Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9335294
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અસમાન લડાઈ લડતાં ઇંદિરા અને જયપ્રકાશ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|11 June 2025

ઇંદિરા ગાંધી એમના રાજકીય અસ્તિત્વ સારુ જો આરપારની લડાઈના મિજાજમાં હતાં તો જયપ્રકાશ સ્વરાજની બીજી લડાઈના મિજાજમાં હતા. દેખીતી અલબત્ત આ એક અસમાન લડાઈ હતી …

પ્રકાશ ન. શાહ

ખબર નથી, 1975ની 12મી જૂનની એ વિજયસાંજે અમે સાથીઓ ભોજનનો આનંદ લઈ રહ્યા હતા ત્યારે ભોગીભાઈ ગાંધીને 1969માં કાઁગ્રેસના ભાગલા વખતનાં એમનાં આ વચનો સાંભર્યાં હશે કે કેમ, ઇંદિરાજીએ જે લપસણો રાહ અખત્યાર કર્યો તે રાહે પોતે નહીં વાંછેલું અશુભ દેશના માથે પોતાને હાથે લદાઈ ચૂક્યું હશે.

પચાસીની સ્મરણપગથીએ ચાલતાં જૂન 1975ની જયપ્રકાશની ગુજરાત યાત્રાની વાત માંડી જ છે તો બીજી પણ થોડી ટિટાઈબિટાઈ ઉર્ફે ખાટીમીઠી સંભારી લઉં. પાંચમી જૂન શો સંપૂર્ણ ક્રાંતિ દિવસ હોય અને પોતે પટણા ક્ષેત્રે ધર્મ ક્ષેત્રે ન હોય એ લોકનાયકને સારુ કંઈક વસમુંયે હશે. પણ માર્ચ 1974માં, નવનિર્માણોત્તર દિવસોમાં પોતે બિહારની છાત્રયુવા ચળવળનું નેતૃત્વ સ્વીકાર્યું ત્યારે એમનો હાડનો પ્રતિસાદ એ હતો કે સન બયાલીસ સરખો અધિનાયકવાદ સામેનો એક વાસંતી સંઘર્ષ દોર દેશભરમાં શરૂ થઈ ચૂક્યો છે.

નવેમ્બર 1974માં નવી દિલ્હીમાં જુદાં જુદાં રાજ્યોમાં આ પ્રકારની ગતિવિધિ સાથે સંકળાયેલા અમે સહુ જે.પી. ફરતા એકત્ર થયા ત્યારે સમજાઈ રહ્યું હતું કે આ લડત હવે ન તો કોઈક એક રાજ્ય પૂરતી મર્યાદિત હોવાની છે, ન તો કોઈ વિધાનસભાની ચૂંટણી પૂરતીયે સીમિત હોવાની છે.

આ દિલ્હી બેઠકને પગલે અમે માર્ચ 1975માં ગુજરાત લોકસંઘર્ષ સમિતિની રચના કરી હતી – અને એટલે સ્તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે જનતા મોરચો રચવામાં અગ્રનિમિત્ત બની હતી. એથી કોઈ રાબેતાશાઈ ચૂંટણી જંગ સારુ નહીં પણ લોકલડતના એક હિસ્સા રૂપે અહીં જયપ્રકાશની સામેલગીરી અપેક્ષિત હતી.

પ્રશ્નો અલબત્ત હતા, કેમ કે, ગુજરાતમાં પક્ષ-અપક્ષ સૌ એકત્ર થઈ રહ્યા હોય તો પણ ચૂંટણીમાં એકનિશાન થવા પોતપોતાનાં કારણસર એકંદરમતી નહોતી. સૌથી મોટો પ્રશ્ન સ્વાભાવિક જ સત્તા કાઁગ્રેસથી છૂટા થયા પછીની સંસ્થા કાઁગ્રેસનો કે ગુજરાતના સંદર્ભમાં નામજોગ કહીએ તો મોરારજી દેસાઈનો હતો. હજુ આખા દેશનું ન ગોઠવાય ત્યાં સુધી પક્ષ તરીકેની માન્યતા જાળવવા માટે ગુજરાતના મતદાનમાં પોતાના નિશાન પર હાજરી એમને જરૂરી લાગતી હતી. વળી, જનસંઘ જોડે પરબારા ભળી ગયા જેવી વિરોધ લાગણી બાબતે પણ એ સચિંત હતા.

જયપ્રકાશ નારાયણ

એ દિવસોમાં જનસંઘના વસંત ગજેન્દ્ર ગડકર સાથે થયેલી ચર્ચા સાંભરે છે: 1956માં જ્યાંથી ગોળીબાર થયો હતો એ સરદાર કાઁગ્રેસ હાઉસમાં અમે પગ શા સારુ મૂકીએ – એવી ભૂમિકાએથી એ હટી રહ્યા હતા, પણ અમે ગુજરાતમાં વિવિધ પક્ષો વચ્ચે બેઠક વહેંચણી જયપ્રકાશજી કરી આપે એટલી હદે આગળ ગયા છીએ અને સંસ્થા કાઁગ્રેસ હજુ આવી વાતોને વળગી રહે છે, એવું કેમ. અમે કહ્યું કે જે.પી. પહેલ અને પ્રવેશ કેવળ બેઠક વહેંચણીના અંકગણિતને ધોરણે નથી. લોકલડત અને તેનાં મૂલ્યોના રાસાયણિક ધોરણે અમે પરિચાલિત થયા છીએ.

આમ, ગુજરાતના જે.પી. પરિબળ સામેનો પ્રશ્ન આંદોલનની રાસાયણિક પ્રક્રિયામાં પોતપોતાની રીતેભાતે આગળ-પાછળ સૌને એકત્ર રાખીને ચાલવાનો હતો અને જૂના જોગી જયપ્રકાશને એનો અંદાજે અહેસાસ પણ હતો. આ લખું છું ત્યારે સાંભરે છે કે અકળાઈ ઉઠેલા ઉમાશંકર જોશીએ જનતા મોરચાની સંકલન સમિતિમાં સૌનાં અલગ અલગ નિશાનના અભિગમમાં રહેલી અપૂર્ણતા વિશે આકરી પ્રતિક્રિયા આપી ત્યારે સંસ્થા કાઁગ્રેસના મંત્રી (પછીથી કેટલોક વખત ગુજરાતના નાણાં મંત્રી) દિનેશ શાહે ચર્ચામાં કવિની ખુદની પંક્તિઓ સાભિપ્રાય ટાંકી હતી:

‘સંપૂર્ણતા હુંથી પરી રહો સદા, આનંદ માગું હું અપૂર્ણતાનો, 

દમે દમે કૈંક થવા મથી રહું, મથામણોની ન મણા હજો મને.’

જ્યારે ચૂંટણી પ્રચાર શરૂ થયો ત્યારે ઉમાશંકરને અપૂર્ણતાનો આનંદ ભલે ન હોય પણ પોતાની પસંદગીનાં ક્ષેત્રોમાં પ્રચાર સારુ ચહીને જવા બાબતે એમની પ્રતિબદ્ધતા ‘મથામણોની ન મણા હજો મને’ને આંબી જતી હતી.

ઇંદિરા ગાંધી એમના રાજકીય અસ્તિત્વ સારુ જો આરપારની લડાઈના મિજાજમાં હતાં તો જયપ્રકાશ સ્વરાજની બીજી લડાઈના મિજાજમાં હતા. દેખીતી અલબત્ત આ એક અસમાન લડાઈ હતી, કેમ કે સત્તા ને સંપત્તિનું પ્રભુત્વ એક પા હતું, અને બીજી પા … ગમે તેમ પણ મને યાદ છે કે ત્યારે હેલિકોપ્ટરની સુલભતા એકમાત્ર ઇંદિરા કને હતી એટલે સત્તા ને સંપત્તિનાં સહિયારાંના પ્રતીક રૂપે લોકમાનસમાં હેલિકોપ્ટર જડબેસલાક ગોઠવાઈ ગયું હતું. સત્તાવનનાં ઇંદિરા એકલાં આ સુવિધા સાથે ઘૂમી રહ્યાં હતાં તો એંશીના મોરારજી એમની સાદી મોટરગાડીમાં ગુજરાતના એક છેડેથી બીજે છેડે!

એક પા સત્તા ને બીજી પા જનતાનું આ ઓઠું લોકમાનસમાં કેવું ગયું હશે એનો અણચિંતવ્યો અંદાજ અમને ખાનપુર-અમદાવાદની વિરાટ સભામાં આવ્યો હતો. (પછી તો એ જગ્યાનું નામ જ જયપ્રકાશ ચોક થઈ ગયું!) સભા પતાવી અમારે અમદાવાદથી રાજકોટ માટે નીકળવાનું હતું. વીરગામથી ટ્રેન પકડવાની હતી. વક્તવ્ય સમેટતાં સૌની રજા લેતા જયપ્રકાશે કહ્યું કે ગાડી પકડવાની છે એટલે નીકળ‌વું પડશે. એમના વક્તવ્યને છેડે એ એક અણધાર્યો છગ્ગો હતો … હેલિકોપ્ટરમાં નહીં પણ ગાડીમાં : લોકોએ કેમ જાણે એકદમ વધાવી લીધું તે ક્ષણાર્ધ સારુ જયપ્રકાશને ય પકડાયું નહીં હોય. (રાધેશ્યામ શર્માની, વી. શાંતારામની સાખે ત્વરિત ટિપ્પણી હતી – યે લડાઈ હૈ દિયે કી ઔર તુફાન કી!)

ખેર, 1975ના 12મી જૂનની બપોર સુધીમાં જનતા મોરચા તરફી રુઝાન સાફ વરતાવા લાગી હતી અને અલાહાબાદ હાઈકોર્ટે ઇંદિરા ગાંધીને સાંસદ તરીકે ગેરલાયક ઠરાવતો ચુકાદો પણ આપી દીધો હતો.

એ વિજયસાંજ અમે ગાંધીનગરમાં જ એક સંઘર્ષ સાથીના જન્મદિવસ નિમિત્તે પ્રીતિભોજન સાથે મનાવી હતી. જે.પી. આંદોલનના જોગંદર ભોગીભાઈ સાથે હોઈ ઓર ઉમંગ હતો. આ લખું છું ત્યારે પચાસ વરસને અંતરેથી મને કૌતુક અને જિજ્ઞાસા જાગે છે કે આનંદની એ ક્ષણોમાં ભોગીલાલ ગાંધીને એમની આશંકા સાચી પડવામાં છે એવો થડકો સુદ્ધાં હશે ખરો? 1969માં કાઁગ્રેસના ભાગલા વખતે એ ‘ઇંદિરાજી કયે માર્ગે?’ લઈને આવ્યા જેની પ્રસ્તાવનામાં એમણે લખ્યું હતું કે ઈંદિરાજીએ જે લપસણો રાહ અખત્યાર કર્યો તે રાહે પોતે નહીં વાંછેલું અશુભ દેશના માથે પોતાને હાથ લડાઈ ચૂક્યું હશે …

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 11 જૂન 2025

Loading

મેચ ફિક્સ્ડ ચૂંટણીઓ લોકશાહી માટે ઝેર છે !

રમેશ સવાણી|Opinion - Opinion|10 June 2025

કાઁગ્રેસના સાંસદ અને વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબારમાં, 7 જૂન 2025ના રોજ, નવેમ્બર 2024માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કેવી રીતે ચોરી કરી? કેવી રીતે ગોટાળો કર્યો? તે અંગે પર્દાફાશ કર્યો છે. 

રાહુલ ગાંધી લખે છે : “આ ગોટાળા મેચ ફિક્સિંગ જેવા છે. ગોટાળો પાંચ રીતે કર્યો : 

[1] ચૂંટણી પંચની નિમણૂક માટે પેનલમાં ગોટાળા કર્યા. 

[2] મતદાર યાદીમાં નકલી મતદારો ઉમેરો કર્યો. 

[3] મતદાન ટકાવારીમાં અતિશયોક્તિ. 

[4] જ્યાં ભા.જ.પ.ને જીતવું જરૂરી હતું ત્યાં બોગસ મતદાન કરાવ્યું. 

[5] પુરાવા છુપાવ્યા.

“ચૂંટણી પંચની નિમણૂક માટે પેનલમાં ગોટાળા : અમ્પાયરોની નિમણૂક કરતી સમિતિમાં ચાલાકી કરી. ચૂંટણી કમિશનર અધિનિયમ, 2023થી નક્કી કર્યુ કે ચૂંટણી કમિશનરોની પસંદગી વડા પ્રધાન અને ગૃહ પ્રધાન દ્વારા 2-1 બહુમતીથી કરવામાં આવે. જેથી પસંદગી સમિતિના ત્રીજા સભ્ય, એટલે કે વિરોધ પક્ષના નેતાના મતને બિનઅસરકારક બનાવી શકાય. એટલે કે, ચૂંટણી લડનારા લોકો ‘અમ્પાયર’ પણ પસંદ કરી રહ્યા છે ! સૌ પ્રથમ, દેશના મુખ્ય ન્યાયાધીશને પસંદગી સમિતિમાંથી દૂર કરવાનો અને તેમની જગ્યાએ કેબિનેટ મંત્રીને રાખવાનો નિર્ણય સ્વીકાર્ય નથી. છેવટે, કોઈ પણ વ્યક્તિ પસંદગી સમિતિમાંથી નિષ્પક્ષ મધ્યસ્થીને દૂર કરીને પોતાની પસંદગીના સભ્યને કેમ લાવવા માંગે છે? આ પ્રશ્ન પૂછતાની સાથે જ તમને જવાબ મળી જશે.”

“મતદાર યાદીમાં નકલી મતદારો ઉમેરો : નકલી મતદારો સાથે મતદાર યાદીમાં વધારો કર્યો. ચૂંટણી પંચના ડેટા અનુસાર, 2019 વિધાનસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં નોંધાયેલા મતદારોની સંખ્યા 8.98 કરોડ હતી. પાંચ વર્ષ પછી, મે 2024ની લોકસભા ચૂંટણીમાં, આ સંખ્યા વધીને 9.29 કરોડ થઈ ગઈ. તેના માત્ર પાંચ મહિના પછી, નવેમ્બર 2024ની વિધાનસભા ચૂંટણી સુધીમાં, આ સંખ્યા વધીને 9.70 કરોડ થઈ ગઈ. એટલે કે, પાંચ વર્ષમાં 31 લાખનો નાનો વધારો, જ્યારે માત્ર પાંચ મહિનામાં 41 લાખનો મોટો વધારો ! મતદારોની સંખ્યા 9.70 કરોડ સુધી પહોંચવી એ અસામાન્ય છે, કારણ કે સરકારના પોતાના ડેટા મુજબ, મહારાષ્ટ્રની કુલ પુખ્ત વસ્તી 9.54 કરોડ છે.”

“મતદાન ટકાવારીમાં અતિશયોક્તિ : મોટાભાગના મતદારો અને નિરીક્ષકો માટે, મહારાષ્ટ્રમાં મતદાન સંપૂર્ણપણે સામાન્ય હતું, જેમ કે અન્યત્ર. લોકોએ કતાર લગાવી અને મતદાન કર્યું અને ઘરે ગયા. જે લોકો સાંજે 5 વાગ્યા સુધીમાં મતદાન મથકો પર પહોંચી ગયા હતા તેમને મતદાન કરવાની મંજૂરી આપવામાં આવી હતી. કોઈપણ મતદાન મથક પર મોટી ભીડ કે લાંબી કતારો હોવાનો કોઈ અહેવાલ નહોતો, પરંતુ ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, મતદાનનો દિવસ ઘણો નાટકીય હતો. સાંજે 5 વાગ્યા સુધી મતદાન ટકાવારી 58.22 હતી. મતદાન સમાપ્ત થયા પછી પણ, મતદાન ટકાવારી વધતી રહી. બીજા દિવસે સવારે જે અંતિમ આંકડો આવ્યો તે 66.05 ટકા હતો. એટલે કે, 7.83 ટકાનો મોટો વધારો થયો હતો, જે લગભગ 76 લાખ મતોની સમકક્ષ છે. મતદાન ટકાવારીમાં આટલો વધારો મહારાષ્ટ્રમાં અગાઉની કોઈપણ વિધાનસભા ચૂંટણી કરતાં ઘણો વધારે હતો. 2009ની વિધાનસભા ચૂંટણીમાં, કામચલાઉ અને અંતિમ મતદાન ટકાવારી વચ્ચે માત્ર 0.50 ટકાનો તફાવત હતો. 2014માં, તે 1.08 ટકા હતો. 2019માં, તે 0.64 ટકા હતો, પરંતુ 2024 માં, આ તફાવત અનેક ગણો વધી ગયો !”

“પસંદ કરેલા સ્થળોએ બોગસ–નકલી મતદાન : મહારાષ્ટ્રમાં લગભગ એક લાખ બૂથ છે, પરંતુ મોટાભાગના નવા મતદારો ફક્ત 12 હજાર બૂથ પર ઉમેરાયા હતા. આ બૂથ તે 85 વિધાનસભા મતવિસ્તારોના હતા, જ્યાં લોકસભા ચૂંટણીમાં ભા.જ.પ.નો દેખાવ નબળો રહ્યો હતો. આનો અર્થ એ થયો કે સાંજે 5 વાગ્યા પછી દરેક બૂથ પર સરેરાશ 600 લોકોએ મતદાન કર્યું. ભલે દરેકને મતદાન કરવામાં એક મિનિટનો સમય લાગ્યો હોય, પણ મતદાન પ્રક્રિયા બીજા 10 કલાક સુધી ચાલુ રહેવી જોઈતી હતી, પરંતુ આવું ક્યાં ય થયું નહીં. પ્રશ્ન એ છે કે આ વધારાના મતો કેવી રીતે પડ્યા? તે સ્પષ્ટ છે કે NDAએ આ 85 બેઠકોમાંથી મોટાભાગની બેઠકો જીતી હતી. ચૂંટણી પંચે મતદારોમાં આ વધારાને ‘યુવાનોની ભાગીદારીનો સ્વાગત ટ્રેન્ડ’ ગણાવ્યો હતો ! પરંતુ આ ‘ટ્રેન્ડ’ ફક્ત તે 12 હજાર બૂથ સુધી મર્યાદિત હતો, બાકીના 88 હજાર બૂથ સુધી નહીં. જો આ બાબત ગંભીર ન હોત, તો તેને મજાક તરીકે ઉડાડી શકાઈ હોત. કામઠી વિધાનસભા ગોટાળાનો સારો કેસ સ્ટડી છે. 2024ની લોકસભા ચૂંટણીમાં કાઁગ્રેસને અહીં 1.36 લાખ મત મળ્યા હતા, જ્યારે ભા.જ.પ.ને 1.19 લાખ મત મળ્યા હતા. 2024ની વિધાનસભા ચૂંટણીમાં કાઁગ્રેસને ફરીથી લગભગ સમાન સંખ્યા (1.34 લાખ) મત મળ્યા હતા, પરંતુ ભા.જ.પ.ના મત અચાનક વધીને 1.75 લાખ થઈ ગયા ! એટલે કે 56 હજાર મતોનો વધારો. આ વધારો બે ચૂંટણીઓ વચ્ચે કામઠીમાં ઉમેરાયેલા 35 હજાર નવા મતદારોને કારણે થયો હતો. એવું લાગે છે કે જેમણે લોકસભા ચૂંટણીમાં મતદાન કર્યું ન હતું અને જે નવા મતદારો ઉમેરાયા હતા, તે બધા ચુંબકીય રીતે ભા.જ.પ. તરફ ખેંચાયા હતા. આવી જ પદ્ધતિઓનો ઉપયોગ કરીને, ભા.જ.પે. 2024ની વિધાનસભા ચૂંટણીમાં 149 બેઠકોમાંથી 132 બેઠકો જીતી હતી. એટલે કે, 89 ટકાનો સ્ટ્રાઇક રેટ. આ કોઈપણ ચૂંટણીમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું, જ્યારે માત્ર પાંચ મહિના પહેલા યોજાયેલી લોકસભા ચૂંટણીમાં, ભા.જ.પ.નો સ્ટ્રાઇક રેટ માત્ર 32 ટકા હતો.”

“પુરાવા છુપાવવાનો પ્રયાસ : ચૂંટણી પંચે વિપક્ષના દરેક પ્રશ્નનો મૌન રહીને અથવા આક્રમક વલણ અપનાવીને જવાબ આપ્યો છે. તેણે 2024ની લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે ફોટોગ્રાફ્સ સાથેની મતદાર યાદી જાહેર કરવાની માંગને સીધી રીતે ફગાવી દીધી હતી. તેનાથી પણ ગંભીર બાબત એ હતી કે વિધાનસભા ચૂંટણીના એક મહિના પછી, જ્યારે હાઇકોર્ટે કમિશનને મતદાન મથકોની વીડિયોગ્રાફી અને સી.સી.ટી.વી. ફૂટેજ શેર કરવાનો નિર્દેશ આપ્યો હતો, ત્યારે કેન્દ્ર સરકારે ચૂંટણી પંચ સાથે પરામર્શ કર્યા પછી, ચૂંટણી આચાર નિયમો, 1961 ની કલમ 93(2)(A) માં સુધારો કર્યો. આ દ્વારા, સી.સી.ટી.વી. અને ઇલેક્ટ્રોનિક રેકોર્ડની ઍક્સેસ પ્રતિબંધિત કરવામાં આવી હતી. આ ફેરફાર અને તેનો સમય બંને ઘણું બધું કહે છે. તાજેતરમાં, સમાન અથવા ડુપ્લિકેટ EPIC નંબરોના ઉદ્દભવ પછી, નકલી મતદારો વિશે ચિંતાઓ વધુ ઘેરી બની છે. જો કે, વાસ્તવિક ચિત્ર કદાચ આનાથી પણ વધુ ગંભીર છે. મતદાર યાદી અને સી.સી.ટી.વી. ફૂટેજ લોકશાહીને મજબૂત બનાવવાના સાધનો છે, તાળા અને ચાવી હેઠળ રાખવા જેવી સામગ્રી નથી, ખાસ કરીને જ્યારે લોકશાહી સાથે છેડછાડ કરવામાં આવી રહી હોય. દેશના લોકોને ખાતરી આપવી જોઈએ કે કોઈ રેકોર્ડ નાશ પામ્યો નથી અને ભવિષ્યમાં તેનો નાશ કરવામાં આવશે નહીં. હવે એવી પણ શંકા છે કે આવા ગોટાળા ઘણા વર્ષોથી ચાલી રહ્યા છે. જો રેકોર્ડ્સની સંપૂર્ણ તપાસ કરવામાં આવે તો માત્ર છેતરપિંડીની પદ્ધતિ જ નહીં, પરંતુ તેમાં લોકોની ભૂમિકા પણ બહાર આવી શકે છે. દુઃખની વાત એ છે કે દરેક પગલે વિપક્ષ અને જનતા બંનેને આ રેકોર્ડ્સ સુધી પહોંચતા અટકાવવામાં આવી રહ્યા છે.”

“જે પક્ષ છેતરપિંડી કરે છે તે રમત જીતી શકે છે, પરંતુ સંસ્થાઓને નુકસાન પહોંચાડે છે અને પરિણામે જાહેર વિશ્વાસને નષ્ટ કરે છે. જો કોઈ ‘ટીમ’ મેચ ફિક્સ કરીને ‘ગેમ’ જીતી જાય, તો પણ સંસ્થાઓની વિશ્વસનીયતા અને જનતાના વિશ્વાસને થયેલ નુકસાન પુનઃસ્થાપિત કરી શકાતું નથી. મહારાષ્ટ્ર પછી મેચ ફિક્સિંગ બિહારમાં થશે, અને પછી જ્યાં પણ ભા.જ.પ. હારી રહી હોય ત્યાં થશે. મેચ ફિક્સ્ડ ચૂંટણીઓ લોકશાહી માટે ઝેર છે !” 

[કાર્ટૂન સૌજન્ય : સતીષ આચાર્ય]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર
પુરવણી :

Loading

તારવણ

યોગેશ પટેલ|Poetry|10 June 2025

અર્ધ ઉર્ધ્વ છું
નથી સમજાતું
કેમનો ફરું છું

સંપુર્ણ સમેટાયલું
બિન્દુ છું
નથી સમજાતું
કેમનો સર્વત્ર છું

અંદર નથી, બહાર નથી
ડગર નથી, ઘર નથી
પણ દ્વાર પર
અધ્ધર શ્વાસે અધ્ધર છું

આ કલશોરમાં
છતાંય લો
સંભળાય છે
છુટું સંગીત
રૉબિનનું, રૅનનું
સંગીતમય કાબર બ્લૅક બર્ડનું

e.mail : skylarkpublications@gmail.com

Loading

...11121314...203040...

Search by

Opinion

  • ‘શેતરંજ’ પર પ્રતિબંધનું પ્રતિગામી પગલું
  • જેઇન ઑસ્ટિન અમર રહો !
  • જેઇન ઑસ્ટિન : ‘એમા’
  • ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’: એક વિહંગાવલોકન
  • ગ્રામસમાજની જરૂરત અને હોંશમાંથી જન્મેલી નિશાળનો નવતર પ્રયોગ

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • નિર્મમ પ્રેમી
  • મારી અહિંસા-યાત્રા
  • ગાંધીનો હિટલરને પત્ર 
  • ઈશુનું ગિરિ-પ્રવચન અને ગાંધીજી
  • ગાંધી : ભારતની પ્રતિમા અને પ્રતીક

Poetry

  • વિમાન લઇને બેઠા …
  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !
  • હાલો…

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved