Opinion Magazine
Number of visits: 10080173
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મોદી સરકારની મજબૂત છબિ ભૂંસાઈ રહી છે?

કિરણ કાપૂરે|Opinion - Opinion|27 July 2026

જે રીતે કોક્રોચ જનતા પાર્ટીનું આંદોલન આગળ વધી રહ્યું છે અને દેશભરમાં યુવાનોનો આક્રોશ રસ્તા પર ઠલવાઈ રહ્યો છે તે પરથી હાલની કેન્દ્રની સરકાર અને તેના સર્વોચ્ચ નેતા-વડા પ્રધાન નરેન્દ્ર મોદીની છબિ ખરડાઈ રહી છે. અત્યાર સુધી વર્તમાન કેન્દ્ર સરકાર સમક્ષ અનેક પડકાર આવ્યા, અને તે પડકારમાંથી ઝાઝા નુકસાન વિના સરકાર નીકળી ગઈ. તેમાં સવિશેષ વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની છબિ ખરડાઈ હોય કે તેમના પ્રત્યે ખૂબ રોષ જન્મ્યો હોય તેવું પણ ન દેખાયું. પરંતુ આ વખતે ‘કોક્રોચ જનતા પાર્ટી’નું જતંર મતંર ખાતે થઈ રહેલા આંદોલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મિમ બન્યા અને તેમના વિશે અણછાજતું બોલાયું. આખરે વિદ્યાર્થીઓના સમર્થનમાં ઘણાં બધાં સેલિબ્રિટીઝે પણ અવાજ ઊઠાવ્યો. ભા.જ.પ.ના સિનિયર નેતા મુરલી મનોહર જોશીએ પણ જે રીતે સરકારે પોલીસ દ્વારા ક્રૂરતા આચરી તેની ટીકા કરી. આ લખાય છે ત્યાં સુધી ‘કોક્રોચ જનતા પાર્ટી’ના પ્રતિનિધિ સાથે સરકારના બે મંત્રીઓની બંધ બારણે બેઠક થઈ ચૂકી છે, પરંતુ હજુ ‘કોક્રોચ જનતા પાર્ટી’ પોતાની ત્રણ માંગણી સાથે અડગ છે. 

હાલની કેન્દ્ર સરકાર હજુ પણ મજબૂત છે તે રીતે પોતાની છબિ દાખવી રહી છે. આ આંદોલન ચાલી રહ્યું હતું અને જતંર મંતર ખાતે વિદ્યાર્થીઓ પર લાઠીઓ વરસી રહી હતી ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદના પરિસરમાં બિન્દાસપણે પ્રેસ બ્રિફિંગ કર્યું હતું. આ રીતે પ્રેસ બ્રિફિંગ કરીને તેમણે એવું દાખવવાનો પ્રયાસ કર્યો કે વિદ્યાર્થી આંદોલન કરી રહ્યા છે તેનાથી અમને કોઈ ફરક પડતો નથી! એક સમય સુધી ‘કોક્રોચ જનતા પાર્ટી’ના આંદોલનને કેન્દ્રની સરકારે ધ્યાને પણ લીધી નહોતી, એટલું જ નહીં આ આંદોલનની અવગણના કરવાનું સરકારે નિર્ધારીત કરી લીધું હતું. આ અગાઉ પણ કેન્દ્ર સરકારનું કે ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વલણ જોશો તો તેમાં ક્યાં ય નબળાઈ દર્શાય નહીં તેની તકેદારી રાખવામાં આવતી હતી. ઇરાન-અમેરિકાના યુદ્ધની સ્થિતિમાં દેશમાં જ્યારે ક્રૂડ ઓઇલ અને ગેસની તંગી સર્જાઈ ત્યારે પણ કેન્દ્રમાં કોઈ પણ મંત્રી કે નેતાને કશું ય પૂછવામાં આવે ત્યારે તેમની ચિંતા જાહેર થતી નહોતી. એ રીતે પેટ્રોલ મિશ્રિત ઇથનોલના મુદ્દે લોકોનો રોષ ઊભો થયો ત્યારે પણ સરકાર અડગ રહી અને આખરે ઇથનોલ-20 પેટ્રોલનો જ વિકલ્પ લોકો સામે મૂક્યો. આવા તો અનેક વિરોધની વાત કરી શકાય, જેમાં વર્તમાન કેન્દ્ર સરકારે વિરોધને ધ્યાને ન લીધો હોય. તેમાંનો એક વિરોધ મહિલા બોક્સરોનો ‘રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા’ના પ્રમુખ બ્રિજભૂષણ સિંઘ સામે હતો. બ્રિજભૂષણ ભા.જ.પ.ના સાંસદ હતા અને ઉત્તર પ્રદેશના બાહુબલિ નેતા તરીકેની તેમની ઓળખ રહી હતી. છ ટર્મ સુધી સાંસદ રહેનારા બ્રિજભૂષણ સિંઘ પર જ્યારે મહિલા બોક્સરોએ જાતિય સતામણીના ગંભીર આરોપ લગાવ્યા, તેમ છતાં કેન્દ્રની સરકાર બ્રિજભૂષણ વિરુદ્ધ કોઈ એક્શન લેવા તૈયાર નહોતી. આ અંગે પણ મહિલા બોક્સરોએ દિવસો સુધી જતંર મંતર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું, તેમ છતાં સરકાર સંવાદ કરવા તૈયાર ન થઈ. તે પછી બ્રિજભૂષણ પર કાર્યવાહીના નામે દિલ્હી પોલીસ દ્વારા ચાર્જશીટ થઈ, પરંતુ મહિલા બોક્સરોને લાગ્યું કે દિલ્હી પોલીસ બ્રિજભૂષણ સામે કોઈ ઠોસ પુરાવા એકઠા કર્યા નહોતા. અને તે પછી ‘રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા’ના પદ માટે ચૂંટણી યોજાઈ તો તેમાં બ્રિજભૂષણના સાથી જ ચૂંટાઈ આવ્યા. આ વિરોધમાં પણ કેન્દ્રની સરકાર પર માછલાં ધોવાયા પરંતુ તે પછી બધું ભૂલાવી દેવાયું. 

હાલની ‘નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ’ની કેન્દ્રિય સરકાર આવા મુદ્દે ટસથી મસ નહોતી થતી તેનું એક કારણ ચૂંટણીમાં ભા.જ.પ.ને મળતું સતત મળતું જનસમર્થન છે. વર્તમાનમાં કેન્દ્રની આ સરકાર પાસે વોટિંગ શેરમાં ભા.જ.પ.નો હિસ્સો ગણીએ તો તે 36.56 ટકાનો છે. હાલમાં આપણા દેશની રાજકીય સ્થિતિ પ્રમાણે આ વોટિંગ શેર ઘણો સારો કહેવાય છે. એ પહેલાં 2019માં થયેલી લોકસભાની ચૂંટણીમાં ભા.જ.પે. 543માંથી 303 બેઠકો મેળવી હતી. આ અગાઉ આટલી સંખ્યામાં બેઠકો ભા.જ.પે. ક્યારે ય મેળવી નહોતી. 2019માં જ્યારે ભા.જ.પ. આ આંક સુધી પહોંચ્યો ત્યારે તેનો આ સુવર્ણકાળ હતો. અને તે અગાઉની ચૂંટણી એટલે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભા.જ.પ. દ્વારા લડાયેલી પ્રથમ લોકસભાની ચૂંટણીમાં બેઠકોનો આંક 543માંથી 282નો હતો. તે વખતે ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે અને દેશમાં એક વિકાસકાર્યોના પ્રેરકબળ તરીકે નરેન્દ્ર મોદીએ ખ્યાતિ મેળવી હતી. જ્યારે પ્રથમ વાર નરેન્દ્ર મોદી તરીકે વડા પ્રધાન પદના શપથ લીધા ત્યારે દેશમાં એક હવા પણ પ્રસરી હતી કે હવે દેશનું તંત્ર-વ્યવસ્થા બદલાશે. નાનાં-મોટા બદલાવ થયા પણ ખરા, અને કેટલાંક પ્રયોગશીલ વિચાર પણ મૂકાયા. પરંતુ જ્યારે 2016માં અચાનક નોટબંદી સરકાર લાવી, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે કંઈ કરે છે તેમના દીર્ઘદૃષ્ટિ પર પ્રશ્ન ઉઠવા લાગ્યા. તેમાં સરકાર જોરશોરથી કાળું નાણું નાબૂદ કરવાની વાત કરતી હતી. તદ્ઉપરાંત આતંકવાદીઓ મળતી રોકડને અટકાવવાનો સરકારનો પ્રયાસ હતો. અને સાથે સાથે ડિજિટલ પેમેન્ટ વ્યાપક બને તે પણ ઉદ્દેશ હતો. જો કે સૌથી પ્રાથમિક ઉદ્દેશ જેનો પ્રચાર સરકારે ખૂબ કર્યો હતો તે કાળા નાણાંને ઝાઝી અસર ન થઈ. અને આ પગલાંના કારણે દેશમાં અંધાધૂંધી થઈ અને લોકોના વેપાર-ઉદ્યોગ પડી ભાંગ્યા. નોટબંદીની જે રીતે અસર થઈ તેમાં અનેક અર્થશાસ્ત્રીઓએ તેને તરંગી વિચાર ગણાવ્યો. 

નોટબંદીમાં જે કંઈ થયું તેનાથી સરકારની ટીકા થઈ પણ છબિને કાયમી કોઈ નુકસાન ન પહોંચ્યું. 2020-21માં કોરોના મહામારી દેશમાં આવી ત્યારે પણ સરકારની ભૂમિકા બેજવાબદારીભરી રહી હતી. એક ઝાટકે જે રીતે લોકડાઉન આપી દેવામાં આવ્યું, તેનાથી અનેક ગ્રામિણ લોકો શહેરોથી પલાયન કરવા માંડ્યા. આ પગલાંથી અનેક લોકોના જીવ ગયા અને સાથે સાથે કોરોનામાં સોશિયલ ડિસ્ટ્સિંન્ગ પાળવાનું હતું – તે પણ ન પળાયું. સરકાર સ્વાસ્થ્ય સુવિધા નિર્માણ કરવામાં ખાસ્સી જહેમત લીધી હતી, અને કોરોનાની વેક્સિનનું પણ પ્રોડક્શન ભારતમાં ઝડપભેર થયું. પરંતુ તે પહેલાં અનેક લોકોના મોત નીપજી ચૂક્યા હતા. મોતના આંકડામાં ખૂબ ઘાલમેલ થઈ. આ પડકાર વિશ્વભરનો હતો, પરંતુ તે દરમિયાન જે રીતે થાળી વગાડવાનું આહવાન વડા પ્રધાન દ્વારા થયું – તેનાથી તેમની ખૂબ ટીકા થઈ હતી. એ પછી કેન્દ્ર સરકાર સમક્ષ સૌથી મોટો પડકાર 2020-21નું ખેડૂત આંદોલન હતું. આ આંદોલનમાં સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ બિલનો વિરોધ હતો, ઉપરાંત ન્યૂનત્તમ ભાવની ગેરન્ટીની ખેડૂત માંગણી કરી રહ્યા હતા. આ આંદોલન પણ એક વર્ષ અને ચાર મહિના સુધી ચાલ્યું. સરકાર આ મુદ્દે પીછે હટ કરવા માંગતી નહોતી. પરંતુ ખેડૂત મક્કમ રહ્યા અને આખરે સરકારે બિલને પાછા ખેંચવા પડ્યા. 

કેન્દ્રની સરકાર દ્વારા ‘એન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ’[ઇડી]નો ભય, મુખ્યધારાના મીડિયામાં સરકારની જીહજૂરી, વિરોધ પક્ષને નાબૂદ કરવા અને બંધારણીય સંસ્થાઓને ખતમ કરવાના આરોપ સરકાર પર લાગતા રહ્યા. તેમાં ઘણે અંશે તથ્ય પણ હતા. કેન્દ્રની સરકાર આ મુદ્દે ક્યારે ય ખુલીને બોલી નહીં. આ બધા વચ્ચે ડિજિટલ મીડિયાનો જન્મ થયો અને વિશેષ કરીને યૂટ્યુબ ન્યૂઝ ચેનલોનો યુગ આવ્યો ત્યારે સરકારની કેટલીક વિવાદાસ્પદ બાબતો પર ટિપ્પણી થવા લાગી. મુખ્યધારાનું મીડિયા તો સરકારના હસ્તક થઈ ચૂક્યું હતું. પરંતુ યૂટ્યુબ ન્યૂઝમાં અનેક સ્વતંત્ર રીતે પત્રકારત્વ કરનારા આવ્યા અને તે રીતે સરકાર જ્યાં કંઈ પણ ખોટું કરે તો તે અંગે યૂટ્યુબ ન્યૂઝ પર ચર્ચા થવા લાગી. આ રીતે વર્તમાન કેન્દ્ર સરકારની એકાઉન્ટબિલિટીને જેમ મુખ્યધારાનું મીડિયા તપાસતું હતું, તે જવાબદારી હવે યૂટ્યુબ-ડિજિટલ મીડિયાની થઈ. વર્તમાન કેન્દ્ર સરકારની આ મજબૂતીની છબિનો એક મુખ્ય આધાર વિદેશમાં ઊભી થઈ રહેલી છબિ પણ હતી, પરંતુ આ બધું જ હવે કડડભૂસ થતું હોય તેમ દેખાઈ રહ્યું છે. યુરોપના પ્રવાસ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક મહિલા પત્રકાર કેમ તમે જવાબ આપતા નથી તેવો પ્રશ્ન કર્યો. અને હવે વિદ્યાર્થીઓના આંદોલનમાં પોલીસે દાખવેલી ક્રૂરતા અને સરકારની અસંવેદનશીલતાએ વર્તમાન કેન્દ્ર સરકાર અને મોદી છબિને કાયમી નુકસાન પહોંચાડ્યું છે. રામ મંદિરમાં થયેલી ચોરીના કારણે પણ ભા.જ.પી.ઓને મોઢું છૂપાવવાના દિવસો આવ્યા છે. આ અને આ સિવાયના અહીં ન ચર્ચાયેલા અનેક કારણોસર વર્તમાન ‘એન.ડી.એ.’ સરકારનું મજબૂત વલણ દાખવવાનું હતું, તે બાજી હવે ખુલ્લી થઈ ગઈ છે. તે જ કારણે વિદ્યાર્થીઓના એક મહિનાથી પણ ઓછા સમયના આંદોલને મોદી સરકારે સંવાદ કરવા લાવી શકી છે. 

e.mail : kirankapure@gmail.com 

Loading

ફાધર્સ ડે પર પિતાને આપો એક સ્મિત, એક સ્પર્શ, એક આલિંગન  

સોનલ પરીખ|Opinion - Opinion|27 July 2026

જે પિતાએ આપણે જન્મ પામીએ એ પહેલાથી આપણા માટે સ્વપ્નો જોયાં, જન્મ પછી આપણને માણસ બનાવવા ખુવાર થતા રહ્યા એ પિતાને સાચે જ કઈં મૂલ્યવાન આપવું હોય તો તેમની આંખમાં આંખ પરોવી પ્રેમભર્યું સ્મિત આપજો. ઉષ્માભર્યું એક આલિંગન આપજો. નક્કી કરજો કે દિવસમાં બેપાંચ મિનિટ એમની સાથે બેસવું અને અમસ્તી અમસ્તી, કામ વગરની, મજા આવે એવી વાતો કરવી. તેમની સાથે તમે પણ ધન્ય થઈ જશો … 

સોનલ પરીખ

આજે ફાધર્સ ડે. પિતાના પ્રેમ, સમર્પણ અને આશીર્વાદને વ્યક્ત કરતી સુંદર ફિલ્મો આપણે ત્યાં અને વિદેશોમાં પણ બની છે. યાદ કરવાનું મન થાય છે ૧૯૬૮માં આવેલી ઋષિકેશ મુખર્જીની ફિલ્મ ‘આશીર્વાદ’. એક કમનસીબ પિતાના દીકરી માટેના ઝુરાપાની વાત આટલી સંવેદનશીલતાથી અને રડારોળ કે નાટકીયતા વિના કરવા માટે જબ્બર ગજું જોઈએ. 

વાર્તા આમ છે : બંગાળના એક ગામમાં રહેતો સરળ અને પ્રેમાળ જોગી ઠાકુર એક શ્રીમંત જમીનદારનો ઘરજમાઈ છે. મિલકતનો વહીવટ તેની શાસક સ્વભાવની પત્ની કરે છે. એક વાર પત્નીના આદેશથી એસ્ટેટનો એકાઉન્ટન્ટ ચાલાકીથી ગરીબોના ઘર બાળી નાખવાના હુકમ પર જોગી ઠાકુરના હસ્તાક્ષર લઇ લે છે. છેતરપિંડીથી આઘાત પામેલો જોગી ઠાકુર લગ્ન તોડી, ઘર છોડીને ચાલ્યો જાય છે, વ્હાલસોઈ દીકરી નીનાથી પણ દૂર. મુંબઈ જઈ તે એક પાર્કમાં બાળકોનું મનોરંજન કરીને ગુજરાન ચલાવે છે. ત્યાં તેને નીના નામની એક નાનકડી છોકરી ખૂબ ગમી જાય છે. જ્યારે એ છોકરી બીમાર પડીને મૃત્યુ પામે છે ત્યારે જોગી ઠાકુર પોતાની નીના વગર તરફડી ઊઠે છે ને ગામમાં પાછો ફરે છે પણ નીનાને મળે તે પહેલા તેના હાથે મિત્ર બૈજુની પુત્રીને બળાત્કારમાંથી બચાવવાની કોશિશમાં એસ્ટેટના એ જ એકાઉન્ટન્ટની હત્યા થાય છે. અદાલતમાં ગુનો કબૂલી એ જેલમાં જાય છે. નીનાને સંબોધીને કાવ્યો લખતાં અને જેલનો બગીચો સંભાળતાં વર્ષો વીતે છે. 

જેલના ડૉક્ટર બિરેનને આ સૌમ્ય અને શાલીન વૃદ્ધ કેદી તરફ એક જાતની મમતા છે. સંયોગથી, જોગી ઠાકુરની પુત્રી નીના, આ ડૉક્ટર સાથે લગ્ન કરવાની છે. જોગી ઠાકુર નીનાને જુએ છે, પણ ઓળખ છુપાવી રાખે છે. જે દિવસે તે જેલમાંથી છૂટે છે તેના બીજા દિવસે નીના અને બિરેનનાં લગ્ન છે. દીકરીને નવવધૂના રૂપે જોવા તે ખૂબ બીમાર હોવા છતાં લાંબી અને કઠિન સફર ખેડી એ લગ્નસ્થળે આવે છે – ઇચ્છતો નથી કે કોઈ તેને ઓળખે, પણ દીકરી તેને ઓળખી જાય છે. જીવનભર જેને માટે ઝૂર્યો છે એ દીકરીના માથે હાથ મૂકી આશીર્વાદ આપી એ મૃત્યુ પામે છે. આ ફિલ્મને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિચર ફિલ્મનો નેશનલ ઍવોર્ડ મળ્યો હતો. અશોકકુમારને શ્રેષ્ઠ અભિનય માટે બે ઍવોર્ડ મળ્યા હતા. 

શું જોઈતું હોય છે એક પિતાને? ફાધર્સ ડેના દિવસે આધુનિક સંતાનો પિતાને ભેટ આપતા હોય છે, એમનું ભાવતું જમાડતા હોય છે કે પછી ક્યાંક ફરવા લઇ જતા હોય છે. પણ જો પિતાને સાચે જ કઈં મૂલ્યવાન આપવું હોય તો તેમની આંખમાં આંખ પરોવી પ્રેમભર્યું સ્મિત આપજો. એક ઉષ્માભર્યું આલિંગન આપજો. નક્કી કરજો કે દિવસમાં બેપાંચ મિનિટ એમની સાથે બેસવું અને અમસ્તી અમસ્તી, કામ વગરની, મજા આવે એવી વાતો કરવી. જે પિતાએ આપણને જન્મ આપ્યો, આપણે જન્મ પામીએ એ પહેલાથી આપણા માટે સ્વપ્નો જોયાં, આપણા જન્મ પછી આપણને માણસ બનાવવા ખુવાર થતા રહ્યા એ પિતા માટે આપણી પાસે થોડી મિનિટો ન હોય, એમની સામે જોવાની કે સ્મિત કરવાની ઇચ્છા થતી ન હોય, એમણે સ્પર્શવું ગમતું ન હોય, એ કેવું? 

ભલભલા રેશનલ પુરુષો વૃદ્ધાવસ્થામાં થોડા ઈમોશનલ થઈ જાય છે. પત્ની હયાત હોય તો તેઓ સચવાઈ જાય છે, પણ જ્યારે મા ચાલી જાય અને એકલા પિતાને સંભાળવાની સ્થિતિ આવે ત્યારે સંતાનોએ આ હકીકત સમજવી જોઈએ. વૃદ્ધાવસ્થા સારી રીતે કેમ વિતાવવી તેનું કાઉન્સેલિંગ કરતા નિરંજનભાઈ પોતે વૃદ્ધ થયા ત્યારે શું થયું? ધીરે ધીરે પગ થાક્યા અને બહારની દુનિયા સમેટાતી ગઈ. આંખો થાકી પછી વાંચનલેખનના શોખ પર પણ કાપ આવ્યો. મગજ પણ થાક્યું. પત્નીને અલ્ઝાઇમરની અસર થઈ. એમનાં સંતાનો એ જ શહેરમાં રહેતાં અને જરૂર પડે તો અડધી રાતે દોડી આવતાં. ૮૬ વર્ષની ઉંમરે એમનું મૃત્યુ થયું ત્યારે એમની ડાયરી મળી. ‘દીકરો-દીકરી શહેરમાં છે અને તકલીફ વખતે હાજર હોય જ છે. પણ એમને એ સમજાતું નથી કે હું તકલીફમાં જ છું. મને કોઈના સ્પર્શની જરૂર છે. કોઈ હોય જે અમસ્તો જ હાથ પકડે, સરસ સ્મિત આપે, બરડે હાથ ફેરવે, વાળ સરખા કરે, મને બાથમાં લે – આ શું બહુ મોટી ઇચ્છા છે? હું મારા દીકરા-દીકરીને આવું કહેતો નથી. સંકોચ થાય છે. પણ મને એમના સ્પર્શની, એમના વહાલભર્યા સ્મિતની ખૂબ જરૂર છે.’ 

મોટેભાગે આવું થઈ શકતું નથી. એવું નથી કે યુવાન થતાં કે ઢળતી યુવાની પહોંચેલાં આજનાં સંતાનો ખરાબ છે કે ખોટાં છે. એમણે એમના પ્રશ્નો હોય છે, સંઘર્ષો હોય છે, જવાબદારીઓ હોય છે. તેમના અગ્રતાક્રમ બદલાયા હોય છે. પોતાનાં સંતાનોને દુનિયામાં પગ મૂકવાલાયક બનાવવાની ચિંતા હોય છે. પોતાની દોડાદોડી વચ્ચે તેઓ માબાપની સુવિધાઓની વ્યવસ્થા તો કરે છે, ખાવાપીવાનું, દવાઓનું ધ્યાન રાખી લે છે, પણ ત્યાર પછી માબાપે ચૂપચાપ જીવ્યા કરવું ને આડા ન આવવું એવી આશા રાખે છે. એમને સમય, સ્પર્શ, સ્મિત કે સન્માન  આપવાનું ભૂલી જાય છે. ભૂલી જાય છે કે શરીરની સાથે મન પણ જીર્ણ થયું છે. લાગણીઓ પણ ટેકો માગે છે.

નાના બાળકની જેમ વૃદ્ધ વ્યક્તિના ચહેરા પર પણ હાસ્ય ખૂબ સુંદર અને નિર્દોષ લાગે છે. જેમના ચહેરા પરની દરેક કરચલીમાં પ્રસન્નતા પ્રસરેલી હોય તેવા વૃદ્ધ ચહેરા ખૂબ વહાલસોયા લાગે છે. આપણી ભારતીયોની સંવેદના લાઉડ હોય છે અને સૌંદર્યની વિભાવના છીછરી, એટલે આપણે વૃદ્ધત્વમાં રહેલા આ વ્હાલસોયા નિર્દોષ સૌંદર્યને જોઈ શકતા નથી. જાણે શરીર જીર્ણ થાય એટલે સમજ પણ જતી રહી હોય એવા ભાવથી એમને એક જવાબદારી ગણીને ઉપકાર કરતા હોઈએ એમ ચડેલા મોઢે બધું કર્યા કરી છીએ. તેઓ સ્મિત કરે કે વાત કરવાની કોશિશ કરે તો અવગણી કાઢીએ છીએ ને પછી જો ક્યારેક તેઓ કડવા થાય તો એમના હજારો વાંક બતાવીએ છીએ. જાણે આવા શરીરે આટલું જીવીને એમણે અપરાધ ન કર્યો હોય! આ અસંસ્કાર છે. યુવાનીના તોરમાં આપણને પિતાની સંવેદના સમજાતી નથી અને પોતે પણ વૃદ્ધ થઈશું એ તો કદી યાદ જ આવતું નથી. 

દીકરાઓને ઘણીવાર પિતા માટે ફરિયાદ હોય છે, કે તમે અમારા માટે કઈં કર્યું નહીં, તમારામાં અક્કલ ઓછી વગેરે. દીકરીઓ દૂર રહેતી હોય છે, પણ ક્યારેક એ પણ ભાઈની વાતમાં સંમત થતી હોય છે. માતાપિતા પણ માણસ છે. તમે ઇચ્છયું હોય, ધાર્યું હોય તે બધું જ તમારા માટે ન પણ કરી શક્યાં હોય. પણ તેમણે તમને દુનિયા દેખાડી છે, સાચુંખોટું સમજાવ્યું છે. આજે દુનિયામાં પગ મૂકીને માબાપનો વાંક કાઢવા જેવા થયા છો તે પણ એમના જ લીધે. આ જો ભૂલી જાઓ તો તમે ગમે તેટલું ધન ને માન મેળવ્યું હોય, માણસ તરીકે તમે નાપાસ, નિષ્ફળ, નકામા, નપાવટ.

એમણે આપણે માટે શું કર્યું તે નહીં, પણ આપણે એમને માટે શું કર્યું તે વિચારીશું તો જિંદગીનો સાચો આનંદ પામી શકીશું. શરૂઆત આ ફાધર્સ ડેથી જ કરીએ તો? 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 21 જૂન 2026

Loading

ધાનનો ત્યાગ એટલે ‘પ્રધાન’નું ત્યાગપત્ર !?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 July 2026

રવીન્દ્ર પારેખ

સોનમ વાંગચુકનું અનશન ઘણે વખતે ધર્મેન્દ્ર પ્રધાનના ત્યાગપત્રનું કારણ બન્યું છે. એમાં કોક્રોચ જનતા પાર્ટી(CJP)નાં ધીમે ધીમે વધતાં વર્ચસ્વે પરિણામ સુધી વાત પહોંચાડવાનું કામ પણ કર્યું ને મોડે મોડે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું. એક રીતે તો એ રાજીનામું, નારાજીનામું પણ છે, કારણ સરકારને એમાં ઝૂકવાનું થયું છે. પ્રયત્નો તો ન ઝૂકવાના જ હતા, પણ આંદોલન CJP પૂરતું સીમિત ન રહ્યું ને તે જનઆંદોલનમાં ફેરવાયું, એટલે સરકારને ઝૂકવા સિવાય બીજો ઈલાજ ન રહ્યો. બાકી, હતું તે પોલીસે પૂરું કર્યું. આડેધડ લાઠીચાર્જ અને ટીયરગેસના હુમલાઓ વચ્ચે એક વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું, એટલે પણ સામાન્ય લોકો ઉશ્કેરાયા ને દેશભરમાં વિરોધનો લોકજુવાળ ઊઠ્યો ને એમ વાત શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાં સુધી આવી. આ આંદોલન કોઈ પક્ષ, વિપક્ષનું આંદોલન ન રહેતાં સર્વવ્યાપી જન આંદોલન બન્યું ને તેણે પરિણામ આપ્યું. એવું નથી કે નીટની પરીક્ષા જ પ્રધાનનાં રાજીનામાનું પ્રધાન કારણ હતું, પ્રધાન સામે બીજા પણ વાંધા હતા. 2024માં 18મી લોકસભાની રચના સમયે ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી તરીકે શપથ લીધા ત્યારે વિપક્ષે નીટ અને શેઇમ શેઈમના નારા લગાવ્યા હતા.

ધર્મેન્દ્ર પ્રધાનના કાર્યકાળ દરમિયાન બે વખત નીટ-યુ.જી. પરીક્ષા અને ગ્રેસ માર્ક્સ સંદર્ભે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો થયાં હતાં. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો ને સી.બી.આઈ. દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી ને તેમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA)ના વડાને રાજીનામું આપવાની ફરજ પડી હતી. પેપર લીક થતાં 12 મે, 2026ને રોજ પરીક્ષા રદ્દ કરવામાં આવી. તે પછી 21 જૂનને રોજ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ફરી પરીક્ષા લેવામાં આવી. CJPએ આ મુદ્દે જંતર મંતર પર 36 દિવસ સુધી  વિરોધ પ્રદર્શન કર્યું. જૂન, 2024માં UGC NET પરીક્ષા પણ પેપર લીક થવાથી રદ્દ થઈ હતી. પ્રશ્નપત્ર ટેલિગ્રામ અને ડાર્ક વેબ દ્વારા લીક થયું હતું. આ બનાવે NTAની વિશ્વસનીયતા પર ઘણાં પ્રશ્નો ઊભા કર્યા. NTAની કામગીરી સતત વિવાદોમાં ઘેરાયેલી રહી. પ્રક્રિયામાં સુધાર લાવવા ઘણી સમિતિઓ રચાઈ, પણ વિવાદો હજી ઉકેલાયા નથી.

2026માં CBSEએ 12 ધોરણની પરીક્ષા માટે ઓન સ્ક્રીન માર્કિંગ સિસ્ટમ લાગુ કરી. તેમાં નબળી સ્કેનિંગ ગુણવત્તા ને ટેકનિકલ સમસ્યાઓને લગતા મુદ્દાઓનો વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ વિરોધ કર્યો. ખાસ કરીને નવી શિક્ષણ નીતિના ત્રિભાષી આગ્રહને લીધે તમિલનાડુમાં ભારે વિવાદ થયો. તત્કાલીન મુખ્ય મંત્રી સ્ટેલિને કેન્દ્ર સરકાર પર હિન્દી થોપવાનો આરોપ મૂક્યો. ધર્મેન્દ્ર પ્રધાને આ આરોપોને ફગાવી દીધાં ને ઉમેર્યું કે આ નીતિ ભાષા વૈવિધ્યને પ્રોત્સાહિત કરવાની છે. આ મુદ્દે રાજ્ય અને કેન્દ્ર સામસામે આવી ગયા.

એક વિવાદ NCERT પુસ્તકોમાં ફેરફારનો પણ ઊભો થયો. આ પુસ્તકોમાંથી મુગલ ઇતિહાસ, 2002ના ગુજરાત રમખાણો જેવા ઘણાં વિભાગો દૂર કરવામાં આવ્યા. સરકારે બોજ ઘટાડવા આવું કર્યું હોવાનું કહ્યું, પણ હકીકતે તો એ ઇતિહાસનું રાજકારણ જ છે. મુગલોનો પાઠ દૂર કરવાથી મુગલોએ દેશ પર રાજ કર્યું એ હકીકત બદલી શકાય એમ છે? લાલકિલ્લો, તાજમહાલ તો છેને ! એ નથી એવું કેવી રીતે માનવું? ઇતિહાસમાં નવું ભલે ઉમેરાય, પણ જૂનું છે, તેને અવગણી શકાય નહીં. અંગ્રેજોએ બસો વર્ષ રાજ કર્યું તે વાતનો ઇનકાર થઇ શકે નહીં. ઇતિહાસ વધુ અધિકૃત બને તેનો વાંધો નથી, પણ કંઇ બન્યું  જ નથી એમ ભણાવવું ક્ષમ્ય નથી.

આ ઉપરાંત કુલપતિઓની નિમણૂકમાં બિન શૈક્ષણિક અને ઉદ્યોગની વ્યક્તિઓને કુલપતિ પદ માટે લાયક ઠેરવવાના પ્રયત્નો થયા ને એમ કરવામાં સાચા શિક્ષણવિદોની બાદબાકી કરવામાં આવી તે ઠીક ન થયું. ઉચ્ચ શિક્ષણમાં સમાનતાના નવા નિયમો દાખલ કરવામાં આવ્યા. અનેક અરજીઓની સુનાવણી કરતાં, સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી, 2026માં એ નિયમોના અમલીકરણ પર રોક લગાવી અને જૂનાં નિયમોને જ જાળવી રાખવાનો નિર્દેશ આપ્યો. આ ને આવાં કારણોસર ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવાની સ્થિતિમાં મુકાવું પડ્યું.

એમાં વેગ આવ્યો, આંદોલનકારીઓ પર પોલીસે બળપ્રયોગ કર્યો ત્યારથી. ડી.સી.પી. નકુમે પોતે જાહેરમાં 25થી વધુ વખત દંડા ફટકાર્યા, વાળ ખેંચ્યા, લાફા માર્યા ને તે હાલ મુક્ત છે. લોક લાગણી એવી છે કે ડી.સી.પી.ને સસ્પેન્ડ કરવા જોઈએ. આ ઉપરાંત 1997માં ધર્મેન્દ્ર પ્રધાનને કારણે ઓડિસાના શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું પડેલું. આ બધું જોવાયું કે એમ જ સરકારે પ્રધાનને રાજીનામું આપવાની ફરજ પાડી તે નથી ખબર, પણ અનેક વિવાદોથી યુવાવર્ગ નારાજ હતો. આમ તો વિવાદોના સરવાળાએ પ્રધાન માટે રાજીનામાની ભૂમિકા રચી દીધી હતી. વધારામાં પોલીસ દમને દેશ આખાનું ધ્યાન ખેંચ્યું ને તે પછી પરિણામ ઝડપી આવ્યું. છાપ તો એવી પણ પડી છે કે ધર્મેન્દ્ર પ્રધાને વિરોધને લાઈટલી લીધો. જો કે, સરકારને ગંધ આવી ગઈ હતી કે મામલો ગંભીર છે ને તેણે ઝડપી પગલાં ભર્યાં.

હાલ તો પ્રહલાદ જોશીને પ્રધાનની જગ્યાનો વધારાનો હવાલો સોંપાયો છે. સરકારે બધી માંગ સ્વીકારતાં ને એમ GEN-Zની જીત થતાં CJPએ આંદોલન સમેટી લીધું છે. વાંગચુકે પણ ઉપવાસ છોડતા અત્યારે તો બધું થાળે પડ્યું છે, પણ નીટ, CBSE, ત્રિભાષી ફોર્મ્યુલા જેવી બાબતોનો કોયડો ન ઉકેલાય ત્યાં સુધી GEN-Zએ જાગૃત રહેવાની જરૂર છે.

12 વર્ષમાં સરકાર ઝૂકતી નથી એ મિથ તૂટ્યું છે. એમાં નાનમ જેવું કઈ નથી. જ્યાં ઝૂકવું અનિવાર્ય થઈ પડે તો ઝૂકવામાં કોઈ સંકોચ ન રાખવો જોઈએ. સરકારે ઝડપી પગલાં લઈને એક દાખલો પણ બેસાડ્યો છે એ નાનીસૂની વાત નથી. નવા શિક્ષણ મંત્રીએ ડેમેજ કન્ટ્રોલ અંગે પણ વિચારવાનું રહે જ છે. સરકાર તમામ વિદ્યાર્થીઓ સામેનાં પોલીસ કેસ ખેંચવા સંમત થઈ છે. સરકારે પેપરલીક કરનારને 10 વર્ષની સજા અને 10 કરોડનો દંડ વસૂલવાની જાહેરાત કરી છે. આ કડક જાહેરાત વ્યવહારુ કેટલી રહે છે, તે આવનારો સમય કહેશે.

આમ તો 22 જુલાઈની રાત સુધી એવી હવા હતી કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહિ આપે. એક તરફ આંદોલનકારીઓ આંદોલનનાં મૂડમાં હતા, એ દરમિયાન ભા.જ.પ.ના મંત્રીઓની અને સંઘ નેતાઓની એક ગુપ્ત બેઠક એવી યોજાઈ કે ભા.જ.પ.ના નેતાઓ જ એ બેઠકથી અજાણ હતા. રાતના સાડા દસ સુધી રાજીનામાની વાત ન હતી. જો કે, પ્રધાને રાજીનામું આપ્યું હોવાનો સરકારને લખેલો પત્ર જાહેર થઇ ચૂક્યો હતો, પણ તે ફેક છે એવા સમાચારોએ વાતને મોળી પાડી હતી. એમ લાગે છે કે 21 જુલાઈનો રાજીનામાનો એ પત્ર સાચો હતો. એક તબક્કે વડા પ્રધાન, પ્રધાનની તરફેણમાં હતા, પણ તેમના સિવાય સૌ કોઈ પ્રધાનનું રાજીનામું પડે એમ ઇચ્છતા હતા ને તેમનો વિજય થયો. બને કે વડા પ્રધાનને એમ હોય કે પ્રધાનનું રાજીનામું પડે તો બીજા મંત્રીઓના રાજીનામાં પણ મંગાય. એમ  ધારવું ખોટું છે ને વડા પ્રધાનને એવું કેમ છે કે બીજા મંત્રીઓનાં રાજીનામાં મંગાય? એવા પ્રધાનો હજી છે જે રાજીનામું આપવાને લાયક છે? તો વડા પ્રધાને જ સામે ચાલીને એનો સફાયો કરવો જોઈએ, એવું નહીં?

એ અત્યંત દુ:ખદ છે કે જેમના સંતાનો વિદેશ રહીને ભણે છે, તે મંત્રીઓ દેશના યુવાધનની ઉપેક્ષા કરે છે. વર્ષોથી શિક્ષણ મંત્રી રહી ચૂકેલા ધર્મેન્દ્ર પ્રધાને શૈક્ષણિક સમસ્યાઓની એટલી ઉપેક્ષા કરી છે કે વિદ્યાર્થીઓને તેમના રાજીનામાની વાત ઉપેક્ષા કરવા જેવી લાગી નથી. એક બાબત તમામ મંત્રીઓએ સમજી લેવાની જરૂર છે અને તે આ દેશની પ્રજાને સમજવાની. આ પ્રજા બહુ વિરોધ કરવામાં માનતી નથી, પણ નીટની ને અન્ય પરીક્ષાઓ સંદર્ભે ચાલેલી ગેરરીતિઓ 22 વ્યક્તિને આત્મહત્યાની ફરજ પાડતી હોય તો પ્રજા માથું ફેરવે તેમાં નવાઈ નથી ને પછી મંત્રીઓ કે અધિકારીઓનું આવી બને છે. આ પ્રજા નક્કી કરે છે માથું ઊંચકવાનું તો તેને પછી કંઇ નડતું નથી ને તે પરિણામ મેળવીને જ રહે છે. દાયકાઓનાં કાઁગ્રેસી શાસનને આ પ્રજા ફગાવી શકતી હોય તો ભા.જ.પ.ને તો 12 જ વર્ષ થયાં છે. પ્રજા લાલચુ હશે, ભ્રષ્ટ હશે, હિંસક હશે, પણ તે રાજકારણ છે કે નથી એ જાણ્યા વગર પરિણામ મેળવે જ છે. તેને લાગે કે સત્તા પરિવર્તન અપેક્ષિત છે, તો કોઈ પણ સરકારનો ઘડો લાડવો કરી શકે છે. જેણે વિધાન સભ્ય કે સાંસદ તરીકે ચૂંટીને મોકલ્યા છે, તેને ચૂંથવાનો કોઈને અધિકાર નથી. પ્રજાનો વિરોધ તીવ્ર હોય તો તે કેવો હોય તે પ્રધાનના વિરોધે સમજાવી દીધું છે.

ધાનનો ત્યાગ, પ્રધાનનો ત્યાગ પણ કરી શકે છે, આશા છે, સરકાર બીજા દાખલાઓ બેસાડવાની રાહ ન જુએ ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 27 જુલાઈ 2026

Loading

...11121314...203040...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved