Opinion Magazine
Number of visits: 9950180
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઓલ્ડ મેન સ્ટાર્ટ ધ વોર્સ, યંગ મેન ફાઈટ એન્ડ ડાય 

સોનલ પરીખ|Opinion - Opinion|8 June 2026

એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો,

તો ટેન્ક પર માથું મૂકી ઊંઘી લઉં 

                                              — માધવ રામાનુજ 

સોનલ પરીખ

ગઈ સદીએ બે વિશ્વયુદ્ધ જોયાં છે. આ સદી ત્રીજું વિશ્વયુદ્ધ જુએ તો નવાઈ નહીં. એ પછી ચોથું વિશ્વયુદ્ધ થાય છે કે નહીં તે જોવા બહુ ઓછા બચશે, પણ બચશે એટલા ફરી નવા યુદ્ધ માટે પ્રવૃત્ત થયા વિના નહીં રહે એ નક્કી, પછી ભલે એ યુદ્ધ આઈન્સ્ટાઈન કહેતા એમ પથ્થરોથી લડાય.

માણસ આટલો યુદ્ધ-ઉત્સુક એમ હશે? કાળના મહાપ્રવાહમાં માણસની 70-80 વર્ષની હસ્તી એક નાના એવા પરપોટા જેટલી પણ નથી, છતાં સત્તાની લાલસા, વર્ચસ્વની પિપાસા અને યુયુત્સાની તૃપ્તિ એને કેવાં ભયાનક યુદ્ધો કરવા પ્રેરે છે! યુદ્ધોના ઘડનારાઓ ઓફિસોમાં બેસી યુદ્ધો શરૂ કરે છે અને નવલોહિયા સૈનિકો રણભૂમિ પર કોઈ નિજી મહત્ત્વાકાંક્ષા વિના પોતાના જેવા જ અજાણ્યા યુવાનોને હણતાં હણતાં પોતે ખલાસ થઈ જાય છે. કેટલી માતાઓ, બહેનો, પત્નીઓ, પ્રેયસીઓ અને સંતાનો બરબાદ થઈ જાય છે. જેમનું કોઈ સરહદ પર ન ગયું હોય એ લોકો પણ અનેક પ્રકારની વિષમતાઓના શિકાર બને છે. 

એક આફ્રિકન કહેવત છે, ‘વૉર ઇઝ ક્રિએટેડ બાય ધ પીપલ ટૂ ઑલ્ડ ટુ ફાઇટ ફૉર ધોઝ ટૂ યંગ ટુ ડાય’ એક હૃદયસ્પર્શી ગીત આજકાલ સોશ્યલ મીડિયા પર ફરી રહ્યું છે : ‘સૂટ પહેરેલો એક માણસ લાકડાના કીમતી ટેબલ પરથી સ્વતંત્રતાનો હવાલો આપી યુદ્ધની ઘોષણા કરે છે. એ માણસ ક્યારે ય વરસતા ગોળા વચ્ચે ગયો નથી, પણ એને તરુણોને આગમાં ઓરતાં આવડે છે – ઓલ્ડ મેન સ્ટાર્ટ ધ વૉર્સ, યંગ મેન ફાઈટ એન્ડ ડાય, રિચ મેન કાઉન્ટ ધ પ્રોફિટ્સ વ્હાઈલ ધ પુઅર મેન ક્રાય, વ્હેન વિલ વી વેક અપ, વ્હેન વિલ વી સી થ્રુ, ધ ઓન્લી વૉર વર્થ ફાઇટિંગ ઈઝ ધ વન ફૉર મી એન્ડ યુ…’ ‘આપણને રંગ, ધર્મ અને જાતિઓમાં વહેંચતો એ માણસ  – એની મહેચ્છા પૂરી કરવા આપણે આપણા પ્રિયજનોને છોડીને લડવા જવાનું? સ્વજનો ગુમાવવાનાં? હાથપગ કપાવવાના? વિસ્થાપિત થવાનું? ઉન્માદના શિકાર થતા રહેવાનું? … બટ વી કેન વેક અપ, યસ, વી કેન સી થ્રુ, ધ ઓન્લી વૉર વર્થ ફાઇટિંગ ઈઝ ધ વન ફૉર મી એન્ડ યુ …’ 

ઈ.સ.પૂર્વે 2300માં સુમેર(હાલનું ઈરાક)ની એક કવયિત્રીએ લખ્યું હતું, ‘હે રાજવીઓ, તમે પર્વતો પરથી વહી રહેલું રક્ત છો; ધિક્કાર, લોભ અને ક્રોધની આગ છો …’ એ પછી હજારેક વર્ષો પછી હોમરે ‘ઈલિયડ’માં યુદ્ધ એ ‘મહાન યોદ્ધાઓને ખલાસ કરતી’ અને તેમના ‘સડતા માંસને ગીધ અને કૂતરાની મિજબાની’ બનાવતી વિભીષિકા છે એમ કહ્યું હતું.  750 ઈ.સ.માં ચીની કવિ લિ પોએ કહેલું, ‘માનવીઓના ક્ષતવિક્ષત શરીર રણના ઘાસને લોહિયાળ કરી રહ્યા છે. સેનાપતિઓ કશું હાંસલ કરી શક્યા નથી.’

શેલી, ટેનિસન, યિટ્સ, એમર્સન, થૉમસ હાર્ડી, રુડ્યાર્ડ કિપ્લિંગ આ બધાએ ખુવારી વેઠી હતી, પણ રણમેદાનમાં જઈ યુદ્ધનો ખરો અનુભવ લીધો ન હતો, પણ પહેલા વિશ્વયુદ્ધના મોટા ભાગનાં યુદ્ધકવિઓ સૈનિક હતા. 25 વર્ષની ઉંમરે માર્યા ગયેલા વિલ્ફ્રેડ ઓવેનનું કાવ્ય લોહિયાળ કીચડમાં કૂચ કરતા સૈનિકો, ગાડામાં ફેંકાઈ ગયેલું શરીર અને ચહેરામાં ફરતી રહી ગયેલી સફેદ આંખો જેવા ચિત્રાત્મક વર્ણનોથી આઘાત આપે છે. બ્રિટિશ કવિ સેફ્રિજ સેશન કહે છે, ‘સવાર પડે અને ધૂળ ઉડાડતું દળ સૂર્યના રક્તિમ ઉજાસને ઢાંકી દે છે. સાંજ એક વિસ્ફૉટ સાથે આથમે છે … ઈશ્વર, અટકાવ હવે આ દૃશ્યોને’ 

યુદ્ધમાં ભાગ લીધો ન હોય, પણ કવિએ યુદ્ધના સાક્ષી કે કેદી તરીકે દમન અથવા માનવઅધિકારના હનનનો ભોગ બનીને લખ્યા હોય એવાં કાવ્યો ‘પોએટ્રી ઑફ વિટનેસ’ કહેવાય છે. તેમાં શૌર્યની ગાથા કરતાં પીડાનું આલેખન અને સામાજિક નિસબત વધારે હોય છે. પ્લેટોએ કહ્યું છે, કવિની જવાબદારી છે કે તેણે સાક્ષી હોવાની પીડા ઝીલવી અને વર્ણવવી. અમેરિકન સિવિલ વૉર વખતે 80,000 ઘાયલોની પરિચર્યા કરનાર વૉલ્ટ વ્હીટમેન લખે છે, ‘કપાઈ ગયેલા હાથના ખભા પરથી, હું ચોંટી ગયેલું કપડું ઉખેડું છું અને સડેલું માંસ કાપી લઈ લોહી અને કચરો ધોઉં છું’ ચિલીના કવિ પાબ્લો નેરુદા સ્પેન સિવિલ વૉર સમયનાં એમનાં જુગુપ્સાજનક છતાં સંવેદનશીલ કાવ્યો માટે જાણીતા છે. અમેરિકાના હૉલોકાસ્ટ મ્યુઝિયમમાં નાઝી કેમ્પોમાં લખાયેલાં કાવ્યોનો મોટો સંગ્રહ છે. જાપાનના કવિ શોડા શિનોએ એટમબૉમ્બે વેરેલા સર્વનાશનાં કાવ્યો લખ્યાં છે. ક્રોએશિયન કવિ મારિઓ સુસ્કોએ બૉસ્નિયાના યુદ્ધનાં કરપીણ ચિત્રકાવ્યો આલેખ્યાં છે. અમેરિકાએ ઈરાક પર આક્રમણ કર્યું ત્યારે યુદ્ધવિરોધી કવિઓએ વ્હાઈટ હાઉસના દરવાજે કાવ્યપઠન કરેલું. આની વૈશ્વિક અસર પડી અને અનેક કાવ્યપઠનો યોજાયાં અને એક દસ્તાવેજી ફિલ્મ તેમ જ 13,000 કવિઓની એક વેબસાઈટ બન્યાં. 

યુદ્ધનું નુકસાન માપી શકાય એવું હોતું નથી. કેટલાક કિસ્સામાં તો તે ભરપાઈ પણ નથી થઈ શકતું, જેવું હિરોશીમા અને નાગાસાકીના કિસ્સામાં થયું છે. યુદ્ધ સ્થાયી નુકસાન પહોંચાડે છે અને તે નુકસાન અતિ સમૃદ્ધ દેશો પણ ખમી શકતા નથી. અમેરિકા અને રશિયા જેવાં સુપરપાવર કહેવાતાં દેશો પણ નહીં. છતાં યુદ્ધ થયા કરે છે. અડધે પહોંચવા આવેલી એકવીસમી સદી વિશ્વયુદ્ધના ઓથાર નીચે હાંફી રહી છે.

1959માં મનોચિકિત્સક સિગમંડ ફ્રોઈડે આઈન્સ્ટાઈનને લખ્યું હતું, ‘આજની દુનિયામાં ન્યાય એ પશુબળના પાયા પર ઊભેલો છે, ને હિંસા દ્વારા જ નિભાવાઈ રહ્યો છે. માણસ યુદ્ધની મહામારીના ચેપનો ખૂબ જલદી ભોગ થઈ પડે છે – લાગે છે કે એનામાં સ્વયંસ્ફૂર્ત એવી ધિક્કાર અને ક્રૂરતાની વૃત્તિ પડેલી હોવી જોઈએ, જે તક મળતાં જ વિફરી ઊઠે છે. આ વૃત્તિને આપણે કચડી નાખી શકવાના નથી. આપણે જો કંઈ વિચારવાનું હોય તો તે એટલું જ કે, એની એ વૃત્તિઓને યુદ્ધ સિવાયના બીજા માર્ગોએ વાળવી શી રીતે?’ અને ઉકેલ આપે છે, ‘જો આક્રમકતા અને વિનાશ કરવાની વૃત્તિ માણસને યુદ્ધ તરફ ધકેલી લઈ જતી હોય, તો એની સામા છેડાની વૃત્તિને – અર્થાત સર્જનની વૃત્તિને આપણે હાથમાં લેવી જોઈએ.’

ઇતિહાસમાં લગભગ દરેક યુદ્ધ સાથે યુદ્ધવિરોધી આંદોલનો થયાં છે. 1920માં લીગ ઓફ નેશન્સ કોવેનન્ટે સભ્ય દેશોને નવ મહિના સમાધાનનો પ્રયાસ કર્યા પછી જ યુદ્ધનો આશરો લેવા ફરજ પાડી હતી. 1928ના કેલોગ-બ્રાયન્ડ કરારે તેના 63 પક્ષોને યુદ્ધનો રાષ્ટ્રીય નીતિના સાધન તરીકે ત્યાગ કરવાની શરત મૂકી હતી. સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરે આંતરરાષ્ટ્રીય વિવાદોના શાંતિપૂર્ણ સમાધાનની હિમાયત કરી હતી. આવી ચળવળોનો સરકારોના નિર્ણયો પર પ્રભાવ પડે છે કે નહીં તે વિવાદનો વિષય છે પણ યુદ્ધ વિરોધી ચળવળોએ યુદ્ધોને ટૂંકાવ્યાં કે અટકાવ્યાં હોવાના દાખલા બન્યા છે. 1960 અને 1970ના દાયકા દરમિયાન ઉત્તર અમેરિકા અને યુરોપમાં થયેલી યુદ્ધવિરોધી ચળવળો વિયેતનામમાં અમેરિકન હસ્તક્ષેપ અંગે તેમની સરકારોની નીતિઓને આકાર આપવામાં ઘણે અંશે સફળ થઈ હતી. છતાં, યુદ્ધવિરોધ શૂન્યાવકાશમાં ચાલી શકતો નથી. તેને સંવેદનશીલ સરકાર, સ્વતંત્ર-સહાનુભૂતિપૂર્ણ માધ્યમો અને ગ્રહણશીલ પ્રજાની જરૂર હોય છે એ યાદ રાખવું રહ્યું. 

યુદ્ધ ગમે ત્યાં થાય, એની અસર આખી દુનિયા પર પડે છે. મખદૂમ મોઇનુદ્દીન લખે છે, ‘કૌન દુખિયા હૈ જો ગા રહી હી, ભૂખે બચ્ચોં કો બહલા રહી હૈ, લાશ જલને કી બૂ આ રહી હૈ, ઝિંદગી હૈ કિ ચિલ્લા રહી હૈ … જાનેવાલે સિપાહી સે પૂછો, વો કહાં જા રહા હૈ’ આવો જ વેધક પ્રશ્ન જાવેદ અખ્તરનો છે, ‘હમ અપને અપને ખેતોં મેં ગેહૂં કી જગહ ચાવલ કી જગહ યે બંદૂકેં ક્યોં બોતે હૈં … જબ દોનોં હી કી ગલિયોં મેં કુછ ભૂખે બચ્ચેં રોતે હૈં’   

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 12 ઍપ્રિલ  2026

Loading

સ્પર્ધા અને ઈર્ષા એક નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|8 June 2026

રવીન્દ્ર પારેખ

એવું કેમ છે કે સ્વમાની માણસ અતડો રહે છે ને ખુશામતખોર, માણસોમાં જ ફરતો રહે છે. આ બંને પ્રકારના માણસો ઇચ્છનીય નથી, પણ તે હોય છે ને હોય જ છે. માણસને સ્વમાન વહાલું હોય, તે અપેક્ષિત છે. એ જ રીતે લોકોમાં ભળે એ માણસ પણ જરૂરી છે. પણ સ્વમાની માણસ અતડો રહે ને કોઈમાં ભળે જ નહીં, તો તેનો કોઈને શો ખપ હોય? સ્વમાન એ અભિમાનનો પર્યાય નથી. સ્વમાની માણસ અતડો હોય તો તે અહંકારી હોઈ શકે છે. એવું હોય તો, તેનું સ્વમાન જ ખપનું નથી. જે સ્વમાની કોઈને ખપનો જ ન હોય, તો તેવી વ્યક્તિ ભલે પોરસાતી રહે, પણ તેનો સમાજને કશો ખપ નથી. તે જ રીતે જે માણસ લોકોમાં ભળતો હોય, પણ તેમાં તેનો સ્વાર્થ જ હોય તો તે બીજાને મદદ કરવાને બહાને પોતાનું જ કલ્યાણ કરતો રહેશે. પોતાનું કામ કઢાવવા તે ખુશામત કરવી પડે તો તે પણ કરશે. વળી કોઈનું કામ પણ કરી આપશે, પણ હેતુ તો પોતાનું હિત સાધવાનો જ હશે. સ્વમાની કોઈની ખુશામત ન કરે કે કોઈને ન મળીને કોઈનું અહિત પણ નહીં કરે કદાચ, તો એમાં પણ કેન્દ્રમાં તો તે જ રહેવા માંગે છે. એ રીતે કેવળ અતડો સ્વમાની ને લોકભોગ્ય ખુશામતખોર, બંને સમાજનું હિત કરતા નથી એ સ્પષ્ટ છે.

એક સમારોહમાં જવાનું બન્યું. એમાં બંને પ્રકારના માણસોનો પરિચય થયો. એ કાર્યક્રમનું સંચાલન કરનાર ખુશામતખોર વ્યક્તિએ મને કહ્યું કે કોઈને કહેતા નહીં, પણ પેલા સ્વમાની ને અતડા સજ્જનને એક મોટું પારિતોષિક ન મળે એને માટે મેં એડીચોટીનું જોર લગાવી દીધેલું ને ઉપર સુધી એ કોશિશ કરેલી કે પાત્રતા હોવા છતાં તેમને ઇનામ ન જ મળે. મેં એમને પૂછ્યું કે આ તમે ઠીક કર્યું છે? યોગ્યને અયોગ્ય ને અયોગ્યને યોગ્ય ઠેરવવામાં ન્યાય કોઈને થતો નથી. તમે એ વાતે જરૂર પોરસાઈ શકો કે તમે તમારું ધાર્યું કરીને રહ્યા, પણ એ ક્યારેક બૂમરેંગ પણ બની શકે છે એ ના ભૂલવું જોઈએ.

એવી જ રીતે એ સમારોહમાં પેલા સ્વમાની સજ્જન પણ મળ્યાં. એમને ક્યાંકથી ખબર પડી કે પેલા ખુશામતખોર સજ્જને ઇનામ પોતાના સુધી ના પહોંચવા દીધું. મેં એમને આશ્વસ્ત કર્યા. તો, એ સામે ઉછળ્યા. મને તો એની કંઇ પડી નથી. એક ઇનામ ના મળે તેથી કંઇ દુનિયા પૂરી થઇ જતી નથી. જેનામાં વિત્ત ના હોય, તે જ કોઈની ખુશામત કરતાં હોય છે. હું તો એવા પર થૂંકું પણ નહીં. મેં એમને યાદ અપાવ્યું કે તમે થૂંકવા રાજી નથી એ માણસે તમારું ઇનામ અટકાવ્યું, એટલે વિત્ત નથી જ એમ તો કેમ કહેવાય?

એ ખરું કે એવું કરવા જેવું ન હતું. એ જ રીતે તમે એ મિત્રને સાવ ક્ષુલ્લક ગણો એ પણ બરાબર નથી. મને એ જ વાંધો છે. મિત્ર ઉકળ્યા. તમારા જેવા તટસ્થ માણસો પણ ઉપયોગી નથી. કોઈ પણ પક્ષે તમે ઊભા જ ના રહો એથી કોઈ હેતુ સરતો નથી. બંને પક્ષ સાચા ના હોય, એમ જ બંને ખોટાં પણ ના હોય, ત્યાં તમે તમારી તટસ્થતાથી જે પક્ષ સાચો છે, ત્યાં પણ ના રહો તે સાચને અન્યાય કરવા બરાબર છે. એ ભાઈ કદાચ સાચા હતા. હું કોઈનો જ પક્ષ ના લઉં તો તેનો અર્થ એ થયો કે હું ખોટાને પક્ષે નથી, તો સાચાને પક્ષે પણ નથી. બધાં આમ જ કરતાં રહે તો સત્ય કદી બહાર જ ના આવે. એમ થવા દેવા જેવું નથી.

આમ બને છે, એમાં સ્પર્ધાભાવ કરતાં ઇર્ષાભાવ વધારે સક્રિય હોઈ શકે છે. સ્પર્ધાભાવ હોવો સારી બાબત છે. તંદુરસ્ત સ્પર્ધા ઇચ્છનીય છે. તેથી સામાને પરાસ્ત કરી વિજયી બનવાની તક ઊભી થાય છે. પરાસ્ત કરવામાં સ્પર્ધકે પોતાની તમામ શક્તિ કામે લગાડવાની રહે છે, તેનો અર્થ એવો નથી કે સામેવાળાને હરાવવા આસુરી શક્તિ કામે લગાડવાની છે. સામેવાળાને છેતરીને કે છળકપટ કરીને જીતવામાં સ્પર્ધા નથી. દગો છે. બદમાશી છે. લુચ્ચાઈ છે. જીતી જવું તેમાં બહાદુરી નથી. કેવી રીતે જીતો છો, એમાં હોય તો હોય. કોઈને માટે દુર્ભાવ હોય ને તેને બેઠો થવા જ ના દેવો હોય, તેમાં ખેલદિલી નથી, ઈર્ષા છે. ઈર્ષા હોય ત્યાં સ્પર્ધા નથી રહેતી, શત્રુતા જ બચે છે. શત્રુતા ને સ્પર્ધા એક નથી. ધારો કે કારની સ્પર્ધા છે. એક સ્પર્ધક ખેલદિલીથી સ્પર્ધા જીતવા આવ્યો છે ને તેની સામેનો સ્પર્ધક તે ના જીતે એ માટે હવા કાઢી નાખે કે કારમાં પંક્ચર પાડી દે, તો તેમાં સ્પર્ધા નથી, ઈર્ષા છે.

આવું કેમ થાય છે? સ્પર્ધામાં ખેલદિલી હોવી ઘટે, પણ કેટલીક વ્યક્તિઓ કોઈ પણ રીતે જીતવા માંગે છે. આવું ત્યારે જ બને જો સ્પર્ધક અશક્ત હોય. તેને પોતાનામાં ભરોસો ના હોય, તે જ ખોટી રીતે જીતવા મથે. એમાં કદાચ તે જીતી પણ જાય, પણ તે બરાબર જાણતો હોય છે કે તે કેવી રીતે જીત્યો છે. કેટલાક વિજેતાઓને તો જીત જ મહત્ત્વની છે. તે કેવી રીતે જીત્યો એ તરફ તે જાણી જોઇને ધ્યાન જ નથી આપતો. તે એટલે કે તે સાધન શુદ્ધિમાં નથી માનતો. એમાં માનતો હોય તે આવું કરે જ નહીં.

ઘણીવાર ઈર્ષાની વાત સ્પર્ધા પૂરતી સીમિત નથી હોતી. તે સામાન્ય માણસથી લઈને અબજોપતિમાં પણ હોય છે. એક પટાવાળાને પ્રમોશન મળે તો બીજાને તેની ઈર્ષા થાય છે. તે સાહેબની સામે તેનું ભૂંડું બોલવામાંથી નથી ચૂકતો. આવી ઈર્ષા અબજોપતિ કે ઉદ્યોગપતિઓમાં પણ હોય છે. તેમાં સ્પર્ધા એટલી તીવ્ર હોય છે કે બધું હોવા છતાં સામેવાળાને કેમ પછાડવો એ ઝનૂન કામ કરતુ હોય છે. એમાં ઈર્ષા ને સ્પર્ધા એક સાથે ને સમાંતરે હોય છે. ઘણી વાર તો આ ઈર્ષા એટલી તીવ્ર હોય છે કે હિંસા ને હત્યા સુધી પણ વાત પહોંચતી હોય છે. આવી ઈર્ષા કોઈ રીતે ઇચ્છનીય નથી, પણ તે હોય છે ને ઘણી બધી હોય છે. જગતમાં બધા જ ખરાબ કે ઈર્ષાળુ નથી હોતા. કેટલાક સારા અને ઈર્ષાભાવથી પર પણ હોય છે. તે સ્પર્ધામાં હારવાનું પસંદ કરશે અથવા તો સ્પર્ધામાંથી ખસી જવાનું પસંદ કરશે, પણ બદઇરાદાથી સ્પર્ધામાં રહેવાનું પસંદ નહીં કરે.

આવું કેમ છે? કેમ જગતમાં ઈર્ષા, વેરઝેર, હિંસા બહારથી ઘર સુધી આવી ગઈ છે. સત્યનું મહત્ત્વ બધા જ સમજે છે, પણ મહિમા અસત્યનો થાય છે. સલાહ સદ્દભાવ દાખવવા અપાય છે, પણ પ્રભાવ દુર્ભાવનો વધુ છે. વાત અહિંસાની થાય છે, પણ છાપાં, હિંસા, અનાચાર, હત્યાથી ભરેલાં હોય છે. ઉપદેશ સતનો અપાય છે ને વર્તનમાં અસત પ્રગટ્યાં કરે છે. આપણે રામની, કૃષ્ણની પૂજા કરીએ છીએ. ક્યારે ય રાવણની, દુર્યોધનની નથી કરતા. કેમ? શક્તિશાળી ખલનાયકો હોય છે, જયારે નાયકો સૌમ્ય અને ઋજુ સ્વભાવના હોય છે, પણ જીત રાવણની થતી નથી. દુર્યોધન હારે જ છે. સ્પર્ધા કે યુદ્ધ ગમે એટલાં આસુરી તત્ત્વો તરફનાં હોય, તો પણ કૃષ્ણ ગીતા ઉપદેશે છે અર્જુનને, દુર્યોધનને નહીં ! ગમે તે સ્થિતિ હોય પરિણામ સત્યમાં આવે છે. તો દુર્યોધન, રાવણની જરૂર કેમ ઊભી થઈ? તે એટલે કે આસુરી તત્ત્વો વચ્ચે ટકવામાં સત્યની કસોટી સૌથી વધુ થાય છે ને એમ થાય છે તો સત્યની કિંમત સમજાય છે. સત્ય કસોટી વગર પુરવાર થતું નથી ને આ બધા વગર તે પુરવાર કરવાનું મુશ્કેલ છે ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 જૂન 2026

Loading

અટેન્શન ઇકોનોમીઃ આપણે ટેક જાયન્ટ્સનાં ગ્રાહક નથી રહ્યા, પ્રોડક્ટ બની ગયા છીએ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|7 June 2026

જે ટેક્નોલૉજી આપણા સમયની બચત કરવા માટે આવી હતી, તે જ આજે આપણા સમય માટે, આપણી સાથે જ, સૌથી આક્રમક રીતે સ્પર્ધા કરી રહી છે. જે સાધનો આપણને એકબીજા સાથે જોડવા માટે બનાવવામાં આવ્યા હતા, તેમણે જ હવે આપણું ધ્યાન ખેંચવા માટે અસંખ્ય દાવેદારો ઊભા કરી દીધા છે

ચિરંતના ભટ્ટ

આપણને સારી પેઠે ખબર છે કે સ્ક્રીન ટાઇમના મામલે આપણે સાવ બેદરકાર બની ગયા છીએ. ફોન હોય, ટેલિવિઝન હોય કે ટેબ્લેટ, દિવસનો મોટા ભાગનો સમય હવે સ્ક્રીન સામે જ પસાર થાય છે. ડેટા રિપોર્ટલ (DataReportal, 2025) અને ઈન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (Internet and Mobile Association of India – IAMAI, 2024) જેવા અહેવાલો સૂચવે છે કે ભારતીયો દરરોજ સરેરાશ છથી સાત કલાક સ્ક્રીન પર વિતાવે છે. છતાં મોટા ભાગના લોકોને પૂછો કે તેમની પાસે સૌથી વધુ અછત શેની છે, તો જવાબ લગભગ એક જ મળે છે, સમય.

આ વિરોધાભાસ જ આપણા વર્તમાન સમયની સૌથી મોટી કથા છે. સમસ્યા ટેક્નોલૉજી નથી, સમસ્યા એ છે કે ટેક્નોલૉજી આપણું ધ્યાન ખેંચી રાખે છે, તેણે કબજે કરી લીધું છે એમ કહેવામાં ય અતિશયોક્તિ નથી. આપણે પહેલાં વાત કરી છે તેમ માનવજાતના ઇતિહાસમાં દરેક યુગની એક આગવી સંપત્તિ રહી છે. જમીનને કારણે સામ્રાજ્યો ઊભાં થયાં તો કોલસાએ ઔદ્યોગિક ક્રાંતિને વેગ આપ્યો. વીસમી સદીમાં તેલને પગલે ભૌગોલિક રાજકારણ ખેલાયું અને આજે પણ તે યુદ્ધ, ગઠબંધનો અને અર્થતંત્રો પર અસર કરે છે. 

પણ આજના સમયામાં સૌથી વધુ કિંમતી કહી શકાય તેવો અને જે સત્તાઓ, ટેક જાયન્ટ્સ વગેરે માટે હરીફાઈનો વિષય બન્યો છે તે છે માણસનું ધ્યાન; તે ન તો કોઈ કારખાનામાં બને છે ન તો તેને કોઈ કોઠારમાં સંગ્રહી શકાય છે. ક્રુડ ઓઈલ કે મૂડીની માફક અટેન્શન કે ધ્યાન એકઠું કરી શકાય તેમ નથી. પૃથ્વી પર દરેક માણસને સમયનો સરખો હિસ્સો જ મળે છે. આ સમય વપરાઇ જાય, ધ્યાન કોઈ બાબત પરથી હટી જાય પછી તે કાયમ માટે જતી રહેતી ચીજો છે. કદાચ આ જ તેની સૌથી મોટી કિંમત છે જે આપણે બેધ્યાન રહીએ ચૂકવીએ છીએ. 

પચાસેક વર્ષ કરતાં પણ પહેલાના સમયમાં અર્થશાસ્ત્રી અને નોબેલ વિજેતા હર્બર્ટ એ. સાયમને એક અગત્યનુ અવલોકન કર્યું હતું, “માહિતીની સમૃદ્ધિ અંતે તો ધ્યાનની ગરીબી સર્જે છે.” તે સમયે આ વાત પુસ્તકિયું જ્ઞાન લાગી હતી આજે આ વિધાન ડિજિટલ અર્થતંત્રનો વ્યવસાયિક નકશો લાગે છે. 

જરા દુનિયાની સૌથી શક્તિશાળી ટેક્નોલૉજી કંપનીઓ તરફ નજર કરીએ. ગૂગલ માત્ર જવાબો આપતી કંપની નથી. તે માનવ જિજ્ઞાસાની દરેક ક્ષણને પકડી લે છે. મેટા માત્ર લોકોને એકબીજા સાથે જોડતી કંપની નથી. તે આપણાં વર્તન, સંબંધો અને પસંદગીઓનો સતત અભ્યાસ કરે છે. સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ પણ માત્ર મનોરંજન પૂરું પાડતાં નથી; દર્શકોને શક્ય તેટલા લાંબા સમય સુધી પોતાની સાથે જોડી રાખવા માટે જ તેમની રચના કરવામાં આવી છે. તેમની પ્રોડક્ટ માત્ર કોઈ એપ્લિકેશન નથી, તેમની ખરી પ્રોડક્ટ છે અટેન્શન, ધ્યાન અને એ પણ આપણું ધ્યાન.

સોશ્યલ મીડિયાએ જાહેરાતોના બિઝનેસને અકલ્પનીય રીતે માપી શકાય એવો બનાવી દીધો છે. દરેક ક્લિક, દરેક થોભો, દરેક શેર અને દરેક પ્રતિક્રિયા ડેટામાં ફેરવાઈ જાય છે. અલ્ગોરિધમ્સ એ શીખે છે કે વપરાશકર્તાઓને કઈ બાબતો સૌથી વધુ જકડી રાખે છે અને ત્યાર બાદ તેમની સ્ક્રીન પર શું દેખાડવું તે સતત વધુ ચોક્કસ બનાવતાં રહે છે. આપણામાંથી મોટા ભાગના લોકોએ અનુભવ્યું હશે કે કોઈ વસ્તુ વિશે વિચારવાનું કે શોધવાનું શરૂ કરીએ અને થોડા સમય પછી એ સંબંધિત જાહેરાતો, વીડિયો કે સૂચનો સતત દેખાવા લાગે. આ કોઈ સંયોગ નથી. આ પાછળ ડેટા, આયોજન અને વ્યૂહરચના કામ કરતી હોય છે. ઘરમાં રહેનારા તમારી વાત નહીં સાંભળે પણ તમારો ફોન, તેનો ડેટા, સોશ્યલ મીડિયા તમારી વાત વધારે ધ્યાનથી સાંભળે છે અને તમને જે જોઈએ છે એ જ પીરસે છે. જાહેરાતની આ શૈલીને પહેલાંની પેઢી નહોતી જાણતી. આ માણસના વર્તનને પ્રભાવિત કરનારી એક સુનિયોજિત પ્રક્રિયા છે. વિશ્વની સૌથી અદ્યતન ટેક્નોલૉજી કંપનીઓ હવે ગ્રાહકો મળે તેની સ્પર્ધામાં નથી. તેમનો બિઝનેસ છે માનવ ચેતનાની મિનિટો, સેકન્ડો અને ક્ષણો માટે સ્પર્ધા કરવી. તેમનો મુખ્ય હેતુ છે યુઝર્સનું એન્ગેજમેન્ટ વધારવું, એટલે કે પોતાના પ્લેટફોર્મ પર યુઝર વધારેમાં વધારે સમય રહે, ત્યાં સંવાદ સાધે અને તેની સાથે જોડાયેલો રહે. કમનસીબે એન્ગેજમેન્ટ ઘણી વખત વિચારપૂર્વકના વિશ્લેષણ કરતાં ગુસ્સા, ભય અને જૂથવાદ દ્વારા વધુ ઝડપથી પેદા થાય છે. અલ્ગોરિધમે માનવ જૂથવાદ શોધ્યો છે એમ નથી, આપણે બધાં જ વાડાબંધી માનસિકતાના શિકાર છીએ અને અલ્ગોરિધમને એ ખબર પડી ગઈ છે કે જૂથવાદ કે વાડાબંધી નફાનો ધંધો છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આ આખી પ્રક્રિયાને વધુ ઘેરી બનાવવાની ક્ષમતા ધરાવે છે. 

હજી થોડા સમય પહેલાં અટેન્શન કે ધ્યાન માટેની સ્પર્ધા વિતરણ એટલે કે ડિસ્ટ્રીબ્યુશનની હરીફાઈ હતી, સૌથી અસરકારક મેસેજિંગ સાથે સૌથી વધુ લોકો સુધી કોણ પહોંચી શકે તેની આ રેસ હતી. AIએ આ સમીકરણો બદલી નાખ્યાં છે. હવે રમત માત્ર લોકો સુધી પહોંચવાની નથી રહી. હવે વાત એવી સામગ્રી કે કન્ટેન્ટ બનાવવાની છે જે તમારી પસંદગીઓ, તમારી લાગણીઓ અને તમારા મનમાં પહેલેથી બેઠેલા પૂર્વગ્રહોને ધ્યાનમાં રાખીને ખાસ તમારા માટે તૈયાર કરવામાં આવે. અલ્ગોરિધમ્સ પહેલેથી જ વ્યક્તિગત સમાચાર ફીડ્સ, ભલામણો અને ડિજિટલ અનુભવો તૈયાર કરી રહ્યા છે (Platform Transparency Reports, 2024–2025). જેમ જેમ આ પ્રણાલીઓ વધુ અદ્યતન બનશે, તેમ તેમ સાચી માહિતી અને માત્ર યુઝર્સને જકડી રાખવા માટે બનાવાયેલી માહિતી વચ્ચેનો ભેદ પારખવો વધુ મુશ્કેલ બનતો જશે. આ માત્ર ટેક્નોલૉજી સંબંધિત પડકાર નથી. આ આખા સમાજ સામે ઊભો થયેલો પડકાર છે.

રાજકારણ કદાચ સૌથી સ્પષ્ટ રીતે બતાવે છે કે અટેન્શન ઈકોનોમી માણસોના વર્તનને કેવી રીતે બદલી નાખે છે. પરંપરાગત મીડિયાના સમયમાં રાજકીય સંદેશાઓને સંપાદકીય ચકાસણી અને સમયની અમુક મર્યાદાઓમાંથી પસાર થવું પડતું હતું. સોશ્યલ મીડિયાએ આમાંથી મોટા ભાગની મર્યાદાઓ દૂર કરી નાખી. આજે માત્ર દેખાતા રહેવું પણ એક પ્રકારની રાજકીય શક્તિ બની ગયું છે. રાજકીય નેતાઓ સારી રીતે સમજી ગયા છે કે લોકોનું ધ્યાન એટલે પ્રભાવ અને પ્રભાવ એટલે પરિણામ. અટેન્શન ઈકોનોમીના યુગમાં ઘણી વખત અસરકારક હોવા કરતાં સતત દેખાતા રહેવું વધુ મહત્ત્વનું બની જાય છે.

આ જ દબાણ પત્રકારત્વ પર પણ જોવા મળે છે. સમાચાર સંસ્થાઓ હવે માત્ર એકબીજા સામે નહીં, પરંતુ અલ્ગોરિધમ્સ દ્વારા સતત પીરસાતી અઢળક સામગ્રી સામે પણ હરીફાઈ કરે છે. ઝડપને વાહવાહી મળે છે, ઉશ્કેરણીજનક કન્ટેન્ટ ક્લિક્સ મળે છે અને ઘણી વખત સૂક્ષ્મતા પાછળ રહી જાય છે. તેની અસર માત્ર મીડિયા કે રાજકારણ પૂરતી મર્યાદિત નથી. આપણા રોજિંદા વ્યાવસાયિક જીવનમાં પણ આ પરિવર્તન સ્પષ્ટ દેખાય છે. ડૉક્ટરો હવે કન્ટેન્ટ બનાવે છે. પ્રોફેસરો ઓનલાઈન ઓડિયન્સ ઊભી કરે છે. પત્રકારો પોતાની વ્યક્તિગત ફોલોઇંગ વિકસાવે છે. ઉદ્યોગસાહસિકો ઇન્ફ્લુએન્સર બની જાય છે. એક સમય હતો જ્યારે કોઈ વ્યક્તિની કુશળતા અને અનુભવ તેની ઓળખ નક્કી કરતાં હતા, પરંતુ હવે ઘણા ક્ષેત્રોમાં લોકો તમને કેટલા ઓળખે છે તે પણ તમારી ક્ષમતાના માપદંડનો ભાગ બની ગયું છે.

ભારતમાં આ સમગ્ર ઘટનાક્રમનાં કદ અને વ્યાપ કદાચ સૌથી વધારે છે. આજે ભારતમાં 90 કરોડથી વધુ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે (IAMAI 2025; DataReportal January 2026) અને તે વિશ્વના સૌથી મોટા ડિજિટલ સમાજમાંનો એક છે. આ વૃદ્ધિનો મોટો હિસ્સો એવા લોકોમાંથી આવ્યો છે જેમણે સ્માર્ટફોન દ્વારા પહેલી વખત ડિજિટલ દુનિયામાં પ્રવેશ કર્યો. વૉટ્સએપ જેવા પ્લેટફોર્મ્સ હવે માત્ર મેસેજિંગ એપ્લિકેશન રહ્યાં નથી. તે માહિતીની આપ-લે, મનોરંજન અને રાજકીય સંવાદના મહત્ત્વના માધ્યમ બની ગયાં છે.

અલબત્ત, આ બદલાવ સાથે અસંખ્ય તકો પણ ઊભી થઈ છે. મુખ્ય પ્રવાહના મીડિયામાં જે અવાજો પહેલાં સંભળાતા નહોતા તેઓ આજે લાખો લોકો સુધી પહોંચી શકે છે. સ્વતંત્ર પત્રકારત્વ, સાંસ્કૃતિક ચર્ચાઓ અને વિશિષ્ટ ક્ષેત્રોમાં નિપુણતા ધરાવતા લોકો હવે પરંપરાગત ગેટકીપર્સ પર નિર્ભર રહ્યા વગર પોતાના સમુદાયો અને ઓડિયન્સ ઊભાં કરી શકે છે.

પરંતુ આ સિક્કાની બીજી બાજુ પણ છે. જ્યારે એન્ગેજમેન્ટ કોઈ પણ પ્લેટફોર્મ માટે સૌથી મહત્ત્વનો માપદંડ બની જાય છે ત્યારે એવી સામગ્રીને પ્રોત્સાહન મળવા લાગે છે જે તરત જ પ્રતિક્રિયા પેદા કરે. અફવાઓ ઘણી વખત હકીકતો કરતાં ઝડપથી ફેલાય છે. લાગણીઓ ઘણી વખત ચકાસણી કરતાં આગળ નીકળી જાય છે. અને દેખાડો ઘણી વખત વિશ્વસનીયતાને પાછળ છોડી દે છે. સમસ્યા એ નથી કે લોકો અચાનક ઓછા વિચારશીલ બની ગયા છે. સમસ્યા એ છે કે ડિજિટલ પ્લેટફોર્મ્સે શોધી કાઢ્યું છે કે માણસના ધ્યાનને માપી શકાય છે, તેની આગાહી કરી શકાય છે અને સૌથી અગત્યનું કે તેમાંથી નફો કમાઈ શકાય છે. 

આ આખી ચર્ચાનું એક બીજું પાસું છે જેના વિશે બહુ વાત નથી થતી. આપણી અંદરની દુનિયામાં પણ કંઈક બદલાઈ રહ્યું છે. કોઈ પુસ્તક વાંચવું, કોઈ ફિલ્મ ધ્યાનથી જોવી, લાંબી અને અર્થપૂર્ણ વાતચીતમાં ભાગ લેવો કે પછી થોડો સમય જાત સાથે જ બેસી રહેવા જેવી બાબતો માટે એકાગ્રતાની જરૂર પડે છે. કમનસીબે આધુનિક ડિજિટલ દુનિયા સતત આ એકાગ્રતાની કસોટી કરતી રહે છે.

જે ટેક્નોલૉજી આપણા સમયની બચત કરવા માટે આવી હતી, તે જ આજે આપણા સમય માટે, આપણી સાથે જ, સૌથી આક્રમક રીતે સ્પર્ધા કરી રહી છે. જે સાધનો આપણને એકબીજા સાથે જોડવા માટે બનાવવામાં આવ્યા હતા, તેમણે જ હવે આપણું ધ્યાન ખેંચવા માટે અસંખ્ય દાવેદારો ઊભા કરી દીધા છે. પરિણામે એકાગ્રતા જ દુર્લભ સંપત્તિ બનતી જાય છે. અને આ સૌથી મોટી વિડંબના છે. જે આર્થિક વ્યવસ્થાએ માણસના ધ્યાનને એક પ્રોડક્ટમાં ફેરવી દીધું, એ જ વ્યવસ્થા હવે ડિજિટલ ડિટોક્સ, માઇન્ડફુલનેસ રિટ્રીટ્સ અને પ્રોડક્ટિવિટી સિસ્ટમ્સના નામે એ ધ્યાનની ગેરહાજરી વેચીને નફો કમાઈ રહી છે.

હવે સવાલ એ પણ થાય કે આ બધા માટે જવાબદાર કોણ? અટેન્શન ઈકોનોમી પાછળ શેરહોલ્ડર્સ છે, ત્રિમાસિક નફાના ટાર્ગેટ્સ અને મોટાંમસ વ્યાવસાયિક હિતો છે. પરંતુ તેની સામાજિક કિંમત કોણ ચૂકવે છે? ઘટી રહેલો વિશ્વાસ, ખોટી માહિતીનો ફેલાવો, વધતું ધ્રુવીકરણ અને માનસિક સ્વાસ્થ્ય અંગે ઊભી થતી ચિંતાઓનો બોજ આખરે સમાજે જ ઉપાડવાનો આવે છે, જ્યારે એન્ગેજમેન્ટમાંથી થતો નફો થોડાક મોટા ખેલાડીઓના હાથમાં સમાઈ જાય છે. નિયમન વ્યવસ્થા હજુ સુધી આ ગતિ સાથે તાલ મિલાવી શકી નથી. સરકારો એક તરફ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર નિયંત્રણ લાવવાની વાત કરે છે, તો બીજી તરફ એ જ પ્લેટફોર્મ્સનો ઉપયોગ સંદેશાવ્યવહાર અને રાજકીય પહોંચ વધારવા માટે પણ કરે છે. અહીં રહેલો વિરોધાભાસ સ્પષ્ટ છે. ડિજિટલ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરવો કે નહીં તે પસંદગી ખરેખર આપણી છે, પણ એ પણ એટલું જ સાચું છે કે આ આખા તંત્રની રચના, તેની ડિઝાઈન ખૂબ વિચારીને કરવામાં આવી છે. 

સૌથી મહત્ત્વના પ્રશ્નનું મૂળ અહીં જ છે. જે વ્યવસ્થા મૂળભૂત રીતે આપણું ધ્યાન ખેંચી લેવા માટે બનાવવામાં આવી હોય, ત્યાં પોતાનું ધ્યાન ક્યાં આપવું છે, તે નક્કી કરવું પણ એક પ્રકારની સ્વતંત્રતા અને સજાગતા બની જાય છે. આપણી સૌથી કિંમતી સંપત્તિ પૈસા નથી, ડેટા નથી કે પછી આપણો મત પણ નથી. આપણી સૌથી મોટી સંપત્તિ છે એ નક્કી કરવાની ક્ષમતા કે આપણે કઈ બાબતને કેટલું ધ્યાન આપવું છે. દરેક સ્ક્રોલ એક નિર્ણય છે. કોઈ પણ પ્લેટફોર્મ પર વિતાવેલો દરેક કલાક એક પ્રકારનો વ્યવહાર છે.

બાય ધી વેઃ 

આપણે આપણું ધ્યાન કોને કે ક્યાં આપી રહ્યા છીએ? એ આપીને આપણે કેવા પ્રકારની દુનિયા ઊભી કરવામાં ફાળો આપી રહ્યા છીએ? આ હવે વ્યક્તિગત પ્રશ્ન નથી. આ રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક પ્રશ્નો પણ છે. કારણ કે ભવિષ્ય કદાચ માહિતી પર નિયંત્રણ ધરાવનારાઓના હાથમાં નહીં હોય પણ જે લોકો અટેન્શન પર નિયંત્રણ રાખતા હશે તેમના હાથમાં હશે. કોઈ એમ કહે કે પ્લેટફોર્મના અલ્ગોરિધમ તમને જે જોવું છે તે જ બતાવે છે, ત્યારે યાદ રાખજો કે એને એમ કરવાની ટ્રેનિંગ અપાઇ છે. એ જાણે છે કે તમને કઈ વસ્તુ સૌથી લાંબો સમય સુધી રોકી રાખે છે. અને આ બંને બાબતો હંમેશાં એકસરખી હોતી નથી.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 07 જૂન 2026

Loading

...11121314...203040...

Search by

Opinion

  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …
  • મોહેં-જો-દડોની ‘ડાન્સિંગ ગર્લ’: 4500 વર્ષથી યથાવત્ હતી, 21મી સદીએ તેને ‘સુધારી’?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved