રજનન ક્ષમતાને કાયમી અસર કરે તેવી સારવાર કે સર્જરી તેની સહમતી વિના ન કરવાની જોગવાઈ છે. 

બંધારણીય જોગવાઈઓ, કાયદાની કલમો અને વકીલોની દલીલો પરથી હાઈકોર્ટે ટોટલ એબ્ડોમિનલ હિસ્ટેરેક્ટોમી(પેટ ચીરીને ગર્ભાશય કાઢવાની શસ્ત્રક્રિયા)ની મંજૂરી આપી છે. અદાલતે આ માટે બહુ વિષયક નિષ્ણાતોના મેડિકલ બોર્ડની રચના કરી તેમનો અભિપ્રાય મેળવ્યો હતો. જસ્ટિસ સૂરજ ગોવિંદરાજે તેમના ચુકાદામાં જણાવ્યું હતું કે મહિલાના સર્વોત્તમ હિત, લાંબાગાળાના કલ્યાણના રક્ષણ, સલામતી, તેના આરોગ્ય અને ગરિમા માટે આવશ્યક હોઈ આ અનુમતી આપી છે. આ ચુકાદો માત્ર એક વ્યક્તિના હિતનો નથી તે દૂરગામી અસરો પણ જન્માવશે. 

સામાન્ય રીતે માનસિક વિકલાંગ મહિલાઓના ગર્ભાશય નાબૂદીના નહીં પણ તે યૌન હિંસાનો ભોગ બની ગર્ભવતી બની હોય તો ગર્ભપાતના ન્યાયિક વિવાદના કેસો અદાલતો સમક્ષ વધુ આવે છે. ૨૦૨૪માં ગુજરાતની વડી અદાલતે માત્ર ૧૫ વરસની માનસિક વિકલાંગતાગ્રસ્ત આદિવાસી છોકરીને ૨૮ સપ્તાહના ગર્ભપાતની અસાધારણ સંજોગોમાં મંજૂરી આપી હતી. ૨૦૦૯ના સુચિતા શ્રીવાસ્તવ વિરુદ્ધ ચંદીગઢ પ્રશાસનના કેસમાં નજીવી માનસિક વિકલાંગ બળાત્કારપીડિતાએ ગર્ભમાં રહેલા બાળકને રાખવાની પસંદગી કરતાં સર્વોચ્ચ અદાલતે તેની પસંદગી માન્ય રાખી હતી. ૨૦૨૦માં ઓડિસા હાઈકોર્ટે તબીબી જોખમના અહેવાલના આધારે બળાત્કારપીડિતાને ૨૪ અઠવાડિયાના ગર્ભને સમાપ્ત કરવાની મંજૂરી આપી નહોતી. પરંતુ તેની દેખભાળ અને વળતર સુનિશ્ચિત કર્યા હતા. આ ચુકાદાઓ મહિલાઓને શરીર સંબંધી નિર્ણય લેવામાં સ્વતંત્રતા અને સ્વાયત્તતા આપે છે.

ઘણીવાર સમાજના આર્થિક સામાજિક નબળા વર્ગની મહિલાઓના ગર્ભાશય બળજબરીથી કાઢી નાંખવાના બનાવો બને છે. મહારાષ્ટ્રમાં માસિક અને અન્ય તકલીફોને કારણે મહિલાઓને શેરડી કામદાર તરીકે કામે રાખતા નહોતા, તેથી આશરે ૧૩,૦૦૦ મહિલાઓના ગર્ભાશયો કાઢી નાંખવામાં આવ્યા હતા. મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં માસિક સંબંધી શારીરિક તકલીફોના ઈલાજ મટે ગયેલી આદિવાસી મહિલાઓના ગર્ભાશયો કાઢી નાંખવામાં આવ્યા હતા. તેનું કારણ તેઓ મજૂરીમાંથી હવે રજા ન લે તે હતું. મહિલાઓની પરિવાર નિયોજન શસ્ત્રક્રિયામાં પણ તેમની સાથે બળજબરી થાય છે કે અસલામત વાતાવરણમાં સર્જરી થાય છે. આ પ્રકારની સ્થિતિમાં મહિલાને તેના અધિકારો માટે ખબર હોતી નથી અને સરકારી તંત્ર તેમના પર બળજબરીથી નિર્ણયો થોપે છે અને નસબંદીના લક્ષ્યાંકો ઊંચા દર્શાવે છે.

મધ્ય પ્રદેશમાં બે વરસ પહેલાં પરણેલું એક શ્રીમંત દંપતી કોઈ મુદ્દે વિવાદ થતા છૂટું પડ્યું. એકલી રહેતી પત્નીના ગર્ભમાં બાળક હતું.પરંતુ તે ૧૩ મહિનાના ગર્ભનો નિકાલ કરવા માંગતી હતી. પતિ તે માટે સંમત નહોતો. આ બાબતે મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેન્ચે ગર્ભ રાખવા ના રાખવાની સંપૂર્ણ ઇચ્છા મહિલાની છે અને તેમાં પતિની દખલ પણ સ્વીકાર્ય નથી તેમ કઃઈ ગર્ભપાતની મંજૂરી આપી હતી. કલકત્તા હાઈકોર્ટે ૪૯ વરસના પત્ની અને ૫૭ વરસના પતિને આઈ.વી.એફ.થી બાળક મેળવવાની  મંજૂરી આપી હતી. પતિ-પત્નીની વધુ ઉંમર અને પતિની ઉંમર તો આઈ.વી.એફ.થી બાળક મેળવવાની મહત્તમ ઉમર ૫૫ વરસને વટાવી ગયાની દલીલ કરીને હોસ્પિટલે તેની સારવારનો નન્નો ભણ્યો હતો. પરંતુ વડી અદાલતે મહિલા ગર્ભ ધારણ કરવા શારીરિક રીતે સક્ષમ હોઈ તેને પ્રજનનના અધિકારથી વંચિત રાખી શકાય નહીં તેમ જણાવી મંજૂરી આપી હતી. 

બંધારણીય જોગવાઈઓ અને અદાલતોના ઉદાર તથા પ્રગતિશીલ વલણને જરૂર આવકારીએ, વખાણીએ. પરંતુ સમાજનું વલણ તો રૂઢિચૂસ્ત જ છે. માતૃત્વ, પ્રજનન, ગર્ભપાત અને સ્ત્રીના શરીર સંબંધી નિર્ણયોનો અધિકાર કાં તો ઘરના વડીલો કે પતિને જ હોય તેમ સમાજ વર્તે છે. બહુ થોડા લોકો પોતાના અધિકારો માટે અદાલતો પાસે જઈ શકે છે. એટલે પ્રગતિશીલ કાયદાકીય જોગવાઈઓ સાથે સમાજનું પિતૃસત્તાક માનસ બદલાય તો જ મહિલાઓને તેમના ઉચિત હક મળી શકે. 

e.mail : maheriyachandu@gmail.com 

Loading

...10...15161718...304050...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved