Opinion Magazine
Number of visits: 9842017
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

– મૈં ભી વહીં સો જાઉંગી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|17 April 2026

રવીન્દ્ર પારેખ

સ્વર સમ્રાજ્ઞી આશા ભોંસલે ગયા રવિવારે ૧૨મી એપ્રિલ, ૨૦૨૬ને રોજ ચીર નિદ્રામાં પોઢી ગઈ ને આખું સંગીત જગત ગમગીન થઈ ગયું. ૯૨ વર્ષની આશા તાઈ હવે આપણી વચ્ચે નથી, પણ તેણે ગાયેલાં ૧૨,૦૦૦થી વધુ ગીતો ક્યારેક ને ક્યારેક તો સંગીત પ્રેમીઓનાં હૈયાંને ઉકેલતાં રહેશે. આશા તાઈએ તમામ પ્રકારનાં ગીતો, કોઈ પણ છોછ વિના, મનથી ગાયાં છે ને એ દ્વારા તેની ગાયકીનો જે વ્યાપ અનુભવાય છે, તે ગીત-સંગીતજ્ઞને હરહંમેશ આશ્ચર્યચકિત કરતો રહેશે.

૮ સપ્ટેમ્બર, ૧૯૩૩ને રોજ મહારાષ્ટ્રનાં સાંગલીમાં પંડિત દીનાનાથ મંગેશકરને ત્યાં આશાનો જન્મ. નવ વર્ષની ઉંમરે પિતા ગુમાવ્યા, તે પછી મોટી બહેન લતા સાથે ફિલ્મોમાં ગાવાનું શરૂ કર્યું. આશાએ પહેલું ગીત મરાઠી ફિલ્મ ‘માઝા બાળ’માં ૧૯૪૩માં ગાયું. ૧૯૪૮માં ’ચુનરિયા’ નામની ફિલ્મમાં ‘સાવન આયા ..’ ગીતથી હિન્દી ફિલ્મોમાં પ્રવેશ કર્યો. પછી તો ભજન, પ્રાર્થના, ગઝલો, કેબ્રે, પોપ, શાસ્ત્રીય, કવ્વાલી, રવીન્દ્ર સંગીત એમ વૈવિધ્યપૂર્ણ એટલા પ્રકારોમાં ગાયું છે કે આટલી મોટી રેન્જની ગાયિકા શોધવી પડે. ‘માઈ’ નામની ફિલ્મમાં તેણે મુખ્ય ભૂમિકા ભજવી ને તેની ઊલટભેર પ્રશંસા પણ થઈ.

આશા તાઈને નામે અનેક માન અકરામ અને એવોર્ડ્સ ચડેલાં છે. કોઈ ભારતીયને વિદેશમાં મળેલાં એવોર્ડ્સમાં ગીનેસ બૂક અને ગ્રેમી એવોર્ડ સાથે આશા તાઈનું નામ સંકળાયેલું છે. આ ઉપરાંત ફિલ્મ જગતનો દાદા સાહેબ ફાળકે એવોર્ડ ૨૦૦૦માં મળ્યો હતો અને બે રાષ્ટ્રીય એવોર્ડ ૧૯૮૧માં ‘ઉમરાવજાન’માં ‘ દિલ ચીઝ ક્યાં હૈ …’ માટે અને ૧૯૮૭માં ‘ઈજાઝત’ ફિલ્મનાં ગીત ’મેરા કુછ સામાન …’ માટે મળ્યા. આ ઉપરાંત ૨૦૦૮માં પદ્મવિભૂષણનું સન્માન પણ ભારત સરકાર તરફથી મળ્યું. આમ છતાં આશા તાઈ સરળ અને સહજ જીવનમાં માનતાં રહ્યાં. સાદગી જ તેમનું આભૂષણ હતું.

આશા ભોંસલે

આટલી સન્માનિત વ્યક્તિએ, ૧૬ વર્ષની ઉંમરે ૩૧ વર્ષના ગણપતરાવ ભોંસલે સાથે ભાગીને લગ્ન કર્યાં હતાં ને તેમનું લગ્નજીવન સુખી ન હતું. આશા ભોંસલેને ઘરેલું હિંસાનો સામનો કરવાનું પણ આવ્યું ને ગર્ભાવસ્થામાં જ ઘર છોડવાની સ્થિતિમાં મુકાવું પડ્યું. આ લગ્નથી મોટી બહેન લતા બહુ નારાજ હતી અને બંને બહેનો વચ્ચે વર્ષો સુધી અબોલા રહ્યાં હતાં. એ પછી ગાયકીનો જુદો માહોલ ખડો થયો અને સંગીતકાર ઓ.પી. નય્યરના નિર્દેશનમાં આશા તાઈએ ઢગલો ગીતો ગાયાં. નય્યરે પણ આશાના અવાજનો મહત્તમ કસ કાઢીને વિશેષ વૈવિધ્ય અને લય બહાર આણ્યાં. બંને વચ્ચેનું ટ્યૂનિંગ એવું હતું કે ઓ.પી. નય્યર કહેતા કે આશા વગર તેમનું સંગીત અધૂરું છે. આ વાત આશા તાઈ પણ સ્વીકારતી કે ઓ.પી. નય્યરનો અવાજને નવો વળાંક આપવામાં તથા બેઝ મ્યુઝિક સર્જવામાં મોટો ફાળો હતો. નય્યરે પણ આશાના અવાજનું પ્રણયરંગી માધુર્ય પ્રગટાવીને ‘જાઈએ આપ કહાં જાયેંગે’ (મેરે સનમ), ઉડે જબ જબ ઝુલ્ફેં તેરી (નયા દૌર), આઇએ મહેરબાં (હાવડા બ્રિજ) જેવાં સદાબહાર ગીતો આપ્યાં. પણ 14 વર્ષના સાંગીતિક સાથ પછી ૧૯૭૨માં કોઈ વાતે વાંકું પડતાં આ જોડી ખંડિત થઈ.

આશા ભોંસલેએ હિન્દી ઉપરાંત બંગાળી, મરાઠી, ગુજરાતી…માં પણ કેટલાંક ઉત્તમ ગીતો ગાયાં. એમાંનું અવિનાશ વ્યાસનું ગુજરાતી સર્જન ‘માડી તારું કંકું ખર્યુંને સૂરજ ઊગ્યો…’, આશા ભોંસલેએ ગાયેલું અદ્દભુત ભક્તિ ગીત છે. ‘માડી તારું’માં જે રીતે આલાપ, સ્વર માધુર્યથી, ચોક્કસ સ્થળે સ્વર લંબાવીને શબ્દની સાર્થકતા સિદ્ધ કરી છે, એ આ ભક્તિ ગીતને અમર બનાવે છે. ‘માડી તારું’-ની પહેલી જ પંક્તિમાં ‘કંકુ’માં ‘કુ’ને લંબાવીને હવામાં ઉડાડ્યું છે ને ‘ખર્યું’ ને એ રીતે ગાયું છે કે ‘કંકુના ખરવાની અનૂભૂતિ થઈને રહે. ‘જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો, એ પંક્તિમાં ‘પગ’ને એ રીતે ગાયું છે કે પ…ગ મુકાવાની મુદ્રા પ્રગટે. ‘સૂરજ ઊગ્યો’ શબ્દમાં ‘ઊઉઉગ્યો’શબ્દ એ રીતે ગાયો છે કે અનેક રૂપે સૂર્યના ઊગવાની કળાનો સાક્ષાત્કાર થાય. ‘નભનો ચંદરવો’માં આશા તાઈએ ‘ન…ભ‘ શબ્દ એમ ગાયો છે કે તારાઓનો ચંદરવો ખૂલતો દેખાય. ગીતમાં આગળ ‘પૂનમની’ જ્યોતિમાં ‘પૂઉઉઉનમ’ની જ્યોતિ ગાઈને ગીતમાં પૂનમનું અમૃત ફેલાવ્યું છે. આખા ગીતની વિશેષતાઓ તો અહીં બતાવવામાં લંબાણ થાય એટલે આટલાથી જ સંતોષ માનવો પડે, પણ અવિનાશ વ્યાસે જે રીતે એ સંગીતબદ્ધ કર્યું છે, તેમાં એક સાત્ત્વિક અનુભૂતિ થઈને રહે છે. ગીત ગુજરાતીમાં તો ખરું જ, પણ આશા તાઈનાં શ્રેષ્ઠ ગીતોમાં પણ અગ્રતા ક્રમે ગોઠવાઈ રહે એમ છે.

પછી તો આશા તાઈ ૧૯૮૦માં આર.ડી. બર્મન સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. બંનેનાં આ બીજા લગ્ન હતાં. એમને જોડનારું તત્ત્વ સંગીત હતું. પંચમ દાના સંગીતમાં અનેક પ્રયોગો, યોગની કક્ષાએ થયા. કેટલાંક કમ્પોઝિશન્સ તો આશાજી જ ગાઈ શકે એવાં હતાં. પંચમ દા વિષે આશા તાઈનું કહેવું હતું કે તે ગાયકના ગળાની શક્તિનો પૂરો કસ કાઢી શકતા હતા. આશા તાઈ એવી સક્ષમ ગાયિકા હતી. આર.ડી. બર્મન પશ્ચિમી અને ભારતીય સંગીતનું સમન્વય સિદ્ધ કરતું નવું શિખર બની રહ્યા, એટલે આશા ભોંસલે પાસે ‘દમ મારો દમ’ (હરે રામ હરે કૃષ્ણ), ‘ઓ હસીના ઝૂલ્ફોં વાલી’ ‘આજા આજા મૈં હૂં પ્યાર તેરા’ (તીસરી મંઝિલ), ‘ચુરા લિયા હૈ તુમને જો દિલકો’, (યાદોં કી બારાત) જેવાં ગીતો ગવડાવ્યાં તો ‘સપના મેરા ટૂટ ગયા’ (ખેલ ખેલ મેં), ‘કતરા કતરા …’ ‘મેરા કુછ સામાન…’ (ઈજાઝત) જેવાં ગીતો પણ ઉત્તમ રીતે ગવડાવ્યાં.

જો કે, આજે વાત ‘મેરા કુછ સામાન…’ની કરવી છે. આર.ડી. બર્મને એ કમ્પોઝિશન કોઈ દિવ્ય અનુભૂતિમાંથી કર્યું હોવાનું લાગે છે. સુબોધ ઘોષની એક વાર્તા પર આધારિત ગુલઝારની ફિલ્મ ‘ઈજાઝત’ પ્રણય વિચ્છેદની ગંભીર કથા છે. મહેન્દ્ર (નસીરુદ્દીન શાહ), સુધા (રેખા), માયા (અનુરાધા પટેલ)ની ભૂમિકાવાળી આ ફિલ્મમાં પતિ-પત્ની વચ્ચે એક અલ્લડ યુવાન છોકરી આવે છે ને નસીરુદ્દીન, રેખા અલગ થઇ જાય છે. પત્ની તરીકે રેખા અનુરાધાથી નારાજ છે, પણ તેની કેટલીક વાતો, હરકતો રેખાને ગમે પણ છે.

રેલવે સ્ટેશનના વેઇટિંગ રૂમમાં એકાએક નસીર-રેખા અલગ થયા પછી, પહેલી વાર મળે છે, ત્યાંથી ફિલ્મ શરૂ થાય છે. એમાં જ અનુરાધા(માયા)ની મુલાકાત ને વધતા સંબંધોની વાત પણ વણી લેવાઈ છે. માયા ને મહેન્દ્ર એકબીજાની નજીક આવે છે, પણ માયા કોઈક કારણસર મહેન્દ્રને છોડી જાય છે. જો કે, લાગણીનો તંતુ છૂટતો નથી. રેખા સાથે નસીરના લગ્ન થાય છે, ત્યારે માયા અલગ થઇ ગઈ છે. રેખાના આવ્યા પછી, તેને માયાનો કેટલોક સામાન જડે છે, તે તેને મોકલાવી દે છે. એ વાતે માયા ઘવાઈ હોય તેમ, એક રાત્રે મોટા કાગળ જેટલો ટેલિગ્રામ મોકલે છે ને પોતાનો થોડો સામાન હજી નસીર પાસે રહી ગયો છે, તે મંગાવે છે. એ શું માંગે છે? પત્રમાં લપેટાયેલી રાત, શાખ પરથી તૂટતું પાન, બિસ્તર પાસે રહી ગયેલું ભીનું મન … તે સંવેદન સભર એવી વસ્તુઓ માંગે છે, જે વસ્તુ નથી, પણ કેવળ અમૂર્ત ભાવ છે.

એ ગીત રૂપે આશા ભોંસલેના અવાજમાં આર.ડી.એ કમ્પોઝ કર્યું છે. માયાની માંગણીઓ જ સ્વયં કવિતા છે. ગુલઝારનું દિગ્દર્શન અને ગુલઝારનું જ કાવ્ય. એમાં છંદ નથી. એ કાવ્ય ગુલઝાર આર.ડી. બર્મનને આપીને તેને કમ્પોઝ કરવાનું કહે છે. આર.ડી. કહે છે કે કાલે તો તમે છાપામાંથી ગીત બનાવવાનું કહેશો, પણ બનાવે છે. સાધારણ રીતે ગીત કે ગઝલ છંદમાં હોય તો તે સંગીતબદ્ધ કરવાનું એટલું અઘરું નથી, પણ જે કવિતાની બધી જ પંક્તિઓ નાની મોટી હોય એને કમ્પોઝ કરવાનું અઘરું છે. ગુલઝારની આ કૃતિ કવિતા તરીકે ઉત્તમ છે, પણ તેની અનિયમિત નાજુક પંક્તિઓની તર્જ બનાવવાનું અશક્યવત હતું. ગુલઝારને લય, છંદનું સારું એવું જ્ઞાન છે, તો ય આ છંદ વગરની કૃતિ કમ્પોઝ કરવાનું કહ્યું, તેનું કારણ એ કૃતિમાં રહેલું ઉત્તમ કાવ્યત્વ છે. હિન્દી ફિલ્મ જગતમાં ‘મેરા કુછ સામાન’ એકમાત્ર અછાંદસ રચના છે, જે સંગીતબદ્ધ થઈ છે.

આર.ડી. બર્મને પણ આ કવિતાને ચેલેન્જ તરીકે સ્વીકારી ને લય ઊભો કરી અત્યંત હ્રદયસ્પર્શી કૃતિ પડદા પર અનુરાધા પટેલના સુંદર અભિનય દ્વારા પ્રસ્તુત કરી. એ કૃતિ આજે તો એક ઇતિહાસ છે. આવી કૃતિ પ્રેક્ષકોને બહુ માફક આવતી નથી, પણ ગુલઝારને નસીબે, દર્શકોને આ કવિતા પણ પસંદ પડી, એને માટે આખી ટીમને અભિનંદન આપીએ.

ફિલ્મમાં અનુરાધા પટેલ ટેલિગ્રામમાં ઉટપટાંગ રીતે, સંવેદનશીલ માંગણીઓ નસીર પાસે કરે છે. કાવ્ય આશા તાઈના આલાપ સાથે આમ ઊઘડે છે: સા(આઆ)માન શબ્દ આ રીતે આશા તાઈ ગાય છે તો અમૂર્ત સામાન મૂર્ત સ્વરૂપ ધારણ કરે છે. એ જ રીતે તુમ્હારે પાસ પડા હૈ-માંના ‘તુ(ઉઉઉ)મ્હા(આઆઆ)રે(એએએ)માં મુરકીની મજા છે તે કવિતાને વધારે અસરકારક બનાવે છે.

મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ  (2)

સાવન કે કુછ ભીગે ભીગે દિન રખે હૈં

ઔર મેરે એક ખત મેં લિપટી રાત પડી હૈં

વો રાત બુઝા દો, મેરા વો સામાન લૌટા દો

પતઝડ મેં હૈ કુછ

હૈ ના

પતઝડ મેં કુછ પત્તોં કે ગિરને કી આહટ

કાનોં મેં એક બાર પહન કે લૌટ આયી થીં

પતઝડ કી વો શાખ અભી તક કાંપ રહી હૈ

વો શાખ ગિરા દો, મેરા કુછ સામાન લૌટા દો (2)

એક અકેલી છત્રી મૈં જબ આધે આધે ભીગ રહે થે (2)

આધે સૂખે આધે ગીલે,

સૂખા તો મૈં લે આયી થી

ગીલા મન શાયદ બિસ્તર કે પાસ પડા હો

વો ભીજવા દો,

મેરા વો સામાન લૌટા દો

એક સૌ સોલા ચાંદ કી રાતેં, એક તુમ્હારે કાંધે કા તિલ (2)

ગીલી મેંહદી કિ ખૂશ્બૂ, જૂઠ મૂઠ કે વાદે

શિકવે કુછ

જૂઠ મૂઠ કે વાદે સબ યાદ કરા દો

સબ ભીજવા દો, મેરા વો સામાન લૌટા દો (2)

એક ઈજાઝત દે દો બસ, જબ ઇસ કો દફનાઉંગી

મૈં ભી વહીં સો જાઉંગી

મૈં ભી વહીં સો જાઉંગી …  

આખી કવિતા જોઈશું તો ખ્યાલ આવશે કે એને સંગીતબદ્ધ કરવાનું અશક્યવત હતું ને એટલું જ મુશ્કેલ હતું આશા તાઈ માટે ગાવાનું, પણ આખું સાહસ સફળ રહ્યું ને એને માટે ગાયકીનો રાષ્ટ્રીય પુરસ્કાર આશા તાઈને મળ્યો એ દરેક સંગીત ચાહક માટે ગૌરવપૂર્ણ ઘટના છે. એ આશા તાઈ બધી પીડાઓ દફનાવીને કહે છે –

મૈં ભી વહીં સો જાઉંગી

મૈં ભી વહીં સો જાઉંગી

આજે આશા તાઈ ચીર નિદ્રામાં પોઢી ગયાં છે.

એમને વિનમ્ર (સં)ગીતાંજલિ ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 ઍપ્રિલ 2026

Loading

પરિવાર નિયોજન નીતિમાં રાજ્યો દ્વારા મુકાતી ઢીલ યોગ્ય છે?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|16 April 2026

ચંદુ મહેરિયા

એક મહિલાએ તેના જીવનકાળમાં કેટલાં બાળકોને જન્મ આપ્યો કે આપી શકે? તેને કુલ પ્રજનન દર, અંગ્રેજીમાં Total Fertility Rate (TFR), કહેવામાં આવે છે. ૧૯૭૧માં ભારતનો કુલ પ્રજનન દર ૫.૨ હતો,  ૧૯૮૧માં ૪.૫, ૧૯૯૧માં ૩.૬ અને આજે ૨ છે. અનિયંત્રિત વસ્તી વધારામાં ઘટાડો થવાનું કારણ વસ્તી નિયંત્રણ નીતિ કે પરિવાર નિયોજન યોજનાઓ છે.  ગરીબી, ખાદ્ય સુરક્ષા અને રોજગારના પડકારો સામે લડવા વસ્તી વધારાને રોકવો જરૂરી હતો. ‘અમે બે અમારા બે’ અને ‘નાનું કુટુંબ સુખી કુટુંબ’ના પરિવાર નિયોજન અભિયાનને કારણે ૨૦૦૦ના વરસ સુધીમાં દેશનો કુલ પ્રજનન દર ૩.૩થી ઘટાડીને ૨ સુધી કરવામાં મદદ મળી છે. ૨૦૨૧માં દેશની વસ્તી આશરે ૧૩૫.૫  કરોડ હતી તે ૨૦૫૧માં ૧૫૯.૦૧ કરોડ થશે. એટલે વસ્તી તો વધશે પરંતુ કુલ પ્રજનન દર ઘટશે. આ વરસોમાં ભારતનો સરેરાશ વાર્ષિક વૃધ્ધિ દર ૦.૫ થશે. અર્થાત ભારતની વસ્તીમાં સ્થિરીકરણ આવશે.

આજે દેશના કુલ પ્રજનન દર ૨ કરતાં ઘણા રાજ્યોનો પ્રજનન દર ઓછો છે. એટલે આ રાજ્યો તેમના ઘટતા પ્રજનન દરથી ચિંતિત છે. ભા.જ.પા.શાસિત રાજસ્થાન સરકારે તાજેતરમાં વિધાનસભામાં રાજસ્થાન પંચાયતી રાજ (સુધારા) વિધેયક ૨૦૨૬ અને રાજસ્થાન નગરપાલિકા (સુધારા) વિધેયક ૨૦૨૬ પસાર કર્યું છે. રાજસ્થાનની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને પંચાયતોમાં છેલ્લાં ત્રીસ કરતાં વધુ વરસોથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં બે કરતાં વધુ બાળકો ધરાવતી વ્યક્તિ ઉમેદવારી કરી શકતી નહોતી. આ બાધ્યતાનું કારણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પરિવાર નિયોજન માટે આદર્શ બને અને લોકોમાં વસ્તી નિયંત્રણ માટેનો સંદેશ આપી શકાય તે હતો. પરંતુ હવે આ પ્રતિબંધ કાયદામાં સુધારો કરીને ઉઠાવે લીધો છે. રાજસ્થાન સરકારે વિધાનસભમાં કહ્યું છે કે આ પ્રતિબંધ વસ્તી નિયંત્રણ માટે અસરકારક નહોતો. તે નાગરિકોને માટે ભેદભાવપૂર્ણ હતો. કેમ કે તે બે કરતાં વધુ બાળકો ધરાવતી વ્યક્તિઓને સ્થાનિક સ્વરાજની લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગ લેતા અટકાવતો હતો. રાજસ્થાનનો ૧૯૯૧-૯૪માં કુલ પ્રજનન દર ૩.૬ હતો. જે ૨૦૨૪-૨૫માં ૨.૦ છે. રાજ્યની કુલ વસ્તીમાં વધારો થઈ રહ્યો છે પણ  પ્રજનન દર ઘટી રહ્યો છે એટલે હવે તેણે બે થી વધુ બાળકો ધરાવનાર પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી શકશે તેમ કાયદેસર ઠરાવ્યું છે.

રાજસ્થાન પૂર્વે તેલંગાણા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર અને ઉત્તરાખંડની રાજ્ય સરકારોએ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં બે બાળકો કરતાં વધુ બાળકો ધરાવનાર વ્યક્તિને ઉમેદવારી કરતાં રોકતા કાયદામાં ફેરફાર કર્યો છે અને આ પ્રતિબંધ દૂર કર્યો છે. ૨૦૨૩-૨૪માં બિહારનો ટોટલ ફર્ટીલિટી રેટ ૩.૦૦ અને યુ.પી.નો ૨.૪ હતો. બીજા રાજ્યોનો ટી.એફ.આર .૨ કે ૨થી થોડો ઓછો હતો. એટલે વસ્તી નિયંત્રણ નીતિમાં ઢીલ મૂકવામાં માત્ર ઓછો પ્રજનન દર ધરાવતા રાજ્યો જ નહીં રાષ્ટ્રીય પ્રજનન દર કરતાં વધુ પ્રજનન દર ધરાવતા રાજ્યો પણ છે. જે રાજ્યોએ પંચાયત-પાલિકામાં ઉમેદવારો માટે બે કરતાં વધુ બાળકોના નિયમમાં છૂટછાટ મૂકી છે તેમાં ભા.જ.પા.શાસિત રાજ્યો છે તો કાઁગ્રેસ અને પ્રાદેશિક પક્ષોની રાજવટ ધરાવતા રાજ્યો પણ છે. એટલે વસ્તી નિયંત્રણ નીતિમાં ઢીલ મૂકવામાં રાજસ્થાનમાં વિપક્ષ કાઁગ્રેસ વિરોધ કરે છે પરંતુ તેના જ પક્ષની તેલંગાણા સરકારે આવો જ કાયદાકીય સુધારો કર્યો છે તે વિશે મૌન સેવે છે. અર્થાત આ બાબતમાં તમામ રાજકીય પક્ષો વચ્ચે છૂપી  સંમતિ પ્રવર્તતી હોય તેમ લાગે છે. 

દેશના અડધો ડઝન કરતાં વધુ રાજ્યોએ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના ટુ ચાઈલ્ડ નોર્મમાં સુધારો કર્યો છે. પરંતુ એન.ડી.એ.ના પ્રમુખ ઘટક દળ તેલુગુ દેશમની આંધ્ર પ્રદેશ સરકારે તો વસ્તી પ્રબંધન નીતિની ઘોષણા કરી છે. વધુ બાળકો પેદા કરનાર દંપતીને ખાસ પ્રોત્સાહન આપવાની નીતિ ઘડનાર આંધ્ર પ્રદેશ દેશનું પહેલું રાજ્ય છે. આંધ્ર સરકારની જાહેરાત પ્રમાણે હવે રાજ્યમાં જે દંપતીને બીજું અને ત્રીજું બાળક જન્મશે તેને સરકાર રૂ.૨૫,૦૦૦ની પ્રોત્સાહન રાશિ આપશે. IVF(ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન)થી બાળકો પેદા કરનારને ખર્ચમાં ખાસ રાહત આપવામાં આવશે. ત્રીજા બાળકને પાંચ વરસ સુધી દર માસે પોષણ સહાય રૂપે રૂ. ૧,૦૦૦ આપવાનું પણ નક્કી કર્યું છે. બીજા અને ત્રીજા બાળકને અઢાર વરસની ઉમર સુધી સરકારી શિક્ષણ સંસ્થામાં નિ:શુલ્ક શિક્ષણ આપવામાં આવશે. આ તમામ લાભ રાજ્યની વસ્તીમાં વૃદ્ધિ માટે આપવામાં આવશે.

આંધ્ર પ્રદેશનો હાલનો પ્રજનન દર ૧.૫ છે. દક્ષિણ ભારતના તમામ પાંચ રાજ્યોનો પ્રજનન દર દેશના પ્રજનન દર ૨.૧ કરતાં ઘણો નીચો એટલે કે ૧.૫ જેટલો છે. પરંતુ આંધ્ર પ્રદેશ જેવી વસ્તી વૃદ્ધિ માટે નાણાંકીય પ્રોત્સાહનની નીતિ કોઈ રાજ્યે જાહેર કરી નથી. આ નીતિ માટેનો રાજ્યનો ઉદ્દેશ લોકસભામાં તેના પ્રતિનિધિત્વમાં થનારા સંભવિત ઘટાડાને અટકાવવાનો છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં આંધ્ર પ્રદેશની લોકસભા બેઠકો ૨૫ હતી. મહિલા અનામતના અમલ પહેલાં લોકસભા બેઠકોનું નવેસરથી પરિસીમન કરવાનો કેન્દ્ર સરકારનો ઈરાદો છે.આંધ્ર પ્રદેશમાં જો ધીમા દરે વસ્તી વધારો થાય તો તેની લોકસભા બેઠકો તો ઘટે જ વસ્તીના આધારે નાણાં પંચ નાણાંકીય ફાળવણી માટેની જે ભલામણો કરે છે તેમાં પણ ઘટાડો થઈ શકે છે. આ ચિંતા વાજબી હોવા છતાં વસ્તી નિયંત્રણ નીતિને તડકે મુકવાની આંધ્ર સરકારની ઉતાવળ ન સમજાય તેવી તો છે જ અયોગ્ય પણ છે. દક્ષિણના રાજ્યો સહિત દેશના જે જે રાજ્યોનો ટી.એફ.આર. નીચો છે તેમણે સાથે મળીને આ બાબતમાં કેન્દ્રમાં રજૂઆત કરવી જોઈએ તે ખરો માર્ગ છે.

પ્રજનન દરનો હાલનો ઘટાડો મહિલાઓના દૃષ્ટિકોણથી તપાસતાં ખૂબ જ પ્રગતિશીલ અને સુધારક જણાય છે. મહિલા શિક્ષણમાં વધારો, મહિલાઓની નોકરી સહિત કુટુંબના નિર્ણયોમાં ભાગીદારી અને સમાજમાં વધતી મહિલા જાગ્રતિ અને સક્રિયતાના કારણે પ્રજનન દરમાં ઘટાડો થયો છે. જો રાજ્યસરકારો વસ્તી વૃદ્ધિના નિયમો અને નીતિઓને મહિલા અધિકારોની અવગણના કરીને અમલી બનાવશે તો તે સરવાળે રાજ્ય અને દેશને પાછળ ધકેલશે. સામાન્ય રીતે વધુ બાળકો ગરીબો અને અશિક્ષિતોને હોય છે. આમ પણ  આર્થિક અભાવોમાં તેમને માટે કુટુંબનું ભરણ પોષણ કરવું મુશ્કેલ હોય છે. ત્યારે નવા બાળકની જવાબદારી તેમના માટે બોજ બની શકે છે અને માનવ સંપત્તિની ગુણવતા ઘટે તેમ પણ બનશે. સરકાર જે માસિક પોષણ સહાય, પ્રોત્સાહન રકમ અને બીજા લાભો આપવાની છે તે એક બાળકના શિક્ષણ, આરોગ્ય અને લાલનપાલનના ખર્ચની તુલનામા પર્યાપ્ત જણાતા નથી. 

રાજ્ય સરકારોએ કેન્દ્રના પરામર્શમાં રહીને રાષ્ટ્રીય ધોરણે વસ્તી નિયંત્રણો હટાવવા  બાબતે નિર્ણયો લેવાની જરૂર છે. આંધ્ર પ્રદેશ અને બીજા રાજ્યોનાં પગલાંની પ્રતિકૂળ અને નકારાત્મક અસરોની પણ વ્યાપક ચર્ચા થવી જરૂરી છે. દાયકાઓની કઠોર મહેનત પછી આપણે વસ્તી નિયંત્રણ હાંસલ કર્યું છે. તેને આમ વેડફી ન નાંખી શકાય. પરિવાર નિયોજનનો ગંભીર મુદ્દો રાજનીતિથી પર થઈને વિચારવો જોઈશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

આંબેડકરઃ નેહરુથી ન.મો. દલિત રાજનીતિના પડકારો

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|16 April 2026

આંબેડકર હિન્દુ સમાજના દમનકારી વલણો સામે વિપ્લવનું પ્રતીક

શિડ્યુલ કાસ્ટ્સથી રિપબ્લિકન તેમ જ કાંસીરામ–માયાવતીની મથામણો કેમ ટાંચી પડી એ તપાસ માંગી લે છે … કાશ, લોહિયા અને આંબેડકરને સાર્થક સંવાદતક મળી હોત!

પ્રકાશ ન. શાહ

135મી આંબેડકર જયંતી આવી અને ગઈઃ સરકારી, બિનસરકારી, તરેહવાર આયોજનો કંઈક ઉત્સાહથી તો કંઈક રસમી રાબેતાસર પાર પડ્યાં. 

સાધારણપણે સંવિધાનનિર્માતા તરીકે તેમ દલિત મસીહા તરીકે તેમને યાદ કરાતા રહે છે. પણ 14મી એપ્રિલ સત્તાવાર સરકારી પ્રયોગ મુજબ જો એક રાષ્ટ્રીય પર્વ (નેશનલ હોલીડે) હોય તો આંબેડકરને જોવા અને મૂલવવાની રીતે કંઈક વિશેષ વિચારવું રહે છે. 

1956ના ડિસેમ્બરમાં એ ગયા. સ્વરાજસંગ્રામની પરંપરામાંથી આવેલા જવાહરલાલ નેહરુ ત્યારે વડા પ્રધાન હતા. આજે 2026માં સંઘ પરંપરામાંથી આવેલા નરેન્દ્ર મોદી વડા પ્રધાન છે ત્યારે નેહરુથી માંડી નીચે સુધી આંબેડકરનું નામ લેવાતું હશે, પણ આજે ન.મો.થી માંડી નીચે સુધી કદાચ વધારે જ ગાજે છે. 

ભીમરાવ આમ્બેડકર

નામ લેવાવાથી માંડી ગાજવા લગીની આ ઇતિહાસ-પ્રક્રિયા હર પરંપરાની પેઠે સાતત્ય ઉપરાંત શોધન પણ માંગી લે છે. 1956માં આંબેડકર ગયા ત્યારે લોકસભામાં એમને અંજલિ આપતાં (સત્તાવાર સંસદીય નોંધ લેતાં) નેહરુએ જે કહ્યું હતું એમાંથી એક સારરૂપ ફકરો અહીં સંભારું તો તે આ સંદર્ભમાં ઉપયોગી થઈ પડશેઃ ‘બંધારણનિર્માણમાં આંબેડકરે જે સંભાળ ને જહેમત લીધી એવી બીજા કોઈએ નથી લીધી એ અલબત્ત શંકાતીત છે.’ હવે વાત આગળ ચાલે છેઃ ‘હિંદુ કાયદામાં સુધારા બાબતે એમણે જે રસ લીધો અને બોજ વેંઢાર્યો તેને સારુ પણ એ સંભારાશે.’ જાહેર છે કે આંબેડકર જે ઝડપે તે કરવા ઇચ્છતા હતા તે શક્ય ન બનતાં એમણે પ્રધાનમંડળમાંથી છૂટા થવું પસંદ કર્યું હતું વડા પ્રધાન નેહરુ સુધારા પરત્વે પ્રતિબદ્ધ હતા. પણ તત્કાળ તે શક્ય નહોતું, કેમ કે કૉંગ્રેસના ખુદના રૂઢિચુસ્ત મત ધરાવનારાઓ ઉપરાંત, સવિશેષ, બહારનાં કેટલાંક બળો (કૉંગ્રેસથી વિપરીત પણે) એકંદર બંધારણ અને હિંદુ કાયદાના સૂચિત સુધારા બેઉ બાબતે હાડના વિરોધી હતા. આ બળોમાં યોજકત્વની ભૂમિકા હાલના વડા પ્રધાનના પૂર્વસૂરિઓની હતી. સંઘ પરિવારના પત્ર ‘ઓર્ગેનાઇઝર’ના મતે આ બંધારણમાં મનુસ્મૃતિનો સ્વીકાર નહોતો. સાવરકર-ગોળવલકર છેડેથી પણ આવા જ અવાજો ઊઠ્યા હતા. હિંદુ કાયદામાં સુધારા બાબતે આ પરિબળો અલબત્ત ‘અબ્રહ્મણ્યમ, અબ્રહ્મણ્યમ્’ના મિજાજથી મંડેલા હતા. 

વળી નેહેરુના ઉદ્‌ગારો સંભારું કે “તેઓ હિંદુ કાયદામાં આ સુધારાઓ (ભલે એમના રાજીનામા પછી પણ) ઠીક ઠીક પ્રમાણમાં – જો કે એમણે તૈયાર કરેલ સમગ્ર ધોરણે નહીં પણ – કટકે કટકે ય થતા જોઈ શક્યા તે વિચારે હું રાજીપો અનુભવું છું.” કોંગ્રેસ શ્રેષ્ઠીઓને વિશ્વાસમાં લઈ નેહરુ આગળ વધી શક્યા હતા, પણ સંઘ પરિવારના પૂર્વ સૂરિઓ? તેઓ અલબત્ત તળેઉપર મનુસ્મૃતિમય હતા.

હવે, નેહરુના આ જ ફકરાનાં સમાપનવચનો ઉતારુંઃ “ગમે તેમ પણ, મને લાગે છે કે એમનું સ્મરણ સર્વાધિક તો હિંદુ સમાજમાં રહેલાં સઘળાં દમનકારી વલણો સામેના વિપ્લવના પ્રતીક તરીકે થતું રહેશે.”

હિંદુ સમાજના હાડમાં પેંધેલાં આ જે દમનકારી વલણો અને આધુનિક બંધારણને બદલે મનુસ્મૃ઼તિના સ્વર્ગલોકમાં મુક્તિની જે ખોજ, એને અંગે પોતાના અને આજુબાજુના વૈચારિક પૂર્વસૂરિઓથી હાલના સત્તાશ્રેષ્ઠીઓ વસ્તુતઃ ઊંચે ઊઠી શક્યા છે કે કેમ? સત્તાવાર અવાજો આંબેડકરની એકંદર અનુમોદનાના (બલકે, ક્યારેક તો આંબેડકર પારના આંબેડકરની હદના) સંભળાય છે. આ પ્રશ્ન, અત્યારે તો, આપણે એમના આત્મનિરીક્ષણ પર છોડવો રહે છે. 

હવે બે શબ્દો, ઉતાવળે પણ, આંબેડકરી રાજનીતિ સબબ-કાંસીરામ-માયાવતીનો ચમત્કાર ને એવી જ પીછેહઠનાં આપણે સાક્ષી છીએ. શિડ્યુલ કાસ્ટ્સની સીમિત ઓળખથી હટી રિપબ્લિકન જેવી વ્યાપક ઓળખની આંબેડકરની છટપટાહટ નેમ આ ‘વ્યાપક’નું દલિત પેટાકરણ પણ આપણે જોયું છે. 1955-1956માં લોહિયા-આંબેડકરના આછાપાતળા સંપર્કસંવાદ પછી રૂબરૂ વિગતે વાત થતે થતે અણી ટાંકણે આંબેડકરની ચિરવિદાય સાથે થંભી ગઈ. સપ્તક્રાંતિની સમાજવાદી ભૂમિકાએ લોહિયા પીછડી અને અનુસૂચિત સંમિલન તેમ અગ્રતાપૂર્વક ‘સમગ્ર’રાજનીતિ છેડવા ઇચ્છતા હતા, પણ …

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 15 ઍપ્રિલ 2026

Loading

...11121314...203040...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved