Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9376829
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—295

દીપક મહેતા|Opinion - Opinion|28 June 2025

રંગીલા, મોજીલા પ્રેમ આહુજાનું મોત : અકસ્માત કે ખૂન?      

ધોબી તળાવ પાસે આવેલું મેટ્રો એટલે એક જમાનાનું મુંબઈનું સૌથી વધુ ‘પોશ’ થિયેટર. જ્યાં જુઓ ત્યાં લાલ અને ગુલાબી રંગની ભરમાર. દાખલ થાવ કે તરત લાલ યુનિફોર્મ પહેરેલા ખિદમતગાર સ્વાગત કરે. લાલ ગાલીચા પાથરેલાં આરસનાં પગથિયાં ચડીને ઉપર જાવ તો સામે દેખાય જે.જે. સ્કૂલ ઓફ આર્ટના વિદ્યાર્થીઓએ કરેલાં ભીંતચિત્રો. ૧૯૩૮ના જૂન મહિનાની પાંચમી તારીખે ઉદ્ઘાટન થયું ત્યારથી અંગ્રેજી ફિલ્મોના ચાહકો માટે તો જાણે દેવળ બની ગયું. એ વખતે આ થિયેટર MGM કંપનીની માલિકીનું હતું અને વર્ષો સુધી અહીં માત્ર એ કંપનીની ફિલ્મો જ બતાવવામાં આવતી. 

મેટ્રો સિનેમાનાં ઉદ્ઘાટનની જાહેર ખબર

૧૯૫૯ના એપ્રિલની ૨૭મી તારીખે બપોરનો શો શરૂ થાય એ પહેલાં સિલ્વિયા નાણાવટી પોતાનાં ત્રણ બાળકોને લઈને મોટરમાંથી ઊતરી. ઘણા દિવસથી બાળકો કહેતાં હતાં કે અમારે Tom Thumb ફિલ્મ જોવા જવું છે. સિલ્વિયા જાણતી હતી કે બાળકોને મજા પડે તેવી આ મ્યુઝીકલ ફેન્ટસી છે. મૂળ કથા પ્રખ્યાત પરીકથા લેખકો ગ્રિમ બ્રધર્સની, નામે થમ્બલિંગ. એક નાનકડો અંગૂઠા જેવડો છોકરડો. આપણે એને ‘અન્ગૂઠિયો’ કહી શકીએ. એનો પનારો પડે છે બે ખતરનાક ચોરો સાથે. શરીરની નહિ, પણ બુદ્ધિની તાકાત વડે આ ચોરોને એ છોકરો કઈ રીતે હંફાવે છે એની વાત બાળકોને રસ પડે એ રીતે ફિલ્મમાં કહેવાઈ છે. 

ટોમ થમ્બ ફિલ્મનું પોસ્ટર

બાળકો તો ફિલ્મ જોવામાં મશગૂલ. પણ સિલ્વિયા? એનું મન તો ક્યાં ક્યાં ભટકી રહ્યું છે. પોતાનો પનારો પણ બે પુરુષો સાથે પડ્યો છે. એક પતિ, એક પ્રેમી. ના, બેમાંથી એકે ખતરનાક નથી. પણ પોતાના જીવનમાં આ બંનેનું સાથે હોવું, એ તો ખતરનાક બની શકે. ત્યાં તો બીજું મન કહે છે : નાહકની ચિંતા ન કર. બધાં સારાં વાનાં થઈ રહેશે. પતિ કાવસને ઇન્ડિયન નેવીની નોકરી અંગેનું અગત્યનું કામ આવી પડ્યું એટલે એ ફિલ્મ જોવા આવી ન શક્યો. પણ કહ્યું હતું કે શો પૂરો થવાના ટાઈમે મોટર લઈને આવી જઈશ. પછી બધા સાથે જમવા જશું. 

જમવા! ગઈ કાલે સવારે પોતે પતિની સાથે જમવા બેઠી હતી. બાળકોએ પહેલાં જમી લીધું હતું. એટલે જમતી વખતે બંને એકલાં હતાં. અને જમતાં જમતાં કાવસે હળવેકથી પૂછ્યું હતું : ‘તારી તબિયત તો સારી રહે છે ને ડાર્લિંગ?’ ‘કેમ એવું પૂછે છે?’ ‘આજકાલ તું મારાથી અળગી ને અળગી રહેવા લાગી છે. પહેલાંના કોયલ જેવા પ્રેમના ટહૂકા સાંભળવા મળતા નથી.’ પોતે જવાબ ન આપ્યો. કેવી રીતે આપે? ખોટું બોલવું નહોતું. સાચું બોલાય તેમ નહોતું. અને ગઈ કાલે રાતે ફરી એ જ સવાલ પૂછાયો, પણ વધુ સ્પષ્ટ રીતે. ‘દિવસે તો ઠીક, રાતે બેડ રૂમમાં પણ તું તરત પડખું ફરીને સૂઈ જાય છે. નહિ પહેલાની જેમ ચુંબન, નહિ આલિંગન!’ ‘અત્યારે મને બહુ ઊંઘ આવે છે. સવારે વાત કરશું.’

અને સવારે ચા પીતાં ફરી એ જ સવાલ. હવે આ રોજની ઊલટ તપાસ સહન નહિ થાય. સાચેસાચું કહેવું જ પડશે. જે થવાનું હોય તે છો થાય. ‘જો કાવસ! હવે તુને સાચ્ચેસાચ્ચું કહેવું જ પડશે. મારું મન એક બીજા મરદ તરફ ઢળ્યું છે.’ ‘કોણ છે એ ના_ય_ક? હું એને ઓળખું છું?’ ‘હા. આપણો બંનેનો દોસ્ત પ્રેમ આહુજા.’ ‘ફક્ત મન ઢળ્યું છે? કે તન પણ?’

સિલ્વિયાએ જવાબ ન આપ્યો, પણ આંખો ઢાળી દીધી. કાવસ જવાબ સમજી ગયો. વધુ કશી વાત કરવાને બદલે છાપું હાથમાં લઈ લીધું. પોતાનું મોઢું ઢંકાય એ રીતે બંને પાનાં ખોલીને વાંચવા લાગ્યો, કે વાંચવાનો દેખાવ કરવા લાગ્યો. સિલ્વિયા પણ મૂંગી મૂંગી ચા પીવા લાગી. થોડા દિવસ પહેલાં બહેનપણી સાથે એક જલસામાં ગઈ હતી. ત્યાં એક ગાયકે શું ગાયું હતું? ગીત, ગઝલ, કવ્વાલી? જે હોય તે. પણ શબ્દો બરાબર યાદ રહી ગયા હતા :

कोई कटारी कर मरे, कोई मरे बिख खाय,

प्रीती ऐसी कीजीये, हाय करे जीव जाय!

થોડી વાર પછી એકાએક કાવસે કહેલું : ‘હું તો નહિ આવી શકું, પણ તું આજે બાળકોને Tom Thumb ફિલ્મ જોવા લઈ જા. હું તમને મેટ્રો ઉતારીને મારા કામે જઈશ અને પછી શો પૂરો થાય ત્યારે તમને લેવા આવીશ.’ ત્રણે બાળકો ફિલ્મ જોઈને રાજીનાં રેડ થતાં હતાં. સિલ્વિયા પડદા તરફ તાકી રહી હતી છતાં કશું જોતી નહોતી.

પિક્ચર પૂરું થયું અને સિલ્વિયા બાળકોને લઈને થિયેટરમાંથી બહાર નીકળી. જુએ છે તો આ શું? સામે ઊભાં હતાં કાવસનાં માઈજી અને બાવાજી. ‘અરે! આ તો બચ્ચાંઓ માટેનું પિક્ચર છે. તમે જોવા આવ્યાં?’ ‘ના. અમે તો તને અને બચ્ચાંઓને લેવા આવ્યાં છીએ. જલદી મોટરમાં બેસી જાવ.’ બાળકો તો દાદા-દાદીને જોઈ ખુશ ખુશાલ. પણ સિલ્વિયાએ કહ્યું : પણ કાવસ લેવા આવવાનો છે. અમુને અહીં નહિ જુએ તો તેને ચિંતા થશે.’ ‘નહિ થાય. અમે એને કહી દીધું છે.’ 

બધાં મોટરમાં બેસી ગયાં. થોડે દૂર ગયાં ત્યાં સિલ્વિયાને ખ્યાલ આવ્યો કે મોટર કોલાબાના ઘર તરફ નહિ, કાવસનાં મમ્મા-ડેડીના ઘર તરફ જઈ રહી છે. તેણે પૂછ્યું : ‘કેમ આ તરફ ગાડી લો છો? આજે જતી વખતે કાવસ ઘરની ચાવી ભૂલી ગયા છે. એ આવશે તો ઘર કઈ રીતે ઉઘાડશે?’ મમ્મા એટલું જ બોલ્યાં : ‘એ બધી વાતો ઘરે જઈને.’ હવે સિલ્વિયાને લાગ્યું કે કહો ન કહો, પણ કાવસ ઘણી વાર બોલે છે તેમ ‘દાળમાં કૈંક કાળું છે.’ 

ઘર આવ્યું. કાવસના બાવાજીએ બાળકોને કહ્યું : ‘તમારે થોડી વાર કંપાઉંડમાં રમવું છે ને?’ બાળકો તો ખુશ ખુશ. કાવસનાં મમ્મા-ડેડી સાથે સિલ્વિયા તેમના ઘરે આવી. કાવસનાં મમ્મા સિલ્વિયા માટે અને પોતાના માટીડા માટે પાણી લઈ આવ્યાં. પાણી પીધા પછી કાવસના ડેડીએ બોલવાનું શરૂ કર્યું : ‘જો બેટા! મારે તને એક અકસ્માતના સમાચાર આપવાના છે.’ ‘અકસ્માત? કોને થયો? કાવસને?’ ‘ના. તમારા મિત્ર પ્રેમ આહુજાને?’ ‘એટલે કાવસ મેટ્રો પર નહિ આવ્યો?’ ‘એ નહિ આવી શક્યો?’ ‘પણ કેમ?’ ‘કારણ અત્યારે એ નેવલ કસ્ટડીમાં છે.’ ‘કોણ કાવસ? નેવલ કસ્ટડીમાં? કેમ?’ ‘જો દીકરા! મને જે માલમ છે, અને જેટલું માલમ છે, એ તુને કેહુચ. સાચું ખોટું તો ખોદાયજી જાને. તમુને મેટ્રો મૂકીને કાવસ સીધો તેના શીપ INS Mysore પર ગયો.’ કાવસના ડેડીને એકાએક ઉધરસ ચડી. 

આઈ.એન.એસ. માઈસોર

તેમની ઉધરસ હેઠી બેસે ત્યાં સુધી પ્રિય વાચક, આપણે કાવાસ જે શિપ પર હતો તે  આઈ.એન.એસ. માઈસોર વિષે થોડી વાત કરી લઈએ. એનું અસલ નામ એચ.એમ.એસ. નાઈજીરિયા. ગ્રેટ બ્રિટનની વિકર્સ આર્મસ્ટ્રોંગ નામની કંપનીએ બાંધેલી ૧૯૩૯ના જુલાઈની ૧૮મી તારીખે ગ્રેટ બ્રિટનના રોયલ નેવીમાં જોડાયેલી. આપણો દેશ આઝાદ થયો તે પછી સરકારે આ લડાયક સ્ટીમર રોયલ નેવી પાસેથી ખરીદી લીધી. ૧૯૫૭ના ઓગસ્ટની ૨૯મી તારીખે તે વિધિવત ઇન્ડિયન નેવીમાં જોડાઈ. ૧૯૮૫ના ઓગસ્ટની ૨૦મી તારીખે તેને નેવીમાંથી બરખાસ્ત કરવામાં આવી અને ભંગારવાડે મોકલવામાં આવી. ૧૬૯.૩ મીટરની તેની લંબાઈ. વધુમાં વધુ પહોળાઈ ૧૮.૯ મીટર. ઝડપ ૩૩ નોટ (દરિયાઈ માઈલ) જુદા જુદા પ્રકારની કુલ ૫૫ તોપ. ૧૯૭૧ના બાંગલાદેશ યુદ્ધ વખતે ઇન્ડિયન નેવીએ ‘ઓપરેશન ત્રિશુલ’ દ્વારા ચોથી ડિસેમ્બરની રાતે કરાચી બંદર પર તોપમારો કરી તેને ભારે નુકસાન પહોચાડ્યું ત્યારે એ હુમલાની આગેવાની આઈ.એન.એસ. માઈસોરે લીધી હતી. આ હુમલા પછી કરાચી શહેર સાત દિવસ સુધી બળતું રહ્યું હતું. ઓપરેશન ત્રિશુલની આગેવાની એડમિરલ એસ.એમ. નંદાએ લીધી હતી. ઇન્ડિયન નેવીના આ અનન્ય વિજયની યાદમાં દર વરસે ચોથી ડિસેમ્બરે ‘નેવી ડે’ ઉજવવામાં આવે છે. પણ પછી ૧૯૭૫થી આઈ.એન.એસ. માઈસોરનો ઉપયોગ નવા કેડેટોને તાલીમ આપવા માટે થયો. આ સ્ટીમરનો મોટો (મુદ્રાવાક્ય) તૈતરેય ઉપનિષદમાંથી લેવામાં આવ્યો હતો : ना बिभेति कदाचन – ડરવું નહિ, કદિ કોઈથી. સિલ્વિયા વિચારતી હતી : કાવસ પણ કોઈથી ડરે એવો નહોતો. 

કાવસના બાવાજીની ઉધરસ બેઠી એટલે સિલ્વિયાએ પૂછ્યું : ‘પણ કાવસ શીપ પર શું કામ ગીયો?’ ‘પોતાની રિવોલ્વર લેવા.’ ‘પણ લશ્કરનો તો નિયમ છે કે જ્યારે ડ્યૂટી પર હો ત્યારે જ લશ્કરી હથિયાર સાથે રાખી શકાય. ડ્યૂટી પૂરી થાય એટલે દરેક સૈનિકે પોતાની પાસેનું હથિયાર આર્મરીમાં જમા કરાવી દેવું પડે.’

‘હા, દીકરા. પણ કાવસે જઈને કહ્યું કે આજે રાતે હું મોટર લઈને ઔરંગાબાદ જવાનો છું. રસ્તામાં ગાઢ જંગલ આવે છે જેમાં જંગલી પશુઓ હોય છે. એટલે મારે મારી રિવોલ્વર સેલ્ફ ડિફેન્સ માટે સાથે રાખવી છે. અને કાવસ પર વિશ્વાસ મૂકી આર્મરીના ઓફિસરે તેને સર્વિસ રિવોલ્વર આપી. એક જાડા કાગળનું, પીળા રંગનું, મોટું કવર લીધું. તેના પર કાળી શાહીવાળી પેનથી નામ લખ્યું : કમાન્ડર કે. નાણાવટી. પછી તેની પિસ્તોલ એ કવરમાં મૂકીને કવર બંધ કર્યું અને ઇન્ડિયન નેવીનું સીલ લગાડ્યું. પછી શું થયું હશે એ સિલ્વિયા સમજી ગઈ હતી. છતાં પૂછ્યું : ‘પછી શું થયું?’ ‘પછી કાવસ ગીયો પ્રેમ આહુજાને ઘેરે. બંને વચ્ચે કંઈ બાબતે ઝગરો થિયો. કાવસના હાથમાંનું કવર પ્રેમ ઝૂંટવી લેવા ગયો. બંને વચ્ચે ઝપાઝપી થઈ. અને અકસ્માત જ કાવસની પિસ્તોલમાંથી છૂટેલી બે ગોળી આહુજાને વાગી અને તે બાથરૂમમાં જ ફસડાઈ પડ્યો.’

 ખરેખર શું થયું હશે તે સિલ્વિયા સમજી ગઈ. ના, આ અકસ્માત નહોતો. પણ તો શું હતું? જે હતું એનો વિચાર કરતાં સિલ્વિયા ડઘાઈ ગઈ. કાવસ સાથે સવારે થયેલી વાતના શબ્દો તેના કાનમાં ઘંટની જેમ વાગવા લાગ્યા : ‘જો કાવસ! હવે તુને સાચ્ચેસાચ્ચું કહેવું જ પડશે. મારું મન એક બીજા મરદ તરફ ઢળ્યું છે.’ ‘કોણ છે એ ના_ય_ક? હું એને ઓળખું છું?’ ‘હા. આપરો બંનેનો દોસ્ત પ્રેમ આહુજા.’ સિલ્વિયા વિચારી રહી : મેં આ વાત કાવસને નહિ કહી હોતે તો? તો આવું બનિયું નહિ હોતે, કદાચ. પણ આવી વાતને હૈયામાં ધરબી રાખીને જીવાત કઈ રીતે? અને જીવાત તો કેવું?

એ જ વખતે સિલ્વિયાના ખભા પર હાથ મૂકીને મમ્મા બોલ્યાં : આ આખી વાતનું સેવટ નઈ આવે તાં વેર તારે અને બચ્ચાંઓએ અહીં, અમારી સાથે જ રહેવાનું છે. સિલ્વિયા કશો જવાબ આપે તે પહેલાં કંપાઉંડમાં રમતાં બાળકો ઘરે આવ્યાં અને કહેવા લાગ્યાં : ‘મમ્મા, મમ્મા, અહીં કંપાઉંડમાં રમવાની બહુ મજા આવે છે. અમારે ઘરે નથી જવું, અહીં જ રહેવું છે.’ સિલ્વિયા માંડ માંડ એક જ શબ્દ બોલી શકી : ‘ઓકે’.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 28 જૂન 2025

Loading

જેલમાં ભણતર

Vipool Kalyani|Gandhiana|28 June 2025

મનુબહેન ગાંધી

આગાખાન મહેલ, 10-4-1943

આજથી બાપુજીએ સહુથી પહેલાં કરાંચીમાં હું ભણતી તે શાળામાં પાઠ્યપુસ્તક તરીકે ચાલતી ચોપડીઓ પોતાના અભ્યાસાર્થે વાંચી જવાની શરૂઆત કરી. અને એ રીતે ભૂમિતિ અને ઇતિહાસ-ભૂગોળ તથા ગુજરાતી વ્યાકરણની ચોપડીઓ, વાંચવી શરૂ કરી. પોતાનું વાંચવાનું છોડીને મારાં પાઠયપુસ્તક ઉપરથી મને કઈ રીતે ભણાવવી એ વિચારથી બહુ જ ધ્યાન રાખીને, જ્યાં જ્યાં નોંધ કરવી ઘટે ત્યાં ત્યાં પેન્સિલ વડે નોંધ ટપકાવી લીધી અને બપોરના મને ભૂમિતિના અને ત્રિરાશિના બે-ત્રણ દાખલા લખાવ્યા. તે દાખલા બીજે દહાડે કરી લાવવાના હતા. મારી પાસે ભૂમિતિની નોટબુક ન હતી, તેથી મેં અમારા સુપરિન્ટેન્ડેન્ટ સાહેબ પાસે મંગાવી; તે દોઢ રૂપિયાની આવી. એ નોટબુક લઈને હું સીધી બાપુજી પાસે ગઈ અને એમને બતાવી. તેમણે મને પહેલો જ સવાલ પૂછયો : ‘કેટલાની આવી?’

બાપુ કહે, ‘જા, પૂછીને મને ખબર આપ કે કેમ મળી.’

કટેલીસાહેબ તો બાપુના સ્વભાવને જાણતા હતા, તેથી મને કહે, ‘બાપુજીને કાંઈ કહેવાની જરૂર નથી.’

મેં કહ્યું. ‘એક તો મેં એમને પૂછ્યા વગર મંગાવી, ને હવે જો બતાવું નહીં અને તેમાં લેસન કરી જાઉં તો મારી ધૂળ જ કાઢી નાખે ને?’ એટલે એમણે બિલ મારા હાથમાં મૂક્યું.

દોઢ રૂપિયાનું બિલ જોઈને બાપુજી મને કહે : ‘તું એમ માનતી હશે કે ક્યાં આપણા પૈસા ખરચાય છે ? અંગ્રેજ સરકારના ખરચાય છે. અને વળી આપણને આટલી બધી સગવડ મળી છે, માટે ગમે તે ચીજો મંગાવવામાં વાંધો નથી. પણ એ તારી મોટી ભૂલ છે. એ પૈસા અંગ્રેજ સરકાર ક્યાંથી લાવી ? આપણા જ પૈસા ખરચાય છે. એ તો આપણે જ આપણને બેવકૂફ બનાવીએ છીએ. અને તે ઉપરાંત મોટી કુટેવ તો એ પડે છે, કે અમુક સગવડ મળી માટે તેને ઉડાવવી કે દુરુપયોગ કરવો. સારું થયું કે તેં નોટબુક મને બતાવ્યા વગર ન વાપરી. એટલો મારો ડર લાગ્યો ખરો. તારે અત્યારે શાળાના નિયમો કયાં પાળવા પડે છે કે આવી પાકા પૂંઠાની ભૂમિતિની નોટબુક જોઈએ ? આપણી પાસે કોરાં તારીખિયાંઓ ઘણાં પડયાં છે. તેની પાછળનાં પાનાં સાવ કોરાં છે. તેની અંદર તારે દાખલા કરવાના. આ નોટબુક પાછી આપી દેવી.’

એ નોટબુક પાછી આપવા કટેલીસાહેબને મેં આપી. એ કહે, ‘બાપુજી પણ જુલમ કરે છે. હું મારી પાસે રાખી મૂકીશ. તારે જોઈએ ત્યારે લઈ જજે.’ 

પણ બે વાગ્યા એટલે કટેલીસાહેબ ટપાલ તથા છાપાં આપવા બાપુજી પાસે આવ્યા, ત્યારે બાપુજીએ એમને પૂછયું,  ‘કેમ, મનુ નોટબુક આપી ગઈ ? ‘

એમણે કહ્યું, ‘હા આપી ગઈ, પણ બિચારીને વાપરવા દોને ? એને પછી સાચવવી હોય તો કામ લાગે ને ?’

બાપુજી કહે, ‘તમે એને બગાડવા માગતા લાગો છો. જો એને સાચવવા જેટલી દરકાર હશે તો આ તારીખિયાં નહીં સચવાય એમ તમે માનો છો ? એ તો પાછી જ જવી જોઈએ. અને રોકડો દોઢ રૂપિયો લાવ્યા કે નહીં તેની મને ખબર આપજો, જો કે સાંજે હું જમાદારને પૂછીશ.’

સાંજ પડી. બાપુ અને અમે બધાં બહાર ફરવા નીકળ્યાં. ફરી નોટબુક પ્રકરણ ઊપડ્યું. ‘તું સમજી ને, એમાંથી તને કેટલો મોટો પાઠ મળ્યો ? (1) એ દોઢ રૂપિયો કોણ આપે છે ? કોને ચૂસીને આ બધું ખર્ચ પૂરું પડાય છે ? એ બધા ખર્ચનો પૈસો કંઈ વિલાયતથી નથી આવતો. એટલે એમાં મેં તને ઇતિહાસ શીખવ્યો. (2) અને જોઈએ તે કરતાં વધુ કોઈ ૫ણ જાતની સગવડ મળતી હોવા છતાં તેનો ઉપયોગ ન કરવો જોઇએ, એટલે માનવતાનાં ઘણાં લક્ષણોમાંનો એક ગુણ શીખવ્યો (3) અને પડેલી ચીજનો સુંદર ઉપયોગ થશે. એ તારીખિયાં અમસ્તાં ફેંકાઈ જાત તે હવે જો તારા ઉપયોગનાં હશે તો સંઘરાશે. અને નહીંતર ફેંકાય તો ય એને ઉપયોગ થયા પછી ફેંકાય, તેમાં કશી હરકત નથી. (4) વળી કદાચ તારે બહાર જવાનું થાય તો પાકા પૂંઠાની આટલી સુંદર નોટબુક અને તેમાં દાખલા ગણ્યા હોય અને તું શાળામાં ભણવા જાય તો કદાચ ચોરાઈ પણ જાય, (અમારા વખતમાં ઘણી વખત એમ બનતું ) એટલે આવાં તારીખિયાં કોઇને ય ચોરવાનું મન ન થાય. બોલ આ સહુથી મોટો ફાયદો થયો ને ?’

આ વાત ચાલતી હતી ત્યાં જમાદાર સાહેબ આવ્યા અને રોકડો દોઢ રૂપિયો પાછો લાવ્યાની ખુશ ખબર આપી ગયા. 

[‘બા-બાપુની શીળી છાયામાં’]
28 જૂન 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 347

Loading

માણસ, આજે (૨૮) 

સુમન શાહ|Opinion - Literature, Opinion - Opinion|28 June 2025

સુમન શાહ

આજે માણસ એકને નહીં પણ અનેકને એક રીતે નહીં પણ અનેકશ: અનુભવી રહ્યો છે. બહુમુખી અને બહુવચનીય સમયમાં જીવી રહ્યો છે. એ પ્રવર્તમાન યુગસ્પન્દન વિશે વિચારવું જરૂરી છે. 

જુઓ, માણસોને હવે બધી વસ્તુઓ સરખે સરખી લાગે છે. ગૉળ-ખૉળનો ભેદ નથી રહ્યો. સારું-નરસું લીલું-સૂકું નિરર્થક-સાર્થક સાચ-જૂઠ ધર્મ-અધર્મ, નીતિ-અનીતિ બધું બરાબર છે એ ભાવ વિકસી રહ્યો છે. એ ભાવ ભેદકતાનાશક હોત તો આવકાર્ય ગણાત, પણ આ તો વિશિષ્ટતાનાશક છે. નીવડેલા સાહિત્યકાર અને નવોદિત સાહિત્યકાર વચ્ચે ભેદ ન કરીએ, ન જ કરીએ, પણ નીવડેલાની સૃષ્ટિની સાહિત્યિક ગુણવત્તાને મામુલી લેખીએ એ સામાન્યીકરણ સારી વાત નથી. કોઈક સાહિત્યકાર રોજ સવારે ગુજરાતી ભાષા-સાહિત્યના પરિદૃશ્ય વિશે ચિન્તા વ્યક્ત કરતો હોય એને જગન્નાથની અવસ્થામાં પોઢેલા સાહિત્યકારની સુખનિદ્રા સાથે ન સરખાવાય.

વિશિષ્ટતાનાશ અને સૌ-સરખાવાદ બહુ ઝડપથી પ્રસરી રહ્યા છે. એ કશી નીરસતા નથી પણ દરેકને વિશિષ્ટ નહીં પણ બધાને સામાન્ય ગણનારો અવળા મોઢે વિકસી રહેલો આવિષ્કાર છે. એનાં અનેક કારણો છે : મોટું કારણ તો માહિતીની ભરપૂરતા. hiper-normalization. એ ભરપૂરતામાં ખરા-ખોટાની જાળવણી ન પણ થતી હોય, એમાં સમીક્ષાત્મક વિશ્લેષણ પણ ન થતું હોય – કોણ કરે? 

એટલે, વિજ્ઞાન જેને sensory overload કહે છે એ પ્રભવે છે. માહિતીએ જનમાવેલા વિવિધ ઇન્દ્રિયબોધોના – sensory inputsના – ચિત્ત અર્થ કરવા જાય, એને પ્રક્રિયામાં ઢાળવા મથે, પણ એક સાથે શી રીતે વૅંઢારી શકે? જુઓ ને, માણસ નિરાંતે 

શ્રેયા ઘોષાલને સાંભળતો હોય પણ વાહનોનું ભૉંભૉં-ચીચી, જોડે કૂતરાંનું ભસંભસા, વળી અમિતાભ બચ્ચન, વળી રાજકારણીઓ, અને વળી ભાડૂતી પત્રકારોએ મચાવેલો ઘૉંઘાટ! ભાષિક કે બિનભાષિક બધા જ સંકેતો અને પ્રકાશ ટોળાં ગન્ધ-દુર્ગન્ધ કે સામે ઘેર શેકાતો શીરો – એ સૌ, માણસના મગજને તાકીને બેઠાં હોય છે.

આ ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ વગેરે સોશ્યલ મીડિયા અતિશયિત બહુવચનીય વાતાવરણ છે. દૃષ્ટિબિન્દુઓ કે માત્ર બિન્દુઓ, કાવતરાં કે કાવતરાંખોર વાતો, સુબોધીનાં કે અબુધનાં મન્તવ્યો, ચાલુ રાજકારણ વિશેના સાચા કે ખોટા બળાપા, વગેરે બધું જ સોશ્યલ ગણાય છે, એટલું જ નહીં, સાથે સાથે હોય છે. ડાહ્યા જનો કહેતા હોય છે કે વિવેક વાપરવાનો. એ ખરું પણ રજનીશની રીલ જોડે જાતીય પ્રદર્શન કરતી યુવતીની રીલ ડોકાય ત્યારે વિવેક બચારો ચૂપ થઈ જવાનો. કેટલા બધા લોકો સ્વસ્થ સુખી સમૃદ્ધ જીવન જીવવા વિશેના બોધ પીરસે છે – મને તો થાય, જાણે મને જીવન જીવતાં આવડતું જ નથી! તીવ્ર સમીક્ષા અર્પે એ નિપુણતાના ભરપૂર અભાવમાં આ દિશાહીન બહુવચનવાદ વકરી રહ્યો છે. 

સાહિત્યવિષયક કે જીવનવિષયક સાચો કે ખોટો વિચાર, ખરું કે ખોટું મન્તવ્ય કે કોઈપણ બાબત, એના નાણાકીય કે માનસિક ક્રયવિક્રય માટે ઊંચામાં ઊંચો અવાજ ઊભો કરી આપતાં સંખ્યાબંધ પ્લૅટફૉર્મ્સ, અને AI જેવી અતિ વિકસિત ટૅક્નોલૉજિનાં ઉપકરણોનો આ બહુવચનવાદના વિકાસમાં મોટો ફાળો છે. 

હવે નમ્બર્સનો મહિમા છે. મને મળેલા likesના Kથી હું ઊંચેરો બુદ્ધિવાન લાગું છું. મારા Facebook friends અને followersના આંકડાથી મારી મહાનતા નક્કી થાય છે. હું અનેક લોકોને એકઠા કરી શકું, મોટી મોટી સભાઓ ગજવી શકું, લોકને નચવી શકું, તો એ મારી રાજકીય કુનેહ ગણાય છે. રાજકારણે રાજનીતિનો અર્થ ભૂંસી નાખ્યો છે.

હવે રીયલનું સ્થાન વર્ચ્યુઅલે લીધું છે એમ ન કહો; એમ કહો કે વર્ચ્યુઅલ એના પ્રભાવે કરીને રીયલ લાગે છે. બૉદ્રિલાર્ડે simulacra વિભાવના વડે જણાવેલું કે મૂળ વિનાની નકલો થશે; પણ તેઓ હોત તો કહેત કે હવે તો નકલો જ મૂળ છે. AIએ સરજેલા personas, ચમકદમક સાથે રજૂ કરાતાં રાજનેતાઓનાં કે ઉદ્યોગપતિઓનાં વ્યક્તિ-ચિત્રો, સિનેમા ઍક્ટર્સ, અને રમતવીરોની યશગાથાઓને કારણે એક ચડિયાતા સમાજનું નિર્માણ થયું છે. પરિણામે, દેખીતી રીતે પણ અન્ય સામાજિક વર્ગો – અઢળક પ્રજાજનો – ડઘાયેલા અને રાંક દીસે છે.

એટલે વિચારણીય મુદ્દા ખૂણે હડસેલાઇ ગયા છે : લોકશાસન છે તો એ કયા વેશે છે, સર્વોચ્ચ છે તો એના નિર્ણયોની સમીક્ષા ક્યાં છે? ચાલુ યુદ્ધોમાં વિશ્વમાં રોજ મનુષ્યો મરે છે. દીવાળીની હવાઇઓની જેમ સામસામે જીવલેણ મિસાઇલો છોડાઇ રહી છે. એ તે કેવા પ્રકારની રાજનીતિનું ફળ છે? વગેરે વિશે બૌદ્ધિકો ભાગ્યે જ બોલે છે. 

કોઈપણ સિસ્ટમના સિદ્ધાન્તોનું મૂલ્ય ન જળવાતું હોય ત્યારે એ સિસ્ટમનું બીજું રૂપ પ્રગટી ચૂક્યું હોય છે, એ દેખાવું જોઇએ, પણ જવલ્લે જ દેખાય છે. હું એ કહેવા માગું છું કે લોકશાહીના ઝભ્ભા હેઠળ વિકસી રહેલી આપખુદશાહી દેખાય છે -? રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રકલ્યાણને નામે યુદ્ધો લગી પ્હૉંચી ગયેલા geopoliticsની અમાનુષી ચાલ પરખાય છે?

પણ હવે યુદ્ધો આપણને સદવા માંડ્યાં છે. લોકો બોલતા હોય છે – એ તો ચાલ્યા કરે, આપણે શું! કુદરતી આફતો કોરોના પછી સામાન્ય લાગવા માંડી છે. રોજિંદા જીવનની આ નવ્ય ગતિ કોઈપણ કટોકટીનું સામાન્યીકરણ કરી આપશે. પણ એ સાથે નૉંધવું જોઈશે કે સંવેદનશીલતા પ્રેમ કે કરુણા જેવી મનુષ્યજીવનની ચાલકનિયામક ચીજોને જડતા વળગવા લાગી છે. એટલે પછી, આ પરિદૃશ્ય સામે પ્રકોપ અનુકમ્પા કે આમૂળ ક્રાન્તિ માટેનું બળ માણસ ક્યાંથી લાવવાનો’તો?  

આ નવ્ય ઉચ્ચાવચતાયુક્ત ઑર્ડર અને રીયલ પર વર્ચ્યુઅલની સરસાઈને બહુવચનવાદ નષ્ટ નહીં કરી શકે બલકે એનાં અવનવાં રૂપો સરજી આપશે.

ખરો સવાલ એ છે કે માણસના વાસ્તવિક અનુભવનું શું -? એક આશા છે, સાહિત્ય અને અન્ય કલાઓ. એ દિશાએથી એક વિધાયક બહુવચનવાદી સમાજનું તેમ જ યુગસ્પન્દનનું સર્જન કે એથી સંતુલન અશક્ય નથી. કેમ કે કલાઓ વર્ગો કે જૂથોને નહીં પરન્તુ ધરતી પરનાં સૌ મનુષ્યોને જોડે છે. એને સરહદો રાજકારણ કે પ્રગતિશીલ ટૅક્નોલૉજિ હરાવી શકતાં નથી.  

પણ સાહિત્યકારો અને કલાકારો જ હારી ગયા હશે, તો?

= = = 

(270625USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...10...14151617...203040...

Search by

Opinion

  • ‘સાવન ભાદો’ની કાળી અને જાડી રેખાનું નમકીન આજે 70 વર્ષે પણ અકબંધ 
  • હંસને કી ચાહને કિતના મુઝે રુલાયા હૈ
  • પણે કેવળ પ્રાસંગિક થઈને રહી ગયા છીએ ….
  • બિઈંગ નોર્મલ ઈઝ બોરિંગ : મેરેલિન મનરો
  • અર્થ-અનર્થ – આંકડાની માયાજાળમાં ઢાંકપિછોડા

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • સરદારનો ગાંધી આદર્શ 
  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!
  • ગાંધીજી જીવતા હોત તો

Poetry

  • વરસાદમાં દરવાજો પલળ્યો
  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved