Opinion Magazine
Number of visits: 10080172
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રેમ પકડવાનું જ નહીં, છોડવાનું પણ નામ છે … 

સોનલ પરીખ|Opinion - Opinion|28 July 2026

બાંધી રાખવું, જકડી રાખવું, પકડી રાખવું, દુહાઈઓ દેવી એ પ્રેમ નથી – વળગણ છે. જેને ચાહીએ છીએ તેમને મુક્ત રાખવા, સ્પેસ આપવી, જવા દેવા એ પ્રેમ છે. સત્ય તો એ છે કે સંતાન હોય કે અન્ય સ્વજન, જ્યારે આપણે કોઈને તેની જિંદગી શોધવા માટે મુક્ત કરીએ છીએ ત્યારે આપણને પણ આપણી મુક્તિ, આપણી જિંદગી પ્રાપ્ત થતી હોય છે.

મે મહિનામાં મધર્સ ડે આવે અને જૂન મહિનામાં ફાધર્સ ડે. લેખકો, વાચકો સૌ પોતપોતાની રીતે માતાપિતાને સ્નેહાંજલિ આપે. ઋણસ્વીકાર, કૃતજ્ઞતા, પ્રેમ આ બધી સરસ બાબતો છે, પણ ચોક્કસ દિવસે – કે અમસ્તા પણ – વધારે પડતાં ઈમોશનલ થઈ જવાની આપણને જે ટેવ છે તે ક્યારેક અકળાવે છે. વધારે પડતાં ઈમોશનલ થઈ જવામાં એક જાતનો આનંદ તો છે, પણ લાગણીનો અતિરેક અને એને લીધે અમસ્તો અમસ્તો આવતો દયા અને અપરાધનો ભાવ તંદુરસ્ત બાબત નથી. સિક્કાની બીજી બાજુ જોઈએ તો વડીલોને પણ અમુક ઉંમર પછી વધુ પડતાં આધારિત થઈ જવામાં, અતાર્કિક અપેક્ષાઓ રાખવામાં, ફરિયાદો કરવામાં અને કારણ વગર દુ:ખી રહેવામાં આનંદ આવતો હોય છે, પણ આ પણ તંદુરસ્ત બાબત નથી. અમારાં 65 વર્ષનાં સુનીતાબહેન સિરિયલો જોઈને બળાપા કાઢવા માંડે, ‘કેવો જમાનો આવ્યો છે, એક માએ ત્રણ દીકરા મોટા કર્યા હોય, પણ ત્રણ દીકરા મળીને એક માનું ઘડપણ ન સાચવે …’ એક વાર આવા બળાપા આત્મદયામાં ફેરવાઇ જવાની તૈયારી થઈ એટલે એમનાં વેવાણે કહ્યું, ‘તમારી વાત સાચી છે, પણ આપણે નસીબદાર છીએ, આપણાં દીકરા-વહુ આપણને સરસ સાચવે છે.’ તરત સુનીતાબહેનની ગાડી પાટા પર આવી ગઈ, ‘હા, હો. ભગવાનની દયા છે.’

આવા જ વડીલો છે મનોજભાઇ અને યામિનીબહેન. બંને ભણેલા પહેરવે-ઓઢવે ખાસ્સા આધુનિક છે, પણ … હવે મનોજભાઈને ડાયાબિટીસ છે અને યામિનીબહેનને પ્રેશર. દીકરાએ ગ્લુકોમીટર અને સ્ફિગ્મોમેનોમીટર (બ્લડ પ્રેશર માપવાનું મશીન) લાવી આપ્યાં છે, પણ બેમાંથી કોઈ કદી એનો ઉપયોગ નથી કરતું.નોકરી કરતી વહુને યામિનીબહેન વારંવાર ‘હું તો પચાસ માણસની રસોઈ એકલે હાથે કરી નાખું’ એવું કહેતા હોય, પણ ડૉક્ટરે સલાડ ખાવાની ભલામણ કરી છે, ફ્રિજ ભરેલું હોય છે, તો પણ સલાડ સમારી લેતાં નથી. દવાઓનું પ્રમાણ પણ બંને ‘હમણાં તો સારું છે’ કહી પોતાની રીતે ઘટાડી દે ને પછી દાંત પડાવવાના હોય કે નાનીમોટી સર્જરી કરવાની થાય ત્યારે શુગર અને પ્રેશર કાબૂમાં લાવતાં આખા ઘરના નાકે દમ આવે. એમનાં બહેનને પગની તકલીફ છે. લંગડાતાં ચાલે, પણ દીકરો લઇ જાય ત્યારે જ ડૉક્ટર પાસે જાય, દવા પણ એ લાવી આપે તો જ લે. કસરત કદી ન કરે. સૂચવેલો ખોરાક ન ખાય. વજન ન ઘટાડે. કોઈ કઈં કહે તો રડવા બેસે. આ કેવી નાદાની છે? એમનાં દીકરો-વહુ કહે છે, ‘એ અમારા પર એટલાં ડીપેન્ડ છે કે નાનું બાળક બીમાર પડે તો માને જેમ પોતાનો વાંક છે એમ લાગે, એવું ગિલ્ટ અમને એમને માટે થાય છે.’ આવા દીકરા-વહુને કહેવાનું મન થાય કે તમારે ગિલ્ટ અનુભવવાની જરૂર નથી. જરૂર એમને પોતાની જવાબદારી સમજવાની છે. દીકરા-વહુને નગુણાં કહેતાં આપણે થાકતા નથી, પણ ગૃહિણી વહુ ત્રાસી જાય ને જોબ કરતાં દીકરા-વહુ સતત ચિંતામાં રહે એવી સ્થિતિ ઊભી કરવાનું ઘણા વડીલોને ગમતું હોય છે. સાયકોલોજીની ભાષામાં ‘એટેન્શન સિકિંગ’. ઉંમર વધતાં પરિપક્વતા વધે એવું લૉજિક કેટલાક અણસમજુ લાગણીપ્રધાન વડીલોને લાગુ પડતું હોતું નથી. એમને રોદણાં રોવાં હોય છે : દીકરો-વહુ સાથે હોય તો પણ, ને ન હોય તો પણ. 

અહમદ ફરાઝે લખ્યું છે, ‘ઇતના માયુસ ન હો ખલ્વટ-એ-ગમ સે અપની, તૂ કભી ખુદ કો ભી દેખેગા તો ડર જાયેગા, વક્ત કા ક્યા હૈ, ગુઝરતા હૈ ગુઝર જાયેગા’ ખલ્વટ-એ-ગમ એટલે દુ:ખની એકાંત અવસ્થા. આમ તો ગમે તે ઉંમરે, પણ 60 વર્ષ પછી ખાસ, દરેકને કોઈ ને કોઈ રીતે દુ:ખની એકાંત અવસ્થાનો સામનો કરવાનો આવે છે. એનો સામનો કરવાની પરિપક્વતા એ ઉંમરે હોવી જોઈએ. પોતાની જાતને જોવી-સમજવી, સ્વાર્થ-બાલિશતાને દૂર કરવાં અને પોતાને-પોતાની જિંદગીને સમેટી લેવા માંડવું – આ શીખવાનું હોય છે આ ઉંમરે. અને સંતાનો? એમનાં જીવન હજી શરૂ થયાં છે. એમને સોંપી દેવાનાં છે એમની પાંખો, એમનું આકાશ. આપણે પોતાનામાં સ્થિર થવાનું છે. એમના પગે ટીંગાઈ જવાનું નથી. સંતાનો પોતાની જિંદગી જીવતાં થાય ત્યારે અસલામતી અનુભવવાને બદલે બને એટલી મદદ કરવી, પોતાની તબિયત સાચવી લેવી અને કોઈક સર્જનાત્મક પ્રવૃત્તિ કરતાં રહેવું એટલું જો ન આવડતું હોય તો શીખી લેવું જોઈએ. માથે પડેલા હોઈએ એમ રહેવું, દુ:ખો ઊભાં કરવાં, સંતાનોને વગોવવાં, જાત પ્રત્યે બેદરકાર રહેવું, નવરાશને નકારાત્મક બનાવવી અને પછી પ્રેમ અને આદરની અપેક્ષા રાખવી એ યોગ્ય નથી. સરસ મજાનાં, પરાણે વહાલાં લાગે એવાં વડીલો પણ એમ તો જોવા મળે, પણ કમભાગ્યે એમની સંખ્યા ઓછી છે. 

ફાધર્સ ડે નિમિત્તે એક ગીત સાંભળવા મળ્યું તેમાંથી આ બધા વિચાર આવ્યા. આ ગીત પૉલ આન્કા નામના એક કેનેડિયન-અમેરિકન ગાયક-કવિ-સ્ટેજ આર્ટિસ્ટે લખેલું ને પરફૉર્મ કરેલું છે. ‘પાપા’ નામનું આ ગીત અને તેનો સુંદર વીડિયો યુટ્યૂબ પર છે. બિલકુલ સાદા શબ્દોમાં કહેવાઈ છે આખી વાત :

‘મારા પિતાએ સખત કામ કર્યું કે ઘર ચાલે, અમારાં પેટ ભરાય, હું ભણું અને સરસ જીવન જીવું. મને યાદ છે, રોજ રાતે પ્રાર્થના પછી તેઓ મારું કપાળ ચૂમતા અને મને ઊંચકીને પથારીમાં સુવાડતા. સમય કઠિન હતો, પણ અમે ખુશ હતા : ધ ડેઝ વેર રફ, બટ પાપા – હી વૉઝ ટફ. મારી મા સતત તેમની સાથે હતી. કેવું સુખદ હતું એમની છાયામાં મોટા થવાનું … 

‘સમય ઝડપથી ઊડી ગયો. મારી ઉંમર વધી, એમની પણ. મા બીમાર પડી, એક દિવસ ચાલી ગઈ. પિતા તૂટી ગયા, બોલી ઊઠ્યા, “ઈશ્વર, શા માટે તેને, મને લઇ લો.” ત્યાર પછી એ આરામખુરશી પર જ સૂઈ જતા. ઉપર પોતાના કમરામાં ન જતા, કેમ કે મા ત્યાં ન હતી. 

‘અને પેલે દિવસે, મને બોલાવીને એમણે કહ્યું, “દીકરા, તું સરસ રીતે વિકસ્યો છે. મને એનું ગૌરવ છે.” પછી બોલ્યા, “તું બહાર નીકળ. તારી જિંદગી જીવ અને ચિંતા ન કરીશ – હું પણ જીવીશ – ભલેને એકલો.’ અને કહ્યું, ‘તારે ઘણું કરવાનું છે, ઘણું જોવાનું છે.’ એમનો સ્વર અને આંખો ભીનાં હતાં.

‘જ્યારે હું મારાં બાળકોને વહાલ કરું છું, યાદ આવે છે તેમના શબ્દો, ‘તું તારા બાળકોમાં જીવજે, પણ એમને એમની રીતે વિકસવા દેજે. જવા માગે ત્યારે જવા દેજે.’ મારાં બાળકોને ચૂમતી વખતે મારા હૃદયમાં પ્રાર્થના જાગે છે, “એક દિવસ મારાં સંતાનો મને એ જ રીતે યાદ કરશે જે રીતે હું મારા પિતાને યાદ કરું છું. આઈ પ્રે ધેટ ધે વિલ થિંક ઑફ મી ધ સેમ વે, સમ ડે”’  

આ ગીતનું સૌથી હૃદયસ્પર્શી અને સુંદરતમ બિંદુ એ છે જ્યારે પિતા સંતાનને પોતાની જિંદગી શોધવા માટે મુક્ત કરે છે અને કહે છે કે સમય આવે ત્યારે તું પણ તારાં સંતાનોને આ જ રીતે જવા દેજે. ભારતીય માનસિકતા કરતાં આ વાત જુદી છે, પણ શીખવા-સમજવા જેવી છે. બાંધી રાખવું, જકડી રાખવું, પકડી રાખવું, દુહાઈઓ દેવી એ પ્રેમ નથી – વળગણ છે. જેને ચાહીએ છીએ તેમને મુક્ત રાખવા, સ્પેસ આપવી, જવા દેવા એ પ્રેમ છે. 

સત્ય તો એ છે કે સંતાન હોય કે અન્ય સ્વજન, જ્યારે આપણે કોઈને તેની જિંદગી શોધવા માટે મુક્ત કરીએ છીએ ત્યારે આપણને પણ આપણી મુક્તિ, આપણી જિંદગી પ્રાપ્ત થતી હોય છે. 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 28 જૂન 2026

Loading

એવરેસ્ટ પરના ‘ગ્રીન બુટ્સ’નું રહસ્ય કેવી રીતે ઉકેલાયું?

કિરણ કાપૂરે|Opinion - Opinion|28 July 2026

1996માં એવરેસ્ટ સર કરવા નીકળેલા એક પર્વતારોહીની ભાળ હાલમાં મળી છે અને તે માટે ભારત સરકારે એક વિશેષ ઓપરેશન હાથ ધર્યું છે. એવરેસ્ટના શિખરથી 350 મીટર નીચે એક નાનકડી ગુફા જેવા હિસ્સામાં ‘ગ્રીન બુટ્સ’થી ઓળખાતો એક મૃતદેહ છેલ્લાં ત્રીસ વર્ષથી પડ્યો હતો. તિબેટની સરહદમાંથી એવરેસ્ટ સર કરનારાં અનેક પર્વતારોહીને આ ‘ગ્રીન બુટ્સ’ ધરાવતો મૃતદેહ દેખા પણ દેતો. ઘણી વાર પર્વતારોહી પહોંચવાના નિશાની તરીકે ‘ગ્રીન બુટ્સ’ના મૃતદેહનો ઉલ્લેખ કરતા હતા. પરંતુ હવે આ મૃતદેહની ઓળખ થઈ છે અને તેને નીચે લાવવા માટે એક ઓપરેશન હાથ ધરાયું છે. 

સૌથી પહેલાં તો પ્રશ્ન એ થાય કે અત્યાર સુધી જે મૃતદેહને પર્વતારોહી જોતા હતા, તેમ છતાં તેને લાવવા માટે કેમ પ્રયાસ ન કરવામાં આવ્યો અને છેક હવે તે માટે ‘ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ’ દ્વારા જોખમી ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું છે. જે સ્થાને ‘ગ્રીન બુટ્સ’ ધરાવતો મૃતદેહ હતો, તે એવરેસ્ટના શિખરથી સાડા ત્રણસો મીટર જ નીચેનો ભાગ છે. અને જ્યાં મૃતદેહ ત્રીસ વર્ષથી છે તે એક ગુફા જેવું સ્થળ છે. અહીંયા પહોંચનારા ગણ્યાગાંઠ્યા હોય છે અને એવરેસ્ટે નોર્થ એટલે તિબેટ બાજુથી એવરેસ્ટ સર કરનારાઓની સંખ્યા ઓછી હોય છે. આ રૂટ પર ‘ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ એક્સ્પેક્ડિશન’[આઈ.ટી.બી.પી.] કરનારી છ વ્યક્તિઓની ટીમ 1996ના મે મહિનામાં એવરેસ્ટ સર કરવા માટે નીકળી હતી. આ પર્વતારોહણ કરનારી ‘આઈ.ટી.પી.’ ટીમમાંથી એક પોઈન્ટ પર આવીને ત્રણ સભ્યોએ ઉપર જવાનું માંડી વાળ્યું અને તેઓ અડધે રસ્તેથી પાછા ફર્યા. પરંતુ ત્રણ સભ્યોએ એવરેસ્ટ સર કરવાનો નિર્ધાર કરી લીધો હતો. તેમાંના એક હતા સુબેદાર સેવાંગ સ્માનલા, બીજા લાન્સ નાયક દોર્જે મોરપ અને ત્રીજા હેડ કોન્સ્ટેબલ સેવાંગ પાલજોર. આ ત્રણેય સભ્યો એવરેસ્ટના શિખરથી અંદાજે 350 મીટર અંતરે હતા ત્યારે તેમણે આ નિર્ણય લેવાનો થયો. સ્વાભાવિક છે બાકીના સભ્યોને જોખમ કે પછી પોતાની ક્ષમતાનો અંદાજ આવી ગયો હશે. આ ત્રણેય શિખર પર આગળ વધતા હતા. ઉપર તે સમયે એક્ઝેટલી શું થયું તેનો તો અંદાજો જ લગાવવો રહ્યો. પરંતુ તેમનું મૃત્યુ હિમપ્રપાતથી થયું હતું તે સ્થાપિત થઈ ચૂક્યું છે. 

આ ત્રણેય જ્યાં મૃત્યુ પામ્યા તે જગ્યા ‘ડેથ ઝોન’ તરીકે ઓળખાય છે. અને આ સ્થળ એવું છે જ્યાં મહદંશે પર્વતારોહી થોડા સમય આરામ કરવા રોકાય છે. આવું કહેનારા અનેક પર્વતારોહી છે અને તેમાંના એક નોએલ હન્ના છે; જેઓ સાત વખત એવરેસ્ટ શિખર સર કરી ચૂક્યા છે. ‘આ.ટી.બી.પી.’ના આ ત્રણેય જવાન ઉપર જે રીતે મૃત્યુ પામ્યા તેમાં અનેક નિવેદનો આવે છે. પરંતુ ‘બી.બી.સી.’ અંગ્રેજીના વેબસાઈટ પર રેચલ નુવર નામની પત્રકારે 2015માં જે અહેવાલ લખ્યો છે તેમાં ખાસ્સી વિગત વિસ્તૃત રીતે મૂકવામાં આવી છે. જો કે આ અહેવાલમાં ‘ગ્રીન બુટ્સ’ ધરાવતો મૃતદેહની ઓળખ ત્રીજા હેડ કોન્સ્ટેબલ સેવાંગ પાલજોર તરીકે જ કરવામાં આવતી રહી. તે અંગે કેટલાંક પુસ્તકો પણ લખાયાં. એક પુસ્તક ખૂબ જાણીતું છે અને તે લખ્યું છે જોન ક્રેકૂરે. પુસ્તકનું નામ છે ‘ઇન્ટો થિન એર’. એવરેસ્ટ વિશે બ્લોગ અને વેબસાઇટ પણ અઢળક છે અને તેમાંથી કંઈ વેબસાઈટ-બ્લોગ કેટલી આધારભૂત છે તે પણ સવાલ છે. પરંતુ એલન આર્નેટ્ટે નામના પર્વતારોહી વર્ષોથી બ્લોગ લખે છે અને તેમણે કેટલાંક તથ્યો સામે મૂક્યા છે તે ચોક્કસથી જોઈ લેવા જોઈએ. તે બ્લોગ પર આપેલી માહિતી મુજબ 1924થી 2015 સુધી 283 લોકોએ એવરેસ્ટ સર કરતાં જાન ગુમાવી છે. તેમાં 170 જેટલાં વિદેશીઓ છે અને 113 નેપાળી. અહીંયા એક સરેરાશ કાઢવામાં આવી છે કે એવરેસ્ટ સર કરનારા સોમાંથી ચાર વ્યક્તિ મોતને ભેટે છે.

હવે ફરી 1996ની મે મહિનાની ઘટના પર આવીએ. આ ધટનાના એક માત્ર સાક્ષી કમાન્ડન્ટ મોહિન્દર સિંઘ હતા, જેઓ તે વખતે ટીમને લિડ કરી રહ્યા હતા. 2015માં જ્યારે તેઓનો ‘બી.બી.સી.’ દ્વારા ઇન્ટર્વ્યૂ લેવામાં આવ્યો હતો ત્યારે તેમનું ઠેકાણું સાન ફ્રાન્સિસ્કો હતું. મોહિન્દર સિંઘ જ્યારે આ ત્રણેય પર પસંદગી ઉતારી હતી ત્યારે તેમની ભારોભાર સ્કીલને જોઈ ચૂક્યા હતા. સિંઘ કહે છે આ ત્રણેય લદાખથી આવતા હતા અને ફીલ્ડ પર પોતાની જાતને તેમણે સાબિત કરી હતી. પરંતુ જ્યારે પર્વતારોહણ શરૂ કર્યું ત્યારે તેમણે ઉપરાઉપરી ભૂલો કરી. અને ઘણી વખત તો તેમણે સૂચનાની દરકાર ન કરી. આમાંથી ઘણું બધું મોહિન્દર સિંઘ ઇન્ટર્વ્યૂમાં કહ્યું છે અને બીજું કેટલુંક તેમણે પોતાના પુસ્તકમાં પણ લખ્યું છે. આ પુસ્તક છે : ‘એવરેસ્ટ : ધ ફર્સ્ટ ઇન્ડિયન એસ્કેન્ટ ફ્રોમ નોર્થ’. તે દિવસનો ઉલ્લેખ કરતા સિંઘ કહે છે કે, ‘મુશ્કેલી 10 મેના રોજ સવારે શરૂ થઈ, જ્યારે ખૂબ ઝડપી પવન ફૂંકાવાનો શરૂ થયો અને તેઓ વધુ સમય સુધી ઊંઘતા રહ્યા. તેમણે યોજના અનુસાર સવારે 3:30 વાગ્યાના બદલે મોડા સવારે 8: 00 વાગે કેમ્પથી આરોહણ શરૂ કર્યું. મોડું થયું હતું એટલે તેમણે શિખર તરફ જવાના બદલે પર્વતના ઉપર દોરડાં બાંધવાનું કામ શરૂ કર્યું. તેમણે આવું કરવાનું કારણ જો તેઓ શિખર પર જતાં તો તેમણે અંધારુ થયા બાદ ‘ડેથ ઝોન’થી નીચે ઉતરવું પડત. આ ‘ડેથ ઝોન’ એવો વિસ્તાર છે જ્યાં ઓક્સિજન ખૂબ ઓછો હોય છે અને ચઢાણના કારણે મહદંશે પર્વતારોહી અહીંયા મોતને ભેટે છે. બપોરે 2:30 વાગ્યા સુધીમાં આ ટીમે ખાસ્સા ઉપર પહોંચી ગયા હતા અને તેઓ સારી રીતે આગળ વધી રહ્યા હતા. પરંતુ તે પછી હવાએ ફરી ગતિ પકડી. વાતાવરણ જોઈને એક અન્ય સાથી હરભજન સિંઘ [મોહિન્દર સિંઘ કમાન્ડન્ટ હતા અને હરભજન સિંઘ ડેપ્યૂટી ટીમ લિડર હતા] એવા સ્પષ્ટ નિર્દેશ આપ્યા કે વધુમાં વધુ 3: 00 વાગ્યા સુધી કેમ્પ પર પાછા ફરી જશો. જો કે આ સમયે હરભજન સિંઘ તે ત્રણેય સભ્યોથી ખાસ્સા પાછળ રહી ગયા હતા. એવી શક્યતા છે કે તેમણે હરભજનસિંઘની સૂચનાની અવગણના કરી હોય અથવા તો તેમને સૂચના સંભળાઈ જ ન હોય. તેઓને આગળ વધતા જોઈને હરભજન સિંઘ કેમ્પ પર પાછા ફર્યા. તેમની પાસે કેમ્પ પર પાછા ફરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.’

હરભજન સિંઘ જ્યારે બેઝ કેમ્પ પર આવી ગયા હતા ત્યારે તેમને ત્રણ વાગ્યાના સુમારે વોકી ટોકી પર એક સંદેશ સુબેદાર સેવાંગ સ્માનલાનો મળે છે. તે કહે છે કે અમે શિખર તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે સિંઘ નિરાશાથી કહે છે કે પાછા ફરો. વાતાવરણ ખૂબ ખરાબ છે. જો કે સ્માનલા જરા ય હતોત્સાહ ન થયા અને તેમણે કહ્યું કે શિખરથી અમે એકાદ કલાકના જ અંતરે છીએ અને અમે ત્રણેય સ્વસ્થ છીએ. ત્યારે હરભજન સિંઘે ફરી ચેતવ્યા કે, વધુ પડતો આત્મવિશ્વાસ ન દાખવો. તમને વિનંતી છે કે નીચે આવી જાઓ. સૂર્ય અસ્ત થવા જઈ રહ્યો છે. સ્માનલા ફોન હેડ કોન્સ્ટેબલ સેવાંગ પાલજોરને આપ્યો. પાલજોરે કહ્યું કે, ‘પ્લીઝ, અમને ઉપર જવાની મંજૂરી આપો. તેના અવાજમાં ઉત્સાહ દેખાતો હતો. પરંતુ તે પછી તેમનો રેડિયો અચાનક બંધ થઈ ગયો. તે પછી સાડા પાંચ સુધી હરભજન સિંઘને તેમના ટીમના સભ્યોનો કોઈ અવાજ ન સંભળાયો. તે પછી તેઓ ત્રણેય શિખર પર પહોંચી ચૂક્યા છે તે ખબર આવ્યા અને બેઝ કેમ્પ પર ઉત્સાહનું વાતાવરણ છવાયું. જો કે સિંઘે તેમને ઝડપથી પાછા ફરવા જણાવ્યું.’ તે પછી સુબેદાર સેવાંગ સ્માનલા, બીજા લાન્સ નાયક દોર્જે મોરપ અને ત્રીજા હેડ કોન્સ્ટેબલ સેવાંગ પાલજોર ક્યારે ય બેઝ કેમ્પ પર પાછા ન ફર્યા. અને આખરે તેમને પહેલાં ‘મિસિંગ’ દાખવવામાં આવ્યા અને પછીથી તેમનું મૃત્યુ થયું છે તે માની લેવામાં આવ્યું. જો કે આ ત્રણેયના મૃત્યુ પછી જે મૃતદેહ ‘ગ્રીન બુટ્સ’થી ઓળખાતો હતો; તેમાં ઓળખ સેવાંગ પાલજોરની આપવામાં આવતી હતી. પરંતુ હાલમાં એક ટેકનિકલ ટીમ જઈને તે મૃતદેહના સેમ્પલ લઈ આવી અને તેના ડિ.એન.એ.થી સાબિત થયું કે આ મૃતદેહ હેડ કોન્સ્ટેબલ સેવાંગ પાલજોરનો નહીં; બલકે લાન્સ નાયક દોર્જે મોરપનો છે. હવે આ મૃતદેહ એવરેસ્ટથી નીચે લાવવા માટે ‘ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ એક્સ્પેક્ડિશન’ દ્વારા એક ઓપરેશન આરંભાયું છે અને તે માટે પ્રોફેશનલ ટીમને તે કામ સોંપવામાં આવ્યું છે. જો લાન્સ નાયક દોર્જે મોરપનો મૃતદેહ નીચે લાવવામાં સફળ થશે તો તેમના પરિવારની વર્ષોની આશ પૂર્ણ થશે. 

e.mail : kirankapure@gmail.com 

Loading

વગદાર, શક્તિશાળી, ધનવાન અને આગેવાન કોને કહેવાય? 

આશા બૂચ|Opinion - Opinion|28 July 2026

આશા બૂચ

વ્યક્તિથી માંડીને દેશની વગ, શક્તિ અને અગુઆઈના માપદંડ કયા છે? જે વ્યક્તિ, સંસ્થા કે દેશ બીજા પર પોતાના વિચારો અને માન્યતાઓ બળપૂર્વક માન્ય કરાવી શકે તેની ‘વગ’ વધુ છે એમ કહેવાય. જે દેશ પાસે મોટી સંખ્યામાં અને વધુ હિંસક શક્તિ ધરાવતાં શસ્ત્રો હોય એ દેશ ‘સુપર પાવર’ કહેવાય. જેની પાસે અંગત વિમાન, મોટા મોટા મેન્શન, આલીશાન બાગ-બગીચા અને વિદેશી કાર હોય તે ‘ધનવાન’ લેખાય. અને જે વ્યક્તિ યેનકેન પ્રકારેણ સરકારમાં સર્વોચ્ચ હોદ્દા પર આરૂઢ થઈ જાય તે ‘આગેવાન’ ગણાય! અને એ ‘નેતા’ બીજાનાં મંતવ્યોને વ્યક્ત થવાની તમામ બારી બંધ કરી દે તે ‘આગેવાન’ કહેવાય!

આપણે હંમેશાં સાંભળતા આવ્યા છીએ કે અમેરિકા અને રશિયા ‘સુપર પાવર’ છે. મનમાં કાયમ સવાલ ઉઠતો, એ દેશોને ‘સુપર પાવર’ કયા આધારે માનવામાં આવે છે? ‘પાવર’ – ‘શક્તિ’નો અર્થ શું? અમેરિકા એક ‘ધનાઢ્ય દેશ’ છે એ માન્યતા પણ ઘણી પ્રચલિત. તો પ્રશ્ન થતો, ધનવાન હોવું કોને કહેવાય? છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણા દેશોમાં આંતરિક સંઘર્ષો અને બે કે તેથી વધુ દેશો વચ્ચે સશસ્ત્ર સંગ્રામની જાણે ભીડ વધતી જાય છે ત્યારે આવાં યુદ્ધ છેડવાની અને અણુશસ્રોની માલિકી ધરાવવાની શક્તિને જ ‘પાવરફુલ’ કહેવામાં આવે છે એમ સમજાયું. આ વિષે વધુ માહિતી મેળવવા મન લલચાયું.

સેવાગ્રામ પ્રતિષ્ઠાન – વર્ધા સ્થિત લાઈબ્રેરી અને રિસર્ચ સેન્ટર ફોર ગાંધીઅન સ્ટડીઝના ડાયરેક્ટર સી.બી. જોસેફ લિખિત એક લેખ તાજેતરમાં વાંચવામાં આવ્યો, જેમાં તેમણે યુદ્ધ અને ખાસ કરીને અણુશસ્ત્રો પર કરવામાં આવતા ખર્ચ અને તેનાથી નિપજતા સંહારની વિગતો આંકડા સાથે આપેલી, જે તેમની અનુમતિથી આ લેખમાં સમાવી લેવા કોશિશ કરીશ.

સી.બી. જોસેફ સ્વિત્ઝરલેન્ડ સ્થિત ઇન્ટરનેશનલ કેમ્પેઇન ટુ એબોલિશ ન્યુક્લિયર વેપન્સ દ્વારા બહાર પડેલા આંકડા આપતાં લખે છે; 2025ની સાલમાં અણુશસ્ત્રો પાછળ દર સેકન્ડે $ 3,768 ના હિસાબે કુલ $118.8 બિલિયનનો ખર્ચ થયો. એ શસ્ત્રો બનાવતા દેશો જ ‘પાવરફુલ’ કહેવાય છે. સામૂહિક સંહાર કરવા માટે આવો પાગલ વિચાર કોણ પૂરો પાડે છે? શું એ લોકો સાચા શક્તિશાળી છે? કે જે શસ્ત્રો બનાવનારી કંપનીના માલિકો અમર્યાદ નફો કરે છે એ ધનવાન કહેવાય? અને એ શસ્ત્રોના વપરાશથી જેમનાં જીવનનાં બલિદાન લેવાય છે, જે કુટુંબો અને સમાજ આખો બરબાદ થઇ જાય છે, એની પાસે કેમ કોઈ સત્તા નથી હોતી?

દુનિયામાં નવ દેશો અણુશસ્ત્રોના માલિક છે. તેમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અવ્વ્લ સ્થાને. બાકીના આઠ દેશોના કુલ ખર્ચ કરતાં વધુ ખર્ચ અમેરિકા કરે છે. એ દેશને કયા દેશનો આટલો બધો ભય છે? ‘સુપર વાપર’ તેને જ કહેવાય! ચીન બીજા નંબરે, તો યુનાઇટેડ કિંગ્ડમ પણ કેમ પાછળ રહી જાય? રશિયાને ધક્કો મારીને એ વળી ત્રીજા નંબર પર ઉભેલો દેશ છે.

શીત યુદ્ધની અવધિ સમાપ્ત થઇ. રશિયા અને અમેરિકાના અણુશસ્ત્રોમાં 80%નો ઘટાડો થયો. જે ખરી સત્તા, શક્તિ અને સમજણ ધરાવે છે તે પ્રજાએ હા…….શ કહ્યું. તેના ત્રણ દાયકા વીત્યા ન વીત્યા ત્યાં તો ચીને બીજા દેશો પર કબજો જમાવવાની મનીષા પૂરી કરવા જમીન, આકાશ અને દરિયા માર્ગે વાપરવાના અણુશસ્રોની સંખ્યા ઝડપથી વધારવા માંડી. શસ્ત્રોનાં ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર નિયંત્રણ લાવનારી વ્યવસ્થા ભાંગી પડી. યુ.એન. જેવા સંગઠનના પોતાના સભ્યો જ શસ્ત્ર વેચાણના ધંધામાં વ્યસ્ત રહેતા હોવાને કારણે તે બિનઅસરકારક થઈ ગયું. જેને પરિણામે બીજા કોઈ વિકલ્પ પર શ્રદ્ધા ન હોવાને કારણે ફરી અણુશસ્ત્રોનું શરણું લેવા હોડ ચાલવા લાગી. અધૂરામાં પૂરું ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતો જુગ જૂનો સંઘર્ષ એક બીજાના અણુમથકોનાં વિનાશની અણી પર આવીને ઊભો રહ્યો, જેની અસર બીજા ‘ધનાઢ્ય દેશો’ પર પડવાનો સંભવ ઊભો થયો એટલે ફરી અણુશસ્ત્રો વધારવા તરફ દોટ મૂકી. જોવાનું એ છે કે જે દેશો પાસે વિનાશક શસ્ત્રો નથી તે પોતાને ગરીબડા, અસહાય અને પછાત માનવા લાગ્યા છે. કરુણતા તો એ છે કે જે દેશના વડાઓ પોતાના જ દેશના નાગરિકોની મૂળભૂત જરૂરિયાતો સંતોષવાને બદલે ‘ડિફેન્સ’ને નામે લશ્કરી તાકાત વધારવા પાછળ અઢળક ખર્ચ કરે તે દેશને ‘સુપર પાવર’ કહેવાય, તે પ્રેસિડન્ટને ‘આગેવાન’ કહેવાય અને જો સંરક્ષણ પાછળ સ્વાસ્થ્ય, શિક્ષણ કે સામાજિક સુરક્ષા કરતાં વધુ ખર્ચ કરવામાં ન આવે તો એ વડા પ્રધાનને પદભ્રષ્ટ કરવામાં આવે! આફ્રિકા અને એશિયાના કેટલાક દેશોમાં આશરે 674 મિલિયન લોકો એટલે કે દુનિયાની 8.2 ટકા વસતી ભૂખે મરે તો એ નાગરિકોને શક્તિવિહીન જ કહેવાય ને?

આપણને જે શિક્ષણ આપવામાં આવ્યું હતું તેનાથી એવી સમજણ કેળવાઈ હતી કે આગેવાન તેને કહેવાય, જે પ્રજાને સન્માર્ગે દોરે. જેના જીવનમાંથી પ્રેરણા લઈને ભટકેલા લોકો સાચે રસ્તે ચાલે. એવા આગેવાનો 21મી સદીમાં મળે? માનવ સમાજ પાસે ખરું ધન તે કુદરત દીધી સંપત્તિ છે, તો જે એનું સંરક્ષણ, સંવર્ધન અને વહેંચણી કરીને પોતાને અને બીજાને માલામાલ કરે તે ધનવાન કહેવાય. જે કુદરતી આફતો, અન્યના અન્યાયી વહીવટ અને જુલમથી ડર્યા વિના તેનો સામનો કરે તેને શક્તિશાળી કહેવાય. વિરોધી મત અને હિત ધરાવતી વ્યક્તિથી માંડીને દેશનેતાઓ વચ્ચે વાટાઘાટ મારફત સુલેહ-સંધિ કરાવીને કાયમી શાંતિ સ્થાપી શકે તેને વગદાર કહેવાય. આ બધા શબ્દોની વ્યાખ્યા સાવ બદલાઈ ગઈ?

તકલીફ એ છે કે દુનિયાની આઠેક અબજ વસતીમાં પ્રચલિત વ્યાખ્યા મુજબના ચપટી ભર આગેવાનો, ધનવાનો, શક્તિશાળી અને વગદાર લોકો છે. સમાજ અધઃપતનને માર્ગે જતો હોય ત્યારે મોટા ભાગની પ્રજા એવા આગેવાનને પગલે કેમ નથી ચાલતી જે તેમને સન્માર્ગે દોરે, નહીં કે વિભાજીત કરીને વિનાશને હવાલે કરે? જે ધરતીમાં કણ વાવીને મણ અનાજ પેદા કરે, જે નીતિમત્તાથી વેપાર કરીને માનવ જરૂરિયાતો સંતોષે તેને સાચો ધનપતિ કેમ નથી માનતા? લશ્કરી બળને બદલે આત્મબળ દ્વારા શાંતિ ટકાવનારાને ખરા બળવાન-શક્તિશાળી કેમ નથી કહેતા?

આ ચારેય પરિભાષાઓની વ્યાખ્યા બદલવાથી કદાચ માનવ જાત માનવતાભર્યું વર્તન કરીને વ્યક્તિથી માંડીને સમષ્ટિ સુધ્ધાંનો પરિતાપ હરિ લે. હવે કોઈ અવતારી પુરુષ કે મહામાનવ નથી અવતરવાના, એટલે મારી નજર આવનારી પેઢી તરફ મંડાય છે. આશા અમર છે.

e.mail : 71abuch@gmail.com

Loading

...10111213...203040...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved