Opinion Magazine
Number of visits: 10080253
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મજા એટલે પુરાયેલાને ફૂટતી પાંખો – લેટ્સ સેલિબ્રેટ વર્લ્ડ સોન્ટરિંગ ડે 

સોનલ પરીખ|Opinion - Opinion|26 July 2026

આપણને આ પૃથ્વીનો, એના સૌંદર્યનો, આપણા હોવાનો, કશાનો કોઈ અર્થ ખબર જ નથી અને સર્વજ્ઞ હોઈએ એવો ડોળ કરવો છે. આ વ્યર્થતાને રાવજી પટેલ ‘મારું દુ:ખ ચકલીઓ મૂંગી છે તે છે’ એવા શબ્દોમાં વર્ણવે છે.

સોનલ પરીખ

ઑરફાલિઝના લોકોએ અલ મુસ્તફાને ‘મજા’ વિશે પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે ‘મજા એટલે પુરાયેલાને ફૂટતી પાંખો.’ આગળ કહ્યું, ‘તમારાં ખેતરો અને બગીચામાં જાઓ. ત્યાં તમે શીખશો કે ફૂલોમાંથી મધ ભેગું કરવામાં મધમાખીઓને મજા પડે છે; પણ, તે સાથે જ, માખીને પોતાનું મધ આપવામાં ફૂલોને ય મજા પડે છે. કારણ કે મધમાખને માટે ફૂલ એ જીવનનો ઝરો છે અને ફૂલને માટે મધમાખ પ્રેમનો દૂત છે. અને મધમાખ તેમ જ ફૂલ બંનેને માટે એ મજાની આપલે જરૂરિયાત તેમ જ લહાવો છે. ઑરફાલિઝના લોકો, તમારી મજાઓની બાબતમાં ફૂલ અને મધમાખ જેવા થાઓ.’ 

આવી મજા કરવાનું જો આપણે ભૂલી ગયા હોઈએ, અને એવી જ શક્યતા વધારે છે, તો એને યાદ કરવા માટે આપણે ઊજવવો જોઈએ ‘દોડો નહીં, ટહેલો’ આવો સંદેશ આપતો વર્લ્ડ સોન્ટરિંગ ડે. સોન્ટરિંગ એટલે ટહેલવું, નિરાંતે હરવુંફરવું, ચહલકદમીનો આનંદ લેવો. 1979માં ડબલ્યુ.ટી. રેબ નામના માણસે, એ વખતે જોગિંગનું વધતું જતું મહત્ત્વ જોઈ આ દિવસની શરૂઆત કરી હતી એવું મનાય છે. એ માણસ મિશિગન સ્ટેટના મેકિનેક ટાપુ પર આવેલી ગ્રાંડ હોટેલમાં કામ કરતો. ત્યાં જ એણે આ શરૂઆત કરી હતી. આ દિવસની ઊજવણી પાછળ લોકોને ધીમા પડી આસપાસના વિશ્વને નિરાંતે માણવું અને એની કદર કરતાં શીખવું એ સમજાવવાનો છે અને એ દર વર્ષની 19મી જૂને ઊજવાય છે. 

નામ યાદ નથી, પણ એક અમેરિકન લેખિકાએ પોતાનો જે અનુભવ વર્ણવ્યો હતો એ યાદ રહી ગયો છે – આધુનિક જીવનશૈલીએ એને સફળતા અને ભૌતિક સુખ-સગવડો મેળવી આપ્યાં હતાં. પણ એને કોઈ અજાણ્યો અજંપો પજવતો રહેતો. એને થતું કે એની ઓછું ભણેલી, નાના ગામમાં અગવડો વચ્ચે રહેતી માના ચહેરા પર વધારે પ્રસન્નતા અને શાંતિ છે, અને સરસ પરિવાર, ઉચ્ચ શિક્ષણ, સગવડો અને સિદ્ધિઓ છતાં પોતાના ચહેરા પર અજંપો છે : એમ કેમ ? શું ખૂટે છે ? 

પ્રશ્ન એવો તો હેરાન કરવા લાગ્યો કે તે થોડા દિવસ માટે શહેરની ધમાલથી દૂર ચાલી ગઈ. એકલી, એક ટાપુ પર જઈને રહી. કંઈ જ કર્યું નહીં, કુદરતની વચ્ચે ફરતી રહી, ખુલ્લી હવામાં ઊંડા શ્વાસ લેતી ગઈ, આસપાસના ફૂલો-પતંગિયાં-પંખીઓને ઓળખતી ગઈ, કુદરતની ઉદારતા અને વૈવિધ્યને નમ્ર સ્નેહપૂર્વક માણતી રહી. મહત્ત્વાકાંક્ષા, દોડાદોડી અને પોતાને સાબિત કરતા રહેવાની હોડમાં ખોવાઈ ગયેલાં સર્જનાત્મકતા, વિસ્મય અને તાજગી પાછાં આવ્યાં. એને ખબર પડી કે એને ધીમા પડવાની જરૂર હતી. દોડવાની નહીં, ટહેલવાની જરૂર હતી. કોઈની સાથે સ્પર્ધા કરવાની નહીં, પોતાની જાત સાથે મૈત્રી કરવાની જરૂર હતી. 

વિલિયમ હેનરી ડૅવિસ નામના પ્રસિદ્ધ કવિએ ‘લેઝર’ નામનું કાવ્ય લખ્યું છે. તેઓ ત્રણ વર્ષના હતા અને પિતા મૃત્યુ પામ્યા. પછીના વર્ષે માએ બીજા લગ્ન કર્યાં. કવિ દાદા-દાદી પાસે ઊછર્યા. પરિવારના સભ્યોને વર્ણવતા એમણે લખ્યું છે, એ ઘરમાં દાદા-દાદી, અમે ત્રણ ભાઈબહેન, એક નોકરબાઈ, એક કૂતરો, એક બિલાડી, એક પોપટ, એક કબૂતર અને એક કેનરી પક્ષી રહેતાં હતાં. આ પરથી એમનું બાળપણ બહુ સુખી હતું એમ માની લેવાની ભૂલ ન કરવી, કેમ કે એમને શાળામાં ત્રાસ થતો. બદમાશ મિત્રો હેરાન કરતા. દસ વર્ષની ઉંમરે ડેવિસ અને બીજા ચાર મિત્રો પર પર્સની ચોરીનો આરોપ મુકાયો અને 12 કોરડા ખાવાની સજા મળી. દાદાને નજર સામે મરતા જોયા. 11 વર્ષની ઉંમરે લખેલા એમના પહેલા કાવ્યનું નામ હતું ‘ડેથ’. 

આ ડબલ્યુ. એચ. ડૅવિસ મહાન કવિ બન્યા અને પ્રકૃતિકવિ તરીકે સૌથી વધુ ઓળખ પામ્યા. તેઓ અનુભવતા કે આધુનિક જીવનશૈલીએ સાદગી, સૌંદર્ય, નિરાંત અને આનંદ છીનવી લીધા છે. એમનાં કાવ્યોમાં સૌથી વધુ પ્રખ્યાત કાવ્ય 1911માં લખાયેલું ‘લેઝર’ છે. લેઝર એટલે ફુરસદ, નવરાશ, નિરાંત. કવિ લખે છે, ‘“વૉટ ઈઝ ધિસ ટાઈમ ઈફ, ફુલ ઑફ કૅર; વી હેવ નો ટાઈમ ટુ સ્ટેન્ડ એન્ડ સ્ટેર” – પર્વતના ઢોળાવ પર નિરાંતે ચરતી ગાય, હવાની લહેરમાં ડોલતા પ્રસન્ન છોડવા, ઝીણાં ફૂલ ખેરવતું વૃક્ષ – આ બધાને જોવાની આંખ આપણી પાસે નથી કારણ આપણે અધીરા અને ઊતાવળથી ભરેલા છીએ. મધમાખીનું નૃત્ય જોવાનો કે પાંદડાં નીચે ખિસકોલીએ છૂપાવેલો નટ્સનો ખજાનો શોધવાનો સમય આપણી પાસે નથી.  જો આ જ જીવન હોય તો એ જીવન જ નથી.’ સવા સદી પહેલાની પહેલાની જીવનશૈલીમાં પણ જો એમને એમ લાગતું હોય કે આપણી પાસે ઊભા રહેવાનો અને આસપાસની સૃષ્ટિને નીરખવાનો સમય નથી તો આજની આપણી જીવનશૈલી જોઈ તેઓ શું અનુભવત ? શું કહેત ? જેમાં આનંદ મળે એવી ચીજો પાછળ દોડવામાં આપણે આસપાસ વેરાયેલી વિપુલ સુંદરતાને મન ભરીને માણી લેવાનું ભૂલી જઈએ છીએ. 

આપણે ત્યાં ‘હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં કોઈ કામ તમારું કે મારું કરવા આવ્યો છું’ (નિરંજન ભગત), ‘નિરુદ્દેશે, સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાંશુ મલિન વેશે’ (રાજેન્દ્ર શાહ), ‘કેવળ ફરવાને નીકળ્યો છું જાણે સંધ્યાકાળે, એકે કામ નથી કરવાનું મારે સંધ્યાકાળે’ (ઉશનસ) કે ‘મૂળને સૂંઘતો, વૃક્ષને સંવેદતો, વનરાજિમાં પ્રસરતો, આનંદથી વરસતો … ચાલી રહ્યો છું’ (જયદેવ શુક્લ) જેવી અનેક અનુભવસમૃદ્ધ પંક્તિઓ મળે છે. 

એટલે વાત છે સ્લો ડાઉન થવાની, જીવન માણવાની. હિમાલય જનારાઓમાંના ઘણાં વાહનનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાની ભલામણ કરે છે. ધીરે ધીરે ટહેલતા જવું ને પહાડની હવા, પહાડની સુગંધ અને કુદરતી સૌંદર્યને શાંતિથી નીરખતાં જવું, માણતાં જવું. પ્રિયંકા દલાલ નામની યુવતી સોલો ટ્રાવેલર એટલે કે એકલપ્રવાસી છે, ‘કુદરતના સાન્નિધ્યમાં હોઉં ત્યારે મને કોઈ બીજાનો મૂડ સાચવવાની કે એની સાથે વાતો કરવાની ખલેલ પણ ન જોઈએ.’ એ એક ફૉલ્ડિંગ, બૉક્સમાં પૅક થઈ જાય એવી સાયકલ રાખે છે. દેશમાં કે વિદેશમાં જ્યાં જાય ત્યાં સાયકલ લઈ જાય. એને અનફૉલ્ડ કરી, જોડી લે અને ખભા પરના ‘રક્સેક’માં આવી જાય એટલો જ સામાન રાખી જ્યાં ગઈ હોય ત્યાં નિરાંતે ફરતી રહે. ત્યાંના લોકો, જીવનશૈલી, કુદરત, ખાવાપીવાનું બધું જુએ-માણે. માત્ર જોઈને નીકળી જવું એટલું પૂરતું નથી. ત્યાંનું ‘ફીલ’ મળવું જોઈએ. 

અને આપણે? અહીં આપણા દેશમાં ચાઈનીઝ ને મૅક્સિકન ને ઈટાલિયન ફૂડનો શોખ રાખીએ ને પેરિસમાં પત્તરવેલિયા ને રોમમાં રસપૂરી ખવડાવે એવી ટૂર શોધીએ. પછી ફરવા માટે બ્યૂટી પાર્લરમાં જઈ ટ્રીટમેન્ટો કરાવીએ, પર્યટનની જગ્યાએ બેચાર જાણીતા સ્પૉટ પર સેલ્ફીઓ લઈને, શોપિંગ કરીને પાછા આવીએ અને ફોટા અપલોડ કરીને લખીએ, ‘વૉટ અ ગ્રેટ એક્સપિરિઅન્સ !’ આ આપણી મજા. વિચાર કરીએ તો આપણને આપણી જ દયા આવે. 

ખરું જોતાં આપણને આ પૃથ્વીનો, એના સૌંદર્યનો, આપણા હોવાનો, કશાનો કોઈ અર્થ ખબર જ નથી અને સર્વજ્ઞ હોઈએ એવો ડોળ કરવો છે. આ વ્યર્થતાને રાવજી પટેલ ‘મારું દુ:ખ ચકલીઓ મૂંગી છે તે છે’ એવા શબ્દોમાં વર્ણવે છે. અને શહેરમાં ભરાઈ પડેલી મકરંદ દવેની ગ્રામનાયિકા કહે છે, ‘આભથી તારા રમતા આવે મોગરા જેવી સેજ વચાળે, સીમ તો સામી સાદ પાડે કે આવ દોડી આવ હરણફાળે, ભીની રેતીમાં નાનકી નદી આપણાં ભોળાં પગલાં ભાળે, હડકાયાં આ હાડ ભાળીને હું તો આવી ગઈ ગળા લગ, હાલ્યને વાલમ ક્યાંક જતાં રંઈ, ક્યાંક જતાં રંઈ ખુલ્લે મારગ …’  

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 14 જૂન 2026

Loading

કોકરોચ અને મંત્રીઃ બૅરિકેડની બીજી તરફ પહોંચતાં જવાબદારી કેમ ભુલાઈ જાય છે?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|26 July 2026

ક્યારેક પેપર લીક સામે લડતાં લાઠી ખાનારા ધર્મેન્દ્ર પ્રધાન આજે એ જ માગણી કરતા વિદ્યાર્થીઓની સામે છે. પરંતુ સવાલ માત્ર તેમના રાજીનામાનો નથી, પ્રધાન બદલાય તો ય પેપર ફૂટતું રહે એવી વ્યવસ્થા કોણ બદલશે?

ચિરંતના ભટ્ટ

દેશમાં જે સંજોગો છે તે જોતાં બીજા કોઈ મુદ્દા વિષે વાત કરવાની ઇચ્છા થાય તેવું છે જ નહીં. ગયા અઠવાડિયે જેમ મેં લખ્યું હતું ત્યારે વાક્યને હજી કર્તા નહોતો મળ્યો: પેપર ફૂટ્યું, પરીક્ષા રદ્દ થઈ, તપાસ હાથ ધરાઈ અને એ વાક્યમાં જે મંત્રી હોવા જોઈતા હતા તેઓ જ્યાં હતા ત્યાં જ રહ્યા. આ અઠવાડિયે વાક્યને ક્રિયાપદ મળ્યાં અને એ તો વધુ ખરાબ હતાં. 20મીએ સંસદ તરફ કૂચ કરી રહેલા વિદ્યાર્થીઓની વાત સાંભળવાને બદલે તેમને અશ્રુવાયુ અને લાઠીઓ મળ્યાં; પ્રશ્નને સંસદમાં પ્રવેશવા દેવાને બદલે ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવાઈ. આજે વડા પ્રધાને આખરે જવાબ આપ્યો; કોઈનું નામ લઈને નહીં, પરંતુ ફાસ્ટ-ટ્રૅક કોર્ટ્સની ખાતરી આપીને; જાણે આ નિષ્ફળતામાં ઝડપ જ એકમાત્ર ખૂટતી કડી હોય. કોકરોચ જનતા પાર્ટી હજી સુધી આ લખાય છે ત્યારે એક ન્યૂઝ સાઇકલ પૂરતી પણ ભોળવાઈ નથી; થોડા જ કલાકોમાં તેણે સ્પષ્ટપણે કહી દીધું કે વધુ ઝડપી કોર્ટથી જવાબદાર કોણ છે એ સવાલનો જવાબ મળતો નથી. તેની વાત સાચી હતી. પરંતુ એ સવાલની નીચેનો વધુ અઘરો સવાલ હવે બે ધારી તલવાર જેવો બની રહ્યો છે.

ગયા અઠવાડિયે ઘા માત્ર કાગળ પરના આંકડા હતા. આ અઠવાડિયે એ ઘાને હૉસ્પિટલનો બેડ મળ્યો છે. તબિયત લથડ્યા બાદ બળજબરીથી સફદરજંગ હૉસ્પિટલમાં ખસેડવામાં આવેલા સોનમ વાંગચુકે આખરે 26 દિવસ પછી તેમના ઉપવાસ 23 જુલાઈની મોડી રાતે તોડ્યા છે જે કેન્દ્ર સરકાર સાથેની વાતચીત પછી લેવાયેલો નિર્ણય છે. દરમિયાન વડા પ્રધાન ફાસ્ટ-ટ્રૅક કોર્ટ્સની વાત બરાબર ત્યારે આવી પહોંચી જ્યારે આવવાની અપેક્ષા હોય, હિંદી ફિલ્મની પોલીસની માફક, કૂચ થઈ ગયા પછી, અશ્રુવાયુ છૂટ્યા પછી અને વિરોધના સ્થળની વ્યવસ્થા સંભાળવાની જેમની જવાબદારી હતી એ જ પોલીસને એક માણસને ત્યાંથી ઊંચકીને લઈ જવો પડ્યો એ પછી. ઝડપની વાત કરવા માટે સરકારને અવાજ મળી ગયો. માફી માગવા માટેનો અવાજ તેને હજી મળ્યો નથી. 21મી જુલાઈએ પ્રધાને પોતાનું મૌન તોડ્યું ખરું, પણ માફી માટે નહીં — રાહુલ ગાંધી અને કૉંગ્રેસ પર વિદ્યાર્થીઓને ‘રાજકીય સાધન’ તરીકે વાપરવાનો આરોપ મૂકવા માટે. અવાજ મળ્યો, પણ એ જવાબદારી લેવા માટે નહીં, બીજા પર દોષ મૂકવા માટે.

20મી જુલાઈના દિવસે આંદોલનની શિસ્તનું પ્રદર્શન થવાનું હતું, એ કૂચ હતી, ટોળાશાહી નહીં. પરવાનગી વગરની શાંતિ કૂચ યોગ્ય નહોતી એ સાચું પણ વ્યવ્સસ્થા તો બૅરિકેડની બન્ને તરફ ખોરવાઇ ગઈ. પોલીસે ટોળાનો સામનો લાઠીઓ અને અશ્રુવાયુથી કર્યો; સોથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા. પરંતુ એ જ ટોળામાં પોતાનું કામ કરી રહેલા પત્રકારો પણ તેમના પોતાના લોકોનું નિશાન બન્યા. ત્રણ અઠવાડિયાંથી ધરણાંનું રિપોર્ટિંગ કરી રહેલા ‘ટાઇમ્સ નાઉ’ના દેવ કોટકના કહેવા પ્રમાણે, દેખાવ કરનારાઓ ‘ગોદી મીડિયા’ના નારા લગાવતા હતા ત્યારે તેમને મુક્કા અને લાતો મારવામાં આવ્યાં; તેમનાં ચશ્માં ઝૂંટવી લેવાયાં, ખિસ્સામાંથી ફોન ખેંચી લેવામાં આવ્યો અને પછી ધક્કો મારીને તેમને જમીન પર પાડી દેવાયા. જો કે એ જ દેખાવકારોમાંથી કેટલાકે ભેગા થઈ માનવસાંકળ રચીને તેમને સલામત બહાર કાઢ્યા. તેના બીજા જ દિવસે કૂચનું રિપોર્ટિંગ કરી રહેલી બે મહિલા પત્રકારો સાથે છેડછાડ કરવામાં આવી અને તેમના પર હુમલો થયો. આ જે થયું એ તો ખોટું હતું જ. શાંતિથી વિરોધ કરનારાઓમાં આવા ખેપાનીઓ ક્યાંથી ભળ્યા? જો કે આમાંથી કશું જ પોલીસની લાઠીઓ કે અશ્રુવાયુને વાજબી ઠેરવતું નથી. પરંતુ આ આંદોલનની નૈતિક સત્તા અને તાકાત એ વાતમાં છે કે તે જે વ્યવસ્થા પર આરોપ મૂકે છે તેના કરતાં પોતે વધુ શિસ્તબદ્ધ રહે. જો એ જ આંદોલન કયા પત્રકારને સલામત રહેવાનો અધિકાર છે અને કોને નથી એ નક્કી કરવા માંડે, તો ચિંતા થાય. પછી એ લોકો લોકશાહી અને બંધારણની વાત કરે ત્યારે સવાલ થાય કે તેમને પોતે શું કરી રહ્યા છે એની ખરેખર ખબર છે ખરી? પત્રકારના હાથમાંથી ઝૂંટવી લેવાતો દરેક ફોન સરકારનું કામ સરળ કરી આપે છે, એ મંત્રીના મૌનની વાતને ટોળાની ગેરવર્તણૂકની વાતમાં ફેરવી નાખે છે. વધુ સલામત અંતરે બેસીને ઑનલાઇન ટ્રોલ્સ આ કામ પહેલેથી જ કરી રહ્યા હતા. એકતા માટે બનાવાયેલા હૅશટૅગ્સના આશરા હેઠળ અપશબ્દોને આગળ ધપાવી રહ્યા હતા. બુધવાર સાંજ સુધીમાં CJPએ કોટક પરના હુમલાને અસ્વીકાર્ય ગણાવી તેની નિંદા કરી હતી, પરંતુ તેના બીજા દિવસે બે મહિલા પત્રકારો પર થયેલા હુમલા વિશે જાહેરમાં કશું કહ્યું નહોતું. એ જ ટ્રોલિંગ હવે મંત્રીના ઘર સુધી પહોંચી ગયું છે. ધર્મેન્દ્ર પ્રધાનની દીકરી નૈમિષા અમેરિકામાં લૉ ભણી છે, તેનું એટલું ટ્રોલિંગ થયું કે એણે પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંધ કરી દેવું પડ્યું. તેનો ‘ગુનો’ માત્ર એટલો જ હતો કે તેના પિતા ભારતની શિક્ષણ વ્યવસ્થા સંભાળે છે અને પોતે વિદેશમાં ભણી છે. આ એક જ સવાલ છે વિરોધીઓ પૂછી રહ્યા છે પણ જવાબ માગવાને બદલે તેમણે કોઇ યુવતીના અંગત જીવન પર હુમલો કર્યો. આવી ચેષ્ટા આ આંદોલનની નૈતિકતાને નબળી પાડનારી છે. 

ભારતમાં આવું કંઇ પહેલીવાર નથી થયું. 1974માં ગુજરાતના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ મેસના બિલના વિરોધમાં શરૂ કરેલું આંદોલન આગળ જતાં નવનિર્માણ આંદોલન બન્યું અને એક મુખ્ય પ્રધાનને ખુરશી પરથી ઉતરવું પડ્યું; એક વર્ષ પછી ‘સંપૂર્ણ ક્રાંતિ’ના જયપ્રકાશ નારાયણના આહ્વાને એ આક્રોશને રાષ્ટ્રીય ભાષા આપી. બન્ને વખતે સત્તાને બહુ મોડેથી સમજાયું કે કોઈ નાની અને ચોક્કસ ફરિયાદ ખરેખર ક્યારે ય નાની હોતી નથી.

એક રસપ્રદ બાબત એવી  છે જે તેમના મંત્રાલયની બહાર વિરોધ કરી રહેલાઓને કાં તો ખબર નથી અથવા તો બધા જ એ જાણે છે પણ કોઈ તેનો ઉલ્લેખ નથી કરી રહ્યું : ધર્મેન્દ્ર પ્રધાન એક સમયે બરાબર ત્યાં જ ઊભા હતા, જ્યાં આજે આ વિદ્યાર્થીઓ ઊભા છે. 1997માં ABVPના યુવા કાર્યકર તરીકે તેમણે ઓડિશા સરકાર સામે કથિત પરીક્ષાનું પેપર ફૂટવાના મુદ્દે વિરોધ યોજવામાં મદદ કરી હતી. અંદાજે દોઢ હજાર વિદ્યાર્થીઓએ ભુવનેશ્વરમાં સચિવાલય તરફ કૂચ કરી હતી. પોલીસની કાર્યવાહી ત્યારે પણ નરમ નહોતી, એક અહેવાલ અનુસાર તેમની સાથે વિરોધમાં જોડાયેલા એક સાથીના કહેવા પ્રમાણે, પ્રધાનને એટલા ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો કે તેમને અનેક ફ્રૅક્ચર થયાં હતાં. આજે કોકરોચ જનતા પાર્ટીનું નામ પડ્યું છે, પરંતુ એ અર્થમાં પ્રધાન પોતે પણ ક્યારેક ‘કોકરોચ’ હતા. ત્રીસ વર્ષ પછી આજે તેઓ એ ઇમારતની અંદર બેઠા છે, જ્યાં પહોંચવાનો પ્રયાસ કરી રહેલા વિદ્યાર્થીઓ પર અશ્રુવાયુ છોડવામાં આવી રહ્યો છે. તેમની બારીની બહાર થઈ રહેલી માગણી એ જ છે, જે એક સમયે તેઓ પોતે એ જ બૅરિકેડની બીજી તરફ ઊભા રહીને કરતા હતા. એ ફ્રૅક્ચર વખતે કેવું લાગ્યું હતું એ વિશે તેમણે જાહેરમાં કશું કહ્યું નથી. કદાચ એ જ એક જવાબ છે.

1956 એક ટ્રેન પુલ પરથી નીચે ખાબકી ત્યારે તત્કાલીન રેલવે મંત્રી લાલ બહાદુર શાસ્ત્રીએ 1956માં રાજીનામું આપી દીધું હતું. ત્યારથી સાત દાયકાથી ભારત એ ઘટનાને એ વાતના પુરાવા તરીકે આગળ ધરતો આવ્યો છે કે શરમ કે સંકોચ પણ નીતિ ઘડવાનું સાધન બની શકે છે. હકીકતમાં એવું ભાગ્યે જ બને છે. પેપર લીકનું આ સંકટ ખરેખર એ સવાલ નથી કરતું કે ધર્મેન્દ્ર પ્રધાને જવું જોઈએ કે નહીં, ખરો સવાલ એ છે કે વીસ લાખથી વધુ ઉમેદવારોને MBBSની આશરે સવા લાખ જેટલી બેઠકો માટે સ્પર્ધા કરાવતી અને પેપર ફૂટી શકે એટલી છિદ્રાળુ પરીક્ષા વ્યવસ્થા, પ્રધાન રહે કે જાય, એમના પછી પણ બદલાશે એની ખાતરી શું છે?

પ્રધાનનું રાજીનામું જંતરમંતર પર એકઠા થયેલા લોકોને બરાબર એક ન્યૂઝ સાઇકલ પૂરતો સંતોષ આપશે. પરંતુ એનાથી પ્રશ્નપત્રો પ્રિન્ટરથી પરીક્ષાખંડના નિરીક્ષક સુધી કેવી રીતે પહોંચે છે, એ આખી સાંકળનું ઑડિટ કોણ કરે છે કે પછી જુદા-જુદા મંત્રીઓ અને જુદી-જુદી સરકારોના સમયમાં પણ દર થોડાં વર્ષે આ જ ફરિયાદ શા માટે સામે આવે છે, એમાંથી કશું બદલાશે નહીં. પરીક્ષાઓમાં થયેલા ગોટાળાને કારણે ભારતે અગાઉ પણ શિક્ષણ પ્રધાનો બદલ્યા છે. છતાં પેપર ફૂટવાનું બંધ થયું નથી. પ્રધાન જશે તો તેમના પછી આવનારી વ્યક્તિને આ જ તૂટેલી પાઇપલાઇન વારસામાં મળશે. 

બાય ધી વેઃ 

જે સુધારા માટે કોઈ વિરોધ કરી રહ્યું નથી, એ છે એવી પરીક્ષા વ્યવસ્થા, જેનું ઑડિટ બૅન્કોની જેમ થાય; ખરાબ હવામાન માટે માફી માગીએ એવી રીતે આ બાબત માટે માફી માગીને વાત પૂરી ન કરી દેવાય. અને એ સંવાદ વહેલો શરૂ થયો હોત તો કદાચ આટલે સુધી વાત પહોંચી જ ન હોત.  સરકારે શરૂઆતમાં જ સાંભળ્યું હોત તો બૅરિકેડ, લાઠી અને હૉસ્પિટલના બેડ સુધીની આ આખી સફર ટાળી શકાઈ હોત. પણ વિદ્યાર્થી આંદોલનો રાજકારણીઓ માટે વોર્મ-અપનો અખાડો પહેલાં પણ રહ્યા છે અને આજે પણ છે, અને એ અખાડામાં પરિણામ વગરના ઘોંઘાટની કિંમત છેવટે નિર્દોષોના ખભે જ આવે છે, ક્યારેક ફ્રૅક્ચર થયેલા હાડકાના રૂપમાં, ક્યારેક હૉસ્પિટલના બેડ પર, ક્યારેક કોઈ યુવતીના ડિએક્ટિવેટ થયેલા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના રૂપમાં. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર સાચી-ખોટી માહિતીઓનો ઓવરલોડ મગજને જાગતું તો રાખે છે, પણ વિચારવા નથી દેતો . આ લખાઇને પુરું થઈ રહ્યું છે ત્યારે વડા પ્રધાને પોતાના સોશ્યલ મીડિયા પરથી એક વીડિયો પોસ્ટ કરીને સરકાર આગળ પગલાં લેશે તેની ખાતરી આપી છે, જેમાં ગુનેગારોને આકરી સજા ફટકારવાની અને ફાસ્ટ ટ્રેક કોર્ટની વાત છે. દરેક આ મુદ્દાનું ગાંભીર્ય જાણે છે, GenZ વધારે સારી રીતે અને માટે જ એ જળવાય તે જરૂરી છે. મુદ્દાઓ મીમ બનીને ન રહી જાય. જે મંત્રી પાસેથી રાજીનામું માગવામાં આવી રહ્યું છે, તેમણે એક સમયે ઓડિશાના સચિવાલયની બહાર આ જ જવાબદારીની માગણી કરતાં કરતાં લોહી વહેવડાવ્યું હતું. આ આખી વાતમાં કોઈએ બૅરિકેડની બીજી બાજુ ઊભા રહેવાના જાત અનુભવમાંથી બહુ કંઈ શીખ્યું હોય એવું લાગતું નથી. એક વાત એ પણ કે આપણને કોઈ ગમે કે, ન ગમે પણ સત્તા પર બેઠેલાને વખોડવા માટે સાવ નિમ્ન સ્તરની ભાષા કે ગંદી ગાળોનો પ્રયોગ કરીને વાયરલ થવામાં આંદોલનના મિજાજ કે આક્રોશ જસ્ટિફાય નથી થતા, બલકે તેનું ગાંભીર્ય છીનવી લઈ તેને તુચ્છ બનાવે છે. જ્વાળાઓ તપાવે, દઝાડે નવા આકારમાં ઢાળે તે જરૂરી છે પણ, આગ ઓકાય અને આહુતિ માટે પ્રગટે એમાં આસમાન જમીનનો ફેર છે. (આ છપાય ત્યાં સુધીમાં પરિસ્થિતિ બદલાઇ હોય તેવી શક્યતા અને અપેક્ષા બન્ને છે.)

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 જુલાઈ 2026

Loading

ચલ મન મુંબઈ નગરી—351

દીપક મહેતા|Opinion - Opinion|25 July 2026

મુંબઈની ઓટો રિક્ષાના પહેલા પ્રવાસી હતા પંડિત જવાહરલાલ નેહરુ 

વર્ષ ૧૯૪૮. મહિનો એપ્રિલ. તારીખ ૨૪-૨૫-૨૬ના ત્રણ દિવસ. ઓલ ઇન્ડિયા કાઁગ્રેસ કમિટીની બેઠક મળી હતી મુંબઈમાં. ગાંધીજીની વિદાય પછીની આ પહેલી બેઠક. મુખ્ય એજન્ડા હતો દેશમાં ફેલાયેલી કોમી હિંસાની આગને કઈ રીતે કાબૂમાં લેવી, અને પછી ઠારવી. એ મીટિંગના કેન્દ્રસ્થાને હતા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ. તેમનો ઉતારો હતો ગવર્નર્સ હાઉસમાં. એક સવારે પંડિતજી અને બીજા ત્રણ-ચાર જણા ગવર્નર્સ હાઉસના પોર્ચમાં આવીને ઊભા હતા. પોર્ચમાં ઊભું હતું એક વાહન. તેના પર નંબર પ્લેટ હતી : BMN 1008. પંડિતજીની બાજુમાં ઊભા હતા નવલમલ કુંડલમલ ફિરોડિયા. આઝાદી માટેની લડતના એક આગેવાન અને એક અગ્રણી ઉદ્યોગપતિ. તેઓ પેલા વાહન વિષે પંડિતજીને કશુંક સમજાવી રહ્યા હતા. થોડી વાતો પછી પંડિતજી અને ફિરોડિયા એ વાહનમાં બેઠા, અને પહેલેથી હાજર રહેલા ડ્રાઈવરે વાહન ચલાવીને ગવર્નર્સ હાઉસના વિશાળ આંગણામાં ફેરવ્યું. પાંચેક મિનિટની મુસાફરી પછી બંને મુસાફરો એ વાહનમાંથી ઊતર્યા ત્યારે પંડિતજીએ ફિરોડિયાને કહ્યું: ‘મને લાગે છે કે માણસ વડે ખેંચાતી રિક્ષાની જગ્યા તમારી આ ઓટો રિક્ષા લઈ શકાશે. તેનું વ્યાપારી ધોરણે  ઉત્પાદન કરવાની હું મંજૂરી આપું છું.’ 

વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને પહેલવહેલી ઓટો રિક્ષા

પંડિત નેહરુની સામે ઊભેલી ઓટો રિક્ષાને જરા ધ્યાનથી જોઈએ. પહેલું, એનું માથું ઉઘાડું છે. એટલે વરસાદમાં કે ઉનાળાની ગરમીમાં તેનો ઉપયોગ કરવો મુશ્કેલ. એટલે જ પછીથી ‘બંધ’ રિક્ષા આવી. અહીં ફોટામાં જે રિક્ષા દેખાય છે તેની નંબર પ્લેટ નોંધી? નંબર છે: BMN 1008. એ વખતે રાજ્ય અને શહેરનું પણ સત્તાવાર નામ મુંબઈ નહિ, Bombay હતું. એટલે BMN સિરીઝ તો સમજાય. પણ ૧૦૦૮ નંબર? પહેલી રિક્ષાનો નંબર ૧૦૦૮ કઈ રીતે હોઈ શકે? કૈંક ગરબડ લાગે છે. ના, જી. આપણે ત્યાં જૈન સમુદાયમાં (અને બીજા કેટલાક સમુદાયમાં પણ) ૧૦૦૮ના આંકડાને શુભ, શુકનિયાળ માનવામાં આવે છે. આ રિક્ષા બનાવનાર ફિરોડિયા કુટુંબ જૈન હોવાથી તેમણે ખાસ અરજી કરીને આ શુકનિયાળ નંબર મેળવ્યો હોય. આજે પણ વધારાની ફી આપીને ‘સ્પેશિયલ નંબર’ જેમ કે ૯૯૯૯ મેળવી શકાય છે. તેવી જ રીતે આ ૧૦૦૮ નંબર. 

નવલમલ કુંડલમલ ફિરોડિયા

મુંબઈમાં ટેક્સીની શરૂઆત ૧૯૧૧માં થઈ ત્યારે તેને માટે કોઈ એક જ રંગ નક્કી થયો નહોતો. ૧૯૭૦ના દાયકામાં બધી ટેક્સી માટે કાળો અને પીળો રંગ ફરજિયાત બન્યો. ઉપલો ભાગ પીળો એટલા માટે કે દૂરથી પણ ટેકસીને આવતી પારખી શકાય. અને નીચેનો અડધો ભાગ કાળો જેથી તે જલદી ગંદો કે ખરાબ ન થાય. આ કલર સ્કીમ સમાજ સેવક અને રાજકારણી વિઠ્ઠલ બાળકૃષ્ણ ગાંધી (૧૮૯૬-૧૯૬૯) દ્વારા સૂચવાઈ હતી. જ્યારે મોટે પાયે ઓટો રિક્ષા શરૂ થઈ ત્યારે તેને માટે પણ આ જ કલર સ્કીમ ફરજિયાત બનાવાઈ. અલબત્ત, જુદાં જુદાં રાજ્યોમાં જુદા જુદા રંગ નક્કી થયા છે. જેમ કે ગુજરાતની ઓટો રિક્ષા પીળી-લીલી હોય છે. છેલ્લાં થોડાં વરસમાં મુંબઈની રિક્ષામાં એક નવો રંગ ઉમેરાયો છે: પિંક કહેતાં ગુલાબી રંગ. રિક્ષા ચલાવવાનો ઈજારો માત્ર પુરુષોનો જ શા માટે હોય? સ્ત્રીઓ પણ કેમ ન ચલાવી શકે? એટલે સ્ત્રી ચાલકો દ્વારા ચાલતી રિક્ષા માટે પસંદ થયો પિંક કલર. સાથોસાથ રિક્ષા માટેના કુલ પરવાનાના પાંચ ટકા પરવાના પિંક રિક્ષા માટે અનામત રાખવાનું પણ ઠરાવાયું.

શરૂઆતથી જ ઓટો રિક્ષાને પરાંઓ પૂરતી જ મર્યાદિત રખાઈ. વાંદરા અને સાયનની ઉત્તરે જ એ ચલાવી શકાય. જેને ઘણા ‘તળ’ મુંબઈ કહે છે તે દક્ષિણ મુંબઈમાં ખાનગી રિક્ષા પણ ન ચલાવી શકાય. પરાંઓમાં રિક્ષાને સૌથી વધુ લોકપ્રિય બનાવી ‘શેર અ રિક્ષા’ની યોજનાએ. ઘણાંખરાં પરાંઓમાં રેલવે સ્ટેશનોની બહાર આવી રિક્ષાની અલગ લાઈન. તે ક્યાં જશે અને કયે રસ્તે થઈને જશે એ પહેલેથી નક્કી. જેમ કે, વાંદરા પૂર્વ સ્ટેશનથી બીકેસી. ત્રણ છડિંયા બેસે કે તરત રિક્ષા ઊપડે. તેનું ભાડું પણ અગાઉથી નક્કી. દરેક પેસેન્જરે અલગ અલગ એ ચૂકવવાનું, ડ્રાઈવરને. એક જમાનામાં બાળકોને સ્કૂલે લઈ જવા માટે પણ રિક્ષા વપરાતી. ત્યારે તેમાં ઘેટાં-બકરાંની જેમ બાળકોને ઠાંસતા. હવે પોલીસની કડકાઈને કારણે એ ઘણે અંશે બંધ થઈ ગયું છે. જો કે મુંબઈ બહાર, અને બીજાં રાજ્યોમાં, હજી આ ‘સ્કૂલ રિક્ષા’નો ધંધો ચાલે છે.

શરૂઆતમાં બધી રિક્ષા પેટ્રોલથી ચાલતી. પછી આવ્યું ડીઝલ, સી.એન.જી., અને પી.એન.જી. રિક્ષા ભલે ગમે તે ઇંધણથી ચાલતી હોય, પણ ભાડું તો બધી રિક્ષા માટે સરખું જ. અને પેટ્રોલ-ડીઝલ મોંઘાં. એટલે આજે હવે મોટા ભાગની રિક્ષા ગેસથી ચાલતી થઈ. હજી થોડા દિવસ પહેલાં, જુલાઈની ૧૭મી તારીખે, દેશમાં પહેલવહેલી ‘હાઈડ્રોજન ટ્રેન’ શરૂ થઈ. કોને ખબર, કાલ ઊઠીને ‘હાઈડ્રોજન રિક્ષા’ પણ શરૂ થાય!

ઓટો રિક્ષા શરૂ થઈ ત્યારથી તેની ડિઝાઈનમાં બહુ મોટા ફેરફાર થયા નથી. ત્રણ મુસાફરની સંખ્યા પણ પહેલેથી જ નક્કી. હા, પહેલાં એન્જિન આગળના ભાગમાં રહેતું તે પાછળના ભાગમાં ગયું. મુંબઈના ગાંડાતૂર વરસાદમાં મુસાફરોને થોડા ઓછા ભીંજાયાનો સંતોષ થાય એ માટે બંને બાજુ પડદા ઉમેરાયા. છેલ્લા કેટલાક વખતથી ઘણી રિક્ષામાં નાનું બારણું પણ ગોઠવાય છે. મુસાફર જમણી બાજુથી ચડે-ઊતરે નહિ એ માટે એ બાજુથી ચડી-ઊતરી ન શકાય એવી વ્યવસ્થા તો ઘણાં વરસથી થઈ છે. 

રિક્ષાના ડ્રાઈવરોના પણ બે મુખ્ય ભાગ : એક, માલિક પોતે ચાલક પણ હોય. બે, માલિક પાસેથી ભાડે લઈને રિક્ષા ચલાવતો ચાલક. બંનેના યુનિફોર્મ અને બિલ્લા જુદા જુદા પ્રકારના. તેવી જ રીતે દિવસે અને રાતના ચાલતી રિક્ષાઓ પણ અલગ. અને હા, મુંબઈની રિક્ષાની એક ખાસિયત: સામાન્ય સંજોગોમાં એ મીટર પ્રમાણે ભાડું વસૂલે. રેલવે સ્ટેશન, એરપોર્ટ, અસાધારણ વરસાદના દિવસો, લોકલ ટ્રેનો ખોટકાઈ હોય એવા દિવસો, એમાં અપવાદ ખરા.

પહેલી ઓટો રિક્ષા ભલે મુંબઈમાં આવી હોય. તેનો પહેલી વાર મોટા પાયા પર ઉપયોગ થયો તે તો પૂણેમાં. નામદાર આગાખાન પૂણે પધારે ત્યારે સંખ્યાબંધ લોકો તેમના દિદાર માટે પૂણે રેલવે સ્ટેશનથી આગાખાન પેલેસ જાય, બળદ ગાડાં કે ઘોડા ગાડીમાં. ખાસ્સો સમય લાગે, અને ખરચ પણ વધારે થાય. એક વખત ફિરોડિયાએ પૂણે સ્ટેશનની બહાર હારબંધ રિક્ષાઓ ઊભી કરી દીધી. આગાખાન પેલેસ સુધી ૪૦ મિનિટમાં પહોંચાય, અને ભાડું પણ બળદ ગાડાં કરતાં સારું એવું ઓછું. આજે તો માત્ર શહેરોમાં જ નહિ, ગામડાંઓમાં પણ રિક્ષા પહોંચી ગઈ છે.  

પિંક રિક્ષા ‘હમ કિસી સે કમ નહિ’ 

પણ ફિરોડિયાને આવું ત્રણ પૈડાંવાળું વાહન બનાવવાનો વિચાર આવ્યો કઈ રીતે? દેશને આઝાદી મળી તે પહેલાં, ૧૯૪૭ના ફેબ્રુઆરીમાં બોમ્બે સ્ટેટની વિધાન સભામાં એક સભ્યે મુદ્દો ઊઠાવ્યો હતો, ઘણી જગ્યાએ હાથ-રિક્ષા હતી તેના ચાલકોની દયનીય સ્થિતિ વિષે. એ વખતે બોમ્બે સ્ટેટના હોમ મિનિસ્ટર હતા મોરારજી દેસાઈ. તેઓ આવી સ્થિતિ દૂર કરવી જરૂરી છે એ વાત સાથે સહમત થયા. પણ તરત સવાલ આવીને ઊભો રહ્યો : હાથ-રિક્ષા પર પ્રતિબંધ મૂકીએ તો એને બદલે બીજું કયું વાહન લોકો વાપરી શકે? આ સવાલનો જવાબ એ વખતે કોઈ પાસે હતો નહિ. એટલે એ વખતે તો કોઈ ઠરાવ થયો નહિ.

પણ આ સમાચાર જાણીને એ જમાનાના જાણીતા ઉદ્યોગપતિ શ્રી ફિરોડિયા વિચારતા થયા : આ હાથ રિક્ષાની જગ્યાએ વાપરી શકાય એવું કોઈક વાહન બનાવવું જોઈએ. અને તેમણે બનાવ્યું એવું વાહન. આગલો ભાગ એ વખતે, મોટર સાઈકલ જેવો. પણ પાછળ એક નહિ, બે પૈડાં. ડ્રાઈવરની પાછળ બે, કે બહુ બહુ તો ત્રણ જણ બેસી શકે એવી સીટ. માથે છાપરું નહિ. અને એમ જન્મ થયો આપણા દેશની પહેલવહેલી ઓટો રિક્ષાનો. 

પછી ફિરોડિયાએ બીજા દેશો તરફ નજર દોડાવી. જાણવા મળ્યું કે ઇટલી અને યરપના બીજા કેટલાક દેશોમાં ત્રણ પૈડાંવાળું એક વાહન વપરાય છે, બ્રેડ, ફૂલો, કેક જેવી વસ્તુઓ દુકાનો સુધી પહોંચાડવા માટે. અલબત્ત, એ બધી બાજુથી બંધ, ફક્ત એક બાજુ નાનો દરવાજો. એના ફોટા અને બીજી માહિતી મેળવી. માલ-સામાન માટે નહિ, પણ માણસોની હેરફેર માટે પેલી પહેલી ઓટો રિક્ષામાં થોડા ફેરફાર કર્યા. માથે છાપરું. બેસવાની સીટ પાસે બંને બાજુ ચડવા ઊતરવાની સગવડ. આવી ઓટો રિક્ષાનું વ્યાપારી ધોરણે ઉત્પાદન શરૂ થયા પછી મુંબઈ સરકારે આખા રાજ્યમાં હાથ-રિક્ષા પર પ્રતિબંધ મૂકી દીધો. હા, તેમાં એક અપવાદ રાખ્યો, માથેરાન. 

ફિલ્મ ‘દો બીઘા જમીન’માં હાથ રિક્ષા ખેંચતા બલરાજ સાહની 

આ લખનાર જેવા આજન્મ મુંબઈકરના મનમાં એક સવાલ ઊઠ્યા વગર રહે નહિ : શું ખરેખર મુંબઈ શહેરમાં હાથ-રિક્ષાનો ઉપયોગ ક્યારે ય વ્યાપકપણે થતો હતો ખરો? પાલખી, બળદ ગાડી, રેંકડો, વિક્ટોરિયા, ઘોડાથી ખેંચાતી અને પછી વીજળીથી ચાલતી ટ્રામ, બસ, ટેક્સી, લોકલ ટ્રેન, આ બધું જ હતું. પણ હાથ રિક્ષાનો વ્યાપકપણે ઉપયોગ થતો ખરો? એકમાત્ર અધિકૃત ગણાતો ફોટો ૧૯૧૪નો મળે છે. તેમાં બે હાથ-રિક્ષામાં એક-એક અંગ્રેજ બેઠા છે. ફોટામાં નીચે કોઈએ ભૂરી શાહીથી લખ્યું છે : Bombay 1914. પણ ફોટામાં મુંબઈની ઓળખ આપતી નથી દેખાતી કોઈ ઇમારત, કે નથી દેખાતો ઓળખી શકાય એવો કોઈ વિસ્તાર. ફોટાનો આગલો ભાગ જોતાં લાગે કે જ્યાં બાંધકામ ચાલી રહ્યું હોય તેવો આ કોઈ વિસ્તાર હોઈ શકે. બંને રિક્ષા-ચાલકે અને પાછળ ઊભેલા ચોપદારોએ લગભગ યુનિફોર્મ કહી શકાય તેવાં એક સરખાં કપડાં પહેર્યાં છે. એ જોઈ વિચાર આવે કે કોઈ સરકારી ખાતાની તો આ હાથ-રિક્ષા નહિ હોય ને? હા, માલ-સામાનની હેરાફેરી માટે દાયકાઓ સુધી ‘હાથ-લારી’ વપરાતી, ખાસ કરીને બજારોના વિસ્તારોમાં. ઘરે ઘરે પાણી પહોંચાડવા માટે, કેરોસીન વેચવા માટે, બળદ ગાડાંનો ઉપયોગ તો હજી હમણાં સુધી થતો જોયો છે. કોઈક વિસ્તારોમાં આજે ય થતો હોય તો નવાઈ નહિ. પણ મારા જેવા આજન્મ મુંબઈકરે હાથ-રિક્ષા માત્ર ‘દો બીઘા જમીન’ જેવી ફિલ્મોમાં જ જોઈ છે. સગી આંખે મુંબઈમાં ક્યારે ય નહિ. અને છતાં હાથ રિક્ષા ખેંચતા બલરાજ સાહનીની છબી કાયમ માટે મનમાં કોતરાઈ ગઈ છે. અને કાનમાં ગુંજ્યા કરે છે પેલું ગીત:

अजब तोरी दुनिया हो मोरे रामा

पर्वत काटे सागर पाटे, महल बनाए हमने

पत्थर पे बगिया लहराई फूल खिलाए हमने

हो के हमारी हुई न हमारी

अलग तोरी दुनिया हो मोरे रामा 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX 

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 25 જુલાઈ 2026

Loading

...10...12131415...203040...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved