‘હિન્દુ-મુસ્લિમ’, ‘હિન્દુ-મુસ્લિમ’ કરતાં કરતાં બંધારણનાં 75 વર્ષ (અમૃત પર્વ) સુધી આવી પહોંચ્યા, પણ નથી હિંદુઓને જપ વળતો કે નથી મુસ્લિમોને નિરાંત થતી. મંદિર-મસ્જિદ મુદ્દે પણ વિવાદ ચાલ્યા કરે છે ને એનો પણ છેડો દેખાતો નથી એટલે નિરાંત ક્યારે થશે એ નક્કી નથી. સંઘના રાષ્ટ્રીય સંચાલક મોહન ભાગવત પણ વિવાદો નોતરતા રહે છે. વચમાં હિન્દુઓ વધુ બાળકો પેદા કરે એવું વિધાન કરી બેઠેલા ને તેણે ચર્ચા જગાવેલી. અયોધ્યા મંદિર બન્યું એ પછી બીજા મંદિરો પણ મસ્જિદોની નીચે હોવાની શંકાએ કેટલીક મસ્જિદો તપાસવાની ચર્ચાએ જોર પકડ્યું, ત્યારે ભાગવતે ઠાવકાઈથી આવી તપાસ પડતી મૂકવાનો અનુરોધ કર્યો, તો બીજી તરફ સંત સમાજ બધી મસ્જિદો નીચેથી શિવલિંગ ન શોધવાની ભાગવતની સલાહની સામે પડ્યો છે. એનું ઠેકાણું પડે ત્યાં અસદુદ્દીન ઓવૈસીએ સુપ્રીમમાં અરજી કરીને 1991નો કાયદો લાગુ કરવાની માંગ કરી છે. આવી ચર્ચાઓ, માંગણીઓ ચાલ્યા જ કરશે કે એનો કોઈ ઉકેલ પણ આવશે એ ખબર નથી.
19 ડિસેમ્બરે મોહન ભાગવતે પુણેમાં કહ્યું કે રામ મંદિરનાં નિર્માણ પછી કેટલાકને એવું લાગે છે કે નવી જગ્યાએ મંદિરના મુદ્દા ઉઠાવીને હિન્દુ નેતા બની જવાશે. રોજ જ આવા મુદ્દાઓ સામે આવતા હોય તો તેને મંજૂરી કેવી રીતે આપી શકાય? ભારતે એ બતાવવાની જરૂર છે કે બધાં એકબીજા સાથે રહી શકે છે. ઉગ્રવાદ, આક્રમકતા, અન્ય દેવતાઓનું અપમાન એ ભારતીય સંસ્કૃતિ નથી. આ દેશમાં હિન્દુને પોતાનો ધર્મ પાળવાની છૂટ છે એ જ રીતે બીજાને પણ તેનો ધર્મ પાળવાની છૂટ છે. સાચું તો એ છે કે રામ મંદિર વિવાદ અંગ્રેજો દ્વારા ઊભો કરવામાં આવેલો. ‘ડિવાઈડ એન્ડ રૂલ’ની ઘાતક અસરો હજી દેશમાં છે. આયોધ્યાથી મંદિર-મસ્જિદ વિવાદ થયો ને એ પછી તો બીજા નવ વિવાદો સામે આવ્યા છે. 2019માં સુપ્રીમ કોર્ટે મંદિરનું અસ્તિત્વ પ્રમાણ્યું ને રામ મંદિર થયું, પણ તે જ વખતે કાશી-મથુરાની મસ્જિદો પણ ચર્ચામાં આવી. અહીં પણ મંદિરો તોડીને મસ્જિદો બનાવાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે ને હાલ મેટર કોર્ટમાં છે. હિન્દુ મંદિરોની ઉપર મસ્જિદો બાંધવામાં આવી હોવાનો દાવો કરતી અરજીઓ સંદર્ભે ભાગવતની ટિપ્પણી આવી હતી, પણ ભાગવતની વાતોથી સંત સમાજ ખાસો નારાજ થયો હતો.
ઉત્તર પ્રદેશના સંભલમાં મંદિર-મસ્જિદ વિવાદ વચ્ચે સંઘના વડાના નિવેદનનો જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યને વાંધો પડ્યો ને તેમણે કહ્યું કે ભાગવત અમારા અનુશાસનવાદી નથી, અમે છીએ. ભાગવત સંઘના વડા છે, ધર્મના વડા નથી. સ્વામીનું માનવું છે કે ભાગવતે મંદિરોની તપાસ રોકવાનું કહીને સારી વાત કરી નથી. એ તેમનું અંગત મંતવ્ય છે. જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પણ ટીકા કરતાં કહ્યું કે ભાગવત સત્તા મેળવવા માંગતા હતા ત્યારે મંદિરો સુધી ગયા ને હવે સત્તા મળી ગઈ તો મંદિરો ન શોધવાની સલાહ આપી રહ્યા છે. હિન્દુ સમાજ, મંદિરોને પુનર્જીવિત કરવા માંગતો હોય તો એમાં ખોટું શું છે? ભૂતકાળમાં આક્રમણખોરોએ જે મંદિરો તોડી પાડ્યાં તેની યાદી બનાવવી જોઈએ ને સર્વે કરાવીને મંદિરોની પુન:સ્થાપના કરવી જોઈએ. અખિલ ભારતીય સંત સમિતિના મહાસચિવ સ્વામી જિતેન્દ્દ્રાનંદે તો ત્યાં સુધી કહ્યું કે ધર્મગુરુઓ જે નિર્ણય લે તેને સંઘે અને વિશ્વ હિન્દુ પરિષદે સ્વીકારવો પડશે. સ્વામીએ એ પણ ઉમેર્યું કે ભાગવતની ટિપ્પણીઓ વચ્ચે 56 નવાં સ્થળે મંદિરોની સંરચનાઓ મળી આવી છે. એ વખતે સવાલ થાય કે ધાર્મિક સંગઠનો રાજકીય એજન્ડાને મહત્ત્વ આપે કે જાહેર જનતાની લાગણીને?
એ પછી સંઘના મુખપત્ર ‘પાન્ચજન્યે’, મંદિર-મસ્જિદ વિવાદ પર ભાગવતની ટિપ્પણીનું, તંત્રી હિતેશ શંકરે, ‘મંદિરો પર આ કેવું હુલ્લડ’ શીર્ષકવાળા લેખમાં સમર્થન કર્યું હતું. લેખમાં એમ પણ નોંધ્યું કે કેટલાક લોકો પોતાના રાજકીય હેતુસર મંદિરોનો પ્રચાર કરે છે ને પોતાને હિન્દુ વિચારક ગણાવે છે, પણ મંદિરોનો રાજકીય ફાયદા માટે ઉપયોગ સ્વીકાર્ય નથી. ભાગવતનું નિવેદન દીર્ઘ દૃષ્ટિ અને સામાજિક વિવેકનું આહ્વાન છે.
એ પણ છે કે આર.એસ.એસ.ના અંગ્રેજી મુખપત્ર ‘ઓર્ગેનાઇઝર’નો મત ભાગવતના મતથી અલગ પડ્યો. તેનું કહેવું હતું કે ભાગવતનો મત ઐતિહાસિક સત્ય અને સભ્યતાના ન્યાયને જાણવાની લડાઈ માત્ર છે. ‘પાન્ચજન્ય’નું માનવું છે કે ભાગવતનાં નિવેદન પછી મીડિયામાં લડાઈ જેવી સ્થિતિ સર્જાઇ તે ઉપજાવવામાં આવી હતી. કેટલાંક અસામાજિક તત્ત્વો પોતાને સામાજિક રીતે બૌદ્ધિક ગણાવે છે, પણ તેઓ સોશિયલ મીડિયા પર સમાજની લાગણીઓનો દુરુપયોગ કરી રહ્યા છે. આવા વિચારોથી અંતર જાળવવું જોઈએ. વિવિધતામાં એકતાના ભારતીય સિદ્ધાંતથી આવા વિચારો વિપરીત છે. આજના સમયમાં મંદિરો સંબંધિત મુદ્દાઓને રાજકીય શસ્ત્ર તરીકે ઉપયોગમાં લેવા યોગ્ય નથી. સંઘના રાષ્ટ્રીય વડાએ એ મુદ્દે ટકોર કરી છે કે હિન્દુ સમાજે તેના સાંસ્કૃતિક વારસાને જાળવીને વ્યક્તિગત મહિમા અને રાજકીય વિવાદોથી દૂર રહેવું જોઈએ. ઇતિહાસના ઘા પર ઘા મારવાને બદલે સૌહાર્દપૂર્ણ વાતાવરણ સર્જવું જોઈએ. ‘ઓર્ગેનાઇઝર’ના સંપાદક પ્રફુલ્લ કેતકરનું કહેવું છે કે ઐતિહાસિક સત્યને જાણવાની આ લડાઈ ધાર્મિક સર્વોપરિતાની નથી. આ લડાઈ રાષ્ટ્રીય ઓળખને પુન: પુષ્ટિ આપવાની અને સભ્યતાના ન્યાય માટેની છે.
સંઘની નીતિ રીતિ પણ ચર્ચામાં રહી છે. એ પણ દેખાય છે કે સંઘ અને ભા.જ.પ. વચ્ચેનો મેળ ઘટતો જાય છે. ભૂતકાળમાં અટલ બિહારી વાજપેયીએ કહેલું કે હું છેલ્લા શ્વાસ સુધી સંઘનો સ્વયંસેવક રહીશ. તો, મહંમદ અલી ઝીણાને બિનસાંપ્રદાયિક ગણાવવા બદલ સંઘે લાલકૃષ્ણ અડવાણીનું ભા.જ.પ.ના અધ્યક્ષ પદેથી રાજીનામું લઈ લીધેલું, એટલું જ નહીં, તે વખતના સંઘના વડા સુદર્શને વાજપેયી અને અડવાણીને ભા.જ.પ.માંથી રિટાયર થઈ જવાનું પણ કહેલું.
તો, આ પરિસ્થિતિ છે. લાગે છે એવું કે ક્યાં ય એકવાક્યતા નથી. ભાગવતના નિવેદન અંગે સંઘનાં જ હિન્દી મુખપત્ર ‘પાન્ચજન્ય’ અને અંગ્રેજી મેગેઝીન ‘ઓર્ગેનાઇઝર’ના તંત્રીઓના મત જુદા પડે છે. સંઘને જરૂર હતી ત્યારે રામ મંદિરનો મુદ્દો ખપમાં લઈને સત્તા હાંસલ કરી ને હવે સત્તા છે તો ધાર્મિકોની એ જ ધોરણે અન્ય મંદિરોને ઉગારવાની વાતને ભાગવત અટકાવવાનું કહે છે. જો કે, ભાગવતનાં નિવેદન અગાઉ સુપ્રીમ કોર્ટે તો 12 ડિસેમ્બરે જ કહી દીધેલું કે 18થી વધુ વિવાદિત જ્ગ્યાઓના કેસ ચાલી રહ્યા છે ત્યારે તેની સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી નવી અરજી કરવી નહીં અને કોઈ પણ જગ્યા, મંદિર છે કે મસ્જિદ, એ સુપ્રીમ કોર્ટ પોતે નક્કી કરશે.
આટલું ઓછું હોય તેમ AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ 17 ડિસેમ્બરની અરજીમાં પૂજા સ્થળ કાયદો લાગુ કરવાની માંગ કરી છે. ઓવૈસીના વકીલે હવાલો આપતા જણાવ્યું કે ઘણી કોર્ટે કેટલીક અરજીઓ સંદર્ભે મસ્જિદોનું સર્વેક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો. ઓવૈસીએ મસ્જિદોની વર્તમાન સ્થિતિ જાળવી રાખવા 1991ના પૂજા સ્થળ કાયદાને લાગુ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. પૂજા સ્થળ (વિશેષ જોગવાઈ) એક્ટ 1991 કોઈ પણ ધાર્મિક સ્થળના સ્વરૂપમાં આવતું પરિવર્તન રોકે છે. આ કાયદા હેઠળ કોઈ પણ પૂજા સ્થળ 15 ઓગસ્ટ, 1947ને રોજ જેવું હતું, તેવું જ રહેશે. એ હિસાબે મસ્જિદ નીચે મંદિર હોય તો પણ તેને સ્પર્શી ન શકાય, કારણ 1991ના કાયદા મુજબ તો 15 ઓગસ્ટ, 1947 પછી કોઈ પણ ધાર્મિક સ્થળને છે તેથી જુદું સ્વરૂપ આપવાનું શક્ય જ નથી.
લાગે છે તો એવું કે આવું જ ચાલ્યા કરશે. બીજું કૈં થાય કે ન થાય મંદિર-મસ્જિદ વિવાદ ચાલ્યા કરે એવું બને. અંગ્રેજોની ‘ડિવાઈડ એન્ડ રૂલ’ની નીતિને 75 વર્ષનાં પોતીકાં બંધારણ છતાં ભારતીયો ખોટી પાડવા જ નથી માંગતા. એ અત્યંત દુ:ખદ છે કે કોઈ વિદેશી આક્રમણોને તે વખતના રાજા-મહારાજાઓએ ખાળ્યું જ નહીં. એટલે કોઈ વિદેશી પ્રજા ભારતમાં પ્રવેશતી રોકી શકાઈ જ નહીં ! એ રોકાઈ હોત તો કોઈ પણ મસ્જિદને કેટલો અવકાશ હોત તે પ્રશ્ન જ છે. મસ્જિદ જ ન હોત તો મંદિરોને તોડવાનો સવાલ જ ન હોત, પણ ત્યારે હિન્દુ રાજાઓ વિદેશી પ્રજાઓ સાથે ટકરાવાને બદલે અંદરોઅંદર ટકરાવામાં જ વ્યસ્ત હતા. અંગ્રેજી સલ્તનતનો પાયો નાખનાર રોબર્ટ ક્લાઇવને ભારતમાં શાસનનું નિમંત્રણ આપનાર અમીચંદ અને મીરજાફર ભારતના જ હતા. મોગલોએ ઢગલો મંદિરો તોડીને મસ્જિદો બાંધી તે રાતોરાત કે અંધારામાં તો નહીં જ બંધાઈ હોય, તે ભારતીય રાજાઓ રોકી શકતા હતા. એ બાંધકામ રોકાયું હોત તો આજે મસ્જિદ નીચે મંદિર ખોળવાનો વારો આવ્યો ન હોત ને હવે ઢોળાયેલા દૂધ પર અફસોસ કરવાનો સમય આવ્યો છે.
અત્યારની પરિસ્થિતિ એવી છે કે સુપ્રીમ કોર્ટ જ આનો નિર્ણય લઈ શકે. એમાં કોઈ શંકા નથી કે મંદિરોને બહાર લાવવાં હોય તો ન્યાયની રાહ જોવી પડે ને ન્યાય થવા દેવો પડે. આટલું થાય તો લાંબે ગાળે દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય, મગર વો દિન કહાં કિ …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 જાન્યુઆરી 2025