Opinion Magazine
Number of visits: 9522179
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

સોનલ પરીખ|Gandhiana|7 November 2025

11 સપ્ટેમ્બરે આચાર્ય વિનોબા ભાવેનો જન્મદિન આવશે. 5 સપ્ટેમ્બરે મધર ટેરેસાની પુણ્યતિથિ હતી. વિનોબાજીએ ઋષિપરંપરાને તાજી કરી. મધર ટેરેસાને લગભગ એક દાયકા પહેલા ‘સંત’ ઘોષિત કરાયાં એટલે કે સેન્ટહૂડ મળ્યું. આ બે મેગ્સેસે વિજેતા, ભારતરત્ન વિભૂષિત આધુનિકકાળના ભારતીય સંતોને આપણે ઓળખીએ છીએ? સમજીએ છીએ?  

આચાર્ય વિનોબાજી

‘પથ્થર ભલે એક પ્રહારથી તૂટ્યો હોય, પણ તેને તોડવામાં અંતિમ પ્રહાર પહેલાના તમામ પ્રહારોનો એટલો જ ફાળો હોય છે.’ વિનોબાજીના આ સાદા લાગતાં વિધાનમાં અર્થોની અનેક શક્યતાઓ ભરેલી છે. મધર ટેરેસા કહેતાં, ‘ભગવાન એ અપેક્ષા રાખતા નથી કે આપણે સફળ થઈએ, પણ ભગવાન એ અપેક્ષા જરૂર રાખે છે કે આપણે પ્રયાસ કરીએ.’ આ વિધાન પણ સાદું, સુંદર અને અર્થગર્ભ છે.  

મધર ટેરેસા અને આચાર્ય વિનોબા ભાવે આ બંનેનાં વ્યક્તિત્વ, ધર્મ અને કાર્યપદ્ધતિમાં બહુ ઓછી સમાનતા છે, છતાં બંનેની માટી જાણે એક છે. બંને આજીવન બ્રહ્મચારી, સ્વેચ્છાએ ગરીબ રહેનાર, માનવીય કરુણાથી પ્રેરિત અને દીનદુખિયાનાં સતત સક્રિય સેવકો. 11 સપ્ટેમ્બરે વિનોબાજીનો જન્મદિન છે. પ સપ્ટેમ્બરે મધર ટેરેસાની પુણ્યતિથિ હતી. વિનોબાજી ઋષિ ગણાતા હતા, મધર ટેરેસાને સેન્ટહૂડ એટલે કે સંતપદ આજથી એકાદ દાયકા પહેલા 4 સપ્ટેમ્બરે મળ્યું હતું. બંને મેગ્સેસે ઍવોર્ડ વિજેતા અને ભારતરત્ન. આધુનિક કાળના આ સંતોની સરખામણી કરવાની ધૃષ્ટતા કરવાનો બિલકુલ ઇરાદો નથી. તારીખોના જરા તાલમેલને લીધે બંને વિષે એકસાથે થોડા વિચાર આવ્યા, એ જ વ્યક્ત કરી રહી છું. 

ગાંધીમાર્ગી સેવક, ચિંતક અને સંત વિનોબાજીનો જન્મ મહારાષ્ટ્રના ગાગોદે ગામના ચિત્તપાવન બ્રાહ્મણ કુટુંબમાં. મૂળ નામ વિનાયક નરહરિ ભાવે. પિતા સ્વમાની, વ્યવસ્થાપ્રિય, વૈજ્ઞાનિક અને બુદ્ધિનિષ્ઠ. માતા રુક્મિણીબાઈ ભક્ત અને ભોળાં. એમના મુખેથી સંતોનાં ભજનો અને દાદા, દાદી, મા પાસેથી સાંભળેલી રામાયણ-મહાભારતની વાતોએ  વિનાયકમાં બાળપણમાં બ્રહ્મજિજ્ઞાસા પેદા કરી. આઠમે વર્ષે એમણે ‘જ્ઞાનેશ્વરી’ વાંચી. સંત તુકારામ અને મોરોપંત પંડિતનું સાહિત્ય વાંચ્યું. રામદાસના અભંગો અને ‘દાસબોધ’ની ઊંડી અસર પડી. 

21મા વર્ષે એમણે ઘર છોડ્યું. અધ્યાત્મ અને વિપ્લવનું આકર્ષણ તેમને હિમાલય લઇ ગયું. 1916ની સાલ હતી. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી તાજા જ ભારત આવ્યા હતા. બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપન પ્રસંગે આપેલ ભાષણમાં ગાંધીજીએ જે નિર્ભીક સ્પષ્ટતાથી બ્રિટિશ અધિકારીઓ, રાજામહારાજાઓ અને ક્રાંતિકારીઓને ખંખેર્યા તે સાંભળી વિનોબાને થયું કે આ માણસમાં હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિનો સંગમ છે, પણ ઉતાવળ કર્યા વિના એમણે ગાંધીજી પાસે પોતાને બરાબર વ્યક્ત કર્યા, વિચારપૂર્વક એમના સાથી બન્યા અને પછી ગાંધીજીએ શરૂ કરેલ સેવાગ્રામ આશ્રમમાં રહ્યા. તે પછી વર્ધામાં પાવનાર અને આસામમાં મૈત્રી આશ્રમ સહિત દેશભરમાં આશ્રમો સ્થાપ્યા. 

ગાંધીજીનાં બધાં રચનાત્મક કામો તેમણે હાથ ધર્યા. તપોમય જીવન જીવ્યા. ‘ઉપનિષદોનો અભ્યાસ’, ‘ગીતાપ્રવચનો’, ‘ગીતા-પદાર્થ-કોશ’, ‘સ્થિતપ્રજ્ઞદર્શન’, ‘સ્વરાજ્ય-શાસ્ત્ર’ જેવાં પુસ્તકો લખ્યાં. કર્મયોગ પણ સાથે સાથે ચાલ્યો. ‘ગીતાઈ’ અને ‘ગીતાપ્રવચનો’ વિનોબાની અત્યંત લોકપ્રિય કૃતિઓ છે. ‘ગીતાઈ’નો શબ્દશ: અર્થ સમજવા માટે એમણે ‘ગીતાઈ શબ્દકોશ’ તૈયાર કર્યો અને ગીતાના શ્લોકોના ગહન અર્થ સમજવા માટે એમણે ‘ગીતાઈ-ચિંતનિકા’ તૈયાર કરી. વિશિષ્ટ જનો માટે વિનોબાએ ‘ગીતાધ્યાયસંગતિ’, ‘સ્થિતપ્રજ્ઞદર્શન’ અને ‘સામ્યસૂત્ર’ની રચના કરી. આ રીતે વિનોબા ગીતાના સૂત્રકાર, ભાષ્યકાર, કોશકાર અને સમાલોચનાકાર બન્યા. 

બીજા મહાયુદ્ધ (1939–45) વખતે બ્રિટિશ સરકારે હિંદને વગર પૂછ્યે યુદ્ધમાં સંડોવ્યું એટલે યુદ્ધવિરોધી વ્યક્તિગત સત્યાગ્રહની યોજના ગાંધીજીએ વિચારી. એના પહેલા સત્યાગ્રહી તરીકે વિનોબાને જાહેર કર્યા. વિનોબાએ સત્યાગ્રહ કરી ત્રણ વાર જેલ ભોગવી. 1942માં ‘ભારત છોડો’ આંદોલન વખતે પણ વિનોબાની ધરપકડ થઈ. એમને તમિલનાડુની વેલોર જેલમાં રાખ્યા. ત્યાં એમણે તમિળ, તેલુગુ, કન્નડ અને મલયાળમ એ દક્ષિણની ચાર ભાષાઓ શીખવાનું શરૂ કર્યું. લાંબા જેલવાસ પછી 1945માં તેમને મુક્તિ મળી અને તેઓ પવનાર પાછા આવ્યા.

ગાંધીજીની હત્યા પછી વિનોબાએ સર્વોદય સમાજ રચવાનો વિચાર રજૂ કર્યો. કાંચનમુક્તિ અને ઋષિખેતીના પ્રયોગો કર્યા. વિનોબાનું સૌથી મહત્ત્વનું કાર્ય 1951માં એમણે શરૂ કરેલું ભૂદાનયજ્ઞ આંદોલન હતું. જમીનદારો અને ભૂમિહીનો વચ્ચેની ખાઈ પૂરવાનો આ પ્રયત્ન હતો. વિચાર એટલો મૌલિક હતો કે આજે તો તેની કલ્પના પણ ન આવે. તેઓ ગામલોકોને કહેતા, ‘તમારે પાંચ દીકરા હોય તો મને છઠ્ઠો દીકરો ગણો ને મારા ભાગે આવતી જમીન મને આપો.’ મળેલી જમીન ત્યાં ને ત્યાં કોઈ ભૂમિહીનને અપાઈ જતી. સતત 14 વર્ષ ચાલેલી પદયાત્રા દરમ્યાન 50 લાખ એકર જમીન ભૂદાનમાં મળી. તેમાંથી 32 લાખ એકર જમીનનું વિતરણ થઈ ચૂક્યું છે. ભૂદાનમાંથી ગ્રામદાન, જીવનદાન, સંપત્તિદાન, સર્વોદય-પાત્ર, શાંતિસેના, ડાકુઓનું હૃદયપરિવર્તન, કાંચનમુક્તિ, ઋષિખેતી વગેરે કાર્યક્રમો અસ્તિત્વમાં આવ્યા. 

વિનોબાજી 11 ભાષાઓ જાણતા. મહાત્મા ગાંધીના આધ્યાત્મિક વારસ ગણાતા. તેમનું અધ્યાત્મ બુદ્ધિનિષ્ઠ હતું અને સમર્પણ પ્રજ્ઞાવાન. નવેમ્બર 1982માં તેમણે દવા, પાણી, આહાર છોડી સહજ પ્રાણત્યાગ કર્યો. પવનારની બહેનોએ તેમણે મુખાગ્નિ આપ્યો. 

મધર ટેરેસા વિનોબાજી કરતાં 15 વર્ષ નાનાં. અત્યારના મેસિડોનિયાના સ્કોપ્જેમાં જન્મેલાં આલ્બેનિયન સાધ્વી. ભારત તેમની કર્મભૂમિ. 1928માં તેઓ કૉલકાતા આવ્યાં અને થોડાં વર્ષમાં પોતાના ધર્મસંઘની ભારત શાખાનાં વડા બન્યાં. 1948માં કૉલકાતામાં મરણપથારી પર પડેલા નિરાશ્રિતો માટે આશ્રયસ્થાન શરૂ કર્યું. બીમારોને સારી સારવાર મળે તે માટે તાલીમ લીધી. 1950માં તેમણે ભારતનું નાગરિકત્વ લીધું. એ જ વર્ષે ‘મિશનરીઝ ઑફ ચેરિટી’ની સ્થાપના કરી. તેની શાખાઓ અત્યારે 133 દેશોમાં છે. ભારતમાં જ 30 જેટલી શાખાઓ છે. બ્રહ્મચર્ય, ગરીબી, આજ્ઞાંકિતતા અને આજીવન સેવાવ્રત ધારણ કરનારી 4,500 સાધ્વીઓ અનાથાલય, સૂપ કિચન્સ, શાળાઓ, હોસ્પિટલો ચલાવે છે અને ટી.બી.-એઈડઝ-રક્તપિત્તના રોગીઓની સારવાર કરે છે. 

મધર ટેરેસા

1862માં મધર ટેરેસાને મેગ્સેસે પુરસ્કાર મળ્યો, 1979માં નોબેલ શાંતિ ઈનામ અને 1980માં ભારતરત્ન. ભારતરત્ન મેળવનાર તેઓ પહેલા ભારતીય-વિદેશી નાગરિક છે. તેમના પછી 1987માં ખાન અબ્દુલ ગફારખાનને અને 1990માં નેલ્સન મંડેલાને આ માન મળ્યું.  

ખ્રિસ્તી ધર્મપરંપરામાં સંતત્વ એટલે કે સેન્ટહૂડ મેળવવાની પ્રક્રિયા ખૂબ અટપટી અને લાંબી હોય છે. 2016માં તેના દરેક તબક્કા પસાર કરી મધર ટેરેસા ‘સંત’ ઘોષિત થયાં. ‘સિસ્ટર’ અને ‘મધર’થી ‘સેન્ટ’ સુધીની આ પ્રક્રિયા ઘણી પ્રેરક અને રસપ્રદ છે, પણ આપણને પૂછવાનું મન થાય કે સેન્ટહૂડ વધારે મહત્ત્વનું કે મધરહૂડ? સંતત્વ મોટું કે માતૃત્વ? પણ એમાં ન પડીએ તે જ સારું, આપણને બાંધ્યા વિના ચાલતું હોતું નથી અને મહાન આત્માઓ કદી બંધાતા હોતા નથી.

વિનોબાજી કટોકટી અંગેના તેમનાં વિધાનોને કારણે અને મધર ટેરેસા ગર્ભપાત અંગેના વિચારોને કારણે વિવાદોમાં ઘેરાયાં હતાં, પણ તેમની મહાનતા તેનાથી ખરડાતી નથી. અનુશાસિત જીવન અને મુક્ત આત્મા આ બંનેનો આદર્શ હતો. સેવાના ભેખધારીઓ આ જ રીતે વિચારે અને જીવે. 

વિનોબાજીએ કહ્યું હતું કે ‘વિશ્વમાં આજે જેટલી સમસ્યાઓ છે તેની પાછળ ઓછી મહેનતે વધારે લાભ ઉઠાવવાની સ્વાર્થી લાલસા છે. આ ચોરી છે.’ મધર કહેતાં, ‘કેટલું આપ્યું તે કરતાં કેટલા પ્રેમથી આપ્યું તે વધારે મહત્ત્વનું છે. સંખ્યા પાછળ ન પાડો. એક સમયે એક વ્યક્તિને મદદ કરો અને જે તમારી આસપાસ જ છે તેમનાથી શરૂઆત કરો.’ આ બંને વિચારનો અમલ અઘરો નથી, આપણે જ્યાં હોઈએ ત્યાંથી એક નાની શરૂઆત કરી શકાય તેમ છે. 

હૃદયના ગહન મૌનમાં આ વિચારોનો પ્રકાશ ફેલાવા દઈએ.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 07 સપ્ટેમ્બર  2025

Loading

મહિલા વિશ્વ કપ અને ભારતીય સંવેદનો …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|7 November 2025

રવીન્દ્ર પારેખ

મહિલા વન ડે વર્લ્ડ કપની ફાઈનલ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે હતી. હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ, સાઉથ આફ્રિકાની ટીમ સાથે ટકરાઈ અને દક્ષિણ આફ્રિકાને 52 રને હરાવીને 52 વર્ષે વિશ્વકપ કબજે કર્યો. દક્ષિણ આફ્રિકાની ટીમે મુંબઈના ડી.વાય. પાટિલ સ્ટેડિયમમાં ટોસ જીતીને ભારતીય ટીમને બેટિંગમાં ઉતારી, તો ભારતીય મહિલા ટીમે 7 વિકેટ ગુમાવીને 298 રન કરીને 299 રનનો ટાર્ગેટ દક્ષિણ આફ્રિકા સામે મૂક્યો. ભારત માટે શેફાલી વર્માએ 87, દીપ્તિ શર્માએ 58, સ્મૃતિ મંધાનાએ 45 અને રિચા ઘોષે 34 રન નોંધાવ્યા. (રિચાના નામે સૌથી વધુ 12 સિક્સર વર્લ્ડ કપમાં બોલે છે) દીપ્તિ શર્માએ સૌથી વધુ 5 વિકેટ લીધી, તો દક્ષિણ આફ્રિકા તરફથી આઇબોન્ગા ખાકાએ ૩ વિકેટ લીધી, પણ સાઉથ આફ્રિકા 246 રનમાં ઓલ આઉટ થઈ જતાં વિશ્વકપ ભારતને ભાગે આવ્યો.

ભારતની કોઈ પણ ફોર્મેટમાં આ પહેલી આઈ.સી.સી. ટ્રોફી છે.

ઓસ્ટ્રેલિયા આ ક્પ સાત વાર જીતી ચૂક્યું હતું અને તે ભારત સામે સેમી ફાઈનલમાં આવ્યું હતું. ખરેખર તો એ મેચ વધારે કટોકટી ભરી હતી, કારણ સેમી ફાઈનલમાં ભારત, ઓસ્ટ્રેલિયા સામે એકથી વધુ વખત હારી ચૂક્યું હતું. એ જ સ્થિતિ ફરી એક વાર 2025માં ભારત સામે આવી હતી, પણ જેમિમાહ રોડ્રિગ્સે સેમી ફાઈનલમાં 127 રન ખડકીને ફાઈનલ પ્રવેશની, ભારતની સ્થિતિ મજબૂત કરી દીધી હતી. જેમિમાહે જ સેમી ફાઈનલની જીત પછી કહેલું, આટલે સુધી આવ્યાં, હવે એક જ મેચ બાકી છે. આ વાતથી આખી ભારતીય ટીમમાં નવી ઊર્જાનો સંચાર થયો. વધારામાં શેફાલી વર્માએ ફાઈનલમાં 87 રન કર્યા ને બે મહત્ત્વની વિકેટ લઈને ભારતની જીત પાકી કરી, એટલું જ નહીં, પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મેળવ્યો.

ભારતીય ટીમને વડા પ્રધાને શુભેચ્છાઓ પાઠવી. X પર તેમણે લખ્યું પણ ખરું કે આ ઐતિહાસિક જીત ભવિષ્યની ખેલાડીઓને રમતમાં ભાગ લેવા પ્રેરિત કરશે. પી.એમ. ભારતીય ટીમને મળ્યા પણ ખરા ને ટીમની વાતો પણ સાંભળી. તેમણે બહુ મહત્ત્વની વાત એ કરી કે તમામ ખેલાડીઓ એક દિવસ તેમની સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે વીતાવે. આટલું થશે તો ઘણાં વિદ્યાર્થીઓને પ્રેરણા મળશે. તમામ ખેલાડીઓએ એ વાત માની પણ ખરી. વિશ્વકપની જીત પર સચિન તેંડુલકરે પણ X પર લખ્યું કે મહિલા ક્રિકેટ ટીમે ખરેખર કંઇ ખાસ કર્યું છે. ટીમે દેશભરની અગણિત યુવા મહિલાઓને બેટ અને બોલ ઉપાડીને મેદાનમાં ઉતરવા અને એ વિશ્વાસ કરવા પ્રેરિત કરી છે કે તે પણ એક દિવસ ટ્રોફી ઉપાડી શકે છે.

આ જીત રેડીમેઈડ નથી. વિશ્વ કપ જીત માટે સંજોગોએ પણ ઘણો ભાગ ભજવ્યો છે. દક્ષિણ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ટે તો કહ્યું પણ ખરું કે દક્ષિણ આફ્રિકા 21 વર્ષની શેફાલી વર્માને કારણે હાર્યું. શેફાલીએ મિડલ ઓવર્સમાં જે રીતે 2 વિકેટ લીધી, તેથી દક્ષિણ આફ્રિકા પાછળ પડ્યું ને ગમ્મત જુઓ કે શેફાલી વર્મા વર્લ્ડ કપ માટેની ટીમમાં જ ન હતી. તેને તો ખરાબ ફોર્મને કારણે વન ડે ટીમમાંથી વર્ષ પહેલાં જ ઘર ભેગી કરી દેવાયેલી, પણ બાંગ્લાદેશ સામેની મેચમાં પ્રતિકા રાવલ ઇન્જર્ડ થતાં ફાઈનલમાં તેની જગ્યાએ ઓપનર તરીકે રમવાનું તેડું આવ્યું. આ અણધારી તક મળતાં તે બોલી હતી કે ભગવાને મને કંઇ સારું કરવા મોકલી છે ને એ દર્શકોને જોવા મળ્યું પણ ખરું.

ક્રિકેટમાં જીત એક વ્યક્તિના પ્રયત્નથી મળતી નથી. વ્યક્તિ મહેનત કરે, પણ બાકી ખેલાડીઓનો સાથ ન હોય તો એકલ વ્યક્તિનો પ્રયત્ન જીતમાં ફેરવાતો નથી. સેમી ફાઈનલમાં જેમિમાહે 127 રન કર્યા એ ખરું, પણ તે રન કરવામાં તેને કેપ્ટન સહિત અન્ય ખેલાડીઓનો સાથ મળ્યો ને ભારતનો ફાઈનલમાં પ્રવેશ શક્ય બન્યો, જયારે ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાની કેપ્ટન વોલ્વાર્ટે 101 રન ફટકારીને જેમિમાહ જેવો જ શાનદાર દેખાવ કર્યો, પણ તેને અન્ય ખેલાડીઓનો સાથ ન મળ્યો ને દક્ષિણ આફ્રિકાએ ફાઈનલમાં હારનો સામનો કરવાનો આવ્યો. એવી જ સ્થિતિ જેમિમાહની પણ હતી. 2025 વર્લ્ડ કપમાં બે વાર ઝીરોમાં આઉટ થતાં ઇંગ્લેન્ડ સામેની મેચમાં જેમિમાહને પડતી મૂકવામાં આવી હતી, પણ વાપસી થઈ, તો બંને મસ્ટ વિન મેચમાં ન્યુઝીલેન્ડ સામે 76 રન અને ઓસ્ટ્રેલિયા સામે અણનમ સદી ફટકારી પોતાનું અને ભારતનું જીત માટેનું સ્થાન પાકું કરી દીધું.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની મહિલાઓમાંની ઘણી, સામાન્ય કુટુંબોમાંથી આવે છે. ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 36 વર્ષની છે ને પંજાબના મોગાની છે. તેણે 9 મેચમાં 260 રન બનાવ્યા છે. માતા સતવિંદર કૌર ગૃહિણી છે ને પિતા હરમિંદર સિંહ ભુલ્લર બાસ્કેટ બોલ ખેલાડી છે. 29 વર્ષની સ્મૃતિ મંધાના મુંબઈની બેટર છે ને તેણે 9 મેચમાં 434 રન કર્યા છે. માતા સ્મિતા ગૃહિણી છે, જ્યારે પિતા શ્રીનિવાસ ઉદ્યોગપતિ છે. 25 વર્ષની પ્રતિકા રાવલ દિલ્હીની બેટર છે. તેણે સાત મેચમાં એક ફિફ્ટી અને એક સદી સાથે 308 રન કર્યા છે. તેની માતા રજની ગૃહિણી છે ને પિતા પ્રદીપ રાવલ એમ્પાયર છે. રોહતક, હરિયાણાની શેફાલી વર્માના પિતા સંજીવ વર્મા ઘરેણાંની દુકાન ચલાવે છે અને માતા પરવીન ગૃહિણી છે. 8 મેચમાં 292 રન બનાવનાર જેમિમાહ રોડ્રિગ્સ મુંબઈની છે. માતા લવિતા એક સ્કૂલમાં શિક્ષિકા છે ને પિતા ઇવાન કોચ છે. ઉમા છેત્રીના માતા પિતા ગ્રામીણ મજૂર છે. 27 વર્ષની હરલીન દેઓલ ચંદીગઢની છે. તેણે 7 મેચમાં 169 રન કર્યા છે. તેની માતા ચરણજીત કૌર સરકારી કર્મચારી છે ને પિતા બી.એસ. દેઓલ બિઝનેસમેન છે. સિલિગુડી, પશ્ચિમ બંગાળની રિચા ઘોષે એક ફિફ્ટી સાથે 8 મેચમાં 235 રન કર્યા છે ને તેની માતા સ્વપ્ના એક ગૃહિણી છે, તો પિતા માનવેન્દ્ર પૂર્વ ક્રિકેટર અને એમ્પાયર છે. કોરોના કાળમાં બધું ઠરી ગયું હતું ત્યારે રિચાએ છત પર નેટ લગાવી પ્રેક્ટીસ શરૂ કરી હતી. તેણે મહિલા વન ડેમાં સૌથી ઝડપી 1,000 રન કરવાનો રેકોર્ડ પણ કર્યો. આગ્રાની ઓલ રાઉન્ડર દીપ્તિ શર્મા(28)એ 9 મેચમાં 215 રન કર્યા અને 22 વિકેટ લીધી. એ સાથે તે સૌથી વધુ વિકેટ લેનાર ટોપ ત્રણ બોલરોમાં સ્થાન પામી છે. તેની માતા સુશીલા પૂર્વ પ્રિન્સિપાલ, હાલ ગૃહિણી છે ને પિતા ભગવાને રેલવેમાં કામ કર્યું છે. 25 વર્ષની ઓલ રાઉન્ડર અમનજોત કૌરે 7 મેચમાં 146 રન કર્યા અને 5 વિકેટ લીધી. તેની માતા રણજિત ગૃહિણી છે અને પિતા ભૂપિન્દર સિંહ લાકડાના ઠેકેદાર છે. ઉત્તરાખંડની સ્નેહ રાણાએ 6 મેચમાં 99 રન કર્યા અને 7 વિકેટ લીધી. તેની માતા વિમલા ગૃહિણી છે ને પિતા નટવર સિંહનું અવસાન થયું છે. ધુવારા, છતરપુર(મધ્ય પ્રદેશ)ની કાંતિ ગૌર (22) બોલર છે. તેણે 6 મેચમાં 9 વિકેટ લીધી છે ને તેની માતા નીલમ ગૃહિણી છે, તો પિતા મુન્ના ગૌર પોલીસ કોન્સ્ટેબલ છે. સીમલાની બોલર રેણુકા સિંહે (29) 6 મેચમાં 3 વિકેટ લીધી. તેની માતા સુનિતા ઠાકુર વર્ગ-4ની કર્મચારી છે અને પિતા કેહર સિંહનું મૃત્યુ થયું છે. 25 વર્ષની રાધા યાદવ મુંબઈની છે. તેણે 3 મેચમાં 4 વિકેટ લીધી. તેની માતા ગૃહિણી છે ને પિતા ઓમપ્રકાશ શાકભાજી વેચે છે. 21 વર્ષની શ્રી ચરણી એરામાલે, આંધ્રની છે. તેણે 9 મેચમાં 14 વિકેટ લીધી. પિતા ચન્દ્રશેખર થર્મલ પાવર પ્રોજેક્ટમાં કર્મચારી છે. જોઈ શકાશે કે મોટે ભાગની ખેલાડીઓની માતા ગૃહિણી છે ને પિતા કોચ, એમ્પાયર કે સાધારણ કામગીરી કરે છે.

ટૂંકમાં, સ્ટ્રગલ ઘરમાં છે ને મેદાનમાં તો છે જ !

જીતનું મહત્ત્વ તો છે જ, પણ એને નિમિત્તે ખેલાડીઓનાં અને ભારતીય જનતાનાં સંવેદનો આકાર લે છે એ પણ એટલાં જ મહત્ત્વનાં છે, કારણ મેદાન પર આવતાં પરિણામો એનો જ પડઘો હોય છે. અમનજોત કૌરની વાત કરીએ તો ફાઈનલ મેચમાં તેની દાદીને હાર્ટએટેક આવ્યો હતો, પણ અમનજોતનું ધ્યાન ન ભટકે એટલે પરિવારે તેનાથી વાત છુપાવી. જીત પછી તેના પિતાએ કહ્યું કે આ જીત ટેન્શનમાં અમારે માટે મલમ જેવી છે. રાધા યાદવ કોલિવરી ઝૂપડપટ્ટીમાં ઊછરી છે. શાકભાજી વેચતા તેના પિતા ઓમપ્રકાશ પાસે ક્રિકેટ અકાદમીની ફી ભરવાના પૈસા પણ ન હતા, પણ કોચ પ્રફુલ્લ નાઈકના માર્ગદર્શન અને પોતાની મહેનતથી રાધાએ ટીમ ઇન્ડિયામાં એવું સ્થાન બનાવ્યું કે વિપક્ષી ટીમને માટે એ પડકાર બની ગઈ છે.

મહિલા વિશ્વ કપ ભારત જીતે ને આખો દેશ ઊજવે તે તો સમજાય, પણ એક વીડિયો એવો વાઈરલ થયો છે, જેમાં એક બાળકી સહિત 3 પાકિસ્તાનીઓ ભારતને વિશ્વ કપ મેળવવા બદલ અભિનંદનો આપે છે, એટલું જ નહીં, ટી.વી. પર ગવાઈ રહેલું ‘જન ગણ મન’ દોહરાવે પણ છે. બીજું સંવેદનસભર દૃશ્ય હતું, ખેલાડીઓની ખેલદિલીનું. ફાઈનલ જીત્યા પછી સ્મૃતિ મંધાના, રાધા યાદવ, જેમિમા રોડ્રિગ્સ સહિત ઘણી ભારતીય ખેલાડીઓ દક્ષિણ આફ્રિકી ખેલાડીઓને આશ્વસ્ત કરતી દેખાઈ. એ જોઇને આઈ.સી.સી.એ લખ્યું પણ ખરું કે આ એક બીજા માટેનું માન-સન્માન દર્શાવે છે.

અંતે, ભારતીય વિશ્વ કપ વિજેતા મહિલા ટીમને હૃદયપૂર્વકનાં અભિનંદનો અને શુભેચ્છાઓ પાઠવીએ અને પ્રાર્થના કરીએ કે તેમને હાથે આ દેશની સર્વોત્કૃષ્ટ સેવા થતી રહે … 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 નવેમ્બર 2025

Loading

વિશ્વવિજયી મહિલા ક્રિકેટર ખેલાડીઓ : સિદ્ધિ પહેલાંના સંઘર્ષો 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|6 November 2025

સંજય ભાવે

ક્રિકેટમાં વિશ્વવિજેત્રી બનેલી ભારતીય ટીમની મોટે ભાગે બધી ખેલાડીઓ નીચલા મધ્યમ કે ગરીબ ઘરની છે. પાંચ જ ખેલાડીઓ ખૂબ મોટાં શહેરો, મેટ્રો સિટીઝમાંથી આવી છે. બાકીની અગિયાર ખેલાડીઓ કસબા કે સાવ નાનાં ગામોની છે.

બધી ખેલાડીઓએ તેમ જ તેમના પરિવારોએ આર્થિક, સામાજિક, શારિરીક અને માનસિક સંઘર્ષ વેઠેલો છે (જો કે મહિલા કુસ્તીબાજો જેવો નહીં). ખેલાડીઓએ લોકોનાં મહેણાં અને જાકારો વેઠ્યાં છે, ઇજાઓ સહન કરી છે, સારવારના લાંબા ગાળામાં મેદાન છૂટી ગયું છે, ફૉર્મ ગુમાવ્યું છે, ટીમમાંથી પડતા મૂકાવાનું બન્યું છે. 

બીજી બાજુ, ઘરના સભ્યોએ – વિશેષે પુરુષોએ – તેમને સાથ આપ્યો છે. ટેલિવિઝન અને મોબાઈલ, મનોરંજન કે ટાઇમપાસ માટે નહીં પણ ક્રિકેટના ડિસ્ટન્ટ એજ્યુકેશન માટેનાં ખૂબ ઉપયોગી માધ્યમ બન્યાં છે. દેશના ક્રિકેટિન્ગ આઈડોલ્સ આ યુવતીઓ માટે રોલ મૉડેલ્સ બન્યા છે. સાથીઓએ હૂંફ અને વરિષ્ઠ ખેલાડીઓએ માર્ગદર્શન આપ્યાં છે. દેશ માટે તેમ જ વિમેન્સ પ્રિમિયર લીગ માટે રમીને આ ખેલાડીઓ સ્વીકૃતિ, સન્માન અને કંઈક સમૃદ્ધિ પણ પામી છે. ભારતમાં મહિલા ક્રિકેટનું સ્થાન તેમણે ખૂબ ઉન્નત કર્યું છે. આ ખેલાડીઓના પરિવારના પુરુષોએ હિંસક માનસ ધરાવતા મરદોના એક મોટા વર્ગ માટે દાખલો પૂરો પાડ્યો છે. વિશ્વવિજય નિમિત્તે આ બધાં પાસાંને લગતી માધ્યમોમાં જોવા મળતી ધ્યાનપાત્ર માહિતી – ગુજરાતીમાં ઓછા પ્રમાણમાં આવી હોવાની છાપ સાથે – અહીં સંકલિત કરીને મૂકી છે.

દરેક ખેલાડીની રમતનો રેકૉર્ડ અને તેની સિદ્ધિઓ અલબત્ત સંગીન છે. તેની વારંવાર જાણવા મળતી સર્વસુલભ વિગતોને બદલે કારકિર્દીના સામાજિક અને માનવીય પાસાંને આ સંકલનમાં ધ્યાનમાં લીધાં છે. ક્રિકેટના જાણકારો અને પુરુષપ્રધાન વ્યક્તિઓને આ લેખ બિનમહત્ત્વનો  લાગે એમ બને.

‘ધ ઇન્ડિયન એક્સ્પ્રેસ’ વર્તમાનપત્રે ખેલાડીઓના નખચિત્રોનું એક આખું પાનું કર્યું છે જે ‘ટાઇમ્સ’ના એવાં પાનાં કરતાં વધુ રસપ્રદ જણાયું છે. ‘એક્સપ્રેસે’ મથાળું કર્યું છે : Her grit, Her game, Her glory : From Harmanpreet Kaur to Shafali Verma, meet India’s 16 pioneering World Cup winners. આ પાનાંના લેખકો છે વિનાયક મોહનરંગન અને શંકર નારાયણ. આ લેખમાં ક્રમ અને પેટામથાળાં પણ ‘એક્સ્પ્રેસ’નાં રાખ્યાં છે :

n   Inspiring captain – Harmanpreet Kaur, Age : 36, Role:  Middle-order batter, Moga, Punjab

જિલ્લા અદાલતમાં નોકરી કરતા હરમનસિંગ ભુલ્લરની દીકરી માટે બૅટ ખરીદવાની પણ વેત ન હતી. શાળામાં હરમનપ્રીત હૉકી અને ઍથ્લેટિક્સમાં પણ હતી. જો કે તેનું પૅશન ક્રિકેટ હતું. સ્થાનિક ક્રિકેટ કોચ કમલદીશ સિંગે એક વખત તેને છોકરાઓની સાથેની રમતમાં પવનવેગે બૉલિન્ગ કરતી જોઈ. તેના પિતાને સમજાવીને, દીકરીને ગામથી ત્રીસ કિલોમીટર પર આવેલી ક્રિકેટ ઍકેડેમીમાં મૂકી અને ખરચો પણ ભોગવ્યો. હરમનપ્રીતની કૅપ્ટનશીપ હેઠળ મોગા જિલ્લાની ટીમ સતત ચાર વર્ષ વિજેતા રહી. છગ્ગા મારીને શેરીના ઘરોની બારીઓના કાચ તોડનારી હરમન દુનિયાની છ સહુથી વધુ છગ્ગાબાજ મહિલાઓમાં સ્થાન ધરાવે છે. એક આંતરરાષ્ટ્રીય મૅચમાં તેણે 90 મીટર ઊંચો છગ્ગો મારતાં તેના બૅટની તપાસ કરવામાં આવી હતી ! અર્જુન અવૉર્ડ મળ્યા બાદ પણ જ્યારે હરમને પંજાબ પોલીસમાં નોકરી માટે અરજી કરી ત્યારે તેને કહેવામાં આવ્યું : ‘તું કંઈ ભજ્જી (હરભજનસિંહ) છે તે તને નોકરી આપીએ?’ અત્યારે તે રેલવેની કર્મચારી છે. આખરી જીત પછી તરત જ, તે પાંચ વર્ષની લાડલી હોય તેમ બાપાએ તેડેલી હરમન ફોટો / વીડિયોમાં જોવા મળે છે. 

n  Little sister, Big star: Smriti Mandhana (29), Opening batter, Sangli, Maharashtra

સ્થાનિક સ્તરે પિતાની અને રાજ્ય સ્તરે મહારાષ્ટ્રની અન્ડર-16માં મોટા ભાઈની રમત જોતાં મોટી થઈ છે. તેના પિતા કેમિકલ ડિસ્ટ્રિબ્યુટર છે. જાણીતો યુવા સંગીતકાર પલાશ મુછલ સાથેનો સ્મૃતિનો સાતેક વર્ષથી ચાલતો પરિણય આ મહિને લગ્નમાં પરિણમવાનો છે. પલાશ બાવડા પર SM 18 એવું ટૅટુ રાખે છે. આ યુગલના વર્લ્ડ-કપ સાથેના ફોટા, તે જોઈને ચાહકો કહે છે કે  સ્મૃતિએ પલાશને પ્રિ-વેડિંગ ગિફ્ટ આપી !

n  Keeping the faith: Jemimah Rodrigues (25), Batter, Mumbai, Maharashtra

બાન્દ્રાની કૉન્વેટ સ્કૂલમાં ફૂટબૉલ, બાસ્કેટબૉલ અને હૉકીમાં ઉત્તમ દેખાવ કરનારી જેમિમાને ક્રિકેટની તાલીમ તેના પિતાએ આપી. તેમણે શેરીમાં અને જેમિમાની શાળામાં ટીમ બનાવી. ભાંડુપથી દાદર ક્રિકેટ રમવા માટે જવું  જેમિમા, તેના ભાઈ અને પિતાને અઘરું પડતું; એટલે તેમણે બાન્દ્રામાં બે ઓરડાનું ઘર કર્યું. સખત મહેનત કરનારી જેમિમા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ટીમમાંથી પડતી મુકાઈ. ગિટાર વગાડવાની અને નાચવા-ગાવાની શોખીન જેમિમાને તેના નાચ-ગાનના વીડિયોઝને કારણે મીડિયાના નવરાઓએ ‘ટિકટૉક ગર્લ’ તરીકે નાહકની વગોવી. ક્રિકેટના તેના ઉત્તમ દેખાવને કારણે ખાર જિમખાનાએ તેને ત્રણ વર્ષ માટે માનદ્દ સભ્યપદ આપ્યું હતું. પણ ક્લબની ચૂંટણીના કારસામાં તેના પિતા પર એવો આરોપ મૂકવામાં આવ્યો કે તેઓ ક્લબમાં ધર્મપરિવર્તન માટેની સભાઓ યોજે છે. જેમિમા અને તેનો પરિવાર ખૂબ શ્રદ્ધાળુ છે. જેમિમા તેની ઇસુશ્રદ્ધા મેદાન ઉપર અને મીડિયામાં ભાવુકપણે વ્યક્ત કરતી રહી છે. આ બંને કારણોસર ઝનૂનીઓ ટ્રોલસેન બળાત્કાર અને ખૂનની ધમકીઓ પણ આપી. ભય, ચિંતા અને રમતના માનસિક દબાણને કારણ જેમિમાને હતાશામાં સરી પડી. તે તેની મા પાસે કલાકો રડતી. સારવાર તેમ જ પરિવારના ટેકા અને સાથી ખેલાડીઓની હૂંફે તેને સ્વસ્થતા પાછી અપાવી.  

n  Agra’s Wonder Woman: Deepti Sharma (28), All rounder, Agra, Uttar Pradesh

દિપ્તી તેના ક્રિકેટ રમતા ભાઈની સાથે બધે જતી. એક વખત તેણે બૉલ ફેંક્યો. જોગાનુજોગ  ત્યારે એ જગ્યાએ એકલવ્ય ઍકેડેમીના કોચ એવા ભારતના પૂર્વ ખેલાડી હેમલતા કાલા હાજર હતા. દડાની ગતિ અને દિપ્તીની તાકાત પારખીને તેમણે દિપ્તીને રમતી કરી. ત્યાર બાદ બહેનને પૂરા સમયની તાલીમ આપવા માટે ભાઈએ તેની કૉર્પોરેટ નોકરી છોડી દીધી. તાજમહેલથી નવ કિલોમીટર પહેલાં આવેલા શાહગંજ વિસ્તારની અવધપુરી કૉલોનીમાં આવેલા દિપ્તીના ઘરની ગલીના નાકે ‘અર્જુન અવૉર્ડ સમ્માનિત ક્રિકેટર દિપ્તી શર્મા માર્ગ : સાર્વજનિક વિકાસ સમિતિ અવધપુરી આપકા હાર્દિક સ્વાગત કરતા હૈ’ એવું પાટિયું છે. દિપ્તી અત્યારે ઉત્તર પ્રદેશ પોલીસમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ છે.

n  Siliguri’s six-hitter: Richa Ghosh (22),Wicketkeeper-batter, Siliguri, West Bengal

માનબેન્દ્ર ઘોષે તેમની દીકરીને બારીઓના કાચને ભોગે પણ ચોગ્ગા અને છગ્ગા મારવા માટે જ પ્રોત્સાહન આપ્યું. કોલકાતા જઈને દીકરીને તાલીમ આપી શકાય તે માટે તેમણે પોતાનો વ્યવસાય છોડ્યો અને આવક માટે પાર્ટ-ટાઇમ અમ્પાયર તરીકેનું કામ સ્વીકાર્યું. 

n  The Viral Catch: Harleen Deol (27), Top-order batter, Chandigarh

ઇંગ્લેન્ડ સામે નૉર્ધૅમ્ટનમાં જુલાઈ 2021માં રમાયેલી ટ્વેન્ટી ટ્વેન્ટી ઇન્ટરનૅશનલમાં હર્લિને ઝડપેલા ઍક્રોબૅટિક કૅચનો વિશ્વવિખ્યાત વીડિયો ઝગઝોરી દેનારો છે. જો કે તેના ઘર કે માહોલમાં ક્યાં ય સ્પોર્ટ્સ ન હતું. પણ હર્લિનની ક્રિકેટ માટેની રઢ જોઈને મા-બાપે તેને ધરમશાલાની ઍકેડેમી મૂકી, જેમાં તેનું ઘડતર થયું.  

n  Scholar, opener: Pratika Rawal (25), Opening batter, Delhi

રમત સાથે  અભ્યાસનું સંતુલન જાળવનારી પ્રતિકા રાવળ દસમા અને બારમામાં 90% થી વધુ માર્ક્સ લાવીને દિલ્હીની જિસસ અને મૅરી કૉલેજમાંથી મનોવિજ્ઞાન સાથે બી.એ. થયેલી છે. તે બાસ્કેટ બૉલમાં શાળા કક્ષાએ નૅશનલ ગેમ્સમાં સુવર્ણચન્દ્રક મેળવી ચૂકી છે. કેબલ ટેલિવિઝન સર્વિસનો વ્યવસાય કરતા તેના પિતા પ્રદીપ સર્ટિફાઇડ અમ્પાયર પણ છે. તેમણે દીકરીને  રોહતક રોડ જિમખાનામાં પ્રવેશ અપાવ્યો. આ પહેલ બાદ ત્રીસ છોકરીઓ ત્યાં જોડાઈ. જો કે પગની ગંભીર ઇજાને કારણે તે વર્લ્ડ કપ ફાઇનલ ન રમી શકી. પણ જીત પછી મેદાન પરના તરતના જશ્નમાં અને વર્લ્ડ્ કપ સ્વીકારતી વખતે સ્મૃતિ તેને યાદ કરીને વ્હીલચેરમાં પોડિયમ લઈ આવી તે હૃદયસ્પર્શી દૃશ્ય હતું. 

n  Girl from the hills: Uma Chetry (23), Wicketkeeper-batter, Golaghat, Assam

ઉમાનાં માબાપ ખેતમજૂર છે, બે મોટા ભાઈઓ પેડલ રિક્શા ચલાવે છે, બીજા બે બંગલુરૂમાં પ્રાઈવેટ સિક્યુરિટીમાં છે. બ્રહ્મપુત્રના દક્ષિણ કિનારે, ગુવાહાટીથી સવા ત્રણસો કિલોમીટર દૂર પાંચ હજારની વસ્તીવાળા કંધુલીમારી ગામના ધૂળિયા રસ્તા પર ઉમા છોકરાઓ સાથે ક્રિકેટ રમતી થઈ. મા દીપા હિમ્મત આપતાં, કેમ કે તે જોતી હતી કે નાની ઉમા માટે ક્યારેક એક લાકડીના બૅટ અને બટાકા બૉલથી બની જતાં. પછી માએ પ્લાસ્ટિકનાં બૅટ-બૉલ લાવી આપ્યાં. બે કલાક ચાલીને શાળાએ જવું પડતું, દસમા પછી ઘરની જવાબદારીઓને લીધે ભણતર છૂટી ગયું. પણ ફૂટબૉલ ચાહક રાજ્યમાં ભલા સ્થાનિક ક્રિકેટ કોચ મેહબૂબ આલમ અને રામ મોહન જેવા તેમ જ અધિકારી અજોય શર્માએ આંગળી પકડી. જો કે બોકખાટ કસબાના તાલીમ કેન્દ્રમાં દરરોજ સોળ કિલોમીટર ચાલીને જવું પડતું. પડતા મૂકાવાનું આવ્યું, નબળા દેખાવના તબક્કા પણ આવ્યા. બધી વખતે, ક્રિકેટમાં કશું ભાગ્યે જ સમજનાર મા અને ઉમાની પોતાની મક્કમતાએ રસ્તો બતાવ્યો. ઉમા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ટીમમાં સ્થાન મેળવનારી પહેલી મહિલા ખેલાડી બની. રાત્રે ભૂખ્યા પેટે સુવું પડે તેવા દા’ડાથી  વર્લ્ડ પ્રિમિયર લીગના કૉન્ટ્રાક્ટ સુધીનો ઉમાનો ખડતર પ્રવાસ અચંબો આપનારો છે.

n  Tribal star: Kranti Gaud (22), Fast bowler, Ghuwara, Madhya Pradesh

બુંદેલખડના મધ્યમાં આવેલા વીસ હજારની વસ્તીવાળા ઘુવારા ગામમાં ક્રિકેટ તાલીમ માટેની કોઈ સગવડ નથી. ગામના એક માત્ર મેદાનમાં છોકરાઓ ટેનિસ બૉલથી ક્રિકેટ રમે છે. આદિવાસી સમુદાયના પોલીસ કૉન્સ્ટેબલ મુન્નાજીના ત્રણ દીકરા અને ત્રણ દીકરીઓમાંથી સહુથી નાની ક્રાન્તિ છોકરાઓ સાથે રમતી. તેની પર છત્તરપુર પંથકમાં ક્રિકેટને પ્રમોટ કરનારા કોચ રાજીવ બિલથરેનું ધ્યાન પડ્યું અને તાલીમ શરૂ થઈ. ખર્ચ માટે માએ ઘરેણાં ગિરવે મૂક્યાં, દાણા ઉધાર માગીને દિવસો ખેંચ્યા. ક્રાન્તિ ટોચો સર કરતી ગઈ. વર્લ્ડ કપમાં પાકિસ્તાન ટીમ સામેની કામગીરીથી મૅન ઑફ ધ મૅચ મેળવીને વતનમાં બે રૂમ રસોડાના ઘરે પાછી આવી; અને જોયું કે તેને મહેણાં-ટોણાં મારનાર લોકોનું ગામ હવે ક્રાન્તિને રમતી જોવા માટે એલ.ઇ.ડી. ટેલિવિઝન લાવ્યું છે ! 

n  Comeback queen: Sneh Rana (31), Spin, all-rounder, Dehradun, Uttarakhand

ઘૂંટણની ગંભીર ઇજાને કારણે સ્નેહને બે વર્ષની કમગીરી પછી 2016માં ટીમની બહાર મૂકાવું પડ્યું. તે પાંચ વર્ષ સુધી પાછી ન આવી શકી. જૂન 2021માં ફરીથી પસંદ થઈ તે જોવા તેના ખેડૂત પિતા ભગવાનસિંગને બે મહિના વધુ આયુષ્ય ન મળ્યું. તેના ક્રિકેટને દિલોજાનથી ટેકો તેના પિતાએ આપ્યો હતો. તેનાં મા અને મોટી બહેન પણ તેમાં સામેલ હતાં. સ્નેહને નવમા વર્ષે દહેરાદૂનમાં  કિરણ શાહની  લિટલ માસ્ટર્સ ક્રિકેટ ઍકેડેમીમાં દાખલ કરી હતી. જો કે તેનું ક્રિકેટ તો દેહરાદુનથી દસ કિલોમીટર પર આવેલા હજાર માણસની વસ્તીવાળા તેના સિનૌલા ગામના ખેતરોમાં તે છોકરાઓની સાથે શરૂ થઈ ચૂક્યું હતું. પહેલા દરજ્જાની રમતમાંથી પાંચ વર્ષના અંતર દરમિયાન તે સારવાર લેવાની સાથે ડોમેસ્ટીક ક્રિકેટમાં રમતી રહી. ચાહકો તેને ‘કમબૅક ક્વીન’ કહે છે. એક ફોટોમાં વિશ્વકપ હાથમાં રાખીને તે કહી રહી છે : ‘ધિસ વન ઇઝ ફૉર યુ, પાપા !’

n  Doing it for late dad: Renuka Singh Thakur (29), Pacer, Shimla, Himachal Pradesh

સ્નેહના પિતાના મૃત્યુ બાદ માતા સુનીતાબહેન અને ભાઈ વિનોદે તેને ક્રિકેટમાં આગળ વધારી. પિતાએ પુત્રનું ક્રિકેટપ્રેમને કારણે પાડ્યું હતું. માતાને હિમાચલના ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં પિતાની જગ્યાએ નોકરી મળી. છસો માણસની વસ્તી ધરાવતું તેનું ગામ પારસા શિમલાથી સવાસો કિલોમીટર પર છે. નાનપણથી જ ક્રિકેટની લગન ધરાવતી સ્નેહાને કાકા ભુપિન્દરસિંહની સલાહથી ધરમશાલાની ઍકેડેમીમાં દાખલ કરવામાં આવી, જ્યાં તેણે પવન અને રેણુકા સિંહના પાસે તાલીમ મેળવી.

Leaving Home : Arundhati Reddy (28), Pace all-rounder, Hyderabad

અરુંધતી 2018માં ટ્વેન્ટી ટ્વેન્ટીમાં આવી ચૂકી હતી, પણ તેને વન ડે ઇન્ટરનૅશનલમાં પસંદગી પામતા છ વર્ષ લાગ્યાં. વૉલીબૉલના પૂર્વ  ખેલાડી માતાના ટેકે તે ક્રિકેટમાં પ્રવેશી. મહિલા ટીમના પૂર્વ ફીલ્ડિન્ગ કોચ બિજુ જ્યૉર્જે તેને દીકરીની જેમ સંભાળી. અનેક વખત બાકાતીના દિવસોમાં અરુને હિમ્મત આપી. તેને કેરાલામાં વધુ સારા માહોલમાં રાખી. વર્લ્ડ પ્રિમિયર લીગને કારણે પૈસાનો ઘણો આધાર મળ્યો. ‘સ્પોર્ટસ સ્ટાર’ના એપ્રિલ 2024ના અંકના લેખમાં બિજુએ અરુની  જિંદગી વિશે વિગતે વાત કરી છે. તેમાં અરુંધતી એમ કહેતી ટાંકવામાં આવી છે કે ‘હું એક ક્રિકેટ ટ્રૅજિક છું કે જે બોગદાને છેડે મેઘધનુષ જોવા ઝંખી રહી હોય.’ આખરે તેને મેઘધનુષ હાથ લાગ્યું છે. 

n  Cricket migrant : Radha Yadav (25), Spin all-rounder, Baroda, Gujarat

રાધાના પિતા ઓમપ્રકાશે ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાંથી મુંબઈમાં વસીને કાંદિવલીના ફૂટપાથ પર શાકભાજી અને કરિયાણાની નાની દુકાન કરી છે, જેના માટે તેમને દબાણવાળાનો સતત ડર રહે છે. સ્લમ રિડેવલપમેન્ટ યોજના હેઠળ બનેલા પચીસ ચોરસ વારના ઘરમાં નવ માણસોનું કુટુંબ રહે છે. પિતા અને બે ભાઈઓ સખત મહેનત કરે છે. રાધાનું શાળાનું ભણતર માંડ થયું છે. પણ એક જગ્યાએ તેની રમત જોઈને ઉદારદિલ કોચ પ્રફુલ્લ નાઈક ઓમપ્રકાશને સમાજવીને રાધાને વડોદરા લઈ આવ્યા. વધુ તાલીમ તેને મિલિન્દ વારવાડકરની કૃગારા ઍકેડેમીમાં મળી. આ કોચને નિષ્ઠાવાન અને બાહોશ રાધા એટલી વહાલી છે કે એમણે તેનું નામ સંસ્થાના નામમાં સમાવ્યું છે. તેમની દીકરી કૃણાલિનીનો ‘કૃ’, દેવી ગાયત્રીનો ‘ગા’ અને ખેલાડી રાધાનો રાધા (યાદવ) – કૃગારા ! 

n  Dad carved her bat : Amanjot Kaur (25), Pace all-rounder, Chandigarh

પંજાબના મોહાલીમાં મિસ્ત્રીકામ કરનારા ભુપિન્દરસિંહે એક સાંજે જોયું કે ફળિયાના બાળકો તેમની દીકરી અમનજોતને એટલા માટે રમાડતા નથી કે તેની પાસે બૅટ નથી. તેઓ દુકાને ગયા અને રાત્રે મોડે સુધી જાતે એક બૅટ બનાવીને દીકરી માટે લઈ આવ્યા. દાદીમા ‘બીઈજી’ આંગણામાં બેઠાં બેઠાં નાનકડી પૌત્રીને રમતી જોઈ રાજી થતાં. કમનસીબે વિશ્વકપ વખતે જ બીઈજી આઈ.સી.યુ.માં હતાં. અમન ચૌદ વર્ષની થઈ એટલે પિતાએ તેને નાગેશ ગુપ્તાની ઍકેડેમીમાં દાખલ કરી. ટ્વેન્ટી ટ્વેન્ટીના ડેબ્યુ બાદ પીઠના ફ્ર્રૅક્ચર અને લિગામેન્ટની ઇજાને કારણે તેણે લાંબા સમય માટે રમતથી દૂર રહેવું પડ્યું. જો કે મુંબઈ ઇન્ડિયન્સથી તે પાછી આવી. વિશ્વકપની જીત પછીના તરતનાં દૃશ્યોમાં આનંદના આંસુને ખાળી ન શકતા અમનના પિતા જોવા મળે છે.

n  Athletics’ loss, cricket’s gain : Sree Charani (21),Spinner, Kadapa, Andhra Pradesh

શ્રીના મામા કિશોરકુમાર રેડ્ડી આંધ્રના રાયલસીના પાવર પ્લાન્ટની ક્રિકેટ ટીમમા હતા. નાની ભાણી તેમની સાથે પ્લસ્ટિક બૅટથી રમતી. શાળામાં તે બૅડમિન્ટન, કબડ્ડી અને ઍથલેટિક્સમાં આગળ હતી. શાળાએ દસમા ધોરણમાં તેને હૈદરાબાદ મોકલીને ઍથલેટિક્સની વિશેષ તાલીમ પણ અપાવી. ત્યાં ભારતના પૂર્વ પસંદગીકાર એમ.એસ.કે. દાસે તેનું હીર પારખીને તેને ક્રિકેટમાં જવાનું ભારપૂર્વક સૂચવ્યું. દક્ષિણ આન્ધ્ર પ્રદેશના યેરામાલાપલ્લી કસબાની રહીશ શ્રીને તેની માતાએ પ્રોત્સાહન આપ્યું હતું, પિતાને સમજતા એકાદ વાર લાગી હતી.

n  Once posed as a boy : Shafali Verma (21), Opening batter, Rohtak, Haryana

‘યંગ ગૉડેસ ઑફ ક્રિકેટ’, ‘વિરુ ઑફ વિમેન્સ ક્રિકેટ’, ‘હરિયાણા રૉકસ્ટાર’ વગેરે નવાજેશ પામનાર શેફાલીના પિતા સંજીવ, મોટો ભાઈ સાહિલ અને નાની બહેન નાન્સી હાડોહાડ ક્રિકેટપ્રેમી છે. જ્વેલરીની નાની દુકાન ધરાવતા પિતા તેને ખભે બેસાડીને મૅચો જોવા લઈ જતા. લેગ સ્પિનર સાહિલ અને પિતા શેફાલીને કલાકો સુધી નેટપ્રૅક્ટિસ આપતા. છોકરી હોવાથી રોહતક ઍકેડેમીએ તેને પ્રવેશ આપ્યો ન હતો. કેટલાક લોકો મહેણાં પણ મારતા. એ દસ વર્ષની હતી ત્યારે એક વખત તેનો ભાઈ માંદો પડ્યો. એટલે પિતાના કહેવાથી તે વાળ કપાવીને છોકરાના વેશે સાહિલની જગ્યાએ સ્કૂલ-લેવલ મૅચમાં રમીને ‘મૅન ઑફ ધ ટુર્નામેન્ટ’ બની. આ જ નુસખો શ્રીનારાયણ ઍકેડેમીમાં પ્રવેશ માટે પણ કામ લાગ્યો. ચડતીપડતી થતી રહી. અલબત્ત, સર્વોચ્ચ શિખરે પહોંચાડનારી મૅચમાં તેનો હિસ્સો મહત્ત્વનો હતો. 

[કોલાજ સૌજન્ય : પરીક્ષિત]
06 નવેમ્બર 2025
(2,000 શબ્દો)
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

...10...12131415...203040...

Search by

Opinion

  • આર્ષદૃષ્ટા નેહરુનું ઇતિહાસદર્શન
  • અફઘાન સ્ત્રીઓના અંધકારમય-અનિશ્ચિત ભવિષ્યની પાછળ શું હશે?  
  • અદનો કર્ણ
  • નહેરુ સાથે તમે સંમત થાઓ કે ન થાઓ …
  • લાતોં કે ભૂત બાતોં સે નહીં માનતે …

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —

Poetry

  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ
  • ગઝલ
  • નદી
  • ગઝલ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved