Opinion Magazine
Number of visits: 9783912
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|26 March 2026

દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

અત્યાચાર મુદ્દે વાજબી ઊહાપોહ ને પ્રતિકાર વચ્ચે વેતન ને રોજગાર ક્ષેત્રે થતાં શોષણનો મુદ્દો જો ચુકાઈ જાય તો વર્ણ ને વર્ગની જે પાયરીએ દેશના સૌ દલિતદમિત છે, એમનો સર્વાંગી વિકાસ કેમનો થાય, એ પાયાનો સવાલ છે.

પ્રકાશ ન. શાહ

મહાગુજરાત એસ.સી. એસ.ટી. મહાસભાની રવિવારી ચિંતનશિબિરમાંથી જે મુખ્ય વિચાર સૂર એકંદર દલિત આંદોલનની દશા અને દિશાને અંગે ઊઠ્યો છે, એ વિપળવાર પણ વહેલો નથી. બલકે, એક પ્રજાસત્તાક સ્વરાજ તરીકે ચાલુ અગર બાકી ખેંચાતી સ્વરાજલડતની રીતે તે મોડો નહીં તો પણ મંદ ને મંથર જરૂર છે. 

સામાન્યપણે દલિત સવાલને અનુલક્ષીને જાહેર સહવિચારની કોશિશમાં તત્કાળ સામે આવતાં નિમિત્તો અનામત બેઠકો અને અત્યાચાર(એટ્રોસિટી)નાં હોય છે. બંને મુદ્દા ખોટા અલબત્ત નથી. સ્વતંત્રતા અને સમાનતાએ જો સાથે લગાં જવાનું હોય (અને એ અનિવાર્ય પણ છે) તો શિક્ષણથી માંડી સંસદીય પ્રતિનિધિત્વમાં અનામત અંગેની જોગવાઈ તેમ જ કેમ જાણે કોઈ વર્ણગત ખરીતો હોય તેમ દલિતો પરના અત્યાચાર બાબતે સભાન ને સતર્ક એટલા જ સંવેદનશીલ રહેવું તે આપણી હાડની જરૂર છે. એ સિવાય આપણી લોકશાહી હાડેતી થઈ શકવાની નથી. 

પણ, શું દેશના દલિતકારણને આપણે આ બે જ બાબતોની આસપાસ સીમિત કરી નાખવું છે? દલિત બિરાદરી કથિત નીચલી પાયરીએથી ઉપલી પાયરીએ ચઢતી થાય અને વર્ણ તેમ વર્ગની જંજીરો તૂટતી થાય તે માટે આજુબાજુનાં કેટલા વાનાં સાંધવાનાં છે, એ બધો વખત આપણા લક્ષમાં આવતું નથી. 

આ વ્યાપક અભિગમપૂર્વક જોઈએ તો એસ.સી.એસ.ટી. મહાસભામાં ચાલેલું વિચારમંથન, ખાસ કરીને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ઊહાપોહભેર ઉપસ્થિત કરેલા મુદ્દા ધ્યાનાર્હ બની રહે છે. 

સામાન્ય વિચાર કરીએ તો પણ સમજાઈ રહે છે કે આપણે જેને ખેતમજૂર નામની વર્ગીય ઢબની ઓળખ આપીએ છીએ તે ઘણુંખરું દલિત હોય છે. એને સારુ લઘુતમ વેતનથી માંડી રોજગાર ગેરન્ટી યોજનાનું મહત્ત્વ સ્વયંસ્પષ્ટ છે. અત્યાચાર મુદ્દે વાજબી ઊહાપોહ  ને પ્રતિકાર વચ્ચે વેતન ને રોજગાર ક્ષેત્રે થતાં શોષણનો મુદ્દો જો ચુકાઈ જાય તો વર્ણ ને વર્ગની જે પાયરીએ દેશના સૌ દલિતદમિત છે, એમનો સર્વાંગી (ખરું જોતાં સર્વાગ્ર) વિકાસ કેમનો થાય, એ પાયાનો સવાલ છે. 

મહાગુજરાત એસ.સી.એસ.ટી. મહાસભાની બેઠકમાં જેને અંગે ચોંપ ને સક્રિયતા જરૂરી છે તેવા આંદોલન મુદ્દાઓની જે સૂચિ ઊભરી રહી એની એક ત્વરિત તપશીલ અહીં આપીએ તો ઘરના ઘરની સોઈ સારુ જમીન, કારખાનાંમાં ધોરણસરનાં વેતન, ‘હાયર એન્ડ ફાયર’ની મનમાની વચ્ચે અનિવાર્યપણે અનુભવાતી અસલામતી અહીં સાંભરે છે તો એ પણ સાથોસાથ નોંધી લઈએ કે મહેસૂલી કાયદા અન્વયે જમીન વહેંચણીની પ્રક્રિયા આપણે ત્યાં (જે ‘ગુજરાત મોડેલ’ પંકાય છે તેમાં) સને 2008થી સ્થગિતવત્ છે. જિજ્ઞેશ મેવાણીએ અને ઉમેશ સોલંકીએ ક્યારેક લોકસમિતિના ચુનીભાઈ વૈદ્યની સાથે રહીને સાંથણીની જમીનોનુંયે કામ કરેલું છે. કોઈ કેવળ રાજકીય પ્રાણી કે કેવળ રાજકીય પ્રાણી કે કેવળ બૌદ્ધિ પાણી જેવા બંધારણ એમનાં નથી. એમણે જમીની હકીકત સાથે કામ પાડેલું છે. જેને ‘એલોકેશન ઓફ રિસોર્સિઝ’ કરીએ છે એને અન્વયે વાસ્તવિક સંપ્રાપ્તિમાં દલિતો ક્યાં છે, એ પણ પાયાનો તપાસ મુદ્દો છે, – અને હા, લડતમુદ્દો પણ. 

2012ની થાનગઢ ઘટના કે 2016ની ઉના ઘટના, રોજિંદા સમાજજીવનમાં જે અપરિભાષિત એવી ત્રાસદી અનુભવાય છે એનું પેલા હિમદુર્ગ પેઠે એકદશાંશમું ટોચકું હોય તો હોય એ આપણું દુર્દૈવ વાસ્તવ છે. 

અહીં, સ્વરાજને આઠ-નવ વરસ થવામાં હશે અને બનતે બનતે રહી ગયેલી એક ઘટનાનું સ્મરણ થાય છે. વર્ગચિંતનના એકંદર સમાજવાદી માહોલ વચ્ચે રામ મનોહર લોહિયા એક દેશજ ભૂમિકાએ ઊભીને વિચારતા હતા અને એથી વર્ણસભાન ધોરણે ‘પિછડે પાયે સોમેં સાઠ’તરેહનું સૂત્ર પણ એમણે આપ્યું હતું. એમની ઇચ્છા આંબેડકર સાથે મળીને વ્યાપક આર્થિક-સામાજિક બુનિયાદ પર રાજકીય વિકલ્પમાંડણીની હતી. પણ એ માટેની મુકરર તારીખ પૂર્વે જ આંબેડકર ગયા અને આ વિકલ્પખોજ અધૂરી રહી. આપણે ત્યાં બક્ષી પંચથી માંડી મંડલ સહિતના ટુકડા ટુકડા વચ્ચે ગાંધીના રેડિકલ સર્વોદય કે લોહિયાની સપ્તક્રાંતિ અગર જયપ્રકાશના સંપૂર્ણક્રાંતિ દર્શન વગર બધું ઊણુંઅલૂણું.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 25 માર્ચ 2026

Loading

અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

ચંદુ મહેરિયા|Opinion - Opinion|25 March 2026

ચંદુ મહેરિયા

યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા(યુ.એસ.એ.)માં રોજ ૯ લોકો પાણીમાં ડૂબી જાય છે. તે પૈકી ૬ કાળાઓ હોય છે. ૫ થી ૧૪ વરસના આફ્રોઅમેરિકી બાળકોનો પાણીમાં ડૂબવાનો દર ગોરા બાળકોની તુલનામાં ૨.૬ ગણો વધારે હોવાનું અમેરિકી રોગ નિયંત્રણ કેન્દ્ર જણાવે છે. અમેરિકી એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સના અભ્યાસનું તારણ છે કે શ્યામવર્ણી કિશોરોની સરખામણીએ બિનશ્યામ કિશોરોની પાણીમાં ડૂબી જવાની સંભાવના આઠ ગણી વધુ છે. યુનાઈટેડ કિંગડમ(યૂ.કે.)ની શાળાઓમાં સ્વિમિંગ પાઠયક્રમનો અનિવાર્ય હિસ્સો છે. તેમ છતાં ત્યાં ૨૦૨૨માં ૯૫ ટકા મોટા અને ૮૦ ટકા નાના શ્યામવર્ણીઓ તરી શકતા નહોતા. અમેરિકાની વિલિયમ્સ કોલેજમાં ૨૦૧૩ થી ૨૦૧૯ દરમિયાન લેવામાં આવેલી ૫૦ યાર્ડની સ્વિમિંગ ટેસ્ટમાં ૮૧ ટકા કાળાઓ નાપાસ થયા હતા. પુખ્ત ઉમરના ધોળાઓ કરતાં પાંચ ગણા વધુ કાળાઓ પાણીમાં તરી શકતા નથી. 

વંશીય ભેદ અને અસમાનતા કેવા કેવા સ્વરૂપમાં હોય છે તે જાણીને નવાઈ લાગે છે. વળી તે સાચી છે તેની ખાતરી થતાં આઘાત સાથે શરમ અનુભવાય છે. પાણીમાં તરવું તે સામાન્ય બાબત લાગે છે. ભારતના ગ્રામ્ય પ્રદેશમાં જ્યાં દરિયો, નદી, નાળાં, નહેર, તળાવની સગવડ છે ત્યાં બાળવયથી જ ખાસ કશી તાલીમ વિના લોકો નહાય છે અને થોડું તરવાનું કૌશલ્ય હાંસલ થતા એયને ધૂબાકા મારે રાખે છે. પાણીના આ જાહેર સ્રોત પર જ્ઞાતિ ભેદ જરૂર છે અને તે પ્રમાણેના ઓવારા પણ જોવા મળે છે. પરંતુ તરવાનું કૌશલ્ય હાંસલ ન કરી શકે તેવો ભેદ વંશીય અસમાનતાને કારણે અમેરિકા-બ્રિટનન્ની કાળી પ્રજા સાથે આચરાયો છે. 

ઈ.સ.૧૮૦૦ થી ૧૯૩૦ના દાયકાઓમાં અમેરિકામાં સ્વિમિંગ પૂલ બનાવવાની હોડ મચી હતી. સ્થળાંતરિત ગરીબોની વસ્તીમાં પણ તે બનતા જોવા મળ્યા હતા. પણ બ્લેક વસ્તીમાં તે જોવા મળતા નહોતા. ૧૯૩૦ના દાયકામાં અમેરિકાના સેન્ટ લુઈસ શહેરની વસ્તીમાં બ્લેક વસ્તી ૧૫ ટકા હતી. પરંતુ આટલી મોટી વસ્તીમાં માંડ એક જ સ્વિમિંગ પૂલ હતો. તે પણ જર્જર અને અસ્વચ્છ. દક્ષિણ અમેરિકામાં જિમ ક્રો કાનૂનોએ સ્વિમિંગ પૂલ અને સમુદ્ર તટો પર રંગભેદ અનિવાર્ય કર્યો હતો. ઉત્તર અમેરિકાના પિટ્સબર્ગ જેવા શહેરોમાં કાળા-ગોરા વચ્ચે તરવાની જગ્યામાં ભેદ નહોતો. પરંતુ જો કોઈ ધોળા બાળકો કાળા તરતા હોય તે જગ્યાએ તરવા આવે તો પોલીસ મારીને ભગાડી મૂકતી. વળી કાળાઓ તરી ન શકે એટલે તરવાની જગ્યાઓમાં કચરો નાંખતા અને તેથી આગળ વધીને એસિડ પણ ફેંકતા હતા. ૧૯૪૯માં સેન્ટ લુઈસ શહેરમાં કાળાઓ તરતા હતા ત્યાં ગોરાઓએ હુમલો કર્યો હતો. એટલે શ્યામવર્ણી વસ્તીમાં સ્વિમિંગ પૂલની સગવડો ન આપવી અને જ્યાં સગવડો છે તેવી ધોળી વસ્તીના સ્વિમિંગ પૂલમાં કાળાઓને પ્રવેશ ન આપવો તેને કારણે અમેરિકાની આફ્રોઅમેરિકી પ્રજા તરવાના કૌશલ્યથી વંચિત રહી હતી. 

શ્યામ પ્રજા કોઈ જૈવિક અક્ષમતાને કારણે પાણીમાં તરવાથી દૂર રહી હોઈ એવું નહોતું. ઐતિહાસિક અસમાનતા, વંશીય ભેદભાવ, પ્રવેશ પર રોક, અલગાવ (SEGREGATION) અને સંસાધનોની અછત જ કારણ હતું. પરંતુ ધોળિયાઓ કાળાઓને તરણથી દૂર રાખીને તેમના દૂર હોવાનાં કારણ તરીકે તેમની શારીરિક અક્ષમતાને આગળ કરતા હતા. કાળાઓના હાડકાં લચીલાં નહીં પણ સપાટ હોવાથી, પાણીમાં તરવા જરૂરી ઉછાળ(Bounce)નો અને શરીરમાં ચરબીનો અભાવ હોવાનું કારણ જણાવતા હતા. બ્લેક મહિલાઓ તેમના વાળ અને હેર સ્ટાઈલની બહુ દીવાની હોય છે અને તરવાને કારણે ભારે ખર્ચ અને માવજતથી તૈયાર કરેલા વાળ બગડી જાય છે એટલે તે તરણથી દૂર રહે છે છે, તેવું કારણ પણ આગળ કરાતું હતું. આ રીતે તેઓ અસમાનતા અને વંશીય ભેદના કારણોને ઓછલ કરી દેતા હતા. 

આજના આફ્રોઅમેરિકીઓના વડવાઓને જ્યાંથી ગુલામો તરીકે લાવવામાં આવ્યા હતા તે આફ્રિકામાં તરણની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત છે. એટલે તેઓ જાતે કે શરીરની નબળાઈથી તરણથી દૂર રહ્યા હોવાની વાત માની શકાય તેવી નથી. ૧૬૭૯માં માર્ટિનિકના કિનારે ગુલામોને લઈ જતું જહાજ દુર્ઘટનાગ્રસ્ત થયું ત્યારે એક અનામ આફ્રિકન ગુલામ ૬૦ કલાક દરિયામાં તરીને કિનારે પહોંચ્યો હતો. ૧૮૩૧માં ટાઈસ ડેવિડ નામનો ગુલામ કેંટકીથી ભાગીને ઓહિયા નદી તરીને ઓહિયા પહોંચ્યો હતો. સાવ નજીના ભૂતકાળમાં ક્લેન જોન્સ અને એન્ટની એરવિન નામક બે બ્લેકે ૨૦૧૨ની ગ્રીષ્મ ઓલિમ્પિકમાં સ્વિમિંગમાં ભાગ લીધો હતો. હવે જોન્સે વંચિત સમુદાયના લોકોને તરવાની તાલીમ આપવાના કાર્યને જીવનકાર્ય બનાવ્યું છે. 

છેક વીસમી સદી સુધી અમેરિકા-બ્રિટનમાં શ્યામ વર્ણી પ્રજાને તરવાના આનંદથી દૂર રાખી હતી. પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહી છે.અમેરિકાનાં તરણ મંડળો અને તરણ સ્થળોમાં કાળાઓની હાજરી વર્તાવા માંડી છે. બ્લેક પુરુષો જ નહીં બ્લેક મહિલાઓ પણ છેક ઓલિમ્પિક સુધી સ્વિમિંગમાં ભાગ લે છે અને જીતે છે. ભારતમાં જ્ઞાતિભેદ અને આભડછેટને દૂર કરવામાં સરકાર અને સમાજનું ખાસ યોગદાન જોવા મળતું નથી પરંતુ યૂ.કે.-યુ.એસ.એ.માં એવું નથી. અમેરિકામાં સ્વિમિંગ ટેસ્ટમાં તેની વંશીય અસમાનતા બહાર આવતાં વોશિંગ્ટન, વિલિયમ્સ, લી અને હિમિલ્ટન યુનિવર્સિટી સહિતની જાણીતી શિક્ષણ સંસ્થાઓએ છેલ્લાં કેટલાંક વરસોથી સ્વિમિંગ ટેસ્ટ લેવાની બંધ કરી દીધી છે. 

સ્વિમિંગ કે તરણના જ્ઞાન સુધીની કાળાઓની પહોંચ અને અસમાનતા ખાળવા અધિક સમાન સમાજ બનાવવા માટે હજુ ઘણી પેઢીઓની સમાનતાની જરૂર છે. કાળાં માતા-પિતા ખાસ કરીને માતાઓમાં તરણ કૌશલ્ય ભેદભાવને કારણે આવ્યું નથી તેથી તેઓ પોતાના સંતાનોને પાણીથી અને એટલે તરવાથી દૂર રાખે છે.તેમનો આ ડર દૂર કરવાના મનોવૈજ્ઞાનિક પ્રયત્નો શરૂ થયા છે. સ્વિમિંગનો આનંદ જે સૌ માટે સમાન ધોરણે ઉપલબ્ધ નહોતો તેને મોટાપાયે ઉપલબ્ધ કરાવવાની આવશ્યકતા છે. અમેરિકા સહિતના પશ્ચિમી દેશોમાં સામાજિક અને ઐતિહાસિક કારણોથી શ્યામ પ્રજાને તરવાથી દૂર રાખી હતી હવે તેની આ ક્ષેત્રમાં ભાગીદારી વધે તે માટે બમણા જોરથી લાગી જવાનું છે. સ્વિમિંગને પાઠ્યક્રમમાંથી દૂર કરવાનું કે સ્વિમિંગની ટેસ્ટ પડતી મૂકવાનું હાલના સમય સંજોગોમાં કદાચ વાજબી હોઈ શકે પણ કાળા-ગોરાના ભેદ સિવાય સૌ સમાન ધોરણે તરવાનો અને જીવવાનો આનંદ  મેળવતા થાય તેવો સમાજ આપણે ઘડવાનો છે. 

e.mail : maheriyachandu@gmail.com
(તા.૧૮.૦૩.૨૦૨૬)

Loading

સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|25 March 2026

એપ્રિલ માસમાં આવતી મહાપુરુષોની જયંતીઓના ત્રિવેણી સંગમે, નારાયણ ગુરુના આદર્શોથી માંડીને આંબેડકર–જગજીવનરામના સંવાદો દ્વારા રચાતા ભારતીય દલિત વિમર્શનો તારસ્વર

બાબુ જગજીવન રામ અને બાબાસાહેબ આંબેડકર

પ્રકાશ ન. શાહ

હમણે વાંચી તો રહ્યો છું એક હસ્તપ્રત, જગજીવન રામ વિશે અરવિંદ માર્ડનની કલમે : જોઉં છું કે પાંચમી એપ્રિલે એમની જન્મજયંતી ટકોરા દઈ રહી છે; અને વાંસોવાંસ ફુલે જયંતી (અગિયારમી એપ્રિલ) અને આંબેડકર જયંતી (ચૌદમી એપ્રિલ) પણ … બિલકુલ, એપ્રિલ જાણે કે દલિત ઇતિહાસ માસ સ્તો.       

જો કે આ લખી રહ્યો છું ત્યારે બે પિછવાઈધક્કા પણ ચિરશોભીતા અનુભવું છું. હવામાં કાંશીરામને ભારતરત્ન ઘોષિત કરવાની માંગ માયાવતીની જ નહીં, રાહુલ ગાંધીની પણ છે. વળી, ખાસ તો, આજકાલ શશી થરુરની નારાયણ ગુરુ પરની કિતાબ ચર્ચામાં છે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ અને વીસમી સદીના પૂર્વાર્ધના ગાળામાં એક તબક્કે એ કેવી મોટી ઘટના હશે, એનો બને કે આજે આપણને પાધરો ખયાલ નયે હોય. પણ વરસેક પર વાયકોમ સત્યાગ્રહની શતાબ્દી વિશે વાંચવા-લખવાનું થયું ત્યારે ગાંધીજીનો એક હૃદયવેધી ઉદ્દગાર બલકે પુણ્યાવેશી ચિત્કાર નોંધવાનું બન્યું હતું તે બસ થઈ પડશે. મંદિર ફરતે જે રસ્તાઓ હતા તેમાં દલિતોને ચાલવાની પરંપરાગત બંધી હતી. ગાંધીજીએ કહ્યું હતું : જેની ફરતે રસ્તા પર નારાયણ ગુરુ પણ ન ચાલી શકે તેવું મંદિર હું કલ્પી શકતો નથી.

ઈસવી 2000 સંકેલાતે મેન ઓફ ધ મિલેનિયમ કોણ એવી ચર્ચામાં વિશ્વસ્તરે ઊપસેલું નામ ગાંધીજીનું હતું. પણ 1999માં એક મલયાલી અખબારે કેરળ પૂરતું આવું સર્વેક્ષણ કર્યું ત્યારે ઉભરેલું નામ નારાયણ ગુરુનું હતું : વાયકોમ પર્વમાં ગાંધીનું નારાયણ સ્મરણ એક સહસ્રાબ્દી પુરુષે બીજા સહસ્રાબ્દી પુરુષને આપેલી અનન્ય અંજલિ હતી.

જે કાળે બેછૂટ છુઆછુતને કારણે વિવેકાનંદને કેરળની ભૂમિ ગાંડાઓના આશ્રયધામ (લ્યુનેટિક એસાયલમ) જેવી લાગી હતી એની વચ્ચે નારાયણ ગુરુ આવ્યા અને એક નાત, એક ધર્મ, એક ઈશ્વર એવા ખ્યાલ સાથે કેમ જાણે છાઈ ગયા. શિવગિરિ જાતરાનો જે સમો એમણે બાંધી જાણ્યો એમાં ઊપસી રહેલાં વાનાં શિક્ષણ, સ્વચ્છતા, ખેતી, ઉદ્યોગ ને ટેકનિકલ ટ્રેઈનિંગ જેવાં હતાં. વિશેષતા એ રહી નારાયણ ગુરુની ધર્મચર્ચાની કે એમાંથી દેશનું સંભવત: પહેલું રેશનલિસ્ટ એસોસિએશન આવ્યું, અને એક તગડમસ્ત લેબર યુનિયન પણ!

વાયકોમ દિવસોમાં, એમ તો, કાઁગ્રેસમેન પેરિયાર પણ સત્યાગ્રહ સાથે હતા પણ એ મોળો લાગતાં ખસી ગયા હતા. જો કે એમની રીતે એમણે પૂરા કદનો જ વૈકલ્પિક વિમર્શ જગવ્યો એની વચાળે ગાંધી પરત્વે એમનો અભિગમ પ્રસંગે સલામત અંતર એટલો જ સટીક સમાદરનો રહ્યો.

આ ત્વરિત તવારીખી ટિપ્પણીમાં એક સાથે જે બધાં નામો દડી આવે છે, દોડી આવે છે, તે બધા મળીને ખરું જોતાં પ્રજાસત્તાક સ્વરાજને લાયક દલિત વિમર્શ માટેની સર્વાંગી ખોજમથામણનો ગોફ રચે છે. સમાજસુધારા વગર ચાલવાનું નથી. તે સંદર્ભે ધર્મશોધન કદાચ દુર્નિવાર છે. મહારાષ્ટ્રની ફુલે-આંબેડકર પરંપરા જુઓ. શિવાજી તો અમારા શુદ્રોના રાજા કહેતાં ફુલે અંગ્રેજી રાજને કારણે જે સમતાલક્ષી સંભાવના ઊભી થઈ એના કાયલ છે. આંબેડકર બૌદ્ધ બનવું પસંદ કરે છે, અને ક્યારેક વાઈસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ પર રહ્યા પછી એ તમને પ્રજાસત્તાક સ્વરાજના બંધારણના અગ્ર ઘડવૈયાઓમાં જોવા મળે છે.

પુના કરારે ગાંધી-આંબેડકર જેવા બે કથિત સ્પર્ધી ભેરુઓને એવા સાંકળ્યા છે કે ગાંધીસૂચને આંબેડકર નેહરુ-પટેલના બરકયા સ્વતંત્ર ભારતના પહેલા પ્રધાનમંડળ પર છે. આ તો પ્રમાણમાં જાણીતી વિગત છે. પણ ઇંદ્રાણીએ પતિ જગજીવન રામનાં જે સંસ્મરણો આલેખ્યાં છે એમાં નોંધ્યું છે કે ત્યારે દલિત છેડેથી કાઁગ્રેસ નેતૃત્વમાં ઉભરેલા જગજીવન રામ પણ આંબેડકર સાથી પ્રધાન હોય તેવું સૂચવવામાં હતા. જે અર્થમાં જગજીવન રામ સીધી સ્વરાજ લડતમાં હતા તે અર્થમાં આંબેડકર અલબત્ત નહોતા. પણ સમતા વગરની રાજકીય સ્વતંત્રતા અધૂરી છે એ સમજમાં તો બેઉ સાથે જ હતા ને.

પુના કરાર સાથે આંબેડકર રાષ્ટ્રીય સ્તરે ઊંચકાયા ત્યારે જગજીવન રામની રાજકીય કામગીરી ને કારકિર્દીની પણ માંડ શરૂઆત હશે. બિહારના આ તેજસ્વી છાત્રને માલવિયાજીએ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ સારુ નિમંત્ર્યા, પણ જેમ સયાજીરાવ આંબેડકરને નિવાસ ન અપાવી શક્યા તેમ માલવિયાજી જગજીવન રામને છાત્રાવાસ ન અપાવી શક્યા. કલકત્તે જઈ ભણી ઊતર્યા ને ડિપ્રેસ્ડ લીગ તેમ કાઁગ્રેસ મારફતે સક્રિય બન્યા. એમણે ધર્માંતરમાં નહીં પણ ધર્મસુધારમાં ઉગાર જોયો. વ્યાપક સમાજ સાથે, સમતા મથામણ પૂર્વક પણ અનુબંધની ભૂમિકાએ એ સક્રિય હતા. કેન્દ્રીય પ્રધાનમંડળના એમનાં વર્ષો બાંગલા ઘટના વેળાએ સંરક્ષણ પ્રધાન તરીકે તેમ હરિયાળી ક્રાંતિના વારામાં કૃષિપ્રધાન તરીકે ઝળહળતાં છે. લઘુત્તમ વેતન ધારો તેમ જ કામદાર વીમા યોજના આદિનું શ્રેય એમને નામે ઇતિહાસ જમે છે.

કાંશીરામે આંબેડકરને ગુરુ કીધા તો કીધા, પણ આંબેડકર જો અલ્પસંખ્યક માત્રને પૂરા અધિકારે સજ્જ બનાવવામાં અગ્રતા જોતા હતા તો કાંશીરામ નાનામોટા અલ્પસંખ્યકોને એકત્ર કરી બહુસંખ્ય રાજનૈતિક ફતેહની રણનીતિમાં રમેલા હતા. આંબેડકરને માટે હિંદુ મટી બૌદ્ધ થવું એ અંતરતમની આરત હશે તો કાંશીરામ માટે આપણે સત્તા પર આવીએ અને બૌદ્ધ બનીએ તો રોલો પડી જાય એવું હશે. માયાવતી સર્વસમાજ ફોર્મ્યુલા સાથે મુખ્ય મંત્રીની પાયરીએ પહોંચ્યાં એ નિ:શંક એક વિક્રમ ઘટના હતી.

જો સહયોગપૂર્વક સમતાલક્ષી સ્વરાજ નિર્માણ અભીષ્ટ હોય તો કેવળ આંબેડકર છેડેથી અગર કેવળ જગજીવન રામ છેડેથી ચાલવાનું નથી. થોડી બાંધછોડ, થોડી સોરાબ-રુસ્તમી … અને તમે જુઓ, કેવોક ગોફ ગુંથાતો આવે છે!

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”;  25 માર્ચ 2026

Loading

...10111213...203040...

Search by

Opinion

  • ડૉ. આંબેડકરના જીવન અને વિચારોનું મૂલ્યાંકન કરતું સંપાદન : સમતાના સેનાની આંબેડકર
  • હું મારો નિર્ણય નહીં બદલું
  • – એમને આંસુ આવતાં નથી …
  • ભારતની ન્યુક્લિયર ડૉક્ટરીનઃ ઠોસ રણનીતિનાં ધીમાં અને મક્કમ પગલાંની અનિવાર્યતા 
  • વિશ્વયુદ્ધના ઉંબરેથી પાછા ફરતા ટૃમ્પ

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved