Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9330555
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તેઓ લોહી તરસ્યાને ઓળખી શકતા નથી !

રમેશ સવાણી|Opinion - Opinion|1 June 2025

એક ભરવાડનો છોકરો ઢોર ચારતો હતો. તે એક ઊંચી ટેકરી પર ઊભો હતો, જંગલ તરફ જોઈને બૂમ પાડી: “સિંહ આવ્યો છે, સિંહ આવ્યો છે, દોડો. દોડો !” જ્યારે બૂમો પાડવાથી તેનું ગળું સૂકાઈ ગયું, ત્યારે ગામમાંથી બે-ત્રણ વૃદ્ધ માણસો લાકડીઓ લઈને આવ્યા અને ભરવાડના છોકરાને પકડી લીધો.

પંચાયત બોલાવવામાં આવી. ગામના બધા ડાહ્યા માણસો ભેગા થયા અને છોકરાનો કેસ શરૂ થયો. તેનો ગુનો એ હતો કે તેણે ખોટા સમાચાર આપ્યા અને ગામની શાંતિને ખલેલ પહોંચાડી હતી !

છોકરાએ કહ્યું, “વડીલો, તમે મને સજા કરવાની ભૂલ કરશો નહીં. ભલે સિંહ નહોતો આવ્યો પણ શું સિંહ ગમે ત્યારે ત્રાટકી ન શકે? ચેતતો નર સદા સુખી ! આ તો મોક-ડ્રીલ હતી  ! હે વડીલો ! હું તો લોકશાહીની ચિંતા કરી રહ્યો છું. સિંહ તો તાનાશાહીનું પ્રતીક છે !”

વડીલોએ કહ્યું : “બકવાસ બંધ કર ! સિંહ હવે આવે તેમ નથી !”

છોકરાએ પૂછયું : “કેમ?”

એક વડીલે પોતાના મોબાઈલમાં WhatsApp મેસેજ વાંચ્યા બાદ કહ્યું : “વન વિભાગના અધિકારીએ અમને પત્ર મોકલીને કહ્યું છે કે સિંહ વૃદ્ધ થઈ ગયો છે. તેના બધા દાંત કાઢી નાખવામાં આવ્યા છે. કેમ કે તે બાકીનું જીવન અહિંસક રીતે જીવવા માંગે છે !”

છોકરાએ કહ્યું : “વડીલો, શું આ જવાબ ગોદી મીડિયાના સમાચાર માફક ખોટો ન હોઈ શકે?”

વડીલો એક સાથે બોલી ઊઠ્યાં : “બિલકુલ નહીં. અમને વન વિભાગના અધિકારી પર પૂરો વિશ્વાસ છે. સરકાર પર પૂરો ભરોસો છે. કારણ કે તેમણે સત્ય કહેવાના સોગંદ લીધા છે !”

છોકરાએ પૂછયું: “શું સોગંદ લેનારા ખોટા ન હોઈ શકે? શું સોગંદ લેનારા કાયમ જૂઠું બોલતા નથી?” 

વડીલોએ ગર્જના કરી : “બિલકુલ નહીં. તું કાવતરાખોર છો, અર્બન નક્સલ છો, વામપંથી છો, સામ્યવાદી છો, ટુકડે ટુકડે ગેંગનો એજન્ટ છો, દેશદ્રોહી છો !”

છોકરો ચૂપ થઈ ગયો.

એક વૃદ્ધ માણસે કહ્યું : “જૂની બોધકથામાંથી બહાર આવી જા, છોકરા ! હવે સિંહને પણ ડર લાગે છે કે મહાસિંહ ફાડી ખાશે ! હવે આંખો અને મગજ બંધ કરીને જીવવાની મજા માણવાની હોય ! દેશ બદલાઈ રહ્યો છે !”

છોકરાએ કહ્યું : “હે વડીલો ! તમે સિંહને ઓળખતા નથી ! તે ગાયની ખાલ ઓઢીને આવી શકે છે !”

બીજા વડીલે કહ્યું : “આ છોકરો આપણને ગેરમાર્ગે દોરે છે. તે આપણને શાંતિના માર્ગથી દૂર લઈ જવા માંગે છે. આ પાપી છે, દુષ્ટ છે, આને તાત્કાલિક જેલમાં પૂરો !”

છોકરાને જેલમાં ધકેલી દેવામાં આવ્યો.

તે જ રાત્રે એક સિંહ ગામમાં ઘૂસ્યો, નાસભાગ મચી ગઈ. લોકોએ મહાસિંહની સ્તુતિ ચાલુ કરી ! પણ મહાસિંહ ડોકાયો નહીં ! સિંહે તો ગામને વેરવિખેર કરી મૂક્યું. કેટલાક લોકો ગામ છોડીને ભાગી ગયા. સિંહે બાકીના લોકોનો શિકાર કર્યો. 

જ્યારે સિંહ જેલ પાસેથી પસાર થયો, ત્યારે તેણે છોકરાને મજબૂત લોખંડના સળિયા પાછળ જોયો એટલે સિંહે દાંત ભીંસ્યા !

છોકરો ખડખડાટ હસ્યો અને કહ્યું : “દોસ્ત ! વડીલોનો જ વાંક છે. તેઓ લોહી તરસ્યાને ઓળખી શકતા નથી ! પણ આભાર વડીલોનો. નહીંતર તેં મારું લોહી પણ ચાખ્યું હોત !”

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સમરસ ગ્રામ પંચાયત લોકશાહી વિરોધી : સમરસ લોકસભા અને સમરસ વિધાનસભા આવશે? 

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|1 June 2025

હેમંતકુમાર શાહ

ગુજરાતમાં આશરે ૯,૦૦૦ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી રહી છે. તે સમયે ગુજરાત સરકારે સમરસ ગ્રામ પંચાયત નામની એક યોજના જાહેર કરેલી છે. આ યોજના નરેન્દ્ર મોદીએ ૨૦૦૧માં જાહેર કરેલી હતી. તે હાલ પણ ચાલુ છે. એમ કહેવામાં આવે છે કે ગામોમાં વાદવિવાદ ન થાય અને ઝઘડા કે વિખવાદ ન થાય માટે આ યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ જે ગ્રામ પંચાયતમાં સરપંચ અને પંચાયતના સભ્યોની ચૂંટણી થાય જ નહિ અને બધા સર્વાનુમતે ચૂંટાય તો રાજ્ય સરકાર એવી ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત કહે છે અને તેને વિકાસનાં કામો માટે નાણાં આપે છે. વરસોવરસ આ યોજના હેઠળ આપવામાં આવતી ગ્રાન્ટની રકમ વધારવામાં આવી છે. અને સતત બે વખત કે ત્રણ વખત સમરસ ગ્રામ પંચાયત સમરસ થાય તો ગ્રાન્ટની રકમ વધતી જાય છે. આ આખી યોજના જ લોકશાહી વિરોધી યોજના છે. કેટલાક મુદ્દા જોઈએ : 

(૧) ગુજરાતનાં ગામોમાં સામાજિક સમરસતા છે ક્યાં? દરેક ગામમાં દરેક જ્ઞાતિના વાસ જુદા જુદા હોય છે. અને દલિત વાસ તો મોટે ભાગે ગામની બહાર હોય. આખું ગામ જાણે કે જુદા જુદા દેશો જેવું હોય છે! એમાં રાજકીય નેતૃત્વમાં સમરસતા કેવી રીતે આવે?

(૨) સામાન્ય રીતે સમરસ ચૂંટણી કરવાને નામે જેઓ ચૂંટણી લડવા ઉમેદવારી કરવા માગે છે તેમને ધાકધમકી આપીને બેસાડી દેવામાં આવે છે. જે હિંસા દેખાતી નથી એવી હિંસા થાય છે જ. જેઓ ગરીબો કે સામાજિક રીતે નબળા વર્ગના છે એવા દલિતો વગેરેને જાહેરમાં બોલવા દેવામાં આવતા નથી અને ચૂંટણી ન થાય તો લોકશાહીમાં જે મતાધિકાર મળ્યો છે તેનો પણ તેઓ ઉપયોગ કરી શકતા નથી.

(૩) બધા ભેગા થઈને ઉમેદવાર નક્કી કરે અને ચૂંટણી ન થાય તો વાદવિવાદ ન થાય એવી ધારણા આ યોજના પાછળ છે. બોગસ વાત છે આ. એક ગ્રામ પંચાયતમાં વસ્તી ૧૦૦૦ની હોય તો પણ ૭૦૦ મતદારો તો હોય જ. વધુ વસ્તી ત્યાં વધુ મતદારો. એ બધા ભેગા ક્યારે, ક્યાં થાય અને કરે કોણ. અને એમાં સર્વાનુમતે ઉમેદવાર નક્કી થાય કેવી રીતે? કોઈ પણ ગ્રામ પંચાયતમાં આવું બન્યું જ નથી એમ અભ્યાસો કહે છે. એટલે ધાકધમકીથી જ ઉમેદવાર બનવા માગતા નાગરિકોને બેસાડી દેવામાં આવે છે એ એક હકીકત છે. એટલે આમ જુઓ તો, ઘણી વાર ગામમાં જે જ્ઞાતિનું પ્રભુત્વ હોય તે પોતાની રીતે સામ, દામ, દંડ અને ભેદ વાપરીને દાદાગીરી કરીને સમરસ ઉમેદવાર નક્કી કરી નાખે છે. એમાં નથી બહુમતી હોતી કે નથી સર્વાનુમતિ. લોકશાહીનું ખૂન કરીને સામાજિક અને રાજકીય ‘દાદા’ઓને હવાલે પંચાયત કરવાનો આ ખેલ છે.

(૪) ચૂંટણી દ્વારા સત્તા પર આવેલી સરકાર પોતે જ ચૂંટણી ન થાય તેને માટે નાણાકીય પ્રોત્સાહન આપે તે કેવું? એ સરકાર સરમુખત્યારશાહીને પોષે છે એમ જ ન કહેવાય? 

(૫) ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા તો થાય જ અને છતાં ચૂંટણી ન થાય એવી આ યોજના છે. એટલે ભ્રામક સર્વસંમતિ ઊભી થઈ હોય તેવી ગ્રામ પંચાયત માટે પણ ચૂંટણી પંચની બધી કાર્યવાહી તો થાય જ, જાહેરનામું બહાર પડે, ઉમેદવારી પત્રક ભરાય વગેરે વગેરે. એટલે ચૂંટણી થાય છે એવો આભાસ તો ઊભો કરવાનો જ. સાવ NONSENSE વાત છે આ.

(૬) સરકાર આ કહેવાતી સમરસ ગ્રામ પંચાયતને વિકાસ માટે નાણાં આપે છે. એટલે એવો ભ્રમ પણ ઊભો થાય છે કે ચૂંટણીઓ થાય છે એટલે વિકાસ નથી થતો અને ચૂંટણી ન થાય તો વિકાસ થાય છે. કેટલી ખતરનાક બાબત છે આ! 

(૭) હદ તો ત્યાં થાય છે કે નેતાઓના આદેશથી કલેક્ટર, મામલતદાર, ટી.ડી.ઓ., ડી.ડી.ઓ. અને એવા બધા અધિકારીઓની ફોજ ગામડાંમાં સરકારી ખર્ચે નીકળી પડે છે સમરસ ગ્રામ પંચાયત ઊભી કરવા! સરકારી યોજનાને સફળ થયેલી તો દેખાડવી જ પડે. આ સરકારી અધિકારીઓનું કામ છે? 

(૮) આ સમરસ ચૂંટણીનો ચાળો થોડા સમય પહેલાં ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં લાગેલો, જો યાદ હોય તો. અરે, ભલા માણસ, પ્રોફેસરોમાં સમરસતા આવે કેવી રીતે? પણ આવેલી! ભાગબટાઈ નક્કી કરીને. આવું જ ગ્રામ પંચાયતોમાં થાય છે!

(૯) મોદી છે આ તો, કાલે મોદી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી માટે પણ સમરસ યોજના જાહેર કરીને એમ કહી પણ દે કે જ્યાં સમરસ થશે ત્યાં અનુક્રમે ૫૦૦ કરોડ ₹ અને ૫,૦૦૦ કરોડ ₹ નો વિકાસ માટે ખર્ચ થશે. મોદી હૈ તો મુમકિન હૈ! પણ આ નેહરુ, સરદાર, આંબેડકર, રાજેન્દ્ર પ્રસાદ, ક.મા. મુનશી વગેરે દ્વારા ઘડાયેલું બંધારણ જ વચ્ચે આવે છે! બાકી મોદીને તો દેશનો વિકાસ કરવો જ છે. લોકશાહી જાય જહન્નમાં! સમરસ યોજના એ તો સ્થાનિક લોકશાહીને ખતમ કરવાનું એક રૂડુંરૂપાળું નામ છે.

તા. ૩૧-૦૫-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ટ્રમ્પની તુમાખીઃ “અમેરિકન ડ્રીમ”ને રફેદફે કરનારા આ પ્રમુખ પર વિશ્વાસ કરવાની ભૂલ ન કરાય

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|1 June 2025

ટ્રમ્પ જાણે એમ કહેવા માગે છે કે જો તમે અમેરિકન નથી તો તમારા પોતાના વતનને, તમારા દેશની અર્થ વ્યવસ્થાને અમેરિકાને પૈસે ટેકો આપવા માટે તમારે પ્રીમિયમ ચૂકવવું પડશે.

ચિરંતના ભટ્ટ

યુ.એસ.એ.ના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે નવી નીતિઓ ઘડવામાં કાં તો આંધળુકિયા કરે છે કાં તો લોકોમાં કંઇ અજીબ પ્રકારનો ખોફ ફેલાવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન કરે છે એમ લાગે. ઇમિગ્રેશન અને આર્થિક નીતિને મામલે જેટલી આક્રમકતા વધી છે એટલી જ અસ્પષ્ટતા પણ વધી છે. એમણે બે એવી બાબતો પર મંજૂરીની મહોર મારી છે કે ભારત અને ભારતીયો જે ત્યાં વસ્યા છે અથવા તો જે ત્યાં ભણવા ગયા છે – જવાના છે તેમને માથે ખતરાની ઘંટડીઓ વાગવા માંડી છે. એક છે યુનિવર્સિટીમાં પ્રવેશ આપવા અંગેના આકરા નિયમોનો ફટકો – જેની સીધી અસર ભારતીય વિદ્યાર્થીઓના ‘અમેરિકન ડ્રીમ’ પર પડે છે તો બીજો મુદ્દો છે ‘વન બિગ બ્યુટીફુલ બિલ’ – જેમાં સમ ખાવા પૂરતું ય કંઇ બ્યુટીફુલ નથી કારણ કે અમેરિકન સરકારની નજર સીધી તમારા ગજવા પર છે. પહેલાં વાર્તાઓમાં પરદેશ ગયેલો દીકરો મા-બાપને પૈસા મોકલતો – એ પાત્ર આજની વાર્તાઓમાં જ્યારે ઘરે પૈસા મોકલે ત્યારે તેની પર તગડો કર લાદવામાં આવશે.

આ માત્ર વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓ પર કે ભારતીય સપનાં પર યુ.એસ.એ.ની લગામ નથી પણ અબજો ડૉલર્સના આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો પર એક મોટો બોજ છે. ટ્રમ્પના ટ્રમ્પેટના આ સૂર બેસૂરા અને બે ધારી તલવાર જેવા છે. 

વિદેશ મંત્ર્યાલય અનુસાર  2023 સુધીમાં 1.8 મિલિયનથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરી રહ્યા હતા. આ આંકડામાંથી 21 ટકા વિદ્યાર્થીઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં ભણવા જનારા છે. પણ હવે 2025માં ઓવલ ઑફિસમાં પાછા ફરેલા ટ્રમ્પે નીતિઓમાં જે ફેરફાર કર્યા છે તેને કારણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે અમેરિકન યુનિવર્સિટીમાં એડમિશન મેળવવું અને ત્યાં ટકી રહેવું દોહ્યલું બન્યું છે. આ પરિવર્તનમાં અંતરંગી નિયમો પણ સામેલ છે. કોઈ નાના ઉલ્લંઘનો, કૉલેજમાં હાજરી અને કેમ્પસની બહારના કામ સહિત કોઈપણ નાની બાબતે વિદ્યાર્થીનો વિઝા રદ્દ થઈ શકે છે. OPT – એટલે કે ઓપ્શનલ પ્રેક્ટિસ ટ્રેઇનિંગ – જે ભણતર પછીની રોજગારીને અસર કરતી બાબત છે તેની પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. યુનિવર્સિટીઝ પર પણ દબાણ કરાયું છે કે ‘અમેરિકા ફર્સ્ટ’ની નીતિના ધ્યેયોને કેન્દ્ર સ્થાને રાખી, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રાધાન્ય ન આપી વધુ સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા. 

એક અહેવાલ મુજબ 2024માં યુ.એસ.એ.માં ભણવા જનારા ભારતીય વિદ્યાર્થીઓની નોંધણીમાં 40 ટકા ઘટાડો નોંધાયો છે. ઘણાં વિદ્યાર્થીઓ હવે જર્મની, ન્યુઝીલેન્ડ અને ફ્રાન્સને પસંદ કરી રહ્યા છે કારણ કે અહીં વિઝાને મામલે નીતિઓ આકરી નથી, ભણતર પછી કામની તકો સારી છે ફીઝ પણ ઓછી છે. 

આ નીતિગત ફેરફાર ઓછા હોય તેમ વાણી-વિલાસને મામલે ટ્રમ્પ કોઈની સાડાબારી રાખતા નથી. તાજેતરમાં તેમના એક વાયરલ સંબોધનમાં તેમણે વિદેશીઓ, અમેરિકન કૉલેજોમાં જગ્યા લઇ રહ્યા હોવાની બાબતની ટીકા કરી અને લટકામાં ઉમેર્યું કે આ વિદેશી વિદ્યાર્થીઓ અહીં ભણીને તંત્ર સાથે રોજગારી માટે રમત કરી રહ્યાં છે. 

આ સંજોગો ભારત અને અમેરિકા બન્ને માટે નુકસાનકારક છે. ભારતીય વિદ્યાર્થીઓ માત્ર ‘અમેરિકન ડ્રીમ’ લઈને ત્યાં પહોંચે છે એમ નથી. NAFSA (એસોસિએશન ઑફ ઇન્ટરનેશલન એજ્યુકેટર્સ) અનુસાર 2002માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ યુ.એસ.એ.ના અર્થતંત્રમાં 40.1 બિલિયન ડૉલર્સનું યોગદાન આપ્યું હતું જેમાં 7.6 બિલિયન ડૉલર્સ હિસ્સો ભારતીય વિદ્યાર્થીઓનો હતો. ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવાથી માત્ર યુનિવર્સિટીઝને અસર થશે એમ નથી (ઘણાં શૈક્ષણિક સંસ્થાનો રિસર્ચ અને ફેકલ્ટીઝ માટે આંતરરાષ્ટ્રીય ટ્યુશન ફંડ પર આધાર રાખે છે) પણ તેનો પ્રભાવ દ્વિપક્ષીય સંબંધો પર પણ પડશે. શિક્ષણ એક સોફ્ટ પાવર ટૂલ પણ છે. ભારતના શ્રેષ્ઠ, ધારદાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ આ સંજોગોમાં એવા રાષ્ટ્રો તરફ વળશે જેની સાથે ભારતને ભૌગોલિક રાજકારણની દૃષ્ટિએ બહેતર સંબધો હોય.

‘વન બિગ બ્યુટીફુલ બિલ’ની વાત કરીએ તો રેમિટન્સ ટેક્સ બોમ્બ બહુ મોટો વિસ્ફોટ છે. ટ્રમ્પે જેને સમર્થન આપવાની વાત કરી છે તે કાયદો જો પસાર થાય તો યુ.એસ.એ.માં કમાઈને પોતાના વતનમાં પૈસા મોકલનારા પર 3.5 ટકા કરવેરો ઝીંકાશે. તેની અસર ગ્રીન કાર્ડ હોલ્ડર્સ, H1-B કામદારો અને અન્ય પ્રકારના વિઝા ધારકો પર થાય – સ્વાભાવિક છે તેમાં મોટા ભાગના NRIનો સમાવેશ થાય છે. 

વર્લ્ડ બૅંકના મતે 2023માં ભારતને 125 બિલિયન ડૉલર્સથી વધુ રેમિટન્સ – ભરણાં મળ્યા હતા તેમાંથી 28 બિલિયન ડૉલર્સ માત્ર યુ.એસ.એ.માંથી આવ્યા હતા. આ કારણે યુ.એસ.એ. વિદેશી ચલણનો એક મોટો સ્રોત બન્યો. આ કર લદાય તો એમ ગણિત બેસે કે તમે જેટલા પૈસા તમારા વતનમાં મોકલો છે તેમાં પ્રતિ 1,000 ડૉલર પર NRI તરીકે તમે 35 ડૉલર્સનો કર ભરવાનો આવે. જે પરિવારો સ્વાસ્થ્ય કે શિક્ષણ જેવી જરૂરિયાત માટે આ વિદેશથી આવતા નાણાં પર, રેમિટન્સ પર આધાર રાખતા હોય તેમને માટે આ બહુ મોટો ફટકો સાબિત થાય. ઉપરછલ્લી રીતે નાણીએ તો આ બિલ આમ તો યુ.એસ.એ.ની સરકાર માટે રેવન્યુ જનરેશન એટલે કે આવક ઊભી કરવાનું સાધન છે. પરંતુ જરા ઊંડા ઉતરીએ તો સમજાય કે આ એક વૈચારિક ફેરફાર છે. ટ્રમ્પને બહુ પહેલેથી જ વિદેશી કર્મચારીઓ અને રેમિટન્સ સામે જાતભાતના વાંધા અને વહેમ છે.  ટ્રમ્પને એમ જ લાગે છે  કે યુ.એસ.એ.ની કમાણી ખર્ચાય છે બીજા દેશમાં એટલે પોતાના દેશને લાભ નથી મળતો. ટ્રમ્પને ત્યારે જ શાંતિ થશે જ્યારે યુ.એસ.એ.ની કમાણી યુ.એસ.એ.માં સમાણીનો ઘાટ ઘડાશે. ટૂંકમાં ટ્રમ્પ જાણે એમ કહેવા માગે છે કે જો તમે અમેરિકન નથી તો તમારા પોતાના વતનને, તમારા દેશની અર્થ વ્યવસ્થાને અમેરિકાને પૈસે ટેકો આપવા માટે તમારે પ્રીમિયમ ચૂકવવું પડશે. 

ભારતીય-અમેરિકન સંગઠનોએ આ બિલને નબળું પાડવા માટેનું લોબિંગ તો શરૂ કરી જ દીધું છે. તેમની દલીલ એ છે કે કાયદાકીય રીતે અમેરિકન નાગરિક તરીકે રહેનારાઓ અને પ્રોફેશનલ્સને આ બિલની અસંતુલિત અને અપ્રમાણસર રીતે અસર થશે. કેટલાક NRI હવે આ નવા કરથી બચવા માટે ક્રિપ્ટો કરન્સી, બ્લોકચેન વૉલેટ્સ અથવા યુ.એસ.એ.ની બહાર હોય એવા થર્ડ પાર્ટી ફિન-ટૅક એપ્લિકેશન્સ (ફાઇનાન્શિયલ ટૅક્નોલૉજી) જેવા વૈકલ્પિક બૅંકિગના રસ્તા પણ શોધી રહ્યા છે. એક અન્ય વર્ગ કેનેડા અને UAE જેવા દેશોમાં રોકાણ કરવા અથવા સ્થળાંતર કરવાની દિશામાં વિચારી રહ્યા છે, જ્યાં રેમિટન્સ નીતિઓ હજી સુધી પ્રતિકૂળ નથી બની. 

પણ અહીં એક વસ્તુ યાદ રાખવી જરૂરી છે કે અમેરિકા જો કોઈ પગલું ભરે, આ બિલ ધારો કે પાસ થઈ જાય તો બીજા દેશો પણ એ પગલે ચાલવામાં કંઇ બહુ વાર નહીં કરે. ઐતિહાસિક રીતે અમેરિકા ઈમિગ્રેશન અને આર્થિક નીતિઓને મામલે ચીલો ચાતરનારો દેશ રહ્યો છે, એક ટ્રેન્ડ સેટરની માફક અમેરિકા જે કરે તેનું અનુકરણ અન્ય દેશો કરી જ શકે છે. જો ‘વન બિગ બ્યુટીફુલ બિલ’ પસાર થાય તો બીજા દેશો પણ પોતાના દેશના સ્વાર્થ માટે આ બ્યુટી શોધવાના રસ્તા અપનાવી શકે છે. ઉદાહરણ તરીકે યુનાઇટેડ કિંગ્ડમ તો અત્યારથી જ તેમના ઓવરસીઝ રેમિટન્સ બિલની સમીક્ષા કરે છે તો ઑસ્ટ્રેલિયાએ આઉટબાઉન્ડ ઇકોનોમિક વેલ્યુ ટેક્સ પર ચર્ચાપત્ર રજૂ કર્યું છે. 

જો આવી પહેલ સામાન્ય બનશે તો રેમિટન્સ પર આધાર રાખતા ભારત, ફિલિપાઇન્સ અને નાઈજિરિયા જેવા દેશોમાં વિદેશી નાણાંકીય પ્રવાહ પર નોંધપાત્ર અને નાટ્યાત્મક ઘટાડો વર્તાશે એ ચોકક્સ. ભારત માટે, જ્યાં રેમિટન્સ એ વિદેશી હૂંડિયામણનો એક મહત્ત્વપૂર્ણ સ્ત્રોત છે (લગભગ કુલ FDI પ્રવાહ જેટલો જ), આ બેલેન્સ ઑફ પેમેન્ટ એટલે કે ચુકવણીના સંતુલન પર દબાણ મૂકશે અને રૂપિયો નબળો પડશે. 

સમસ્યા સામે હોય ત્યારે સમાધાન પણ શોધવું પડે. વિદ્યાર્થીઓએ યુરોપ અને એશિયાની યુનિવર્સિટીઓ તરફ નજર દોડાવવી પડશે. OPTના બદલાતા નિયમો પર ધ્યાન આપો, આ ઉપરાંત વિઝાના નિયમો અંગે અપડેટેડ રહો એટલે અચાનક જ કોઈ વિકટ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે. ભારતીય અને વિદેશી યુનિવર્સિટીઝમાં ચાલતા હાઇબ્રીડ કોર્સિઝની તપાસ કરો. વ્યવસાયી સફળતા હંમેશાં બહુ ધાંસુ સંસ્થાનો પર આધાર રાખે છે એવું નથી હોતું. તમારી આવડત તમને કોઈ સાદી યુનિવર્સિટીમાંથી પણ સફળતાના શીખરે લઈ જઈ શકે છે. NRIઓએ શું કરવું? ‘વન બિગ બ્યુટીફુલ બિલ’ તમારી કમાણીમાંથી બ્યુટી છીનવી ન લે તે માટે ટેક્સ એડવાઇઝર્સ અને કાયદાના નિષ્ણાતની સલાહ લો. ફિન-ટૅક પ્લેટફોર્મ વાપરો જે ગેરકાયદે ન હોય અને તે કરન્સી એક્સચેન્જ રેટ્સનું શ્રેષ્ઠ વળતર આપતા હોય અને જેના થકી નાણાંની ટ્રાન્સફરનો ખર્ચ ઓછો થતો હોય. પારિવારીક રોકાણો અથવા જોઇન્ટ એકાઉન્ટની દિશામાં વિચારો જેથી વારંવાર ટ્રાન્સફર કરવાની ભાંજગડ ન કરવી પડે. 

ભારતે શૈક્ષણિક લેવડ-દેવડને મામલે રાજદ્વારી રસ્તાઓ મજબૂત બનાવવા પડશે. વિદેશી યુનિવર્સિટીઝ માટે ભારતમાં પોતાના કેમ્પસ અને સ્થાનિક યુનિવર્સિટીઝ સાથે જોડાણ કરવાના માર્ગ મોકળા કરવા જોઈએ. RBIને સાથે રાખીને રેમિટન્સ બફર નીતિ ઘડવાનો વખત પાક્યો છે જેથી વિદેશી હૂંડિયામણમાં આવનારા દેખીતા ઘટાડા માટે તૈયાર થઈ શકાય. ટ્રમ્પ અને તેના યુ.એસ.એ.ને માથે ચડાવવાને બદલે આપણે ચતુરાઈ પૂર્વક આ સંજોગોમાંથી રસ્તો કાઢવો પડે તે સ્વાભાવિક છે. ટ્રમ્પનું અમેરિકા ઇમિગ્રન્ટ્સ માટે તો અઘરું હતું જ પણ હવે તો વૈશ્વિક સ્તરે એકબીજા પર નિર્ભર રહેવાના આખા વિચારને ટ્રમ્પ બારીમાંથી બહાર ફગાવી દેવા માગે છે. ટ્રમ્પનો આ વહેવાર ટૂંકા ગાળાની જીતનું સાધન છે પણ આર્થિક હિત અને આતંરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાને મામલે ટ્રમ્પ અને યુ.એસ.એ. પર મોટું જોખમ છે.

બાય ધી વેઃ 

આપણે ટ્રમ્પના તિતાલી અભિગમ સામે ટકવા માટે નીતિગત પરિવર્તન કરવું પડશે. કોઈપણ એક દેશ પર વધુ પડતો આધાર રાખવાનો ગેરફાયદો શું હોઈ શકે તે આપણે સમજી શકીએ છીએ. ભારત અને અમેરિકાના સંબંધો આમ તો વ્યૂહાત્મક છે પણ છતાં ય તે નાગરિકોના સ્તરનું જોડાણ, વિદ્યાર્થીઓ, ટૅક્નોલૉજી પ્રોફેશનલ્સ અને પરિવારો જેવાં પાસાઓ પર ઘડાયેલો સંબંધ પણ છે. ટ્રમ્પની આ બન્ને નીતિ ઊંડા આઘાતજનક ઘા જેવી સાબિત થાય એમ છે. વડા પ્રધાન મોદીએ અત્યાર સુધી તો લેખાં-જોખાંને ધ્યાનમાં રાખીને સાવચેતી ભર્યો અભિગમ રાખ્યો છે, તે જાહેરમાં ટ્રમ્પની ટીકા નથી કરતા પણ ભારતીય અમેરિકન કાયદાના વિશેષજ્ઞો સાથેની ચર્ચામાં તેમણે ભવિષ્યમાં બદલાઈ શકે એવા સંજોગોની ચિંતા ચોક્કસ વ્યક્ત કરી છે.  આપણા વિદેશ મંત્રાલયે વિદ્યાર્થીઓ અને વ્યવસાયીઓ માટે નાણાંકીય વ્યવહારો અને ઇમિગ્રેશનને લગતી બાબતોમાં સાવધાની અને જાગૃતિ રાખવા સલાહ આપી છે. ટ્રમ્પની તુમાખી અને મનસ્વી વહેવારને કારણે વાતચીત કે વાટાઘાટોની શક્યતાઓ પાંખી પડી રહી છે. જો ભારત નક્કી કરશે કે તે સામે કર તગડા કરશે અથવા રોકાણને મામલે આકરા નિયમો લાદશે તો નાના પાયાનું આર્થિક નીતિઓનું યુદ્ધ છેડાવાનાં કારણો પેદા થશે. આપણે આગળ વધું હોય ત્યારે અવરોધો તો વેઠવા પડે પણ આપણને એક દેશ તરીકે બહુ બધા મોરચે એક સાથે ખડા રહેવાનું આવે તો તે સહેલું નહીં હોય. વળી હાર્વડ નહીં અને ઑક્સફોર્ડ વિચારીએ એવું માનતા હો તો ખરેખર તો એમાં ય બહુ ભલીવાર નથી. વિદેશમાં ભણવું એટલે ગજવામાં કાણાં કરી, ઠંડુ ખાઈને અઠવાડિયે લોન્ડ્રી કરવાના દિવસો જેનું પરિણામ તગડી કમાણી હંમેશાં તો નથી જ હોતું. ધારો કે તમે કમાઇ પણ લો તો ય પેલું વન બિગ બ્યુટીફુલ બિલ કોઈ બીજા નામે, બીજા દેશમાં તમારા પાકીટને હળવું કરવા ખડું જ હશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 જૂન 2025

Loading

...10...13141516...203040...

Search by

Opinion

  • પ્રેમને મારી નાખતી સંસ્કૃતિને જ મારી નાખો
  • ધૂલ કા ફૂલ : હિંદુ-મુસ્લિમ એકતામાં યશ ચોપરાનો નહેરુવાદી રોમાન્સ
  • મોંઘા ગુલાબના ઉપવનો
  • ક્યારે ય ‘આઉટ ઓફ પ્રિન્ટ’ ન થયેલી નવલકથા 
  • ઝૂફાર્માકોગ્નોસી : પ્રાણીઓ કેવી રીતે પ્લાન્ટ્સને દવાખાનું બનાવે છે!

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • ગાંધીનો હિટલરને પત્ર 
  • ઈશુનું ગિરિ-પ્રવચન અને ગાંધીજી
  • ગાંધી : ભારતની પ્રતિમા અને પ્રતીક
  • પૂજ્ય બાપુની કચ્છ યાત્રાની શતાબ્દી 
  • ગાંધીશતાબ્દી કેવી રીતે ઊજવીશું?

Poetry

  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !
  • હાલો…
  • એક ટીપું

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved