Opinion Magazine
Number of visits: 9950432
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

છૂપા લો યું દિલ મેં પ્યાર મેરા … 

સોનલ પરીખ|Opinion - Opinion|6 June 2026

છુપા લો યું દિલ મેં પ્યાર મેરા 

કિ જૈસે મંદિર મેં લૌ દિયે કી

 

તુમ અપને ચરનોં મેં રખ લો મુઝકો 

તુમ્હારે ચરનોં કા ફૂલ હૂં મૈં 

મૈં સર ઝુકાયે ખડી હૂં પ્રીતમ 

કિ જૈસે મંદિર મેં લૌ દિયે કી

 

યે સચ હૈ જીના થા પાપ તુમ બિન

યે પાપ મૈંને કિયા હૈ અબ તક 

મગર હૈ મન મેં છબી તુમ્હારી 

કિ જૈસે મંદિર મેં લૌ દિયે કી

 

ફિર આગ બિરહા કી મત લગાના

કિ જલ કે મૈં રાખ હો ચૂકી હૂં

યે રાખ માથે પે મૈં ને રખ લી

કિ જૈસે મંદિર મેં લૌ દિયે કી

વસંતની હવામાં ખીલતી કળીઓની સુગંધ તરતી હોય એમ હું તારા અસ્તિત્વમાં મહેક્યા કરીશ – આવું ખુશબોભર્યું વચન જેને આપી શકાય એવું પાત્ર જીવનમાં આવે તેનો આહલાદ કેવો હોય? પછી એવું વચન જેને આપ્યું હોય તેના જીવનમાંથી એક દિવસ, ફરી ક્યારે ય ન આવવા માટે નીકળી જવું પડે એની વેદના કેવી હોય અને પછી અચાનક મુલાકાત થાય ત્યારે અપમાન અને શરમિંદગીથી મરી જવાનું મન થાય એવી સ્થિતિ હોય તો હૃદયમાંથી કેવી હાય નીકળે? 

આ છે 1966ની ફિલ્મ ‘મમતા’ની અડધી કહાણી, જે ‘રહે ન રહે હમ’ અને ‘રહતે થે કભી જિનકે દિલ મેં’ જેવા ચિરસ્મરણીય ગીતો સાથે સાક્ષાત થઈ છે. રૂપેરી પડદે સાકાર થયેલી અદ્દભુત પ્રણયકથાઓમાંની એક ‘મમતા’ની નાયિકા સુચિત્રા સેનનો જન્મદિન 7 એપ્રિલે છે, એ નિમિત્તે યાદ કરીએ આ ફિલ્મને, સુચિત્રા સેનને અને હેમંતકુમાર-લતા મંગેશકરે ગાયેલા એના ક્લાસિક ગીત ‘છૂપા લો યું દિલ મેં પ્યાર મેરા’ને. 

સુચિત્રા સેન

સુચિત્રા સેન એટલે બંગાળી અને હિંદી ચિત્રોમાં રૂપસૌંદર્ય અને અભિનયપ્રતિભાથી એક અભિનેત્રી તરીકે જીવંત દંતકથા બની જવાની સિદ્ધિ મેળવનાર અભિનેત્રી. તેનું મૂળ નામ રોમા દાસગુપ્તા હતું. 1947માં જ્યારે ભારત આઝાદ થયું ત્યારે રોમા દાસગુપ્તા હાઈસ્કૂલમાં ભણતી. ભાગલાનાં રમખાણોમાંથી પરિવારને માંડ બચાવી તેના પિતા પશ્ચિમ બંગાળમાં સ્થાયી થયા અને 15 વર્ષની રોમાના લગ્ન ઉદ્યોગપતિ આદિનાથ સેનના પુત્ર દીબાનાથ સેન સાથે કરાવી દીધા. લગ્ન પછી થોડા જ સમયમાં પતિએ તેની પ્રતિભા પારખી લીધી અને બિમલ રૉયની એક ફિલ્મમાં ગીત ગાવાનું નિમંત્રણ મળ્યું ત્યારે તે સ્વીકારી લેવા પ્રોત્સાહન આપ્યું. થોડા જ સમય પછી રોમાએ સુચિત્રા સેન નામ સાથે બંગાળી ચિત્રોમાં કામ શરૂ કર્યુ. પરિણીત અભિનેત્રીને પ્રેક્ષકો પ્રણયદૃશ્યોમાં સ્વીકારતા નથી એવી માન્યતા તો તેણે તોડી નાખી. પણ કમનસીબે સ્ટારડમે તેના લગ્નજીવનને વિખેરી નાખ્યું.  

બંગાળી ચિત્રોના અત્યંત લોકપ્રિય અભિનેતા ઉત્તમકુમાર અને સુચિત્રા સેનની જોડીએ વર્ષો સુધી એક પછી એક સફળ ચિત્રો આપ્યાં હતાં. સુચિત્રાની સાઠ જેટલી ફિલ્મોમાંથી ત્રીસ ઉત્તમકુમાર સાથે હતી. ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ને આપેલા ઇન્ટરવ્યૂમાં દિલીપકુમારે કહ્યું હતું કે તેમની ફેવરિટ ઓન-સ્ક્રીન જોડી સુચિત્રા સેન અને ઉત્તમકુમાર છે. સુચિત્રા સેનની વિશેષતા હતી તેનું અપૂર્વ સૌંદર્ય અને સુંદર ભાવાભિવ્યક્તિ. તેમણે જૂજ હિંદી ફિલ્મોમાં કામ કર્યું છે તે પણ નોંધપાત્ર બની રહી – જેમ કે બિમલ રોય દિગ્દર્શિત ‘દેવદાસ’, રાજ ખોસલા દિગ્દર્શિત ‘બંબઈ કા બાબુ’, અસિત સેન-દિગ્દર્શિત ‘મમતા’ અને ગુલઝાર દિગ્દર્શિત ‘આંધી’. 1963માં તેને બંગાળી ફિલ્મ ‘સાત પાકે બાંધા’ માટે મૉસ્કોના આંતરરાષ્ટ્રીય ચિત્ર-મહોત્સવમાં શ્રેષ્ઠ અભિનેત્રીનું પારિતોષિક મળ્યું હતું. આવું સન્માન મેળવનાર તે પ્રથમ ભારતીય અભિનેત્રી હતી. 1978ના અરસામાં એક ફિલ્મ વ્યાવસાયિક રીતે નિષ્ફળ જતાં સુચિત્રાએ જાહેરમાં દેખાવાનું પણ બંધ કરી દીધું હતું અને રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓમાં મોટા ભાગનો સમય આપ્યો હતો. 

દિલીપ કુમાર, બિમલ દા જેવા ટોપના કલાકારો પણ સુચિત્રાની સુંદરતા, એક્ટિંગ અને આંખોનાં વખાણ કરતા હતા. સુચિત્રા ખૂબ સ્વાભિમાની હતી. શોમેન રાજ કપૂરની સુચિત્રાએ એમ કહીને તેમની ફિલ્મ નકારી હતી કે તેને રાજ કપૂરની સ્ટાઇલ પસંદ નથી. જાહેરમાં આવવું ન પડે એટલે તેણે દાદાસાહેબ ફાળકે એવોર્ડ પણ નકારી દીધો હતો. તેમની અંતિમ ઇચ્છા હતી કે તેમને દુનિયાની નજરથી છુપાવીને અંતિમ વિદાય આપવામાં આવે. તેનાં સ્વજનોએ એ ઇચ્છા પૂરી કરી હતી. 

પણ આપણે ‘મમતા’ની કહાણી પૂરી કરીએ. શ્રીમંત મોનિષ (અશોકકુમાર) ગરીબ દેવયાનીને ચાહે છે, પણ તે વિદેશ ભણવા જાય છે તે પછી દેવયાનીને દુષ્ટ રાખાલ(કાલીપદ ચેટર્જી)ને પરણવું પડે છે. રાખાલ તેને દરેક રીતે ત્રાસ આપી અંતે વેશ્યાવાડે ધકેલાઇ જવું પડે તેવી પરિસ્થિતિમાં મૂકે છે એટલું જ નહીં, દીકરી સુપર્ણાને પણ કબજે કરવા માગે છે. દેવયાની સુપર્ણાને છૂપી રીતે એક બોર્ડિંગ સ્કૂલમાં ભણાવે છે અને રાખાલને વારંવાર ઘણા રૂપિયા આપી ચૂપ કરતી રહે છે. એક વાર એક ખાનગી મહેફિલમાં ગાવા ગયેલી દેવયાની મોનિષને જુએ છે અને તેનું ઘવાયેલું હૃદય ચિત્કારી ઊઠે છે. એક વાર જેના હૃદયની સામ્રાજ્ઞી હતી તે આજે તેનો તમાશો જોવાનો છે? પોતે સ્ત્રી હતી, લાચાર હતી. એ તો પુરુષ હતો, સમર્થ હતો – છતાં તેણે આ બધું થવા દીધું? 

નિર્દોષ હોવા છતાં ગુનેગારની જેમ જીવતી ને પળે પળે રહેંસાતી પ્રિયતમાનું આ આકસ્મિક દર્શન મોનિષને પણ હચમચાવી મૂકે છે. બીજે દિવસે એ દેવયાનીને મળે છે અને તેની તમામ ચિંતા પોતા પર લઇ લે છે. બોર્ડિંગમાં ભણતી તેની દીકરીને પોતાની પાસે લઇ આવે છે અને ભણાવીગણાવી મોટી કરે છે. યુવાન પુત્રી તરીકે સુચિત્રાનો પ્રેમી ધર્મેન્દ્ર છે. પછી પણ વાર્તામાં વળાંકો આવે છે, જેમાંથી પસાર થવાનું બળ પ્રેમ જ આપે છે. ફિલ્મ ખૂબ સફળ રહી હતી. ટિકિટનો ભાવ પચ્ચીસ પૈસા હતો એ જમાનામાં એણે બાર કરોડનો ધંધો કર્યો હતો ને યુરોપ-અમેરિકામાં પણ વખણાઈ હતી. કેટલાક ક્રાંતિકારી વિચારો પણ આપ્યા હતા તેણે, કે બાળકનું માપ માબાપના સ્ટેટસ પરથી ન કઢાય, સ્ત્રીને પણ પુરુષ જેવાં તક અને મોકળાશ મળવાં જોઈએ, સ્ત્રીપુરુષ વચ્ચે લગ્નસંબંધ વિનાનો શુદ્ધ અને સુંદર પ્રેમસંબંધ હોઈ શકે, અપરાધનાં સંજોગો કે કારણો જાણ્યા વગર અપરાધીનો ન્યાય તોળવા કે તેને ધિકકારવા જવાય નહીં.

અસિત સેનની બંગાળી ફિલ્મ ‘ઉત્તર ફાલ્ગુની’ પરથી આ ફિલ્મ બની હતી. તેમાં પણ સુચિત્રા સેન જ હતી. ગુરુ બિમલ રૉયની જેમ અસિત સેન પણ કલાકારોનું શ્રેષ્ઠ બહાર કાઢવાની ક્લા જાણતા હતા. બંગાળી ફિલ્મમાં મોનિષની ભૂમિકા ઉત્તમકુમારે કરી હતી. 

‘મમતા’નાં ગીતો લખ્યાં હતાં મજરૂહ સુલતાનપુરીએ. સંગીત રોશનનું હતું. મંદિરમાં દીવાની જ્યોત હોય એમ હૃદયમાં પ્રેમને છુપાવી લેવાની કલ્પના કેટલી સુંદર છે! ‘ફિર આગ બિરહા કી મત લગાના કિ જલ કે મૈં રાખ હો ચૂકી હૂં, યે રાખ માથે પે મૈં ને રખ લી, કિ જૈસે મંદિર મેં લૌ દિયે કી’ આવું અદ્દભુત કમિટમેન્ટ કોઈ ભૂલી શકે ખરું?

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 04 ઍપ્રિલ 2026

Loading

માણસે પોતાની જ કેદમાંથી મુક્ત થવાનું છે : થોમસ પેઈન

સોનલ પરીખ|Opinion - Opinion|5 June 2026

સ્વતંત્રતા એ જ મારું સુખ છે. વિશ્વ મારું વતન છે. સચ્ચાઈ મારો ધર્મ છે. જે અધિકાર મને મળવા જોઈએ તે અન્યને પણ મળવા જ જોઈએ એ મારી જીદ છે. મને ખબર છે કે તાનાશાહી પર વિજય મેળવવો મુશ્કેલ છે. પણ આપણી પાસે એક આશ્વાસન છે : સંઘર્ષ જેટલો કઠિન, જીત એટલી જ ભવ્ય.

— થોમસ પેઈન 

આ લેખ વાચકમિત્રોના હાથમાં આવશે ત્યારે સતત યુદ્ધસમાચારો વચ્ચે 98મા એકેડમી એવોર્ડ્સના સમાચારના સમાચાર ચમકી ચૂક્યા હશે. પંચાવનમા ઓસ્કાર્સ વખતે આઠ ઓસ્કાર જીતેલી ‘ગાંધી’ ફિલ્મ યાદ છે ને? આ ફિલ્મના સર્જક રિચર્ડ એટનબરોને પૂછવામાં આવ્યું, ‘નેક્સ્ટ પ્રોજેક્ટ?’ એમણે તરત કહ્યું, ‘મારે થોમસ પેઈન પર ફિલ્મ બનાવવી છે.’ એમની વધતી ઉંમર અને ઘટતી શક્તિઓને કારણે એ પ્રોજેક્ટ પૂરો થયો નહીં, પણ તેને માટે તેમને વર્ષો સુધી સંશોધન કરતા જોઈને કોઈએ પૂછ્યું, ‘થોમસ પેઈન પાછળ આટલી બધી મહેનત શા માટે કરો છો?’ ઉત્સાહથી ચમકતા ચહેરે એટનબરોએ કહ્યું, ‘ઇતિહાસે તેને ન્યાય નથી કર્યો, વર્તમાને તેને વિસારે પાડ્યો છે, પણ જરા વિચારો, જે માણસે વિશ્વના ઇતિહાસની બે બે ભવ્ય ક્રાંતિઓની ચિનગારી પેટાવી હોય તેનું જીવન, તેનું વિચારવિશ્વ કેવું અદભુત હશે!’ આ બે ક્રાંતિઓ એટલે અમેરિકન સ્વાતંત્ર્યયુદ્ધ અને ફ્રેંચ ક્રાંતિ. 

આજથી અઢીસો વર્ષ પહેલા તેમનો જન્મ. ભુલાઈ ગયેલા, હાંસિયામાં ધકેલાઇ ગયેલા હોવા છતાં થોમસ પેઈનમાં આજે પણ આપણા લોહીમાં બહાદુરીનો અને મગજમાં મુક્ત વિચારોનો નવો વેગ લાવી શકે તેવું સામર્થ્ય છે. 

આજથી સાડાત્રણસો વર્ષ પહેલા અમેરિકામાં યુરોપની વસાહતો હતી. એમાંની તેર વસાહતોએ જ્યોર્જ વૉશિંગ્ટનની આગેવાની નીચે ગ્રેટ બ્રિટન સાથે યુદ્ધ કરીને સ્વતંત્રતા મેળવી અને તેર રાજ્યોનું બનેલું યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અસ્તિત્વમાં આવ્યું. આ પાઠ આપણે ઇતિહાસમાં ભણ્યા છીએ. આ યુદ્ધ આઠ વર્ષ ચાલ્યું હતું. 1776માં અમેરિકા સ્વતંત્ર થયું. સ્વાતંત્ર્યની એની ઘોષણામાં બે મહત્ત્વની બાબતોને સ્વયંભૂ સત્ય તરીકે સ્વીકારવામાં આવી હતી. એક તો એ કે દરેક માનવ સમાન છે. અને બીજું એને જીવનનો, સ્વતંત્રતાનો અને સુખને શોધવાનો અબાધિત અધિકાર છે. અમેરિકાના આ ‘ડેક્લેરેશન ઑફ ઇન્ડિપેન્ડન્સ’ પર તમામ 13 વસાહતોના 56 સભ્યોની સહી હતી જેમાં સૌથી નાના સભ્ય હતા 26 વર્ષના એડવર્ડ રટલિજ અને સૌથી મોટી ઉંમરના સભ્ય હતા 70 વર્ષના બેન્જામિન ફ્રેન્કલિન. અનેક રાષ્ટ્રોએ તેના પરથી પ્રેરણા લઈને પોતાની સ્વાતંત્ર્યઘોષણા બનાવી છે. 

અમેરિકાના આ સ્વાતંત્ર્યસંગ્રામ પાછળની મૂળભૂત પ્રેરણા થોમસ પેઈનની છે. તે ટોમ પેઈન તરીકે પણ ઓળખાતા. પોતે બ્રિટિશર હોવા છતાં તેમણે બ્રિટિશ રાજસત્તા સામે પડકાર ફેંક્યો અને અમેરિકન ક્રાંતિના જનક બન્યા. તેમણે આમ કર્યું કારણ કે તેઓ માનવઅધિકારોના જબરદસ્ત પુરસ્કર્તા હતા. અમેરિકાના ઇતિહાસને ભવ્ય વળાંક આપવામાં જે બે પુસ્તકોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો તેમનું એક થોમસ પેઇનનું ‘કોમન સેન્સ હતું. બીજું પુસ્તક તે હેરિયટ સ્ટોવનું ‘અંકલ ટોમ્સ કેબિન’. 

‘કોમન સેન્સ’ ખરું જોતાં એક નાનકડી પુસ્તિકા છે. જાન્યુઆરી 1776માં તે પ્રગટ થઈ અને ત્રણ જ મહિનામાં તેની એક લાખ નકલો ખપી ગઈ. જોતજોતામાં આ આંકડો પાંચ લાખ પર પહોંચ્યો. વસાહતોની કુલ વસ્તી પચીસ લાખ હતી, તેના પ્રમાણમાં આ ફેલાવો વિક્રમજનક ગણાય. જાહેર સભાઓમાં તેનું વાચન થતું. જ્યોર્જ વોશિંગ્ટન સૈન્યનો ઉત્સાહ વધારવા માટે ‘કોમન સેન્સ’ વાંચી સંભળાવતા. તેમાં લખ્યું હતું, ‘બ્રિટનનું શાસન આપખુદ છે. અમેરિકાને અકારણ યુરોપિયન યુદ્ધોમાં ઘસડાવું પડે છે. બ્રિટન પોતાને મધર કન્ટ્રી કહે છે પણ કોઈ મા પોતાના સંતાન સાથે ક્રૂર કે અન્યાયી ન થઈ શકે તે ભૂલી જાય છે. બ્રિટન પોતાનાં હિત સાચવે છે ને વસાહતોમાં એક નાનો સુધારો અમલમાં લાવતાં વર્ષો કાઢે છે. અમેરિકાની વસાહતો પર અમેરિકાએ જ બનાવેલો કાયદો ચાલવો જોઈએ. એકહથ્થુ સત્તાની તરસ એ બ્રિટિશ સામ્રાજ્યને વળગેલો કાયમી રોગ છે. અધિકારો મેળવી લેવાના હોય, તેને માટે અરજી ન કરાય. એક ખોટી વસ્તુ લાંબો સમય ચાલે પછી એ સાચી હોવાનો ભ્રમ ઊભો થાય છે. સંખ્યાબળમાં નહીં, સાચી શક્તિ એકતામાં છે. વિશ્વ સામે એકલા ઊભા રહેવાની તાકાત તમારામાં છે.’

ગ્રેટ બ્રિટન પાસેથી સ્વતંત્રતાની ખુલ્લેઆમ માગણી આ રીતે પહેલી વાર થઈ હતી. ટોમના શબ્દોએ અમેરિકનોને પડકારીને એવાં ઊભા કર્યા કે પછીથી અમેરિકાના બીજા પ્રમુખ જ્હોન એડમ્સે કહ્યું, ‘વિધાઉટ ધ પેન ઑફ ધ ઓથર ઑફ કોમન સેન્સ, ધ સ્વોર્ડ ઑફ વોશિંગ્ટન હેઝ બિન રેઇઝ્ડ ઇન વેઇન’ – કોમન સેન્સના લેખકની કલમ વગર જ્યોર્જ વૉશિંગ્ટનની તલવાર નકામી પુરવાર થઈ હોત. ત્યાર પછી લખાયેલ ‘અમેરિકન ક્રાઇસીસ’ના લેખોએ યુદ્ધ દરમિયાન સૈનિકો અને નાગરિકોમાં દેશભક્તિની ભાવના જગાવી. 

થોમસ પેઈન જેવા સ્વાતંત્ર્ય અને માનવઅધિકારોના પુરસ્કર્તા તેવા જ પ્રખર બુદ્ધિવાદી. અમેરિકા સ્વતંત્ર થયું તે પછી તેઓ ફ્રાન્સ ચાલ્યા ગયા. 1790ના દાયકામાં તેઓ ફ્રેંચ ક્રાંતિમાં સક્રિય હતા. તેમનું પુસ્તક ‘રાઇટ્સ ઑફ મેન’ ફ્રેંચ ક્રાંતિ પાછળના સિદ્ધાંતોને સમજાવે છે. ‘એગ્રેરિયન જસ્ટિસ’, ‘ધ ક્રાઈસિસ’, ‘એજ ઑફ રિઝન્સ’ જેવાં મુક્ત વિચારની હિમાયત કરતાં તેમનાં પુસ્તકો આજે પણ પ્રેરણા આપે તેવાં છે. તેમણે કહ્યું હતું, ‘તાનાશાહી પર વિજય મેળવવો મુશ્કેલ છે. પણ આપણી પાસે એક આશ્વાસન છે સંઘર્ષ જેટલો કઠિન, જીત એટલી જ ભવ્ય.’ 

ચર્ચની લોકો પરની પકડ તેમને ન ગમતી. ‘હું કોઈ ચર્ચમાં નથી માનતો. મારું મન એ જ મારું ચર્ચ.’ અને ‘બાઇબલ, ઈશ્વરપુત્ર ઇસુ, સ્વર્ગ વગેરે જગત પર ઠોકી બેસાડાયેલી વિભાવનાઓ છે.’ જેવા વિચારોએ તેમને અળખામણા બનાવ્યા. તેમને જેલ થઈ. 1820માં તેઓ ફરી અમેરિકા ગયા, પણ ત્યાં પણ એ જ બહિષ્કાર. સાથીઓ છોડી ગયા, લોકો તેમના પ્રદાનને ભૂલી ગયા, પોતે ગરીબી-નિંદા-ટીકાનો ભોગ બન્યા, છતાં સ્વાતંત્ર્યના એ અડગ યોદ્ધા એકલા ઝઝૂમતા રહ્યા. જેઓ તેમના અંતની રાહ જોતાં હતા તેમને સત્ય સમજાવવાની નિષ્ફળ કોશિશ કરતા રહ્યા. જે આખી દુનિયાનો મિત્ર હતો તે મિત્રવિહોણો બન્યો. પોતાને નિર્ભય અને સ્વાતંત્ર્ય-અભિમુખ બનાવનાર થોમસ પેઈન તરફ પીઠ ફેરવી અમેરિકાએ ઠંડી ક્રૂરતાથી તેનો ખલાસ થઈ જવાનો તમાશો જોયો. 1809માં તેમનું મૃત્યુ થયું ત્યારે બે નિગ્રો મળીને છ જ વ્યક્તિએ તેની ઉત્તરક્રિયામાં હાજરી આપી. હોવાર્ડ ફાસ્ટે લખેલી તેમની જીવનકથા ‘સિટીઝન ટોમ પેઈન’ વાંચીએ તો સમજાય કે પોતાના સમયથી બે સદી આગળ હોવાની કેટલી મોટી કિંમત થોમસ પેઈને ચૂકવી હતી.

ઓગણીસમી અને વીસમી સદીના યુરોપ-અમેરિકાના વિચારપ્રવાહો પર થોમસ પેઈનનો મોટો પ્રભાવ છે. અબ્રાહમ લિંકન જેવા માનવવાદીથી માંડી એડિસન જેવા સંશોધક તેમ જ રેનેસાં, વ્યક્તિસવાતંત્ર્ય, નારીવાદ, સમાજવાદ, રેશનાલીઝમ વગેરે પર એમનાં લખાણોની જબરી અસર છે. પોતાના સમયથી આગળ હોય તેવી વ્યક્તિઓ દુનિયાના દુર્વ્યવહાર છતાં શ્વાસ ચાલતા હોય ત્યાં સુધી લોકોની ઊંઘ ઉડાડવા મથતી રહે છે કારણ કે તેઓ ઇચ્છે છે કે માણસ પોતાની કેદમાંથી મુક્ત થાય. 

આકાશને જોઈ લેનાર સળિયાઓ વચ્ચે કેવી રીતે જીવે? સ્વતંત્રતા અસ્તિત્વને ફૂટેલી પાંખો છે. પોતાના આકાશમાં વિસ્તરવાની તેની જીદ પ્રાણ સાટે પણ પૂરી કરવી પડે છે. તેમણે કહ્યું છે, ‘સ્વતંત્રતા એ જ મારું સુખ છે. વિશ્વ મારું વતન છે. સચ્ચાઈ મારો ધર્મ છે. જે અધિકાર મને મળવા જોઈએ તે અન્યને પણ મળવા જ જોઈએ એ મારી જીદ છે.’ 

અમેરિકન સ્વાતંત્ર્યસંગ્રામના બીજા એક હીરો પેટ્રિક હેનરીનું પ્રખ્યાત વિધાન થોમસ પેઈનને બરાબર લાગુ પડે છે, ‘ગિવ મી લિબર્ટી ઓર ગિવ મી ડેથ !’ આ વાક્ય તેણે આજથી 251 વર્ષ પહેલાંની 23મી માર્ચે કહ્યું હતું. સદીઓ પહેલાના આ પૂર્વજો આપણી આજની દુનિયા કરતાં ક્યાં ય આગળ છે એમ નથી લાગતું? 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 22 માર્ચ  2026

Loading

અલ નીનો

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|5 June 2026

રવીન્દ્ર પારેખ

વિશ્વનું અને ભારતનું હવામાન પૂરી રીતે ખોરવાઈ ચૂક્યું છે. ભારતની જ વાત કરીએ તો થોડાં વર્ષો પર શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણ ઋતુ સ્પષ્ટ રીતે અલગ પડતી હતી, પણ છેલ્લાં થોડાં વર્ષોથી બદલાયેલાં હવામાને ઋતુઓની સેળભેળ કરી નાખી છે. ઘણીવાર તો એક જ દિવસમાં ત્રણે ઋતુનો અનુભવ ભારતમાં થાય છે અને એક જ દિવસમાં સ્વેટર, પહેરણ અને રેઈનકોટ પહેરવાં પડે એવી હાલત પણ થાય છે. હમણાં થોડા દિવસથી તાપ અને વરસાદનો એક સામટો અનુભવ થાય છે. ક્યાંક તો કરા પડ્યાના સમાચાર પણ છે. ટૂંકમાં, ભારતમાં ઋતુચક્ર ખોરવાયું છે ને તે વૈશ્વિક હવામાનમાં આવેલા પલટાનું પરિણામ છે. હમણાં ચોમાસું ક્યારે બેસશે એ અંગે પણ દ્વિધા છે. કેરળમાં બે’ક દિવસ પર ચોમાસું બેસવાના સમાચાર હતા, પણ એ તો આગાહીઓ છે ને તે સાચી ન પણ પડે એમ બનવાનું. પણ, હવેની વૈશ્વિક હવામાનની ઘણી આગાહીઓએ દુનિયાને ડરાવી દીધી છે. ધારો કે આગાહીઓ પ્રમાણે થાય છે તો અનેક જીવો પર સંકટ ઊભું થાય એમ બને. જાનમાલનાં અનેક પ્રકારનાં નુકસાન માટે દુનિયાએ તૈયાર રહેવું પડે.

ભારતીય હવામાન વિભાગે (આઇ.એમ.ડી.) તો આગાહી કરી જ છે, તેમાં વિશ્વ હવામાન સંસ્થા (ડબ્લ્યુ.એમ.ઓ.)એ એવી ચેતવણી આપી છે કે પ્રશાંત મહાસાગરમાં ઝડપથી ગરમ થઈ રહેલાં દરિયાઈ પાણીને કારણે ‘અલનીનો’ની સ્થિતિ ફરીથી વકરી રહી છે. માત્ર ભારતે જ નહીં, દુનિયાએ તેનો સામનો કરવાની તૈયારી રાખવી પડે એમ છે. ભારતમાં ઋતુઓનું ચક્ર તો ખોરવાયું જ છે, તેમાં અલનીનોનો ઉત્પાત વેઠવાનું વધશે તે નફામાં !

આ અલનીનો વિષે એટલો ખ્યાલ ઘણાંને હશે કે પ્રશાંત મહાસાગરના વિષુવવૃત્તીય વિસ્તારમાં દરિયાઈ પવનો નબળા પડે છે, ત્યારે દક્ષિણ અમેરિકાના દરિયા કાંઠાનું પાણી કલ્પના બહાર ગરમ થવા લાગે છે. પાણીની આ ગરમીને જ ‘અલનીનો’ કહે છે. આ કુદરતી ઘટના છે, પણ તે માનવ સર્જિત નથી જ એમ કહી શકાશે નહીં. આ વૈશ્વિક પવનો વાદળોની નિર્ધારિત ગતિને બદલીને વિશ્વભરનાં હવામાનને વેરવિખેર કરી દે છે.

ડબલ્યુ.એમ.ઓ.ના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે સમુદ્રનાં નીચલાં સ્તરનું પાણી સામાન્ય કરતાં 6 ડિગ્રી સેલ્સિયસ વધારે જોવા મળ્યું તે ચિંતાજનક છે. સમુદ્રમાં જમા થયેલી વધારાની આ ગરમી સમુદ્રની ઉપલી સપાટીને ગરમ કરી રહી છે અને તે વિશ્વ આખાં પર અનેક જોખમો ઊભાં કરી શકે એમ છે.

સંયુક્ત રાષ્ટ્ર(યુ.એન.)ની હવામાન એજન્સીના મતે જૂનથી ઓગસ્ટના ત્રણ મહિના દરમિયાન અલનીનો બનવાની આશંકા 80 ટકા છે, જયારે નવેમ્બર 2026 સુધી અલનીનોનાં ચાલુ રહેવાની શક્યતા 90 ટકા કે તેથી વધુ છે. આગાહી તો એવી પણ છે કે અલનીનો ઓછામાં ઓછી મધ્યમ તાકાત ધરાવતો હશે, જે આગળ જતાં વધુ તીવ્ર બનવાની સંભાવના છે. અલનીનો સુપર અલનીનો થવાનાં ચાન્સ નથી જ એવું નથી. અલનીનોથી બીજા દેશો કરતાં ભારત વધુ પ્રભાવિત થવાની શક્યતાઓ છે. અલનીનોથી ભારત ઉપરાંત વિશ્વભરમાં દુષ્કાળ, રેલ, દરિયાઈ અને જમીની હીટવેવ તથા હવામાનનાં આત્યંતિક સ્વરૂપો જોવા મળે એમ બને. આમ પણ વિશ્વ અસહ્ય ગરમીમાં શેકાઈ રહ્યું છે એ સ્થિતિમાં અલનીનોનો તાપ ઉમેરાય તો વાત ક્યાં જઈને પહોંચે તેની કલ્પના કરવાની રહે છે. આ પહેલાં 2023-‘24માં અલનીનોની તીવ્ર અસરો ઇતિહાસની પાંચ સૌથી શક્તિશાળીઓમાંની એક હતી. આ અલનીનોએ 2024માં વૈશ્વિક તાપમાનના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા ને અનેક સ્તરે વિનાશ વેર્યો હતો. હવે પછી પણ તેની શક્યતાઓ છે જ, તો તેની ચિંતા કરીને ઉપાયો વિચારવાના રહે.

અલનીનોની સીધી અસરોમાં ચોમાસું નબળું પડે એ વાત મુખ્ય છે. ચોમાસું બગડે તો દુષ્કાળનો સામનો કરવાનો આવે ને ઉનાળો લાંબો ચાલે, એટલે દેશના ઘણાં વિસ્તારોમાં લૂ લાગવાની ઘટનાઓ વધે. વરસાદ ઘટે તો ખેતી પણ બગડે ને તે સંજોગોમાં અનાજ, શાકભાજી, અન્ય ખાદ્ય પદાર્થો મોંઘાં થાય. નબળાં ચોમાસાને લીધે સિંચાઇની અછત સર્જાય ને તેને લીધે પાક બગડે એ પણ ખરું. વળી ખેડૂતોની ખેતી બગડે એ ઉપરાંત અન્ય આર્થિક મુશ્કેલીઓનો પણ પાર ન રહે. ભારતનાં લગભગ 70 ટકા જળ સંસાધનો ચોમાસું પાણી પર નિર્ભર છે, તે સ્થિતિ અલનીનોનાં પરિણામો સમજાવવા માટે પૂરતી છે.

ડબલ્યુ.એમ.ઓ.ના જણાવ્યા પ્રમાણે અલનીનો હોવા છતાં, ભારતમાં ચોમાસું સચવાઈ જાય એમ છે. એને માટે બે પદ્ધતિઓ સક્રિય હોવી ઘટે. ઇન્ડિયન ઓશન ડાઇપોલ (આઈ.ઓ.ડી.). તે હિન્દ મહાસાગરના અલનીનો તરીકે પણ ઓળખાય છે. જો તેનો ક્રેઝ પોઝિટિવ હોય તો તે અલનીનોનાં દુષ્કાળના પ્રભાવને બધી રીતે ખતમ કરીને આખા ભારતમાં સારો વરસાદ લાવી શકે છે ને એ રીતે ચોમાસું બચે એમ બને. બીજી પદ્ધતિ છે – મેડન જુલિયન ઓસિલેશન (એમ જે ઓ ). આમ તો આ પવનો અને વાદળોનું એક વૈશ્વિક ચક્ર છે. તે ભારત પરથી પસાર થાય છે, ત્યારે નબળા ચોમાસામાં પણ ભારે વરસાદનો તબક્કો લઈને આવે છે. આ બે પદ્ધતિઓ સક્રિય રહે તો ચોમાસું બગડતું અટકે.

એ તો થાય ત્યારે ખરું, અત્યારે તો આફતના અણસાર વર્તાઈ રહ્યાં છે. આને થોડું વિગતે જોવા જેવું છે. એટલાન્ટિક વાવાઝોડાની ઋતુ જૂનથી નવેમ્બર સુધી ચાલે છે, જેમાં સપ્ટેમ્બરના મધ્યમાં તોફાનની ગતિવિધિઓ ટોચ પર પહોંચે છે. અલનીનો એ મધ્ય અને પૂર્વીય પેસેફિક મહાસાગરમાં દરિયાની સપાટીનાં તાપમાનમાં સમયાન્તરે થતો વધારો છે. જે વરસાદની નિયમિતતાને પ્રભાવિત કરે છે ને તેને  પરિણામે પૂર, દુષ્કાળ અને ગરમીમાં વધારો થઈ શકે છે. આ બધાંને લીધે સરેરાશ વૈશ્વિક તાપમાન વધે છે.

અલનીનો જેવી ઘટનાઓ દર બેથી સાત વર્ષે થાય છે ને તેની અસર 9થી 12 મહિના રહે છે. આમ તો અલનીનો પેસેફિક મહાસાગરમાં ઉદ્ભવે છે, પણ તેની અસરો દુનિયાભરમાં વર્તાય છે. ભારત, ઓસ્ટ્રેલિયા દક્ષિણ અને મધ્ય આફ્રિકા, યુનાઈટેડ સ્ટેટ્સ અને એમેઝોન બેસિનમાં ભારે ગરમીનો અનુભવ થાય છે ને જંગલોમાં આગ પણ લાગી શકે છે. ભારતની વાત કરીએ તો વરસાદ ને પાક ઘટી શકે છે ને ગરમી પણ અસહ્ય બની શકે છે. આમ પણ ભારતમાં તાપમાન વધી જ ગયું છે, એમાં અલનીનો જીવવાનું વધારે અઘરું બનાવશે એમ લાગે છે.

આમ તો આવા સંકટોમાં મનુષ્ય દયાને પાત્ર લાગે, પણ આ પરિસ્થિતિમાં મુકાવાનું એક કારણ તે પોતે પણ છે. તેણે પ્રકૃતિનો ભારે અપરાધ કર્યો છે. મકાનો, રસ્તાઓ જરૂરી છે એ સાચું, પણ અમર્યાદ સંપત્તિની લાલચે ને સગવડે માણસ પ્રકૃતિનો દોષી છે. તેણે વત્તે ઓછે અંશે પંચ તત્ત્વ સાથે જ ચેડાં કર્યાં છે. તેણે જંગલોનો વિનાશ કર્યો છે, નદીઓને અકુદરતી વિકાસ માટે ભ્રષ્ટ કરી છે, આકાશ અભડાવ્યું છે, વાયુને વિકૃત કર્યો છે, ધરતીનાં રસકસ છીનવ્યાં છે, અગ્નિ તત્ત્વ સાથે છેડછાડ કરી છે. એમ મૂળ તત્ત્વો સાથે જ રમત કરી હોય તો તે નિર્દોષ કઈ રીતે હોય?

ટૂંકમાં, પંચતત્ત્વને નષ્ટભ્રષ્ટ કર્યાં છે, તો પ્રકૃતિ પણ બધું પંચમહાભૂતમાં કેમ ન મેળવે? યાદ રહે, પ્રકૃતિ કશું પણ ભૂલતી નથી. તે ઈર્ષાળુ છે ને થયેલા અન્યાયનો બદલો લીધા વગર કોઈને છોડતી નથી. વિકૃતિથી બચી શકાય, પણ પ્રકૃતિથી બચવાનું અશક્યવત છે ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 જૂન 2026

Loading

...10...13141516...203040...

Search by

Opinion

  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …
  • મોહેં-જો-દડોની ‘ડાન્સિંગ ગર્લ’: 4500 વર્ષથી યથાવત્ હતી, 21મી સદીએ તેને ‘સુધારી’?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved